Opinion Magazine
Number of visits: 9691583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Growing Intolerance in a Tolerant Society

Ram Puniyani|English Bazaar Patrika - OPED|5 May 2016

Towards the end of 2015 many a writers and accomplished eminent citizens returned their national honors; protesting against the growing atmosphere of intolerance. The list was long and this acted as a process where some introspection took place in the society. Still the ruling dispensation and its associates in the Hindu right wing politics, the RSS combine, began criticizing those who returned their awards, accusing them of being politically motivated. They were also criticized for doing so to influence the forthcoming state assembly elections in Bihar.

Most of the awardees stood their ground as the perceptions about tolerance; freedom of expression had crossed the threshold and had undergone qualitative change. This gets confirmed in a 2015 report by US Commission for International Religious Freedom. This USCIRF is a bipartisan US Federal Government Commission. This is first of its kind in the World and is aiming at defending the universal right to freedom of religion or belief in the World. The report is very scathing and points out the state of religious freedom in India. As per the report freedom in India is on a negative trajectory, religious tolerance deteriorated and ‘religious freedom’ violations increased during 2015.

The report points out, “In 2015, religious tolerance deteriorated and religious freedom violations increased in India…minority communities especially Christians, Muslims and Sikhs experienced numerous incidents of intimidation, harassment and violence, largely at the hands of Hindu nationalist groups.” The report outlines the violations and points that USCRIF will continue to monitor the situation and may have to recommend to the state department that India should be kept under ‘the country with particular concern’. It is a significant report which goes on say that US Government should keep this in mind while shaping the bilateral contacts with India and future of ‘strategic dialogues’ should be determined according to that.

The USCRIF suggests that the Indian Government publically rebut officials and religious leaders that make derogatory statements about religious communities. This is the crux of the matter. Those understanding Indian politics know by now more clearly than before that the leaders making derogatory comments are either directly the part of ruling party, like Sadhvi Niranjan Jyoti, Giriaraj Singh (both minsters at center) or leading members of Parliament like Yogi Adityanath or Sakshi Maharaj. Then there are others who belong to the affiliate organizations like VHP, Bajrang Dal, which again are part of the broader Sangh Privar or more precisely RSS Combine.

When these statements derogatory to religious minorities are made some from the ruling party will come forward to say that this is not the official position of the party and stop at that. There is neither a reprimand neither demotion of the person concerned. Many have made these derogatory comments even before coming to power like Giriraj Singh but despite that they have been given the positions of power. At these times Mr. Modi, who is presented as a powerful Prime Minister keeps silent for weeks and later comes with some lame unconvincing statement, which is no setback to the one making the statement. It may a sort of pat in the back of the person.

As such it seems to be a coordinated game. Someone makes the provocative statement, and some others from RSS stable come to defend/justify him/her and some other say it is not official while Modi keeps a deliberate silence. Interestingly some statements need not sound derogatory to begin with. Hindutva’s patriarch RSS Chief Mohan Bhagwat’s statement about shouting Bharat Mata ki Jai (Hail mother India) is very revealing. First; he said that we should teach the younger generation to say this. Then he took a step back saying it should not be compulsory. In response to this Asaduddin Owaisi of MIM gave and unwarranted statement that he will not say so even if a knife is put on his throat. To take the story further Maharashtra Chief minister Devendra Fadnavis said it is a must for all those who want to stay in India. As a matter of fact this is a subtle intimidation of the religious minorities who don’t worship anybody but Allah as per Bharat Mata ki Jai, it becomes like hailing mother Goddess, which they say is not permitted by Islam.

The RSS fellow traveler Yoga guru and entrepreneur Baba Ramdev said that had Constitution not been there by now lakhs would have been beheaded. This is at the top rungs of society, what goes down below from this is that certain elements will ask non Hindus to shout this slogan and refusal to do that may result in unpleasant situation. The writers of report in their naivety may have given this suggestion, not knowing that currently the divisiveness in India is being spread from bottom up and the protection for these elements is coming from the top down.

This is not an enviable situation for democracy in India. The quality of democracy is to be judged by the degree of safety and security of the religious minorities. True, even earlier also anti minority violence was there but now with the BJP Government at centre the intolerance and divisiveness has undergone a sea change. What the awardees were feeling has lots of truth; the feeling of insecurity is accompanied by the gag on freedom of expression, which is going together with the intolerance.

The report has come out at a time Modi is packing his bags for a major trip to US. It is the same place where he was denied VISA for long years due to Gujarat carnage which took place when he was Chief Minister of Gujarat. Will the US establishment’s policies change due to this report? That is a million dollar question, but as now Modi is the Prime Minster and India fits in to the scheme of things designed by US, this time around VISA will not be an issue and Mr. Modi can look forward to one more trip abroad, while such reports can keep adorning the shelves in libraries.

Loading

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર – 1 — 

5

નઝમી રામજી|Diaspora - History|3 May 2016

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર – 1

અંબુભાઈ પટેલ 

અંબુભાઈ પટેલનો જન્મ 1919માં ગુજરાતના ભાદરણ ગામમાં થયો હતો. નાની ઉંમરથી તેઓએ ભારતની આઝાદીની લડતમાં ભાગ લીધેલ્ો. 14 વરસની ઉંમરે તેઓએ જેલની યાત્રા કરેલી. ત્યાર બાદ બીજી બે વખત અંગ્રેજી સામ્રાજ્યશાહીઓ એ તેઓની ધરપકડ કરી જેલ ભેગા ય કરેલા.

12-13 વરસની વયે તેઓએ એક ફોટોગ્રાફર સાથે સ્વતંત્રતા આંદોલનનું કામ શરૂ કર્યું. ગુજરાતમાં જ્યાં જ્યાં દેશપ્રેમીઓ હડતાલ પાડે, મોરચાઓ કાઢે અને ત્યાં પરદેશી પોલીસ ફોજીઓ તેઓ ઉપર ક્રૂરતાથી લાઠીમાર કરે ત્યારે છુપાઈને તેઓના ફોટા પાડી દેશભરના અખબારોને પહોંચાડે.

અંભુભાઈએ ગાંધીજીના સાબરમતી આશ્રમમાં ત્રણ વર્ષ ગાળ્યા અને ત્યાં બીમારોની સેવા કરી. ત્યાર બાદ જ્યારે ગાયકવાડના મુસલમાન કાગળ બનાવનારાઓએ ગાંધીજીના કહેવા પર એક શાળા શરૂ કરી, ત્યારે તેઓએ ત્યાં બે વરસ કાગળ બનાવવાનો અને ચોપડી બાંધવાનો અભ્યાસક્રમ કર્યો.

1943માં તેઓના લગ્ન પૂર્વ આફ્રિકાના રહેવાસી લીલાબહેન સાથે થયા. લગ્ન બાદ તેઓ થોડો વખત યુગાન્ડા રહેવા ગયા અને 1946માં નાઈરોબી આવ્યા. ભારતથી સાથે લઈ આવેલી ચોપડીઓ તેઓએ રસ્તામાં ઊભા રહી અથવા તો ઘરે ઘરે જઈ વેચી પોતાનું ગુજરાન ચલાવ્યું. થોડા વખત પછી ‘જય હિંદ બુકશોપ’ ખોલી.

1948માં ભારતના કેન્યા ખાતેના એલચી, આપા પંત સાથે મળી કયામ્બુના જિલ્લામાં એક કાંતવા અને કાપડ વણવાની શાળા ખોલી. ઉકામ્બાનીમાં પાણીની અછત દૂર કરવા તેઓએ ત્યાંના ખેડૂતો સાથે મળી કૂવાઓ ખોદ્યા, જે આજે પણ ત્યાંની વસ્તીને પાણી પૂરું પાડે છે.

ભારતની આઝદીની લડતનો અનુભવ ધરાવતા અંબુભાઈએ કેન્યાની સ્વતંત્રતા માટે લડી રહેલા આફ્રિકનો સાથે મળી આ લડતમાં પૂરેપૂરો ભાગ લીધો. કેન્યા આફ્રિકન યુનિયનના નેતાઓ (જેવા કે, મઝે જોમો કેન્યાટા, મ્બીયુ કોઈનાંગે, આચીયેંગ ઓનેકો, વગેરે) અને સામાન્ય સભ્યો સાથે ભળીને કામ કર્યું. સામ્રાજ્યશાહી વિરોધી આંદોલનમાં બીજા એશિયન કેન્યાવાસીઓ જેવા કે મખનસિંહ, પીઓ્ ગામા પીંટો, ગિરધારીલાલ વિદ્યાર્થી સાથે તેઓએ ભળી આ લડત આગળ ચલાવી.

1952માં જ્યારે આઝીદીની હથિયારબંધ લડાઈ શરૂ થઈ, ત્યારે તેઓએ હથિયાર, અનાજ, કપડાં તેમ જ પૈસા ભેગા કરી માઉ માઉ આંદોલનના સ્વતંત્રતાના સૈનિકોને લડાઈના ઇલાકામાં મોકલવાનો બંદોબસ્ત કર્યો. ઘણીવાર તેઓએ લડવૈયાઓને અંગ્રેજી પોલીસ અને લશ્કરના પંજામાંથી બચાવવા પોતાના ઘરમાં અથવા તો દુકાનમાં છુપાવ્યા. અંગ્રેજી પોલીસે અનેક વખત તેઓના ઘરની અને દુકાનની તલાશી લીધી પણ એકદમ કાળજી રાખવાવાળા અંબુભાઈએ તેઓના હાથમાં કાંઈ પણ પુરાવો ન આવવા દીધો.

ઘણીવાર એવું પણ બન્યું કે કોઈ માઉ માઉના લડવૈયાઓ ઘરમાં હોય અને પોલીસની ધાડ પડે. ઘરના પાછળના ભાગમાં તેઓ કોલસાની ગુણીઓ રાખતા, જલદીથી તેઓ આ લડવૈયાઓને આ ગુણીમાં સંતાડી દે. તપાસ લેતાં ફિરંગી પોલીસને કાંઈ જ ન મળતાં નિરાશ થઈ પાછું જાવું પડે.

કેપેન્ગુર્યાનો મુકદમો કે જેમાં જોમો કેન્યાટા, આચીયેંગ ઓનેકો, બીલ્દાદ કાગીઆ, થુબું કરુમ્બા અને પોલ ન્ગેને ખોટા આક્ષેપ ઉપર જેલની સજા થયેલી. કેસ જ્યારે પૂરો થયો ત્યારે સરકારે અદાલતનો ચુકાદો જાહેર કરવાની મના કરી. અંબુભાઈ અને પીંટોએ ભેગા મળી આ ચુકાદાને આમ જનતા અને આંતરરાષ્ટ્રીય જનતા સમક્ષ પેશ કરવાની એક છૂપી યોજના તૈયાર કરી. આ 100 પત્તાના ચુકાદાની ગુપ્ત રીતે 300 નકલો છાપી. 250 નકલોને ટપાલ દ્વારા અનેક દેશોના નેતાઓને અંગ્રેજી સરકારના જ કવરમાં નાખી મોકલ્યા. બીજી 50 નકલોની વહેંચણી છૂપી રીતે દેશમાં કરી. આવી રીતે દુનિયાને આ બેઇન્સાફી અને બિનપાયેદાર મુકદ્દમા વિશે જાણ થઈ.

આ કટોકટીના સમય દરમિયાન દેશની હાલત વિશેના સર્વ સમાચાર અંગ્રેજી સામ્રાજ્યશાહી સરકાર મારફત નીકળતા એટલે તે એકપક્ષી હતા. આવા ખોટા સમાચારનો વિરોધ કરતા અને દેશની જનતાને લડાઈના બારામાં સાચા ખબર પહોંચાડવામાં અંબુભાઈએ નાઈરોબીના માઉ માઉના અનેક લડવૈયાઓના ફોટા પાડી, તેઓએ શહીદી વહોરી લીધી. ત્યારબાદ તેઓની યાદી તાજી રાખવાનું શક્ય કર્યું. જ્યારે મોતને આંગણે આવા લડવૈયાઓ ઊભા હોય અને તેઓના સામ્રાજ્યશાહીઓની અદાલતોમાં મુકદ્દમા ચાલતા હોય, ત્યારે અંબુભાઈ પોતાનો કેમેરો લઈ અદાલતમાં પહોંચી જાય. ન્યેરીમાં 1957માં જયારે ફિલ્ડ માર્શલ ડેડાન કીમાથીનો મુકદ્દમો ચાલી રહ્યો હતો ત્યારે આઝાદીની લડતના આ મશહુર નેતાનો ફોટો તેઓએ પાડેલો. આ ફોટો હજી સુધી દેશના અનેક ગામના રસ્તે રસ્તે વેચાઈ રહ્યો છે અને અનેક કેન્યાવાસીઓના ઘરે જોવા મળે છે.

1955-1963 દરમિયાન એક બાજુ આઝાદીની લડત હથિયાર સાથે ચાલી રહી હતી, બીજી તરફ હતી કાયદેસરની લડત. આ લડતના વડાઓમાં આફ્રિકી નેતાઓ ઓગીન્ગા ઓડીન્ગા, ટોમ મ્બોયા વગેરે, અને એશિયન કેન્યાવાસીઓ કે. પી. શાહ, ચનન સિંહ વગેરેનો સમાવેશ હતો. આ લડતમાં પણ અંબુભાઈએ પાછી પાની ના કરી અને આ બીજા નેતાઓ સાથે મળી રાજકીય આંદોલનને સફળ બનાવવામાં અનેક ભોગ આપ્યા.

1960-61 દરમ્યાન અંબુભાઈએ એક નવી ઝુંબેશ ઉપાડી : કોઈ પણ કાનૂની કાર્યવાહી વગર અંગ્રેજ સરકારે હજારો કેન્યાના નાગરિકોને કેદમાં રાખેલ તેઓની મુક્તિ ઝુંબેશ. આ કામ માટે દેશપ્રેમી કેન્યાવાસી એશિયનો પાસેથી પૈસા એકઠા કર્યા. દેશ દેશના નેતાઓને કાગળ દ્વારા અરજી કરી કે તેઓ અંગ્રેજ સરકારને દબાણ કરે. કેદીઓની મુક્તિની માંગનો પડકાર કરતાં ભીંતપત્રો છપાવી રસ્તે રસ્તે ચોંટાડ્યા. મુક્તિની માંગ કરતાં પત્રો પર હજારો સહીઓ એકઠી કરી અનેક મોરચા રચ્યા. 

આઝાદીના આ બધા કામમાં અંબુભાઈને લીલાબહેનનો પૂરેપૂરો સાથ હતો. બંનેને આ લડતમાં કોઈપણ જાતનો અંગત સ્વાર્થ ન હતો. દેશની સ્વતંત્રતા અને આમ જનતાના હિતમાં કામ કરવું એ જ તેમનો ઉપદેશ અને તે જ તેઓનો ધર્મ. જો તેઓ ઇચ્છતા હોત તો ઘણી મૂડી કમાઈ શકત, પરંતુ તે માટે પોતાના નિ:સ્વાર્થ સિદ્ધાંતો અને દેશભક્તિની લડત છોડવી પડત. આમ કરવા આ દેશપ્રેમી જોડી જરા ય તૈયાર નહતી. એટલે જ આખી જિંદગી તેઓએ ગરીબીમાં કાઢી.

1963માં કેન્યાને સ્વતંત્રતા મળતાં અંબુભાઈ પાછાં પોતાના ચોપડી બાંધવાના ધંધામાં લાગી ગયા. તે સાથે દેશના ઇતિહાસ વિશે ચોપડીઓ, છાપાંનાં લખાણો અને ફોટાઓ (ઓક્ટોબર 1962માં કટોકટીના સમયને શરૂ થયાને દસ વરસના પ્રસંગે અંબુભાઈએ 1890થી ચાલુ થયેલો સામ્રાજ્યશાહી વિરુદ્ધની લડાઈના જે પોતાની પાસે ફોટાઓનો સંગ્રહ હતો તેનું એક ભવ્ય પ્રદર્શન યોજ્યું.) ભેગા કરવાનો જે પહેલેથી શોખ હતો તે માટે હવે તેઓએ વધારે વખત આપ્યો. આ સાથે ઐતિહાસિક લખાણ લખવાનું પણ ચાલુ રાખ્યું.

1954-55 દરમ્યાન તેઓએ જોમો કેન્યાટાની ‘માય પીપલ ઑફ કીકુયુ’ અને ‘કેન્યાઝ સ્ટ્રગલ ફોર ફ્રીડમ’નો તરજુમો ગુજરાતીમાં કર્યો. તેઓએ ન્યુ કેન્યા પબ્લિશર્સ નામ હેઠળ પ્રકાશકનું કામ શરૂ કર્યું. અને ‘જોમો ધી ગ્રેટ’ અને 12 ડિસેમ્બર 1963 એટલે કે આઝાદીના જ દિવસે, ‘સ્ટ્રગલ ફોર રીલીઝ જોમો કેન્યાટા એન્ડ હીઝ કલિગ્ઝ’ નામનાં પુસ્તકો બહાર પાડ્યા. ત્યાર બાદ ‘એડીન્ગા ઇન ઇન્ડિયા’ અને પીંટોના દુ:ખદ મૃત્યુ બાદ ‘પીઓ ગામા પીન્ટો’, ‘ઇન્ડિપેન્ડન્ટ કેન્યાઝ ફર્સ્ટ માર્ટીર’ બહાર પાડ્યા.

અંબુભાઈને કવિતા લખવાનો પણ શોખ હતો. તેઓએ એક કવિતા કિસ્વાહિલી અને કીકુયુ ભાષાઓમાં કીમાથી અને બીજા આઝાદીના શૂરવીરોની શાનમાં લખેલ. આ કવિતા તેઓ એક ગુજરાતી ગીતના રાગમાં ગાતા. એક વખત બીબીસીના એક ખબરપત્રીએ આનું રેકોર્ડિંગ કરેલ અને પછી રેડિયો દ્વારા આખી દુનિયામાં પ્રસારિત કર્યું. 

અંબુભાઈનાં છપાયેલાં લખાણો સિવાય તેઓએ એમ. એ. દેસાઈ, એ. એમ. જીવનજી, મખનસિંહ, ઓગીન્ગા ઓડીન્ગા, ટોમ મ્બોયાની આત્મકથાઓ પ્રગટ કરવા માટે તૈયાર કરેલ. સેંકડો માઉ માઉના લડવૈયાના જે ફોટો તેઓએ એકઠા કર્યા હતા તેને પણ ચોપડીના રૂપમાં છપાવવાનો તેઓનો ઇરાદો હતો.

પરંતુ આ બધું કામ પૂરું થાય તે પહેલાં આ દેશપ્રેમીનું હૃદયરોગને કારણે 58 વર્ષની ઉંમરે નાઇરોબીમાં ડિસેમ્બર 1977માં દુ:ખદ અવસાન થયું. આવા દેશપ્રેમીઓના જીવનમાંથી આપણે પણ આપણાં જીવનમાં કાંઈક સદ્દકાર્ય – દેશભક્તિનો ગુણ ઉતારીએ અને તેઓના અધૂરાં રહેલાં કાર્યોને પૂર્ણ કરવા પ્રયત્નો કરીએ તો ….

સૌજન્ય : “અલકમલક”, ઓક્ટોબર 1985; પૃ. 26 – 28

**********

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર – 2

મખન સિંહ (1913 – 1973)

મખનસિંહનો જન્મ પંજાબના ઘરજખ નામનાં ગામડામાં 27 ડિસેમ્બર 1913માં થયો હતો. તેઓના પિતા સુઘસિંહ સુથાર હતા. 1920માં સુઘસિંહ કેન્યા આવ્યા અને રેલવેની નોકરી કરી. 1927માં મખન સિંહ અને તેઓનાં માતા ઈશર કૌર કેન્યા આવ્યાં.

સુઘ સિંહે રેલવેના મજૂર સંઘમાં મજૂરોના હક માટે જોરદાર લડત ઉપાડેલ. આ કારણસર તેઓને કામમાંથી રજા આપી દેવામાં આવી. પછી તેઓએ પંજાબ પ્રિન્ટીંગ પ્રેસ ખોલ્યું.

મખન સિંહ નાઈરોબીની ગર્વન્મેન્ટ ઇન્ડિયન હાઈસ્કૂલ(હમણાંની જમહુરી હાઈસ્કૂલ)માં ભણ્યા અને 1931માં લંડન મેટૃીક્યુલેશનની પરીક્ષામાં સફળ થયા. તેઓને આગળ ભણતરનો બહુ શોખ હતો, પરંતુ પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી એ વધારે ભણી ન શક્યા. તેઓ પંજાબ પ્રિન્ટીંગ પ્રેસમાં કામે લાગી ગયા. 1934માં તેઓ ભારત ગયા અને સતવંત કૌર સાથે લગ્ન કરી ફરી કેન્યા આવી ગયા.

મખન સિંહને નાની ઉંમરથી જ દુનિયવી રાજનીતિ અને મજૂર-કિસાન આંદોલનમાં બહુ રસ હતો. તેઓ આવા વિષયો તેમ જ કેન્યા અને ભારતની સામ્રાજ્યશાહી સામેની આઝાદીની લડત ઉપર પણ પંજાબીમાં કવિતાઓ લખી જાહેર સભાઓમાં જનતાને સંભળાવતા.

માર્ચ 1935માં મખન સિંહ કેન્યા ભારતીય મજૂર સંઘ(કેન્યા ઇન્ડિયન ટ્રેડ યુનિયન)ના મંત્રી તરીકે ચૂંટાયા. તેઓ અને તેઓના બીજા સાથી નેતાઓએ જોયું કે મજૂરોને પોતાના હિતની રક્ષા માટે એકતાની બહુ જરૂર છે. ત્યારે સામ્રાજ્ય સરકારનો પ્રયત્ન હતો કે ભારતીય અને આફ્રિકી મજૂરો વચ્ચે ખટપટ રહ્યા કરે. જાતિય ભેદભાવ દૂર કરવા ભારતીય મજૂર સંઘે તેનું નામ બદલાવી કેન્યા મજૂર સંઘ (લેબર ટ્રેડ યુનિયન ઑફ કેન્યા) રાખ્યું અને તેનું સભાસદપણું સર્વે જાતિના મજૂરો માટે ખુલ્લું કર્યું. મખનસિંહ આ નવા સંઘના પણ મંત્રી ચૂંટાયા.

મખન સિંહની આગેવાની હેઠળ આ મજૂર સંઘને ઘણી સફળતા પ્રાપ્ત થઈ. 1935ની રેલવે સામેની ઝૂંબેશમાં તેઓ ફતેહમંદ થતાં રેલવેના કારીગરો કે જેઓ ઘણાં વર્ષોથી અનિયમિત મજૂરો તરીકે રાખેલ તેઓને કાયમી રીતે રાખવા રેલવેને કબૂલ કરવું પડ્યું.

એપ્રિલ-મે 1937માં મજૂર સંઘે નાઇરોબીના કારખાનાઓના કામદારોના પગારમાં વધારાની માંગ માટે એક હળતાલ બોલાવી. તેમાં પણ સફળતા મળતા મજૂરોના પગારમાં કારખાનાઓના માલિકોને 15-25%નો વધારો કરવાની ફરજ પાડી.

આ મજૂર સંઘ પૂર જોશમાં કામ ચલાવી રહ્યા હોવાં છતાં પણ અંગ્રેજ સામ્રાજ્યશાહી હકુમતે તેને સરકારી રીતે નોંધવાની મના કરેલ. સંઘને તોડવાના પણ ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ મજૂરોની એકતા તો વધતી જ ગઈ. જૂન-1935 અને જૂન 1937 દરમ્યાન સંઘના સભ્યો 480થી વધી 2,500 થયા. મજૂરોના આ જોર સામે સરકારને મે 1937માં સંઘને સરકારી દસ્તાવેજમાં નોંધવું પડ્યું.

મજૂર સંઘના કામને જાહેરાત આપવા માટે કિસ્વાહીલી, પંજાબી, ગુજરાતી તેમ જ ઉર્દૂમાં ચોપાનિયા છપાવી ગામે ગામ વહેંચવામાં આવ્યા. 1936માં મખન સિંહના તંત્રીપદ નીચે ‘કેન્યા વર્કર’ નામનું છાપું પંજાબી અને ઉર્દૂમાં મજૂર સંઘે બહાર પાડ્યું.

છેલ્લા બે વર્ષમાં કેન્યા મજૂર સંઘનું જોર એટલું બધું વધી ગયું હતું કે કેન્યાના ગામો ઉપરાંત યુગાન્ડા તેમ જ ટાંગાનિકા(ટાન્ઝાન્યા)માં પણ તેના સભ્યો હતા. એટલે માર્ચ 1937માં ફરી તેનું નામ બદલાવી પૂર્વ આફ્રિકા મજૂર સંઘ (લેબર ટ્રેડ યુનિયન ઑફ ઇસ્ટ આફ્રિકા) રાખવામાં આવ્યું.

1939ની સંઘની સભામાં મખન સિંહ સાથે જેસી કર્યુકી અને જ્યોર્જ ડેગવા પણ સંઘની સમિતિમાં ચૂંટાયા. આ સભામાં આફ્રિકી અને કેન્યાવાસી ભારતીય મજૂરોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો. સભામાં ભાષણો કિસ્વાહીલી, હિંદુસ્તાની અને અંગ્રેજીમાં કરવામાં આવેલા.

મખન સિંહે મજૂરોના હકની લડતની સાથે સાથે બીજી લડતોમાં પણ ભાગ લીધેલો. તેઓની નેતાગીરી હેઠળ મજૂર સંઘે ભારત, ચાઇના, પેલેસ્ટાઈન, ઇથિયોપિયા વગેરે દેશોની સ્વતંત્રતાની લડાઈઓને સાથ આપતાં ઠરાવો પસાર કર્યા. તેઓએ કેન્યામાં સામ્રાજ્યશાહી સરકાર પાસે કોઈ પણ પ્રતિબંધ વગર બોલવાની, સભા બોલાવવાની, સંસ્થાઓ સંગઠિત કરવાની વગેરે છૂટો માટે પડકાર કરેલો.

મખન સિંહ ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સમિતિના સભ્ય તેમ્ જ ઇન્ડિયન યુથ લીગના મંત્રી પણ હતા.

1940માં મખનસિંહ ભારત ગયા. ત્યાં તેઓએ મજૂર સંઘોનો અભ્યાસ કર્યો અને ત્યાંની આઝાદીની લડતમાં ભાગ લીધો. અંગ્રેજ સામ્રાજ્ય સરકારે અમદાવાદમાં તેઓની ધરપકડ કરી બે વર્ષના સમય સુધી અટકાયતી કેદમાં રાખ્યા. કેદમાં તેઓએ 160 બીજા કેદીઓ સાથે મળી, કેદીઓ તરીકે પોતાના હકોની માંગ કરતાં ભૂખ હડતાળ કરી.

1942માં કેદમાંથી છૂટ્યા પછી પણ મખનસિંહને પરદેશી સરકારે ઘરજખ નામના ગામડાની બહાર નીકળવાની મના કરી. તેઓ ત્યાં 1945 સુધી રહ્યા. ત્યાર બાદ તેઓએ સામ્યવાદી પક્ષનું છાપું ‘જંગે આઝાદી’માં સહાયક તંત્રીનું કામ કર્યું.

ઓગષ્ટ 1947માં જ્યારે તેઓ પાછા કેન્યા આવ્યા તો તેઓને અંગ્રેજ સરકારે દેશ નિકાલ કર્યા. આ હુકમ માનવાની તેઓએ ચોખ્ખી મના કરી અને અદાલતમાં હુકમનામા સામે લડી અને જીત્યા. ત્યાર બાદ તેઓ પાછા મજૂર સંઘ અને રાજનીતિના કામે પૂરજોશમાં લાગી પડ્યા.

જ્યારે 1948માં ગોરી સરકારે કેન્યાવાસી ભારતીઓમાં હિંદુ-મુસલમાન ભેદભાવોને ઉત્તેજન આપ્યું ત્યારે મખન સિંહે તે ચળવળની વિરુદ્ધ ભૂખ હડતાલ કરી.

ઑક્ટોબર 1948માં અંગ્રેજ સરકારે મખનસિંહની ધરપકડ કરી અને ફરી દેશ-નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બે અઠવાડિયા પછી પોતાની હાર માની તેઓને મુક્ત કર્યા.

1949માં જ્યારે આફ્રિકી અને કેન્યાવાસી એશિયન મજૂરોના નેતાઓએ સાથે મળી એક નવું કેન્દ્રિય સંઘ – ઇસ્ટ આફ્રિકન ટ્રેડ યુનિયનસ કૉંગ્રેસ ઊભું કર્યું ત્યારે તેના પ્રમુખ તરીકે ફ્રેડ કુબાઈ અને મંત્રી તરીકે મખનસિંહ ચૂંટાયા હતા.

29 એપ્રિલ 1950 કેન્યા માટે એક ઐતિહાસિક દિવસ છે. આ દિવસે કલોલેની હોલ, નાઇરોબીમાં કેન્યા આફ્રિકન યુનિયન અને ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન કૉગ્રેસના હસ્તકે એક સભા બોલાવવામાં આવેલી. આ સભામાં જે ઠરાવો પસાર થયા તેમાંનો એક ઠરાવ મખનસિંહે પેશ કરેલો. તેમાં તેઓએ જોરદાર માંગણી કરી કે પૂર્વ આફ્રિકાના સર્વે મુલકોને સામ્રાજ્યશાહીના કબજામાંથી છૂટકારો મળવો જોઈએ અને કોઈ પણ શરત વગર અને ઢીલ વગર આઝાદી મળવી જોઈએ.

મખન સિંહની મજૂરોના હક્કો અને દેશની આઝાદી માટેની લડત તેમ્ જ તેઓને આફ્રિકી અને કેન્યાવાસી એશિયન જનતાનો મળતો ટેકો, આ બધું જોઈ અને ગોરી સરકાર ગભરાઈ ગઈ હતી. 15 મે 1950ના દિવસે તેઓની ધરપકડ કરવામાં આવી. મખન સિંહની સાથે ચેંગે કિબાશ્યા અને ફ્રેડ કુબાઈની પણ ધરપકડ કરવામાં આવેલી. પોતાના નેતાઓને કેદ કરવામાં આવ્યા તેની વિરુદ્ધ આખા દેશના મજૂરોએ દસ દિવસ માટે હડતાલ કરેલી.

કોઈ પણ આરોપ વગર મખન સિંહને કાયર સરકારે સાડા અગિયાર વર્ષ સુધી કેદમાં રાખ્યા. તેઓએ આ વર્ષો લોકીટીંગ, મારાલાલ અને ડોલ ડોલમાં ગુજાર્યા. આ હિંમતવાન લડવૈયાની લડત તો કેદમાં પણ ચાલુ જ રહી.

1952માં દસ દિવસની, 1959માં 12 દિવસની અને 1961માં 21 દિવસની ભૂખ હડતાલ તેઓએ કરી. આ સાથે કેદખાના અને ડીટેન્શન કેમ્પોમાંથી પણ છૂપે રસ્તે પોતાના સાથીઓને અને સામ્રાજ્યશાહી સરકારને પડકાર કરતાં સંદેશાઓ તેઓએ મોકલવાનું ચાલુ રાખ્યું.

1952થી 1961 સુધી માઉ માઉની આઝાદીની લડાઈ પૂર જોશમાં ચાલી. છેલ્લે અંગ્રેજ સરકારે હતાશ થઈ આઝાદીના લડવૈયાઓને કેદમાંથી છોડવા પડ્યા. હજારો કેદીઓ છૂટ્યા તેમાં મખનસિંહ પણ હતા. તેઓ 22 ઑક્ટોબર 1961માં આઝાદ થયા.

કેદમાંથી નીકળ્યા બાદ મખનસિંહે દેશ અને મજૂરોના હિત માટે લડવાનું ચાલુ રાખ્યું. આ સાથે કેન્યાના મજૂરોની લડતનો ઇતિહાસ પણ લખ્યો. 1969માં તેઓનું પુસ્તક ‘હિસ્ટરી ઑફ કેન્યાઝ ટ્રેડ યુનિયન મુવમેન્ટ ટુ 1952’ પ્રસિદ્ધ થયું અને 1980માં ‘કેન્યાઝ ટ્રેડ યુનિયનસ, 1952-1956’ પ્રગટ થયું. આ સિવાય તેઓએ કેન્યાની ઐતિહાસિક સંસ્થા (કેન્યા હિસ્ટોરીકલ એસોસિએશન)ની વાર્ષિક સભાઓમાં પણ અનેક લેખો રજૂ કર્યા.

મખન સિંહનું મૃત્યુ 63 વર્ષની ઉંમરે 1973માં થયું. તેઓની યાદી હંમેશ માટે કાયમ રહે તે માટે નાઇરોબીનો એક રસ્તો કે જે તેઓની જૂની નિશાળ જામ્દુરી હાઈ સ્કૂલની સામે છે તેનું નામ મખનસિંહ રોડ રાખવામાં આવ્યું છે.

સૌજન્ય : “અલક મલક”, દીવાળી અંક, નવેમ્બર 1985; પૃ. 19-21

••••••••••

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર – 3

પીઓ ગામા પીન્ટો (1927 – 1965)

પીઓ ગામમાં પીંટોનો જન્મ નાઇરોબીમાં 31 માર્ચ 1927માં થયો હતો. નાની ઉંમરમાં જ પિતાએ તેઓને ભારત ભણતર માટે મોકલ્યા હતા. ભણતર પૂરું કર્યા પછી થોડો વખત મુંબઈની પોસ્ટ એન્ડ ટેલિકોમ્યુિનકેશન કંપનીમાં કામ કર્યું. ત્યાં મજૂર સંઘના કામમાં ભાગ લઈ અને મજૂરોના હકો માટે હડતાલમાં ભાગ લીધો.

ગોવાની આઝાદી માટે પોર્ટુગીઝ સામ્રાજ્યશાહી વિરુદ્ધી ઝુંબેશમાં જોરદાર કામ કર્યું અને તે માટે છૂપે રસ્તે ગોવામાં દાખલ થયા. સામ્રાજ્‌ય સરકારે ગિરફતારીનો હુકમ બહાર પાડ્યો, પરંતુ બીજા આઝાદીના લડવૈયાઓની મદદથી તેઓ બહાર નીકળી ગયા અને 1949માં પાછા કેન્યા આવ્યા.

નાઇરોબીમાં પાછા આવ્યા પછી પીંટોએ કારકૂનનું કામ કર્યું પણ અંગ્રેજી સામ્રાજ્યશાહી નીચે દેશની ખરાબ હાલત જોતા સ્વતંત્રતાની લડત તરફ ખેંચાયા. 1951માં ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન કોંગ્રેસની કચેરી કે જે દેસાઈ મેમોરિયલ બિલ્ડિંગમાં હતી ત્યાં કામે લાગ્યા. તેઓએ આફ્રિકી આઝાદી સંઘ, કેન્યા આફ્રિકન યુનિયન, તેમ્ જ મજૂર સંઘોના સભ્યો અને નેતાઓ સાથે સંપર્ક સાધ્યો અને આફ્રિકી-એશિયન એકતા માટે કામ કર્યું. 1950માં જ્યારે મજૂરોના નેતા ચેંગે કિબાશ્યા, મખનસિંહ અને ફ્રેડ કુબાઈની ધરપકડ કરવામાં આવી ત્યારે પીંટો એ મજૂરો સાથે મળી, સંઘનું કામ ચાલુ રાખવામાં મદદ કરી.

આ બધું કામ સરળ રીતે થાય તે માટે તેઓએ કિસ્વાહીલી ભાષાનો અભ્યાસ કર્યો. આફ્રિકી જનતા સાથે ભળીને કામ કરવા માટે આ ભાષા શીખવી જ જોઈએ તેમ તેમને લાગ્યું.

અંગ્રેજી સામ્રાજ્યશાહી પ્રચારનો સામનો કરવા માટે તેઓએ પત્રકારત્વનું કામ ઉપાડ્યું. કોંકણી ભાષાના ‘ઉઝવાદ’ નામના ખબરપત્રના તંત્રી બન્યા. ‘કોલોનિયલ ટાઈમ્સ’માં લખાણ લખ્યા, અને 1953માં ગુજરાતી-અંગ્રેજી ‘ડેઇલી ક્રોનિકલ’નું તંત્રીપણું પીંટોએ સ્વીકાર્યું. ડી. કે. શારદા, હારુન અહમ્મદ અને પ્રાણલાલ શેઠના સહકારથી અનેક અંગ્રેજી સરકાર વિરોધી આફ્રિકી ખબરપત્રોને છપાવવામાં મદદ કરી.

20 ઓકટોબર 1952માં આઝાદીના સૈનિકો અને સામ્રાજ્યશાહીની ફોજ વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ. અનેક આફ્રિકી નેતાઓ તેમ્ જ હજારો જનતાના માણસોને જેલો અને ડીટેન્શન કેમ્પોમાં ધકેલી દેવામાં આવ્યા. ઘણા દેશપ્રેમીઓની જમીન પરદેશી સરકારે જપ્ત કરી. બિન ગુનેગાર આમ જનતા ઉપર જુલમ થવા લાગ્યા. આવા ક્રૂરતા ભરેલા કાયર સરકારના કામને પ્રસિદ્ધ કરવાનું કામ પીંટો તેમ જ બીજા દેશપ્રેમીઓએ જેવા કે અંબુભાઈ પટેલે ઉપાડ્યું.

જે લડવૈયાઓને અદાલતમાં લઈ જવામાં આવ્યા તેઓ માટે વકીલો શોધવાનું કામ પણ પીંટોએ કર્યું. સરકાર સામે લડી આઝાદીના સૈનિકોનો બચાવ કરવા માટે ઘણા દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓ આગળ આવ્યા. દા.ત. એફ. આર. ડીસુઝા, જે. એમ. નાઝારેથ, ઈ. કે. નવરોજી, એ. આર. કપીલા, એસ. એમ. અક્રમ, એ. એચ. મલીક, શેખ અમીન,  કે. ડી. ત્રવાડી, અરવિંદ જમીનદાર વગેરે.

આ બધાં કામ સાથે માઉ માઉના લડવૈયાઓને હથિયારો અને બીજી જરૂરિયાતની ચીજો લડાઈના ઈલાકાઓમાં મોકલવાની સગવડ બીજા હિમ્મતવાન દેશપ્રેમીઓ સાથે મળીને કરી.

દેશની આઝાદી માટે આ બધુ કામ કર્યું તે ગોરી સરકારને ખટક્યું. 19 જૂન 1954માં પીંટોની ધરપકડ કરવામાં આવી અને માંડા ટાપુમાં ટાકવા ડીટેન્શન કેમ્પમાં કેદ રાખવામાં આવ્યા. ધરપકડના ખાલી પાંચ મહિના પહેલાં તેઓના લગ્ન એમા સાથે થયા હતા.

માંડામાં બીજા 200 દેશપ્રેમી કેદીઓ હતા જેમાં આચિએંગ ઓનેકો, મુઈન્ગા ચોકવે અને જે. ડી. કાલીનો સમાવેશ હતો. પીંટોએ તેઓ સાથે મળી સર્વે કેદીઓમાં એકતા રહે તેવું કામ કર્યું. સરકારે કેદીઓમાં અંદર અંદર ખટપટ ઊભી કરવાની અને ખોટી વાતો ફેલાવવાનો પ્રયત્ન કરેલ કે જેનાથી જેનાથી કેદીઓ આઝાદીની લડત છોડી દે. આ કોશિશની સામે પીંટો અને બીજા આગેવાનોએ આ આઝાદીની લડતને ઉત્તેજન આપતા, મોઢેથી વાત ફેલાવતા એવા ‘ખબરપત્રો’ શરૂ કર્યા કે જેનાથી કેદીઓનો ઉત્સાહ વધ્યો. પીંટો જ્યારે ડીટેન્શનમાં હતા ત્યારે તેઓના પિતાનું અવસાન થયું. મરણ પથારીએથી પિતાએ પુત્રને છેલ્લીવાર મળવાની અરજી સરકારને કરી પરંતુ દયાહીન સરકાર કે જેના માટે તેઓએ 30 વરસ સુધી વફાદારીથી કામ કરેલ, એ સરકારે ચોખ્ખી ના પાડી દીધી. પિતાનું મોત પુત્રને જોયા વગર જ થયું.

પીંટો 1954-1957 દરમ્યાન માંડામાં અને 1958થી 1959 સુધી કાર્બાનેટમાં કેદ રહ્યા અને જુલાઈ 1959માં મુક્ત થયા. મુક્તિ બાદ તેઓના બીજા સાથીઓ જેઓ હજી કેદ ભોગવી રહ્યા હતા તેઓ તેમ જ તેઓના કુટુંબીઓ માટે પૈસા અને બીજી જરૂરિયાતની વસ્તુઓ એકઠી કરવાનું કામ કર્યું. કેદીઓ તેમ જ બીજા લડવૈયાઓના કુટુંબીઓ બીમાર હોય અને સારવાર કરાવવા માટે પૈસા ના હોય તેઓના મફત ઈલાજ માટે ઘણા એશિયન કેન્યાવાસી ડૉક્ટરો જેવા કે યુસુફ ઈરાજ વગેરે સાથે સગવડ કરી. કેદીઓની મુક્તિ માટેની ઝુંબેશમાં પણ જોરદાર કામ કર્યું.

આ સાથે દેશની આઝાદી માટેની લડત પણ પાછી ઉપાડી. બીજા આફ્રિકી અને કેન્યાવાસી એશિયનો સાથે મળી અનેક પત્રિકાઓ અને ભીંત પત્રો લખ્યા અને છપાવ્યા. ચોપાનિયાની વહેંચણી દેશભરમાં કરી અને ભીંતપત્રોને મધરાતે ગામના રસ્તે રસ્તે ચોંટાડ્યા.

1960માં ઓગીન્ગા ઓડીન્ગા તેમ જ જેમ્સ ગીચુરુ સાથે મળી પીંટોએ એક કિસ્વાહીલી પખવાડિક ખબરપત્ર ‘સાઉટી યા કાનુ’ શરૂ કર્યું. આઝાદીની લડત જે આફ્રિકી જનતા અને નેતાઓ લડી રહ્યા હતા તેને એશિયન કેન્યાવાસીઓનો પૂરેપૂરો સાથ આપવા માટે ચનન સિંહ, કે. પી. શાહ વગેરે સાથે મળી તેઓએ કેન્યા ફ્રિડમ પાર્ટીની સ્થાપના કરી.

આ વખત દરમ્યાન સામ્રાજ્યશાહીઓની કોશિશ હતી કે મજૂર સંઘના નેતાઓ ગદ્દારીના રસ્તા ઉપર ચડી જાય અને મજૂરોના હિત માટેની લડત છોડી દે. તેઓને એમ પણ જોઈતું હતું કે કેન્યાના સંઘો આફ્રિકી ખંડના બીજા સંઘો સાથે ભળીને સામ્રાજ્‌યશાહીને પડકાર ના કરે. બીજા મજૂરના નેતા જેવા કે ડેનીસ અક્રમુ સાથે મળી પીંટોએ આનો સામનો કર્યો. એટલું જ નહિ પણ ‘ઓલ આફ્રિકા ટ્રેડ યુનિયન ફેડરેશન’ કે જેનું મથક ધાનામાં હતું તેની સાથે સંપર્ક સાધ્યો અને આફ્રિકી એકતા આગળ વધારી.

1961માં ઓગીન્ગા ઓડીન્ગા, જોસેફ મુરુમ્બી અને પીંટોએ પાન આફ્રિકન પ્રેસની સ્થાપના કરી. પીંટો તેના જનરલ મેનેજર બન્યા અને ‘સાઉટી યા મ્વાફિકા’, ‘પાન આફ્રિકા’ તેમજ ‘ન્યાન્ઝા ટાઇમ્સ’ નામના ત્રણ ખબરપત્રો છાપવાનું કામ શરૂ કર્યું.

પૂર્વ આફ્રિકાની એકતા માટે તેમ જ કેન્યા, યુગાન્ડા અને ટાન્ગાનિકાનું એક સંઘ યાને ફેડરેશન બને તે માટે તેઓએ ઘણી કોશિશ કરેલ. 1963માં તેઓ ઇસ્ટ આફ્રિકન સેન્ટ્રલ લેજિસ્લેટીવ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા.

1963 – આ જ વરસે તેઓ કેન્યાની રાજ્ય સભા, નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે પણ ચૂંટાયા, સભામાં જરા પણ પાછી પાની કર્યા વગર કામ કર્યું તે બદલ તેઓની ‘બેક બેન્ચર્સ ગ્રુપ’ના પબ્લિસીટી સેક્રેટરી તરીકેની નિમણૂક તેઓના બીજા સાથીઓએ કરી.

12 ડીસેમ્બર 1963ના રોજ કેન્યા આઝાદ થયું પરંતુ આફ્રિકા ખંડમાં હજુ સામ્રાજ્યશાહીઓનો પગ હતો. મોઝામ્બીક, અંગોલા, રોડેશ્યા, દક્ષિણ આફ્રિકા અને નામીબ્યાની આઝાદી માટે આ દેશોના દેશપ્રેમીઓ લડી રહ્યા હતા તેઓને પીંટોએ ઉત્તેજન આપ્યું. પોર્ટુગીઝ સામ્રાજ્‌યશાહી જે લડાઈ મોઝામ્બીકમાં ચાલી રહી હતી તેને મદદ કરવા માટે મુઈન્ગા ચોકવે સાથે મળી તેઓએ 1962માં મોમ્બાસામાં મોઝામ્બીક આફ્રિકન નેશનલ યુનિયનની સ્થાપના કરવાની કોશિશ કરી, પરંતુ અંગ્રેજ સરકારે આ સંસ્થાને કોઈ પણ કામ કરવાની મનાઈ કરી. કેન્યાની આઝાદી પછી પીંટોએ મોઝામ્બીકના સ્વતંત્રતાના લડવૈયા, ફ્રેલીમો સાથે સંપર્ક સાધ્યો. ઓર્ગેનાઈઝેશન ઑફ આફિકન યુનિટીની સ્વતંત્રતા સમિતિમાં તેઓએ બીજા આફ્રિકી મુલકોની આઝાદી માટે ઘણું કામ કર્યુ.

પીંટોનું માનવું હતું કે દેશને રાજનીતિ આઝાદી મળે તે દેશની પ્રગતિનું પહેલું પગલું છે, ત્યારબાદ જનતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજા પણ પગલાં લેવા પડશે. દેશની તિજોરી ઉપરથી સામ્રાજ્યશાહીઓની બેંકો તેમ્ જ મોટી મોટી ઓદ્યોગિક અને વેપારી કંપનીઓનો કબજો હઠાડવો પડશે. તે સાથે એવાં પણ પગલાં લેવાં જોઈએ કે જેથી દેશની મિલકત થોડાં જ માણસોના હાથમાં ન રહે પણ આખી જનતામાં તેની વહેંચણી થાય.

આવી માન્યતા રાખતા દેશપ્રેમીના દુશ્મનો ઘણા હોય તે સ્વભાવિક છે. આવા કાયર દુશ્મનોએ આ શૂરવીર દેશપ્રેમી, પીઓ ગામા પીંટોને 24 ફેબ્રુઆરી 1965ના દિવસે 38 વરસની ઉંમરે ગોળીબાર કર્યા અને ત્યાં જ તેઓએ શહીદી વહોરી લીધી.

સૌજન્ય : “અલક મલક”, ડિસેમ્બર 1985; પૃ. 07-09 

**************

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર – 4

મણિલાલ એ. દેસાઈ (1878 – 1926)

મણિલાલ એ. દેસાઈનો જન્મ 1878માં સુરતમાં થયો હતો. ભારતમાં નિશાળ પતાવી તેઓએ વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યાં નોકરી કરી. 1915માં તેઓ કેન્યા આવ્યા અને એક વકીલોની અંગ્રેજી પેઢીમાં કામ શરૂ કર્યું. જેમ દેશભરમાં અંગ્રેજ સામ્રાજ્ય સરકારે જાતિય ભેદભાવ સ્થાપિત કરેલ તેમ આ વકીલોની કચેરીમાં પણ આવા ભેદભાવનો અનુભવ દેસાઈને થયો. આવી વર્તણુકને તેઓ સહન ન કરી શક્યા અને કામમાંથી રાજીનામું આપી દીધું.

તેઓએ રીવર રોડ ઉપર એક નાનકડી દુકાન ખોલી. પરંતુ વેપાર કરતાં તેઓનું ધ્યાન વધારે કેન્યાની રાષ્ટ્રીય આંદોલન અને કેન્યાવાસી એશિયનોના હકોની માંગ માટે જે ઝુંબેશ ચાલી રહી હતી, તેમાં ખેંચાયું અને તેઓ ઇન્ડિયન એસોશિયેશનના કામમાં લાગી ગયા. 1917માં તેઓ નાઇરોબી મ્યુિનસિપલ કાઉન્સીલમાં કેન્યાવાસી એશિયનના પ્રતિનિધિ તરીકે દાખલ થયા.

કેન્યા આવ્યા પહેલાં દેસાઈને ભારતમાં અંગ્રેજી સામ્રાજ્યશાહી વિરુદ્ધ જે જોરદાર આંદોલન ચાલુ હતું તેનો અનુભવ હતો. અહીં આવ્યા બાદ તેમણે જોયું કે ગોરાઓના શોષણ અને જુલમ જેવા ભારતમાં હતા તેવા જ આ દેશમાં પણ હતા. આથી બન્ને દેશોની લડતમાં પણ ઘણું ખરું સરખાપણું હતું.

વીસમી સદીની શરૂઆતથી કેન્યાવાસી એશિયનોની અંગ્રેજ શાસન પદ્ધતિ વિરુદ્ધ લડત બે દરજ્જા ઉપર હતી. એક હતી મજૂરોની પોતાના હકોની લડત, દાખલા તરીકે 1900ની સાલમાં કેન્યાવાસી એશિયન અને આફ્રિકી મજૂરો તેમ જ નીચેના દરજ્જાના અંગ્રેજ કામદારો જેઓ રેલવેમાં કામ કરતા હતા તેઓએ ભેગા મળી એક હડતાલ કરેલ. 1914માં રેલવે સરકારના પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના કેન્યાવાસી એશિયન તેમ જ આફ્રિકી મજૂરોએ હડતાલ કરેલ. આ હડતાલના કારણે મજૂરોના નેતાઓ મેહરચંદ પુરી અને તીરથરામની ધરપકડ અંગ્રેજી સરકારે કરેલ અને તેઓને દેશનિકાલ કર્યા.

બીજી તરફ મજૂર નોકરિયાત અને વેપારી વર્ગોની સંયુક્ત લડત હતી કે જેમાં સામ્રાજ્યશાહીઓને બળજબરીથી આપણા મુલકમાંથી નિકાલ કરવાનો પ્રયત્ન હતો. 1914-1918ની લડાઈ દરમ્યાન આ લડતમાં ભાગ લેવાવાળા અનેક દેશપ્રેમીઓને ફાંસીની અથવા તો બંદૂકની ગોળીથી મારી નાખવાની સજા સામ્રાજ્યશાહી અદાલતોએ કરેલ. આવા દેશપ્રેમીઓમાં સીતારામ આચાર્ય અને બી. આર. શર્માનો સમાવેશ હતો. આચાર્ય ઉપર પરદેશી શાસન-સત્તા વિરોધી પત્રિકાઓની છૂપી રીતે વહેંચણી કરવાનો આક્ષેપ હતો.

આ સાથે કેન્યાવાસી એશિયન વેપારી વર્ગની લડત દેશમાં અનેક રંગ ભેદભાવ હટાવવાની અને રાજ્યનીતિય હકો માટેની લડત હતી. આ લડત માટે તેઓએ ઇન્ડિયન એસોશિયેશનની સ્થાપના કરેલ. આ વખત દરમ્યાન શાસન સત્તા એ ફળદ્રુપ જમીન ઉપર વિલાયતી એટલે કે ગોરા વસાહતોની જ માલિકી હોય એવો ઠરાવ પસાર કરેલ. આ સિવાય કામ, પગાર, શહેરમાં રહેવાના ઈલાકા, ભણતર વગેરેમાં રંગભેદ ભાવ લાવવામાં આવ્યા હતા જેથી વિલાયતી વસાહતોનો પક્ષપાત થાય અને આફ્રિકી દેશવતનીઓ અને કેન્યાવાસી એશિયનોના હિતો સાચવવામાં જ ન આવે.

આવા ભેદભાવ સામે ઇન્ડિયન એસોશિયેશનની લડત હતી. આમાં દેસાઈએ પૂરેપૂરો ભાગ લઈ આ લડતને ઘણી વધારે જોરદાર બનાવી. તેઓએ બી. એસ. વર્મા., શમસુદીન, હુસૈન સુલેમાન, વીરજ, સી. જે. અમીન અને મંગળ દાસ સાથે મળી ઇન્ડિયન એસોશિયેશનને સારા પાયે સંગઠિત કરી.

દેસાઈએ સર્વ પ્રથમ આફ્રિકાવાસી એશિયનોની એકતા માટે કેન્યા સિવાય યુગાન્ડા, ટાંગાનિકા અને ઝાંઝીબારના નેતાઓને ભેગા કરી ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો પણ નવેસર પ્રચાર કર્યો. તેઓ કોંગ્રેસના પ્રમુખ ચુંટાયા. તેઓની નેતાગીરી હેઠળ ભારતની કોંગ્રેસ પાર્ટી સાથે પણ સંપર્ક સંધાયો.

આ વખતે સામ્રાજ્યશાહી અને વિલાયતી વસાહતોનો કેન્યાવાસી એશિયનો અને આફ્રિકનો વિરુદ્ધ પ્રચાર તેઓના કબજા હેઠળના ખબરપત્રોમાં પૂરજોર ચાલુ હતો. આ ખોટા પ્રચારનો સામનો કરવા માટે દેસાઈએ ‘ઇસ્ટ આફ્રિકન કોનિકલ’ નામનું સાપ્તાહિક છાપું ચાલુ કર્યું. આમાં તેઓએ સામ્રાજ્યશાહીઓના અન્યાયો સામે પડકાર કર્યો. આ ખબરપત્રમાં તેઓએ આફ્રિકી જનતાની અંગ્રેજી શાસનસત્તા સામેની ફરિયાદોને પણ જાહેર કરવામાં મદદ કરી.

દેસાઈની કચેરી આફ્રિકી અને કેન્યાવાસી એશિયન નેતાઓને મળવાનું મથક બન્યું. તે વખતના આફ્રિકી નેતા હેરી થુકુ સાથે મળી તેઓએ આફ્રિકી અને કેન્યાવાસી એશિયનોના હકો માટે શાસનસત્તા સામે પડકાર કર્યો અને કેન્યાના રાષ્ટ્રીય આંદોલનમાં પૂરેપૂરો ભાગ લીધો. થુકુનું ખબરપત્ર ‘ટંગાઝો’ તેમ જ બીજી ઘણી પત્રિકાઓ છપાવવામાં દેસાઈએ તેઓને મદદ કરી.

1921માં અંગ્રેજી સામ્રાજ્યશાહી ગવર્નર એડવર્ડ નોર્થોએ વિલાયતી અને એશિયન વસાહતોના નેતાઓની એક પરિષદ બોલાવી, દેશના ભવિષ્યની ચર્ચા થાય અને ત્યાં આફ્રિકી નેતાઓ ન હોય તે દેસાઈને અનુકુળ ન લાગ્યું, એટલે તેઓએ પરિષદમાં આફ્રિકી અને આરબોના હકો માટે પણ જોરદાર માંગણી કરી.

1922માં એક અંગ્રેજ નેતા ચર્ચિલે વિલાયતી વસાહતોને ખાતરી આપી કે દક્ષિણ આફ્રિકાની જેમ કેન્યા પણ હંમેશ માટે ગોરા લોકોનો મુલક રહેશે. આ વખતે ગોરાઓની વસ્તી 10,000થી ઓછી હતી. કેન્યાવાસી એશિયનોની 25,000 અને કેન્યાવાસી આરબોની 10,000 અને આફ્રિકી દેશવતનીઓની વસ્તી 2,500,000ની હતી. ચર્ચિલની આવી ગેરવ્યાજબી વાતને પડકાર કરતો દેસાઈએ અંગ્રેજ સરકારને એક તાર મોકલ્યો કે જેમાં તેઓએ કહ્યું કે કેન્યા આફ્રિકી મુલક છે અને અહીં ગોરાઓ અથવા તો એશિયનોનાં હિત નહિ પરંતુ આફ્રિકી લોકોનાં હિત સર્વશ્રેષ્ઠ હોવાં જોઈએ.

1923માં કેન્યામાં વિલાયતી વસાહતોનું જોર બહુ વધી ગયું હતું. તેઓએ કેન્યાને રોડેશિયાની જેમ બળજબરીથી ગોરાઓનું સ્વતંત્ર રાજ્ય બનાવવાનું કાવતરું રચેલ. દેસાઈની નેતાગીરી હેઠળ કેન્યાવાસી એશિયનોના નેતાઓએ (જેવા કે એ.એમ. જીવનજી, રામશુદીન, બી. એમ. વર્મા. હુસૈન સુલેમાન વીરજીએ જોરદાર સામનો કર્યો. તેઓએ એક પ્રતિનિધિમંડળ લંડન મોકલેલ. ભારતથી પણ તેઓને સાથ આપતું એક પ્રતિનિધિમંડળ ગયું હતું અને તેઓએ ભેગા મળી અંગ્રેજી સામ્રાજ્યશાહી સરકારને ગોરાઓના કાવતરાને નિષ્ફળ બનાવવાની ફરજ પાડી.

આ વખતે હેરી થુકુની નેતાગીરી હેઠળ આફ્રિકી વિરોધ પણ અંગ્રેજ સામ્રાજ્યશાહી સામે ઘણો વધી ગયો હતો. થુકુ દેશભરમાં ફરી આફ્રિકી જનતાને અંગ્રેજી શોષણ વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરતા હતા. આથી પરદેશી શાસનસત્તાએ ગભરાઈ જઈ માર્ચ 1922માં થુકુની ધરપકડ કરી. નાઈરોબીના મજૂરોએ પોતાના નેતાની ગિરફતારીની વિરુદ્ધ એક જબરજસ્ત મોરચો કાઢ્યો. નિર્દય સરકારની ફોજે આ બિનહથિયાર ટોળા ઉપર ગોળીબાર કર્યો, જેમાં 150થી વધુ માણસો માર્યા ગયા અને સેંકડોને ઈજા પહોંચી. ઈજા થયેલા લોકોમાં કેન્યાવાસી એશિયનનો પણ સમાવેશ હતો. આ બાદ સરકારે કોઈપણ મુકદ્દમા વગર થુકુને કિસ્માયુમાં કેદ રાખ્યા.

દેસાઈએ ઇસ્ટ આફ્રિકન ક્રોનિકલમાં ગોરી સરકારના અત્યાચારને દેશ અને દુનિયા સમક્ષ રજૂ કર્યા. આ સિવાય તેઓએ થુકુ સાથે પત્રવ્યહવાર રાખ્યો અને થુકુની ઘરડી માને ઘણી મદદ કરેલ. થુકુની મા દેસાઈને પોતાના પુત્ર તરીકે ગણતાં.

ઇસ્ટ આફ્રિકન ક્રોનિકલની કચેરીમાં શાસનસત્તાના પોલીસે અનેકવાર ધાડ પાડી. આખરે 1922માં સરકારે આ ખબરપત્રને બંધ કરવાની ફરજ પાડી. પરંતુ દેસાઈ, સીતારામ આચાર્ય અને એન. એસ. ઠાકુરે લડત ‘ડેમોક્રેટ’ નામના છાપા દ્વારા ચાલુ રાખી. તેઓએ ‘મ્વીગ્વીથાન્યા’ [Muĩgwithania (Reconciler)] નામના એક આફ્રિકી ખબરપત્રને છાપવામાં મદદ કરી. આના તંત્રી જોમો કેન્યાટા હતા.

1924માં બીજા દેશપ્રેમીઓ સાથે મળી દેસાઈએ પરદેશી સરકારને કર ન ભરવાની ઝુંબેશ ઉપાડી અને તે માટે સામ્રાજ્યોની જેલની યાત્રા પણ કરવી પડી.

1925માં કેન્યાવાસી એશિયનોએ દેસાઈને અંગ્રેજી લેજસ્લેટીવ કાઉન્સિલમાં પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા. અહીં તેઓએ બીજા પ્રતિનિધિઓ જેવા કે એ.એમ. જીવનજી અને બી. એમ. વર્મા સાથે મળી સામ્રાજ્ય સરકારની જાતિય ભેદભાવની નીતિ વિરુદ્ધ અનેક ભાષણો કર્યા. આ કાઉન્સિલમાં આફ્રિકી પ્રતિનિધિઓ ન હોવાને કારણે તેઓની ફરિયાદોને રજૂ કરવાનું અને તેઓના હકોની માંગ કરવાનું કામ પણ દેસાઈએ પોતા ઉપર લીધું. ગોરી સરકારે કેન્યાવાસી એશિયનોની કોઈ પણ માંગને દરકાર ન આપી એટલે દેસાઈ, જીવનજી, વર્મા તેમ જ જે. બી. પંડ્યાએ લેજ્સ્લેટીવ કાઉન્સિલનો બહિષ્કાર કરેલ.

1926માં દેસાઈ, સીતારામ આચાર્ય સાથે ‘ડેમોક્રેટ’ માટે પૂર્વ આફ્રિકાવાસી એશિયનો પાસે પૈસા ભેગા કરવા સફરે નીકળ્યા. પરંતુ આ સફર દરમ્યાન તેઓ બીમાર પડ્યા અને 48 વર્ષની ઉંમરે, જુલાઈ 1926માં, બુકોબા, ટાંગાનિકા ખાતે અવસાન પામ્યા.

આ દેશપ્રેમીની યાદ કાયમ રાખવા માટે નાઈરોબીમાં એક સ્મારક ‘દેસાઈ મેમોરિયલ બિલ્ડિંગ’ બંધાવવામાં આવેલ કે જે અત્યારના ટોમ મ્બોયા સ્ટ્રીટ ઉપર આવેલ છે. આ ઈમારતમાં એક જાહેર જનતાની સભા ભરાય તેના માટે એક મોટો ઓરડો અને એક પુસ્તકાલય બનાવવામાં આવેલ. આનો કોઈ પણ જાતિય ભેદભાવ વગર સર્વ કોમના માણસો ઉપયોગ કરી શકે તેવી યોજના કરવામાં આવેલ. ન્ગારાના ઈલાકામાં એક રસ્તાનું નામ દેસાઈ રોડ પણ આ દેશપ્રેમીની યાદમાં રાખવામાં આવેલ.

વોઈસ ઓફ કેન્યાના કિસ્વાહીલીમાં પ્રસારિત થતા નેશનલ સર્વિસમાં 12 એપ્રિલ 1981ના એક કાર્યક્રમમાં દેસાઈને અંજલિ આપતા કહેવામાં આવેલ કે :

“દેસાઈ એક એવા એશિયન હતા કે જેઓ પાસે કેન્યાના ઇતિહાસને લાંબી દૃષ્ટિથી જોવાની શક્તિ હતી. તેઓ એક હિંમતવાન નેતા હતા. તેઓને પોતાના અંગત સ્વાર્થ અને સુખની પરવા જરા પણ નહતી. તેઓની લગન અને લડત બસ એક હતી : સર્વ માટે ઇન્સાફ અને સરખાપણું.”

સૌજન્ય : “અલક મલક”, જાન્યુઆરી 1986; પૃ. 23, 23 અને 27 

*****************

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર – 5



જસવંત સિંહ ભારાજ

1952માં શરૂ થયેલ કેન્યાની આઝાદીની સશસ્ત્ર લડતમાં જે ફાળો દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓએ કરેલ છે, તેનો ઇતિહાસ આજ સુધી ઘણો ખરો અનલિખિત છે. ત્રીસ વર્ષનો ગાળો વીતી જવાથી આ અહેવાલ હવે તો ભૂલાવા પણ મંડાયો છે. આપણી ફરજ છે કે કોઈ પણ કિસ્સાઓ વિશે આપણી પાસે માહિતી હોય, તેને આપણે પ્રસિદ્ધ કરી, આપણા આ દેશમાંના ઇતિહાસની જાણ વધારીએ.

જશવંત સિંહ ભારાજ વિશે આપણે વધારે જોઈએ તે પહેલાં એક-બે બીજા દેશપ્રેમીઓની જાણ કરીએ કે જેઓની જિંદગી ઉપર વધારે પડતી માહિતી નથી, પરંતુ તેઓએ સ્વતંત્રતાની લડાઈમાં સહાયકારક કામ કર્યું હતું.

માઉ માઉની લડાઈ દરમ્યાન કરાટીના ગામની બાજુના ઇલાકામાં યાકુબદ્દીન નામના એક દેશપ્રેમી લાકડાની મીલ ચલાવતા હતા. ન્યાન્ડારુઆના જંગલમાં ઝાડ કાપવા જાય ત્યારે માઉ માઉના લડવૈયાઓ માટે અનાજ, કપડાં, જોડા, દવા અને બીજી અનેક જરૂરિયાતોની વસ્તુઓ તેઓ પહોંચાડતા. ઘણો વખત આ કામ કર્યા બાદ આ માહિતી અંગ્રેજ સામ્રાજ્યશાહીના જાસૂસોને મળી અને ફિરંગી સરકારે તેઓને પકડવાનું કાવતરું કર્યું. પરંતુ આ સમાચાર સરકારમાં કામ કરતા કોઈ રાષ્ટ્રપ્રેમીએ યાકુબદ્દીનને પહોંચાડ્યા અને તેઓ વખતસર દેશની બહાર નીકળી ગયા. જો તેઓ પકડાયા હોત તો ફાંસીને માંચડે ચઢત. લડાઈના બાકીનાં વર્ષો તેઓએ પાકિસ્તાનમાં ગાળ્યા. કેન્યા સ્વતંત્ર થયા પછી તેઓ પાછા આવ્યા અને નાગરિકત્વ મેળવ્યું.

કરાટીનામાં જ હસનુમન્નાજી ટ્રાન્સપોર્ટરનું કામ ચલાવતા. આ સાથે લડાઈના આખા ગાળા દરમ્યાન તેઓએ લડવૈયાઓને અને તેઓના કુટુંબીઓ કે જેઓના વડીલો લડવામાં મશગૂલ હતા અથવા તો ફિરંગીઓના ડીટેન્સહન કેમ્પોમાં હતા તેઓને અનાજ અને બીજી ઘણી જરૂરિયાતો પૂરી પાડી. લડાઈને અંતે જ્યારે કાનુ પાર્ટીની પહેલી ચૂંટણી યોજાઈ, ત્યારે તેઓ આ ઇલાકાની શાખાના સભ્ય ચૂંટયા હતા. લગભગ 15 વરસ પહેલાં જ્યારે તેઓનું અવસાન થયું, ત્યારે તેઓની અંતિમ ક્રિયા માટે આખા પ્રાંતમાંથી 20થી વધારે લોરીઓ ભરીને માણસો તેઓને છેલ્લે સલામ આપવા આવેલા.

નકુરુની નજીકના મોલો નામના ગામડામાં જસવંત સિંહ નામના એક કારીગર રહેતા હતા. તેઓ રિફટ વેલી પ્રાંતમાં જે માઉ માઉના સિપાહી લડી રહ્યા હતા તેઓને છૂપી રીતે હથિયાર, કારતૂસ અને બંદૂકો બનાવવાની સામગ્રી પહોંચાડતા. આ આરોપસર તેઓને જુલાઈ 1954માં નકુરુની અદાલતમાં કાળી સજા કરવામાં આવેલ.

જસવંત સિંહ ભરાજનો જન્મ 1935માં લખપુર પંજાબમાં થયો હતો. તેઓના પિતા રેલવેમાં કામ મળવાથી 1914માં કેન્યા આવ્યા. 5 વર્ષની ઉંમરે જસવંત કેન્યા આવ્યા. 1947માં તેઓ ભણતર માટે ભારત ગયા હતા. ત્યાં તેઓએ અંગ્રેજ સામ્રાજ્યશાહીની ગુલામી વિરુદ્ધી આંદોલનોનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ ભારતીય ઇન્કલાબી પક્ષ (રેવોલ્યુશનરી પાર્ટી ઑફ ઇન્ડિયા) કે જેનું માનવું હતું કે હથિયારબંધી લડત સિવાય ફિરંગીઓનો દેશ નિકાલ ના થઈ શકે – આ પક્ષના વિચારોની ભારે અસર થઈ.

જસવંત સિંહ 1953માં જ્યારે કેન્યા પાછા આવ્યા ત્યારે દેશમાં આઝાદીની લડત પૂર જોશમાં ચાલી રહી હતી. માઉ માઉના સ્વતંત્રતાના સૈનિકની વિરુદ્ધ લડવા માટે અંગ્રેજ શાસન સત્તા અનેક જુવાનિયાઓને બળજબરીથી લશ્કર અને પોલીસ-ફોજમાં ભરતી કરતા. જસવંતને પરદેશી સરકારે કેન્યા પોલીસ રિઝર્વમાં દાખલ થવાની ફરજ પાડી. પરંતુ સામ્રાજ્યશાહી વિરુદ્ધ વિચારવાવાળા આ ક્રાંતિકારી યુવાનને એ ક્યાંથી પાલવે ! આ ઉપરાંત લશ્કરની કેળવણી દરમ્યાન ગોરા અફસરોના બીજી જાતિના સિપાહીઓ પ્રત્યે અત્યાચારો પણ તેઓથી જોવાયા નહિ.

જસવંત સિંહે માઉ માઉના લડવૈયાઓ સાથે સંપર્ક સાધ્યો અને તેઓની સાથે મળી બંદૂકો બનાવવા માટે સાધન સામગ્રી એકઠી કરવાનું અને બંદૂકો અને બીજા હથિયારો બનાવવાનું કામ ઉપાડ્યું. મે 1954માં આવું કામ કરતાં તેઓ પકડાયા. તેઓની વિરુદ્ધ ફિરંગી અદાલતમાં મુકદમો ચાલ્યો અને ફાંસીને માંચડે ચડાવવાનો હુકમ બહાર પડ્યો. દેશપ્રેમી વકીલોની લડતોને લીધે મોતનો ચુકાદો જન્મકેદમાં બદલાયો. તેઓ માંડવા ટાપુમાં ટાકવા ડીટેન્શન કેમ્પમાં કેદ થયા. આ કેમ્પમાં સૈંકડો કેદીઓમાં પીઓ ગામા પીન્ટોનો સમાવેશ હતો.

આ વર્ષો દરમ્યાન દેશમાં સશસ્ત્ર આઝાદીની લડાઈ સાથે રાજકીય આંદોલન પણ ચાલી રહ્યું હતું. રાષ્ટ્રપ્રેમીઓની એક માંગ હતી કે તમામ રાજકીય કેદીઓને સામ્રાજય સરકારે કોઈ પણ શરત વિના છોડી મૂકવા જોઈએ. આ ઝુંબેશની સામે ફિરંગીઓ લાચાર બન્યા અને તેઓને કેદીઓને મુક્ત કરવાની ફરજ પડી. 1958માં જસવંત સિંહની સાડાચાર વર્ષની કેદ ભોગવ્યા બાદ મુક્તિ થઈ.

લેખકની નોંધ :

આ લેખ અંબુભાઈ પટેલની 1963માં છપાયેલ ચોપડી ‘સ્ટ્રગલ ફૉર રીલિઝ જોમો કેન્યાટા ઍન્ડ હીઝ કલિગ્ઝ’ પર આધારિત છે. કેદમાંથી નીકળ્યા બાદ જસવંત સિંહ ભારાજ વિશે કોઈ વાચક પાસે માહિતી હોય તો લેખકને ‘અલક મલક’ના સરનામે મોકલવા મહેરબાની કરશો.

સૌજન્ય : “અલકમલક”, ફેબ્રુઆરી 1986; પૃ. 10-11

Loading

ગોવર્ધનરામ આજે જાણે આપણી બાજુમાં ઊભા રહી આપણા જ વર્તમાન વિશે બોલી રહ્યા છે

સુમન શાહ|Opinion - Literature|30 April 2016

એક બૌદ્ધિક કેટલું તો સમયપ્રસ્તુત અને આજે પણ સાચું લાગે એવું સાર્વત્રિક ચિન્તવી શકે તેનું ગોવર્ધનરામ અદકેરું દૃષ્ટાન્ત હતા

સમીક્ષાની દરેક ઘટનાને ‘સરસ્વતીચંદ્ર’ નવલને અર્પાયેલી હૃદયાંજલિ ગણવી જોઈએ; ગોવર્ધનરામને અર્પાયેલી પ્રેમાંજલિ ગણવી જોઈએ

પણ્ડિતયુગના આપણા સુખ્યાત સાહિત્યકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની સ્મૃિતમાં ગયા બુધવારે [27 અૅપ્રિલ 2016] ભારત સરકાર દ્વારા ટપાલ-ટિકિટ બહાર પડી છે. ગુજરાતમાં, દેશમાં તેમ જ ઇન્ગ્લૅન્ડ-અમેરિકામાં વસતી ગુજરાતી પ્રજાને અને સૌ ગુજરાતી સાહિત્યકારોને તેમ જ ભાષા-સાહિત્યપ્રેમીઓને ગર્વ થાય એવી ઘટના. ભારત સરકારના ‘સંચાર અને સૂચના પ્રાદ્યોગિકી મન્ત્રાલય’-ના ટપાલ વિભાગ અને ‘રમતગમત યુવા ને સાંસ્કૃિતક પ્રવૃત્તિઓ વિભાગ’ તથા ‘ગુજરાત સાહિત્ય અકાદમી’, ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમન્ત્રીશ્રી આનંદીબહેનના હસ્તે ટિકિટનું લોકાર્પણ થયું. સમારમ્ભમાં રાજ્યકલ્યાણ મન્ત્રીશ્રી (ર. ગ.) નાનુભાઈ વાનાણી, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ -ગુજરાત સર્કલ લૅફ. કર્નલ ડી. કે. એસ. ચૌહાણ, અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, ઉપરાન્ત, ગુજરાતી હિન્દી સંસ્કૃત તેમ જ ઉર્દૂના અનેક ગણમાન્ય સાહિત્યકારો ઉપસ્થિત હતા. સમારમ્ભમાં જાણે ગોવર્ધનરામ સ્વયં હાજર હતા – કેમ કે હસિત મહેતા નડિયાદથી ગોવર્ધનરામ પ્હૅરતા એ લાલ પાઘડી લાવેલા. પાંચ રૂપિયાની આ ટિકિટ પર ગોવર્ધનરામની છબિ અને બાજુમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા’ વગેરે પુસ્તકો બતાવ્યાં છે. ટિકિટ અને તેના લોકાર્પણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને બન્નેને હાર્દિક અભિનન્દન ઘટે છે.

આ પ્રસંગે મને ગોવર્ધનરામનાં બે સ્વરૂપો યાદ આવે છે : એક તો, એઓ મનુષ્યજીવનના અચ્છા દૃષ્ટા હતા. ‘સરસ્વતીચંદ્ર’ લખવા પાછળનો મનસૂબો જ એ હતો કે ‘ઇશ્વરની લીલાનું સદર્થે ચિત્ર’ કરવું. લીલામાં તો સારાં અને નરસાં બન્ને પ્રકારનાં મનુષ્યો હોય. એમણે પાત્રોનાં નામો પણ એવાં જ રાખ્યાં – સારપ કે નઠારપ અથવા સદ્ગુણ કે દુર્ગુણ સૂચવનારાં. પરિણામે નવલકથા સર્વજન-સ્પર્શી અને સર્વકાલીન બની રહી. જેમ કે આજે પણ આપણી આસપાસમાં સરસ્વતીચંદ્ર, વિદ્યાચતુર કે કુમુદ છે; તો વળી, પ્રમાદધન, તર્કપ્રસાદ, અર્થદાસ, અશરણશરણ, ઉદ્ધતલાલ, ખલકનંદા, ગરબડદાસ, ઘુરકેરાવ, જડસિંહ કે ધૂર્તલાલ પણ છે જ છે ! ગોવર્ધનરામને લોકો ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક તરીકે વધારે જાણે છે. એક એવો જમાનો હતો જ્યારે ‘સરસ્વતીચંદ્ર’ વાંચ્યા વગરની વ્યક્તિને કોઈ સાહિત્યરસિક ગણતું નહોતું. એને વિશે વિવેચન ન લખ્યું હોય એને કોઈ વિવેચક ગણતું નહોતું. રચનાનું સત આજે એવું પ્રકાશેલું છે કે કેટલા ય સારસ્વતો વગર વાંચ્યે નવલની બારોબારિયા વાતોમાં જોડાઈ જતા હોય છે. ‘સરસ્વતીચંદ્ર’ ચાર ભાગમાં છે; પહેલામાં બુદ્ધિધનનો રાજકારભાર; બીજામાં ગુણસુંદરીનું કુટંબજાળ; ત્રીજામાં રત્નનગરીનું રાજ્યતન્ત્ર; અને ચોથામાં સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય ચીતરાયું છે એટલું કહેનારા પણ સુખે મોટા અભ્યાસી ઠરે છે.

વર્ષો લગી આ મહાનવલની ભૂરિ (ખૂબ) પ્રશંસા થયેલી – અઢાર પુરાણો જેવું પુરાણ છે – મહાકાવ્ય છે. ગાંધીજીએ જુદું કહેલું : “પહેલા ભાગમાં એમણે (ગોવર્ધનરામે) પોતાની શક્તિ ઠાલવી. નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે; ચરિત્રચિત્રણ એના જેવું ક્યાં ય નથી; બીજામાં હિંદુસંસાર સરસ ચીતરાયો છે; ત્રીજામાં એમની કળા ઊડી ગઈ અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા આપી દઉં તો કેવું સારું !” વીસમી સદીના ઉત્તરાર્ધના દાયકાઓમાં ‘સરસ્વતીચંદ્ર’-ને કલાપરક નિષ્ફળતા – ઍસ્થેટિક ફૅઇલ્યૉર – ગણનારા વિવેચકો પણ આવ્યા.

હકીકત એ છે કે પ્રશંસાવાચક કે ટીકાવાચક એ દરેક મન્તવ્યમાં સમીક્ષાદૃષ્ટિ (સરખાઈથી જોવું) હતી. દરેકમાં સાહિત્યકલાવિષયક સત્ય ચમકતું હતું. એ સત્યને અંકે કરવાને બદલે, પણ્ડિતો ખરા, આધુનિકો ખોટા, પ્રકારનો મિથ્યા વિવાદ વિસ્તરેલો. ખરેખર તો, પ્રશંસા/ટીકાથી ખુશ/નાખુશ થવાને બદલે સમીક્ષાની એ દરેક ઘટનાને આપણે ‘સરસ્વતીચંદ્ર’ નવલને અર્પાયેલી હૃદયાંજલિ ગણવી જોઈએ; ગોવર્ધનરામને અર્પાયેલી પ્રેમાંજલિ ગણવી જોઈએ. બીજી હકીકત એ છે કે દરેક મહાન વ્યક્તિની, સાહિત્યકાર કે કલાકારની કીર્તિ ઘણા સમય લગી સુસ્થિત ધજાની માફક ફરફરતી રહે છે પણ ક્રમે ક્રમે એનો હવામાં માત્ર ફરફરાટ જ બચે છે. માત્ર ફરફરાટ જેવો શેષ-વિશેષ પણ નગણ્ય નથી હોતો એ ત્રીજી હકીકત પણ એટલી જ નોંધપાત્ર છે. કેમ કે ભાવિ પ્રજાઓ જન્મદિવસ પુણ્યતિથિ દશાબ્દી કે શતાબ્દી ઊજવે છે ત્યારે એ ફરફરાટને વળી એટલા જ આનન્દથી બોટી લે છે, અંકે કરી પ્રસન્ન થાય છે. અને એમ, કીર્તિગાથા વિકસતી ચાલે છે. આ ટિકિટ-પ્રકાશનને પણ એવી સાર્થક ઉજવણી ગણી શકાય.

ગોવર્ધનરામનો જન્મ 1855-માં, અવસાન 1907-માં. માત્ર બાવન વર્ષનું આયુષ્ય. હજી તો ઊગતી જુવાનીનાં વર્ષો હતાં, પણ, જેને એરીયાઝ ઑફ ઑબ્લિગેશન કહેવાય, એવાં એમણે ત્રણ જીવન-કર્તવ્યો નક્કી કરી નાખેલાં. એમના જ શબ્દોમાં સાંભળો : “ઍલ.ઍલ.બી.-ની પરીક્ષામાં પાસ થવું : પછીથી મુંબઈમાં વકીલાતનો સ્વતન્ત્ર ધંધો માંડવો, અને કોઈની નોકરી કરવી નહિ : લગભગ ચાળીસમે વર્ષે ધંધામાંથી નિવૃત્ત થઈ, બાકીની જિન્દગી સાહિત્યની સેવામાં અને સાહિત્ય દ્વારા જનસમાજની સેવામાં ગુજારવી” : આ ત્રણ સંકલ્પોને પરિણામે એમને ‘કુટુંબ છોડીને સંન્યાસી થાઉં ?’ જેવી દારુણ વિમાસણ થઈ હતી. અને એને અન્તે ‘પ્રવૃત્તિમય સંન્યાસ’-નું દર્શન લાધ્યું હતું. સાહિત્ય, સમાજ અને દેશને વિશેનું હિતચિન્તન પ્રગટ્યું હતું. એ દીર્ઘ વારતામાં જવા મારી પાસે જગ્યા નથી. પરન્તુ કહું કે ગોવર્ધનરામ એક બૌદ્ધિક કેટલી તો નિસબત સાથે કેટલું તો સમયપ્રસ્તુત – રૅલેવ્ટ – વળી, કેટલું તો આજે પણ સાચું લાગે એવું સાર્વત્રિક -યુનિવર્સલ – ચિન્તવી શકે તેનું અદકેરું દૃષ્ટાન્ત પુરવાર થયેલા. એ એમનું સમ્પ્રજ્ઞ દેશપ્રેમી તરીકેનું બીજું સ્વરૂપ છે. ટિકિટ-પ્રકાશન-પ્રસંગે મને એમના એ સ્વરૂપને યાદ કરતાં સવિશેષ આનન્દ થાય છે. એક અવતરણ આપું. એવું લાગશે, ગોવર્ધનરામ આપણી બાજુમાં ઊભા રહી આપણા જ વર્તમાન વિશે બોલી રહ્યા છે : જરા ધીરજથી વાંચજો : કહે છે :

“આપણા દેશમાં કેટલાં અનિષ્ટો અસ્તિત્વ ધરાવે છે એની તપાસ કરો. માણસોનાં ચિત્તને અને હૃદયને વિભક્ત કરતા અસંખ્ય ધર્મસંપ્રદાયો; રાષ્ટ્રે ખોટી અને ઝેરી સામાજિક બેડીઓ જે કોઈ પણ જાતના વિરોધ કે અણગમા વગર પહેરી છે તે; એટલું જ નહિ પણ ઊલટું, જે પહેરવામાં ઝનૂની આનંદ અને ગૌરવ મનાય છે તે; જનતાને ઉત્તર ધ્રુવની ગાઢ રાત્રિની માફક આવરીને પડેલું દુર્દમ્ય અજ્ઞાન; રાષ્ટ્રીય સુધારણાનાં સ્વાભાવિક આંદોલનોને અવળે માર્ગે દોરી રહેતા, પર્વતના જેવા મોટા અને શક્તિવાળા, વહેમો; રાષ્ટ્રપ્રતિભાના આવિષ્કારના ક્ષેત્રનો કૃત્રિમ રીતે કરાતો નાશ; શિક્ષિત દેશીઓની વધતી જતી મહત્ત્વાકાંક્ષી સ્વાર્થી અને પાપી ગૂંગળામણ; અને આ, સૌથી ય બદતર એવી ગરીબી – જેને રાષ્ટ્રના હૃદયને ચરી ખાવા છૂટી મેલવામાં આવી છે -અને જેને એવી અમર્યાદ છૂટ આપવામાં આવી છે કે કદાચ એવો સમય પણ આવી જાય કે જ્યારે રાષ્ટ્રનું મગજ સુધ્ધાં એ રાક્ષસીના પેટમાં હોમાઇ જાય.” કહે છે : “આ બધામાં ઉમેરો -જાતજાતનાં સામાજિક રાજકીય વિભેદો અને ઝઘડાઓ અને બેવકૂફી અને અજ્ઞાનનાં સ્વાભાવિક પરિણામો; દેશ અને વિદેશને લગતી એકેએક બાબતમાં પ્રજાની દયાજનક નિ:સહાયતા; અને, જીભ પર મધુર શબ્દો પણ હૃદયમાં પરદેશનું હિત ધરાવતા વાલીઓ દ્વારા થતાં વિવિધ પ્રકારનાં અસાધારણ શોષણ.”

સામાન્યપણે હું અવતરણો નથી આપતો. મારો સ્વભાવ નહીં. પરન્તુ મને થયું કે ગોવર્ધનરામની સ્મૃિતમાં જો ટપાલ-ટિકિટ બહાર પડી છે તો એમનાં આટલાં વચનોનું – મારી દરમ્યાનગીરી વગર – ભલે સીધું શ્રવણ થાય.

સૌજન્ય : ૩૦ / ૪ / ૨૦૧૬-ના રોજ 'નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત

https://www.facebook.com/suman.shah.94/posts/1156043021093276

Loading

...102030...3,6343,6353,6363,637...3,6403,6503,660...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved