Opinion Magazine
Number of visits: 9554891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક જ ડાળનાં પંખી અમે સહુ

આશા બૂચ|Opinion - Opinion|5 April 2016

આજકાલ જ્યાં જુઓ ત્યાં આંતરવિગ્રહની હોળી ખેલાઈ રહી છે. જો કે આમ તો માનવ ઇતિહાસ લોહિયાળ વિગ્રહો, યુદ્ધો અને ક્રાંતિઓથી ભરપૂર છે. દુ:ખની વાત એ છે કે આપણે આપણા વડવાઓના અનુભવો અને પોતાની ભૂલો પરથી કશું શીખતા નથી, અને એની એ જ ભૂલો ફરી ફરી કરીએ છીએ. આમ જુઓ તો પૃથ્વી એક વૃક્ષ સમાન છે અને આપણે બધા તેની ડાળ પરનાં પંખી છીએ. પક્ષીઓની કેટકેટલી જાત હોય છે? તેઓ પરસ્પર કોઈ લડે છે? જળચર, ભૂચર અને માનવ જાતમાં પણ કેટકેટલી વિવિધતા? જો એ સારું ન હોત તો કુદરત એટલી વિવિધ રચના કરે છે જ શા માટે?

દુનિયાની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ તમામ દિશાઓ કોઈ ને કોઈ કારણસર વિધ્વંસક સંઘર્ષમાં ખતમ થતી ભાસે છે. કોઈ સમૂહને પોતાના ધર્મના સિદ્ધાંતો આધારિત રાજ્ય રચવું છે, કોઈ દેશની પ્રજાને લોકશાહી મૂલ્યોવાળી શાસન રચના પોતાના દેશમાં હોય તેવા ઓરતા છે, કોઈ આપખુદને પોતાની સત્તા યાવદચંદ્રદિવાકરૌ ટકી રહે તે માટે જનતાના હિતને કચડી મારીને શાસન કરવાની ભૂખ જાગી છે, તો વળી કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષી માથા ફરેલ સત્તાધારીઓ ‘શુદ્ધ લોહી’ ધરાવતી જાતિવાળા રાષ્ટ્રના નિર્માણ કરવાની પોતાની મહેચ્છા પૂરી કરવા અન્ય ધર્મીઓની સામૂહિક હત્યા કરવાનો માર્ગ લે છે. હવે પ્રશ્ન એ ઊઠે કે ‘શુદ્ધ લોહી’ કોનું ગણાય, જે ધર્મ કે જાતિના ભેદ આધારિત અન્યનો જાન લે તે? પ્રજા હોય કે સત્તાધારી બંને પક્ષે વાણી પ્રહારનો ઉપયોગ કરવાને બદલે શસ્ત્ર પ્રહારનો પ્રચૂર ઉપયોગ થવાથી માનવ જાતનું સમૂળું અસ્તિત્વ ભયમાં આવી પડ્યું લાગે છે. જાણે કેમ માનવ માત્રને કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ, પોતાની માગણીઓને સંતોષવાનો માર્ગ કે અધિકાર મેળવવાનો એક માત્ર રસ્તો શસ્ત્રો છે અને એ સિવાય કશા માર્ગ છે તેની તેને જાણ જ ન હોય તેમ લાગે છે. તો પછી હજારો વર્ષથી અનેક આધ્યાત્મિક વિભૂતિઓ, સમાજ સુધારકો અને સ્વાતંત્ર્ય વીરો કે જેમણે અનેક પરિસ્થિતિઓનો શાંતિમય ઉકેલ અહિંસક માર્ગે લાવીને પ્રજાના અધિકારો મેળવી આપ્યા છે તેમની મહેનત શું પાણીમાં ગઈ?

સદીઓનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પોતે જે ધર્મમાં માને છે એ ધર્મની ધજા હેઠળ તેને અનુસરનારની સંખ્યા વધે તેમાં જ તેની સુરક્ષા માનનારાઓએ ધર્મ પરિવર્તન કર્યાં, મિશનરી સેવા પૂરી પાડી અને ડર-ધમકી અને લાલચ આપી પરાણે વટાળ પ્રવૃત્તિ પણ હાથ ધરી. અરે, એક જ ધર્મના અનુયાયીઓ તેના બે વાડાઓના અનુયાયીઓને સહન ન કરી શક્યાને પરિણામે એકબીજાના મઠ, સાધુ-સંતો અને ધર્મસ્થાનોનો નાશ કરતા હતા અને હજુ કરે છે. તો પછી અન્ય ધર્મના લોકોને રંજાડે તેમાં શી નવાઈ? આપણે હવે સમજવું જોઈએ કે દરેક દેશને એક ભૌગોલિક સીમા હોય છે, જેમાં ભાષા, ધર્મ, સંસ્કૃિત, પોષાક અને ખોરાકની વિવિધતા હોવાની જ છે, તો એમાં વાંધો શું? એક વૃક્ષનાં પાન અલગ અલગ હોય છે, તે શું ઝઘડે છે? માનવને મળેલ બુદ્ધિશક્તિનો આવો દુરુપયોગ શાને? વળી વફાદારી પોતાના દેશ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને સમાજ એમ બધા માટે જરૂરી છે પણ તે એક બીજાની વિરોધી ન હોવી ઘટે. પોતાનો ધર્મ દરેકને મન શ્રેષ્ઠ લાગે. કોઈને પોતાના ધર્મના સિદ્ધાંતોને આધારે રાજ્ય સ્થાપવું હોય તો તેમ કરે, પણ તે શું બીજા ધર્મના અનુયાયીઓને મારીને કરી શકાય? જીસસ, બુદ્ધ, મહાવીરે એમ કરેલું? મરેલા લોક પર રાજ્ય કેમ થાય? ચક્રવર્તી બનવાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા જીતેલી લડાઈઓના અંતે થયેલ સંહારને જોઈને રાજા અશોકને હિંસાની નિરર્થકતા વિષે જ્ઞાન લાધ્યું તો આપણે તેનો આધાર લઈ સામ્રાજ્ય વિસ્તારની ઘેલછા અને તે પણ સશસ્ત્ર હુમલાઓ દ્વારા સિદ્ધ કરવાની વૃત્તિમાં ફસાતા અટકી જઈએ.

હાલમાં પૂર્વના અને પશ્ચિમના ઘણા દેશોમાં તેના નાગરિકો પોતાના દેશ માટે વફાદારી દાખવે છે કે પોતાના ધર્મ પ્રત્યે એ વિષે ઘણી ચર્ચાઓ થાય છે અને જેમના વલણો ધર્મને નામે ચાલતી હિંસક પ્રવૃત્તિઓ તરફ વધુ ઢળ્યાં છે તેમને નાગરિક તરીકે તેઓ કેટલા વફાદાર છે તે વિષે સાશંક જોવામાં આવે તે સ્વાભાવિક છે. તેના અનુસંધાને હાલમાં ભારતમાં કેટલાક દેશપ્રેમ દર્શાવતા સૂત્રો પોકારવા કે રાષ્ટ્રભક્તિનાં ગીતો ગાવાની ફરજ પાડવાનો નવો સિલસિલો શરુ થયો છે. એવી માગણી કરનારાઓએ જે તે પ્રસંગની ઉપયુક્તતા વિષે અને તે વ્યક્તિના સમાજમાં માન અને સ્થાન વિષે વિવેક દાખવવો રહ્યો. તો સામે પક્ષે એક વાતે ધ્યાન દોરવાનું મન થાય. મૂર્તિ પૂજામાં માનવું કે ન માનવું તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને શ્રદ્ધાનો વિષય છે. એક જ ધર્મના અનુયાયીઓ આ માન્યતાના બે છેડે જોવા મળશે. પરંતુ જે ધર્મ મૂર્તિને સદંતર નિષિદ્ધ ગણે છે તેમણે વિચારવું રહ્યું કે ધરતીને અને દેશને યા તો માતૃભૂમિને કેટલાક લોકો માતાની ઉપમા આપે છે કેમ કે ધરતી આપણને માતાની જેમ ધારે છે, પોષે છે, તેના પ્રત્યે ભૂલ કરીએ તો પણ ક્ષમા આપી સ્વીકારે છે; તે કદી આપણને તરછોડે નહીં. તો એ વિભાવનામાં શું ખોટું છે? હા, તેની રંગબેરંગી વેશભૂષા વાળી મૂર્તિની જરૂર નહીં, પણ કોઈ બનાવે અને પૂજે તો બીજાને શો વાંધો? આખર દુનિયામાં જે કંઈ દ્રશ્યમાન છે તે તેની એક યા બીજા પ્રકારની તસ્વીરને કારણે છે. આપણી પોતાની માતા એક તસ્વીર છે, તો ધરતી કે દેશને એવું માન આપવામાં કોઈ અપરાધ ખરો? આપણા પિતા આપણા પાલક, પોષક અને રક્ષણ કર્તા છે અને તેમની પણ એક તસ્વીર છે, તો સૂર્ય જેવા અજોડ શક્તિના સ્રોતને પિતા સમાન ગણી તેની તસ્વીર કેટલાક લોકો ન બનાવે પણ બીજા કોઈ બનાવે તેમાં આપણી માન્યતાને કોઈ ઠેસ નહીં પહોંચે. કોઈ પણ ધર્મ કે વિચારધારા એવી નાજુક કેમ હોય જે પોતાનાથી અલગ એવી માન્યતાઓથી ડરી જાય, ભડકી જાય? અને તે પણ એટલી હદે કે તે અન્યોને મૂલ્યવાન લાગતાં અને તેમની સંસ્કૃિતના ધરોહર સમાં પ્રતીકોનો નાશ કરવા પ્રેરે?

અહીં મુદ્દો છે અર્થઘટનનો. અમે, એટલે કે હું અને મારા કુટુંબીજનો અને સરખા વિચાર ધરાવનારા મિત્રો જ્યારે બીજા ધર્મ સ્થાનોમાં જઈએ, તેના નશીદ, હિમ્સ, શબદ કે ભજનો સાંભળીએ ત્યારે તેનો અર્થ અને મર્મ જાણીએ એટલે પોતાના ગીતો સાથે સામ્ય લાગે જેથી તે વિષે વિરોધ કે અણગમો ન થાય. રોમના સેન્ટ પીટર્સના પવિત્ર જળમાંથી અંજલી લઈ મારા પુત્રો ગાયત્રી મંત્ર બોલ્યા અને અમે તાજ મહેલના પગથીએ બેસી, યમુનાને કાંઠે દેખાતા લાલ કિલ્લા તરફ થતા સુર્યાસ્તને જોતાં જોતાં ઇશાવાસ્યમ પ્રાર્થનાનું ગાન કર્યું તો નથી અમે અમારો ધર્મ ગુમાવ્યો, ન અમે ‘અપવિત્ર’ થઈ ગયાં કે ન અમે કોઈ પાપ કે ગુનો કર્યાની લાગણી થઈ. એટલું જ નહીં એ પવિત્ર સ્થાનોની ધાર્મિક પ્રતિભા કે મહત્ત્વને જરા પણ ઝાંખપ ન આવી એટલું જ નહીં પણ તેનાથી સાબિત થયું કે એ ઈમારત કે જે તે ધર્મના મૂળ રચયિતાઓ આવી ચેષ્ટાઓને સહર્ષ સ્વીકારી લે છે. તેને જ ખુલ્લા મનના વિચાર ધરાવનારા અને અન્ય ધર્મના અસ્તિત્વ, જુદી માન્યતાઓ, અલગ શ્રદ્ધા ધરાવનારાઓ માટેની સહિષ્ણુતા કહેવાય. દરેક ધર્મના ઉપદેશમાં ‘ભગવાન એક છે અને તેના સિવાય અન્ય કોઈ પર શ્રદ્ધા ન રાખો’ તેમ એક યા બીજી ભાષામાં અને અલગ અલગ શબ્દોમાં કહેવામાં આવ્યું છે. તેનો અર્થ મારા જેવા એવો કરે કે આ સૃષ્ટિને રચનાર માત્ર એક શક્તિ છે, માટે માત્ર તેના પર વિશ્વાસ રાખો, તેનું શરણું સ્વીકારો અને જે નાશવંત છે, સર્વશક્તિમાન નથી તેવા માનવોને શરણે જઈને તેમનું પૂજન ન કરો. એ વિધાનોનો અર્થ લગીરે એવો નથી જ કે સર્વશક્તિમાનને કોઈ જુદા સ્વરૂપે ઓળખે અને પુકારે તો તે પાપી છે, આ દુનિયામાં જીવવા લાયક નથી તેથી તેમને કાં તમારી માન્યતા અનુસરવાની ફરજ પાડો, કાં જાનથી ખત્મ કરી દો. એવું અર્થઘટન માત્ર અને માત્ર એ વિધાનને તેના સાચા અર્થમાં ન સમજનારાઓ જ કરે અને કમનસીબે એવી અધકચરી સમજણવાળી પ્રજા વધતી જતી જણાય છે અને હાથમાં વિનાશક શસ્ત્ર લઈ બીજા શાંતિપ્રિય લોકોને ડરાવે છે. તેમાં કેટલાક શસ્ત્ર ન ઉગામનારા પણ વાણી અને વર્તનથી ઝેર ફેલાવનારાઓનો પણ સમાવેશ થાય છે.

આ દુનિયામાં કેટલાક દેશો પોતાના દેશને ક્રિશ્ચિયન દેશ તરીકે તો કેટલાક પોતાને મુસ્લિમ દેશ તરીકે ઓળખાવે છે, જ્યારે અન્ય દેશો પોતાના દેશની ઓળખ ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે રહે તેવું ઈચ્છે છે. એક એવો પ્રશ્ન ચર્ચાય છે કે ધર્મ આધારિત દેશની રચના હોવી એ તેના નાગરિકોના ભલામાં છે કે બિન સાંપ્રદાયિકતા સારી? ઇતિહાસ પર નજર નાખતાં અહેસાસ થશે કે ધર્મને નામે રચાયેલ કોઈ દેશ કે સમૂહમાં સુલેહ-સંપ નથી રહ્યાં. પિલગ્રિમ્સ ફાધર્સનું સામૂહિક સ્થળાંતર, ધર્મને આધારે પારસી કોમનું સ્થળાંતર, કોઈ એક ધર્મને આધારે એક રાષ્ટ્ર રચવાની મહેચ્છાને કારણે થયેલ મહા હત્યાકાંડ વગેરે ઘટનાઓ શીખવે છે કે આ દુનિયામાં એકે એક દેશમાં અનેક ધર્મ, સંસ્કૃિતઓ, ભાષાઓ, રીત-રિવાજો અનુસરતી જાતિઓ અને વિવિધ રંગના લોકો રહેતા હતા, રહે છે અને રહેશે, – એ સ્વીકારો, તેમને સમજો, આદર આપો અને સહઅસ્તિત્વની ભાવના કેળવો. કોઈ એક દેશમાં વિધવિધ મૂળના, રંગ અને જાતિના લોકો રહેતા હશે જેઓ જુદા જુદા ધર્મને અનુસરે. હવે એ દેશની રાજ્ય પદ્ધતિ લોકશાહી હોય, સામ્યવાદી હોય કે આપખુદી શાસન વ્યવસ્થા હોય, ત્યાં શ્વેત રંગનો માણસ તે શ્વેત રંગો જ ગણાશે અને ક્રિશ્ચિયન દરેક શાસન વ્યવસ્થામાં ક્રિશ્ચિયન આસ્થા ધરાવનારો જ રહેશે. આટલી સીધી સાદી વાત ન સમજી શકીએ તેટલા અબુધ ક્યારથી થયા આપણે?

વસંત ઋતુમાં જેમ પાન અને ફૂલોને નવી કુંપળો ફૂટી નીકળે તેમ ઠેકઠેકાણે કોઈને કોઈ બહાને વિગ્રહો અને સંઘર્ષો ફાટી નીકળે છે. કોઈ પણ કારણસર વિગ્રહ થાય, સહુથી વધુ જાનહાનિ પુરુષોની થાય અને સહુથી વધુ ત્રાસ બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ અને કંઈક અંશે યુવાનો પર વીતે છે. જીવની સલામતી ખાતર સ્થળાંતર કરીને વિસ્થાપિત થતા સમૂહોની હાલત દયાજનક હોય છે. તેઓ ન તો પોતાના દેશના રહે અને પારકા દેશમાં દયાના ટુકડા પર જીવવું, આજીવિકા મેળવવા ફાંફાં મારવાં અને પેઢીઓ સુધી દ્વિતીય વર્ગની પ્રજા તરીકે જીવવું એ તેમની અસ્મિતાને ભારે જોખમમાં મૂકનારી સ્થિતિ હોય છે. તેમાંથી ઉગરવા પેઢીઓની પેઢીઓ સુધી મથવું પડે. તેમ પોતાની મહત્ત્વાકાંક્ષાઓ અને વિચારધારાઓને સાકાર કરવા કેટલાક આતંકવાદીઓ કેવા કેવા દુષ્કૃત્યો આચરે છે? પોતાની માગણીઓનો સ્વીકાર ન થાય તો ગુસ્સામાં કોઈ કાર બાળી મુકો તે ઠીક, પણ પુસ્તકાલયો, વિશ્વવિદ્યાલયો, શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ અને જાહેર ઈમારતોનો નાશ કરવાનું કહેતી હોય એવી કોઈ સંસ્કૃિત છે ખરી? કયો ધર્મ એવો છે જે માનવીની અમૂલ્ય થાપણ સમાં સાંસ્કૃિતક ધામોનો વિનાશ કરવાનું કહે? એમ કરનાર લોકો કયો ધર્મ ફેલાવવા માગે છે? કઈ સંસ્કૃિતનું નિર્માણ કરવા માગે છે? કોણ એ પગલે ચાલશે? જો ધર્મને આધારે સ્થપાયેલ આપખુદ શાસન હેઠળના દેશોમાં માનવ અધિકારોની જાળવણી થતી હોત અને સંપ સુલેહનું રાજ્ય હોત તો અત્યારે ધર્મ નિરપેક્ષ દેશોમાં અને જ્યાં લોકશાહી શાસન છે તેવા દેશોમાં આશ્રય શોધવા લાખો માણસો વલખાં ન મારતાં હોત.

ભારત સ્વતંત્ર થયું ત્યારે જ એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે પોતાની આગવી પ્રતિભા ઊભી કરી શક્યું એ એક અનોખી સિદ્ધિ છે. આજે જાણે એ અસ્મિતા ભૂલથી ઊભી થઈ ગઈ હોય અને એ ભૂલને સુધારવી હોય તેમ તેને ધર્મ આધારિત દેશ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જે અત્યંત દુ:ખદ, ટૂંકી બુદ્ધિની અને વાહિયાત ચેષ્ટા છે. પોતાના દેશમાં રહેનાર અન્ય ધર્મની પ્રજાને ‘તમે અમારાથી અલગ છો, તમારા દેશમાં જતા રહો’, એવો વ્યવહાર કરવાથી પરસ્પર વૈમનસ્ય વધશે, જુદાઈ પાંગરશે અને ક્યાંયના નહીં રહીએ, એટલું નક્કી. એક ઘર બાંધવા કડિયો, સુથાર, ચૂનો દેનાર, રંગ કરનાર, વીજળીનાં જોડાણ કરનાર એમ અનેક કારીગરોની જરૂર પડે તેમ સમાજને રચવા, ટકાવવા અને વિકસાવવા હજારો પ્રકારના કુશળ કારીગરો અને નિષ્ણાતોની જરૂર પડે, પછી ભલે તેઓ કંઠી બાંધે, ક્રોસ લટકાવે, માળા પહેરે, પાઘડી બાંધે કે માથે ઓઢે. આટલું ભારતવાસીઓ અને અન્ય દેશના લોકો પણ કેમ નથી સમજતા? આપણને આ હકીકત કોણ સમજાવશે? પૂર્વજોનાં ડહાપણ પરથી આપણે ઘણું શીખીએ પણ તેમની ભૂલોને ન અનુસરીએ. આજના પુખ્ત વયના લોકો આ વાત ન સમજે તો શું એનાં છોકરાં એને પાઠ ભણાવશે કે પછી પોતાના માતા-પિતા પાસેથી અવળા માર્ગે જવાનું જ શીખશે? જેમ આપણે કર્યું તેમ? છેલ્લા કેટલાક શતકોથી ચાલતી આવેલી લડાઈઓ અને સંઘર્ષો વિષે તપાસ કરતાં માલુમ પડશે કે મોટા ભાગના ભાગ લેનારાઓ ઓછું શિક્ષણ મેળવેલા કે બેકાર હશે. બે પાંચ હજાર કે પાંચસો-સાતસો વર્ષ પહેલાં બનેલી કોઈ ઐતિહાસિક ઘટના કે જેના કોઈ દસ્તાવેજી પુરાવા પણ ન હોય તેને વેર વાળવાનું બહાનું ગણીને સામૂહિક હત્યા કરનાર લોકો પાક્યા છે. ભગવાને એક ધર્મના અનુયાયીઓને એક ભૂમિ ભાગ આપવાનું વચન હજારો વર્ષ પહેલાં આપેલું હતું તે યાદ કરીને હાલમાં ત્યાં વસતા નાગરિકોની જમીન પચાવી પાડી તેમને વિસ્થાપિત કરવા કે તેમનો સદંતર નાશ કરવો એ કેવી વાત છે? ભૂતકાળમાં થયેલ લડાઈઓ કે વર્તમાનમાં ચાલતા સંઘર્ષોના મૂળમાં નજર નાખતા દેખાશે કે જ્યારે તમે કોઈ એક સમૂહના લોકોને મૂળભૂત માનવીય જરૂરિયાતોથી વંચિત કરી દો, તેમને ગામ, શહેર કે દેશથી અલગ રાખો અને પાણી, ખોરાક, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી સેવાઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરો કે તરત જુદાઈ, એકબીજા પ્રત્યે અજાણપણું, નફરત, તિરસ્કાર અને દુશ્મનાવટની લાગણી ફેલાશે જે હિંસાને જન્મ આપશે.

શિક્ષિત અને જાગૃત નાગરિકો માટે એક મૂંઝવણ એ છે કે તેઓ આ પરિસ્થિતિના મૂક પ્રેક્ષક કે શ્રોતા બનીને બેસી રહેવા નથી માગતા. તેમને શોષિત અને પીડિત લોકો માટે અનુકંપા જાગે છે તેથી બહુ બહુ તો સરકારી પગલાંનો વિરોધ કરે અને વિસ્થાપિત થયેલ લાખો લોકો માટે થોડી નાણાકીય સહાય આપી પુણ્ય કર્યાનો સંતોષ માનીને બેસી જાય છે. દુનિયાભરમાં શાંતિ જાળવવાનું કામ જે તે દેશની સરકારનું છે અને બહુ બહુ તો યુ.એન. જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનોનું છે, એમાં સામાન્ય નાગરિકનો અવાજ કોણ સાંભળે એમ તેઓ માને છે. વિયેતનામ, રૂવાંડા અને બોસ્નિયામાં સામૂહિક હત્યાકાંડ થયા ત્યારે યુ.એન.ના સભ્ય દેશો ક્યાં હતા અને શું કર્યું તે જાણીએ છીએ. જરા જાતને પૂછી જોઈએ, જ્યારે ક્યારે પણ કોઈ ધર્મ પર સંકટ આવે છે તો કોઈ સરકાર તેને ઉગારે છે કે જે તે ધર્મના ગુરુઓ અને અનુયાયીઓ? ગુલામી પ્રથા કઈ સરકારે દૂર કરી? દક્ષિણ આફ્રિકાની રંગભેદી નીતિ સામે સરકારે લડત આપી કે આફ્રિકન નેશનલ કોંગ્રેસે? ભારતની આઝાદીની ચળવળ કઈ સરકારના પ્રતાપે લડાઈ? ક્રાંતિ અને સુધારણા માત્ર લોકશક્તિથી જ આવે છે. સરકારો તો માત્ર આપખુદ, સમાજવાદી, સામ્યવાદી કે લશ્કરી શાસન આપે છે, પોતાના દેશની સીમાઓની રક્ષા કરે છે અને સત્તા પર બેઠેલાઓના અને તેમના મળતિયાઓના હિતમાં આર્થિક વિકાસ કરીને જનતાને આડકતરો લાભ ચાલુ રહે તે જુએ છે. તો બાકીનાં બધાં કામ મારા તમારા જેવા નાગરિકોના હાથમાં છે.

આથી જ તો સારી્ ય માનવ જાત એક જ ડાળ પર રહેતાં પંખી જેવી છે એ સમજીએ. એ ગીતમાં ગવાયું છે તેમ સુખ અને દુઃખમાં સાથે જ રહીએ, લડીએ, વઢીએ અને કદી જુદાં પણ પડીએ, તોયે નિરંતર સંપીને સાથે રહીએ એ જ એક માર્ગ છે. એકલે હાથે કશું સિદ્ધ ન થાય, માટે ‘સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થાક જાયેગા મિલકર બોજ ઉઠાના’ એ આહ્વાન ઝીલી લઈને સહુ સહિયારો પ્રયાસ કરીએ।

e.mail : 71abuch@gmail.com

Loading

ભગતસિંહ અને ‘ભારતમાતા કી જય’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 April 2016

ભગતસિંહની પંચાસીમી સંવત્સરી સરહદની બંને બાજુએ અવનવાં સ્પંદનો જગવી ગઈ! આપણી બાજુએ તો સ્પંદનો ઉપરાંત કંઈક શોર પણ; કેમ કે ભાજપે ‘ભારતમાતા કી જય’ અને રાષ્ટ્રવાદનો ખાસ મુદ્દો બનાવવામાં ભગતસિંહને ય ઠીક સંડોવવા ધાર્યું છે. અધૂરામાં પૂરું, કૉંગ્રેસ સાંસદ શશી થરુરે જે.એન.યુ.ના કન્હૈયાકુમારમાં વર્તમાનકાળના ભગતસિંહ જેવી ઝલક જોઈ તે વિગતમાં આ ‘રાષ્ટ્રનેતાનું અપમાન’ જોવાની ભાજપની પ્રતિક્રિયા છે તો કૉંગ્રેસે પણ થરુરના અંગત મતથી કિનારો કરવામાં સલામતી જોઈ છે.

સીમાપાર તાજેતરમાં વરસોમાં ભગતસિંહને સંભારવાની કોશિશ પાછળની એક ચાલના એના આદર્શોથી ત્યાંનો નાગરિક સમાજ પોતાનું સંબલ મેળવવા ચાહે છે તે છે. તે સાથે પાકિસ્તાનના નાગરિક સમાજમાં એક એવો સળવળાટ પણ આ દિવસોમાં સંભળાયો કે રાણી એલિઝાબેથે (બ્રિટિશ તાજે) ભગતસિંહ પ્રશ્ને માફી માગવી જોઈએ. બેશક, લશ્કરશાહીને હવાલે ગયેલી લોકશાહી અને ઉશ્કેરણીના રાહે શોર્ટકટ પોલિટિક્સ ખેલતા મોટાભાગના રાજકારણીઓથી ઉફરાટે સંસ્થાનવાદ સામે જાનફેસાનીનું તેમ જ સર્વાંગી શોષણમુક્તિનું વિચારવિશદ સમણું જોનાર જીવનની અપીલ કંઈક ઓર જ હોય.

આપણે ત્યાં પણ આદર્શવાદી અપીલથી પરિચાલિત અને કુરબાનીના રાહે ખેંચાતા નાનાં નાનાં જૂથો બેલાશક છે. પણ આ ક્ષણે ભગતસિંહ મેગા પોલિટિક્સનો મુદ્દો થઈ પડ્યા છે એથી એને ઓળવવા મોટા પક્ષોનું લાલાયિત હોવું સમજી શકાય તેમ છે. એમાં પણ ભાજપે હૈદરાબાદ યુનિવર્સિટી અને જે.એન.યુ. ઘટનાક્રમને પગલે જમીન પર કોમી ફસલ અને આકાશમાં વિકાસની ખેતી સાથે ખાસ તરેહના રાષ્ટ્રવાદને આગળ કરવાનો વ્યૂહ વિચાર્યો હોઈ એની સક્રિયતા સવિશેષ છે. બલકે, વિકાસનાં વાતવાવેતર કરતાં રાષ્ટ્રવાદની રોકડી કદાચ સહેલો અને સલામત વ્યૂહ હોવાનુંયે સમજાય છે. મુશ્કેલી એ છે કે ભગતસિંહ માટેની અપીલને પક્ષ માટેની અપીલમાં પરિવર્તિત કરવું રાષ્ટ્રવાદના આરંભિક ગર્જનતર્જન અને ભાવોદ્રેક પછી બધો વખત સળંગ સહેલું નથી હોતું. ખાસ તો, ભગતસિંહ જેવી વ્યક્તિના વિચારવિકાસની વિગતો જેઓ જાણેસમજે તે કદાચ આવી અપીલમાં બધો વખત બંધાયેલા ન રહી શકે.

વડોદરામાં ભગતસિંહની પ્રતિમાની સાખે કૉંગ્રેસ અને ભાજપના કાર્યકરો બાખડી પડ્યાના હેવાલો છે. એમના આંગિકમ્‌ની ચર્ચા તો ખેર છોડો; વાચિકમ્‌માં એકબીજાના અવાજને ડુબાડી દેતા સામસામા સૂત્રોચ્ચારો ‘ભારતમાતા કી જય’ (ભાજપ) અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’(કૉંગ્રેસ)ના હતા એમ છાપાં કહે છે. હવે, ‘ભારતમાતા કી જય’ એ સ્વાભાવિક જ ‘વંદે માતરમ્’ કુળનો સૂત્રોચ્ચાર છે. રાષ્ટ્રીય ચળવળમાં એની અપીલ એ ઇતિહાસવસ્તુ છે, અને પોતાના ઘડતરકાળમાં ભગતસિંહે પણ હોંશે હોંશે એવા પોકારો નહીં જ કર્યા હોય એવું નથી. અન્યથા પણ એવાં સૂત્રોને અવકાશ છે. અલબત્ત, એમાં બળજોરીને અવકાશ ન હોઈ શકે એ સાદો વિવેક છે. એમાં પણ મહારાષ્ટ્ર વિધાનસભામાં કૉંગ્રેસ સહિત સર્વ પક્ષોએ એકત્ર થઈ એક સન્માન્ય સભ્યને ચોક્કસ સૂત્ર નહીં બોલવાને મુદ્દે ગૃહનિકાલ કર્યા તે દેશભક્તિને નામે આપણું જાહેર જીવન કઈ હદે અવદશામાં ઢસડાઈ શકે એનો નાદર નમૂનો છે.

નહીં કે કૉંગ્રેસે બહુ ઊંચું ને ઊંડું વિચાર્યું હશે (બલકે, મહારાષ્ટ્ર વિધાનગૃહની એની સંડોવણી કેવળ અવિચારી છે); પણ ‘વંદે માતરમ્’ અને ‘ભારતમાતા કી જય’ જેવાં સૂત્રોને બદલે ભગતસિંહ થકી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ જેવું સૂત્ર સવિશેષ ચલણમાં આવ્યું એ ભારતીય ઉપખંડમાં જાહેર જીવનની દૃષ્ટિએ ગુણાત્મક પરિવર્તન હતું. આઝાદીની માગણી હવે કેવળ સાંસ્થાનિક સામ્રાજ્યશાહીથી મુક્ત થવા માટેની નથી, પણ ઘરઆંગણાનાં જાગીરદારી-મૂડીવાદી તત્ત્વોમાંથીયે મુક્ત થવા માટેની આ લડત છે. આ રીતે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ એ ‘ભારતમાતા કી જય’ કરતાં આગળ જતું ને કોરા તગડમસ્ત રાષ્ટ્રવાદે નહીં ગંઠાઈ જતાં આર્થિક-સામાજિક ન્યાયને ધોરણે આમ આદમીની બાલાશ જાણતું સૂત્ર છે. કન્હૈયાકુમાર જ્યારે ‘ભારતની આઝાદી’ નહીં પણ ‘ભારતમાં આઝાદી’ની વાત કરે છે ત્યારે આવું જ કાંક કહેવા તાકે છે. આ અર્થમાં જોઈએ તો તે ભગતસિંહની નજીક છે. માત્ર, તરુણ ભગતસિંહની પ્રૌઢિ અને કન્હૈયાની કાચીકુંવારી સમજની સરખામણી અલબત્ત નથી.

ભગતસિંહના અનવરત અભ્યાસી ચમનલાલે દિલ્હી યુનિવર્સિટીના છાત્રો જોગ સંબોધનમાં આ વાતે ફોડ જરૂર પાડ્યો હોત, પણ અભાવિપ(અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)નું ટોળું ભગતસિંહને નામે રાષ્ટ્રવાદની ધજાપતાકા લહેરાવવા જેટલું ઉત્સાહી હશે એટલું ભગતસિંહના વિચારો જાણવાસમજવા મુદ્દલ તૈયાર નહોતું. જો કે દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ યોગેશ ત્યાગીને કારણે એ કલાકોમાં એક ક્ષણ જરૂર સચવાઈ ગઈ. ત્યાગી પોતે પાછા જે.એન.યુ.ના પૂર્વછાત્ર છે. એમણે થરુરની કન્હૈયા-ભગત સરખામણી સંદર્ભે સોજ્જી ટિપ્પણી કરી કે ન્યાયને માટે લડનાર હર કોઈ આપણા આ દંતકથારૂપ સ્વાતંત્ર્યજોદ્ધા(ભગતસિંહ)થી પ્રેરિત હોઈ શકે છે. ખબર નથી, અભાવિપને તે પલ્લે પડ્યું કે નહીં.

ભગતસિંહ બેશક એક જલતું જિગર એટલું જ સોચતું મગજ હતા. ટૂંકી જિંદગીનાં છેલ્લાં બેત્રણ વરસ અને એમાં પણ છેલ્લા થોડા મહિના એમની ઉત્તરોત્તર વૈચારિક સજ્જતાનાં હતાં. જેલ દિવસોમાં ભૂખહડતાળ પર હશે એ અરસામાં જવાહરલાલ નેહરુ એમને મળવા ગયેલા. એમણે આત્મકથામાં આ મિલનની સહૃદય નોંધ લેતાં ભગતસિંહના આકર્ષક ચહેરા પરની બૌદ્ધિક દીપ્તિની ખાસ જિકર કરી છે તો વાતચીતમાં ફોરતી ઋજુતા અને એક અનાકુલ અવસ્થાની છાપ પણ સંભારી છે. અલગ રસ્તા છતાં આ આત્મીય અને આદરપૂર્ણ ભૂમિકા બંનેના (અને તે વખતના એકંદર નેતામંડળના) ઉમદા ખવાસની દ્યોતક છે. જુદા રસ્તા છતાં ચંદ્રશેખર આઝાદને આર્થિક સહાય કરી શકતા નેહરુ કે આઝાદની અંત્યેષ્ટિમાં હકથી પહોંચી જતાં કમલા – એવો એ જમાનો હતો.

હમણાં વૈચારિક સજ્જતાની જિકર કરી. એનો એક અચ્છો નમૂનો ભગતસિંહની એ નુક્તેચીનીરૂપે પણ તમને જોવા મળશે કે સુભાષ અને જવાહર બેઉ યુવાનોને આકર્ષતાં નેતૃત્વ છે. પણ સુભાષના ભાવાવેશને મુકાબલે જવાહરની આર્થિક-સામાજિક ન્યાયની સમજ ને પ્રતિબદ્ધતાની અપીલ સવિશેષ છે. એટલે સામ્પ્રત સંદર્ભમાં યુવા પસંદગી જવાહર ભણી ઢળતી હોવી જોઈએ. આ નુક્તેચીનીને એમણે પિતાને કરેલ એ સૂચન સાથે મૂકીને જુઓ કે તમારે સૌએ ગાંધી અને કૉંગ્રેસની સાથે રહેવાપણું છે. નહીં કે ગાંધીજીના નેતૃત્વ વિશે કે કૉંગ્રેસની કાર્યશૈલી વિશે ભગતસિંહનું આગવું મૂલ્યાંકન અને ધોરણસરનાં ટીકાટિપ્પણ નહીં હોય. બલકે, એવું ન હોય તો એ ભગતસિંહ પણ શેના હોય. પણ દેશના પ્રવાહો વચ્ચે લોકઆંદોલનની વાસ્તવિકતામાં આ સૂચન રોપાયેલું હતું.

કેમ કે ગાંધીની વાત નીકળી જ છે અને ભગતસિંહની ફાંસી નહીં રોકનાર તરીકે એ કસુરવાર કહેવાતા રહ્યા છે, અહીં બે શબ્દો એ સંદર્ભમાં વાજબી થઈ પડશે. ૧૯મી માર્ચે ગાંધીજીએ અર્વિનને મળીને ભગતસિંહને ફાંસી આપવાથી પરહેજ કરવાની અપીલ કરી હતી, અને વાંસોવાંસ ‘યંગ ઇન્ડિયા’માં લેખી ઉમેદ પ્રગટ કરી હતી કે ‘ચેરિટી ઑફ અ ગ્રેટ ક્રિશ્ચન’ – એક આગળ પડતા ખ્રિસ્તજનની સમુદારતા અને માનવતાને ધોરણે વિધાયક પ્રતિસાદ મળશે. એ પછી એક વહેલી સવારે અર્વિન જોગ પત્ર એમણે તૈયાર કર્યો, પણ ૨૩મી માર્ચે જ સહસા ફાંસીનો અમલ થઈ ગયો હતો. એથી સ્વાભાવિક જ ૨૯ માર્ચથી શરૂ થઈ રહેલી કરાચી કૉંગ્રેસ એક ઓછાયા અને ઓથાર તળે મળી રહી હતી, અને એ દિવસોમાં ગાંધી સામે કાળા વાવટાના દેખાવો પણ થયા હતા. જો કે ૨૬મી માર્ચનાં અર્વિનનાં એ વિદાયવચનો ભાગ્યે જ કોઈને ઝટ સાંભરતાં હશે કે ‘અહિંસામૂર્તિ (એપોસલ ઑફ નૉનવાયોલન્સ) ગાંધીની, ભગતસિંહને ફાંસીની સજા રદ કરવાની એ આરતભરી (અર્નેસ્ટ) અપીલ સાંભળી હું ગંભીર વિચારમાં સરી પડ્યો હતો કે તેઓ શા વાસ્તે આવી રજૂઆત કરતા હશે … પણ, મારે પક્ષે, ફાંસીની સજા સચોટપણે લાગુ પડતી હોય એવો આવો કોઈ બીજો કેસ હું કલ્પી શકતો નથી.’

ફાંસીની સજાની અનિવાર્યતાનો આ કેસ હતો એ કેવળ નિજી આકલનનો મુદ્દો, માનો કે, અર્વિનને પક્ષે હોત તો ગાંધીની આરતભરી અપીલથી – અને જેમાં ભગતસિંહનો પ્રશ્ન સીધો સંડોવાયેલો નહોતો એ દાંડીપગલે ગાંધીઅર્વિન સમજૂતીની સફળતા માટે જરૂરી વાતાવરણની દૃષ્ટિએ આ સજામોકૂફીથી શક્ય લાભની ગણતરીએ – અર્વિન કદાચ કબૂલ પણ થઈ શક્યા હોત. પણ વાત માત્ર આટલી જ નહોતી, ન તો અર્વિન તેમ જ ગાંધી અને બીજા ભારતીય નેતાઓ પૂરતી સીમિત પણ હતી.

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી સબબ આંબેડકરે મરાઠીમાં લખેલ ટિપ્પણી હજુ હમણે જ અંગ્રેજીમાં અવતરી પહેલી જ વાર ભારતવ્યાપી ધોરણે સુલભ બની છે. આનંદ તેલતુંબડેની અથાક કોશિશને એનું શ્રેય જાય છે. આંબેડકરે કરેલ મુદ્દાઓમાંથી આપણી ચર્ચા પૂરતો એ એક વિગતમુદ્દો બસ થશે કે અર્વિન છેવટે તો બ્રિટનની સરકારને જવાબદાર હતા. બ્રિટનની સરકાર ઘરઆંગણાના લોકમતની દૃષ્ટિએ ભગતસિંહને ફાંસી આપવામાંથી પીછેકૂચ કરવાની સ્થિતિમાં નહોતી. દેશની રૂઢિચુસ્ત (ઉર્ફે રાષ્ટ્રવાદી) લોકલાગણી બગાવતી ગાંધી સામે બ્રિટિશ તાજના હિંદી પ્રતિનિધિ કરાર કરવાની હદે ઝૂકે એ ઘૂંટડો કેમે કરીને ગળે ઉતારી શકે એમ નહોતી. આ સંજોગોમાં જો ભગતસિંહને ફાંસી ન અપાય તો પેલી રાષ્ટ્રવાદી લાગણી (સરકારવિરોધી લાગણી) ઇંગ્લૅન્ડમાં ઓર ભડકે એવું હતું. સ્વાભાવિક જ બ્રિટિશ વડાપ્રધાન અને હિંદી વજીર આ માટે તૈયાર નહોતા – તેથી અર્વિનને માટે ‘આવો કોઈ બીજો કેસ હું કલ્પી શકતો નથી’ એવું ન હોય તો પણ સજાના અમલ સિવાય છૂટકો નહોતો તે નહોતો.

ગમે તેમ પણ, એ વરસો ગાંધી-ભગતસિંહ (અને બીજા) અખાડાઓ છતાં એકંદરે સરજાતા અને સ્ફૂટ થતા આવતા નવ્ય કોન્સેન્સસનાં હતાં. હમણાં કહ્યું તેમ ‘વંદે માતરમ્’ તબક્કે નહીં અટકતાં ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ ભણીની અર્થપૂર્ણ સંક્રાન્તિનાં હતાં. સશસ્ત્ર પ્રતિકારની રુમાની અપીલ કરતાં ભગતસિંહનો ભાર શોષણમુક્તિનાં સમાજકારણ, રાજકારણ, શાસનકારણ વાસ્તે જરૂરી લોકઆંદોલન પર હતો. તેથી સ્તો આપણે નોંધ્યું તેમ તેઓ સુભાષના પ્રશંસક છતાં નેહરુની આર્થિક-સામાજિક સિદ્ધાંતમથામણને વધુ માર્ક્સ આપતા હતા. નાત જાત કોમ ધરમ મજહબને વટી જતી મીઠાની અનન્ય લડતે અને ભગતસિંહ પરના મુકદમાથી પ્રસરેલા ક્રાંતિકારી વિચારોએ જે હવા બનાવી એમાંથી કરાચી કૉંગ્રેસમાં ‘મૂળભૂત હક્કો’ના ઠરાવનો પથ પ્રશસ્ત થયો. ૧૯૨૯માં જવાહરલાલના પ્રમુખપદે થયેલા ‘મુકમ્મલ આઝાદી’(પૂર્ણ સ્વરાજ)ના ઠરાવની વ્યાખ્યા ૧૯૩૧માં વલ્લભભાઈના પ્રમુખપદે ‘મૂળભૂત હક્કો’ના ઠરાવ વાટે સ્પષ્ટ બની. છૂટપૂટ હિંસક ઘટનાક્રમ અને રુમાની રાષ્ટ્રવાદને વટી જતી તેમ જ કોમી ધ્રુવીકરણથી ગંઠાતા રાષ્ટ્રવાદની શક્યતાને ઓગાળી શકતી આ વાત હતી.

‘ભારતમાતા કી જય’ બોલતાં ન સંકોચ હોય, ન એને સારુ બળજોરી હોય – જેવું ‘જય સિયારામ’ના સહજ અભિવાદનમાંથી ‘જય શ્રી રામ’ના યુદ્ધનાદમાં થયેલી સંક્રાન્તિમાં જોવા મળ્યું હતું. સવાલ હમણાં વર્ણવી તે ઇતિહાસ-સંક્રાન્તિની પૂરી ને પાધરી ખબર તેમ જ કદરનો છે. ‘રાષ્ટ્રવાદ’ના ખાસ ચાહકોને તેમ ટીકાકારોને પ્રજાકીય આત્મનિરીક્ષાપૂર્વક આ સંક્રાન્તિની લગરીકે રગ આવે તો વાત બનતાં બને.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 03-04

Loading

ચિત્તભૂષણ દાસગુપ્તાના શતાયુ જીવનનો સાર

ડૉ. સુગન બરંઠ|Opinion - Opinion|4 April 2016

ચિત્તભૂષણ દાસગુપ્તાએ ગત ૭મી ફેબ્રુઆરીએ પોતાના આયુષ્યના ૧૦૧મા વર્ષે દેહ છોડ્યો. માંજિહેડા(પુરુલિયા, બંગાળ)માં તેમણે વાવેલા બીજ સમી રાષ્ટ્રીય બુનિયાદી શિક્ષા સંસ્થાના વિશાળ વૃક્ષ તળે તેમના અંતિમ સંસ્કાર કરાયા. તેઓ ગાંધીવિચારને સમર્પિત જીવન જીવ્યા અને અંતિમ સંસ્કાર બાદ કોઈ પણ ક્રિયાકર્મ ન કરાયાં. તેઓ પોતાની પાછળ માત્ર પોતાનો હર્યોભર્યો પરિવાર જ નહીં, બલકે નઈ તાલીમના એક વિશાળ પરિવારને છોડી ગયા છે. આની એક ઝલક તેમના શતાબ્દી-વર્ષમાં તેમની પૂર્ણ સક્રિય અવસ્થામાં પણ જોવા મળી હતી. એ દરમિયાન તેમણે પોતાના અતિશય સ્પષ્ટ અને સટીક વક્તવ્ય થકી સંસ્થાના હીરક-મહોત્સવનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પોતાના સન્માનનો જવાબ પણ આપ્યો હતો. મહોત્સવની વચ્ચે તેઓ કાંતણ અને લોકકળામાં પણ સામેલ થયેલા. આટલું સ્વસ્થ અને સક્રિય સોમું વર્ષ બહુ ઓછા લોકોના ભાગ્યમાં હોય છે. પોતાનાં બન્ને દીકરા અને બેઉ દીકરીઓને તેમણે નઈ તાલીમ થકી જ ભણાવ્યાં અને તેઓ આજે ય આ વિચારને સમર્પિત છે. આવું બહુ ઓછું જોવા મળે છે.

ચિત્તભૂષણજી, જેમને અમે બધા બાબા કહેતા, તેઓ બંગાળના ક્રાંતિકારી પરિવારના ઋષિજી દાસગુપ્તાના દીકરા હતા. ઋષિજીએ રાજેન્દ્રપ્રસાદ સાથે કામ કરેલું. યુવાવસ્થામાં વર્ષ ૧૯૩૭માં બાબા જ્યારે સેવાગ્રામ આશ્રમમાં મહાત્મા ગાંધી પાસે આવ્યા હતા, એ જ વખતે નઈ તાલીમનાં મા-બાબા અર્થાત્ આશાદેવી આર્યનાયકમ્‌ અને ઈ.ડબલ્યુ. આર્યનાયકમ્ બાપુના કહેણ પર શાંતિનિકેતનથી વર્ધા આવ્યાં હતાં. એ જ વર્ષે વર્ધામાં ઐતિહાસિક શિક્ષણ-પરિષદ યોજાઈ હતી, જેની ગોદમાંથી હિન્દુસ્તાની તાલીમસંઘનો જન્મ થયો. ડૉ. ઝાકિર હુસેન તેના પહેલા પ્રમુખ બનેલા તો આર્યનાયકમ્‌જી મંત્રી અને આશાદેવી સહમંત્રી બનેલાં. વર્ષ ૧૯૩૮માં તેનું પહેલું સંમેલન થયું.

આ દરમિયાન ચિત્તભૂષણજીએ આશાદેવીને કહ્યું કે તેઓ બંગાળના અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારમાં સંથાલ આદિવાસીઓ માટે નઈ તાલીમ શિક્ષણનું કામ કરવા જવા માગે છે. આશાદેવી તેમને બાપુ પાસે લઈ ગયાં અને કહ્યું કે આ યુવાન બંગાળમાં નઈ તાલીમનું કામ કરવા માગે છે. તમારા આશીર્વાદ ઇચ્છે છે. બાપુએ આશીર્વાદ તો આપ્યા પણ ટકોર કરી કે, આશા તમે બહુ જલદી ભરોસો મૂકી દો છો. જો કે, બાપુના આશીર્વાદ લઈને બાબા આ સંથાલીઓમાં આવ્યા અને પછી આજીવન અહીંના જ થઈ ગયા. તેમણે બાપુની શંકાને ખોટી પાડીને આશાદેવીના વિશ્વાસને સાર્થક કર્યો.

ઈ.સ. ૧૯૩૯માં તેમણે માંજિહેડા રાષ્ટ્રીય બુનિયાદી શિક્ષા – સંસ્થાનો પાયો નાખ્યો. સંજોગ એવા સર્જાયા કે એ જ વખતે વર્ધાના મહિલા આશ્રમમાં ખાનદેન(ઉત્તર મહારાષ્ટ્ર)ના એવા જ ઋષિતુલ્ય ગાંધીજન ધનાજી નાના ચૌધરીની દીકરી માલતીનું પણ ત્યાં આગમન થયું. તેમનું ખીરોદા ગામ આજે જલગાંવ જિલ્લામાં છે. ધનાજી નાના પણ સરકારી નોકરી છોડીને ગાંધીજીની સાથે દેશસેવામાં જોડાયા હતા. તેમણે પોતાના પિતાજીને કહેલું કે તેઓ પોતાની નાની દીકરી માલતીનાં લગ્ન પરંપરાગત રીતે નહીં કરે. તેમણે પોતાની દીકરી માલતીને ચિત્તભૂષણજી સાથે પરણાવી, એ પણ અત્યંત સાદગી સાથે ખાદીનાં વસ્ત્રોમાં, વગર કોઈ પરંપરાગત વિધિ કર્યે.

માલતીદેવી પણ પિયરથી અતિ દૂર, નવી ભાષા, નવી સંસ્કૃિત, પિતાના ઘરની અને સાસરીની તમામ સુવિધાઓ છોડીને આદિવાસીઓ વચ્ચે પહોંચી ગયાં. આમ પણ આદિવાસીઓની સંસ્કૃૃિતને ટકાવીને તેમને શિક્ષિત કરવાનું માત્ર નઈ તાલીમ થકી જ શક્ય હતું. માંજિહેડા માટે ત્યારે આઠ કલાક બળદગાડીની સવારી, રસ્તામાં નદી-નાળાં પગપાળા પસાર કરવાનાં, માથા પર સામાન ઉઠાવીને માઇલો સુધી પગપાળા ચાલવાની સાથે મોસમ અને જંગલની ભયંકરતા. આજે તો આ માત્ર પુસ્તકમાંના વર્ણન જેવું લાગી શકે છે.

છેલ્લાં ૭૫ વર્ષોમાં તેમણે પોતે ખેતી કરીને વિદ્યાલય ચલાવ્યું. આદિવાસી સંથાલી બાળકો સાથે જ પોતાનાં બાળકોને ભણાવ્યાં. એ લોકોમાંના એક બનીને જીવ્યાં. પ્રેમ અને વિરોધની તમામ ઘટનાઓનો સામનો કર્યો અને છતાં પણ વગર ક્રોધ કર્યે કે પોલીસની મદદ લીધે તેમણે એ લોકો સાથે જ જીવન વિતાવ્યું. આ સમગ્ર તપસ્યા માલદી- દેવી અને ચિત્તભૂષણજીએ ૨૬ વર્ષની વયે શરૂ કરેલી અને ૧૦૧મા વર્ષ સુધી સતત કરેલી. માલતીદેવીનું નિધન હજુ બે વર્ષ પહેલાં જ થયું. તેમણે પણ પોતાના અંતિમ સંસ્કાર ક્યાં કરવા એની જગ્યા તથા પોતાના મૃત્યુ વખતે ભોજનનું મેનુ નક્કી કર્યા પછી બે દિવસ બાદ દેહ છોડેલો. બાબાએ પણ આખરી શ્વાસ સુધી કાંતણ છોડ્યું નહોતું. માંજિહેડા આશ્રમની સુંદરતા તો આજે પણ તમને સેવાગ્રામની યાદ અપાવશે. સાદગીનું સૌંદર્ય જોવું હોય, તો ત્યાં જઈ આવવું.

આ વર્ષોમાં આ બન્નેએ કોઈ પણ પદ, સંસ્થા, સંપત્તિનો મોહ ન રાખ્યો. મિત્રો સાથે વિવાદ થયો તો પુરુલિયા સ્ટેશનના ગ્રામશિલ્પી વિભાગને તત્કાળ છોડી દીધો. અખિલ ભારતીય નઈ તાલીમ હોય કે સર્વ સેવા સંઘ, તેમણે એકેયમાં સભ્યપદનો મોહ નહોતો રાખ્યો. અલબત્ત, તેમને આ બન્નેમાં કારોબારી સભ્ય બનાવાયાં હતાં. આશ્રમ, વિદ્યાલય, બાળકો અને નઈ તાલીમ આ ધ્યેયને તેમણે પોતાની નજર સામેથી ક્યારે ય દૂર થવા દીધા નહીં.

આજે પણ આ આશ્રમ અને વિદ્યાલય તથા શિક્ષણ તાલીમ મહાવિદ્યાલયમાં તમામ પ્રવૃત્તિઓ નઈ તાલીમને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે, જેની દેખરેખ તેમના પુત્ર માણિક, પુત્રવધૂ મધુમિતા અને મોટો દીકરો પ્રદીપ રાખે છે. તેમની દીકરીઓએ પણ સરકારી શિક્ષણમાં નઈ તાલીમનાં કામ કર્યાં. ખેતી, બાગાયત, કાંતણ, વણાટ, રંગકામ, કઢાઈ, ગ્રામોદ્યોગ … આ તમામ બાબતો અહીંના શિક્ષણનાં માધ્યમો છે. અહીં શરીરશ્રમ ફરજિયાત છે. આ વિસ્તાર આજે પણ અંતરિયાળ જંગલમાં સ્થિત છે, એટલે કુદરતી સૌંદર્ય અને શાંતિ તો સ્વાભાવિક છે. એટલો જ ફરક પડ્યો છે કે હવે ગામ સુધી પુલ-માર્ગ બની ગયા છે. આજે બાબાના પ્રતાપે જ બંગાળના એકથી એક નામીગિરામી કલાકારો, સાહિત્યકારો, શિક્ષણવિદોને અહીં દરેક ચર્ચા-સંગોષ્ઠિ, પરિસંવાદ, સાંસ્કૃિતક કાર્યક્રમોમાં વિનમ્ર બનીને નિરપેક્ષ-ભાવે આ સંથાલી ગાંધીના દરબારમાં હાજરી નોંધાવતાં જોવા મળે છે.

(ડૉ. સુગન બરંઠ કુદરતી ઉપચારના નિષ્ણાત અને સર્વ સેવા સંઘના પૂર્વ પ્રમુખ છે.)

[સપ્રેસમાંથી અનુવાદ : દિવ્યેશ વ્યાસ]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 08

Loading

...102030...3,5863,5873,5883,589...3,6003,6103,620...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved