Opinion Magazine
Number of visits: 9768840
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્વોદય આંદોલનમાં હું કેમ જોડાયો

ડેનિયલ માઝગાંવકર|Opinion - Opinion|12 September 2016

તમે મને પૂછ્યું કે હું સર્વોદય આંદોલનમાં (એટલે કે ગાંધી વિનોબા વિચાર સાથે) કેવી રીતે જોડાયો. …… આ પ્રશ્ન તમે મને વ્હાૅટ્સ અપ પર પૂછેલો. અને મેં તમને કહ્યું હતું કે હું આનો જવાબ ઇમેલ દ્વારા આપીશ, કારણ કે તે લાંબો હશે. થોડી વિગત વધારે જોડવી પડે. તો બહેન, હવે વાંચો મારો જવાબ. જો કે યાદ રાખો કે હું ઘણું બધું તો હવે ભૂલી જાઉં છું – ઉંમરને કારણે.

ટૂંકમાં કહું તો, મારા કરતાં ઘણાં મોટા બહેન, મારાં બા કહેતાં, કે બાઈએ તને કેડ પર લઈને ફેરવ્યો છે, જ્યારે તું રડતો … અને જ્યારે તું નાસમજ હતો. અમે મારી બહેન શોશન્નાને નામથી નહિ પણ બાઈ કહીને જ બોલાવતાં.

શોશન્ના તે વખતના સમાજવાદી પક્ષમાં હતી અને મુંબઈમાં ટ્રેડ યુનિયનનું કામ કરતી. જ્યારે સાને ગુરુજી, મધુ દંડવતે, લોહિયાજી, જે.પી.જી (વિનોબા જે.પી.ને જપજી કહેતા – સિખોનો પવિત્ર ગ્રંથ – જપુજી) એસ.એમ., રાવસાહેબ પટવર્ધન, અચ્યુત પટવર્ધન, જ્યોર્જ ફરણાંડિસ જેવા નેતા મુંબઈની મોટા ભાગની જનતા અને કામદારોના મન પર રાજ કરતા હતા.

૧૯૫૪-૫૫માં, શ્રીરામ ચિંચલીકર, એલી ગડકર અને રંગા (શ્રીરંગ) દેશપાંડે મુંબઈમાં સર્વોદયના કામમાં લાગેલા હતા. તે બહેનને જઈને મળેલા. મૂળ તો તેમની એવી ઈચ્છા હતી કે જો આ બહેનને કોઈક રીતે સર્વોદયનો રંગ ચઢાવી દઈએ, તો એક મોટી માછલી સર્વોદયની જાળમાં આવી ગઈ એમ કહેવાશે. કારણ મારાં બહેનનું કામ મીલો અને મોટાં કારખાનાનાં કામદારો સાથે સંબંધિત હતું અને તે સતત તેમનો સંપર્ક કરતી હતી. તે યુનિયનના મેંબર બનાવતી, નાની નાની ગ્રુપ સભાઓ કરતી, વગેરે. પણ મારાં બહેન જરા તેમનાંથી થોડાં વધારે હોશિયાર હતાં … તેણે એમ જવાબ આપ્યો કે જુઓ, મારો નાનો ભાઈ  ડૅનિયલ કોલેજમાં જાય છે, ને તેની કોલેજ સવારની હોય એટલે એ ૧૧ સુધી તો ઘરે આવી જ જાય છે. તેની પાસે ટાઈમ હોય છે. તમે તેને મળો. તે તમારાં કામમાં મદદ કરી શકે.

અને એક દિવસ, હું સવારે દસેક સુધી ઘરે પહોંચ્યોં. તો શું જોઉં છું …… મારે ત્યાં બે જણ અ-પરિચિત એવાં બેઠાં છે, અને મેં પ્રવેશ કર્યો ઘરમાં. તે વખતે હું જરા જુદો હતો. પગમાં બૂટ હતાં, લોંગ પેન્ટ પહેરીને કોલેજ જતો હોઉં. ખાદી વિગેરે વિષે કાંઈ જ ખાસ ખબર ન હતી.

મારા બુટ વગેરે કાઢ્યા પછી મને આ મિત્રોએ કહ્યું કે, આવ, આવ, બેસ અહીં. એમ મને મારા જ ઘરમાં મને ખુરસી (ચેઅર) બતાવીને બેસવાનું કહ્યું. હું તો જોયા જ કરું કે વાહ, આ તો કોઈ જુદી જ દુનિયાના લાગે છે, જે મારા જ ઘરમાં મને બેસવાનું કહે છે. અપરિચિત હોવા છતાંયે ….. ખેર, તો હું બેસી તો ગયો. અને તેમણે વાત શરૂ કરી. મારાં બાએ તેમને ચા આપી હતી, રંગા ચા લે, પણ એલી તો મુંબઈનો વિનોબા ગણાતો. એ ચાને અડે પણ નહિ.

તેમણે કહ્યું કે તેઓ મુંબઈમાં સર્વોદયનું કામ કરે છે … વિનોબા ભાવેનું જે આંદોલન ચાલે છે તેના કાર્યકરો છે અને તેમનું એક ૭-૮ જણોનું સારું ગ્રુપ છે. અને તેઓ બધાં સાંજે ડો. મંડલિકના ઘરે જ્યાં ઓફિસ છે ત્યા મળતા હોય છે. મુંબઈમાં અમે સભાઓ, શિબિરો, સંમેલનો કરીએ છીએ, તેમાં પણ તું (ડૅનિયલ) જોડાઈ શકે છે. વગેરે વગેરે.

આમ તો હું નોકરીઓ શોધ્યા કરતો. અમે ઘરનાં કાંઈ રઈસ ન હતાં. મારા પપાને ૧૫-૧૭ વર્ષોથી કમરથી નીચે પેરેલિસિસ થયેલું. એટલે એ ફક્ત ઘરમાં જ પકડી પકડી ને ચાલી શકતા. તે વખતે અમે ઊમરખાડીની બાજુમાં, જે.જે. હોસ્પિટલની સામે રહેતાં. અને ઘર અમારા બે મોટા ભાઈઓનાં પગાર પર ચાલતું. મારા સૌથી મોટાં ભાઈ બેંજામિન. તેમનાથી નાનાં, બીજા નંબરે બેન હન્ના, જે હું તો બહુ જ નાનો હોઈશ ત્યારે સુરતના નાગર બ્રાહ્મણ જોડે પરણેલાં. અને અમે ઘણુંખરું દર દિવાળીએ કે લાંબી છુટ્ટીમાં સુરત બહેનને ત્યાં જતા. પણ અમારાં સગાંઓએ આ તે વખતે આંતરજ્ઞાતિ વિવાહનો ખૂબ વિરોધ કરેલો. પણ મારા મોટા ભાઈ મક્કમ રહ્યા. તેમણે અમારા મૌસાને જવાબ આપ્યો કે તે પોતાના જીવન અંગે નિર્ણય પોતે જ લઈ શકે છે. અને તેઓ બધાં ચૂપ થયાં. જો કે વર્ષો પછી તેમનાં જ દીકરીઓએ આંતરજ્ઞાતિ માં જ વિવાહ કર્યો એ વાત જુદી. મારા બહેનનું નામ, પતિના પરિવારમાં, હંસા થયું.

હન્નાથી નાના સાયમન. જેમના વિષે મેં ઉપર કહ્યું છે કે અમારા બે ભાઈઓના પગાર પર અમે ૭ જણાં, મમી-પપ્પા, ૪ ભાઈઓ (બે ભણનારાં) અને એક બહેન, નભતાં. કારણ મારાં બહેનને ટ્રેડ યુનિયનમાંથી કાંઈ ખાસ માનધન મળતું નહિ. તે વખતે સમાજવાદી પક્ષ બહુ સદ્ધર એવો નહિ, અને કામદાર અાંદોલન પણ કાંઈ બહુ સારી આર્થિક હાલતમાં હતું નહિ. તો ક્યારેક ૫૦ રૂપિયા, ક્યારેક ૭૫ રૂપિયા લાવી, માના હાથમાં આપતી. એક વાત મેં જોઈ હતી. જ્યાં સુધી મારા બન્ને ભાઈઓના લગ્ન થયાં નહોતાં, ત્યારે તેઓ અચુક માસિક વેતન મારા મમ્મીના જ હાથમાં લાવી આપતા. અને આખું ઘર મા સંભાળતી. અને પૈ પૈસો બચાવતીયે ખરું. એટલે મને યાદ છે કે મમ્મી જ્યારે બજાર કરવાં જાય ત્યારે માછલીની કીંમત ઓછી કરવાં માટે ૧૫ થી ૩૦ મિનિટ ત્યાં ભરેલાં બજારમાં મને સાથે લઈને ઊભી જ રહે ……. તમને આ વાતનું હસવું આવશે … પણ આ હકીકત છે. અને પછી માછલી વેચનારી પણ આમ તો ડોંગરી ઊમરખાડીમાં જ રહે, ને મમ્મીને ઓળખે, એટલે કીંમત ઓછી લઈને પણ માછલી આપી દે.

હા. અહીં તમને આશ્ચર્ય થશે કે શું અમે માંસાહારી હતાં. હા, હતાં. કારણ અમે તો યહૂદી કોમમાંના હતાં. માંડવી, ઊમરખાડી, મશીદમાં પ્રાર્થના માટે જતાં, અને યહૂદી લોકોના બધા તહેવારો પાળતાં. ઉપવાસ હોય ત્યારે મારા પપ્પા, મમ્મી ઉપવાસ પણ કરે. શનિવારે સાંજ સુધી મમ્મી સગડી ના સળગાવે. શુક્રવારે રાતે ૭ સુધી રસોઈ પતાવી, બળતાં કોલસા પર રાખ નાંખી રાખે, જેથી શનિવારે સગડી નવેસરથી સળગાવવાની જરૂર ના પડે. એવી બધી યુક્તિઓ મમ્મી કરે.

તો આવું હતું મારું જીવન. હું કાંઈ બહુ બ્રાઈટ વિદ્યાર્થી હતો નહિ. છતાં હંમેશાં પાસ થયો છું. કોલેજમાં પણ જ્યારે આ બે સર્વોદયના સાથીઓ મળવાં આવેલા ત્યારે હું જુનિયર બી.એ.માં ભણતો. મારાં વિષયો હતા, ઇંગ્લિશ (ઓનર્સ) અને સબસિડિયરી મરાઠી. સિદ્ધાર્થ કોલેજમાં હતો. ને અમને અંગ્રેજીના પ્રોફેસર ફ્રેક ડિસુઝા નામનાં શિક્ષક હતા. અને મરાઠીમાં તે વખતનાં મશહૂર લેખક અનંત કાણેકર અને તેમના જ વિદ્યાર્થી સં. ગ. માલશે (યાદ છે ત્યાં સુધી) શીખવતા..

બસ. મારી લાંબી થયેલી વાર્તા હવે પૂરી થવા આવી છે.

આ બે મિત્રો મળ્યા પછી, હું ત્યાં મંડલિકજીના ઘરે જવા માંડ્યો. જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવા માંડ્યો અને બસ, યાદ છે ત્યાં સુધી, ૧૮ એપ્રિલ ૧૯૫૫ માં પૂર્ણ સમયનો કાર્યકર તરીકે જોડાયો.

હા…… એક બે વાતો તે વખતની ચિંચલીકરજીના શિસ્ત વિષે કહેવી જ જોઈએ. તેઓ અમારા અધ્યયન તરફ ખાસ ધ્યાન રાખતા.. પહેલાં મને તેમણે ભૂદાન અંગે નાની નાની ૪ આના, ૮ આના, રૂપિયાની ચોપડીઓ પ્રકાશિત થતી, તે વાંચવા અાપી. કહ્યું કે જે કામ કરો છો તે વિષે પૂરી જાણ, જ્ઞાન તો હોવું જ જોઈએ. અને બીજી વાત એ કહી કે તરત આ મીલનાં કપડાં છોડી દો ને ખાદી ભંડારમાં જઈને ખાદીના શર્ટ પેંટ લાવીને પહેરવા માંડો. અને આ બન્નેનું પાલન તે વખતનું અમારું ગ્રુપ કરતું હતું. એટલે જ અમારું આંદોલન વિષે જ્ઞાન વધતું. અને શિબિરોમાં ખાસ વક્તાઓને બોલાવતા, તેમ જ તે વખતે સર્વ સેવા સંધ બહુ મજબૂત હતું. લગભગ ગાંધીજી, વિનોબાજી સાથે કામ કરેલાં નેતાઓ જ હતાં, જે રચનાત્મક કામો કરતાં હતાં, તેઓ સતત પ્રવાસ કરે, અને મુંબઈમાં તેમનો મુકામ હોય એક કે બે દિવસ. ત્યારે ભૂદાન સમિતિ તેમનાં વ્યાખ્યોનો રાખતી. અને જાહેર સભાઓનું આયોજન અમે કરતાં. અમારું ધીરે ધીરે એક ૨૦-૨૫ કાર્યકરોની જમાત તૈયાર થઈ હતી. ૧૯૫૪-૧૯૬૫-૭૦ સુધી.

બસ, મને લાગે છે, મેં લગભગ બધું જ તમને કહી દીધું. આમાં કાંઈ પૂછવાં જેવું તો હોય નહિ. પણ છતાં તમને મનમાં આ વાંચ્યા પછી કાંઈ એવો સવાલ ઊભો થાય કે જેનો જવાબ આપવામાં મારી બુદ્ધિને પણ ચાલના મળે, તો જરૂર પૂછજો … હં ને.

ડૅનિયલના જય જગત્

Loading

પૂરની ન્યૂઝ સ્ટોરી પાછળની ‘સ્ટોરી’

વિશાલ શાહ|Opinion - Opinion|8 September 2016

સુપરપાવર બનવાનાં સપનાં જોઈ રહેલા ભારતમાં દર વર્ષે ફક્ત ઋતુચક્રના બદલાવના કારણે હજારો લોકો કમોતે મરી જાય છે.

ભારતમાં ઠંડીને 'કાતિલ' કહે છે કારણ કે, શિયાળામાં હજારો લોકો ઠુંઠવાઈને મરી જાય છે. એવી જ રીતે, ગરમી 'કાળઝાળ' અને 'રેકોર્ડબ્રેક' હોય છે અને એ પણ અનેકનો ભોગ લે છે. શિયાળા-ઉનાળા પછી ચોમાસું આવે છે. ચોમાસું પણ અનેકના જીવ લે છે અને લાખો લોકોને ખેદાનમેદાન કરતું જાય છે. એટલે પૂર માટે પણ 'ભયાનક' અને 'પ્રકોપ' જેવા શબ્દો વાપરવામાં આવે છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દસ જણા કરતાં ઠંડી, ગરમી કે પૂરમાં મૃત્યુ પામેલા ૧૦૦ માણસની 'ન્યૂઝ વેલ્યૂ' ઘણી ઓછી હોય છે, કારણ કે, કમનસીબે, આપણે આ બધું સ્વીકારી લીધું છે. જો કે, અહીં ફક્ત પૂરની વાત કરવી છે.

પૂરનું 'પૂરબહાર'માં મીડિયા કવરેજ

આ વર્ષે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, આસામ અને મધ્યપ્રદેશમાં પૂરના કારણે ૪૦૦થી વધુ લોકોના મોત અને લાખો લોકો બેઘર થયા. દર વર્ષે મોતનો આવો ખેલ ખેલાતો રહે છે. આમ છતાં, આપણી પાસે પૂરથી થતાં જાનમાલનાં નુકસાન રોકવાનો કોઈ એક્શન પ્લાન નથી. આપણે સ્વીકારી લીધું છે કે, પૂર તો આવશે જ અને લોકો મરશે જ. પૂર આવે છે ત્યારે મીડિયા કવરેજ 'પૂરબહાર'માં ખીલે છે. વધુને વધુ ભયાનક તસવીરો ક્લિક કરીને મોતનું તાંડવ બતાવવાની હોડ જામે છે. લાલ લાઈટવાળી ગાડીઓમાં 'ઉડતા નેતાઓ' માટે હેલિકોપ્ટરમાં ઉડવાના દિવસો શરૂ થાય છે. ક્યારેક કોઈ નેતા, ભૂલથી, હવામાંથી જમીન પર પણ આવી જાય છે. જો કે, ગુલામી માનસિકતા ધરાવતા જીહજુરિયાઓ નેતાજીના પગ મેલા ના થઈ જાય એટલે તેમને ખભે ઉઠાવવા તૈયાર જ હોય છે. આપણી પ્રજા નેતાજીનું ચરિત્ર મેલું હોય તો ચલાવી લે છે પણ પગ નહીં!

પૂરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાતે આવે એ તો સારો નેતા કહેવાય, એમને તો માથે જ ચઢાવવાના હોય ને! બિલકુલ સાચી વાત. પૂરમાં ફસાયેલા લોકો માટે સરકાર રાતોરાત 'માઈબાપ' થઈ જાય છે. પૂરથી ગભરાયેલા લોકો વારંવાર આકાશમાં નજર કરતા હોય છે. ના, ભગવાનને પ્રાર્થના કરવા નહીં. ખરેખર તેઓ હેલિકોપ્ટરની રાહ જોતા હોય છે. હેલિકોપ્ટર આવશે અને ફૂડપેકેટ ફેંકશે તો ભૂખ્યા નહીં મરી જઈએ. અન્નના એક એક દાણા માટે મોહતાજ લોકો ફૂડપેકેજ માટે ધક્કામુક્કી અને ઝૂંટાઝૂંટ કરે છે. આ પ્રકારની તસવીરો ખરેખર ભયાનક હોય છે. પૂરની 'ન્યૂઝ સ્ટોરી'માં ફક્ત જાનહાનિ અને જાનમાલનાં નુકસાનની વાત કરવામાં આવે છે પણ એની પાછળ બીજી અનેક 'સ્ટોરી' છુપાયેલી છે.

લોકો માટે ‘જાન લેવા' પૂર નદીઓની જાન

આપણે એ યાદ રાખવાનું છે કે, પૂર એ કુદરતી પ્રક્રિયા છે. કોઈ પણ નદી પૂર વિના અધૂરી છે. આપણા માટે ‘જાન લેવા' પૂર નદીઓની જાન છે. પૂર આવ્યા પછી જ નદીઓ ફરી બે કાંઠે વહેવાં માંડે છે. પહાડી વિસ્તારના કાંપ નદીઓમાં પથરાય છે. ફરી એકવાર કાંપ વિસ્તારોની જમીનમાં પોષક તત્ત્વોની પરત બને છે, જે ખેતી માટે અત્યંત ફળદ્રુપ હોય છે.

હાલનું ઉત્તર ભારતનું પૂર ગંગા-યમુના અને તેની પેટા નદીઓનાં પાણીને આભારી છે. દેશની ૧૨૫ કરોડમાંથી ૫૦ કરોડ જેટલી વસતી તો ગંગા અને યમુનાના મેદાની વિસ્તારોની આસપાસ જ વસે છે. વિચાર કરો, આ બંને નદીઓનો વ્યાપ કેટલો હશે! આ નદીઓના કાંપ વિસ્તારમાં થતી ખેતીના આધારે સીધી અને આડકતરી રીતે કરોડો લોકોનું ગુજરાન ચાલે છે. પૂર આવે છે ત્યારે આવી લાખો હેક્ટર જમીન રિચાર્જ થઈ જાય છે. જમીની પાણીનું સ્તર ઊંચું આવે છે. નાની-નાની નદીઓ કાંપ અને પથ્થર ખેંચી લાવે છે. આ બધું જ નદીકિનારે જમા થાય છે, જેના કારણે નદીઓનો માર્ગ સાંકડો થતા પાણીનાં વહેણનો માર્ગ ઓછો થઈ જાય છે.

જો કે, મોટી નદીઓમાં પૂર આવે છે ત્યારે નાની-મોટી બધી જ નદીઓનો માર્ગ સાફ થઈ જાય છે. નાળું થઈ ગયેલી નદી ફરી એકવાર જીવંત થઈ જાય છે. રેતી માફિયાઓએ કબજો કર્યો હોય તો એમાંથી પણ પૂર મુક્તિ અપાવે છે. જે કામ સરકાર માઈબાપ નથી કરી શકતી એ કામ પૂર એક ઝાટકે કરી નાંખે છે.

તો પૂરનો ઉત્સવ કેમ નથી મનાવાતો?

જો પૂર આટલું સારું હોય તો આપણે તેનો ઉત્સવ કેમ નથી મનાવતા? આ સવાલનો વિગતે જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. હાલ ભારતમાં આવતાં પૂર મુદ્દે અધિકારપૂર્વક વાત કરી શકે એવા ગણ્યાગાંઠયા લોકો છે. આવું એક નામ એટલે દિનેશકુમાર મિશ્ર. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં બિહારનાં પૂર મુદ્દે મિશ્ર કહે છે કે, પૂર એ કુદરતી આપત્તિ નથી. જો પૂર કુદરતી દુર્ઘટના હોય તો એનાથી ફાયદો ના થાય. ઊલટાનું પૂરના કારણે જ બિહારની જમીન ઉપજાઉ છે. ખેતી સાથે સંકળાયેલા લોકો સારું કમાય છે અને એટલે જ પૂર પછી તેઓ રાજ્ય છોડીને જતા નથી રહેતા. અહીં પાણીનું સ્તર સારું છે એટલે જ હરિયાણા-રાજસ્થાનની જેમ બિહારમાં માથે બેડાં મૂકીને દૂર સુધી પાણી ભરવાં જતી મહિલાઓ જોવાં નથી મળતી. બિહારમાં નવ વર્ષ પછી આવું પૂર આવ્યું છે, જેનાથી કૃષિ અર્થતંત્રને ફાયદો થશે …

દિનેશકુમાર મિશ્રએ કહેલા મુદ્દા ધ્યાનથી વિચારવા જેવા છે. પૂર કુદરતી આપત્તિ નથી પણ કુદરતની મહેરબાની છે. પૂર કુદરતની દેન છે પણ વગર વિચાર્યે કરેલા વિકાસના કારણે પૂર વખતે મોતનું તાંડવ ખેલાય છે. આ કારણસર આપણી સામે પૂરનો ફક્ત બેહુદો ચહેરો જ સામે આવે છે. આ પૃથ્વી પર માણસો નહોતા ત્યારે પણ પૂર આવતાં જ હતાં. પૂર કોઈના રસ્તામાં નથી આવ્યું પણ આપણે પૂરના રસ્તામાં 'વિકાસ' કર્યો છે.

આપણે ધસમસતા પૂર સામે વિકાસકૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી જ પૂર આવે ત્યારે ઉત્સવ નથી મનાવી શકતા. આપણે નદીઓની જમીન પર અતિક્રમણ કરીને વિકાસ કર્યો છે. હજુ થોડા સમય પહેલાં જ કેદારનાથમાં 'વિકાસના કારણે સર્જાયેલી ભયાનકતા' આપણે જોઈ ચૂક્યા છે.

પૂરથી થતી જાનહાનિ રોકવા ટેક્નોલોજીની જરૂર

દેશમાં ૧૭૫ સ્થળે નદીઓ-બંધોમાં ખતરાની નિશાનીઓ લગાવાઈ છે, જેની ઉપર પાણી આવે એટલે એલર્ટ જાહેર કરાય છે. આ સિસ્ટમને ગેજ ટુ ગેજ કોરિલેશન કહે છે. ભારતમાં સેન્ટ્રલ વૉટર કમિશન દ્વારા જળસ્તરની આગાહી (વૉટર લેવલ ફોરકાસ્ટિંગ) કરાય છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે, ફલાણી નદી કે ફલાણા બંધનું પાણી ખતરાની નિશાનીથી ઉપર વહી રહ્યું છે. આ નિશાનીથી પૂર આવશે કે નહીં એ જાણી શકાય છે. સામાન્ય વ્યક્તિથી લઈને સરકારી નિષ્ણાતો આ સિસ્ટમમાં વિશ્વાસ કરે છે. આમ છતાં, પૂર ચૂપચાપ આવે છે અને તબાહી મચાવીને જતું રહે છે. આવું કેમ થાય છે? કારણ કે, આપણે જળસપાટી વધી રહી હોય એના આધારે ખતરાની આગાહી કરીએ છીએ. એ જળસ્તર જાણવાની સિસ્ટમ છે, પૂરની આગાહીની નહીં. જરા વિગતે સમજીએ.

નદી કે બંધમાં ખતરાની નિશાનીના આધારે ૫૦-૧૦૦ કિલોમીટર સુધીના દાયરામાં એલર્ટ આપી શકાય છે, પરંતુ આ પાણી કેટલા દૂર સુધીના વિસ્તારમાં ઉત્પાત મચાવી શકે છે એ જાણવાની આપણી પાસે સિસ્ટમ નથી. આ ટેક્નોલોજી ફ્લડ વૉટર ફોરકાસ્ટિંગ તરીકે ઓળખાય છે. જળસ્તરથી પૂરનું ભવિષ્ય ભાખવાની ઘણી મર્યાદા છે. એવી જ રીતે, આકાશમાંથી વરસતું પાણી ગીચ વિસ્તારોમાં ફેલાય એનું શું? વરસાદી પાણી માપવાની સિસ્ટમને સ્ટોર્મ વૉટર ફોરકાસ્ટિંગ કહે છે. જે સ્થળોએ નદીઓ નહીં, પણ વરસાદી પાણી પૂર લાવતી હોય ત્યાં આ ટેક્નોલોજીની જરૂર હોય છે. વરસાદી પાણીથી પૂર આવતાં હોય એવા વિસ્તારોમાં ગટર વ્યવસ્થા સહિતના કંગાળ શહેરી આયોજનનો વાંક કાઢવામાં આવે છે. આ ટેક્નોલોજીના આધારે આપણે એવું કહી શકીએ કે, વરસાદના કારણે જે તે શહેરના કોઈ વિસ્તારમાં તમારી કાર ડૂબી જઈ શકે છે! આ ઉપરાંત પૂરનું પાણી કેટલો સમય એ વિસ્તારમાં રહેશે એની પણ આગાહી થઈ શકે છે.

આપણે પૂરને સ્વીકારી લેવાના બદલે આ ક્ષેત્રના નિષ્ણાતો પેદા કરવા, યુનિવર્સિટી સ્તરે સંશોધનો કરવા અને સરકારી યોજનાઓમાં તેમને સામેલ કરવાના પ્રયાસ કરવા જોઈએ. આમ થશે તો જ પૂર 'પ્રકોપ' નહીં રહે!

***

દક્ષિણ ગુજરાત યુનિવર્સટીમાંથી પીએચ.ડી. કરનારા પૂર નિષ્ણાત

દેશમાં ગણ્યાગાંઠયા પૂર નિષ્ણાતોમાં દિનેશકુમાર મિશ્રનું નામ પહેલી હરોળમાં મૂકવું પડે. ઉત્તર ભારતમાં તેઓ 'બાઢ મુક્તિ અભિયાન' નામની સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તા તરીકે જાણીતા છે. આ સંસ્થા થકી મિશ્ર ભારતની ફ્લડ કંટ્રોલ પોલિસીમાં ફેરફાર કરવા પાયાનું આંદોલન ચલાવી રહ્યા છે. દિનેશકુમારે (જન્મ ૧૯૪૮) વર્ષ ૧૯૬૮માં આઈ.આઈ.ટી.-ખરગપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ અને વર્ષ ૧૯૭૦માં એમ.ટેક. કર્યું. નેવુંના દાયકામાં મિશ્રની પ્રોફેશનલ એન્જિનિયર તરીકે પ્રેક્ટિસ ધમધોકાર ચાલી રહી હતી. આ દરમિયાન બિહારમાં વર્ષ ૧૯૮૪માં પૂર આવ્યું, જેમાં ૮૦ સ્ક્વેર કિલોમીટરમાં પાંચેક લાખ લોકો રઝળી પડ્યા હતા. એક મિત્રના કહેવાથી મિશ્રએ આ પૂરનો અહેવાલ તૈયાર કરવાનું બીડું ઝડપ્યું. આ કામ માટે તેઓ હોડીમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા, જ્યાં તેમણે ઠેર ઠેર મોતનું તાંડવ જોયું. આ દૃશ્યો જોઈને તેઓ રીતસરના હેબતાઈ ગયા હતા.

આ ઘટના પછી મિશ્રએ ભારતના પૂરના ઈતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. ભારતમાં પૂરના ઇતિહાસનું યોગ્ય દસ્તાવેજીકરણ થયું નહીં હોવાથી તેમને પારાવાર તકલીફ પડી. જો કે, તેમણે સામે પાણીએ તરીને પૂર વિશે જાણકારી મેળવવાનું નક્કી કર્યું. એ પછી તેઓ એક વર્ષ માટે રીતસર કોલકાતાની નેશનલ લાઈબ્રેરીમાં રહેવા જતા રહ્યા. અહીં તેમણે બિહારના વિવિધ અખબારોના ૪૦ વર્ષના અંકોમાં આવેલા પૂર, વૉટર મેનેજમેન્ટ, પૂરને લગતા વિવાદો, વિવિધ કમિશનોના અહેવાલો અને નિષ્ણાતોની ચર્ચાના સમાચારો-અહેવાલો અને પુસ્તકોનો ઊંડો અભ્યાસ કર્યો. પૂર વિશે પૂરતી માહિતી મેળવીને મિશ્રએ પૂરના અસલી અને સત્તાવાર દસ્તાવેજો માટે બિહારની સરકારી કચેરીઓના ધક્કા પણ ખાધા.

આટલી મહેનત પછી તેમણે પહેલું પુસ્તક લખ્યું, 'બાઢ સે ગ્રસ્ત'. આ પુસ્તક અને તેમના અહેવાલોને એટલો જોરદાર આવકાર મળ્યો કે, વર્ષ ૧૯૮૬માં મિશ્રએ પ્રોફેશનલ એન્જિનિયર તરીકે નોકરી છોડીને વૉટર મેનેજમેન્ટ અને ફ્લડ એક્સપર્ટ તરીકે કામ શરૂ કર્યું. હાલ તેઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં કામ કરી રહેલા સરકારી એન્જિનિયરો અને પોલિસી મેકર્સ સાથે મળીને એક શાંત આંદોલન ચલાવી રહ્યા છે.

દેશભરમાં સંશોધનના નામે હાસ્યાસ્પદ વિષયોમાં પીએચ.ડી. કરીને 'સેટલ' થવાનો જુવાળ ચાલી રહ્યો છે ત્યારે દિનેશકુમાર મિશ્રએ વર્ષ ૨૦૦૬માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 'ઈમ્પેક્ટ ઓફ ફ્લડ કંટ્રોલ પોલિસીઝ ઓન ધ પીપલ ઓફ સહર્સ ડિસ્ટ્રિક્ટ ઓફ નોર્થ બિહાર' વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને દેશને એક મહામુશ્કેલીમાંથી ઉગારવાનું પાયાનું કામ કરી રહ્યા છે.

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

Loading

હવે ઘણીખરી બાળમજૂરી કાયદેસર?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 September 2016

દેશમાં મતદાનની લઘુતમ ઉંમર ૧૮ વરસની હોય, તો ભણવા-કમાવાની ઉંમર ૧૪ વરસની કેમ?

સંસદનું છેલ્લું વર્ષાસત્ર જી.એસ.ટી. બિલ પસાર થવાને કારણે જેટલું વખણાય છે તેટલું બાળમજૂરી કાયદેસર કરતું બિલ પસાર કરવાને કારણે વખોડાતું નથી! ‘બાળશ્રમનિષેધ અને નિયમન સંશોધન વિધેયક ૨૦૧૬’ હાલના બાળમજૂરી વિરોધી કાનૂનોને નરમ બનાવે છે. આમ તો આ વિધેયકનો ઉદ્દેશ, ૧૪ વરસ સુધીના બાળકોને કુટુંબના વ્યવસાયમાં અને ફિલ્મ-ટેલિવિઝન કાર્યક્રમોમાં કામ કરવાની છૂટ આપવાનો જણાવાયો છે, પણ વાસ્તવમાં તે બાળમજૂરીનાં નિકૃષ્ટતમ રૂપોને અને સરવાળે બાળમજૂરીને કાયદેસર બનાવે છે.

હાલના બાળમજૂરી નિષેધ કાયદાઓમાં બાળકોના આરોગ્ય અને સુરક્ષાની દૃષ્ટિએ મજૂરી માટે ખતરનાક ગણાતા વ્યવસાયો ૮૩ છે, તે આ વિધેયકમાં ઘટાડીને માત્ર ૩ જ કરી દેવામાં આવ્યા છે. હવે ખાણ, જ્વલનશીલ પદાર્થ અને વિસ્ફોટક ઉદ્યોગોને જ ખતરનાક ગણાવી તેમાં બાળમજૂરી પ્રતિબંધિત કરી છે. આ બિલ બાળકોને પારિવારીક ધંધારોજગારમાં  કામ કરવાની મંજૂરી આપે છે. એટલે કે તે દલિતોનાં બાળકો તેમના જાતિગત ધંધાઓમાં જોતરાયેલાં રહે તે મંજૂર રાખે છે. પરિવાર દ્વારા થતી મજૂરીમાં બાળકોની સામેલગીરી અને શાળા સમય બાદની બાળમજૂરીને યોગ્ય ઠરાવતું આ વિધેયક એવા સમયે આવ્યું છે જ્યારે બાળમજૂરી નાબૂદીના પ્રયત્નો માટે  ભારતીય કર્મશીલ કૈલાસ સત્યાર્થી નોબેલ પુરસ્કૃત થયા છે! જો કે લાખો બાળકોને ફરી મજૂરીએ  ધકેલતા આ બિલનો ઝાઝો વિરોધ થતો જોવા મળતો નથી.

બાળમજૂરી આ દેશની શરમજનક વરવી વાસ્તવિકતા છે. શાળાએ જવાની ઉંમરે આ દેશના આવતી કાલના નાગરિકોને પેટનો ખાડો પૂરવા મજૂરી કરવી પડે છે. ખેતરો, કારખાનાં, મિલો, હોટલો, દુકાનો અને ઘરોમાં બાળકો કાળી મજૂરી કરે છે. કચરો અને કાગળો વીણે છે, જાહેર સ્થળોએ બૂટપોલીશ કરે છે, ઢોર ચરાવે છે, તો ભીખ પણ માગે છે. પ્રતિબંધિત ખતરનાક વ્યવસાયો, દારૂખાનાની ફેકટરીઓ, કાચ અને બંગડી ઉદ્યોગ, ચાના બગીચા, ગાલીચા અને તાળા બનાવવાનું કામ, સાડી પર જરીકામ, ઈંટોના ભઠ્ઠા, પાવરલૂમ્સ, સ્લેટ-પેન બનાવવી, બીડી અને હીરા ઉદ્યોગ, તથા નગરો-મહાનગરોના વેશ્યાગૃહોથી માંડીને ઘરનોકર તરીકે આ દેશનું બચપણ કમરતોડ મજૂરીમાં પીસાઈ-પીડાઈ રહ્યું છે.

ભારતમાં ૧૪ વરસ સુધીની ઉમરનાં બાળકોની વસ્તી એક અમેરિકા જેટલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫ થી ૧૪ વરસ સુધીનાં બાળકો દેશમાં ૨૫.૯૬ કરોડ છે. તેમાંથી ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. ૫ થી ૯ વરસના ૨૫.૩૩ લાખ બાળકો ૩ થી ૧૨ માસ સુધી મજૂરી કરે છે. દેશનાં પાંચ મોટાં રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં દેશના કુલ બાળમજૂરોના ૫૫ ટકા બાળમજૂરો છે. દેશની કુલ શ્રમશક્તિમાં બાળમજૂરોનો હિસ્સો ૩.૬ ટકા છે. દેશના દર દસમાંથી નવ બાળકો મજૂરી કરે છે. તે પૈકી ૮૫ ટકા ખેતી, ખેતમજૂરી અને પશુપાલનમાં, ૯ ટકા ઉત્પાદન-સેવા અને બાંધકામમાં, જ્યારે ૦.૮ ટકા કારખાનાંમાં કામ કરે છે. જો કે આ સરકારી આંકડાઓ બાળમજૂરી નાબૂદી માટે કામ કરતી સંસ્થાઓ સ્વીકારતી નથી અને ખરેખર આના કરતાં ઘણાં વધારે બાળકો મજૂરી કરતા હોવાનું જણાવે છે.

ઔદ્યોગિક વિકાસની સાથે જ દુનિયામાં બાળમજૂરીનો ઉદ્દભવ થયાનું મનાય છે. ભારતમાં ગરીબી અને બેકારીને કારણે બાળમજૂરી પ્રવર્તે છે. અંગ્રેજ શાસનકાળમાં રોયલ કમિશને બાળમજૂરીનાબૂદી અંગે સૌ પ્રથમ વિચારણા હાથ ધરી હતી. આઝાદી બાદ ઘડાયેલા ભારતના બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણના અનુચ્છેદ ૨૩ અને ૨૪માં બાળમજૂરી નાબૂદીની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૪માં, ‘૧૪ વરસથી નીચેની ઉમરનાં બાળકોને કારખાનાં, ખાણ અને ખતરનાક વ્યવસાયમાં મજૂરીએ રાખી શકાશે નહીં’ તેવી સ્પષ્ટ જોગવાઈ છે.

બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ ૩૯(ચ)માં,‘બાળકોના સ્વતંત્ર અને ગરીમામય સમાન વિકાસ અને શોષણ નાબૂદી’ની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૫માં બાળકો અને સ્ત્રીઓના અધિકારોની રક્ષા અંગે યોગ્ય કાયદા બનાવવાની રાજ્યોને સત્ત્તા આપવામાં આવી છે. તે મુજબ આઝાદી પૂર્વે અને પછીના ૧૨ જેટલા કાયદાઓ દ્વારા બાળકલ્યાણ માટેની અને બાળમજૂરી પર પ્રતિબંધ મૂકતી કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. ૨૦૧૬નું વર્તમાન વિધેયક પારોઠના પગલા જેવું છે. તે વિશ્વ બજારમાં ભારતની સારી શાખ ઊભી કરવા લેવાયેલું છે. જ્યારે દેશમાં પ્રતિવર્ષ ૨.૨ ટકાના દરે જ બાળમજૂરી ઘટતી હોય ત્યારે વર્તમાન બાળમજૂરીને ખતમ થતાં સો વરસ નીકળી જાય તેમ છે. પરંતુ સરકારે બાળમજૂરીને જ કાયદેસર  કરી તેને નાબૂદ કરી દેવાનો અદ્દભુત કીમિયો કર્યો છે.

બાળમજૂરીના નામે બાળકોનું કેવું નઘરોળ શોષણ થાય છે તે સર્વવિદિત છે. બાળકો પાસે દસથી બાર કલાક વૈતરું કરાવવામાં આવે છે. તેમને એક જ ઓરડામાં સમૂહમાં રાખવામાં આવે છે. નજીવી ભૂલ થાય તો પણ ઢોરમાર મારવામાં આવે છે, પૂરતું ખાવાનું મળતું નથી, નશીલી ચીજોના સેવનની આદતો પડાય છે. રોટલાના ટુકડા માટે જીવતાં આ બાળકોની હાલત અંગે જસ્ટિસ પી.એન. ભગવતીએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું તેમ, બાળમજૂરો અમાનવીય સ્થિતિમાં જીવે છે, આપણી સભ્યતાથી બહિષ્કૃત છે. જાનવરોથી બદતર જિંદગી જીવતા આ બાળકો બંધનોમાં જકડાયેલાં છે  અને તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે.

કુટુંબની ઉમરલાયક વ્યક્તિને મજૂરી ન મળતાં કે અપૂરતી મળતાં તેઓને બાળકોને મજૂરી કરાવવી પડે છે. એટલે જો બાળમજૂરી નાબૂદ કરવી હશે તો એકલા જાગૃતિ કાર્યક્રમોથી નહીં ચાલે. બાળમજૂરોનાં માબાપોને માત્ર પેટ ભરવા પૂરતી મજૂરી જ નહીં, જીવનયોગ્ય મજૂરી મળવી આવશ્યક છે. ગરીબી અને બેરોજગારી ઘટે તે દિશામાં પૂરતા વેતનવાળી રોજગારીના સર્જનના પ્રયત્નો કરવા પડશે. આ સમસ્યાનો એક ઉકેલ શિક્ષણ છે. જે બાળક શાળામાં નથી, તે મજૂરી કરે છે તે સાદું સત્ય છે.

પણ બાળકને મજૂરીએથી શાળામાં લાવવું હશે, તો તેના માટે રોજગારી આપતા ગુણવત્તાયુક્ત વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રબંધ કરવો પડશે. બાળકોની કમાણીથી ઘર- કુટુંબની આવકપૂર્તિ થતી હોય ત્યારે બાળકને શિક્ષણ સાથે થોડી આર્થિક રાહત આપવી જોઈએ. આ બધાનો ઉકેલ બાળકને પારિવારીક વ્યવસાયમાં ધકેલવામાં નથી. પ્રાથમિક શિક્ષણનો અધિકાર મહત્ત્વનો છે, પણ બાળમજૂરી કે શિક્ષણના અધિકાર માટેની ૧૪ વરસની ઉમર યોગ્ય નથી. જો મતદાનની ઉમર ૧૮ વરસની હોય તો ભણવા-કમાવાની ઉમર ૧૪ વરસની કેમ?

જે દેશમાં બાળગોપાલની ભક્તિભાવે પૂજા થતી હોય, દર વરસે રામ અને કૃષ્ણના જન્મોત્સવો ધૂમધામથી મનાવાતા હોય, તે દેશમાં બાળકો ખેલવા-કૂદવાની કે ભણવા-ભમવાની ઉમરે મજૂરી કરે તે સ્થિતિ હવે બંધ થવી જોઈએ. દેશની ઉજળી આવતીકાલ માટે વસુંધરાના આ વહાલાંદવલાંને ખોળે લેવાની અને મૂરઝાતાં ફૂલોને નવપલ્લવિત કરવાની જરૂરિયાત છે.  બાળમજૂરીને કાયદેસર કરતા કાયદા ઘડવાથી  કે તેના માપદંડો નરમ કરવાથી કાગળ પર કદાચ બાળમજૂરી નાબૂદ થશે પણ હકીકત બદલાશે નહીં.

સૌજન્ય : ‘વિદ્યાર્થી અને નાગરિક’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-most-child-labor-is-now-legalized-article-by-chandu-maheriya-gujarati-news-5412812-NOR.html

Loading

...102030...3,5803,5813,5823,583...3,5903,6003,610...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved