Opinion Magazine
Number of visits: 9690309
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માન્ચેસ્ટરમાં શાંતિ અને એકતાની મશાલ

આશા બૂચ|Opinion - Opinion|23 July 2016

તારીખ 17મી જુલાઈ [2016] રવિવારની બપોરે, માન્ચેસ્ટર ટાઉનહોલના મધ્યખંડમાં, વિવિધ ભાષા, સંસ્કૃિત, ધર્મ અને વિચારોની પૃષ્ઠભૂમિ ધરાવનારા લગભગ અઢીસો જેટલાં નાગરિકો ‘શાંતિ અને એકતા’ નામક કાર્યક્રમમાં હાજરી આપવા ઉમટી પડેલાં.

કોમી એખલાસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર આમેર સાલેમનું ચિત્ત થોડા વખત પહેલાં પેરિસમાં આતંકવાદી હુમલાને કારણે થયેલ જાનહાનિથી અત્યંત વ્યથિત થઈ ગયું. આથી તેઓ પહોંચ્યા સીધા માન્ચેસ્ટર કેથેડરલના ડીન રોજર્સ ગવન્ડર પાસે, અને કહ્યું, “આ ‘ઇસ્લામોફોબિયા’ નામના દૈત્યને ઉંબર બહાર રાખવા, ચાલોને આપણે કઇંક કરીએ.” કેથેડરલના ડીનને થયું, આ પ્રશ્ન કંઈ માત્ર મુસ્લિમ પ્રજાનો નથી, સહુ કોઈનો છે. તેમણે આ વિશે માન્ચેસ્ટર સીટી કાઉન્સિલના અધિકારીઓ સાથે વાત કરી અને વિવિધ સંસ્કૃિતના પ્રતિનિધિઓ અને ધર્મના આગેવાનોને આ વિશે વિચાર વિમર્શ કરવા નિમંત્ર્યા, જેમાં માન્ચેસ્ટર સ્થિત ભારતીય સમુદાયના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાની મને તક મળી. પરસ્પરના અનુભવો, વિચારો અને ભાવનાઓની આપ લે કર્યા બાદ એક સુંદર સાંસ્કૃિતક કાર્યક્રમનું આયોજન થયું.

કાર્યક્રમના શ્રીગણેશ કરતાં ડીને સાંપ્રત સમયમાં દરેક ગામ, શહેર, અને સમગ્ર દેશમાં રહેતી પ્રજાના ખાન-પાન, રહેણી-કરણી, પોશાક, ભાષા, જીવન પદ્ધતિ, સાંસ્કૃિતક ધરોહર, ધર્મ વિશેના ખ્યાલો અને તેમની અસ્મિતા વિશે એક બીજાને જાણ હોવી કેટલું અગત્યનું છે તે વિશે વાત કરી. ગુનેગાર ગુનો કરે અને ન્યાયતંત્ર તેને સજા કરે તેથી સમાજ સુધરે નહીં, શાંતિ સ્થપાય નહીં. ગુનાઓ અને આતંકની જડ પ્રજાના પરસ્પર માટેના અજ્ઞાન, પૂર્વગ્રહો અને નફરતમાં છે. જો આપણે એક બીજાના જીવનમાં રસ લઈએ, તેમના તહેવારો ઉજવવામાં ભાગીદાર થઈએ, સાથે ગાઈએ, નાચીએ, ભોજન લઈએ, પ્રાર્થના કરીએ તો આપોઆપ ઉપર કહી તેવી નકારાત્મક લાગણીઓ જન્મવાની શક્યતા ઘટી જાય એ હેતુથી આ સાંસ્કૃિતક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એવું તેમણે પ્રતિપાદિત કર્યું.

અર્ધા કલાક સુધી ખ્રિસ્તી પ્રાર્થનાનું રેવરન્ડ બોબ ડેએ કરેલ વાંચન, રબાઈ નાટન ફાગલમેનના બુલંદ સૂરમાં ગવાયેલ જુઇશ ધર્મની હિબ્રુ ભાષાની પ્રાર્થના, ઇમામ ઇરફાન ચિસ્તીએ ઊંચા સ્વરમાં ગયાયેલ કુરાનની આયાત, દાસ હની સીંગે ભક્તિભાવ પૂર્વક ગાયેલ સીખ અરદાસ, બુદ્ધ લાઈટ ઇન્ટરનેશનલ એસોસિએશને કરેલ બૌદ્ધ પ્રાર્થનાનું સમૂહ વાંચન અને મોક્ષ નામના સંગઠનના સામવેદના સંસ્કૃત શ્લોકના સુરીલા ગાનથી સમગ્ર હોલ ગુંજી ઊઠ્યો. દરેક પ્રાર્થનાનો અર્થ ટૂંકમાં સમજાવાયો જેથી શ્રોતાઓ તેનો પૂરેપૂરો રસાસ્વાદ માણી શક્યા. વળી, દરેક પ્રાર્થના કરનાર પોતપોતાના દેશના પારંપરિક પોશાક પહેરીને આવેલા, તેથી સમગ્ર દ્રશ્ય એક રંગીન અને વિવિધતાથી ભરપૂર ભાષા તથા પોષાકથી રસાયેલું લાગતું હતું. તે અવસરની એક તસ્વીર અહીં પ્રસ્તુત છે.

આ વિવિધ રંગી શહેરના તમામ પ્રકારના લોકોને સમાવિષ્ટ કરવાનો અભિક્રમ હતો. તેથી સાંસ્કૃિતક કાર્યક્રમની શરૂઆત આફ્રિકન કેરેબિયન ડિમેન્શિયા ક્વાયરના જીવંત ગાનથી થઈ. જે લોકો વિસ્મૃિતનો ભોગ બન્યાં છે એવાં ભાઈ-બહેનો, તેમનાં કુટુંબીજનો અને તેમની સંભાળ રાખનારાં આશાવાદી લોકોએ ભેળાં મળીને ત્રણ સુંદર રચનાઓ રજૂ કરી.  ઈંગ્લીશ ભાષાના ગાન બાદ કિંગ ડેવિડ પ્રાથમિક શાળાના બાળકોએ હિબ્રૂમાં સાબાથને આવકારતાં ત્રણ ગીતો ભારે ઉત્સાહ સાથે ગાયાં. ત્યાર બાદ બૌદ્ધ બહેનોએ મંજુશ્રી મંત્ર અભિનય સાથે રજૂ કરીને શ્રોતાઓને પરમ શાંતિનો અનુભવ કરાવ્યો.

કોઈ પણ મેળાવડો હોય ત્યાં ખાણી-પીણી પણ તેનું અવિભાજ્ય અંગ હોય છે. માન્ચેસ્ટર ટાર્ટ, કોશર પેસ્ટ્રી અને કૅઇક એ આ શહેરની વિશિષ્ટ વાનગીઓ, જે આરોગતાં લોકોને એકબીજાનો પરિચય કેળવતા જોઈને મન ખુશ થઈ ગયું.

માન્ચેસ્ટરના લોર્ડ મેયર ઑસ્ટીન બેહન, પોલીસ કમિશનર ટોની લોઇડ અને ચીફ પોલીસ ઇન્સ્પેકટર ઉમેર ખાને વિચાર પ્રેરક વક્તવ્યો આપ્યાં. તેઓને માર્ટિન લ્યુથર કિંગ અને મહાત્મા ગાંધીના વિચારોએ ખૂબ પ્રેરણા આપી છે અને તેથી જાતિ, રંગ, ધર્મ, કે સંસ્કૃિત જેવા કશાના ભેદભાવમાં ન માનતા હોવાને કારણે પ્રજાને વિભાજીત કરનારા તત્ત્વો સામે ઐક્યની ભાવના કેળવવાની સહુને ટહેલ નાખી.

દરેકના ટેબલ પર ‘તમારી કોમમાં અને બે અલગ અલગ કોમ વચ્ચે શાંતિ અને એખલાસ સ્થાપવા – ટકાવી રાખવા તમે શું કરશો?’ એ પ્રશ્ન મુકેલો. હાજર રહેલા સહુને વ્યક્તિદીઠ ત્રણ સૂચનો મેળવીને તેમાંથી કોઈ એક પસંદ કરી પાન આકારના કાગળ પર લખી એક સુંદર નાના ઝાડ પર મુકવાનું કહેવામાં આવ્યું. જે સૂચનો વંચાયાં એ સાંભળીને હાજર રહેલા લોકો તમામ કોમ માટે કેટલો આદર ધરાવે છે, એકબીજા વિશે જાણવા કેટલું ખુલ્લું મન ધરાવે છે અને કેટલી શાંતિપ્રિય છે તે જાણીને તેમને માટે માન ઉપજ્યું.

વક્તવ્યો અને ચર્ચા બાદ સેક્રેડ સાઉન્ડ વિમેન્સ કવાયરની બહેનોએ સર્બિયન ભાષામાં ગવાયેલ એક લોકગીત રજૂ કર્યું જેમાં ગન એક બાજુ મૂકી, લડાઈ છોડીને શાંતિની શોધમાં નીકળી પડીને સાથે મળીને નાચવાનું આમન્ત્રણ છે. તેમની બીજી રચના હિબ્રુ ભાષામાં હતી જેનો અર્થ છે, મને તારો અવાજ સાંભળવા દે, કેમ કે તે અતિ સુંદર છે. આ બહેનોએ તો શ્રોતાઓને પણ પોતાના ગાનમાં જોડી દીધાં. નોર્થ વેસ્ટની જાણીતી સૂફી કવયિત્રી અને ગાયિકા સારાહ યાસીને તેના સાથીદારો સાથે ત્રણ નશીદ રજૂ કરીને એક જુદી જ સંગીત પ્રણાલીનો પરિચય કરાવ્યો. તેમના સંગીતના તાલે કશ્મીરી લોકોને અભિનય કરતા જોવાનો લ્હાવો મળ્યો. બારથી ચૌદ વર્ષની ઉંમરના ચાર બાળકોએ તેમના કુમળા પણ સંપૂર્ણ તાલીમ પામેલા કંઠમાં બાજા અને તબલાની સંગાથે ત્રણ સીખ શબદ ગાઈને સહુને પ્રભાવિત કરી દીધા. તે પછી સ્ટેજનો કબજો બે યુવા ગાયકોએ લીધો. તેમણે ઉર્દૂમાં ખ્રિસ્તી ધર્મનાં ગીતો એવી હલકથી ગાયાં કે શ્રોતાઓના પગ થનગની રહ્યા. સૂફી નર્તકોની આગેવાની હેઠળ ધીરે ધીરે લગભગ બધા શ્રોતાઓ/દર્શકો નર્તન કરવા લાગ્યા. ત્રણેય કવાયરની બહેનો, શાળાના બાળકો તો છૂટથી જોડાયા, પરંતુ માન્ચેસ્ટર કેથેડ્રલના ડીન, લોર્ડ મેયર, પોલીસ કમિશનર, ચીફ પોલીસ ઇન્સ્પેકટર, રબાઈ, ક્રિસ્ટિયન મિનિસ્ટર, સૂફી ભક્ત, બૌદ્ધ બહેનો, ઇમામ અને કાર્યક્રમનું સંચાલન કરનારા સહુ એકદમ સહજતાથી એકબીજાની કમરે હાથ મૂકીને ઝૂમી ઝૂમીને મિનિટો સુધી આનંદે તાલબદ્ધ નાચતા રહ્યા અને ત્યાર બાદ ખૂબ પ્રમેથી એકબીજાને ભેટતા રહ્યા, એ આખું દ્રશ્ય આંખને ભીંજવી ગયું. તેની ઝાંખી એક નાની ક્લિપથી આપવા કોશિશ કરું છું.

https://www.facebook.com/snehal.pandit.923/videos/649567085193323/

આયોજન કરનાર માન્ચેસ્ટર કેથેડ્રલ, કાઉન્સિલ અને તેની સમિતિના સભ્યોને ધાર્યા કરતાં વધુ સફળતા મળ્યાનો સંતોષ થયો, ભાગ લેનારા કલાકારોને આવી સુંદર તક માટે આભારની લાગણી થઈ અને શ્રોતાઓને આવા અદ્દભુત ઐક્યના અનુભવ બદલ આનંદ થયો એ આ કાર્યક્રમની ફલશ્રુતિ. ‘આવો મેળાવડો દર વર્ષે કરશોને?’ એવું પૂછીને લોક જુદા પડયા.

કોણ કહે છે ધર્મ અને સંસ્કૃિત એકબીજાને વિભાજીત કરે છે? આવા સાંસ્કૃિતક કાર્યક્રમો જેમનાં મન અસંતોષ, નફરત, ક્રોધ અને હિંસાથી ભરાઈને ભટકી રહ્યાં છે તેમની પાસે લઈ જવા રહ્યા.

e.mail : 71abuch@gmail.com

Loading

અબ્દુલ સત્તાર એધી દરેક ઇન્સાનમાં અલ્લાહને જોતા

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|23 July 2016

વિદેશી નાણાં દ્વારા સેવા ન કરવાનો અબ્દુલ સત્તાર એધીએ સંકલ્પ કર્યો હતો અને પાકિસ્તાનના મુસ્લિમોએ, ખાસ કરીને ગુજરાતી મુસ્લિમોએ ક્યારે ય એધીસાહેબનો સંકલ્પ તૂટવા નથી દીધો. શરૂઆત બે લાખ રૂપિયા અને એક અૅમ્બ્યુલન્સ સાથે થઈ હતી. આજે એધી ફાઉન્ડેશન પાસે 1,800 અૅમ્બ્યુલન્સ છે અને સેવાનાં અનેક ક્ષેત્રોમાં કામ કરે છે

પાકિસ્તાનમાં માત્ર આતંકવાદીઓ જ વસે છે એમ માનવામાં ઘણા હિન્દુઓને આનંદ આવે છે. પાકિસ્તાનમાં આબિદા પરવીન જેવાં સૂફી ગાયકો પણ વસે છે અને હમણાં જ જન્ન્તનશીન થયેલા અબ્દુલ સત્તાર એધી જેવા જીવતા પીર કે ફકીરો પણ વસે છે. તેમણે પોતાની જિંદગી દુ:ખી લોકોની સેવા કરવામાં ઘસી નાખી હતી અને આજીવન પોતે એક નાનકડા ઓરડામાં સાદગીપૂર્વક જીવ્યા હતા. પાકિસ્તાનમાં આતંકવાદી હિંસાની ઘટના વખતે કે કુદરતી આફતો વખતે એધી ફાઉન્ડેશનની ઍમ્બ્યુલન્સો અને વૈદકીય રાહત પહોંચાડવા દોડદોડી કરતા સ્વયંસેવકો જોયા હશે. પાકિસ્તાનમાં એવી કોઈ દુ:ખદ ઘટના ઘટી નહીં હોય જ્યાં એધી કે એના માણસો આંસુ લૂછવા ઉપસ્થિત ન હોય. તેઓ પાકિસ્તાનના ફાધર ટેરેસા કે એન્જલ ઑફ મર્સી તરીકે ઓળખાતા હતા અને આપણે ગર્વ લેવો જોઈએ કે તેઓ ગુજરાતી મુસ્લિમ હતા.

અબ્દુલ સત્તાર એધીનો જન્મ 1928માં ગુજરાતમાં જૂનાગઢ નજીક બાંટવામાં થયો હતો. જો જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ણય ન લીધો હોત અને એ પછીથી જૂનાગઢ રિયાસતમાં જે ઘટનાઓ બની એ ન બની હોત તો કદાચ એધી બાંટવા છોડીને પાકિસ્તાન ન ગયા હોત. બને કે એ પછીનાં લોહિયાળ વર્ષોમાં પાકિસ્તાનને ફાધર ટેરેસાની જરૂર પડવાની હતી એટલે એધીના નસીબમાં પાકિસ્તાન જઈને વસવાનું લખાયું હશે. એધી જેવા માનવતાવાદીઓને પોતાનું માદરે વતન છોડવું પડે એ શરમની વાત છે અને એનાથી પણ મોટી શરમની વાત એ છે કે તાલિબાનો એધી જેવા એન્જલ ઑફ મર્સીની હત્યા કરવાનો પ્રયાસ કરે. માણસ બહુ ધીમી રફતારે સુધરે છે અને એધી જેવાઓ આપણને યાદ અપાવતા રહે છે કે આપણે હજી માનવતાની મંઝિલથી ઘણા દૂર છીએ. પાકિસ્તાનમાં મુસ્લિમોની એક જમાત એધીને કાફિર તરીકે ઓળખાવતી હતી, કારણ કે તેઓ દરેક ઇન્સાનમાં અલ્લાહને જોતા હતા. એક વાર કોઈ ધર્મઝનૂની માણસે એધીને સવાલ કર્યો કે તમે તમારી ઍમ્બ્યુલન્સમાં કાફિરોને શા માટે લઈ જાઓ છો ? એધીએ તેમને જવાબ આપ્યો હતો કે ઍમ્બ્યુલન્સ તમારા કરતાં સાચી મુસલમાન છે એટલે.

અબ્દુલ સત્તાર એધી 11 વર્ષના હતા ત્યારે તેમની માતાને પક્ષાઘાતનો હુમલો આવ્યો હતો. 11 વર્ષના અબ્દુલને સેવાના સંસ્કાર માતાની સારવાને કારણે મળ્યા હતા. એધી કહેતા પણ ખરાં કે માતાની માંદગી માનવીની પીડાને સમજવા માટેનો અવસર બનીને આવી હતી. એધી 19 વર્ષના હતા ત્યારે ભારતનું વિભાજન થયું હતું. જૂનાગઢ નવાબને કારણે કોમવાદી વમળમાં ફસાયું હતું, મુસ્લિમોની સ્થિતિ નોધારા જેવી થઈ ગઈ હતી અને અમ્મી જિંદગીના છેલ્લા દિવસો ગણી રહ્યાં હતાં. લકવાગ્રસ્ત માતાને લઈને સ્થળાંતર મુશ્કેલ હતું અને બાંટવામાં જિંદગી વસમી થતી જતી હતી. એ યાતનામય દિવસોમાં જ માતાનું અવસાન થયું હતું અને પછી તરત જ એધી કરાચી ચાલ્યા ગયા હતા.

અબ્દુલ સત્તાર એધીએ કરાચી જઈને પ્રારંભમાં પોતાને અને પોતાના પરિવાને થાળે પાડવાની જદ્દોજહદ કરવી પડે એમ હતી તો સામે વિભાજન પછી કરાચી શહેર પણ લોહીલુહાણ હતું. ભારતથી પાકિસ્તાન ગયેલા ગરીબ નિરાશ્રિતો ઘરની ફાળવણીના અભાવમાં છાવણીઓમાં અને કેટલાક તો રસ્તા પર પડ્યા હતા. મલેરિયા અને કૉલેરા જેવી બીમારીઓમાં લોકો મરતા હતા ત્યારે પોતાના માટે છાપરું શોધનારા એધીએ નિરાશ્રિતો માટે આઠ બાય આઠનું પતરાનું છાપરું બાંધીને સેવા કરવા માંડી હતી. કરાચીમાં એધી ફાઉન્ડેશનની સેવાપ્રવૃત્તિની આ રીતે શરૂઆત થઈ હતી. અબ્દુલ એધીએ પોતાના ગુજારા માટે કપડાંની દલાલી શરૂ કરી હતી, પરંતુ બહુ જલદી તેમને જીવનનું મિશન હાથ લાગી ગયું અને એ પછી તેઓ પોતાના માટે જીવ્યા નથી એમ કહી શકાય.

અબ્દુલ સત્તાર એધી મેમણ હતા તથા પાકિસ્તાનમાં અને ખાસ કરીને કરાચીમાં મેમણોનું આર્થિક સામ્રાજ્ય છે. એધીએ સેવાની શરૂઆત કરી અને મેમણ જમાતની મદદ મળવા લાગી. સંકટ સમયે સંકટગ્રસ્તોના પડખે ઊભા રહેવાની ગુજરાતની મહાજન-પરંપરા ગુજરાતી મેમણોએ પાકિસ્તાનમાં જાળવી રાખી છે. હવે વતન તો પાછળ છૂટી ગયું હતું, પરંતુ ઔરંગી આકાર લઈ રહ્યું હતું. ઔરંગી નામથી કેટલાક વાચકો પરિચિત હશે. ઔરંગી પાકિસ્તાનનું ધારાવી છે અને ધારાવી કરતાં ઘણી મોટી ઝૂંપડપટ્ટી છે. બાવીસ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અને વિશ્વના બીજા નંબરના શેન્ટી ટાઉન તરીકે ઓળખાતા ઔરંગીમાં મુહાજિરો રહે છે જેમનું જીવન વિભાજનને સાત દાયકા થવા આવ્યા છતાં થાળે નથી પડ્યું. એ ઉપરાંત ભારતની માફક પાકિસ્તાનમાં પણ ગામડાં તૂટી રહ્યાં છે અને શહેરીકરણ થઈ રહ્યું છે એટલે ગ્રામીણ સિંધી મુસલમાનો પણ ઔરંગીમાં મોટી સંખ્યામાં રહે છે. જો દિલમાં હમદર્દી હોય અને કાન કોઈના ઊંહકારા સાંભળવા જેટલા સરવા હોય તો આ યુગમાં ચારે બાજુ દુઃખનો દરિયો છે.

વિદેશી નાણાં દ્વારા સેવા ન કરવાનો અબ્દુલ સત્તાર એધીએ સંકલ્પ કર્યો હતો અને પાકિસ્તાનના મુસલમાનોએ, ખાસ કરીને ગુજરાતી મુસલમાનોએ ક્યારે ય એધીસાહેબનો સંકલ્પ તૂટવા દીધો નથી. શરૂઆત બે લાખ રૂપિયા અને એક ઍમ્બ્યુલન્સ સાથે થઈ હતી. આજે એધી ફાઉન્ડેશન પાસે 1,800 ઍમ્બ્યુલન્સ છે અને સેવાનાં અનેક ક્ષેત્રોમાં કામ કરે છે. એધીસાહેબે તેમની સાથે કામ કરતી બિલ્કિસબાનુ નામની નર્સ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમણે મળીને ઝૂલાની યોજના બનાવી હતી. આજે પાકિસ્તાનમાં દરેક જગ્યાએ એધી સેન્ટરની બહાર ઝૂલો લટકતો જોવા મળશે. જેને અનૌરસ કે ઔરસ નવજાત શિશુ ન જોઈતું હોય તે કોઈને જાણ ન થાય એમ બાળકને ઝૂલામાં મૂકી જઈ શકે છે. એધી પરિવાર તે બાળક કોઈને દત્તક આપે છે અને જો કોઈ દત્તક લેનાર ન મળે તો પોતે તેને ઉછેરે છે. પાકિસ્તાનમાં અનેક લોકોનાં મા-બાપ એધી દંપતી છે.

એધીસાહેબે ક્યારેય કોઈ હોદ્દો ભોગવ્યો નથી, પરંતુ અબ્દુલ સત્તાર એધી પહેલા પાકિસ્તાની ખાનગી નાગરિક છે જેમને સરકારી સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. પાકિસ્તનમાં સ્ટેિડયમમાં તેમના માનમાં યોજાયેલા નમાજ-એ-જનાજામાં લાખો લોકો ઊમટ્યા હતા. નવાઝ શરીફ લંડનમાં બાયપાસ સર્જરી પછી આરામ કરી રહ્યા છે એટલે તેઓ આવી શક્યા નહોતા; પરંતુ તેમના ભાઈ, પ્રાંતોના મુખ્ય પ્રધાનો, ગવર્નરો, કેન્દ્રીય પ્રધાનો વગેરે સુરક્ષાની ચિંતા કર્યા વિના હાજર રહ્યા હતા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 જુલાઈ 2016

Loading

શબ્દ શક્તિ

વિનોબા|Opinion - Literature|22 July 2016

શબ્દની મારે મન બહુ કિંમત છે. શબ્દમાં જે શક્તિ છે, તે હું બીજી કોઈ ચીજમાં નથી જોતો.

હું ઠર્યો વિશ્વસાહિત્યનો વિદ્યાર્થી. સાહિત્ય અને સાહિત્યકારો માટે મારા મનમાં અપાર આદર છે. મરાઠી ભાષાનું મેં ઝીણવટભર્યું અધ્યયન કર્યું અને એ જ પ્રવાહમાં, આત્માના સમાધાન માટે સંસ્કૃતનું અધ્યયન કર્યું. પણ ત્યારે મને નિરુક્તિ અને વ્યુત્પત્તિમાં ભારે રુચિ હતી. શબ્દો કેવી રીતે બન્યા, એની કુળપરંપરા શું છે, આ જોવાનો મને શોખ હતો. વિચારોનું અનુસંધાન કરતી વખતે શબ્દોની પણ પરંપરા જોવી પડે. એ માટે પણ અનેક ભાષાઓનું અધ્યયન જરૂરી હતું. પરંતુ મુખ્યત્વે તો જનતાના હૃદય સાથે સંપર્ક સાધવાના હેતુસર હિન્દુસ્તાનની તમામ ભાષાનું અધ્યયન મેં કર્યું. ઉપરાંત ચીની-જાપાની, જર્મન, અને એસ્પરન્ટો ભાષા પણ શીખી લીધી. આ બધું શીખવામાં શબ્દો સાથે સંપર્કમાં અવાય છે. અને શબ્દોની શક્તિનું મને પૂરેપૂરું ભાન છે. શબ્દ પ્રગટ કરવા માટે શબ્દને બાજુમાં રાખી, અંદરના તત્ત્વને પકડવું જોઈએ.

આપણા જીવનની જે અંત:સૃષ્ટિ છે, તે શબ્દોની બનેલી છે. શબ્દો આપણાં રત્નો છે અને શબ્દો આપણાં શસ્ત્રો છે. તેનાથી અદકેરું રત્ન કોઈ નહીં હોય, શસ્ત્ર નહીં હોય. પ્રાચીનકાળથી આજ સુધી શબ્દની જે અખંડ ધારા વહેતી આવી છે, તે એક મજાની મનોરમ્ય સૃષ્ટિ છે.

ભારતની અને બહારની અનેક ભાષાઓનું મારું અધ્યયન છે એના આધારે કહી શકું છું કે દસ હજાર વર્ષથી ય જૂની ભાષા સંસ્કૃત સિવાય બીજી નથી. સંસ્કૃતનો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. તેના પહેલા મંત્રમાં જે શબ્દો છે, તે જેવા ને તેવા આજે પણ હિન્દી, મરાઠી, બંગાળી, ગુજરાતી વગેરે ભાષામાં ઉપયોગમાં લેવાય છે. જેમકે અગ્નિ, પુરોહિત, દેવ, યજ્ઞ વગેરે. એવી કોઈ ભાષા નથી જેમાં ગ્રીક, લૅટિનના જેવા ને તેવા શબ્દોનો ઉપયોગ કરાતો હોય. આપણી ભાષાઓના આશરે 50% શબ્દો ઋગ્વેદના જમાનાથી ઊતરી આવ્યા છે. આવું શી રીતે બન્યું હશે? આની પાછળ અહિંસાની પ્રક્રિયા છે. પુરાણા શબ્દોને નવો અર્થ આપી આગળ વધવાની પ્રક્રિયા અહિંસક ક્રાંતિ-વિચારની પ્રક્રિયા છે. પુરાણા શબ્દો છોડવા નહીં પણ તેમાં નવા નવા અર્થો ભરતા જવા, આવી પ્રક્રિયા બીજા દેશોમાં નથી ચાલી. ત્યાં તો પુરાણા શબ્દોનું ખંડન કરે છે, તેને તોડે છે. જ્યારે ભારતમાં જે વિચાર-ક્રાંતિઓ થઈ તેમાં એક સ્વતંત્ર પ્રક્રિયા હતી. તેમાં પુરાણા શબ્દો કાયમ રખાયા અને તેમાં નવા નવા અર્થની કલમ કરવામાં આવી. પુરાણા શબ્દોની તાકાત અને નવા અર્થની મધુરતા આ બંને મળીને ભારતને એક નવો જ વિચાર મળતો થયો. પુરાણા શબ્દો કાયમ રહ્યા, સમાજને નવી નવી પ્રેરણા મળતી રહી.

‘યજ્ઞ’ શબ્દને લો. એક જમાનામાં પશુનું બલિદાન દઈને બ્રાહ્મણ પણ તેના પ્રસાદનું સેવન કરતા. પરંતુ માંસાહાર ત્યાગનો જમાનો આવ્યો, તો કરોડો લોકોએ માંસાહાર છોડ્યો. તેની સાથે પશુનું બલિદાન દેવાનું બંધ થયું. અને તેમ છતાં ‘યજ્ઞ’ શબ્દ ખંડિત ન થયો. એક નવો વિચાર તેમાં આવ્યો, તેણે જૂના અર્થને તોડીને સમાજને આગળ વધાર્યો. આને બદલે જો શબ્દ ખંડિત થઈ જાત, તો જ્ઞાન પરંપરા અખંડ ન ચાલત.

આમ, યજ્ઞ શબ્દનો વિસ્તાર થતો રહ્યો. સમાજસેવા માટે જે ત્યાગ કરવો પડે છે, તે યજ્ઞ છે. મનુષ્યમાં કેટલોક પશુ-અંશ પણ હોય છે. કામ-ક્રોધ-લોભ-મોહ એ માનવતા નહીં, પશુત્વ છે. એવા પશુત્વનું બલિદાન જ સાચું બલિદાન છે. એ રીતે યજ્ઞમાં ‘પશુ’ને બદલે આવા ‘પશુત્વ’નું બલિદાન આપવાનું સ્વીકારાયું. આમાં સમાજ આગળ વધ્યો, અને જીવનનો પ્રાણરસ પણ ખંડિત ન થયો. વૃક્ષ સાથે જોડાયેલી રહીને જ શાખાઓ સજીવ રહી શકે છે. વૃક્ષ છે પ્રાચીન પરંપરાઓ અને શાખાઓ છે નવા સંસ્કાર. આપણે નવા નવા સંસ્કાર ગ્રહણ કરતા રહીએ, પણ પ્રાચીન પરંપરાનો નાતો તોડી નવા સુધારા કરવા જઈએ છીએ તો તેનાથી તાકાત નથી વધતી અને મૂળ ઊંડા ન રહેવાથી સ્થિર બુદ્ધિને બદલે માનસિક ચંચળતા પેદા થાય છે. પ્રાચીન પરંપરાનો સ્પર્શ શક્તિ પ્રદાન કરે છે અને નવો સંસ્કાર માધુર્ય ઉત્પન્ન કરે છે. ભારતમાં બેઉનો સમન્વય થયો છે.

જૂના શબ્દોમાં નવા અર્થ ભરીને એમનો વિકાસ કરતા રહેવો, એ અહિંસક ક્રાંતિની પ્રક્રિયા જ છે. ‘ભૂદાન’ના ‘દાન’ શબ્દને લઈને લોકો કહેવા લાગ્યા કે વિનોબા તો ભિક્ષા માંગવા નીકળ્યા છે. પણ મેં શંકરાચાર્યનું ભાષ્ય આગળ ધર્યું – ‘દાનં સંવિભાગ:’ દાન એટલે સમ્યક્‌ વિભાજન. શંકરાચાર્યે જ નહીં, બુદ્ધે પણ કહ્યું છે, ‘યમાહુ દાનં પરમં અનુત્તરં. યં સંવિભાગં ભગવા અવણ્ણયી.’ આ રીતે બે હજાર વરસોમાં ‘દાન’ શબ્દના અર્થનો વિસ્તાર થતો રહ્યો.

સારાંશ, આપણી આ જે પરંપરા રહી છે, તેમાં જૂના શબ્દોને કાયમ રાખવાની સ્થૂળ કલ્પના નથી પણ અર્થ બદલતા રહેવાની, અર્થનો વિસ્તાર કરતા રહેવાની જ આખી પ્રક્રિયા છે. પ્રાચીન કાળની જ્ઞાનધારા ને વિચારધારાને અખંડિત રાખી તેનો વિકાસ કરતા રહેવાની આ પ્રક્રિયા છે. આને લીધે શબ્દ-શક્તિ પુષ્ટિ થતી રહે છે.

સંસ્કૃતના શબ્દો બોલે છે. હસ્ત એટલે હસાવનાર. અરે! તમે કામ કરો તો હસશો. આખી સૃષ્ટિમાં જે હાસ્ય છે તે હાસ્ય આ હાથમાં સમાયેલું છે. દુનિયા હસે છે, જો આપણે કામ કરીશું તો. લક્ષ્મી પેદા થાય છે તો આખી સૃષ્ટિ હસે છે. નદી એટલે જે નિનાદ કરે છે. ગંગા ગં ગં ગં અવાજ કરનારી. સરિતા સર સર વહેનારી. આમ બોલકા શબ્દ નવી દ્રષ્ટિ આપે છે. પૃથ્વીનું નામ એટલા માટે ધરા છે કે તે ધારણ કરે છે. તે પૃથ્વી ક્યારે કહેવાશે? જ્યારે તે ફેલાયેલી હશે. જ્યારે તેનું વજન – ભાર ધ્યાનમાં લેશું ત્યારે તે ગુર્વી કહેવાશે. ઊર્વી એટલે વિશાળ. ‘ભૂમિ’ એટલે જાતજાતના પદાર્થો પેદા કરનારી. ‘ક્ષમા’ એટલે સહન કરનારી. આપણે લાત મારીએ તો ય એ સહન કરી લે. આ પૃથ્વીના પાંચ દસ નામ છે, તે નકામો પરિગ્રહ નથી. એક એક શબ્દ ગુણવાચક છે. એક એક શબ્દની સાથે તેના એક-એક ગુણ ધ્યાનમાં આવશે.

અશ્વ એટલે ‘ઘોડો’ આ અર્થ રૂઢ છે. પરંતુ આરંભમાં તે એવો અર્થ નહીં હોય. એક ઝડપથી દોડનાર પ્રાણી જોયું. તેની તે ક્રિયા તરફ ધ્યાન ગયું. તેથી કોઈએ ‘અશ્વં અશ્વ:’ એટલે કે ‘તેજ દોડનાર’ એવું કહ્યું હશે. કોઈકનું ધ્યાન તે બહુ ખાય છે તે તરફ ગયું હશે તેથી ‘અશ અશ’ એટલે કે બધું ખાનારો, એવું કહ્યું હશે. જ્યારે સ્ફૂિર્ત, ચપળતા જેવા ગુણો તરફ ધ્યાન ગયું હશે ત્યારે ‘ખાવાવાળો’ એ અર્થ છોડવો પડ્યો હશે. શબ્દોને અર્થનો ભાર નથી લાગતો. પરંતુ પછીથી એક રૂઢ સામાન્ય અર્થ આવી મળે છે. પણ વૈદિક શબ્દ સૂક્ષ્મ અર્થથી ભરેલા હોય છે. અને આગળ જતાં લૌકિક અર્થ નીકળે છે. સૂક્ષ્મમાંથી સ્થૂળ, અવ્યક્તમાંથી વ્યક્ત એ તો સૃષ્ટિનો નિયમ છે. એક એક શબ્દ તરફ જોવાની એક એક દ્રષ્ટિ છે. તેથી દરેક શબ્દ જાનદાર, પ્રાણવાન, જોરદાર છે અને તે બોલકો બને છે.   

જે ચીજ જે ભૂમિમાંથી નીકળે છે તેને સમજવા માટે એ ભૂમિના હૃદય સાથે જોડાયેલા રહેવું જોઈએ. એ શબ્દ કયા વાતાવરણથી, કઈ ભૂમિમાંથી નીકળ્યો છે તેને સમજવું જીએ.

આમ, સંસ્કૃત શબ્દોમાં વિચાર ભર્યો છે. એટલા વાસ્તે દરેક શબ્દ આપણી સાથે વાત કરે છે. અંગ્રેજી શબ્દ આવી રીતે વાત નથી કરતો. દાખલા તરીકે ‘વોટર’ શબ્દ આપણી સાથે વાત નથી કરતો. પરંતુ સંસ્કૃત શબ્દ આપણી સાથે વાત કરવા લાગે છે. ‘પય:’ એટલે પોષણ કરનારો. ’પાનીયમ્‌’ એટલે તૃપ્ત કરનારો. ‘ઉદક’ એટલે અંદરથી બહાર આવેલો. ‘સમુદ્રમ્‌’ એ નાનો અમથો શબ્દ જણાય છે, પણ તે વાત કરે છે. ‘સમ’ એટલે ચારે તરફ સમાન રૂપે ફેલાયેલો. ‘ઉદ્‌’ એટલે ઊંચો ઉઠેલો, ઊંચે ઊઠેલું પાણી. ‘રમ’ એટલે આહ્લાદક જે ખેલી રહ્યો છે, રમી રહ્યો છે, આનંદ આપી રહ્યો છે. તો, ‘સમુદ્રમ્‌્’ એટલે સમ+ઉદ+રમ. ‘સમુદ્રાત્‌્ ઊર્મિ: મધુમાન ઉદારત્‌્’. વેદમાં કહ્યું છે: આ હૃદયમાં સમુદ્ર સમાન અસંખ્ય ભાવનાઓ ઊઠે છે. આ હૃદય જાણે સમુદ્ર જ છે. સમુદ્રનું દ્રશ્ય આ હૃદયમાં પ્રગટ થાય છે. આની સામે ‘સી’ (sea) શબ્દ કેવો ફિક્કો લાગે છે! છે એક પદાર્થ, બસ એટલું જ. તે શબ્દ બોલતો નથી. મૂંગો છે.

‘ઉદ્યાન’ શબ્દ લો. સામાન્ય બગીચો ઉદ્યાન ન કહેવાય. ‘ઉદ્યાન’ એટલે ‘ઉદ્દ + યાનમ્‌’ – વસ્તીથી જરા દૂર, ઊંચા સ્થાને બનાવેલ બાગ. ઊંચાઈએ આવેલ હોવાથી સારી હવા આવશે, ત્યાં ચઢીને જતાં આનંદ આવશે.

‘ચિત્ર’ શબ્દ લો. ‘પિક્ચર, તસ્વીર’ એ શબ્દો તો કાંઈ બોલતા નથી. સાવ ચૂપ છે! પણ ‘ચિત્ર’ એટલે? ચિત્તને રામાડનારું, ચૈતન્યને રામાડનારું. ‘ચિત્ર’ શબ્દ સાંભળતાં જ એક વિરાટ રૂપ નજર સામે ખડું થઈ જાય છે.

‘દુગ્ધમ્‌’ એટલે દોહન કરનારું, સારરૂપ. ‘ધૃતમ્‌’ એટલે અત્યંત પવિત્ર, નિર્મળ, કચરો કાઢી નાખેલું. ‘ધૃતં મે ચક્ષુ:’. વિશ્વામિત્ર બોલી રહ્યા છે: મારી આંખ એટલે ઘી છે. અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં મેં આ નથી જોયું કે કોઈ કહે, મારી આંખ ઘી છે! ‘ધૃતં મે ચક્ષુ:’ કહ્યું તો તેનો અર્થ એ છે કે મારાં ચક્ષુ એટલાં પવિત્ર છે કે તેમાં કોઈ પ્રકારનું પાપ ગ્રહણ કરવાની શક્તિ નથી, તે અત્યન્ત નિર્મળ ને સ્વચ્છ છે.

સંસ્કૃતના શબ્દકોશમાં ય કાવ્ય રહેલું છે. એક શબ્દની કેટલી બધી રીતે વ્યુત્પત્તિ થાય છે! એક જ શબ્દના અનેક અર્થ અને એક અર્થના અનેક શબ્દ. આને લીધે સંસ્કૃતમાં નિર્મળતાથી વાક્‌-પ્રકાશન જેટલું થઈ શકે છે તેટલું ભાગ્યે જ કોઈ બીજી ભાષામાં થતું હશે.

‘ઘટ’ શબ્દ છે. ઘટ એટલે ઘડો. પરંતુ ઘટ એટલે શરીર, એવો ય અર્થ થાય છે. પાણીથી ભરાયેલા ઘડાથી, પૂર્ણ કુંભથી આપણે સ્વાગત કરીએ છીએ ત્યારે આપણે શું બતાવવા માગીએ છીએ? એ જ કે અમારું આખું હૃદય ભક્તિભાવથી ભર્યું છે. આ અર્થમાં ય ‘ઘટ’ શબ્દ કામ આપશે. નાનકે કહ્યું છે, “પ્રભુ ઘટ-ઘટમાં ભર્યો છે.” કહેવાનો મતલબ એ કે ‘ઘટ’ શબ્દમાં આ જે ખૂબી છે, તે ખૂબી ‘પોટ’ (pot) શબ્દમાં નથી. અંગ્રેજી, ફ્રેન્ચ વગેરે શબ્દો આપણને એમની અંદર પ્રવેશવા નથી દેતા.

‘ચક્ષુ’ શબ્દ છે. ‘ચક્ષ’ ધાતુ નિર્મળતા ને સ્વચ્છતાની દ્યોતક છે. આંખથી આપણે જેટલું બોલીએ છીએ તેટલું મોંથી નથી બોલતા. આપણને ગુસ્સો આવે છે, તો આંખ બોલે છે. અંદર કરુણા હોય છે, તો આંખ બોલે છે. શબ્દ કરતાં ય વધારે પ્રકાશ આંખ પાડે છે. એવી રીતે ‘વાચક્ષતે’ એટલે વ્યાખ્યાન આપવું. ચક્ષુ પરથી જ વ્યાખ્યાન શબ્દ નીકળ્યો છે. હિન્દુસ્તાનના લોકોને વ્યાખ્યાન કરતાં મહાપુરુષોના દર્શન પર શ્રદ્ધા છે. એમની આંખ દ્વારા જે દેખાય છે, તે બીજા કશાથી પ્રગટ નથી થતું. મહાપુરુષોની આંખોમાં કારુણ્ય ભર્યું હોય છે.

‘કારુણ્ય’ એટલે શું? ‘મર્સી’, ‘કાઈન્ડનેસ’ ગમે તે કહો, અર્થ પ્રગટ નથી થતો. પરંતુ ‘કરુણા’ શું કહે છે? તે કાઈં ને કાઈં કરવાની પ્રેરણા આપે છે. હૃદયમાં પ્રેમ છે, પણ કરવાની પ્રેરણા નથી, તો તે કરુણા નથી. કરુણા ચૂપ નથી બેસતી. તે કંઈ ને કંઈ કરવા પ્રેરે છે. તે બેસવા નથી દેતી. હવે, આપણી ‘બુદ્ધિ’ છે, તે બોધ આપે છે. તે તેનું વિશેષ લક્ષણ છે. ‘કરુણા’નું વિશેષ લક્ષણ છે, કાંઈ ને કાંઈ કરી છૂટવાની પ્રેરણા આપવી.

શુભ્ર વસ્ત્ર છે. ‘શુભ્ર’ એટલે શું? શુભ્ર એટલે પવિત્ર, માત્ર ‘વ્હાઇટ’ નહીં. ‘શુભ’ શબ્દ સાથે તેને સંબંધ છે. શોભા સાથે તેને સંબંધ છે. તો, ‘શુભ્ર’માં સૌંદર્ય તેમ જ પાવિત્ર્યને એક કરી દીધાં છે. આકાશમાં શુક્ર તારાનો ઉદય થાય છે. શુક્ર પવિત્ર છે. ‘શુચિ’ શબ્દથી ‘શુક્ર’ થયો છે. તેને જોઈએ છીએ, તો પવિત્રતાની ભાવના પ્રગટ થાય છે.

સૂર્ય છે તે પ્રેરણા આપે છે. ‘સૂ’ ધાતુ પરથી ‘સૂર્ય’ શબ્દ બન્યો છે. ‘સૂ’ એટલે પ્રેરણા આપવી. ’મિત્ર’ શબ્દ છે. મિત્ર શું કરે છે? પ્રેમ કરે છે. સૂર્યને આપણે ‘મિત્ર’ સંજ્ઞા આપીએ છીએ. સૂર્ય પ્રખર હોવા છતાં આપણે તેના કિરણોથી ગભરાતા નથી. મિત્ર તો તે છે, જે આપણી પાસે કામ કરાવે છે. આપણે સૂતા રહેતા હોઈએ તો, તે જગાડે છે; બેઠા હોઈએ, તો ચલાવે છે, ક્રિયાશીલ બનાવે છે. સૂર્ય આવું બધું કરનારો આપણો મિત્ર છે. ‘પ્રેમથી સહુની સેવા કરનારો’ એવો ય અર્થ તેમાં આવે છે.

તાતપર્ય કે, આવી સાહિત્ય શક્તિ, શબ્દ-શક્તિ ભારતમાં છે. તેના તરફ હજી સુધી ધ્યાન નથી ગયું, પણ જવું જોઈએ. શબ્દની શક્તિ આપણે ઓળખવી જોઈએ. આપણે સમ્યક્‌ શબ્દનો ઉપયોગ કરીએ. શબ્દ-શુચિત્વનું ય ધ્યાન રાખીએ. શુદ્ધ શબ્દથી આચાર-વિચાર પણ શુદ્ધ થશે અને ચિંતન પણ શુદ્ધ થશે.

[સંકલિત]

સહયોગ : “ભૂમિપુત્ર”, 16 જૂન 2016; પૃ. 01-02 & 17

મુદ્રાંકન સૌજન્ય : આશાબહેન બૂચ

Loading

...102030...3,5783,5793,5803,581...3,5903,6003,610...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved