Opinion Magazine
Number of visits: 9552637
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અન્યાય સામે અડીખમ લડાઈ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 April 2016

મેં સચ્ચાઈ કહી એમાં શું ખોટું કર્યું કે મને આટલો ભયંકર માનસિક – શારીરિક ત્રાસ આપવામાં આવે છે?

છત્તીસગઢના દંતેવાડા-બસ્તર વિસ્તારનાં સામાજિક-રાજકીય કાર્યકર સોની સોરી ફરી એક વાર સરકારી હિંસાનો ભોગ બન્યાં છે. આ વરસની ૨૦મી ફેબ્રુઆરીએ સોની સોરીના ચહેરા પર જ્વલનશીલ કેમિકલ નાખી તેમનો ચહેરો વિકૃત કરી નાંખવાનો પ્રયાસ થયોે. હાલ દિલ્હીમાં સારવાર લઈ રહેલાં સોનીના જણાવ્યા મુજબ તેઓ મોટર સાયકલ પર બેસીને જગદલપુરથી ગીદમ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં ત્રણ અજાણ્યા મોટર સાયકલ સવારોએ તેમને આંતરી તેમના ચહેરા પર કેમિકલ નાખ્યું હતું. સોનીનો આરોપ છે કે હુમલાખોરો માર્ડુમ ફેક એન્કાઉન્ટર અને આઈજી વિરુદ્ધ ન બોલવા ધમકી આપતા હતા. એટલે આ હુમલો પોલીસ અને આઈ.જી. દ્વારા થયો હોઈ શકે છે.

નકસલવાદ-માઓવાદ પ્રભાવિત છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના જબેલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં સોની સોરી શિક્ષિકા છે. તેમના પિતા મદ્રુરામ ૧૫ વરસ ગામના સરપંચ હતા, કાકા ભારતીય સામ્યવાદી પક્ષના પૂર્વ ધારાસભ્ય તો મોટા ભાઈ કોંગ્રેસમાં છે. રાજકીય રીતે સક્રિય એવા આ આદિવાસી પરિવારની દીકરીએ શિક્ષણ મેળવ્યું અને કુટુંબના વારસાગત રાજકીય સંસ્કાર કરતાં ભિન્ન માર્ગ પસંદ કર્યો. પોતાનાં આદિવાસી ભાંડુરડાંઓને સારુ શિક્ષણ મળે એ હેતુસર ભણીગણીને શહેરમાં જતાં રહેવાને બદલે ગામમાં રહ્યાં અને શિક્ષણનું કામ કર્યું. ચાળીસેકની વયનાં સોની ત્રણ બાળકોનાં માતા છે. સુખચેનનું ગૃહસ્થ જીવન જીવતાં સોની સોરીનાં માથે છેલ્લાં પાંચેક વરસથી સરકારી હિંસાનો પહાડ તૂટી પડ્યાં છે.

બસ્તર વિસ્તારમાં ૪૦ લાખ જેટલી આદિવાસી વસ્તી છે. સરકાર અને પોલીસની નજરમાં પ્રત્યેક આદિવાસી નક્સલવાદી કે નકસલ સમર્થક છે. અહીંના નિવાસીઓ માટે બે જ વિકલ્પ છે. નકસલવાદ – માઓવાદના પક્ષે રહો કાં તેમના વિરોધી પોલીસના પક્ષે રહો. એ સિવાયનો કોઈ અન્ય માર્ગ ન તો પોલીસને મંજૂર છે, ન તો નકસલોને. શિક્ષણ સાથે સંકળાયેલાં સોનીને પોતાના સાદાસીધા જાતભાઈને પોલીસ નકસલ ગણી જેલમાં ધકેલી દે તે મંજૂર નહોતું. આ પોલીસદમન સામે તે અવાજ ઉઠાવતાં હતાં. નકસલવિરોધી પોલીસઝુંબેશ સાલવા જુડુમનો ભાગ ન બનવા બદલ સોનીના પત્રકાર તરીકે કાર્યરત ભત્રીજા લિંગારામ કોડોપીને ૯મી સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ દંતેવાડાના પાલનાર બજારમાંથી પોલીસે પકડી લીધા. છત્તીસગઢ પોલીસે તેમના પર માઓવાદીઓના મદદગાર હોવાનો આરોપ મૂક્યો. આવો જ આરોપ સોની સોરીના પતિ પર પણ મૂક્યો હતો અને પછી વારો આવ્યો સોની સોરીનો.

પોલીસ ધરપકડના ડરથી મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા અને કાનૂની સહાય તથા માર્ગદર્શન અર્થે દિલ્હી આવેલાં સોની સોરીની ૪થી ઓકટોબર ૨૦૧૨ના રોજ પોલીસે ધરપકડ કરી. તેમનાં પર ઉદ્યોગસમૂહ એસ્સાર ગ્રુપ અને માઓવાદીઓ વચ્ચેના સંપર્કસૂત્ર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. સોની સોરી એસ્સાર પાસેથી પૈસા મેળવી માઓવાદીઓને પહોંચાડે છે તેવો આરોપ પૂરવાર કરવા પોલીસે તેમના પર તમામ પ્રકારના શારીરિક – માનસિક જુલમો કર્યા. આઈ.પી.એસ. અધિકારી અંકિત ગર્ગે સોની સોરીની યોનીમાં પથ્થરના ટુકડા પીસીને નાંખ્યા અને ઈલેકટ્રિક કરન્ટ આપ્યા. આ બર્બર પોલીસદમન અને અમાનવીય જુલમનો દેશ અને દુનિયામાં ભારે વિરોધ થયો. નોમ ચોમ્સકી, અરુંધતી રોય, ઝ્યાં ડ્રેઝ અને આનંદ પટવર્ધન સહિતના ૨૫૦ જેટલા અગ્રણી બૌદ્ધિકો અને કર્મશીલોએ તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને ખૂલ્લો પત્ર લખી આ અત્યાચારનો અંત આણવા, તેની તપાસ કરવા માગણી કરી હતી.

સોની સોરી પર છત્તીસગઢ પોલીસ અને અને સરકારે આઠેક કેસો ઠોકી દીધા હતા. છત્તીસગઢ હાઈકોર્ટે તેમને જામીન ન આપતાં ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાય માટે ધા નાંખવામાં આવી હતી. ૨૦૧૨ના વરસનો રાષ્ટ્રપ્રમુખનો પોલીસ વીરતા એવોર્ડ મેળવેલ આઈ.પી.એસ. અધિકારી અંકિત ગર્ગે સોની પર કરેલા અત્યાચારોના આરોપની ચકાસણી અને તબીબી તપાસનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. દિલ્હીની એઈમ્સમાં સોનીની તબીબી તપાસ થઈ અને તેમની યોનીમાંથી પથ્થરો કાઢ્વામાં આવ્યાં. એકાદ મહિનાની સારવાર પછી એમને પહેલાં જબલપુર અને પછી રાયપુર જેલમાં રાખવામાં આવ્યાં. ત્યાં ફરી શારીરિક યાતનાઓ શરૂ થઈ.

૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ સોનીએ જેલમાંથી દેશની સર્વોચ્ચ અદાલતનો ઈલાજ માટે ઋણસ્વીકાર કરવા સાથે ફરિયાદ કરતો પત્ર લખ્યો અને જણાવ્યું કે, ‘મને નગ્ન કરીને જમીન પર બેસાડે છે. ખાવાપીવાનું આપતાં નથી. મારા શરીરને અડકીને તપાસ કરવામાં આવે છે. જજસાહેબ, છત્તીસગઢ સરકાર અને પોલીસ ક્યાં સુધી મારાં કપડાં ઉતરાવ્યાં કરશે. હું પણ ભારતીય આદિવાસી મહિલા છું. મારામાં પણ શરમ છે. પણ હું મારી ઈજ્જત બચાવી શકતી નથી. મને સતત હેરાન કરવામાં આવે છે. ગંદી ગાળો બોલવામાં આવે છે. મેં સચ્ચાઈ કહી એમાં શું ખોટું કર્યું કે મને આટલો ભયંકર માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવે છે? શું જોર-જુલમ-અત્યાચાર સામે લડવું ગુનો છે?’

આઠમાંથી સાત કેસોમાં સોની નિર્દોષ પૂરવાર થયાં. એક કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને કાયમી જામીન આપ્યા છે. પણ તેમની જિંદગી તબાહ કરી નાખવામાં આવી છે. અઢી વરસના તેમના જેલવાસ  દરમિયાન જ તેમનાં પતિની પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર એટલો ત્રાસ ગુજારવામાં આવ્યો કે તેમને પેરેલિસિસ થઈ ગયો અને અંતે અવસાન થયું. આટલી યાતનાઓ છતાં સોની ડગ્યાં નથી. હાલમાં બમણા જોરે સરકાર, પોલીસ અને નકસલો સામે સંઘર્ષ કરતાં રહે છે. શાંતિ, શિક્ષણ અને કલમને તેમણે પોતાનાં હથિયારો બનાવ્યાં છે. આ વિસ્તારના દર ચોથા ઘરની એક વ્યક્તિ જેલમાં છે. પોલીસ પુરુષોને એક યા બીજા બહાને પકડીની પૂરી દે છે. સ્ત્રીઓ પર બળાત્કાર, નકલી એન્કાઉન્ટર, બર્બર પોલીસ અત્યાચાર આ વિસ્તારની રોજિંદી વાસ્તવિકતા બની ગઈ છે. સોની એ તમામ સામે લડે છે. લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડી ચૂક્યાં છે.

સોની પર એસિડ હુમલો થયો, એમનાં બહેન–બનેવીને પોલીસ ઉઠાવી ગઈ, તેમનાં બાળકો પર હુમલાના જાસા મળી રહ્યા છે. પરંતુ સોની આદિવાસીઓના જંગલ, જમીન, જળ, શિક્ષણ, રોજીના અધિકારો માટે ડર્યા વિના મુકાબલો કરવાના મક્કમ નિર્ધાર સાથે સંઘર્ષ જારી રાખે છે. સરકાર  આદિવાસીઓને ખદેડી મૂકી તેમની જમીનો મોટા ઉદ્યોગોને આપી દેવા માગે છે તેની સામે સોનીનો વિરોધ છે. સુદૂર મણિપુરમાં પોલીસને દમનનો છૂટો દોર આપતા કાળા કાનૂન સામે ઈરોમ શર્મિલા ગાંધીમાર્ગે આમરણ અનશન પર છે. આદિવાસીઓના માનવઅધિકારો માટે લડતાં સોની સરકારી હિંસાનો ભોગ બનતાં રહે છે. જ્યારે ભારતમાતાની જયનો દેશમાં વિવાદ હોય ત્યારે ઈરોમ અને સોની જેવી સાચી ભારતમાતાઓ ઠેબાં ખાય અને તેમનાં બાળુંડાં ઉવેખાતાં રહે તે ભારતની રાજનીતિની કરુણ વાસ્તવિકતા છે. 

ચંદુ મહેરિયા લેખક સામાજિક-રાજકીય  પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે 

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘સોની સોરીનો સવાલ’,  “દિવ્ય ભાસ્કર”, 21 અૅપ્રિલ 2016

Loading

એક સૌજન્યશીલ અધિકારીની સ્મરણકથા

ડંકેશ ઓઝા|Opinion - Opinion|19 April 2016

વહીવટની વાતો : કુલીનચંદ્ર યાજ્ઞિક : વિતરક – ‘રંગદ્વાર’, G-15, University Plaza, Navrangpura, Ahmedabad – 380 009 : પ્રથમ આવૃત્તિ 2015 : પાનાં 410 : કિંમત રૂ. 400

જાણીતા સનદી અધિકારી, સંસ્કૃતસાહિત્યના અભ્યાસી અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઉપપ્રમુખની કક્ષાએ પહોંચેલા, ઇન્દુલાલ યાજ્ઞિકના કુટુંબીજન કુલીનચંદ્ર યાજ્ઞિક જાહેરજીવનમાં ઠીકઠીક જાણીતા છે. દૈનિક ‘ગુજરાત સમાચાર’માં તેમણે જે નામે લાંબો સમય સુધી કૉલમ લખી, તે જ નામે હવે તેમના વહીવટનાં સંસ્મરણો ‘વહીવટની વાતો’ નામના પુસ્તકમાં આપણી સમક્ષ મૂક્યાં છે. ૩૫ વર્ષની જાહેર વહીવટની સેવાયાત્રા દરમિયાન જે મહાનુભાવો નીચે તેમણે કામ કર્યું તે બધાં પ્રત્યેનો તેમનો ઋણભાવ પાને પાને પ્રગટતો દેખાય છે. ભાવિ કર્મશીલોને આ સંભારણાં રસપ્રદ અને ઉપયોગી જણાશે, એવી તેમને આશા છે. આખરે કલ્યાણરાજ્યમાં વહીવટી તંત્રનો લાભ પ્રજાને મળવો જોઈએ. તેથી અંતિમ લાભાર્થી એવી ગુજરાતી પ્રજાને આ ૪૦૦ પાનાંનો ગ્રંથ તેમને ‘અર્પણ’ કરવામાં આવ્યો છે.

અગાઉ, ગુજરાત રાજ્યના છેલ્લા ICS લલિતચંદ્ર દલાલના ‘સનદી સેવાનાં સંભારણાં’ પ્રગટ કરવામાં યાજ્ઞિક સાહેબે ઘણો રસ લીધેલો. તેનાથી જાહેર બાબતોમાં સારું એવું મૂલ્યવાન પ્રદાન થયું હતું. હવે તેમણે ખુદ પોતાનાં સંસ્મરણો થકી પણ જાહેર જીવનને રળિયાત કરવાનો ઉપક્રમ દાખવ્યો છે. ‘દર્શક’ ઇતિહાસનિધિ દ્વારા આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અગાઉની માફક ગ્રંથની વિતરણવ્યવસ્થા રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા થઈ રહી છે. રોજનીશી વિના માત્ર યાદદાસ્ત ઉપરથી સાડા ચાર વરસ ચાલેલી લેખમાળા લખવી તે લેખકની સાબૂત સ્મૃિતનો અચ્છો પરિચય આપે છે! લેખકની ઉંમર અત્યારે નેવું વર્ષની છે.

રઘુવીર ચૌધરીએ તેમના વિશે લખતાં લખેલું કે “નિર્વ્યાજ સાહિત્યપ્રીતિના માણસ. નાગરોના દોષોથી મુક્ત, ગુણોથી વિભૂષિત.” આ પુસ્તકના વાચકને તેની ખાતરી થયા વિના નહીં રહે.

પંદર પ્રકરણોમાં પુસ્તક વિભાજિત છે. માહિતીખાતું, જ્યાં તેમની નોકરીની શરૂઆત થાય છે, પેટલાદ અને રાજકોટ, જ્યાં તેઓ તાલીમ પામે છે, કચ્છ, જ્યાં તેઓ સ્વમાનના પાઠ શીખે છે, વસતીગણતરી, જ્યાં તેઓ ગુજરાતની સંસ્કૃિતને લગતાં બે મહત્ત્વનાં પુસ્તકો આપે છે, ડભોઈ, અમદાવાદ, ભરૂચ, ડાંગ, વડોદરાનાં પ્રકરણો રસપ્રદ છે. રાજભવનનો તેમનો અનુભવ અને વિવિધ રાજ્યપાલોનાં વલણો અને વૃત્તિ તરફ તેમણે સારું ધ્યાન દોર્યું છે. માધવસિંહ સોલંકીના સમયમાં મુખ્યમંત્રીની કચેરીનો અનુભવ તેમણે પ્રગટ કર્યો છે. છેલ્લે શિક્ષણ વિભાગથી લઈને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયા, ત્યાં આ પુસ્તક પૂરું થાય છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રકલ્પ સાથે જોડાવું તેમને ગમ્યું છે. તેની ઉજ્જ્વળ પરંપરાનો પાયો નાખવામાં તેઓ નિમિત્ત બન્યા, એ ઇતિહાસ તો હજુ બહુ દૂરનો નથી.

રસપ્રદ રીતે પુસ્તકની શરૂઆતના પ્રકરણ પહેલી મુલાકાતના શબ્દો છે : ‘સરકારે મારું પાણિગ્રહણ કર્યું (એટલે કે હાથ ઝાલ્યો) તે પહેલાં, ૧૯૪૯માં મેં હાથ લંબાવેલો ખરો, પણ તે કમજોર પડ્યો હતો.’ તેમનું કહેવું એમ છે કે IASની સીધી પરીક્ષા તેમણે આપેલી પરંતુ ઇન્ટરવ્યૂમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. જો કે પછીથી કાળક્રમે નોકરી દરમિયાન IASમાં નિયુક્તિ પામ્યા હતા. નિષ્ફળતા એ જ સફળતાનો પાયો છે, જો આપણે શીખવા તૈયાર હોઈએ તો. આ વાત પુસ્તકના પહેલા પ્રકરણથી તેમણે સ્પષ્ટ કરી આપી છે. નોકરી દરમિયાનના વિવિધ અનુભવોને પણ તેમણે એ દૃષ્ટિએ જ જોયા છે.

અંગ્રેજ વહીવટ, ICS અધિકારીઓનો વહીવટ, સૌરાષ્ટ્ર રાજ્યનો વહીવટ અને ગુજરાતનો વહીવટ આ બધાનો વાચકને ખ્યાલ આવે છે, એટલું જ નહીં, આ બધાં વચ્ચે વિવેકબુદ્ધિથી તે તોલ કરી શકે એવી વિગતો સમગ્ર પુસ્તક દરમિયાન તેઓ પીરસતા રહ્યા છે. સરકારી નોકરીનાં ૩૫ વર્ષમાંથી ત્રણ ભાગ મહેસૂલમાં અને બાકીના બે ભાગ આઠ કચેરીઓમાં અને વિભાગોમાં એમ તેમણે જણાવ્યું છે. નર્મદાના બંને કાંઠે કલેક્ટર તરીકે કામ કરવા મળ્યું તેમાં તેમણે ગૌરવ જોયું છે. ICS અધિકારી પિંપૂટકર પાસેથી ઘણું શીખવા જેવું છે, એમ તેમણે કહ્યું છે. મુખ્ય સચિવ કપૂર સાહેબ જેટલો લાંબો ગાળો અન્ય કોઈ મુખ્ય સચિવને મળ્યો નથી કે મળશે નહીં તે પણ તેમણે નોંધ્યું છે. મોરારજી દેસાઈએ કમિશનરોની જગ્યા નાબૂદ કરી તેનાં બીજ ડેપ્યુટી કલેક્ટર મોરારજીભાઈના અનુભવમાં પડ્યાં હતાં, એમ તેમણે ઠીક સંશોધન કર્યું છે!

૧૯૫૬માં દ્વિભાષી મુંબઈ રાજ્ય રચાયું, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકે કરેલો કટાક્ષ તેમણે બરાબર નોંધ્યો છે : “દીકરી (મુંબઈ) ભેગી મા(ગુજરાત)ને પણ વળાવી!” યાદ રહી જાય તેવું નિરીક્ષણ છે.

રાજકાજમાં રમૂજ, વિનય, સદ્‌ભાવ, કર્મયોગ જેવાં પ્રકરણો આખી વાતને રસપ્રદ બનાવે છે. પાયજામા વગર આવેલા કમિશનર માટે મામલતદાર રાતોરાત તે સિવડાવી લાવે એવા કમાલના અનુભવો પણ ઘણા બધા છે. રજવાડાંનો વહીવટ પણ કેવો હતો, તે વાત સમયે  સમયે જોડતાં રહેવામાં તેમને આનંદ આવ્યો છે. પ્રામાણિકતા વિશેના નાનકડા પ્રકરણની શરૂઆતમાં તેમણે લખ્યું છે : “મારી કર્મકુંડળીમાં ભાગ્યેશ ગ્રહ પરાક્રમભુવનમાં નહીં, પણ પરિશ્રમભુવનમાં પડેલો હતો.” રસપ્રદ અનુભવો તેમણે બહુ લાઘવથી રજૂ કર્યા છે. અત્યારે આપણે ખેમકા પ્રકરણ વિશે જાણીએ છીએ. પરંતુ તે સમયે પણ પિંપૂટકરને સહી ન શકનારા પ્રધાનોએ તેમને તાલીમના નિયામક મોકલી આપ્યા ત્યારે તેમણે કહેલું : “એમને ખબર નથી હું દર વર્ષે ૨૫-૨૫ પિંપૂટકર તૈયાર કરીશ !” (એ.ડી. ગોરવાલા જેવા યાદ આવે છે જેમણે કહેલું : I have nothing to declare but my ‘OPINION’!)

આઝાદી પછી પણ, ૧૯૬૧ની વસતીગણતરી વખતે, યાજ્ઞિકસાહેબે જોયું કે પંચમહાલના લુણાવાડા તાલુકાનાં લાકડીપોઇડા અને ખેચપુર ગામોએ આઝાદી આવી, તેની સાથે જ પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધાં હતાં. છેલ્લાં ૧૨ વરસથી આ લોકો કોઈ પણ સરકારી કરવેરા ભરતા નહીં; એટલું જ નહીં, પણ કોઈ પણ સરકારી કર્મચારીને સાદી તપાસ કે પૂછપરછ માટે પણ ગામમાં પેસવા દેતા નહીં. તેમણે આ કિલ્લો કેવી રીતે ભેદ્યો અને મિશન પાર પાડ્યું, તે સહેજ પણ સિદ્ધિ કે અભિમાનના ભાવ વિના ટૂંકમાં લખ્યું છે.

‘નિરખને ગગનમાં’ નામનું પ્રકરણ પાન ૧૦૦-૧૦૧ ઉપર છે. તે તો જાણે એક નાનકડો લલિત નિબંધ હોય એવું છે. જેમાં સ્થળનું અને કુદરતનું વર્ણન છે અને અધિકારીનો લિઝર અને પ્લેઝર છે. આજના રાજકારણીઓ અને આજનો સમય કથળતો જાય છે, એવું કહેવું આપણને બહુ ફાવે છે, પરંતુ વર્ષોપૂર્વે કલેક્ટરની બદલી સંદર્ભે હિતેન્દ્ર દેસાઈએ કાર્યકરને આપેલો જવાબ સૂચવે છે કે ત્યારે પણ સારા મનાતા રાજકીય નેતાઓ તો આવા જ હતા.

નવનિર્માણ વખતે વડોદરામાં તેઓ કલેક્ટર હતા. કલેક્ટર અને ડીએસપી વડોદરામાં લશ્કર ઊતર્યાનું જાણતા ન હતા, પણ સરકારી ‘આકાશવાણી’ દિલ્હીથી એવા સમાચાર આપતી હતી! લશ્કર ક્યાં લડે છે અને નિર્ણયો ક્યાં થાય છે, તેની ખબર જિલ્લાને કે રાજ્યને પણ પડતી નથી હોતી તે વાત આ કિસ્સો બરાબર પ્રતિપાદિત કરે છે.

પાને-પાને સુરુચિની, શિષ્ટાચારની, સદ્‌ભાવની, વિવેકની ચિંતા અધિકારીને છે અને તે આખા પુસ્તકમાં ‘અંડર કરન્ટ’ રૂપે અનુભવાતી રહે છે. ક્યારેક એવું લાગે કે આ તો અનુભવો છે અને તેનું બયાન છે, પરંતુ એ અનુભવતા બયાન પાછળ પ્રજાકીય વહીવટ અને લોકકલ્યાણની ભાવના અનુસ્યૂત છે. આવા અનુભવો થકી વહીવટી કિલ્લાઓમાં શું રંધાય છે, તેનો કંઈક અંદાજ સામાન્ય પ્રજાને થતો રહે છે. અહીં કોઈ વહીવટી પ્રશ્નો અને તેના ઉકેલો કોઈ ‘ગાઇડ’ની રીતે મળી જાય એવું તો ન જ બને. પરંતુ નવીપેઢીના જાહેર સેવકોને વહીવટની પરંપરા અને તેનાં શિખરો કેવાં હોઈ શકે, તેનો અંદાજ અવશ્ય મળે.

‘વહીવટી’ શબ્દોમાં રેકર્ડ (વહી) અને સ્ટેટસ બંને જોડાયેલા છે. આ બેની વચ્ચે પ્રજા અને પ્રજાના સવાલો ભીંસાતા રહે છે. લોકોના પ્રશ્નો ઊકલતા નથી. કલ્યાણકારી સરકારો અને અધિકારો તેને ક્યારેક વધુ ગૂંચવે છે. કામ કરતાં અધિકારીઓ અને નવા દાખલ થતાં અધિકારીઓએ આવા અનુભવોના બયાનમાંથી ઘણું-ઘણું દિશાસૂચન અને માર્ગદર્શન મેળવવાનું શક્ય છે, જો તે ઇચ્છે તો. નહિ તો, પ્રજા અને મીડિયા તો પોતપોતાની ભૂમિકા ભજવવાનાં જ છે. આશા રાખીએ, આવા અનુભવો તંત્ર અને પ્રજા વચ્ચે અંતર ઘટાડવામાં નિમિત્ત પણ બને.

સ્વાગત સિટી, અડાલજ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 08-09

Loading

ક્લાસિકલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|19 April 2016

ભારતના કેટલાક બૌદ્ધિકો પણ ઘાતક રાષ્ટ્રવાદની પકડમાં આવી ગયા હોવાનો વધુ એક દાખલો એક પ્રકાશનશ્રેણીને લગતા અત્યારના વિવાદ વિશે વાંચતાં મળે છે.  આપણા પ્રાચીન સાહિત્યના અંગ્રેજી અનુવાદની એક  ગ્રંથમાળા ‘મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા’ નામે બહાર પડી રહી છે. જાણીતા સખાવતી ઉદ્યોગપતિ એન.આર. નારાયણમૂર્તિના હાર્વર્ડમાં અભ્યાસ કરી રહેલા પુત્ર રોહને આ ગ્રંથશ્રેણી માટે હાર્વર્ડ યુનિવર્સિટીને 5.2 મિલિયન ડૉલરનું  દાન આપ્યું  છે. તેના ઉપક્રમે  સંસ્કૃત સહિત દસ ભારતીય ભાષાઓનાં પ્રાચીન સાહિત્યના મૂળ પાઠ અને અંગ્રેજી અનુવાદની પાંચસો ખંડની ગ્રંથમાળાનું આયોજન છે. તેમાંથી કુલ પાંચેક હજાર પાનાનાં દસ પુસ્તકો ગયાં બે વર્ષ દરમિયાન બહાર પડી ચૂક્યાં છે. તેમાં તુલસી રામાયણ, બુલ્લે શાહની રચનાઓ, અબુલ ફઝલના અકબરનામા, બૌદ્ધ કવયિત્રીઓનાં પદ્ય ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ દુષ્કર કાર્યના મુખ્ય સંપાદક તરીકે અમેરિકન વિદ્વાન શેલ્ડન પોલૉકની વરણી અંગે વિવાદ ચાલ્યો છે. કોલંબિયા યુનિવર્સિટીના સંસ્કૃત અને ફિલોલૉજીના અધ્યાપક પોલૉકને ૨૦૧૦માં પદ્મપુરસ્કાર મળેલો છે.

તેમને સંપાદકપદેથી હઠાવવા માટે તાજેતરમાં દેશના એકસો બત્રીસ વિદ્વાનોએ ફાઉન્ડેશનને અરજી કરી છે. તેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્‌સ ઑફ ટેક્‌નોલૉજી(આઈ.આઈ.ટી.)ના બત્રીસ અધ્યાપકો ઉપરાંત સંસ્કૃત કે ભારતીય વિદ્યાઓના વિદ્વાનો છે. ભારતના પૂર્વચૂંટણી-કમિશનર ગોપાલસ્વામી ઉપરાંત કેટલાક સનદી અધિકારીઓ પણ અરજીના ટેકેદારો છે. ગુજરાતમાંથી સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનના માધવપ્રિયદાસ છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)ના અંગ્રેજીના વિખ્યાત અધ્યાપક-વિવેચક મકરંદ પરાંજપેએ અરજી પર સહી કરનાર તરીકેની ભૂમિકા સ્પષ્ટ કરતો લેખ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’(૨૧/૩)માં લખ્યો છે.  સ્વપન દાસગુપ્તાએ લખ્યું ‘ઇફ વિ ડોન્ટ સેવ સંસ્કૃત, વ્હાય સ્ટૉપ ફૉરિનર્સ?’ (ટાઇમ્સ,૩/૪).

સલીલ ત્રિપાઠીએ આ વિવાદનાં લેખાંજોખાં કરી, વિદ્યાજગત માટે તેની અશોભનીયતા બતાવી એક વિકલ્પ પણ સૂચવ્યો છે (લાઇવ મિન્ટ, ૨૪/૩). ગ્રંથકાર્ય શરૂ થયા પછી પાંચેક વર્ષે તેના સંપાદક સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેનું  દેખીતું કારણ તો જેએનયુના મુદ્દે પોલૉકે ભારત સરકારના દમન અને લડાયક રાષ્ટ્રવાદ વિરોધી ભૂમિકા લીધી તે છે. પોલૉક સામેની અરજીમાં નોંધવામાં આવ્યું છે કે પોલૉક ‘દેશની એકતા અને અખંડિતતા માટે અનાદર’ ધરાવે છે. પરાંજપે તેમને ડાબેરી વિચારસરણીવાળા ‘હિન્દુફોબ’ ગણાવે છે. બીજો એક વાંધો એ મતલબનો ઉઠાવવામાં આવ્યો છે કે પોલૉકે ચારેક વર્ષ પહેલાં એક અભ્યાસપત્રમાં સાઉથ એશિયાના જ્ઞાન કરતાં પશ્ચિમના જ્ઞાનને માનવજાત માટે વધુ લાભકારી ગણાવ્યું હતું. જો કે આ આરોપ  સંશોધનપત્રના સગવડિયા, અવિચારી, અધકચરા અને પૂર્વગ્રહદૂષિત વાંચન તેમ જ અર્થઘટનથી કરવામાં આવ્યો હતો, તે પોલૉકના તરફેણદારોએ સાબિત કરી આપ્યું. આરોપ  જે ફકરાને ટાંકીને કરવામાં આવ્યો હતો તેમાં ખરેખર તો સાઉથ એશિયાના જ્ઞાનની પશ્ચિમે કરેલી ઉપેક્ષા સામે પોલૉકે સવાલ ઉઠાવ્યો છે. તેના પહેલાના હિસ્સામાં તેમણે વ્યાકરણ, રસમીમાંસા અને નાટ્યશાસ્ત્ર જેવા ભારતીય પ્રદાનની મહત્તા સમજાવી છે.

વાંધાનો અન્ય એક મુદ્દો એવો છે કે એક બિનભારતીય વિદ્વાનને આ કામ સોંપવામાં ભારતીય વિદ્યાજગતનું અપમાન છે. બિલ ગેટસ્‌ફાઉન્ડેશન અમેરિકન સાહિત્યસંસ્કૃિતનું કામ કોઈ ચીની વિદ્વાનને સોંપે, તો અમેરિકનોને કેવું લાગે, એવો અત્યારની દુનિયામાં તો ખાસ બાલિશ ગણાય તેવો સવાલ પણ ઊભો કરવામાં આવ્યો છે. સલિલ કહે છે કે આવા પ્રકારનો ગ્રંથસંગ્રહ કરવામાં ભારતીયોને કોઈએ અટકાવ્યા નથી. પછી તે પૂછે છે : ‘ભારતીય અક્ષરસાહિત્યનું અર્થઘટન માત્ર ભારતીયો જ કરી શકવાના હોય એવા માહોલવાળી દુનિયા તો ભયંકર હોય. શેક્સપિયરના નાટક ‘ઑલ્સ વેલ ધૅટ ઍન્ડ્‌સ વેલ’ના, સુનિલ શાનબાગે કરેલા ગુજરાતી અર્થઘટનનો અંગ્રેજો વિરોધ કરે એવું બને ખરું ? કટોકટીનો અણસાર આપતી અને તેની ટીકા કરતી ‘સૉક્રેટિસ’ નવલકથા ૧૯૭૫માં લખનાર મનુભાઈ પંચોળી-દર્શકને ગ્રીક સાક્ષરો અટકાવે એવું બને ખરું ?’ પોલૉકની હકાલપટ્ટી માટે, સભ્ય અને વિદ્વત્તાપૂર્ણ ભાષામાં લખાયેલી અરજીમાંનો  જીર્ણમત, અતિરાષ્ટ્રવાદ અને સંકુચિતતા હાસ્યાસ્પદ હોવાની સાથે ચિંતાજનક પણ છે. વળી એમ પણ થાય કે અઢારમી સદીના વિલિયમ જૉન્સથી લઈને અત્યારના વિલિયમ ડાર્લિમ્પલ સુધીનાનું શું કરીશું? એવો ય વિચાર આવે કે આ ખંડપ્રાય દેશમાં ભાગ્યે જ ક્યાંક ચાલતી દેવભાષાની જીર્ણતા અને ઉપેક્ષાનું સાંપ્રતકાળના સંદર્ભે શું કરીશુ?

જી.એ. તરીકે ઓળખાતા મરાઠી સાહિત્યના જાણીતા વાર્તાકાર ગુરુનાથ આબાજી કુલકર્ણી (૧૯૨૩-૮૭) તેમના ચાહકો-અભ્યાસીઓ માટે એક કોયડો રહ્યા છે. તેમના નવ સંગ્રહોની વાર્તાઓમાં ક્રૂરતા અને શોક, દૈવ અને દંતકથા, અપાર્થિવ અને અગોચર, ગૂઢ અને રમ્ય જેવાં તત્ત્વો વાચક પર છવાઈ જાય છે. વિવેચકોએ જી.એ. અને કાફકા તેમ જ બોર્જેસ વચ્ચે સામ્ય જોયાં છે. ધારવાડની કૉલેજના  અંગ્રેજી સાહિત્યના આ અધ્યાપકે વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્‌લાઇઝ’ ઉપરાંત અમેરિકન લેખક કૉનરૅડ રિચ્ટરની પાંચ નવલકથાઓનો અનુવાદ કર્યો છે. ‘કાજળમાયા’ વાર્તાસંચય માટે ૧૯૭૩માં મળેલા કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પુરસ્કાર અંગે વિવાદ થતાં તેમણે ઇનામી રકમ અને પ્રવાસખર્ચ સહિત પુરસ્કાર પાછો આપ્યો હતો. પોતાનો ઠીક મોટો વાચકવર્ગ ઊભો થયો હોવા છતાં  જી.એ. હંમેશાં લોકોથી સાવ અળગા રહેવાનું પસંદ કરતા. અપરિણીત અંગત જીવન વિશે કોઈને માહિતી ન મળે તેની પૂરી તકેદારી રાખતા. એટલે તેમના  જીવનનાં રહસ્યો ઉકેલવામાં ચાહકો-અભ્યાસીઓ સતત મથતા રહ્યા છે. એકંદરે બિનઅંગત એવાં સાહિત્યિક-વૈચારિક પત્રોનાં ચાર સંચયો અને સંપર્કમાં આવેલા માણસોનાં સંભારણાં થકી તેમના વ્યક્તિગત જીવન પર પ્રકાશ પાડવાની  કોશિશો ચાલતી રહી છે. આવી જ એક જંગમ કોશિશ વિ.ગો.વડેર  નામના અભ્યાસીના ‘અર્પણપત્રિકાંતૂન જી.એ. દર્શન’ (રાજહંસ પ્રકાશન, પુણે, રૂ.૪૦૦) નામના પુસ્તકમાં મળે છે. જી.એ.એ નવ કથાસંગ્રહો માતા, પિતા, ત્રણ મામા, ત્રણ બહેનો, એક માશી એમ તેમના પરિવારની વિવિધ વ્યક્તિઓને અર્પણ કર્યા છે. તેમાંથી દરેક પર વડેરે એક-એક પ્રકરણ લખ્યું છે. સહુથી લાંબું પ્રકરણ ‘રમલખુણા’ નામનો વાર્તાસંગ્રહ, જે વતન બેળગાવ અને તેમાં વસતા જી.એ. પરનો છે. કુલ ત્રણસો નેવું પાનાંમાં જી.એ.ના ભેદી જીવનનો ચિતાર આલેખાયો  છે. તેના માટે લેખકે ૨૦૦૬થી આઠેક વર્ષ છ-સાત હજાર કિલોમીટરનો પ્રવાસ કરી પચીસેક ગામોની સો વ્યક્તિઓની મુલાકાત લીધી છે. સંશોધકે પોતાના પ્રિય લેખકના માનવસંબંધોની કરેલી શોધયાત્રાની બહુ રસપ્રદ વિગતો પ્રસ્તાવના અને પરિશિષ્ટોનાં પાંત્રીસ પાનાંમાં છે. આ પૂર્વે અરધા તપની આવી જ મહેનતથી વડેરે ‘જી.એં.ચી કથા પરિસરયાત્રા’ નામના ગ્રંથનું સહલેખન પણ કર્યું છે.

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 10 અને 12

Loading

...102030...3,5783,5793,5803,581...3,5903,6003,610...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved