Opinion Magazine
Number of visits: 9690320
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમે શોષિતો માટે ‘કમ્ફર્ટ ઝોન’ છોડવા તૈયાર છો?

વિશાલ શાહ|Opinion - Opinion|3 August 2016

ઊનાના દલિત અત્યાચાર કાંડની ગરમી હવામાં હતી ત્યાં જ બે મહત્ત્વના યોગાનુયોગ સર્જાયા. પહેલો, કર્ણાટકના બેઝવાડા વિલ્સનને રેમન મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત કરાયા અને બીજો, મહાશ્વેતા દેવીનું મહાપ્રયાણ. વિલ્સને માનવ વિષ્ટાની હાથથી સફાઈ કરવાની પ્રથા બંધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, જ્યારે મહાશ્વેતા દેવીએ આદિવાસીઓ અને સમાજના સૌથી છેવાડાના વર્ગની વેદનાને વાચા આપવાનું કામ કર્યું. ફેસબુક પર વિચરતા ડાઘિયા કૂતરા જેવા દૂધપીતા અભિપ્રાયબાજો પાટીદાર અને દલિત આંદોલનને એક જ લાકડીએ હાંકી રહ્યા છે અને બંને આંદોલનમાં રાજકીય કાવતરું સૂંઘીને હાઉ હાઉ કરી રહ્યા છે ત્યારે બેઝવાડા વિલ્સન અને મહાશ્વેતા દેવીને યાદ કરીને થોડું મનોમંથન કરીએ.

પાટીદાર આંદોલન અનામત માટે હતું, જ્યારે દલિતોનું કાચુંપાકું આંદોલન હજારો વર્ષોથી સહન કરાતા અન્યાય, પીડા, અપમાન અને આક્રોશમાંથી ઊભું થઈ રહ્યું છે. પાટીદાર આંદોલનનો હેતુ ફક્ત અનામત મેળવવાનો હતો એટલે પાટીદારોને સમાજના બીજા વર્ગનો ટેકો ના મળે એ સમજી શકાય છે, પણ દલિત આંદોલનને સવર્ણો સહિત આખા સમાજનો મજબૂત ટેકો કેમ નથી મળતો? દલિતોને માર મારતો વીડિયો વાયરલ કરવામાં રાજકીય કાવતરું ક્યાંથી આવ્યું? જો એ રાજકીય કાવતરું હોય તો પણ શું? આ પ્રકારની ગુંડાગર્દીનો વિરોધ કેમ ફક્ત દલિતો જ કરે? દલિત આંદોલનને યોગ્ય દિશા આપવા દલિત સંગઠન, દલિત આગેવાન કે કોઈ દલિત હીરો બનીને બહાર આવે એની રાહ કેમ જોવી પડે છે?

પાટીદારોએ અનામત માગી. પણ કોના માટે? આખા પાટીદાર સમાજ માટે. ભલે પછી એ પાટીદાર આર્થિક-સામાજિક રીતે સંપન્ન હોય કે નિષ્પન્ન. એનાથી કશો ફર્ક નથી પડતો. ટૂંકમાં દરેકે દરેક પાટીદારને અનામત જોઈએ, એવું નહીં કે જેને ખરેખર જરૂર છે એવા કોઈ પણ ધર્મ-જાતિ-સમાજના વંચિત વર્ગને. અહીં અનામતની માગ યોગ્ય છે કે નહીં એની નહીં પણ કોણ કોના માટે લડી રહ્યું છે એની વાત કરવાનો ઈરાદો છે. ટૂંકમાં માણસના મૂળભૂત અધિકારની લડાઈ કોઈ જ પ્રકારનું લેબલ નહીં ધરાવતા લોકો એકજૂટ થઈને કેમ નથી લડતા?

કમનસીબે આપણા આંદોલન પણ જાતિવાદી, વર્ગવિગ્રહી અને ધર્મઆધારિત હોય છે એટલે જ તેને ખૂબ ઝડપથી 'રાજકીય રંગ' લાગી જાય છે. પાટીદાર કે દલિત આંદોલનની હવામાં પણ 'મુખ્યમંત્રી હટાવો'ની બદબૂ આવવા માંડી હતી. આ પ્રકારના ‘રાજકીય આંદોલન’નો હેતુ પૂરો થઈ ગયા પછી સામાન્ય માણસ ત્યાંનો ત્યાં રહે છે. જાતિવાદી આંદોલનમાંથી પેદા થયેલા નેતાઓ ચોક્કસ વર્ગના જ નેતાઓ હોય છે. રાજકારણમાં ઝંપલાવ્યા પછી જાતિવાદના જોરે ઊભરેલા નેતાઓએ પણ મતબેંકના રાજકારણમાં રચ્યાપચ્યા રહેવું પડે છે. આ રીતે ચોક્કસ સમાજ કે જાતિની ન્યૂસન્સ વેલ્યૂ ઊભી કરીને મેળવેલી સત્તા ખુદ નેતાને જ ‘ન્યૂસન્સ વેલ્યૂ’ બનાવી દે છે. આજે દેશમાં આવા નેતાઓની ભરમાર છે. કોઈ દલિત નેતા છે, કોઈ હિંદુ નેતા છે, કોઈ મુસ્લિમ નેતા છે, કોઈ મરાઠી-તમિલ તો કોઈ આદિવાસી નેતા છે. આ બધા માટે જવાબદાર કોણ? રાજકારણીઓ કે પછી ભારતવર્ષની મહાન ‘લેબલ-શૂરી’ પ્રજા? ભારતને તમામ શોષિત વર્ગ માટે કામ કરે એવો નેતા કેમ નથી મળતો?

કદાચ શોષિતો લાચાર છે અને સંપન્નો તેમના 'કમ્ફર્ટ ઝોન'માંથી બહાર નથી આવતા.

***

હજુ ડિસેમ્બર ૨૦૧૬માં જ બેઝવાડા વિલ્સને દેશભરના ૫૦૦ જિલ્લામાં ૧૨૫ દિવસની એક બસ યાત્રાનું આયોજન કર્યું હતું, જેને તેમણે ભીમ યાત્રા નામ આપ્યું હતું. ભીમ યાત્રા માટે વિલ્સને દેશના ૫૦૦ જિલ્લા કેવી રીતે પસંદ કર્યા હતા, ખબર છે? દેશના કુલ ૬૮૬ જિલ્લામાંથી વિલ્સને પસંદ કરેલા ૫૦૦ જિલ્લાની ગટરો, સૂકા જાજરૂ વગેરેમાંથી માનવમળની સફાઈ કરતી વખતે ઓછામાં ઓછા એક સફાઈ કર્મચારીનું મોત થયું હતું, એટલે ત્યાં જાગૃતિ ફેલાવવા તેઓ ભીમ યાત્રા લઈને ગયા હતા. 

વિલ્સનનું કહેવું છે કે, માનવમળની હાથથી સફાઈ કરવાની, માથે મેલું ઉપાડવાની અને સૂકા જાજરૂની પ્રથા સદંતર બંધ કરાવવાની મારી ત્રણ દાયકાની યાત્રાનું આ સૌથી તાજું પગલું એટલે ભીમ યાત્રા. આ યાત્રામાં મારી સાથે મોટા ભાગે દલિતો જોડાયા હતા, જે સૂકા જાજરૂ(મોટા ભાગે ખાડા સંડાસ)માંથી માનવ વિષ્ટાની સફાઈનું કામ કરતા. આજે ય દેશમાં બે લાખથી વધારે સફાઈ કામદારો માનવ વિષ્ટાની હાથથી સફાઈ કરે છે. આ બધી જ સફાઈ કર્મચારી મોટા ભાગે દલિત સ્ત્રીઓ છે.

વર્ષ ૧૯૯૩માં વિલ્સને હાથથી માનવમળની સફાઈ કરવાની પ્રથા સંપૂર્ણપણે બંધ કરાવવા  'સફાઈ કર્મચારી આંદોલન' શરૂ કર્યું હતું. એ પછી વિલ્સને જિલ્લે-જિલ્લે સાત હજાર જેટલા કાર્યકર્તા તૈયાર કર્યા અને હાથથી માનવમળ સાફ કરાવવાની પ્રથા સદંતર બંધ કરાવવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. એટલું જ નહીં, આ લોકોના પુનર્વસવાટ માટે પણ તેમણે કાયદાકીય લડત આરંભી. દેશમાં પાણીની સુવિધા નહીં ધરાવતા સૂકા સંડાસની સંખ્યા કેટલી છે એનો ડેટા પણ સરકારને વિલ્સનના અશોકા ફાઉન્ડેશને જ આપ્યો હતો.

વિલ્સનના આંદોલનના કારણે જ વર્ષ ૨૦૧૦માં સફાઈ કર્મચારીઓને પંચવર્ષીય યોજનામાં મહત્ત્વનું સ્થાન અપાયું હતું. એ જ વર્ષે નેશનલ એડવાઈઝરી કાઉન્સિલે વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને હાથથી માનવમળની સફાઈ કરવાની પ્રથાને 'રાષ્ટ્રીય શરમ' જાહેર કરવાની તેમ જ તેને સદંતર બંધ કરાવવા પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું.

એ પછી તો સરકારે જ દેશભરમાં હાથથી માનવમળની સફાઈ કરતા કર્મચારીઓનું સર્વેક્ષણ કરવા, તેમનું પુનર્વસન કરાવવા અને કાયદાની મદદથી આ પ્રથા રોકવા એક ટાસ્કફોર્સની રચના કરી. આયોજન પંચે પણ  વિલ્સન બેઝવાડાની આગેવાનીમાં સફાઈ કર્મચારીઓના એક જૂથની રચના કરી, જેમનું કામ સરકારને વિવિધ અહેવાલો આપવાનું છે. આ આંદોલન હજુયે ચાલી રહ્યું છે.

***

બેઝવાડા વિલ્સન કેમ આટલું મોટું આંદોલન કરી શક્યા એ સમજવા જેવું છે. તેમનો જન્મ કર્ણાટકના કોલર ગોલ્ડફિલ્ડમાં જેકબ બેઝવાડા અને રશેલ બેઝવાડા થોટી દંપતીના ત્યાં થયો હતો. થોટી જાતિના લોકો હજારો વર્ષોથી માનવમળની સફાઈનું કામ કરે છે. આ પ્રકારનું કામ કરતા હોવાના કારણે જ આ સમાજના લોકો પાંચેક હજાર વર્ષથી છૂતાછૂત પણ સહન કરી રહ્યા છે. બેઝવાડા વિલ્સનના પિતા જેકબ વિલ્સને ગુજરાન ચલાવવા બીજી નોકરીઓ શોધવાના પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ તેમને બીજું કામ આપવા તૈયાર ન હતું. ટૂંકમાં વંશપરંરાગત વ્યવસાય વ્યક્તિ બદલી જ ના શકે. કેટલું અન્યાયી!

વિલ્સને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા માતાપિતા માનવમળની સફાઈ કરવાનું કામ કરે છે એવું જાણ્યા પછી હું દુઃખી થઈ ગયો હતો. આ વાતને લઈને સ્કૂલમાં પણ બીજા લોકો મને ચીડવતા.

થોટી પરિવારમાં વિલ્સન પહેલો યુવક હતો જેને ઉચ્ચ શિક્ષણ નસીબ થયું હતું. વર્ષ ૧૯૮૬માં ફક્ત વીસ વર્ષની ઉંમરે વિલ્સને કર્ણાટકમાં સૂકા જાજરૂ બંધ કરાવવા તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીને સંખ્યાબંધ પત્રો લખ્યા હતા. વિલ્સનના આંદોલનની સફળતા પાછળ તેમનો આક્રોશ, માતાપિતાની બદતર સ્થિતિ, બાળપણમાં અનુભવેલી શરમ, અન્યાયની ભાવના અને એ બધામાંથી સર્જાયેલી પોતાના સમાજ માટે કંઈક કરવાની ખેવના જેવા અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે!

જો કે, બેઝવાડા વિલ્સનના આંદોલનને હજુ પૂરેપૂરી સફળતા મળી નથી. તેઓ પોતે ય જાણે છે કે, આ આંદોલન ઘણું ધીમું ચાલી રહ્યું છે એટલે જ તેમણે કાયદાકીય શક્યતાઓ તપાસીને આ પ્રથા બંધ કરાવવાના પ્રયાસ કર્યા છે.

હવે મૂળ વાત એ છે કે, આ પ્રથા બંધ કરાવવા માટે બીજા લોકો પણ કેમ આગળ ના આવે? પાંચેક હજાર વર્ષ જૂની અન્યાયી, ક્રૂર અને ભારત જેવા મહાન દેશ માટે શરમજનક કહેવાય એવી પ્રથા બંધ કરાવવા દલિત સમાજ સિવાયના લોકો પણ કેમ આગળ નથી આવતા?

***

વંચિત, શોષિત અને કચડાયેલા વર્ગની સ્થિતિ સમજવા, નક્સલવાદી હિંસા કે કાશ્મીર હિંસા જેવા તમામ જટિલ મુદ્દે ‘એક ઘા અને બે કટકા’ જેવી ‘તાળીઉઘરાઉ અભિવ્યક્તિ’ કરવાનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે ત્યારે મહાશ્વેતા દેવીનું સાહિત્ય ‘કાળઝાળ ગરમીમાં શીતળતા’નો અનુભવ કરવા ઉત્તમ છે.

મહાશ્વેતા દેવીની વાર્તાઓમાં એવી અનેક આદિવાસી જાતિઓ વિશે જાણવા મળે છે, જે વંશપરંપરાગત ધંધા-વ્યવસાયના કારણે આદિવાસી (કે દલિત) બની જાય છે. ઉદાહરણ તરીકે, મહાશ્વેતા દેવીની 'અનાજની બિછાત' વાર્તામાં ગંજુ નામના આદિવાસી સમાજ કે સંપ્રદાયની વાત આવે છે. આ લોકોનું વંશપરંપરાગત કામ જ મરેલા ઢોરોની ચામડી ઉતારવાનું છે. આ વાત કરીને તેઓ જે તે સમાજનો જન્મ કેવી રીતે થાય છે તેની પુરાણ કથા પણ આલેખે છે. આ માહિતી આપીને તેઓ નવલકથા કે વાર્તાઓમાં ફક્ત નાટકીય તત્ત્વ નથી ઉમેરતા પણ શોષિત વર્ગને ઇતિહાસના પટ સામે ઊભા રાખીને ઉચ્ચ વર્ગના 'શિકાર' તરીકે રજૂ કરે છે.

'હજાર ચૌરાસી કી માં', 'અગ્નિગર્ભ', 'અરણ્યેર અધિકાર' અને 'રુદાલી' તેમની જાણીતી કૃતિઓ છે, પરંતુ મહાશ્વેતા દેવીના સાહિત્યમાં એ દરિયામાં ટીપાં સમાન છે. મહાશ્વેતા દેવીએ આશરે ૧૦૦ જેટલી નવલકથા અને વીસ વાર્તા સંગ્રહ આપ્યાં છે, જેમાં તેમણે ફક્ત છેવાડાના માણસ માટે અવાજ ઉઠાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે જે સામે જોયું એને શબ્દોથી વાચા આપી, બસ. મહાશ્વેતા દેવીએ સામ્યવાદના બે મહાન પ્રણેતા માર્ક્સ કે લેનિનને વાંચ્યા ન હતા.

મહાશ્વેતા દેવીના પિતા મનીષ ઘટક બંગાળી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ બંગાળી સાહિત્યના અત્યંત મહત્ત્વના ગણાતા કલ્લોલ આંદોલન સાથે પણ સંકળાયેલા હતા. મનીષ ઘટકના ભાઈ એટલે જાણીતા ફિલ્મમેકર રિત્વિક ઘટક. મહાશ્વેતા દેવીના માતા ધારિત્રી દેવી પણ જાણીતાં લેખિકા અને સામાજિક કાર્યકર હતાં. ધારિત્રી દેવીના ભાઈ, એટલે કે મહાશ્વેતા દેવીના મામા સચિન ચૌધરીએ 'ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી ઓફ ઈન્ડિયા' જેવું અત્યંત પ્રતિષ્ઠિત સામાયિક શરૂ કર્યું હતું. 

શિક્ષિત-પ્રતિષ્ઠિત બંગાળી પરિવારમાં જન્મેલા મહાશ્વેતા દેવી ચૈનની જિંદગી જીવી શકતા હતાં, પરંતુ તેમણે શોષિત વર્ગ માટે પોતાનો 'કમ્ફર્ટ ઝોન' છોડી દીધો. તેઓ દેશની એકમાત્ર વ્યક્તિ હતાં જેમને સાહિત્ય-પત્રકારત્વની સેવા બદલ જ્ઞાનપીઠ અને રેમન મેગ્સેસે એમ બંને પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.

અત્યારે ગુજરાતીઓ પાસે શોષિત-દલિત વર્ગને સંપૂર્ણ માનવીય હક્કો આપીને દેશમાં જ નહીં વિશ્વભરમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની તક છે. ખરા અર્થમાં ગુજરાતની અસ્મિતાનો ઝંડો લહેરાવવાની તક છે.

આ તક આવી છે ત્યારે એક સવાલ પૂછવાનું મન થાય છે. શું તમે શોષિત વર્ગ માટે તમારો 'કમ્ફર્ટ ઝોન' છોડવા તૈયાર છો?

—–

સૌજન્યઃ "ગુજરાત સમાચાર", 'શતદલ' પૂર્તિ, ત્રીજી ઓગસ્ટ, 2016, ફ્રેન્કલી સ્પીકિંગ- વિશાલ શાહ

http://vishnubharatiya.blogspot.in/

e.mail : vishnubharatiya@gmail.com

Loading

… શિરામણમાં હું શીરો છું!

અરુણા જાડેજા, અરુણા જાડેજા|Opinion - Opinion|3 August 2016

પહેલાં શીરો શબ્દ આવ્યો હશે કે શિરામણ? આ પેચીદો સવાલ છે. કારણ કે શીરો શબ્દ ફારસી અને શિરામણ અસલ તળપદી, પાઘડી પહેરેલો; તો શીરો સાવ સામી પાટલીએ બેઠેલો — ટોપી અને તે ય પાછી મુસ્લિમ ટોપી પહેરેલો. એટલે શીરા પરથી આપણું શિરામણ આવ્યું કે આપણા શિરામણમાંથી એમણે શીરો ચોરી લીધો! આમ તો આ બન્ને સ્વજનો જ પણ સામસામી પાટલી પર બેઠા તેથી મૂળ ધાતુમાં હૃસ્વ-દીર્ઘનો ફેર થઈ ગયો બાકી એમનો ભાઈચારો તો અકબંધ જ.

પહેલાના જમાનામાં સવારના નાસ્તામાં આ શીરો ખવાતો હશે તેથી સવારના નાસ્તા અર્થાત્ દેશી બ્રેકફાસ્ટ માટે શિરામણ શબ્દ વપરાશમાં આવ્યો હશે. શીરો એ ફારસી વાની છે, મીઠી વાનગી છે, અતિ મધૂરું વ્યંજન છે.

શિરામણ શબ્દ અને મહેરામણ બન્ને આગલા જન્મના ભાઈઓ. સવારસવારમાં મસમોટા તાંસળામાં રેલમછેલ કરતું ઘી રેડાયું છે, ઘીને અગ્નિદેવતાનો સાથ મળે છે અને એમાં ઘઉંનો લોટ પડે છે, ઘીમાં ભળી જઈને શેકાય છે, ફળિયામાં બધાની નાસિકા સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે તેમ પોતે જ સુગંધ બની જાય છે, બાજુમાં ઊકળતું ગોળવાળું ફફળતું પાણી રાહ જોઈ રહ્યું છે — ઘી અને લોટ સાથે હસ્તધૂનન કરવાની. અને આ ત્રણેય ભેગા થઈને એક મસ્તધૂનન માટેની હવા સર્જી આપે છે.

વાડીએ કે પેઢીએ જનારા નાહીધોઈપરવારીને રસોડાની બહાર બેસી જાય છે, ટોળે વળીને. સુગંધિત નાસિકાવાળા પાસપાડોશી પણ એ ટોળામાં સામેલ થઈ જાય છે. એ જામ્યો મહેરામણ શિરામણ ટાણે!

તો આ છે શિરામણ અને શીરાની દોસ્તીનું રહસ્ય.

ભલેને પહેલાના જમાનામાં સવારના નાસ્તા માટે શિરામણ વપરાતો પણ એનો આ શીરો તો આઠે પહોર માટે વપરાતો થઈ ગયો. સવારના મંગળાના દર્શનથી માંડીને રાતના શયન સુધી શીરાની બોલબાલા રહી છે આપણે ત્યાં.

મીઠીમધૂરી વાનગીઓમાં આપણા ગુજરાતીઓમાં શીરો શિરમોર સમો. સવારસવારમાં મોહનથાળ ન ઠરે કે મેસૂબની જાળી ન જામે કે માલપૂઆ ન ઊતરે કે ઘેવરની જાળી ન પડે. એ તો વાટકામાં શીરો જ પડે.

આપણે આ શીરોપૂરીને જેટલા મોંઢે ચઢાવ્યા છે એટલા બીજા કોઈને ય નહીં. ન શિખંડપૂરી કે ન બાસુંદીપૂરી કે ન રસપૂરી. અને આમે ય આ બધા તો વરસના વચલે દહાડે પધારનારા પણ શીરાભાઈ ઘરના જ! ભર શિયાળામાં શિંખડપૂરીનું નામ મોંએ ન ચડે કે ઉનાળા સિવાય રસપૂરીનું નામ જીભે ન ચડે, શ્રાદ્ધ સિવાય દૂધપાકપૂરી નહીં, તો બાસુંદીપૂરી ભાગ્યે જ કાને પડે પણ શીરોપૂરી રોજેરોજ જડે.

શીરો એટલે ઘઉં-ગોળ-ઘીની સંગત, તબલા-હારમોનિયમ-કંઠ જેવી સૂરીલી. પછી એ કંઠ ખાંસાહેબનો હોય કે બાઈનો હોય. ફાડા હોય, વચલો બાટ હોય કે થૂલીનો બાટ; આખરે તો ઘઉં જ. લાપસી હોય, કંસાર હોય કે શીરો પણ આંધણ તો એક જ, ગોળનું. અર્થાત્ કૂળગોત્ર તો એક જ.

ઘઉં-ગોળ-ઘીનો શીરો પૌષ્ટિકતામાં અવ્વલ નંબરે બિરાજે, એલચીનો છંટકાવ એને ઓર નિખારે, તો લાલ દ્રાક્ષ (કિશમિશ) શીરાને મૂઠી ઊંચેરો બનાવે. શીરાની બહેન એ શીરી, એટલે આપણી રાબ. એનો ય શો રુઆબ! બદામ-ખસખસથી સોહંતી અને એલચી-કેસરથી મહેંકતી. માંદા પડવાની એ જ તો છે મજા. અને પંજાબીઓ આમ તો શીરાને સૂજી કા હલવા કહે પણ રાબને શીરી કહેતા મેં મારા પંજાબી પાડોશીને સાંભળ્યા છે. તો અમારા મદ્રાસી મિત્ર શીરાને કેસરી નામે બોલાવે. એમ તો ચણાના લોટનો પણ શીરો થાય, ઢીલો મોહનથાળ જોઈ લો. શેકતી વખતે થોડી મલાઈ નાંખો, શીરાને મલાવીમલાવીને ખાવાનું મન થઈ આવશે.

રવાનો શીરો રૂપેરંગે સોહામણો પણ ભારે વાયડો. તોયે સત્યનારાયણની પૂજાનો પ્રસાદ ખરોને, દાઢે વળગી જાય, બ્રશ કરવાનું મન ન થાય. કથા સિવાય અમસ્તાયે એ જ પવિત્ર ભાવથી શીરો શેકવામાં આવે તો એ જ પ્રસાદનો સ્વાદ દાદ લઈ જાય. છલોછલ ઘી ને એમાં —શ્રી કૃષ્ણ શરણમ્ મમ-ની ધૂન ગાતાંગાતાં — શેકાતો ગુલબિયો રવો, કિશમિશ તો ખરી, બદામની કતરણ જોજો ન ભૂલાય. અને પછી એમાં પડતું છમ્મકારા સાથે ઊકળતું દૂધ. એ દૂધ સહેજ ભળે ન ભળે ત્યાં જ ખાંડ ભળી જાય, દૂધ બળવાની રાહ નહીં જોવાની. રવો-દૂધ-ખાંડ એ ત્રિપૂટી હાથમાં હાથ મિલાવી કડાઈમાં દોડાદોડ કરી મૂકે. પછી એમને ઠારવા પાણીવાળી થાળી ઉપર ઢાંકી દો, પેલી ત્રિપૂટીની ધમાલ પણ થાકીને ઠરી જશે અને આપણી જીભબાઈ ફાવી જશે. થાળી ઊતારીને જુઓ તો જાણે પારણામાં હસતા બાળકૃષ્ણ, એમની નજર ઊતારવા છાંટી દો એલચીનો ભૂકો. રંગ-રૂપ-રસ-સ્વાદ-સુંગધનો દરિયો હેલે ચઢે.

માનતા રાખીને કરેલી પૂજામાં ધરાવાતો એકમાત્ર ખાસમખાસ પ્રસાદ એટલે શીરો. ન કે મોહનથાળ કે ન મેસૂબ કે દૂધપાક કે ન બાસુંદી, ન રસ કે ન શિખંડ.

ભર શિયાળામાં આગળ પડતું ઘી નાંખેલા રવાના શીરાને થાળીમાં ઠારીને મોહનથાળની જેમ ચકતાં પડતા પણ ગામડામાં જોવા મળે.

સો વાતની એક વાત : શીરાનો સિદ્ધાંત એક જ, લોટમાં ઘી ને દૂધ (કે પાણી) ઓછા ન ખપે.

*

બડે મિંયા તો બડે, છોટે મિંયા ભી સુભાનલ્લા !

નાનું બાળક પણ શીરાનો મહિમા જાણે અને તેથી જ શીરાના નામે જ રીઝે. “રાધે રાધે રાધે, શિરોપૂરી ખાજે.” તો એ નાનકું હસી પડે ને બે હાથે તાળી પાડવા મંડે. પણ “રાધે રાધે રાધે” સાથે “શિખંડપૂરી” કે “રસપૂરી” બોલી જોજો, એ નાનકું અવળું ફરીને ભાંખોડિયા ભરવા લાગશે; એ ય બધું સમજે. નાના ઊછરીને મોટા થાય તે શીરા થકી જ, કૌવત મેળવે તે શીરા થકી જ.

શીરાની સખી પૂરી અને ભજિયાં તો એના હજૂરિયા; ના, ના હનુમાનજી. સિંહાસને બિરાજેલાં શ્રીરામ-સીતા ને ચરણોમાં દાસ એવો ફોટો નજર સામે તરી આવે આ શિરો-પૂરી ને ભજિયાંનું નામ પડતા.

પૂરી ને ભજિયાં ન હોય તોયે શીરો તો જામે જ. સાંજના નાસ્તામાં શીરો હોય તો એની સાથે પાપડ કે સારેવડું સરસ જાય, અમારા મરાઠીઓમાં તો બપોરની ચા સાથે શીરો હોય તો રકાબીમાં બાજુમાં ખાટાં અથાણાંનું ચીરિયું અચૂક હોય.

રવા ઉપરાંત મગની દાળનો શીરો પણ એકદમ સ્વાદિષ્ટ, બરફી જેવો કણીદાર. માત્ર ને માત્ર બદામનો શીરો તો શાહી શીરો, રસના ચટકાની જેમ બદામના શીરાની ય ચમચી-બે ચમચી જ હોય, વાટકો નહીં. લેવાના દેવા થઈ જાય!

*

ઉપવાસ તો શીરાનો મહિમા ઓર વધારે. કેટકેટલા ઉપવાસી શીરા! શિંગોડાનો, રાજગરાનો, બટાકાનો, શક્કરિયાનો. શીંગશિંગોડાનો શીરો ખાઈ જોજો. શિંગોડાના લોટમાં ભારોભાર શેકેલી શીંગના ભૂકાની મસ્તી થાવા દો અને પછી પેટમાં એમની દોસ્તી થાવા દો. આ બધા શીરા એકએકથી ચડિયાતા. સવારે પેટભાઈને બસ એક વાડકો ભરીને શીરો ખવડાવી જુઓ, આખો દી’ શી વાતે ઓશિંગણ થઈને તમારા ઉપવાસને પેટ ખમી લેશે.

કચ્છડાની જેમ અને રોટલા કે બટાકાની જેમ આ શીરો તો બારે માસ ને આઠે પહોર. ને પછી કરો લીલા લહેર. લસલસતો શબ્દ શીરા જેટલો કોઈ સાથે ન જાય. ગળે ઊતરવામાં પણ લસલસતા શીરાની તોલે કોઈ ન આવે. કોઈ પાસ થઈ ગયું કે કોઈને પ્રમોશન મળી ગયું કે બાબો આવ્યો કે લક્ષ્મીજી પધાર્યાં કે સારા સમાચાર આવ્યા તો ભઈ, ઝટપટ શીરો શેકી નાંખો, બજારમાંથી પેંડા આવે એટલી રાહ કોણ જુએ? અતિથિ પધાર્યા તો શીરો સામેથી દોડ્યો આવે. હાથવગો ને હોઠવગો, તેથી જ તો એ હૈયાવગો !

***

e.mail : arunataijadeja@gmail.com

Loading

ભારતના પશુજીવનમાં ગાયને થઈ રહ્યો છે સૌથી વધુ અન્યાય

રમેશ ઓઝા|Opinion - Opinion|2 August 2016

વાહ રે હિન્દુ ભારતવર્ષ !

ગાય સાથે મારો બાળપણનો સંબંધ છે. મારો જન્મ અને ઉછેર આજકાલ જે શહેર ગાયના કારણે ચર્ચામાં છે એ ઊનાની બાજુમાં આવેલા ગામમાં થયો હતો. જીવનનાં શરૂઆતનાં ૧૫ વરસ એ ગામમાં વિતાવ્યાં હતાં. અમારા ઘરમાં બે ગાય હતી. ગાયને સવારે ધણમાં મૂકવા જવી, સાંજે કોઈ કારણે ઘરે પાછી ન ફરી હોય તો ગોતવા જવી, ચારો નીરવો, સાંજે શાળાએથી ઘરે આવ્યા પછી વાડીએ રજકો (એક પ્રકારનો લીલો ચારો જે ઢોરને બહુ પ્રિય હોય છે) લેવા જવું, ખેતરમાંથી પાક લણી લેવામાં આવ્યો હોય એ પછી બા સાથે ખેતરમાં પડેલાં પાંદડાં વીણવાં જવું, ગાય વિયાઈ હોય એ પછી ખાણ આપવું, વાછરુંને પકડી રાખવું કે રમાડવું એમ ગોસેવાનાં બધાં કામ કર્યાં છે અથવા એમાં બાને મદદ કરી છે. હું તો જમતાં પણ મોડેથી શીખ્યો હતો એટલે મારું પોષણ પણ ગાયે એનું દૂધ આપીને કર્યું છે.

અમારું મકાન ગારમાટીવાળું હતું એટલે ત્રણ-ચાર મહિને છાણથી લીંપવાની જરૂર પડતી. લીંપણ ગાયના છાણથી જ કરવાનો રિવાજ છે. બીજા કોઈ પણ પશુના છાણ કરતાં ગાયના છાણ અને પેશાબમાં કંઈક અનોખાપણું છે એનો આ લખનારે અનુભવ કર્યો છે. ગામના પાદરે ચરાણ માટે જતાં પહેલાં ગાયો-ભેંસોનું ધણ ઊભું હોય ત્યાં જોઈએ એટલું છાણ મળી રહેતું. પાદરે પહોંચીને પોદળામાં સાંઠીકડું કે પથરો નાખીને પોદળો રિઝર્વ કરવાનું કામ અમે છોકરાંવ કરતા. છોકરાંવ પાદરે આવેલા ઝાડની ચોરડી કે ડાળ પર ચડીને ધણ પર નજર રાખતા. જેવી દૂરથી ગાયને પોદળો કરતી જોઈએ કે તરત એ ગાય તરફ આંગળી ચીંધીને ગાય પોઈ, ગાય પોઈ એમ બૂમ પાડવાની એટલે એ પોદળો આપણો. કોઈ હરીફ એ પોદળાને હાથ ન લગાડે. એ પછી સાંઠીકડું કે પથરો એમાં નાખી આવવાનો. વાસીદું અને લીંપણ બા કરતાં. એક વાર અમારી વાછડીને હડકાયું કૂતરું કરડી જતાં એને હડકવા થયો હતો. એનો ઝુરાપો જોઈ ન શકાય એવો હતો. એ જીવ દેહત્યાગ કરે એ માટે મારાં બાએ અમુક (સંખ્યા ભૂલી ગયો છું) નકોરડા સોમવાર કરવાની માનતા માની હતી. એ વાછડી મરી ગઈ એ રાતે અમારા ઘરમાં ચૂલો નહોતો પ્રગટ્યો. મને નથી લાગતું કે મારા અને અમારાં બા જેટલી ગોસેવા કોઈ હિન્દુત્વવાદી ગોસેવકે કરી હશે.

ના, એ ગોસેવા નહોતી. ગાય ગ્રામીણ જીવનનું, ગામડાંની સામાજિક તેમ જ આર્થિક વ્યવસ્થાનું અભિન્ન અંગ હતી. ગોસેવા તો એ લોકો કરે છે જેમને ગાયનો પૂજવા સિવાય બીજો કોઈ ખપ નથી. જો ખપ હોય તો ગાયને ખીલે બાંધવામાં આવે છે અને જો ખપ ન હોય તો કોઈ પણ રખડતી ગાયનું પૂછડું આંખે લગાડીને સેવા થઈ શકે છે. જો ખપ હોય તો મા-બાપને ઘરમાં રાખવામાં આવે છે અને જો ખપ ન હોય તો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીને બેસતા વરસના દિવસે કે જન્મદિવસે પગે લાગી આવે છે એના જેવી જ સ્થિતિ છે. જે લોકો ગાયનો કોમવાદી એજન્ડા માટે ઉપયોગ કરે છે એવા વિકૃત માનસ ધરાવનારા લોકોની તો અહીં વાત જ નથી કરતા. તેઓ તો ગાયની સાચી પૂજા પણ નથી કરતા.

મારા બાળપણમાં (૧૯૬૦નો દાયકો) અમારા ગામમાં લગભગ દોઢસો-બસો ગાયો ખીલે બંધાયેલી હતી અને રખડતી ગાય તો એક પણ નહોતી. ગામમાં ગૌશાળા નહોતી, કારણ કે ઘરે-ઘરે ગૌશાળા હતી. જે લોકો કોઈ કારણસર ગાય નહોતા રાખતા તેમને વધુ નહીં તો છાશ તો મફતમાં આપવામાં આવતી હતી. ઠરાવેલા એકાંતરા દિવસે છાશ આપવામાં આવતી હતી એના પરથી છાશવારે શબ્દ રૂઢ થયો છે. ગયા વર્ષે હું ગામ ગયો ત્યારે તપાસ કરતાં ખબર પડી કે આખા ગામમાં ખીલે બંધાયેલી ગાય માંડ બે-પાંચ હશે. ગોંદરે જમા થતું ધણ તો હવે ઇતિહાસ બની ગયું છે અને ત્યાં એક ધાર્મિક સંસ્થાએ ગોંદરો વાળીને ગૌશાળા બાંધી છે. ખીલે બાંધવામાં આવેલી ગાય અને ગૌશાળામાં એટલો જ ફરક છે જેટલો મા-બાપને ઘરે રાખવામાં આવે અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ગાય વિયાય ત્યારે ઘરે લઈ આવે અને જ્યારે વસૂકી જાય ત્યારે મુંબઈના શેઠિયાઓના પૈસે ચાલતી ગૌશાળામાં મૂકી આવે.

આવું કેમ બન્યું? જે ગાય પાંચ દાયકા પહેલાં મારા અને મારા જેવા લાખો ભારતવાસીઓનાં જીવનનું અંગ હતી એ રખડતી કે ગૌશાળાની આશ્રિત કેમ થઈ ગઈ? મુંબઈનો શેઠિયો ગોસેવા કરીને પુણ્ય કમાય અને ગામમાં રહેતો ખેડૂત ગાયને પોતાના ફળિયેથી દૂર કરવાનું પાપ કરે એમ કેમ બન્યું? ૧૯૭૦માં અમે અમારું ગામનું ઘર સમેટીને મુંબઈ સ્થળાંતરિત થયા ત્યારે અમે અમારી ગાયને વેચી નહોતી, પરંતુ ગાય ન ધરાવતા એક પરિવારને આપી દીધી હતી. અમે ઘર બંધ કર્યું એના આગલા દિવસે એ માણસ અમારા ખીલેથી ગાય છોડીને લઈ ગયો એ દૃશ્ય આજે પણ નજર સામે તરવરે છે. મારાં બાએ આંખમાં ઝળઝળિયાં સાથે પ્રણામ કરીને ગાયને વિદાય આપી હતી. એ સમયમાં ગાય કોઈએ વેચી હોય એવું ભાગ્યે જ સાંભળવા મળતું. ઊલટું ગાયનો વેલો જાળવી રાખવામાં લોકો ગર્વ અનુભવતા.

આજે શા માટે મારા ગામમાં અને ગુજરાતના અન્ય કોઈ પણ ગામમાં ગાય રાખવા કોઈ તૈયાર નથી? આનાં અનેક કારણો છે અને એમાં સરકારની નીતિ મુખ્યત્વે કારણભૂત છે એની ચર્ચા આવતી કાલે કરીશું.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 અૉગસ્ટ 2016

http://www.gujaratimidday.com/features/columns/cow-protection-in-india-2

•••••••

ગાયને નવા અર્થકારણે નિરુપયોગી બનાવી મૂકી છે, જીવદયાપ્રેમીઓએ દયાજનક બનાવી મૂકી છે ને કોમવાદી ગોરક્ષકોએ એને હથિયાર બનાવી છે

એક સમયે માનવીએ ગાયને દૂધના સ્વાર્થે ખીલે બાંધી. ખીલે જ્યારે એ પરવડનારી ન રહી ત્યારે કપાળે તિલક કરીને ગૌશાળામાં કેદ કરી. મારું એવું સૂચન છે કે જીવદયાપ્રેમીઓએ ગૌશાળાઓને ગોવંશઉછેર કેન્દ્રમાં ફેરવી નાખવી જોઈએ. ગાયની દયા ખાવાની જરૂર નથી. ગાયને ઉત્પાદકતાનો હિસ્સો બનાવશો તો ગાય એની મેળે ઉપયોગી થઈ જશે અને બચી જશે

બોલકો વિરોધ : ગાયની હત્યાના મામલે થોડા દિવસ પહેલાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં રવિવારે ઊનામાં દલિત કમ્યુિનટીના હજારો લોકોએ પ્લૅકાર્ડસ સાથે વિરોધ દર્શાવ્યો હતો.

જે ગાય હજી હમણાં સુધી ગ્રામીણ જીવનનો હિસ્સો હતી, પરિવારની સભ્ય હતી એ ધીરે-ધીરે ઘરની ગમાણેથી ઊખડીને ગૌશાળાને શરણે કેમ થઈ ગઈ? કેટલીકને તો ગૌશાળાનું નસીબ પણ ઉપલબ્ધ નથી એ રખડીને જીવન પૂરું કરે છે. એક બાજુ ગાયનું પૂજન કરવાનું, સેવા અને રક્ષાના દાવાઓ કરવાના અને બીજી બાજુ ગાયને એના નસીબ પર છોડી દેવાની એવું કેમ બન્યું?

એક સમયે ખેતી ન ધરાવતા ગ્રામીણ પરિવારો પણ ગાય રાખતા હતા; જ્યારે આજે ખેડૂતો પણ ગાય નથી રાખતા, કારણ કે ગાય ગમાણે બાંધવી પરવડતી નથી. આર્થિક પરિબળો એટલાં નિર્ણાયક હોય છે કે એમાં લાગણી અને ફરજ ભૂલી જવી પડતી હોય છે. જે સંતાનો મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તેમની પણ આર્થિક મુશ્કેલી હોય છે. દરેક કિસ્સામાં લાગણી અને ફરજની સમજનો અભાવ હોતાં નથી. કાન ફાડી નાખે એવા હાઈ ડેસિબલમાં ગોરક્ષાની વાતો કરનારા લોકો કાં કોમવાદી રાજકીય એજન્ડા ધરાવે છે અને કાં અજ્ઞાની છે.

એક સમયે ગાય ગમાણે બંધાતી હતી, કારણ કે ગાય પરવડતી હતી. ગુજરાતનાં લગભગ મોટા ભાગનાં ગામોમાં ગોચરણની અનામત જમીન અને અવેડા હતાં. આ ઉપરાંત ઘાસિયાં મેદાનો હતાં અને ખેડૂતો પણ ફસલ લણી લીધા પછી ખેતરમાં ગાયને ચરવા દેતા હતા. આમ ચારો અને પાણી બન્ને મફતમાં મળતાં હતાં. ઘરધણીએ માત્ર ગાયને ધણમાં મૂકી આવવાની અને ગોવાળને વરસે ઠરાવેલી રકમ કે અનાજ આપવાનાં. અમારું ગામ જૂનાગઢનું નવાબી ગામ હતું. નવાબે ગોચરણ માટે ગામને જમીન આપી હતી અને રેંટથી અવેડા ભરનારને (જે અમારે ત્યાં અવેડિયા તરીકે ઓળખાતો હતો) તેના જીવનનિર્વાહ માટે અલગથી જમીન આપવામાં આવી હતી.

આજે એ જમીન રહસ્યમય રીતે અલોપ થઈ ગઈ છે. દરેક ગામની આવી સ્થિતિ છે. શહેરની નજીક આવેલાં ગામોમાં ગોચરણની જમીન વિકાસના નામે ઉદ્યોગપતિઓને આપવામાં આવી છે. જે ગામો શહેરથી દૂર છે એ ગામોમાં સહકારી મંડળીઓ રચીને કે બીજા કોઈ હથકંડા અજમાવીને રાજકારણીઓએ ગાયની જમીન પડાવી લીધી છે. અવેડા બંધ થઈ ગયા છે અને સરકારી હૅન્ડ-પમ્પો ચાલતા નથી હોતા. કેટલીક જગ્યાએ તો જમીનમાં પાણી જ નથી. બબ્બે કિલોમીટર દૂરથી સ્ત્રીઓ પીવાનું પાણી ઊંચકીને લાવતી હોય ત્યાં ગાય માટે ક્યાં પાણી લાવવાની? એક સમયે છાણ-વાસીદું કરો અને દૂધ પીઓની જે અનુકૂળતા હતી એ રહી જ નથી ત્યાં માણસ ગાય રાખે કેવી રીતે?

ગઈ કાલે કહ્યું એમ ગાયને વેચવામાં નહોતી આવતી. વેચવાની જરૂર જ નહોતી, કારણ કે મફતમાં ચારો અને પાણી મળી રહેતાં હતાં. મફત ચરાણની સવલત બળદ, ભેંસ કે બીજાં પશુઓ માટે નહોતી એટલે એના નિકાલ માટે એ જમાનામાં માલ-ઢોરની લે-વેચ કરનારી એક જમાત ગામેગામ ફરતી હતી. વરસમાં એક વાર નાનકડો પશુમેળો ગામેગામ થતો. જે ખેડૂતને વૃદ્ધ થઈ ગયેલો બળદ કે વસૂકી ગયેલી ભેંસ પરવડે એમ ન હોય તો તે પશુમેળામાં સાટાપાટા કરી આવતો. મોટા ભાગે તો પશુને ખીલે મરવા દેવામાં જ શોભા હતી, પરંતુ કોઈને પશુને બાંધી રાખીને ચારો નીરવો પરવડે એમ ન હોય તો ઉપાય ઉપલબ્ધ હતો. કહેવાની જરૂર નથી કે વૃદ્ધ પશુઓ ખાટકીઓના હવાલે થતાં હતાં.

એ જમાનામાં પશુઉપયોગ અને પશુવિનિયોગ બન્ને વ્યવહારના પાયા પર ઊભા હતા એટલે પશુપ્રેમ પણ વ્યાવહારિક હતો, આજની જેમ દેખાવ માટેનો કૃતક નહોતો. અવ્યવહારુ કૃતક સંબંધ ક્યારે ય લાંબો સમય ટકી ન શકે. શહેરના શેઠિયાઓની જીવદયા ગાયને કેદમાં રાખનારી અવ્યવહારુ જીવદયા છે. એક સમયે માણસે ગાયને દૂધના સ્વાર્થે ખીલે બાંધી. ખીલે જ્યારે એ પરવડનારી ન રહી ત્યારે કપાળે તિલક કરીને ગૌશાળામાં કેદ કરી. મારું એવું સૂચન છે કે જીવદયાપ્રેમીઓએ ગૌશાળાઓને ગોવંશઉછેર કેન્દ્રમાં ફેરવી નાખવી જોઈએ. ગાયની દયા ખાવાની જરૂર નથી. ગાયને ઉત્પાદકતાનો હિસ્સો બનાવશો તો ગાય એની મેળે ઉપયોગી થઈ જશે અને બચી જશે. આ ઉપક્રમ હાથ ધરવા જેવો છે અને એમાં જો નુકસાન થાય તો શહેરના શેઠિયાઓને કોઈ ફરક પડતો નથી, કારણ કે તેઓ તો આમ પણ દાન આપવા માગતા હતા. ટૂંકમાં; ગાયની દયા ખાઈને પરાણે જીવતી ન રાખો, એને ઉપયોગી બનાવીને હકથી જીવવા દો.

આગળ કહ્યું એમ ગાયને વેચવામાં જ નહોતી આવતી તો ગોહત્યાનો તો સવાલ જ નહોતો. મારા બાળપણમાં મેં ક્યારે ય મારા ગામમાં જ નહીં, અમારા આખા પંથકમાં ગાયની હત્યા થઈ હોય એવું સાંભળ્યું નથી. હા, દૂરના પ્રદેશોની અફવાઓ કાને પડતી રહેતી હતી. ઉપર કહ્યું એમ પશુઉપયોગ અને પશુવિનિયોગની સદીઓ જૂની ટકાઉ વ્યવસ્થા ઉપલબ્ધ હોય ત્યાં પશુહત્યા માટે બહુ ઓછી સંભવના રહે છે. અંગ્રેજોએ ભારત પર કબજો જમાવ્યો અને હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે કોમવાદની હરીફાઈનું રાજકારણ શરૂ થયું એ પછી ગાય અને ડુક્કરની હત્યાને ભયંકર અપરાધ ઠરાવીને અફવાબજાર વિકસાવવામાં આવ્યું હતું. એકાદ-બે અપવાદ છોડીને હિન્દુ રિયાસતોમાં પણ ગોહત્યા પર પ્રતિબંધ નહોતો એનું કારણ જ આ છે. ગાય ઓશિયાળી નહોતી, ઉપયોગી હતી; રખડતી નહોતી એટલે રાજવીએ પ્રતિબંધ મૂકવો પડે એટલા પ્રમાણમાં હત્યાઓ થતી નહોતી.

ગાયને નવા અર્થકારણે નિરુપયોગી બનાવી મૂકી છે, જીવદયાપ્રેમીઓએ દયાજનક બનાવી મૂકી છે અને કોમવાદી ગોરક્ષકોએ એને હથિયાર બનાવી છે. એટલે તો ગઈ કાલે કહ્યું હતું એમ પશુજગતમાં સૌથી વધુ અન્યાય ગાયને થઈ રહ્યો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 02 અૉગસ્ટ 2016

http://www.gujaratimidday.com/features/columns/beef-politics-and-religion-2

Loading

...102030...3,5713,5723,5733,574...3,5803,5903,600...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved