Opinion Magazine
Number of visits: 9768644
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કમ્યુિનઝમમાં વિશ્વાસ રાખવો એ ગુનો છે?

અપૂર્વાનંદ|Opinion - Opinion|31 October 2016

ગત દિવસોથી હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજી વિભાગના અધ્યાપક એકલા હાથે એક લડાઈ લડી રહ્યા છે. તેઓ શૈક્ષણિક દુનિયાની સરહદ પર એક એવા યુદ્ધનો ભોગ બન્યા છે જેમાં હુમલો કરનાર લોકો રાષ્ટ્રવાદના ઝંડા સાથે ફરી રહ્યા છે; અને તે લોકોનો પડકાર ઝીલનાર આ અધ્યાપકો પાસે માત્ર બુદ્ધિ, વિવેક અને આલોચનાની ભાષા છે, પણ બહારની દુનિયામાં તેની પ્રશંસા કરનાર અથવા ખરીદદાર કોઈ નથી.

૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજી વિભાગે મહાશ્વેતાદેવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અવસર પર મહાશ્વેતાદેવીની નવલકથા ‘હજાર ચૌરાસી કી મા’ આધારિત એક ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને સાથે મહાશ્વેતાદેવીની પ્રખ્યાત વાર્તા ‘દ્રૌપદી’ પર આધારિત એક નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. આ અવસર પર હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નાટ્યગૃહ પ્રેક્ષકોથી ભરેલું હતું અને આ પ્રેક્ષકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાથે કેટલાક અધિકારીઓએ પણ હાજરી આપી હતી. ‘દ્રૌપદી’ને ખૂબ પ્રશંસા મળી હતી અને ત્યાં હાજર અધિકારીઓએ પણ અંગ્રેજી વિભાગના અધ્યાપકોની ખૂબ પ્રશંસા કરી હતી. પણ, જે દિવસે આ નાટકનું મંચન થયું તેના બીજા દિવસની સવારે ઘટના કાંઈક અલગ જ હતી. પ્રેક્ષકોમાં હાજર કોઈએ આ નાટકનું રેકૉર્ડિંગ કર્યું હતું અને તેને વિશ્વવિદ્યાલયની બહાર લોકોમાં પ્રસારિત કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છાત્રશાખા ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે’ એવો આરોપ લગાવ્યો કે આ ‘દ્રૌપદી’ નાટકનું મંચન ભારતીય સેનાના જવાનોને અપમાનિત કરવાના હેતુથી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને અહીં એ નોંધવું જોઈએ કે આ નાટકનું મંચન થયું તેના લગભગ ત્રણ દિવસ અગાઉ કાશ્મીરમાં ઊરી ઘટનામાં કેટલાક ભારતીય જવાનો શહીદ થયા હતા. હિંદી છાપાંઓએ પણ તેમના સ્વભાવ અનુસાર વિશ્વવિદ્યાલય વિરુદ્ધ આંદોલનની વહેતી ગંગામાં પોતાના હાથ ધોવાનું શરૂ કરી દીધું અને જે નાટકનો આટલો વિરોધ થઇ રહ્યો છે, તે અંગે કશું જાણવાનો પણ પ્રયત્ન કર્યો નહિ.

‘દ્રૌપદી’ એ એક આદિવાસી સ્ત્રીની વાર્તા છે, જેમાં તે સ્ત્રી – સુરક્ષાદળના હુમલાનો શિકાર થાય છે અને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે એને એ વાતનો ખ્યાલ આવે છે કે તેની પર શારીરિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તે પોતાના નગ્ન શરીરને ઢાંકવાની ના પાડી દે છે, અને એ પ્રકારની શારીરિક ઈજાઓ સહિતની નગ્ન અવસ્થામાં સુરક્ષાદળના અધિકારીને પડકારે છે. હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં આ વાર્તાને નાટ્યમાં રૂપાંતરિત કરવામાં આવી અને તેની સાથે ત્યાંના અધ્યાપકોએ આ નાટકમાં એક ઉપસંહાર જોડ્યો જેમાં આજના ભારતમાં જે પ્રકારે આદિવાસી અને અન્ય સમુદાયો પર રાજકીય દમનનીતિમાં આર્મ્ડ ફૉર્સિસ સ્પેિશયલ પાવર ઍક્ટ (આફ્સ્પા) જેવા કાયદાની આડમાં જે પ્રકારના જુલમ ગુજારવામાં આવે છે, તેની વાત કરવામાં આવી. ન્યાયમૂર્તિ વર્મા સમિતિ અને ઉચ્ચતમ ન્યાયાલયના અહેવાલ થકી એ વાત દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી કે કેવી રીતે ભારતીય સુરક્ષા દળના કેટલાક સભ્યો યૌનહિંસાના ગુનામાં સંડોવાયેલા છે અને આ પરિસ્થિતિમાં દર્શકોને પોતાની કેવી ભૂમિકા હોઈ શકે તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એવો આરોપ લગાવ્યો કે આપણા દેશમાં એક તરફ સરહદ પર જવાનો શહીદ થઈ રહ્યા છે અને બીજી તરફ વિશ્વવિદ્યાલયમાં આરામ ફરમાવતા લોકો આ રીતે આપણા જવાનોનાં ચરિત્રને ખરાબ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલય હરિયાણાના મહેન્દ્રગઢ નામના વિસ્તારમાં શહેરથી ૧૨ કિલોમીટર દૂર આવેલું છે. પણ, અખિલ ભારતીય વિદ્યાર્થીપરિષદે નક્કી કર્યું કે તેઓ આ મુદ્દા પર શહેરમાં આંદોલન કરશે અને શહેર તથા આસપાસનાં ગામડાંના લોકોને પણ આ વિશ્વવિદ્યાલયનો વિરોધ કરવાનું કહેશે. ત્યાં કુલપતિનું પૂતળું સળગાવવામાં આવ્યું છે, શિક્ષકો પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવા અને સાથે તેમને વિશ્વવિદ્યાલયમાંથી પદભ્રષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યાં લગભગ દરરોજ વિશ્વવિદ્યાલયના દરવાજા પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

વિશ્વવિદ્યાલયમાં આ નાટકનું મંચન કરવામાં આવ્યું તેના વળતા દિવસે જ કાર્યક્રમ સાથે જોડાયેલા એક ડૉક્ટર સ્નેહસ્તા પાસે વિશ્વવિદ્યાલયના વહીવટકર્તાઓએ આ નાટકમાં ભારતીય સેનાની છબી ખરાબ રીતે પ્રદર્શિત કરવાના આરોપ અંગે સફાઈ માગી હતી, ત્યારે તેઓએ કુલ છ સભ્યોની તપાસ સમિતિની રચના કરી કે જે આ આખી ઘટનાની તપાસ કરશે અને ત્યાર બાદ તે અંગેનો એક રિપોર્ટ રજૂ કરશે. હવે વિશ્વવિદ્યાલય પર દબાણ કરવા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ સમિતિ યોગ્ય નથી, કારણ કે તેના સભ્યો કુલપતિના અંગત લોકો છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે તે જિલ્લાના શાસનકર્તા પણ પોતાની તરફથી આ ઘટના અંગે તપાસની તૈયારી કરી રહ્યા છે. પરંતુ, આ પૂર્વે પોલીસે કહ્યું હતું કે સૌ પ્રથમ તેઓ વિશ્વવિદ્યાલયની તપાસ સમિતિના રિપોર્ટની રાહ જોશે.

પરંતુ, મુખ્ય સવાલ એ છે કે આ વિશ્વવિદ્યાલયના વહીવટકર્તાઓએ તેમના અધ્યાપકોને કેમ આ રીતે ખુલ્લા (અરક્ષિત) મૂકી દીધા છે અને અધ્યાપક તરફથી કેમ કશું ખૂલીને કહેતા નથી? કારણ કે તે લોકો પણ નાટકના મંચન સમયે ત્યાં હાજર હતા અને નાટકની પ્રશંસા પણ કરી હતી. તો પછી સવાલ એ છે કે શું વિશ્વવિદ્યાલયના શાસકોનો વિચાર હવે બદલાઈ ગયો છે? અથવા તેઓનું હવે કોઈ મહત્ત્વ જ નથી? હવે સવાલ એ પણ છે કે શું વિશ્વવિદ્યાલયમાં થતી પ્રવૃત્તિ અંગે દરેક લોકોને વિચાર પ્રગટ કરવાનો હક હોવો જોઈએ? અથવા એવા લોકોને બોલવાનો અધિકાર હોવો જોઈએ કે જેઓ નથી જાણતા કે શૈક્ષણિક પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે અને સાથે વિશ્વવિદ્યાલયમાં રચાતી પ્રવૃત્તિઓને તેઓ યોગ્ય રીતે સમજતા પણ નથી. બીજા શબ્દોમાં કહીએ તો શું બહારના સમાજને વિશ્વવિદ્યાલયમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર હોવો જોઈએ? પણ, રવીન્દ્રનાથ ટાગોર ઇચ્છતા હતા કે વિશ્વવિદ્યાલય અને સમાજની વચ્ચે કોઈ દીવાલ હોવી જોઈએ નહિ, પણ શું વિશ્વવિદ્યાલયની કોઈ સરહદ પણ ના હોઈ શકે?

લગભગ દસ વર્ષ અગાઉ વડોદરાના સયાજીરાવ વિશ્વવિદ્યાલયના કળા સાથે જોડાયેલા એક વિભાગમાં પરીક્ષાના ભાગ રૂપે યોજાયેલા એક પ્રદર્શન પર વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક સભ્યોએ હુમલો કર્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓને નિલંબિત કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષ પહેલાં દિલ્હી વિશ્વવિદ્યાલયમાં બહારના લોકોનો વાંધો પ્રગટ થતાં એ. કે. રામાનુજનના લેખને તેઓની પાઠ્યસૂચિમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. દસ વર્ષ પહેલાં રાજ્યસભામાં હોબાળો થવાને પગલે શાળાનાં પુસ્તકોમાંથી અવતારસિંહ પાશ, પ્રેમચંદ, હુસૈન, પાંડેય બેચન શર્મા ‘ઉગ્ર’, ધૂમિલ જેવા લેખકોના પાઠોને પણ બદલી નાખવામાં આવ્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં આપણે જોયું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કુલપતિએ પૂર્વસેનાનાયકની સલાહ લીધી હતી કે યુનિવર્સિટી કેવી રીતે ચલાવવી જોઈએ. શું સમગ્ર દેશમાં આમ થશે? આપણા માટે આ ગર્વની વાત છે કે હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજીના શિક્ષક પોતાના નિર્ણય અંગે કોઈ પ્રકારની શરમ નથી અનુભવી રહ્યા. ડૉક્ટર સ્નેહસ્તાએ પોતાના જવાબમાં એવો પણ સવાલ કર્યો કે શું રાજ્ય સમક્ષ પ્રશ્નો કરવા એ બૌદ્ધિકોની ફરજ નથી? પણ, તેઓ પર જોખમ છે. એક અધ્યાપક વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ નક્સલી છે, કારણ કે તેઓએ કેટલાંક વર્ષો છત્તીસગઢમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી છે. વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે આ ભોળા રાજ્યમાં કમ્યુિનઝમનો પ્રચાર કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જેને તેઓ નિષ્ફળ બનાવશે. શું આદેશમાં કમ્યુિનઝમમાં વિશ્વાસ રાખવો એ ગુનો છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે દિલ્હીથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર આવેલા વિશ્વવિદ્યાલયના અધ્યાપકો પર હુમલો થઈ રહ્યો છે ત્યારે આ દેશનો અધ્યાપક-સમુદાય ચૂપ કેમ બેઠો છે? હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અન્ય અધ્યાપક પણ કેમ ચૂપ બેઠા છે? શું આ અંતિમ હુમલો છે? હરિયાણા અને પંજાબમાં ભગતસિંહ અને અવતારસિંહ પાશનું નામ લેનારા લોકો પણ કેમ આ અધ્યાપકોની સાથે નથી? શું ખરાબ લોકોના પક્ષમાં સંગઠન સરળ છે અને વિવેકી લોકોએ એકલા જ સંઘર્ષ કરવો પડે છે? છતાં પણ આ દેશ મહાન થવા માટેનાં સ્વપ્ન જોઈ શકે છે?

(લેખક એન.ડી.ટી.વી. હિંદીના કૉલમિસ્ટ અને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.)

[અનુ. : નિલય ભાવસાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 19 અને 17

Loading

ટોળાંના આક્રમણ સામે ઝંખવાતું સત્ય

હિમાંશી શેલત|Opinion - Opinion|31 October 2016

નિસબત

આંખે પડળ તો ચડે, વારંવાર દૃષ્ટિ ઝાંખી થવાની. એ પડળ દૂર કરીને સમયાંતરે નજરને સાફ રાખવાનું કામ સર્જકનું. એ શબ્દ સાથે કામ કરે કે પીંછી સાથે, રંગમંચ સાથે હોય કે ફિલ્મ સાથે, એનું કામ એક જ, સત્યને ઢાંકતો પડદો ખસેડી આપવાનું.

મહાશ્વેતાદેવીએ એ કરેલું. એમની અનેક કૃતિઓ આ હકીકતની સાબિતી આપશે. પરંતુ એમણે જ્યારે “દ્રૌપદી” નામની અમર વાર્તા રચી ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે એના નાટ્યરૂપાંતરનું આવું વરવું અર્થઘટન કોઈ કરી શકે. હરિયાણા યુનિવર્સિટી (મહેન્દ્રગઢ) ખાતે ૨૧ સપ્ટેમ્બરે ત્યાંના અંગ્રેજી વિભાગે ‘દ્રૌપદી’નું નાટ્યરૂપાંતર રજૂ કર્યું. નકસલવાદી આંદોલન દરમિયાન બળવાખોરોને પકડવા લશ્કર શું કરતું એ વર્ણવવાનો અહીં આશય નથી. ‘દ્રૌપદી’માં એક આદિવાસી સ્ત્રી પાસેથી બાતમી કઢાવવા એના પર સૈનિકો કેવો અત્યાચાર કરે છે, અને એ પછી સ્ત્રી એનો કઈ રીતે પ્રતિકાર કરે છે એની વેધક, જલદ કથા આલેખાઈ છે. આખીયે ઘટનાના સમય અને પરિસ્થિતિ ધ્યાનમાં લીધા વિના લશ્કરી સિપાહીને આ રીતે બતાવી જ ન શકાય, અને આવી રજૂઆત સૈનિકોની તાજેતરની શહાદતનું અપમાન છે, એમ સમજી આક્રમક ટોળાંઓ આસપાસથી થોડા બળિયાઓનો સાથ લઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં ધમાલ આદરે છે. સાહિત્ય સર્જન સાથે અને મહાશ્વેતા દેવી એમની કૃતિઓ જેને સ્પર્શે છે તે મુદ્દા સાથે જેમને બિલકુલ સંબંધ નથી એવાં ટોળાં નાટકની રજૂઆતને ‘દેશદ્રોહ’ની ચિઠ્ઠી ચોંટાડે છે ! સાહિત્યકૃતિના આવા સંકુચિત અને વિકૃત અર્થઘટનના માઠા દિવસો ટકોરા મારી રહ્યા છે બારણે, અને આપણી પાસે તો પ્રતિકારનીયે એવી તાકાત ક્યાં છે ?

આમ તો વિશ્વવિદ્યાલયોનાં તેજ વિલાયાંને ઠીકઠીક સમય વહી ગયો છે. પ્રખર પંડિતો અને જ્ઞાનના ઉપાસકો જ્યાં સાધના કરતાં એ પ્રાંગણમાં ઝાંખીપાંખી, પડછાયા જેવી અને સત્તાને લળી લળી નમન કરતી આકૃતિઓ હરતી ફરતી જોવા આપણે ટેવાતાં જઈએ છીએ. છતાં એમાં હરિયાણાની આ યુનિવર્સિટી તો શિરમોર. ત્યાંના સૂત્રધારો નાટક ભજવવાની પરવાનગી આપવા બદલ પ્રથમ તો ક્ષમાયાચના ધરે છે. પછી બનાવની તપાસ માટે સમિતિઓ રચે છે, અને નાટક ભજવવામાં પહેલ કરનારાં પેલાં બે અધ્યાપકો સામે ફરિયાદોયે થવા માંડી છે, દેશદ્રોહની! વિશ્વવિદ્યાલયો સત્યશોધન માટે હોય છે એમ કોણે કહ્યું ?

સમાજને સૈન્ય માટે, અને સૈનિકોનાં બલિદાન માટે આદર હોવો જોઈએ, એમાં બે મત નહીં. પરંતુ જે બની ગયું છે, જેના દસ્તાવેજી પુરાવાઓ છે, એ કમનસીબ બનાવોને શી રીતે નકારીશું? મણિપુરમાં આફસ્પ (આર્મડ્ ફોર્સીસ સ્પેશ્યલ પાવર્સ ઍક્ટ) દ્વારા જે અત્યાચારો થાય હતા એનું શું કરીશું? આસામ રાઇફલ્સના સૈનિકોએ મનોરમા નામની યુવતી પર ગુજારેલા ત્રાસની, અને એ બનાવને પગલે લશ્કરની છાવણી સામે મણિપુરની મહિલાઓ નિર્વસ્ત્ર બનીને જે દેખાવો કરેલા, એ આઘાતજનક ઘટનાનું શું ? એ સમયે ઇમ્ફાલમાં પણ દ્રૌપદીનું નાટ્યરૂપાંતર ભજવાયું હતું, અને પ્રેક્ષકો સ્તબ્ધ બન્યા હતા. બનાવટી એન્કાઉન્ટરની કેટલીયે દારુણ ઘટનાઓ બાદ તો જસ્ટીસ હેગડે કમિશનની જરૂર પડી હતી! આ સઘળું ઇતિહાસનો ભાગ, સાચેસાચું અને ટકોરાબંધ એ વાસ્તવિકતાને નકારીને કશુંયે સાબિત નથી થવાનું.

સાહિત્યસર્જન કોઈ સભારંજન નથી, કે નથી એ તાળીઓ ઉઘરાવવાનો ખેલ કે નથી. સત્તાધીશોને રાજી રાખવા સાહિત્ય રચાતું નથી. પ્રજા વૈચારિક રીતે રાંકડી થતી જતી હોય અને સમાજને મોટો ભાગ નિર્માલ્ય થતો જતો દેખાતો હોય ત્યારે કલમે સાબદાં થવું પડે.

– પણ કલમ તો અત્યારે અપરાધીના ચોકઠામાં હડસેલાતી દેખાય છે. સાચું જોવાની અને બોલવાની તાકાત ખોઈ બેઠાં પછી પ્રજાનો કોઈ વિકાસ હોય ખરો ? સત્યદર્શનનો અજંપો અને બેચેની તો મોટી કમાઈ  છે, એવી, જેનું ગૌરવ હોય. ટોળાંના આક્રમણથી વિદ્યાલય ઝંખવાય, પાછું પડે, કે નાકલીટી તાણે, ત્યારે સમસ્ત પ્રજાનું વૈચારિક અવસાન નજીક ગણાય, અને મૌનનો આધાર સર્જકો માટે સામૂહિક આત્મહત્યા.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 20

Loading

ઊહ અને અપોહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 October 2016

આ અંક (નિ. ૧૬/૧૦) ટપાલ થશે ત્યારે અમદાવાદને આંગણે એક મોટો અવસર ઊઘલી ગયો હશેઃ દરિયાપારના મિત્રોની ઉમંગી પહેલથી હાથ ધરાયેલ દર્શક વ્યાખ્યાનમાળાનું પ્રથમ વાર્ષિક વ્યાખ્યાન આપણા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રાજકીય ચિંતક પ્રો. ભીખુ પારેખ આપી ચૂક્યા હશે. એમણે ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિ’ (‘ડિબેટિંગ ઇન્ડિયા’) એ વિષય ચહીને પસંદ કર્યો છે. જેમ અમર્ત્ય સેનનું ‘આર્ગ્યુમેન્ટેિટવ ઇન્ડિયન’ તેમ ભીખુભાઈનું ‘ડિબેટિંગ ઇન્ડિયા’ તાજેતરનાં વર્ષોનું એક સમયસરનું, સમસામયિક એટલું જ દૂરવર્તી મહત્ત્વ ધરાવતું પ્રકાશન છે. અમર્ત્ય સેન અને ભીખુ પારેખના વિચારો આજના દિવસોમાં સવિશેષ મહત્ત્વના એટલા માટે પણ છે કે સ્વરાજનો સાતમો દાયકો પૂરો થવામાં છે એવે દેશમાં દિલ્હી સ્તરે વિરાજિત પરિબળો એક વૈકલ્પિક વિમર્શની આવડે એવી કોશિશમાં છે. આ કોશિશને, સ્વાતંત્ર્યસંગ્રામ અને પ્રજાસત્તાક સ્વરાજની હજુ હમણે લગીની કોશિશને પણ, જોવામૂલવવાની રીતે, સાતત્ય અને શોધન-રિપીટ, શોધન-ની રીતે જેમ નિકષ તેમ નીરક્ષીરવિવેક સારુ મહત્ત્વનું પાથેય સેન-પારેખ ઊહાપોહમાં પડેલું છે.

નિરીક્ષક ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ દર્શકના ૧૦૩મા જન્મદિવસ(ઑક્ટોબર ૧૫, ૨૦૧૬)નો જોગાનુજોગ આ ઊહ અને અપોહ વાસ્તે નિમિત્ત બને એનો આનંદ જ હોય. લોકભારતીના કૃષિ-સ્નાતકને વિશ્વના વિવિધ વિચારપ્રવાહોનીયે કંઈક ખબર હોય એની કાળજી અધ્યાપક દર્શક લેતા. ઉત્પાદક એ નાગરિક નથી અને નાગરિક એ ઉત્પાદક નથી, આ વિચારજુવારું ભાંગે એ એમની નિસબત હતી. દેશભરના કૃષિગ્રામવિદ્યાના અભ્યાસક્રમોમાં લોકભારતી સ્કૂલની આ પાયાની પહેલ હતી અને છે. દર્શકનાં, એ અંગેનાં વર્ગખંડનાં વ્યાખ્યાનો (કેટલાંક ધ્વનિમુદ્રિત, કેટલાંક કાચી હાથનોંધમાં) રામચંદ્ર પંચોળી અને રવીન્દ્ર પંચોળી દ્વારા સંપાદિત થઈ ‘સોક્રેટિસથી માર્ક્સ’ એ શીર્ષકે ભીખુ પારેખનાં આવકારવચનો સાથે ગુજરાતવગાં થઈ રહ્યાં છે એનો અહીં વિશેષોલ્લેખ કરવો જોઈએ, ખાસ તો હમણાં જે વિમર્શકોશિશનો નિર્દેશ કર્યો તે સંદર્ભમાં.

આ વ્યાખ્યાનોમાંથી પસાર થતાં ભીખુ પારેખને શું લાગ્યું તે એમના જ શબ્દોમાં જોઈએ :  “મનુભાઈનું આ પુસ્તક એ માત્ર પાશ્ચાત્ય વિચારોનું ક્રમબદ્ધ સરવૈયું નથી. તેઓ આ વિચારપરંપરાના મહત્ત્વના તબક્કાઓને પિછાણી શક્યા છે અને એનાં આગવાં પાસાં ઉજાગર કરી શક્યા છે. તદુપરાંત, તેઓ પાશ્ચાત્ય વિચારકોને ભારતીય અનુભવો સાથે જોડીને તેમના વિચારોને યોગ્ય ભારતીય દૃષ્ટાંતો આપી નિરૂપે છે. જરૂર પડ્યે ભારતીય વિચારકોને દાખલ કરી, તેમનો પાશ્ચાત્ય વિચારકો સાથે સંવાદ પણ ઊભો કરે છે, જે આ પુસ્તકનું એક અનન્ય પાસું છે. આ પુસ્તકમાં તેઓ પોતાના નાગરિકત્વના વિચારોને વિકસાવે છે અને જાહેર હિત માટે વ્યક્તિગત નાગરિક ધર્મને કેળવવાની ફરજને પણ નિરૂપે છે.” લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ઓપિનિયન પુરસ્કૃત દર્શક વ્યાખ્યાનમાળાના શ્રીગણેશ સાથે ‘સોક્રેટિસથી માર્ક્સ’ એ પુસ્તકનું દર્શક ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થવું, તે પણ અતીત-સામ્પ્રત-અનાગતના સંદર્ભમાં ગુજરાતછેડેથી ભારત સમસ્ત જોગ એક અચ્છું અર્પણ લેખાશે. કાશ, તે હિંદી-અંગ્રેજીમાં પણ ઉતરે!

આ અંકમાં ફાર્બસ ત્રૈમાસિકમાંથી ભીખુભાઈનું એક વિશેષ વ્યાખ્યાન ઉતાર્યું છે. એમાંથી પસાર થતાં વાચક જોશે કે ડેમોફિલિયા, પેટ્રિયટિઝમ, નેશનલિઝમ વિશે એક સુરેખ અભિગમનાં સંકેતો પડેલા છે. આપણે ત્યાં મે ૨૦૧૪ના પલટા સાથે જે.એન.યુ., કાશ્મીર, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી અને હવે ઉરી ઘટના નિમિત્તે ‘રાષ્ટ્રવાદ’ની વ્યાખ્યા અને સમજ અંગે જે મુદ્દા આગળ આવ્યા છે તે તપાસવા સારુ આ અભિગમ ઉપયોગી થઈ પડે એમ છે.

બંગભારતીય સાહિત્યમાં બંકિમથી રવીન્દ્રની અને ગુર્જરભારતીય સાહિત્યમાં મુનશીથી ઉમાશંકર-દર્શક ભણીની જે ગતિ છે એના મેળમાં ભીખુ પારેખનો ‘ડેમોફિલિયા’ પરનો, આ મારા માણસો છે કે પ્રજાપ્રેમનો, ઝોક ઠીક બેસતો આવે છે. નાગરિક ધર્મની (અને એને અનુષંગે રાજધર્મની) દર્શકની મીમાંસા એ રીતે જોવાસમજવા જેવી છે.

પેટ્રિયટિઝમ – નેશનલિઝમના સેળભેળ શોર વચાળે આજના લોકશાહી સંદર્ભમાં સોક્રેટિસનું બચાવનામું જોવા જેવું છે. ભીખુભાઈએ ચોક્કસ સંદર્ભમાં એનો ઉલ્લેખ પણ કર્યો જ છે. પણ અહીં ‘સોક્રેટિસ’ એ દર્શકકૃત નવલકથાનું સ્મરણ થઈ આવે છે. પોતે ગૃહમાં હતા અને ધારાસભ્યોની હરાજી જોઈ એના આંચકાથી દર્શકે લખેલી આ નવલકથા છે. એથેન્સની અન્યથા નમૂનેદાર લોકશાહીએ સોક્રેટિસનો ભોગ લીધો એની આખી દાસ્તાંમાં નહીં જતાં અહીં સારરૂપે બે વાનાંની જ જિકર કરીશું. લોકશાહીને ભયરૂપ જે બે તત્ત્વો કે પરિબળો એમાં જોવા મળે છે તે ‘ડેમેગોગી’ અને ‘સોફિસ્ટ્રી’નાં છે. સ્વસ્થ, સમ્યક્, નિરામય મતઘડતરની પ્રક્રિયા બરાડાબહાદુરો અને ભળતીસળતી દલીલના ધંધાદારીઓ હસ્તક બલાત્કૃત ને અપહૃત શી બની રહે છે. આપણો જાહેર વિમર્શ આવા કોઈ કળણમાં ન ખૂંપે તે જોવાપણું છે.

તેથી સ્તો, દર્શક વ્યાખ્યાન સારુ, ‘ડિબેટિંગ ઇન્ડિયા’ તરેહના ઊહ અને અપોહની પસંદગી, અને ‘નિરીક્ષક’ના તંત્રીસ્થાનેથી આ થોડીક નુક્તેચીની.

ઑક્ટોબર ૧૩, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 01-02

Loading

...102030...3,5713,5723,5733,574...3,5803,5903,600...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved