Opinion Magazine
Number of visits: 9552622
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાનતા + ન્યાય = શાંતિપૂર્ણ સમાજ

આશા બૂચ|Opinion - Opinion|2 June 2016

સાંપ્રત યુગમાં કૌટુંબિક સ્તરથી માંડીને સામાજિક અને રાષ્ટ્રીય સ્તર સુધી અશાંતિ વ્યાપી રહેલી અનુભવાય છે. કેટલાક અનુભવીઓ વ્યક્તિનાં ઘડતર અને તેની સંસ્કાર મૂડીના વિનીપાતને આવી પરિસ્થિતિ માટે કારણભૂત માને છે. વૈષ્વિક પરિસ્થિતિની ચર્ચા ટાણે વ્યક્તિ અને કુટુંબ જેવા સાવ નાના અને મહત્ત્વના ન ગણી શકાય તેવા એકમની વાત શા માટે વિચારવી જોઈએ તેમ કોઈ કહી શકે, પણ આપણા પુરોગામી વિચારકો, તત્ત્વજ્ઞાનીઓ અને યુગ પ્રવર્તકો કહી ગયા છે એ આત્મસાત કરવા પ્રયત્ન કરીએ તો સ્વીકારવું પડશે કે આખર વ્યક્તિ જ કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો નિર્ણાયક, ધારક અને વિધાયક હોય છે જે નાનામાં નાના એકમથી માંડીને વિશાલ ફલક પર સમાન અને ન્યાયી સમાજની રચના કરવામાં નિર્ણાયક બનતો હોય છે.

રાજકીય, ધાર્મિક કે સામાજિક સમસ્યાઓ અને અશાંતિના કારણોના મૂળ શોધવા જઈએ તો તેનું પગેરું તમામ પ્રકારની અસમાનતા અને અન્યાયમાં નીકળશે. તેની શરૂઆત જન્મ સમયે આચરવામાં આવતા ભેદભાવથી થાય છે. ભારતીય અને અન્ય કેટલાક સમાજોમાં બાળકનો જન્મ થાય તે પહેલાંથી જ તેના પર અન્યાયી અત્યાચાર થતો જાણીએ છીએ જેમ કે ભ્રુણ હત્યા. જન્મ બાદ બાળકીને શિક્ષણની સમાન તકો નથી અપાતી. સ્ત્રીને ન ભણાવો તો આપણી મા, બહેન, પત્ની, દીકરી બધાં અભણ રહેશે એટલું જ નહીં તેને કારણે આપણા દીકરા, ભાઈ, પતિ અને પિતા પણ અશિક્ષિત રહેશે. આ હકીકત કહેવાતા રિવાજોની જાળવણીના બહાના નીચે ભૂલી જવાઈ છે. લૈંગિક અસમાનતાને કારણે સમાજનાં નૈતિક મૂલ્યોની હાનિ થાય અને પરિણામે સ્ત્રી-પુરુષની શાંતિમય સહઅસ્તિત્વ જોખમાય. એવી જ રીતે વર્ગ પ્રથા કે જ્ઞાતિ પ્રથાની પેદાશ રૂપ નીચલા થરનાં બાળકો બાળ મજૂરીની ગર્તામાં ફસાતા હોય છે ત્યાં ન્યાય કે સમાનતાની શી વાત કરવી? બાળ મજૂર એ જ મોટા થતાં પુખ્ત વયનો નાગરિક હશે જે નબળો, અશિક્ષિત, ગમાર અને આત્મવિશ્વાસ વિનાનો હશે. માણસ માત્રને ભણતર, સારું સ્વાસ્થ્ય, કેળવણી અને સર્વ ઇન્દ્રિયોના વિકાસની તક મેળવવાનો જન્મસિદ્ધ અધિકાર હોય છે.

કોઈ પણ દેશનું ભાવિ તેમાં વસતા બાળકોના સર્વાંગી વિકાસ પર જ નિર્ભર હોય છે. સબળ ચારિત્ર્યવાન નાગરિકોની ફૌજ પર જ શક્તિશાળી દેશનું ચણતર થાય અને તેના અભાવમાં વિદેશી આક્રમણના ભોગ બનવું પડે અને વિકાસની દોડમાં પાછળ રહી જવાય એ અનુભવ કદાચ ભારત દેશને જેટલો થયો છે એટલો બીજા ભાગ્યે જ કોઈ દેશને થયો હશે. જેમ બાળકોને સમાન અધિકાર આપવાની વાત છે તેમ સ્ત્રીઓને પણ સમાન માનવીય અધિકારો મળે તો તેના વિકાસની પણ સીમા ન રહે. શિક્ષણ, સ્વાસ્થ્ય, આજીવિકા અને પ્રગતિની સમાન તકો ન આપીને સમાજની અર્ધોઅર્ધ પ્રજાને સદીઓથી અન્યાય થતો આવ્યો. આપણે કેમ સમજી ન શક્યાં કે સ્ત્રીને અન્યાય થાય એટલે તેનાં બાળકો પણ કુપોષણ, ગરીબી, નિરક્ષરતા, અસંસ્કારી વાતાવરણ અને ગુનાખોરીનો ભોગ બને? સ્ત્રીને સમાનતા અને ન્યાય ન મળે તો તેને જ માત્ર નહીં, પણ સરવાળે તેના દ્વારા ઉછેરવામાં આવેલ બાળકો અને કુટુંબના પુરુષોને પણ અન્યાય થાય. આ સ્થિતિમાં એવી પ્રજા કેવી હીર વિહોણી બને એ આપણે અનુભવી ચુક્યા છીએ. એ અશિક્ષિત અને બેકાર પ્રજા ગુનાઓમાં અને વ્યસનોમાં સપડાય અને પરિણામે સમાજ એક અંધારી ગર્તમાં ડૂબી જાય એ પણ સાબિત થઈ ચુક્યું છે અને એવા વંચિત લોકો પોતાના મૂળભૂત અધિકારોની જાળવણી ન થાય, ત્યારે હિંસાનો આશ્રય લેતા જોવા મળે છે. શારીરિક, બૌદ્ધિક અને વૈચારિક તાકાત વિનાનો સમાજ સ્વતંત્ર વિચાર ધરાવનાર યુવા વર્ગ પેદા કરી ન શકે ત્યાં લોકશાહીને બદલે ટોળાશાહી પ્રવર્તે તે ક્યાં અજાણ્યું છે?

આપણે લૈંગિક અને સામાજિક અસમાનતાની વાત કરી, હવે બીજા કયા ક્ષેત્રમાં ત્રાજવાનું પલ્લું સમાન નથી તે જોઈએ. ગાંધીજીએ મુખ્ય ત્રણ પ્રકારની લઘુમતીઓનો ઉલ્લેખ કર્યો છે: એક ધાર્મિક, બીજી સામાજિક અને ત્રીજી રાજનૈતિક. મુસ્લિમો અને અન્ય ધર્મના અનુયાયીઓ ધાર્મિક લઘુમતીમાં ગણાય, શોષિત અને વંચિત એટલે કે દલિત-આદિવાસીઓ સામાજિક લઘુમતીના ચોકઠામાં બેસે અને ઉદારમતવાદીઓ રાજકીય લઘુમતીની સીમામાં બંધાય. સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા ભારત એક સાર્વભૌમ, લોકશાહી અને ગણતંત્ર રાષ્ટ્ર જાહેર થયું. સમય જતાં ઇન્દિરા ગાંધીએ સેક્યુલર અને સમાજવાદી શબ્દો ઉમેર્યા. હવે સમાજવાદ એટલે મોટા મોટા ઉદ્યોગો ઊભા કરવા, પંચવર્ષીય યોજનાઓ ઘડવી અને સરકારી અંકુશ વધારવો એવો અર્થ કરવામાં આવેલો. લાયસન્સ અને પરમીટ રાજને કારણે લાંચ રુશ્વત વધી. અહીં સમાનતાનું ગળું ટુંપાયું. ખાસ કરીને મનમોહનસિંહના જમાનાથી સમાજવાદ પર ચોકડી મુકાઈ, અને મૂડીવાદને રાજગાદી પર બેસાડવામાં આવ્યો. અને ત્યારથી આર્થિક અસમાનતા બેસુમારપણે આગળ વધતી રહી. રોજગારીની તકોની અસમાનતાને પરિણામે ઊભો થયેલ વર્ગ ભેદ અગાઉના વર્ણ ભેદની સાથે ભળીને એક એવી તો અનઉલ્લંઘનીય ખાઈ બની ગઈ છે કે તેમાંથી ઉગરવાનો કોઈ માર્ગ ન જડવાથી નક્સલવાદ જેવા હિંસક સંગઠનો ઊભાં થયાં જે શોષિત અને શોષકને વિનાશને રસ્તે લઈ જાય છે.

ધાર્મિક અને કોમી એખલાસની સમસ્યાની માંડણી ક્યાંથી કરવી? ભારતે 1973થી સેક્યુલર શબ્દને તેના જીવ સાથે દફનાવ્યો. ઈ.સ. 1947માં ધર્મ નિરપેક્ષતાનું એલાન કરનાર નવોદિત રાષ્ટ્ર થોડાં વર્ષોમાં તો સહિષ્ણુતા કોને કહેવાય એ જાણતો ન હોય તેવો બની ગયો. દયાનંદ સરસ્વતીએ 1875માં આર્ય સમાજ સ્થાપ્યો તે અરસામાં અન્ય ધર્મો દ્વારા વટાળ પ્રવૃત્તિઓ હાથ ધરાયેલી જેના પ્રતિસાદ રૂપે આર્ય સમાજે બીજા ધર્મના અનુયાયીઓની શુદ્ધિ કરી તેમને હિંદુ ધર્મમાં પુન: પ્રવેશ આપવાનું અભિયાન આદરેલું. તેની પાછળ ધર્મ પરિવર્તન કરવાને કારણે તરછોડાયેલાને ફરી અધિકૃત જીવન જીવવાની તક આપવાની નેમ હતી. આજે આર.એસ.એસ. પણ જે મૂળે હિંદુ હતા તેમને ઇસ્લામ કે ક્રીશ્ચિયાનિટી સ્વીકારવાના ‘ગુના’ બદલ સમાજમાં તરછોડી દીધેલા એ જ સમૂહને પોતાના ધર્મના અનુયાયીઓની સંખ્યામાં વધારો કરવા ‘ઘર વાપસી’ કરે, આ શું માંડ્યું છે? બી.જે.પી.ને આર.એસ.એસ. સાથે નાળ સંબંધ છે અને તેથી જ તો બી.જે.પી. સેક્યુલર છે, સમાજ વિરોધી અને હિન્દુત્વવાદી પક્ષ નથી અને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા નથી માગતો કે વટાળ પ્રવૃત્તિ સાથે સીધી લેવા દેવા નથી એમ સ્પષ્ટ સાબિત નથી કરી શકતો. 1947માં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના વલણથી એક દેશના બે ભાગલા પડ્યા, હવે વી.એચ.પી. અને આર.એસ.એસ.ના ઈલ્મથી દેશને રૂંવે રૂંવે આગ લાગશે. આમ ધાર્મિક અસમાનતા અને અન્યાય જ્યાં દૂર થવાને બદલે વકરતા જતા હોય ત્યાં આતંકવાદીઓ અડ્ડો જમાવે અને સમાજના તાણા વાણા પાતળા બને એ સમજી શકાય તેવી વાત છે.

થોડા સમય પહેલાં ભારતની મુલાકાતે આવેલ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ કહેલું કે ધાર્મિક સહિષ્ણુતા હશે તો ભારતનો વિકાસ થશે. હાલની ભારતની આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય નીતિ અને લઘુમતીની દશા જોઈને ગાંધીને આઘાત લાગ્યો હોત તેમ પણ તેમણે કહ્યું. કદાચ આજે બી.જે.પી. આર.એસ.એસ.ને પંપાળે છે એ એમની વિચક્ષણ આંખોએ જોઈ લીધું હશે? ઓબામાએ ભારતના કેટલાક લોકોની ધાર્મિક અસહિષ્ણુતાને જગજાહેર કરી. સારું કર્યું. જોવાનું એ છે કે ઓબામા ગાંધીને વધુ સમજે, આપણે નહીં. આમ જુઓ તો IS અને હિન્દુત્વનો પ્રચાર કરનાર સંગઠનો વચ્ચેની ભેદરેખા પાતળી હોવાનું માલુમ પડશે. ઈસ્લામને અનુસરનારાઓને વધુ બાળકો પેદા કરવાં, સ્ત્રીઓને શિક્ષણ અને અન્ય જન્મસિદ્ધ અધિકારોથી વંચિત કરી ઘરમાં પૂરી રાખવી, અન્ય ધર્મના લોકો સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવું અને ધર્મને નામે વેર ઝેર ફેલાવી હિંસક પ્રવૃત્તિઓ પોષવી એવો પ્રચાર કહેવાતા ઇસ્લામિક સ્ટેટનો ફેલાવો કરનારાઓ કરી રહ્યા છે. હવે જો ભારતમાં પણ હિંદુ ધર્મના અવતારો અને મહાપુરુષોના વિચારોને સ્વહિત ખાતર મારી મચડીને તેનો ખોટો પ્રચાર કરી લોકોને હિંદુ લોકોની જનસંખ્યા વધારવા વધુ બાળકો પેદા કરવા ઉશ્કેરવામાં આવે, સામૂહિક પ્રાર્થના કરવા ઉત્સાહિત કરવામાં આવે, શોભા યાત્રાઓની સંખ્યા વધારવામાં આવે, ધર વાપસીને નામે પુન: ધર્મ પરિવર્તન કરવાં અને અન્યના ધાર્મિક સ્થાનોનો વિનાશ કરવાની રફતાર શરૂ કરવામાં આવે તો જેને આપણે પછાત અને રુઢિચુસ્ત ધર્મ ગણાવીએ છીએ તેમનામાં અને આપણામાં શો ફર્ક રહે?

ધાર્મિક અસમાનતાના જુવાળે તો સામાજિક સુમેળ અને એકતાનાં વાતાવરણને ભારે ડહોળી નાખ્યું છે. ધર્મનું ઝનૂન શરમજનક કક્ષાએ પહોંચ્યું છે. થોડા વખત પહેલાં સમાચાર સાંભળવામાં આવેલા કે રાજકોટમાં મોદીની પ્રતિમા વાળું મંદિર બાંધવાના છે, તો કેટલાકને ગોડસેનું મંદિર કેમ ન બાંધી શકાય તેવો વિચાર આવ્યો. પ્રતિમાઓથી ભરી દો દેશને, પછી આ કરોડો જીવતી પ્રતિમાઓનું હિત કેવી રીતે સાધીશું? લોકોએ સમજવાનું રહે કે મંદિર ન તો ગાંધીનું બને, ન તો ગોડસેનું, બને એક માનવ મંદિર. ગાંધી બનવું કે ગોડસે તે લોક નક્કી કરે. ધાર્મિક ઝનૂન એક બીજો વિચાર લઈને પ્રસરી રહ્યું છે. ભડકાવેલા લોકોને મોઢે ‘મુસ્લિમો પાકિસ્તાન જતા રહે’ના નારા સાંભળવા મળે છે. ભારતને  સ્વતંત્રતા મળી તે માત્ર હિન્દુ સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નને આભારી છે અને તે શું માત્ર હિંદુઓ માટે જ આઝાદી મળી? દુનિયાના કયા પડમાં માત્ર એક કોમ કે ધર્મને આધારે બનેલ દેશ છે? અને એવા દેશો હોય ત્યાં અમન છે? જે ઝઘડે તે ડૂબે અને ડૂબાડે, જે સહકારથી રહે તે તારે અને તરે આટલું ન સમજી શકનારા લોકો જ આવો બેહૂદો પ્રચાર કરે. એટલું નિશ્ચિત છે કે ધર્મ આધારિત રાજ્ય અને દેશની સીમાઓ આંક્વાથી એ ક્યારે ય સફળ નથી થયાં. ભારતને માત્ર હિન્દુઓની ભૂમિ બનાવવા જે લોકો ઈચ્છા ધરાવે છે તે બનશે નહીં, તો શા માટે નાહક સમાજમાં ઝેર ઘોળે છે? સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે  જેઓ વિકસ્યા તે હિંદુ હોવાને નાતે કે ધર્મ નિરપેક્ષ દેશની વિકાસ નીતિને કારણે? ધર્મને આધારે જેની રચના થઈ એવા ઇસ્લામી દેશોમાં બીજાનો તો ઠીક, ખુદ મુસ્લિમોનો પોતાનો પણ વિકાસ નથી થતો. ભારતના હિંદુઓ બીજાનો તો ઠીક પણ પોતાનો પણ વિકાસ ન થાય તેવું ઈચ્છે છે? પોતાના નિકટના પાડોશી એવા પાકિસ્તાનના વિકાસમાં ભારતનું ભલું છે અને પોતાના દેશમાં વસતા અન્ય ધર્મના લોકોની ભલાઈમાં જ બહુમતી ધર્મના લોકોનો વિકાસ છે એ સમજી લેવું રહ્યું. હિંદુ સિવાયના ધર્મના લોકો અને કહેવાતી નીચલી જ્ઞાતિના લોકોની સેવા લઈ લઈને ઉચ્ચ કહેવાતા હિંદુ લોકો પુષ્ટ થયા, હવે તેમને તગડી મુકવાની વાત કરીને પોતાની જ ઘોર ખોદે છે. બનાવે ‘હિન્દુસ્તાન’ બીજા કોઈ ગ્રહ પર, આ ભૂમિ તો ધર્મ નિરપેક્ષ ભારત વર્ષ જ રહેશે એવો સંદેશ કોમી એખલાસમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર બુદ્ધિમાન પ્રજાએ આપવો રહ્યો.

ધર્મની માફક રાજનીતિ પણ પ્રજાનું રક્ષણ કરે તે ખરું પણ બે-લગામ બનતાં તેનું જ ભક્ષણ કરનાર પણ બની શકે. દેશની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક નીતિઓના પ્રતાપે જે અસમાનતા દિન દહાડે વધતી જાય છે તેનાથી સમાજની સમતુલા ઓછી થતી જાય છે. સત્તાધારીઓ પછી એ પોતાના દેશના હોય કે વિદેશી જો એ પોતે જ પોતાની પ્રજાનું દમન કરે અને એના પર અત્યાચાર ગુજારે ત્યારે માનવની અંત:પ્રેરણા તેનો વિરોધ કરે તો જ શોષણ-દમન અટકે. વ્યક્તિની માનસિકતા કેમ સુધરે એ જ હવે કરવાનું છે કેમ કે અંતે તો એ વ્યક્તિ જ છેવટ આતંકવાદી જૂથનો સભ્ય હોય છે, રાજ્યમાં રાજ્યકર્તા પણ એ જ છે, વેપારમાં લુંટનાર પણ એ જ, અને જનતામાં મૂક પ્રેક્ષક-શ્રોતા તરીકે પણ એ જ બેઠો હોય છે. આજે જાણે વ્યક્તિને એક નાગરિક તરીકે કોઈ પણ બાબત માટે નિસ્બત નથી રહી. અંગત જીવન કૌટુંબિક રૂઢિથી દોરવાય, નોકરીના સ્થળે સાહેબોની નીતિ નતમસ્તકે સ્વીકારીને ઘાણીના બળદની માફક ચક્કી પીસતા રહે અને જાહેર જીવનમાં ધાર્મિક વાડાઓ અને સરકારી નિયમો-કાયદાઓને મને-કમને અનુસરીને જીવન વ્યતીત કરતા રહે તેવા પ્રજાજનોથી દેશ ભર્યો છે. પંચશીલના સિદ્ધાંતો અને પંચવર્ષીય યોજનાઓને નજરમાં રાખીને સ્વતંત્ર ભારતે વિકાસની કેડી પર ડગ માંડેલા, એ જ દેશમાં આજે અનામત બેઠકોને લઈને હિંસા આચરવામાં આવે છે. અરે, નાના મોટા હજારો લોકોને વિશેષાધિકારો મળે છે. આ ખિતાબો અને વી.આઈ.પી.ની સગવડો આપવી જરૂરી છે શું? વ્યક્તિના વિચાર અને કામનું સન્માન તેમને અનુસરીને કરીએ. માન ચાંદની પ્રથા જૂની છે. રાજા તેમના રાજ્યનો વિસ્તાર વધારવામાં મદદ કરનારને જમીન, જાગીર કે સોનામહોર આપતા તેના અવશેષ સમી આ પ્રથા છે. લોક આપે તે સાચું સન્માન ગણાવું જોઈએ. સરકાર તો રૂઢિગત સ્થાપિત હિત જાળવવા અને પોતાની સત્તા જાળવવા અમુક ખાસ લોકોને ખુશ કરવા આપે આવા માન ચાંદ આપે છે જેનાથી ફરી એક એવો વર્ગ ઊભો થાય છે જેને પરિણામે એક વધુ અસમાનતાનું વર્તુળ પેદા થાય છે.

આમ માનવ જીવનના હરેક ક્ષેત્રમાં એક નહીં અને બીજા પ્રકારની હિંસા, અશાંતિ અને સંઘર્ષ રૂઢ થતાં જોવા મળે છે જેની પાછળ વ્યક્તિગત, સંસ્થાગત અને સમૂહગત અસમાનતા કારણભૂત જણાય છે. વર્તમાનની વિષમ પરિસ્થિતિઓ માટે ધર્મ અને રાજકારણનું અનર્થઘટન અને દુરુપયોગ વધુ જવાબદાર હોય તેમ ભાસે છે. પહેલાં રાજકારણમાં ધાર્મિક તત્ત્વ હતું, હવે ધર્મમાં રાજકારણ ઘુસી ગયું. નહીં તો કુટુંબ ભાવના, સમાજ પ્રત્યે વફાદારી, દેશભક્તિ, વિશ્વ ભાવના અને ધર્મ નિષ્ઠા વગેરે એકબીજાથી વિરુદ્ધ કેમ વર્તે છે? સવાલ એ થાય કે ધર્મ અને રાજકારણના લગ્ન ક્યારે થયાં? એ ગોઠવેલ હતાં કે પસંદગીનાં? યુગે યુગે માનવ પ્રગતિને દિશા બતાવનાર અનેક વિચારકો, દ્રષ્ટાઓ અને મહાનુભાવોની ભેટ આ પૃથ્વીને મળી છે, પણ આપણે તેમના બાવલાં બનાવી હાર પહેરાવ્યા પણ તેમના વિચારોનો અમલ ન કર્યો. રામધારીસિંહ દિનકર કહે  છે તેમ મહાપુરુષોની એક નિયતિ એવી છે કે તેને તેના અનુગામીઓ, પૂજકો અને ભક્તો તેમની પૂજા કરી કરીને મારી નાખે છે અને તેના વિરોધીઓ તેમને મારીને જીવાડે છે. જુઓને જીસસ, સોક્રેટીસ, ગાંધી અને માર્ટીન લ્યુથર કિંગના એ જ હાલ થયા. તેઓએ હર પ્રકારની અસમાનતા ઊભી જ ન થાય તેવી જીવન પદ્ધતિઓ પોતે જીવીને આપણે ચરણે ધરી અને કલહ વિનાના શાંતિમય સમાજની વિભાવના માટેનો માર્ગ બતાવ્યો અને આપણે તેમને ઝેર આપ્યું, ગોળીએ વિંધ્યા. નેતા બન્યા વિના આચારથી દાખલો બેસાડી રાહ બતાવનાર હતા ગાંધી. તેમણે જેમની પાસેથી પ્રેરણા મેળવેલી એવા અન્ય યુગપુરુષોની વાણી અને કર્તવ્યોને સમજીને દુનિયાના બુદ્ધિજીવીઓ, રાજ્ય કારણીઓ, કર્મશીલો અને ધર્મના પ્રતિનિધિઓ ભેળા મળીને હર પ્રકારના ભેદભાવ, અન્યાય અને અસમાનતા દૂર કરી એખલાસ ભર્યા સમજની રચના કરવાનું કામ ઉપાડી લે એવી કામના.

e.mail : 71abuch@gmail.com

Loading

ચંદ્રકાન્ત ટી. દરુઃ માનવવાદી વિચાર-આચારના પુરસ્કર્તા



જયંતી પટેલ

, જયંતી પટેલ|Profile|1 June 2016

જન્મશતાબ્દી – સ્મરણાંજલિ


માનવેન્દ્રનાથ રોયની નવમાનવવાદી (રેડિકલ હ્યુમેનિસ્ટ) વિચારધારાના દાર્શનિક અભિગમને અપનાવવા માટે મૂઠી ઊંચેરી વૈચારિક સજ્જતાની આવશ્યક્તા છે તો તેને વ્યવહારમાં આચરવા-અનુસરવા માટે ધૈર્ય, આશાવાદ અને સત્તા પ્રત્યેની અનાસક્તિ જરુરી છે. ગુજરાતમાં, ગત સદીના ચોથા-પાંચમા દાયકા દરમિયાન આ વિચારધારાના સમર્થકોમાં ચંદ્રકાન્ત દરુ, રાવજીભાઈ પટેલ (વડોદરાનું રેનેસાંસ ગ્રુપ), દશરથલાલ ઠાકર, તૈયબ શેખ, ચંપકલાલ ભટ્ટ, પ્રસન્નદાસ પટવારી, દુર્ગાશંકર ત્રિવેદી, અરુણ દીવેટિયા, મણિભાઈ પંડ્યા, ઠાકોરભાઈ પંડ્યા, હરિભાઈ શાહ, ધવલ મહેતા, રમેશ કોરડે, મનુભાઈ શાહ, સફી મહમદ બલોચ, બિપીન શ્રોફ સહિતના અનેક કાર્યકરો નક્કર ઉદાહરણો છે.



દાર્શનિક ભૂમિકામાં ભૌતિકવાદ, વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ, વૈશ્વીક દૃષ્ટિકોણ, માનવીય ગૌરવ, સ્વતંત્રતા, સમાનતા અને સહોદરભાવનાં મૂલ્યો પ્રત્યે નિષ્ઠા રહેલાં છે. માનવજીવનમાં ઉપલબ્ધ તમામ રસોને વિવેકપૂર્વક (અન્યના ભોગે નહીં) માણવાની હિમાચત તેમાં અભિપ્રેત છે. (આ જીવન-જગતને મિથ્યા ગણી પરલોક માટે ત્યાગ, તપ, વ્રત કરવાની નહીં) આ ભૂમિકાના ફલસ્વરુપ, અનીશ્વરવાદ, ઈહલોકવાદ, સર્વધર્મઅભાવ-બૃહદીકરણ(સેક્યુલર)નો સ્વીકાર તથા, પરલોકવાદ, કર્મનો સિદ્ધાંત કે રંગ, જાતિ, ધર્મ, પ્રદેશના સંકુચિત વાડા કે ભેદભાવનો અસ્વીકાર સમાયેલાં છે. પારંપરિક કે કોઈ પણ ખ્યાલ કે માન્યતાને માનવ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ય તથ્યો તથા માનવબુદ્ધિની એરણ ઉપર ચકાસવાની બેહિચક અને બિનધાસ્ત તત્પરતા માનવવાદીઓનું નોંધપાત્ર લક્ષણ છે.



માનવીય ગૌરવનો ખ્યાલ કેટલાક વિશેષ સંદર્ભ ધરાવે છે.  તેમાં : –



1.      પ્રથમ તો વૈયક્તિક માનવીને, પાયાનાં એકમ તરીકે સ્વીકારી, અગ્ર અપાય છે. કબીલા, ગામ, કે તેવા કોઈ સામૂહિક એકમના કાલ્પનિક (એબસ્ટ્રેક) ખ્યાલને નામે વ્યક્તિનાં હિતોને અવગણવાની કે તેનો ભોગ આપવાની શૈલીને ફગાવી દેવામાં આવે છે. તેઓ માને છે કે વ્યક્તિનાં સુખ, સમૃદ્ધિ અને હિતનો સરવાળો જ સમૂહનાં સુખ-સમૃદ્ધિ-હિતનો નિર્દેશક-આંક છે. વ્યક્તિઓ દરિદ્ર હોય તો સમૂહ સમૃદ્ધ ગણી શકાય નહીં.



2.      માનવીય ગૌરવની જાળવણી માટે એ જરુરી છે કે પ્રત્યેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય, રાજ્ય, સમાજ કે અન્ય વ્યક્તિ દ્વારા, લોપાય નહીં. કારણ કે, વ્યક્તિના મુક્ત વિચાર અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જે તે માનવીને, તેના અસ્તિત્વની પૂર્ણતા હાંસલ કરવા તથા વિકાસ અને પ્રગતિ માટે, આવશ્યક છે અને એકંદરે તે સમાજના હિતમાં છે.



3.       માનવીથી પર કે તેના જીવનની કે વલણોની સંચાલક કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિ નથી. માનવી જ તેના જીવન અને ભાવિનો ઘડવૈયો છે. દેવ, તારા, ગ્રહો, પ્રારબ્ધ, પૂર્વજન્મનાં કર્મ, મંત્ર-તંત્ર, પ્રાર્થના, પૂજા વગેરેની કોઈ અસર પડતી નથી. માનવીના જીવનનો દોર કોઈ અગમ્ય તત્ત્વ કે નિયતિના હાથમાં નથી પણ માનવીના પોતાના હાથમાં જ છે.



4.      માનવી દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. માનવીની જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન જ સત્ય છે. કોઈ અલૌકિક તત્ત્વ દ્વારા કે માનવબુદ્ધિથી પર પદ્ધતિ દ્વારા તે પ્રાપ્ત થતું નથી.



5.      પરિણામે, માનવી જ પાયાનું ચાલકબળ હોવાથી તેના વૈચારિક-સાંસ્કૃિતક ઘડતર દ્વારા જ સમૂહની સુધારણા કે નવનિર્માણ થઈ શકે. આ માન્યતા સાથે માનવીમાં એવો અનર્ગળ આશાવાદ પણ સંકળાયેલો છે કે, પ્રત્યેક માનવી, પ્રબુદ્ધ-જ્ઞાન અને બુદ્ધિથી, અને તેમાંથી નીપજતી નૈતિકતાથી સંચારિત થઈ માનવવાદી અભિગમ સ્વીકારશે અને આચરશે. આ આશાવાદ સામે પ્રશ્ન થાય કે, કેટલી વ્યક્તિઓ, માનવવાદી દર્શન અને મૂલ્યોને અપનાવી, સ્થાપિત હિતની રક્ષા તથા સત્તા અને ભોગની લાલસામાંથી મુક્ત રહેશે ?



ચંદ્રકાન્તભાઈ અને માનવવાદી સાથીઓ સાથે 1956થી હળવામળવાના પ્રસંગો સાંપડ્યા. અધ્યયન શિબિરો, વ્યક્તિગત મળવાનું અને વાણી-વ્યવહારને જોવા-સમજવાની તકો સાંપડી. ચંદ્રકાન્ત દરુના વિચાર અને આચારમાં માનવાદી દર્શન અને મૂલ્યો સુપેર વ્યક્ત થાય છે.



દરુએ જીવનમાં ચણા ફાકી ભૂખ સંતોષવાના દિવસો, સુખસગવડ અને પ્રતિષ્ઠાપૂર્ણ પરિવેશ તથા લોકશાહી માટે ઝઝુમતાં કારાવાસ અને અંતે કેન્સરની ઘાતક બીમારીનું દર્દ અનુભવ્યાં છે. પત્રકાર, શિક્ષક, કામદાર મંડળના સંગઠનકર્તા, વકીલ, રેડિકલ હ્યુમેનિસ્ટ આંદોલનના અગ્રણી તરીકેની ભૂમિકાઓ તેમણે નિભાવી છે. અવારનવાર સામા પ્રવાહે તરવાની હિંમત તેમણે દર્શાવી છે, પછી તે બેંતાલીસનું આંદોલન વિરુદ્ધ ફાસીવાદ સામેના યુદ્ધનું સમર્થન હોય, દારુબંધીનો પ્રતિબંધ હોય, અંગ્રેજી ભાષાના શિક્ષણ(પાંચમા કે આઠમાથી)નો વિવાદ હોય, ગાંધી, નહેરુ કે ઇન્દિરા જેવાં લોકચાહના ધરાવતાં નેતા હોય, તેમની સામે પોતાને સાચું લાગ્યું તે તથા માનવવાદી મૂલ્યો માટે, અવાજ ઊઠાવતાં તે ખમચાયા નથી.



દરુએ જીવનમાં અનેક નિષ્ફળતાઓ પણ અનુભવી અને સહી લીધી. 'સ્વતંત્ર ભારત’ અખબારનો અંત, ચૂંટણીમાં રેડિકલ ડેમોક્રેટિક પક્ષનો ફિયાસ્કો અને પક્ષના વિસર્જનનો નિર્ણય સહકારી અર્થકારણના પ્રયોગરૂપ સ્ટોરનું વિલોપન, ચાલુ બંધ થતાં સામયિકો, કામદાર મંડળની સભ્ય સંખ્યા ટોચ પરથી ગબડતી રહેવી, અંગત સાથીઓ સાથે મનભેદ વગેરેને તેમને પચાવવા પડ્યાં હતાં. આમ છતાં તેમના વાણી-વ્યવહારમાં ક્યાં ય ચીડ, રોષ, કડવાશ દેખાતાં નહીં. હકીકતમાં મેં માત્ર બે વ્યક્તિઓને કદી ગુસ્સો વ્યક્ત કરતાં જોઈ નથીઃ જયંતી દલાલ અને ચંદ્રકાન્ત દરુ.



પક્ષવિહીન તથા સત્તાવિહીન રાજકારણની હિમાયત અને રેડિકલ ડેમોક્રેટિક પક્ષના વિસર્જન સાથે, જનમાનસને લોકશાહી અને નવમાનવવાદી વ્યવસ્થાના નિર્માણ માટે અગ્રસર કરવાના હેતુથી, રેનેસાંસ આંદોલન દ્વારા વૈચારિક-સાંસ્કૃિતક ક્રાંતિ પ્રેરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો. માનવ વ્યવહારનાં તમામ (રાજકારણ, સમાજકારણ, અર્થકારણ વગેરે) ક્ષેત્રોમાં માનવવાદી મૂલ્યો અનુસારનાં વર્તન અને વ્યવહારની પ્રસ્થાપના કરવાનું કાર્ય બહુ મોટો પડકાર છે. આ પ્રકારનું કાર્ય વૈચારિક સજ્જતા, ધીરજ, નિષ્કામ વૃત્તિ, લોકોમાં અળખામણા થવાની તૈયારી વગેરે ગુણો માંગી લે છે.



ગુજરાતના પૂર્વ-વિભાગના આદિવાસી ગણાતા પટ્ટાનાં રજવાડાનું નગર છોટાઉદેપુર દરુનું જન્મસ્થાન અને અમદાવાદ કર્મભૂમિ. અમદાવાદમાં ગુલભાઈ ટેકરા પર, અલકાપુરી સોસાયટીમાં તેમનું બે માળનું નિવાસસ્થાન (પત્ની હસુબહેન, પુત્રી નયના, પુત્ર શેખર તથા પુત્રી જેવી નીપા, અવારનવાર આવતાં મહેમાનોથી ભર્યું ભાદર્યું). મીરઝાપુર રોડ ઉપરનાં યુનિયનનાં કાર્યાલયમાં જ તેમની ઓફિસ. તેમના ઘેર ગમે ત્યારે જઈ શકાય. આ ઘરમાં અવારનવાર યોજાયેલ ભોજન સમારંભોમાં વિવિધ મહાનુભાવોને મળવાનો લાભ મળ્યો છે.



પ્રથમ નજરે દરુની સરેરાશ ઊંચાઈ, સહેજ ગોરો વાન, ચોરસ મુખાકૃતિ, જાડી ચોરસ ફ્રેમના જાડા કાચ પાછળ છુપાયેલી તંદ્રીલ (કે વિચારમગ્ન) આંખો, જાડા હોઠ જોતાં, તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી ના લાગે. પરંતુ તેમની સાથે સંપર્ક વધે, ચર્ચા-વિચારણાનો લાભ સાંપડે, ત્યારે તેમના બહોળા વાંચન, સ્પષ્ટ વિચારણા, મૃદુ વ્યક્તિત્વ સાથે તેજસ્વી વાણી, સાદી સરળ શૈલીમાં ગંભીર વાતને મુકવાની ક્ષમતા, સાહિત્ય-સંગીત-કલા અંગેની તેમની રુચિનો પરિચય સાંપડે અને તેમના પ્રત્યેનું આકર્ષણ અને ભાવનો ગ્રાફ ઊંચો જાય.



દરુની સરળતા નોંધપાત્ર હતી. તે દવાની ગોળીઓ સીધેસીધી ગળી જાય. મિત્રો તેમને ટોકે. તેમની સરખામણીમાં હું તો સાવ નાનો અને નવો. એક વાર, મારી હાજરીમાં તેમને દવા લેતા જોઈ, મેં તેમને કહ્યું દવાના ભારે રસાયણો હોજરીને નુકસાન કરી શકે માટે દવાને કશાંક પીણાં કે ખોરાક સાથે લેવી જોઈએ. (બાજુમાં બેઠેલા પ્રસન્નદાસ પટવારીએ પણ તેમાં સૂર પુરાવ્યો.) તેમણે સાવ બાલ સહજ સરળ રીતે કહ્યું, હવેથી હું દવાઓ એકલી નહીં લઉં. કોઈ દલીલ કે બહાનું રજૂ કરવાને બદલે ઉચિત વાતને સ્વીકારી લેવાની સરળતા બહુ જૂજ વ્યક્તિઓમાં હોય છે.



માનવીમાં તેમના વિશ્વાસનાં તો અનેક પ્રસંગો છે. તેમનાં વપરાશનાં કરિયાણાંનું બીલ લઈને વેપારી આવ્યો, તેમણે નાણાં ચુકવી દીધા. પાસે બેઠેલા વકીલ મિત્રે કહ્યું, દરુ, બીલ તો ચેક કરો. તેમનો જવાબ હતો આ વેપારી મહિના સુધી મારામાં વિશ્વાસ મૂકી વસ્તુઓ આપે છે. હવે જો હું તેનામાં વિશ્વાસ ના રાખું તો તેના કરતાં હું વામણો ગણાઉં. (એડવોકેટ બેલસરેનુ સ્મરણ)



દરુ કાયદાના પાયાના દાર્શનિક ખ્યાલને પકડીને રજૂઆત કરતા. દરુ બંધારણ તથા અધિકારો અંગેના મામલાઓ માટેના નિષ્ણાત વકીલ ગણાતા. તે હંમેશાં વંચિત, દલિત કે શોષિતના કેસો જ હાથ ધરે (દા.ત. ગ્રે ફોલ્ડરોનો પ્રશ્ન). માલિકોની તરફેણના કેસ ના લે. પરિણામે તે કંઈ માલેતુજાર ન હતા. (ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોના અધ્યાપકોના મતાધિકારના, 'ભૂમિપુત્ર' સામાયિકના સેન્સરના કેસમાં, તેમણે ફી લીધી નહોતી.) છતાં વિવિધ માનવવાદી પ્રવૃત્તિઓમાં (શિબિર, સામાયિકના ખર્ચ વગેરેમાં) તેઓ નાણાં આપતા. વળી, ફી બાબતમાં પણ તેમનું ધોરણ વાજબી અને નૈતિક. અઢળક સંપત્તિ ધરાવતા જાણીતા (દાણચોરીના ધંધા સાથે સંળાયેલા હોવાનો આક્ષેપ ધરાવતા) સુકર બખિયાનો અધિકાર અંગેનો કેસ તેમણે સફળતાપૂર્વક ચલાવ્યો. જીત મળતાં બખિયા ભારે રકમ આપવા માંગતા હતા. દરુએ માત્ર તેમની સર્વસામાન્ય ફી જ લીધી. એક મિત્રએ તેમને આ વિષે પૂછતાં તેમણે કહ્યું, મેં તેના એક નાગરિક તરીકેના અધિકાર માટે લડત આપી હતી. તે માટેની મારી ચાલુ ફી કરતાં વધુ લઉં તો હું તેના અન્ય કૃત્યોમાં ભાગીદાર ગણાઉં. કેવી સુક્ષ્મ ન્યાયબુદ્ધિ ! − સલામ દરુસાહેબ.



તેમનાં જ્ઞાન, તીવ્ર બુદ્ધિ અને દલીલશક્તિની મિસાલ દારુબંધીના કાયદાને પડકારતા કેસમાં જણાઈ આવે છે. વિખ્યાત સરકારી વકીલની સંપૂર્ણ (એબ્સોલ્યુટ) દારુબંધીની તરફેણ કરતી જોરદાર દલીલોના પ્રત્યુત્તરમાં, તેમની સરળ સ્વાભાવિક શૈલીમાં પૂછ્યું, આલ્કોહોલ પર એબ્સોલ્યુટ બંધી માંગો છો ? વકીલશ્રીએ કહ્યું, હા, હા, એબ્સોલ્યુટ. દરુએ તેમના સ્વાભાવિક શાંત (નેસલ) અવાજમાં કહ્યું. મિ લોર્ડ, મારા વિદ્વાન વકીલ મિત્રને એ યાદ આપું કે દરેક વ્યક્તિના લોહીમાં અમુક ટકા આલ્કોહોલ હોય છે અને તે આરોગ્ય માટે જરૂરી છે. તેને દૂર કરીએ તો આરોગ્ય જોખમાય … . અદાલતમાં હાજર સહુ સ્મિત કરી રહ્યા. (એડવોકેટ બેલસરેનુ સ્મરણ)


લોકશાહી માટેના નિર્ભીત લડવૈયા તરીકેની દરુની તસવીર ઇન્દિરાઈ કટોકટી સામેના સંઘર્ષમાં ઉપસી આવે છે. પરિષદોનું આયોજન, સેન્સરશીપ તથા ન્યાયાધીશોની બદલીઓ સામેના કેસો, ભૂગર્ભ પત્રિકા (જે બહાને તેમને કારાવાસમાં ધકેલી દેવાયા) વગેરે દ્વારા તેમણે જનતાના લોકશાહી અધિકારો માટેના અણનમ લડવૈયા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું.

e.mail : jaykepatel@gmail.com

સૌજન્ય : “માનવવાદ”, મે 2016; પૃ. 02-04 

Loading

‘સંસ્કારી’ જણને જગવતા પરિણામ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|31 May 2016

આ હિમાયત અંગ્રેજી હટાવો સારુ નથી, પણ અસ્થાને અંગ્રેજી નહીં ને યથાસ્થાને દેશભાષા સહી, તે વાસ્તે છે

આમ તો, વીર નર્મદ યુનિવર્સિટીમાં પૂરા કદનો ગુજરાતી વિભાગ શરૂ થતાં જે વિલંબ થયેલો, એ પોતે જ હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગની એકંદર પરિકલ્પના અને આયોજનામાં (પ્ર)દેશભાષા અને માતૃભાષા ગુજરાતીનું સ્થાન કેવું ને કેટલું હશે તે સમજવાને અંગે એક દ્યોતક બીના છે. ગુજરાતી પત્રકારત્વની ચવાઈકુથ્થા શૈલીએ કહીએ તો તે દાખલો એકદમ જ એકદમ નેત્રદીપક છે. પણ હમણાં બોર્ડની પરીક્ષામાં ખાસા 2.29 લાખ વિદ્યાર્થીઓ માતૃભાષા (પ્રથમ ભાષા) ગુજરાતીમાં નાપાસ થયા એ પછી કદાચ કશું જ કહેવાનું રહેતું નથી.

અને અનવસ્થા તો જુઓ તમે. સામાન્યપણે સ્વભાષાના માધ્યમનો મહિમા વસ્તુત: શાસ્ત્રશુદ્ધ પણ છે. પોતાની ભાષામાં અભિવ્યક્તિ સહજસરળ બની રહે. ગ્રહણ કરવાની દૃષ્ટિએ પણ એમાં સરળતા રહે, એ સાદો હિસાબ છે. પણ ગુજરાતમાં વિવિધ માધ્યમગત કાર્યરત શાળાઓનાં પરિણામની તપસીલ જોતાં ઊપસતું ચિત્ર કદાચ જુદું જ છે. અંગ્રેજી માધ્યમની શાળાઓના 88 ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે. જ્યારે હિંદી માધ્યમના પણ ઠીક ઠીક ચાલે એટલે કે 68 ટકા પાસ થાય છે. એથી ઊલટું, શું શાં પૈસા ચાર એ પ્રેમાનંદખ્યાત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ ફક્ત અને ફક્ત 52 ટકા જ છે.

માધ્યમની ચર્ચા (જો કે એ એક બુનિયાદી શૈક્ષણિક ને સમાજિક મુદ્દો છે, છતાં) માનો કે આ ક્ષણે મૂકી દઈએ. માનો કે અંગ્રેજી ને હિંદી માધ્યમના વિદ્યાર્થીઓ બહુધા બિનગુજરાતી હશે, જો કે અંગ્રેજીની અપીલઆંધી જોતાં એ સાચું ન હોય. પણ ગુજરાતી માધ્યમનો, અને એક વિષય તરીકે ગુજરાતીનો, આપણે ત્યાં વાસ્તવિક કોઈ દબદબો કે દરજ્જો છે કે કેમ એ ખુદ એક તપાસવિષય છે. હજુ હમણાં સુધી કેન્દ્ર તરફથી અન્યાયની તરજ પર ફરિયાદ કરવાની ગુજરાત સ્તરે નવાઈ નહોતી. ગુજરાતમાં ગુજરાતી ભાષાનું જો ઠેકાણું ન પડે તો તેમાં ગુજરાતના રાજકીય અગ્રવર્ગની કેમ જાણે કોઈ જવાબદારી જ ન હોય !

માન્યું કે શિક્ષણ એ સમવર્તી (કન્કરન્ટ) યાદી પરનો વિષય છે. એમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો પ્રવેશ છે. પણ જે તે રાજ્યમાં પોતાની ભાષામાં વહીવટનો આગ્રહ તો રાખી જ શકાય છે. ભાષા તરીકે અંગ્રેજી અને હિંદી યથાસ્થાન અવશ્ય હોઈ શકે છે, પણ એમને અસ્થાને આસન આપવાનું કોઈ કારણ નથી સિવાય કે હજુ આપણા રાષ્ટ્રરાજ્યવાદને સંસ્થાનવાદની કળ ન વળી હોય.

શિક્ષણ વિષયક એકદિવસીય કાર્યશિબિરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતીનાં કથળતાં પરિણામો માટે આદિવાસી તેમ જ સરહદી વિસ્તારોનાં બાળકોના ગુજરાતી પહેલા ધોરણમાં પ્રવેશને જવાબદાર ગણાવ્યો છે, તો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કહેવા પ્રમાણે નીચેના વર્ગોમાંથી પરીક્ષા નીકળી ગઈ – ‘નો ડિટેન્શન પૉલિસી’ – અમલ બની એ પણ એક મહત્ત્વનું પરિબળ છે. જ્યાં સુધી શિક્ષક મુખ્યમંત્રીના મુદ્દાનો સવાલ છે, કોઈકે એટલું જ કહેવું બસ થઈ પડશે કે જડબેસલાક સ્ટીમરોલર અગર ધરાર બુલડોઝર ફરી ન વળે એ રીતે આદિવાસી તેમ જ સીમાવિસ્તારનાં બાળકોને સારુ શિક્ષણ સુલભ કરવાનું છે. શૈક્ષણિક ધોરણે આ પ્રશ્નોની ચર્ચા નથી થઈ એમ નથી. બને કે એમને લક્ષમાં રાખી પાઠ્યપુસ્તકો અને વિષયપ્રવેશ જરી જુદી રીતે જોગવવાં પડે. જ્યાં સુધી ‘નો ડિટેન્શન પૉલિસી’નો સવાલ છે, એ કોઈ એકાએક આસામાનમાંથી ટપકી પડેલી વાત તો નથી. શૈક્ષણિક મૂલ્યો અને પ્રક્રિયાને ધોરણે તે વિશે ખાસ્સી ચર્ચા થયેલી છે. હવે આ અમલ અનુભવના ઉજાસમાં એ વિશે વધુ વિચાર કે કંઈક પુર્નવિચાર ન થઈ શકે એમ નથી, પણ બાળકને પોતાની ભાષા આવડવાનું એટલું સહજ છે કે તે ન આવડવા માટે ‘નો ડિટેન્શન’ને યશ આપવાનું કારણ નથી.

રાજ્ય સરકાર કાર્યશિબિરોનો દોર ચલાવવા ઇચ્છે છે, પ્રવેશોત્સવને ગુણોત્સવો ઉજવવા તડેપેંગડે રહે છે, વાંચે ગુજરાત પ્રકારનાં અભિયાન વાસ્તે સદોદ્યત રહે છે એમાં કમસે કમ જે પહેલો એક પાયાનો મુદ્દો પકડવો ને પકડાવો અપેક્ષિત છે તે એ છે કે કુમળી વયે પરભાષાનું ભારણ (ખાસ કરીને માધ્યમબોજ) સહેજ પણ સલાહ ભરેલ નથી. અંગ્રેજીની મોહની જો ઊંચી નોકરીઓ કે પરદેશ ગમનવશ હોય તો જે તે તબક્કે તેના વિશેષ ભણતરની જોગવાઈ ક્યાં નથી થઈ શકતી? માત્ર, રાજ્ય સરકાર જોડ ભાષાની ઉપયોગિતા અને આદર સ્વીકારતે છતે પ્રદેશભાષા બાબતે અગ્રતાપૂર્વક વળગી રહે તો અકારણ અને અસ્થાને અંગ્રેજીને કારણે જે ખોટા ખેંચાણને અવકાશ છે તે ન રહે. આ હિમાયત ‘અંગ્રેજી હટાવો’ સારુ નથી, પણ અસ્થાને અંગ્રેજી નહીં અને યથાસ્થાને દેશભાષા સહી તે વાસ્તે છે. ઇંગ્લેન્ડના રાજદરબારમાં ક્યારેક ફ્રેન્ચનો દબદબો હતો, એને સ્થાને અંગ્રેજી આણતાં એમને ઓછી મુશ્કેલી પડી નહોતી.

ગમે તેમ પણ, સાંસ્થાનિક નવધનિકશાહી વણછાથી મુક્ત જ્ઞાનભાષા અંગ્રેજીનો તો અલબત્ત આદર જ હોય. એક વાર દેશભાષાનો સામાન્ય વ્યવહારભાષા તરીકે સ્વીકાર થાય તો પછી પોતાની ભાષા એ સહજ ગૌરવનો વિષય બની રહે તે નિઃશંક છે. ગુજરાતી ઉપરાંત જે તે ઇતરભાષી સમુદાય માટે રાજ્યમાં હિંદી, મરાઠી, ઉર્દૂ, ઉડિયા માધ્યમની પ્રાથમિક શાળાઓનું યે સ્થાન છે જ. કેન્દ્રીય બોર્ડ, ડીપીએસ આદિને પણ અહીં પ્રવેશ છે અને રહેશે. પણ, કેમ કે આ સૌ ગુજરાતમાં કાર્યરત છે એમના અભ્યાસ અને પાઠ્યક્રમમાં એક વિષય તરીકે ગુજરાતી અનિવાર્યપણે હોવું જ જોઈએ. અને આ અનિવાર્યતા, અંતિમ પરિણામના ગુણાંકનમાં ગુજરાતી વિષયને બિનચૂક લક્ષમાં લેવાથી જ અંકે થઈ શકે. આ કોઈ સાંકડો પ્રાદેશિક અભિગમ નથી. મહારાષ્ટ્રમાં મરાઠીનું કે આંધ્રમાં તેલુગુનું સ્થાન પણ બિનમહારાષ્ટ્રી કે બિનઆંધ્રી માટે આ જ ધોરણે અપેક્ષિત છે. અપેક્ષિત જ કેમ, અનિવાર્ય પણ.

દૂર દેશથી આવીને ફાર્બસ અહીં ગુજરાતી ભાષાની સેવા કરી શકે, કોઈ એક રેવરંડ ટેલર આપણી ભાષાનું પહેલું વ્યાકરણ લખી શકે, મૂળે મરાઠીભાષી કાકા કાલેલકર સાર્થ જોડણીકોશમાં ખૂંપી શકે અને ગુજરાતનાં 2.29 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થાય? અક્ષમ્ય. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પૈકી માંડ 52 ટકા પાસ થાય ? અક્ષમ્ય, ત્રિવાર અક્ષમ્ય.

તો, આ પ્રશ્ન અંગ્રેજી વિ. હિંદી વિ. ગુજરાતી એવો નથી. આ પ્રશ્ન સર્વ દેશભાષાઓનો (અને અંગ્રેજી પણ લગભગ તે પૈકી જેવી છે, તેનો) છે. આ પ્રશ્ન સ્વરાજ અને સ્વભાષાનો છે. પ્રશ્ન લોકતંત્ર અને લોકભાષાનો છે. વાલ્મીકિ રામાયણમાં ઘણું કરીને રામ અને લક્ષ્મણની વાતચીતમાં એ મતલબનો ઉલ્લેખ છે કે આ (હનુમાન) કેટલું ચોખ્ખું (શુદ્ધ) બોલે છે. તે નક્કી કોઈક સંસ્કારી જણ હશે. બોર્ડનાં પરિણામો, ખાસ કરીને ગુજરાતી ભાષાના સંદર્ભમાં, આ ‘સંસ્કારેજણ’ને જગવતા આહ્વાન અને આવાહન રૂપ નથી એમ કોણ કહેશે?                                                       

સૌજન્ય : ‘ચિંતા’, “દિવ્ય ભાસ્કર”, 28 મે 2016

Loading

...102030...3,5603,5613,5623,563...3,5703,5803,590...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved