Opinion Magazine
Number of visits: 9768647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓમ ધરતી પરનું લૂણ હતો

નસીરુદ્દિન શાહ|Opinion - Opinion|18 January 2017

મારા પ્રિય મિત્ર ઓમ પુરીનું મૃત્યુ થયું એ સાંભળીને હું અવાક થઈ ગયો હતો. હું મુંબઈની બહાર શૂટિંગ કરતો હતો. ઓમ અને હું સમાંતર સિનેમામાં લગભગ એકસમાન કારકિર્દી ધરાવતા હતા. તેણે ઘણી સિદ્ધિઓ મેળવી હતી, પણ મારાં હૃદયમાં ક્યારે ય તેના પ્રત્યે ઇર્ષા કે દ્વેષની લાગણી જન્મી નહોતી. તેને ‘ઇસ્ટ ઇઝ ઇસ્ટ’ (વર્ષ ૧૯૯૯માં બનેલી બ્રિટિશ કૉમેડી-ડ્રામાફિલ્મ, જેના લેખક અયુબ ખાન-દિન હતા અને નિર્દેશક ડેમિયન ઓ’ડોનીલ હતા. તેમાં ઓમ પુરીએ પાકિસ્તાનમાંથી બ્રિટનમાં સ્થાયી થયેલા ઝાહીદ જ્યૉર્જ ખાનની ભૂમિકા ભજવી હતી.) જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ ભજવવાની તક મળી હતી. હું માનતો હતો કે આ તકો મને મળવાની જરૂર હતી, પણ તેનાથી મને કોઈ દુઃખ થયું નહોતું. હકીકતમાં મારા મિત્રને આવી ભૂમિકાઓ મળી હતી, એનો આનંદ વધારે થયો હતો.

મૂળિયા સાથે જોડાયેલો સાચો માણસ

તેને પશ્ચિમમાં સારી સફળતા મળી હતી, જ્યારે તે મને ટોમ હાન્ક્‌સ કે સ્ટીવન સ્પિલબર્ગ સાથે કામ કરવા અંગે જણાવતો હતો, ત્યારે મને આનંદથી ભરી દેતો. તે ધરતી પરનું લૂણ હતો. આનાથી વધુ સારા શબ્દો કોઈ ન હોઈ શકે તેના વ્યક્તિત્વ માટે. તે સરળ, નિરભિમાની હતો. એ ક્યારે ય એનાં મૂળિયાં ભૂલ્યો નહોતો. સાચો માણસ હતો. સફળતા કે નિષ્ફળતાથી તે બદલાયો નહોતો. તે દંભી નહોતો, અભિમાની નહોતો.

ચિર નિદ્રામાં મુક્તિ

પણ તેની અંગત સમસ્યાઓએ તેને માનસિક અને શારીરિક રીતે તોડી નાંખ્યો હતો. મેં તેના અંગત જીવનમાં ક્યારે ય હસ્તક્ષેપ કર્યો નહોતો. હું જાણતો હતો કે છેલ્લાં થોડાં વર્ષોથી ઓમ ખરેખર મુશ્કેલીમાં હતો અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ પણ નહોતો. તેનું મૃત્યુ અચાનક થયું હતું, પણ તે સંપૂર્ણપણે અનપેક્ષિત હતું, એવું હું ન કહી શકું. હકીકતમાં મૃત્યુની ચિર નિદ્રામાં તે તમામ ઉપાધિઓમાંથી મુક્ત થઈ ગયો છે અને તેમાં તેણે સ્વીકારેલી ખરાબ ફિલ્મો પણ સામેલ છે. મારું માનવું છે કે તેણે ખરાબ ફિલ્મો આર્થિક કારણોસર સ્વીકારી હતી. ઓમે તમામ ટીકાનો સામનો સાહસ અને નિખાલસતા સાથે કર્યો હતો.

અમારી વચ્ચે ગાળો દઈ શકાય તેવો ઘનિષ્ઠ સંબંધ હતો

હું તેની સાથેની ઘનિષ્ઠતા વિશે વાત કરું, તો મને તેની સાથે આનંદ ન મળ્યો હોય, તેવી એક પણ ઘટના યાદ આવતી નથી. અમે એકબીજાની ઘણાં નજીક હતા અને એકબીજાને ખુલ્લાં દિલે મળતા હતા. ઓમે મારી કેટલીક ફિલ્મોમાં કેમિયો પણ કર્યો હતો, જેમ કે સાંઈ પરાંજપેની ‘સ્પર્શ’માં એક દૃશ્યમાં અભિનય કર્યો હતો. મેં તેને પૂછ્યું હતું કે આટલી નાની ભૂમિકાઓ ભજવવામાં તને મૂંઝવણ થતી નથી, ત્યારે તેણે મને ગાળો દીધી હતી. તેણે મને કહ્યું હતું કે, ‘અરે યાર, હું તારા માટે આ કામ કરતો નથી. પણ ફિલ્મની પટકથા મને પસંદ હોવાથી કામ કરું છું.’ અર્થપૂર્ણ સિનેમામાં તેને અતૂટ વિશ્વાસ હતો.

નામમાં શું રાખ્યું છે!

તેના માટે કોઈ ભૂમિકા નાની કે મોટી નહોતી. તેણે મારી કેટલીક ફિલ્મોમાં સહકલાકારની ભૂમિકા ભજવી હતી અને ગોવિંદ નિહલાનીની ‘આઘાત’, ‘અર્ધસત્ય’ અને ‘દ્રોહકાલ’માં તેના સહકલાકારની ભૂમિકા ભજવી મેં તેનો બદલો વાળી દીધો હતો. ઓમ મુખ્ય કલાકાર હતો. ગોધૂલી મુખ્ય કલાકાર તરીકે મારી શરૂઆતની ફિલ્મોમાંની એક ફિલ્મ હતી. તેમાં ઓમે નાની ભૂમિકા ભજવી હતી. તે સમયે એ પોતાનું નામ અઝદાક પુરી જણાવતો હતો. તેનું કારણ હતું. જ્યારે ઓમે ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો, ત્યારે ઓમ શિવપુરી અને ઓમ પુરીમાં ગરબડ થઈ જતી હતી. ઓમ મૂંઝવણમાં હતો. તે ગંભીરતાપૂર્વક તેનું નામ બદલીને ‘વિલોમ પુરી’ કે ‘અઝદાક પુરી’રાખવા વિચારતો હતો. મેં તેને ઓમ પુરી નામ જાળવી રાખવા જણાવ્યું હતું. કહ્યું હતું કે ‘એક દિવસ ઓમ શિવપુરીને ભૂલથી ઓમ પુરી સમજવામાં આવશે.’ અને એવું થયું હતું.

પુરીનો અવાજ

ઓમને ભૂલથી અમરિશ પુરીનો ભાઈ પણ સમજવામાં આવતો હતો, કારણ કે તે બંનેનો દેખાવ એકસરખો હતો. ઓમની એક વિશેષતા અમરિશજીના પહાડી અવાજની નકલ કરવાની હતી. એકવાર તેણે મને અમરિશ પુરીના અવાજમાં ફોન કર્યો અને તેમના અવાજમાં વાતો કરી હતી. હું તેને અમરિશ પુરી જ સમજી બેઠો હતો. થોડા સમય પછી તેણે મને કહ્યું કે, ‘અરે ****, હું ઓમ છું.’

‘અર્ધસત્ય’માં એક દૃશ્ય છે, જેમાં તે દારૂ પીધેલી હાલતમાં ફોન પર સ્મિતા પાટિલ સાથે વાત કરે છે. આપણે ઘટનામાં ઓમને જોતા નથી. પણ તેનું પાત્ર કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે એ આપણને જાણવા મળે છે. પછી મેં ઓમને પૂછ્યું હતું કે તેણે દૃશ્ય ભજવતાં અગાઉ એક-બે પેગ માર્યા હતા? તેણે ઇનકાર કર્યો હતો.

ગોવિંદ નિહલાનીને મોટી ખોટ પડી

મારા કરતાં ગોવિંદ નિહલાની વધારે તૂટી ગયા હશે. ગોવિંદે જ ઓમની અંદર ધરબાયેલી પ્રતિભાને ઓળખી હતી અને આક્રોશ પછી તમામ ફિલ્મોમાં તેને બહાર કાઢી હતી. મને યાદ છે કે આક્રોશ પછી ઓમે કુંદન શાહની કૉમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’માં કૉમેડી કરવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે બધા કહેતા હતા કે ઓમ ખોટી દિશામાં પ્રયાસ કરી રહ્યો છે. પણ મેં જોયું હતું કે મોલીરીના નાટકમાં મંચ પર ઓમ કેટલો મજેદાર અને રમૂજી લાગતો હતો! મારું માનવું છે કે ‘જાને ભી દો યારો’માં ઓમે પેટ પકડીને હસાવ્યાં હતાં.

ઓમ હંમેશાં યાદ આવશે

આજે હું ઓમના નિખાલસ હાસ્ય અને ઉદાર ભાવનાને યાદ કરું છું. હું તેના અંતિમસંસ્કારમાં સામેલ ન થઈ શક્યો, તેનું મને દુઃખ છે. હું શહેરની બહાર શૂટિંગ કરતો હતો, પણ મારી પત્ની અને પુત્રો ત્યાં હતાં. ખેર, હું ઓમને હંમેશાં યાદ કરીશ!

(સૌજન્યઃ ડી.એન.એ., સુભાષ કે. ઝા સાથેની મુલાકાત)

[અનુવાદ : કેયૂર કોટક]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 11

Loading

આકાશવાણીની સંકેતધૂનના સર્જક : વૉલ્ટર કોફમૅન

અભિજિત વ્યાસ|Opinion - Opinion|18 January 2017

વર્ષો પૂર્વે એક ફિલ્મ ‘અનુભવ’ જોયેલી. એના દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યે ફિલ્મના એક દૃશ્યમાં પાર્શ્વસંગીતમાં આકાશવાણીની ‘સિગ્નેચર ટ્યૂન’ તરીકે ઓળખાતી સંકેતધૂન મૂકીને સવારનો નિર્દેશ કરતો સરસ ઉઠાવ આપેલો. આવી જ રીતે દિગ્દર્શક કેતન મહેતાએ પણ એમની ફિલ્મ ‘ભવની ભવાઈ’માં સવારના દૃશ્યમાં આકાશવાણીની સંકેતધૂનનો ઉપયોગ પાર્શ્વસંગીતમાં કર્યો છે. આ દિગ્દર્શકની સાથે-સાથે સંગીતકારની સૂઝનો ખ્યાલ પણ આપે છે.

આકાશવાણીની સવારની શરૂઆત વર્ષોથી હંમેશાં આ એક વિશિષ્ટ સંકેતધૂનથી થાય છે, જે હજી આજે પણ નિયમિત રીતે સવારના સાંભળવા મળે છે. હવે અલબત્ત ટેલિવિઝનના આગમન બાદ રેડિયો સેકન્ડક્લાસ સિટીઝન જેવો થઈ ગયો છે. પણ અમુક ઉંમરના લોકો આ ધૂનથી અત્યંત પરિચિત રહ્યા છે. એટલું જ નહીં, એ સાંભળતા સાંભળતા જ મોટા થયા છે એમ કહીએ તો પણ ચાલે. એક સમય એવો પણ હતો કે રવિવારના સવારે રેડિયો પરથી કોઈ એક હિન્દી ફિલ્મની સાઉન્ડટ્રેક સાંભળવા મળતી અને કેટલા ય લોકો તેને હોંશે હોંશે સાંભળતા. ટેલીવિઝનના આગમનથી બધી ફિલ્મો હવે જોવા મળવા લાગી તેથી રેડિયોનું મહત્ત્વ ઘટ્યું છે, તેમ છતાં ટેલીવિઝનની સરખામણીમાં રેડિયો ઉપર વધુ સારા કાર્યક્રમો આવે છે. અને એ રીતે હજી આજે પણ એક વર્ગ એવો છે જ, જે  રેડિયો બહુ નિયમિત સાંભળે છે. તેમાં પણ ખાસ શાસ્ત્રીયસંગીતના કાર્યક્રમો રેડિયો ઉપર સાંભળનારો વર્ગ આજે પણ ઘણો મોટો છે. પંડિત ભીમસેન જોશી એવું કહેતા કે રેડિયોએ જ કલાકારોને સમયની અવધિમાં રજૂઆત કરતા શીખવ્યું. રેડિયો ન હોત તો કલાકારોને સમયનું ભાન ન રહેત. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન એમ પણ કહેતાં કે રેડિયોને કારણે જ કેટલા ય કલાકારો શ્રોતાઓ સુધી પહોંચ્યા. રેડિયો ન હોત તો કેટલાક કલાકારોની કોઈ ઓળખ જ ન બની હોત. અને એટલે જ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનને જ્યારે આકાશવાણી પર વગાડવાનું આમંત્રણ મળતું ત્યારે અન્ય કાર્યક્રમોની સરખામણીમાં ઓછા પૈસા મળતા હોવા છતાં તેઓ રેડિયો પર વગાડવાની ના ન કહેતા.

રેડિયોને અને ખાસ કરીને આકાશવાણીને પ્રચલિત કરતાં અનેક પરિબળો છે. તેમાં ખાસ તેની એક વિશિષ્ટ ઓળખ બનાવવામાં તેની સંકેતધૂનનો પણ મહત્ત્વનો ફાળો છે. પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ધૂનના રચયિતા કોણ છે. અને આવું જ્યારે વિચારીએ, ત્યારે પહેલા કોઈ ભારતીયનું નામ જ હશે તેમ થાય. પણ ના, આ સંકેતધૂન(સિગ્નેચર ટ્યૂન)ના સ્વરકાર કોઈ ભારતીય નહીં, પણ વિદેશી છે. જર્મન છે. તે નામ વૉલ્ટર કોફમૅન [Walter Kaufmann] છે.

આપણા જાણીતા ફિલ્મસમીક્ષક અમૃત ગંગરે આકાશવાણીની આ સંકેતધૂન (સિગ્નેચર ટ્યૂન) સર્જક વોલ્ટર કોફમૅન ઉપર એક અત્યંત મહત્ત્વનું પુસ્તક ‘ધ મ્યુિઝક ધેટ સ્ટીલ રિંગ્સ એટ ડૉન, એવરી ડૉન’ (The Music that Still Rings at Dawn, Every Dawn) લખ્યું છે જેમાં વૉલ્ટર કોફમેને ૧૯૩૪ – ૧૯૪૬ દરમિયાન ભારતમાં ગાળેલા દિવસોની વિગતો વાંચવા મળે છે.

વૉલ્ટર કોફમૅન જર્મન યહૂદી હતા અને જર્મનીમાં સંગીતકાર તરીકે કાર્યરત હતા. પણ હિટલરના યહૂદી લોકો પરના અમાનુષી ત્રાસને કારણે કેટલા ય કલાકારો, બૃદ્ધિવંતો, વિજ્ઞાનીઓ જર્મની છોડીને ચાલ્યા ગયા. તેમ વૉલ્ટર કોફમેન પણ ૧૯૩૪માં જર્મની છોડીને ભારતમાં આવ્યા. કોફમૅન જ્યારે ભારત આવ્યા, ત્યારે બ્રિટિશરોનું રાજ્ય હતું. આપણે ત્યાં રેડિયોની શરૂઆત હજી થોડાં વર્ષ પહેલાં જ થઈ હતી. અને તેમના સંગીતના જ્ઞાનને ધ્યાનમાં રાખીને તેમને ઑલ ઇન્ડિયા રેડિયોના યુરોપિયન મ્યુિઝક ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. ભારતમાં તેઓ ૧૯૩૪થી ૧૯૪૬ સુધી રહ્યા. એ દરમિયાન એમણે સંગીતના ક્ષેત્રે અવર્ણનીય કાર્ય કર્યું.

એમનો જન્મ પહેલી એપ્રિલ, ૧૯૦૭માં કાર્લસબાદમાં થયેલો. હાલ કાર્લસબાદ કાર્લોવ વેરી તરીકે ઓળખાય છે અને ઝેકોસ્લોવેકિયામાં આવેલું છે. આ શહેરમાં સંગીતકારોનું આગમન થતું રહેતું અને સિમ્ફનીના અનેક કાર્યક્રમો યોજાતા. યુવાન કોફમૅન ઉપર આ બધાનો ખૂબ પ્રભાવ પડ્યો. પછીથી કોફમૅન કુટુંબે પ્રાગના બીલકોવામાં સ્થળાંતર કરેલું. વોલ્ટરનું સંગીતનું શિક્ષણ એના કાકા મોરિટઝની પાસે થયેલું. પહેલા વૉલ્ટરે વાયોલિન વાદનનો અભ્યાસ કર્યો. તેઓ વાયોલિન ખૂબ સારું વગાડતા. બાદમાં એમણે સંગીતના શાસ્ત્રનો અને સ્વરનિયોજનની રચનાનો અભ્યાસ કર્યો. ૧૯૨૬-૨૭માં બે વર્ષ માટે બર્લિનની સ્ટેટ એકૅડેમીમાં સંગીતનો અભ્યાસ કર્યો. સંગીતનો આગળનો અભ્યાસ વૉલ્ટરે પ્રાગની જર્મન યુનિવર્સિટીમાં કર્યો. જ્યાં એમણે એમનો ગ્રેજ્યુએશનનો થીસિસ ‘ઇન્સ્ટ્રુમેન્ટેશન ઑફ ગુસ્તાવ માહલર’ પર લખ્યો.

વીસ વર્ષની ઉંમરે વૉલ્ટર કોફમૅન એક ઓપેરાહાઉસના ચીફ કન્ડક્ટર બન્યા. એ સમયે તેઓ ચેકોસ્લોવેકિયા અને જર્મની એમ બન્ને જગ્યાએ સફળ રહ્યા. તે સમયે ઑરકેષ્ટ્રામાં બધા એમનાથી ઉમરમાં મોટા અને વાદનમાં સિનિયર કલાકારો હતા. પણ વોલ્ટરના કાર્યથી પ્રભાવિત થઈને જ્યારે એમણે ઑરકેષ્ટ્રા છોડી, ત્યારે બધાએ એમને વિદાઈની મિજબાની આપેલી, મ્યુિઝકોલૉજીમાં એમણે કરેલું સંશોધનનું પીએચ.ડી.નું કાર્ય પૂર્ણ કર્યા છતાં ડિગ્રી રાજકીય કારણોસર એમણે સ્વીકારી નહીં.

વૉલ્ટર કોફમૅનના એ દિવસોમાં એમણે રેડિયો ઉપર કાર્ય કરેલું અને પ્રાગ અને વિયેનાનાં રેડિયોસ્ટેશનો પરથી એણે કન્ડક્ટ અને કમ્પોઝ કરેલી સિમ્ફનીઓનું લાઇવ અને રેકોર્ડેડ પ્રસારણ થયેલું હતું અને એ બધાને બહુ પ્રશંસા પણ મળેલી હતી.

પણ એ પછીના સમયમાં જર્મનીમાં સંજોગો બદલાય છે. નાઝીસત્તા આવતા અને હિટલર ચાન્સેલર થતાં યહૂદીઓ માટે ત્યાં અત્યાચાર સહન કરવાનો આવે છે. જેમની પાસેથી વૉલ્ટર સંગીતના પહેલા પાઠ શીખેલા તે કાકા મેરિટ્‌ઝ હિટલરના કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં મૃત્યુ પામે છે. અન્ય અનેક યહૂદીઓને ગૅસચૅમ્બરમાં ગૂંગળાવીને મારી નાખવામાં આવે છે. આ બધા સંજોગોમાં જર્મનીમાં રહેવું હિતાવહ ન લાગતાં અનેક લોકો જર્મની અને હિટલરે યુરોપના જીતેલા ભાગમાંથી અન્ય સ્થળોએ સ્થળાંતર કરવા લાગ્યા. કલાકારોમાં વૉલ્ટેજ કોફમૅન પહેલા હતા, જેમણે ૧૯૩૪માં જર્મની છોડી દેવાનું નક્કી કર્યું.

એ સમયના વૉલ્ટર કોફમૅનનું મિત્રવર્તુળ વિશાળ હતું. એના સંપર્કો વિજ્ઞાન આલ્બર્ટ આઇન્સ્ટાઇન, પત્રકાર અને લેખક વીલી હાસ, સાહિત્યિક વિવેચક અને લેખક હેઇન્સ પુલીત્ઝર વગેરે અનેક લોકો સાથે હતા. ફ્રાન્ઝ કાફકાના કુટુંબ સાથે પણ વૉલ્ટરના સંબંધો હતા અને કાફકાના ભત્રીજી જોડે એમણે પહેલા લગ્ન કરેલાં હતાં. આ બધાને તથા અનેક મહત્ત્વની ઓફરોને છોડીને વૉલ્ટર કોફમૅન ૧૯૩૪માં ભારત આવે છે. ત્યારે તેઓ ફક્ત સતાવીસ વર્ષના છે.

વૉલ્ટર કોફમૅન ભારત આવવાનું અચાનક જ નક્કી કરે છે. તેઓ ભારત વિશે ખાસ જાણતા નહોતા. ભારતીય ફિલોસૉફી ઉપરનાં કેટલાંક પ્રવચનો એમણે યુનિવર્સિટીમાં સાંભળેલાં. એમાં એમને થોડો રસ પડેલો. તેમ ભારતીય સંગીતની કેટલીક રેકૉર્ડ એમણે સાંભળી હતી. પણ એમાં એમને ખાસ સમજ પડી નહોતી. પણ આટલા બધા લોકો આ સંગીત સાંભળે છે, ત્યારે જરૂર તેમાં કંઈક હશે તેમ તેમણે માનેલું.

ભારતમાં ત્યારે બ્રિટિશ સામ્રાજ્ય હતું. તેથી એમને અહીં સલામતી લાગેલી. આપણે ત્યાં પહેલાં સરકારી નહીં પણ ખાનગી રેડિયો હતું. પછીથી તે ઑલ ઇન્ડિયા રેડિયો થયું. મુંબઈમાં તે રેડિયોક્લબ તરીકે ઓળખાતું હતું. ૧૯૩૮માં જ્યારે કોલકાતાના ઑલ ઇન્ડિયા રેડિયોનું કેન્દ્ર સ્થાપિત થયું, ત્યારે કવિવર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે ‘આકાશવાણી’ એવી કવિતા રજૂ કરીને તેને ‘આકાશવાણી’ એવું નામ આપ્યું.

વૉલ્ટર કોફમૅન જ્યારે ભારત આવ્યા, ત્યારે એમના મનમાં એવું ન હતું કે હવે અહીં જ રહેવું. એ રીટર્ન ટિકિટ લઈને તેઓ આવેલા, પણ અહીં આવ્યા બાદ એમને ભારતીય સંગીતમાં એટલો બધો રસ પડ્યો કે તેના સંશોધનમાં તેઓ રસ લેવા લાગ્યા. અને આમ ભારતમાં રોકાઈ જવાનું બન્યું. મુંબઈમાં તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયા. રેડિયોમાં એક યુરોપિયન મ્યુિઝક ડિપાર્ટમેન્ટ હતું, તેના ડાયરેક્ટર તરીકે તેઓ નિયુક્ત થયા.

રેડિયોનું કાર્ય વૉલ્ટર કોફમૅન માટે નવું ન હતું. પ્રાગમાં પણ તેઓ રેડિયોમાં કામ કરી ચૂક્યા હતા અને ત્યાં એમની અનેક સ્વરરચનાઓની રજૂઆત એમણે કરી હતી. એ અનુભવ એમને અહીં કામ આવ્યો. તે સમયનું મુંબઈ અત્યંત બદલાઈ રહ્યું હતું. પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ની ૧૯૩૧માં રજૂઆત થઈ ગઈ હતી. મુંબઈના ફિલ્મજગતમાં અનેક પ્રકારના કસબીઓની જરૂરત હતી અને તેમાં સંગીતકારો અને વાદકોનો પણ સમાવેશ થતો હતો. તે સમયે બૉમ્બે ટૉકીઝ સાથે ફ્રાન્ઝ ઓસ્ટીન અને પૌલ ઝીલ જેવા જર્મનો સંકળાયેલા હતા. એટલે મુંબઈના ઍરિસ્ટોક્રેટ સમાજમાં રહેવું વૉલ્ટર કોફમૅન માટે સરળ હતું. એઓ ભારતીય અને ખાસ કરીને હિન્દી ફિલ્મો સાથે પણ સંકળાયા હતા.

આકાશવાણીની સિગ્નેચર ટ્યૂન તરીકે ઓળખાતી સંકેતધૂન આ સમયમાં જ સર્જાઈ. જો કે એની તારીખ અંગે મતમતાંતર છે. એક મત મુજબ એનું પ્રસારણ ૧૯૩૫થી થવું શરૂ થયું. આ ધૂન સ્વરબદ્ધ થઈ તેમાં ફક્ત બે જ વાજિંત્રોનો ઉપયોગ થયો છે. તે વાયોલિન અને તાનપૂરો. આ ધૂનમાં તાનપુરો ડી.એમિલીએ લગાડેલો છે. આમ આ સિગ્નેચર ટ્યૂનની રચના થઈ. અને એને આકાશવાણીના પ્રસારણના શરૂઆતમાં લગાડવાની પરંપરા શરૂ થઈ.

આ સિગનેચર ટ્યૂન, લો, ‘યૂટ્યૂબ’ના સૌજન્યે, અહીં સાંભળીએ:

https://www.youtube.com/watch?v=WuS-UiaKiVk

વૉલ્ટર કોફમૅને ભારતીય ફિલ્મોમાં પણ પ્રદાન આપેલું. એમણે સંગીતકાર નૌશાદની સાથે પણ સંગીતનિયોજનમાં સહયોગ કરેલો. કોફમૅનની સ્વરરચનાઓના એ સમયના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં નિયમિત પ્રસંશાત્મક અવલોકનો પ્રગટ થતાં રહેતાં.

કોફમૅને ભારતીય સંગીત ઉપર સંશોધન કરીને બે મહત્ત્વના ગ્રંથો પણ લખેલા હતા. અને અખિલ ભારતીય સંગીત કૉંગ્રેસના અધિવેશનમાં મુંબઈ યુનિવર્સિટીના કૉન્વોકેશન હૉલમાં ભારતીય સંગીતના દિગ્ગજ સંગીતકારો સમક્ષ ભારતીય સંગીત પર પ્રવચન પણ આપેલું. તેમનાં બધાં સ્વરનિયોજનો સચવાયાં છે અને અમેરિકાના યેલમાં આવેલી ઇન્ડિયાના યુનિવર્સિટીમાં તેમનું બધું પ્રદાન સાચવવામાં આવેલું છે. વૉલ્ટર કોફમેન વિશે એમ કહેવાય છે કે તે એક ભુલાઈ ગયેલા પ્રતિભા – ફરગોટન જિનિયસ છે.

આવા એક મહાન સંગીતજ્ઞની માહિતી અમૃત ગંગરના સચિત્ર પુસ્તક દ્વારા મળે છે. અમૃતભાઈએ વૉલ્ટર કોફમૅન પર સંશોધન કરીને આ પુસ્તક ન આપ્યું હોત, તો ભારતીય સંગીતના આ એક મહાન સંશોધકને વિશેની કેટલી ય માહિતીઓથી વાચકો અને શ્રોતાઓ અજાણ રહેત. આ પ્રકારનું સંશોધનાત્મક કાર્ય કરવા બદલ એઓ અભિનંદનના અધિકારી છે. આ પુસ્તકકાર્ય માટે તેઓ અમેરિકામાં આવેલી ઇન્ડિયાની યુનિવર્સિટીની મુલાકાતે પણ ગયેલા.

આમ તો આ પુસ્તક એમની સંચયત્રયીનો ત્રીજો મણકો છે. આ પૂર્વે એમણે બીજા બે જર્મન કલાકારોએ આપણે ત્યાં આપેલા પ્રદાન પર પણ અનુક્રમે – ફ્રાન્ઝ ઓસ્ટિન (૨૦૦૧) અને દસ્તાવેજી ફિલ્મ સર્જક પૌલ ઝીલ (૨૦૦૩) ઉપર પણ પુસ્તકો કર્યાં છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 18 જાન્યુઆરી 2017; પૃ. 12-13 

Loading

જુમલે સે જુમલે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 January 2017

વાઇબ્રન્ટ, વાઇબ્રન્ટના વેદધ્વનિ વચ્ચે નમો નેતૃત્વ હસ્તક વાસ્તવચિત્ર શું છે? નમો નેતૃત્વ એ વાતે જરૂર વેબવિહારી બની શકે કે વિશ્વબૅંકના તરોતાજા વરતારા મુજબ સાત ટકા કે તેથી વધુ રોબસ્ટ (શું કહીશું, હૃષ્ટપુષ્ટ) વૃદ્ધિદરને મોરચે પાછા પડવાનો સવાલ નથી. જો કે, ૨૦૧૦થી આજ લગીના ગાળામાં ચાલુ મહિનાઓમાં હાઉસિંગ હલચલ સર્વાધિક ઓછી હોવાના આ જ દિવસના હેવાલો જોતાં તેમ જ ઑટોમોબાઇલ્સ સેલ્સ છેલ્લાં સોળ વરસમાં આટલું ઓછું કદાપિ નહીં હોવાની વાસ્તવિકતા લક્ષમાં લેતાં સાત ટકાનો મામલો વિશ્વબૅંકને દૂર બેઠે જેટલો સહેલો લાગતો હશે, એટલો કદાચ નજીક બેઠા આપણને (માંહ્ય પડ્યા મહાદુઃખી સૌને) સદ્યગ્રાહ્ય ન પણ લાગે. મનમોહનસિંહ સરખા શીર્ષ અર્થશાસ્ત્રી અને શીર્ષ વહીવટકાર ઓછામાં ઓછા બે ટકા જેટલી ઘટ વૃદ્ધિદરમાં જોતા હોય ત્યારે વિચારવું રહે છે.

વિશ્વબૅંકનું તો જાણે કે સમજ્યા, પણ આપણું કોઈ એક દુર્દૈવ વાસ્તવ હોય તો એ ‘જૉબલેસ ગ્રોથ’નું છે. આ પ્રકારની વૃદ્ધિમાં કંઈક વિષમતા અનિવાર્યપણે રહેલી છે. એટલે વૃદ્ધિદર ઊંચો હોય ત્યારે પણ જો એ કામગીરીઓ ને રોજગારીઓના વિસ્તરણ વગરનો હોય તો એ શું કામનો. અને વૃદ્ધિદર ઊંચેથી નીચે જતાં હાલની અપૂરતી કામગીરીઓ અને રોજગારીઓમાં ઓર ઘટાડો થવાનો હોય તો ગયા કામથી! વિમુદ્રીકરણ એ કોઈ જાદુ કી લકડી અને ઇલમનો ખેલ એવું સાદું સમીકરણ નથી જ નથી.

અહીં ‘જાદુ કી લકડી’ અને ‘ઇલમનો ખેલ’ એ પ્રયોગ જાણીબૂજીને કર્યો છે. નેતૃત્વની જે તરાહ હવે ગુજરાત મોડેલથી દિલ્હી સંક્રાન્ત થઈ છે એમાં કશોક ચમત્કાર કરી નાખવાની કે છાકો પાડી દેવાની ઠીકઠીક વૈખરીછૂટી પરિપાટી રહેલી છે. સહસા પ્રગટ થઈ એ ‘હું મજામાં છું. દેશ મજામાં છે’ એવી ભૂરકી નાખી શકે તે હદની ઘીસ ખાવાની પ્રજા તરીકે આપણને ફાવટ પણ આવી ગઈ છે. વર્ચ્યુઅલ બૉલબેટે છક્કા ફટકારતા જણાય એવી પીચ કેળવવાનું તો કોઈ એમની કને શીખે!

છાકો પાડી દેવાની દૃષ્ટિએ નાટ્‌્યાત્મકતા, તદર્થતા (એડહોકિઝમ) અને બધાં સૂત્રો હસ્તગત કરવાની તેમ જ અવનવા સૂત્રે સંમોહન સરજવાની આ જે ફાવટ આવી ગઈ છે (પૂર્વે અહીં નોટબંધીના પ્રાસમાં નજરબંધી એ પ્રયોગ સાભિપ્રાય થયો જ છે.) એમાં વાસ્તવ ચક્ષુપ્રત્યક્ષ નહીં એવું ને એટલું ચિત્તપ્રત્યક્ષ રહેતું હોય છે. વાઇબ્રન્ટની વીરવાણી વચ્ચે પાંચસાત વરસમાં સૌને ઘર અને એંશી કરોડને કામ, આની કોઈ શક્યતા ખરી કે નહીં – અત્યાર સુધીનાં વચનો અને અમલનો વ્યસ્ત સમ્બન્ધ જોતાં એમાં ભરોસો મૂકવાને કોઈ કારણ ખરું – આ બધા સવાલો ચમત્કારી વચનો વચ્ચે ઢંકાઈદબાઈ જાય છે.

એક નાનકડો પણ રાઈદાણો અને વાત પૂરી. વિમુદ્રીકરણના શરૂઆતના દિવસોમાં (વડાપ્રધાને પોતે સીધી જાહેરાત કર્યા છતાં) એક એવી છાપ આપવામાં આવી હતી કે આ તો રિઝર્વ બૅંકની સલાહ પ્રમાણે લેવાયેલું પગલું છે. (ભલે રઘુરામ રાજનને જવાના સંજોગો સરજવામાં આવ્યા હોય, રિઝર્વ બૅંક ‘સ્વાયત્ત’ છે.) હવે પાર્લમેન્ટરી સમિતિ સમક્ષ રિઝર્વ બૅંકે અધિકૃત નોંધમાં જણાવ્યું છે કે આગલે દિવસે (સાતમી નવેમ્બરે) સરકારે અમને કહ્યું હતું કે નકલી નોટોને નાથવા સારુ વિમુદ્રીકરણ કરવા ઇચ્છીએ છીએ. અમે બૉર્ડ મીટિંગમાં વળતે દહાડે સંમતિ આપી હતી. સરકારની આરંભિક મુદ્રા સામે રિઝર્વ બૅંકની આ રજૂઆત શું સૂચવે છે? કદાચ, એક એક ખાતામાં પંદર લાખ રૂપિયા (કાળું ધન કબજે કરી) પહોંચાડવાનો ચૂંટણીઝુંબેશ વખતનો ‘જુમલો’ અનિવાર્ય હતું તેમ ભોંઠો પડ્યા પછી ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોની ચૂંટણી પૂર્વે વળી કોઈ ચમત્કૃિતની ચળ ઊપડી હશે, એમ જ ને.

એટલે વિમુદ્રીકરણ ચર્ચીએ. જરૂર ચર્ચીએ. ભ્રષ્ટાચારને મોરચે પ્રતિકાર વાસ્તે જાગૃત અને ઉદ્યત રહીએ. જરૂર રહીએ. પણ નેતૃત્વની તરાહ અને તાસીર બાબત ઘેનગાફેલ ન રહીએ એ કદાચ વધુ મહત્ત્વનો મુદ્દો બની રહે છે.

જાન્યુઆરી ૧૧, ૨૦૧૭         

તા.ક. : ચલણબહાર કહેતાં આ વિ-ચલનનો ખેલ દેખીતો છે. પણ એની પૂંઠે રહેલું રાજકારણ સૂંઘતા સમજાવું એ જોઈએ કે વસ્તુતઃ નેતૃત્વે પોતાના પ્ર-ચલન અને પુનઃ પુનઃ સ્થાપન વાસ્તે નાખેલો આ ખેલ સવિશેષ તો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 01-02

Loading

...102030...3,5373,5383,5393,540...3,5503,5603,570...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved