Opinion Magazine
Number of visits: 9552637
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આપાત્કાલ કો યાદ રખના ચાહિયે’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 July 2016

૨૬મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં ઠીક સંભાર્યું કે ‘આજ કે હી દિન આપાત્કાલ લાગુ કર દેશ કો જેલખાના બના દિયા ગયા થા.’ આમ સંભારવું અલબત્ત સાચું અને સમયસરનું હતું, અને એમાં કૉંગ્રેસ પરનો પ્રહાર ને કટાક્ષ પણ સાફ હતા. ખરું જોતાં એ કૉંગ્રેસની પોતાની જ કમાણી હતી અને છે. પણ પછી નમો એમના કાર્યક્રમોની ટીકા (અને મજાક) કરનારાઓ ભણી વળ્યા : ‘યહ ઇસ લિયે મુમકિન હૈ ક્યોં કિ હમ લોકતંત્ર મેં રહ રહે હૈ.’ અને ઉમેર્યું : ‘ઐસા કરનેવાલોં કો આપાત્કાલ યાદ રખના ચાહિયે.’

મુદ્દે, આગલે દહાડે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું ટિ્વટ ગામ આખામાં વાયકની પેઠે ફરી વળ્યું હતું કે ‘ઇમરજન્સી ઇન દિલ્હી … એરેસ્ટિંગ, ટેરરાઇઝિંગ, ફાઇલિંગ ફૉલ્સ કેસીઝ -’ આપ ધારાસભ્ય મોહનિયાને પોલીસ ચાલુ પ્રેસકૉન્ફરન્સે ઊંચકી ગઈ તેની આ પ્રતિક્રિયા હતી. અહીં કેસની ચર્ચામાં જવાનો ખયાલ નથી. માત્ર, ડારો બેસાડવાની ને છાકો પાડી દેવાની પોલીસ પેરવીના રાજકારણનો સંકેત કરવા ધાર્યો છે.

આ રાજકારણ કેવું છે એનો તાજો સંકેત ગુજરાતના જાહેર જીવનમાં ભાજપ અને એકંદર સંઘ પરિવારના સૅંક્શન સાથે જે રીતે વણઝારાની વીર પ્રતિષ્ઠાનો ઉધામો મળ્યો છે તે પરથી સમજાઈ રહેવું જોઈએ. સેવાનિવૃતિ (વસ્તુતઃ સેવામુક્ત હોવા જોઈતા) પોલીસ અધિકારી વણઝારા હજી પણ ગાંધીનગરમાં સી.બી.આઈ. સમક્ષ રોજ્જે હાજરી પુરાવવા બંધાયેલા છે. જો કે, એ બેધડક કહે છે કે અમે છ અધિકારીઓ છૂટ્યા (એટલે કે જામીન પર છૂટ્યા) તે દર્શાવે છે કે અમે સાચા હતા. ગમે તેમ પણ, સંઘ શિબિરમાં પછી બૌદ્ધિક વિશેષોપસ્થિતિ સહિત પ્રાયોજિત કાર્યક્રમોમાં એમને અંગે ઉછામણી, પધરામણી, પહેરામણીનો એક દોર ચાલ્યો છે. હજી હમણેનો આવો એક કાર્યક્રમ અમરેલીનો સંભળાયો હતો જેના આયોજક અભિનવ ભારત રાષ્ટ્રવાદી હિંદુ સંગઠનના અનિલ કોરડિયાએ ગૌરવભેર કહ્યું છે કે અમે ગાંધીવાદી નથી પણ ગોડસેવાદી છીએ. હશે ભાઈ, છાણના દેવ અને કપાસિયાની આંખો, બીજું શું.

પ્રશ્ન ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનો નથી. એ તો ટીકાપાત્ર જ નહીં પ્રતિકારપાત્ર પણ હતી. અને આ નાચીજ સહિતના અનેકે ત્યારે તેમ કર્યું પણ હતું. પણ જેઓ કટોકટીવાદના વિકલ્પરૂપે પોતાનો દાવો ‘પાર્ટી ઑફ ગવર્નન્સ’ની હદે આગળ કરે છે એમને હસ્તક દેશમાં બની રહેલ માહોલ સ્વાભાવિક અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને નાગરિક મોકળાશનો નથી. અમદાવાદમાં ભા.જ.પ. પ્રેરિત લોકતંત્ર સેનાની સંઘના કાર્યક્રમમાં પૂર્વમિસાબંદી રાજ્યપાલ કોહલીએ કહ્યું હતું કે યુવા પેઢીએ કટોકટીકાળ જોયો નથી એટલે એમને એનો ખ્યાલ આપવો જોઈએ. (વાત સાચી, પણ કોઈકે તો કહેવું સંભારવું જોઈએ ને કે આ જ રાજ્યપાલ હસ્તક મહેંદી નવાજ જંગ હૉલ કેન્દ્ર કે રાજ્ય સરકારની ટીકા નહીં કરવાની શરતે જ અપાય એવુંયે વિચારાઈ શકે છે.) શહેર ભા.જ.પ.ના  કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને અનુરોધ કર્યો હતો કે કટોકટીનો કૉંગ્રેસનો કલંકિત ઇતિહાસ જન જન સુધી લઈ જવો એ રાષ્ટ્રધર્મ છે. રાષ્ટ્રધર્મ, અલબત્ત, ચોક્કસ પ્રજાતિ તાબેનો ઇલાકો છે, એ વિશે આ જમાવડાને શંકા ન હોય એ દેખીતું છે. અખબારી હેવાલ પ્રમાણે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ કટોકટીકાળમાં ભા.જ.પ.ના નેતાઓએ લોકશાહી બચાવવા કરેલા પ્રયાસોથી કાર્યકરોને અવગત કર્યા હતા. કેમ કે આ બધા પ્રયાસો ભા.જ.પ.ના નેતાઓએ કર્યા હતા, એમાં જયપ્રકાશ અને મોરારજીનો પાટલો જો ‘વગેરેમાં’ પડ્યો હોય તો નવાઈ નહીં! જેણે કટોકટીકાળ નથી જોયો તે યુવાપેઢીને ઇતિહાસની ખબર આવી પક્ષીય રીતે તો નહીં આપી શકાય.

અઘોષિત કટોકટીની રીતે ખાસું કહી શકાય. ૧૯૭૭માં કટોકટી ઊઠી ગયા પછી જનતા સરકાર હસ્તક પણ નાગરિક સ્વાધીનતાના સવાલો નથી ઊઠ્યા એમ નથી. ત્યારે પણ વિરોધ કરવાનું બનેલું છે. કૉંગ્રેસના પુનરાગમન પછી આ વિરોધમુદ્દાઓ રહ્યા અને વકર્યા છે. એન.ડી.એ.-૧ (વાજપેયી) અને એન.ડી.એ.-૨ (મોદી) વખતે પણ કહેવાનુું બનતું રહ્યું છે. જે માનસિકતા સત્તા-પ્રતિષ્ઠાનની રીતે હમણાંના ગાળામાં પ્રગટ થતી રહી છે એને વિશે ઍવોર્ડ વાપસીના ઐતિહાસિક સિલસિલા પછી નવેસરથી કહેવાની જરૂર ન હોવી જોઈએ. જેમ ‘સરકારની ટીકા નહીં’ની શરતે હૉલ આપવા જેવી જોગવાઈની હમણાં જિકર કરી તેમ એક બીજો સાદો દાખલો પણ આવું સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોગ્નિઝેબલ ગુનામાં ફરિયાદ અચૂક નોંધવી એ પોલીસની ફરજ છે. પણ આજે વાસ્તવિકતા એ છે કે પોલીસ ફરિયાદ નોંધે એવી ફરજ પાડવા માટે હાઇકોર્ટ સમક્ષ અરજી કરવી પડે છે.

‘અધોગતિ કટોકટી’ તરેહની ફરિયાદ જો કૉંગ્રેસકાળમાં હતી તો આજે પણ અપ્રસ્તુત નથી. ઇશાન ભારત અને ડિસ્ટર્બ્ડ એરિયા ઍક્ટ વિશે શું કહીશું? આફસ્પા વિશે શું કહીશું? એ જ રીતે કટોકટી (ઇમરજન્સી) ગઈ, પણ કટોકટી (ક્રાઇસિસ) ચાલુ છે એ વિશે શું કહીશું? ખાસ કરીને આર્થિક-સામાજિક ન્યાયના સંદર્ભમાં જર્મનીમાં હિટલરના વારાની એક સિતમ છાવણીની મુલાકાલ લેવાનું બન્યું ત્યારે અમને એ મુલાકાતે લઈ ગયેલા યજમાનમિત્રે જે કહેલું તે હું કદાપિ ભૂલી શકતો નથી. અગાઉ પણ ટાંક્યું છે અને વારેવારે ટાંકતો રહીશ. “એક જર્મન તરીકે મારે માટે અહીં આવવું એ કોઈ સુખદ અનુભવ નથી. પણ એક પ્રજા તરીકે અમે ક્યારેેેેેેેક કેવા ભુરાયા થયા હતા અને ન કરવાનું કરી બેઠા હતા તે યાદ રહે એટલા સારુ (જેથી કરીને એવું ફરી ન થાય તે સારુ) હું, અહીં આવવું પસંદ કરું છું.” જેમ લાદનાર મંડળી(અને એમાંથી છૂટી નહીં શકેલી જમાત)ને નાતે કૉંગ્રેસે તેમ એના પ્રતિકારનો જશ લેતા ભા.જ.પે. પોતપોતાને છેડેથી આ યાદ રાખવા જેવું છે. આપણે જેની ટીકાએ કરીને તરી ગયા એના જેવું તો નથી કરતાને!

લાલકૃષ્ણ અડવાણીએ વરસેક પર એક અખબારી મુલાકાતમાં માર્કાની વાત કહી હતી કે આપણે બંધારણીય તોડમરોડમાં તો દોષદુરસ્તી જરૂર કરી છે. પણ તેથી કટોકટી ફરી નહીં જ આવે એમ હું કહી શકતો નથી. વડાપ્રધાનપદની રેસમાં જે બન્યું એને કારણે હોઈ શકતી વ્યક્તિગત ફરિયાદના ટકા બાદ કરીને તો પણ એક પીઢ રાજકારણી તરીકેની એમની આ વાતમાં હોઈ શકતું વજૂદ ગ્રાહ્ય રાખીને ચાલવું જોઈએ.

ગમે તેમ પણ, નમો સાથે આપણે જરૂર સંમત થઈશું કે ‘આપાત્કાલ કો યાદ રખના ચાહિયે.’

જૂન ૨૭, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 01-02

Loading

અસલિયત ખુલ્લી પડ્યાની અકળામણ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|2 July 2016

જાહેરાત સમાજમાં ભાગલા પાડનારી છે કે જે ભાગલા છે એ પ્રગટ કરનારી છે, એ કેમ વિચારી શકતા નથી?

ના સાહેબો, ના. વાત પતી ગઈ છે. અગર પતવામાં છે એમ કૃપા કરી માનશો મા. મારો ઈશારો અલબત્ત સેન્ટ ઝેવિયર્સ કૉલેજ પરિસર(અમદાવાદ)થી સંચાલિત ‘હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટર’ – એચ.ડી.આર.સી.એ થોડાક વખત પર પોતાના નોટિસ બોર્ડ પર મૂકેલી જાહેરાત તરફ છે. કમનસીબે, આ જાહેરાત અને એકંદર પ્રકરણને જેવું, રિપીટ જેવું અને જેટલું, રિપીટ, જેટલું ધ્યાન અપાવું જોઈએ એવું અને એટલું અપાયું જણાતું નથી. ચર્ચવાનો મુદ્દો ચકચાર અને વિચારવાનો મુદ્દો તનાવ તેમ જ તોડફોડમાં દબાઈ કે ઢંકાઈ ગયો છે. 

રહો, પહેલાં એચ.ડી.આર.સી. વિશે અને એની જાહેરાત બાબત થોડી વાત કરી લઈએ. સેન્ટ ઝેવિયર્સ સર્વિસ સોસાયટીની પરંપરામાં ‘હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટર’ની સ્વયંસેવી સમાજસેવી કારકિર્દી અને કામગીરી રહી છે. 2001ની આસમાની (ધરતીકંપ) હોય કે 2002ની સુલતાની, અસરગ્રસ્તોને સહાયરૂપ થવામાં ને બેઠા કરવામાં ગુજરાતે એમની તત્પરતા જોઈ જ છે. જંગલના અધિકારો, બાળમજૂરી જેવા સવાલોમાં પણ એ સક્રિય છે. સ્થાપિત પક્ષો અને સ્થાપિત હિતોને એને અંગે અકળામણ છે કે ફરિયાદ હોઈ શકે એવું બને, કેમ કે એસ્ટાબ્લિશમેન્ટ માત્રને પોતાની જવાબદારી બાબતે પૂછનારાઓ બધો વખત સોરવાતા નથી.

હશે. તાજેતરમાં આ સેન્ટરે એક જાહેરાત પોતાની નોટિસ બોર્ડ પર એવી મૂકી હતી જે કોઈને કદાચ ‘નિર્દોષ’ અને ‘નિર્દેશ’ ન પણ લાગે. કંઈ નહીં તો પણ એ જાહેરાત જાણે ‘જોણું’ છે એવું તો ઘણાબધાને લાગે – અને કેટલાક એમાં પોતાને અંગે ‘નીચાજોણું’ પણ વાંચવા ઈચ્છે. જાહેરાત હતી ટોઇલેટસફાઈ માટે માણસોની. પણ એમાં એક જોગવાઈ એવી દર્શાવી હતી કે કથિત ઉચ્ચ વરણને – બ્રાહ્મણ, પટેલ, જૈનને – તેમ જ સૈયદ અને પઠાણ તથા સિરિયન ક્રિશ્ચન અને પારસી ઉમેદવારોને અગ્રતા અપાશે.

આ જાહેરાતને મહિનોમાસ કે થોડો વધુ વખત થયો હશે અને સંસ્થા પર રાજપૂત શૌર્ય ફાઉન્ડેશન, યુવા શક્તિ સંગઠન, સુન્ની અવામી ફોરમ વગેરે તરફથી એકદમ જ ધોંસ આવી. યુવા શક્તિ સંગઠન જરી વધુ જ તાનમાં હશે. એણે કહ્યું કે અમારું આંદોલન શાંતિપૂર્ણ કે ગાંધીવાદી નહીં હોય. (થૅંક ગૉડ, વીર વણઝારાના અમરેલી ઓવારણાના એક આયોજકની જેમ એમણે એમ ન કહ્યું કે અમે ગોડસેવાદી છીએ.)

બ્રહ્મસમાજ અલબત્ત પાછળ ન જ હોય. એના વકીલ નેતાના શબ્દોમાં આ પ્રકારની જાહેરાત નાતજાતધરમકોમ આદિના ધોરણે શત્રુવટ પ્રેરનારી અને સમાજને વહેંચનારી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સમક્ષ એકંદર સેન્ટરના સંચાલક પ્રસાદ ચાકો સામે આ સંદર્ભમાં આઇ.પી.સી. 153એ અન્વયે ફરિયાદ નોંધાયાના પણ હેવાલો છે. નાનાવિધ વિરોધી સંસ્થાઓમાં એન.એસ.યુ.આઇ.એ દાખવેલ રણરંગ ઉર્ફે તોડફોડની જિકર પણ અહીં લાજિમ છે. યથા પ્રસંગ જે સૂત્રો આ ગાળામાં પોકારાતાં રહ્યાં એમાંના એક પ્રમાણે ‘આ જાહેરાત અમને નીચા પાડવા કે હલકા ચીતરવા માટે છે’, એવો સૂર નીકળતો હતો.

એક મહિનાથી વધુ સમય વીતી ગયા પછી, આ બધા જે સહસા પડમાં પધાર્યા એમાં એક વિલક્ષણ પત્રબાણ, દેશના બહુમતી મુસ્લિમો(બરેલવી સુન્નીઓ)ના પ્રતિનિધિત્વનો દાવો કરતી રઝા એકેડમીનું હતું. એકેડમીએ દેશમાં રાહત અને સેવાનાં કામોમાાં ઠીક ઠીક હાથ બટાવ્યો ગણાય છે. પણ એના મંત્રીએ સેન્ટર પર આ જાહેરાત જોગ પત્રમાં લખ્યું કે તમે ‘સચ એન ઇન્સલ્ટિંગ જૉબ’ વાસ્તે સૈયદોનું નામ લીધું એ બરદાસ્ત કરી શકાય નહીં, કેમ કે સૈયદો તો પયગંબરસાહેબના સીધા વંશ જ છે અને આવા ગંદા કામમાં એમને જોતરાવા કહ્યું તે તૌહીન છે.

વાચક જોશે કે આ જાહેરાતથી અમને નીચા પાડ્યા કે અમારું અપમાન કર્યું એવી લાગણી રાજપૂત શૌર્ય ફાઉન્ડેશન, યુવા શક્તિ સંગઠન, બ્રહ્મસમાજ, સુન્ની અવામી ફોરમ, રઝા એકેડમી એ સૌની ઓછી વત્તી એક સરખી છે. બ્રહ્મસમાજે જો કે એટલું જરૂર કહ્યું છે કે અમે એસ.સી.-એસ.ટી. અને બીજાઓના વિરોધી નથી, પણ આ જાહેરાતનો હેતુ સમાજમાં ભાગલા પાડવાનો છે.

ભાઈ, હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટરે આપેલી જાહેરાતથી કોઈને અકળામણથી માંડી ઉશ્કેરણી જેવું અનુભવાતું હોય તો પણ અને આવી જાહેરાત આપવી તે સલાહભર્યું છે કે નહીં એવો સવાલ ઊઠતો હોય તો પણ એને અંગે બે રીતે વિચારવાપણું અને જાત જોડે જવાબ માગવાપણું તો રહે જ છે. આ જાહેરાત સમાજમાં ભાગલા પાડનારી છે કે જે ભાગલા છે એને પ્રગટ કરનારી છે, એ આપણે કેમ વિચારી શકતા નથી. જો જનરલ કેટેગરી માટે મળમૂત્રસફાઈ સેવા અરજી માટે ખુલ્લી મૂકાતી હોય તો ભેદભાવ તો નૉન-જનરલ કેટેગરી એટલે કે પરંપરાગત રીતે આ કામ કરનારાને થાય છે.

તો, અવાજ તો એમણે ઉઠાવવો જોઈતો હતો. બલકે, ભલે પછીથી એ પુસ્તકની પાંચ હજાર નકલો ચલણમાંથી ચૂપચાપ પાછી ખેંચી લેવાઈ હો, પણ ગુજરાતમાં શીર્ષ સત્તાસ્થાનેથી સફાઈ સેવામાં રત પરંપરાગત વાલ્મીકિ સમુદાયને અધ્યાત્મનું પ્રમાણપત્ર અપાયું હતું, એ હકીકત છે. તો, એચ.ડી.આર.સી.ની જાહેરાતમાં જનરલ કેટેગરીને અગ્રતા અપાયાથી તોડફોડ સહિતની વિરોધલાગણી તો નાતજાતગત પરંપરાગત સફાઈ કામદારો તરફથી પ્રગટ થ‌વી જોઈતી હતી.

ગમે તેમ પણ, આ જાહેરાત બાબત માફી માગો કે ન માગો, પોલીસ સમતા અને બંધુતાને ધોરણે કારવાઈ કરો કે ન કરો, દેખીતી શાંતિ સ્થપાયા પછી પણ ઘીના ઠામમાં ઘી પડ્યાનો રાહત ઓડકાર ન તો શક્ય છે, ન તો ઈષ્ટ છે. જેઓ અકળાયા ને ઉશ્કેરાયા, શાંતિમય નહીં એવા વિરોધરસ્તે વળ્યા, એ સૌ કથિત ઉપલી વરણના છે અને એક સમાજ તરીકે આપણો ભેદભાવભર્યો વાંસો દેખાઈ ગયો, એથી બહાર આવ્યા છે. એન.એસ.યુ.આઇ.ને પણ આ જાહેરાત સામે મેદાનમાં ઊતરવાની ચળ ઊપડી તે દર્શાવે છે કે તેઓ જે રાજકીય પક્ષ જોડે સંકળાયેલા છે એમાં બંધુત્વ અને નાગરિકતાનો સંસ્કાર કેટલો ઓછો છે.

વસ્તુત: ગુજરાતે વીસમી સદીની છેલ્લી વીસી બેસતે જે અનામતવિરોધી ઉત્પાત જોયો એમાં બંને મુખ્ય પક્ષોના બીજીત્રીજી હરોળના કાર્યકરો સક્રિય હતા એ વરવું વાસ્તવ છે. રાજ્યનાં ટ્રેડ યુનિયનો પણ સહકામદાર તરીકેની ભાવના ચૂકીને નાતજાતગત વહેંચાઈ ગયાં હતાં. ખરો મુદ્દો તો આ અને આ જ છે. પટેલ અનામત આંદોલનને આ ઘટનાક્રમ સંદર્ભે શી રીતે જોશું, વારુ. કાં તો અમને પણ અનામત આપો કે પછી અનામત નાબૂદ કરો, એવું એક તબક્કે જોરશોરથી કહેવાયું હતું. ભાઈ, બંધારણના ઘડવૈયાઓએ જે કારણે અનામતી જોગવાઈ વિચારી હતી એનું લૉજિક અને આપણું સામાજિક વાસ્તવ તો તપાસો.

એચ.ડી.આર.સી.ની ઉક્ત જાહેરાત સામે જેઓ બહાર આવ્યા એમણે સામાજિક અસલિયતને ફરી એક વાર ઉજાગર કરી આપી છે. એનો જવાબ પટેલ અગર જાટ કે એવી તેવી અનામતોની માંગણીમાં નથી. સમાજસુધારણામાં અને ‘જૉબલેસ ગ્રોથ’ ન થાય એવી આર્થિક વ્યવસ્થામાં એનો જવાબ હોય તો હોય. તમારાં શૌર્યશક્તિ ફોરમોએ ફતેહ કરવાનો કિલ્લો તો સમાજસુધારાનો અને અર્થનીતિસુધારણાનો છે. જરી ધોરણસર લડી તો જાણો, મારા ભૈ.

અરે, માથે મેલું ઉપાડવાની નાબૂદી ગાંધી શતાબ્દીએ ન થઈ અને આંબેડકર એકસો પચીસીમી ય આ ઊઘલી! રાજકીય-શાસકીય સંકલ્પશક્તિને થોડોક પ્રજાસૂય આંચકો આપી જાણો તો તમને શૂરા બકું.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘વિચારવાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 02 જુલાઈ 2016

Loading

હું તો ક્યારનો તેના પ્રેમમાં હતો…….

પ્રશાન્ત દયાળ|Gandhiana|1 July 2016

1990ના દસકમાં જ્યારે હું પત્રકાત્વમાં પ્રવેશ્યો, ત્યારના દિવસો યાદ કરતા મને કેટલાક મિત્રો આજે પણ કહે છે અમને તે દિવસનો પ્રશાંત બરાબર યાદ છે. ખાદીનાં કપડાં, એક થેલો અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ પહેરી રિપોર્ટીંગમાં નીકળતો હતો .. પણ પછી મેં ખાદી ક્યારે છોડી તેને યાદ કરું છું ત્યારે મને તે દિવસો બરાબર યાદ આવે છે. ગાંધી સાથે મને લગાવ ક્યારે થયો તેની મને આજે પણ ખબર નથી. મે ગાંધીને ખાસ વાંચ્યા પણ નથી, છતાં કયા કારણસર હું ગાંધીના પ્રેમમાં પડયો, તે ચોક્કસ રીતે કહી શકું તેમ નથી. આમ પણ પ્રેમને કોઈ કારણ હોતું નથી; છતાં તમે જેને પ્રેમ કરો તેની બધી જ વસ્તુઓ તમને ગમવા લાગે તેમ ગાંધીને ખાદી ગમતી એટલે હું તે પહેરવા લાગ્યો હતો.

પત્રકારત્વમાં રહ્યા પછી મને સતત એવું લાગતું કે ગાંધીનું પત્રકારત્વ અને અને હું જે પત્રકારત્વ કરી રહ્યો છું, તેમાં મોટું અંતર છે. વાસ્તવિકતા એવી પણ હતી કે ગાંધીજીના પત્રકારત્વ અને આજના પત્રકારત્વનો મેળ પડી શકે તેમ નહોતો, કારણ જ્યારે હું પત્રકાર થયો ત્યારે જે પત્રકારત્વને માલિકો અને પત્રકારોના મિશન સમજતા હતા, તે યુગનો અંત આવવાની તૈયારી હતી. હવે સમાચાર વંચિતો-શોષિતો માટે નહીં, પણ કોલમ સેન્ટી-મિટરના ભાવના આધારે નક્કી થવાના હતા. હું એક સામાન્ય માણસ, મને ખબર હતી કે હું કઈ તેમાં મોટો ફેરફાર કરી શકવાનો નહોતો, છતાં આતંરિક સંઘર્ષ બહુ થયો. નેતાઓ અને તંત્રીઓની સાથે ઝઘડતો રહ્યો. હવે શું થઈ શકે તેવો એક પ્રશ્ન ઊભો થયો.

સૌથી પહેલાં મેં નક્કી કર્યુ કે હું જાતને છેતરીશ નહીં, હું ખાદી પહેરું અને મારા વ્યવહાર અને કામમાં ગાંધી ના હોય, તો તેવી ખાદી પહેરવાનો કોઈ અર્થ નહોતો. હું ખાદી પહેરું અથવા ના પહેરું તેનાથી મારી ગાંધી તરફની શ્રદ્ધા-પ્રેમમાં કોઈ ઘટાડો થવાનો નહોતો. પણ મને ખબર હતી કે હવે વ્યવસાયનાં નામે મારે જે વ્યવહાર અને કામ કરવાનું છે, તેમાં એક ખાદીધારી વ્યકિત પાસે જે અપેક્ષા ના હોય તેવું બધું જ થશે. ગાંધીને મેં કરેલો પ્રેમ એક અત્યંત વ્યકિતગત બાબત હતી. કોઈ પણ માણસ પોતાના ઈશ્વરમાં શ્રદ્ધા રાખે એટલી જ. મને ગાંધી ગમે છે તેવું મારે કોઈને કહેવાની જરૂર નહોતી; અને મેં ખાદીનો ત્યાગ કર્યો.

સમય બદલાયો … વ્યવહાર પણ બદલાયો .. પોલિટીક્સ અને ક્રાઈમ રિપોર્ટીંગ કરતાં દેખાવ અને વ્યવહારમાં પણ હું તેમના જેવો જ રૂક્ષ થવા લાગ્યો … છતાં મારી અંદરના ગાંધીએ મારામાં રહેલા માણસ અને પત્રકારને મરવા દીધો નહીં, તેવું આજે ચોક્કસ કહી શકું. પત્રકારત્વના અઢી દાયકાઓમાં અનેક ઉથલપાથલો થઈ, દેખાવ બદલાયો હોવા છતાં હું મારી અંદરના માંહ્યલાને ખાસ બદલી શકયો નહીં. ક્યારેક સમાધાનો પણ કર્યાં, છતાં પોતાની જાત સાથે અને બીજા માટે તો લડતો રહ્યો, … ત્યાં સુધી લડ્યો કે નોકરી ગુમાવી, કિંમત ચુકવી.

પચાસ વટાવી ગયા પછી કોઈને કામ જોઈએ છે, તેવું કહેવા માટે પહેલાં પોતાનાં ફેફસાંમાં શ્વાસ ભરી લેવો પડે. હૃદયના વધી રહેલા ધબકારાને નિયંત્રણમાં લાવવા પડે; પણ કદાચ હવે હૃદય અને ફેફસાં બે વર્ષથી ટેવાઈ ગયાં છે તેવું લાગે છે ..

હમણાં બી.બી.સી. હિન્દી માટે તો કામ કરું છું, પણ કામનો સરવાળો રૂપિયામાં મહિનાના હિસાબ સાથે મેળ ખાતો નથી. વિવેક દેસાઈ મારો જૂનો મિત્ર પત્રકાર થયો તે પહેલાંનો. પછી અમે “દિવ્ય ભાસ્કર”માં સાથે નોકરી પણ કરી. તેની પત્ની શિલ્પા મારી સાથે સ્કૂલમાં ભણતી હતી. હવે વિવેક ‘નવજીવન ટ્રસ્ટ’નો મેનેજિંગ ટ્રસ્ટી છે. તેણે મને એક દિવસ બોલાવીને પૂછ્યું, તું મારી સાથે ‘નવજીવન પ્રેસ’માં કામ કરીશ. તારું પત્રકાર તરીકેનું કામ ચાલુ રાખ, તેમાં પણ મને વાંધો નથી ….

મને વિચાર આવ્યો, આખી જિંદગી લૂંટ-બળાત્કાર પોલિસના સાચા ખોટા એન્કાઉન્ટરો અને નેતાઓના ભ્રષ્ટાચાર લખ્યા પછી ગાંધીજીએ શરૂ કરેલા ‘નવજીવન’ના પ્રેસમાં હું શું કામ કરી શકું ? .. તેણે કહ્યું આપણે પોલિસ અને જેલમાં રહેલા કેદીઓ વચ્ચે ગાંધીજીને લઈ જવાના છે .. હું વિચારતો રહ્યો, મને કામ ફાવશે કે નહીં. વિવેકે મને સધિયારો આપી કહ્યું, આમ ખાસ કરી કરવાનું નથી, કારણ આપણી પ્રોડકટ ગાંધી છે અને પ્રોડકટનો બ્રાન્ડ એમ્બેસેડર પણ ગાંધી જ છે, એટલે ત્યાં સુધી જવામાં ખુદ ગાંધીજી જ આપણને મદદ કરશે.

મેં મારા મનમાં રહેલી અનેક શંકાઓ સાથે હા પાડી. વિવેકે એક સ્પષ્ટતા કરી, તને કામ આપીને હું કોઈ ઉપકાર કરતો નથી. અમારે તારા જેવા માણસની જરૂર છે. તેની સાથે વળી તું એક સારો માણસ પણ છે. મેં પહેલી વખત માણસ, સારા માણસનું રોકડમાં રૂપાંતરણ થતાં જોયું. બાકી તમે બહુ સારા, તમે બહુ બહાદુર, કોઈની પણ સાડાબારી રાખો નહીં, તેવું અનેક વખત સાંભળ્યું; પણ કદાચ તેના કારણે જ મને કોઈ કામ આપતું નથી તેનું જ્ઞાન બહુ મોડે થયું.

અને મેં ‘નવજીવન પ્રેસ’માં જવાની શરૂઆત કરી દીધી છે. …. ખબર નહીં પણ ‘નવજીવન’માં જઉં ત્યારે મનને સારું લાગે છે. …. કદાચ મંદિરમાં ગયા પછી ઈશ્વર હોવાનો અહેસાસ અથવા તેનો ભ્રમ હોવાના ભાસના કારણ જેવું લાગે કદાચ તેવુ જ. મંદિરમાં ઈશ્વર હતો કે નહીં તેની ખબર નથી, પણ 'નવજીવન’માં ગાંધી હતા અને છે, તેની મને ચોક્કસ ખબર છે. હું ‘નવજીવન’માં જોડાયો તેની બહુ ઓછાને ખબર છે. .. પણ જેમને ખબર પડી, તેમના ચહેરા ઉપર, ‘હેં, શું વાત કરો છો ?’ તેવો ભાવ હતો. તેઓ કંઈ બોલતા નહીં. પણ એક ક્રાઈમ રિપોર્ટર ગાંધી અને ‘નવજીવન પ્રેસ’ −  કઈ રીતે શકય છે, કંઈક મીસમેચ થઈ રહ્યું હોય, તેવું તેમનો ચહેરો વાંચીને લાગતું હતું. મેં આ અંગે મારા મિત્ર ઉર્વીશ કોઠારીને વાત કરી, અને કહ્યું હું ગાંધીના પ્રેમમાં છું, તે મારે કોઈને કહેવાની જરૂર નથી. પણ હું ‘નવજીવન’માં છું, તે વાત કોઈને હજમ થતી નથી. નોકરી તો બાજુ ઉપર રાખો, પણ કઈ રીતે મારા જીવનમાં ગાંધી કેટલો મહત્ત્વનો છે, તે સમજાવી પણ શકતો નથી !

તેણે કહ્યું, તારી પાસે ભલે તેનો ઉત્તર ના હોય, પણ મને ખબર છે કે તારી અંદર ગાંધી જીવે છે અને એટલે જ મજેઠિયા પગાર પંચના મુદ્દે તારે કોઈ લેવા-દેવા નહીં હોવા છતાં તું બીજા માટે ઊભો થયો અને લડ્યો, તે તારી અંદરનો ગાંધી જ હતો.

ભાજપના મારા મિત્ર નિમેષ જોષીને બે દિવસ પહેલાં હું ‘નવજીવન’માં જોડાયો તેના ખબર આપ્યા, ત્યારે તેણે એક મઝાની વાત કરી કે એક કમનસીબ બાબત એવી છે કે ગાંધીને સમજવા માટે આપણને ‘લગે રહો, મુન્નાભાઈ’ ફિલ્મ જોવી પડે; અને સદ્દનસીબ બાબત એવી છે કે હવે મુન્નાભાઈઓમાં જ ગાંધી જીવી ગયો છે.

https://www.facebook.com/prashant.dayal.75/posts/1383437401671443

Loading

...102030...3,5373,5383,5393,540...3,5503,5603,570...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved