Opinion Magazine
Number of visits: 9690324
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા વિશે ભીખુ પારેખ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|9 November 2016

(પ્રથમ દર્શક વ્યાખ્યાન)

મનુભાઈ પંચોળી ‘દર્શક’ આજીવન પોતાના આચારવિચાર થકી ‘થિંક ગ્લોબલ, ઍક્ટ લોકલ’ના વિચારને વળગી રહ્યા હતા. તેમનું કાર્યક્ષેત્ર લોકભારતી, સણોસરા અને તેની સાથી સંસ્થાઓ રહી, પરંતુ તેમનું વિચારક્ષેત્ર સમગ્ર વિશ્વ રહ્યું. સાહિત્યકાર હોય કે સર્જક, તેને તો વિશ્વથી ઓછું ફલક ક્યાંથી માફક આવે! મનુભાઈ તો સર્જક ઉપરાંત ખરા અર્થમાં ‘દર્શક’ પણ હતા, એ ઉપરાંત વિશ્વઇતિહાસના અભ્યાસુ તથા મર્મી હતા, અને એટલે જ તેમના વિચારો કાયમ વૈશ્વિક સ્તરના જ રહેલા.

આજે મનુભાઈ આપણી વચ્ચે નથી, છતાં પણ તેઓ આપણને વૈશ્વિક સ્તરે વિચારવા હંમેશાં પ્રેરણા આપતા રહે છે. ‘દર્શક’ની આ પ્રેરણાને સ્વતંત્ર વિચારવિમર્શને ધોરણે વધુ ને વધુ લોકો સુધી વિસ્તારવાના જ એક પ્રયાસ રૂપે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ‘ઓપિનિયન’ પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી. યુનાઇટેડ કિંગ્ડમથી પ્રસારિત થતા સામયિક ‘ઓપિનિયન’ની પહેલથી, (ખાસ તો સદ્ગત હીરજીભાઈ શાહ અને વિપુલ કલ્યાણીની હોંશથી), ‘દર્શક’ના વિદેશવાસી ચાહકોએ એકત્ર કરેલ નિધિમાંથી આ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થઈ શક્યો. આ વ્યાખ્યાનમાળાના શ્રીગણેશ ૧૫ ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ ખંડ ખાતે થયા. દર્શક વ્યાખ્યાનમાળા વ્યવસ્થાપક સમિતિએ પ્રથમ વ્યાખ્યાન માટે રાજકીય ચિંતન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સુપ્રતિષ્ઠિત વિદ્વાન અને ઇંગ્લેન્ડના હાઉસ ઑફ લૉડ્ર્ઝના સભ્ય એવા પ્રોફેસર ભીખુ પારેખ પર પસંદગી ઉતારી હતી. પ્રો. ભીખુ પારેખે પોતાના તાજા પ્રકાશિત પુસ્તક ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના આધારે ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા’ વિષય પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.

દર્શક વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ સમયસર ૪-૦૦ વાગ્યે શરૂ થઈ ગયો હતો. જે દિવસે કાર્યક્રમ હતો, એ સવારે જ અમેરિકાના લોકસંગીતકાર અને ગીતકાર બોબ ડિલનને સાહિત્યનું નોબેલ પારિતોષિક અપાયાના સમાચાર આવ્યા હતા, એટલે વ્યાખ્યાનમાળાના વ્યવસ્થાપકોએ કાર્યક્રમનો પ્રારંભ દર્શકના સ્પિરિટને શોભે તેમ ડિલનના ગાયેલા ‘વી શેલ ઓવરકમ …’ ગીતથી જ કરવાનો ઉત્સાહ દાખવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના સંચાલક અને વ્યાખ્યાનમાળાની વ્યવસ્થાપક સમિતિના વરિષ્ઠ સભ્ય એવા પ્રકાશ ન. શાહે બોબ ડિલન અંગે સલમાન રશ્દીએ વાપરેલા ‘બાર્ડિક ટ્રેડિશન’ એ શબ્દોનો હવાલો આપીને ડિલનને માટે ગુજરાતીમાં નર્મદને યાદ કરીને ‘કડખેદ’ શબ્દ વાપર્યો હતો અને ડિલનને નોબેલ મળ્યાના સમાચારને વધાવ્યા હતા. પ્રકાશભાઈએ કાર્યક્રમના નિર્ધારિત અધ્યક્ષ હસમુખભાઈ શાહ શારીરિક તકલીફને કારણે હાજર રહી શક્યા નથી, એની વાત કરીને હસમુખભાઈના અધ્યક્ષીય પ્રવચનના ટાંચણના આધારે તેમની ભાવનાને વાચા આપી હતી. હસમુખભાઈએ ભીખુભાઈ જેવી મેધાવી વ્યક્તિ સંબોધવાની છે, એ બાબતનો રાજીપો વ્યક્ત કર્યો હતો. હસમુખભાઈએ મનુભાઈની લેખક, સાહિત્યકાર, ઇતિહાસકાર તરીકેની બહુમુખી પ્રતિભાની વાત કરીને તેમણે સમગ્ર જીવનનાં પાસાંઓને આવરી લેતું શિક્ષણ આપવાનું કામ કર્યું, તેને વિશેષ સંભાર્યું હતું તેમ જ ઇતિહાસને સમજવા માટેના તેમના ખંત અને પ્રતિબદ્ધતાને યાદ કર્યા હતા. કૃષિ માટેની તેમની ખાંખતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રકાશભાઈએ દેશ-વિદેશથી આવેલા અન્ય મહાનુભાવોના સંદેશાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ વ્યાખ્યાનમાળામાં પાયાના પથ્થરથી માંડીને મોભ સુધીની વિવિધ ભૂમિકાઓ અદા કરનારા વિપુલ કલ્યાણીને પ્રકાશભાઈએ (ભલે તેઓ ઇંગ્લંડની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ હોય, પણ) ‘સ્વભાવના કાર્યકર’ ગણાવીને પ્રારંભિક વક્તવ્ય માટે આમંત્રિત કરેલા. વિપુલભાઈએ આ સમગ્ર વ્યાખ્યાનમાળાનો ઉપક્રમ કઈ રીતે સાકાર થયો, તેની સંક્ષિપ્તમાં વિગતો આપી હતી. વિપુલભાઈએ સમગ્ર કાર્યક્રમ માટે સહયોગ આપનારા સાથીઓમાં પ્રકાશભાઈ શાહ, નયનાબહેન શાહ, કેતનભાઈ રૂપેરા અને રાજેન્દ્રભાઈ ખીમાણી (વિદ્યાપીઠના કુલસચિવ) વગેરેનો નામજોગ ઉલ્લેખ કરીને આભાર માન્યો હતો. આ વ્યાખ્યાનમાળા કઈ રીતે શરૂ થઈ, તેની વાત કરતાં વિપુલભાઈએ ૨૦૦૨ની સાલમાં ૪૦મા નાનાભાઈ સ્મૃિતવ્યાખ્યાન વખતે વક્તા રઘુવીરભાઈ ચૌધરી અને અનિલભાઈ ભટ્ટ વચ્ચે મનુભાઈના નામે કાયમી વ્યાખ્યાનમાળા શરૂ કરવા અંગે થયેલી ચર્ચા સંભારી હતી. મનુભાઈના વ્યક્તિત્વ અને સાહિત્યના વિદેશવાસી ચાહકોને ‘ઓપિનિયન’ના માધ્યમથી બીજી ફેબ્રુઆરી, ૨૦૦૪થી આ વ્યાખ્યાનમાળા માટે દાન આપવાની ટહેલ નાખવામાં આવેલી, જેને બહુ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ૧૩ ઑગસ્ટ, ૨૦૦૪થી દાનનો પ્રવાહ શરૂ થયેલો. વિપુલભાઈએ સદ્ગત હીરજી ધરમજી શાહનો વિશેષ ઉલ્લેખ કરીને તેમણે આપેલા મોટા સહયોગને સંભાર્યો હતો અને સાથે સાથે હીરજીભાઈના ગયા પછી તેમનાં પત્ની મણિબહેનની પ્રતિબદ્ધતાને પણ બિરદાવી હતી. વ્યાખ્યાનમાળાના પ્રથમ વ્યાખ્યાન માટે ભીખુભાઈ સાંપડ્યા, એને સૌભાગ્ય ગણાવ્યું હતું. વિપુલભાઈએ પોતાના વક્તવ્યમાં એક વાત બહુ માર્કાની કરેલી કે આઝાદીનાં ૭૦ વર્ષ પછી આપણે એક વસ્તુ જાણે કોરાણે મૂકી દીધી છે, એ છે વિચારવાનું. વ્યક્તિ નહિ, વિચારની શક્તિ અગત્યની છે. અમદાવાદથી શરૂ થયેલો આ વિચારનો યજ્ઞ સતત ફેલાતો રહેશે એવી આશા છે. વક્તવ્યના અંતે વિપુલભાઈએ આહ્વાન કરેલું કે આપણે એક એવો કેડો ઊભો કરીએ, આશાનો એક પહાડ ઊભો કરીએ, જેથી આપણી આવનારી પેઢી મજબૂત બને.

વક્તા અને શ્રોતા : સભાખંડની શોભા

વિપુલભાઈના વક્તવ્ય પછી મુખ્ય વક્તા ભીખુભાઈ પારેખ અને હસમુખ શાહની ગેરહાજરીમાં અધ્યક્ષપદ સ્વીકારનારા ડૉ. ઘનશ્યામ શાહનું વ્યવસ્થા સમિતિના સભ્યો ડૉ. પ્રફુલ્લ દવે અને સંજય શ્રીપાદ ભાવે દ્વારા પુસ્તકોથી સ્વાગત કરાયું હતું. દર્શકે લોકભારતીના વિદ્યાર્થીઓને આપેલાં રાજનીતિશાસ્ત્રનાં વ્યાખ્યાનોનું સંપાદન કરીને ‘સોક્રેટિસથી માર્ક્સ’ પુસ્તક તૈયાર કરાયું છે. મનુભાઈના પરિવારજનોમાંથી આ વ્યાખ્યાનોના રજૂઆતકાર રામચંદ્રભાઈ પંચોળી અને રવિભાઈ પંચોળી આ પુસ્તકની નકલ મંચ પર લઈ આવ્યા હતા અને ભીખુભાઈના હસ્તે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તક વિમોચન પછી પ્રકાશભાઈએ ટૂંકમાં ભીખુભાઈનો પરિચય આપીને તેમને વ્યાખ્યાન આપવા આમંત્રણ આપ્યું હતું.

ભીખુભાઈએ વિપુલભાઈના આગ્રહને માન આપીને ગુજરાતીમાં જ ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા’ પર વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાનના પ્રારંભે ભીખુભાઈએ મનુભાઈના નામ સાથે સંકળાયેલી વ્યાખ્યાનમાળામાં બોલવાનું થયું, એનો આનંદ પ્રગટ કર્યો હતો. મનુભાઈના વિચારો અને વિવિધ ક્ષેત્રોનાં કાર્યોને સંભારીને ‘સોક્રેટિસથી માર્ક્સ’ પુસ્તક અંગે કહ્યું હતું કે આ પુસ્તક જો અંગ્રેજીમાં અનુવાદ પામે તો મનુભાઈની પ્રતિભાનો ખ્યાલ આખી દુનિયાને આવી શકે. વધતા જતા અંધારામાંથી રસ્તો કાઢવામાં મનુભાઈ દીવાદાંડી રૂપ બની રહેશે. આટલી માંડણી પછી ભીખુભાઈએ જે વક્તવ્ય આપેલું તેના મુદ્દાઓ મુખતેસર જોઈએ :

વાદ-વિવાદની, ચર્ચા કરવાની પ્રણાલિકા ખરેખર તો મતભેદ-મનભેદમાંથી ઊભી થયેલી છે. ચર્ચા એક સ્પેક્ટ્રમ છે, જેમાં ઘણું બધું આવરી લેવાય છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં સદીઓ પહેલાં થયેલી ચર્ચાઓ સચવાયેલી છે. વ્યાકરણ, અલંકાર, કાયદાઓ અંગે ચર્ચાઓ થયેલી જોવા મળે છે. કર્મ, પુરુષાર્થ, આત્મા વગેરે મુદ્દાઓ પર ચર્ચા વાંચવા મળે છે. સૌથી વધારે ચર્ચાઓ તત્ત્વજ્ઞાન પર થયેલી.

'દર્શક'પ્રિય શ્રોતાગણ

રામાયણમાં વચનમાં બંધાયેલા દશરથના કહેવાથી રામે વનવાસ જવાનું થાય છે. ભરત તેમની સાથે થાય છે, પણ રામ તેમને રોકે છે. તેમની વચ્ચે ચર્ચા થાય છે. ભરત માનતા નથી ત્યારે તે કહે છે કે દશરથ પિતા છે, પણ હું રાજા છું. હું કહું છું કે તમે અહીં (મારી ગેરહાજરીમાં) રાજ કરો. ગીતા એ ચર્ચા નથી, કારણ કે અર્જુન એકાદ સવાલ પૂછે છે અને પછી શ્રીકૃષ્ણ દોઢ કલાક ચાલે એટલો મોટો જવાબ આપે છે! આમ, પ્રોપર ડિબેટ કહી શકાય નહીં. ચર્ચા ત્યારે જ આકાર લે જ્યારે ‘ક્રિટિકલ એન્ગેજમેન્ટ વિથ અધર’ શક્ય બને.

ભારતમાં ઈ.સ. પૂર્વ પાંચમી સદીથી ડિબેટની પરંપરા ચાલતી આવી છે. બ્રાહ્મણો અને બ્રાહ્મણો વચ્ચે, બ્રાહ્મણો અને બૌદ્ધ વચ્ચે, બ્રાહ્મણો અને જૈન વચ્ચે બહુ ચર્ચાઓ થઈ છે. હવે મુદ્દો એ છે કે સત્ય શોધવા માટે ચર્ચા કરવી શા માટે જરૂરી છે? એક, દરેકનું દર્શન મર્યાદિત હોય છે ત્યારે અંદરોઅંદર ચર્ચા કરીને તમારી દૃષ્ટિને – વિઝનને વિશાળ કરી શકાય છે. બીજું, દરેકનું પોતપોતાનું સત્ય હોય છે, આ રિલેક્ટિવ ટ્રુથ અંગે ચર્ચા કરીને અલ્ટિમેટ સત્ય સુધી પહોંચી શકાય છે. ત્રીજું કે કોઈ પરફેક્ટ હોતું નથી ત્યારે સાથે મળીને ચર્ચા કરવાથી પરફેક્શનની નજીક પહોંચી શકાય છે.

ચર્ચાનું એક ભયસ્થાન એ છે કે વ્યક્તિ પોતાના વિચારોને જાત સાથે જોડી દેતો હોય છે, એટલે પોતાના વિચારની ટીકા ખમી શકતો નથી. વિચારની ટીકા એ ખરેખર વ્યક્તિની ટીકા નથી હોતી. એટલે હંમેશાં ખુલ્લા હૃદયે ચર્ચા થવી જરૂરી છે.

બે વ્યક્તિ વચ્ચે જ્યારે કોઈ મુદ્દે સત્ય સુધી પહોંચવા ખુલ્લા દિલે ચર્ચા થાય તેને વાદ કહેવાય, પરંતુ ચર્ચાના બીજા બે પણ પ્રકાર છે, જે વાદથી ભિન્ન છેઃ જલ્પ અને વિતંડ. જલ્પમાં અન્યના વિચારોનું ખંડન કરવાનો અને ખુદને જ સાચા પુરવાર કરવાનો પ્રયાસ કરાતો હોય છે, જ્યારે વિતંડમાં તો સામેવાળાને તોડી પાડવાના, ખોટા પાડવાના ઉદ્દેશથી જ દલીલો કરવામાં આવતી હોય છે.

એક સમયે કુસ્તીના દંગલની જેમ વાદવિવાદના જંગ જામતા. વાદમાંથી જીતનાર વાદિન કહેવાતા, જે એક પછી એક વિદ્વાનને હરાવીને આખી સ્પર્ધા જીતી જાય તેને વાદિવેતાલનું શીર્ષક મળતું.

વાદવિવાદમાં હંમેશાં એવું બન્યું છે કે જેને ચાલી આવતી પરંપરામાં કંઈક સુધારો કરવો છે, તેણે ટીકા સહન કરવી પડે છે. સમાજમાં કંઈક સુધારો કરવા માગનારે પહેલાં તો પોતાની વાત વાદમાં પુરવાર કરવી પડે અને પછી વિચારને આગળ વધારી શકે. બુદ્ધને વાદ માટે પડકાર મળતા રહેતા અને બુદ્ધ વાદ કરવા માટે તૈયાર થતા નથી, એવા આક્ષેપ પણ થતા. જો કે, બુદ્ધે વાદ કરવાના પડકારને સ્વીકાર્યો હતો અને બહુ લાંબી ચર્ચા ચાલેલી. તેમની સામે ચર્ચા કરનાર શંકર સતત તેમના વિચારોનો વિરોધ કરતાં રહ્યા અને ધીમે ધીમે તેઓ અંદરથી બુદ્ધના વિચારોને પામતા-સ્વીકારતા ગયા હતા.

આપણે ત્યાં વાદવિવાદ બહુ ઉગ્ર બનતાં ઘણી વાર વાત મારામારી પર આવતી, વાદમાં હારવાજીતવા માટે લાંચ-રુશવતો પણ લેવાતી અને હિંસા પણ થતી. એટલે અશોકે શિલાલેખમાં વિરોધી વિચાર મામલે સહિષ્ણુ થવાની વાત લખેલી છે.

યુરોપમાં ઈ.સ. પૂર્વે આઠમી સદીથી વાદની પરંપરા શરૂ થયેલી. જો કે, આપણી અને ત્યાંની પરંપરામાં ખાસ્સો ફરક છે. ભારતમાં વાદવિવાદની પરંપરામાં મોગલોના આગમન પછી પહેલા જેવી ડિબેટ શક્ય બનતી નથી. ૧૪મી સદીમાં ભારતમાં ભક્તિ ચળવળ ચાલી અને નવા સ્વરૂપે ડિબેટ ઊભી થયેલી. જો કે, ભારતમાં અંગ્રેજોના આગમન પછી ૧૮મી અને ૧૯મી સદીમાં ફરી વાદની પરંપરા શરૂ થાય છે. હિંદુ વિદ્વાનો અને ખ્રિસ્તી મિશનરી વચ્ચે બહુ ખુલ્લી ચર્ચાઓ ચાલે છે. ઈશ્વર વિશેના ખ્યાલોથી લઈને પરંપરાઓ – રિવાજો અંગે ચર્ચા થાય છે. ધાર્મિકની સાથે સાથે સામાજિક, સમાજ સુધારને લગતી ચર્ચાઓ પણ આકાર લે છે. રામમોહન રૉય, વિદ્યાસાગર, નર્મદ, દયાનંદ વગેરે સુધારાવાદી ચર્ચાઓને આગળ વધારે છે. બ્રિટિશ શાસન પછી રાજકીય પ્રશ્નો ઊભા થાય છે અને એ અંગે પણ ઘણી ચર્ચાઓ ચાલે છે.

ચર્ચા મામલે ગાંધીજીનું મોટું યોગદાન છે. ગાંધીજીએ સાત મોટી ચર્ચાઓ કરેલી, જેમાં ગાંધી અને સાવરકર વચ્ચેની ચર્ચા, રૂઢિચુસ્ત બ્રાહ્મણો સાથેની ચર્ચાઓ, બ્રિટિશ અને ભારતીય નેતાઓ સાથેની ચર્ચાઓ, ડાબેરીઓ સાથેની ચર્ચા, ભાગલા સંદર્ભે ઝીણા સાથે ચર્ચા, ટાગોર સાથે રાષ્ટ્રવાદ અને સ્વદેશી – અસહકાર આંદોલન અંગે ચર્ચા અને છેલ્લે દલિતોના મુદ્દે ડૉ. આંબેડકર સાથે ચર્ચા.

એક મોટી અને મહત્ત્વપૂર્ણ ચર્ચા બંધારણ સભામાં ઊભી થયેલી, જેના ફળસ્વરૂપે દેશનું બંધારણ રચાયું. આંબેડકરના ૭૦થી ૮૦ ટકા વિચારો તો બંધારણમાં સમાવી શકાયા જ નથી, કારણ કે સર્વસંમતિના આધારે બંધારણની રચના થયેલી. અને સર્વસંમતિથી તેની રચના થઈ હોવાથી જ તે આજ સુધી ટકી રહ્યું છે. જો કે, બંધારણમાં જે વિચારધારા-આદર્શો-મૂલ્યોની વાત થઈ છે, તેનો હ્રાસ થતો જાય છે. નેહરુએ બંધારણનાં મૂલ્યોને લોકોના હૃદયમાં ઉતારવાના પ્રયાસો કરેલા, પણ પછી કોઈએ એ કામ આગળ ન વધાર્યું.

આજે બંધારણ અંગે ચર્ચાનો અવકાશ ઊભો થાય છે ત્યારે આપણે મૂંઝારો અનુભવીએ છીએ. આપણને ડર લાગે છે કે બંધારણ બદલવા જઈશું અને દેશ તૂટી જશે તો? જ્યારે જ્યારે મોટી ડિબેટ ઊભી થઈ ત્યારે તેને દબાવી દેવાના અને હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસો થયા છે.

ગાંધીજીના રાષ્ટ્રવાદ, અસહકાર, સ્વદેશી જેવા વિચારોથી નારાજ રવીન્દ્રનાથે ‘ધ કલ્ટ ઑફ ચરખા’ શીર્ષકથી એક લેખ લખેલો. આજે રવીન્દ્રનાથ હોત તો હિંદુત્વ અંગે મોદી સાથે જરૂર સવાલજવાબ કરત અને કહેત કે તમારું આ હિંદુત્વ મને કંઈ બેસતું નથી.

મોટી ચર્ચા ઊભી થવા માટેની પૂર્વશરતો કઈ કઈ હોઈ શકે, એની ચર્ચા કરીએ તો પહેલું તો એ કે મુદ્દો મોટો હોવો જોઈએ. વ્યાપક જનસમુદાયને સ્પર્શતો હોવો જોઈએ. બીજું, ચર્ચા માટે જબ્બર જુસ્સો (સ્ટ્રોંગ પેશન) હોવો જરૂરી છે. ત્રીજું, મુક્ત અભિવ્યક્તિ હોવી જોઈએ. વ્યક્તિ પોતાનો અભિપ્રાય વિના સંકોચે આપી શકે, એવો માહોલ હોવો જોઈએ. અને ચોથું, આપણા સૌમાં વિશ્વાસ હોવો જોઈએ કે ચર્ચા કરવાથી, મતભેદ ખુલ્લા પડવાથી કંઈ દેશ તૂટી જવાનો નથી, સત્યાનાશ વળી જવાનું નથી.

ગંભીર ચર્ચા આજનાં ટીવી-અખબારોમાં શક્ય બને નહીં. હા, સામયિકોમાં શક્ય બને ખરી, પણ એના માટે ગાંધી, ટાગોર કે એમ.એન. રૉય જેવા વાઇબ્રન્ટ બૌદ્ધિકો જોઈએ.

ભારતમાં વાદવિવાદની પરંપરા બહુ જૂની છે, પણ એ ચર્ચાઓ મોટા ભાગે પ્રતિષ્ઠિત લોકો, ઉચ્ચ વર્ણ કે વર્ગના લોકો વચ્ચે જ થઈ છે. જ્યારે યુરોપમાં સોક્રેટિસ તો સામાન્ય લોકો સાથે પણ વિચારવિમર્શ કરતા હતા. આપણી વાદવિવાદની પરંપરામાં સામાન્ય નાગરિક નદારદ છે. આપણી ચર્ચાઓની બીજી મર્યાદા એ છે કે ફિલોસોફિકલ, સ્પિરિચ્યુઅલ ચર્ચાઓ વધુ થઈ છે, પરંતુ સામાજિક કે રાજકીય ચર્ચાઓ થતી નથી. જાતિ વ્યવસ્થા અંગે આપણે ત્યાં જોઈએ એવી ચર્ચા થઈ જ નથી. આપણે ત્યાં સામાજિક-રાજકીય મુદ્દાઓ અંગે ચર્ચા ન થઈ અને તેને કારણે જ વૈચારિક રેડિકલિઝમ ન આવ્યું. ચર્ચામાં સામાન્ય લોકોને સામેલ કરીને તેને વધારે ને વધારે લોકતાંત્રિક બનાવવી રહી.

ડૉ. ઘનશ્યામભાઈ શાહે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે ભીખુભાઈને દાયકાઓથી સાંભળતો આવ્યો છું ને તેમની પાસે ભણ્યો પણ છું. ઘનશ્યામભાઈએ ગુજરાતમાં જાણ્યે-અજાણ્યે વિચાર કરવાનું, ચર્ચા કરવાનું માંડી વળાયું છે, એ મામલે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. અમદાવાદ જેવા શહેરમાં પણ ચર્ચા કરવાનો અવકાશ નથી મળતો, તેનું દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ભલે અસહમત થઈએ છતાં ચર્ચા કરીએ, એ જરૂરી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે ૧૯૮૯થી ગુજરાત સામે અનેક સવાલો આવ્યા, તેને આપણે અવગણતા આવ્યા છીએ, જે સ્વસ્થ સમાજ માટે નુકસાનકારક છે. કોઈને ચુપ કરાવી દેવાથી વિચારને કે વ્યક્તિને કોઈ ફાયદો થતો નથી. આપણે ક્યાં આવીને ઊભા છીએ, એની આપણે ચિંતા કરતા નથી. સમાજ તરીકે આપણે સવાલોનો સામનો ટાળીએ છીએ. આજે લોકશાહી રાજ્યવ્યવસ્થામાં રાજાની સત્તા રાજા પૂરતી મર્યાદિત નથી, એ લોકો પાસે પણ છે ત્યારે લોકોએ જાગૃત થઈને ચર્ચા કરવી પડે. આપણે ત્યાં રાજ્યસત્તા છે, એ સિવાય પણ સત્તાનાં જુદાં જુદાં કેન્દ્રો છે, પરંતુ સરકાર ઉપરાંતનાં સત્તાનાં કેન્દ્રો સાથે ચર્ચા કરવાનો કેટલો અવકાશ છે, એ વિચારવા જેવું છે.

સમાજ અંગેની ચર્ચાઓ આપણે ત્યાં વિકસી શકી નથી. આવી ચર્ચાઓને ધુત્કારવામાં આવી છે, અવગણવામાં આવી છે. બંધારણ સભામાં ડૉ. આંબેડકરે એક પાયાનો પ્રશ્ન ઉઠાવેલો કે સમાજવાદી સમાજને રચ્યા વિના સમતા કઈ રીતે આવશે.

ચર્ચા સારી બાબત છે, પરંતુ તેના નિચોડમાંથી, વિકસેલી નવી સમજમાંથી વ્યક્તિનું અને એ રીતે સમાજનું ઘડતર થાય તો જ આ પ્રક્રિયા સાર્થક ગણાય.

તાર્કિક ચર્ચાની અસર સમગ્ર સમાજ પર થવી જોઈએ. આજે તો યુનિવર્સિટીમાં ચર્ચાનું સ્તર અને અવકાશ બન્ને ઘટતાં જાય છે. ક્રિટિકલ થિંકિંગ આજના સમય માટે અનિવાર્ય છે.

લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેએ આભારદર્શન કર્યું હતું. અરુણભાઈએ વ્યાખ્યાન અંગે આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરીને સૌથી પહેલા તો વ્યાખ્યાન સાંભળવા માટે મોટી સંખ્યામાં પધારેલા શ્રોતાઓનો આભાર માન્યો હતો. ત્યાર બાદ મુખ્ય વક્તા, સભાના અધ્યક્ષ, સંચાલક તથા ગૂજરાત વિદ્યાપીઠ પરિવારનો પણ આભાર માન્યો હતો.

અરુણભાઈએ લોકભારતી, સણોસરાને બદલે અન્ય સ્થળ પર વ્યાખાનમાળા સફળતાપૂર્વક યોજાઈ તે જોઈને, આગામી વ્યાખ્યાનો પણ રાજ્યનાં ભાવનગર, રાજકોટ, જામનગર વગેરે મુખ્ય શહેરોમાં યોજવાનો ઉત્સાહ બતાવ્યો હતો. આ ઉપક્રમમાં સ્થાનિક સંસ્થાઓ પણ સહભાગી બનશે, એવી વ્યવસ્થાપક સમિતિ વતી અભિલાષા વ્યક્ત કરી હતી.

મંચસ્થ મહાનુભાવો

મંચસ્થ મહાનુભાવો — ડાબેથી જમણે : રામચંદ્ર પંચોળી, પ્રકાશ ન. શાહ, અરુણકુમાર દવે, ભીખુ પારેખ, ઘનશ્યામ શાહ, વિપુલ કલ્યાણી, રવીન્દ્ર પંચોળી

વ્યાખ્યાનના અંતે સૌએ ગોટા અને દૂધપૌંઆનો આનંદ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે મનુભાઈના નવપ્રકાશિત પુસ્તક ‘સોક્રેટિસથી માર્ક્સ’ની ખરીદી પર વિશેષ વળતરની જાહેરાત કરાયેલી અને વેચાણ માટે રાખવામાં આવેલી તમામ નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી.

Audio : Download

છવિ સૌજન્ય : Dr. Ashwinkumar, Associate Professor, Department of Journalism & Mass Communication, Near central library, Gujarat Vidyapeeth, Ashram Road Ahmedabad : 380 014, Gujarat, India 

Double click to open this link, please : http://ashwinningstroke.blogspot.co.uk

પૂરવણી :- 

– 1 –  

"દિવ્ય ભાસ્કર", 16 અૉક્ટોબર 2016

– 2 –

"નવગુજરાત સમય", 16 અૉક્ટોબર 2016

 

 

 

 

 

 

 

 

Loading

Confusions around term Hindutva

Ram Puniyani|English Bazaar Patrika - OPED|8 November 2016

On October 25 (2016) the seven member Supreme Court Bench started hearing to revisit ‘Hindutva’ cases. These are group of cases where the use of term Hindutva-Hinduism to be used during elections is to be opined. One such case was that of Manohar Joshi who in his election speech said that if he is voted to power he will work for making Maharashtra as the first Hindu state in the country. In another incident Bal Thackeray, Shiv Sena founder and supremo of BJP associate Shiv Sena, said in November 1987, declared that his party is contesting elections “for the protection of Hinduism, we do not care for the votes of the Muslims. The country belongs to Hindus”.  And “[The Muslims] should bear in mind that this country is of Hindus, the same shall remain of Hindus… if Shiv Sena comes to power… everybody will have to take diksha (initiation) into Hindu religion.”

The 1995 Judgment, where Justice Varma opined that the word ‘Hindutva’, “is used and understood as a synonym of ‘Indianisation’, i.e. development of uniform culture by obliterating the differences between all the cultures coexisting in the country.” This came to be known as ‘Hindutva as a way of life’, judgment and became popular as ‘Hindutva judgment’, was used by RSS combine to reinforce their Hindu rashtra agenda. In Guruvayoor temple case again similar opinion was given. Also one recalls that way back in 1966 in a case involving Satsangis, who were asking for status of a separate religion, the court had given the similar opinion, that Hinduism is a way of life, so where is the question of Satsangis being given the status of a separate religion? This does not exhaust the list of such judgments in this category.

Teesta Setalvad, eminent social activist, has intervened in the court in the matter with an application stating that religion and politics should not be mixed and a direction be passed to de-link religion from politics. The hearing of the case is on. This is a great opportunity for the court to clear the air about the terms Hinduism and Hindutva. So far many opinions have been given that since Hinduism has so much diversity, so it is not a religion and that it includes all the communities so ‘it’s a ‘way of life’ The words Hinduism and Hindutva have been used interchangeably many a times.

The confusion and nature of the word Hinduism and Hindutva emerge as Hinduism is not a prophet based religion; with a clear cut single Holy book the teachings of the prophet or a single God. Its nature is different from prophet based religions like Christianity, Buddhism, Islam and Sikhism for that matter. It has been identified with Vedas, where the life and norms of Aryans is expressed. In matters of faith starting from animism to atheism may come under its umbrella. The term Hinduism itself came into usage from eighth Century onwards. The term was coined by those coming here from Central Asia and they coined the word Hindu as a derivative of the word Sindhu which they had to cross to this part of the sub continent. Essentially what were prevalent here were multiple religious traditions, Brahmanism, Nath, Tantra, Siddha, Shiava Siddhanta and later Bhakti also. The first construction of Hinduism takes place to refer to these diverse tendencies. Later Hinduism as religion starts being referred to for the people around these sects. Jainism and Buddhism were also present in good measure. With British coming the construction of Hinduism became well delineated. With seeds of communalism coming up Hinduism started being contrasted against Islam and Christianity in particular.

In late early twentieth century ideologue of Hindu nationalism, Savarkar put forward the concept of Hindutva in a sharper way to present it as ‘whole of Hinduness’, i.e. it includes Hindu religion as conceived by them and also it includes the politics of Hindu nationalism. So inherent in the term was religion, Hinduism, which had the dominant part of Brahmanism, and it was blended with the Hindu nationalism. Hindu nationalism was being projected by the upper caste, landlord-kings sections of Hindus who were weary of the emerging “India as a nation in the making and accompanying ideas of Liberty, Equality and Fraternity. The Hindu nationalists upheld the scriptures like Manu Smiriti, while the majority of Hindus led by Gandhi were aspiring for secular democratic ethos.

Hinduism is the most complex umbrella where interpretations are dominated by the caste factors. Ambedkar does point out that Hinduism is a Brahmanic theology. Other streams of Hinduism. Nath Tantra, Bhakti etc. have been marginalized and undermined and it’s around Brahmanical hierarchy that Hindutva movement has emerged. It’s clear that Hinduism is not the religion of all the Indians. Also that Hinduva has been built around Brahmanical stream of Hinduism. This complex understanding needs to be unraveled before opining on the Representation of People’s Act. In S. R. Bommai case the court the Supreme Court recognized the value of this understanding of terms Hinduism-Hindutva. Justice B.P. Jeevan Reddy wrote, “To fight elections on a plank of religion, was tantamount to eroding the country’s secular fabric.” But, barely a year later, this was subverted when India’s secular credentials came to be undermined with the rulings known as ‘Hindutva cases’.

The foundation of this understanding is already there in what Dr. Ambedkar writes, B.R. Ambedkar, who played a sterling role in the RPA’s drafting; his aim was to ensure that the statute conformed to secular principles. “I think that elections ought to be conducted on issues which have nothing to do with… religion or culture,”. Further that “A political party should not be permitted to appeal to any emotion which is aroused by reason of something which has nothing to do with the daily affairs of the people.” This is the spirit of Indian Constitution which wants to separate religion from politics.

It is a Historic opportunity for the Court to set the matters straight and put the norms back to the basic structure of Indian Constitution, the values of secularism. And finally Hindutva is revolving around Hinduism which is religion to be sure.

–

Key Words : Hindu, Hinduism, Hindutva, Hindutva Judgment, electoral practices, S.R. Bommai, Secularism, Religion and Politics

Loading

છેવટનાં આકરાં ચઢાણ

મીરાં ભટ્ટ|Opinion - Literature|7 November 2016

જીવનનો પ્રવાહ એ જ એની કાયમની સમથળ સપાટીએ વહ્યો જતો હતો. સામાન્ય માંદગીઓ વચ્ચે વચ્ચે ડોકિયાં કરી જતી હતી. કશું ગંભીર-ચિંતાજનક કે ઉપદ્રવ્યજનક જોજનો દૂર દેખાતું નહતું, ત્યાં અચાનક બે દિવસ પેશાબ બિલકુલ બંધ થઈ ગયો, ડૉક્ટરે સોનીગ્રાફિક તપાસ કરી અને જીવનમાં મહા-ભયંકર, ભીષણ કહેવાય એવું નામ લઈને નવો વ્યાધિ જીવનમાં ટપકી પડ્યો.

પરંતુ કોણ જાણે કેમ લોકો કૅન્સરને ગમે તેટલો ભયંકર, પ્રાણઘાતક રોગ ગણતા હોય, પરંતુ આજ દિન સુધી મને એની ભીષણતા-ભયંકરતાનો કોઈ સ્પર્શ જ થતો નથી. સમાચાર સાંભળીને ચારે બાજુથી સ્વજનો – મિત્રો – પ્રિયજનોનો પારાવાર પરિવાર ઊમટી વળ્યો અને જાણે પ્રેમનો ધોધ વરસ્યો. અનેકવાર આવતો અનુભવ પારિજાતકનાં ફૂલની સુગંધ ફેલાવતો ફરી એકવાર અનુભવાયો – બાબા તેરી નગરી મેં પ્યાર મિલા પરિવાર મિલા!

તેમાં વળી થોડા જ દિવસો બાદ, રેંટિયા બારસે મારી વર્ષગાંઠ આવી. વળી સ્વજનો ઘેરાઈ વળ્યા. કાંઈક કહેવાનો આગ્રહ થયો તો તત્ક્ષણે મનોજગતમાંથી જે ઊભરાઈ આવ્યું તે આવું કાંઈક હતું – આજે મારી વર્ષગાંઠ, વર્ષગાંઠ તો વરસો વરસ આવે છે, પરંતુ આ તો છે મારી ચોર્યાસી વર્ષની વર્ષગાંઠ, આપણા ભારતમાં 84 વર્ષના આંકડાનું આગવું મહત્ત્વ છે. ચોર્યાસી લાખ વર્ષનો એક ફેરો ગણાયો છે, ચોર્યાસી લાખ વર્ષે જીવાત્માની યોનિ બદલાય. હમણાં છેલ્લે છેલ્લે મારો કઠોપનિષદનો સ્વાધ્યાય ચાલતો હતો, જેમાં મૃત્યુદેવના સાક્ષાત્કારની સુંદર અનુભૂતિ આલેખાઈ છે. મૃત્યુદેવનું યથાર્થ નામ ‘યમદેવ’ છે. યમ એટલે યમ-નિયમ-સંયમની સુંદર આગવી સુગંધ અને પાવિત્ર્ય લઈને ખીલતું જીવનનું ફૂલ! જેના જીવનમાં યમ-નિયમ-સંયમની રંગોળી પુરાય છે તેનું જીવન પ્રસન્ન પ્રફૂલ્લિત પુષ્પ સમું નિર્મળ, સુગંધ અને પ્રકાશ ફેલાવનારું હોય છે. આવો જીવનના પણ જીવન સમો ચૈતન્યમય સાવ અચાનક સામે આવીને ઊભો રહ્યો ત્યારે મને એનું કશું જ અજાણ્યાપણું ન લાગ્યું. તે જ સવારે મેં અરુણને કહ્યું કે મને મકરંદભાઈનું ગીત સંભળાવો –

ખૂબ જેવું નામ લીધું, આખરે આવ્યા જ તે,
ગામમાં નહીં, ઠેઠ ઘરના ઉંબરે આવ્યા જ તે,

આ તો માત્ર ઉંબરે જ નહીં ઠેઠ ભીતર, ગભારામાં, ડૉક્ટર કહે – આ પેન્ક્રિયાના કૅન્સરના ગાંઠની ખૂબ ઊંડી હોય છે અને એ બહાર દેખા દે તે પહેલાં ઘણું કામ કરી ચૂકી હોય છે ! આમ મૃત્યુ દેવ સાવ દબાતે પગલે આવ્યા !

આમ તો દર વર્ષે યમરાજ વીતેલા વર્ષની ગાંઠ મારવા આવે. જીવનના એક મુકામની ગાંઠ ! જોઈ-તપાસી લો, જિવાયું તે કેવું જિવાયું, પરમ ધ્યેયની કેટલી નજીક પહોંચાયું, કેટલું અંતર બાકી રહ્યું એનો તાળો મેળવતા રહેવું અને તદનુસાર પુરુષાર્થને જાગૃત કરવો. આપણે વીતેલાં વર્ષોનાં લેખાંજોખાં કાઢી શકીએ, એટલે યમ દેવ જીવનનું પડીકું ઢીલુંઢાલું બાંધે, જેથી વેરી નાખવા જેવા ઘણા એરાઈ જાય અને બાકીનાં સચવાયેલાં રહે, પરંતુ આ તો ચોર્યાસી વર્ષ પૂરાં થયાની ગાંઠ ! યમદેવ એને સજ્જડ બાંધે ગાંઠે જે કાંઈ બંધાય તે સાથે, બાકી બધું અહીંનું અહીં.

આવી આ જીવનયાત્રા એક મુકામે પહોંચી છે ત્યારે અનુભવું છું કે જીવનયાત્રાની તમામ વાટે પ્રભુ સાથેને સાથે જ રહ્યા છે! જીવનમાં જે કાંઈ લાધ્યું તે બધું એના જ પ્રતાપે. એ જ મારા અંતરનો પરમ વિશ્રામ. પરંતુ હા, મારે એટલું સ્વીકારવું પડે કે જીવનયાત્રાના પ્રત્યેક માર્ગે, આગલા માઇલ સ્ટોને પહોંચતા રસ્તામાં ક્યાં ય અટવાઈ ન જવાય તે માટે સહાયરૂપ એવો મારી જિંદગીનો હમસફર પણ સદાને સાથેને સાથે છે. જીવનમાં વિયોગના ઘણા દિવસ આવ્યા, કહોને ? અડધું આયુષ્ય સમાજને નામે, છતાં ય એ વિયોગ ન લાગ્યો. સતત એ દિલાસો દેતા રહ્યા કે – બાઈ રે, જરીક વધુ જો વેઠે ! આ રહ્યો એ મુકામ આપણો, આ જીવનના તરભેટે ! … હવે જીવનના આ પરમ ત્રિભેટે પણ પ્રભુની ને એમની આંગળી પકડી રાખીને પહોંચી જઈશ.

સાચે જ કોઈ તાપ નથી, પરિતાપ નથી. ભયનું તો નામોનિશાન નથી, બસ આનંદ જ આનંદ અને એક પ્રકારની ગાઢ શાંતિ અનુભવાય છે. છેલ્લા મહિનાઓમાં મારી ઊંઘ રીસાઈ ગઈ હતી. રાતોની રાતો મેં પુસ્તકને સહારે કાઢ્યા. એને બદલે હમણાં હમણાં હું એવી ઊંઘી જાઉં છું કે કોઈ આવે તો મને જગાડવી પડે છે બસ, ફરિયાદમાં માત્ર દાહ-બળતરા અને ખંજવાળ છે.

પરંતુ નક્કી કર્યું છે કે સારવારમાં બાયોપ્સી કે કેમો વગેરેનો રસ્તો ન લેવો. શાંતિથી જે થાય તે કરવું અને ઉપદ્રવના શમન માટે સહજ સરળ રીતે જે પ્રાપ્ય હોય તેવા ઉપચારો કરવા. બાકી જે કાંઈ સામે આવે તે સહન કરવું. ખબર નથી, પંથ અજાણ છે, માર્ગે કેવાં કેવાં તોફાનો સંઘર્ષો આવશે તેની કોઈ ભાળ નથી. પણ જે કાંઈ આવે તે સહન કરી લેવું એવું વિચાર્યું છે. કહેવાય છે કે, શરીરમાં જેટલી સહનશક્તિ વધારો તેટલી સામનો કરવાની શક્તિ આવી મળે છે. બાકી હું તો ઝીણી ફોડકી થાય તો ય થથરી ઉડતી કે કૅન્સર તો નહીં હોયને! પણ જોઈએ હવે, શું થાય છે? સાથીઓ, હમસફરની દુઆઓ હમદર્દ બની જશે? મને મંઝિલે પહોંચાડી દેશે એવી આશા છે.

મૃત્યુનો ભય તો લગભગ ક્યારે ય લાગ્યો નથી. અસહ્ય લાગતું હોય તો તે સ્વજનોની વિદાય પરંતુ ધીરે ધીરે વિનોબા-વિચાર કેળવાતો ગયો કે અનંત સંબંધનો કોઈ છેડો નથી, કોઈ અંત નથી. આત્મસાત થયેલા સાથીઓ એક યા બીજા સ્વરૂપે આવી જ મળે છે અને જ્યારે સફળ દિવસ સાથે અનુબંધ જોડાઈ જાય છે પછી વિયોગ જેવું કશું રહેતું જ નથી. सियाराम सम सब जग जानी તો જ્યારે સધાય ત્યારે સાચું પરંતુ સૌમાં અંતરની છબીની છાયાઓ રમતી જોવા મળે સદ્‌ભાગ્ય પણ ક્યાં ઓછું છે? મુક્તિ રૂપે કેવળ પરમ પ્રભુ સાથે જ રહેવાનું કોને ન ગમે? પરંતુ જ્યાં સુધી પૃથ્વી પરના અંતિમ માણસનાં આંસુ ધોવાઈ ન જાય ત્યાં સુધી જંપ વાળીને બેસી જવું ન ગમે. છતાં ય અંતિમ નિર્ણયનો દ્વાર કેવળ પરમાત્માના હાથમાં, राजी हैं हम उसीमे, जिसमें तेरी रजा हो।

મૃત્યુ પછીના દેહ-સંસ્કાર વિષે હું કરુણાવાન કરતાં વેદાંતવાદી વધારે છું. હિંદુ ધર્મનો પિંડ છે એટલે भस्मान्तम् शरीरम् સંસ્કાર જ વધારે આત્મસાત થયો હોય, મારી ચિતા ખડકાઈ હોય અને એની અગનજ્વાળામાં એકેક શરીર ભસ્મીભૂત થતા હોય અને ચોમેર ઘેરાઈને ઉભેલા સ્વજનો-પરિજનોની આંખોમાં જ્વાળાના લબકારે લબકારે જિંદગીની વીતેલી ક્ષણો અનંત કાળમાં વિલોપાતી જતી હોય એવા દૃશ્ય જોયાં હોય. ક્યારે ય કરુણાવાન બનીને બીજાની અંગપૂર્તિ કરવાનું કરુણકાર્ય કરવું એ ઈશ્વરી યોજનામાં દખલગીરી લાગે. પરંતુ એક વાર સાંભળ્યું કે મારી એક પરમ મિત્રના મૃત્યુ બાદ દેહદાન કરવાની વાત વિસરાઈ ગઈ ત્યારે મનમાં તત્ક્ષણ સંકલ્પ જાગ્યો કે – તો પછી એમની ઇચ્છા હું પૂરી કરીશ. ત્યાર બાદ સ્વજનોને જણાવી દીધું છે કે સહેલાઈથી વ્યવસ્થા થતી હોય તો દેહદાન કરવું બાકી ચક્ષુદાન તો થઈ જ શકે.

વળી એક શ્રદ્ધા નાનપણથી પોષાતી આવી છે કે મૃત્યુની ક્ષણ નિશ્ચિત છે, ભલે એના પ્રકાર બદલાતા રહે. એટલે નિશ્ચિત રહેવાય છે બસ, માત્ર છેવટની જ નહીં પરંતુ હવે પછીની એકેએક ક્ષણ પ્રભુ સ્મૃિતમાં ઝબોળાયેલી રહે એવી જ આકાંક્ષા રહે છે. મૃત્યુની ગોદ મને હૂંફાળી લાગે છે. એમાં હું તમામ ચિંતાઓ અને ચિંતનો ઈશ્વરને સમર્પણ કરી લપાઈને સૂઈ જાઉં છું. ઈશા-કુંદનિકાએ નાનકડી ચબરખીમાં પણ એ જ સંદેશો મોકલ્યો છે કે ‘ઈશ્વર સદા ય તમારી સાથે રહો!’

જ્યાં સુધી શરીરમાં શક્તિ હશે અને અંત:પ્રેરણા થશે ત્યાં સુધી અંતિમ યાત્રામાં વાચકોને સાથે રાખીશ, બાકી તો –

હમણાં સાંજ પડશે પંખી તમામ પોતે પોતાના માળામાં પાછા ફરશે …

મારી પણ એ જ પ્રાર્થના રહે છે કે

મને એક સાંજ આપો રાત આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ
ફરફરવા લાગે આ સાત સાત જન્મોના તાણીને બાંધેલા કેશ
ગાવાથી સાવ મને અળગી કરીને નાથ, કાયમની કેદ મને આપો? …

સૌજન્ય : ‘સમાજ દર્શન’ નામક કોલમ માંહેનો આખરી લેખ; “જન્મભૂમિ પ્રવાસી”, 16 અૉક્ટોબર 2015; પૃ. 07

પૂરવણી :

“જન્મભૂમિ”, 05 નવેમ્બર 2016

Loading

...102030...3,5373,5383,5393,540...3,5503,5603,570...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved