Opinion Magazine
Number of visits: 9690244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીવાલો ચણો કે ફટાકડા ફોડો

રોહિત શુક્લ|Opinion - Opinion|17 November 2016

ચોથિયાને તો દિવાળી રોજ આવે તે ગમે. તેને ખાસ મજા તો પેલા દારૂખાનાંમાં જ આવે છે. દીવા કરવા અને તોરણો લગાવવાં કે પછી સાલમુબારક કહેવું કે મીઠાઈઓની આપ-લે કરવી તે તો બધું ‘રઇસી શાન’ કહેવાય. આપણા રામને તો દા’ડો ઊગે ને રઝળતા-નહીં ફૂટેલા ફટાકડા ફોડવા મળે એટલે હાઉ. ક્યારેક કોઠી તો ક્યારેક ફૂલઝડી, ક્યારેક રૉકેટ તો ક્યારેક ભોંયચકરડી, ક્યારેક સૂતળીબૉંબ અને ક્યારેક તડતડિયાં. અરે ક્યારેક તો ખાંસી થઈ જાય તેવો ધુમાડો છોડતા અને દરમાંથી નીકળતા જણાય તેવા સાપ પણ ફોડાય અને ક્યારેક સૌને ગમી જાય તેવા-સૌના મન-કી-બાત જેવા સુમધુર તારામંડળ પણ ફોડાય. દિવાળી જાય જ નહીં અને સદાકાળ ટકી રહે એટલે બસ. પછી મોંઘવારી કે બેકારી જેવા કોઈ સવાલો જ નહીં. એમાં દેશી બનાવટના ફટાકડા હોય તો સારું – બીજાના ફટાકડા અમે ફોડતા નથી એવાં વિધાનોના ફટાકડા પણ ફોડીને ક્યારેક તો ચલાવી લેવું પડે – શું થાય.

‘શેના ગોટે ચઢી ગયો? તને તો ભઈસા’બ વાતેવાતે છછૂંદરાં ભળાતા હોય તેમ આંખના ખૂણે ઝબકારા જ ગોઠવાયા કરતા હોય છે. તારા દેદાર તો જો, ઘડીમાં ટશિયા ઊભા થઈ જાય છે, તો ક્યારેક દાંતની ડાબડી અધખૂલી રહી જાય છે. તને આ કઈ જાતનો રોગ લાગુ પડ્યો છે તે ખબર પડતી નથી. મને તો લાગે છે તારા દાણા જોવડાવવા પડશે. ઝોડઝોપટ કે પછી વળગાડ જેવું કાંક હોય તો થોડી મરચાંની ધૂણી કે ભૈરવદાદાનો દોરોધાગો કરીએ.’ ચોથેશ્વરીએ ચોથિયાને ફરી એક વાર ટપાર્યો. અલબત્ત, પતિનું સન્માન સાચવાની એક આર્યનારીની મનતોડ મહેનત તેમાં દેખાઈ આવતી હતી.’ જા, જરા નાકેથી ચારેક લીલા મરચાં વીણી લાવ, તો ઢોકળાંની થાળીમાં પાથરી દઉં.’ ચોથેશ્વરીને ધણીને ધંધે લગાડી દેવાનો ઇલાજ પેલા તાવીજના ઇલમ જેવો જ અસરકારક જણાતો.

ચોથિયાને આવું કામ ચીંધાય ત્યારે પોતે કોઈ બાટલીમાં પુરાયેલા જીન જેવો છે તેમ જ લાગતું. આ તો ઠીક છે કે દેશમાં લોકશાહી છે, નહીં તો પોતાના કેવા હાલહવાલ થયા હોત, તેણે વિચાર્યું. ‘ખરેખર’ ? તેને ક્યાંકથી એક ગેબી અવાજ સંભળાયો. પોતાની ઉપરના વડના ઝાડની ડાળીઓમાં ઝીણવટથી જોતા તેને જણાયું કે ઉપર બેસીને વડના ટેટા ખાતાં-ખાતાં કોઈક આ વાઈફાઈ મોજાં મોકલી રહ્યું હતું. ચોથિયો તેની પાસે પહોંચી ગયો અને પૂરા માનવિવેક સાથે હળવે રહીને પૂછ્યું, ‘મહાશય, આ દેશની લોકશાહી તરફ મેં ચાહત દાખવી તેમાં આપશ્રીને નડતર ક્યાં થયું? અમે કાંઈ ચીન જેવા થોડા જ છીએ કે લોકોની જમીનો ખૂંચવી લઈએ કે પછી અમારે ત્યાં કોઈ અંકુશો હોય અને કોઈ અભિવ્યક્તિ કરી ના શકતું હોય તેવું ક્યાંય બને છે ખરું તે તમે શંકા આદરો છો? હા, અમારી મન કી બાતમાં કોઈને એવું જણાય ખરું કે અમે લખવા-બોલવાની કે સભાસરઘસની મંજૂરીની બાબતમાં જરા આળા છીએ. પણ શું થાય, અમારે તો એક સુપર પાવર થવું છે અને દુશ્મન હોય કે ના હોય તેના દાંત ખાટા કરી નાંખવા છે. અમે નવસો-હજાર વર્ષ ગુલામ રહ્યા – પણ હવે તો જોઈ જ લેજો આ ભાયડાના ભડાકા.’ ચોથિયાને થયું આ છેલ્લી વાત તો કદાચ તેણે ચોથેશ્વરીજીને ઉદ્દેશીને કહેવાની હતી પણ અહીં કહેવાઈ ગઈ. ખેર, અલબત્ત તેનું ધ્યાન હતું કે આ કોઈક નવો જ વાનર બિરાદર હતો.

‘મારું નામ છે સવારીદાસ અને હું ઉત્તરનો શિતપ્રદેશોનો વાસી છું.’ આગંતુકે વડના લાલ ટેટાને તોડીને બટકાવતા કહ્યું. ચોથિયો તેની મુખમુદ્રા અને છટાને મુગ્ધભાવે નીરખી રહ્યો છે. રખેને તેની પાસે દેશની પરિસ્થિતિ બાબતે કોઈક ગૃહ્યજ્ઞાન હોય પણ ખરું. ચોથિયાની કુંડળીમાં જ શાશ્વત શિષ્યત્વનો યોગ હતો, તેથી તે દરેકને ગુરુ માનવા પણ સજ્જ બની રહેતો. છેક ઉત્તરના પ્રદેશોમાંથી – એટલે કે નગાધિરાજ હિમાલયની ગિરિકંદરાઓમાંથી પધારેલા આ સવારીદાસ પાસેથી રખેને જ્ઞાનનો કોઈક ઇલમ સાંપડી બેસે – એવી આશા સાથે તેણે પણ વડના ટેટા આરોગવાનો પ્રારંભ કર્યો. ‘અમે સૌ બાટલીમાં પુરાયેલા જીન જેવા નથી એમ મેં કહ્યું ત્યારે તમે શંકા કેમ પ્રગટ કરી’, ચોથિયાએ વિનમ્રભાવે સવાલ કર્યો.

અનેક પર્વતો, ખીણો, સરોવરો અને પ્રદૂષિત નદીઓનાં પણ નીર પીને પાવન બની ચૂકેલા સવારીદાસે સ્વાભાવિકપણે જ સાંપડી ગયેલા આ શિષ્ય તરફ દયાદૃષ્ટિ કરીને જ્ઞાનયજ્ઞનો શુભારંભ કર્યો. ‘જો ભાઈ, સ્વતંત્રતા એટલે શું તે તું જાણે છે? સ્વતંત્રતા એટલે મનફાવે તે વસ્ત્રો પહેરવા કે મનફાવે તે ખાવુંપીવું એટલું જ નથી. ખરી સ્વતંત્રતા તો અભિવ્યક્તિની ગણાય. તમને ન ગમે તેવું બોલવા-લખવાની છૂટ હોય ત્યારે સ્વતંત્રતા પ્રગટવાની શરૂઆત થાય. પેલા આનર્તદેશના એક પ્રોફેસરે કહ્યું હતું ને તેમ – ‘નો, સર’ કહેવાય, એટલે સ્વતંત્રતા તરફ અભિમુખ થયા ગણાઈએ.’

‘આ તમે બધા જાતભાતના કુવિચારો કરનારા ક્યાંથી આવી મળો છો તે જ મને તો સમજાતું નથી.’ અચાનક જ પ્રગટી ઊઠેલા યપ્પીએ ઝપાટાભેર પોતાની વિદગ્ધ વાણી વહેવડાવવા માંડી. તમારે સ્વતંત્રતાને કરવી છે શું તે તો કહો. સ્વતંત્રતાને મધ મૂકીને ચાટવી છે? જુઓ, પેલું ચીન સ્વતંત્રતા વગર જ કેટલું આગળ નીકળી ગયું. આપણે પણ તેની સામે યુદ્ધ કરવાની વેળા આવી ચડે, ત્યારે આ તમારી સ્વતંત્રતાને તોપમાં ભરીને ભડાકો કરી શકવાના છો? આગળ વધો – આ બધું વેવલાપણું પાછળ છોડો. જુઓ, હવે તો અમેરિકા પણ કેટલું આગળ વધી ગયું છે. પેલા ટ્રમ્પ મહાશય પણ આપણા નેતાની વાણી અજમાવીને ‘અબકી બાર-ટ્રમ્પ સરકાર’ બોલતા થઈ ગયા છે તે આપણો પ્રભાવ જ ને! અને સૌ સારાં વાનાં થાય અને અમેરિકામાં પણ તે ચૂંટાઈ આવે એટલે આ લોકશાહી અને સ્વતંત્રતાના તમારા ખ્યાલોને કાટમાળના ભાવે વિદાય કરી દેવાશે.’ યપ્પીએ પોતાની વધતી જતી આક્રમકતા સાથે ડારો દીધો, પણ પોતાના બોલવાના ઉત્સાહમાં તે ભૂલી ગયો કે શ્વેતકેશી, ગુચ્છપુચ્છ, એકદંતગૂમ અને ચોથેશ્વરી પણ આ વડના ટેટા ખાવા આવી પહોંચ્યાં હતાં.

‘યપલા, જરાક લાજ તો ખરો – આ જ લોકશાહી અને સ્વતંત્રતાની સીડી ચઢીને તો તું અહીં લગી પહોંચ્યો છું. બાકી તું ને તારા નાતીલા તો જ્યારે અંગ્રેજોની ગોળીઓ ચાલતી હતી અને નવજુવાનોના લીલાં માથાં વધેરાતાં હતાં ત્યારે ક્યાં તો તેમની ચાપલૂસીમાં લાગ્યા હતા અને નહીં તો લપાઈને બેઠા હતા. અને હવે તમને કોના બોલ નથી ગમતા? પેલા ઉનાના દલિતો કે સૈનિકો દિનેશ રાઠોડના ન્યાય માટે કોઈ બોલે તે નથી ગમતું. કોઈ રોહિત વેમુલ્લાની વાત બોલે કે પછી કન્હૈયાકુમાર બોલે તે નથી ગમતું, કોઈ મહંમદ અખલાકનો મુદ્દો કરે કે પછી દલિતો અને આદિવાસીઓને આપવાની થતી જમીનોનો મુદ્દો ઉઠાવે – તમારી આંખો જ તંગ થઈ જાય છે. પેલા સૈનિકે – રામેશ્વર ગ્રેવાલે આત્મહત્યા કરી અને તમે તેને ‘ચાર પૈસા’ના મોલે આંકી. તેના દુઃખી પરિવારને સાંત્વના આપવા જવા માંગનારા વિપક્ષી નેતાઓને તમે તેમને મળવા તો ના જ દીધા -તેમની અટકાયતો કરી અને ઓછું હોય તેમ બાપના અપમૃત્યુના આઘાતથી હચમચી ગયેલા દીકરાને માર પણ માર્યો. હવે જો આની સામે કોઈ બોલે તો તમારા વિકાસના રથનાં પૈડાંમાંથી હવા નીકળી જાય છે. તમને જો કોઈ પૂછે કે ભઈલા મારા, ભૂલ્યો. મહારાજાસાહેબ, જરા જણાવવાની કૃપા કરો કે અમારો એવો તે કયો વાંકગૂનો થયો કે તમારે અમારા મોંએ ડૂચા મારવા પડે? બાપા, તમારા જગતગુરુ થવાના કે પછી મહાશક્તિ બનવાનાં સ્વપ્નાં ભલે તમને મુબારક રહે, પણ અમારાં અંગ દાઝે છે અને દિલ નીચોવાઈ જાય છે, તેનું જરાક સરખું ધ્યાન તો રાખો.’

‘તમે તો એટલા જડવાદી અને મતાગ્રહી છો કે તમને કેમ કરીને સમજાવવું તેની જ મને ખબર પડતી નથી.’ યપ્પીએ પોતાના ઊર્ધ્વગામી પથના રોડા સમાન આ સ્વતંત્રતા અને લોકશાહીના વિચારો સામે બળાપો વ્યક્ત કરતા કહ્યું.’ તમારે વિકાસ કરવા માટે અને મહાસત્તા બનવા માટે  ભોગ તો આપવો જ પડશેને. આ ભોગ એટલે જ મોઢું બંધ રાખવું તે.’ યપ્પીએ એક મહાન દેશભક્ત અને પ્રખર વિચારકની અદામાં એક લાગણીસભર દલીલ ફેંકી. પછી ઉમેર્યું’ ‘તુમ મૂઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ ને બદલે હવે કહેવાનું થાય છે – ‘તુમ ચુપ રહો …’ પછી શું બોલવાનું થાય તેની તેને ખબર ના પડી.

‘જો યપ્પીડા, તું જે વાત કરે છે તે પ્રકારની વાતો બીજા વિશ્વયુદ્ધના ગાળામાં મુસોલિનીએ પણ કહી હતી. રાષ્ટ્રવાદના મહોરા હેઠળ તેણે પણ હાહાકાર મચાવેલો. તેનાં પરિણામોની જગતને ખબર છે. દુનિયાનો ઇતિહાસ કહે છે : જ્યાં પણ લોકો જીવંત હોય ત્યાં જ બોલચાલો હોય છે. અસહમતી, દલીલ, વાદ-વિવાદ, ચર્ચા. આ બધા તો લોકશાહી માટેનાં વસાણાં કહેવાય. તમારે પેલા અરવિંદ કેજરીવાલ કે પછી રાહુલ ગાંધીની અટકાયત કરવી જ કેમ પડી? એક દુઃખી પરિવારને સાંત્વન આપવા જવું તે ખોટું છે?’ શ્વેતકેશીને આ બાબતે ઉપડેલી વ્યથા અટકાવાનું નામ લેતી ન હતી.

ધીમે રહીને ચોથેશ્વરી મેદાનમાં ઊતર્યાં. ‘ભાઈ યપ્પી, આ તું આટઆટલું બોલ્યે ગયો તે તને બોલવા જ ના દેવાય તો? તમને ફાવે અને તમારાં વખાણ થાય તેવું જ બધા બોલે અને લખે કે? સદાકાળની સ્તુિત તો માત્ર જગતનિયંતાની જ થાય અને આ ઈશ્વર કાંઈ લોકશાહીમાં ચૂંટણી લડીને આવતા નથી. તમારે લોકોના મત જોઈએ પણ લોકો તમને કાંઈ પણ પૂછે તો તમે આળા થઈ જાવ એવું કેમ? આમ તો ઘણીબધી ટીવી ચૅનલો તમને ફાવે તેવું જ બોલે છે, પણ જો કોઈ તમારી તરફદારી ન કરે તો તમને તેની તરફ ગુસ્સો કેમ આવે છે? અને તે પણ એટલો બધો કે તેમને એકાદ દા’ડા માટે ‘ઑફ ઍર’ કરી દો ? યાદ રાખજો, અગાઉ આ દેશમાં કટોકટીનું શાસન લદાયું હતું. તે વખતે લોકોએ જાતે જ લોકશાહીનું રક્ષણ કરી બતાવ્યું હતું. આ દેશમાં શાસન કરવાનો અર્થ એવો હરગિજ નથી કે તમે લોકોને મારી-મચડીને કોઈક ચોકઠામાં ફિટ કરી દો. તમે આખા દેશને દીવાલો ચણીને કેદ ના કરી શકો. બર્લિનની દીવાલ તો તૂટી તે તૂટી જ. હવે તેને ફરીફરીને ચણવાનો ઉદ્યમ ના કરશો. અમે નથી બાટલીમાં પુરાઈ જઈએ એવાં જીન કે સહેજ ઘસતાની સાથે ‘હુકમ મેરે આકા’ કરતાને ઊભાં થઈ જઈએ. અને નથી કોઈ અનારકલી કે જીવતે જીવ, કોઈ ઊંચી ને ઊંચી ચણાતી જતી દીવાલોમાં કેદ થઈને રૂંધાઈ જઈએ. અમને જીવનના મહત્ત્વની બરાબર ખબર છે અને તેથી જ અમે ડારો દેનારાથી ડરતા નથી.’ ચોથેશ્વરીએ મણનો નિસાસો મેલતા કહ્યું.

હવે તો ગુચ્છપૂચ્છથી પણ રહેવાયું નહીં. ‘બહુ થયું અને બહુ સહન કીધું.’ બાપલા તમે તો નીત નવી ને નવી મોજમાં મંડાતા જ જાવ છો. અમે કહીએ, આ ચિકનગુનિયા અને ડૅન્ગ્યુમાં લોક ભરખાતું જાય છે. તો તમે મારા વા’લીડા, કે’શો, ચાઇનીઝ બનાવટના ફટાકડા ફોડવાથી આપણી રાષ્ટ્રભક્તિને આંચ આવે છે. અમે કહીએ, બાપ તો દીવાળીના ટાંકણે કેરોસીન મળતું નથી તો તમે કો’ છો આપણો દેશ વિકાસ કરવામાં અગ્રેસર છે. અમે કહીએ છીએ, આ ભણવાની ફીયું બહુ ઊંચી છે અને ભણ્યા કેડે કોઈ નોકરીઓ જોગ ખાતો નથી તો તમે કો’ છો, દેશદેશાવરમાં અમારા ભ્રમણને લીધે આપણી આબરૂ વધી છે. અમે કહીએ છીએ એમને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને તમે કો’ છો આપણી જી.ડી.પી. સડસડાટ વધી રહી છે. અમે કહીએ છીએ, આ મગફળીના ભાવ પોષાતા નથી, તો તમે કો’ છો મગફળી અમને પૂછીને વાવી હતી? પણ કપાસના ભાવ તો તમે જ ઊંચા અલાવશો એમ તો તમે કે’તાતાને – હવે બધું ભૂલાવી દીધું? તમે તેના સારા ભાવ આલશે એમ માનીને કપાસ વાવ્યો અને પાયમાલી આવે એવા નીચા ભાવ આવ્યા તે અમારો એક જુવાનજોધ દીકરો ફાટી પડ્યો. મારા બાપલા, અમારા સવાલો કયા છે અને તમારા જવાબો તો ઠીક પણ વે’વારોય કેવા છે? અમને તો લાગે છે કે તમે અમારા સવાલોના જવાબો આપી શકો તેમ જ નથી તેથી આ દિવાળીના દિવસોમાં જાતભાતનાં તારામંડળ, બપોરિયાં, સાપ, તડતડતડિયાં અને લવિંગિયાં ફોડે જાવ છો. અમારી ભેરે ચડે અને અમ જેવાની બે વાત જગતના કાને નાંખે તે બધા તમારા વેરી થઈ ગયા? અને તમને તમારી ટીકા કરનારા જણાય છે તે લોકો આખરે બોલે છે શું? ગરીબને મારો નહીં. અમીરને પહેલા ખોળાના ગણો નહીં. ખેડૂતને મારો નહીં, જમીન ઝૂંટવો નહીં, દલિત કે મુસલમાન પણ આજ દેશના મારા-તમારા જેવા જ નાગરિકો છે, તેમને પણ ખુશહાલીમાં ભાગ આપો, બધાને ખાવા-પીવાની, હરવા-ફરવાની હળવા-મળવાની સ્વતંત્રતા તો ગાંધીબાપાના જમાનાથી મળેલી જ છે. તે ખૂંચવી તો ના લો.’

અને હવે તો એકદંતગૂમે પણ દરેક ‘શ’કારે સિસોટી વગાડતા-વગાડતા ઉમેર્યું. ‘અમને તો એમ કે તમે વેદ-ઉપનિષદ-પુરાણોમાં યથોચિત શ્રદ્ધા ધરાવીને અને તેને આધુનિક સમયમાં ઉજાગર કરીને આ દેશને વધુ સારો બનાવશો. પણ તમારી વાતો અને વ્યવહાર વચ્ચે જોજનોનું અંતર પ્રગટી રહ્યું છે તે તમને ભળાતું જ નથી? આ દેશ તો કહે છે, ‘અબધ્નન પુરુષં પશુમ’ – પુરુષ કે પશુની પણ હત્યા ન કરો અને તમારા શાસનમાં થતી હત્યાઓ સામે જો કોઈ બોલે તો તમે કહેશો અરે, આ તો રાષ્ટ્રવિરોધી છે. બાપા મારા, આ રાષ્ટ્ર તમારું આટલું બધું આરાધ્ય હતું, તો આઝાદીની લડત વખતે તમે કેટલી દરકાર કરી તે તો કહો. અને રાષ્ટ્રને માત્ર ગઠીલા સ્નાયુ અને લટ્ઠાબાજી વડે જ ઓળખી શકાય કે? આ રાષ્ટ્ર માટેની ન્યોછાવરી તો બેહિસાબ છે અને તેના પ્રેમ કે ભક્તિ માટે ન તો કોઈના સર્ટિફિકેટની જરૂર છે કે ન તો તે માપી, આંકી કે ખૂંચવી શકાય છે.’

હવે તો પેલા સવારીદાસને પણ લાગ્યું કે પોતે જે ધરમનો ધંધો કરવા નીકળ્યા હતા તે કાંઈ બહુ કામની ચીજ ન ગણાય. ધરમનો મરમ તો કટિંગ ચા પીનારા. બે મૂઠી ચવાણું ફાકનારા, દાલરોટીની જદ્દોજહદ કરનારા, અડખેપડખેના લોકોની ભીડ જાણનારા એવા કરોડો લોકમાં કુંડલી મારીને બેઠી છે. તેમને કુંડલીની યોગ શિખવાડવાના ધખારા કરવા જેવા નથી.

આમ તો ચોથેશ્વરીને પણ હજુ ઘણું બધું કહેવાનું હતું પણ તેમને ખ્યાલ આવ્યો કે યપ્પીના દિમાગમાંથી કશું પણ સાંભળવાનો પ્રોગ્રામ જ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. એક મુઠ્ઠો ભરીને વડના ટેટા બધા સામે ઉછાળીને આપણો પ્રિય મિત્ર યપ્પી હૂપાહૂપ કરતો ભાગી ગયો.

E-mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 08-09

Loading

ન્યાયમૂર્તિઓની નિમણૂક : લોકો ન્યાય ઇચ્છે છે, વિવાદ નહીં !

કૃષ્ણકાંત વખારિયા|Opinion - Opinion|17 November 2016

દેશની સંખ્યાબંધ હાઈકોર્ટ અને કેટલીક સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકના વિવાદને કારણે હાઈકોર્ટમાં લગભગ ૪૦ ટકા ઉપરાંતની જગ્યા અને સુપ્રીમ કોર્ટમાં આશરે ત્રણ-ચાર જગ્યાઓ પર ન્યાયાધીશોની નિમણૂકો થતી નથી. આ બંને કોર્ટમાં મોટા પ્રમાણમાં કેસોનો ભરાવો છે. હાઈકોર્ટોમાં અનેક એવા કેસો છે કે જે છેલ્લાં દસ-પંદર વર્ષોથી પડતર છે અને તેનો ક્યારે નિકાલ આવશે, તેનો કોઈ અંદાજ આપી શકે તેમ નથી. કેસોનો સમયસર નિકાલ ન થવાને કારણે નાગરિકોને સરાસર અન્યાય થતો હોય છે. અનેક એવા કિસ્સાઓ છે કે નીચલી અદાલતે ફોજદારી ગુનાના કેસમાં કરેલ પાંચ-દસ વર્ષની સજા પૈકી મોટા ભાગની સજા ભોગવી લીધા પછી અપીલ સુનાવણી પર આવે અને હાઈકોર્ટ આરોપીને શંકાનો લાભ આપી અથવા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી છોડી મૂકે, ત્યારે આ આરોપીએ પાંચ-સાત વર્ષ જેલમાં પાકા કામના કેદી તરીકે વિતાવીને પોતાની જિંદગીનાં અમૂલ્ય વર્ષો ખર્ચી નાંખ્યાં હોય. દીવાની કેસોમાં અનેક એવા કિસ્સા છે કે હાઈકોર્ટ વર્ષો પછી ચુકાદો આપે, ત્યારે ચુકાદો લાભમાં હોવા છતાં પણ જે-તે વ્યક્તિ ભોગવી શકે નહીં. હાઇકોર્ટમાં કેસના ભરાવા મુજબ ન્યાયમૂર્તિઓની સંખ્યા વધારે અને કોર્ટ ન્યાયાધીશોની સંપૂર્ણ સંખ્યા સાથે કામ કરે તો પણ કેસોનો જે ભરાવો છે, તેનો નિકાલ થતાં અંદાજે એક સર્વે મુજબ ઓછાંમાં ઓછાં પચાસ-સો વર્ષો લાગે તેમ છે, ત્યારે નિમણૂકને લઈને આ વિવાદ દેશ માટે શરમજનક કહેવાય. એમ કહેવાય છે કે “Justice delayed is justice denied”. સમસ્યા ખૂબ ગંભીર છે. તેમાં કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ન્યાયમૂર્તિઓની નિમણૂકના મુદ્દે જે વિવાદ ચાલે છે, તેને કારણે હાઈકોર્ટમાં લાંબા સમયથી ન્યાયમૂર્તિઓની નિમણૂક થતી નથી. આ પશ્ચાદ્ભૂમિકામાં ન્યાયમૂર્તિની નિમણૂકના વિવાદના સમગ્ર પાયા સમજીએ.

જાહેર જનતા અને કોર્ટમાં પડતર કેસોના પક્ષકારોની અપેક્ષા એવા ન્યાયમૂર્તિઓની છે કે જેની તટસ્થતા અને વિદ્વત્તામાં વિશ્વાસ મૂકી શકાય, જે જટિલ કેસોની સમસ્યાની ઊંડી સમજણવાળા, કામ કરવાની ધગશવાળા અને ઝડપી નિકાલ કરી શકે તેવા સક્ષમ ન્યાયમૂર્તિઓ હોય. તટસ્થ ન્યાયમૂર્તિ એટલે કોઈની શેહ-શરમમાં આવ્યા વગર પ્રામાણિકતાથી ન્યાય તોળી સમયસર ચુકાદો આપે એવા ન્યાયમૂર્તિ.

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિનાં પદો બંધારણીય પદો છે. બંધારણે નિયત કરેલા સોગંદ લીધા પછી જ ન્યાયમૂર્તિ વિધિવત્ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવી શકે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ કેન્દ્ર કે રાજ્ય સરકારના આઈ.એ.એસ. અધિકારીઓ અને અન્ય નોકરિયાતોની જેમ કેન્દ્ર કે રાજ્યના નોકરિયાતો નથી. બંધારણે આ ન્યાયમૂર્તિઓની નિવૃત્તિવય નક્કી કરેલ છે તેમ જ બંધારણે એવી જોગવાઈ કરેલ છે કે ન્યાયમૂર્તિને નિવૃત્તિવય સુધી તેમની સેવાની શરતોમાં કે નિવૃત્તિની વયમર્યાદામાં ફેરફાર કરી શકાય નહીં. ન્યાયમૂર્તિઓને માત્ર સંસદ જ ૨/૩ મતોની વિશેષ બહુમતીથી ઠપકાની દરખાસ્ત પસાર કરીને એ પદેથી દૂર કરી શકે.

બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંડળ, સાંસદ, ધારાસભ્ય, સ્પીકર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશો, કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ, ઍટર્ની જનરલ, ઍડ્વોકેટ જનરલ બંધારણીય પદો છે. કમ્પ્ટ્રોલર જનરલ અને ઑડિટર જનરલને પદ પરથી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ વિશેષ ૨/૩ બહુમતીથી ઠપકાની દરખાસ્ત પસાર કરીને દૂર કરી શકે.

બંધારણની આ જોગવાઈઓ એટલા માટે વર્ણવેલ છે કે સામાન્યતઃ છેંતાલીસ વર્ષની વયથી બાવન વર્ષની વય વચ્ચેની વ્યક્તિઓ હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિમાય છે. જેમને સેવાનો લાંબો સમય હોય છે તે દરમિયાન તેઓ લીધેલ સોગંદને વફાદાર ન રહે અથવા ન્યાય કરવાની ફરજમાં ગેરવર્તણૂક કરે તો તેમને ન્યાયાધીશપદેથી સંસદની વિશેષ બહુમતીથી જ દૂર કરી શકાય. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સ્પીકર, સાંસદ, ધારાસભ્ય વગેરેના પદની મુદત પાંચ વર્ષની છે અને દર પાંચ વર્ષે જે-તે મતદારમંડળનો વિશ્વાસ પ્રાપ્ત કરી ચૂંટાવાનું હોય છે, જ્યારે ન્યાયમૂર્તિની હોદ્દાની મુદત હાઈકોર્ટમાં ૬૨ વર્ષની અને સુપ્રીમ કોર્ટમાં ૬૫ વર્ષની છે. સને ૧૯૫૦ના જાન્યુઆરીમાં બંધારણ અમલમાં આવ્યા પછી ન્યાયમૂર્તિના ગેરવર્તણૂકના અનેક કિસ્સાઓ હોવા છતાં પણ સંસદે વિશેષ બહુમતીથી એકાદ અપવાદ સિવાય કોઈ ન્યાયમૂર્તિ સામે ઠપકાની દરખાસ્ત પસાર કરેલ નથી.

એ બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે કે જે વ્યક્તિની નિમણૂક ન્યાયમૂર્તિ માટે કરવાની હોય છે, તે એક માનવ છે અને માનવસહજ નબળાઈઓને આધીન છે. માનવસહજ નબળાઈઓમાં કામ, ક્રોધ, લાલચ, અહંકાર, મિથ્યાભિમાન, પૂર્વગ્રહ, લાભાલાભ, અદેખાઈ, સગાંવાદ, પક્ષપાત વગેરે અનેક નબળાઈઓથી ઉપર ઊઠવા માટેનું ઉચ્ચ ચારિત્ર્ય અને પદ અંગેની ફરજ નિભાવવાની સભાનતા જરૂરી છે. બંધારણ સભામાં ન્યાયમૂર્તિઓની નિમણૂકના પ્રશ્ને ડૉ. આંબેડકરે કહેલું કે That, the Chief Justice is also a human being and is man with all the failings and prejudices which common people are supposed to have”. ઉપર્યુક્ત વિધાન ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ સાથે મસલત કરવાની જરૂરિયાતને બદલે મુખ્ય ન્યાયમૂર્તિની સંમતિથી જ નિમણૂક કરી શકાય, તેવી ચર્ચાના પ્રત્યુત્તરમાં કરેલું.

સને ૧૯૭૩ સુધી ન્યાયમૂર્તિઓની નિમણૂક અંગે કોઈ ખાસ વિવાદ ન હતો. અલબત્ત, સને ૧૯૫૦ના દાયકામાં મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ચાગલા અને મુંબઈ રાજ્યના મુખ્યમંત્રીશ્રી મોરારજીભાઈ દેસાઈ વચ્ચે મુંબઈ હાઈકોર્ટના એક ન્યાયાધીશની નિમણૂક અંગે મતભેદ થયેલો, પરંતુ તેમાં શ્રી મોરારજીભાઈએ નમતું જોખેલું. સને ૧૯૫૦માં બંધારણ ઘડાયું ત્યારથી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂકની જોગવાઈ આર્ટિકલ ૧૨૪ મુજબ કરવાની હોય છે અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક આર્ટિકલ ૨૧૭ની જોગવાઈ મુજબ કરવાની રહે છે. આ બંને આર્ટિકલોની જોગવાઈ મુજબ ન્યાયમૂર્તિ નીમવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય, ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક કરવાની રહેતી હોય, ત્યારે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે મસલત કરવી તેવી જોગવાઈ છે. અલબત્ત, રાષ્ટ્રપતિએ આ અંગે કેન્દ્ર સરકારની સલાહ મુજબ નિમણૂકો કરવાની હોય છે. એક પ્રણાલિકા તરીકે કેન્દ્ર સરકાર જે-તે રાજ્યોની હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની નિમણૂક અંગે રાજ્ય સરકારોના અભિપ્રાય પણ લક્ષમાં લેતી હોય છે. ઉપર્યુક્ત રીતે સને ૧૯૭૩ સુધી વિના વિવાદે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નિમણૂકો થતી હતી અને આ પ્રકારની નિમણૂકો વિના વિલંબે જગ્યા ખાલી પડે કે તરત જ કરવામાં આવતી હતી.

સને ૧૯૭૩માં સુપ્રીમ કોર્ટના ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ જસ્ટિસ જે.એમ. શેલત, જસ્ટિસ હેગડે અને જસ્ટિસ ગ્રોવરને સુપરસીડ કરી વરિષ્ઠતામાં ચોથા ક્રમે આવતા જસ્ટિસ એ.એન. રેને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિપદે વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની સરકારે નીમેલા. આ નિમણૂકે ન્યાયતંત્ર અને વકીલ આલમમાં ભૂકંપ સર્જેલો. એટલે કે સને ૧૯૭૩ની સાલથી ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે ન્યાયમૂર્તિઓની નિમણૂકોના પ્રશ્ને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયેલું છે. સને ૧૯૭૮માં કેન્દ્રમાં વિરોધ પક્ષોના વિલીનીકરણથી બનેલ જનતાપક્ષની સરકાર મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ સત્તા પર આવી. આ સરકારમાં પણ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાંથી બઢતી આપીને એક ન્યાયમૂર્તિને નીમવામાં આવ્યા, જે વરિષ્ઠતામાં ગુજરાત હાઈકોર્ટમાં ચોથા ક્રમે આવતા હતા. ગુજરાત હાઈકોર્ટના ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સિનિયોરિટીની અવગણના કરી ચોથા ન્યાયમૂર્તિને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી, જેની અટક પણ ‘દેસાઈ’ હતી અને તે વડાપ્રધાન મોરારજીભાઈની નાતના હતા. એ ન્યાયમૂર્તિએ સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે પૂરી પ્રામાણિકતાથી અનેક ગૂંચવાડાભર્યા કેસોના સક્ષમ ચુકાદાઓ આપેલા, જે આજે પણ અનુસરવામાં આવે છે. જે ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ સુપરસીડ થયા તે પૈકી બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પણ સક્ષમ ન્યાયમૂર્તિઓ હતા અને ઇમરજન્સીના સમયમાં ભારે હિંમતથી નિર્ભયતાપૂર્વક બંધારણીય ચુકાદાઓ આપેલા. સુપ્રીમ કોર્ટના બારે આ ન્યાયમૂર્તિની સોગંદવિધિનો બહિષ્કાર કરેલો. આ નિમણૂકે ગમે તે પક્ષની સરકાર હોય, તો ન્યાયતંત્ર અને વકીલ આલમમાં સરકારના હસ્તક નિમણૂક રહેવી જોઈએ નહીં, તેવું અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું.

જનતાપક્ષની મોરારજીભાઈના નેતૃત્વ હેઠળની સરકાર લાંબો સમય ચાલી નહીં. મોરારજીભાઈની વિદાય પછી જે વડાપ્રધાન બન્યા તે લોકસભામાં વિશ્વાસનો મત પણ લઈ શક્યા નહીં અને એ સરકાર પાંચ વર્ષનો ગાળો પૂરો કરી શકી નહીં. સને ૧૯૮૦માં ફરી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ સરકાર સત્તા પર આવી.

આ લેખકે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટીની હેસિયતથી સને ૧૯૮૦ના ઑક્ટોબર મહિનામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણૂકના પ્રશ્ને અને હાઈકોર્ટ જજોની ફેરબદલીના પ્રશ્ને અમદાવાદ મુકામે રાષ્ટ્રીય સેમિનાર આયોજિત કરેલો, જેમાં દેશભરની બાર કાઉન્સિલો અને બાર ઍસોસિયેશનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સેમિનારનું ઉદ્ઘાટન નામાંકિત ધારાશાસ્ત્રી એલ.એમ. સિંઘવીએ કરેલ, જેમાં પ્રથમ પંક્તિના ધારાશાસ્ત્રીઓ  રામ જેઠમલાણી, રાજેન્દ્ર સિંહ, રણજિત મહંતી, વી.આર. રેડ્ડી વગેરે હાજર રહ્યા હતા. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ટ્રસ્ટના સેક્રેટરી તરીકે ડૉ. માધવ મેનને આ સેમિનારનું સંચાલન કરેલું. આ સેમિનારે કૉલેજિયમ પ્રથમ પરામર્શમાં દાખલ કરવાનો વિચાર જાહેર રીતે ઠરાવ રૂપે પ્રથમ વખત મૂક્યો.

અલબત્ત, આ કૉલેજિયમમાં બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના પ્રતિનિધિઓ અને ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓને સમાવવા અંગેનું સૂચન હતું.

ન્યાયમૂર્તિઓની નિમણૂક અને ફેરબદલીના પ્રશ્નના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં સાત ન્યાયમૂર્તિઓની બંધારણીય બૅન્ચે ડિસેમ્બર, ૧૯૮૧માં ચુકાદો આપ્યો, જેમાં ન્યાયતંત્ર સ્વતંત્ર રહેવું જોઈએ તેમ જ તે સંદર્ભમાં ન્યાયમૂર્તિની પસંદગી થવી જોઈએ, તેમ ઠરાવવામાં આવ્યું.

ત્યાર પછી સને ૧૯૯૩માં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખાલી જગ્યાઓ પૂરવાના કેસમાં સને ૧૯૮૧માં આપેલ ઉપર્યુક્ત ચુકાદા અંગે ફેરવિચારણા થવી જોઈએ, તેમ લાગતાં નવ ન્યાયમૂર્તિઓની બંધારણીય બૅન્ચ સમક્ષ કેસ મૂકવામાં આવ્યો. આ કેસ સુપ્રીમ કોર્ટે ઍડ્વોકેટ ઑન રેકર્ડ વર્સસ યુનિયન ઑફ ઇન્ડિયાના નામે જાણીતો છે, જેમાં આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭ના અર્થઘટનમાં કૉલેજિયમ પ્રથા દાખલ થઈ. કૉલેજિયમ એટલે હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂકમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂકમાં સપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓનું કૉલેજિયમ. ભારતના બંધારણમાં આર્ટિકલ ૧૨૪ કે ૨૧૭ કે અન્ય કોઈ આર્ટિકલમાં કૉલેજિયમ જેવો કોઈ શબ્દ નથી. સુપ્રીમ કોર્ટના ન્યાયતંત્રના સ્વાતંત્ર્યના ખ્યાલ અંગે વ્યાપક અર્થઘટન કરી કૉલેજિયમને આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭માં દાખલ કરવામાં આવેલ છે, જેની યથાર્થતા અંગે અનેક વિવાદો છે.

સને ૧૯૯૩થી કૉલેજિયમની સાથે પરામર્શ કરીને છેલ્લાં પચ્ચીસ વર્ષોથી નિમણૂકો થાય છે. આ ચુકાદાથી એવું ઠરાવેલ છે કે કૉલેજિયમની ભલામણ સરકારને બંધનકર્તા છે અને તે મુજબ સરકારે નિમણૂક કરવી જોઈએ. સરકાર એકાદ વખત કૉલેજિયમને નિમણૂકની દરખાસ્ત અંગે કારણો જણાવી ફેરવિચારણા કરવાનું કહી શકે, પરંતુ જો કૉલેજિયમ ફેરવિચારણા કરી ફરી એ જ વ્યક્તિનું નામ નિમણૂક માટે સૂચવે, તો તે મુજબ નિમણૂક આપવાનું સરકાર માટે ફરજિયાત છે.

છેલ્લાં પચ્ચીસ વર્ષોથી કૉલેજિયમ પ્રથા અમલમાં છે, પરંતુ તેનો એકંદર અનુભવ સંતોષકારક નથી. કૉલેજિયમના ન્યાયમૂર્તિઓના અંગત રાગદ્વેષ અને સગાંવાદ ન્યાયમૂર્તિની પસંદગીમાં ભાગ ભજવે છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ સુશ્રી રૂમા પાલે જસ્ટિસ વી.એમ. તારકુંડે સ્મૃિતવ્યાખ્યાનમાં કૉલેજિયમ પ્રથા પર બે-એક વર્ષ પહેલાં પ્રકાશ પાડતાં જણાવેલ કે, “The process by which a judge is selected to superior court is one of the best kept secrets in this country. The very secrecy of the process leads to an inadequate input of information as to the abilities and suitability of a possible candidate for appointment as Judge … personal friendship or unspoken obligation may colour recommendation. Consensus among collegiums is sometimes resolved through trade-off resulting in dubious appointment with disastrous consequences for the litigants and credibility of the Judicial system. Besides, institutional independence has also been compromised by growing sycophancy and lobbying within the system.” ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્યે સને ૨૦૧૪માં ભારતના ચીફ જસ્ટિસ કબીર આલમને લખેલા પત્રમાં જણાવેલું કે કૉલકાતા હાઈકોર્ટના કૉલેજિયમમાં તેઓ ન્યાયમૂર્તિ હતા, ત્યારે ચીફ જસ્ટિસ કબીર આલમની બહેન, જે હાઈકોર્ટના પટાવાળાના પગારથી ઓછી કમાણી વકીલાતમાં કરતી હતી અને જેને ખાસ અનુભવ ન હતો, તેની ન્યાયમૂર્તિ તરીકેની નિમણૂકનો વિરોધ કરેલો. આ અંગે જસ્ટિસ કબીર આલમનો પૂર્વગ્રહ તેમની વરિષ્ઠતા હોવા છતાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂકમાં અડચણરૂપ બનેલો. દિલ્હી હાઈકોર્ટના સક્ષમ અને પ્રામાણિક ચીફ જસ્ટિસ શ્રી એ.પી. શાહ કૉલેજિયમના એક ન્યાયમૂર્તિના પૂર્વગ્રહને કારણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી પામ્યા નહીં. આવાં તો અનેક દૃષ્ટાંતો છે. ન્યાયવિદ્ અને વિખ્યાત  ધારાશાસ્ત્રી શ્રી ફલી નરીમાને તેમની આત્મકથામાં પણ આ અંગે સુંદર વિવરણ કરેલું છે.

કૉલેજિયમ પદ્ધતિની આ ઉપરાંત વધારાની એક નબળાઈ એ છે કે નિમણૂકની સમગ્ર પ્રોસેસ ગૂંચવાડાભરી અને નિમણૂકમાં વિલંબ કરનારી છે. આ પ્રથા ચાલુ રાખવી હોય તો પણ, તેમાં સુધારા કરવા જોઈએ, તેમ ખુદ સુપ્રીમ કોર્ટે ‘National Judicial Appointment Commission’ અંગે સને ૨૦૧૬માં આપેલ ચુકાદામાં પણ સ્વીકારેલ છે. હકીકતે ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં જે વિલંબ થઈ રહ્યો છે અને ખાલી જગ્યાઓ પુરાતી નથી, તેને માટે કૉલેજિયમ પ્રથા જવાબદાર છે.

ઉપર્યુક્ત સંદર્ભમાં લોકસભાએ ભારતના બંધારણમાં નવ્વાણુમો સુધારો કરી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિમણૂક અંગે ‘National Judicial Appointment Commission’ રચવાનો કાયદો લગભગ સર્વસંમતિથી કર્યો. આ કાયદા અંગેનું બિલ કૉંગ્રેસની આગેવાની હેઠળની યુ.પી.એ. સરકારે તૈયાર કરેલું. સને ૨૦૧૪ ભાજપની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારે સત્તા પર આવતાં આ બિલ લોકસભામાં રજૂ કરેલ. આ બિલને ભા.જ.પ. અને કૉંગ્રેસનું સંપૂર્ણ સમર્થન હતું. લોકસભાના અન્ય પક્ષો પણ આ બિલનું સમર્થન કરતા હતા, જેમાં અપવાદ રૂપે તામિલનાડુનો એ.આઈ.ડી.એમ.કે. પક્ષ હતો, જેણે આ બિલનો સંસદમાં વિરોધ કરેલ નહીં, પરંતુ મતદાન વેળા ગેરહાજર રહેલા. રાજ્યસભામાં માત્ર એક વિરોધ મતે આ બિલ પ્રચંડ બહુમતીથી પસાર થયેલું. પાર્લામેન્ટે ૯૯મો સુધારો કર્યા પછી બંધારણ સુધારાની જોગવાઈઓ મુજબ દેશની અર્ધા ઉપરાંતની ધારાસભાઓએ આ બિલનું સમર્થન કરેલ. આ સુધારા હેઠળ જે કમિશન રચવાનું હતું, તેમાં કુલ્લે છ સભ્યો હતા, જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, ભારત સરકારના કાયદાપ્રધાન અને વડાપ્રધાન ચીફ જસ્ટિસ અને વિરોધપક્ષના નેતાની સમિતિ નીમે તેવા અગ્રગણ્ય બે પ્રબુદ્ધ નાગરિક નીમવાની જોગવાઈ હતી. સુપ્રીમ કોર્ટે સને ૨૦૧૬ના ફેબ્રુઆરી મહિનામાં ઉપર્યુક્ત ૯૯મો સુધારો ચાર જજોની બહુમતીથી ગેરબંધારણીય ઠરાવ્યો અને કૉલેજિયમ પ્રથા પારદર્શક બનવી જોઈએ અને તે અંગેની કાર્યવાહી કરવાનું સ્વીકાર્યું. ફલશ્રુતિ રૂપે વિલંબ કરનારી કૉલેજિયમ પ્રથા ચાલુ રહી.

હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં સામાન્યતઃ ધારાશાસ્ત્રીઓના વ્યવસાયમાંથી લગભગ સિત્તેર ટકા અને જિલ્લા કક્ષાની જ્યુડિશિયલ સર્વિસમાંથી ત્રીસ ટકા ન્યાયમૂર્તિઓ નિમાતા હોય છે. ધારાશાસ્ત્રીઓના વ્યવસાયમાં પસંદગી જે-તે હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરતા ધારાશાસ્ત્રીઓ પૂરતી મર્યાદિત હોય છે, જેને કારણે પસંદગીનું ફલક સાંકડું બને છે. આ ઉપરાંત વકીલાતના વ્યવસાયમાં મોટી કમાણીની તક હોવાને કારણે સારી પ્રૅક્ટિસવાળા તેજસ્વી વકીલો ન્યાયમૂર્તિ થવાનું પસંદ કરતા નથી. ન્યાયમૂર્તિઓના પગાર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના આઈ.એ.એસ. સચિવો સમકક્ષ હોય છે. ન્યાયમૂર્તિની જગ્યા માટે અખિલ હિંદ ધોરણે ધારાશાસ્ત્રીઓમાંથી પસંદગી થતી નથી કે આ નિમણૂકો માટે કોઈ પરીક્ષા પસાર કરવાની હોતી નથી, માટે કમસે કમ પસંદગીનું ફલક વિશાળ અખિલ હિંદ ધોરણે કરવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે સને ૨૦૧૬મો ૯૯માં બંધારણીય સુધારો અને નેશનલ જ્યુડિશિયલ ઍપોઇન્ટમેન્ટ કમિશનને ગેરકાયદેસર ઠરાવ્યાં, તેના અંગે એક ટિપ્પણી એવી છે કે સુપ્રીમ કોર્ટે સને ૧૯૯૩માં બંધારણના આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭ના અર્થઘટનની ન્યાયમૂર્તિઓ નીમવાના જે અધિકારો પ્રાપ્ત કર્યા છે, તે અધિકારો ન્યાયતંત્ર છોડવા માગતી નથી. હકીકતે સને ૧૯૯૩માં આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭નાં જે અર્થઘટન થયાં તેને બંધારણનાં સભાની ડિબેટમાં કે બંધારણની ભાષામાં કોઈ સમર્થન મળતું નથી.

સરકારનાં ત્રણેય અંગો, પાર્લામેન્ટ, કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાંને પૂરક બને અને સંવાદિતાથી કામ કરે તે જરૂરી છે. સને ૨૦૧૬ના ફેબ્રુઆરીના ચુકાદાથી સંસદે પસાર કરેલ બંધારણીય સુધારો ગેરબંધારણીય ઠરાવ સંસદ તેમ જ આ સુધારો સૂચવનાર કારોબારીતંત્રની અવગણના થયાની આ બંને અંગોમાં લાગણી છે. બંધારણ હેઠળ દરેકેદરેક તંત્રની મર્યાદાઓ અંકાયેલ છે, ત્યારે ત્રણેય તંત્રો મર્યાદામાં રહી સંવાદિતાથી કાર્ય કરે એ આજની તાતી જરૂરિયાત છે.

આમ જનતાને બંધારણીય આંટીઘૂંટીમાં ભાગ્યે જ રસ છે. આમજનતા પ્રામાણિક, સક્ષમ અને ઝડપી ન્યાય આપે તેવા ન્યાયમૂર્તિઓ ઝંખે છે.

E-mail : kgv169@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 10-12

Loading

તીનમૂર્તિ અને સાબરમતી આશ્રમની આર્કાઇવ્ઝ મને શ્રેષ્ઠ લાગે છે : રામચંદ્ર ગુહા

નિલય ભાવસાર|Gandhiana|17 November 2016

ભારતના આધુનિક ઇતિહાસકાર તરીકે જાણીતા લેખક રામચંદ્ર ગુહા તેમના સંશોધનકાર્ય અર્થે અમદાવાદના સાબરમતી આશ્રમના અભિલેખાગાર(આર્કાઇવ્ઝ)ની મુલાકાતે આવ્યા હતા, તે દરમિયાન તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છે. આ વાતચીત દરમિયાન લેખક રામચંદ્ર ગુહાએ સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝ અને સાથે કોઈ પણ ક્ષેત્રમાં આર્કાઇવ્ઝનુંશું મહત્ત્વ રહેલું છે, તે વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.

અમદાવાદના સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝ અંગે વાતચીત કરતાં રામચંદ્ર ગુહાએ જણાવ્યું હતું કે હું અહીં લગભગ ત્રીજી અથવા ચોથી વખત મુલાકાત લઈ રહ્યો છું. અહીં આર્કાઇવ્ઝ માટેનું એક અલગ જ બિલ્ડિંગ છે અને ત્યાં કાર્યરત કર્મચારી તેમ જ સંશોધક આરામથી સંશોધનનું કાર્ય કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં કાર્ય કરતાં લોકો આર્કાઇવ્ઝ અને પોતાના કાર્ય અંગે માહિતગાર છે અને સાથે મદદગાર પણ છે. મારા સંશોધનના કાર્ય માટે મને ત્રિદીપભાઈ અને કિન્નરીબહેન તરફથી ખૂબ જ મદદ મળી રહી છે. સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝનું આ નવું બિલ્ડિંગ ખૂબ જ સરસ છે અને મને લાગે છે કે ભવિષ્યમાં અહીં ગાંધીજી અને તેમની સાથે સંલગ્ન વિવિધ સ્વરૂપની સામગ્રી તેમ જ ડૉક્યુમેન્ટ્સમાં વધારો થતો રહેશે. મહાત્મા ગાંધી અને તેમની સાથે જોડાયેલ તેમ જ કાર્ય કરી ચૂકેલા લોકો અને તેમના પરિવારોના પેપર્સ અને સામગ્રી અહીં લાવી શકાય તેમ છે. આ સિવાય ભવિષ્યમાં તીનમૂર્તિ  (The Nehru Memorial Museum & Library (NMML))ની પણ કેટલીક સામગ્રીનો અહીં સમાવેશ થઇ શકે તેમ છે. મેં મહાત્મા ગાંધી સાથે જોડાયેલા દેશ-વિદેશના આર્કાઇવ્ઝની મુલાકાત લીધી છે,1 તેમાં માહિતી અને ડૉક્યુમેન્ટ્સના સંદર્ભમાં તીનમૂર્તિ અને સાબરમતી આશ્રમની આર્કાઇવ્ઝ મને શ્રેષ્ઠ લાગે છે. મહાત્મા ગાંધી વિષય આધારિત સંશોધન કરવા માટે પણ આ બંને જગ્યાઓ શ્રેષ્ઠ છે.

જો કોઈએ આર્કાઇવ્ઝ ચલાવવી હોય, તો તે માટે કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે રામચંદ્ર ગુહાએ જણાવ્યું હતું કે સૌપ્રથમ તો જે ક્ષેત્ર અથવા વિષયનું આર્કાઇવ્ઝ હોય, તે માટેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે અને બીજું પ્રતિબદ્ધતા હોવી અગત્યની છે, કારણ કે તમારી પાસે આર્કાઇવ્ઝમાં જે કોઈ ચીજવસ્તુઓ છે, તે ખૂબ જ મૂલ્યવાન છે અને ત્યાં કાર્યરત વ્યક્તિ પણ ઇતિહાસ સાથે સંકળાયેલ હોય છે, માટે આર્કાઇવ્ઝમાં કાર્ય કરવું એ માત્ર કોઈ નોકરી નથી પણ તેથી વિશેષ છે. સૌથી અગત્યનું આર્કાઇવ્ઝ તો એ જ છે કે જેમાં માહિતી ઉપલબ્ધ હોય, તે કાર્યક્ષમ હોય અને સાથે તેમાં જે કોઈ પણ ઐતિહાસિક માહિતી રજૂ કરવામાં આવે છે, તે અંગે તે માહિતગાર હોય.

કોઈ પણ ક્ષેત્રમાં આર્કાઇવ્ઝની અગત્યતા વિશે વાત કરતા રામચંદ્ર ગુહાએ જણાવ્યું હતું કે જે-તે ક્ષેત્રના આર્કાઇવ્ઝમાં તેના રેકૉડ્ર્સ, લેખિત તેમ જ ઑડિયો-વિઝ્યુઅલ અને અન્ય ડૉક્યુમેન્ટ્સની જાળવણી અને સાથે તેનું ડિજિટાઇઝેશન કરવું આજના સમયમાં જરૂરી છે. તે અંગેનું ઉદાહરણ આપતાં તેઓ જણાવે છે કે ક્રિકેટના વિષયમાં તેના રેકોર્ડસ અંગેની પૂરતી જાણકારી હજુ પણ ઉપલબ્ધ જ નથી, માટે રાષ્ટ્રીય નેતાઓ સિવાય પણ અન્ય વિષય જેવા કે ક્રિકેટ, કળા, બિઝનેસ અને અન્ય તમામ ક્ષેત્રમાં આર્કાઇવ્ઝનું હોવું એ ખૂબ જ અગત્યનું છે. આર્કાઇવ્ઝમાં માત્ર પેપર્સ અને ડૉક્યુમેન્ટ્સ હોવા ઉપરાંત ભૌતિક ચીજવસ્તુઓ હોવી પણ જરૂરી છે. જેમ કે મહાત્મા ગાંધી સાથે સંલગ્ન આર્કાઇવ્ઝમાં જો ચરખો પણ રાખવામાં આવ્યો હોય તો તેનું પણ મૂલ્ય રહેલું છે. જેમ વધુમાં વધુ આર્કાઇવ્ઝની રચના થતી રહેશે, તે રીતે લોકોને પણ ભવિષ્યમાં તેનો લાભ મળતો જ રહેશે.

1. હાલ હું બૅંગલુરુ શહેરમાં રહું છું કે જ્યાંનું વાતાવરણ સરસ છે, ત્યાં સરસ ગાર્ડન્સ પણ આવેલા છે, એક ક્રિકેટ-સ્ટેડિયમ પણ છે અને સાથે દેશનો સૌથી સારો સેકન્ડ હેન્ડ બૂકસ્ટોર પણ આવેલો છે, પરંતુ આ શહેરમાં કોઈ ચોક્કસ આર્કાઇવ્ઝની વ્યવસ્થા નથી. એટલે હું મારા કાર્ય માટે ચોક્કસ સમયના અંતરે અન્ય શહેરની મુલાકાત લઉં છું અને મારી જાત સાથે જૂના પત્રો તેમ જ મૅન્યુિસ્ક્રપ્ટ્સમાં લીન થઈ જાઉં છું. મેં ભારતમાં સંશોધનના કાર્ય માટે અત્યાર સુધી દિલ્હી, દેહરાદુન, નૈનિતાલ, લખનઉ, મુંબઈ, પૂના, અમદાવાદ અને ચેન્નાઈના આર્કાઇવ્ઝની મુલાકાત લીધેલી છે. મોટા ભાગના ઇતિહાસકારોનું માનવું છે કે તેઓને લખવાના કાર્ય કરતાં સંશોધનના કાર્યમાં વધારે મજા આવે છે. આક્રાઇવ્ઝમાં ઉપલબ્ધ ડૉક્યુમેન્ટ્સ આધારિત કાર્ય કરવામાં એક પ્રકારનો રોમાંચ રહેલો છે અને એવા ડૉક્યુમેન્ટ્સ જે વર્ષોથી સચવાયેલા હોય અને જે અગાઉ ક્યારે ય કોઈએ જોયા પણ ના હોય તેવું કાર્ય માત્ર આર્કાઇવ્ઝ થકી જ શક્ય બની શકે છે.

(19 ડિસેમ્બર, 2015ના રોજ હિન્દસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખમાં આક્રાઇવ્ઝ અંગે તેમની નોંધ)

E-mail : nbhavsar1990@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 17

Loading

...102030...3,5343,5353,5363,537...3,5403,5503,560...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved