Opinion Magazine
Number of visits: 9768835
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રસ્ટીશીપ

ધીરુ મહેતા|Gandhiana|23 January 2017

‘મુંબઈ સર્વોદય મંડળ’ દ્વારા ગાંધી વિચાર સંબંધિત લેખો નિયમિત પ્રકાશિત થતા રહે છે.  ધીરુભાઈ મહેતાનો મૂળે અંગ્રેજીમાં લખાયેલ તારીખ 03 જાન્યુઆરી 2017નો ઓનલાઇન જર્નલ આર્ટિકલ ટી.આર.કે. સોમૈયાની અનુમતિથી, ‘ઓપિનિયન’ના વાચક સમક્ષ ગુજરાતી અનુવાદરૂપે રજૂ કરું છું.

 − આશા બૂચ

પી.વી. નરસિંહરાવની સરકારમાં નાણાં મંત્રી તરીકે ફરજ બજાવનાર મનમોહનસીંગે નિરૂપણ કરેલ ઉદાર અને વૈશ્ચિક અર્થ નીતિને ભારતની વેપારી આલમે ઈ.સ. 1991માં અપનાવી લીધેલી. એ જ નીતિ ત્યાર બાદની તમામ સરકારોને પણ માર્ગદર્શન આપતી રહી  છે. અર્થકારણની નીતિ વિશેના વિચારો અને તેના વસ્તુ વિષયમાં કોઈ પણ સરકાર વચ્ચે મૂળે કોઈ તફાવત નથી. આપણા દેશમાં ઈ.સ.1951થી 1992 – ચાલીસ વર્ષ દરમ્યાન સમાજવાદી અર્થકારણ અમલમાં હતું. ત્યાર બાદની સરકારો ઉદાર અર્થકારણ અને વૈશ્વીકરણની નીતિને અનુસરતી આવી છે. સ્વતંત્રતા મળી તે ટાણે ભારત વર્ષની  એટલે કે અત્યારના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને કુલ વસતી 40 કરોડ હતી. જ્યારે આજે માત્ર ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 42 કરોડની છે.

એમ કહેવાય છે કે 2016 સુધીમાં જગતની 1% વસતી પાસે દુનિયાની 99% મિલકત હશે. ભારતનો કિસ્સો આનાથી વધુ વેગળો નથી હોવાનો. એનાથી સ્પષ્ટ જણાય છે કે સમાજવાદ કે ઉદાર અર્થકારણની નીતિ એ આ દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ માટેનું યોગ્ય સાધન નથી. દેશના આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે આપણે ગાંધીજીએ આપેલ હલ સ્વીકારવા જોઈશે. પંડિત નહેરુને તેમના જીવનના અંતિમ દિવસોમાં આ હકીકતનો અહેસાસ થયો જે પોતાની નીતિઓમાં પરિવર્તન લાવવા માટે ઘણો મોડો પડ્યો હતો. સાંપ્રત અર્થકારણની નીતિઓની સરાહના કરનારા લોકો એક પ્રકારના નશામાં ચકચૂર છે. ગાંધીજીની આર્થિક નીતિઓમાંનો એક સિદ્ધાંત ટ્રસ્ટીશીપનો હતો.

1991માં તત્કાલીન નાણામંત્રીએ પ્રથમ વખત પોતાના અંદાજપત્ર રજૂ કરતા વક્તવ્યમાં ગાંધીજીના ટ્રસ્ટીશીપની ફિલોસોફીનો ઉલ્લેખ કરેલો. હજુ આજે પણ એ વિચારોનું અર્થઘટન કરીને તેને અમલમાં મુકવા માટે કોઈ પ્રયત્નો થયાના અણસાર નથી જોવા મળતા. આપણા જેવા ગરીબ દેશમાં કુદરતી સાધનો પર અબાધિત અધિકાર ખાનગી ક્ષેત્રને ન આપી શકાય કે ન તો થોડા હજારેક જેટલી વ્યક્તિઓ કે કુટુંબોના ફાયદા માટે દેશની સંપદાનો અમર્યાદિત ઉપભોગ કરવાની પરવાનગી આપી શકાય. અહીં ગાંધીજીના ટ્રસ્ટીશીપના ખ્યાલોની પ્રસ્તુતતા રહેલી છે. જો નવી અર્થનીતિને સફળ બનાવવી હોય તો તે આપણી માર્ગદર્શક હોવી જોઈએ.

એક સર્વોદય આગેવાન કાર્યકર દાદા ધર્માધિકારીએ એક વખત કહેલું: જગત બે પક્ષોમાં વહેંચાયેલું છે – સામ્યવાદ અને મૂડીવાદ. સામ્યવાદ રાજ્ય દ્વારા કરવામાં આવતા શોષણ પર નભે છે. બીજી બાજુ સામ્યવાદ અને મૂડીવાદના પાયા હચમચી ગયા છે અને નવા સામાજિક માળખાની રચના કરવા બંનેમાંથી એકેયનો પાયો કામ લાગે તેમ નથી. નવું સામાજિક માળખું તો ગાંધીજીની વૈકલ્પિક અર્થનીતિના પાયા પર જ ઊભું કરી શકાશે. રશિયાનો સામ્યવાદ નિષ્ફળ ગયો છે તે સર્વવિદિત છે. આથી એમ સ્વીકારી શકાય કે મૂડીવાદ આપોઆપ સફળ થયો ગણાય. ગાંધીજી એક એવી પ્રથમ વ્યક્તિ હતી જેમણે સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચેનો મૂળભૂત વિરોધાભાસ જોયો હતો અને એક વ્યવહારુ આદર્શવાદી તરીકે તેમણે ટ્રસ્ટીશીપનો વિચાર આપ્યો જે સામ્યવાદ અને મૂડીવાદનું સ્થાન લઇ શકે. જયારે દેશ આખો નહેરુની સમાજવાદી કેન્દ્રીય આર્થિક આયોજનને અનુસરે છે અને ખનગી ક્ષેત્રને જરૂર કરતાં ય વધુ મહત્ત્વ આપી અજમાવવા માગે છે, ત્યારે વેપારી વર્ગે આ ટ્રસ્ટીશીપના વિચાર માટે કેમ કઇં રસ નથી દાખવ્યો તેની નવાઈ ઉપજે છે.  

ટ્રસ્ટીશીપના વિચારનાં મૂળ:

ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો વિચાર ઉપનિષદના પ્રથમ શ્લોકમાં જોવા મળે છે, જેનો અર્થ થાય છે, “આ વિશ્વમાં જે કઇં અસ્તિત્વ ધરાવે છે તેમાં ઈશનો વાસ છે. ત્યાગીને ભોગનો આનંદ મેળવો. અન્યના ધનની કામના ન કરવી.”  બાઇબલમાં પાંચ બ્રેડના લોફ અને બે માછલીની વાર્તામાં પણ આ ઉપદેશ જોવા મળે છે. એક સમાજવાદી વિચાર ધરાવનારની માફક ગાંધીજી પણ મિલકતની સમાન વહેંચણીમાં માનતા હતા, પણ તેમને એ હકીકતની જાણ હતી કે દરેક સ્ત્રી અને પુરુષની ક્ષમતા અને શક્તિ અલગ અલગ હોય છે અને તેમની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. આથી સંપત્તિની સમાન વહેંચણીનો અર્થ દરેકને એક સરખું મળે એવો ન કરી શકાય. ગાંધીજીના શબ્દોમાં, “સમાન વહેંચણીનો અમલ કરવો એટલે દરેક માણસ પાસે તેની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે પૂરતાં સાધનો અને તક હોવાં જોઈએ અને તેથી વિશેષ કશું ન ખપે. દાખલા તરીકે એક માણસને નબળી હોજરી હોય અને રોટલા માટે પા રતલ લોટ જોઈએ અને બીજાને એક રતલ જોઈએ તો બંને પોતપોતાની જરૂરિયાત સંતોષી શકે તેવી સ્તિથિમાં હોવા જોઈએ. વળી દરેક માણસ પાસે એક સરખી બુદ્ધિ શક્તિ નથી હોતી, અરે એક ઝાડ ઉપર બે પાન પણ સરખાં નથી હોતાં. ઉપર ઉપરથી ડાળ પાંખડાં કાપી નાખવાથી આસમાનતા દૂર નથી કરી શકાતી.”

ગાંધીજી કોઈની બુદ્ધિ શક્તિ વેડફી દેવા નહોતા માગતા. તેઓ બધાની શક્તિઓનો સમાજના હિત માટે વિનિયોગ કરવા માગતા હતા. ગાંધીજીએ એ પણ કબૂલ કરેલું કે કુદરતી અને સંસાધનોમાંથી પ્રાપ્ત થતા વળતરનો વ્યાજબી ભાગ તેના માલિકો સમાજ માટેની તેમની સેવા અને સમાજને ઉપયોગી થવાના બદલામાં રાખી શકે. તેઓ માનતા કે સંપૂર્ણ ત્યાગ એ એક અમૂર્ત વિચાર છે કે જેનો શબ્દશઃ અમલ ન થઇ શકે. સમાજવાદી અને સામ્યવાદી  વિચારો ધરાવનારાઓએ ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને ખાનગી માલિકીના ઉદ્યોગ-વેપારને નવી જિંદગી બક્ષતી એક હોશિયારી ભરી યુક્તિ તરીકે ઓળખાવી કાઢી. આ લોકોએ દેશની જનતાને સમજાવવાની ફરજ છે કે તેમનો સમાજવાદ તેમ જ તેમના વિરોધીઓનો મૂડીવાદ કેટલે અંશે ગરીબીનું પ્રમાણ ઘટાડવામાં સફળ રહ્યાં છે કે જે ધ્યેય સિદ્ધ કરવાનો તેઓ દાવો કરે છે. તેઓ તમામ સાહસો સરકારની માલિકીના રહે તેમ ઇચ્છતા હતા. ગાંધીજી એ વાત સાથે સહમત થતા હતા કે વ્યક્તિ શોષણ દ્વારા ધન સંચય કરે છે જેને પરિણામે હિંસા ફાટી નીકળે છે, પરંતુ તેઓ રાજ્યની હિંસા કરતાં વ્યક્તિની હિંસા ચલાવી લેવાના મતના હતા કેમ કે એ બંનેમાંથી વ્યક્તિની હિંસા અમુક અંશે ઓછી દુષ્ટ હોઈ શકે છે.

ગાંધીજી જ્યારે આગાખાન મહેલમાં કેદ હતા ત્યારે તેમને આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિષે વિચાર આવેલો. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓએ આ વાત આશ્રમના કેટલાક અનુભવી સભ્યો અને મુંબઈ યુનિવર્સીટીના એમ.એલ દાંતવાલા સાથે ચર્ચી. ટ્રસ્ટીશીપ માટેનો ખરડો પ્રૉફેસર દાંતવાલા, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાલા અને અન્યો દ્વારા તૈયાર કરવામાં આવેલો. ગાંધીજીએ તેમાં થોડા સુધારા કર્યા બાદ મંજૂરી આપી. તેનો આખરી મુસદ્દો આ પ્રમાણે છે:

“હાલની મૂડીવાદી સમાજ વ્યવસ્થાને સમતાવાદી સમાજમાં પરિવર્તિત કરવાની તક ટ્રસ્ટીશીપ આપે છે. એ મૂડીવાદને ખતમ નથી કરતો પણ એ અત્યારના મલિક વર્ગને પોતાની જાતને સુધરવાની તક આપે છે. આ સિદ્ધાંત એવા વિશ્વાસના પાયા પર ઊભેલો છે કે માનવ સ્વભાવ કદી ઋણ મુક્તિથી પર નથી. સમાજના હિત માટે સમાજ મંજૂર કરે તેટલા પ્રમાણમાં ખાનગી મિલ્કતની માલિકી સિવાય વધુ કોઈ પણ અધિકાર માણસને નથી એમ તેમાં અભિપ્રેત છે. તે માલિકી અને સંપત્તિના ઉપભોગ માટે કાયદાકીય નિયમોને પણ બાકાત નથી કરતો. તો આ રીતે રાજ્ય દ્વારા નિયંત્રિત ટ્રસ્ટીશીપમાં કોઈ વ્યક્તિ સ્વાર્થી થઈને આત્મ સંતોષ ખાતર કે સમાજના હિતનો વિચાર કર્યા વિના પોતાની મિલકતની માલિકી રાખવા કે તેનો ઉપયોગ કરવા સ્વતંત્ર નહીં  હોય. જે રીતે લઘુતમ વેતન ધારો નિર્ધારિત થયો છે એ રીતે સમાજમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી આવક અને સંપત્તિ ધરાવી શકે તે પણ નિશ્ચિત થવું જોઈએ. લઘુતમ અને મહત્તમ વેતન વચ્ચેનો તફાવત તાર્કિક અને સમાનતા પર આધારિત હોવો જોઈએ તેમ જ સમયે સમયે બદલાતો રહેવો જોઈએ એટલું જ નહીં પણ છેવટ એ તફાવતની સદંતર નાબૂદી જ થઇ જાય તેવું ધ્યેય હોવું જોઈએ.”

ગાંધીની અર્થ વ્યવસ્થામાં ઉત્પાદનનું પ્રમાણ સમાજની જરૂરિયાત પર નિર્ભર કરશે નહીં કે વ્યક્તિની ઈચ્છા કે તેનો લોભ. ટ્રસ્ટીશીપનો પાક્કો ખરડો પ્રેસમાં મોકલતાં પહેલાં જી.ડી. બિરલાને બતાવવાનું મુનાસીબ ધાર્યું અને તેમણે એ ખરડો આવકાર્યો. એક એવો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો કે આ ફોર્મ્યુલાના પ્રકાશનથી જ તેની શરૂઆત કે અંત ન આવવા જોઈએ, પરંતુ બિરલાએ તેમના સાથી ઉદ્યોગપતિઓ વચ્ચે તેનો પ્રચાર કરવો જોઈએ જેથી એ લોકોના સ્વીકારની જાહેરાત ટ્રસ્ટીશીપના ખરડાના પ્રકાશન સાથે કરી શકાય. બિરલા તરફથી આ બાબતમાં આગળ કોઈ વાતચીત નહોતી થયેલી. પ્યારેલાલના અનુમાન મુજબ, “કદાચ તેમણે જેમનો સંપર્ક કર્યો હશે તેમની પાસેથી નિરાશાજનક પ્રતિભાવ મળ્યો હશે.”

અહીં સારાયે વિશ્વને અસર કરે તેવો એક મહાન વિચાર છે જે સામાજિક સંપત્તિના સંચયના દુષ્ટ પરિણામો દૂર કરવાનો એક નવો માર્ગ બતાવે છે. વિનોબા ભાવેના ભૂદાન/ગ્રામદાન કાર્યક્રમો મૂલતઃ આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પરની શ્રદ્ધાની ઉપજ હતા. ભૂદાને ક્રાંતિ સર્જી કે નહીં તે અલગ વાત છે. પણ હકીકત એ છે કે ભૂદાનની ચળવળમાં ભૂમિ વિહોણા મઝદૂરોને દાનમાં મળેલ કુલ જમીન બધા પ્રાંતોને વિવિધ જમીન મર્યાદાના કાયદાઓ દ્વારા મળેલી તેના કરતાં થોડી વધુ હતી. સ્કોટ બાડર કંપનીના અર્નેસ્ટ બાડરે યુનાઇટેડ કિંગ્ડમમાં ટ્રસ્ટીશીપના વિચારનો પ્રચાર સફળતાપૂર્વક કર્યો. યુનાઇટેડ કિંગ્ડમમાં 1976માં આ જ હેતુસર industrial common ownership એક્ટ અસ્તિત્વમાં આવ્યો. પશ્ચિમ જર્મનીમાં કેટલીક કંપનીઓ થોડી ઘણી સફળતા સાથે આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અમલમાં મૂકી રહી છે, જેમાંના 40,000 લોકો આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અનુસાર કામ કરી રહ્યા છે. ભારતમાં સદ્દગત જયપ્રકાશ નારાયણની પ્રેરણાથી મુંબઈમાં ગોવિંદરાવ દેશપાંડેએ સ્થાપેલ ટ્રસ્ટીશીપ ફાઉન્ડેશનના નેજા હેઠળ કેટલાક સંગઠનો ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કામ કરે છે. દેશભરમાં સંમેલનો, શિબિરો અને ચર્ચા વર્તુળો ગોઠવવા ઉપરાંત ગોવિંદરાવ દેશપાંડે અને તેમના સાથીદારોએ કેટલાક સંગઠનો આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ ચલાવવાનો પ્રયોગ પણ કર્યો. મહેસાણા સ્થિત The People’s Trusteeship Packaging Private Limited આનું ઉદાહરણ છે. દરેક પ્રયોગમાં બને તેમ આવા એકમોના સંચાલનમાં પ્રશ્નો તો ઊભા થવાના જ, પરંતુ એ એકમો પડ્યા વિના આપબળે ચાલતા પણ થઇ જતા હોય છે.

હવે મોટા વેપાર ઉદ્યોગોએ આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને સમજી, સ્વીકારીને એ પ્રમાણે પોતાનો વહીવટ ચલાવવાની જરૂર છે.

સવાલ એ છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આજના યુગમાં અર્થસંગત છે કે નહીં? એ શું માત્ર આદર્શ છે? મારી અંગત માન્યતા પ્રમાણે એ માત્ર આદર્શ બિલકુલ નથી. વર્લડ બેન્ક કે આંતરરાષ્ટ્રીય મોનિટરી ફન્ડ દ્વારા સૂચવાયેલ પેકેજ કરતાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો પ્રયોગ ઓછો જોખમકારક નીવડશે. ભારતીય નાણાંનાં અવમૂલ્યનથી નિકાસમાં નોંધપાત્ર વધારો થવા સંભવ નથી. આશ્ચર્ય પમાડે તેવી હકીકત તો એ છે કે ચોથી લોકસભામાં સમાજવાદના કટ્ટર હિમાયતી રામ મનોહર લોહિયાએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું બિલ રજૂ કરીને તે માટેનો માર્ગ મોકળો કરી આપેલો. જો કે લોકસભા બરખાસ્ત થવાથી એ વિચાર પડી ભાંગ્યો. ટ્રસ્ટીશીપ પર આધારિત સંગઠનોએ કેવું વહીવટી માળખું અપનાવવું જોઈએ? પાર્લામેન્ટ આ માટે કાયદો ઘડવા માટે ભરસક પ્રયાસ કરે તે દરમ્યાન મને લાગે છે કે વર્તમાન કાયદાકીય માળખું પર્યાપ્ત છે. માલિકી કે ભાગીદારીનો સવાલ ઊભો થાય તો માલિક કે ભાગીદારના સહિયારા નિર્ણયથી ઉકેલ લાવી શકાય. કામદારો અને સમાજના પ્રતિનિધિઓ આવા સંગઠનો સાથે સંલગ્ન હોય અને તમામ નિર્ણયો લેવામાં ભાગીદાર હોઈ શકે. એવી જ રીતે લિમિટેડ કંપની પણ ટ્રસ્ટીશીપ પર આધારિત વહીવટી માળખું અપનાવી શકે. દાતાઓ, માલિકો, નોકરિયાતો અને સમાજના સભ્યોનું બનેલ એક જુદું ટ્રસ્ટ એ કંપનીના હિતને અંકુશમાં રાખવાનું કાર્ય બજાવી શકે. નોકરિયાતોને મત આપવાનો અધિકાર હોય અને તેમનું સભ્યપદ કંપનીમાં કામ કરે તેટલા સમય માટે મર્યાદિત હોય. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત માટે અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર કે વેપારની અસાધારણ સૂઝ અને વિશેષ શક્તિ ધરાવનાર એવી બહારની કોઈ વ્યક્તિ હોય તો તેમને આ ટ્રસ્ટનું આજીવન કે નિશ્ચિત સમય માટેનું સભ્યપદ લેવા આમંત્રણ આપી શકાય. પબ્લિક લિમિટેડ કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સમાં કેટલાક પાયાના ફેરફાર કરવા જરૂરી બને. આવા ટ્રસ્ટના આવક વેરા અને મિલ્કત વેરાના નિયમોમાં જરૂર સુધારા કરવા પડે. યુનાઇટેડ કિંગ્ડમના Industrial Common Ownership Act, 1976 પાસેથી આપણે એક ધડો લઇ શકીએ. લોહિયાએ લોકસભામાં મુકેલ ખરડો પણ આપણને આ બાબતમાં માર્ગદર્શક થઇ પડે. મહેસાણા – ગુજરાતમાં આવેલ પીપલ્સ ટ્રસ્ટીશીપ પેકેજીંગ પ્રાઇવેટ લિમિટેડના સંચાલન વિષે અભ્યાસ કરી શકાય. સહકારી મંડળીનું માળખું ટ્રસ્ટીશિપનું હોય તે જરૂરી નથી. સહકારી સાહસમાં તેના સભ્યો એ મંડળીના સભ્યોના ફાયદાને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે કે જે દરેક કિસ્સામાં અલગ અલગ હોઈ શકે. કેટલાક અનુભવ દર્શાવે છે કે શેરડી ઉગાડનારની સહકારી મંડળીના સભ્યો બીજી સહકારી મંડળીના સભ્યો, ગ્રાહકો કે સમાજના સભ્યો સાથે ખાસ નિસબત નથી ધરાવતા. એ જ રીતે ગ્રાહક સહકારી મંડળીના સભ્યો પણ પોતાના ગ્રાહકોનાં હિતના લાભાર્થે જ કામ કરે છે.

ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત દાનવીરો, કામદારો, ગ્રાહકો અને સમાજને એક સમાન ભાગીદાર તરીકે જુએ છે. મજૂર વર્ગને સારો પગાર, વધુ વેતન અને સગવડો આપવા માત્રથી ટ્રસ્ટીશીપનો અમલ નથી થતો. સમયે સમયે નામી કે અનામી રહીને જુદા જુદા પ્રકલ્પોમાં દાન આપવાને પણ ટ્રસ્ટીશીપને ન કહી શકાય એક ટ્રસ્ટ કોઈ કંપનીમાં સમાન ધોરણે શેર ધરાવે એ પણ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી ઘણો વેગળો વિચાર છે. ટ્રસ્ટીશીપ તો ઘણો વિશાળ વિચાર બની શકે, એક ચળવળ બની શકે, અરે, એ એક જીવન પદ્ધતિ બની શકે. બધા સત્તાધારીઓ પોતાને ટ્રસ્ટી માને અને તમામ સંસાધનો, સત્તા અને તેની સાથે સંકળાયેલ પ્રભાવક શક્તિનો વિનીયોગ લોક કલ્યાણ અર્થે કરે નહીં કે સ્વ અર્થે.  સંગઠિત મઝદૂર વર્ગે પણ યાદ રાખવું ઘટે કે તેઓ 10% સદ્નસીબ નાગરિકોમાંના એક છે. અન્ય કોઈ આ પ્રક્રિયાની શરૂઆત કરે તેની રાહ આપણે ન જોઈએ. આપણે આજે અને અત્યારે જ આનો શુભારંભ કરીએ.

મહાત્મા આપણને માત્ર નદી સુધી દોરીને લઇ જઇ શકે, પાણી ન પીવડાવી શકે.   

મૂળ અંગ્રેજી લેખની કડી : 


http://www.mkgandhi.org/articles/trusteeship5.html?utm_source=Gandhi-Journal&utm_medium=email&utm_campaign=Gandhi+Journal+Article-I+%28+January+2017+%29+-+Trusteeship

(અનુવાદક : આશા બૂચ)

e.mail : 71abuch@gmail.com

Loading

ભટ્ટ મોક્ષ મૂલર કૃત ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિશેનાં ભાષણ

દીપક મહેતા|Opinion - Literature|22 January 2017

પૂર્વ-ગ્રંથ સમીક્ષા –

ભટ્ટ મોક્ષ મૂલર કૃત ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિશેનાં ભાષણ

અનુવાદ: બેહેરામજી મેરવાનજી મલબારી, નવરોજી મંચેરજી મોબેદજીના

પ્રકાશક: મલબારી, ૧૮૮૧

“આપણે  ઇંગરેજીમાં ગદ્ય લખિયે કે પદ્ય, પણ એટલું તો કદી ભુલવું નહિ કે આપણા દેશની ઉત્તમ સેવા કરવી હોય તો તેના સારતમ વિચારો તે દેશની ભાષામાં દર્શાવવાથી જ કરાશે.” (અવતરણોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે. – દી.)

આ શબ્દો લખાયા છે ૧૮૮૧ના અરસામાં. પ્રકાંડ પંડિત મેક્સમુલરે એક પત્રમાં લખ્યા હતા. એ પત્ર જેને લખાયો હતો તે હતા બેહેરામજી મેરવાનજી મલબારી. મલબારીએ પોતાનાં કેટલાંક પુસ્તકો મેક્સમૂલર અને પશ્ચિમના કેટલાક વિદ્વાનોને મોકલ્યાં હતાં. બદલામાં મેક્સમૂલરે તેમને પોતાનાં હિબર્ટ લેકચર્સનું પુસ્તક મોકલ્યું હતું. ઉપરના શબ્દો મેક્સમૂલરે સાથેના પત્રમાં લખ્યા હતા. એ પુસ્તકથી મલબારી એટલા પ્રભાવિત થયા કે તેનો અનુવાદ કરવાની મંજૂરી તેમણે મેક્સમૂલર પાસે મગાવી. જવાબમાં મેક્સમૂલરે લખ્યું “એનું સંસ્કૃતમાં ભાષાંતર થયેલું જોવાને મને બહુ અભિલાષા છે.” પણ મલબારી માટે તેમ કરવું શક્ય નહોતું, એટલે તેમણે લખ્યું: “સંસ્કૃત તો માફ કરશો, પણ હાલ ગુજરાતીમાં હોય તો કેમ?” મેક્સમૂલરની પરવાનગી મળી ગઈ. મલબારીએ ગુજરાતી અનુવાદ કરવાનું તો શરૂ કર્યું જ, પણ સાથે મનમાં ગાંઠ વાળી કે માત્ર સંસ્કૃત જ નહિ, મરાઠી, બંગાળી, હિન્દી અને તમિલમાં પણ તેના અનુવાદ કરાવી પ્રગટ કરવા. એટલું જ નહિ, હિન્દુસ્તાનની ભાષાઓમાંથી અન્ય ભાષાઓમાં અને અન્ય ભાષાઓમાંથી હિન્દુસ્તાનની ભાષાઓમાં પુસ્તકોના અનુવાદ કરાવવા માટે એક અલાયદું ફંડ ઊભું કરવાનું તેમણે છેક એ જમાનામાં વિચાર્યું. આ માટે જાણકાર અનુવાદકોની શોધમાં અને અનુવાદો માટે આર્થિક ટેકો મેળવવા મલબારીએ અડધા-પોણા દેશની મુસાફરી કરી. પણ ધાર્યા જેટલું પરિણામ આવ્યું નહિ. છતાં મેક્સમૂલરના આ ભાષણોનો મરાઠી અનુવાદ કરાવી ૧૮૮૩માં પ્રગટ કર્યો, અને તે પછી બંગાળી, હિન્દી અને તમિળ અનુવાદો પ્રગટ કર્યા.

વેસ્ટ મિન્સટર એબીના ચેપ્ટર હાઉસમાં ૧૮૭૮ના એપ્રિલ-મે-જૂનમાં મેક્સમૂલરે આ વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૮૭૮ના ડિસેમ્બરમાં તેની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ હતી. બીજી આવૃત્તિ ૧૮૭૯ના નવેમ્બરમાં. અને એ ભાષણોનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો ૧૮૮૧ના ડિસેમ્બરની ૩૧મી તારીખે. આટલી ઝડપથી આજે પણ આપણે અંગ્રેજીમાંથી કેટલા અનુવાદ કરીએ છીએ?

અને આ અનુવાદ કરવાનું કામ સહેલું નહોતું. એક તો મેક્સમૂલર જેવા પ્રકાંડ પંડિતનું પુસ્તક. ધર્મની ઉત્પત્તિ અને વૃદ્ધિ જેવો ગહન વિષય. કેન્દ્રમાં હિંદુ ધર્મની વાતો. અને અનુવાદક હતા એક પારસી! અલબત્ત, હિંદુ ધર્મ, સમાજ, રીતરિવાજ વગેરે વિષે તેઓ સારી એવી જાણકારી ધરાવતા હતા. પણ આવા પુસ્તકનો અનુવાદ કરવો? પ્રસ્તાવનામાં મલબારી લખે છે: “આ સઘળુ મારા સરખાં વિદ્યાર્થીને એક સાહસ જેવું લાગ્યું. પણ નિજમન વિચાર કર્યો કે આ અલ્પ આયુષનો એક ભાગ આવા શુભ કાર્યને અર્પણ કરવા સમાન પુણ્ય, જીવડા, કશું નથી.” પણ કામ શરૂ કર્યું પછી ખ્યાલ આવ્યો કે ખાટલે મોટી ખોડ તો એ વાતની છે કે આવા અનુવાદ માટે ધર્મશાસ્ત્રનું અને ભાષાશાસ્ત્રનું જે જ્ઞાન જોઈએ તે તો છે જ નહિ! બલકે, “અમારે તો બંને જોડે આદિ વેર.” પણ હાર્યા નહિ. મદદ લીધી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીની. એ મદદ કેવી અને કેટલી હશે તેનો ખ્યાલ તો આ વાક્ય પરથી આવે છે: “પુસ્તકના ઘણાખરા ગુણ ભાઈ મનસુખરામને પ્રતાપે સમજવા, દોષ સઘળા અમારા.” આ ઉપરાંત કાશીનાથ ત્ર્યંબક તેલંગ અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા વિદ્વાનોની સલાહ પણ લીધેલી. અને એ બધાથી સંતોષ ન થયો ત્યારે કેટલાક શબ્દોના અર્થો ખુદ મેક્સમૂલરને પણ પૂછાવ્યા હતા. અને છતાં મુશ્કેલી તો ઘણી વેઠવી પડી. “પુસ્તક ગમે એમ કરી વાંચવા યોગ્ય કરતાં આખું વરસ વહિ ગયું; અકેક પાના ઉપર અઠવાડિયાં વીતી ગયા; અકેક શબ્દને માટે વિદ્વાન મિત્રોને વિનવવા પડ્યા. માકસ મઅલરબાવાના કામ પાછળ રક્તનું પાણી કરવું પડ્યું છે.”

હિંદુ ધર્મ અને ફિલસૂફી વિશેના પુસ્તકનો અનુવાદ પારસીને હાથે થાય ત્યારે એની ભાષા કેવી હશે એવો સવાલ થાય. બાવીસ વર્ષની ઉંમરે ૧૮૭૫માં મલબારીનો પહેલો કાવ્ય સંગ્રહ ‘નીતિવિનોદ’ પ્રગટ થયો. તેનાં બધાં જ કાવ્યો પારસી ગુજરાતીમાં નહિ, પણ ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખાયેલાં. તે એટલે સુધી કે એક સામયિકે તો એવો આક્ષેપ કર્યો કે કોઈ હિંદુ કવિ પાસે લખાવીને બેહેરામજીએ આ કાવ્યો પોતાને નામે છપાવી દીધાં છે. એટલે ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખવાની નવાઈ નહોતી. પણ અહીં તો માત્ર ‘શુદ્ધ’ જ નહિ, સંસ્કૃત પ્રચૂર ભાષાનો અનુવાદમાં ઉપયોગ થયો છે. ભાષણોને આપેલાં મથાળાં જોતાં પણ આ વાત ધ્યાનમાં આવશે. ભાષણોનો અનુવાદ કુલ ૨૨૬ પાનાં રોકે છે. અનુવાદમાંનું પહેલું ભાષણ છે ‘સ્પર્શ્ય, અર્ધસ્પર્શ્ય તથા અસ્પર્શ્ય પદાર્થોની પૂજા.’ બીજા ભાષણનો વિષય છે ‘અનંતતા તથા નિયમના વિચાર.’ ત્રીજા ભાષણમાં ઇષ્ટેશ્વરમત, અનેકેશ્વરમત, એકેશ્વરમત અને નિરીશ્વરમતની ચર્ચા કરી છે. તો ચોથું ભાષણ તત્ત્વજ્ઞાન અને ધર્મના પરસ્પર સંબંધ વિશેનું છે. બધાં ભાષણોના વક્તવ્યને ટૂંકા ટૂંકા ખંડોમાં વહેંચી નાખ્યું છે અને તેવા દરેક ખંડને પણ અલગ મથાળું આપ્યું છે. મૂળ અંગ્રેજી પુસ્તકમાંની પદ્ધતિનું જ અનુવાદમાં અનુસરણ થયું છે.

પણ આ અનુવાદ અંગેની એક ગૂંચ ઉકેલી શકાઈ નથી. મૂળ અંગ્રેજી પુસ્તકમાં (૧૯૦૧ની આવૃત્તિ) કુલ સાત ભાષણો છે, જ્યારે આ અનુવાદમાં માત્ર ચાર ભાષણો જોવા મળે છે. પહેલાં ત્રણ ભાષણોનો અનુવાદ અહીં આપ્યો નથી. પહેલાં ત્રણ ભાષણોના વિષય અનુક્રમે આ પ્રમાણે છે: The Perception of the Infinite, Is Fetishism a Primitive Form of Religion?, The Ancient Literature of India, so Far as it Supplies Materials for the Study of the Origin of Religion. મૂળ અંગ્રેજી પુસ્તકમાં આ ત્રણ ભાષણો ૧૭૨ પાનાં રોકે છે. પણ મલબારીએ આ પહેલાં ત્રણ ભાષણોનો અનુવાદ આપ્યો નથી, એટલું જ નહિ તે અંગે ક્યાં ય કશો ખુલાસો પણ કર્યો નથી. મલબારીનો આ અનુવાદ ૧૮૮૧માં પ્રગટ થયો તે પહેલાં મૂળ અંગ્રેજી પુસ્તકની બે આવૃત્તિ પ્રગટ થઇ હતી. તેમણે કઈ આવૃત્તિનો ઉપયોગ કર્યો હશે એ જાણવું તો મુશ્કેલ છે, પણ તે આવૃત્તિમાં પહેલાં ત્રણ ભાષણો છાપ્યાં જ ન હોય એમ માનવું પણ મુશ્કેલ છે. તો બીજી બાજુ, જે ચીવટ, ધગશ અને મેક્સમૂલર પ્રત્યેના પ્રેમાદર સાથે આ અનુવાદ થયો છે તે જોતાં મલબારી પહેલાં ત્રણ ભાષણ છોડી દે એટલું જ નહિ, તેમ કર્યું હોવાનું પુસ્તકમાં ક્યાં ય જણાવે પણ નહિ એમ માનવું પણ મુશ્કેલ છે. પણ આપણે એ હકીકત તો સ્વીકારવી જ રહી કે પહેલાં ત્રણ ભાષણોનો અનુવાદ અહીં અપાયો નથી.

પણ વિષયને અનુરૂપ ભાષા પ્રયોજવી એ એકમાત્ર મુશ્કેલી નહોતી. બીજી મુશ્કેલી હતી તે આર્થિક. પુસ્તક છપાવવા માટેના પૈસા? અનુવાદ હપ્તાવાર છાપવા માટે એક-બે સામયિકોને પૂછી જોયું, પણ સરવાળે મીંડું. એટલે પછી “હવે તો પ્રજા માત્રને શરણે જવું એમ નિશ્ચય કર્યો.” જો કે મનમાં થોડી દહેશત હતી કારણ “મુંબઈની પ્રજા એવાં કામ પાછળ ઝાઝી ખંતી નથી.” પણ ના. એ દહેશત ખોટી પડી. ”ધન્ય અમારા પારસી અને હિંદુ બંધુઓને કે થોડા જ માસમાં પૈસાની રેલછેલ થઇ ગઈ. છપામણ બંધામણ તો સહજ નિકળી આવ્યું. હવે જીવમાં જીવ આવ્યા, અને ઉમંગથી કામ આરંભ્યું.” 

પુસ્તકમાં સૌથી પહેલાં મેક્સમૂલરનો ફોટો અને નીચે તેમની સહી મૂક્યાં છે. એ જમાનાના ચાલ પ્રમાણે પુસ્તકમાં બે ટાઈટલ પેજ છે, પહેલું ગુજરાતીમાં ને બીજું અંગ્રેજીમાં. જો કે આ વ્યાખ્યાનો હબર્ટ લેક્ચર્સ તરીકે અપાયાં હતાં એ હકીકતનો ઉલ્લેખ ફક્ત અંગ્રેજી ટાઈટલ પેજ પર છે. બેમાંથી એકે ટાઈટલ પેજ પર પુસ્તકની કિંમત છાપી નથી. પુસ્તક છપાયું છે મુંબઈના ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસમાં. પુસ્તક ‘મહારાજાધિરાજ મહારાજ જામશ્રી વિભાજી, સંસ્થાન નવાનગરના અધિપતિ’ને અર્પણ કર્યું છે. અર્પણપત્ર પણ બન્ને ભાષામાં છે. અર્પણનાં પાનાં પછી ગુજરાતી પ્રસ્તાવનાનાં છ પાનાં. તે પછી ધર્મ વિશેનો બેહેરામજીનો પોતાનો દસ પાનાંનો લેખ. પશ્ચિમના ઘણા બધા વિદ્વાનોના મતની ચર્ચા કર્યા પછી, છેવટે મલબારી કહે છે: “ખરી વાત એ છે કે ધર્મ એટલે શું એ પ્રશ્ન પૂછવા સરખો નથી, અને એનો એક જ ઉત્તર મળ્યોએ નથી અને મળશે પણ નહિ.” ધર્મ વિશેના લેખ પછી માત્ર બે પાનાંમાં મેક્સમૂલરના મતનો સારાંશ આપ્યો છે. ત્યાર બાદ ચાર પાનાંમાં મેક્સમૂલરના ‘જીવનચરિત્રનો સાર’ આપ્યો છે.  એ સાર પૂરો થાય છે તે પછી તે જ પાના પર જે નોંધ છાપી છે તે પરથી જણાય છે કે આ પુસ્તક પ્રગટ કરવા માટે મુંબઈ સરકારના ડાયરેક્ટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રકશન તરફથી ૫૦૦ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. ‘જીવનચરિત્રનો સાર’ પછીનાં સાત પાનાંમાં મૂળ ગુજરાતી પ્રસ્તાવનાનો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. ગુજરાતી ટાઈટલ પેજ પર પુસ્તકનું નામ આમ છાપ્યું છે: ‘भट्ट मोक्ष मूलर कृत ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિષેનાં ભાષણ.’ પુસ્તકની જે નકલ આ લખનારે જોઈ છે તેની મૂળ બાંધણી આજ સુધી સચવાઈ રહી છે. પૂંઠા પર છાપેલું પુસ્તકનું નામ જરા જૂદું છે:‘મોક્ષ મૂલર કૃત ધર્મવિષેનાં ભાષણ.’ (સંસ્કૃતમાં લખતી વખતે મેક્સમૂલર પોતાનું નામ ‘મોક્ષમૂલર ભટ્ટ’ એમ લખતા.) એમ્બોસ કરેલી ડિઝાઈનવાળા ઘેરા ભૂરા રંગના કપડા ઉપર સોનેરી રંગની શાહીથી આ નામ છાપ્યું છે. આજે ૧૩૫ વર્ષ પછી પણ શાહીનો સોનેરી રંગ લગભગ તેવો ને તેવો જળવાઈ રહ્યો છે.

અનુવાદ પૂરો થયા પછી ત્રણ પાનાંનું ‘શુદ્ધિપત્ર’ છાપ્યું છે. છેવટે બીજાં ૧૫ પાનાં ઉમેર્યાં છે જેમાં બેહેરામજીનાં અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો વિશેના કેટલાક અગ્રણીઓના અભિપ્રાય છાપ્યા છે. તેમાંનાં કેટલાંક નામ: ફ્લોરેન્સ નાઈટીંગેલ, આલ્ફ્રેડ ટેનિસન, મેક્સમૂલર, વિલિયમ વર્ડ્ઝવર્થ, જેમ્સ ગિબ્સ, મોનિયેર વિલિયમ્સ. (બધા અભિપ્રાયો ગુજરાતી અનુવાદ રૂપે આપ્યા છે.) આ ઉપરાંત કલકત્તા સ્ટેટ્સમેન, મદ્રાસ એથીનિયમ, મદ્રાસ મેલ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, જામે જમશેદ, રાસ્ત ગોફતાર, બોમ્બે રિવ્યૂ, બોમ્બે ગેઝેટ, અમૃત બજાર પત્રિકા, પૂના ઓબ્ઝર્વર, ગુજરાતમિત્ર, વિદ્યામિત્ર, વગેરે અખબારો-સામયિકોમાં પ્રગટ થયેલાં અવલોકનોમાંથી પણ ઉતારા આપ્યા છે. કોઈક કારણસર છેવટનાં આ ૧૫ પાનાં ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસમાં ન છાપતાં નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છાપ્યાં છે. છેલ્લાં ત્રણ પાનાં કોરાં છોડ્યાં છે.

પુસ્તકમાં અનુવાદક તરીકે બે નામ છાપ્યાં છે: બેહેરામજી મેરવાનજી મલબારી તથા નવરોજી મંચેરજી મોબેદજીના. પારસીપ્રકાશ(દફતર ૬, પા.૧૨૭)ના જણાવ્યા પ્રમાણે ૧૯૨૩ના નવેમ્બરની ૨૨મી તારીખે ૬૮ વર્ષની વયે નવરોજીનું અવસાન થયું હતું. (એટલે કે આ અનુવાદ પ્રગટ થયો ત્યારે તેમની ઉંમર આશરે ૨૬ વર્ષની હતી.) મેટ્રિક સુધી ભણ્યા પછી અંગ્રેજી અઠવાડિક ‘ઇન્ડિયન સ્પેકટેટર’માં સબ-એડિટર તરીકે ૧૨ વર્ષ કામ કર્યું હતું. ત્યાર બાદ નબળી તબિયતને કારણે છૂટા થયા હતા, અને નસરવાનજી ફરામજી બિલીમોરિયા સાથે મળીને રાહે રોશન નામનું સામયિક ચલાવ્યું હતું. ૧૮૯૦માં તેમણે નિવૃત્તિ સ્વીકારી હતી.

પુસ્તકના મુખ્ય કર્તા બેહેરામજીનો જન્મ ૧૮૫૩ના મે મહીનાની ૧૮મી તારીખે વડોદરામાં. (એટલે કે આ અનુવાદ પ્રગટ થયો ત્યારે તેમની ઉંમર ૨૮ વર્ષની હતી.) મૂળ નામ બેહેરામજી ધનજીભાઈ મહેતા. ગાયકવાડ સરકારમાં પિતા ધનજીભાઈ સામાન્ય ક્લાર્ક તરીકે કામ કરતા. બેહેરામજી માંડ પાંચ વર્ષના થયા ત્યાં પિતા બેહસ્તનશીન થયા. થોડા દિવસ પછી માતા ભીખીબાઈ સાથે વીસ દિવસ ચાલીને વડોદરાથી સુરત પહોંચ્યા. પહોંચ્યા તે જ રાતે સુરતની જાણીતી આગમાં મોસાળનું ઘર અને બધી સંપત્તિ બળીને રાખ. બાળક બેહેરામજીને માથે છાપરું મળે એટલા ખાતર ભીખીબાઈએ મેહેરવાનજી નાનાભાઈ મલબારી સાથે બીજાં લગ્ન કર્યાં અને બેહેરામજી ધનજીભાઈ મહેતા બન્યા બેહેરામજી મેરવાનજી મલબારી. જીવાજી કસાઈ પાસેથી વીસ રૂપિયા ઉધાર લઇ મેટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ ગયા. પણ એક વાર નહિ, ત્રણ વાર એ પરીક્ષામાં નાપાસ થયા. છેક ચોથી ટ્રાયલે ૧૮૭૧માં મેટ્રિક થયા. બ્રિટન અને યુરપમાં મલબારીનું નામ જાણીતું થયું તે તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ધ ઇન્ડિયન મ્યૂઝ ઇન ઇંગ્લિશ ગાર્બ’ને લીધે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન સ્પેકટેટર, અને બીજાં પત્રોમાં અંગ્રેજીમાં લેખો લખતા થયા. મેક્સમૂલરના આ પુસ્તકના અનુવાદે મલબારીના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. બાળલગ્ન, વિધવાવિવાહ પ્રતિબંધ, સતી વગેરે સામાજિક કુરિવાજોને હિંદુ ધર્મશાસ્ત્રનો લેશમાત્ર આધાર નથી એમ મેક્સમૂલરે પોતાનાં ભાષણોમાં દાખલા દલીલો સાથે જણાવેલું. એ જાણ્યા પછી મલબારીના સુધારા અંગેના વિચારોને વેગ મળ્યો. પણ સમાજ સુધારા અંગેનાં વિચારો અને લખાણોને કારણે રૂઢીચુસ્ત હિન્દુઓનો વિરોધ વહોરી લેવો પડ્યો. બાળલગ્ન પર સરકાર પ્રતિબંધ મૂકે એ માટે ત્રણ વાર ઇન્ગ્લન્ડની મુસાફરી કરી. પણ સફળતા મળી નહિ. પણ મલબારી અને બીજા કેટલાકના પ્રયત્નોને પરિણામે થોડા વખત પછી સરકારે ‘સંમતિવયનો કાયદો’ પસાર કર્યો. ૧૯૧૨ના જુલાઈમાં મલબારી આરામ કરવા શીમલા ગયા. વાઈસરોય લોર્ડ હાર્ડીન્જ, કમાન્ડર ઇન ચીફ સર ઓ’મોર કે., ગ્વાલિયર તથા બીકાનેરના મહારાજાઓ (આ બધા સાથે તેમને અંગત સંબંધો હતા) તેમ જ બીજા કેટલાક મિત્રોને મળ્યા. ૧૧મી જુલાઈની રાતે મિત્ર જોગિન્દરસિંહ સાથે ફોન પર વાત કરતાં એકાએક બેભાન થઇ ગયા, અને થોડી જ વારમાં તેમનું અવસાન થયું. શીમલાની પારસી આરામગાહમાં તેમના નશ્વર દેહને દફનાવવામાં આવ્યો. તેમના કાવ્ય ‘આ દુનિયાના ઉપકાર’ની કેટલીક પંક્તિઓ કબર પર કોતરવામાં આવી:

ફરજ એ અદા મેં કીધી હો, ખુદા!
ગરજ બીજી શી? – એક ફાટી ચાદર –
ન ઉપકાર કોના, ન કોની અદા –
મળે ચાર ગજની જો સાદી કબર.

સંદર્ભ: Behramji Malbari: A biographical sketch. By Dayaram Gidumal, with Introduction by Florence Nightingale. T. Fisher Unwin, London, [2nd Ed.] MDCCCXCII [1892]

(પ્રથમ પ્રકાશિત : “પ્રત્યક્ષ”, અૉક્ટોબર-ડિસેમ્બર 2016; પૃ. 19-22)

e.mail : deepakbmehta@gmail.com

Loading

જૂઠા સચની રાજનીતિ યુધિષ્ઠિરથી ટ્રમ્પ સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 January 2017

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં બે ‘સમાચાર’ આવ્યા. એક સમાચાર એવા હતા કે ભારતના ‘એક નંબરના દુશ્મન’ દાઉદ ઇબ્રાહીમની 15,000 કરોડની સંપત્તિ સંયુક્ત અરબ અમીરાતની સરકારે જપ્ત કરી લીધી છે. સોશિયલ મીડિયા  પર આ સમાચાર બહુ ચગ્યા અને ભાજપે મીડિયાના આધારે એવો પણ ગર્વ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સીધા પ્રયાસોને કારણે આ ‘સફળતા’ મળી છે. બીજા-ત્રીજા દિવસે સરકારનાં સૂત્રોએ સ્પષ્ટતા કરી કે આ સમાચાર ખોટા છે અને અમીરાતના ભારતના એમ્બેસેડર પાસે આવી કોઈ માહિતી નથી.

બીજા સમાચાર અમેરિકાથી આવ્યા, જેમાં અમેરિકન ગુપ્તચર સંસ્થાએ પ્રગટ કરેલી ક્લાસિફાઇડ માહિતીમાં એવું કહેવાયું હતું કે તાજેતરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એમાં રશિયાને રસ હતો અને રશિયન પ્રમુખ પુતિને સીધો આદેશ આપીને ટ્રમ્પનાં હરીફ હિલેરી ક્લિન્ટનને બદનામ કરવા માટે અમેરિકન સોશિયલ અને બીજા મીડિયામાં અભિયાન ચલાવ્યું હતું. ટ્રમ્પે આ દાવાને ‘હસી’ કાઢ્યો, પરંતુ ચૂંટણી દરમિયાન એણે બરાક ઓબામાને ઇસ્લામિક સ્ટેટના ‘સ્થાપક’ અને હિલેરીને ‘સહ-સ્થાપક’ કહેવાનું બાકી રાખ્યું ન હતું.

રાજકારણમાં તડાકા મારવા કે કોરાં વચનો આપવા એ રીત જૂની છે, પરંતુ એમાં કેટલી હદ સુધી જૂઠ બોલવામાં આવે છે, તે રીત નવી છે અને ઉપર એનાં બે તાજાં ઉદાહરણો છે. અને આ માત્ર એકલ-દોકલ ઉદાહરણ નથી. જનતામાં ચોક્કસ પ્રકારનો મત પેદા કરવા ગલત સમાચારો કે ગલત માહિતીઓનો પ્રચાર કરવાની એક નવી રીત શરૂ થઈ છે. ગયા જૂનમાં બ્રિટિશરોએ બ્રિટન યુરોપિયન સંઘમાંથી નીકળી જાય તે માટે મતદાન કર્યું ત્યારે એમને એવું (ખોટી રીતે) ઠસાવવામાં આવ્યું હતું કે યુરોપિયનના સભ્યપદ માટે બ્રિટન પર પ્રતિ સપ્તાહ 470 મિલિયન ડૉલરનો ખર્ચો આવે છે. બ્રિટન જો સંઘમાંથી નીકળી જાય તો આ પૈસા આરોગ્ય સેવાને બહેતર બનાવવા વાપરી શકાય.

બ્રિટનના લોકોને આ તર્કની તથ્યાત્મક સચ્ચાઈ ખબર ન હતી, પરંતુ વાત એટલી ‘અપિલિંગ’ હતી કે તેમણે એમને ‘સાચી’ માની લીધી. આવું ઘણા દેશોમાં-સમાજમાં થઇ રહ્યું છે. સોશિયલ મીડિયાના જબરદસ્ત પ્રસાર વચ્ચે એવા ‘સમાચારો કે સચ્ચાઇ કે તથ્યો’ વાઇરલ થાય છે કે કરવામાં આવે છે જેની સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાઇ શકે. ટ્રમ્પે દુનિયામાંથી આતંકવાદનો સફાયો કરવાની વાત જે રીતે કરી તેમાં અમેરિકન લોકોને એવો સવાલ પૂછવાની જરૂરિયાત મહેસૂસ ન થઈ કે આતંકવાદ દૂર કરવાના ઉપાય શું છે અને ટ્રમ્પ એનો અમલ કેવી રીતે કરશે. આમ છતાં, લોકોને લાગ્યું કે ટ્રમ્પના આવવાથી કમ-સે-કમ અમેરિકામાંથી આતંકવાદ ખતમ થઈ જશે.

જનતા જે રીતે સોશિયલ મીડિયાની કે ટેલિવિઝનની જુઠ્ઠી-સાચી બાબતોમાં તણાઇ જાય છે તેનાથી હવે દરેક રાજકારણી માટે કોઇ પણ મુદ્દા ઉપર ભાવનાત્મક પ્રતિક્રિયા પેદા કરવાનું આસાન થઇ ગયું છે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મહંમદ આસીફે ઇઝરાયલ પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી હતી. કેમ? કારણ કે એક (ખોટા) સમાચારમાં એવું કહેવાયું હતું કે પાકિસ્તાન જો સીરિયામાં સૈનિકો મોકલશે તો ઇઝરાયલ પાકિસ્તાન પર હુમલો કરશે. સ્વાભાવિક રીતે જ બંને દેશોની જનતાને અપાર ‘ખુશી’ થઈ હશે.

2016 અને 2017નું વર્ષ એ રીતે બિન્ધાસ્ત જૂઠ બોલવાના વર્ષ તરીકે ઓળખાવું જોઈએ. એના માટે પોસ્ટ-ટ્રુપ જેવો શબ્દ પણ છે. સંસારના ઘણા લોકતાંત્રિક દેશોમાં તથ્યો કે નીતિઓને બદલે લાગણીઓ અને ડરનો આધાર લઇને રાજકારણ રમાઇ રહ્યું છે, જેને પોસ્ટ-ટ્રુપ કહે છે. પોલિટીફેક્ટ નામની અમેરિકાની એક વેબસાઇટ, જે રાજકારણીઓના દાવાઓને તથ્યોની એરણ પર ચકાસવાનું કામ કરે છે, તેણે ડોનાલ્ડ ટ્રમ્પનાં છેલ્લાં પાંચ વર્ષનાં વિધાનોની હકીકતો તપાસી તો ખબર પડી કે એમાંથી 70 પ્રતિશત વાતો બોગસ હતી, 15 પ્રતિશત વાતો અર્ધ-સત્ય હતી અને 15 પ્રતિશત વાતોમાં સચ્ચાઇ હતી.

આમ છતાં, લોકોએ ટ્રમ્પને વોટ આપ્યા. પોસ્ટ-ટ્રુપ અથવા જૂઠનો આ પ્રભાવ છે. આ પ્રભાવ સાવ નવો અને અણધાર્યો છે? ના. સભ્યતાઓ અને સમાજોના ઇતિહાસમાં જૂઠની ભૂમિકા હંમેશાં રહી છે. રાજકારણીઓ, જે આમ જનતા કરતાં વધુ ગંભીર, જવાબદાર અને સમજદાર હોય છે, એમણે હંમેશાંથી જનતાને લાગણીઓમાં ગુમરાહ કરવાને બદલે તથ્યો અને નીતિઓ સાથે બાંધી રાખી હતી, પરંતુ સમાજો અસ્થિર અને ભયભીત થઈ રહ્યા છે એટલે રાજકારણીઓએ લોકોને ગમે તેવું બોલવાનું શરૂ કર્યું છે, અને એમાં તથ્ય, સત્ય અને હકીકતનો ભોગ લેવાયો છે.

બે હજાર વર્ષ પહેલાં ગ્રીક ચિંતક એરિસ્ટોટલ ગ્રીક નાટકને સમજાવતાં ‘પોયેટિક્સ’માં લખ્યું હતું કે, પ્રેક્ષકો આકર્ષિત થાય તે માટે નાટક મુમકીન લાગવું જોઈએ, પછી ભલે એ જૂઠ હોય. બનાવટી કહાની મનોહર, સુખદ અને આરામદેહ હોય છે, જ્યારે સત્ય પરેશાની પેદા કરનારું હોય છે, એવી એરિસ્ટોટલને ખબર હતી. જૂઠ બે પ્રકારનાં હોય છે. એક સહજ હોય છે, જેમાં જૂઠ બોલવાની નમ્રતા હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ‘આજે તમે ખૂબસૂરત લાગો છો’ તો એમાં શિષ્ટાચાર વધુ છે. બીજું જૂઠ હાથચાલાકીવાળું હોય છે, જેમાં બીજી વ્યક્તિની ભાવનાઓ, ડર કે જરૂરિયાતો સાથે ‘રમત’ રમવામાં આવે છે.

ભારતીય સંસ્કૃિતમાં સૌથી જાણીતું જૂઠ મહાભારતમાં યુધિષ્ઠિરનું છે, જે અશ્વસ્થામા નામના હાથીનું મોત થયું હોવા છતાં દ્રોણને સમાચારની પુષ્ટિ એવી રીતે કરે છે, જેથી એવું લાગે કે જાણે દ્રોણના પુત્ર અશ્વસ્થામાનું મોત થયું હોય. વાલ્મીકિ રામાયણમાં રામ જ્યારે સીતાને વનવાસમાં મોકલે છે ત્યારે એ અસત્યનો સહારો લઈને લક્ષ્મણને એવું કહે છે કે, સીતા એની સખીઓ (મુનિઓની પત્નીઓ)ને મળવા માગે છે એટલે એ સીતાને જંગલમાં લઈ જાય.

યુધિષ્ઠિર અને રામ બંને ધર્મના (જેનો અર્થ સત્ય પણ છે) રક્ષક છે, અને એમના આ કથિત ‘સ્ખલન’ છતાં પણ લોકોને એમના પ્રત્યે કોઈ શંકા કે અનાદર નથી. કેમ? કારણ કે રાજાઓ(કે ભગવાનો)ના મોઢામાં જૂઠ અનુચિત નથી એવું આપણે માનીએ છીએ. આપણે એવું સ્વીકારી લીધું છે કે આપણા તારણહારને બહુમતી સમાજના હિતમાં જૂઠ બોલવાનો અધિકાર છે. કારણ કે, એક, એ હિતની આપણા કરતાં વધુ ખબર એમને છે અને બે, તેઓ ઉમદા હેતુથી જૂઠ બોલે છે.

આ તારણહારો જ્યારે પરંપરા કે નિયમો તોડે તો પણ આપણે એમને માફ કરી દઇએ છીએ, કારણ કે ચોક્કસ લોકો(દ્રોણ અને સીતા)ને સબક શિખવાડવા પ્રત્યેક પરંપરાભંગ જાયજ છે. એટલે આજના સમયમાં સાક્ષી મહારાજ ‘ચાર પત્નીઓ અને 40 બચ્ચાં’ તરફ આંગળી ચીંધે અથવા કર્ણાટકના ભાજપના ગૃહપ્રધાન યુવતીની છેડતી બદલ એના ‘ટૂંકા ડ્રેસ’ પર આંગળી મૂકે તો આપણને એમાં ‘સચ્ચાઇ’ નજર આવે છે.

સચ્ચાઇની આપણી વ્યાખ્યા પ્રસંગ પ્રમાણે અને અપેક્ષા પ્રમાણે છે. રાજકારણમાં જૂઠની જરૂરિયાત રહી છે.

જર્મનીમાં નાઝીઓનો આખો ઇતિહાસ જૂઠ ઉપર સર્જાયો હતો. એનાથી વિપરીત ભારતમાં ગાંધીજીએ સાબિત કર્યું હતું કે સત્યના સંગાથમાં જ સકારાત્મક રાજનીતિ ઇચ્છનીય જ છે એટલું નહીં, શક્ય પણ છે. ભારતની સ્વતંત્રતા ચળવળ રાજનીતિ અને સત્યની સંગત પર જ સફળ રહી હતી એ હકીકત બહુ જૂની નથી. બહરહાલ, સત્યની વાત ચંદ્રની જૂઠા સચ જેવી છે. એનો એક પક્ષ અંધારો છે, અને બીજો પ્રકાશમાન. પસંદગી આપણે કરવાની છે કે આપણે કઇ તરફ જીવવું – અંધકારની ગુમનામીમાં કે જ્ઞાન અને રાજકારણના પ્રકાશમાં.

અસ્તુ.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ’રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 22 જાન્યુઆરી 2017

Loading

...102030...3,5343,5353,5363,537...3,5403,5503,560...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved