Opinion Magazine
Number of visits: 9768648
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુપમ મિશ્ર : કાર્યથી ઓળખાતા, પ્રચારથી નહીં

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|21 February 2017

વિદ્વાન પર્યાવરણાવિદ્દ મિશ્રનું ગત ૧૯ ડિસેમ્બર ચ૨૦૧૬ની સવારે ૬૮ વર્ષની વયે કેન્સરની માંદગીને કારણે નિધન થયું. ગોપાલકૃષ્ણ ગાંધીના શબ્દોમાં, ‘તેઓ નિર્દંભી બુદ્ધિજીવી હતા. અન્ય લોકો શું કરે છે, શું નથી કરતા તેના પર ધ્યાન આપ્યા વિના તેઓ પોતાના કામને જ પ્રાધાન્ય આપતા હતા.’

રાણા દાસગુપ્તા દિલ્હીની મુલાકાતે ગયા, ત્યારે એક વિદ્વાન પર્યાવરણશાસ્ત્રી તેમને દેશની રાજધાનીના ઉત્તર ભાગની લટાર મારવા લઈ ગયા. એક સમયે કેનાલો તથા ટાંકીઓના જટીલ માળખાં થકી કેવી રીતે દિલ્હીની જળ વ્યવસ્થા કામ કરતી હતી તે પર્યાવરણવિદે લેખકને સમજાવ્યું. બ્રિટિશરોના આગમન પહેલાં દિલ્હીનાં જનજીવનમાં યમુના નદી કેન્દ્ર સ્થાને હતી. પાણીમાં રમાતી રમતોની સાથે સાથે તહેવારોમાં પણ યમુનાનું જ વર્ચસ્વ રહેતું. જો કે, બ્રિટિશ શાસનકાળમાં અને આઝાદી મળ્યા બાદ પણ આ નદીને કચરો ફેંકવાનું સ્થાન જ ગણવામાં આવી છે. હવે દિલ્હીના દક્ષિણ ભાગમાંથી વહેતી યમુના જૈવિક રીતે અને સાથોસાથ સાંસ્કૃિતક રીતે પણ મૃતપ્રાય થઈ ગઈ છે. દાસગુપ્તાને પગપાળા લટાર મારવા લઈ ગયેલા વિદ્વાને તેમને જણાવ્યું હતું કે ‘આધુનિક શહેર પાછળ દોટને પગલે નદીની ઉપેક્ષા કરવામાં આવે છે અને તેના કારણે યમુનામાં ગંદકી અને પ્રદૂષણ ફેલાયાં છે. લોકો યમુનાને ભૂલી ગયા છે. જો આપણા વડાપ્રધાને દર વર્ષે યમુનામાં સ્નાન કરવાનું હોત, તો યમુના ઘણી વધુ સ્વચ્છ હોત.’ દાસગુપ્તાને આ સમજણ આપનારા પર્યાવરણવિદ્‌નું નામ અનુપમ મિશ્ર હતું.

મિશ્રને જેટલી પ્રસિદ્ધિ મળવી જોઈએ તેટલી કદાચ ન મળી તે માટે સત્તા અને પ્રસિદ્ધિની અળગા રહેવાનો તેમણે પસંદ કરેલો વિકલ્પ કારણભૂત હતો. અંગ્રેજી ભાષાના જાણકાર હોવા છતાં તેમણે તેમના કાર્યમાં એકભાષી રહેવાનો નિર્ધાર કર્યો હતો. આ માટે ચોક્કસ કારણ પણ જવાબદાર હોઈ શકે છે. તેઓ જાણીતા હિંદી કવિ ભવાનીપ્રસાદ મિશ્રના પુત્ર હતા. તેથી બની શકે કે હિંદી સાહિત્યના તેમને મળેલા વારસાને જાળવી રાખવા માંગતા હોય.

બીજું, એક વખત હિંદીમાં લખવાનું નક્કી કર્યા બાદ, અસરકારક રીતે પ્રત્યાયન કરવા માટે તે ભાષા-વિશ્વમાં ખૂંપી જવું જરૂરી હતું. ત્રીજું, અને કદાચ સૌથી મહત્ત્વનું કારણ એ હોઈ શકે કે તેઓ ઉત્તર ભારતના ગ્રામવાસીઓ વિશે તથા ગ્રામજીવન વિશે લખતા હતા. આ ગ્રામવાસીઓ વૈવિધ્ય ધરાવતી હિંદી ભાષામાં વાત કરતા હોવાથી, મિશ્રા તેમનાં પુસ્તકો અને નિબંધો તે જ ભાષામાં લખે, તે વધુ યોગ્ય હતું. (૮૦૦૦ દર્શકો ધરાવતા ટેડ ટોક(TED TALK)ને બાદ કરતાં, મિશ્રાનાં મોટાભાગનાં સર્જનો હિંદી ભાષામાં જ છે. તેમનાં કેટલાંક તાજેતરનાં લખાણો વેબસાઇટ http://www.mansampark.in પર ઉપલબ્ધ છે. અનુપમ મિશ્રાનું મેં પ્રથમ વાંચેલું પુસ્તક (જે કદાચ લેખક તરીકે તેમનું પણ પ્રથમ પુસ્તક જ હતું) ઘણું જ સંક્ષિપ્ત હતું, પણ તેમાં ‘ચિપકો આંદોલન’નો અત્યંત ગહન અભ્યાસ કરવામાં આવ્યો હતો. મિશ્રા અને સત્યેન્દ્ર ત્રિપાઠીએ સાથે મળીને તે પુસ્તક લખ્યું હતું. ૭૦ના દાયકામાં પ્રકાશિત થયેલું આ પુસ્તક ચિપકો આંદોલનની જ્યાંથી શરૂઆત થઈ હતી તે અલકનંદાના ખીણપ્રદેશનાં ગામોમાં સ્થાનિક સ્તરે કરવામાં આવેલી કામગીરી પર આધારિત હતું. પુસ્તકમાં ચિપકો આંદોલનના નેતા ચંદીપ્રસાદ ભટ્ટના ભગીરથ પ્રયત્નો તથા તેમના ઉદ્દેશ્ય પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સાથે જ આંદોલનના કરોડરજ્જુ સમાન સ્ત્રી-પુરુષોના યોગદાનને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

’૮૦ના દાયકામાં મિશ્રએ જળસંગ્રહ અને જળવ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમને સમજાયું કે જળ એ ભારત અને વિશ્વના સાતત્યપૂર્ણ ભવિષ્યની ચાવી છે. ટેડ ટૉકમાં તેમણે પાણીને જીવનનું કેન્દ્ર ગણાવ્યું હતું. ખેડૂતો દ્વારા ટ્યુબવેલ મારફત ભૂગર્ભ જળસ્રોતોનો અવિચારી ઉપયોગ, શહેરીજનો તથા ઉદ્યોગો દ્વારા પ્રદુષિત કરવામાં આવતી નદીઓ અને અન્ય રીતે પાણીને વેડફાતું જોઈને તેમણે જળસંચયની દેશી પદ્ધતિઓનું દસ્તાવેજીકરણ કરવાનું શરૂ કર્યું. આ પદ્ધતિઓ સ્થાનિક જમીનની કાળજીપૂર્વક સમજૂતી પર આધારિત છે. તેમણે વરસાદનું નજીવું પ્રમાણ ધરાવતા અને રણપ્રદેશ ધરાવતા તથા આજે પણ કૂવા અને ટાંકીઓની વ્યવસ્થા ધરાવતા રાજસ્થાનને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. વર્ષો સુધી હાથ ધરાયેલા સંશોધનના આધારે તેમણે હિંદીમાં ચોપાનિયાં તથા પુસ્તકોની શ્રેણીઓ પ્રસિદ્ધ કરી. જેનાં શીર્ષક હતાં ‘રાજસ્થાન કી રજત બૂંદે’ અને ‘આજ ભી ખરે હૈં તાલાબ.’ આ શીર્ષકો પોતાના પૂર્વજોને પછાત ગણતા અને તેમની ટીકા કરતા આધુનિક માનવીઓ તેમની પાસેથી ઘણું શીખવાની જરૂર છે તે સૂચવે છે.

મિશ્રને હું તેમના કાર્યો થકી જ ઓળખતો હતો. મારે ભાગ્યે જ તેમને મળવાનું થયું હશે, પણ જ્યારે મળવાનું થાય, ત્યારે તે મુલાકાત મારા માટે જ્ઞાનપ્રેરક બની રહેતી. ’૮૦ના દાયકામાં ચિપકો આંદોલન અંગેના મારા પોતાના સંશોધન માટે તેમનાં સલાહ-સૂચન લેવા માટે હું તેમને મળ્યો હતો. ૯૦ના દાયકામાં, હું નેહરુ મેમોરિયલ મ્યુિઝયમ ઍન્ડ લાઇબ્રેરી(એન.એમ.એમ.એલ.)નો સભ્ય હતો, તે દરમિયાન મેં મિશ્રને તેમના પુસ્તક ‘આજ ભી ખરે હૈં તાલાબ’ અંગે વાર્તાલાપ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. એન.એમ.એલ.એલ. તે સમયે કીર્તિના શિખર પર હતી અને ભારતીય બુદ્ધિજીવીઓમાં તેનું અનેરું મહત્ત્વ હતું. વળી, વિદેશી વિદ્વાનોનું પીઠબળ પણ મળી રહ્યું હતું. અહીં, હિંદી ભાષામાં ‘થોડામાં ઝાઝું કહીને’ તેમણે જે વક્તવ્ય આપ્યું અને રજૂઆતો કરી, તે એન.એમ.એમ.એલ. ખાતે થયેલી સૌથી રસપ્રદ ચર્ચાઓમાં સ્થાન ધરાવે છે. આ ચર્ચાના પડઘા ઘણા સપ્તાહો સુધી એન.એમ.એમ.એલ.ની પરસાળોમાં ગૂંજતા રહ્યા હતા. એક દાયકા બાદ મેં ચંડીપ્રસાદ ભટ્ટનું બહુમાન કરતી એક બેઠકમાં મિશ્રને ચંડીપ્રસાદ ભટ્ટનાં કાર્યો વિશે વક્તવ્ય આપતાં સાંભળ્યા. ફક્ત પાંચ કે છ જ મિનિટમાં તેમણે ઘણી જ કુશળતાપૂર્વક ગાંધીવાદી વિચારધારા અને સક્રિયવાદ ક્ષેત્રે ભટ્ટના યોગદાનને વર્ણવ્યું. થોડા મહિનાઓ અગાઉ મને તેમના કેન્સર વિશે જાણ થઈ, ત્યારે હું તેમને મળવા ગયો. તે અમારી છેલ્લી મુલાકાત હતી. આ બીમારીને કારણે તેમને ઘણું શારીરિક કષ્ટ થઈ રહ્યું હતું તે સ્પષ્ટ દેખાતું હતું. છતાં તેમના અવાજની મૃદુતા અને ગહનતા હજી એવીને એવી અકબંધ હતી. તેમના યુવાન સાથી સોપાન જોષી પણ અમારી સાથે હતા. તાજેતરનાં વર્ષોમાં મિશ્રનાં કાર્યોની જાણકારી નવી પેઢી સુધી પહોંચાવા માટે જોષીએ ભગીરથ પ્રયત્નો કર્યા છે.

આધુનિક ભારતમાં પર્યાવરણીય ચળવળ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારી પાંચ વ્યક્તિઓનાં નામ પૂછવામાં આવે, તો હું જેમનાં નામ આપીશ તે વ્યક્તિઓ છે – ચળવળકર્તાઓ ચંડીપ્રસાદ ભટ્ટ તથા મેઘા પાટકર, વિજ્ઞાની માધવ ગાડગિલ, પત્રકાર અનિલ અગ્રવાલ અને પર્યાવરણવિદ અનુપમ મિશ્ર. મિશ્ર પર્યાવરણ ક્ષેત્રે સક્રિય હતા, તેમ છતાં ઉપરોક્ત પાંચ વ્યક્તિઓમાં તેઓ સૌથી ઓછા જાણીતા છે. આ પાછળનું કારણ તેમણે કરેલી પસંદગીઓ જેમ કે ‘બળવો કે વિરોધ કરવાને બદલે પુનઃ નિર્માણ કરવું તથા અગ્રેજીને બદલે હિંદીમાં’ લેખનકાર્ય વગેરે પરિબળો જવાબદાર છે.

પોતાનાં ગહન લખાણો અને જીવન માટે અત્યંત જરૂરી અને અનિવાર્ય પાણીના સ્રોતના સંરક્ષણ અને સંચય અંગે સંવેદનશીલતાપૂર્વક કામગીરી કરવા બદલ અનુપમ મિશ્ર સદૈવ યાદ રહેશે. સાથે જ, પોતાના યોગદાનનો પ્રચાર કર્યા વગર, પૂર્વગ્રહ કે માનસિકતાને આધાર બનાવવાને બદલે સંશોધન આધારિત નક્કર કામગીરી કરવા બદલ તેઓ હંમેશાં યાદ રહેશે.

[ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં સૌપ્રથમ પ્રકાશિત લેખ ઉન્નતિ ના દીપાસોનપાલ સંપાદિત ‘વિચાર’ માસિકમાંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 04-05 

Loading

ખુમારીની નોંધવહી

મનુભાઈ પંચોળી|Samantar Gujarat - Samantar|21 February 2017

સદ્‌ગત જયાબહેન શાહે લગભગ ત્રણેક દાયકા પર સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસૈનિકનો એક પરિચયગ્રંથ તૈયાર કર્યો હતો. સુલભ થઈ તેટલી તસવીરો ઉપરાંત જે તે લડતની લગતી નોંધો પણ એમના સંપાદનની વિશેષતા હતી. હવે તેનું શોધિત-વર્ધિત નવસંસ્કરણ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ પ્રકાશિત કર્યું છે. અહીં પ્રથમ આવૃત્તિ વખતની, નવસંસ્કરણમાં પણ સમાવિષ્ટ, પ્રસ્તાવના સાભાર ઉતારીએ છીએ. પુસ્તક વિશે વિશેષ માહિતી હવે પછી આપીશું …

****

કાઠિયાવાડ બહારવટિયાની ભૂમિ તરીકે મશહૂર છે. એમાંના જોગીદાસ જેવા કેટલાક ખાનદાનીની મૂર્તિ સમા હતા.

પણ આ પુસ્તકમાં દર્શાવેલા બહારવટિયા અને તેમનું બહારવટું એક જુદા જ પ્રકારનું હતું. બહારવટું એટલે કાયદાએ નક્કી કરેલા ચીલાની બહારનો ચીલો. એ અર્થમાં આ બહારવટું હતું, પણ તેનો પાયો જાતે સહન કરીને અન્યાયી વ્યવસ્થા અને તેમના ચલાવનારાઓને તેમની જ પ્રજાની બેહાલી અને જાગૃતિ વિશે સભાન કરવાનો હતો. જૂના બહારવટિયાઓની જેમ તેમણે કોઈનું લૂંટ્યું-બાળ્યું નહીં, પણ પોતાની જાતને જ બાળી. યરવડા જેલમાં ભાઈ રતિલાલ ત્રાસને પરિણામે શહીદ થયા અને નાસિકમાં અમૃતલાલ મરણતોલ સ્થિતિએ પહોંચ્યા.

ખાખરેચીથી માંડીને ‘કરેંગે યા મરેંગે’ તથા આરઝી હકૂમત સુધી પ્રજાશક્તિના ઉન્મેષોની નોંધવહી આમાં વાચક જોઈ શકશે.

સૌરાષ્ટ્ર નાનાં-મોટાં બસો રજવાડામાં વહેંચાયેલું હતું. રાજ્યે-રાજ્યે અલગ કાયદા હતા. ક્યાંક સમજુ અને બહુધા અણસમજુ રાજાઓ-દીવાનો હતા. સમજુ હોત, તો સત્યાગ્રહોની જરૂર જ ન પડતને! મોરબીમાં આખરે સદ્‌ગત ચંપકલાલ વોરાને ખાદીકામ જ કરવું હતું. ગાંધીજીએ પણ આગેવાનોને બને ત્યાં સુધી એ કામને વળગી રહેવા જ સલાહ આપેલી. એ સલાહ પાછળ દીર્ઘદર્શિતા હતી કે આ રાજ્યો તો બ્રિટિશ સરકારને આધારે ટકેલાં ડાળ-પાંદડાં છે. તે સત્તા જ્યારે જશે અને પ્રજાના હાથમાં સત્તા આવશે, ત્યારે આપોઆપ એ બેજવાબદાર શાસનો ખરી પડશે. બન્યું પણ તેમ જ. દેશી રજવાડાં સામે લડાઈ લડવા અધીરા હતા, તેમને પણ ગાંધીજીની સલાહ સાચી હતી, તેમ લાગ્યું.

દેશી રાજ્યોમાં સત્યાગ્રહ કરનારા એક અર્થમાં સાચા પણ હતા. તે વાણીસ્વાતંત્ર્ય, અખબારી સ્વાતંત્ર્ય અને રચનાત્મક કાર્યોની છૂટ. આ જ્યાં ન હોય કે તેને રોકવામાં આવે. ત્યાં સત્યાગ્રહ એક મર્યાદિત અર્થમાં થયો. તેમાં ક્યાંક હાર્યા, ક્યાંક જીત્યા … એવા બેઉ પ્રકારો આ પુસ્તકમાં જોઈ શકાશે. પણ હાર્યા તે પણ એક અર્થમાં ફળદાયી થયું. બાઇબલમાં કહ્યું છે કે ખરાબમાંથી પણ સારું થાય છે. (From evil commeth good).

આવી હારમાંથી પણ સત્યાગ્રહીઓમાં નિર્ભયતા, સંગઠનશક્તિ આવ્યાં. આ બસો રજવાડાં કે ઠકરાતોને આખરે અંગ્રેજ સરકારનો ટેકો છે, માટે જ ઉદ્ધતાઈથી વર્તે છે, એ ભાન થતાં સૌરાષ્ટ્રના આ સત્યાગ્રહી વીરો ધોલેરા, વિરમગામ, ખારાઘોડા, પાટડી … બધે પહોંચ્યા. પુસ્તકમાં આવા વીરો સર્વશ્રી આત્મારામભાઈ, શંભુશંકરભાઈ, લક્ષ્મીશંકરભાઈ તેમ જ ખાખરેચીવાળા મગનભાઈના પ્રેરણાપ્રદ ઉલ્લેખો છે.

આના જ પરિણામ રૂપે જ્યારે સ્વરાજ આવ્યું, ત્યારે સૌરાષ્ટ્રમાં રાજ્યેરાજ્યે કાર્યકર્તાઓ આપોઆપ મળી ગયા, શોધવા ન જવું પડ્યું. એટલું જ નહીં, વઢવાણ-ધ્રાંગધ્રા જેવા મોટા કે નાના વણોદ જેવાના બેજવાબદાર વર્તને પણ સૌને અપવાદ સિવાય ખાતરી કરાવી આપી કે સૌરાષ્ટ્રનું એકમ અનિવાર્ય છે. આ અનિવાર્ય તે સહજ બન્યું; તેનું કારણ આ સત્યાગ્રહો છે, જેમાં ખાખરેચી, ગોંડલ, લિલિયા, ધ્રોળ, વઢવાણ, રાજકોટના હજારો ખેડૂતોએ આત્મભોગ આપી એક અતૂટ સંગઠન ઊભું કર્યું. સૌરાષ્ટ્રના સર્જન વખતે અને ગિરાસદારી-નાબૂદી વખતે આ સંગઠન વિના અપવાદે કામ લાગ્યું.

ગાંધીજી કહેતાં કે ‘સત્યાગ્રહી કદી હારતો નથી’ એટલે કે, શુદ્ધભાવે કરેલો સત્યાગ્રહ એળે જતો નથી, તે સાબિત થયું. સૌરાષ્ટ્રના એ સુવર્ણપ્રભાતે જે ઐક્ય, ત્યાગશક્તિ, સમજદારી દેખાયાં, એ કારણે મોટાં કામો ટૂંકા ગાળામાં થયાં. તે આ નાનાનાના સત્યાગ્રહોનું અમૃત હતું.

‘આરઝી હકૂમત’ એક અલગ પ્રકરણ છે. સ્વરાજ આવી ગયું હતું, રિયાસતી ખાતું સરદાર સંભાળતા હતા. ૯૯.૩/૪ ટકા કૉંગ્રેસીજનોએ તો અહિંસા એક રાજકીય વ્યૂહનીતિ તરીકે સ્વીકારી હતી, ધર્મ તરીકે નહીં. આથી તે પ્રકરણે જુદો જ રંગ કાઢ્યો. જે સત્યાગ્રહીઓએ ચૂંચાં કર્યા સિવાય માર ખાધો હતો પણ મીન ભણ્યું ન હતું, તે જ શસ્ત્રધારી બન્યા અને તેઓ જાનફેસાની કરવા નીકળ્યા. આ એક રંગભર્યું, ઉજ્જ્વળ પ્રકરણ છે. જૂનાગઢ પાકિસ્તાનમાં ગયું હોત, તો શું થાત એ કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવી છે. એટલે એમાં લોકો આપોઆપ નીકળી પડ્યા. નિર્ભયતા તો તેમને સત્યાગ્રહોએ શીખવી જ હતી.

આ અભૂતપૂર્વ આંદોલનનો ચિતાર તેના જ એક અગ્રણી અને સત્યાગ્રહી રતુભાઈ અદાણીએ સરળ રીતે બે ભાગમાં સ્વાનુભવે આપ્યો છે, તેની ચિત્રાત્મકતા અને ભાવવાહિતા તરફ સાહિત્યિક વિવેચકોનું ધ્યાન કેમ નહીં ગયું? તેને આપણી સંકુચિતતા ગણાવવી કે બેદરકારી? એમણે એવી જ કુશળતાથી ધોલેરા-સત્યાગ્રહનાં સંસ્મરણો પણ ‘ઊર્મિ-નવરચના’માં આલેખ્યાં છે, તે તરફ પણ ધ્યાન જવું જોઈએ. આપણા દેશમાં તવારીખ લખવાનું વલણ જ નહોતું. તે આપણે મુસ્લિમ ઇતિહાસકારો પાસેથી શીખ્યા. હજુ પૂરું શીખ્યા છીએ કે કેમ તે વિશે શંકા થાય. નહીંતર આવા ટૂંકા-ટૂંકા પણ ચોક્કસ લેખો, નજીકના એ ઊજળા ઇતિહાસ વિશે વિશેષ અને વહેલા લખાયા હોત.

વજુભાઈ એક વ્યાપક દૃષ્ટિવાળા અગ્રણી હતા. તેમણે આ સૂઝ્‌યું. થોડો આરંભ પણ કરાવ્યો અને એવામાં જ તેમનું અવસાન થયું. પણ જયાબહેન, તેમનાં સહચારિણીએ સમર્પણબુદ્ધિથી એ કામ હાથમાં લીધું અને કેટલીક માથાકૂટ અને કાયાકૂટ પછી આ ગ્રંથ બે ખંડમાં તૈયાર કર્યો. એકમાં નાના કે મોટા સત્યાગ્રહીઓની કે સ્વાતંત્ર્યવીરોની ટૂંકી-ટૂંકી નોંધો છે અને બીજામાં ખાખરેચીથી માંડીને આરઝી હકૂમત સુધીની લડતો છે. એકમાં પુરુષો અને સ્ત્રીઓએ શું કર્યું અને બીજામાં કેમ અને શું થયું, તે ચીતરવા-નોંધવા સંગ્રહવાનો પુરુષાર્ષ જયાબહેને કર્યો છે. આ પુસ્તક સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યના ઉષઃકાળ કે ઉદયકાળનો સંદર્ભગ્રંથ બની જશે અને તેના પરથી અભ્યાસીઓ આગળ વધી શકશે.

સૌરાષ્ટ્રના ઘડતરમાં જેમ સત્યાગ્રહોનો ફાળો છે, તેમ રચનાકાર્યોનો પણ ફાળો છે. તેના પર ગાંધીજીએ હંમેશ ભાર આપ્યો હતો, એટલે સૌરાષ્ટ્રના આગેવાનો સર્વશ્રી ફૂલચંદભાઈ શાહ, બળવંતભાઈ મહેતા, નારણદાસભાઈ ગાંધી, રતુભાઈ અદાણી અને નાનાભાઈ સૌએ ગામડામાં કે શહેરમાં અસ્પૃશ્યતાનિવારણ, ખાદીકાર્ય, ગ્રામોદ્યોગપ્રવૃત્તિ, મજૂર-સંગઠનનાં કામ કર્યાં. સ્વ. બળવંતભાઈએ અસ્પૃશ્યતા-આંદોલન વખતે લાંબી પદયાત્રા બળબળતા ઉનાળે કરેલી, તે મને બરાબર યાદ છે. આ રચનાકામમાં પણ ત્રણ પ્રકારનાં વલણો દેખાયાં છે. એક, આ કામથી રાજકીય સ્વરાજ નજીક આવે, લોકો તેમાં લડવા કટિબદ્ધ બને તેવું; બીજું, ગરીબ કે કામવિહોણાને કામ આપવાનું માનદયાનું અને ત્રીજું, સામાજિક અવગુણોની સફાઈ કરીને સમાજની ન્યાયવૃત્તિ જાગૃત કરવાનું. ત્રીજું વલણ છે તે નાનાભાઈ જેવા જૂજ પુરુષોમાં દેખાયું. ખરેખર ગાંધીજીના મનમાં જેનું મહત્ત્વ હતું, તે છેલ્લા પ્રકારના કામનું. તેમની ઊંડી સમજ, દીર્ઘદૃષ્ટિ વારે-વારે કહેતી હતી કે સમાજમાં પોતાના તરફથી તથા અન્યાયોને સ્વરાજપૂર્વે જ દૂર કરવાની જવાબદારી કે હોંશ પેદા થઈ નથી, ત્યાં રાજકીય સ્વરાજ આવે તો પણ બહુધા તે સામાજિક સમતા કે ન્યાયની સ્થાપના નહીં કરે શકે અથવા તે ઘણું કઠિન થશે.

આ દૃષ્ટિ ન સમજાઈ, પરિણામે સ્વરાજ આવ્યા પછી, જેવા એ સમયના મહારથીઓ ગયા કે તરત દેશનું વહાણ ભ્રષ્ટાચાર, હોદ્દાની મારામારી, જ્ઞાતિઓના વર્ગવિગ્રહ તરફ વળ્યંું, જે આજે દેખાય છે. અસ્પૃશ્યતા દૂર કરવાનો, સ્ત્રીઓને સમાન અધિકાર આપવાના ઠરાવો ગણ્યાગાંઠ્યા કલાકોમાં પસાર કરનાર સંસદ કે વિધાનસભાઓ બહુમતીના જોરે ભ્રષ્ટાચાર છાવરવાનાં સ્થળો જેવાં બની ગયાં છે ! સૌરાષ્ટ્રના સોનેરી ઉષઃકાળના મૂળમાં રચનાકાર્ય હતું, અને પ્રમુખ રાજપુરુષો, પ્રમુખ રચનાત્મક કાર્યકરો પણ હતા. આનો ઇતિહાસ પણ લખાય તે જરૂરી છે.

અહીં એક બીજી વાત પણ નોંધવી જોઈએ અને તે છે ‘સૌરાષ્ટ્ર’ અને પછીથી ‘ફૂલછાબ’ના પત્રકારત્વે આપેલો ફાળો. અમૃતલાલ શેઠે ‘સૌરાષ્ટ્ર’ – પત્ર દ્વારા સૌરાષ્ટ્રની અસ્મિતા પેદા કરી અને પછી ફૂલછાબે તે આગળ વધારી. ગુજરાતમાં એની જોડનો કોઈ નમૂનો નથી. ‘નવજીવન’ કે ‘યંગ ઇન્ડિયા’ તો સમગ્ર ભારતવ્યાપી ગણાય, પણ સૌરાષ્ટ્રની જાગૃતિ, તેના સત્યાગ્રહો અને સત્યાગ્રહીઓની બિરદાવલી કરનારા પત્રો ન ભુલાય. તે જમાનામાં સહજ અતિશયોક્તિ કે થોડી વાગ્મિતા કદાચ તેમાં હશે, પણ તેણે સૌરાષ્ટ્રના સત્યાગ્રહીઓ કે સત્યાગ્રહો કે સ્વાતંત્ર્ય-સંગ્રામોને જે પાણી ચડાવ્યું; જે પ્રચંડ લોકમત ઊભો કર્યો, તેની નોંધ લીધા વિના ચાલે  તેવું નથી.

આ પુસ્તકમાં વર્ણવાયેલા કેટલાક સત્યાગ્રહના સાક્ષી તરીકે, આ પ્રસ્તાવના લખતાં હું મનમાં અનેક આંદોલનો અનુભવું છું. મને યાદ આવી જાય છે એ વખતની સ્મશાનભૂમિ, જેમાં શહીદ બહેચરભાઈની ચિતા ભડભડ બળી રહી હતી. આજુબાજુ નાનકડા વળા ગામના ખેડૂતો ઊભા છે અને ભાઈ પ્રેમચંદભાઈ, ભાઈ ભાનુભાઈની હાકલે લોકો એક પછી એક પ્રતિજ્ઞા લેવા આવે છે કે ‘આ અન્યાય દૂર કરવા અમે મથીશું’ અને બે દહાડામાં સેંકડો બાઈઓ પોતાનાં ધાવણાં બાળકો લઈને વળા ઠાકોરના મહેલ સામે બેસી પોતાનાં બાળકોને આ અન્યાય દૂર ન થાય ત્યાં સુધી ધવરાવશે નહીં, એવો નિશ્ચય તે વખતના દરબારશ્રીને જણાવે છે. એ દિવ્ય-ભવ્ય દૃશ્ય આંખ આગળથી ખસતું નથી. આવા સાચા ત્યાગે એ સમયના ઍજન્સીતંત્રને પણ જગાડ્યું. પોલિટિકલ એજન્ટ આવ્યા. બહેનો-ભાઈઓને સાંભળ્યાં અને દરબારને બે વર્ષ માટે રાજ્ય – બહાર રહેવાનો હુકમ કર્યો. આવાં ત્યાગગોજ્જ્વલ, વિરોચિત પરાક્રમોની નોંધ, સંભાળ જે પ્રજા રાખતી નથી, તેનું પતન થાય તેમાં નવાઈ નથી. જયાબહેને એ સમયને પૃષ્ઠો પર સજીવન કર્યો છે, એ બદલ સૌ એમના કૃતજ્ઞ રહેશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 06-07

Loading

સાયકલ પર વિશ્વભ્રમણ કરનારા ત્રણ ગુજરાતી

વિશાલ શાહ|Samantar Gujarat - Samantar|20 February 2017

ઈરાનના રણપ્રદેશમાંથી મેસોપોટેમિયા, સીરિયા અને સાયનાઈના અફાટ મેદાનો – જંગલોમાંથી સાયકલ લઈને સૌથી પહેલીવાર કોણ પસાર થયું હતું?

આખા કોરિયા ઉપખંડને ચીરતો સૌથી પહેલો સાયકલ પ્રવાસ કોણે કર્યો હતો?

અચ્છા, ત્રીજો સવાલ. સાયકલ પર ફક્ત ૧૬ કલાકમાં ૨૭૫ કિલોમીટરનું અંતર કાપવાનો સૌથી પહેલો વિશ્વ વિક્રમ કોણે નોંધાવ્યો હતો?

આ સવાલોનો આશ્ચર્યજનક અને અધૂરો જવાબ એ છે કે, આ ત્રણેય વિશ્વ વિક્રમ ગુજરાતી યુવાનોના નામે છે, જે ૧૯૨૩થી ૧૯૨૮ની વચ્ચે સર્જાયા હતા.

આટલાં વર્ષો પહેલાં ઈરાનનો રણપ્રદેશ, મેસોપોટેમિયા એટલે કે ઈરાકથી ગ્રીસ સુધીની ટાઇગ્રિસ અને યુફ્રેટિસ નદીના વેરાન મેદાનો, સીરિયાનું પાંચ લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું અફાટ રણ અને સાયનાઈ એટલે કે ઇજિપ્તના લાલ અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચે આવેલા નિર્જન વિસ્તારમાંથી પહેલીવાર સાયકલ લઈને નીકળેલા સાહસિકો ગુજરાતીભાષી હતા. કોરિયા જેવા ‘અજાણ્યા’ ઉપખંડને ચીરતો પહેલો સાયકલ પ્રવાસ કરનારા ગુજરાતીભાષી હતા. આજે તો સાયકલ સવારીના અનેક વિશ્વ વિક્રમો નોંધાયા કરે છે, પરંતુ નવ દાયકાથી પણ વધુ સમય પહેલાં સાયકલ પર ફ્કત ૧૬ કલાકમાં ૨૭૫ કિલોમીટરનું અંતર કાપવાનો વિશ્વવિક્રમ નોંધાવનારા પણ ગુજરાતીભાષી હતા. સાયકલિંગની દુનિયામાં બીજી અનેક સિદ્ધિઓ ગુજરાતના સપૂતોના નામે છે. જેમ કે, બર્ફીલા તોફાનો વચ્ચે સ્વિત્ઝર્લેન્ડની આલ્પ્સ પર્વતમાળાઓને સાયકલ લઈને ખૂંદનારા તેમ જ ચીન-જાપાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે આ બંને દેશના યુદ્ધક્ષેત્રોમાંથી સાયકલ લઈને પસાર થનારા પહેલવહેલા એડવેન્ચર ટ્રાવેલરો પણ ગુજરાતીભાષી હતા, એ હકીકતો જ કેટલી રોમાંચક છે!

ફેસબુક પર એવિડ ટ્રાવેલર કે એડરનલાઈન જંકી એવું સ્ટેટસ મૂકવું એ અલગ વાત છે અને કારકિર્દીને લાત મારીને, ફક્ત સાહસનો સળવળાટ સંતોષવા, ઘરેથી સાયકલ લઈને દુનિયા ફરવા નીકળી પડવું એ તદ્દન નોખી વાત છે. આ પ્રકારની સાહસ યાત્રામાં વ્યક્તિ સફળ થાય તો દુનિયા સલામ કરે પણ નિષ્ફળ જાય તો એ પ્રયાસને કોઈ યાદ સુદ્ધાં ના રાખે અને ગમે તેવો મહાન પ્રયાસ કરનારા પણ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ જાય. દુ:ખની વાત એ છે કે, ૧૯૩૦ના દસકામાં ત્રણ પારસી યુવકોએ સાયકલ પર વિશ્વ ભ્રમણ કરીને સાયકલિંગ અને એડવેન્ચર ટ્રાવેલની દુનિયામાં અનેક વિશ્વ વિક્રમો નોંધાવ્યા હતા. આમ છતાં, ભારતમાં પારસીઓના પ્રદાનની વાત આવે ત્યારે તેમને ‘ગુજરાતી’ ગણાવીને છાતી ફૂલાવતા ગુજરાતે આ સાહસિક પ્રવાસીઓને, રાખવા જોઈએ, એવી રીતે યાદ રાખ્યા નથી.

***

૧૫મી ઓક્ટોબર, ૧૯૨૩ના રોજ બોમ્બે વેઇટલિફ્ટિંગ ક્લબના અદિ હકીમ, જલ બાપાસોલા, રૂસ્મત ભૂમગરા, કેકી પોચખનવાલા, ગુસ્તાદ હાથીરામ અને નરીમાન કાપડિયા નામના છ યુવાન સાયકલ લઈને દુનિયાનો આંટો મારવા નીકળ્યા હતા. જો કે, આ સાહસ યાત્રા અદિ, જલ અને રૂસ્તમ જ પૂરી કરી શક્યા હતા. સરેરાશ વીસ વર્ષની ઉંમરના એ ત્રણેય યુવાનો બોમ્બેથી દિલ્હી, આગ્રા, મુલતાન (હાલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં) બલુચિસ્તાનના ક્વેટાથી ભારતીય ઉપખંડની સરહદ પાર કરીને ઈરાન, ઈરાક, સીરિયા, પેલેસ્ટાઈન, ઇજિપ્ત, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ, હંગેરી, ઝેકોસ્લોવેકિયા, જર્મની, હોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, યુનાટેડ સ્ટેટ્સ, જાપાન, કોરિયા, બર્મા અને શ્રીલંકાનો સાયકલ પ્રવાસ કરીને ૧૮મી માર્ચ, ૧૯૨૮ના રોજ ભારત પરત ફર્યા, ત્યારે તેમના નામે ૭૦,૮૧૨ કિલોમીટરનું અંતર સાયકલ પર કાપવાનો વિક્રમ નોંધાઈ ગયો હતો. બોલતા બોલતા હાંફી જવાય એટલા દેશોનો પ્રવાસ કરવા અદિ, જલ અને રૂસ્તમે ચાર વર્ષ અને પાંચ મહિનાનો સમય લીધો હતો.

મુંબઈની દાદરસ્થિત વેઇટ લિફટિંગ ક્લબની બહાર અદિ, રૂસ્તમ અને જલ તેમની સાયકલો અને અન્ય સાધનસરંજામ સાથે

આજે ય હાર્ડકોર ટ્રાવેલર સિવાય કોઈ જવાનું પસંદ નથી કરતું એવા અનેક સ્થળોએ અદિ, જલ અને રૂસ્તમ સાયકલ લઈને ફર્યા હતા. આ યુવાનોએ મુંબઈથી નીકળતી વખતે શક્ય હોય ત્યાં બધે જ દરિયાઈ અને રેલવે મુસાફરી અવગણી હતી કારણ કે, તેઓ ઈચ્છતા હતા કે તેમનો મહત્તમ પ્રવાસ સાયકલ પર જ થાય. આ રીતે પ્રવાસ કરવામાં અનેક સ્થળોએ તેમની જબરદસ્ત માનસિક કસોટી થઈ અને ક્યાંક તો સાક્ષાત મોતના દર્શન પણ થયા. જેમ કે, ભારત સહિત અનેક પ્રદેશોના જંગલોમાંથી ગાઢ જંગલોમાંથી પસાર થતી વખતે જંગલી પ્રાણીઓ, સાપ, લૂંટારા અને માણસને ય મારીને ખાઈ જાય એવી આદિ જાતિઓનો સામનો કર્યો. ઈરાકથી સાયનાઈ સુધીના ૧૦૦૭ કિલોમીટરનો પ્રવાસ કરતી વખતે ૬૦ ડિગ્રી ગરમીમાં સાયકલ ચલાવવી પડી. યુરોપના અમુક વિસ્તારોમાં પોચટ હૃદયના માણસના તો ગણતરીની ક્ષણોમાં જ રામ રમાડી દે એવી હિમવર્ષાનો સામનો કર્યો. કેટલાક વિસ્તારોમાં તો બર્ફીલા વાવાઝોડા સાથેના વરસાદથી બચવા માટે તેઓ પોતાની રજાઈઓનો ઉપયોગ કરીને માંડ માંડ મોતની ચુંગાલમાંથી બચ્યા. આ સાહસિકોને ક્યાંક ઉમળકાભેર આવકાર મળ્યો તો ક્યાંક જેલની હવા પણ ખાવી પડી.

સાયકલ યાત્રામાં આવરી લેવાયા હતા એ દેશો અને શહેરો

અદિ, જલ અને રૂસ્તમનો સાયકલ પ્રવાસ એક સાહસયાત્રાથી ઘણો વિશેષ છે કારણ કે, તેઓ કોઈ પણ દેશની સરહદોને અડીને નીકળી નહોતા જતા પણ જે તે વિસ્તારોના જાણીતા ભૌગોલિક પ્રદેશો, જંગલો, નદીઓ, કોતરો અને પર્વતમાળાઓ નજીક સાયકલ પ્રવાસ કરતા. એટલું જ નહીં, તેઓ વિવિધ દેશોમાં નક્કી કરેલા સમયમાં સ્થાનિક સ્થાપત્યો, મ્યુિઝયમો, સંસ્કૃિત વગેરે વિશે જાણ્યા પછી જ આગળ વધતા હતા. આ વાતની સાબિતીરૂપે તેમણે અનેક દેશોના વડાપ્રધાનો, વિદેશોમાં બ્રિટન વતી ફરજ બજાવતા વાઈસરોય, ગવર્નર જનરલો, ઉચ્ચ સરકારી અને યુદ્ધ ક્ષેત્રોનો હવાલો સંભાળતા લશ્કરી અધિકારીઓના હસ્તાક્ષર પણ લીધા હતા. કમ્ફર્ટ ઝોનમાં રહીને એક પર્યટક(ટુરિસ્ટ)ની જેમ પ્રવાસ કરવો અને એક પ્રવાસી(ટ્રાવેલર)ની જેમ ઘરેથી નીકળી પડવું એમાં આસમાન-જમીનનો ફર્ક છે. સામાન્ય વ્યક્તિ પ્રિ-પ્લાન વિના ટ્રાવેલિંગ કરીને ‘પેકેજ્ડ ટુરિસ્ટ’થી કંઈક અલગ કર્યાનો સંતોષ જરૂર મેળવી શકે, પરંતુ દુનિયા યાદ રાખે એવા ટ્રાવેલર બનવા માથે ભૂત સવાર થયું હોવું જરૂરી છે. અદિ, જલ અને રૂસ્તમ ઘરેથી સાયકલ યાત્રાએ નીકળ્યા ત્યારે સારી રીતે જાણતા હતા કે, કદાચ તેઓ પાછા ના પણ આવે! પરંતુ એ એ ત્રણેય યુવાનોના માથે ભારત માટે કંઈક કરવાનું ભૂત સવાર હતું.

અદિ, જલ અને રૂસ્તમ કહેતા કે, ‘‘એક યુવાન હોવાના નાતે અમે ભારત માતાનું નામ દુનિયાના એ દરેક ખૂણામાં લઈ જવાની અત્યંત પ્રબળ ઈચ્છા ધરાવીએ છીએ, જ્યાં ભારત ફક્ત એક ભૌગોલિક વિસ્તાર તરીકે ઓળખાય છે. કોઈ રાજકીય ક્ષેત્રે કામ કરે તો કોઈ આર્થિક, પરંતુ અમે રમતગમત ક્ષેત્રે ભારતનું નામ રોશન કરવા ઈચ્છીએ છીએ. રમતગમતમાં નામના ધરાવતા દેશો અને ભારત વચ્ચે અમે કડી બનવા માગીએ છીએ, જેનું મહત્ત્વ બિલકુલ ઓછું નથી. અમારે પણ દુનિયાનો ઓતપ્રોત થઈને અનુભવ કરવો છે. અમે વિશ્વને પણ ભારત અને ભારતીયોથી પરિચિત કરાવવા માગીએ છીએ. આ અઘરા મિશનમાં સાયકલ પ્રવાસ એક નાનું સાહસ છે, પરંતુ અમે અમારું પ્રદાન આપવાનો નિર્ણય લઈ લીધો છે…’’ ‘‘અમે ઈચ્છીએ છીએ કે, અમારા પ્રવાસને બીજી પણ એક દૃષ્ટિએ જોવામાં આવે. આજનો યુવાન આવતીકાલનો નાગરિક છે. દુનિયામાં કશું પણ મેળવવા ચરિત્ર જોઈશે. ભવિષ્યના ભારતને બહાદુર, ઊર્જાસભર, સ્વપ્રેરણાથી આગળ વધનારા, જૂની રૂઢિઓને ફગાવી દેનારા, વ્યવસાયિક સાહસનું બુદ્ધિપૂર્વક આયોજન કરીને તેનો પૂરેપૂરી ક્ષમતાથી અમલ કરી શકે એવા ઉચ્ચ ચરિત્ર ધરાવતા નાગરિકો જોઈશે …’’

અદિ, હકીમ અને રૂસ્તમે આશરે ૯૪ વર્ષ પહેલાં આ શબ્દો લખ્યા હતા. એટલું જ નહીં, આજે સાયકલ, બાઈક કે કાર લઈને વિશ્વભ્રમણ કરતા મોટા ભાગના સાહસિકોની સમગ્ર ટૂર સપોર્ટેડ હોય છે, જ્યારે આટલાં વર્ષો પહેલાં તેમણે અનસપોર્ટેડ સાયકલ ટૂર કરી હતી. સપોર્ટેડ ટૂરમાં ટ્રાવેલરને અગાઉથી નક્કી કરેલાં અનેક સ્થળે મદદ મળે છે, જ્યારે અનસપોર્ટેડ ટૂરમાં આ પ્રકારની ‘લક્ઝરી’ મળતી નથી.

***

અદિ, જલ અને રૂસ્તમની કહાની પ્રવાસ, ધૈર્ય, હિંમત, સહશક્તિની જ નહીં પણ પારસીઓની ઉદારતા, બુદ્ધિચાતુર્ય અને ભારત માતા પ્રત્યેની દેશદાઝની પણ કહાની છે. દેશમાં આટલી ઓછી વસતી ધરાવતા પારસીઓ એક સમાજ તરીકે કેમ જબરદસ્ત સફળતા મેળવી શક્યા છે એની પણ કહાની છે. પત્રકારત્વ, રંગભૂમિ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે પણ પારસીઓ હંમેશાં જમાનાથી આગળ કેવી રીતે રહી શક્યા છે એની પણ કહાની છે. આ કહાની એ પારસીઓની પણ છે, જે આઠમી સદીમાં શરણાર્થીઓ તરીકે ગુજરાતમાં સંજાણના દરિયાકાંઠે ઉતર્યા હતા અને હજુયે પારકી ભૂમિનું ચૂપચાપ ઋણ ઉતારી રહ્યા છે. આજકાલ શરણાર્થીઓને નફરત કરવાનો યુગ ચાલી રહ્યો છે અને શરણાર્થીઓ પણ શરણું આપનારા દેશોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે પારસીઓ દુનિયા માટે જીવતીજાગતી મિસાલ છે.

પુસ્તકનું કવરપેજ

આ કહાનીઓ ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામના પુસ્તકના પાને પાને વાંચવા મળે છે. આ પુસ્તક પણ ખુદ એક કહાની છે. અદિ, જલ અને રૂસ્તમ મુંબઈ પરત ફર્યા ત્યારે સ્વજનો, સગાંવ્હાલા ંઅને બીજા અનેક લોકો તેમને સાયકલ પ્રવાસ વિશે સવાલો પૂછતા. આ લોકોને જવાબ આપવા તેમણે ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામે એક ટ્રાવેલોગ પ્રકાશિત કર્યો, જે આ પ્રવાસ વખતે લખેલી ડાયરીથી વિશેષ ન હતો. રસપ્રદ વાત એ છે કે, ટાઇપ રાઇટર પર લખાયેલા આ પુસ્તકનું આમુખ જવાહરલાલ નહેરુએ લખી આપ્યું હતું. આમુખની પહેલી જ લીટીમાં નહેરુ લખે છે કે, આ પ્રકારનું પુસ્તક આપનારા જુવાનિયાઓની મને ઈર્ષા થાય છે…

આ પુસ્તક સહિત અદિ, જલ અને રૂસ્તમની ડાયરી, તસવીરો વગેરે અદિ હકીમના વડોદરાસ્થિત પુત્ર દારાયૂસ હકીમ અને રોડા હકીમના ત્યાં સચવાયેલું છે, જે તેમના ફેમિલી ફ્રેન્ડ એસ્થર ડેવિડના ધ્યાનમાં આવ્યું. એસ્થર ડેવિડ અમદાવાદસ્થિત જાણીતાં લેખિકા અને કળા વિવેચક છે. એ પછી એસ્થર ડેવિડના પ્રયાસથી વર્ષ ૨૦૦૮માં હકીમ પરિવારે અદિ, જલ અને રૂસ્તમની સાયકલ યાત્રા ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામે પ્રકાશિત કરી. આ પુસ્તકમાં પણ નહેરુએ લખેલું આમુખ, અદિ-જલ-રૂસ્તમની પ્રસ્તાવના અને તેમણે લીધેલા વૈશ્વિક હસ્તીઓના હસ્તાક્ષરનો સમાવેશ કરાયો છે.

ત્રણેય સાહસવીરો (વચ્ચે રૂસ્તમ, જલ અને અદિ) પરત આવ્યા ત્યારે મુંબઈના માતૃ-પિતૃ નિવાસ નવરોઝ બાગની બહાર ક્લિક કરાયેલી એ ગર્વિષ્ઠ ઐતિહાસિક ક્ષણ

આ પુસ્તકના આધારે મહેન્દ્ર દેસાઈએ ‘ચિત્રલેખા’ સામાયિકમાં ‘પેડલ પર પૃથ્વીની પરકમ્મા’ નામે હપ્તાવાર નવલકથા લખી હતી. જુલાઈ ૧૯૮૪માં આ નવલકથા પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત થઈ. એટલું જ નહીં, ગુજરાતીઓને ‘સળગતા સૂરજમુખી’ જેવો ઉત્કૃષ્ઠ અનુવાદ આપનારા સ્વ. વિનોદ મેઘાણીએ આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે, જે પ્રકાશકો સાથે મેળ નહીં પડવાના કારણે હજુયે અપ્રકાશિત છે. આ અંગ્રેજી રૂપાંતર માટે તેમણે નવલકથાના વિવિધ પ્રસંગોના સુંદર સ્કેચ પણ તૈયાર કરાવ્યા છે, જે હાલ તેમના ઘરે સચવાયેલા છે.

બીજી એક વાત. ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ એડવેન્ચર ટ્રાવેલ કેટેગરીમાં દુનિયાના શ્રેષ્ઠ પુસ્તકોમાં સ્થાન પામે એવું છે. આ પુસ્તક પારસીઓ માટે જ નહીં, તમામ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવો ઐતિહાસિક દસ્તાવેજ છે. આમ છતાં, તેનો હજુ સુધી ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ નથી. ભારતીયો ઈતિહાસને કદાચ ગંભીરતાથી લેતા હોત તો, ગુજરાતના કોઈ શહેરમાં કે પછી મુંબઈમાં આ ત્રણેય સાહસિકોના નામે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જરૂર હોત!

***

આ સાયકલ યાત્રની વાત અદિ, જલ અને રૂસ્તમના જ શબ્દોમાં પૂરી કરીએ. તેઓ કહેતા કે, ‘‘… આજના યુવાનોને પ્રેરણામૂર્તિની જરૂર પડે છે. જો અમારું સાહસ એ દરેક આશાસ્પદ યુવાનમાં પડેલી સુષુપ્ત શક્તિને પ્રગટ કરવામાં મદદરૂપ થશે, જો આ મિશનમાંથી લોકો શીખશે કે પ્રયાસ કરવાથી સફળતા મળે જ છે, જો અમારા આ પ્રયાસથી લોકો સમજશે કે જ્યાં સુધી તમે જાતની કસોટી કરતા નથી ત્યાં સુધી તમે તમારી શક્તિઓથી અજાણ રહો છો, જો આ સાહસથી યુવાનોને એવા ગર્વની લાગણી થશે કે ભારત માતાના સપૂતો પણ બીજા દેશોથી જરાયે ઉતરતા નથી, તો અમને પૂરો વિશ્વાસ છે કે અમારી આ સાહસયાત્રા નિરર્થક સાબિત નહીં થાય …’

‘ફ્રેન્કલી સ્પીકિંગ’ નામક લેખકની કોલમ, ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 31 જાન્યુઆરી 2017

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,5143,5153,5163,517...3,5203,5303,540...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved