Opinion Magazine
Number of visits: 9552725
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નેશન (સ્ટેટ) ફર્સ્ટ’ એટલે શું?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 August 2016

કૉંગ્રેસ સરકારે આ મુદ્દે ઊગમણીઆઠમણી કરી તે રાષ્ટૃવાદની જનદ્રોહી હોડ નથી તો શું છે?

કરફ્યૂના પચાસ દિવસને છેડે, દિલ્હી-કાશ્મીર બોગદામાં પ્રકાશનું કિરણ વરતાય છે? ‘હા’ અને ‘ના’.

ભાઈ, ‘હા’ એટલા વાસ્તે કે ગૃહમંત્રી રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત – મહિનામાં બીજી વારકી – આટોપતાં પેલેટ ગનના તત્કાળ વિકલ્પની તેમ જ સૂચિત સર્વપક્ષીય મુલાકાતની જિકર આગ્રહપૂર્વક કરી છે. ‘હા’ એટલા માટે કે ચાલુ અઠવાડિયું બેસતે કાશ્મીરના વિપક્ષી પ્રતિનિધિ મંડળમાંથી કોઈકે કરેલ ટીકાટિપ્પણના પ્રતિભાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ પણ પક્ષે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કાશ્મીર(ની ગાય)નું દોહન કરવું જોઈએ નહીં. હું મારા પક્ષને આ વાત કરીશ.

છતાં, ‘ના’ એટલા માટે કે આ જ દિવસોમાં પક્ષના કોર ગ્રુપ સાથે વાત કરતી વેળાએ વડાપ્રધાને વળી ‘નેશન ફર્સ્ટ’નું સૂત્ર આગામી ચૂંટણીઓને અનુલક્ષીને આગળ કરવા ધાર્યું છે. ‘ના’ ખાસ તો એટલા વાસ્તે પણ કે વડાપ્રધાનના ‘પોલિટિકલ ડબલ’ કે ‘ઑલ્ટર ઇગો’, જે કહો તે પક્ષપ્રમુખ અમિત શાહને પોતીકી તરેહના રાષ્ટ્રવાદ ને રાષ્ટ્રહિતની મૂર્છા વળતી નથી અને સર્વ સ્તરે ‘હમ સે જો ટકરાયેગા’ની ભાષામાં, પોતાની વિશેષ શૈલીમાં પેશ આવે છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ બુરહાન વાની ઘટના પછીના હિંસક દોર અને 2010ના હિંસક દોર વચ્ચે વિવેક કરી, કાશ્મીરનાં પાંચ ટકા તત્ત્વોને બાકીનાં પંચાણુ ટકા પર હાવી ન થવા દેવાનું કહ્યું તે ઠીક જ છે. મુખ્યમંત્રી સ્તરેથી આવી સાફ સમજૂતી હજુ વહેલી અપેક્ષિત હતી. રાજનાથસિંહે જખમ-મલમી પણ ઠીક કરી કે કોઈ નાગરિક (સિવિલિયન) મરે કે ફોજી, એ દેશ આખાને સારુ વેદનાનો વિષય છે.

સવાલ એ છે કે દેશની મારી-તમારી-એમની સમજ શું છે? ધર્મકોમી ચર્ચા તો ખેર છોડો, પણ ‘નેશન (સ્ટેટ) ફર્સ્ટ’ની ધોરણસરની વ્યાખ્યાસફાઈ તો કરી જાણો, મારા ભૈ! હમણેની કર્ફ્યુપચાસીમાં અધઝાઝેરા દિવસો તો એ સમજતાં થયા કે પથ્થર મારનારાઓ (ભલે તેઓ ‘સત્યાગ્રહી’ નથી, પણ) આપણા જ સાથી નાગરિક છે,  કોઈ બહારી તત્ત્વ નથી. સત્તાવાર સ્તરે કોઈક તબક્કે આ વાનું પકડાયું હોય તો પણ નીચે લગી તે ઝમ્યું છે ખરું?

નમૂના દાખલ, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ-ઇન્ડિયાની બેંગલુરુ ઘટના તપાસો.

જમ્મુ-કાશ્મીરમાં નાગરિક અધિકાર ધ્વંસ વિશે એણે ગોઠવેલી ચર્ચામાં કોઈક ખૂણેથી ‘આઝાદી’ના પોકારો થયા. સંઘ પરિવારની સંસ્થાઓ માટે આ તરત જ રાજદ્રોહ-દેશદ્રોહની બાબત બની ગઈ. એમણે આ મુદ્દે અદાલતમાં જવામાં રાષ્ટ્રધર્મ જોયો. એમ્નેસ્ટીએ દેશમાં કટોકટીરાજથી માંડીને હાલના ‘ઇસ્લામિક સ્ટેટ’ ઉપાડા સુધ્ધાં બધો વખત સંચિત નિસબત સાથે બોલવું પસંદ કર્યું છે. ‘આઝાદી’ના પોકારો પોતે કરીને કોઈ ગુનો નથી બનતો, સિવાય કે એની સાથે હિંસાત્મક સંડોવણી હોય.

કર્ણાટકમાં કૉંગ્રેસ સરકારે આ મુદ્દે જે ઊગમણીઆથમણી કરી તે પણ, એમ તો, આપણા રાજકીય અગ્રવર્ગમાં પરસ્પરસ્પર્ધી રાષ્ટ્રવાદની જે જનદ્રોહી હોડ મચી છે એનો જ એક દાખલો નથી તો શું છે …. શું કહીશું આને પરસ્પરસ્પર્ધી કોમવાદનો એક અણચિંતવ્યો મુકામ? જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોની દયનીય દુર્દશા વિશે આ દિવસોમાં દેશજનતાનું ધ્યાન ખેંચવા માટે ખરેખર તો વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો આભાર માનવો જોઈએ, કેમ કે ત્યાં ભાજપે પી.ડી.પી. સાથે સરકાર રચી મડાગાંઠ ઉકેલવાની જે કોશિશ હાથ ધરી છે તેમાં એ ઉપયોગી થઈ પડે એમ છે.

પોતે સતત જેની ટીકા કરી હતી કે ‘અલગતાવાદી’ (એથી રાષ્ટ્રવિરોધી) તત્ત્વો સાથે સરકાર રચીને વડાપ્રધાને રાષ્ટ્રવાદના પોતાના ડાબલા અને દામણા બાબતે કંઇક પુનર્વિચારનો સંકેત આપીને રાષ્ટ્રને ભૌગોલિક મૂર્તતા અને ભાવનાત્મક અમૂર્તતાના કોચલાની બહાર કાઢી જે એક લોકપરક અભિગમ ભણી સંભવિત ગુંજાશ દાખવી છે એ કેવળ સત્તાસ્વાર્થી ગણતરી કરતાં આગળ ન જ જઈ શકે એમ નથી. જો કે એ નૈતિક સાહસ અને નિર્મમ જાતતપાસ સહિતનો સમજનો ઈલાકો છે એટલે આ તબક્કે આપણે વધુ આશા રાખવા માટે કારણ નયે હોય.

પણ વાત આપણે બેંગલુરુ બીનાની કરતા હતા. વાજપેયીએ જમ્હુરિયત ઇન્સાનિયત અને કાશ્મીરિયતનો જે અભિગમ (નરસિંહરાવના શબ્દોમાં ‘એની થિંગ લેસ ધેન આઝાદી’) દાખવવા ઈચ્છ્યો હતો એનું વડાપ્રધાને હમણાં થોડા દિવસો પર પુન:આવાહન કર્યું હતું. આ અભિગમ તહેદિલથી લઈ શકાય તે માટે સત્તાપ્રતિષ્ઠાનને આત્મખોજની સામગ્રી મળી રહે એવી વિગતો બેંગલુરુ આયોજનમાં પડેલી હતી. એમ્નેસ્ટી-ભારતના મુખ્ય પ્રતિનિધિ આકાર પટેલે (‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને આ નામ અજાણ્યું ન હોવું જોઈએ) કહ્યું છે કે છેક 1989થી જમ્મુ-કાશ્મીર પોલીસ ત્યાં કાર્યરત લશ્કરી જવાનોની અણછાજતી હરકતો બાબત એફ.આઇ.આર. નોંધતી રહી છે. એફ.આઇ.આર.નો આ અંબાર આખો કેન્દ્ર સરકારે (એન.ડી.એ./યુ.પી.એ. સૌએ) આજ લગી અણદેખ્યો કર્યો છે. પરિણામે, વકરતી હિંસા અને અલગાવને રોકવાનો માહોલ બનવા આડે રૂકાવટ જારી છે.

મુદ્દે, ‘સૈંયા ભયે કોતવાલ’ તરેહના (ભલે ‘શમા’ વગરના) પરવાનાના દોરમાં અને ‘મોરલ પોલીસ’ને નાતે મુમુક્ષુ હોવાના વહેમમાં ચુકાતો વિવેક અને ઓળંગાતી મર્યાદા દેશને રાગે પડવા દેવા બાબતે જે અવરોધો સરજે છે, તે પોતે જે ડાળ પર બેઠા હોય એને કાપવાની કે રાજાનું નાક વાઢી એને માખીમુક્ત કરવાની દિશામાં છે. પૂર્વ અભિનેત્રી રમ્યા સામેની રાજદ્રોહી જેહાદ જુઓ.

પાકિસ્તાનની મુલાકાત (ત્યાંના નાગરિકોનો અચ્છો પ્રતિસાદ જોતાં) કોઈ નરકની મુલાકાત લેવા બરોબર નથી એવી રમ્યાની રોકડી ને હૃદ્ય રજૂઆતથી દેશભક્ત ‘મોરલ પોલીસ’ એકદમ પડમાં પધારી કેસ દાખલ કરવા તડેપેંગડે માલૂમ પડે છે. આજે (શનિવારે) અદાલત આવો કોઈ કેસ દાખલ કરી શકાશે કે નહીં તે કદાચ નક્કી કરશે, પણ જે વાનું આપણા રાજકીય અગ્રવર્ગના સ્વવિવેકે કરીને સ્વયં ઉકેલનું હોવું જોઈએ તે ટાંકાટેભાતોડ કાનૂની કસરત અને જાહેર હરકતથી પરહેજ ન કરી શકે, તો સ્વરાજસિત્તેરીના સરવૈયે શું કહીશું.

રમ્યા સાર્ક પ્રતિનિધિ મંડળને નાતે પાકિસ્તાનની મુલાકાતે ગયાં હતાં. અફઘાનિસ્તાનથી પાછા ફરતાં, ‘હાલો ને ચા પીતા જંઈ’ એવી આઉટ ઑફ ધ બૉક્સ શુભ ચેષ્ટા સાથે નમો નવાઝ શરીફને ત્યાં પરબારા લાંગર્યા હતા એના વિધિવત્ મેળમાં આ સાર્ક પહેલ હતી અને છે. ભા.જ.પ., અ.ભા.વિ.પ. અને અન્ય સંઘ પરિવારીઓને આ મુદ્દે કોઈ કદરબૂજ જ નથી? સાધ્વી ઋતંભરાએ વાજપેયીને ‘આધા કૉંગ્રેસી’ કહીને પોતાનું જે માપ આપ્યું હતું તેનાં બારપંદર વરસે પણ આ પરિવારને ‘જૈસે થે’ જ સદી ગયું છે? સાધ્વી પ્રાચીએ નવી સરકાર બેસતે ‘રામજાદે’ વિ. ‘હરામજાદે’ની જે માનસિકતા પ્રગટ કરી હતી તે જ એનો સ્થાયી ભાવ છે?

ભાઈ, તમે સમજો કે વિકાસનો (એની જે પણ વ્યાખ્યા હોય એનો) રાહ રાષ્ટ્રવાદની ધર્મકોમી રોકડીનો નથી. જે કોમવાદે દેશના ભાગલા પાડ્યા એના હિંદુ અડધિયાનો પણ નથી. બહુમતીવાદી (મેજોરિટેરિયન) એવો રાષ્ટ્રવાદ લગારે જુદા પડતા, અંશત: પણ અસમ્મત થતા, હાંસિયે હડસેલાતા સૌની બાલાશ જાણવામાં નામકર થઈ અંતે તો દેશને જ ક્ષીણ કરે છે એ જો સમજાય નહીં તો જમ્મુ-કાશ્મીર બોગદે કિરણ દીઠું તો પણ શું, અને ન દીઠું તો પણ શું.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘બેંગલુરુ ઘટના’, “દિવ્ય ભાસ્કર”, 27 અૉગસ્ટ 2016

Loading

રાના અય્યૂબનું પુસ્તક ‘ગુજરાત ફાઇલ્સ : અ‍ૅનેટોમિ ઑફ અ કવર અપ’

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|28 August 2016

બે હજાર બેની સાલમાં જઘન્ય ગોધરાકાંડને પગલે ગુજરાતમાં ચાર મહિના કોમી રમખાણો ચાલ્યાં. તે પછીનાં ચારેક વર્ષમાં પોલીસ દ્વારા એન્કાઉન્ટર્સનો દોર ચાલ્યો. આ બંનેમાં રાજ્યના સત્તાધારી ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)નું ધર્મઝનૂન, પોલીસનું એકંદર કોમવાદી માનસ અને મોટા ભાગના અમલદારોની આઘાતજનક તકવાદી આજ્ઞાંકિતતાની સાંઠગાંઠથી કાયદો-વ્યવસ્થા તેમ જ ન્યાયપ્રક્રિયાને ગંભીર હાનિ પહોંચી. આ અવદશાનો પર્દાફાશ રમખાણો – એન્કાઉન્ટરોને લગતા કેટલાક  ચૂકાદામાં, મીડિયાએ કરેલા એક્સ્ક્પોઝેસમાં, પંચોના અહેવાલો અને સમિતિઓના અભ્યાસોમાં થતો રહ્યો છે. તેમાં એક મજબૂત ઉમેરણ એટલે પત્રકાર રાના અય્યૂબનું તાજેતરમાં બહાર પડેલું પુસ્તક ‘ગુજરાત ફાઇલ્સ : અ‍ૅનેટોમિ ઑફ અ કવર અપ’. રાના એવા મહિલા પત્રકાર છે કે જેમણે શોધ પત્રકારિતામાં બહુ મોટી સિદ્ધિઓ મેળવી હોય. તેમાં ય ગુજરાતના રમખાણોને લગતા શોધલેખો તેમણે અંગ્રેજી સાપ્તાહિક ‘તહેલકા’માં લખ્યા. એક દાવા પ્રમાણે સોહરાબુદ્દીન એનકાઉન્ટરના આરોપ હેઠળ ગુજરાતના ગૃહમંત્રી અમીત શાહની ધરપકડમાં રાનાએ ‘તહેલાકા’માં કરેલાં કેટલાંક સ્ટિંગ્સનો ફાળો હતો. આ જ સાપ્તાહિકે ‘ઑપરેશન કલંક’ નામે સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. તેમાં તેણે ગોધરાકાંડ પછી મુસ્લિમો પર અ‍ૅક્ચ્યુઅલ અત્યાચાર કરનારા ભા.જ.પ. અને તેના સાથી સંગઠનોનાં કાર્યકરોના સાફ બયાનોનું લાંબું વીડિયો રેકૉર્ડિંગ આખા દેશને બતાવ્યું હતું.

પુસ્તકનો મુખ્ય હિસ્સો પણ રાનાએ રમખાણો અને એન્કાઉન્ટર્સ અંગે  ભા.જ.પ.ના એક પૂર્વ  મંત્રી, ગુજરાતના આઠ પોલીસ  અધિકારીઓ અને એક ઉચ્ચ અમલદારના સ્ટિંગ ઑપરેશન દ્વારા એપ્રિલ 2011 પહેલાંના આઠેક મહિના દરમિયાન લીધેલા ઇન્ટર્વ્યૂઝનો છે. એણે મૈથિલી ત્યાગી નામે ઓળખ અને વેશપલટો કર્યો હતો, કાનપુરના કાયસ્થ પરિવારની મૈથિલી અમેરિકાની એક ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિની છે. તે ગુજરાતના વિકાસ મૉડેલ અને નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ  પર ફિલ્મ બનાવી રહી છે, જેના માટે તે ગુજરાતના કેટલીક વિશેષ વ્યક્તિઓની મુલાકાત લે છે. આ મુલાકાતોની ટ્રાન્સક્રિપ્ટ એટલે એકે મૂળ પાઠ અથવા આલેખ પુસ્તકમાં વાંચવા મળે છે. પુસ્તકમાં જે વ્યક્તિઓની મુલાકાતો છે તે પ્રકરણોનાં ક્રમ મુજબ આ છે : ગુજરાતના અ‍ૅ ન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વાડના સોહરાબુદ્દિનની હત્યા માટે ધરપકડ પામેલા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ આઇ.પી.એસ. જી.એલ. સિંઘલ, એન્કાઉન્ટર્સ વખતના ગુજરાતના અ‍ૅ ન્ટિટેરરિસ્ટ સ્ક્વાડના ડિરેક્ટર જનરલ આઇ.પી.એસ. રાજન પ્રિયદર્શી, રમખાણો વખતના ગુજરાતના ગૃહસચીવ અશોક નારાયણ, તે વખતના ગુજરાતના ઇન્ટેિલજન્સ વિભાગના વડા અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર દરમિયાન ગુજરાત પોલીસના ડિરેક્ટર જનરલ  જી.સી. રાઇગર, રમખાણો વખતના અમદાવાદના પોલીસ કમિશનર પી.સી. પાન્ડે, એ જ વખતના પોલીસના ડિરેક્ટર જનરલ કે. ચક્રવર્તી અને મહિલા તેમ જ બાળવિકાસ વિભાવિભાગના રાજ્ય સ્તરના મંત્રી માયા કોડનાની, સી.આઈ.ડી. ક્રાઈમના આઇ.પી.એસ. ગીતા જોહરી અને પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના ઇન્વેિસ્ટગેટિંગ ઑફિસસર વાય.એ. શેખ. આ બધાંએ તોફાનો અને એન્કાઉન્ટરોના સમયગાળામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકા અંગે બહુ સ્પષ્ટ અને  સ્ફોટક વિધાનો કર્યાં છે. તેમાંથી કેટલીક કૉમન બાબતોનો સાર અહીં આપ્યો છે. તેમાંથી દરેકે દરેક બાબત માટેના ચોક્કસ વાક્યો અને અવતરણો પુસ્તકમાંથી ટાંકી શકાય. પુસ્તકમાંની મુલાકાતો સાફ શબ્દોમાં જણાવે છે કે નરેન્દ્ર મોદી આજે જે કંઈ છે તે કોમી રમખાણોને કારણે છે. રમખાણો દરમિયાન પોલીસને સક્રિય નહીં રહેવાનું તેમણે સીધા આદેશથી નહીં પણ અશોક ટંડન, બીજા અધિકારીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના માણસો થકી કહ્યું હતું. એ કાગળ પર કોઈ હુકમ આપતા નથી એટલે બધું પોતે કરાવવા છતાં પકડાતા નથી, એ અમલદારો થકી બધું કરાવે છે. પણ ટેકીલા સિદ્ધાંતવાદી અધિકારીઓ પાસે ખોટું કરાવવાની હિમ્મત કરી શકતા નથી. અલબત્ત તેમની સરકારમાં પક્ષની લીટી તાણનારને સરપાવ અને એમ ના કરનારને સજા મળે છે. મોદી ગોધરાકાંડ અને રમખાણો અંગે માફી માગી શક્યા હોત. તકવાદી મોદીએ અમિત શાહની ધરપકડ કરાવી હતી. એ અમિત શાહને બચાવી શક્યા હોત, પણ એમ કરવામાં એ પોતે ફસાઈ ગયા હોત. ખરેખર તો અમિત શાહની જેમ તેમની પણ ધરપકડ થવી જોઈતી હતી. હરેન પંડ્યાની હત્યાનો ભેદ ખૂલે તો મોદી જેલમાં જાય.

બનાવટી એન્કાઉન્ટર્સમાં અમિત શાહ સંડોવાયેલા હતા. પણ જે અધિકારીઓએ એન્કાઉન્ટર માટેના તેમના આદેશોને ન સ્વીકાર્યા તે કેન્દ્ર સરકારની કાર્યવાહીમાંથી બચી ગયા. સોહરાબુદ્દીન રાજકારણીઓના હુકમથી મરાયો, જેના માટે અમિત શાહને જેલમાં જવું પડ્યું. અલબત્ત સી.બી.આઈ.એ એમની કાનૂની રીતે નબળાં કારણોસર ધરપકડ કરી. બદલી અને અન્ય આદેશો પર તે ખુદ સહીઓ કરતા. બધા અધિકારીઓ અમિત શાહને તિરસ્કારતા. જૂનાગઢના રમખાણોના એક કિસ્સામાં અમીત શાહે પ્રિયદર્શીને ત્રણ એવા માણસોની  ધરપકડ કરવાનું કહ્યું હતું નિર્દોષ જ નહીં પણ એખલાસ જાળવનાર ય હતા, પણ કારણ કે એ મુસ્લિમ હતા. વળી તેમણે પ્રિયદર્શીને એક કેદીને મારી નાખવાનું પણ કહ્યું હતું.

ચોંકાવનારા વિધાનો ઢગલાબંધ મળે છે. જેમ કે ઇશરત જહાની બાબતમાં પ્રિયદર્શી કહે છે કે અમિત શાહે એમને કહ્યું હતું કે ઇશરતને મારી નાખતાં પહેલાં કસ્ટડીમાં રાખવામાં આવી હતી. એ લશ્કરે તોઈબાઈની અને ટેરરિસ્ટ હતી એ બંને વાત ઉપજાવી કાઢેલી છે એમ પણ પ્રિયદર્શી માને છે. સિંઘલ કહે છે કે ઇશરત ટેરરિસ્ટ હોય પણ ખરી અને ન પણ હોય અથવા તેનો આતંકવાદીઓએ કવર તરીકે ઉપયોગ કર્યો હોય. સિંઘલ કહે છે કે ગુજરાતમાં એક પોલીસ અધિકારી માટે પોતાના અંતરાત્માને જાગૃત રાખીને જીવવું મુશ્કેલ છે. ગીતા જોહરી માને છે કે સોહરાબુદ્દીનને બસમાંથી જાહેરમાં પકડીને પછી તેને મારી નાખવાની રીત મૂર્ખામીભરી હતી. ગુજરાતના સોળ એન્કાઉન્ટરોની તપાસ માટે સર્વોચ્ચ અદાલતે રચેલ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના આઇ્.પી.એસ.  ઉષા રાડાના મત મુજબ મુસ્લિમો હિંદુઓને આતંકિત કરે છે. પી.સી. પાંડે માને છે કે ભૂતકાળનાં અનેક રમખાણોમાં માર ખાધા 2002 માં હિંદુઓ પહેલી વખત આક્રમક બન્યા છે. એમને મતે લઘુમતિઓનું તુષ્ટિકરણ સર્વોચ્ચ અદાલતમાં પણ થાય છે. એ તિસ્તા સેતલવાડ અને મુકુલ સિંહાને બદમાશ ગણે છે. જો કે પ્રિયદર્શીને મતે પાંડે મુખ્યમંત્રી મોદીના લાડલા છે અને તે મુસ્લિમોની હત્યા માટે જવાબદાર છે. પોલીસને મુસ્લિમ વિરોધી બનાવવા માટે પ્રિયદર્શી સરકારને જવાબદાર ગણે છે. એમને મતે સરકાર ભ્રષ્ટાચારી અને કોમવાદી બંને છે.

આ પુસ્તકમાં ગુજરાતમાં દલિત પોલીસ અધિકારીઓ તરફના ભેદભાવભર્યા વલણ અંગેની માહિતી  કદાચ પહેલવહેલી વખત પ્રકાશમાં આવી રહી છે. તે સિંઘલે તેના ઘડતરના વર્ષોમાં દલિત તરીકે વેઠ્યું છે. તે બતાવે છે કે એન્કાઉન્ટર માટે વણઝારા, પાંડિયન, અમીન, પરમાર અને બીજા જે અધિકારીઓનો ઉપયોગ કર્યો તે નીચી ગણાતી જાતિના હતા. તેમનો ઉપયોગ કરીને પછી ફેંકી દેવામાં આવ્યા ! પ્રિયદર્શી તો બહુ મોટા અધિકારી હોવા છતાં અવર્ણ હોવાને કારણે તેમને શહેરમાં ઘર મળતું ન હોવાથી તેમણે દહેગામ તાલુકાના કડાગરા ગામના દલિતવાસમાં ઘર બાંધ્યું છે. તે કહે છે કે કચેરીમાં દલિત કર્મચારીને કોઈ પણ જણ કંઈ પણ કહી જાય તો ચાલે એમ હોય છે. દલિતને સ્વમાન, આદર્શ જેવું કંઈ હોતું જ નથી એટલે એને ઠંડા કલેજે હત્યા કરવાનું પણ કહી શકાય એમ લોકો માને છે ! પુસ્તકના છેલ્લા પ્રકરમાં એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત છે જેનું વર્ણન છે, રમખાણો અંગેના સવાલ-જવાબ તેમનો વિશ્વાસ સંપાદન કર્યા પછીની મુલકાત માટે રાખવામાં આવ્યા છે. પણ એ મુલાકાત થઈ શકતી નથી. ‘તહેલકા’ના સંપાદકો તરુણ તેજપાલ અને શોમા ચૌધરી રાનાને દિલ્હી બોલાવી લે છે અને કહે છે કે એનું અત્યારનું સ્ટીંગ ઑપરેન પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં કારણે કે – ‘ભૂતકાળમાં બંગારુ લક્ષ્મણને સંડોવતાં હથિયરસોદાના સ્ટિંગને કારણે ‘તહેલકા’ની ઑફિસને તાળા લાગી ગયાં હતાં. મોદી હવે દેશના સહુથી શક્તિશાળી માણસ બનવાની તૈયારીમાં છે, આપણે જો એને અડીશું તો ખતમ થઈ જઈશું.’ રાનાની કોઈ દલીલ સંપાદકોએ સ્વીકારી નહીં. એટલે પુસ્તકને અંતે રાના લખે છે : ‘ત્યારથી હું ચૂપ રહી છું. આ ઘડી સુધી.’ પુસ્તક માનવાધિકાર માટે લડનાર બે કર્મશીલ વકીલો મુકુલ સિંહા અને શાહિદ આઝમીને અર્પણ કરેલું છે.

સત્તાવાળાઓનાં સ્વાર્થ અને નિંભરતાની સામે બંધારણનાં મૂલ્યોનો રકાસ બતાવતું આ પુસ્તક બહુ જ વાચનીય બન્યું છે તે ઇન્વેિસ્ટગેટિવ પત્રકાર રાનાના સ્વકથનના હિસ્સાને કારણે. રાનાએ મૈથિલી  ત્યાગી એવી ખુદની નવી ઓળખ ઊભી કરી હતી. આ નવી ઓળખમાં માટે ચહેરો-મહોરો જ નહીં પણ બોલવાની ઢબ કહેતાં અ‍ૅક્સેન્ટમાં ફેરફાર લાવવા પર કામ કર્યું છે. સંસ્કૃતના શિક્ષક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાની દીકરી તરીકે ભગવદ્દગીતા વિશે, અને ગુજરાત પર ફિલ્મ બનાવનાર તરીકે કચ્છ વિશે આત્મવિશ્વાસથી વાત કરી શકે તેટલી મજબૂત તૈયારી રાનાએ કરી છે. ગુજરાતી સિનેકલાકાર અને ભા.જ.પ.ના પૂર્વ સાંસદ નરેશ કનોડિયા સાથે તે ઘરોબો કેળવે છે. તેની ફિલ્મના સેટ પર કલાકો વીતાવે છે. આ બધું તે કનોડિયા થકી સિંઘલ સુધી પહોંચવા માટે કરે છે. નારાયણ કે કોડનાની તેના સહવાસમાં તેમની પરદેશ રહેતી દીકરીને મળતા હોવાનો ભાવ અનુભવે છે. આવા આવા ઘડાયેલા લોકોને તે પોતાના કૌશલ્યથી પેટ છૂટી વાત કરતા કરે છે. તેઓ રમખાણોની તપાસ માટે નીમાયેલા નાણાવટી-શાહ કમિશન સામે પણ ન કહેલી વાતો તે મૈથિલીને કહે છે.  આ બધું અચંબો પમાડનારું છે. તેની ઓળખ ખુલ્લી પડી જઈને તે પકડાઈ જવાની સંભાવનામાંથી કેવી રીતે બચી જાય છે તેના કિસ્સા બહુ રોમાંચક છે. અમદાવાદમાં અલગ અલગ રહેઠાણોમાં તેને નિવાસનાં વર્ણનો, તેના ફ્રેંચ મદદનીશની વ્યક્તિરેખા, તે એક પછી એક સુરાગ મેળવતી કેવી રીતે આગળ વધે છે, તેને મળનારા લોકોના પ્રતિભાવ કેવા હોય છે – આવી અનેક બાબતો ચોટડુક અંગ્રેજીમાં વાંચવાનો  આનંદ આવે છે. એક જગ્યાએ રાના લખે છે : ‘મને ખબર નથી પડતી કે આ અધિકારીઓ મારી ફિલ્મ મેકીંગની આખી બનાવટી વાતને આમ તાબડતોબ માની કેવી રીતે લેતા હતા. કોઈપણ પરદેશી કે અમેરિકન બાબતથી અભિભૂત થઈ જવાની ગુજરાતી માણસની ખાસિયતનો એમાં ફાળો હતો, કે પછી અમારાં (મારા અને મારા આસિસ્ટટન્ટ માઇકના) નિશ્ચયબળનો એમાં ફાળો હતો કે પછી આ બંને પરિબળોનો ?’

અલબત્ત રાનાના કામમાં માત્ર ચાલાકી અને ચબરાકી, સમયસૂચકતા અને વ્યવસાય કુશળતા જ છે એવું નથી. તેમાં ભય, શંકા, દુર્બળતા, હતશાની ક્ષણો પણ છે. કેટલી ય હૃદયસ્પર્શી બાબતો છે. જેમ કે, અશોક નારાયણના ઇન્ટરવ્યુના પ્રકરણમાં રાના લખે છે : ‘નારાયણ અને એમનાં પત્ની ઘણી વખત કહેતાં કે તેની (રાનાની) હાજરીમાં તેમની પરદેશમાં રહેતી દીકરીની ગેરહાજરી વર્તાતી નથી. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ હેઠળની ગુજરાતની સરકારે રમખાણોને જે સહજ પીઠબળ પૂરું પાડ્યું તેની સામે બરાબર રીતે પડવામાં અશોક નારાયણની મક્કમતાના અભાવ વિશે સાંભળવામાં મારું મન મૂંગું રુદન કરી રહ્યું.’ હરેન પંડ્યાનાં પત્ની જાગૃતિ પંડ્યાની સાથે રાનાની ઘણી મૈત્રી થઈ. એક વખત એ બપોરે જાગૃતિબહેનને ત્યાં ગઈ ત્યારે એમણે એને લીંબુ-પાણી અને પછી ચા માટે પૂછ્યું. રાનાએ કહ્યું કે એને રોજા છે. એ વખતે જાગૃતિબહેનને પહેલી વખત ખબર પડી કે રાના મુસ્લિમ છે. તે પછી થોડા કલાક બંનેએ હત્યાની ચાર્જશીટ પર કામ કર્યું અને રાના પાછી જતી રહી. એ જે હોટેલમાં રોકાઈ હતી ત્યાં જાગૃતિબહેન એને સાંજે બોલાવવા આવ્યાં. એ તેને રોજા તોડવા માટે હોટેલમાં જમવા લઈ જવા આવ્યાં હતાં !           

પુસ્તકની બાબતમાં બે આઘાતજનક વક્રતા છે. એક, આ પુસ્તક પ્રસિદ્ધ કરવા માટે દેશભરમાં કોઈ પ્રકાશક તૈયાર થયું નથી, એટલે એ રાનાએ પોતે પ્રકાશિત કર્યું છે. આ હકીકત એણે એકથી વધુ મુલાકાતોમાં જણાવી છે. એટલું ઓછું હોય તેમ આ પુસ્તક દુકાનોવાળા વેચવા માટે ય રાખતા નથી એવો અમદાવાદનો અનુભવ છે અને અન્યત્રની માહિતી છે. અલબત્ત ઑનલાઈન વેચાણમાં એ અ‍ૅમેઝોન પર ખૂબ વેચાયું છે. બીજી બાબત, આ પુસ્તક રાનાએ આ પુસ્તક મે આખરમાં છપાવ્યું, પણ તેના વિશે દેશના બહુ જ ઓછા વર્તમાનપત્રો કે સામયિકોએ લખ્યું છે. પ્રકાશન વ્યવસાય અને માધ્યમોની આ ચૂપકીદી ચિંતાજનક છે. આશ્ચર્ય અને આઘાત આપનારી વાત એ પણ છે કે આ પુસ્તકને કારણે જે શાસક પક્ષ, સરકાર અને અધિકારીઓ ખુલ્લા પડ્યા છે તેમાંથી કોઈએ કોઈ પ્રતિભાવ આપ્યો હોવાનું જાણમાં નથી. પુસ્તક સામેની આ ચૂપકીદી કહેતાં ‘કૉન્સ્પિરસિ ઑફ સાયલન્સ’ વિશે જાણીતા કાનૂની પત્રકાર મનોજ મિત્તાએ લેખ લખ્યો છે. મિત્તાએ  ખુદ પુસ્તક ‘ફિક્શન ઑફ ફૅક્ટ ફાઇન્ડિન્ગ : મોદી અ‍ૅ ન્ડ ગોધરા’ (2014) લખ્યું છે. તેનો પણ ભાજપે કે મોદીએ કોઈ નોંધપાત્ર પ્રતિવાદ કર્યો નથી.

લેખકને કદાચ અભિપ્રેત ન હોય, પણ ‘ગુજરાત ફાઇલ્સ’ એ પુસ્તકનામ બ્રિટિશ નવલકથાકાર ફ્રેડ્રિક ફોરસિથની ‘ધ ઑડેસા ફાઇલ’ (1972) એ થ્રિલર યુદ્ધ નવલકથાના નામની યાદ અપાવે છે. તેમાં એક જર્મન ઇન્વેિસ્ટગેટિવ ક્રાઇમ રિપોર્ટર પીટર મિલર અનેક યુક્તિઓથી ‘ઓડેસા’ અદ્યાક્ષરી નામ ધરાવતા એક નાઝી સંગઠન અને તેના હત્યારા અધિકારીના કરતૂતોનો પર્દાફાશ કરે છે.

સ્થળકાળના જોખમી માહોલમાં લોકો સમક્ષ સાચી વાત મૂકવા માટે પત્રકાર તરીકે હસ્તક્ષેપ કરવામાં  રાના અય્યૂબે બતાવેલી હિમ્મત અને નિસબત બંનેને સો સલામ.

15 જુલાઈ 2016

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

મોંઘેરા બૌદ્ધિક-કર્મશીલ: હર્ષદ દેસાઈ

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|26 August 2016

નેપથ્યમાં રહીને તેમણે જાહેર જીવનમાં જે મોટી મોટી ભૂમિકાઓ ભજવી તેનો જોટો જડવો મુશ્કેલ છે

હર્ષદભાઈ દેસાઈ આપણી વચ્ચે હોત તો આ અઠ્ઠાવીસમીએ (જન્મ તા.૨૮-૮-૧૯૩૫) ૮૧ વરસ પૂરાં કર્યા હોત. દસેક મહિના પહેલાં, સત્તરમી ઓકટોબર ૨૦૧૫ના રોજ એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. અંગ્રેજીના પ્રબુદ્ધ અધ્યાપક એવા હર્ષદ દેસાઈનો જાહેરજીવન સાથે, જાહેર પ્રવૃત્તિઓ સાથે આજીવન નાતો રહ્યો. એટલે જ એમના અવસાન નિમિત્તેના સંદેશામાં, સુદૂર દક્ષિણ ભારતમાં નિવૃત્તિ જીવન ગાળતા ગુજરાતના નિવૃત્ત શિક્ષણ સચિવ કે. રામમૂર્તિએ એમને વંચિતો પ્રત્યે સાચી સામાજિક નિસબત ધરાવતા નિષ્ઠાવાન કર્મશીલ તરીકે સંભાર્યા હતા.

સુરત જિલ્લાના પલસાણામાં એમનો જન્મ. અંગ્રેજીના અનુસ્નાતક અને આરંભે વલ્લભ વિદ્યાનગર અને પછી અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક બનેલા હર્ષદભાઈને, ‘ગણિતમાં કાચો છું ને ગુજરાતી-અંગ્રેજી વધારે ફાવે છે’ એવી લાગણી ખાસ્સી વહેલી જન્મી ચૂકી હતી. વતન નજીકના વરણામાની પ્રાથમિક શાળાની ગાયકવાડી લાઈબ્રેરીમાં એ છઠ્ઠા ધોરણમાં પ્રવેશ્યા અને વાંચવા માંડ્યું. એ વાચન છેક જીવનના અંત કાળ સુધી ચાલતું રહ્યું.

એમની બૌદ્ધિક પ્રતિભા વિદ્યાર્થીકાળમાં જ નીખરી હતી. કોલેજની ચૂંટણીમાં ઉમેદવારી કરતા મિત્રના પ્રચાર સાહિત્યમાં એમણે રેલવે ટ્રેઈનનું ટાઈમટેબલ કે કેલેન્ડરને બદલે અંગ્રેજીના પ્રોફેસરે વાંચવા ભલામણ કરેલી શ્રેષ્ઠ પચીસ નવલકથાઓનાં નામ છપાવડાવેલાં.

માંડ ૩૨ વરસના હર્ષદ દેસાઈએ ૧૯૬૭માં ‘અંગદ તરફદાર’ના નામે ‘સંજ્ઞા’ સામયિકમાં આત્મકથનાત્મક લખાણો લખેલા. જેમાં જીવનની પહેલી પચીસી, પોતાનું ટ્રાન્ફરમેશન, આત્મખોજ, એલિયનેશન અને હોમસીકનેસની લાગણી, વાચનકથા તથા સ્મોલ-ટાઉન-લાઈફની ગૂંગળામણ વ્યક્ત કરી હતી. આ લખાણોમાં જ હર્ષદભાઈની ભાષાશૈલી, વિચાર અને સંવેદનની પ્રોઢિ વરતાઈ આવી હતી. ‘સંજ્ઞા’માં જ એમણે સુરેશ જોષીની દિગીશ મહેતા અને જ્યોતિષ જાની સાથે દીર્ઘ મુલાકાત લીધી હતી.

વલ્લભ વિદ્યાનગર પછીના અમદાવાદના લાંબા નિવાસ દરમિયાન હર્ષદભાઈના જીવનનું ધ્રુવબિંદુ વધુ સ્પષ્ટ થયેલું. એમણે સાહિત્યિક-બિનસાહિત્યિક લેખન તો બહુ થોડું કર્યું છે પણ જેટલું લખ્યું તે ‘રહેમતઅલીની લગડી સમાન’ છે. દિગીશ મહેતા અને હર્ષદ દેસાઈનું ‘પાશ્ચાત્ય નવલકથા’(૧૯૭૫) એ પુસ્તક ‘અભ્યાસની ઉપયોગિતા’ અને લેખકીય સાહસની રીતે નોંધપાત્ર છે. ૧૯૬૬માં હર્ષદભાઈએ રઘુવીર ચૌધરીની પ્રથિતયશ નવલકથા ‘અમૃતા’નું બેબાક વિવેચન –ખાસ તો નવલકથાની ભાષા સંદર્ભે- કર્યું હતું. ‘અમૃતા’ પર ખફા હર્ષદભાઈ જયંત ગાડીતની ‘બદલાતી ક્ષિતિજ’ પર ઓળઘોળ હતા અને તેને ‘ગુજરાતની પહેલી સાર્થક સામાજિક નવલકથા’ ગણાવી હતી.

નવયુવાન હર્ષદ દેસાઈ લેખક તરીકે વાલીપુત્ર ‘અંગદ’નું નામ અને ‘તરફદાર’ અટક ધારણ કરે છે ત્યારે જ તેમની દલિત-શોષિત-પીડિત પ્રત્યેની તરફદારી અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ ગયાં હતાં. આ ઉપનામ જ હર્ષદભાઈની  સાચુકલી સામાજિક નિસબતનું દ્યોતક હતું.  એમનું હર્ષદકર્મ દલિત સમસ્યા પ્રત્યે લગાવ જ નહીં આત્મીયતાનું હતું. ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી રમખાણો વખતે સ્વાભાવિક જ તે દલિત, આદિવાસીઓના અને અનામતના પક્ષે હતા.

૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના વનસ્થલી જ્ઞાનસત્રમાં એમણે કહ્યુ હતું ‘હું અહીં અનામત આંદોલનને કારણે જ છું. આ નકારાત્મક આંદોલનમાં દલિતોને પડખે કવિઓ-લેખકોએ ઊભા રહેવાની જરૂર હતી. મુંગા રહેવાથી સૌ સાહિત્યકારો અનામતવિરોધીઓના પક્ષે રહ્યા અને દલિતોના ઘર સળગવા દીધા, એમને ભયથી ફફડતાં કરી દીધાં’ ને પછી અપેક્ષા વ્યક્ત કરી:  આપણે જ્ઞાતિ વિશે લખીએ. આપણી નાત જ્યારે બીજી નાતના માણસના સંપર્કમાં આવી ત્યારે શું થયું તે પણ લખીએ.’ 

પ્રોફેસર હર્ષદ દેસાઈ માત્ર કોરા અધ્યાપક નહોતા. અધ્યાપક મંડળની પ્રવ્રુતિઓ સાથે પણ તે સક્રિય રીતે જોડાયેલા હતા. અધ્યાપકોના આંદોલનોમાં, એમની માંગણીના આવેદનપત્રોથી માંડીને સભા-સરઘસ-ધરણામાં સૂત્રો લખવા સુધ્ધાંમાં એમની માસ્ટરી હતી. નવનિર્માણ અને બીજાં પ્રજાકીય પ્રશ્નોમાં અધ્યાપકો અને અધ્યાપક મંડળની ભૂમિકા સ્પષ્ટ કરી આપવામાં તે અગ્રેસર રહેતા. જાહેર પ્રવૃત્તિઓ નિમિત્તે સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે પણ હર્ષદભાઈ જોડાયેલા રહ્યા હતા. સ્વૈચ્છિક સંસ્થાઓના નેટવર્ક ‘જનપથ’ના એ સ્થાપક પ્રમુખ હતા.

અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના પોતાના જે ફ્લેટમાં એમને રાઈટિંગ સ્પેસ ન મળવાની કાયમી વાજબી ફરિયાદ રહેતી તેમાં જ ફંડના અભાવે  ઘણાં મહિના ‘જનપથ’ની ઓફિસ તેમણે ચલાવેલી. ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓના ઇતિહાસમાં આ અપવાદરૂપ વિરલ ઘટના છે. ધરણા-દેખાવો-સભા-સરઘસોમાં, દલિત અત્યાચારના બનાવોની સ્થળ તપાસોમાં કે વિરોધ કાર્યક્રમોમાં એ અનુકૂળતા કરીને જોડાતા. પાલનપુર નજીકના સાંબરડા ગામમાં દલિતો પરના ત્રાસથી ૧૩૧ દિવસની હિજરતની સંઘર્ષ કથાનું ‘સાંબરડાથી સ્વમાનનગર’ નામે દસ્તાવેજી પુસ્તક અમે સાથે મળીને લખ્યું હતું.

મોટા ગજાના બૌદ્ધિકો-કર્મશીલો સાથે તેમના પરિચયો અને સંપર્કો છતાં તે કાયમ લો પ્રોફાઈલ અને જમીનથી જોડાયેલા રહ્યા. જેમ દલિત-આદિવાસીની અનામતના, તેમનાં શિક્ષણના, સશક્તિકરણના તે પક્ષધર હતા તેમ જમીનોની ફેર વહેંચણી કે જમીન સુધારના પણ મોટા હિમાયતી હતા. લેન્ડ રિફોર્મ હવે ભારતમાં નોન ઈસ્યુ છે એમ કહેનારને ફટકારતાં એમણે લખેલું, ‘જમીન ફેરવહેંચણીનો એકડો કાઢી નાંખીએ તો તો સૌરાષ્ટ્રના પટેલોમાં દરબારોના અત્યાચારોનો સામનો કરવાની તાકાત આવી ગઈ, તે, દલિતો-આદિવાસીઓ-ઓબીસીમાં કદી આવશે નહીં.’ હર્ષદભાઈ  કોઈ પ્રભાવી વક્તા નહોતા. એ ગપશપમાં, નાના જૂથ સાથેની ચર્ચા-ગોષ્ઠિઓમાં કે અંગત વાતચીતમાં જ વધુ ખીલતા. એમની વાતો એટલી મૌલિક, અર્થગંભીર અને પાયાની રહેતી કે સાંભળનારે તે માટે સજ્જ રહેવું પડતું. 

‘એટલે’ એ હર્ષદભાઈનો તકિયાકલમ હતો. લગભગ દર એક-બે વાક્યને અંતે એ ‘એટલે’ બોલતા. એમની વિદાય પછી વિચારું છું કે હર્ષદભાઈ એટલે શું ? તો એક પ્રકારનો ખાલીપો લાગે છે. એ સાચું કે એમણે બહુ બધંુ લેખન કર્યું નથી કે કોઈ મોટા આંદોલનનું નેતૃત્વ કર્યું નથી. પણ નેપથ્યમાં રહીને એમણે જે મોટી મોટી ભૂમિકાઓ ભજવી છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. એ જેટલા પ્રેમાળ એટલા પારદર્શી. અભિગમમાં જેટલા સમ્યક એટલા સ્પષ્ટ વક્તા. એમના જેવા અધ્યાપકનું, કર્મશીલ રાહબરનું, બૌદ્ધિકનું ગુજરાતના અને દેશના જાહેરજીવનમાં હોવું એ જ મોટું આશ્વાસન હતું. ‘નયામાર્ગ’કાર ઈન્દુભાઈ જાનીએ કંઈ અમથા એમને ‘ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ’ નથી કીધા. લેખનના આરંભે એમણે ધારણ કરેલું ‘અંગદ તરફદાર’ નામ આજીવન સાર્થક કર્યું છે.

ભલે જાહેરજીવનમાં અંગદ કૂદકા જેવું એમનું પ્રદાન ન રહ્યું, પણ એમણે જે કંઈ કર્યું છે તે અંગદપદથી લગીરે કમ નથી. ‘સામાજિક ન્યાય’ એ સદાય ઝંખતા અને આપણા બૌદ્ધિક વિમર્શમાં એની અનિવાર્યતા સમજાવતા. ‘૯૦ ટકા પ્રજાને ન્યાય મળે અને છતાં ઈકોનોમીનો ગ્રોથ રેટ વધે, બધા ક્ષેત્રોમાં સર્જકતાને ખીલી ઉઠવાનો મોકો મળે, જળ-જમીન-જંગલ જેવી સહિયારી મિલકતો જોરાવર ૧૫-૨૦ ટકા લોકો-પરિબળો જ બથાવી ના પાડે, કોર્નર ના કરી લે- એવો કાર્યક્રમ અપનાવવા છતાં કોઈ રાજકીય પક્ષ ચૂંટણીમાં જીતી શકે એવું ભારતમાં શક્ય બનશે?’ એવો લાખેણો નિરુત્તર સવાલ, આપણા માટે છોડી જનાર હર્ષદ દેસાઈ એટલે ગુજરાતની મોંઘેરી બૌદ્ધિક અને કર્મશીલ સંપદા.

સૌજન્ય : ‘હર્ષદભાઈ એટલે’, “દિવ્ય ભાસ્કર”, August 25, 2016

Loading

...102030...3,5053,5063,5073,508...3,5203,5303,540...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved