Opinion Magazine
Number of visits: 9767887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિનેશભાઈની સંવેદનશીલતા

પ્રહ્લાદ જોશી|Opinion - Opinion|13 April 2017

થોડા દિવસ પહેલાં આપણે મારાં લીલાફઇની વાત કરી હતી. એમને પાંચ સંતાનો. પ્રેમિલાબહેન, નીતિબહેન, દિનેશભાઇ, મંજુલા, અને હિતેશ. સહુથી નાનો હિતેશ પણ મારાથી તો છ વર્ષ મોટો. તો ય નાનપણથી જ એને અને એનાથી મોટી બહેન મંજુને તુંકારે જ બોલાવવાની ટેવ છે.

દિનેશભાઇનું હુલામણું નામ ભીખુ. પણ ઘરનાં વડીલો સિવાય એમને એ નામે કોઇ બોલાવતું નથી. હું નાનો હતો ત્યારે એમણે મને ખોળામાં બેસાડી રમાડ્યો છે. હું છએક મહિનાનો હોઇશ, તેઓ આંબલિયા આવ્યા હતા. એમના ખોળામાં બેઠો હતો અને દડી ગયો. દાદાનું તો ગારમાટીવાળું ખોરડું હતું એટલે ખાસ વાગવાનો તો પ્રશ્ન જ ન હતો પણ છ મહિનાનું બાળક થોડી વાર તો રડે જ ને! હું ય ગાંગર્યો. પણ દિનેશભાઇના પસ્તાવાનો પાર ન રહ્યો. જયારે મા મળે, ત્યારે પૂછે “હેં મામી, ભાઇને બહુ લાગ્યું તો નોતું ને! હું તો ખોળામાં બેસાડીને રમાડતો હતો, હોં મામી! ભાઇ જ એની મેળે ગોથિકલું ખાઇ ગયો હતો.” મા કહે ય ખરાં કે હા ભીખુ, હા. ભાઇ તો નાનો હતો ને! નાના છોકરાં તો પડી જાય ને વાગે ય ખરું. તું ચિંતા કર મા.

વળી છ મહિના વરસ જાય અને ફઇના ઘરે જવાનું થાય. વળી દિનેશભાઇ અપરાધભાવના સાથે માને એ જ વાત યાદ કરાવે. મામી, હું તો ભાઇને ખોળામાં બેસાડીને ખાલી બેઠો જ હતો હોં! ઇ જ દડી ગયો હતો ને રોવા માંડ્યો હતો. હેં મામી, એને બહુ લાગ્યું તો નહતું ને!

ફરી પાછા જ્યારે ભેગાં થાઇયે ત્યારે દિનેશભાઇ ફરી યાદ દેવડાવે કે ભાઇ એમના ખોળામાંથી ગબડી પડ્યો હતો એમાં એમનો વાંક ન હતો, અને ખાતરી કરે કે એમની જરા સરખી બેદરકારીના લીધે હું એમના ખોળામાંથી પડી ગયો હતો તો મને ખાસ વાગ્યું તો નહતું ને!

આ ક્રમ હું પચીસીમાં આવી ગયો ત્યાં સુધી ચાલ્યો હતો. પછી ય અટક્યો તો ન જ હતો, રીત બદલાઇ હતી. પછી મને જ કહેતા કે હેં ભાઇ, તું ધાવણો હતો ને, ત્યારે મારા ખોળામાંથી દડી ગયો હતો ને રોવા માંડ્યો હતો. પણ ભાઇ, છોકરું તો પડી જાય ને, એટલે રડે. તને લાગ્યું નોતું હોં ભાઇ!

હવે મેં ચાલીસ વટાવ્યાં. તો ય વાત પૂરી થઇ નથી. હવે એ મને પણ નથી કહેતા પણ મને જુવે એટલે સ્વગત જ બોલે “ભાઇને મેં નોતો પાડ્યો. એની મેળે પડી ગયો હતો. મામા ને મામી ય કહેતાં હતાં કે છોકરું તો પડી જાય એટલે રડે. એને લાગ્યું ન હોય તો ય રડે. પછી તો મામીએ ખોળામાં લીધો હતો ને, એટલે છાનો ય રહી ગયો હતો.” વળી મને પૂછીને જ ખાતરી કરી લે “હેં ભાઇ, સાચી વાત ને! તને લાગ્યું નથી ને!” અને ફરી સ્વગત બોલે “ઇ તો છોકરું ઘડીક રડે. પછી મટી જાય.”

ભાઇ હિતેશનાં લગ્ન થયાં. એ સમયે ફઇનું ઘર તો એક ઓરડો ને એક રસોડું. એટલે એમણે ઓસરીની ધારે દિવાલ ચણીને રસોડું ત્યાં ફેરવી નાંખ્યું હતું. મુખ્ય ઓરડો તો હિતેશ અને રમાભાભીનો બેડરૂમ થઇ ગયો. એમનાં લગ્નને અઠવાડિયું ય નહતું થયું. ભાભીને કપડાં બદલવાં હતાં. પણ દિનેશભાઇ રૂમમાં નીચે સૂતા હતા. ભાભીએ એમને ઓરડામાંથી બહાર જવા વિનંતી કરી. કહ્યું પણ ખરું કે એમને કપડાં બદલવાં છે. પણ દિનેશભાઇ કહે “તમે બદલી લ્યો કપડાં. હું એ બાજુ નહીં જોઉં.” ભાભીને તો સ્વાભાવિક જ આ મંજૂર ન હોય. પણ એમની વાત માને તો દિનેશભાઇ થોડા કહેવાય! એક વાર નિર્ણય લેવાઇ ગયો, પછી કોઇની તાકાત નથી કે એ બદલાવી શકે. મારાં માને એમના આ સ્વભાવની ખબર. એમને બધી રીતે ઓળખ્યા હતા. રમાભાભીએ એમને કહ્યું કે મામી, દિનેશભાઇને કહોને, કે બહાર નીકળે, મારે કપડાં બદલવાં છે. અને પાછા કહે છે કે તમે કપડાં બદલી લ્યો, હું એ બાજુ નહીં જોઉં.” માએ પૂછ્યું “એ બહાર આવવાની ના પાડે છે!” હા. ભાભીએ કહ્યું. એટલે માએ કહ્યું કે “તો કોઇનો કહ્યો બહાર નહીં નીકળે. પણ તું ચિન્તા કર્યા વિના કપડાં બદલી લે. એ નહીં જ જુવે.” રમાભાભીએ બીતાં બીતાં હિંમત કરી. દિનેશભાઇ ભીંતભર મોઢું કરીને સૂતા હતા. સહેજ પણ હલ્યા નહીં. એમને ફરીને જોવા કોઇ કારણ પણ ન હતું. એ પછી તો ભાભીને કપડાં બદલવાં હોય તો એટલું જ કહેવું પડે “દિનેશભાઇ! હું કપડાં બદલું છું હોં!”

સ્વીચને ક્યારે ય હાથ નહીં લગાડવાનો. ઓન હોય તો ઓન અને ઓફ હોય તો ઓફ ભલે રહે પણ દિનેશભાઇ એને હાથ લગાડે નહીં. એ બાબતમાં કોઇની ય વાત નહીં જ સાંભળવાની – ફઇની ય નહીં. પણ એમનો એક મિત્ર ધોબી અપવાદ. એની દુકાનમાં એ કહે એ સ્વીચ ચાલુ કે બંધ કરી આપે. ત્યાં કોઇ બીક ન લાગે. દીવાસળીને ય હાથ નહીં લગાડવાનો.

અને ફઇ ક્યારે ય મરવાનાં નથી. એમણે ક્યાં કોઇનું કાંઇ બગાડ્યું છે કે મરવું પડે! મોત તો કાંઇક ખોટું કર્યું હોય એને જ આવે.

ગમે તેવા તડકામાં દિનેશભાઇ ઉઘાડા પગે જ ફરે. તળિયાં દાઝવાની જાણે કોઇ અસર જ નહીં. અજાણ્યા કોઇના દેખતાં કાંઇ ખાય નહીં. કાંઇક ખાવું હોય અને લોકો હોય તો લોકોથી પીઠ ફેરવી લેવાની અને ભીંતભર થઇ ખાઇ લેવાનું.

એક વાર દિનેશભાઇ માનસિક રીતે અવિકસિત છે એવા અર્થનું સિવિલ સર્જનનું મેડિકલ પ્રમાણ લેવાનું હતું. ફઇ એમને લઇ ગયાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં. સિવલ સર્જન સાહેબે દિનેશભાઇને બધી રીતે તપાસ્યા. એમને એમનામાં કાંઇ ખોટું ન દેખાયું. જે પૂછે એનો સંતોષકારક જવાબ. સર્જન સાહેબ કહે કે બહેન, તમારા દીકરામાં મને તો કાંઇ વાંધો નથી દેખાતો. ભણ્યો નથી એના આધારે આવું સર્ટિફિકેટ તો ન જ આપી શકું ને! ફઇએ એમને એક બાજુ બોલાવી કહ્યું કે એની હાજરીમાં મને એટલું કહો કે હું મરી જવાની છું એટલે એનાં લગન લઇ લેવાં જોઇએ. ડોકટરે આટલું કહ્યું અને પછી જે દિનેશભાઇનો પિત્તો ગયો છે! એટલું સાંભળીને દિનેશભાઇએ કરેલું કરુણતા અને ક્રોધ મિશ્રિત વર્તન જોઇ ડોકટરને એમનું એસેસમેન્ટ કરવા પર્યાપ્ત સામગ્રી મળી ગઇ અને એમનો માનસિક વિકાસ અમુક ઉંમરે થંભી ગયાનું પ્રમાણપત્ર લખી આપ્યું.

મને નવાઇ લાગતી કે દિનેશભાઇ મંદબુદ્ધિ કહી શકીએ એવા તો છે નહીં. બધી સમજણ છે. તો વર્તન આવું કેમ! પણ પહેલેથી એવું જ સાંભળતો આવ્યો હતો કે લીલીબહેનનો દિનેશ મંદબુદ્ધિ, એટલે આવું જ જે માણસો કહેતા હોય એમની પાસે શું જાણવાની અપેક્ષા રાખવી! એટલે પૂછતો ય નહીં.

પણ એકાદ વર્ષ પહેલાં દિનેશભાઇને સ્વગત બોલતાં સાંભળી ગયો “એ બેયનું મોત હતું તે મરી ગયા. એમાં કોઇ શું કરે! મેં નથી માર્યાં હોં!”

આ પહેલી વાર સાંભળ્યું હતું. મેં ફઇને વાત કરી. કેમ દિનેશભાઇ આવી વાતો કરે છે! ફઇની આંખોમાંથી દડ દડ આંસુ ટપકવા લાગ્યાં. ફઇએ વાત કરી.

નાનપણમાં દિનેશભાઇ ગોફણના માસ્ટર અને એક્કા નિશાનબાજ હતા. કહીએ એ વસ્તુનું નિશાન લઇ શકતા. માંડ આઠ વર્ષના હશે. એક વાર ફઇ એક વાડીએ કપડાં ધોવા ગયાં હતાં, સાથે દિનેશભાઇ. બેસતો ઉનાળો હતો અને આંબામાં કેરીઓ. દિનેશભાઇ ગોફણ ભેગી જ રાખતા ને વારંવાર નવાં નવાં નિશાન લઇ એમનો ગોફણનો અભ્યાસ ચાલુ રાખતા. ફઇ કપડાં ધોઇ રહ્યાં હતાં અને દિનેશભાઇની ગોફણ આંબાની કેરીઓ માટે સટાકા બોલાવી રહી હતી. એક પછી એક કેરીઓ ખિસ્સામાં ભરાઇ રહી હતી.

પણ, એક પત્થર કેરીને પાડ્યા વિના એની બાજુમાંથી નીકળી ગયો અને ગયો ખેતરની વાડ કુદાવીને પેલી બાજુ. પડ્યો ચાર વર્ષના એક છોકરાના માથા પર. છોકરો ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. કોઇએ જોયું અને સેકન્ડોમાં તો ટોળું થઇ ગયું. છોકરાને તેડી લીધો. છોકરાનો બાપ – એ ખેતરનો માલિક પણ દોડતો આવ્યો. પણ એના ભાગે દીકરાનો નિષ્પ્રાણ દેહ જ ઊંચકવાનો આવ્યો હતો.

લોકોએ જોયું જ હતું કે એ મૃત્યુનું નિમિત્ત શું અને કોણ બન્યું હતું એટલે દિનેશભાઇ પર શું વીતી શકે એનો એ બાપને અંદાજ આવી ગયો. તરત જ એના દીકરાના શરીરને નીચે મુકી દોડતા આવી રહેલાં ફઇની સામે દોડતો ગયો અને હાથ જોડીને કહ્યું કે બહેન, જો તમે તમારા દીકરા પર હાથ ઉપાડો તો તમને મારા મરી ગયેલા દીકરાના સમ. તમારો દીકરો ય બાળક છે. વાડની પાછળ મારો દીકરો છે એ એને થોડી ખબર હતી! એનું મોત આમ લખાણું હશે, બહેન. તમે તમારા દીકરાને કાંઇ ન કહેતા. “મારા સમ છે જો કોઇએ છોકરાને કાંઇ કીધું છે તો” એમ કહી હાજર બધાની સામે હાથ જોડ્યા. કોઇએ આ જોઇ બાળક દિનેશને કાંઇ ન કહ્યું. દિનેશભાઇ પણ બાઘા થઇ જોઇ રહ્યા.

ફઇ તો કેવું ભારે હૃદય લઇ ઘરે આવ્યાં હશે એની કલ્પના ય નથી થઇ શકતી. પણ ઘરે આવી ક્રોધમાં દિનેશભાઇને જે કહેવાનું હતું એ એમનું દારુણ રુદન થઇને બહાર આવ્યું કારણ કે દિનેશભાઇને તો ખિજાવાની એ છોકરાના બાપે સમ દઇને ના પાડી હતી ને! દિનેશભાઇ સુન્ન થઇ ગયા હતા. ગોફણને ત્યારથી જ ભૂલી ગયા.

હશે. ભગવાને જે નિમિત્ત બનાવ્યું હોય તે. એ ય બાળક જ છે ને! વિચારી ફઇએ મન મનાવ્યું. જે થવાનું હતું એ થઇ ગયું એમ વિચારી જાણે કાંઇ નથી બન્યું એમ બે દિવસ પછી દિનેશભાઇને અને નીતિબહેનને થેલીમાં પાટી પેન આપી નિશાળે મોકલ્યાં.

દિનેશભાઇથી નાની મંજુ. એ નિશાળે જવા જેવડી તો નહીં, પણ ફળિયામાં રમવા જેવડી હતી. એનાથી નાની એક દીકરી હતી એ ત્યારે છ મહિનાની હતી. દિનેશભાઇ નિશાળેથી આવ્યા ત્યારે એ ઘોડિયામાં સુતી હતી. ચંચલ સ્વભાવના બાળક દિનેશભાઇ દોડતા આવ્યા અને એમની થેલી ઘોડિયાની એક મોરવાઇ (ઘોડિયાની આડી દાંડીના છેડે બંને બાજુ લાકડાના જે ઊભા આધાર હોય તે) પર ઉતાવળમાં ટાંગી દઇને ઝટ ઝટ જેવા આવ્યા હતા એવા જ દોડતા ફળિયામાં ગરિયો રમવા ભાગી ગયા. ફઇ ત્યારે રસોડામાં.

થેલી ઘોડિયાની અંદરની બાજુ ટંગાઇ ગઇ હતી અને હીંચી રહેલા ખોયાના સળિયા સાથે ઊંચી નીચી થઇ રહી હતી. એક વાત પર કોઇનું ધ્યાન નહતું પડ્યું, કે થેલીની નીચલી સિલાઇ ઢીલી થઇ ગઇ હતી અને એક એક ટાંકા તૂટી રહ્યા હતા. એક દુર્ભાગી ક્ષણે થેલીમાંની પાટીને ખમી રહેલો છેલ્લો ટાંકો ય તૂટ્યો અને પાટી સરકી બહાર. પાટીને ય ફરતે લાકડાની કોઇ ફ્રેમો નહીં. એટલે પાટી એક અણિયાળો પત્થર જ બની ગઇ અને પડી સૂઇ રહેલી ફઇની છ મહિનાની દીકરીના માથે. એનો ખૂણો એક વેઢ જેટલો એ બાળકીના માથામાં ઉતરી ગયો અને બાળકી ત્યાં જ મરી ગઇ.

પછી તો શું શું થયું હશે એની આપણે તો કલ્પના ય ક્યાંથી કરી શકીએ! દિનેશભાઇ બે દિવસના અંતરમાં બીજા બાળકના મૃત્યુના નિમિત્ત બન્યા હતા.

આ વાત સાંભળી એટલે દિનેશભાઇના વર્તનનો તાળો મળી ગયો. અપરાધને ભૂલવા મન બધું કરી છૂટે છે. મૃત્યુને એ કોઇ ખોટા કર્મનું પરિણામ પણ કહી દે છે. મન ત્યાંથી આગળ શીખવાનું અને બૌદ્ધિક રીતે વિકસવાનું બંધ કરી દે છે કારણ કે વધુ શીખેલું અને વિશ્લેષણ કરી શકતું મન અજાણતાં થયેલા આ બંને અપરાધો પણ વારંવાર યાદ દેવડાવવાનું જ છે. મનને બધું ગમે છે પણ અપરાધભાવના નથી ગમતી. એને એ ટાળવા જ માંગે છે. એટલે એ એણે દિનેશભાઇને કાંઇ પણ શીખવા અને કાંઇ પણ યાદ રાખવા માટે અસમર્થ એવા વ્યક્તિ બનાવી દીધા. મન ગેમમાંથી આ રીતે બહાર નીકળી ગયું. દિનેશભાઇને એ આઘાતે આજીવન બહાવરા બનાવી દીધા. એમના ખોળામાં બેઠેલો છ મહિનાનો હું ગબડી પડ્યો એ પ્રસંગથી પણ એટલા ભયભીત થઇ ગયા કે એમણે એ જાણી જોઇને નથી કર્યું એ આટલાં વર્ષો પછી પણ અમને સમજાવવા મથે છે. એ મનને મંદબુદ્ધિ ગણાવામાં પણ આ જ કારણે કોઇ વાંધો નથી. એમાં એને સુરક્ષા મળી છે, અસહ્ય અપરાધભાવનાથી મુક્તિ મળી છે.

પણ મિત્રો, આ સાથે મને યાદ આવી વિકસિત દેશોની હેલ્થકેર સર્વિસીઝ. એ ક્ષેત્રમાં ત્યાં સરકાર તરફથી જ એટલું સંશોધન અને રોકાણ થયું છે કે બાળકો માટે તો ખાસ કાઉન્સેિલંગ ઉપલબ્ધ છે. દિનેશભાઇને લાગ્યો એ આઘાત નાનોસૂનો તો નહીં જ હોય પણ મનોવિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે એના વિકાસનો પૂરેપૂરો ઉપયોગ કરી એમને આઘાતમાંથી બહાર તો લાવી જ શકાયા હોત. વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓનો પૂરેપૂરો ઉપયોગ સરકાર નાગરિકોનાં જીવનમાં સ્વાસ્થ્ય, સરળતા, અને સુવિધા માટે કરે છે. દિનેશભાઇને આજીવન બહાવરા થઇને રહેવાની કોઇ જ જરૂર ન હતી. એમનું તો જીવન જાણે વેડફાઇ જ ગયું છે પણ દેશમાં બીજાં કેટલાં બાળકો હશે કે જે રોજ કોઇ ને કોઇ માનસિક આઘાતનો ભોગ બનતાં હશે! એમના માટે આપણા દેશમાં શું સગવડ છે! અરે, સગવડ તો પછી આવે. જાગૃતિ પણ ક્યાં છે! માનસિક બિમારી જાણે એક સંતાડવાની વસ્તુ છે. જેમનું મન થાકી રહ્યું હોય એમના માટે આપણામાં પણ ધીરજ છે ખરી! અરે માનસિક રીતે બિમાર તો ઠીક, શારીરિક રીતે વિકલાંગતાનો ભોગ બનનાર માટે પણ આપણામાં સંવેદનશીલતા લાવવા માટે નરેન્દ્રભાઇ પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી કાંઇ જ નહતું થઇ રહ્યું. એ લોકો તો જાણે નાગરિક જ મટી ગયા હોય એવો વ્યવહાર હતો અને છે. વિકલાંગને દિવ્યાંગ કહી એમનાં જીવન સુધારવાની એમની પહેલને ખરેખર ધન્યવાદ આપવા જ પડે.

જરૂર આની છે મિત્રો. નથી જરૂર શ્રીરામજન્મભૂમિ પર મંદિર બાંધવાની, કે નથી જરૂર સ્વીસબેંકોમાંથી પૈસા પાછા લાવવાની. આપણા ભાઇઓ, બહેનો, અને બાળકોને શારીરિક કે માનસિક વિકલાંગતાના લીધે કોઇ અન્યાય ન થાય, એમને બધી રીતના સમાન અવસર મળે. કોઇ તકથી એમને વંચિત ન રહેવું પડે, એમનું જીવન એળે ન જાય એવું તંત્ર સર્જવાની જરૂર સહુથી પહેલી છે. આ હાથીના પગલાં જેવું ધ્યેય છે જેમાં બીજાં ઘણાં આપોઆપ સમાઇ જાશે. એ કરી શકશું તો આપણે સમૃદ્ધ તો ક્યારના થઇ ગયા હોઇશું.

https://www.facebook.com/prahlad.joshi/posts/10210964449059157

Loading

મોદી-યોગી: સામ્ય અને વિરોધાભાસ

રાજદીપ સરદેસાઈ|Opinion - Opinion|13 April 2017

ઉત્તર પ્રદેશ જેવા વિશાળ અને જટિલ રાજ્ય પર શાસન ચલાવવું ગુજરાતને સંભાળવા કરતાં ક્યાં ય અઘરું છે.

યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવાયા પછી તેમના ઉદયની નરેન્દ્ર મોદી સાથે સરખામણી થઈ રહી છે. મોદીની જેમ આદિત્યનાથ પણ ગરીબ પરિવારમાં જન્મ્યા છે અને પરિણીત છે, નાની ઉંમરે ઘરેથી નીકળી ગયા છે અને તેમણે હિન્દુત્વના રાજકારણમાં કુશળતા મેળવી છે. મોદીની જેમ જ તેઓ ચમત્કારિક અને વિવાદાસ્પદ છે. અને વડાપ્રધાનની જેમ જ આદિત્યનાથને પણ અંગ્રેજી બોલનારા શંકા અને ડરથી જુએ છે. હવે તો એવું પણ કહેવાઈ રહ્યું છે કે યોગી જ ભાવિ વડાપ્રધાન છે.

આ બધું ઠીક છે, પરંતુ તદ્દન આવું પણ નથી. નિ:શંકપણે બંનેના ઉછેર અને ભગવાબ્રિગેડમાં બંનેના મૂળમાં સમાનતા છે, પરંતુ તેમનાં રાજકીય ઉત્થાનમાં પણ એટલો જ સ્પષ્ટ ફરક છે. મોદીની દીક્ષા આર.એસ.એસ.ની શાખાઓમાં થઈ. તેઓ પ્રચારક બન્યા અને પછી તેમણે ખાસ્સો સમય પડદા પાછળ રહીને ભા.જ.પ.માં સંગઠક તરીકેની ભૂમિકા નિભાવી, જેનાથી તેઓ ભા.જ.પ.ની નિર્ણયપ્રક્રિયાના કેન્દ્રમાં આવી ગયા. ઑક્ટોબર, 2001માં તેમને કોઈ પણ પ્રકારની ચૂંટણી લડાવ્યા વિના ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમણે રાજ્યમાં ભા.જ.પ.ના ઘડવૈયા તરીકેની પ્રતિષ્ઠા મેળવી લીધી હતી.

આનાથી ઉલટું આદિત્યનાથ હંમેશાંથી ‘બહાર’ના જ રહ્યા છે અને પોતાની વ્યક્તિગત લોકપ્રિયતા અને ગોરખપુરમાં પાંચ વખત સાંસદ રહેવા છતાં પણ તેઓ ઉત્તર પ્રદેશ ભા.જ.પ.ના નેતૃત્વમાં હાંસિયામાં જ રહ્યા છે. 2017ની ચૂંટણીમાં પણ, ભા.જ.પ.ના પ્રચાર સાહિત્યમાં તેમનું ખાસ કોઈ સ્થાન નહોતું. આદિત્યનાથની આગેકૂચ રામમંદિર આંદોલનથી શરૂ થઈ અને તેમને પોતાના સંરક્ષક ગોરખનાથ મંદિરના મહંત અવૈદ્યનાથના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા. એ સમયે તેઓ ઉંમરના ત્રીજા દસકામાં જ હતા. અવૈદ્યનાથ હિન્દુ મહાસભાના સભ્ય હતા અને અયોધ્યામાં મંદિરનિર્માણ પર ભાર આપનારા સંતસાધુ સમાજના અભિન્ન અંગ હતા. તેમણે ક્યારે ય આક્રમક હિન્દુ રાષ્ટ્રવાદ પ્રત્યે પ્રતિબદ્ધતા છુપાવી નહીં.

ઉગ્ર હિન્દુત્વ પ્રત્યે એવી જ પ્રતિબદ્ધતાએ આદિત્યનાથની રાજનીતિને આકાર આપ્યો હતોે. તેમની હિન્દુ યુવાવાહિની હિન્દુ બહુમતી સમાજના વિચારોને પ્રોત્સાહન આપવામાં અગ્રણી છે, જેમાં મુસ્લિમોએ બીજો દરજ્જો સ્વીકારવો પડશે. પછી ભલે ગોવધનો વિરોધ હોય, ઘરવાપસી હોય કે લવજેહાદ, તેમના માટે ‘દુશ્મન’ મુસ્લિમ રહ્યા છે. ત્યાં સુધી કે 16મી લોકસભામાં તેઓ હિન્દુ મુદ્દાઓ પર કેન્દ્રિત રહ્યા. ખાસ કરીને ગોવધ બાબતે. મોદીમાં માત્ર હિન્દુત્વ હીરોથી આગળ વધવાની ઇચ્છા દેખાય છે.

2002નાં ગુજરાત રમખાણો અને ત્યાર પછીની ઘટનાઓએ તેમને હિન્દુ રાષ્ટ્રવાદી હીરો બનાવી દીધા હતા, આ છબિનો ઉપયોગ તેમણે અત્યંત કુશળતાથી રાજકીય મૂડી ભેગી કરવામાં કર્યો. આ એ સમય હતો, જ્યારે તેમના પર સાંપ્રદાયિક રીતે ભડકાવનારાં નિવેદનો આપવા (યાદ કરો, ‘હમ પાંચ, ઉનકે પચ્ચીસ’) અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા અને હુલ્લડો કરાવવાની છૂટ આપવાના આરોપ લાગ્યા.

2007માં બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા પછી તેઓ એટલા જ પ્રયાસોથી વિકાસપુરુષની છબિ ઊભી કરવામાં લાગી ગયા, જેના થકી તેમનો રાજકીય ઉદય જળવાઈ રહ્યો છે. તેમણે તોગડિયાથી અંતર કરી લીધું, નિયમ વિરુદ્ધ રસ્તાની કોરે બનેલાં મંદિરોને તોડવાનો આદેશ આપ્યો અને વિ.હિ.પ.નો ગુસ્સો પણ સહન કર્યો. આ રણનીતિપૂર્વકનું હતું કે નહીં, પરંતુ આનાથી પોતાને નવું રૂપ આપવાની ઇચ્છા અથવા ઓછામાં ઓછું સમાવેશક રાજકીય મહોરું પહેરવાની ઇચ્છા તો દેખાય જ છે.

આનાથી ઉલટુ આદિત્યનાથની રાજકીય યાત્રામાં ન તો ખુદની પુનર્ખોજ છે કે ન તો કોઈ મહોરું છે. બે દાયકાથી તેમની જાહેર ટિપ્પણીઓમાં સતત લાગણીઓને ઉશ્કેરવી, લઘુમતીઓને ડરાવવા-ધમકાવવાના પ્રયત્નો અને હિસા ભડકાવવાના પ્રયત્નો જ રહ્યા છે. રમખાણોથી માંડીને ધિક્કાર ફેલાવનારાં ભાષણો સુધી તેમની વિરુદ્ધમાં ગુનાઇત આરોપોમાં બંધારણીય મર્યાદા અને રાજકીય સ્તરે નૈતિક વ્યવહાર પ્રત્યે તિરસ્કાર જ જોવા મળે છે. તેમના સમર્થકો ગોરખપુરમાં વારેવારે ચૂંટાઈ આવવાને તેમના લોકસમર્થનની સાબિતી ગણાવશે. પરંતુ તેઓ એ નથી સમજતા કે ચૂંટણીની જીતથી ગુનાઇત વ્યવહાર કાયદેસર નથી થઈ જતો.

નિ:શંકપણે ઉગ્ર હિન્દુત્વને બેધડક પ્રોત્સાહન આપવાથી આદિત્યનાથ નરેન્દ્ર મોદીના બદલે બાલ ઠાકરે વધારે લાગે છે. એ શિવસેના જ હતી, જેણે રાજકીય અને બંધારણીય મર્યાદાઓને તડકે મૂકીને વિરોધીઓને પાઠ ભણાવવા માટે ટેકેદારોને ઉશ્કેર્યા હતા — વિરોધીઓ ‘બહાર’ના પ્રવાસીઓ હોય કે ‘રાષ્ટ્રવિરોધી મુસ્લિમ’. ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શક્યા હોત, પણ તેમણે ‘રિમોટ કંટ્રોલ’ તરીકે રહેવાનું સ્વીકાર્યું. હવે મોદીની જેમ તેમણે પણ સખત, બિનજરૂરી વાતો ન કરનારા શાસક અને કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ મજબૂત નેતાની જેમ રજૂ કરવામાં આવે છે. અલબત્ત, ઉત્તર પ્રદેશ જેવા વિશાળ અને જટિલ રાજ્ય પર શાસન ચલાવવું ગુજરાતને સંભાળવા કરતાં ક્યાં ય વધારે અઘરું છે.

બીજી તરફ, આદિત્યનાથ પર મોદીની સરખામણીએ અનેક ગણું વધારે ભારણ છે. ખાસ કરીને યોગી પોતાના પાયદળના એ સૈનિકોને કેવી રીતે કાબૂમાં રાખશે, જેમને લાગતું હકે કે હવે તેમનો સમય આવી ગયો છે. યોગીના રાજમાં એન્ટી રોમિયો સ્ક્વોડનું જોખમ એટલું જ વાસ્તવિક છે, જેટલું હિન્દુત્વમાં બંધ ન બેસતા સમૂહોની આજીવિકાનું. એટલો જ ખતરો લાગણી ભડકાવવાનો અને રામમંદિર આંદોલન અંગેનો છે. વર્ષ 2001માં મોદીને ગુજરાત મોકલતી વખતે આર.એસ.એસ.ને ખબર હતી કે તે જોખમ લે છે, પરંતુ તે ચાલી ગયું અને ગુજરાત રાજકીય હિન્દુત્વની પ્રયોગશાળા બન્યું. યોગીને મુખ્યમંત્રી નિયુક્ત કરીને વધારે મોટું જોખમ લેવાયું છે, પરંતુ સંઘ પરિવાર માટે મોટા સંભવિત ફાયદા તરીકે ભારતના રાજકીય દૃષ્ટિએ સૌથી નિર્ણાયક રાજ્યમાં હિન્દુ મતબૅંકને મજબૂત કરવાનું કામ છે.

તા.ક.:

મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા પછી તરત યોગી આદિત્યનાથને સંસદમાં બોલતા સાંભળીને ભા.જ.પ.ના એક વરિષ્ઠ સાંસદે મારી તરફ ફરીને કહ્યું, ‘જુઓ, કેટલી સૌમ્યતાથી બોલે છે. ચોક્કસપણે વડાપ્રધાન મોદીમાં જોવા મળે છે એ બધી બાબતોમાં યોગી તમને ચકિત કરી દેશે.’ પ્રશંસાની આ લઢણ દર્શાવે છે કે હિન્દુ જમણેરી જૂથો માટે એક નવા રાજકીય પ્રતીકનો ઉદય  જોઈ લીધો છે: કહેવાતો ‘હાંસિયો’ આખરે હવે મુખ્ય પ્રવાહ બની ગયો છે.

સૌજન્ય : ‘યોગી સામે પડકાર’, “દિવ્ય ભાસ્કર”, 13 અૅપ્રિલ 2017 

Loading

ન્યાયતંત્રની પોતાની તંદુરસ્તીનું શું?

શેખર ગુપ્તા|Opinion - Opinion|12 April 2017

આપણી સ્વતંત્રતા જોખમમાં મુકાઈ જાય છે, તો આપણે દોડીને અદાલતમાં જઇએ છીએ અને ક્યારે ય નિરાશ નથી થતા

અતિશય કંટાળાજનક રાજકારણમાં હું અવારનવાર ક્રિકેટની ભાષામાં વાત કરતો હોઉં, તો  ન્યાયતંત્ર વિશેની વાતમાં હું ફિલ્મસંગીત પણ લાવી શકું છું. ગીતકાર આનંદ બક્ષીની પુણ્યતિથિના થોડા દિવસ પછી આ લખી રહ્યો હોઉં ત્યારે તો ખાસ.  એમનો યુગ યાદ કરતાં કરતાં ન્યાયતંત્ર વિશે વિચારવાના કારણે મને 1969ની ફિલ્મ ‘દો ભાઈ’ યાદ આવી ગઈ. તેમાં અશોકકુમાર અને જિતેન્દ્ર ભાઈ છેઃ એક જજ અને બીજો પોલીસ અધિકારી. જજ શું કરવું તેની અવઢવમાં પડે છે. સજા આપવી કે માફી? તેના માટે આનંદ બક્ષીએ લખ્યું હતું, ‘ઇસ દુનિયામેં ઓ દુનિયાવાલો, બડા મુશ્કિલ હૈ ઇન્સાફ કરના / બડા આસાન હૈ દેના સજાએં, બડા મુશ્કિલ હૈ પર માફ કરના.’

વાત 1998ના શિયાળાના દિવસોની છે. એ વાતનાં વીસેક વર્ષ પછી હું વિશ્વાસ તોડીને કેટલાક આદરપાત્ર લોકોનાં નામ અહીં લઉં છું. તેઓ મને માફ કરે. કારણ કે તેઓ આમ કરવા પાછળનાં કારણ તે સમજી શકશે. એ વખતે દેશના મુખ્ય ન્યાયાધીશ બનેલા જસ્ટિસ એ.એસ. આનંદના ભૂતકાળની અમારા લીગલ એડિટર અત્યંત બારીકાઈથી તપાસ કરી રહ્યા હતા. આ તપાસમાં ઉપસતી છબિ એક એવા ન્યાયાધીશની હતી, જે કામની ગુણવત્તા સાથે સમાધાન કરતા હોય, હિતોના ટકરાવ સામે આંખ આડા કાન કરતા હોય, ભેટ અંગે પારદર્શકતા ન રાખે અને પોતાની જમીનના ભાગિયાઓને ઓછી ચૂકવણી કરતા હોય.

આ વાત એટલી સ્ફોટક હતી કે મેં એ સમયના ટોચના 12માંથી 10 ધારાશાસ્ત્રીઓની સલાહ લીધી. આ સમાચાર છાપવાની તરફેણમાં બે અને ન છાપવાની તરફેણમાં આઠ ધારાશાસ્ત્રી હતા. સમાચાર ન છાપવા જોઇએ, એમ કહેનારાનાં કારણ કેવળ કાનૂની કે હકીકતલક્ષી ન હતાં. તેમનું કહેવું હતું કે આવા મામલામાં સાવચેતી રાખવી, કોઈ નિર્દોષને હાનિ ન પહોંચાડવી, આપણી મહાનત્તમ સંસ્થાને ઘસરકો ન પાડવો. જે બે લોકોએ સમાચાર છાપવાની તરફેણ કરી, તેમાંથી એકે કહ્યું કે હકીકત એટલે હકીકત. તેમાં કશી દલીલબાજીને અવકાશ નથી. બીજા સજ્જન અતિશય ઉત્સાહી હતા. મેં તેમને પૂછ્યું, ‘જજ શું કરશે? અદાલતના અપમાન બદલ આપણને ઠેકાણે પાડી દેશે?’ તેમણે કહ્યું, ‘તેઓ આવું કશું નહીં કરે. તેમને તો માત્ર આપઘાત કરવાનો જ બાકી રહેશે.’

આ જવાબે તો અમને હચમચાવી નાખ્યા. ભારતીય કાનૂની વિશ્વના આ મહાનુભાવે અજાણતાં અમે જે કરવા માગતા હતા, તેનો અસલી આશય અમારી સામે ખુલ્લો પાડી દીધો. અમે દરેક વાક્યને ફરી વખત બારીકાઈથી વાંચ્યું. માત્ર એક જ વાત ગેરહાજર હતી: જસ્ટિસ આનંદ તરફથી જવાબ. તમામ પૂછપરછમાં તેમની ઑફિસમાંથી અમને એક જ જવાબ મળ્યો કે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ તરીકે તેઓ મીડિયાની સાથે સીધી વાત ન કરી શકે.

એ વખતે જાહેર ક્ષેત્રની એવી બે હસ્તીઓએ મારો સંપર્ક કર્યો, જેમનાં માટે મારા મનમાં ખૂબ આદર હતોઃ સુષમા સ્વરાજ અને અરુણ શૌરી. બંને વાજપેયી મંત્રીમંડળમાં મંત્રી હતાં. બંને ખાસ્સા સમયથી જસ્ટિસ આનંદ અને તેમના પરિવારને ઓળખતા હતાં. તેમણે કહ્યું કે જસ્ટિસ આનંદે ક્યારે ય કોઈ અપ્રામાણિકતા દાખવતું કામ હોય, એવો તેમનો વિશ્વાસ પડતો નથી. મેં તેમને કહ્યું કે અમારી સ્ટોરી તમને એની ખાતરી કરાવી દેશે અને તેને અટકાવવી શક્ય નથી. અમે મેળવેલી વિગતો ખોટી હોય તો સાચી હકીકત જાણવા માટે અમારે જસ્ટિસ આનંદની જરૂર છે.

સુષમા સ્વરાજે સૂચન કર્યું કે હું જસ્ટિસ આનંદને ફોન કરું. મેં તેમને ફોન કર્યો. જસ્ટિસ આનંદ તમામ હકીકતો સાથે ઑફ ધ રેકોર્ડ મને મળવા માટે તૈયાર થઈ ગયા. ટૂંકમાં કહું તો કંઈક આવું બન્યું. અમે દરેક આરોપ વિશે ચર્ચા કરવામાં કલાકો ગાળ્યા. તેમની પાસે લેધરની બ્રીફકેસ હતી, જેમાં દસ્તાવેજ, ટૅક્સ રિટર્ન, હાથેથી લખેલી ચિઠ્ઠીઓ, અનાજવેચાણની પહોંચ, બાળકોનાં લગ્નનાં કાર્ડ અને લગ્નની ‘ભેટ’ની રકમ પર કોર્ટ અને ટૅક્સ અધિકારીઓને અપાયેલા પત્રકો ભરેલાં હતાં. હું તેમનાં ‘તથ્યો’ સાથે પરત ફર્યો. પછીથી પણ અનેક વખત આવવા-જવાનું થયું.

એવું લાગતું હતું કે તેમની પાસે દરેક બાબતનો ભરોસાપાત્ર જવાબ છે. માત્ર એક વાતની જવાબદારી નક્કી નહોતી. અનેક વર્ષ પહેલાં અનાજની છ અડધી ગુણ, જેમની કિંમત ભાગીદારોને કદાચ નહોતી અપાઈ. એ વખતે તેની રકમ કદાચ ત્રણ-ચાર હજાર રૂપિયાથી વધારે નહોતી થતી અને ગણતરીમાં ભૂલ પણ બની શકી હોત. હું હતોત્સાહિત થઈને પરત ફર્યો. અમે એવું વિચારી રહ્યા હતા કે અમારા હાથમાં જિંદગીના સૌથી મોટા સમાચાર આવ્યા અને હવે તથ્યોના આધારે તેના પર પાણી ફરી વળ્યું. એ અનેક કલાકોના દ્વિધાજનક સમયમાંથી એકેએક પળની છાપ આજે પણ મારા મન પર છે. આશા છે કે જસ્ટિસ આનંદ આ વાતનો ઉલ્લેખ કરવા માટે મને માફ કરશે. ‘હું ભારતનો ચીફ જસ્ટિસ છું અને તમારા દરેક પ્રશ્નનો જવાબ આપી ચૂક્યો છું. શું હજી પણ તમે માત્ર મને, બલકે આ મહાન સંસ્થાને હાનિ પહોંચાડશો?’ ફરીથી માફી ચાહું છું જસ્ટિસ આનંદ 20 વર્ષ પછી ભરોસો તોડવા માટે. પરંતુ મેં તેમની આંખ ભીની જોઈ ત્યારે સંકોચ અનુભવ્યો હતો અને ડર પણ.

સ્ટોરી અટકાવી દેવામાં આવી. મેં અનેક વખત વિચાર્યું કે જો કોઈ નેતા અથવા અધિકારીની બાબતમાં અમે આટલી ધીરજથી વિચાર્યું હોત? અને છેવટે અમારી જ વાતને નકારી દીધી હોત? અમે મુખ્ય ન્યાયાધીશનો પક્ષ જાણવા માટે આટલી રાહ જોઈ. કારણ કે તેનો સંબંધ  એવી સંસ્થા સાથે હતો, જેનું આપણે એટલું સન્માન કરીએ છીએ. જ્યારે પણ આપણી સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ જાય છે, તો દોડીને ત્યાં જઈએ છીએ અને ક્યારે ય નિરાશ નથી થતા.

‘જોલી એલએલબી-2’માં જજ કહે છે કે ન્યાયતંત્રમાં ઘણું ખોટું છે, પરંતુ જ્યારે બે લોકો ઝઘડે છે, ત્યારે કહે છે કે ‘હું તને કોર્ટમાં જોઈ લઈશ.’ કારણ કે લોકોને લાગે છે કે અદાલત તેમને ન્યાય અપાવશે. આ તમામ કારણોસર આપણી સર્વોચ્ચ અદાલતે ઊંડો વિચાર કરવો જોઈએ કે  લોકપ્રિયતાની આ અસામાન્ય મૂડીને સુરક્ષિત રાખીને કેવી રીતે વધારી શકાય. નિવૃત્ત ન્યાયાધીશોની સમિતિઓ રચીને સરકારી બાબતો પર રાજ ચલાવવું એ અદાલતી સક્રિયતાના ખ્યાલથી કેટલું દૂર છે? શું ગુસ્સામાં બોલવાથી કે એવી રીતે કામ કરવાથી આ મૂડી વધશે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થતા ન્યાયાધીશોમાંથી 70 ટકા સરકારી સમિતિઓમાં જગ્યા મેળવી લે છે તેના વિશે ચર્ચા ન થવી જોઈએ? શું નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલ બને તે યોગ્ય છે? ચર્ચા માટે કોઈ પણ મુદ્દો એક હદથી વધારે સંવેદનશીલ ન ગણાય.

Twitter@ShekharGupta

સૌજન્ય : ‘પ્રતિષ્ઠાની મૂડી’, “દિવ્ય ભાસ્કર”, 12 અૅપ્રિલ 2017 

Loading

...102030...3,4713,4723,4733,474...3,4803,4903,500...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved