Opinion Magazine
Number of visits: 9584681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શબ્દની સુગંધ

દીપક બારડોલીકર|Poetry|26 January 2017

શબ્દની સુગંધ                        • દીપક બારડોલીકર

મનના મોંઘા ઉમંગ લાવ્યો છું
સ્નેહ ચૂગતા વિહંગ લાવ્યો છું
જીવકોઠી ભરી લો, ઓ લોકો
શબ્દની હું સુગંધ લાવ્યો છું

*

કોઈ બેઠું છે લૈને ખુશનુમા વીણા
અને રોશન છે દીપક પણ ઝરૂખામાં
જુઓ, શોધી રહી છે ચાંદની અમને
છે ખુશબૂદાર પગરવ પણ ઝરૂખામાં

*

ચંદ્રમા,
મારા પડખે હોવો જોઇએ.
સળગતા સૂર્યને
હું પહોંચી વળીશ!

*

હું
ચપાટીનો ચાહક છું.
એની અંદર હોય છે
મિટ્ટીની મીઠાશ,
ખેડુશ્રમની સુવાસ !

*

ભાત ભાતનાં જલચર, જોખમી તરંગો છે
આ શહેર, ઘૂઘવતો જાણે એક દરિયો છે

*

ફણગાને
ફૂટતાં રોકી શકાય નહીં,
વિચારો
ફણગાના ભેરુ હોય છે !

*

તારો સાદ,
જાણે વરસાદ !
જીવન આબાદ !

*

તમારો માર્ગ જાતે કંડારો,
સિદ્ધિ મળવા આવશે.

*

અજવાશ ઉષાઓમાં.
ના ભિન્ન છીએ આપણ
ખુશબૂ છે હવાઓમાં !

*

શું
એ ગુલાબ છે ?
માહતાબ છે ?
નહીં,
ઇન્સાનનો ચહેરો લાજવાબ છે !
અને
એટલો વહાલો છે અલ્લાહને
કે નિષિદ્ધ કીધો છે એને
જહન્નમની આગ માટે !

*

ઘડિયાળની
અ ‘ટકટક’ શું છે ?
એને તમો
કહી શકો છો
સમયસુંદરીનો પગરવ !

*

આ છોકરીઓ
શા માટે પહેરે છે
સ્લીવલેસ ફ્રોક ?

એટલા માટે
કે સ્લીવમાં
યાને આસ્તીનની અંદર
હોય છે સાપોલિયાં !

*

ઈચ્છા જાણે શોપિંગ સેન્ટર
ખ્યાલો જાણે ઓક્ષફર્ડ સ્ટૃિટ
છોકરી છે કે કોઈ આફત
ને ઉપરથી એ છે બ્રિટ

*

ધીરજની સીડી
ચડવાનું ચાલુ રાખો,
હિમાલય
તમારાં ચરણોમાં હશે !

*

દાળે ડાળે રંગ, સુગંધ
જાણે તારા ઘરનો પંથ

*

11, Croston Terrace, Ayres Road, Old Trafford, MANCHESTER M16 7FD [U.K.]

Loading

વાત મેબલ, પારકા અને ટીકાની …

અંકિત દેસાઈ|Opinion - Literature|25 January 2017

આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર હિમાંશી શેલતની યુનિક સ્મરણકથા ‘વિક્ટર’ની આપણે વાતો કરતા હતા. ગયા અઠવાડિયે ‘વિક્ટર’ની પ્રસ્તાવનામાં હિમાંશી શેલતે આલેખેલા એમના પ્રાણીપ્રેમ વિશેની કેટલીક વાતો જોઈ. હવે એમના પ્રાણીઓ વિશે થોડું જોઈએ. ટાઈટલમાં જે મેબલ, પારકો અને ટીકાની વાત થઈ એ ત્રણેય એમની બિલાડીઓ હતી. આ ઉપરાંત પણ એમના સુરતના ઘરે શ્યામલ, થિયોડોર, નાનુ, રસેલ, ટપ્પી જેવી અનેક બિલાડીઓ વસતી. અહીં ‘બિલાડી’ ભલે લખાયું હોય, પરંતુ ઉપર જણાવેલા નામોમાં શ્રીમાનો અને શ્રીમતિઓ એમ બંનેનો સમાવેશ થાય છે, પણ ‘બિલાડો’ જેવો રૂક્ષ શબ્દ આ લખનારને પસંદ નથી એટલે બધે આપણું બિલાડી … બિલાડી … જ ચાલવાનું!

આમ તો હિમાંશીબહેનના ઘરે દેશી બિલાડીઓનો જમેલો આજીવન રહ્યો, પરંતુ તેઓ સુરત હતાં ત્યારે એમના ઘરે ત્રણ સિયામીઝ કેટ્સ પણ આવેલી. એમને ત્યાં સામાન્ય રીતે ઘરની તમામ બિલાડીઓને એમની વર્તણૂક કે દેખાવને હિસાબે નામ અપાતાં, પરંતુ ઊંચા કુળની એ ત્રણ બિલાડીઓને મેબલ, રસેલ અને થિયોડોર જેવું એમનાં કુળને શોભે એવું નામ અપાયેલું. આ તમામ બિલ્લીઓ માટે એમણે ‘વિક્ટર’માં ઉત્તમ રીતે સ્મરણો લખ્યાં છે, જેમાં આવતાં વર્ણનો વાંચતાં અમસ્તા ય વર્ષો પહેલાં અવસાન પામેલાં એ પ્રાણીઓ આપણી આંખ સામે જીવતાં થાય અને એમને સહેજ પુચકારીને આપણી પાસે બોલાવવાની ઇચ્છા થાય!

સ્મરણો આલેખતી વખતે ‘વિક્ટર’માં હિમાંશીબહેને શબ્દો પાસે ગજબનું કામ લીધું છે. સામાન્ય માણસોને તો રોજબરોજના જીવનમાં ધ્યાને પણ નહીં ચઢતી હોય, પરંતુ પ્રાણીઓના સ્વભાવ, એમના દેખાવ કે એમની વર્તણૂક વિષયક વાતો આલેખતી વખતે એમણે એક એકથી ચઢે એવા શબ્દોના પ્રયોગો કર્યા છે. આ કંઈ ધુવડગંભીર વિવેચનાત્મક કે તુલનાત્મક લેખ નથી કે, એ બાબતના ઉદારણો હું પુસ્તકમાંથી શોધી શોધીને અહીં ટાંકુ, પણ એટલું જરૂર કહી શકું કે, પ્રાણીઓ ભલે પસંદ હોય કે ન હોય, પરંતુ ભાષાનું માધુર્ય પણ કોઈએ માણવું હોય તો એમણે ‘વિક્ટર’ વાંચવું. અને ‘વિક્ટર’ જ શું કામ કરકસરપૂર્વક લખાયેલાં અત્યંત ટૂંકા વાક્યો અને સીધા દિલને સ્પર્શે એવા શબ્દોની મદદથી વાર્તાઓ આલેખવામાં હિમાંશી શેલતની હથોટી છે એટલે હું તો એમના બધા જ વાર્તાસંગ્રહો વાંચવાની સલાહ આપું!

ખૈર, આપણે તો ‘વિક્ટર’માંની બિલાડીઓની જ વાત કરવાની છે, આજે. મેબલ, થિયોડોર અને રસેલ ત્રણ ભાઈબહેન, જેમાં થિયોડોર મેબલ અને રસેલનો એકનો એક લાડકો ભાઈ. મુંબઈમાં એ ત્રણેયનો જન્મ અને એમના કેર-ટેકરને એવી ઈચ્છા કે, આ ત્રણેયને એક સાથે સ્વીકારી શકે એવું કોઈક ઘર મળે તો સારું. અને એમના નસીબે એમને છેક સુરતમાં પત્રકાર કાળિદાસ શેલતનો ગજ્જર બંગલો જડ્યો, જ્યાં કાળિદાસ શેલતની પૌત્રી એ ત્રણ નાનકાઓને તો શું જગતની તમામ બિલાડીઓને એની બાથમાં ભીડવા તૈયાર હતી! અરે, હિમાંશીબહેને પોતે જ ‘અનોખું મૈત્રીપર્વ’ નામના પ્રકરણમાં એમના ઘરની સાત-આઠ બિલાડીઓ વિશે એ વાત નોંધી છે કે, ‘મને તો એવુંયે થાય કે માત્ર આટલી જ શાં સારુ, હું પ્રત્યેક બિલાડીને ચાહું છું, એટલી ચાહું છું કે મને તો બધી જ મારી લાગે છે.’  

ઘરમાં આવેલી એ ત્રણ નાતવાન બિલાડીમાં પણ મેબલ જરા નોખી. ઘરની અન્ય માર્જાર પ્રજા કરતાં એ થોડી દેખાવડી અને જાજરમાન પણ ખરી અને ખાવા-પીવા બાબતે પણ એને થોડી ચૂંધી. જો કે એના મળતાવડા સ્વભાવને કારણે મેબલ હિમાંશીબહેનનાં દિલની નજીક ખરી. સામાન્ય રીતે બિલાડીઓ બચ્ચાનાં જન્મની ઘટના અત્યંત ગેબી હોય. ગાય-ઘોડા કે કૂતરાની સુવાવડ જોવાવાળા ઘણાં હશે, પણ બિલાડીઓ તો બચ્ચાં લઈને ઘર બદલે ત્યારે જ ખબર પડે કે, આના વારસદારો ધરતી પર અવતરી ચૂક્યાં છે! પરંતુ મેબલની જ્યારે પહેલીવાર સુવાવડ હતી ત્યારે એણે હિમાંશીબહેનનો સાથ નહીં છોડેલો. આમે ય કંઈ એનો ઉછેર દેશી બિલાડીઓ જેવો નહોતો કે, બહેનબા પોતાની મરજી મુજબ ગમે ત્યાં આવન-જાવન કરે. ગજ્જરના બંગલામાં દીકરીની જેમ એનો ઉછેર થયો હોય તો સ્વાભાવિક છે કે, એના જીવનની આવી મહત્ત્વની ઘટનામાં એ ઘરનાં સભ્યોને સામેલ કરે. જો કે મેબલનાં સંતાનના જન્મ ટાણે ગજ્જર બંગલાનાં સભ્યો એ ઘટનાના સાક્ષી ભલે રહ્યાં હોય, પરંતુ મેબલનું એ સંતાન માત્ર પંદર જ દિવસ જીવ્યું, જેની વાતો હિમાંશીબહેને અત્યંત ભાવુકતાથી આલેખી છે. ચાલો, મેબલના બચ્ચાના અવસાન વિશેની વાતો હિમાંશીબહેનના શબ્દોમાં જ વાંચીએઃ ‘એણે એક જ બચ્ચાને જન્મ આપ્યો જે પંદરેક દિવસ જીવ્યું. પોતાના બીમાર બચ્ચાને સાથે લઈને બેસતી મેબલને હું એકલી નહોતી છોડતી. એને સધિયારો રહે એ માટે નજીક ખાટલા પર સૂઈ રહેતી. જે દિવસે બચ્ચું બહુ સુસ્ત રહ્યું તે રાતે દોઢ વાગ્યે મેબલ મારી પાસે આવી, હાથ ચાટીને મને જગાડી અને પછી પગ નજીક બચ્ચું મૂકી દીધું. એ બેભાન જેવું હતું, સાવ ધીમા શ્વાસ ચાલતા હતા, અંત નજીક હતો. મારા પગને ઘસાઈને મેબલ જાણે કહેતી હતી કે હવે તારાથી જો કંઈ થતું હોય તો કરી જો, મારાથી તો કશું નથી થતું …

પછી શાંત ભાવે એ દૂર બેસી ગઈ. લગભગ વીસેક મિનિટમાં જ બચ્ચું મરી ગયું. મૃત બચ્ચાને મોંમા ઉઠાવી મેબલ પાછી ટોપલામાં બેસી ગઈ. બચ્ચાને સોડમાં રાખી વારંવાર ચાટે અને કરુણ અવાજે બોલાવતી રહે. ખૂબ સમજાવી-પટાવીને એને દૂર લઈ ગયાં ત્યારે બચ્ચાને દાટી શકાયું. તે રાતે એણે અમારા સંબંધનો જે આદર કર્યો અને મારામાં એનો કેવો વિશ્વાસ હતો તે વ્યક્ત કરી દેખાડ્યો એ ઘટના અમીટ છાપ છોડી ગઈ છે ચિત્ત પર.’

આ મેબલ એના પાછલા દિવસોમાં કોઇક બીમારીમાંખૂબ પીડાતી હતી, જેને કારણે મેબલને છૂટકારો આપવા માટે મર્સી-કિલિંગનો સહારો લેવો પડેલો. મર્સી કિલિંગ માટેનો દિવસ નક્કી કરવો એ હિમાંશીબહેન માટે અત્યંત કપરું કામ હતું, પરંતુ મૂંગાં જીવને એની પીડામાંથી મુક્તિ અપાવવા સિવાય બીજો કોઈ જ રસ્તો બાકી બચ્યો નહોતો. એમણે લખ્યું છે, ‘મેબલના મૃત્યુનો દિવસ નક્કી કરતાં હું તૂટી ગઈ હતી. એણે આંખો મીંચી ત્યારે નાના ભાઈએ એને માથે હાથ ફેરેવ્યા કરેલો. હું તો ખૂણે ઊભીઊભી રડતી રહી. પણ અમને બંનેને એમ હતું કે મેબલ દુનિયા છોડે ત્યારે માણસજાતમાં એનો ભરોસો અકબંધ રહેવો જોઇએ એટલે છેવટ સુધી એની સાથે રહીને એને કહેતા રહ્યા, મેબલ, ડરીશ નહીં, તારી પીડા દૂર કરવાનો આ સિવાય બીજો કોઈ ઉપાય મારી પાસે નથી, અમને માફ કરજે અને કોઈ ને કોઈ રૂપે અમારે ઘેર પાછી આવજે… જરૂર આવજે…

ટીકો હિમાંશી શેલતના ઘરનો દેશી નર મર્જાર, જેના વિશે હિમાંશીબહેન એવો અભિપ્રાય ધરાવતા કે, ટીકો એમનો થોડો મંદબુદ્ધિ છે. વળી, ટીકાને એની રજૂઆત થોડા મોટા ઘાંટે કરવા જોઈએ. આ ટીકાને ગળા પાસે ચામડીનો કોઈ રોગ થયેલો, જેને કારણે ગળા પાસેની એની રૂવાંટી ઉખડી જાય અને ગજ્જર બંગલાના સભ્યો એ ચર્મરોગ માટે કંઈક દવા કરે તો ટીકો એ દવા બરાબર ન લે એટલે એનો રોગ જેમનો એમ રહે.

આમ તો એ ટીકો સુરતના પ્રખ્યાત દાસકાકાના ગાંઠિયા ખાવાનો શોખીન, પણ પાછળથી એને કાકડીનું ચેટક લાગેલું. બિલાડીઓની સાત પેઢીમાં કોઇને કાકડી નહીં ફાવી અને એમાંની મોટા ભાગનીઓને તો ઠંડી પડતી કાકડી સદે પણ નહીં. પણ ટીકો માર્જાર કુળમાં નવો ચીલો ચાતરવા નીકળેલો એટલે એ બહુ ટેસથી કાકડી આરોગતો. મજાની વાત એ બની કે ટીકાના ચર્મરોગ માટે અનેક દવાઓ કરવા છતાં એમાં કોઈ સુધારો નહીં થયો અને ટીકાએ જ્યારથી કાકડી ખાવાનું શરૂ કરેલું ત્યારથી એના ચર્મરોગમાં રાહત જણાવા માંડેલી અને થોડા સમયમાં તો ટીકાલાલનો ચર્મરોગ સંપૂર્ણ ગાયબ થઈ ગયો.

આ ઉપરાંત ‘વિક્ટર’માં બિલાડીઓ વિશેની જે વાતો રજૂ કરાઈ છે એમાનું ઘણું અહીં શેર કરવાની લાલચ થાય છે, પરંતુ લેખની લંબાઈની ચિંતા ઉપરાંત એક અપરાધભાવ થાય કે, આ બધુ તો વાચકો પોતે પણ ‘વિક્ટર’માં વાંચી જ શકે છે, તો પછી આપણે ડહાપણ કરવાની શું જરૂર? એટલે જ ટાઈટલમાં જે પારકાનો ઉલ્લેખ થયો એની વાત પણ અહીં નથી કરતો. આવતા મંગળવારે ખૂદ વિક્ટર-સોનુ-જૂલી અને મારા પ્રિય લાલિયા જેવા શ્વાનો વિશેની વાતો કરીએ.

e.mail : ankitdesaivapi@gmail.com

Loading

NRG, RG અને ગુજરાતી સાહિત્ય

બાબુ સુથાર|Opinion - Literature|25 January 2017

ગુજરાતી સાહિત્ય પર અત્યારે જો સૌથી મોટો ખતરો હોય તો ક્ષમતા વિના સાહિત્યકાર બનવા નીકળી પડેલા NRGઓનો અને એ NRGઓને સાહિત્યકાર બનાવવા નીકળી પડેલા ગુજરાતી સાહિત્યના કેટલાક ફેરિયાઓનો. આ NRGઓ પાસે સાહિત્યસર્જન માટે જોઈએ એવી કોઈ સજ્જતા નથી હોતી. એમનામાં કલ્પનાશક્તિનો ભારોભાર અભાવ હોય છે. એટલું જ નહિ, એમની પાસે જ કંઈ કલ્પનાશક્તિ હોય છે એમાં આપણી વાસ્તવિકતાનું વિશ્લેષણ કે વિવેચન કરવાની કોઈ ક્ષમતા નથી હોતી. એ લોકો મોટે ભાગે તો અગાઉના નીવડેલા સર્જકોની કલ્પનાશક્તિનું નબળું recycling જ કરતા હોય છે. એમને ગુજરાતી સાહિત્યમાં અત્યારે શું ચાલી રહ્યું છે એની ભાગ્યે જ કશી જાણ હોય છે. અભ્યાસનો અભાવ એમના માટે ‘શામળો ધરેણું’ બની ગયું હોય છે. જેમ ગુજરાતમાં છે એમ અહીં પણ ગીતગઝલનો રોગચાળો ફાટી નીકળેલો છે અને એ રોગચાળોમાં જેમ ગુજરાતમાં છે એમ નરસિંહ, બાઈ મીરાં, કબીર ને એવું બધું અર્થાત્ ભેળપુરી જેવું આધ્યાત્મિક તત્ત્વ આવ્યાં કરતું હોય છે. આ લોકોને એ વાતની ખબર જ નથી હોતી કે રમેશ પારેખ, ચિનુ મોદી કે આદિલ પહેલાં પણ ગુજરાતી સાહિત્ય હતું. આ NRGઓના recyclingમાં ગુજરાતી ભાષાને કે ગુજરાતી સાહિત્યને પોષવાની કોઈ ક્ષમતા હોતી નથી. કેમ કે એ પોતે જ પરોપજીવી હોય છે. એને કારણે એ લોકો જે સર્જન કરતા હોય છે એનાથી ગુજરાતી સાહિત્યના ઉકરડાની લંબાઈપહોળાઈ અને ઊંચાઈ સતત વધ્યા કરતી હોય છે.

આ NRGઓના કથાસાહિત્યમાં પણ ન તો સામગ્રીનું ઠેકાણું હોય છે, ન તો આકારનું. એમની મોટા ભાગની સામગ્રી ચીલાચાલુ હોય છે. ક્યારેક એના પર અમેરિકાનું મરચુંમીઠું ભભરાવેલું હોય ખરું. મંછીબેન ગુજરાતમાં હતાં ત્યારે બસસ્ટેશન પર ઊભાં રહેતાં હતાં અને કોઈક મોહનભાઈના પ્રેમમાં પડતાં હતાં (ઊભાં રહે તો પણ પડે!) હવે અહીં એ ગાર્ડનમાં ઊભાં રહેતાં હોય છે. પણ એમનું પડવાનું, અલબત્ત પ્રેમમાં, હજી ચાલું રહ્યું છે. આ લોકો ક્યારેક વિષય નાવિન્ય લાવવા માટે હબસી માણસને પોતાની કથાનો નાયક બનાવે અને એને અને કોઈક ગરવી ગુજરાતણ વચ્ચે પ્રેમ કરાવે. ક્યારેક હબસીને બદલે કોઈક ગોરાને લઈ આવે, ક્યારેક ગરવી ગુજરાતણ વૃદ્ધા પણ હોય. એનાં સંતાનો એની કાળજી ન લેતાં હોય અથવા લેતાં હોય તો પણ એને જીવન એકાકી લાગતું હોય વગેરે વગેરે મસાલા કથાઓમાં આવે છે એવો જ મસાલો આ કથાસાહિત્યમાં પણ. ફરક માત્ર એટલો કે એ મસાલો અમેરિકામાં વેચાયેલો પણ મેઇડ ઇન ચાઇનાની ઘંટીમાં દળેલો હોય છે.

સામગ્રીની વાત તો જાણે સમજ્યા પણ આકાર? એ કઈ બલાનું નામ છે. એક વાર એક આવા NRGની વાર્તા વાંચી મેં કહેલું કે તમે અહીં પ્રથમ પુરુષને બદલે ત્રીજો પુરુષ વાપરો તો તમારી વાત વધારે સ્પષ્ટ બને. તો એ કહે, ‘મેં ક્યાં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું છે?’ એ સર્જકને એમ જ હતું કે આવી બધી કાળજી ગુજરાતી વિષય સાથે એમ.એ. કરેલા લેખકો જ લે! પછી એમણે એમ પણ ઉમેરેલું કે મેં આ વાર્તા મારા ફેઇસબુક પર મૂકી તો ચારસો માણસોએ Like કરેલું અને તેમ કહો છો કે આ વાર્તા નબળી છે? ફેઇસબુકના જમાનામાં વિવેચકના સ્થાન પર એક અલગ લેખ જ લખવો પડશે. અત્યારે તો એમ લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં, અને કદાચ બીજા સાહિત્યમાં પણ, ફેઇસબુક સંપ્રદાય ફૂલ્યોફાલ્યો છે. એ સંપ્રદાયના મોટા ભાગના સભ્યો પાછા NRG છે.

આ લોકો પાસે કથનશાસ્ત્રની કોઈ સભાનતા નથી હોતી. કોઈક મંછીબેન બગીચામાં ઉદાસ બેઠાં હોય ત્યારે પવન કેમ મંદ મંદ વાતો હશે એવો પ્રશ્ન આપણને થાય. એ વખતે આકાશ પણ સ્વચ્છ હોય. અમેરિકામાં કોયલ નથી એટલે સારું છે. નહીં તો દર બે કે ચાર પાને એકાદ વાર કોયલ બોલતી હોત. એમનું પાત્રાલેખન પણ બીબાંઢાળ. એવું લાગે છે કે આ બધા લેખકોએ બધા મળીને બે કે ચાર જ સ્ત્રીઓ કે બે કે ચાર પુરુષો જ જોયા હશે. હા, આ પાત્રોની નોકરીઓમાં વિવિધતા ઘણી જોવા મળે. પણ, એમાંથી ય જે તે નોકરીઓની વિશિષ્ટતા તો ગાયબ જ હોય.

આ સર્જકોની ભાષાનું વ્યાકરણ જોઈને આત્મહત્યા કરવાનું મન થઈ આવે. જો કે એ બાબતમાં આપણા RG સાહિત્યકારો પણ પાછા પડે એવા નથી એની નોંધ લેવી પડે. આ લોકોનાં લખાણોમાં અનુસ્વાર યાદૃચ્છિક વિહાર કરતાં હોય. આખરે પશ્ચિમની સંસ્કૃિત સ્વતંત્રતામાં માને છે એટલે આ લોકો એનો લાભ અનુસ્વારને પણ આપે. હ્રસ્વ દીર્ઘ સાથે પણ આ લોકો એવો જ વ્યવહાર કરતા હોય છે. અમારા એક મિત્રે કહેલું કે બાબુભાઈ, હું હ્રસ્વ અને દીર્ઘને સરખી તક આપતો હોઉં છું. એક વાર ‘દીપ’ લખું તો બીજી વાર ‘દિપ’ લખું. આ માનવતાવાદ મોટા ભાગના NRGઓનાં લખાણમાં સોળે કળાએ ખીલેલો જોવા મળે. આ લોકોને કર્તા ક્યારે પડતો મૂકી શકાય એ વિશે ખબર નથી હોતી. એમનાં લખાણોમાં આવતો ભૂતકાળ આપણાં છાપાંમાં કે આપણાં અન્ય સમૂહમાધ્યમોમાં આવે એવો હોય છે. એમાં નજીક અને દૂરની ઘટનાઓ વચ્ચે ભાગ્યે જ ભેદ દેખાય. આ લખાણો ક્યારેક તો એટલાં બધાં કૃતક લાગતાં હોય છે કે એમને વાંચવા માટે સહૃદયની નહીં સહિષ્ણુ વ્યક્તિની જરૂર પડે.

ઘણા NRGઓ પાછા પત્રકારો પણ છે અને કટારલેખકો પણ. એમનાં લખાણોમાં કશું ઊંડાણ જોવા ન મળે. એ લોકો મોટે ભાગે તો અમેરિકામાં ઉતરાણ કઈ રીતે ઉજવાઈ કે રાવણદહન કઈ રીતે થયું એવા વિષયો પર લખતા હોય છે અને એ લેખોમાં ઊડતા પતંગ કે ભડ ભડ બળતા રાવણના ફોટાઓને બદલે અમેરિકન ભારતીય સમુદાયના નેતાઓના ફોટા, એ પણ એમની પત્નીઓ સાથે વધારે હોય છે. આવા લેખો છાપતાં સામયિકો અને છાપાં પણ કદાચ એટલું જ બતાવવા માગતાં હશે કે અમેરિકામાં પણ આપણી ભવ્ય સંસ્કૃિત ટકી રહી છે.

આ NRGઓને સાહિત્યકાર બનવું છે. એમાંના કેટલાક નિવૃત્ત થઈ ગયા છે. બીજું કંઈ કામ કરવાનું નથી. એમાંના ઘણા લોકો ગૌરવભેર કહેતા હોય છે કે હવે હું નિવૃત્ત થઈ ગયો છું, મારે બીજું કંઈ કરવાનું નથી એટલે મેં સાહિત્યમાં રસ લેવા માંડ્યો છે. મેં મુક્તકથી શરૂઆત કરી છે અથવા તો મેં હમણાં મારો બ્લોગ શરૂ કર્યો છે. તાજેતરમાં જ મેં ભારતની ભવ્ય સંસ્કૃિતમાં વેદૌપનિષદના સ્થાન પર એક નોંધ લખી છે. તો વળી ઘણા NRG પાસે નવરાશનો સમય વધારે હોય છે. એમણે મૂડી રોકાણ એ રીતે કરેલું હોય છે કે આવકનો પ્રવાહ ચાલુ રહે. એ પોતે ‘નજર રાખે’, કામ બીજા કરે. એ લોકો પણ નવરાબેઠા ગુજરાતી સાહિત્યનું નખ્ખોદ વાળવામાં પોતાનું પ્રદાન કરતા હોય છે. એ પણ લખે પાછા આપણને કહે કે મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું નથી પણ હું લખું છું. કોણ જાણે કેમ આ લોકોના મનમાં એવું ઘુસી ગયું છે કે ગુજરાતી વિષય સાથે એમ.એ. કરે એને જ સાહિત્ય લખતાં આવડે. એ લોકો પણ કાં તો મુક્તકથી, કાં તો લઘુકથાથી, કાં તો વાર્તાથી, કાં તો ગીત કાં તો ગઝલથી શરૂઆત કરે અને પહેલાં બ્લોગ પર જાય. સગાંવહાલાં મિત્રો ત્યાં એમનાં લખાણનાં વખાણ કરે. એ સાથે જ બંગલામાં રહેતા એ NRGઓ છાપરે ચડી જાય. સાલા મેં તો સાહિત્યકાર બન ગયા.

જ્યારે કોઈ મને કહે કે સાહિત્ય મારી ‘હૉબી’ છે ત્યારે મને એના પર અપાર ગુસ્સો આવતો હોય છે. માણસ જાત જે કટોકટીનો સામનો કરી રહી હોય એ કટોકટીના કોઈક એક પાસાને વ્યક્ત કરવાની વાત ‘હૉબી’ કઈ રીતે હોઈ શકે? સાહિત્ય એક ગંભીર પ્રવૃત્તિ છે. એ નવરા બેઠા નખ્ખોદ વાળવાની પ્રવૃત્તિ હોઈ શકે જ નહીં. આ હું લખી રહ્યો છું એ મારી ‘હૉબી’ નથી. હું જોઈ શકું છું કે મારી ભાષામાં એક પ્રકારની કટોકટી પ્રવર્તી રહી છે. એમ હોવાથી મારું કામ એ કટોકટીનું વિશ્લેષણ કરવાનું છે. કોઈને કદાચ આ કટોકટી એક ઓચ્છવ પણ લાગતી હોય. મને એની સામે વાંધો નથી. અલબત્ત, હું એટલી અપેક્ષા જરૂર રાખું કે આ પરિસ્થિતિ કઈ રીતે ઓચ્છવ બને છે એ મને એ સમજાવે. ટૂંકમાં, મોટા ભાગના NRG લેખકો માટે સાહિત્ય નવરા બેઠા કરવાની પ્રવૃત્તિ છે અને એમાંના મોટા ભાગના માને છે કે નવરા બેઠા કરવામાં આવતી આ પ્રવૃત્તિ આપણને સર્જક તરીકેની ઓળખ અવશ્ય અપાવશે. જો નહીં અપાવે તો આપણે એને ‘વેચાતી’ ખરીદી શકીશું.

આ NRGની નબળી સાહિત્યિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપનારા RG સાહિત્યકારોના પણ કોઈ તોટો નથી. હકીકતમાં તો એવા RGઓની એક નાત ઊભી થઈ ગઈ છે. એ અહીં આવતા હોય છે, સાહિત્યકાર બનવા ઉત્સુક NRGઓને મળતા હોય છે અને પછી એમનાં પુસ્તકો પ્રકાશમાં આણવાનું કામ કરતા હોય છે. આ કામ કરતાં પહેલાં એ લોકો જે તે સર્જકની સર્જકતાને ભાગ્યે જ ધ્યાનમાં લેતા હોય છે. એઓ મોટેભાગે તો એમની આર્થિક સદ્ધરતાને વધારે ધ્યાનમાં લેતા હોય છે. એક વાર આવા સર્જકોનાં પુસ્તકો પ્રગટ કરવાનું નક્કી થઈ જાય પછી એ લોકો પુસ્તકની પ્રસ્તાવના લખવાનું કે લખાવવાનું સ્વીકારી લેતા હોય છે. ઘણા લેખકો અમુકતમુક લેખકો પાસે જ પ્રસ્તાવના લખાવવાનો આગ્રહ રાખતા હોય છે અને એ અમુકતમુક લેખકો પણ મોટે ભાગે તો લોભથી ને ક્યારેક પરોપકારવૃત્તિથી પ્રસ્તાવનાઓ લખી આપતા હોય છે. ક્યારેક મને થતું હોય છે કે આપણે પ્રસ્તાવના લેખકોની એક અલગ કોટિ સ્વીકારવી જોઈએ. NRGઓનાં પુસ્તકોની પ્રસ્તાવનાઓનો કોઈકે અભ્યાસ કરવા જેવો ખરો? એ પ્રસ્તાવનાઓ કોણે લખી છે? ક્યારે લખી છે? એમનો આશય શો છે? જેવા પ્રશ્નો પૂછાવા જોઈએ. ઘણા પ્રસ્તાવનાલેખકો ગોળ ગોળ, પોતે પકડાઈ ન જવાય એ રીતે પ્રસ્તાવનાઓ લખતા હોય છે. એવી પ્રસ્તાવનાઓની કોઈકે તપાસ કરવી જોઈએ. એમાં ‘એકંદરે’ જેવા શબ્દોનું વર્ચસ્વ જોવા મળશે. ઘણા પ્રસ્તાવનાલેખકો કવિ મોટલ ચલાવે છે છતાં કવિતા લખે છે, અથવા તો કવિ પોતે ડૉક્ટર છે છતાં એમણે વિદેશી ભૂમિ પર ગુજરાતી ભાષાનું સર્જન કરવાનું સ્વીકાર્યું છે એમ કહીને જે તે કવિનાં વખાણ કરતા હોય છે. આવાં વખાણોમાં propositional truth જવલ્લે જ જોવા મળે. એમાં મોટેભાગે તો સુગંધ વગરનાં પુષ્પો વેરાયેલાં જોવા મળે.

પ્રસ્તાવના અને ક્યારેક તો પ્રસ્તાવનાઓ પછી એ પુસ્તકના પ્રકાશનમાં RGઓનો બહુ મોટો ફાળો હોય છે. કેટલાલ RGઓ આ NRGઓનાં પુસ્તકો પ્રકાશકો પાસે છપાડાવતા હોય છે. આપણા પ્રકાશકો પણ NRGનું પુસ્તક જોતાં જ એને પ્રગટ કરવા તૈયાર થઈ જતા હોય છે કેમ કે એમને ખબર હોય છે કે આવાં પુસ્તકો પ્રગટ કરતા પહેલાં જ વેચાઈ જતાં હોય છે. પેલા NRGઓ એમને જે તે પુસ્તકના ઉત્પાદનનો ખર્ચ અગાઉથી આપી દેતા હોય છે. આવા પ્રકાશકો વાસ્તવમાં તો એમની સામાજિક જવાબદારી ભૂલી જતા હોય છે. એમણે એ વાત વિશે વિચાર કરવો જોઈએ કે પુસ્તક પ્રગટ કરવું મહત્ત્વનું છે કે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવાનું વધારે મહત્ત્વનું છે. આપણા પ્રકાશકો હજી દેશી ઘંટીવાળા જેવા છે. અનાજ દળાવા જાઓ એટલે દળવાના પૈસા તો લે પણ ઉપરથી લોટ પણ કાપી લે. એ લોકોમાં હજી જોઈએ એટલો વ્યવસાયિકતાવાદ આવ્યો નથી. એટલે જ તો જે તે પુસ્તક પ્રગટ કરવા જેવું છે કે નહીં એ બાબતનો નિર્ણય એ લોકો પોતે જ લેતા હોય છે. એમની પાસે કોઈ editorial board જેવું કશું નથી હોતું. એટલું જ નહીં, એમના પ્રૂફ રીડર્સ પણ નબળા હોય છે. એટલું જ નહીં, એમની પાસે કૉપી એડીટર્સ પણ નથી હોતા. એટલે પેલો NRG નબળાં વાક્યો લખે તો એ વાક્યો જેવાં છે એવાં જ છપાઈને બહાર આવી જતાં હોય છે.

આ RG સાહિત્યકારો કેવળ પ્રકાશન કે પ્રસ્તાવના પૂરતા જ મર્યાદિત નથી રહેતા. એ એમના ઘરાકનાંપુસ્તકોનું વિમોચન પણ કરતા હોય છે. જેમ ગુજરાતી સાહિત્યમાં પ્રસ્તાવનાલેખકોની એક નાત છે એમ વિમોચકોની (વિમોચન કરનારી) પણ એક જમાત છે. આ વિમોચકો પણ અદ્ભુત હોય છે. કોઈના પણ પુસ્તકની પ્રશંસા કરતાં એ લોકો શું સાચેસાચ આ પુસ્તકો વાંચીને એમના વિશે બોલતા હશે કે? ઘણા NRGઓ તો વધારે પડતા સાહજિક હોય છે. એ લોકો એમના એક જ પુસ્તકનું ચારેય દિશાના એક એક નગરમાં વિમોચન કરાવતા હોય છે. ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત. કોઈ રહી જવું ન જોઈએ. હું તો હવે આ NRGઓ એમનાં પુસ્તકોની હાથી પર સવારી કાઢે એની રાહ જોઈ રહ્યો છું. તાજેતરમાં મેં એવું પણ વાંચેલું કે એક જ NRGના એક જ પુસ્તકનું એક જ ઠેકાણે બે કે તેથી વધારે વિમોચકોના હાથે વિમોચન થયેલું! આ NRGઓ ખૂબ ઉદાર હોય છે. કોઈ વિમોચકને ખોટું લાગવું ન જોઈએ.

વિમોચનનું ગોઠવી આપ્યા પછી પેલા RGઓ જે તે પુસ્તકની સમીક્ષાઓનું પણ ગોઠવી આપતા હોય છે. જો કે આ લાભ બધાંને મળતો નથી. બહુ ઓછા NRGઓનાં પુસ્તકોની સમીક્ષા થતી હોય છે. કેમ આવું થતું હશે? એ એક વિચારવા જેવો પ્રશ્ન ખરો.

મને લાગે છે કે આ NRGઓનો અને RGઓનો ખતરો ઘટાડવા આપણે કંઈક કરવું પડશે. આવાં પુસ્તકોની સમીક્ષા કરી એમાં રહેલી નબળાઈઓને પ્રગટ કરવી પડશે. નહીં તો એ નબળાઈઓ જ આપણાં લક્ષણો બની રહેશે. એટલું જ નહીં, સાહિત્યિક સંસ્થાઓએ પણ બને ત્યાં સુધી આવી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાનું બંધ કરવું જોઈએ. NRG સર્જકોને યોગ્ય તાલીમ મળે એની વ્યવસ્થા સંસ્થાઓએ કરવી જોઈએ. આ સર્જકોને ભારતથી આવતા સાહિત્યકારો સાથે મોઢેમોઢ કરવા જોઈએ. એમની સાથે આ લોકોનો સંવાદ થાય એવી વ્યવસ્થા ખાસ કરવી જોઈએ.

જો કે, મારા કહેવાનો અર્થ એવો નથી કરવાનો કે NRGઓએ લખવાનું કે છપાવવાનું બંધ કરી દેવું જોઈએ. ના, હું માનું છું કે દરેક માણસને પોતાની જાતને વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે પણ પોતે જે વ્યક્ત કરે છે એનો પૈસાના જોરે કે વગના જોરે એણે સાહિત્યજગતમાં પ્રવેશ કરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. એમણે એક વાત સમજી લેવી જોઈએ કે નબળી કૃતિઓ પરોપજીવી બનીને ટકી રહેતી હોય છે. જ્યારે વાડ સુકાઈ જાય ત્યારે પેલો વેલો પણ સુકાઈ જાય. જે લોકો સાહિત્યના ફેરિયા બનીને અહીં આવે છે એમાંના મોટા ભાગના વાડ જેવા હોય છે. એ આજે નહીં તો કાલ તો સુકાઈ જ જવાના છે.

સૌજન્ય : ‘ચોતરેથી’, “સન્ધિ”, વર્ષ: 10-2016; અંક: 3; સળંગ અંક: 39; પૃ. 03-09  

Loading

...102030...3,4633,4643,4653,466...3,4703,4803,490...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved