Opinion Magazine
Number of visits: 9584512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાયસીની પદ્દમાવતી હકીકત અને કલ્પના

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 February 2017

આદર્શ સમાજ કેવો હોવો જોઈએ? 10 હજાર વર્ષ અગાઉ માણસે જ્યારે સમૂહમાં રહેવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આ પ્રશ્ન પુછાતો રહ્યો છે, અને એનો કોઈ એક સર્વકાલીન, સર્વસામાન્ય અને સર્વસિદ્ધ ઉત્તર ઉપલબ્ધ નથી. દરેક સમાજ કે સંસ્કૃિત પોતપોતાની રીતે ‘ઉત્તમ’ સમાજની રચના કરવાનો પ્રયાસ કરતા રહે છે, અને એ પ્રયાસોમાંથી જે સૌથી પરમ વ્યાખ્યા આવી છે તે પ્રમાણે, ‘બહેતરીન સમાજ એને કહેવાય જેમાં પ્રત્યેકને જે કામના હોય તેની પ્રાપ્તિ થાય.’ આ નામુમકિન પણ છે, એટલે આપણે યથાસંભવ રીતે સમાજના તમામ લોકો અને સમુદાયોની ઇચ્છા સંતુષ્ટ થાય તેવા પ્રયત્નો કરીએ છીએ.

આપણે જેને પરસ્પર-વિરોધી માન્યતાઓ કે મૂલ્યો કહીએ છીએ તે દરેક સમાજના મુક્તલિફ સમૂહોના આંતર્વિરોધોમાંથી પેદા થાય છે. આમાંથી જ આઝાદ ખયાલી અથવા મુક્ત સમાજનો એક આધુનિક વિચાર લોકતાંત્રિક સમાજ વ્યવસ્થામાંથી અાવ્યો છે, જે કહે છે કે જ્યાં સુધી લોકો ખુશ હોય ત્યાં સુધી બધું જ જાયજ છે. એનાથી વિરુદ્ધ પથ્થરની લકીરવાળો, રૂઢિવાદી સમાજ એવું કહે છે કે લોકોએ એટલું જ કરવાનું જેટલું પરંપરા અથવા રિવાજ અથવા સંસ્કૃિતમાં નિયત હોય.

રૂઢિવાદી સમાજ તમને તમારા વ્યક્તિગત આનંદ માટે પરંપરા કે ઇતિહાસ સાથે ચેડાં કરવાની ઇજાજત નથી આપતો. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્્માવતી’ સામે એ જ તર્ક ઉપર વિરોધ થયો છે કે મનોરંજન પીરસવાના નામ ઉપર ભણસાલીએ રાજસ્થાનના રાજપૂત સમાજમાં શ્રદ્ધેય એવી રાણી પદ્્માવતીને ખિલજી વંશના સૌથી શક્તિશાળી શાસક અલાઉદ્દીન ખિલજીના ઇશ્કનું કેન્દ્ર બતાવીને ઇતિહાસની અને રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે.

બોલિવૂડ ઉદાર સમાજનું મનોરંજન છે, અને સમય સમય ઉપર અહીં સમાજમાં કે ઇતિહાસમાં પ્રચલિત કિસ્સા-કહાનીઓને મુનાસિબ રીતે પેશ કરવામાં આવતી રહી છે. એમાં અસલિયતને વિકૃત રીતે રજૂ કરવાને લઈને ટીકાઓ, વિવાદો અને કાનૂની દાવપેચ થયા છે, પરંતુ રાણી પદ્દમાવતીને લઈને જે વિરોધ થયો છે તેમાં એક અજીબ વાત એ છે કે એમાં હકીકત અને કલ્પનાની ભેળસેળ થઈ ગઈ છે, અને કોઈની પાસે કશું જ એવું નથી, સિવાય કે લાગણી, કે જેનાથી કોઈ તથ્ય પુરવાર થઈ શકે. આવું કેમ? આ પ્રશ્નના ઉત્તર પહેલાં વાત પદ્દમાવતીની કહાનીની.

હા, પદ્દમાવતીની જે કહાની પરથી ભણસાલી ફિલ્મ બનાવી રહ્યા છે તેની પણ એક કહાની છે. જયપુરમાં આ ફિલ્મનો વિરોધ થયો તે પછી કેટલાક ઇતિહાસકારોએ એવી દલીલ પેશ કરી છે કે પદ્્માવતી એક કાલ્પનિક ચરિત્ર છે, અને એના અસ્તિત્વના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. ઇતિહાસકાર એસ. ઇરફાન હબીબે ટ્વિટ કરીને કહ્યું કે રાજસ્થાનના ઇતિહાસથી અભ્યસ્ત પ્રો. કે. એસ. લાલ અને પ્રો. ગૌરીશંકર ઓઝાના અભ્યાસમાં 1540 પહેલાં પદ્દમાવતીનો કોઈ સંદર્ભ મળતો નથી.

પ્રચલિત કથા પ્રમાણે અલ્લાઉદ્દીન ખિલજીએ 1303માં ચિતોડના ગઢને ઘેરો નાખ્યો ત્યારે એક મુસ્લિમ આક્રમણના હાથે લૂંટાવા કરતાં મરવાનું પસંદ કરીને પદ્દમાવતીએ જૌહર કરવાનું પસંદ કર્યું હતું. દુશ્મન અથવા તો આક્રમણખોરોના હાથમાં પડવાને બદલે જૌહર કરવાની રાજપૂત મહિલાઓની એક પરંપરા રહી છે, અને એમાં રાણી પદ્દમાવતીનું જૌહર પૂરા ભારતમાં પ્રસિદ્ધ છે. મોટાભાગના ઇતિહાસકારો માને છે કે પદ્દમાવતીની કિંવદંતી, હિન્દી સાહિત્યની ભક્તિ પરંપરાના સૂફી કવિ મલિક મોહમ્મદ જાયસીએ (1477-1542) 1540માં અવધી ભાષામાં દોહા અને ચોપાઇનો ઉપયોગ કરીને પદ્દમાવત નામનું મહાકાવ્ય લખ્યું ત્યારથી શરૂ થઈ છે.

આ કાવ્યમાં ચિતોડના રાજા રતનસેન અને એની અત્યંત ખૂબસૂરત રાણી પદ્દમાવતીની પ્રેમકહાની હતી. જાયસીએ એમાં સુલતાન અલાઉદ્દીન ખિલજીના ચિતોડ-આક્રમણને જોડીને ઇતિહાસ અને કલ્પનાનું એટલું અદ્દભુત મિશ્રણ કર્યું હતું કે હિન્દી સાહિત્યની બીજી કોઈ કથા ‘પદ્દમાવત’ની ઊંચાઈ સુધી નથી પહોંચી શકી. હિન્દુસ્તાનની સૂફી પરંપરામાં ‘પદ્દમાવત’ પ્રેમભક્તિનું સર્વોત્તમ કાવ્ય ગણાય છે. તુલસીદાસે એમનું ‘રામાયણ’ લખવાનું શરૂ કર્યું તેનાં 30 વર્ષ પહેલાં લખાયેલું આ મહાકાવ્ય એટલું સશક્ત છે કે એક જાંબાઝ હિન્દુ રાજપૂતાણી તરીકે પદ્દમાવતી અને એક કામાંધ અને નાકામ આશિક તરીકે મુસ્લિમ યૌદ્ધા ખિલજીનું ચરિત્ર કાયમ માટે જનમાનસમાં જડાઇ ગયું છે.

ઘણી વાર અમુક ચરિત્રો કે કથાઓ હકીકત કરતાં વધુ સશક્ત અને વાસ્તવિક બની જતાં હોય છે. લાહોરની સ્થાનિક પંજાબી લોક સંસ્કૃિતમાંથી પ્રચલિત બનેલું અનારકલીનું પાત્ર કથા-નાટક-સિનેમાને કારણે એટલું ‘જીવંત’ બની ગયું છે કે લોકો ભાગ્યે જ એ હકીકતની દરકાર કરે છે કે અકબર અને સલિમ ‘જહાંગીર’ના અધિકૃત દસ્તાવેજ અકબર નામા અને તુઝક-એ-જહાંગીરમાં અનારકલીનો કોઈ ઉલ્લેખ નથી. એવી જ રીતે અકબરની રાજપૂત રાણી (અને સલિમની મા) જોધાબાઈની હકીકતને લઈને પણ મતમાંતર છે.

પ્રો. ઇરફાન હબીબ કહે છે, ‘દરેક સભ્યતામાં કથાઓ છે, પણ એ સઘળી ઇતિહાસનો ભાગ ન પણ હોય. ઇગ્લેન્ડમાં રોબિનહૂડની કથા છે, જે આજે પણ અત્યંત પ્રચલિત છે.’ કલ્પનાઓ હકીકત કરતાં વધુ સશક્ત કેમ બની જાય છે? આંબેડકર યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવતાં પ્રો. તનુજા કોઠિયાલ લખે છે, ‘બહાદુરી અને મુસ્લિમ શાસકો (મુઘલ અને તુર્ક) સામેના છેલ્લા પ્રતિરોધક તરીકે રાજપૂતોમાં એક ગુમાન છે. આ પ્રતિરોધને અડીખમ રાખવા માટે જીવનું બલિદાન આપી દેવાનાં અનેક ઉદાહરણ રાજપૂત ઇતિહાસમાં છે.

આવી ભાવના રાજપૂત સ્ત્રીઓમાં પણ ઊંડી ઊતરી છે અને ઇજ્જતની રક્ષા માટે સતી થઈ જવું અથવા જૌહર કરવું એ  રાજસ્થાનની એક જમીની વાસ્તવિકતા રહી છે. બહાદુરી અને ઇજ્જતની માન્યતામાંથી રાજપૂત હોવાની ઓળખ નક્કી થઈ છે. પદ્્માવતી આ ઓળખમાં એક મહત્ત્વનું પાત્ર છે, અને એટલે જ એને કોઈ પણ રીતે હલકું ચીતરવું એ પેલી ઓળખ કમજોર કરવાની ગુસ્તાખી ગણાય.’ માણસ કે સમાજની સાંસ્કૃિતક પહેચાન એના ઇતિહાસ કે પરંપરામાંથી બને છે. ઘણી વાર બદલાતા સમયમાં પરંપરાના કે સાંસ્કૃિતના ઢાંચામાં હલચલ થાય ત્યારે સાહિત્યની માન્યતાઓ  ખીલીઓનું કામ કરતી હોય છે.

તનુજા કોઠિયાલ કહે છે, ‘તુર્કો, મુઘલો, મરાઠા, પીંઠારી અને બ્રિટિશરો સામેની લડાઈઓમાં થયેલા નુકસાનનો ઇતિહાસ ભેગો થતો રહ્યો છે, અને પ્રવર્તમાન ભારતીય લોકતંત્રમાં હાંસિયામાં ધકેલાઈ જવાનો અહેસાસ મજબૂત બનતો રહ્યો છે ત્યારે વીરતા અને પ્રતિરોધની ચેતના જ રાજપૂત હોવાની પહેચાનને જીવંત રાખી રહી છે, અને એ ચેતનામાં પદ્્માવદીને નુકસાન થાય તે પરવડે તેમ નથી.’ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર રામ્યા શ્રીનિવાસન ‘ધ મેની લાઇવ્સ ઑફ રાજપૂત ક્વીન’ પુસ્તકમાં કહે છે, ‘એક મુસ્લિમના હાથે લૂંટાવા કરતાં મૃત્યુ પસંદ કરનાર એક આદર્શ રાજપૂત નારી તરીકે પદ્દમાવતીની કલ્પના રાજપૂતોની સ્મૃિત માટે બહુ અગત્યની છે, અને એટલે જ 500 વર્ષ પછી પણ પદ્દમાવતીની દંતકથા હિન્દી, ઉર્દૂ, બંગાળી અને અંગ્રેજીમાં અનુવાદિત થતી રહી છે.’

બાકી તો, મલિક મોહમ્મદ જાયસીએ પદ્દમાવતીની કથા સમાપ્ત કરતી વખતે ઉપસંહારમાં એ રૂપક સ્પષ્ટ કરતા લખ્યું હતું :

તન ચિતઉર, મન રાજા કીન્હા હિય સિંઘલ, બુધિ પદમિનિ ચીન્હા … ગુરુ સુઆ જેઈ પન્થ દેખાવા, બિન ગુરુ જગત કો નિરગુન પાવા? અર્થાત્, માણસનું શરીર ચિતોડ છે અને મન રાજા રત્નસેન. હૃદય સિંઘલ દ્વીપ છે અને બુદ્ધિ પદ્દમિની. ગુરુ વગરના સંસારમાં કોને પરમાત્મા મળે છે?

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 12 ફેબ્રુઆરી 2017

Loading

આ લેખ વાંચીને નક્કી કરો કે તમારું બાળક દીનાનાથ બત્રાના હાથમાં સલામત છે કે જવાહરલાલ નેહરુના?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 February 2017

ચાણક્યએ તેના અર્થશાસ્ત્રમાં કહ્યું છે એ બધું જ કુમળા બાળકના મગજમાં ઠાલવવામાં નહીં આવે ત્યાં સુધી રાષ્ટ્રનિર્માણ શક્ય જ નથી એટલે ઇતિહાસમાં ચાણક્યનીતિ ઘુસાડવાનો આગ્રહ રાખવામાં આવે છે. જેમ કે એક દેશ હોવો જોઈએ, એની ભૂમિ પવિત્ર જ હોવી જોઈએ, એનો ભવ્ય ઇતિહાસ હોવો જોઈએ, પરાજય કે લાંછનની ઘટનાઓ હોય તો એનો બચાવ કરનારા ખુલાસાઓ હોવા જોઈએ, એના મહાન હીરો હોવા જોઈએ, બલિદાનીઓ હોવા જોઈએ, દેશના દુશ્મનો હોવા જોઈએ, ઘરના ભેદી હોવા જોઈએ, તેનો ગદ્દારીનો લાંબો ઇતિહાસ હોવો જોઈએ, બહુમતી કોમ જરૂર પડ્યે ચતુર અને જરૂર પડ્યે ભોળી હોવી જોઈએ વગેરે બહુમતી રાષ્ટ્રવાદી ઇતિહાસનો અનિવાર્ય મસાલો છે

ગયા અઠવાડિયે રાજસ્થાન યુનિવર્સિટીની સિન્ડિકેટે ઠરાવ કર્યો હતો કે મહારાણા પ્રતાપ વિશેનો રાજસ્થાનનો ઇતિહાસ ફરી લખવાની જરૂર છે. રાજસ્થાન યુનિવર્સિટીના કાર્યવાહક ઉપકુલપતિ રાજેશ્વર સિંહે પ્રસ્તાવ યુનિવર્સિટીના ર્બોડ ઑફ સ્ટડીઝ સમક્ષ વિચારણા માટે મોકલી આપ્યો છે. દરમ્યાન રાજસ્થાનની સરકારના ત્રણ પ્રધાનો, જેમાં આજી-માજી શિક્ષણપ્રધાનોનો પણ સમાવેશ થાય છે. તેમણે સિન્ડિકેટના પ્રસ્તાવને ટેકો આપ્યો છે.

અહીં સુધી તો જાણે ઠીક છે. ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં રહેલી કેટલીક ક્ષતિઓ દૂર કરવા માટે એને સુધારવામાં આવે એવું બનતું રહે છે. કેટલીક પ્રજા નારાજ ન થાય એટેલ જુદી રીતે સંભાળીને ઇતિહાસ લખવામાં અને ભણાવવામાં આવે એવું પણ બન્યું છે, પરંતુ રાજસ્થાન યુનિવર્સિટીનો ઠરાવ નવતર છે અને ચિંતાજનક પણ છે. સિન્ડિકેટે ઠરાવ કર્યો છે કે મહારાણા પ્રતાપનો હલ્દીઘાટીના યુદ્ધમાં અકબર સામે પરાજય થયો જ નહોતો એવો ઇતિહાસ લખવામાં આવે. જદુનાથ સરકાર કે રમેશચન્દ્ર મજુમદાર જેવા કોઈ રાષ્ટ્રવાદી ઇતિહાસકારે પણ આજ સુધી કહ્યું નથી કે મહારાણા પ્રતાપનો પરાજય નહોતો થયો. દરેકેદરેક ઇતિહાસકાર કબૂલ કરે છે કે અકબર સામેના યુદ્ધમાં મહારાણા પ્રતાપે પીછેહઠ કરવી પડી હતી. દરેક વિચારધારાના ઇતિહાસકારો એ પણ કબૂલ કરે છે કે હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરનો સેનાપતિ હિન્દુ માન સિંહ હતો અને રાણા પ્રતાપનો સેનાપતિ મુસ્લિમ હકીમ સુર હતો. એ યુદ્ધ સામ્રાજ્ય વિસ્તારવા અને ટકાવી રાખવા માટેનું યુદ્ધ હતું અને એને ધર્મ સાથે કોઈ લેવાદેવા નહોતી.

ઇતિહાસ જો બદલી ન શકાય તો ઉત્પાદિત તો કરી શકાયને! ફાસીવાદી જમાતનું આ છેલ્લું શસ્ત્ર છે અને ખતરનાક શસ્ત્ર છે. અહીં ઇતિહાસનો કઈ રીતે રાજકીય દુરુપયોગ કરવામાં આવે છે અને એના કેટલાં માઠાં પરિણામ આવે છે એના વિશે થોડી વાત કરીએ.

ઇતિહાસ કેમ લખવો એના શાસ્ત્રને અંગ્રેજીમાં હિસ્ટોરિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ભારતનું વિભાજન થયું એ એક ઐતિહાસિક ઘટના છે. એ ઘટનાને જો લખવી હોય તો લખવી કઈ રીતે એ ઇતિહાસકારો સમક્ષ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એવાં કયાં પરિબળો હતાં જેને કારણે ભારતનું વિભાજન થયું એની ચકાસણી કરવી પડે. ચકાસણી કરવા માટે પરિબળોની પૂંઠ પકડતાં-પકડતાં ક્યાં સુધી પાછળ જવું એ બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કાર્ય-કારણની લાંબી સાંકળ હોય છે એમાં ક્યાંક તો થોભવું જ પડે. ત્રીજું, કાર્ય-કારણની સાંકળના દરેક મણકાનો પાછો પોતાનો ઇતિહાસ હોય છે અને એની પોતાની કાર્ય-કારણની સાંકળ હોય છે. ભારતને વિભાજન તરફ દોરી જનારી કાર્ય-કારણની મુખ્ય સાંકળ, એના મણકાઓ અને મણકાઓની ઉપ-સાંકળ જે પાછી એકબીજાને પ્રભાવિત કરે એ રીતે જોડાયેલી હોય છે. ટૂંકમાં ઇતિહાસની દરેક ઘટના મહાભારતમાં જોવા મળે છે એવી કથા-ઉપકથાઓના સમૂહ જેવી હોય છે જે સ્વતંત્ર પણ હોય છે અને એકબીજા સાથે જોડાયેલી તેમ જ મુખ્ય કથાને પ્રભાવિત કરનારી પણ હોય છે.  

તો પછી ઇતિહાસ લખવો કઈ રીતે? કઈ રીતે કરવું ઇતિહાસનું દિગ્દર્શન?

ઇતિહાસ લખવો આસાન નથી. ઇતિહાસલેખન એ લોકો માટે જ માત્ર આસાન છે જેમણે ચોક્કસ ઘટનામાં ભાગ ભજવનારા હીરો અને વિલન નક્કી કરી લીધા છે અને અનુકૂળ પ્રમાણોની શોધ કરીને ઇતિહાસ લખે છે. તેમણે ઇતિહાસનો અભ્યાસ કર્યા પહેલાં જ તારણ નક્કી કરી લીધાં છે અને ઇતિહાસનો અભ્યાસ તો કારણની પુષ્ટિ માટે કરવામાં આવે છે. આ ઇતિહાસ નથી. આ ઇતિહાસના લિબાસમાં પ્રજાના માનસને ચોક્કસ રંગથી રંગવા માટેનું સાધન છે. ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ પ્રૉપગૅન્ડા ઍન્ડ નૉટ હિસ્ટરી.

જેઓ પ્રામાણિક ઇતિહાસકાર છે તેમની સામે તો મૂંઝવનારો પ્રશ્ન બાકી રહે જ છે કે અતીતના ગોદામમાં આટલી બધી ઘટનાઓનાં કથનો-ઉપકથનો છે તો એમાંથી કોનો ઉપયોગ કરવો અને કોનો ન કરવો? આમાંથી ઇતિહાસલેખનનું શાસ્ત્ર અને એની સ્કૂલ વિકસી છે જેને હિસ્ટોરિયોગ્રાફી કહેવામાં આવે છે. જેમ કે ભારતના વિભાજનની વાત લઈએ તો કેટલાક ઇતિહાસકારો રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી ઇતિહાસલેખન કરે છે. તેમના લેખનમાં તેમની રાષ્ટ્રની કલ્પના અને એનું રાજકારણ કેન્દ્રમાં હોય છે. તેઓ કહેશે કે મુસલમાનો વૈશ્વિક મુસ્લિમ ભાઈચારા(ઉમ્માહ-પેન ઇસ્લામિઝમ)માં માને છે એટલે તેઓ દેશને વફાદાર નહોતા. કેટલાક ઇતિહાસકારો સામાજિક-સાંસ્કૃિતક પરિબળોની મીમાંસા કરે છે. ભારતીય સમાજમાં સમાજિક-સાંસ્કૃિતક પોત જ નહોતું વિકસ્યું એટલે એક દિવસ તો વિભાજન થવાનું જ હતું. કેટલાક ઇતિહાસકારો વર્ગ અને વર્ગસંઘર્ષનો દૃષ્ટિકોણ અપનાવે છે. હિન્દુ અને મુસલમાનો વચ્ચે શોષણ અને શોષિતનું વર્ગીય વિભાજન હતું અને એની વચ્ચે સતત સંઘર્ષ થતો હતો. વિભાજન વખતે નિમિત્ત હાથ લાગ્યું અને પેલો સદીઓ જૂનો ભારેલો અગ્નિ ભડકી ઊઠ્યો.

ઇતિહાસ મજેદાર શાસ્ત્ર છે જો એને ખુલ્લા મનથી ભણવામાં આવે. ભારતના વિભાજન તરફ દોરી જનારાં પરિબળો વિશે અહીં જે ત્રણ દૃષ્ટિકોણ બતાવ્યા એ ત્રણેયમાં સત્યાંશ છે. ત્રણેય સ્કૂલના ઇતિહાસકારો પ્રમાણો રજૂ કરે છે જેની પુન:ચકાસણી કરી શકાય છે. કાચાં, અધૂરાં અને ખોટાં પ્રમાણો રજૂ કરનારા ઇતિહાસકારો પણ આ ત્રણેય સ્કૂલમાં છે જેમની ઇતિહાસકાર તરીકેની કોઈ પ્રતિષ્ઠા નથી.

બહુવિધ દૃષ્ટિકોણથી કરવામાં આવતી ઇતિહાસમીમાંસા સમાજ માટે ઉપકારક હોય શકે છે, પરંતુ સ્કૂલનાં બાળકોને તો માત્ર ઇતિહાસનું આચમન જ કરાવવાનું હોય છે તો એ કઈ રીતે કરાવવું એ મોટો પ્રશ્ન છે? વિભાજનના જખમ સાથે દેશ આઝાદ થયો ત્યારે ભારત સરકારના શિક્ષણખાતાએ એવું ઠરાવ્યું હતું કે બાળકો માટેનો ઇતિહાસ એ રીતે લખવો અને ભણાવવો કે જેથી બને એટલા વહેલા જખમો રુઝાઈ જાય. પ્રજામાં ભારતીયપણાની ભાવના વિકસશે તો રાષ્ટ્રનિર્માણ વહેલું થશે અને દેશ ઝડપતી વિકાસ પામશે. જી હા, આનો અર્થ એ થયો કે ભારતીય પ્રજા વચ્ચે વેર પેદા કરે અને અંતર વધારે એવાં તથ્યો સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અથવા પાઠ્યપુસ્તકોમાં એની રજૂઆત પાતળી પાડીને કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં ભારત કરતાં જુદો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના શાસકોએ એ સાબિત કરવાનું હતું કે કઈ રીતે ભારતનું વિભાજન અને પાકિસ્તાનની સ્થાપના અનિવાર્ય હતાં. હિન્દુઓએ મુસલમાનો પાસે અલગ થવા સિવાય કોઈ વિકલ્પ જ રહેવા નહોતો દીધો એ સાબિત કરવાનું હતું. જો એમ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં ન આવે તો બાળકો મોટાં થઈને અકળાવનારા પ્રશ્નો પૂછતાં થઈ જાય. જેમ કે; જ્યાં મુસલમાનોનો જ્વલંત ઇતિહાસ રચાયો છે એ હિન્દુસ્તાનની વિશાળ ભૂમિ પાછળ છોડીને નાનકડું પાકિસ્તાન શા માટે રચ્યું? મુસલમાનોના ગૌરવવંતા ઇતિહાસનાં કીર્તિસ્થાનો ભારતમાં છે, ઇબાદત સ્થાનો ભારતમાં છે, સાંસ્કૃિતક વિરાસત ભારતમાં છે તો એ બધું છોડીને પાકિસ્તાન શા માટે રચવામાં આવ્યું? ઇસ્લામ મુસલમાનો વચ્ચે બંધુતામાં માને છે તો પાકિસ્તાન કરતાં મોટી સંખ્યામાં મુસ્લિમ બંધુઓને ભારતમાં ખુદાના ભરોસે છોડીને પાકિસ્તાન રચવાની શી જરૂર હતી? આવા પ્રશ્નો બાળકોના માનસમાં ન જાગે એ માટે પાકિસ્તાનમાં ઇતિહાસનાં શાળાકીય પાઠ્યપુસ્તકો ભારત કરતાં જુદી રીતે લખવામાં આવ્યાં હતાં. બીજું, તેમને પાકિસ્તાન ટકાવી પણ રાખવાનું હતું એટલે હિન્દુઓ દુષ્ટ છે, મુસલમાનો વિક્ટિમ છે અને ભારત પાકિસ્તાનના અસ્તિત્વને ભૂંસી નાખવાના કાવતરા કરી રહ્યું છે એવું ભણાવવામાં આવતું હતું.

તમને એટલું તો સમજાઈ ગયું હશે કે ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પાકિસ્તાનની સરખામણીમાં ભારત થોડું કમ્ફર્ટ ઝોનમાં હતું. શરત માત્ર એટલી હતી કે કેટલાક ઘા વીસરી જવા પડે એમ હતા અને કેટલાકને મોળા પાડવાના હતા. ઘા દૂઝતા રાખવાથી ફાયદા કરતાં નુકસાન વધુ છે એટલે વિસારે પાડવામાં લાભ છે એવું ત્યારના શાસકોને લાગ્યું હતું. બીજી બાજુ પાકિસ્તાનની જરૂરિયાત ઘા જીવતા રાખવાની, દૂઝતા રાખવાની અને યાદ કરાવતા રહેવાની હતી.

આજે પરિણામ આપણી સામે છે. માત્ર આપણી સામે નહીં, આખા જગતની સામે છે. મલાલા યુસુફઝઈ નામની ૧૩ વરસની છોકરીને ભણવા દેવાની માગણી કરવા માટે ત્રાસવાદીઓ ગોળી મારે અને એ બર્બર ઘટનાનો પાકિસ્તાની યુવતીઓ બચાવ કરે એ દૃશ્ય જ કમકમાં પેદા કરનારું છે. પાકિસ્તાની યુવતીઓ મલાલાની ભણવા દેવાની માગણીનો વિરોધ કરે અને ત્રાસવાદીઓની હિંસાનું સમર્થન કરે? દુર્ભાગ્યે આવું બની રહ્યું છે કારણ કે સ્કૂલોમાં આવો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે. એટલે તો પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી પરવેઝ હૂડભોય જેવા વિદ્વાનો કહી રહ્યા છે કે હવે ઘણું થયું, ક્યાં સુધી સદા ઘાયલ રહીને પોતે જ પોતાનું લોહી નીંગાળતાં રહેશો? મહેરબાની કરીને આપણાં બાળકોને તંદુરસ્ત ચિત્ત સાથે મોટાં થવા દો કે જેથી તેઓ જેહાદ અને ત્રાસવાદી હિંસાનો માર્ગ ન અપનાવે અને વિજ્ઞાન અને વિકાસનો માર્ગ અપનાવે.

પાકિસ્તાને માત્ર ઘા જીવતા રહે એવો અનુકૂળ ઇતિહાસ અપનાવ્યો. અનુકૂળ ઇતિહાસ ઓછો પડતો હતો તો એમાં થોડું ઉમેરણ કરીને એને ઘૂંટ્યો. એ પણ ઓછો પડ્યો તો નર્યા જુઠ્ઠાણાવાળા ઇતિહાસનું ઉત્પાદન કર્યું. ઇતિહાસ તો હોય, એનું ઉત્પાદન થાય? એ પણ થઈ શકે જો રાજ્યતંત્ર હાથમાં હોય તો. પહેલાંના જમાનામાં ભાટ ઇતિહાસકારો રાજાઓનો અને બાદશાહોનો ગૌરવવંતો ઇતિહાસ લખતા હતા એમ. સત્તા હાથમાં હોય તો ઇતિહાસનું ઉત્પાદન પણ શક્ય છે. રાજસ્થાનમાં સત્તાધીશો પાસે રાજ્યતંત્ર છે એટલે તેઓ ઇતિહાસ બદલી નહીં ઉત્પાદિત કરી રહ્યા છે.

પાકિસ્તાનથી ઊલટું ભારતે ઘા રુઝાઈ જાય એવો અનુકૂળ ઇતિહાસ અપનાવ્યો. એમાં કોઈ શંકા નથી કે ભારતમાં પ્રજાકીય એકતા વધે એવો પસંદગીનો ઇતિહાસ લખવામાં અને ભણાવવામાં આવે છે. ભારતીય પ્રજા વચ્ચે વેર પેદા કરે અને અંતર વધારે એવાં તથ્યો સામે આંખ આડા કાન કરવામાં આવે છે અથવા પાઠ્યપુસ્તકોમાં એની રજૂઆત મોળી પાડીને કરવામાં આવે છે. હિન્દુત્વવાદીઓને આનાથી સંતોષ નથી. તેઓ આરોપ કરે છે કે ભારત સરકાર બાળકોને ખોટો અને ખોટો નહીં તો અધૂરો ઇતિહાસ ભણાવે છે. પાપીને પાપી ન કહે એવો ઇતિહાસ હોય જ ન શકે. પ્રજામાં દેશપ્રેમ પેદા કરવો હોય અને રાષ્ટ્રભાવના નિર્માણ કરવી હોય તો દેશના શત્રુઓને ઓળખી બતાવવા જોઈએ. ઘર કા ભેદી લંકા ઢાએ એમ ઘરની અંદર કે પાડોશમાં રહેનારનો ઇતિહાસ જો ગદ્દારીનો કે શંકાસ્પદ હોય તો એનાથી બાળકોને માહિતગાર રાખવાં જોઈએ. ઇતિહાસકારોનો આ ધર્મ છે અને ઇતિહાસ શિક્ષણની આ અનિવાર્યતા છે.

ચાણક્યએ તેના અર્થશાસ્ત્રમાં કહ્યું છે એ બધું જ કુમળા બાળકના મગજમાં ઠાલવવામાં નહીં આવે ત્યાં સુધી રાષ્ટ્રનિર્માણ શક્ય જ નથી એટલે ઇતિહાસમાં ચાણક્યનીતિ ઘુસાડવાનો આગ્રહ રાખવામાં આવે છે. જેમ કે એક દેશ હોવો જોઈએ, એની ભૂમિ પવિત્ર જ હોવી જોઈએ, એનો ભવ્ય ઇતિહાસ હોવો જોઈએ, પરાજય કે લાંછનની ઘટનાઓ હોય તો એનો બચાવ કરનારા ખુલાસાઓ હોવા જોઈએ, એના મહાન હીરો હોવા જોઈએ, બલિદાનીઓ હોવાં જોઈએ, દેશના દુશ્મનો હોવા જોઈએ, ઘરના ભેદી હોવા જોઈએ, તેનો ગદ્દારીનો લાંબો ઇતિહાસ હોવો જોઈએ, બહુમતી કોમ જરૂર પડ્યે ચતુર અને જરૂર પડ્યે ભોળી હોવી જોઈએ વગેરે બહુમતી રાષ્ટ્રવાદી ઇતિહાસનો અનિવાર્ય મસાલો છે.

ટૂંકમાં ઇતિહાસની ઘટનાઓ મહત્વની નથી, મસાલાઓ મહત્ત્વના છે. તીખોતમતમતો મોઢામાંથી સિસકારા નીકળે એવો માલવણી તડકા જેવો ઇતિહાસ લખવામાં આવે તો જ દેશપ્રેમી બહાદુરો પેદા થાય અને રાષ્ટ્રનિર્માણ થઈ શકે એમ તેઓ માને છે. પાકિસ્તાને આનો પ્રયોગ કરી જોયો અને પરિણામ પણ આપણી સામે છે. હિન્દુત્વવાદીઓ આવો ઇતિહાસ લખાય અને ભણાવાય એમ ઇચ્છે છે અને તેમને નેહરુચીંધ્યો ઇતિહાસ સાવ મોળો લાગે છે. મોળો નહીં; ખોટો, અધૂરો, મીંઢો અને શું કહેશું? સેક્યુલરિયો ઇતિહાસ તેમને લાગે છે.

હવે જો માલવણી તડકા જેવો ઇતિહાસ બહુમતી હિન્દુઓના પૌરુષત્વને જગાડવા માટે જરૂરી હોય તો મસાલા ખૂબ વાપરવા પડે. કેટલાક મસાલા ઘૂંટી-ઘૂંટીને તેજ બનાવવા પડે, એમાં હજી વધુ જલદ તત્ત્વોનું ઉમેરણ કરવું પડે અને જરૂર પડે તો બહારથી મસાલા આયાત પણ કરવા પડે. પસંદગીનો ઇતિહાસ, તોડમરોડવાળો વિપર્યાસ કરેલો ઇતિહાસ અને સાવ કાલ્પનિક ઉત્પાદિત ઇતિહાસ એમ બધી જ સામગ્રી જરૂરી છે.

પાકિસ્તાન પામી ગયું અને આપણે રહી ગયા એવું હિન્દુત્વવાદીઓનું માનસ છે. તમે પણ જો આવું માનતા હો અને પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવતા ઇતિહાસને બદલવો જોઈએ એવી તેમની માગણીને ટેકો આપતા હો તો તમારે એક કામ કરવું જોઈએ. હિન્દુત્વવાદી ઇતિહાસકારોએ લખેલા ઇતિહાસનાં પુસ્તકો વાંચી જાઓ. ગુસ્સો નહીં આવે તો છેવટે અનેક સ્થળે હોઠ મલકી જશે એની ગૅરન્ટી. એ પછી નક્કી કરો કે તમારું બાળક દીનાનાથ બત્રા કે રાજારામ જેવા કોઈક ઇતિહાસકારના હાથમાં સલામત છે કે જવાહરલાલ નેહરુના?

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ’સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 ફેબ્રુઆરી 2017

Loading

ભગવદ્ગોમંડળ

—, રાજેન્દ્ર શુક્લ|Opinion - Photo Stories|11 February 2017

સન 1946માં ગુજરાતી સાહિત્ય પરિષદનું રાજકોટ મુકામે અધિવેશન મળેલું અને તેના પ્રમુખસ્થાને હતા આપણા વરિષ્ઠ સાહિત્યકાર આચાર્ય રામનારાયણ વિ. પાઠક. અને 1949માં તે પછીનું અધિવેશન જૂનાગઢમાં મળેલું ને ત્યારે પ્રમુખસ્થાને આપણા બીજા આગેવાન સાહિત્યકાર કનૈયાલાલ મા. મુનશી પ્રમુખસ્થાને બિરાજમાન હતા. 

 

ગોંડલના પ્રગતિશીલ રાજવી ભગવતસિંહજીનાં પ્રેરણા-પરિશ્રમ-પૈસા અને દૃષ્ટિથી, ચંદુભાઈ બહેરચરભાઈ પટેલના સંપાદનકામ સાથે ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા ‘ભગવદ્ગોમંડળ’ની પહેલી આવૃત્તિ 1944માં બહાર પડી, તેને દિલે ભરી જોતા અને આવકારતા સાહિત્યકારોની છબિ. ચિત્રમાં (ડાબેથી) કનૈયાલાલ મુનશી, પ્રાદ્યાપક મનસુખલાલ ઝવેરી, આચાર્ય રા.વિ. પાઠક તથા જીવણલાલ દૃષ્ટિમાન છે.   

 

Loading

...102030...3,4513,4523,4533,454...3,4603,4703,480...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved