Opinion Magazine
Number of visits: 9767887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જોડણીવિષયક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.

સુમન શાહ|Opinion - Literature|18 June 2017

‘સ્પૅલિન્ગ બી’ સ્પર્ધાથી સ્પર્ધકોમાં અખૂટ ભાષાપ્રેમ અને સંસ્કૃિત માટેની જિજ્ઞાસા જાગે છે.

ભાષા-સાહિત્યના સૌ હિતૈષીઓ – પ્રૌઢો અને વયસ્ક સમકાલિકો – અવારનવાર ગુજરાતી ભાષાની ચિન્તા કરતા રહ્યા છે. જોડણી, લિપ્યન્તરણ, પારિભાષિક શબ્દો, પરભાષાના અનૂદિત શબ્દો, વગેરેમાં સુધારાવધારા માટે એમના તરફથી અંગત ભૂમિકાનાં વિવિધ મત-મન્તવ્યો મળતાં રહ્યાં છે, પણ હજી લગી કશી બહુસ્વીકૃત એકવાક્યતા પર પહોંચી શકાયું નથી. તાજેતરમાં હેમન્ત દવેએ ‘સૌથી સારો – કે સૌથી ઓછો ખરાબ – ગુજરાતી શબ્દકોશ કયો ?’ શીર્ષક હેઠળ પૂરા ખન્તથી કોશવિષયક અધ્યયનલેખ કર્યો છે. (જુઓ ‘નિરીક્ષક’, ૧ જૂન ૨૦૧૭). હું માનું છું કે એથી કોશસુધારની વળીને એક માતબર અને સંગીન તક જન્મી છે. હેમન્ત દવે ઉપરાન્ત ઊર્મિ દેસાઇ, યોગેન્દ્ર વ્યાસ, બાબુ સુથાર અને અન્ય તદ્વિદોના નેજા હેઠળ ગૂજરાત વિદ્યાપીઠ, અન્ય યુનિવર્સિટીઓ અને સાહિત્યસંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નવ-દિવસીય ૨-૩ કાર્યશાળાઓ કરીને જોડણીવિષયક એક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.

જો કે, વડીલોના આ વારસા કે વાંક સાથે ગુજરાતીભાષી વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓનું ખાસ કશું જોડાણ રહ્યું નથી. તેમ છતાં, મને લાગે છે કે કશા પણ ભાષા-સુધાર માટે એઓને લઇને શુભારમ્ભ કરીએ તો લેખે લાગે, કેમ કે પાકા ઘડે કાંઠા નથી ચડવાના. જોગાનુજોગ, હું આજે ‘સ્પૅલિન્ગ બી’ની વાત કરવાનો ’તો. હવે કરું. અમેરિકામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અંગ્રેજી શબ્દોની જોડણી, ઉચ્ચારો, વ્યાખ્યા, વ્યુત્પત્તિ વગેરેની જે મહા સ્પર્ધામાં ભાગ લે છે, એનું નામ ‘સ્પૅલિન્ગ બી’ છે. ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ સંસ્થા આ સ્પર્ધા યોજે છે. ભાગ લેનારને ‘સ્પૅલર’ કહે છે. ભાષાનિષ્ણાતોએ જોયું છે કે છેલ્લા દસકથી ઇન્ડિયન-અમેરિકન છોકરા-છોકરીઓએ ‘સ્પૅલિન્ગ બી’ કૉમ્પિટિશનમાં નામ કાઢ્યું છે બલકે સ્પર્ધાને સાર્થક ઠેરવી છે. છેલ્લા વર્ષના ૧૦ ટૉપર્સમાં ૭ સ્પૅલર્સ ઇન્ડિયન હતા. ફ્રેસ્નો, કૅલિફોર્નિયાની માત્ર ૧૨ વર્ષની છોકરી અનન્યા વિનય ૨૦૧૭-ની ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ બની છે. નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીનાં નૃવંશવિજ્ઞાની શાલિની શંકર આ ‘સ્પૅલિન્ગ કલ્ચર’ વિશે પુસ્તક લખી રહ્યાં છે. લોક એમને મજાકમાં પૂછતું હોય છે કે ઇન્ડિયન બ્રેઇનમાં એવું તે કયું જન્મજાત તત્ત્વ છે જે આ સ્પર્ધા સાથે સુસંગત થઇ સ્પર્ધકને વિજય લગી પહોંચાડે છે ? કશો ‘સ્પૅલિન્ગ જિન’ છે એમાં ? સંસ્થાનાં ડાયરેક્ટર પૅઇજ કિમ્બલ એમ કહે છે કે આ દેશમાં (અમેરિકામાં) સાઉથ એશિયન્સ વધુ ને વધુ ઇન્ટિગ્રેટ થતાં રહે છે, સ-ફળ થવા પરિશ્રમ કરે છે, એ પરિબળનો આ સફળતામાં મોટો હિસ્સો છે.

એ બેનને ક્યાં ખબર છે કે એશિયન-અમેરિકન, આપણી વાત કરીએ તો, ગુજરાતી મા-બાપો, ભારતીય સંસ્કૃિત સાથે સંલગ્ન રહેવા માટે પોતાથી થાય એ બધું જ કરે છે. સન્તાનો ‘સ્પૅલિન્ગ બી’ માટે જ નહીં પણ ભારતીય અને અમેરિકી સંસ્કૃિતના ગજગ્રાહ વચ્ચે ઘણી જહેમતથી પોતાનો રસ્તો આકારે છે. રવિવારની સવારે ઇન્ડિયન ટૅમ્પલમાં જઇ સંસ્કૃતમાં ગીતાપાઠ કરે ને તેને અંગ્રેજીમાં સમજી ચિત્તમાં જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવે. રામાયણ-મહાભારતમાંથી આવડે એવી ભજણીઓ કરે. કોઇ કૃષ્ણ બને, કોઇ રાધા, કોઇ રામ-સીતા, કોઇ રાવણ. બપોરે હોમવર્ક કરે, સાંજે બેઝબૉલની પ્રૅક્ટિસ માટે જાય, ને રાત્રે કશી વિડીઓ ગેમમાં થોડી તડાફડી કરી ઝટપટ સૂઇ જાય, કેમ કે સવારે વહેલા ઊઠી એ જ અઠવાડિક રફતારમાં એમણે મચી પડવાનું હોય છે. અને હા, આ બધો વખત એમને પપ્પા-મમ્મીનું કે મૉમ-ડૅડીનું સાચી-ખોટી વાક્યરચનાવાળું અને ગુજરાતી ઍક્સેન્ટથી ભરમાયેલું અંગ્રેજી સાંભળવું પડે છે, સહેવું પડે છે. એ જ સન્તાનોને ઘરની બહાર પગ મૂકતાંની વારમાં, ટોટલિ અમેરિકન ઍમ્બિયન્સમાં – માહોલમાં – જીવવું રહે છે. આ દશા માત્ર ગુજરાતી સન્તાનોની નથી, તેલુગુ કન્નડ મરાઠી કે પંજાબીની પણ છે. તેમ છતાં, તેમ છતાં, જો એ સન્તાનો પરિશ્રમપૂર્વક ‘સ્પૅલ બી ટૉપર્સ’ થઇને કારકિર્દી બુલંદ કરતાં હોય તો મને એ પેઢીમાં રસ પડે છે. કશી પણ ભાષા-આશા એમનાથી ફળીભૂત થઇ શકે એવો ભરોસો પડે છે. કેમ કે એટલું નક્કી છે કે આ સ્પર્ધાથી એમનામાં અખૂટ ભાષા પ્રેમ અને સંસ્કૃિત માટેની જિજ્ઞાસા જાગી હોય છે.

ગુજરાતમાં ય સન્તાનો કઠિનાઇઓ સાથે ઊછરતાં હોય છે. મા-બાપો ‘ગુજરેજી’ બોલતાં હોય. કાકા-કાકી કહેતાં રહે, અંગ્રેજી પાકું કર, એ વિના તારો ઉદ્ધાર નથી. માસીબા ઠસાવતાં રહે, બેટા, માતૃભાષાને વીસરી જઇશ તો ઘણું ગુમાવીશ. બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ એને મલ્ટિપૅક્સમાં વેસ્ટર્ન મૂવી જોવા સાગ્રહ લઇ જાય છે. કૉલેજ-વયનાં કોઇને તો હવે ડેટિન્ગ જેવા વેસ્ટર્ન ઍપિસોડ માટે પણ ‘ફોર્સ’ વેઠવો પડે છે. એ બાપડી કે બાપડો કરે તો, કરે શું ? મારી દૃષ્ટિએ આ પેઢી નિર્દોષ છે તેથી કરુણાપાત્ર છે પણ આગલી પેઢી દયાજનક છે. અમેરિકામાં ‘સ્પૅલિન્ગ બી’ પ્રોગ્રામ મુખ્યત્વે દુનિયાભરની ચીજો માટેના અંગ્રેજી શબ્દો માટે યોજાય છે. આજે એની વાત કરીને હું એમ કહેવા માગું છું કે ગુજરાતમાં ગુજરાતી ભાષાના શબ્દો માટે આ સ્પર્ધા યોજવી જરૂરી છે. પ્રિલિમિનરીથી ફાઇનલ સુધીના પ્રોગ્રામનું સુનિયોજન કરવું જરૂરી છે. માધ્યમિક શાળાઓમાં પછી આન્તરશાળાકીય સ્તરે તેમ જ યુનિવર્સટીઓમાં ને પછી ઇન્ટર-યુનિવર્સિટી લેવલે સ્પર્ધા રાજ્યવ્યાપી બની રહે એમ કરી કરવું અશક્ય નથી. સાચો ઉચ્ચાર, સાચો અર્થ, એ બે બાબતોથી શુભારમ્ભ કરી શકાય. વ્યાખ્યા, વ્યુત્પત્તિ, પછીથી દાખલ કરાય. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં ક્યાંક યોજાય છે. પણ એવા રડ્યખડ્યા પ્રયાસોથી આપણું ભાષા-દુ:ખ નહીં મટે કેમ કે બહુ જૂનું છે. અરે યાર! મારા પ્યારા કેટલાક સાહિત્યકારોને, કેટલાક વહાલા મારા ગુજરાતીના અધ્યાપકોને, ઍચોડીઓને અને પીઍચડી-પદવીધારકોને પણ, સાચા ઉચ્ચાર અને સાચા અર્થના, કેટલીયે વાર સાંસા પડી જાય છે. ત્યાં, પડોશી મનુભાઇની કે કરિયાણાવાળા કાનજીભાઇની તો વાત જ શી કરવી ! શિક્ષિત કે અ-શિક્ષિત સૌ ગુજરાતીઓને ગાડું ગબડાવવું છે. બધાંને મમ્ મમ્-થી કામ છે. શું કરો !

સફેદ લૅંઘો-ઝભ્ભો-બંડી ને સફેદ સૅન્ડલમાં ડાર્ક ગોગલ્સધારી આયોજનસમર્થ દીસતા એક નેતાસદૃશ જણને મેં આ વાત કરી, તો ક્હૅ, સ્પૅલિન્ગ તો પ્રાથમિક બાબત કહેવાય, કેવું લાગે ! શરમ આવે ! મેં કહ્યું, વાત શરમાવા જેવી તો છે ! કરશો તો જાણશો કે અંધારાં કેટલાં ઊંડાં છે. પાછું એ ન પૂછતા કે ‘સ્પૅલિન્ગ બી’ પ્રોગ્રામ ગોઠવવો હોય તો એમાં કરવાનું શું. મેં કહ્યું, આપણને લોકોને અન્તકડીથી માંડીને સ્પૉર્ટ્સની સ્પર્ધાઓ ગોઠવતાં આવડે. જ્ઞાતિનાં સમ્મેલનો આવડે, ડેસ્ટિનેશન વેડિન્ગ આવડે. યુનિવર્સિટી-સૅનેટનાં કે કોઇપણ ઇલેક્શનોનાં મૅનેજમૅન્ટ આવડે. સ્માર્ટ ફોન અને મલ્ટિ-યુઝ હાઇડેફિનેશન ટીવી વાપરતાં આવડે. અને એ બધું જી-વ-ન ગુજરાતી આતમરામની જોડે તો જીવીએ છીએ ! તો આ શા માટે નહીં ? ભલા માણસ, એટલું સમજો કે સવાલ ભાષાના ભવિષ્યનો છે. શુભ શરૂઆતનો છે, પ્રામાણિક ઇચ્છાનો છે. એઓશ્રી ‘ઓકે’ કહીને તો ગયા છે. હું એમની રાહ જોતો બેઠો છું …

===

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 જૂન 2017

Loading

મીઠી વીરડી અણુવીજળી મથકની યોજના પડતી મૂકાઈ : લોકશક્તિનો ભવ્ય વિજય

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 June 2017

ગામલોકો અને કર્મશીલોએ સાત વર્ષ ચલાવેલું જન આંદોલન 

ભાવનગર જિલ્લામાં અલંગ નજીક આવેલાં મીઠી વીરડી – જસપરા ખાતે અણુવીજળી મથકની સૂચિત યોજના તાજેતરમાં પડતી મૂકાઈ, તે લોકશક્તિની એક મોટી જીત છે. આ યોજનાનો સીધો ભોગ મથક માટેના સ્થળ તરીકે પસંદ થયેલાં ચાર ગામ બનવાનાં હતાં. તેમાં 340 ખેડૂતોની 603  હેક્ટર જેટલી ખેતજમીન અને ગામોની 174 હેક્ટર સહિયારી જંગલ જમીન જવાની હતી.  તદુપરાંત, 152 ગામોનાં બે લાખ લોકો અને 30 કિલોમીટર વિસ્તારની જમીન કિરણોત્સર્ગની અસર હેઠળ આવવાનાં હતાં. ત્રણ-ચાર પાક આપતી ફળદ્રૂપ જમીન, મીઠું પાણી, અનેક શાકભાજી તેમ જ આંબા-ચીકૂ-નાળિયેરની વાડીઓથી હર્યુંભર્યું આ નંદનવન નરકમાં ફેરવાઈ જવાનું હતું. પણ આમ ન થયું. ધરતીમાતાને રાષ્ટ્રવાદના સૂત્રોથી ઊપર ઊઠીને ચાહતા, જાગતા ગામલોકોએ આ યોજના સામે એક દાયકા માટે અહિંસક લડત ચલાવી. અણુઊર્જાની વિનાશક અસરો અંગેની પાકી સમજ અને નોખી ધીરજ સાથે તે  ચાલી. તેનું ચાલકબળ જનશક્તિ ઉપરાંત ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’ નામનું સંગઠન હતું. તેણે લોકો વચ્ચે કામ કરતાં કરતાં તેમનો મેળવેલો વિશ્વાસ, લોકશાહી પદ્ધતિથી તેણે ઊભી કરેલી અડગ લોકભાગીદારી અને તેના કર્મશીલોએ રચેલી વ્યૂહરચનાએ મીઠી વીરડી ચળવળને એક સીમચીહ્ન રૂપ લોકઆંદોલન બનાવ્યું છે, જેની મહત્તા આખા દેશે પિછાણવી જરૂરી છે.

સમિતિ અને ગામ વચ્ચેનાં એક દાયકાથી વધુ સમયના જોડાણનો તદ્દન તાજો દાખલો એટલે એ અરજી કે જેની પરના ચૂકાદા તરીકે નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે યોજના પડતી મૂકવાનો આદેશ આપ્યો. માર્ચ 2015માં કરેલી આ અરજીમાં મીઠી વીરડી યોજનાને મળેલી કોસ્ટલ રેગ્યુલરેટરિ ઝોનની મંજૂરીને પડકારી હતી. આ અરજી માટેનાં પાંચ અરજદારોમાં મીઠી વીરડીના સરપંચ શક્તિસિંહ ગોહિલ, તેમ જ બે ગામવાસી હાજા દિહોરા અને જાગૃતિ ગોહિલ હતાં. તેમની સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના સમર્પિત અભ્યાસી કાર્યકર્તા કૃષ્ણકાન્ત ચૌહાણ અને અસધારણ કર્મશીલ રોહિત પ્રજાપતિ હતા.

અલબત્ત આંદોલનનો આ છેલ્લો તબક્કો હતો. તેના પાયા તો 2007માં નખાયા હતાં. અણુવિદ્યુત મથક યોજના અંગેની જાણ થતાં સમિતિના કાર્યકરોએ વિસ્તારમાં લોકસંપર્ક શરૂ કર્યો. રોહિત-કૃષ્ણકાન્ત ઉપરાંત સ્વાતિ દેસાઈ, આનંદ તથા માઇકલ માંઝગાવકર અને લખન મુસાફિરે ગામેગામ ફરીને સભાઓ અને જૂથચર્ચાઓ દ્વારા અણુઊર્જાની અનિચ્છનીયતા અંગેની માહિતી આપવાની શરૂઆત કરી. નિસબત ધરાવતા નાગરિકોના સંપર્ક સાધ્યા. ભાવનગરમાં અણુઊર્જા અભ્યાસ જૂથ બન્યું જેમાં અનેક પ્રબુદ્ધ સ્ત્રી-પુરુષો સક્રિય હતાં. લોકવિજ્ઞાનના પ્રસારક અરુણ દવેની મદદ મળી. 27 એપ્રિલે જસપરા, મીઠી વીરડી, ખદરપર, માંડવા અને સોંસિયાના લોકોનું સંમેલન ભરાયું. દેશભરમાંથી જાણકારો, કાર્યકર્તાઓ આવ્યાં. પાંચે ય ગામના નાગરિકો અને પચીસ સંસ્થાના સાથીઓએ ઠરાવ કર્યો : ‘દેશની આવી ફળદ્રુપ જમીન પર અણુવીજ મથક હરગિઝ ન થવું જોઈએ;  અણુવીજળી ખોટનો ધંધો છે – તે સસ્તી નથી, સ્વચ્છ નથી, સલામત તો બિલકુલ નથી; જમીન ક્યારે ય નહીં છોડીએ.’ ત્યાર પછીનાં વર્ષોમાં આખા ય પંથકમાં અણુશક્તિ, વિકાસની વિભાવના, નાગરિક અધિકાર જેવી બાબતો અંગેની સમજ માટે તાલીમ વર્ગો ચાલ્યાં. તેમાં ગુજરાત વિદ્યાપીઠ, ગઢડા ગ્રામ વિદ્યાપીઠ, લોકભારતી જેવી સંસ્થાઓ વિદ્યાર્થીઓ થકી જોડાતી રહી. પ્રતીક ઉપવાસ, પદયાત્રા અને હિરોશિમા દિન નિમિત્તે કાર્યક્રમો થયાં. ભાવનગર, અમદાવાદ, મીઠી વીરડી ખાતે જાહેર સભા-સંમેલનો થતાં રહ્યાં. તેમાં કુદનકુલમ (તમિલનાડુ), જદુગુડા (ઝારખંડ), જૈતાપુર (મહારાષ્ટ્ર), ફતેહબાદ (હરિયાણા) જેવી જગ્યાએ અણુઊર્જા વિરોધી ચળવળોના કાર્યકર્તાઓ અને નિષ્ણાતો જોડાતાં રહ્યાં. દુનિયાભરમાં જાણીતાં સુરેન્દ્ર અને સંઘમિત્રા ગાડેકર તેમ જ વેડછીના સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલયનો સાથ હતો. સર્વોદય, ગાંધીવાદ અને પર્યાવરણ ક્ષેત્રોને લગતી સંસ્થાઓનો પૂરો નૈતિક ટેકો હતો. 

અલબત્ત, સરકાર ચૂપ ન જ રહે. લોભલાલચ, ફાટફૂટ, ધાકધમકી ન હોય તો જ નવાઈ. 2010ના જૂનમાં એક દિવસે શક્તિસિંહને પોલીસ આવીને કહી ગઈ કે અણુમથક માટે સરકારી કંપની જમીનનો નમૂનો લેવા આવશે. બીજે દિવસે ગ્રામસભાએ પોલીસની હાજરીમાં એનો વિરોધ કર્યો. અગિયારમી તારીખે મળસ્કે ત્રણ બસો ભરીને પોલીસ કાફલો અને તેની સાથે કંપનીની  ડ્રિલિંગનાં સાધનોવાળી ગાડી હાજર. પાંચ ગામોમાં ઢોલ પીટાયો, જોતજોતામાં સાડાત્રણ હજાર માણસ હાજર. અમદાવાદથી લોક સમિતિના, બાણું વર્ષના ચુનીભાઈ વૈદ્ય આવી પહોંચ્યા. સમિતિના કાર્યકરો દોડ્યાં. જબરદસ્ત વિરોધ થયો : ‘મહેનતનો રોટલો ખાવા દ્યો, અણુમથક જાવા દ્યો’, ‘ગામની જમીન ગામની, સરકારની નહીં’, ‘જાન દેંગે, જમીન નહીં’. પોલીસ અને કંપનીને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. બીજા એક પ્રસંગે 2,236 લોકોને જમીનનું વળતર એક ગુંઠે પંદર રૂપિયા આપવાનું નક્કી થયું. લોકોએ હાથ ન મૂકવા દીધો. 2011માં ખેડૂતો અને ખેતમજૂરોએ સોગંદનામું કર્યું : ‘… હું મારી જમીનના સંપાદનનો સખત વિરોધ કરું છું. હું ગંભીરતાપૂર્વક જણાવું છું કે હું મારી જમીન કોઈ પણ કિંમતે ગુજરાત સરકાર,ભારત સરકાર કે ન્યુિક્લઅર પાવર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને વેચવાનો ઇન્કાર કરું છું.’ યોજના અંગે 5 માર્ચ 2013ની લોકસુનાવણી એક ખૂબ મહત્ત્વનો તબક્કો હતો. સરકારે સુરક્ષાકર્મીઓના કાફલા સાથે તે યોજી હતી. મંડપમાં ભયના માહોલ વચ્ચે બેઠેલા હજારો ગ્રામવાસીઓને સરકારે રજૂઆત કરવાની તક યોગ્ય રીતે ન આપી. એટલે લોકોએ સુનાવણીનો શાંતિપૂર્વક બહિષ્કાર કર્યો. સરકારે આ રીતે માત્ર દેખાવ ખાતર જ સુનાવણી કરી તેમાં લોકસુનાવણી અંગેના તમામ કાયદા નેવે મૂક્યા હતા. તેનું સમિતિએ ઝીણાવટર્યું દસ્તાવેજીકરણ અને જડબેસલાક વિશ્લેષણ કર્યું. વધુમાં સમિતિ એ હકીકત પણ બહાર લાવી જે કન્સલ્ટિંગ ફર્મએ આ સુનાવણી યોજી તેને ભારત સરકારનું એક્રેડિટેશન જ નથી ! યોજના સામેની તમામ દલિલોમાં સી.આર.ઝેડ.ની જેમ લોકસુનાવણીના ફારસનો મુદ્દો પણ સમિતિએ કુનેહથી રજૂ કર્યો. સત્તાવાળાઓને આ બધી રજૂઆતો લાંબા પત્રો/લખાણો રૂપે કરવામાં આવતી. તેનો ખરડો ગામની વાડીમાં ખાટલે લોકોની વચ્ચે બેસીને ચર્ચા સાથે તૈયાર થતો. તે અંગ્રેજીમાં લખવામાં, ગામલોકોને ગુજરાતીમાં સમજાવવામાં દિવંગત કર્મશીલ તૃપ્તિ શાહનો બહુ મોટો ફાળો હતો. તેમણે અને તેમનાં ‘સહિયર’ સંગઠનનાં બહેનોએ તેમ જ ‘ઉત્થાન’ સંસ્થાએ કેટલેક અંશે રૂઢિચુસ્ત ગામોની મહિલાઓને સંગઠિત કરવામાં ઘણો ફાળો આપ્યો છે. માર્ચ 2014માં પાંચ ગામની પંચાયતો આખો વિસ્તાર ‘ન્યુિક્લઅર ફ્રી ઝોન’ જાહેર કરતો ઠરાવ વડા પ્રધાન મોદીને મોકલ્યો. એ જ વર્ષે 14 ઑગસ્ટે ગામોનાં લોકો પ્રતિજ્ઞા લીધી : ‘અણુવીજળી અહીં નહીં, ક્યાં ય નહીં’. પછીનાં વર્ષે 24 જાન્યુઆરીએ પાંચ ગામના સરપંચ નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાને અણુવિજળી મથકના વિરોધમાં પત્ર લખે છે. માર્ચ 2015માં એન.જી.ટી.માં અરજી થાય છે. પર્યાવરણ સુરક્ષા સમિતિના કાર્યકરો અને ગામ લોકો લડતાં રહે છે. તેમના કહેવા પ્રમાણે હવે આ યોજના આંધ્રપ્રદેશના કવાડમાં ગઈ છે ત્યાં પણ તેમની લડત ચાલુ રહેશે.

સરકાર ખેડૂતોને ગોળીએ દે છે. વિદ્યાર્થીઓ પર દેશદ્રોહનો આરોપ મૂકે છે. માધ્યમો પર દરોડા પાડે છે. રશિયામાં પુતિન સાથે અણુવીજળી માટે કરાર કરે છે. આવા દિવસોમાં મીઠી વીરડીના જાગતા લોકો, અને ખેતરમાંના ઝાકળની જેમ અણદીઠ રહીને તેમની સાથે લડેલા કર્મશીલો દેશ આખા માટે પ્રેરણારૂપ છે. 

+++++

15 જૂન 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 16 જૂન 2017

Loading

મહાત્માની રાષ્ટૃપ્રીતિની અભિવ્યક્તિ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 June 2017

‘નેશન ફર્સ્ટ’ની કથિત રાજનીતિના દાયરામાં બંધાઈ મરે એવા રાષ્ટૃપિતા મહાત્મા ગાંધી નહોતા

સાબરમતી આશ્રમ, કોચરબથી વાડજ આવ્યો, દધીચિની સ્મૃિતએ સજીવ પરિસરની પડોશમાં, એને આજે શનિવારે બરાબર સો વરસ થશે: ગોપાલકૃષ્ણ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ અને ગુજરાતને સારુ પોતાનો ઇતિહાસ-પરવાનો જરી તાજો કરવાનો આ મળતાં મળે એવો અવસર છે, એમ જ કહેવું જોઈશે.

આ સ્થાનક, શું કહીશું એને – અડ્ડો, સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ એવી ચલણી ઓળખ પામ્યું હશે, પણ ગાંધીએ એનું પાડેલું નામ જો 1915ના દિવસોથી તો સત્યાગ્રહ આશ્રમ હતું. આશ્રમ કહેતાં કોઈ નિવૃત્તિનિવાસની છાપ ઊઠતી હોય તો એમાં એનો એક અર્થમાં સીધો નિષેધ હતો. એમાં સક્રિયતા, સાર્વજનિક જીવનમાં સક્રિય સંડોવણી ઇષ્ટ હતી. નામ પાડવાના વિકલ્પો તો હતા – દેશસેવાશ્રમ અને સેવામંદિર જેવાં નામોયે સૂચવાયાં હતાં. પણ ગાંધી અને સાથીઓ છેવટે જ્યાં આવી ઠર્યા એ નામ તો સત્યાગ્રહ આશ્રમ હતું. જે પણ સત્ય સમજાણું – અને સત્ય જેનું નામ એ દેશમાંયે સમાય શાનું – એને સારુ આગ્રહપૂર્વક જીવવું ને મરવું, ખરું જોતાં મથવું!

આ દિવસોમાં સ્વાભાવિક જ ‘અક્ષરદેહ’માંથી પસાર થવાનું બનતંુ રહ્યું છે. 17 જૂન, 1917નું પાનું ખોલીને જોઉં છું તો એ દિવસે ગાંધી પંડે ગુજરાત બહાર છે. મોતીહારીમાં બેઠા એ ચંપારણ વિશેની છઠ્ઠી નોંધ લખવામાં રોકાયેલા છે. કહ્યું ને, મહાત્મા તો એ હતા કે હશે, પણ સત્યાગ્રહી ખસૂસ છે. હમણાં ‘અક્ષરદેહ’(‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’)ની જિકર કરી ત્યારે એ એક સોજ્જો જોગાનુજોગ પણ સાંભરણમાં સરી આવ્યો કે ચાલુ અઠવાડિયે જ સી.ડબલ્યુ.એમ.જી.ના સો ગ્રંથો ભારત સરકારના સૂચના અને પ્રસાર મંત્રી વેંકય્યા નાયડુએ લોકસભાની લાઇબ્રેરી માટે સ્પીકર સુમિત્રા મહાજનને અર્પણ કર્યાં … કેટલું મોટું કામ થયું એ!

આડત્રીસ આડત્રીસ વરસની અખંડ તપસ્યાપૂર્વક કે. સ્વામીનાથને (આપણા ચી.ના. પટેલ સરખાના મનોયોગથી) દુનિયાને ખૂણેખૂણેથી ગાંધીએ લખી એકેએક એકેએક ચીઠ્ઠીચબરખીથી માંડીને તંત્રીનોંધો, લેખ, હેવાલ એમ ગંજાવર સામગ્રી એકાએક અક્ષરના પાવિત્ર્યપૂર્વક સંપાદિત સ્વરૂપ સુલભ કરી છે. પંચાવન હજારથી વધુ પાનાંમાં પથરાયેલી આ ઇતિહાસસામગ્રી, મનુષ્યજાતિનો મહામૂલો વારસો છે. વચલાં વરસોમાં કે. સ્વામીનાથન આવૃત્તિ કથિત પુનર્મુદ્રણ અને નવસંપાદનમાં અવદશાને પામી હતી. મનમોહન કાર્યકાળમાં, મૂળ આવૃત્તિ યથાતથ પુન:સુલભ કરવાનું બહુધા થયેલું કામ હવે પૂર્ણ થયું છે, અને સૂચના ને પ્રસાર મંત્રીએ પોતાને હસ્તક કાર્યરત પ્રકાશન વિભાગ (પબ્લિકેશન ડિવિઝન) વતી સ્પીકરને ભેટ ધરતાં કહ્યું છે તેમ એનું એક ‘હેરિટેજ’ મૂલ્ય છે.

સાબરમતી આશ્રમની શતવર્ષી પ્રસંગે સ્વામીનાથન આવૃત્તિનું સુલભ થવું કેમ જાણે એક નાન્દી ઘટનારૂપે આપણી સામે આવે છે. સરસ ટાંક્યા વેંકય્યાએ ગાંધીને કે ‘આપણા જીવન સૌને વાસ્તે ખુલ્લી કિતાબ જેવાં બની રહો.’ આ લખતાં સાંભરે છે તો એની વાત કરી જ લઉં. નાયડુએ ગાંધીનો ઉલ્લેખ ‘ફાધર ઑફ અવર નેશન’ (‘આપણા રાષ્ટ્રપિતા’) તરીકે કર્યો. સંઘ પરંપરામાં, આ પ્રકારનો ઉલ્લેખ (જો સભાનતાપૂર્વક કર્યો હોય તો) ખરે જ એક કાઠું કામ છે. રસમી ઔપચારિકતાથી હટીને કોઈ પુનર્વિચાર થઈ રહ્યો હશે? ન જાને.

સ્પીકર મહાજને દાંડીકૂચની જિકર કરી: મીઠાનો સત્યાગ્રહ, એમણે કહ્યું, આઝાદીની ખોજમાં જનતાની ભાગીદારીનો એક ક્લાસિક દાખલો છે. દાંડીકૂચનો આ પેરેલલ ‘રાષ્ટ્રપિતા’ના નાયડુ પ્રયોગની જેમ જ એક પ્રકારે નવઉઘાડ(બ્રેક થ્રૂ)ની શક્યતા લઈને આવે છે. અત્યારના સત્તાપક્ષને માટે અડવાણીની અયોધ્યા કૂચે પથ પ્રશસ્ત કર્યો ગણાય છે. કોમી વિભાજનની સ્થિતિ જગવતી અયોધ્યા યાત્રા અને નાતજાતકોમલિંગ સઘળું ઓળંગી જતી મીઠાની કૂચ, શું પસંદ કરશો તમે.

જેમ હાલના સત્તા-પ્રતિષ્ઠાને તેમ એના વિશાળ નવા ટેકેદારોએ, કંઈક અભીપ્સુ તો કંઈક ખુદગર્જ હોઈ શકતા ઉભરતા નવ્ય મધ્યમવર્ગે – ખાસ કરીને નવશ્રીમંતોએ, પણ વિચારવા જોગ ખાસી સામગ્રી (બલકે જામગરી) જેમાં સંભરેલી છે એવાં બે ઈંગિતો અહીં એટલા માટે કર્યાં કે ગાંધીના જાહેર જીવન અને એમની આશ્રમચર્યામાં આપણા સમયને માટે પડેલો સારગર્ભ સંદેશ સામે આવે.

સુભાષબાબુએ દરિયાપારથી એમને રાષ્ટ્રપિતા તરીકે પહેલપ્રથમ સંબોધ્યા એમાં એક માયનો જરૂર પડેલો હતો કે નાતજાતકોમના ભેદ વગર દેશસમાજ સમસ્તને પોતાનાં ગણતો આ એક માણસ છે. પણ ગાંધી અને રવીન્દ્રનાથની રાષ્ટ્રપ્રીતિ (બંને સાથે હોય ત્યારે અને સાથે ન હોય ત્યારે પણ) કદી સત્ય ઉપર સવાર થઈ શકે એવી અંધ ન હોય. ‘નેશન ફર્સ્ટ’ની કથિત રાજનીતિના દાયરામાં બંધાઈ મરે એવા રાષ્ટ્રપિતા એ નહોતા. આશ્રમને એમણે સ્વદેશીપ્રીતિના એક ઉન્મેષરૂપે જરૂર જોયો હશે, પણ તે સાથે વિશ્વહિતને અવિરોધી એ મતલબની એક કેવિયટનુમા ભૂમિકા પણ એમની બધો વખત રહી. એવું જ મીઠાના મુદ્દાનું પણ કે દેશ કોઈ અમૂર્ત ખયાલાત નથી પણ એમાં જીવતો જન જન, જનસાધારણ અને સાધારણ જન સમસ્ત છે. માટે સ્તો એને અમદાવાદનું થાણું સૂઝ્યું કે ગુજરાતી મારફતે (અંગ્રેજીમાં બધ્ધ નહીં પણ ગુજરાતી આદિ ભારતીય ભાષાઓ મારફતે) સેવા કરી શકું – અને હા, અહીં હાથસાળની જે એક પૃષ્ઠભૂ છે તે ચરખાને માટે ઉપયોગી થઈ પડશે.

વિશ્વહિતને અવિરોધી (બલકે વૈશ્વિક થવા કરતી) રાષ્ટ્રપ્રીતિની અભિવ્યક્તિ મહાત્મા સાધારણ જન સાથે તાદાત્મ્ય સાધતી જે સહજ પોષાક પસંદગી પર ઠર્યા તેમાં પણ જોવા મળે છે. અમદાવાદના આશ્રમ દિવસોમાં સ્તો એમણે પોતાના કામધંધા બાબતે એ આબાદ ખુલાસો કર્યો હતો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની વિદ્યાસભા)માં પ્રવેશપત્ર ભરતાં કે હું પેટવડિયે કામ કરતો શિક્ષક છું. બ્રૂમફિલ્ડની કોર્ટમાં (સરકિટ હાઉસમાં) 1922માં રાજદ્રોહનો મુકદમો ચાલ્યો ત્યારે  કામધંધા તરીકે એણે ખેડૂત અને વણકર હોવાની જિકર કરી હતી. અને આ જિકર લુખ્ખી નહોતી: કોચરબ આશ્રમ માટે જરૂરી સામગ્રીની યાદી તમે ‘અક્ષરદેહ’માં જોશો તો 11મે 1915ની નોંધ બોલે છે કે ઓછામાં ઓછા ત્રીસ માણસ કામ કરી શકે એટલાં હથિયાર ખેતીનાં જોઈએ. તેમાં કોદાળી, પાવડા ને તીકમની જરૂર પડશે. વળી સુથારનાં સાધનો પણ જોઈશે – હથોડા, વાંસલા, એરણ, સાઇડી, કાનસ વગેરે. પાછાં મોચીનાં હથિયાર પણ ખરાં … અને હા, ગાંધીને ઍન્ટિ-ઇન્ટેલેક્ચ્યુઅલ કે નોન – ઇન્ટેલેક્ચ્યુઅલ લેખે ખતવી નાખતા લોક વાસ્તે, એક ઓર વિગત: આશ્રમમાં ત્રણ હજાર પુસ્તકો સંઘરાય એવી સોઈ જોઈશે.

એક એવો સમગ્ર અભિગમ અને અિભક્રમ અહીં જાણે કે જોવા મળે છે જેમાં બુિદ્ધ અને શ્રમના જુવારાં નથી. કાળા કાંઠલા, ભૂરા કાંઠલા, સફેદ કાંઠલા નોખાનિરાળા નહીં પણ એક અનેરા છે. દેખીતી રીતે સ્વદેશપ્રીતિ, દેશભક્તિ વગેરે તરેહવાર સીમાડા લાંધીને કશીક એવી વિશ્વમાનવતામાં ઠરવા કરે છે.

પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘િનરીક્ષક’ના તંત્રી છે

સૌજન્ય : ‘રાષ્ટૃપિતાનું ખમીર’, “દિવ્ય ભાસ્કર”, 17 જૂન 2017

Loading

...102030...3,4253,4263,4273,428...3,4403,4503,460...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved