Opinion Magazine
Number of visits: 9584564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભાષાનું ગૌરવ : આપણા હાથની વાત

મનસુખ સલ્લા|Samantar Gujarat - Samantar|17 March 2017

જીવનભારતી (સુરત) સંસ્થા એની ઉત્તમ અને ઉજ્જવળ પંરપરાઓ અને મૂલ્યોથી જાણીતી છે. ચંદ્રવદનભાઈ શાહ અને સાથીઓએ અહીં શૈક્ષણિક આબોહવા સર્જી હતી. માણસ મૃત્યુશીલ હોવાથી ભલે જાય, પરંતુ ઉત્તમ પરંપરાઓ અખંડ રહેવી જોઈએ. આજના ટ્રસ્ટીઓ અને સંચાલકો એ માટે સક્રિય છે, એ જોઈને હૈયું ઠરે છે. બહેન મીતાબહેન ઝવેરીનાં માર્ગદર્શનમાં આપે ભાષા ઑલમ્પિયાડનું આયોજન કર્યું અને એમાં સુરત શહેરની આટલી બધી શાળાઓને સાંકળી તથા ભાષાનાં પણ વીસ જેટલાં ક્ષેત્રોને આવરી લીધાં તે ભાષા માટેની પ્રીતિ ઊભી કરવામાં જરૂર મદદરૂપ થશે. માતૃભાષાદિન નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો છે તેનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે ભાષા જીવે છે, એને માટેના ગૌરવને કારણે અને ભાષા મરે છે એની અવગણના અને ઉપેક્ષાને કારણે.

એક પ્રજા તરીકે આપણે જાગૃત થવાનું છે કે ભાષા એ કેવળ વ્યવહારનું સાધન નથી, પરંતુ એમાં એક આખી સાંસ્કૃિતક પરંપરા સચવાયેલી હોય છે. જેમ એક વૃક્ષ જીવંત રહે છે તેનાં મૂળિયાં જમીનમાં ઊંડે જઈને પોષણ મેળવે છે તેથી. માતૃભાષાને જીવંત રાખવી એનો અર્થ આપણાં સાંસ્કૃિતક મૂળિયાંને જાળવવાં અને પોષણ આપવું. આજે ધંધો, કમાણી અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ અંગ્રેજીનું પ્રભુત્વ એટલું વધ્યું છે કે માતૃભાષાની અવગણના થઈ રહી છે. આ પ્રશ્ન કેવળ ગુજરાતી ભાષાનો જ નથી, તમામ ભારતીય ભાષાઓનો છે. ગઈ ૨૧મી માર્ચે દિલ્હીમાં સાહિત્ય અકાદમીના ‘માતૃભાષાનું રખોપું’ અંગેના સેમિનારમાં એક વિદ્વાને કહ્યું કે ભારતમાં ભાષા અને બોલીઓની સંખ્યા ૧૦૦૦ જેટલી છે, પરંતુ હવે જો કાળજી નહીં લેવામાં આવે તો આવતાં પચાસ વર્ષમાં એમાંથી ૮૦૦ જેટલી ભાષાઓ કે બોલીઓ નાશ પામશે. ભાષાને જીવંત રાખવી, એનો અર્થ એ કે એ ભાષામાં બોલો, લખો અને વાંચો.

આ મુદ્દો અંગ્રેજી ભાષાના નકારનો નથી. અંગ્રેજીનું સ્થાન છે અને સ્વીકાર્ય છે, પરંતુ માતૃભાષાના ભોગે નહીં. સ્વરાજ પહેલાં રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે ‘માતૃભાષા અને ભણવાની ભાષા વચ્ચે છૂટાછેડા કેવળ ભારતમાં જ છે. એને પરિણામે બાળકની સર્જનાત્મકતાને ગંભીર હાની પહોંચે છે.’ માતૃભાષા બાળકને પોતાનો સાંસ્કૃિતક વારસો આપે છે. આપણે માતૃભાષાને કેવળ ગુણગાન રૂપે જ જોઈએ એ પૂરતું નથી. એની પાછળનાં વૈજ્ઞાનિક-સંશોધનાત્મક કારણો અને તારણો સમજવાં પડશે.

મૂળમાંથી એમ પૂછી શકાય કે શિક્ષણરચના શા માટે છે ? તેનો જવાબ એ છે કે શિક્ષણને પરિણામે મનુષ્યમાં ત્રણ બાજુઓનો વિકાસ થવો જોઈએ :

૧. માનવતાનો વિકાસ. માનવતા વગરના ડિગ્રીધારીઓ આજે સમાજ અને રાષ્ટ્રને પારાવાર નુકસાન પહોંચાડી રહ્યા છે. માનવતાનો વિકાસ એટલે સંવેદનશીલતાનો વિકાસ. પોતાનાથી પાછળ રહેલાઓ, સહન કરનારાઓ, અન્યાય વેઠનારાઓ, ધર્મ-પંથ-જાતિ-વર્ણ-લિંગની ભેદની દીવાલો વેઠવાની આવે છે, તે સૌ માટેની આત્મીયતા એ સંવેદનશીલતાનો વિકાસ છે. આવી સંવેદનશીલતાના વિકાસમાં કલા અને સાહિત્ય સૌથી મોટો ભાગ ભજવે છે. એમાં માતૃભાષા જે સંસ્કાર- પોષણ કરે છે, એની અસરો અમીટ હોય છે, માટે આપણે માતૃભાષાનો મહિમા કરીએ છીએ.

૨. બીજું તત્ત્વ છે સર્જનાત્મકતાનો વિકાસ. આજે આપણે શિક્ષણમાં બીબાંમાં ઘડેલાં ચોકઠાંઓ તૈયાર કરીએ છીએ. બધાં એકસરખાં, જાણે અમુક કામ માટે જ સર્જેલાં પૂતળાં. વિકાસ માત્ર સ્મૃિતવ્યાપારનો, એથી મનુષ્યમાં વિકાસની જે અનેકવિધ શક્યતાઓ (અવલોકન, તાર્કિકતા, તારણશક્તિ, વિરોધી વસ્તુઓ / બાબતો વચ્ચે રહેલી સમાનતા પારખવી, પ્રયોગશીલતા, નાના એકમને વ્યાપક ભૂમિકામાં સમજવું, જીવનનું અખંડ દર્શન વગેરે) રહેલી છે તે પ્રગટ જ નથી થતી. સર્જનાત્મકતા એ કેવળ કવિતા, ચિત્ર કે સંગીતના રાગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રત્યેક ઘટનામાં વ્યવહારમાં, સંબંધમાં સર્જનાત્મકતા સક્રિય બને. મનુષ્યનો એ સાચો વિકાસ છે. આજે જાણે હૃદયહીન, પૈસા કમાનારા, રૉબોટ તૈયાર થાય છે. આને દૃષ્ટાંત દ્વારા સમજીએ તો ૧૦૦ વૉટના બલ્બમાં એટલો પ્રકાશ આપવાની ક્ષમતા હોય છે. જો એ બલ્બ ૧૦ વૉટ જેટલો જ પ્રકાશ આપે, તો ૯૦ વૉટની ખોટ જાય છે એ આપણને પરખાતું નથી. વિદ્યાર્થીઓનું પણ આવું થાય છે. આ ખોટ સમગ્ર રાષ્ટ્રની છે. આમાં માતૃભાષા વિદ્યાર્થીને પોષણ આપે છે. દા.ત., બધાં વાલીઓ ઇચ્છે છે કે પોતાના બાળકને ગણિતમાં ૧૦૦માંથી ૯૯ માર્ક્સ આવે. આ અંગે દુનિયાભરમાં સંશોધનો થયાં છે. તેનાં તારણો એવાં મળ્યાં છે કે આપણા મગજમાં એવા સેન્સર્સ છે જેમાંથી ગણિતની અમૂર્ત વિભાવનાઓ પસાર થાય છે અને વિષય ગ્રહણ થાય છે. જો બાળક માતૃભાષા દ્વારા શીખતો હશે, તો તેની ગ્રહણશીલતા અનેક ગણી વધી જશે. મગજનાં સેન્સર્સ વધુ સક્રિય રહેશે. આ અંગે તો આપણે વિચાર જ નથી કર્યો. આપણે એક બે નહિ, હજારો વિક્રમ સારાભાઈ, એ.પી.જે. કલામસાહેબ, ઉમાશંકર જોશી કે મનુભાઈ પંચોળી – દર્શકની જરૂર છે. આ વિરાટ દેશના હજારો મૂંઝવતા પ્રશ્નો છે. તેના ઉકેલો શોધનારા, માનવતાપ્રેરિત ઉકેલો શોધનારાની આપણે જરૂર છે. એ માટે સર્જનાત્મકતાનો વિકાસ જરૂરી છે.

૩. ત્રીજું તત્ત્વ છે જે કાંઈ કરીએ, તે શ્રેષ્ઠ રીતે કરીએ. સફાઈ કરવાથી લઈને વિમાન ચલાવવું કે એક ઉદ્યોગગૃહ સંભાળવાથી લઈને આંખનું સૂક્ષ્મ ઑપરેશન કરવા સુધીનાં તમામ કાર્યો શ્રેષ્ઠ રીતે થવાં જોઈએ. આજે આપણે ચોતરફ બેદરકારી, કામચોરી, બગાડ, ઉપેક્ષા, ભ્રષ્ટાચાર જોઈએ છીએ. એ અધૂરા કે ખોટા શિક્ષણનું પરિણામ છે. ગુણવત્તા અને શ્રેષ્ઠતાની ઉપેક્ષા કદી કોઈ રાષ્ટ્ર કરી ન શકે. આ ત્રણે તત્ત્વોના વિકાસમાં માતૃભાષાની પણ મદદ મળે છે.

આજે શિક્ષણ ઊલટી દિશામાં ચાલી રહ્યું છે, એટલે આખા રાષ્ટ્રમાં પ્રશ્નો જ પ્રશ્નો છે. એટલે હિંસા, શોષણ, અન્યાય, અત્યાચાર, લાંચરુશ્વત જોવા મળે છે. આ ઘણા મોટા પ્રશ્નો છે. પ્રશ્નો વિશે બે પ્રકારના પ્રતિભાવો હોય છે : (૧) શાહમૃગની જેમ થાકીને રેતીમાં મોં નાખી દઈને માનવું કે કોઈ પ્રશ્ન (આફત) છે જ નહીં. આ પલાયનવાદ છે. એમાં પ્રશ્નોનો ઉકેલ નથી, વિનાશ તરફની ગતિ હોય છે. (૨) પ્રશ્નનો ઉકેલ શોધો. આર્નોલ્ડ ટૉયન્બી વીસમી સદીના મહાન ઇતિહાસકાર ગણાય છે. તેમણે જગતભરની સંસ્કૃિતઓનો અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું કે, જે સંસ્કૃિત અને સભ્યતા સમસ્યાઓ સામે હાર સ્વીકારવાને બદલે એના ઉકેલો શોધો છે તે મહાન બને છે. આ વાત ખૂબ સાચી છે. આપણે ઉકેલો શોધવાના છે.

આજે તો અંગ્રેજી માધ્યમમાં પણ અંગ્રેજી ખરાબ રીતે શીખવાય છે અને ગુજરાતી તો મુદ્દલ ભણાવતા નથી. ગુજરાતી માધ્યમમાં પણ ગુજરાતીની દશા અત્યંત કંગાળ અને કરુણ છે. ગુજરાતી એટલી ખરાબ અને નીરસ રીતે શીખવાય છે કે એ માટે પ્રીતિ જાગતી નથી. ઊલટાનો બોજ લાગે છે. આમાં મોટી જવાબદારી શિક્ષકોની છે. એક જાણીતો વિચાર છે કે જેનાથી પોતે હલી ગયો નથી એ બીજાના હૈયાને હલાવી શકતો નથી. માતૃભાષાના મોટા ભાગના શિક્ષકોની સજ્જતા અત્યંત કંગાળ છે. તેમાં ય વળી (સરકારથી સંચાલકો સુધી) એવી માન્યતા છે કે ગુજરાતી વિષય તો ગમે તે ભણાવી શકે. એટલે ચિત્ર, સંગીત, રમતગમત, સમાજવિદ્યા કે કોઈ પણ વિષયના સરપ્લસ થયેલા શિક્ષકોને ગુજરાતી શીખવવાનું સોંપાય છે. એટલે ગુજરાતીનું શિક્ષણ વધુ કથળ્યું છે. આ રીત જ ખોટી છે. આપણે સરકાર પાસે માગણી કરવી જોઈએ કે માતૃભાષા શીખવવા માટે અમારાં બાળકોને સજ્જ અને ગુજરાતી ભણેલા સારા શિક્ષકો આપો. તમે સૌ વાલીઓ દર અઠવાડિયે આવી માગણી કરતું પોસ્ટકાર્ડ લખો. જો શિક્ષણમંત્રીશ્રીના ટેબલ ઉપર દર અઠવાડિયે આવા દસ હજાર પત્રોનો ઢગલો થશે, તો તેઓ જરૂર વિચાર કરશે.

આપણે શહેરી જીવનશૈલીમાં વડીલો ગુમાવ્યા છે. બાળકોને દાદા-દાદીનો ખોળો મળે, તો માતૃભાષાનો સાચો વિકાસ થાય. માતા અને પિતા બંને કામ કરે છે, એથી સમય આપી શકતાં નથી. એટલે આપણાં બાળકો સંસ્કાર અને સંસ્કૃિતથી દૂર થતાં જાય છે. શાળાઓ આ અંગે પોતાની જવાબદારી ગણતી બંધ થઈ છે એ મોટી કરુણતા છે. કારણ કે હવે શાળાઓમાં સરસ્વતીનું સ્થાન લક્ષ્મીજીએ લીધું છે. એટલે મર્યાદિત કે દેખાવ પૂરતું જ શિક્ષણ થાય છે. અહીં જીવનભારતીમાં એની કાળજી લેવાય છે, એટલે આપણને જીવનભારતીના સંચાલકો અને શિક્ષકો માટે આટલો ભાવ જાગે છે. અહીં પ્રામાણિક પ્રયત્ન થઈ રહ્યો છે. કેતનભાઈ શેલત અને સૌ અગ્રણીઓ આ માટે જાગૃત છે.

માતૃભાષાના મહિમાનો, પુરસ્કારનો, ગૌરવનો આ કાર્યક્રમ આપણા ચિત્તમાં ઠરે અને વાલીઓ આ અંગે જાગૃત થાય એ જરૂરી છે. વાલીઓ દેખાદેખીથી નહીં વિચારીને નિર્ણય કરે. આજે અહીં ભાષાનાં વિવિધ પાસાંઓ વિશે ઉત્તમ કામગીરી કરનારા ૫૫ જેટલા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને શીલ્ડ અપાશે એ સૌને અભિનંદન પાઠવું છું. વાલીઓ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તેમને ધન્યવાદ પાઠવું છું.

(જીવનભારતી, સુરતમાં માતૃભાષાદિન નિમિત્તે યોજાયેલ ભાષા ઑલમ્પિયાડમાં મુખ્ય મહેમાન તરીકે આપેલું વક્તવ્ય, સુધારા-વધારા સાથે, તા. ૨૮-૨-૨૦૧૭)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 08-09

Loading

આનંદીબાઇ અને મોતીબાઇઃ બ્રિટિશ રાજમાં ‘મેડિકલ’ના પ્રયોગો

વિશાલ શાહ|Opinion - Opinion|15 March 2017

સૌરમંડળના શુક્ર ગ્રહ પર ૫.૫ અંશ ઉત્તર અને ૨૮૮.૮ અંશ પૂર્વ દિશામાં 34.3 કિલોમીટરનો વ્યાસ ધરાવતો મહાકાય ખાડો આવેલો છે. આ ખાડાને આનંદીબાઇ જોશીના નામ પરથી ‘Joshee’ (જોશી) નામ અપાયું છે. અમેરિકાની વિનસ મેગલન ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થાએ વિશ્વની અનેક મહિલા હસ્તીઓને સન્માન આપવાના હેતુથી શુક્રના વિવિધ ખાડાને જે તે મહિલાનું નામ આપ્યું છે.

આનંદીબાઇ જોશીએ ૧૩૧ વર્ષ પહેલાં એમ.ડી.ની ડિગ્રી લઇને ભારતનાં પહેલાં મહિલા ડૉક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે એવી જ સફળતા મેળવનારાં બીજાં સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ ૧૨૮ વર્ષ પહેલાં મેડિકલમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ગુજરાતનાં પહેલાં મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આ બંને મહિલાઓને યાદ કરીએ જેમણે અત્યંત રૂઢિચુસ્ત સમાજની ઉપરવટ જઈને મેડિકલની ડિગ્રી મેળવી હતી.

પહેલાં આનંદીબાઇની વાત. આનંદીબાઇએ એક સદીથી પણ વધુ પહેલાં અનેક સામાજિક મુશ્કેલીઓનો સામનો કરીને ફક્ત ૨૧ વર્ષની વયે ડૉક્ટર ઇન મેડિસિન(એમ.ડી.)ની ડિગ્રી મેળવી હતી. ૩૧મી માર્ચ, ૧૮૬૫ના રોજ મહારાષ્ટ્રના મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં આનંદીબાઇનો પરિવાર કલ્યાણમાં સ્થાયી થયો હતો. એક સમયે તેમના પિતા મોટા જમીનદાર હતા, પરંતુ આનંદીબાઇના જન્મ પહેલાં તેમણે બધી જ સંપત્તિ ગુમાવી દીધી હતી. આ દરમિયાન તેમના પરિવારે નવ વર્ષની વયે જ આનંદીબાઇને ગોપાલરાવ જોશી નામના એક વિધુર સાથે પરણાવી દીધાં. એ વખતે મોટી ઉંમરના પુરુષ સાથે નાની છોકરીઓના લગ્ન સામાન્ય બાબત ગણાતી. આનંદીબાઇનું મૂળ નામ યમુના હતું, 'આનંદીબાઇ' નામ તેમને પતિ તરફથી મળ્યું હતું.

ડૉ. આનંદીબાઇ જોશી

જો કે, ગોપાલરાવ કંઇક અંશે વિરોધાભાસી અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા. નવ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હોવા છતાં તે સુધારાવાદી માનસિકતા ધરાવતો. તેના પર જાણીતા સમાજ સુધારક ગોપાલ હરિ દેશમુખનો જબરદસ્ત પ્રભાવ હતો. દેશમુખ બાળ લગ્નો, દહેજપ્રથા અને બહુપત્નીત્વના જબરદસ્ત વિરોધી હતા. બ્રિટિશ રાજે વર્ષ ૧૮૬૭માં ગોપાલ હરિ દેશમુખની બદલી અમદાવાદના ન્યાયાધીશ તરીકે કરી હતી. રતલામ સ્ટેટના દીવાન તરીકે પણ તેમણે સેવા આપી હતી. બ્રિિટશ રાજે દેશમુખને 'રાવ બહાદુર' અને 'જસ્ટિસ ઓફ પીસ' જેવા સન્માનો આપ્યા હતા. અમદાવાદમાં પ્રાર્થના સમાજની શાખા શરૂ કરનારા પણ દેશમુખ જ હતા. તેઓ સેશન્સ જજ તરીકે નિવૃત્ત થયા હતા. દેશમુખે સમાજ સુધારા માટે વિવિધ મરાઠી પત્રોમાં ૧૦૮ જેટલા ક્રાંતિકારી લેખો લખ્યા હતા.

આ પ્રકારના ગુરુનો પ્રભાવ ધરાવતા ગોપાલરાવ આનંદીબાઇને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રોત્સાહન આપતા. એક મરાઠી બ્રાહ્મણ પરિવારનું ફરજંદ હોવાના કારણે ગોપાલરાવ સંસ્કૃતના વિદ્વાન હતા અને અંગ્રેજી પણ શીખી રહ્યા હતા. ગોપાલરાવે જોયું કે, આનંદીબાઇને પણ અંગ્રેજી શીખવામાં રસ છે, જેથી તેમણે પત્નીને અંગ્રેજીનો અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું. આ દરમિયાન ફક્ત ૧૪ વર્ષની વયે આનંદીબાઇ માતા બન્યાં, પરંતુ સારવારના અભાવે દસેક દિવસમાં જ તેમના બાળકનું મૃત્યુ થયું. આ ઘટનાથી આનંદીબાઇ ખળભળી ઊઠ્યાં અને તેમનામાં આધુનિક ઔષધશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવાનાં બીજ રોપાયાં. ગોપાલરાવે પણ આનંદીબાઇની ઇચ્છાને માન આપીને એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું.

વર્ષ ૧૮૮૦માં ગોપાલરાવે અમેરિકાના જાણીતા મિશનરી રોયલ વિલ્ડર સાથે પત્રવ્યવહાર કરીને આનંદીબાઇ માટે મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસની સંભાવનાઓ વિશે પૂછપરછ કરી. વિલ્ડરે આનંદીબાઇને મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે તમામ સુવિધા આપવાની તૈયારી બતાવી, પરંતુ એ માટે ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. જો કે, રૂઢિચુસ્ત મરાઠી બ્રાહ્મણ દંપતીએ ધર્મ પરિવર્તનની વાત એક જ ઝાટકે ફગાવી દીધી. એ સમયે મિશનરીઓના પત્રવ્યવહારો ધાર્મિક સામાયિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થતા. ગોપાલરાવ અને વિલ્ડરનો પત્રવ્યવહાર પણ 'પ્રિન્સ્ટન્સ મિશનરી રિવ્યૂ'માં પ્રકાશિત થયો, જે ન્યૂ જર્સીમાં રહેતી થિયોડિસિયા કાર્પેન્ટર નામની ઉચ્ચ વર્ગની મહિલાએ વાંચ્યા. ભારતના એક રૂઢિચુસ્ત પરિવારનો પુરુષ પોતાની પત્નીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા આતુર છે, એ વાતથી જ થિયોડિસિયા પ્રભાવિત થઈ ગયાં. થિયોડેસિયાએ જોશી દંપતીને અમેરિકામાં રહેવા-જમવાની સુવિધા આપવાની તૈયારી બતાવી.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આનંદીબાઇના બેચમેટ જાપાનના કેઇ ઓકામી અને સીરિયાના તાબેટ ઇસ્લામબૂલી

જો કે, એ વખતે પતિ સાથે કોલકાતામાં રહેતાં આનંદીબાઇની તબિયત ખૂબ જ ખરાબ રહેતી. આનંદીબાઇને સતત માથાનો દુ:ખાવો, શ્વાસમાં તકલીફ અને તાવની ફરિયાદ રહેતી. એ વખતે પણ થિયોડિસિયાએ જ તેમને અમેરિકાથી દવાઓ મોકલીને સાજા થવામાં મદદ કરી હતી. આ દરમિયાન જોશી દંપતીએ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં મેડિકલનો ઉચ્ચ અભ્યાસ કરવા અરજી કરી. અહીં આનંદીબાઇને પ્રવેશ મળી ગયો અને તેમણે કોલકાતાથી દરિયાઇ માર્ગે અમેરિકા જવાની તૈયારી કરી. આ વાત મરાઠી સમાજમાં વાયુવેગે પ્રસરી જતા રૂઢિચુસ્ત મરાઠા આગેવાનોએ જોશી દંપતીનો જોરદાર વિરોધ થયો. આ સ્થિતિ થાળે પાડવા આનંદીબાઇએ ફક્ત ૧૯ વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સેરામપોર કોલેજના હૉલમાં એક ભાષણ કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, અત્યારે ભારતને મહિલા તબીબોની ખૂબ જરૂર છે. તેમણે ભારતમાં મહિલા મેડિકલ કૉલેજ ખોલવાના પોતાના લક્ષ્યની પણ વાત કરી.

આ પ્રવચને ધારી અસર કરી અને આખા ભારતમાંથી આનંદીબાઇને આર્થિક મદદ મળી. એ વખતના વાઇસરોયે પણ આનંદીબાઇને પ્રેમથી રૂ. ૨૦૦ની ભેટ મોકલાવી હતી. આખરે જૂન ૧૮૮૩માં આનંદીબાઇ અમેરિકા પહોંચ્યાં, જ્યાં થિયોડિસિયાએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. એવું કહેવાય છે કે, અમેરિકાની ધરતી પર પગ મૂકનારી પહેલી મહિલા પણ આનંદીબાઇ જ હતાં. અમેરિકામાં હવામાન અને ડાયટ ધરમૂળથી બદલાઇ જવાથી આનંદીબાઇને શરૂઆતમાં ઘણી શારીરિક તકલીફો પડી. તેઓ ટી.બી.નો પણ ભોગ બન્યાં. આ બધી જ મુશ્કેલીઓમાંથી નીકળીને ૧૧મી માર્ચ, ૧૮૮૬ના રોજ તેમણે એમ.ડી.ની ડિગ્રી હાંસલ કરી. આનંદીબાઇએ 'ઓબ્સ્ટેટ્રિક્સ અમોન્ગ આર્યન હિંદુઝ' વિષયમાં થિસીસ રજૂ કર્યો હતો. આનંદીબાઇએ મેડિકલની ડિગ્રી મેળવી ત્યારે રાણી વિક્ટોરિયાએ પણ તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

વર્ષ ૧૮૮૬માં આનંદીબાઇ ડૉક્ટર બનીને પરત ફર્યાં ત્યારે ભારતમાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. કોલ્હાપુર સ્ટેટના રાજાએ આનંદીબાઇની નિમણૂક આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલના મહિલા વૉર્ડના ફિઝિશિયન ઇનચાર્જ તરીકે કરી. આ હોસ્પિટલ આજે છત્રપતિ શાહુ મહારાજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને છત્રપતિ પ્રમિલાતાઇ રાજે હોસ્પિટલ તરીકે ઓળખાય છે. જો કે, આનંદીબાઇનું ફક્ત ૨૧ વર્ષની વયે ૨૬મી ફેબ્રુઆરી, ૧૮૮૭ના રોજ મૃત્યુ થયું અને મરાઠા સમાજ શોકાતુર થઇ ગયો. આનંદીબાઇના પરિવારે તેમની રાખ અમેરિકા મોકલી હતી, જે આજે ય થિયોડિસિયા કાર્પેન્ટર પરિવારના સ્મશાનમાં તૈયાર કરાયેલી આનંદીબાઇની સમાધિમાં સચવાયેલી છે.

કાર્પેન્ટર પરિવારના કબ્રસ્તાનમાં આનંદીબાઇની સમાધિ

વર્ષ ૧૮૮૮માં કેરોલિન હેલી ડૉલ નામનાં નારીવાદી લેખિકાએ આનંદીબાઇનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું ત્યારે તેમનાં જીવનની અનેક અજાણી હકીકતો બહાર આવી. એ પછી દૂરદર્શને પણ 'આનંદી ગોપાલ' નામે એક હિન્દી સિરિયલનું પ્રસારણ કર્યું હતું. શ્રીકૃષ્ણા જોશીએ આનંદીબાઇના જીવનમાં કલ્પનાના રંગો ઉમેરીને એક 'આનંદી ગોપાલ' નામે એક મરાઠી નવલખા લખી છે, જેનો આશા દામલેએ અંગ્રેજી અનુવાદ કર્યો છે. આ નવલકથા પરથી નાટક પણ ભજવાઇ ચૂક્યું છે. મરાઠી લેખિકા અંજલિ કીર્તનેએ આનંદીબાઇનાં જીવન પર ઊંડું સંશોધન કરીને 'ડૉ. આનંદીબાઇ જોશી: કાલ આની કતૃત્વ' નામનું મરાઠી પુસ્તક પણ લખ્યું છે.

આવાં જ બીજા સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ પણ રૂઢિચુસ્તતા જેવી મુશ્કેલીઓમાંથી હેમખેમ પસાર થઇને ગુજરાતનાં પહેલાં મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું છે. પારસી પરિવારમાં જન્મેલાં મોતીબાઇનો જન્મ ૧૮૬૭માં બોમ્બેના પ્રગતિશીલ પારસી પરિવારમાં થયો હતો. મોતીબાઇને પણ આનંદીબાઇની જેમ પરિવારજનોની સંપૂર્ણ મદદ મળી હતી. આ પારસી પરિવારે મોતીબાઇને મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરાવવા પ્રવેશ અપાવ્યો ત્યારે તત્કાલીન શ્રેષ્ઠીઓના ભવાં તંગ થઇ ગયા હતા. જો કે, ૧૮૮૯માં મોતીબાઇએ મેડિકલમાં સ્નાતકની ડિગ્રી લીધી. બાદમાં તેમનો પરિવાર ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયો. એ વખતે અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ રણછોડલાલ છોટાલાલે કાળુપુરમાં વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ બંધાવી હતી. મોતીબાઇનો આત્મવિશ્વાસ જોઇને તેમણે આ હોસ્પિટલનો બધો જ કારભાર મોતીબાઇને સોંપી દીધો. અહીં મોતીબાઇએ સળંગ ચાળીસ વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રે આક્રમક રીતે કામ કર્યું. મોતીબાઇ ગુજરાતનાં પહેલાં મહિલા તબીબ જ નહીં, પણ એક ક્રાંતિકારી સમાજ સુધારક પણ હતાં.

અમદાવાદમાં મોતીબાઇ કાપડિયા હૉલનું ભૂમિપૂજન કરતી વખતે અન્ય મહિલા આગેવાનો સાથે  (ડાબેથી બીજા) મોતીબાઇ અને અને  (ઇનસેટ તસવીર) અમદાવાદના કાલુપુરની વિક્ટોરિયા હોસ્પિટલમાં તેમનું પૂતળું 

વર્ષ ૧૮૯૪માં વિક્ટોરિયા હોસ્પિટલમાં એક દલિત મહિલા સારવાર કરાવવા આવી. મોતીબાઇ તરત જ તેની સારવારની તૈયારી કરવા લાગ્યાં, પરંતુ હોસ્પિટલ સત્તાવાળા અને સમગ્ર સ્ટાફ તેમની વિરુદ્ધ થઈ ગયો. આ બધાએ ભેગા થઇને મોતીબાઇને ગાળો પણ ભાંડી અને શ્રાપ પણ આપ્યા. મોતીબાઇની સમજાવટ પછીયે આ લોકો ટસના મસ ના થયા તો તેમણે બધાની ઉપરવટ જઇને પણ એ દલિત મહિલાની સારવાર કરી. આજથી એક સદીથી પણ વધુ સમય પહેલાં એ એક ક્રાંતિકારી પગલું હતું. આ ઘટના પછી કેટલીક મહિલાઓ વિક્ટોરિયા હોસ્પિટલની નોકરી છોડીને જતી રહી, પરંતુ એ વખતે બીજી કોઈ મહિલા હોસ્પિટલ નહીં હોવાથી તેઓ ફરી મોતીબાઇ સાથે જોડાઇ ગઇ. એ જમાનામાં મોતીબાઇએ સમાજ સુધારાના આશયથી ગુજરાત લેડીઝ ક્લબની પણ સ્થાપના કરી હતી, જેથી મહિલાઓ ત્યાં ભેગી થઇને વૈચારિક આદાનપ્રદાન કરી શકે. મોતીબાઇના સામાજિક પ્રદાનની નોંધ લઇ બ્રિટિશ રાજે તેમને 'કૈસર એ હિંદ'થી નવાજ્યા હતા. મોતીબાઇએ લોકોના આરોગ્યની ચિંતા કરતાં કરતાં વર્ષ ૧૯૩૦માં આ દુનિયાને અલવિદા કહી.

આજની યુવતીઓ તો આર્મી, એન્જિનિયરિંગ, સાયન્સ, ટેક્નોલોજી, ફાઇનાન્સ અને સ્પેસ જેવા ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી રહી છે, જે થોડાં વર્ષો પહેલાં ફક્ત પુરુષોનો ઇજારો ગણાતો. એક સમયે ભારતમાં અનેક પ્રતિભાશાળી સ્ત્રીઓ ફક્ત જાતિગત ભેદભાવના કારણે ઈચ્છે એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી ન શકતી. દાયકાઓ પહેલાં આવી મુશ્કેલીઓ સામે લડીને મહિલાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપનારી તે મજ દેશના વૈચારિક નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનારી આ બંને મહિલાઓને ઇતિહાસ હંમેશાં યાદ રાખશે.

નોંધ : તસ્વીરો વિકિમીડિયા કોમન્સમાંથી લીધી છે.

———-

e.mail : vishnubharatiya@gmail.com

http://vishnubharatiya.blogspot.co.uk/2017/03/blog-post_14.html

Loading

જાદુગર તો આવે

મનીષી જાની|Poetry|14 March 2017

જાદુગર તો આવે
પેટ ભરવાનું ને
પાવર દેખાડવાનું તો
અેનું કામ છે.
હજારો વર્ષથી જાદુગર તો આવે.
રાજદરબારમાં આવે,
રાગ દરબારી ગવાતો હોયને
ભરી સભામાં
જાદુગર તો આવે.
રાજસિંહાસન પર
રાજા, શાહ, બાદશાહ, રાજા મહારાજા
બીરાજે,
ઊંચા જાદુગર ઊંચા ખેલ
ઊંચા જાદુ દેખાડે.
ભરી સભાની વાહવાહી માં
મુુગામ્બો ખુશ હુવા ને
બે પાંચ સોનામહોરો જાદુગરના ખીસ્સામાં
ખણખણવા માંડે.
ઊંચામાંહ્યલો ચમકતો ચમત્કાર,
જાદુનો જો ખેલ પડે તો
પાંચ દસ ખેતરો ય
રાજામહારાજા આલી દે!
જાદુગરીની પાંચ પેઢી તરી જાય !
જાદુગર તો આવે.
રાજાશાહી ની શાહી સૂકાઈ ને
લોકશાહીના લોકરાજ આવ્યા,
તે શું થયું ?
જાદુગર તો આવે.
ઘરે ઘરે આવે,
ખેલ દેખાડે
ખેલ પાડે !
કોઈ એક ના બે કરી દે,
કોઈ હજારની નોટ છૂ કરીને
બે હજારની કાનમાંથી કાઢે !
કોઈ વળી ભીખારીની ઝોળીમાંથી
આખેઆખું એ. ટી. એમ. કાઢે !
કોઈ તમારી સામે બકરી કાપે ને
બકરીમાંથી સોનાનાં શિંગડાવાળી
આખેઆખી ગૌમાતા કાઢે.
કોઈ પાંચસોની નોટ હવામાં ઊડાડે ને
હવામાંથી આખેઆખી
"ઘરનું ઘર" યોજના કાઢે !
કોઈ ખાલીખમ થેલામાંથી
લૅપટૉપ કાઢે ને લૅપટૉપમાંથી
પચ્ચીસ નવા જાદુનાં ખેલ કાઢે.
જાદુગર તો આવે.
પણ આ તે કેવાં જાદુગર ?
હર હર કરતાં, ઘરઘર ફરતાં,
ઘરમાં ઘૂસી ફરજિયાત જાદુ બતાવે!
ઘરમાં ઘૂસી
સૂતાં ને બેઠાં કરે ને બેઠાં ને ઊઠાડે, "જાદુ તો જોવાં જ પડે, જાદુ જોયાં
વિના નો હાલે ! "
જાદુગર તો આવાં આવે ?
"જાદુ જોતાં થાક્યા ?
નો હાલે, કલમ લાગશે, કેસ હાલશે!
દેશનિકાલની કલમ લાગશે, જાદુ તો જોવા પડશે !"
જાદુગર તો આવે !?

11 માર્ચ 3017

Loading

...102030...3,4253,4263,4273,428...3,4403,4503,460...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved