Opinion Magazine
Number of visits: 9584564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજ્ઞાવાન પ્રતિભાશાલિની ગાનસરસ્વતી કિશોરી આમોણકર કલાકારની ગરિમાનું મૂર્ત રૂપ હતાં

સંજય શ્રીપાદ ભાવે|Profile|8 April 2017

જયપુર અત્રૌલી ઘરાનાનાં કિશોરીતાઈ શાસ્રીય સંગીતના કલાકાર, ગુરુ અને ચિંતક હતાં

ગાનસરસ્વતી તરીકે આદર પામેલાં શાસ્ત્રીય કંઠ્ય સંગીતનાં જાજરમાન કલાકાર કિશોરી આમોણકરનું ત્રીજી એપ્રિલે રાત્રે ચોર્યાશી વર્ષની વયે મુંબઈના પ્રભાદેવી ખાતે તેમનાં નિવાસસ્થાને નિદ્રાવસ્થામાં અવસાન થયું. આ પ્રજ્ઞાવાન પ્રતિભાશાલિનીએ અરધી સદીથી વધુ સમય અસલ રાગદારી અને ખ્યાલ  ગાયકી ઉપરાંત  ઠુમરી, મરાઠી સંતોનાં અભંગો અને મીરાં-કબીરનાં ભજનોનાં ગાયન દ્વારા રસિકોનાં જીવન સમૃદ્ધ કર્યાં હતાં. ‘સાહેલા રે, આ મિલ આએ’ જેવી બંદિશ કે  ‘મ્હારો પ્રણામ’  જેવું ભજન સામાન્ય શ્રોતાઓમાં પણ જાણીતાં છે. એક ગુરુ તરીકે તેમણે દેવકી પંડિત, રઘુનંદન પણશીકર, પદ્મા તળવલકર જેવાં અનેક કલાકારોનું ઘડતર કર્યું. આરતી અંકલીકર-ટિકેકર તો એમને ‘સાક્ષાત્‌ સરસ્વતી’ ગણે છે. વળી, કિશોરીજીએ વ્યાખ્યાનો અને નિદર્શનોમાં શાસ્ત્રીય સંગીતની સિદ્ધાન્તચર્ચા પણ કરી. સર્જન પાછળના વિચારવૈભવને કલાત્મક રીતે સમજાવવાનું કૌશલ પણ એમની પાસે હતું. સંગીતશાસ્ત્ર પરનાં તેમનાં મૌલિક ચિંતનનો અંદાજ તેમનાં ‘સ્વરાર્થરમણી રાગરસસિદ્ધાંત’ નામના મરાઠી પુસ્તકમાં મળે છે. વી. શાન્તારામના ‘ગીત ગાયા પથ્થરોંને’ (1961) ફિલ્મમાં તેમણે કંઠ આપ્યો છે, અને ‘દૃષ્ટિ’ (1991) ફિલ્મનું સંગીત દિગ્દર્શન કર્યું છે.

આ સ્વરયોગિનીએ યમન, ભૂપ અને કેટલાક અનવટ રાગોનાં, લગભગ અપાર્થિવ અનુભૂતિ કરાવે તેવાં રૂપો સંભળાવ્યાં તે જ રીતે અસધારણ સ્તરે પહોંચેલા કલાકારનાં આત્મભાન, સ્વમાન અને અભિમાનનાં રૂપો પણ રસિકોને કિશોરીતાઈ સાથે સંકળાયેલાં અનેક પ્રસંગોમાં જોવાં મળ્યાં. તેમના કાર્યક્રમમાં કલાકારનાં દોરદમામ અને દબદબો કોને કહેવાય એ સહુને સમજાતું. કિશોરીજીનાં યોગદાનના અભિવાદન માટે પુનામાં દર વર્ષે ‘ગાનસરસ્વતી મહોત્સવ’ થાય છે. તેમના પર અમોલ પાલેકર અને સંધ્યા ગોખલે ‘ભિન્ન ષડજ’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી છે.

કિશોરીતાઈ ખુદને સંગીતમાં ‘ગર્ભશ્રીમંત’ ગણાવતાં, એ અર્થમાં કે તે વિખ્યાત શાત્રીય ગાયક મોગુબાઇ કુર્ડીકરના પેટે એ જન્મ્યા હતાં. છ વર્ષની ઉંમરે પિતા ગુમાવનાર કિશોરીને માતાએ કઠોર સાધના અને કડક શિસ્ત હેઠળ વર્ષો લગી સંગીતની તાલીમ આપી હતી. મોગુબાઈએ એમની પીઠ માત્ર એક જ વખત થાબડી હોવાનું કિશોરીજી યાદ કરતાં. દીકરીએ  શાન્તારામની ફિલ્મમાં ગાવાનું કહ્યું એટલે ‘હવે મારા તાનપુરાને અડતી નહીં’ એવો છણકો માતુશ્રીએ કર્યો હતો. અલબત્ત, શિક્ષકનાં પત્ની અને બે દીકરાની માતા એવા કિશોરીતાઈએ કલાકાર, ગૃહિણી અને ગુરુ તરીકે બજાવેલી બધી ભૂમિકાઓ પર માતા મોગુબાઈનો પ્રભાવ હતો. મહિલા સંગીતકારોનું સ્થાન ગૌણ ગણાતું એ જમાનામાં મોગુબાઈ સંગીતની બેઠકો કરતાં અને કિશોરી તેમની સંગત કરવા જતાં. ત્રીજા વર્ગમાં તાનપુરો સંભાળીને મુસાફરી કરતાં. મોગુબાઈ જેવા નિવડેલાં કલાકારની આવવા-જવાની, રહેવા-જમવાની, મહેનતાણા-પુરસ્કારની બાબતમાં આયોજકો દ્વારા અપમાનનાં અનુભવો થતા રહેતા. ગાનસામ્રાજ્ઞી કિશોરી જે ઊંચાં દરનાં આતિથ્ય, વ્યવસ્થા અને પુરસ્કારની માગણી  કરતાં તેની પાછળ આ વાત હતી.

જયપુર-અત્રૌલી ઘરાનાના માતા મોગુબાઈ ઉપરાંત કિશોરીજીએ આગ્રા ઘરાનાના અનવર હુસેન ખાં, ભેંડી બજાર ઘરાનાના અંજનીબાઈ માલપેકર અને ગ્વાલિયેર ઘરાનાના શરદચન્દ્ર આરોળકર પાસે પણ તાલીમ લીધી હતી. જો કે ઘરાનાપરસ્તી અંગે કિશોરીતાઈના ક્રાન્તિકારી વિચારોએ સંગીતાચાર્યોને આઘાત આપ્યો હતો. ‘સંગીતમાં ઘરાના જેવું કંઈ હોતું નથી, હોય છે કેવળ સંગીત. સંગીતને જુદાં જુદાં ઘરાનામાં વહેંચવું એટલે એમને જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચવા બરાબર છે’, આ મતલબની વાત તેમણે અનેક જગ્યાએ કરી છે. એક અભ્યાસી અરવિંદ ગજેન્દ્રગડકરને તો એમણે એટલે  સુધી કહ્યું છે કે ‘… મારો સ્પષ્ટ મત છે કે ઘરાના નષ્ટ ન થાય ત્યાં સુધી આપણા સંગીતની પ્રગતિ શક્ય નથી.’ એ ભાવુકતાથી એમ પણ કહેતાં: ‘ધારો કે બધાં ઘરાનાના ગાયકો એક બનીને દાખલા તરીકે ‘યમન’ ગાય તો એનું કેટલું મોટું વૃક્ષ દેખાવા લાગે.’

કિશોરીતાઈની સિદ્ધિઓ સહજસાધ્ય ન હતી. ‘ભિન્ન ષડજ’ ફિલ્મમાં એ કહે છે : ‘બિભાસ રાગનો છ મહિના અને ભૂપનો છ વર્ષ દરરોજ ત્રણ-ત્રણ કલાક અભ્યાસ કર્યો.’ વળી સંવાદિની, સિતાર, તબલા જેવાં વાદ્યોની પણ એમણે સાધના કરી હતી. દરરોજ કલાકો રિયાઝ કરનાર કિશોરીએ 1968ના અરસામાં બે-એક વર્ષ તેમણે અકળ કારણોસર અવાજ ગુમાવ્યો હતો. તે પુનાના એક ‘સરદેશમુખ મહારાજ’ની આયુર્વેદિક સારવાર અને કિશોરીજીના પોતાની અફર આશાના બળે પાછો આવ્યો હતો. વળી આ તબક્કામાં તેમણે  સંગીત પર સતત વાચન-ચિંતન-લેખન કર્યું. એલફિ ન્સ્ટન્સનાં સ્નાતક કિશોરી સંગીતનાં મૂળમાં જઈને તેનું વિજ્ઞાન સમજવાની એમની ખેવના પૂરી કરવા મથ્યાં. એ માટે એમણે સ્વરોના ઇતિહાસ પરના ગ્રંથો વાંચ્યા. રસસિદ્ધાન્તનો ગહન અભ્યાસ કર્યો. સાહિત્યશાસ્ત્રમાં જે રસસિદ્ધાન્ત છે તે સંગીત માટે પણ પોષક છે એવું તે માનતાં. એ કહેતાં : ‘મારા બિલ્ડિંગના ચોકીદારને હું એમ નથી પૂછતી કે તમને કયો રાગ ગમે છે, હું એમને પૂછું છું કે તમને સંગીતમાં રસ છે કે કેમ ?’ ભારતીય સંગીત રસભાવપરિપોષક પણ છે એમ એમણે સાબિત કર્યું. પહેલાં એમ માનવામાં આવતું કે આપણું સંગીત માત્ર બુદ્ધિ કે જ્ઞાનને ચાલના આપનારું છે. શાસ્ત્રીય સંગીતમાં ભાવનાપ્રધાન ગાયકીને તેમણે નવું જીવન આપ્યું એવો નિષ્ણાતોનો મત છે. મહેફિલમાં દરેક ક્ષણે રાગનું નવું અસ્તિત્વ બતાવી શકતાં. તબલા વાદક ઝાકીર હુસેન કહે છે કે કિશોરીતાઈનો ભૂપ એ સો વર્ષે એકાદ વખત સાંભળવા મળતાં મળે !

કિશોરીતાઈ જલદ અને આગ્રહી સ્વભાવ માટે જાણીતાં હતાં. ‘રિયાઝનો મૂલ્યવાન સમય’ ન બગડે તે માટે તે ઇન્ટર્વ્યૂઝ ટાળતાં, મુલાકાતીઓને ટટળાવતાં. સત્તાવાળા કે સેલિબ્રિટિઝ સહિત કોઈપણ શ્રોતાને તે કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માટે તતડાવી નાખતાં, એટલું જ નહીં પણ મહેફિલ છોડીને ચાલ્યાં પણ જતાં. એ કહેતાં: ‘મારે ચિત્ત એકાગ્ર કરીને અમૂર્ત સાથે સંવાદ સાધવાનો હોય છે. એના માટે મારે શ્રોતાઓનો સહકાર જોઈએ, લોકોએ સમજવું જોઈએ કે સંગીત એ મનોરંજન નથી. એ પ્રેક્ષકોને આકર્ષવા માટે ગવાતું નથી … શ્રોતાઓએ કલાકારના એકાંતમાં અવરોધ ન લાવવો જોઈએ.’ બેઠક પહેલાં તે સભાગૃહનાં ગ્રીનરૂમમાં ચિંતન, રિયાઝ કરતાં. એ દરમિયાન તે કોઈ ખલેલ બરદાશ્ત ન કરી શકતાં. કિશોરીતાઈ લગભગ હંમેશાં અંધારામાં ગાતાં. મંચ પર હોય ત્યારે ખુદની પર પ્રકાશ નાખવાની એ મનાઈ ફરમાવતાં. એ કહેતાં : ‘માણસ પર પ્રકાશ ફેંકાતો હોય તો એ ટ્રાન્સમાં – તંદ્રાવસ્થામાં જઈ ન શકે.’ વ્યવહાર-વર્તનની આ બધી અરુઢતા કિશોરી આમોણકરનો સૂર લાગી જાય એટલે પછી ભૂલાઈ જતી. એમનું સંગીત સાંભળતાં કહેવાતું : ‘… સમઝો ભગવાન કે દર્શન હો ગયે.’ 

દિલ્હીના નહેરુ પાર્કમાં ઑક્ટોબર 2016 માં  યોજાયેલી મહેફિલમાં તેમને ગાવામાં તકલીફ પડી રહી હતી. એમણે કહ્યું હતું : ‘તમને આજે મારી પાસેથી જે મળે છે તે  વર્ષો પહેલાં મારી પાસેથી મળતું તેનાથી જુદું છે. ઠહેરાવ બહુ છે. મને મારો રાહ ખબર છે અને મને  મારો મકામ ખબર છે. હું ત્યાં પહોંચી શકીશ કે નહીં એ હું જાણતી નથી.પણ હું જીવું છું ત્યાં સુધી આ કરતી રહીશ.’

6 એપ્રિલ 2017

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

પોસ્ટ ટ્રુથ, ગુજરાત સ્ટાઇલ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|8 April 2017

અહેવાલનો પાઠ આમજનતાથી ઓઝલ છે ને બે અરજદારોને પણ એની નકલ મળ્યાનાં ઓસાણ નથી

અનર્થઘટન … સાહેબો, અક્ષરશ: અનર્થઘટન. બ્લફબહાદુરી તો કોઈ એમની કને શીખે. 2013માં એમ.બી. શાહ પંચે રજૂ કરેલો હેવાલ કાયદા વિભાગને અંધારામાં રાખી પરબારો જાહેર વહીવટ વિભાગના કબજામાં ધરબી હવે સાડા ત્રણ ચાર વરસે વિધાનસભામાં (અને તે પણ સત્રના છેલ્લા દિવસે અને ગૃહ સમસ્ત જોગ એક માત્ર નકલ રૂપે) પેશ કરીને રાજ્ય સરકાર રાબેતા મુજબ બાગે બહાર સેલ્ફી શૈલીએ વિધાનગૃહ મારફત તમને અને મને એટલે કે જે વાસ્તવિક એવા રાજકીય સાર્વભૌમ છે તેવા નાગરિકને ‘વધામણી’ આપે છે કે પંચે અમને ‘ક્લીન ચિટ’ આપી છે. અહેવાલનો પાઠ આખો તો અલબત્ત આમ જનતાથી ઓઝલ છે, જો ધારાસભ્યો કને પણ એની નકલ પહોંચી નથી તો સ્થાપિત પક્ષોની આઘાપાછીની એસીતેસી કરીને ચિત્રમાં પ્રવેશેલા બે અરજદારોને પણ એની નકલ આજથી તારીખે મળ્યાનાં ઓસાણ નથી. અલબત્ત, સન્માન્ય વિધાનસભ્યોએ કે નગણ્ય નાગરિક સમાજે એ અંગે મનમાં મલાલ રાખવાને કારણ નથી, કેમ કે સરકારશ્રીએ ટૂંકો સારાંશ બહાર પાડી કથિત કલીન ચિટ બાબતે ડંકે કી ચોટ કહ્યું જ છે. હરખ હવે તું ગુજરાત.

2013માં રજૂ થયેલ હેવાલ બાબતે સરકારે અનર્થઘટને તો અનર્થઘટન પણ  છેક 2017ના ચૂંટણી વરસમાં જાહેર કર્યું! આવું કંઈ પહેલી વારકું નથી બન્યું. શાહ પંચના હેવાલનો પહેલો ભાગ સપ્ટેમ્બર 2012માં રજૂ થઈ કલીન ચિટની સત્તાવાર જાહેરાત બરાબર એ જ દિવસે પામ્યો હતો જ્યારે ચૂંટણી પૂર્વ આચારસંહિતાનો અમલ શરૂ થવામાં હશે.

ઘડિયાં લગન, પરબારી જાહેરાત અને વિધાનસભા કોરાણે, એવું આ ગુજરાત મોડેલ જરી બરાબર દર્જ થાય, દસ્તાવેજ ધોરણે દર્જ થાય તે માટે હજુ એક-બે ઓર પૂર્વરંગ ઝલક આપું? હેવાલ ક્યાં ને ક્યારે, એવું ગૃહમાં – રિપીટ, ગૃહમાં – પૂછાયું ત્યારે 2013માં રાજ્ય પ્રધાનમંડળના વરિષ્ઠ મંત્રી  આનંદીબહેને કહ્યું હતું કે પૂછો રાજભવનને. મતલબ, હેવાલ રાજ્યપાલ પાસે છે. સન્માન્ય ધારાસભ્યો, ખબર નહીં આ ઘૂંટડો કેમે કરીને ગળી ગયા હશે. પણ નિરીહ નાગરિક બચાડો શું કરે, સિવાય કે ભાંગ્યાના ભેરુ સરખી આર.ટી.આઈ.નો સહારો લે. જુલાઈ 2013માં જવાબ મળ્યો, રાજભવન તરફથી, કે મળેલ નથી. એક ઓર પૃચ્છા અને નવેમ્બર 2014માં (મુખ્યમંત્રીની મે 2014ની પ્રધાનમંત્રી પદોન્નતિ પછી) રાજભવનનો એ જ પ્રતિસાદ – હેવાલ અમને મળ્યો નથી. વળતે મહિને, તા. 18-12-2014 અને આર.ટી.આઈ. પ્રાપ્ત સ્પષ્ટ વિગત કે સરકારે રાજ્યપાલને પણ જાણ કરી નથી.

આમ તો, સન્માન્ય નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ.બી. શાહની સેવાઅો માગી લેવાઈ હતી તે પણ વિલક્ષણ સંજોગો હતા. નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.એ. મહેતાની હેડીના ટટ્ટાર જણ ગમે તે ક્ષણે લોકઆયુક્તપદનો હવાલો સંભાળશે એવા ભણકારા વાગતા હતા. મુખ્યમંત્રી મોદી ત્યારે જે આટાપાટા રમ્યા એ ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી મુજબ ‘મિની કૉન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ’ સરજનારા હતા. પણ લોકઆયુક્તપદ અધિકારપૂર્વક કાર્યરત બને તે પૂર્વે ગાળિયો કાઢી નાખવા માટે આ પંચ એકાએક જાહેર થયું હતું એમ સાંયોગિક ધોરણે જોતાં સમજાય છે.

પુણ્યાત્માનાં અંતર તો આભ જેવાં અગાધ રહ્યાં, એનો સમગ્ર તાગ લેતી સ્પેસ-રે, તે માટેનું ગજું પણ નાચીજ નાગરિક કને ક્યાંથી હોય. પણ એક વાત છે, ચૂંટણીનું વરસ છે, અને વિધાનસભા વિસર્જનની વાતો પણ હવામાં છે. રાજ્ય વિધાનસભાને વિપળવાર પણ પોતાના વજૂદનો ખયાલ હોય તે એણે શાહ હેવાલની (ચાર વરસ તે પડી રહ્યો તે દરમ્યાનના અધિકૃત એ.ટી.આર. – ઍક્શન ટેઇકન રિપોર્ટ સહિતની) તત્કાળ ચર્ચા તો, અગ્રતાક્રમે, બલકે વિશેષ સત્રરૂપે મળવાની તૈયારી સાથે માગવી જોઈએ. નહીં તો, ‘ક્લીન ચિટ’ સરખા પોસ્ટ ટ્રુથ અનર્થઘટન સાથે એક ઓર ચૂંટણી … હરખ હવે તું ગુજરાત.

ઇચ્છીએ કે વિધાનસભા વજૂદનું વરદાન પામે. પણ, દરમ્યાન, સરકારી સારાંશના ઉજાસમાં અનર્થઘટન અને બ્લફબહાદુરીનો કંઈક ખ્યાલ જરૂર મેળવીએ. બને કે વિધાનસભ્યોને વજૂદની વાટે એથી કંઈક ભાથું વખત છે ને મળે.

પહેલો જ દાખલો ઇન્ડિગોલ્ડ રિફાઈનરીએ કચ્છમાં 36.25 એકર ખેતીલાયક જમીનની ખરીદી કર્યાનો લઈએ. પંચે કહ્યું છે કે આ બાબત સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન હોઈ અમે અભિપ્રાય આપી શકીએ નહીં. દેખીતી રીતે જ, અહીં પંચે સલામત અંતર જાળવ્યું હોય તો પણ તે કોઈ ક્લીન ચિટનો કિસ્સો નથી. દરમ્યાન, 2014માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે જેમાં રાજ્ય સરકારના નિર્ણયને રદબાતલ જાહેર કરવા સાથે તેને ‘રુલ ઑફ લૉ’ની ઉપરવટ જણાવી ધરાર ‘એરોગન્ટ’ કહ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને અને મહેસૂલ મંત્રીને અરજદારો મળ્યા તે પછી સરકારે લીધેલું આ મનસ્વી પગલું ગુનાઇત લેખાય એવું છે. મહેસૂલ મંત્રી આનંદીબહેને મુખ્યમંત્રી કાર્યાલયના સંપર્કમાં રહી આને ‘ખાસ કેસ’ ગણવાનું વલણ લીધું હતું તે લક્ષમાં લઈએ તો ગુનાઇત, જવાબદારી કયે પક્ષ નક્કી કરવાની છે તે સ્પષ્ટ થઈ જાય છે, અને સરકારે એપ્રિલ 2017 સુધી કોઈ પગલું નહીં ભરી ગુનાને કેવળ‌ અને કેવળ‌ છાવર્યો છે. (‘મિસયુઝ ઑફ પાવર હેઝ લેડ ટુ ધ કન્ક્લુઝન ધેટ ધિસ લીડ્ઝ ટુ ક્રિમિનલ ઍક્શન’)

સુજલાલ-સુફલામમાં થયેલી ગેરરીતિ ચર્ચામાં આવ્યે (અને કોઈને સજા નહીં થયે) હવે સહેજે દસકો થશે. પંચે એમાં જવાનું ટાળ્યું છે પણ પોતાની સલામતી શોધવા સાથે એટલું ઉમેર્યું છે કે કેગ, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અને પબ્લિક અંડરટેઇકિંગ કમિટીએ આમાં યોગ્ય કરવાનું રહેશે. દેખીતી રીતે જ, આ દાખલો ક્લીન ચિટનો નથી પણ કેગ આદિ સંવૈધાનિક સંસ્થાઓ પરત્વે સરકાર પાસે અપેક્ષિત આજ્ઞાધીનતા અને આદરનો છે. હવે, સરકાર દ્વારા રચાયેલ વી.એસ. ગઢવી સમિતિ, મંજુલા સુબ્રમણ્યમ સમિતિ, કૅગ, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી સૌનું તારણ ‘ફોજદારી ગુના’નું છે. પ્રશ્ન તે મુજબ એફ.આઈ.આર. દાખલ કરી જવાબદારો સામે ફોજદારી પગલાં ભરવાનો વસ્તુત: છે.

આવો જ પ્રશ્ન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો પણ છે. ઓઇલ અને ગેસના વિપુલ ભંડારો હોવાની કથિત માહિતીને ધોરણે જીઓ ગ્લોબલ કંપની સાથે જી.એસ.પી.સી.એ કરેલો કરાર (વાસ્તવમાં ગૅસ અને ઓઇલ નહીં મળતાં) શંકા અને તપાસના દાયરામાં છે. આ આક્ષેપો પંચના કહેવા પ્રમાણે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અને પબ્લિક અંડર ટેઇકિંગ્ઝ કમિટી તેમ જ અંતે તો વિધાનસભાએ તપાસવાનાં રહે. પંચે આમ સૂચવી એક રીતે પોતાનું અંતર બનાવ્યું છે, તો બીજી રીતે સરકારની સંભવિત જવાબદારી ચીંધી છે. ગમે તમે પણ, એને ‘ક્લીન ચિટ’નો કિસ્સો તો નહીં જ કહી શકીએ.

રાંક બાપડા અરજદારોએ કોઈ પુરાવા રજૂ ન કર્યાનું પંચ અને સરકાર કહે છે. ભાઈ, તંત્ર અને પંચ, સુવિધાસમ્પન્ન અધિકારપ્રાપ્ત તો તમે છો. અરજદારોએ તો સ્થાપિત પક્ષોની આઘાપાછી પછી અને છતાં આક્ષેપોને તપાસવાની ફરજ પાડી. એક સવાલ-દારને નાતે સંબંધિત સૌને સાબદા કીધા. પંચને સંભવિત સ્રોતની ખબર આપી. પંચે એમને સમન્સ મોકલી હાજર કરવાની જરૂર કેમ ન જોઈ? અરજદારોએ ચીંધેલ દસ્તાવેજો સત્તાવાર મગાવી, તપાસવાની જરૂર કેમ ન જોઈ? એ તો એના અખત્યારનો ઇલાકો હતો.

રે, અનર્થઘટન!

પ્રકાશ ન. શાહ,  લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

સૌજન્ય : ‘‘ક્લીન ચિટ’ના કાવાદાવા’, “દિવ્ય ભાસ્કર”, 08 અૅપ્રિલ 2017

Loading

એક જ માણસ છે આ ધરતી પર જે ઝાકળ જેટલો જ પવિત્ર તેમ જ પારદર્શક છે અને પાછો ગાંધીજીની માફક જાહેર જીવનમાં છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 April 2017

તિબેટે ચીન પર ભરોસો કરવો જોઈએ કે નહીં એવી મૂંઝવણની સ્થિતિમાં એક દિવસ સગીર વયના દલાઈ લામાએ નિર્ણય લઈ લીધો કે તેઓ હવે રાજકીય નિર્ણય ખુદ લેશે. રીજન્ટને હટાવી દીધા અને શાસનની ધુરા સંભાળી લીધી. અત્યંત મુશ્કેલ સ્થિતિમાં અને જગતના અત્યંત મુશ્કેલ પ્રદેશમાં ૧૫ વરસના તરુણે આવડું મોટું સાહસ કર્યું હતું એ જોઈને ચીનના સામ્યવાદી પક્ષના ચૅરમૅન માઓ પણ હેબતાઈ ગયા હતા

૧૯૯૨માં કોઈ નબળી ક્ષણે મેં લખ્યું હતું કે ભારતે હવે તિબેટનો બોજો ફગાવી દેવો જોઈએ. એ યુગનો પ્રચલિત જર્મન શબ્દ વાપરીએ તો એ રિયલપૉલિટિકનો જમાનો હતો જેને કારણે બર્લિનની દીવાલ તૂટી હતી અને એ પછી સોવિયેટ સંઘનો અંત આવ્યો હતો. ભારતમાં વડા પ્રધાન પી. વી. નરસિહ રાવે ચીન સાથેના સંબંધોને નવે પાટે ચડાવ્યા હતા જેમાં સરહદી ઝઘડાને આર્થિક અને અન્ય સહયોગમાં વચ્ચે ન લાવવાનો કરાર થયો હતો. બહુ મોટી પહેલ હતી અને એમાં તિબેટ એ જોડાનો ડંખ લાગતો હતો. ભારતે હવે સિદ્ધાંતપરસ્ત બનવાની જગ્યાએ વ્યવહારપરસ્ત બનવું જોઈએ એમ ત્યારે મેં લખ્યું હતું.

દલાઈ લામા વિશે મેં ત્યારે લખ્યું હતું કે દલાઈ લામા ગાંધી અને અહિંસાની વાત તો કરે છે, પરતું તેમનામાં ગાંધીજી જેટલી નિર્ભયતા અને તત્પરતા નથી. તેઓ વિદેશમાં ફરે છે, ભાષણો આપે છે; પરંતુ તિબેટિયન પ્રજા આંદોલિત થઈને અહિંસક સત્યાગ્રહ કરે એ દિશામાં તેમણે કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી. આવી ભાવના કેટલાક તિબેટી યુવકો પણ ધરાવતા હતા અને હજી આજે પણ ધરાવે છે. તેમને એમ લાગે છે કે ભારતમાં રહીને જિંદગી વિતાવવાથી કંઈ હાથમાં આવવાનું નથી એટલે તેઓ જોઈએ તો હિંસાનો માર્ગ પણ અપનાવવા આતુર છે. દલાઈ લામા તેમને રોકે છે. તેઓ કહે છે કે આવા પ્રતિકૂળ સમયખંડોથી વિચલિત થવાની જરૂર નથી, અંતિમ વિજય સત્યનો થવાનો છે.

મેં મારાં લખાણોમાં વ્યક્તિ અને પરિસ્થિતિના આકલનમાં અનેક વાર ભૂલો કરી છે જેમાં આ સૌથી ગંભીર ભૂલ છે. દલાઈ લામા કેટલા નિર્ભય છે, પરિસ્થિતિનું કેટલી હદે વસ્તુિનષ્ઠ આકલન કરી શકે છે, કેટલી હદે બીજાને ચાહી શકે છે અને એકલા પડીને પણ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે એની જાણ મને તેમની આત્મકથા ‘ફ્રીડમ ઇન એક્ઝાઇલ’ વાંચીને થઈ. ૧૯૫૦માં ચીને તિબેટ પર આક્રમણ કર્યું અને ૧૭ મુદ્દાની સમજૂતી તિબેટ પર ધરાર લાદી ત્યારે દલાઈ લામાની ઉંમર માત્ર ૧૫ વરસની હતી. દલાઈ લામા સગીર વયના હોવાથી તેમના વતી તિબેટ પર રીજન્ટ શાસન કરતા હતા. તિબેટીઓ નિર્ણય નહોતા લઈ શકતા કે ચીન પર ભરોસો કરવો જોઈએ કે નહીં અને માથે મારી હોવા છતાં સમજૂતીને એક તક આપવી જોઈએ કે નહીં. ૧૫ વરસના દલાઈ લામા એ સમયે તિબેટ પરના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘સેવન યર્સ ઇન તિબેટ’ના લેખક હેન્રિક હેરર પાસે ફોટોગ્રાફી શીખતા હતા, મોટરકારની ટેક્નૉલૉજી સમજતા હતા અને બાકીનો સમય તિબેટમાં શું બની રહ્યું છે એ જોતા રહેતા હતા.

એ મૂંઝવણની સ્થિતિમાં એક દિવસ દલાઈ લામાએ નિર્ણય લઈ લીધો કે તેઓ હવે રાજકીય નિર્ણય ખુદ લેશે. રીજન્ટને હટાવી દીધા અને શાસનની ધુરા સંભાળી લીધી. અત્યંત મુશ્કેલ સ્થિતિમાં અને જગતના અત્યંત મુશ્કેલ પ્રદેશમાં ૧૫ વરસના તરુણે આવડું મોટું સાહસ કર્યું હતું એ જોઈને ચીનના સામ્યવાદી પક્ષના ચૅરમૅન માઓ પણ હેબતાઈ ગયા હતા. દલાઈ લામાએ ૧૭ મુદ્દાની સમજૂતીને એક ચાન્સ આપવાનો નિર્ણય લીધો અને વધુ સ્પષ્ટતા કરવા માટે બીજિંગ (ત્યારે પેકિંગ) જવાનો નિર્ણય લીધો હતો. એ જમાનામાં લ્હાસાથી ચીન જવા માટે ખચ્ચર સિવાય બીજું કોઈ સાધન નહોતું. મહિના-બે મહિનાનો લાંબો પ્રવાસ હતો અને ઉપરથી સંદેશવ્યવહાર માટે સંદેશવાહક સિવાય કોઈ સાધનો નહોતાં. તિબેટિયનો દલાઈ લામાના આવા નિર્ણયથી ડઘાઈ ગયા હતા. દલાઈ લામાને મારી નાખશે તો? જેલમાં પૂરી દેશે તો? બીજિંગમાં તેમનું શું થયું એ જાણવા માટે પણ કોઈ માર્ગ નથી. કોઈ સંદેશવાહક બીજિંગથી સંદેશ લઈને આવવાનો નથી.

તેમના મિત્ર હેન્રિક હેરર, તિબેટમાં જે કોઈ બુદ્ધિશાળીઓ હતા એ, તિબેટનો શાસકવર્ગ અને પ્રજાની ચીન ન જવાની ગુહારને અવગણીને દલાઈ લામાએ ચીનનો પક્ષ સાંભળવા અને રસ્તો શોધવા બીજિંગ જવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તેમની વય ૧૮ વરસની હતી. દલાઈ લામાના આશ્ચર્ય વચ્ચે ચીનમાં માઓ ઝેદોન્ગે તેમનું ઉમળકા સાથે સ્વાગત કર્યું હતું અને તેમને પુત્રવત પ્રેમ કરતા હતા. દલાઈ લામાને સમજાતું નહોતું કે આટલો કોમળ અને પ્રેમથી છલકાતો માણસ આખેઆખી પ્રજાને અન્યાય કરી કેમ શકે? આ બાજુ ચર્ચામાં માઓ તિબેટને કોઈ રાહત આપતા નહોતા. એક બાજુ જેમના ખોળામાં માથું મૂકીને નિશ્ચિંત થઈને સૂઈ જવાનું મન થાય એવો બાપ જેવો વર્તાવ અને બીજી બાજુ ચર્ચાના ટેબલ પર દરેક માગણીના પ્રતિસાદમાં એ જ જવાબ; આપણે વિચારીશું, રસ્તો કાઢીશું. જો વિદેશી મહેમાનો આવ્યા હોય તો દલાઈ લામાનું સ્થાન માઓની બાજુમાં હોય. તેમનો પરિચય તિબેટી ધર્મગુરુ તરીકે અને સ્વાયત્ત તિબેટના સ્વતંત્ર શાસક તરીકે કરાવે.

મહિનાઓ સુધી આ રમત ચાલતી રહી. નહોતી માઓના પ્રેમમાં ઓટ આવતી કે નહોતું દલાઈ લામાને કંઈ હાથ લાગતું. દલાઈ લામા તેમની આત્મકથામાં લખે છે કે બીજિંગ છોડીને લ્હાસા પાછા ફર્યા પછી પણ તેઓ નક્કી નહોતા કરી શકતા કે તેમણે માઓ પર ભરોસો રાખીને તેમના ખોળામાં માથું મૂકી દેવું જોઈતું હતું કે નહીં? ૨૦૦૭માં દલાઈ લામાને મળવાની તક મળી ત્યારે મેં તેમને પ્રશ્ન કર્યો હતો કે હવે આટલાં વર્ષે માઓ વિશેની તમારી વિમાસણનો અંત આવ્યો છે ખરો? તેમણે બાળકની જેમ ખડખડાટ હસીને કહ્યું હતું કે ના, માઓનો અફાટ પ્રેમ હજી પણ કોયડા સમાન છે. એક જ સમયે એક માણસની અંદર બે માણસ કેવી રીતે હોઈ શકે? માઓઝ સ્માઇલ. એ જમાનામાં ભારતના બીજિંગ ખાતેના રાજદૂત સરદાર પણ્ણીકર સહિત અનેક લોકોને માઓના સ્મિતે ભ્રમમાં નાખ્યા હતા.

તેમની મહાનતાની ત્રીજી ઘટના ૧૯૫૬ની સાલની છે. તેઓ ભગવાન બુદ્ધની ૨૫૦૦મી જન્મજયંતીના ઉત્સવમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. તેમની ઇચ્છા ભારતમાં રહી જવાની હતી, પરંતુ જવાહરલાલ નેહરુએ તેમને વતન પાછા ફરીને વાટાઘાટ દ્વારા રસ્તો શોધવાનો વધુ એક પ્રયાસ કરી જોવાની સલાહ આપી હતી. તિબેટ પાછા ફરવું એટલે મોતના મોઢામાં સામે ચાલીને જવા જેવું લાગતું હતું, પરંતુ દલાઈ લામાએ સાચા ગાંધીજન તરીકે વતન પાછા ફરવાની હિંમત બતાવી હતી. પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો અને આખરે ૧૯૫૯ની ૩૧ માર્ચે તેઓ નાસીને ભારત આવી ગયા હતા. બરાબર આજની તારીખે તેઓ ૫૮ વરસ પહેલાં અરુણાચલ પ્રદેશમાં આવેલા તવાંગના મઠમાં પહોંચ્યા હતા, જ્યાં અત્યારે તેઓ ગયા છે અને ચીન તેમની મુલાકાતનો વિરોધ કરી રહ્યું છે.

માઓથી ઊલટું દલાઈ લામાની અંદર એક જ માણસ છે. નિરુપાધિક સહજાવસ્થા કેવી હોય એ દલાઈ લામામાં જોવા મળે. કોઈ પણ સંજોગોમાં ભારત સરકારે દલાઈ લામા અને તિબેટનો હાથ ન છોડવો જોઈએ, ચીન ગમે એટલાં ઉધામા કરે. એકમાત્ર માણસ છે આ ધરતી પર જે ઝાકળ જેટલો પવિત્ર અને પારદર્શક છે અને પાછો ગાંધીજીની માફક જાહેર જીવનમાં છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 અૅપ્રિલ 2017

Loading

...102030...3,4063,4073,4083,409...3,4203,4303,440...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved