Opinion Magazine
Number of visits: 9767826
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી વિષે અવનવું

હરનિશ જાની|Gandhiana|22 July 2017

અમેરિકન ટી.વી. પર ભારતની વાત સાંભળી. તેમાં પણ ગાંધીબાપુ વિષેની વાત સાંભળી, જે મેં અગાઉ કદી સાંભળી નહોતી. બની શકે કે ઘણાને આ લેખથી તે જાણવા મળે.

૧૯૦૩માં સાઉથ આફ્રિકા(આફ્રિકાના એક દેશનું નામ)માં ગાંધીજી ફૂટબોલ (અમેરિકામાં જેને સૉકર કહેવામાં આવે છે.) રમતા હતા. અને ફૂટબોલના કોચ–ટ્રેનર હતા. તેમણે જુદા જુદા ત્રણ શહેરમાં તો ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી, ડરબનમાં, પ્રિટોરિયામાં અને જોહાનિસબર્ગમાં. આ ત્રણેનાં નામ અહિંસક સત્યાગ્રહ ફૂટબોલ ક્લબ (પેસીવ રેસિસ્ટર ફૂટબોલ ક્લબ) રાખ્યા હતા. અને ગાંધી જેનું નામ – ફૂટબોલની મેચના હાફ ટાઈમમાં ટીમને અહિંસા વિષે સમજાવતા. એટલું ઓછું હોય તેમ દર્શકોને સત્ય અહિંસાના પાઠ ભણાવતા કાગળિયાં – પેમ્ફલેટ વહેંચતા. આ વાતનો પુરાવો પ્રિટોરિયાના ઓલ્ડ કોર્ટ હાઉસના મ્યુિઝયમના ફોટાઓ પૂરો પાડે છે. જેમાં યંગ ગાંધીજી દર્શકોને સંબોધતા દેખાય છે.

વાત એમ છે કે ઇંગ્લેંડમાં લૉ કોલેજમાં ભણતા ભણતા તેમને ક્રિકેટમાં અને ફૂટબોલમાં ખૂબ રસ જાગ્યો હતો. ખાસ કરીને ઓછા સાધનોવાળી ફૂટબોલની રમત ગમતી. તેમને તેમાં એક સ્ટાર પ્લેયર કરતાં આખી ટીમના સહકારથી જીતતી ટીમનો સિદ્ધાંત ગમતો. આ ફૂટબોલ બીજા યુવાનોને પોતાના તરફ આકર્ષવા પુરતો હતો. અને તેમનો આ ગુણ તેમણે ભારત આવ્યા ત્યારે ઉપયોગમાં લીધો અને બીજા બધા નેતાઓને ભેગા કરી અને તેમની ટીમ બનાવી. જે તેમને બ્રિટન સામે લડવામાં કામ લાગી. મૂળે તો તેમને આ “રંગદ્વેષી‘ સાઉથ આફ્રિકાની સરકારનો વિરોધ કરવો હતો. ગાંધીજીનાં ઘણાં ગુણ મને ગમે છે, પણ તે જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે દોડાવતા હતા. તે ખરેખર અદ્દભુત ગુણ હતો. સામાન્ય રીતે દરેકના જીવનમાં જીવન બદલી નાખતા ટર્નીંગ પોઈન્ટ આવતા હોય છે. પરંતુ ગાંધીબાપુના જીવનમાં અસંખ્ય ટર્નીંગ પોઈન્ટ આવ્યા. તેઓ  દરેક વખતે સત્ય અને અહિંસાના પાલનને કારણે સફળ રહ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે ટર્ન લેતા હતા. અથવા કહી શકાય કે તેમની ઈચ્છા પ્રમાણે રસ્તા ટર્ન લેતા હતા.

મો.ક. ગાંધીની સત્યાગ્રહ ફૂટબૉલ ટીમ. ગાંધી ચિત્રમાં છેલ્લી હરોળે, ડાબેથી, છઠ્ઠા જણાય છે.

તેમનો બહુ ચર્ચીત પ્રસંગ ૧૮૯૩માં બન્યો. ફર્સ્ટક્લાસની ટિકિટ લઈને ડરબનથી પ્રિટોરિયા જવા રાતની ટ્રેનમાં બેઠા હતા,  જે ગોરા લોકો માટે રિઝર્વ હતો. અને ટિકિટ ચેકરે તેમને થર્ડ કલાસમાં જવાનું કહ્યું અને ગાંધીજીએ તેમ કરવાની ના પાડી. હવે આ વાતને હું તેમનું ઉત્તમ ચારિત્ર્ય ગણું છું. મારા જેવો સામાન્ય માણસ તો કહે કે અડધી રાતે અજાણ્યા સ્ટેશને ઠંડીમાં ઊતરવા કરતાં થર્ડ ક્લાસમાં જઈ શાંતિથી ઊંઘી જાઓ. બીજે દિવસે તો સવારે કોર્ટમાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવાનો છે. જેને માટે ખાસ મુંબઈથી, આફ્રિકા આવ્યા હતા. અને માટે આ ટિકિટ ચેકર સાથે માથાકૂટ કરવાની છોડી દો. પણ એમણે તેમ ન કરતાં પિટરમારીત્ઝબર્ગના સ્ટેશને ફેંકાઈ જવાનું પસંદ કર્યું, અને પછીની રાત ઠંડીમાં પડી રહ્યા. એટલું ઓછું હોય તેમ બીજે દિવસે સિગરામમાં કોચવાનના પગ પાસે ન બેસતા, માર ખાધો. પણ પોતાના સિદ્ધાંતને વળગી રહ્યા. અને પોતાની જાત બીજા ગોરાઓની જાત કરતાં જરા ય ઉતરતી નથી. એ સિદ્ધાંત તેમણે હિન્દીઓને આપ્યો. જે આજે સો વરસ પછી દરેક જાતીઓમાં વ્યાપ્યો છે. અમેરિકામાં વસતા ભારતીયો અને પાકિસ્તાનીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ગોરા લોકો કરતાં ઉતરતા નથી. પરંતુ મુઠ્ઠી ઊંચેરા છે.

આમ છતાં મારી દ્રષ્ટિએ, બીજો એક ઓછો જાણીતો પ્રસંગ ખૂબ અગત્યનો છે. કારણ કે ગાંધીજીની જ્ગ્યાએ બીજી કોઈ પણ વ્યક્તિ જુદી રીતે વર્તી હોત. ગાંધીજી શેઠ અબ્દુલ્લાના કેસમાં સમાધાન કરાવી વરસને અંતે ભારત પાછા ફરવાના હતા. બીજે દિવસે આફ્રિકા  છોડવાના હતા. તેને આગલે દિવસે તેમના માનમાં વિદાય સમારંભ હતો. જ્યાં ગાંધીભાઈને હારતોરા પહેરાવાના હતા. અને તેમનું ભાષણ સાંભળવાનું હતું. તેમાં ગાંધીજીની નજર ત્યાં પડેલા ન્યૂઝ પેપરના ખૂણે છપાયેલા ન્યૂઝ પર પડી, કે નાતાલ (સાઉથ આફ્રિકા દેશનો એક પ્રદેશ) ધારાસભા હિન્દીઓને મતાધિકાર ન મળે, એ વિષય પર બિલ પાસ કરવાના હતા. તો ગાંધીજીએ પોતાનું પ્રવચન બાજુએ મૂકી દીધું. અને આ ધારાસભાના બિલ પર વાત કરી. તેમણે જણાવ્યું કે જો આ બિલ પાસ થશે તો હિન્દીઓને કોઈ હક નહીં મળે. એટલું જ નહીં પણ તેમનાં અસ્તિત્વની પણ સરકાર નોંધ નહીં લે. જો તમારે ધંધો કરવો હોય તો દેશના નાગરિક થવું જરૂરી હતું. એ આ નવા કાયદો અમલમાં આવશે, તો દેશ છોડવો પડશે. તેમણે તે સમારંભમાં જ હારતોરા બાજુએ મૂકી અને ઘેરેઘેર આ વાતનો પ્રચાર કરનારા સ્વયંસેવકો તૈયાર કરવા માંડ્યા. શેઠ અબદુલ્લાની વિનંતીથી એક વરસ રહી જવાનું પણ નક્કી કર્યું. હવે તમે જ વિચાર કરો. આપણામાંથી કેટલા આવા ત્વરિત નિર્ણય લઈ શકે?

જગતમાં કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય પણ તે પોતાના સત્ય અહિંસાના ક્ષેત્રમાં પડતી હોય તો એ પોતાની થઈ ગઈ. બીજી રીતે કહેવાય કે મુસીબતો વ્હોરી લેવાની તેમની આદત હતી.

કેટલાને ખબર હશે કે આફ્રિકાના “એન્ગલો–બોર વોર”માં સત્ય અહિંસાવાળા ગાંધીજી જોડાયા હતા. તે પણ બ્રિટિશરોના પક્ષમાં રહીને, ૧૮૯૯થી ૧૯૦૨ સુધીની વોરમાં ગાંધીજી એમ્બ્યુલન્સ સ્કવોડના લિડર હતા. અને તેમના સ્વયંસેવકોના ગ્રુપે અંગ્રેજો અને બોર લોકોના, બન્ને પક્ષના, ઘવાયેલા સૈનિકોને સેવા આપી હતી. તેમાં તેમને રાણી વિક્ટોરિયા તરફથી મેડલ પણ મળ્યો હતો. ગાંધીજીને સમજવા બહુ અઘરા પણ હતા. અંગ્રેજો આપણા દુશ્મન પણ માનવતાના કાર્યમાં તે ન જોવાય.

ગાંધીજીનું આ ચારિત્ર્ય સુભાષચંદ્ર બોઝ જોઈ શક્યા નહોતા. સુભાષબાબુ અગ્રેજોને દુશ્મન જ ગણતા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે, ગાંધીજી જર્મની સાથે લડતા બ્રિટનનો ગેરલાભ નહોતા લેવા માંગતા. જ્યારે સુભાષબાબુ હિટલર સાથે હાથ મિલાવવા માંગતા હતા. સુભાષબાબુનો પ્લાન હતો કે જર્મનીએ બ્રિટનના કેદી તરીકે પકડેલા ભારતીય સૈનિકોને છોડાવી, પોતાની આઝાદ હિંદ ફોજમાં ભરતી કરાવવા. હવે તે ફોજ હિન્દમાં ભારતીય સૈનિકોની બનેલી ફોજ સામે લડે. તો સામાન્ય રીતે ભરતીય ફોજ પોતાના ભાંડુઓની બનેલી ફોજ સામે બંદૂક ન ઊઠાવે. હવે તેમના આ પ્લાનમાં થોડી ખામીઓ હતી. હિટલરે બ્રિટનના (પ્રિઝનર ઓફ વોર) પકડાયેલા કેદીઓ સુભાષબાબુને ન આપ્યા. સુભાષબાબુ જાપાન જોડે હાથ મિલાવવા ગયા. અને જ્યારે બર્મા –ઈમ્ફાલને રસ્તે આઝાદ હિંદ ફોજ આસામમાં પ્રવેશતી હતી, ત્યારે ભારતીય જવાનોથી બનેલી બ્રિટિશ ફોજે તેમનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.

ગાંધીજીની સત્ય અહિંસાની વાતોમાં કાંઈક વજૂદ હતું. નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, કૃપાલાણી જેવા કેટલા ય મહારથીઓએ તેમની ફૂટબોલના સિદ્ધાંત પર રચાયેલી ટીમમાં જોડાઈને દેશને આઝાદ કર્યો.

e.mail : harnishjani5@gmail.com

Loading

ભારતની લોકશાહી પરનું કલંક લિન્ચિન્ગ : ગાયના નામે લઘુમતીઓ પર હિંસાચા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|21 July 2017

વડા પ્રધાનની હાકલોને ધર્મઝનૂની ગૌરક્ષકોએ ગણકારી નથી …

બુધવારે [19 જુલાઈ 2017] સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે, બંને ગૃહોમાં થયેલી ચર્ચામાં વિરોધ પક્ષોએ લિન્ચિન્ગનો મુદ્દો આક્રમકતાથી ઊઠાવ્યો. એન.ડી.એ.ની સરકાર આવી ત્યારથી આ  લિન્ચિન્ગ ભારતની લોકશાહી પરનો દિવસે ને દિવસે ઘેરો અને બિહામણો થતો ધબ્બો બની ગયો છે. લિન્ચિન્ગ એટલે ટોળાં દ્વારા હત્યા. અફવા, ગેરસમજ કે ધર્માંધતાને કારણે ઝનૂની બનેલા નીચ માણસોનું ટોળું એક વ્યક્તિ કે બે-ત્રણ જણના જૂથને નિશાન બનાવીને તેની પર હુમલો કરે, તેને મારી નાખે તેને લિન્ચિન્ગ કહેવાય છે.

અત્યારના ભારતમાં આ લિન્ચિન્ગ શબ્દ એકંદરે ગાયને લગતી બાબતોને લઈને ધર્માંધો લઘુમતીઓને મારી નાખે તે માટે વપરાય છે. ગાયને મારવી, ગૌમાંસ રાખવું, વેચવું, ખાવું, તેની તસ્કરી કરવી જેવી બાબતો વિશે અફવા, શક, આરોપ કે બહાના હેઠળ  લિન્ચિન્ગ થાય છે. દલિતો પર પણ ગાયના નામે અત્યાચારો થયા છે. ગાયના નામે મહિલાઓ પર હુમલા અને બળાત્કારના કિસ્સા પણ નોંધાયા. ગાયની હત્યા અને ગૌવંશના માંસનો ઉપયોગ એ બંને,  દેશના મોટા ભાગના રાજ્યોમાં ગુનો ગણવામાં આવ્યો છે. ગાયોની તદ્દન દેખીતી અવહેલના વચ્ચે પણ બહુમતી માનસ એકંદરે ગાયને માટે ભક્તિ ધરાવે છે. આ બંને બાબતો છતાં, કોઈપણ સેક્યુલર લોકશાહી દેશમાં  ગાયોનાં નામે કાયદો હાથમાં લઈ પાશવી હિંસાચાર ચલાવી ન લેવાય.

ભારતીય જનતા પક્ષની સરકારના ત્રણ વર્ષ દરમિયાન અત્યંત વિકરાળ બન્યો છે. તેની સામે લેવાઈ રહેલાં પગલાં દેખાડા માટેનાં કે અપૂરતાં છે. લિન્ચિન્ગમાં ભા.જ.પ.પ્રણિત પરિવર્તનની જગ્યાએ વિકૃતિ અને વિકાસની જગ્યાએ અધોગતિ દેખાય છે. એન.ડી.એ. કરતાં યુ.પી.એ .શાસનમાં લિન્ચિન્ગ વધારે થયા હતાં એમ ભા.જ.પ.-મોવડી અમીત શાહે કરેલો બચાવ, ધારો કે સાચો હોય તો પણ, શોભાસ્પદ નથી. જો કે વડાપ્રધાન મોદીએ ગૌરક્ષાને નામે થતી હિંસાને ત્રણ-ત્રણ વખત વખોડી એ પછી ય એ ચાલુ રહી છે. એ બતાવે છે કે આ હિંદુ હૃદયસમ્રાટના શબ્દો પાછળ રાજકીય ઇચ્છાશક્તિ નથી. બાકી સરમુખત્યારી ઇચ્છાશક્તિ  સાથે ચાર કલાકમાં આખા દેશ પર નોટબંધી લાદનાર વડાપ્રધાન લિન્ચિન્ગ અટકાવી ન શકે એ વાત માનવાજોગ નથી.

આ મતલબની વાત હરિયાણાના બલ્લભગઢના ટૅક્સીવાળા જલાલ્લુદ્દિન ખાને કરી હતી. તેમના સોળ વર્ષના દીકરા જુનૈદને 22 જૂનના ગુરુવારે રેલવેના ડબ્બામાં લિન્ચ કર્યો. જુનૈદ દિલ્હીથી ઇદની ખરીદી કરીને ઘરે જઈ રહ્યો હતો. તેની સાથે તેના બે ભાઈઓ પણ હતા. સીટના મામલે મામૂલી બોલચાલથી શરૂ થયેલી વાત જુનૈદના ‘ગદ્દાર’ અને ‘ગાયનું માંસ ખાનારા’ હોવા સુધી પહોંચી. ટોળાંએ કેટલોક સમય તેમને માર્યા અને પછી છૂરીઓ ઘોંચી.

જુનૈદની હત્યાની વાતનો ફેલાવો માધ્યમોમાં તત્કાળ કદાચ ઓછો એટલા માટે થયો કે એ જ દિવસની મધરાત પછીના ગાળામાં શ્રીનગરમાં મોહમ્મદ અયૂબ પંડિત નામના પોલીસ અધિકારીની જામિયા મસ્જિદના પરિસરમાં ટોળાંએ હત્યા કરી. આ પણ લિન્ચિન્ગ જ કહેવાય –  કાશ્મીરના ધર્મઝનૂનીઓએ કરેલું. ઝનૂન તો રાજસ્થાનના પ્રતાપગઢ કસબાની સુધરાઈના કર્મચારીઓએ પણ 18 જૂને બતાવ્યું. તેમણે  ઝફર હુસેન નામના ડાબેરી કર્મશીલને મૂઢ મારથી ખતમ કરી દીધો. કારણ એ કે બાવન વર્ષના ઝફર,  ખુલ્લામાં કુદરતી હાજતે જનાર મહિલાઓના ફોટા લેતા કર્મચારીઓને અટકાવતા હતા. મહિલાઓને આમ શરમમાં નાખીને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાનો ઘૃણાસ્પદ નુસખો સુધરાઈ અજમાવી રહી હતી ! 19 મેના એક જ દિવસમાં ઝારખંડના જમશેદપુરમાં બે અલગ અલગ જગ્યાએ કુલ સાત વ્યક્તિઓને ટોળાંએ મારી નાખી. બાળકોને ઊઠાવી જનારી ટોળકીઓ આવી છે એવા વૉટસઅ‍ૅપ મેસેજે રોષ જન્માવ્યો હતો. આઠમી માર્ચ 2015 ના દિવસે આઠેક હજાર લોકોએ નાગાલૅન્ડની દિમાપુર જેલ પર હુમલો કરીને બળાત્કારના આરોપી અને કથિત બાંગલાદેશી સૈયદ ફરીદ ખાનને લિન્ચ કર્યો. 

આવા કેટલાક કિસ્સા સિવાય, લિન્ચિન્ગના ગયાં પોણા બે વર્ષમાં બનેલા લગભગ બધા કિસ્સા ગાય સંબંધિત છે. તેની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના દાદરી ગામનો બનાવ છે. તેમાં બાવન વર્ષના અખલાક મોહમ્મદને તેના ગામના માણસોનાં મોટાં ટોળાંએ 22 સપ્ટેમ્બર 2015ના રોજ મારી નાખ્યો અને તેના પુત્ર દાનિશને ગંભીર રીતે ઘાયલ કર્યો. ગામમાં સિત્તેર વર્ષથી રહેતા અખલાકના પરિવારે ગાયનું વાછરડું ચોરીને તેનું માંસ ખાધું એવો શક હુમલાના પાયામાં હતો. આ હત્યા અને તેની આસપાસ ખેલાયેલ તપાસની નિર્લજ્જ રમતમાં શાસક પક્ષની ભૂમિકાના  વિરોધમાં દેશના અનેક સાહિત્યકારોએ અવૉર્ડ વાપસી કરી હતી. અખલાકની હત્યાના પછીના જ મહિને જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક ડ્રાઇવર ઝાકીર અહમદને  ગૌમાંસ લઈ જતો હોવાની અફવાના પગલે તેની ટ્રક સાથે સળગાવી દેવામાં આવ્યો હતો.  2016 ના આરંભે મધ્ય પ્રદેશના ખિરકિયા રેલવે સ્ટેશને કહેવાતા ગૌરક્ષકોએ એક મુસાફર દંપતીની એ બીફ લઈ જતાં હોવાની શંકાને કારણે મારપીટ કરી હતી. માર્ચ મહિનામાં ઝારખંડના લાટેહરમાં ઢોરના એક વેપારી અને તેના બાર વર્ષના સાથી ઢોરબજાર જઈ રહ્યા હતા, ત્યારે ગૌરક્ષકોએ તેમને આંતરીને ઝાડ પર લટકાવી દીધા હતા. તે પછીના મહિને હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના નાનાં ગામ નઈ માજરાના ઢોરના વેપારી મુસ્તૈન અબ્બાસનું કથિત ગૌરક્ષકોએ અપહરણ કરીને, ટૉર્ચર કરીને હત્યા કરી હોવાનું એક મહિના પછી મળેલા તેના મૃતદેહ પરથી સમજાયું. તપાસ બાબતે સ્થાનિક પોલીસે પરિવારને અતિશય ત્રાસ આપ્યો. આઝાદી દિન પછીના દિવસે કર્ણાટકના ઉડુપી નજીકથી ગાયો લઈ જતા ભા.જ.પ.ના કાર્યકર પ્રવીણ પૂજારીને કથિત ગૌરક્ષકોએ મારી નાખ્યો અને તેના સાથીને ઘાયલ કર્યો. આ જ અરસામાં પશ્ચિમ બંગાળના  જલપૈગુરી જિલાના પદમતિ ગામમાં પણ ગાયની ચોરીના આરોપસર એક યુવાનને મારી નાખવામાં આવ્યો.

ગૌરક્ષકોના અત્યાચારનો ભોગ દલિતો પણ બનતા રહ્યા છે. ગુજરાતમાં ગયા વર્ષે 11 જુલાઈએ થયેલાં ઉનાકાંડે દેશ ગજવ્યો. પણ તેના સાતમા દિવસે કર્ણાટકના ચિક્કમગલુરુના દલિત પરિવાર પર બજરંગદળના ચાળીસેક કાર્યકરોએ હુમલો કર્યો હતો. ઘરઆંગણે બનાસકાંઠા જિલ્લાના કારજા ગામે ગાયનો મૃતદેહ ઊપાડવાનો ઇન્કાર કરનાર દલિત પરિવાર પર માથાભારે કોમે 24 સપ્ટેમ્બરે કરેલા હુમલામાં ગર્ભવતી મહિલા પણ ઘવાયાં હતાં.

નવા આર્થિક વર્ષના પહેલા જ દિવસે હરિયાણના પેહલુ ખાન નામના ડેરી ફાર્મરની રાજસ્થાનના અલવરમાં ગૌરક્ષકોએ હત્યા કરી. પંચાવન વર્ષના પેહલુ ખાન જયપુરથી ઢોર ખરીદીને અન્ય ખેડૂતો સાથે પાછા ફરી રહ્યા હતા. તેમણે ઢોર દૂધ માટે ખરીદ્યાં છે એના દસ્તાવેજો પણ એમની પાસે હતા. દેશના સામા છેડે બરાબર એક મહિના બાદ આસામના કાસોમારી ગામમાં ગાયચોરીના શક પરથી બે યુવાનોની હત્યા કરવામાં આવી. ઝારખંડના રામગઢમાં એક વેપારીને ગૌમાંસ રાખવાના શકથી મારી નાખવામાં આવ્યો.

તેના થોડાક જ કલાક પહેલા 29 જૂને વડાપ્રધાને સાબરમતી આશ્રમમાં ગાંધી અને વિનોબાની દુહાઈ દઈને, ગાયના નામે હિંસાચાર બંધ કરવાની હાકલ કરી હતી ! તેના અગાઉના દિવસે દેશના દસેક શહેરોમાં નાગરિકોએ લિન્ચિન્ગનો વિરોધ કરતાં કહ્યું હતું: ‘નૉટ ઇન માય નેમ’.   

++++++

20 July 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 21 જુલાઈ 2017

Loading

ચોમાસું આડું ફાટ્યું રે સઈ

સુધીર દત્તા|Poetry|20 July 2017

રાજકોટની વર્તમાન પરિસ્થિતિ – રાજકોટી કવિના શબ્દો ..

***

વાયરો આડો ફાટે તો ઠીક મારી બઈ
આ તો ચોમાસું આડું ફાટ્યું રે સઈ
હું તો લથબથ, લથબથ ભીંજાતી ગઈ
આ તો ચોમાસું આડું ફાટ્યું રે સઈ

ભફાંગ દઈને વાદળ, હેઠું જ્યાં પડ્યું
ને આંગણિયું રેલમછેલ
કેટલીયે ગગડાટું કૂવામાં ખાબકી
ને ફાટી ગઈ માટીની હેલ

કમખાની દોરીએ ઝીણી વીજળિયું ઝબુકતી થઈ
આ તો ચોમાસું આડું ફાટ્યું રે સઈ

શેરીએથી ફળિયે ને ફળિયેથી ઉંબરે
ધોધમાર ઊતર્યું આકાશ
ઘનઘોર ઘેરાતાં આયખાની માલીપા
આછો આ શેનો ઉજાશ ?

આ ઝીણકુડાં ટીપાથી મારી તરસ્યું છીપાશે કે નઈ ?
આ તો ચોમાસું આડું ફાટ્યું રે સઈ

Loading

...102030...3,3963,3973,3983,399...3,4103,4203,430...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved