Opinion Magazine
Number of visits: 9584560
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

The Shakespeare of Mauritius

Kul Bhushan|English Bazaar Patrika - Features|25 April 2017

Bhismadev Seebaluck (21 November 1941- 8 April 2017)

Enthused by Shakespeare, Bhismadev Seebaluck, wrote weekly letters to the bard in his newspaper column for over four decades and also translated his play into Creole, the local language, and performed it on stage.

All his life, a Mauritian man of letters, Bhishmadev Seebaluck, was inspired by Shakespeare and died a few days before the birthday of the bard celebrated on 24 April every year. 

An author, a playwright, a dramatist, a journalist, an educationist, a littérateur and, above all, a gentle and loving soul, Bhismadev Seebaluck is no more. The cultural scene in Mauritius has lost its shining star. He contributed immensely to the literary and cultural scene in this island of sun, sea, sand and relaxed living with his articles, books, plays and the promotion of Shakespeare.

In a laid back isle famous for its swaying dance, Sega, Bhishma made the bard a topic of common conversation when in 1980s he started a weekly column, ‘Dear Shakespeare’, in the leading Mauritian weekly and it continued for over four decades. Sharing a very personal rapport with the great English playwright, Bhisma addressed him every week as ‘My dear Billy’. His keen observation, wit, satire and mockery in these articles garnered sustained acclaim till December 2016. Selecting some memorable and really witty articles, he published three anthologies under the title, “Dear Shakespeare’.

The head of English Department at the University of Alberta in Canada, Stephen H. Arnold, introduced this book thus: “Written to Shakespeare as if to a pen pal, most of the collection of short, humourous pieces were taken from a weekly column in a Mauritian newspaper. Their author who takes delight in writing irreverent drama and film criticism, presents a collage of sarcasm about typical Third World  problems endemic in this island where African and Asian blend under a Western veneer.”

Later, Bhisma translated “A Midsummer Night’s Dream’ into Creole, the local language, and directed it on stage for the common people to enjoy the classic comedy. He emphasized the famous line from this play, “Lord, what fools these mortals be!”

His plays bearing the stamp of sweet sarcasm laced with bitter honey include ‘The Angels’, ‘The Young Ones’, ‘Thorns and Roses’ as well as the epic ‘Mahabharata, The Eternal Conflict’. As the founder member of Mauritius Drama League and the director of the Arts Institute of Mauritius, the founder member of Mauritian Writers’ Association and the President’s Fund for Creative Writing in English, he was a cultural trailblazer and trendsetter. No wonder he was honoured with a top Mauritian national award; Order of the Star and Key of the Indian Ocean in 2012.

Passionate about books, he devoured them from an early age and later wrote 25, translated classics into Creole, published books and edited them. While in primary school, Bhishma developed a love for books. He recalled, “I was in the sixth grade when I had for the first time a book of Shakespeare's in my hands. It was “Tales from Shakespeare” that I found at home. "Later, he lived with his aunt in Port Louis to attend secondary school. Here he had his first encounter with Rabindranath Tagore. "She had a photo of Tagore with his large beard and his big white hair hung on the wall. I was attracted by this picture.”

At the same time, he discovered the Nalanda library and devoured novels, plays, poems and magazines. During college, in he studied other Shakespeare plays Macbeth, Julius Caesar, A Midsummer’s Night’s Dream and others. "We had even mounted the play Julius Caesar,” he remembered. Of course, he was calling, “Friends, Mauritius, Countrymen, lend me your ears.” And they did.

After reading Tagore’s Gitanjali during his youth, he was trying to translate it into Creole for the benefit of fellow Mauritians. But it was difficult since he did not understand a lot of words and phrases. He had to wait until 2011, after watching this classis in Hindi and Bengali on stage and meeting a very learned person that he could translate it into Creole and present it on stage.

After his high school certificate at the Queen Victoria Royal College of Arts, he joined the railways as a clerk. But his heart was in English literature and so he left for New Delhi where he was admitted to the Hindu College for BA Honours in English. On his return, he taught English at the same Royal College in Port Louis and later was appointed a senior officer in the Ministry of Education. Due to his understanding of education and culture, he was appointed Advisor to the Ministry of Art and Culture. During this time, his literary output blossomed along with his contribution to journalism.

As a dramatist, he was very skillful at presenting Shakespeare on stage in English and in Creole as in the cane of ‘A Midsummer Night’s Dream’ and also Tagore’s Gitanjali and other stories like Post Office. His masterpiece was adapting for stage the greatest Indian epic, ‘Mahabharata, The Eternal Conflict’ in Creole.

“My dear Billy’ is how Bhismadev Seebaluck addressed Shakespeare in his newspaper columns and his book. He wrote 25 books, including a novel that is a university textbook.  

One of his books, “A Day Called Tomorrow’, partly written in New Delhi, went on to be prescribed as a text for BA students at the University of Mauritius. Other books by him were: On the Wings of Destiny: A. Raouf Bundhun, The Shattered Rainbow, The Young Ones, The Angels, Appointment with Death, The Three Wishes, The Hunter Hunted, and some school texts. He wrote some 25 books; school books, novels, plays and anthologies. “The course of true love never did run smooth,” is another well-known quote from A Midsummer Night’s Dream. Bhishma had his ups and downs with his true love of language but ultimately he triumphed.

On his numerous transit stops in Nairobi during the 1980s to fly to other destinations in Africa and Europe, he stayed with me and so I made a great friend; and enjoyed his hospitality in 1990s in Mauritius too. The last time, I met him was when he came to Delhi in 1999 to write his novel. But he was always in touch with his heart.

“Life's but a walking shadow, a poor player,
That struts and frets his hour upon the stage,

And then is heard no more,” moans Macbeth. But not Bhisma who lives in his writings missed by his wife Jinny who stood by him through thick and thin, caring and sharing, and his children Mitradev and Shaili.

e.mail : kb@kulbhushan.net

Loading

વાત આપણી, આપણી માતૃભાષાની

કુમારપાળ દેસાઈ|Opinion - Literature|25 April 2017

આજની ઘડીએ અતીતની સૃષ્ટિમાં જરા ડોકિયું કરું તો બાળપણમાં મળેલા સદ્ભાગ્યનું સ્મરણ થાય છે. જિંદગીની ફકીરી અને ફાંકામસ્તી વચ્ચે પોતાની મોજ અને આગવા મિજાજથી મહાલતા સર્જકો વચ્ચે સમજણની પાંખો આવી ત્યારથી જ રહેવાનું મળ્યું. પિતા જયભિખ્ખુ લેખક હોવાથી ઘરમાં પુસ્તક એ જ સૌથી મોટી મિલકત અને સાહિત્યકારો એ જ સૌથી મોટા સંબંધીઓ. અને તેથી ધૂમકેતુ આવે ત્યારે ઘરમાં પ્રવેશતાંની સાથે જ ચૉકલેટ આપે. ઝવેરચંદ મેઘાણીનો ‘કાં ભાઈ’નો લહેકો હજી કાનમાં અથડાયા કરે છે. કનુ દેસાઈ આવે એટલે દોડીને નિશાળનું ડ્રૉંઇગ-પેપર લઈ આવું અને એના પર કનુ દેસાઈ ચિત્રો દોરે. ગુણવંતરાય આચાર્યની વાક્છટા અને દુલેરાય કારાણીનો જુસ્સો સ્પર્શી જાય.

એમાં ય બે વ્યક્તિઓ પર બાળમન વધુ મોહી ગયું. એક પંડિત સુખલાલજી અને બીજા દુલા ભાયા કાગ. પંડિતજી પાસે બેઠા હોઈએ ત્યારે હોકાના અવાજ સાથે વાણીની બુલંદીનો અનુભવ થતો.

એ જમાનામાં ‘ઝગમગ’ સાપ્તાહિકની બોલબાલા હતી. ‘ગુજરાત સમાચાર’ કરતાં ‘ઝગમગ’ની વધુ નકલો ખપતી ! ‘ઝગમગ’ સાપ્તાહિક સૌથી પહેલું આજના ગાંધીગ્રામ અને એ સમયના એલિસબ્રિજ સ્ટેશને આવતું. હું વહેલો વહેલો સ્ટેશને પહોંચી જતો અને ફેરિયાની રાહ જોતો. કોઈ દિવસ મોડું થાય તો દોડ લગાવીને પહોંચી જતો. વરસાદ આવતો હોય તો ‘ઝગમગ’ ખમીસ નીચે ઢાંકીને સહેજે પલળે નહીં તેમ જીવની માફક જાળવીને ઘરે લાવતો. ઘરે પહોંચીને પહેલું કામ સાપ્તાહિક વાંચવાનું અને વાંચ્યા પછી સાપ્તાહિકના અંકોની ગોઠવણી કરીને સરસ ફાઇલ બનાવવાનું.

રોજ સવારે પિતા જયભિખ્ખુને લખતાં જોતો. ટેબલ પર બેસીને ખડિયાની શાહીમાં કલમ બોળીને સુંદર અક્ષરે લખતા હોય. મને ય લખવાનું મન થાય અને એક દિવસ એક અનામી શહીદની કથા લખીને ‘ઝગમગ’માં મોકલવાનું સાહસ કર્યું. જયભિખ્ખુનો પુત્ર છું એવું જણાવવા દેવું નહોતું. કારણ કે એ કારણે જો વાર્તા પ્રગટ થાય તો એમાં મજા શી ? જયભિખ્ખુનું મૂળ નામ હતું બાલાભાઈ. કદાચ બાલાભાઈ નામ લખવાથી પણ તંત્રીને ખ્યાલ આવી જાય તો ? પરિણામે કુ. બા. દેસાઈના નામથી એ વાર્તા મોકલી.

વળતી ટપાલે સ્વીકારનો પત્ર આવ્યો અને આપણા આનંદનો પાર ન રહ્યો. પહેલો લેખ સ્વીકારાય અને પ્રગટ થાય એ સમયની લહેજત કંઈ ઓર હોય છે ! તે પછી જીવનમાં ગમે તેટલી વાર્તાઓ પ્રગટ થાય, પુસ્તક લખાય પણ પેલો રોમાંચ પુન: સાંપડતો નથી.

થોડા સમયમાં ‘ઝગમગ’ સાપ્તાહિકના તંત્રીએ પેલી વાર્તા ત્રીજે પાને સરસ રીતે પ્રગટ કરી. મનમાં થયું કે બે-ત્રણ વધુ નકલ લઈ આવું કે જેથી મિત્રોને રુઆબભેર બતાવી શકાય. એની નકલો લેવા માટે એ સાપ્તાહિકના કાર્યાલયમાં ગયો અને એના તંત્રીને મળ્યો. એમણે જ્યારે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક જયભિખ્ખુનો હું પુત્ર છું ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. એમણે મને બેસાડ્યો અને એક કૉલમ લખવા કહ્યું. એ કૉલમનું નામ હતું ‘ઝગમગતું જગત’. અને આમ માત્ર અગિયાર વર્ષની ઉંમરથી નિયમિત કૉલમ લખવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો !

આજે આટલા બધા દાયકાઓ પછી પણ લેખનનો એ જ હર્ષ-રોમાંચ મને થાય છે અને એ લેખનયાત્રાનો આજે આ એક વિશિષ્ટ મુકામ જોઉં છું.

આપણી ગરવી ગુજરાતના અસ્મિતાપુરુષ રણજિતરામ વાવાભાઈની સ્મૃિતમાં અપાતો રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવતાં આનંદનો અનુભવ કરું છું. આ માટે ગુજરાત સાહિત્યસભાના હોદ્દેદારોનો, નિર્ણાયકોનો અને શુભેચ્છકોનો આભારી છું. આપણી રાષ્ટ્રીય અસ્મિતાના ઉદ્વાહક શ્રી કનૈયાલાલ મુન્શીએ જેમને ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(સેલ્ફ કૉન્શિયસ)ના અવતાર કહ્યા હતા એ ભાવનાપુરુષ રણજિતરામભાઈની ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રત્યેની જે નિષ્ઠા અને પ્રવૃત્તિ હતાં તેની આગળ આજની હવામાં જે પડકારો ઊભા થયેલા છે તે મને અત્યંત સચેત ને સચિંત કરી રહ્યા છે.

ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવાના તથા બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવાના ધ્યેયને વરેલી ગુજરાતની સૌથી જૂની અને ગૌરવવંતી આ સાહિત્યસભાના આજના સમારંભ-પ્રસંગે ગુજરાતી ભાષાની (માતૃભાષાની) વર્તમાન સ્થિતિ વિશે કેટલાક વિચારો વ્યક્ત કરું તો અસ્થાને નહીં લેખાય.

આજે અંગ્રેજી માધ્યમમાં ટોળાબંધ વિદ્યાર્થીઓ ધસી રહ્યા છે. આજે શહેરોમાં જ નહીં, પરંતુ ગામડાંમાં પણ અંગ્રેજી માધ્યમ તરફ ધસારો જોવા મળે છે. વિડંબના તો એ છે કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી બીજી ભાષા તરીકે પોતાની માતૃભાષાને બદલે ફ્રેન્ચ પસંદ કરે છે ! આ પરિસ્થિતિ અંગે સમાજના તમામ વર્ગોએ ચોકન્ના થઈને ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે.

એક એવો આભાસ ઊભો કરવામાં આવ્યો છે કે આજની પરિસ્થિતિમાં મજબૂત રીતે ટકી રહેવું હોય તો બસ, અંગ્રેજી શીખો. એના પર પ્રભુત્વ મેળવો. અંગ્રેજી ભાષાના મુકાબલામાં ઊતરવાનું બીજી કોઈ ભાષાનું ગજું નથી તો માતૃભાષા ગુજરાતીનું તો ગજું ક્યાંથી હોય? અંગ્રેજીનો કોઈ વિકલ્પ જ નથી. આ દેશમાંથી અંગ્રેજોનું આધિપત્ય ભલે ગયું. એ રીતે અંગ્રેજ સત્ત્તાની ગુલામીમાંથી આપણે ભલે મુક્ત થયા; પરંતુ અંગ્રેજી ભાષાની મોહિનીમાંથી તેમ જ તેના સંસ્કારોમાંથી આપણે ખરેખર કેટલા મુક્ત થયા છીએ તે પ્રશ્ન છે. અંગ્રેજોની સત્તામાંથી મુક્ત થયા બાદ, ઊલટું, અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધુ ને વધુ ફેલાતું અનુભવાય છે ! આપણને અડધી રાત્રે આઝાદી મળી તેમ કહેવાય છે પણ હજી આપણું મંગળ પ્રભાત ઊગવાનું, આપણો ખરો સૂર્યોદય થવાનો બાકી છે ! જે ગુલામીની સૂગ હોવી જોઈએ તે આપણને સદી ગઈ છે ! જેની શરમ લાગવી જોઈએ તેનું ગૌરવ કરતા ફરીએ છીએ ! હકીકતે આપણે હજુ અંગ્રેજિયતમાંથી થવા જોઈએ તેટલા મુક્ત થયા નથી.

વળી ઉદ્યોગો, ટૅક્નોલોજી અને સરકારી તંત્રોને માટે અંગ્રેજી ભાષા ભલે જરૂરી બની પરંતુ એની સાથે પશ્ચિમના સંસ્કાર તેમ જ સંસ્કૃિતએ પણ પેગપેસારો કર્યો અને પછી આપણને ભરડામાં લીધા. આપણે પશ્ચિમી જીવનરીતિના અંધ અનુયાયી જેવા બની રહ્યા. આપણે આપણા દેશકાળને અનુરૂપ એવી પરંપરાગત જીવનશૈલીને વિવેકપુર:સુર સાચવવાની કાળજી ન લીધી. આપણે પશ્ચિમી ભોજનરીતિ અપનાવી ને આપણી પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ આહારરીતિને જોખમાવા દીધી. આપણા ઉત્સવોમાં આપણને જુનવાણીપણું દેખાયું અને પશ્ચિમના તહેવારો ઊજવવામાં દિલચશ્પી દાખવી.

આમ તો પાશ્ચાત્ય સંસ્કાર અને સંસ્કૃિતના આક્રમણનો પ્રશ્ન એક શતાબ્દી પૂર્વે પણ ચર્ચાતો રહેલો પરંતુ જુદી રીતે. ઈ.સ. ૧૯૦૯ના ઑક્ટોબરમાં રાજકોટમાં યોજાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં તત્કાલીન પરિષદપ્રમુખ તરીકે ભાષણ આપતાં સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ કહેલું :

“અંગ્રેજી શાળાઓમાં અપાતું અંગ્રેજી ભાષા સિવાયનું સર્વ જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું જોઈએ …. જગતમાં કોઈ પણ સ્થળે સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશના જેવો વિપરીત શિક્ષણક્રમ નહીં હોય.”

અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષા દ્વારા શીખવવામાં આવે તો શ્રી અંબાલાલ દેસાઈ નોંધે છે તેમ, વિદ્યાર્થીઓને પડતો શ્રમ કમી થઈ શાળાઓમાં ભણતા દરેક બાળકના આવરદાનાં ક્રમમાં કમ બેચાર અમૂલ્ય વર્ષ ઊગરે; એટલું જ નહીં પણ આપણાં બાળકોનાં તનની, મનની ને હૃદયની શક્તિઓનો ઉકેલ ઘણો સારો થાય. કેળવણીનો ખર્ચ પણ કમી થાય. આને બદલે અવળી ગંગા વહી. માતૃભાષાના શિક્ષણની અવજ્ઞા થતી રહી. પહેલાં કૉમર્સ અને સાયન્સના પ્રથમ વર્ષમાંથી ગુજરાતીને વિદાય આપી. એ પછી આર્ટ્સમાંથી પણ એને વિદાય મળી !

યહૂદીઓની માતૃભાષા હિબ્રૂએ અનેક દેશમાં ફેલાયેલા યહૂદીઓને એક તાંતણે બાંધ્યા છે. નાઝી દમનને કારણે દેશાંતર કરનારી યહૂદી પ્રજા દુનિયાના અનેક દેશોમાં વહેંચાયેલી છે. વર્ષોથી બીજા દેશમાં વસતી હોવાથી એ દેશની સંસ્કૃિતથી કેટલેક અંશે એ રંગાયેલી પણ છે; આમ છતાં તાજેતરમાં અમલમાં આવેલા હિબ્રૂ ભાષાના શિક્ષણપ્રયોગોએ જુદા જુદા દેશમાં વસતા યહૂદી લોકોનું ખમીર જગાડ્યું. 1948માં ઇઝરાયેલની રચના થયા બાદ ત્યાંની સરકારે હિબ્રૂ ભાષાને અધિકૃત ભાષા જાહેર કરી અને એ પછી આ ભાષાના પ્રસાર માટે અથાગ પ્રયત્નો આદર્યા. હિબ્રૂ ભાષામાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે ‘હિબ્રૂ યુનિવર્સિટી ઑફ જેરૂસલેમ’ સ્થાપવામાં આવી. એ યુનિવર્સિટીમાં જગતભરના વિદ્યાર્થીઓ આવે છે. આમ માતૃભાષા હિબ્રૂના શિક્ષણપ્રતાપે હિબ્રૂઓમાં ખમીર અને ખુમારીનું સંવર્ધન થયું. પરિણામે એ પ્રજા હવે ખૂનખાર દુશ્મનોની વચ્ચે અણનમ રહીને પોતાની અસ્તિતા ને અસ્મિતાને બરોબર જાળવીને સ્વાભિમાનથી ટકી રહી છે. એ રીતે માતૃભાષાના હિબ્રૂએ ઇઝરાયલના જોમ અને જુસ્સાને કેળવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેથી આધુનિક વિશ્વમાં ઇઝરાયલ મહત્ત્વનું સ્થાન મેળવી શક્યું છે. સમગ્ર પ્રજા પોતાની માતૃભાષા પ્રત્યે અભિમુખ બને તો કેવાં રૂડાં પરિણામો પામી શકે તેનું ઇઝરાયલ ઉદાહરણ છે.

આજે જગતભરમાં ગુજરાતીઓ ફેલાયેલા છે. દુનિયાના જે દેશોમાં ગુજરાતીઓ ગયા ત્યાં તેઓ પોતાના ગુજરાતને, ગુજરાતી ભાષાને અને તેનાં સંસ્કાર-સંસ્કૃિતને પણ લઈને ગયા છે અને આજે પણ વિદેશની નિશાળોમાં, ધાર્મિક કેન્દ્રોમાં કે ગુજરાતીઓ દ્વારા સંચાલિત સંસ્થાઓ દ્વારા ગુજરાતીઓને એક તારે બાંધી, તેમને સંગઠિત કરી સવિશેષ બળવાન કરી શકીએ છીએ ખરા ? આ સંદર્ભમાં પંચાણુ ટકા અક્ષરજ્ઞાન ધરાવતા યહૂદીઓનો દેશ ઇઝરાયલ આપણને જરૂર યાદ આવે.

જરા કલ્પના કરીએ કે ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીને જ કેન્દ્રમાં રાખીને એક અલગ યુનિવર્સિટીની સ્થાપના થઈ હોય. તેમાં ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યના અનેકાનેક વિષયોનું તલસ્પર્થી શિક્ષણ અપાતું હોય. ત્યાં એ અંગેનાં સંશોધન-સંપાદન-અનુવાદ વગેરેની પ્રવૃત્તિઓ ચાલતી હોય. એ યુનિવર્સિટીનો લાભ લેવા માટે માત્ર ગુજરાતીઓ જ નહીં પણ બિનગુજરાતીઓ કે પરભાષી વિદેશીઓ પણ આવતા હોય ! આજે ય મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના હાર્દને મૂળ રૂપે પામવા માટે ગુજરાતીનો અભ્યાસ કરનારા અનેક વિદેશીઓ તમને મળતા હોય છે.

ખલિલ જિબ્રાને કહ્યું છે કે માતાએ મને માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખ્યો તેથી હું ખલિલ જિબ્રાન બન્યો. પંદર જેટલી ભાષાઓ જાણનાર સંત વિનોબા ભાવે કહેતા હતા કે મારી માતાએ જ મારી માતૃભાષાનો પાયો નાખ્યો, તેથી હું આટલું ભણી શક્યો. આટલી ભાષાઓ સુધી પહોંચી શક્યો.

આજે બે-અઢી વર્ષના બાળકને માતાપિતાની છાયામાંથી ખસેડી અંગ્રેજી પ્લે-ગ્રૂપમાં દાખલ કરવામાં આવે છે તે શા માટે? એક તો દેખાદેખીથી અને બીજું પોતાનો સમય બગડે નહીં એવી કોઈ દાનતથી કદાચ એમ કરે છે. હવે તો એથીયે આગળ વધીને વૅકેશન કેર સેન્ટર શરૂ થયાં છે ! તેમાં રવિવારની રજાના દિવસે પણ બાળકોને ધકેલવામાં આવે છે. આથી બાળકોની હાલત ‘પાર્કિંગ લૉટ’ જેવી બની રહે છે. એ રીતે શિક્ષણે અને સમૂહમાધ્યમોએ માતા-પિતા પાસે ઓછામાં ઓછો સમય બાળક રહે એવી વરવી સ્થિતિ સર્જી છે. આ સ્થિતિ માતૃભાષાના પાયાનાં શિક્ષણ માટે ખૂબ જ હાનિકર છે. ઊંડાણથી વિચારીશું તો તુરત જણાશે કે માતૃભાષાની કેળવણી કે જ્ઞાનપ્રાપ્તિ માત્ર વાંચતાં-લખતાં શીખવાથી થતી નથી; ઘરનું વાતાવરણ, આસપાસની દુનિયાનો સંપર્ક જુદી જુદી વ્યક્તિઓને મળવાથી વિસ્તરતી સમજ વગેરેથી પણ થતી હોય છે. એનાથી વિમુખ રહેલું બાળક આંખે ડાબલા બાંધેલા વાછેરા જેવું થઈ જાય છે. બાળકના વિકાસની અનેકવિધ ક્ષમતાઓ પારિવારિક વાતાવરણના અભાવે, યોગ્ય અભિવ્યક્તિ માટેના અવકાશના અભાવે ક્ષીણ થઈ જાય છે.

આજની આપણી માતૃભાષામાં અંગ્રેજી શબ્દોનું ચલણ દિવસે ને દિવસે વધતું જાય છે. અંગ્રેજી શબ્દના ગુજરાતી પર્યાયની કે તેના માટેના યોગ્ય પારિભાષિક શબ્દની ખોજ કરવાની પ્રક્રિયા જાણે અટકી ગઈ હોય અને એના બદલે અંગ્રેજી શબ્દ જ ઘુસાડી કે ઠાંસી દેવાની અપક્રિયા ચાલતી હોય એવું લાગે છે. ગુજરાતીમાં અર્થ આપી શકાય તેમ હોવા છતાં તેમને હઠાવીને માતૃભાષાના સિંહાસન પર પેલા વિદેશી શબ્દોને બેસાડવામાં આવે છે. એમ પણ કહેવાતું આવ્યું છે કે આ નવા જમાનાના બદલાતા મિજાજની ભાષા છે. હકીકતમાં ભાષા ભાષકના મિજાજને ઘડે છે કે ભાષકનો મિજાજ ભાષાને ઘડે છે તે ઊંડી તપાસ માગી લે તેવો યક્ષપ્રશ્ન છે. માતાનું દૂધ સંતાનના તનને મજબૂત કરે છે તો માતૃભાષા એના મનને મજબૂત કરે છે. જે હૂંફ, પ્રેમ, આત્મીયતા અને સંવેદના માતા પાસેથી મળે છે એ માતૃભાષા દ્વારા સહજતયા ને સચોટતાથી અભિવ્યક્ત થઈ શકતી હોય છે.

આજે અંગ્રેજી એક રાષ્ટ્રની નહીં, બલ્કે અનેક રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા બની હોવાથી એ ભાષાનો પરિચય આવશ્યક છે. અંગ્રેજીની બારી બંધ કરાય નહીં; પરંતુ દીવાનખાનામાં બેસાડવાને લાયક વ્યક્તિને આપણા રસોડામાં તો પેસાડીને બેસવા દેવાય નહીં ને ? અંગ્રેજીને આપણી માતૃભાષાનું આસન તો ન જ અપાય ને ? માની ગોદ તે માની ગોદ. અન્ય કોઈનું સ્થાન એનો વિકલ્પ ન થઈ શકે. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઇતિહાસ એ બધું શીખવા માટે અંગ્રેજી ભાષાને બદલે આપણી માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ. આજે માતૃભાષા પ્રત્યે દીનભાવ ને હીનભાવ સેવવામાં આવે છે અને ધીરે ધીરે એ હીનભાવ કુટુંબ અને પોતાની જાત પ્રત્યે પણ ફેલાય છે અને વ્યક્તિ પોતાનું આત્મગૌરવ ગુમાવતી જાય છે. પરિણામે તે આત્મભ્રષ્ટ થતી જાય છે અને આત્મભ્રષ્ટતા પદભ્રષ્ટતા કરતાં પણ ઘણી ખતરનાક હોય છે એ સમજનારાઓ તો સમજે જ છે.

ગુજરાતની જેટલી વસ્તી છે એનાથી ઓછી વસ્તી ધરાવતા વિશ્વના ચાલીસ જેટલા દેશોએ પોતાની માતૃભાષા વિકસાવી છે. એ દેશો પોતાનું આંતરસત્ત્વ છોડીને અંગ્રેજી ભાષાના કે અન્ય કોઈ ભાષાના પ્રવાહમાં વહી ગયા નથી. મે, 2016માં નૉર્વેની વસ્તી 52 લાખ 13 હજાર હતી; ઇઝરાયલની 86 લાખ 2 હજારની અને સ્વીડનની વસ્તી મે, 2016માં 99 લાખ 54 હજારની હતી. આ બધા દેશોમાં એમની માતૃભાષા ગૌરવભર્યા સ્થાને બિરાજે છે અને એમના જીવનનાં સર્વ ક્ષેત્રોમાં તે સારી રીતે પ્રયોજાય છે. આને માટે એમના રાષ્ટ્રનો કોઈ એકાદો વર્ગ નહીં, પણ સમગ્ર પ્રજા જાગ્રત છે. 99 લાખની વસ્તી ધરાવતા સ્વીડનમાં માતૃભાષામાં ચર્ચાવિચારણા કરનારાં 27,000 તો ચર્ચામંડળો છે. 2011માં છ કરોડ અને ત્રણ લાખની વસ્તી ધરાવતું ગુજરાત કેમ માતૃભાષાની વિકાસની બાબતમાં પાછળ રહે છે ? – પાછું પડે છે ? આપણે ત્યાં કવિ નર્મદના જમાનામાં ‘મંડળી મળવાથી થતા લાભ’ની વાત થતી હતી. આજે ગુજરાતી ભાષામાં ચર્ચાવિચારણા ચલાવતાં હોય એવાં કેટલાં મંડળો છે ? જે મંડળો ચાલે છે, તેમાંયે સીધી માતૃભાષાવિષયક ચર્ચાઓ કેટલી થાય છે ? એક સમયે અમદાવાદમાં શ્રી મહાદેવભાઈ દેસાઈ ટ્રૉફીનો ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાની દૃષ્ટિએ ભારે મહિમા હતો; આજે શું સ્થિતિ છે ? वादे वादे जायते तत्त्वबोध: | એ સૂત્ર સાચું હોય તો વિદ્વાનોનાં મંડળો અવારનવાર મળી પોતાની ભાષામાં તે અંગેની તત્ત્વચર્ચા કેમ કરતાં નથી ? વિદ્વાનો પરસ્પર પોતાની ભાષામાં ચર્ચાવિચારણા કરે તો વખત જતાં જ્ઞાનસમૃદ્ધિ વધે અને પરિણામે માતૃભાષાનો તેમ જ તેના સાહિત્યનો સર્વતોમુખી વિકાસ થતો રહે. એ રીતે ભાષા અને સાહિત્યનું સ્તર પણ ચોક્કસ ઊંચું આવી શકે.

સર્જનાત્મકતાનું સિંચન માતૃભાષામાં સતત થતું રહે એ ઇચ્છનીય છે, સર્જનાત્મકતાના અનુપ્રવેશે માતૃભાષાની શક્તિ કે સમૃદ્ધિ વધુ ને વધુ ગતિ પકડશે. આજના શિક્ષણવિદો વારંવાર કહે છે કે શિક્ષણનો વ્યાપ વધ્યો છે; પરંતુ સર્જકત્વ ઘટ્યું છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ અને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ભાષા અને સાહિત્ય વિશે વિચારતા થયા છીએ; અગાઉ ભાષા સાહિત્યમાં સર્જકતાના બળે જે દીપ્તિ જોવા મળતી હતી તે હવે જાણે ઝંખવાતી લાગે છે તેનું કારણ શું ? આ અંગે થયેલાં સંશોધનોમાંથી એક તારણ એવું નીકળ્યું છે કે જે લોકો પોતાની માતૃભાષા છોડીને અન્ય ભાષા અપનાવે છે અને તેમાં વિશેષ કામગીરી કરે છે તેઓ અનુકરણશીલ વધારે બની જાય છે અને સંશોધનશીલ ઓછા રહે છે.

આ રીતે માતૃભાષાની જો અવજ્ઞા થતી રહેશે – તે ભુલાતી જશે તો વ્યક્તિનું આંતરસત્ત્વ અને એની ચેતનાનું પ્રાકટ્ય જોખમાશે, ક્ષીણ થશે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત પોતાની માતૃભાષા જર્મનમાં રજૂ કર્યો હતો. એ જ આઇન્સ્ટાઇનની વિચારધારાને એક ડગલું આગળ લઈ જનાર જયંત નારલીકર તો આગ્રહ રાખે છે કે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માતૃભાષામાં જ શીખવવા જોઈએ જેથી વિદ્યાર્થીઓ એમને ઝડપથી આત્મસાત કરી લે. ઍરિસ્ટોટલ, પાયથાગોરાસ, કાર્લ માર્ક્સ અને બર્ટ્રાન્ડ રસેલે પણ પોતાના વિચારો માતૃભાષામાં પ્રગટ કર્યા. બાળકને એની માતૃભાષા અસલિયતનો ચહેરો આપે છે. એક સમયે અંગ્રેજી ભાષામાં સાહિત્ય રચનાર, નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયેલા થિયોંગે ગૂગી જેવા આફ્રિકન સર્જકો આજે પોતાની ગિકુયુ બોલીમાં લખવાનો આગ્રહ સેવે છે. તેમાં તેઓ ‘સેકન્ડ ફ્રીડમ’ માટેની એમની લડાઈ જુએ છે. શ્વેત લોકોના રાજકીય બંધનમાંથી મુક્ત થયા બાદ એમની માનસિક ગુલામીમાંથી પણ મુક્ત થવા માટે તેઓ પોતાની માતૃભાષાને સર્જકતાનું માધ્યમ બનાવી રહ્યા છે.

બંગાળીઓ કે મરાઠીઓમાં છે તેવો માતૃભાષા માટેનો મજબૂત પ્રેમ આપણામાં છે ખરો ? આખીયે સભામાં માંડ બે ટકા ગુજરાતી નહીં જાણનારા લોકો હોય તેમ છતાં ગુજરાતી-ભાષી વક્તા અંગ્રેજીમાં બોલવાનો ધખારો રાખે તો શું કહેવું ? આવા પ્રસંગોએ માતૃભાષાની જે પ્રકારે વિડંબના થાય છે તે અંગે શું કહેવું ? ગુજરાતી ભાષા પર અવારનવાર આડેધડ થતા હુમલાઓ માટે કેટલેક અંશે અંગ્રેજી માટેનો વ્યામોહ – તે માટેની ઘેલછા અને પોતાને આધુનિકતમ દેખાવાની પ્રદર્શનવૃત્તિ પણ કારણભૂત હોવાનું લાગે છે. માતૃભાષા ગુજરાતી પ્રત્યેની આપણી બેઅદબી અક્ષમ્ય જ લેખાય.

આપણે ત્યાં જીવનનાં વિધેયાત્મક મૂલ્યોની કટોકટીની વાત થાય છે. એના મૂળમાં માતૃભાષાગત મૂલ્યોની કટોકટી જવાબદાર કેટલી તે તપાસવા જેવું ખરું.

સાહિત્યસર્જકની આત્મપ્રતિષ્ઠા તેમ જ સામાજિક પ્રતિષ્ઠામાં તેની ભાષાનું ઘણું મહત્ત્વનું પ્રદાન હોય છે. જ્યારે માતૃભાષા સર્જનની ભાષા તરીકેનું કાઠું કાઢે છે ત્યારે તેનો શક્તિપ્રભાવ ઘણો વધી જાય છે. બે વ્યક્તિઓ વચ્ચેના સંવાદમાં ભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. દરેક પ્રજા પોતાનાં મૂલ્યો પર જીવતી હોય છે અને એ રીતે તે પોતાની પરંપરા સાથે જોડાણ સાધતી હોય છે. આથી સૌથી વિકટ પ્રશ્ન એ મૂલ્યો અને સંસ્કૃિતનો વારસો પછીની પેઢીને કઈ રીતે આપવો એનો હોય છે. એમાં માતૃભાષા સૌથી વધુ સહાયક થાય છે.

શ્રીમદ્ ભગવદ્ગીતાના ‘કર્મયોગ’ની વાત અંગ્રેજીમાં કરીએ ત્યારે ‘કર્મ’ શબ્દનો અંગ્રેજીમાં અદ્દલ અનુવાદ કરવો અતિ મુશ્કેલ લાગે છે. એમાં પણ ‘કર્મ’ શબ્દની અંગ્રેજીમાં અર્થચ્છાયાઓ પકડવી, એ તો કપરાં ચઢાણ ચઢવાનો અનુભવ કરાવે છે. વળી ‘કર્મ’ના સંબંધમાં હિંદુ કર્મવાદ અને જૈન કર્મવાદની ભિન્નતા કરી રીતે બતાવવી તે મોટો સવાલ ઊભો કરે છે.

થોડાં વર્ષો પૂર્વે આચાર્ય ઉમાસ્વાતિજીએ ચોથી સદીમાં રચેલા ‘તત્ત્વાર્થસૂત્ર’ ગ્રંથના અંગ્રેજી અનુવાદનું કાર્ય ચાલતું હતું ત્યારે જૈન પરિભાષાના ‘સમ્યક્ દર્શન’ શબ્દપ્રયોગ માટે કલાકોના કલાકો સુધી ગડમથલ ચાલી હતી. બ્રિટનમાં શબ્દો ઘડી આપનારા માટે ‘વર્ડસ્મિથ’ શબ્દ પ્રયોજાયો છે એવા ‘વર્ડસ્મિથ’ સાથે બેસીને જૈન દર્શનના સૌ અભ્યાસીઓએ લાંબી ચર્ચા કરી અને અંતે ‘સમ્યક્ દર્શન’ માટે ‘Enlightened World-View’ પર્યાય પસંદ કર્યો, પણ તેમ કરતાં જોડે એમ પણ નોંધ્યું કે આ શબ્દ મૂળ શબ્દના ભાવને પૂરેપૂરો પ્રગટ કરતો નથી.

માતૃભાષામાં ખવાણ થવા લાગે ત્યારે જીવનમૂલ્યો, પ્રજાની કોઠાસૂઝ, એના લોહીમાં ભળેલા સંસ્કારો, એનો ઇતિહાસ જેવી અનેકાનેક બાબતોનું ખવાણ પણ થવા માંડે છે. એટલે કે વ્યક્તિનું સત્ત્વ જ ક્ષીણ થાય છે. એક અર્થમાં કહીએ તો એનાં સઘળાં મૂળિયાંને લૂણો લાગવા માંડે છે. આમ જે તે પ્રજાની માતૃભાષા ક્ષીણ થાય ત્યારે તેનાં પુષ્ટિસંવર્ધક જીવનમૂલ્યોનો પણ હ્રાસ થતો જાય છે અને પરિણામે પેઢી પેઢી વચ્ચેનું અંતર ન પુરાય એવી ખાઈમાં પલટાઈ જાય છે.

બીજી ભાષામાં વિચાર કરવાની આપણે કોશિશ કરીએ છીએ, પણ એને પૂરેપૂરી અપનાવી શકતા નથી – એને આપણી લોહીની ભાષા બનાવી શકતા નથી. આપણા ભાષાવ્યવહારનો સીધો સંબંધ આપણી આંતરિક ચેતના સાથે, આપણી સર્જનાત્મક શક્તિ સાથે જોડાયેલો હોય છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ સધાય છે ત્યારે એક સંસ્કારલક્ષી ઘટના ઘટે છે, એક ભાષાકીય ઘટના ઘટે છે. એ રીતે બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વનો સુમેળ સાધવાની ભૂમિકા ઊભી થાય છે ને ત્યારે એ સંબંધના રાસાયણિક સંયોજનમાં માતૃભાષા એક મહત્ત્વનું પ્રેરક-પોષક પરિબળ બની રહેતું હોય છે.

બાળક સૌથી વધુ શિક્ષણ ઘરમાંથી લેતું હોય છે અને તેથી માતૃભાષા એને હૃદયવગી અને જીભલગી હોય છે. કુદરતે આપણને ભાષા આપી; પરંતુ એની આપણે કરેલી માવજત કેટલી મજબૂત હોય છે તે પ્રશ્ન છે. સર્જકો, શિક્ષકો, ગ્રંથપાલો અને સમાજહિતચિંતકો સૌ ગુજરાતી માતૃભાષા માટે કટિબદ્ધ બનીને આંદોલન કરે છે પણ એમાં વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ, મેનેજમેન્ટના નિષ્ણાતો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને શ્રમજીવીઓ ક્યાં છે ?

માણસમાં બહુભાષી થવાની ક્ષમતા છે અને તેથી એકવીસમી સદીના સમગ્ર પરિવેશનો વિચાર કરીએ તો આજે વ્યક્તિને માટે ત્રણ પ્રકારની ભાષાગત ક્ષમતા જરૂરી જણાય છે : એક સ્થાનિક (લોકલ સિચ્યુએશન), બીજી રાષ્ટ્રીય (નૅશનલ), ત્રીજી વૈશ્વિક (ગ્લોબલ). આ ત્રણેય પરિસ્થિતિઓમાં જુદી જુદી ભાષાઓ કામ લાગે છે. માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશી ભાષાને એ દૃષ્ટિએ જોવી અને પામવી જોઈએ. એક ભાષા સાથેનો ઘનિષ્ઠ સંપર્ક બીજી ભાષાઓ શીખવામાં મદદરૂપ થાય છે, આથી બાલ્યાવસ્થામાં માતૃભાષાનો ઉપયોગ થાય એ અનિવાર્ય છે. બાળક મોટું થતાં બીજી ભાષાઓમાં પણ પછી સહેલાઈથી નિપુણ બની શકે છે.

આજે માતૃભાષા ગુજરાતીની કટોકટીનો ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આને માટે થોડું આંતરદર્શન પણ આવશ્યક છે. આગલી પેઢીઓની જ્ઞાનપિપાસા અને કાર્યનિષ્ઠા કંઈક ઘસાતી જાય છે. એનાં કારણો તપાસવાં અને ઇલાજ શોધવા હવે ખૂબ જરૂરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યની ક્ષિતિજોનો વિસ્તાર કરવા માટે જુદી જુદી સંસ્થાઓએ જુદા જુદા પ્રકલ્પો વિચારીને એમાં જીવ રેડવાની જરૂર છે. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’, ‘ભગવદ્ગોમંડળ’, ‘ગુજરાતીલેક્સિકન’ કે ‘ગુજરાતી વિશ્વકોશ’ વગેરેએ તેમ જ આપણી કેટલીક સાહિત્યિક સંસ્થાઓએ કેવું માતબર કામ કર્યું છે તે જોવું જોઈએ. આજની આપણી ભાષાકીય કટોકટી સામે સૌએ કમર કસવાની જરૂર છે અને ભાષા અને સાહિત્યનું સ્તર ઊંચું આવે તેવા સત્ત્વશુદ્ધ પ્રયત્નો કરવાની તાતી જરૂર છે. આપણે નરવી રચનાત્મક સાહિત્યિક ચર્ચાઓને બદલે શા માટે વ્યક્તિગત આક્ષેપો કે પ્રતિઆક્ષેપોના રણમાં ખોવાઈ જઈએ છીએ ?

1858ની 23મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને માતા સરસ્વતી આગળ માથું નમાવીને નર્મદે ગદ્ગદ કંઠે કલમને ખોળે જીવવાનું નક્કી કર્યું હતું અને ચોવીસ વર્ષ સુધી એ અસિધારાવ્રત એણે પાળ્યું હતું. અપાર માનસિક વિટંબણાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તો પણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતાં હસતાં જીવન ગાળીને નર્મદે ભાષા-સાહિત્ય માટે વ્રતતપનું એક પ્રેરણાદાયી ઉદાહરણ આપણને આપ્યું ! એ રીતે મુંબઈમાં ધીકતી વકીલાત છોડી કેટલાંક દેશી રાજ્યોની દીવાનગીરી મળવાની તકો પણ તરછોડી ચાલીસમાં વર્ષે ધીકતી વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને ગોવર્ધનરામ ત્રિપાઠીએ નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનું સર્જન કરી ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનો સમુત્કર્ષ સાધવાનો સારસ્વત પુરુષાર્થ કર્યો. માતૃભાષા માટે દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, ધીરુભાઈ ઠાકર જેવા વિદ્વાનોની સમર્પણવૃત્તિને; ગુજરાતી ભાષા-સાહિત્યમાં ગાંધીજી તેમ જ ગાંધીમૂલ્યથી પ્રેરિત સાહિત્યકારોએ તથા ગૂજરાત વિદ્યાપીઠે દાખવેલી માતૃભાષા માટેની સેવાભક્તિને તેમ જ ભગવતસિંહજી, ચંદુલાલ પટેલ કે રતિલાલ ચંદરયા જેવાઓની ભાષાપ્રીતિને આપણે આજે ય સદ્ભાવપૂર્વક યાદ કરીએ છીએ. આપણે ફાર્બસ કે જૉસેફ વાન ટેલરને ય કેમ ભૂલી શકીએ ? કેટલીક સારસ્વત વ્યક્તિઓ ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે આજે ય કાર્યરત છે. એ કાર્ય ઉત્તમ રીતે ફળદાયી નીવડે એ માટે વધુ સંગઠિત અને સાત્ત્વિક પ્રયાસોની જરૂર છે.

આ બધા વિશે આપણે સહિયારો પ્રયાસ કરીએ. એકએક ગુજરાતી પોતાને પોતાની માતૃભાષાનો પ્રતિનિધિ સમજીને કાર્ય કરે તો ‘જય જય ગરવી ગુજરાત’ ગૌરવભેર ગાવાની પાત્રતા તો દાખવી શકશે અને ત્યારે આપણે પણ આત્મશ્રદ્ધાપૂર્વક કહી શકીશું : ‘શુભ શકુન દીસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.’

(મુદ્રાંકન સહયોગ : મૈત્રીબહેન શાહ, ‘ગુજરાતી લેક્સિકૉન’)

[રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વક્તવ્ય, તા. 07.01.2017]

સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2017 / માર્ચ 2017 / અૅપ્રિલ 2017 [વર્ષ : 19 • અંક : 05 / 06 / 07]; પૃ. 03-06; 03-05 and 03-04 & 07

Loading

મથુરદાદાનું love marriage –

આનંદરાવ, આનંદરાવ|Opinion - Short Stories|25 April 2017

માનો કે ના માનો .. પણ મથુરદાદાના લવ-મેરેજની આ વાત છે. બાળપણમાં જોયેલા મથુરદાદાની છાપ મારા મન ઉપર જુદી જ હતી. એમનું બીજું પાસું બહુ મોડું જોવા મળેલું.

મથુરદાદાનું કુટુંબ એમની નાતમાં એક પ્રતિષ્ઠિત, ખાનદાન અને શ્રીમંત જમીનદાર તરીકે જાણીતું હતું. આસપાસનાં બધાં ગામોમાં, એમના આખા ગોળમાં એમનો મોભો હતો. મથુરદાદા નાતના આગેવાન ગણાતા. એમનું ઘર નાતમાં “મોટું ઘર” ગણાતું. એમના બોલને માન અપાતું. મથુરદાદાના વ્યક્તિત્વમાં પટેલ-ખાનદાની ચમકતી હતી. ધોતિયું, ઝભ્ભો, ઉપર બંડી, માથે ટોપી, પગમાં એમના માનીતા જોડા અને હાથમાં ચાંદીના હાથાવાળી લાકડી લઈ દાદા ઘરની બહાર પડતા ત્યારે અસ્સલ ખાનદાની પટેલ ભાયડો લાગતા.

આબરૂદાર ઘર એટલે કામ ધંધા અંગે અને નાતના બધા વટવ્યવહાર અંગે મહેમાનોની અવર જવર સતત ચાલુ રહેતી. આ મહેમાનોનાં ચા-પાણી, નાસ્તા અને જમવા માટે જમનાબાની દેખરેખ હેઠળ રસોડું પણ સતત ચાલુ રહેતું. રાંધવા માટે ગામના એક બ્રાહ્મણ કુટુંબની વિધવા બાઈ અને એની યુવાન દીકરી વર્ષોથી કામ કરતાં હતાં.

મથુરદાદા ખાવા પીવાના ભારે શોખીન. રસોઈ સ્વાદિષ્ટ ચટાકેદાર જોઈએ. મુખ્ય રસોઈ સાથે ઓછામાં ઓછાં બે શાક, પાપડ, રાયતાં, અથાણાં વગેરેથી એમની થાળી શણગારેલી હોવી જ જોઈએ. પાછી રોજ નવી નવી વાનગી એમને ખાવાં જોઈએ. એકની એક રસોઈ અઠવાડિયામાં બે વખત જો ઘરમાં રંધાય તો મથુરદાદા જમનાબાને મજાક અને કટાક્ષમાં કહેતા: “તમને રાંધતાં આળસ આવતી હોય તો મને કહો, હું મારું મારી જાતે રાંધી લઈશ અથવા કોઈ લૉજમાં જમી આવીશ. પણ મહેરબાની કરીને આ એકનું એક રાંધીને ના ખવરાવશો.”

એક બહુ કરુણ ઘટના મથુરદાદાના જીવનમાં બની ગયેલી. મથુરદાદાનો જુવાન જોધ દીકરો અને વહુ મોટર સાયકલના એક ગોઝારા અકસ્માતમાં ગુજરી ગયેલાં. ચાર-પાંચ વર્ષની ઉંમરના પૌત્રો કાન્તિ અને બળવંત આ બન્ને ભાઈઓને મથુરદાદા અને દાદીમા જમનાબાએ ઉછેરેલા. દીકરાના દીકરાઓને ઉછેરવાનો આ રીતે વારો આવશે એવી મથુરદાદાને કે જમનાબાને સહેજે કલ્પના નહોતી. દીકરો અને વહુ મોટર સાયકલના અકસ્માતમાં ગુમાવ્યાનું દુ:ખ મથુરદાદાને જીવનભર રડાવ્યા કરતું હતું.

નાનો પૌત્ર કાન્તિભાઈ અને હું એક જ સ્કૂલમાં સાથે ભણેલા. કમનસીબે, કાન્તિભાઈ હાઈસ્કૂલ પણ પાસ કરી શક્યા નહોતા. એમના સાળાને કારણે કાન્તિભાઈ પાંચ-સાત વરસ અમેરિકામાં રહી ગયેલા. એમના સાળાએ ફાઇલ મૂકેલી એટલે આવીને એક નાની ઇનર-સીટી મોટેલ ખરીદેલી. એમને અમેરિકાની ગાયનું દૂધ ભાવે નહીં. સાવ પાણી જેવું લાગે એમાં ય નૉન-ફેટ કે લો-ફેટ !! આ તે કંઈ દૂધ કહેવાય ! ચૂનાનું પાણી છે. સવારે એમની ચામાં, સાંજે ભાખરી શાક સાથે ખાવામાં કે રાત્રે સૂતા પહેલાં ગ્લાસ ભરીને પીવામાં half and half જ વાપરતા. આરોગ્ય વિશેની મારી કોઈ વાત એમને ગળે ઉતરતી જ નહીં. ધીમે ધીમે એમની તબિયત લથડતી ગઈ એટલે મોટેલ વગેરે બધું છોડીને પાછા મથુરદાદાની વાડી ભેગા થઈ ગયેલા. જતાં જતાં મને કહેતા ગયેલા … “હવે ઇન્ડિયા આવો ત્યારે આપણી વાડીએ એટલે કે મથુરદાદાની વાડીએ બેત્રણ અઠવાડિયાં રહેવાય એ રીતે આવજો. તમને ત્યાં બેઠાં બેઠાં લખવાની મઝા આવશે.”

મથુરદાદા સ્વભાવે ખૂબ ગંભીર, અત્યંત ઓછા બોલા, નાટક-સિનેમા, નૃત્ય, સંગીતના રાગડાં આ બધા પ્રત્યે એમને ભારે સૂગ. આ બધું ખાનદાન ઘરના છોકરાં-છોકરીઓ માટે શોભાસ્પદ ના ગણાય એવું દૃઢપણે માનવાવાળા. મથુરદાદાને એ પેઢીના જૂનવાણી માણસ ગણવા હોય તો ગણી શકો છો.

દાદા બહુ ભણેલા નહોતા પણ કામ-ધંધા જેટલું લખી-વાંચી લેતા. એમનો દેખાવ હતો નાળિયેરની કાચલી જેવો બરછટ અને શુષ્ક. ખેતીવાડી કરવી, પૈસા કમાવા, મંદિરમાં દાન-પુણ્ય કરવાં, છોકરાં ઉછેરવાં, પોતાની નાતના રીત-રિવાજો પ્રમાણે વટવ્યવહાર કરી ઈશ્વર માથે રાખી, પ્રમાણિકપણે શાંતિથી જિંદગી જીવવી એ જ એક એમનું ધ્યેય. ટૂંકમાં, મથુરદાદા એટલે પરંપરાઓ અને રૂઢિઓનું જીવંત સ્વરૂપ. અસલ ચીલાચાલુ રૂઢિચુસ્ત પટેલ ભાયડો.

ધર્મની બાબતમાં પાછા ખૂબ શ્રદ્ધાળુ. કોઈ "મા'રાજ" કે "બૉમણ" આવે તો પોતાની શક્તિ પ્રમાણે એ મા'રાજને આપવું જ જોઈએ એવી એમની અડગ માન્યતા. ખાલી હાથે બૉમણને પોતાના ઘરનો ઓટલો ઉતરવા દેવાય જ નહીં એટલા શ્રદ્ધાળુ માણસ. દેવદર્શન કરવા પણ પૂરી શ્રદ્ધાથી મંદિરોમાં જાય. ગમે તે ભગવાનનું મંદિર હોય એમાં મથુરદાદાને કોઈ ફરક નહોતો પડતો. મૂર્તિ દીઠી એટલે હાથ જોડી, માથું નમાવી દેતા. શ્રદ્ધા-અંધશ્રદ્ધાની ચર્ચા મથુરદાદા આગળ થાય નહીં.

મથુરદાદા પાસે બાપદાદાના વખતની જમીન હતી. પાછળથી એમણે પોતે પણ બીજી જમીનો ખરીદીને એસ્ટેટમાં સારો એવો વધારો કર્યો હતો. આંબાવાડિયાં હતા, શાકભાજીની મોટી વાડીઓ હતી. ઘણાં મજૂરો એમને ત્યાં કામ કરતાં. એમનો એક મોટો ગુણ કે દરેક મજૂરની અંગત કાળજી રાખતા.

મથુરદાદા સાત વર્ષની ઉંમરે પરણી ગયેલા. જમનાબાની ઉંમર એ વખતે પાંચ વર્ષની હતી. બાળલગ્નનો રિવાજ સારો કે ખોટો એની લમણાફોડ અત્યારે કરવાથી શો ફાયદો?

‘લવ મૅરેજ' અને 'મથુરદાદા' આ બે તત્ત્વો કદી ભળે નહીં. બધુ સ્ફોટક ગણાય તેમ છતાં એવું જ થઈને ઊભું રહ્યું.

એમના મોટા પૌત્ર બળવંતે પોતાની સાથે કૉલેજમાં ભણતી – પરનાતની – છોકરી સાથે 'લવ મૅરેજ' કરવાનું નક્કી કર્યું. મથુરદાદાને કાને પહેલી વાર જ્યારે આ 'લવ મૅરેજ' શબ્દ પડ્યો ત્યારે એ ધગધગતા અંગારાની જેમ ભભૂકી ઉઠ્યા હતા. દાદા આવા 'લવ મૅરેજ' 'ફવ મૅરેજ'માં માનતા નહોતા. નાતના રીતરિવાજ પ્રમાણે અંદરો અંદર વડીલો દ્વારા બધું ગોઠવાય એને જ એ સાચું લગ્ન માનતા. એ દિવસે ધૂંઆપૂંઆ થઈને દાદાએ આખા ઘરમાં બધાનો ઉધડો લીધો, 'આ સાલાઓ કૉલેજમાં ભણવા જાય છે કે આવાં બધાં પ્રેમલા-પ્રેમલીના છીનાળવાં કરવા જાય છે ! બધાઓને સાલાઓને પ્રેમ ફૂટી નીકળે છે. મારા ઘરમાં આ પ્રેમ-બેમ નહીં ચાલે. કાલથી જ આ બળવંતિયાનું કૉલેજમાં જવાનું બંધ કરી દો. મારી ખેતીમાં માણસોની બહુ જરૂર છે. આમે ય કૉલેજમાં ભણીને શું વાઘ મારી નાખવાના છે ?'

મથુરદાદાને આબરૂની પડી હતી. સમાજમાં પોતાને નીચું જોવું પડશે, લોકો પાછળ ગમે તેમ બોલશે કે "નાતના આગેવાન મથુરભાઈએ પોતે જ પારકી નાતની છોકરી ઘરમાં ઘાલી." ઘરનો મોભો ઝાંખો પડી જશે, નાતમાં એમના બોલની કિંમત નહીં રહે .. આ રીતની ચિંતાથી એ બળ્યા કરતા.

એન્જિનિયર બળવંત દીકરાના લગ્ન ધામધૂમથી કરવાના સપનાં જોતાં હતા, જમાનાબા તો ખાસ. આખી નાતમાં કદી ના થયું હોય એવા ભપકાથી પોતાના એન્જિનિયર દીકરાનું લગ્ન મથુરદાદાને કરવું હતું. એમાં જો બળવંત પોતાની જાતે જ આમ કૉલેજમાંથી કોઈ છોકરી શોધી કાઢે અને પરણી જાય અને તે ય પાછી બીજી નાતની છોકરી સાથે ?? તો મથુરદાદાનું મહત્ત્વ શું ?

પણ આખરે બળવંતભાઈએ નમતું આપેલું અને નાતની છોકરી સાથે એમનું લગન ગોઠવાઈ ગયેલું.

ઇન્ડિયામાં કાન્તિભાઈની તબિયત લથડતી જતી હતી એવા સમાચાર અવારનવાર મળતા. છ-સાત મહિના વીત્યા. મારા નાનાભાઈની દીકરીના લગનમાં અમેરિકાવાળા મોટાકાકા તરીકે હાજરી આપવા હું ઇન્ડિયા ગયો. ભત્રીજીનાં લગ્ન નિર્વિધ્ને પતી ગયાં. મારી પાસે ટાઇમ હતો, મને કાન્તિભાઈ યાદ આવી ગયા.

કાન્તિભાઈને ત્યાં જવા મુંબઈથી ગુજરાતમાં જતી લોકલ ટ્રેન મેં પકડી. જાણી જોઈને લોકલ ટ્રેન પસંદ કરી હતી રસ્તામાં આવતાં બધાં સ્ટેશનોનાં પીળાં પાટિયાં ઉપર કાળા રંગે લખેલાં નામ મારે વાંચવાં હતા. બાળપણની એ ટ્રેન મુસાફરી ફરીથી તાજી કરવી હતી. મુંબઈથી પરોઢિયે પાંચ વાગે લોકલ ઉપડી. સ્ટેશન માસ્તરની ઑફિસ, પાણીનો પેલો નળ, બે પ્લેટફૉર્મને જોડતો એ પુલ, ભજિયાંવાળાની લારીઓ અને પ્લેટફૉર્મ ઉપર આંટા મારતા બીજાં ટોળાં … આ બધું ગાડીના ખટક ખટક અવાજ સાથે, ધીમે ધીમે પાછળ રહી ગયું. ગાડી પ્લેટફૉર્મના છેડા ઉપર આવી ગઈ. છેડા ઉપર એ જ પીળા પાટિયા ઉપર કાળા અક્ષરે લખેલું સ્ટેશનનું નામ વાંચીને સ્મૃિતઓ ખળભળી ઊઠી. ધીમે ધીમે ગાડીએ સ્પીડ પકડી .. મને બારી પાસેની સીટ મળી ગઈ હતી. દૂર દૂર સુધીનાં ખેતરોમાં કામ કરતાં કામદારો, થોડાં ઢોર … આ બધું જોવામાં તલ્લીન થઈ જવાતું હતું.

એક પછી એક કેટલાં ય ગામનાં પીળાં પાટિયાં હું વાંચતો રહ્યો. ગાડી કોઈ નાના સ્ટેશને ઊભી રહેતી ત્યારે ચીકુ, જાંબુડાં કે રાયણાંના પડિયા લઈને દોડતી છોકરીઓની સેલ્સમેનશીપ સાંભળવાની મઝા આવતી. પાણીના ઘડા લઈ "બૉમણિયું" પાણી વેચવા બૂમો મારતી છોકરીઓ પણ એમનું પાણી ઠંડું હોવાનો દાવો કરતી.

ક્યારેક કોઈ રેલવેનું ફાટક બંધ હોવાને કારણે ત્યાં ઊભા રહી ગયેલા ખટારા, સ્કૂટર, સાયકલ, ઊંટગાડાં … આ બધું જોતાં બાળપણ નજર આગળ તરી આવતું અને રૂંવાડાં ખડાં થઈ જતાં.

કાન્તિભાઈના સ્ટેશને હું ઉતર્યો. એમની ગાડીમાં અમે વાડીએ પહોંચ્યા. લિવિંગરૂમમાં મથુરદાદા અને જમનાબાને સુખડનો હાર પહેરાવેલો હતો. કાન્તિભાઈ પાસેથી બધી વિગત સાંભળી.

બાવન વરસ સુધી તો મથુરદાદા અને જમનાબાની જિંદગી પૂર જોશમાં વહેતી હતી. પછી એમના દાંપત્ય જીવનમાં તિરાડ પડી.

જમનાબા બિમાર પડ્યાં. …

જમનાબાને છાતીનો દુખાવો તો ઘણા વખતથી હતો જ. ગામના વૈદ-ડાક્ટરની દવા કર્યા કરતાં હતાં. કોઈને એમની બિમારી વિશે કશી ખબર પડતી નહોતી. છેવટે મુંબઈની મોટી હૉસ્પિટલમાં દાખલ કર્યા પણ ત્યારે વાત ઘણી આગળ વધી ગઈ હતી. જમનાબાને છેલ્લા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હતું.

આ સાંભળીને મથુરદાદાને માથે જાણે વીજળી પડી હતી. એ સતત હૉસ્પિટલમાં આંટા માર્યા કરતા. ક્યારેક તો રાત પણ ત્યાં જ રહી પડતા. કેટલીયે રાતો એમણે હૉસ્પિટલમાં કાઢી હતી. એમને બીજું કોઈ કામ સૂઝતું જ નહોતું. ચોવીસે કલાક એમના મન ઉપર જમનાબા જ રહેતાં. વટ વ્યવહારનાં અને ધંધાનાં એમનાં બધાં કામ જાણે થંભી ગયાં હતાં. એમને એ કશાની પરવા પણ નહોતી. જમનાબાની પથારી પાસેથી એ ખસી શકતા જ નહોતા. ક્યારેક એ ડૉક્ટર ઉપર ચિઢાઈ જતા. બીજી કોઈ મોટી હૉસ્પિટલમાં જમનાબાને લઈ જવાનું એ નક્કી કરતા હતા. ત્યાં એક દિવસ ડૉક્ટરે જમનાબાના મૃત્યુના સમાચાર આપ્યા.

મૃત્યુના શબ્દો કાને પડતાં જ મથુરદાદા બાજુના બાંકડા ઉપર ઢગલો થઈને ઉપર પડ્યા. એમના જીવનનો પ્રકાશ જાણે ઓલવાઈ ગયો. એમની દુનિયા ઉપર અંધારપટ છવાઈ ગયો. બધે અંધારું છવાઈ ગયું. એમને જગત દેખાતું બંધ થઈ ગયું. જિંદગીભરનો એમનો સથવારો છૂટી ગયો. એમના જીવન વૃક્ષની મોટામાં મોટી ડાળી કેન્સરના વંટોળિયાથી કડડડ કરતી તૂટી પડી હતી. એ જાણે સૂધબૂધ ગુમાવી બેઠા હતા.

જમનાબાની સ્મશાન યાત્રામાં ગામે ગામથી જ્ઞાતિના આગેવાન પુરુષો આવેલા.

ખડક જેવા કઠણ દેખાતા મથુરદાદા જમનાબાની ચિતાને અગ્નિદાહ દેતાં ધ્રૂજી ઊઠેલા અને નાના બાળકની જેમ રડી પડેલા. અંતે પૌત્ર બળવંતની મદદથી ચિતાને દાહ દેવાયો હતો.

મથુરદાદાનું જીવન હવે કરમાવા લાગ્યું. માનસિક શાંતિ જતી રહી હતી. પીરસેલી થાળી તરફ હવે એ જોતા પણ નહીં. બધાના બહુ આગ્રહથી માત્ર એક બે ઘૂંટડાં ચા પી લેતા. ધીમે ધીમે થોડો ગોળ અને શીંગદાણા ખાવા શરૂ કર્યા.

ઘરમાં હવે ક્યાં ય એમનું ચિત્ત લાગતું નહોતું. આખું ઘર એમને ખાલી, સૂમસામ, ઉજ્જડ લાગતું હતું. આ ઘર હવે એમને 'ઘર' જ નહોતું લાગતું. આ દિવાલોમાંથી એમનો રસ ઊડી ગયો હતો. બધું સાવ ખાલીખમ થઈ ગયા જેવું લાગતું હતું. સંસારમાંથી જાણે એમનો રસ ઊડી ગયો હતો. રોજ સવારે શાકભાજીનું ઉત્પાદન જોવા અને આંબાઓ તથા બીજાં ફળઝાડો વિશે કામદારો સાથે વાતચીત કરવા જતાં દાદા હવે પોતાની પાટ છોડીને ક્યાં ય જતા નહીં.

આમ ને આમ એક મહિનો વીતી ગયો. રોજ બપોરે થોડો ગોળ અને ચપટી શીંગદાણા સિવાય મથુરદાદા કશું ખાતા નહીં. એમને ગળે કશું ઉતરતું જ નહોતું. એમની રુચિ જ મરી ગઈ હતી. એમનું શરીર નંખાતું ગયું. એમના વ્યક્તિત્વનું તેજ ઝાંખું પડવા માંડ્યું.

રસોયણ મા-દીકરીને મથુરદાદાની બહુ ચિંતા થવા લાગી. રસોયણ છોકરીની ઉંમર હશે લગભગ બાવીસ વર્ષ જેટલી. રોજ નવી નવી સ્વાદિષ્ટ, ચટાકેદાર વાનગીઓનો આગ્રહ રાખનારા દાદા ચપટી શીંગદાણા અને ગોળ ઉપર દિવસો કેવી રીતે કાઢશે !

એક બપોરે રસોયણ છોકરીએ દાદાને ભાવતાં બે શાક, દાળ, ભાત, રોટલી, રાયતું, એકાદ બે અથાણાં વગેરે પીરસીને થાળી દાદા સામે લાવીને મૂકી. દાદાએ છોકરી સામે જોયું અને થાળી દૂર ખસેડી દીધી. કડક અવાજે બોલ્યા,

"આ શું કામ લાવી ? મારા શીંગદાણા અને ગોળ લઈ આવ."

"શીંગદાણા ખલાસ થઈ ગયા છે. અત્યારે તમારે આ જ ખાવાનું છે." એટલી જ કડકાઈથી છોકરીએ જવાબ આપ્યો.

"બળવંતને કે કાન્તિને કહીને મંગાવી કેમ નથી લેતી ? જા .. શીંગદાણા મંગાવી લે .. આ થાળી પાછી લઈ જા." ખીજાઈને દાદાએ હુકમ કર્યો.

"નથી લઈ જવાની થાળી પાછી …" છોકરી પણ સામે છણકો કરીને ખીજાઈ. 

બાધા બનીને મથુરદાદા છોકરી સામે જોઈ રહ્યા. આ છોકરી આજે મારી સામે બોલે છે! આ છોકરી આજે આમાન્યા તોડી રહી છે! એની આટલી હિમ્મત ! એક અક્ષર કદી નહીં બોલવાવાળી આ છોકરી આજે મારું કહ્યું તો માનતી નથી ઉપરથી મારા હુકમનું ઉલ્લંઘન કરે છે! દાદા બરાબર ઉકળ્યા.

"છોકરી, તું મારી સામે બોલે છે … ! કંઈ ભાનબાન છે તને … ઉદ્ધત … "

"હા … હા… બોલવાની… હજાર વાર તમારી સામે બોલવાની, શું કરી લેવાના છો તમે? … મને અને મારી માને નોકરીમાંથી કાઢી મૂકશો એ જ ને!" મોટેથી રડતી, થાળી લીધા વિના છોકરી રસોડામાં દોડી ગઈ.

આ છોકરીની અકડાઈ જોઈને મથુરદાદા દંગ થઈ ગયા. વાતાવરણ આખું તંગ બની ગયું.

પીરસેલી એ થાળી સામે મથુરદાદા થોડીવાર તાકી રહ્યા. છોકરી ઉપર ગુસ્સો કર્યો બદલ એમને જાણે દુ:ખ થયું. પસ્તાવો થયો. પોતે પહેલાંની જેમ જમી શકતા નથી એ બદલ છોકરીનાં હૈયામાં પોતા માટે અનહદ કાળજી અને ખૂબ ચિંતા છે એ એમને સમજાયું. માટે જ નોકરી ગુમાવવાનો ખતરો વ્હોરીને પણ એ આજે સામું બોલી ગઈ. એ છોકરીનો પોતા પ્રત્યેનો પ્રેમ અકળાઈ ઊઠ્યો હતો. માટે એ સામું બોલી ગઈ. દાદાને હકીકત સમજાઈ.

થાળી લઈને એ ધીમે ધીમે રસોડામાં આવ્યા. છોકરી સાડલાના છેડાથી મોઢું ઢાંકીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી, દિવાલને અઢેલીને ઊભી હતી. મથુરદાદાએ થળી બાજુના ટેબલ ઉપર મૂકી. ધીમે પગલે છોકરી પાસે ગયા. એ ગળગળા થઈ ગયા હતા.

"બેટા, તું સમજતી કેમ નથી? મારી ભૂખ, તરસ, સ્વાદ … આખું જીવતર જમનાબાની ચિતામાં બળીને ખાખ થઈ ગયું છે. આ શરીર તો હવે ખાલી કોચલું, ખાલી ફોતરું રહી ગયું છે.. આ ખોખાને હવે હું શા હારું પંપાળ્યા કરું? … કોના માટે?? દીકરી, તું પરણીને તારા વર પાસે જઈશ પછી તને આ બધું સમજાશે .. અત્યારે તું કુંવારી છું એટલે તને કશું નહીં સમજાય .. લાવ દીકરા .. મને મારા શીંગદાણા આપી દે .. એ પણ ના આપવા હોય તો તારી મરજી … હવે તો એના વગર પણ ચાલશે …"

ધોતિયાના છેડાથી આંખનો ખૂણો લૂછતાં મથુરદાદા બહાર એમની લાકડાની પાટ ઉપર જઈને આડા પડ્યા. રાત્રે પણ મથુરદાદા હવે આ પાટ ઉપર જ સૂઈ જતા. જમનાબાના અગ્નિદાહ પછી ઉપર પોતાના બેડરૂમમાં એમણે ડોકિયું પણ નહોતું કર્યું. જમનાબા વિના જીવનમાં હવે કોઈ સ્વાદ જ રહ્યો નહોતો. ઘરના ખૂણે ખૂણે એમને જમનાબાના ભણકારા વાગ્યા કરતા હતા. ખૂણે ખૂણેથી જમનાબાના અવાજના પડઘા એમને સંભળાતા હતા. સ્વભાવે કડક હતા એટલે એમના આંસુ બહાર કોઈને દેખાતાં નહોતાં.

e.mail : gunjan_gujarati@yahoo.com

Loading

...102030...3,3963,3973,3983,399...3,4103,4203,430...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved