Opinion Magazine
Number of visits: 9584519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એન્ટિ – રોમિયો સ્કવૉડ અને સ્ત્રી સુરક્ષા

નેહા શાહ|Opinion - Opinion|28 April 2017

મોટા ભાગના નૈતિકતાના રખેવાળોના મતે સ્ત્રીઓને સલામત રાખવી એટલે તેમને નિયંત્રણમાં રાખવી

સ્ત્રીઓની સુરક્ષાના ઓઠા હેઠળ પ્રેમ અને હિંસા વચ્ચેનો જમીન-આસમાનનો તફાવત કોઈને ન દેખાય તો શું કહેવું? છેલ્લાં થોડા સમયથી ચારેકોર પવન એવો ફૂંકાયો છે કે પ્રેમ અને હિંસા વચ્ચેનો ફરક પારખવાનું ચૂકાઈ રહ્યું છે અને હિંસાને રોકવાના નામે પ્રેમ ઉપર આક્રમણ થઈ રહ્યું છે. રસ્તે થતી સ્ત્રીની કનડગત ચોક્કસપણે રોકાવી જોઈએ, જેથી સ્ત્રીઓ પણ મુક્તપણે હરીફરી શકે. પણ, સ્ત્રીની સુરક્ષાના બહાના હેઠળ જાહેરમાં મળતાં દરેક પ્રેમી યુગલને અટકાવવા પાછળનો તર્ક નથી સમજાતો. આ ભયમુક્ત નહિ પણ ભયભીત વાતાવરણની નિશાની છે. છોકારા અને છોકરીને પરસ્પર વાત કરવી હોય તો ભય, ભેગાં બહાર જવામાં ભય, પ્રેમ કરવામાં ભય અને પોતાની મરજીથી લગ્ન કરવામાં ભય. શું આ તંદુરસ્ત સમાજની નિશાની છે?

ચર્ચાના એરણે છે ‘એન્ટિ-રોમિયો સ્કવૉડ’. ભાજપે ઉત્તર પ્રદેશના ચૂંટણીઢંઢેરામાં સ્ત્રીઓની સુરક્ષા માટે એન્ટિ-સોમિયો સ્કવૉડની રચના વચન આપ્યું હતું. એમાં કહેવાતી લવજેહાદથી સુરક્ષાનો સૂર વર્તાતો હતો. સત્તા સાંભળતાં જ સૌથી પહેલા લેવાયેલાં પગલાંમાં એન્ટિ-રોમિયો સ્કવૉડને પ્રાધાન્ય મળ્યું. ઉત્તર પ્રદેશની પાછળ મધ્ય પ્રદેશ, ગુજરાતના અમદાવાદ સહિત થોડાં શહેરોમાં અને અન્ય જગ્યાએ અલગ અલગ નામે આ પ્રકારની સ્કવૉડ રચાવાની જાહેરાત થઈ છે. થોડાં વર્ષ પહેલાં પણ દિલ્હી, મેરઠ, જયપુર અને મુંબઈ જેવાં શહેરોમાં ‘ઓપરેશન મજનુ’ ચાલ્યું હતું. જો કે, આવા કોઈ નામ વગર પણ દરેક મોટા શહેરની પોલીસ વત્તાઓછાં અંશે આ ભૂમિકા ભજવી જ લેતી હોય છે – એકાંતમાં બેઠેલાં પ્રેમીયુગલોને ભગાડીને, કે પછી પૈસા પડાવીને! એમના નિશાન પર જાતીય સતામણી કરતાં તત્ત્વો ઓછાં અને જાહેર સ્થળ પર મળતાં પ્રેમીયુગલો વધારે હોય છે.

રોમિયો અને રોડસાઇડ રોમિયોમાં બહુ મોટો ફર્ક છે. રોડસાઇડ રોમિયોની લંપટવૃત્તિની સામે ચોક્કસ જ કડક પગલાં લેવાવાં જોઈએ. કારણ કે તેમની હરકતો સ્ત્રીઓ માટે ખૂબ જ અપમાનકારક અને આત્મવિશ્વાસના ભુક્કા બોલાવનારી હોય છે. તેમના કારણે સ્ત્રીઓની સલામતી જોખમાય છે. એ ચોક્કસ રસ્તે બેસીને આવતી-જતી છોકરીઓને હેરાન કરનારા ‘રોડસાઇડ રોમિયો’ને ગીતો ગાવાં, ટિપ્પણી કરવા કે અન્ય અણછાજતી હરકત કરવા કોઈ પણ છોકરી ચાલે. ‘રોમેન્ટિક’ હરકતો કરવા માટે દિલનું ધડકવું જરૂરી નથી. છોકરી સુંદર હોય અને પોતાના સૌંદર્ય વિશે સભાન હોય તો બહાનું મળે. પરધર્મી હોય કે અન્ય કોમની હોય, ખાસ કરીને સામાજિક દૃષ્ટિએ પછાત વર્ણની હોય તો તો બહાનું શોધવાની પણ જરૂર નથી. એ તો એમને મન ચીજવસ્તુ સમાન જ છે. એટલે એમની છેડતીમાં પુરુષ અહંની સાથે સાથે જ્ઞાતિ, વર્ણ અને ધર્મનો અહં પણ સંતોષી લે છે. અહીં પ્રેમને દૂર દૂર સુધી સ્થાન નથી. લાગણીની ભીનાશ અને નજાકતનો સદંતર અભાવ છે. અહીં માત્ર અને માત્ર પુરુષાતનનો અહંકાર પોષવાવાળો બરછટ ભાવ જ છે.

આ અહંકારનાં બીજ બાળપણથી જ રોપાઈ જાય છે. બાળક એવું જ જોતાં મોટું થાય છે કે ઘરની સ્ત્રીઓને સાચવવાની અને મર્યાદામાં રાખવાની. આ કામ કુટુંબના પુરુષો કરે, કારણ કે અન્ય કોઈ પુરુષ એને હેરાન કરે તો? એને કોઈની સાથે પ્રેમ થઈ જાય તો? ઘરની આબરૂનું શું? શક્ય છે કે એવા જ કોઈ મુદ્દે ઘરમાં બબાલ થઈ હોય. સાથે, ઘરની સ્ત્રીઓના રક્ષક બનતાં આજ પુરુષોને અન્ય સ્ત્રીની છેડતી કરતાં કે એના વિશે ગમે તેમ બોલતાં સાંભળ્યા હોય, આ વર્તનફેરથી નાની છોકરી સમજી જાય છે કે બચી-બચીને ચાલો અને નાનો છોકરો સમજવા લાગે છે કે કુટુંબની સ્ત્રી પોતાની ખાનગી સંપત્તિ અને અન્ય સ્ત્રી જાહેર સંપત્તિ! મોટા થઈને રસ્તે આવતી-જતી સ્ત્રીને સીટી મારવામાં એમને અજુગતું નહિ લાગે. આમ જ તો ઊભા થાય છે ‘રોડ સાઇડ રોમિયો.’

ભાંજગડ ત્યાં થાય છે કે જેમણે રોમિયોગીરીને રોકવાનું કામ કરવાનું છે તેઓ પણ સમાજનાં આ જ નૈતિક મૂલ્યોમાં માનનારા છે. મોટાભાગના નૈતિકતાના રખવાળોના મતે સ્ત્રીઓને સલામત રાખવી એટલે તેમને નિયંત્રણમાં રાખવી. તેમને મન લગ્ન પહેલાં પ્રેમ કરવો એ જઘન્ય નૈતિક અપરાધ છે, ખાસ કરીને સ્ત્રી માટે. હવે, આ જ વર્ગ પાસે સ્ત્રીઓની છેડતી કરનારને રોકવાની જવાબદારી આવી પડી છે, જેમને માટે રોમિયો અને રોડસાઇડ રોમિયો વચ્ચે કોઈ ભેદ જ નથી.

અહીં ગર્ભિત મુદ્દો એ છે કે પોતાના સાથીદાર અંગે સ્ત્રીનો અભિપ્રાય તો કોઈ પૂછતું જ નથી. સ્ત્રી પોતાની મરજીથી, સંપૂર્ણપણે હોશમાં અને સંપૂર્ણ જવાબદારી સાથે પોતાના પુરુષમિત્રને મળતી હોય, તો પણ એની સાથે જાહેરમાં ફરતો દેખાય એ પુરુષ ‘રોમિયો’ જ ગણાય. એમ માનીને ક્યાંક એનું મુંડન કરાયું, ક્યાંક મોઢા પર મેશ લગાવવામાં આવી, તો ક્યાંક જાહેરમાં ઉઠક-બેઠક કરાવવામાં આવી. દેખીતી રીતે લાગે કે શારીરિક સજા પુરુષને થઈ, પણ કાપ સ્ત્રીની સ્વતંત્રતા પર વધુ આવવાનો.

નૈતિકતા એટલે શું એ સ્પષ્ટતા થવી જરૂરી છે. કારણ કે એની કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન્સ ન હોવાના કારણે દરેક અમલદાર પોતાની સમજણ પ્રમાણે કામ કરી રહ્યા છે. વળી, નૈતિકતાના કેટલાક સ્વઘોષિત ઠેકેદારો પણ પ્રવૃત્ત થઈ જવાના એ જુદું. તેઓ એવું જ માને છે કે સમાજમાં ધાક બેસાડી સમાજસેવા કરી રહ્યા છે, પણ હકીકતમાં તેઓ દાદાગીરી કરી ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. બંધારણે આપેલા મુક્ત રીતે ફરવાના મૂળભૂત અધિકાર પર પોતાની સમજણ પ્રમાણે તરાપ મારી રહ્યા છે. સરવાળે રોડસાઇડ રોમિયો કરતાં સ્વસ્થતાપૂર્વક હળતાંમળતાં સ્ત્રી-પુરુષોમાં ભય વધુ ફેલાવાનો.

પ્રેમ એ સ્વાભાવિક કુદરતી ભાવ છે. પોતાનો સાથી શોધવાનો, એની સાથે હરવા-ફરવાનો, એનો પરિચય કેળવવાનો અને પ્રેમ કરવાનો અધિકાર દરેક વ્યક્તિને હોવો જ જોઈએ. લગ્નના બંધન વગર સ્ત્રી-પુરુષ એકબીજાં સાથે હળીમળી ન શકે એવો સમાજ કોઈ પણ દૃષ્ટિએ સ્વસ્થ ન જ ગણાય. પ્રેમના આવેગને જબરદસ્તી રોકવાથી ધિક્કાર અને હિંસા જ વધવાના.

અલ્હાબાદ હાઇકોર્ટ એક અરજીની સુનાવણીમાં સ્ત્રીઓની સલામતીના પ્રશ્ને એન્ટિ-રોમિયો સ્કવૉડને વાજબી ઠેરવી છે. સાથોસાથ સ્કવૉડની કામગીરી માટે નિયમો બનાવવા માટે તાકીદ પણ કરી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ સરકારે સ્ત્રીની મંજૂરી હોય તેવા યુગલોને લક્ષ્ય ન બનાવવાની સૂચના આપી છે. પણ, જ્યારે બહોળો વર્ગ પરંપરા જાળવવાના નામે નૈતિકતાનો ઠેકેદાર બની બેઠો છે, ત્યારે આવી કોઈ પણ સ્કવૉડ ટૂંકાગાળામાં સ્ત્રીની રક્ષા કરવા જતાં લાંબાગાળે એની પર વધુ પાબંદી લાદશે, એવી ચિંતા થવી સ્વાભાવિક છે.

e.mail : nehakabir@gmail.com

સૌજન્ય : ‘બચાવને બહાને’, “દિવ્ય ભાસ્કર”, 21 અૅપ્રિલ 2017 

Loading

વિચારધારાકીય આદર્શવાદની ક્ષ-તપાસ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 April 2017

જે રાષ્ટૃ-રાજ્યનો ખયાલ સંઘે લગભગ ઈશ્વરને સ્થાને મૂક્યો છે, તે ભારતીય નહીં, યુરોપીય પરંપરાની ભેટ છે

લાલકૃષ્ણ અડવાણી વગેરેને ક્રિમિનલ કૉન્સિપરસીના ધોરણે આરોપીના પિંજરમાં ઊભા કરવા પાછળના રાજકીય આટાપાટાની કે આ પ્રકારના ગંભીર આરોપ છતાં કલ્યાણસિંહ રાજ્યપાલપદે અને ઉમા ભારતી કેન્દ્રીય મંત્રી તરીકે ચાલુ રહેવા ઇચ્છે એમાં સમાયેલ નૈતિક પ્રશ્નોની ચર્ચામાં નહીં જતાં વસ્તુત: જે એક મુદ્દો વિશેષરૂપે ચર્ચવા જોગ છે એ માટેનો ધક્કો ઉમા ભારતીની એ પ્રતિક્રિયા પરથી લાગેલો છે કે અમે જે કર્યું તું તે ખુલ્લંખુલ્લા કર્યું હતું. એને માટે ફાંસીએ ચડવું પડે તો પણ શું, એવો વાગ્મિતાએ રસ્યો ભાવોદ્ગાર પણ એમણે આપ્યો છે. મતલબ, બાબરીધ્વંસમાં એમની સંડોવણી તે કોઈ કાયદો અને વ્યવસ્થાના અગર તો જાહેર જીવનમાં શું કરાય અને શું ન કરાય એવી રાજકીય સભ્યતાના દાયરામાં સીમિત નહોતી તે નહોતી. વિચારધારાકીય આદર્શવાદને વશ વર્તીને એમણે જે પણ કર્યું તે કર્યું. કહો કે ધર્મ્ય લાગ્યાથી કર્યું.

લાગે છે, આ વિચારધારાકીય આદર્શવાદના સળેસળ તપાસવામાં ને સમજવામાં હવે ઢીલું ન મૂકવું જોઈએ. અયોધ્યા ઘટનાનાં પચીસ વરસ છતાં જે વૈચારિક સફાઈ પૂરતી થઈ નથી તે હવે તો થઈ જ જવી જોઈએ. સંધ સ્કૂલને માટે, અચ્છા કોપી લેખક અડવાણીના ખાસા વ્યાયામ પછી અને છતાં, બાબરીધ્વંસ એ વિચારધારાકીય વિજય ઘટના છે. વિકાસવેશ અને ડિપ્લોમેટિક મૌનવશ નમો ન બોલે તો પણ એમની ‘મન કી બાત’ આથી જુદી નથી. આપણે ત્યાં એક સદ્ભાવ ચેષ્ટા લેખે કોઈક તબક્કે યાસીન દલાલ વગેરેએ હિંદુઓની તરફેણમાં વિવાદગ્રસ્ત ઢાંચો છોડી દેવાની હિમાયત કરી હતી. જો કે હાર્ડલાઇન હિંદુત્વના માહોલમાં જે વળતી મુસ્લિમ ઉદ્યુક્તિ ગઠિત થતી આવતી હતી એને એ ભાગ્યે જ સ્વીકાર્ય હોય. આવાં શક્ય સમાધાનોનું બહુ ભૂંડું અને અમાનવીય ઉદાહરણ 2002માં હિંદુબહુલ ગામો જે નાકલીટી તણાવીને મુસ્લિમોને પુન:પ્રવેશ આપવાની વાત કરતાં હતાં એમાંયે જોવા મળ્યું હતું. પણ જિકર આપણે વિવાદગ્રસ્ત ઢાંચો હિંદુઓને સોંપી દેવાના સદ્ભાવસૂચનની કરતા હતા. આવી સોંપણીને હિંદુત્વ રાજનીતિ ભાગ્યે જ કોઈ સદ્‌ભાવ ચેષ્ટારૂપે જોઈ શકે. એના ઝંડાબરદારો આવી સોંપણીમાં પોતાની વિજયધ્વજા જ લહેરાતી જુએ. આનું કારણ અલબત્ત ઉગ્ર વિચારધારાવાદમાં રહેલું છે.

વાત એમ છે કે હિંદુત્વ રાજનીતિ જ્યારે અયોધ્યાનો પ્રશ્ન ઉઠાવે છે ત્યારે આખો પ્રશ્ન પૂજાસ્થાનોની પવિત્રતા, શાસકીય સભ્યતા અને સહજીવનના શીલના મર્યાદિત વર્તુળની બહાર નીકળીને એક રાષ્ટ્ર તરીકેના વિજયપ્રસ્થાપનનો બની રહે છે. ઇસ્લામ અને ખ્રિસ્ત મત સહિતના સંગઠિત ધર્મો આક્રમકતાને મુદ્દે દૂચે દોહેલ છે એમ કોણ કહી શકશે? જેને વ્યાપક હિંદુ ધર્મપરિવાર (રાધાકૃષ્ણન્‌ના શબ્દોમાં કૉમનવેલ્થ ઑફ રિલિજિયન્સ) કહેવાય છે. તેમાં જૈન અને બૌદ્ધ ધર્મ સ્થાનકોને ક્યારેક હિંદુ પરચો મળ્યાની ય ઇતિહાસ નોંધ છે. જૈનો અને બૌદ્ધોએ પણ વળતી હાજરી દર્જ નહીં જ કરી હોય તેમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. પણ સંપ્રદાય-સંપ્રદાય કે ધર્મ-ધર્મ વચ્ચેના ઝઘડાને રાષ્ટ્રવાદીઓ વિ. ઇતરનું રૂપ અપાય એ તો પેલા વિચારધારાવાદની જ કમાલ કહેવાશે.

અડવાણીની રથયાત્રા સાથે દેશમાં જે વિમર્શપળટો થયો કહેવાય છે એની આ રીતની ક્ષ-તપાસ ખાસી કરવા પણું છે. કૉંગ્રેસ કે ડાબેરીઓના સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સ બાબતે ચર્ચાથી ચોક્કસ જ પરહેજ ના કરીએ પણ કોમવાદને પૂરા કદના રાજકીય વિચારધારાનું રૂપ આપનાર અને પડકારવાના વિકલ્પે તેમ ના કરીએ, ભાઈ! હમણાં કે. કે. મોહમ્મદ નામના પુરાતત્ત્વવિદની એ અનુભવનોંધ માધ્યમોમાં રમતી મૂકાઈ છે કે અયોધ્યાના ઉત્ખનનમાં મંદિર પર મસ્જિદ થયાની પૂરતી સાબિતી મળી છે. મોહમ્મદની અનુભવનોંધમાં રહેલી નૈતિકતા અને પ્રામાણિકતાની કદર કરીએ અને ધરમમજહબને નામે તોડફોડ બાબતે અસંદિગ્ધ ભૂમિકા લઈએ; પણ તે પછી અને છતાં એક વસ્તુ તો સમજવી જ પડે કે સંગઠિત ધર્મોની (ખાસ કરીને સેમિટિક વલણોની) આ ટીકાપાત્ર મર્યાદા રહી છે. માત્ર, એને આ કે તે પક્ષે રાષ્ટ્રવાદના વાઘા પહેરાવવાનો ઉદ્યમ એ નવા જમાનાને લાયક વાનું નથી. ઉમા ભારતીના ભાવોદ્રેકી ઉદ્ગારો કથિત ક્રુઝેડ્સની ઉધારબાજુ જેવા છે અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા ખુદ હિંદુ ધર્મને એના ઉજ્જવળ એશોથી વિપરીત સેમેટિક્રૂપ આપી શકે એની ગવાહી પૂરે છે.

ખરું જોતાં હિંદુત્વ રાજનીતિએ જે વાસ્તવ સાથે કામ પાડવાનું છે તે એ છે કે ઇતિહાસની એની સમજ કોઈક ખોટે છેડે ગંઠાઈ ગયેલી છે. હમણાં અમદાવાદમાં સંઘ સમર્થિત ભારતીય વિચાર મંચે સરસંઘચાલક મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતમાં ‘ભારતને સંસ્થાનવાદી માનસિકતાથી મુક્ત કરવા વિશે’ બે દિવસ જે બધી ચર્ચાવિચારણા કરી એની વિગતો મળશે ત્યારે વિગતે વિચારવાનું બનશે. પણ એક પાયાની વાત સંઘ શ્રેષ્ઠીઓએ અને સંઘચાહકોએ તેમ એના રાષ્ટ્રવાદના સમર્થકોએ લક્ષમાં લેવાની જરૂર છે, અને તે એ કે જે રાષ્ટ્ર-રાજ્ય (નેશન-સ્ટેટ)નો ખયાલ એમણે લગભગ ઈશ્વરના સ્થાને મૂક્યો છે તે યુરોપીય પરંપરાની ભેટ છે. યુરોપીય પરંપરાના સંપર્કે, અંગ્રેજ રાજવટ હસ્તક આપણે ત્યાં જે સાંસ્થાનિક માનસ વિકસ્યું એણે રાષ્ટ્ર-રાજ્યને એવો ને એટલો ઘોર ઉપાસ્ય બનાવી મૂકેલ છે જેવો ને જેટલો ભારતીય પરંપરામાં તે કદાપિ નહોતો.

સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત થવાના સંદર્ભમાં અમદાવાદની વિચારગોષ્ઠિ અંગેની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેનો દિશાબોધ મહાત્મા ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ના સપનાને સાકાર કરવાની રીતે સાર્વજનિક જીવનના એકાએક અંગના ભારતીયકરણનો છે. સંઘની થિંક ટૈક જરી બારીકાઈથી વિચારશે તો તેને જણાશે કે ‘હિંદ સ્વરાજ’ વસ્તુત: રાષ્ટ્રરાજ્યવાદી પરંપરાને સમાંતરપણે યુરોપ અમેરિકામાં જે વૈકલ્પિક વિચાર વિકસ્યો એની ધારામાં ગાંધીની સત્યાગ્રહી ગતિમતિથી બની આવેલ અભિગમપત્ર છે. જે રાષ્ટ્રરાજ્યવાદને સંઘ પરિવાર કુલદૈવત પેઠે ઉપાસે છે. એની સામે ટોલ્સટોય – રસ્કિન – થોરોની સમાંતર ધારામાં ગાંધી અને ‘હિંદ સ્વરાજ’ આવે છે.

દક્ષિણ આફ્રિકાથી પ્રસંગવશ લંડન ગયેલા ગાંધી અને ઇન્ડિયા હાઉસના સુપ્રતિષ્ઠ ક્રાંતિકારી સાવરકર બેઉ એકમંચ પર આવ્યા ત્યારે સાવરકરનું વક્તવ્યવસ્તુ ‘દુર્ગા દશપ્રહરણધારિણી’ની વિજીગીષુ તરજ પર હતું. જ્યારે ગાંધીનું વક્તવ્યવસ્તુ ‘મર્યાદા પુરુષોત્તમ રામ’ની મુમક્ષુ તરજ પર હતું. સૈકા ઉપર એક દાયકા જેટલી થવા જતી આ સહોપરિસ્થિતિ ‘હિંદુત્વ’ના ભાવિ વ્યાખ્યાકાર અને ‘હિંદ સ્વરાજ’ના દૃષ્ટાની હતી એમ પાછળ નજર કરતાં સમજાય છે.

આ સહોપસ્થિતિ અહીં સાભિપ્રાય સાંભરી છે; કેમ કે ગોળવેલકર કૃત ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ (મરાઠીમાં ‘આમ્હી કોણ’) એ સાવરકરની હિંદુત્વ થીસિસની ફ્રિકવન્સી પર છે અને હિટલર પરત્વે રાષ્ટ્રનિર્માતા લેખે અહોભાવથી ગ્રસ્ત છે. ‘અમેરિકા ફર્સ્ટ’ અને ‘નેશન ફર્સ્ટ’ પોતપોતાની ગતિમતિએ આવી જ ધારાઓમાંથી આવેલાં સૂત્રો છે એટલે ભારતીય વિચારમંચને જો સહસા ‘હિંદ સ્વરાજ’નો મહિમા વસ્યો હોય તો તેણે ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ બાબતે પ્રગટ પુનર્વિચારની રાહે કામ લેવાનું નૈતિક સાહસ દાખવવું રહે છે. પાકા ઘડે કાંઠા ચડશે? થોભો અને રાહ જુઓ, એમ કહી શકાય પણ હમણાં સુધીનો અનુભવ તો સરવાળે કોસ્મેટિક કુંડાળાની બહાર નીકળી નહીં શકવાનો રહ્યો છે. આજે વિકાસનો વરખ, કાલે ‘હિંદ સ્વરાજ’નો હરખ .. ને એય હિંદુત્વ હેલાળા લે!

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘ઐતિહાસિક તથ્ય’, “દિવ્ય ભાસ્કર”, 22 અૅપ્રિલ 2017

Loading

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2017

વરસોનાં વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે, તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઇન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે

મુંબઈની વડી અદાલતે માલેગાંવ બૉમ્બ-બ્લાસ્ટ કેસનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર છોડવાનો હુકમ આપ્યો છે. ૨૦૦૮ની ૨૯ સપ્ટેમ્બરે માલેગાંવમાં બૉમ્બ-વિસ્ફોટ થયા હતા જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સો જેટલા લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ કબ્રસ્તાનની બહાર થયા હતા અને માર્યા ગયેલાઓ અને ઘાયલ થયેલાઓ બધા જ મુસલમાન હતા. શરૂઆતની તપાસ પછી પોલીસને હિન્દુ ઉગ્રવાદી જૂથનો હાથ હોવાની શંકા ગઈ હતી. એ પછી ઑક્ટોબર-નવેમ્બરમાં પ્રજ્ઞા સિંહ ઠાકુર, સ્વામી અસીમાનંદ, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, શિવનારાયણ કલસાગરા વગેરેની ધરપકડ કરવામાં આવી હતી. એ પહેલાં શંકાના આધારે કેટલાક મુસલમાન શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી જેમનો નિર્દોષ છુટકારો હજી હમણાં વરસ પહેલા થયો હતો.

પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા આરોપીઓ આઠ વરસથી જેલમાં હતા. આઠ વરસે હજી એ ઠરાવવાનું બાકી છે કે તેમની સામે પ્રથમદર્શી પુરાવાઓ છે કે નહીં. આરોપનામું તો હજી બહુ દૂરની વાત છે. ૨૦૦૮માં ATSએ આરોપીઓ સામે મોકા અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. ૨૦૦૮ની ૨૦ જાન્યુઆરીએ ATSએ આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું હતું. ૨૦૧૧ના એપ્રિલ મહિનામાં આ કેસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપવામાં આવ્યો હતો. ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન ATSએ ગોકળગાયની ઝડપે તપાસ આગળ વધારી હતી. ૨૦૧૧થી ૨૦૧૬ સુધી NIAએ એ જ ઝડપે તપાસ આગળ વધારી હતી.

૨૦૧૪માં કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ હતી અને ૨૦૧૬માં NIAએ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ આરોપીઓ સામેના મોકા ધારા અંતર્ગત મૂકવામાં આવેલા આરોપો પડતા મૂક્યા હતા. આરોપ જ પડતા મૂકવામાં આવ્યા ત્યાં બીજું કે અંતિમ આરોપનામું દાખલ થવાનો તો સવાલ જ નથી. ગઈ ૧૧ નવેમ્બરે NIAએ અદાલતને જણાવ્યું હતું કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન આપવામાં આવે એની સામે એજન્સીને વાંધો નથી. ૨૫ એપ્રિલે વડી અદાલતે જામીન આપ્યા હતા. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતને જામીન આપવામાં નથી આવ્યા, કારણ કે NIAએ એની સામે વાંધો લીધો છે. પુરોહિત લશ્કરમાં હતો અને લશ્કરમાં શીખવાડવામાં આવતી ટેક્નૉલૉજીનો તેણે દુરુપયોગ કર્યો હતો એ જામીનનો વિરોધ કરવાનો અને જામીન નહીં આપવાનું મુખ્ય કારણ છે. દરમ્યાન ૮ માર્ચે જયપુરની NIAએ અદાલતે ગુજરાતમાં ડાંગમાં આશ્રમ ધરાવતા સ્વામી અસીમાનંદને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી.

આમ બનવાનું જ હતું અને એના આસાર કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ એ સાથે જ મળવા લાગ્યા હતા. સવાલ એ નથી. સવાલ એ છે કે ૨૦૦૮થી ૨૦૧૪ સુધી કેન્દ્ર અને રાજ્યમાંની કૉન્ગ્રેસની સરકાર શું કરતી હતી? શા માટે ઝડપથી તપાસ આગળ નહોતી વધતી અને શા માટે અંતિમ આરોપનામાં નહોતાં ઘડાયાં? આનો અર્થ એવો નથી કે કૉન્ગ્રેસની સરકાર પણ આરોપીઓને છાવરતી હતી. આનો અર્થ એ થાય છે કે આપણે ત્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પડી ભાંગી છે. સરકાર દખલગીરી ન કરે તો પણ એક-એક દાયકા સુધી તપાસ પૂરી નથી થતી, આરોપનામું અને ખટલો તો બહુ દૂરની વાત છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ જણ સામે કોઈ આરોપ નથી તો શા માટે તેમને આઠ વરસથી વધુ સમય માટે જેલમાં ગોંધી રાખવામાં આવ્યાં? ૨૦૧૩થી આસારામ જેલમાં છે. આવતા સપ્ટેમ્બરમાં ચાર વરસ પૂરાં થશે, પરંતુ તેની સામેની તપાસ પૂરી થશે એની કોઈ ખાતરી નથી. તે જો નિર્દોષ સાબિત થશે તો તેનાં વેડફાયેલાં વર્ષો અને બદનામી માટે જવાબદાર કોણ?

આરોપી જો ગુનેગાર છે તો તેને કાયદેસર સજા નથી થતી અને આરોપી જો નિર્દોષ છે તો તેનો સમયસર છુટકારો નથી થતો. વરસોના વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે. તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઈન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે. જે દેશમાં કાયદો વાંઝિયો હોય અથવા પસંદગીના ધોરણે કાયદો સક્ષમ કે વાંઝિયો હોય તેમ જ જે દેશમાં ન્યાયતંત્ર ન્યાય ન આપી શકતું હોય એ દેશ નૂતન અવતાર ધારણ ન કરી શકે. ન્યુ ઇન્ડિયાનાં સપનાં જોઈને રાચનારાઓને આ સત્ય જણાવવું જોઈએ.

સ્વામી અસીમાનંદને જયપુરની અદાલતે મુક્તિ આપી એના અાગલા દિવસે મહારાષ્ટ્રની ગડચિરોલીની સેશન્સ કોર્ટે દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક જી. એન. સાઈબાબાને ૧૦ વરસની આકરી કેદની સજા કરી હતી. તેમનો ગુનો એ હતો કે તેમના ઘરમાંથી નક્સલવાદી સાહિત્ય મળી આવ્યું હતું અને પોલીસે એનો અર્થ એવો કર્યો હતો કે તે નક્સલવાદી છે. આ સિવાયનો એક પણ સંગીન આરોપ અને સંગીન પુરાવો પોલીસ પાસે નહોતો. એક બાજુ સંગીન ગુનાનો આરોપ ધરાવનારાઓનો છુટકારો થાય અને બીજી બાજુ હાસ્યાસ્પદ આરોપ ધરાવનારાઓને થોડીઘણી નહીં, દસ વરસની સજા થાય એવી આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે. સાઈબાબાની ધરપકડ ૨૦૧૪ના એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની સરકાર હતી. આશ્ચર્ય થશે, માત્ર ત્રણ વરસમાં સાઈબાબાનો ખટલો ચાલીને સજા પણ થઈ ગઈ છે. કારણ બહુ સ્પષ્ટ છે. એક બાજુ રાજકીય દરમ્યાનગીરી નહોતી અને બીજી બાજુ જજસાહેબે દિમાગ વાપરવાનું નહોતું કે ઘરમાં કોઈ વિચારધારાનું સાહિત્ય રાખવું કે વાંચવું એ ગુનો નથી. મારી પાસે નક્સલવાદી સાહિત્ય છે.

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૅપ્રિલ 2017

Loading

...102030...3,3943,3953,3963,397...3,4003,4103,420...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved