Opinion Magazine
Number of visits: 9456791
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવી : રઘુ અને રાજહંસીની મિત્રતા વર્ણવતી બાળનવલ

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|4 December 2024

પ્રકાશ ન. શાહ

ગુજરાતી સાહિત્ય પરિષદના મહુવા જ્ઞાનસત્રમાં અતિથિ સર્જક તરીકે પ્રો. રાધાવલ્લભ ત્રિપાઠી આવી રહ્યાનું સાંભળ્યું ત્યારે સહસા દડી આવેલું સ્મરણ એમની સંસ્કૃત બાલનવલ ‘માનવી’નું હતું. સ્કૉલર તો એ છે જ, પણ એમની વિદ્ધભોગ્ય કામગીરી ચર્ચવાનો અહીં ન તો અધિકાર છે, કે નથી એવો કોઈ આશય પણ.

વાત જો કે આપણે ‘માનવી’ની કરતા હતા. 2021માં આવેલી આ બાલનવલ તરફ મારું ધ્યાન હજુ થોડા મહિના પર જ ગયું હતું. શિક્ષણમર્મી કૃષ્ણકુમારે એમની એક્સપ્રેસ નુક્તેચીનીમાં કહ્યું હતું કે પર્યાવરણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પુરસ્કૃત કિશોરયુવા પ્રતિભા ગ્રેટા થુનબર્ગ અંગ્રેજી અનુવાદ માટે ‘માનવી’થી પરિચિત હોત તો એણે સુંડલા મોંઢે એની જાહેરાત કરવામાં ધન્યતા અનુભવી હોત.

રાધાવલ્લભ ત્રિપાઠી

‘માનવી’ એ નવલનામ સંજ્ઞાવાચક છે. આ નામની એક રાજહંસી માનસરોવર ભણી પાછા ફરી રહેલા હંસવૃંદથી છૂટી પડી ગઈ છે. વૃંદસંગાથ છૂટી ગયો એનું કારણ આગળ વધતાં વચમાં કરેલ મુકામ દરમ્યાન બાળ રઘુ સાથેની મૈત્રીનું છે. ‘આવજો’ કહેવા ગઈ તે લંબાયું અને, દરમ્યાન, તકાજાવશ મિત્ર હંસ અનંત સહિતના સમગ્ર હંસવૃંદે પાંખો ફફડાવી …

આ ઘટનાસ્થળ બુંદેલખંડમાં નર્મદાતટે ભોપાલથી સાઠ કિલોમીટર છેટે વિદિશા કને વસેલું નાનું શું નંદનપુર છે. એક દિવસ ‘ઈન્ડિયા ન્યૂઝ’ અખબારમાં ચમક્યું કે અહીં લુપ્તપ્રાય પ્રજાતિવત રાજહંસ ખાસા ચાળીસેકની સંખ્યામાં ડેરો નાખી પડ્યા છે. સમાચારે સહજ ખેંચાયેલા પક્ષીવિદ સલીમ અલી ઊડતે વિમાને ને મારતી મોટરે નંદનપુર પહોંચે છે. પણ હંસવૃંદ તો ઊડી ગયું છે. રહી છે એકમાત્ર રાજહંસી માનવી.

આખી વાર્તા તો હું અહીં ક્યાંથી માંડું. પણ રઘુ અને માનવીની દોસ્તીનો, એમની વચ્ચે સંવાદની અજાયબીનો, એનો બજારુ કસ કાઢવા સરકસ પ્રવેશનો અંતરો, વળતે વરસે ભરતપુરના સરકસડેરા વખતે ત્યાંના પક્ષીવિહારમાં પોતાના હંસટોળા સારુ રઘુની કુમકથી માનવીની ખોજ, એમાં નિરાશા: આગળ ચાલતાં સરકસના રશિયા-મુકામ દરમ્યાન પોતાના હંસ સમુદાય સાથે પુનર્મિલન.

અહીં જે બધા ચડાવ-ઉતારનો ઉપરટપકે નિર્દેશ કર્યો છે એમાં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેની વિખંડિત ને વિષમતુલા, બજારનાં બળો થકી મનુષ્ય ને પ્રકૃતિનું દોહન કહેતાં નિ:શેષ શોષણ, એ બધું એટલી સરળસોંસરી રીતે કહેવાયું છે કે કથિત બાલનવલ થકી એક આલા દરજ્જાની, ઉપદેશના મુદ્દલ મેદ વગરની બોધકથાનો સહજ સાક્ષાત્કાર થાય છે. થાય છે, સત્યજિત રાય વહેલા ગયા, બાકી –

સંસ્કૃતપંડિત કહેતાં જે એક જમાતજુર્દી આકૃતિ ઊભા થાય છે એને મુકાબલે ‘રાધાવલ્લભ ત્રિપાઠી દેખીતા અભ્યાસબોજ વગરના મૂળગામી રસવિહારી તરીકે આપણી સામે આવે છે. એ તમને વાત વાતમાં સરળતાથી એમ પણ કહી નાખે કે ‘સંસ્કૃત સાહિત્ય એક હદ તક પિતૃસત્તાક સમાજ કી ઉપજ હૈ.’ બીજી બાજુ, સંસ્કૃત સાહિત્યને આધુનિકતાનો સંસ્કાર આપતા આ વિદ્વાનની આંગળીએ તમને સંસ્કૃત કવિતાની લોકધર્મી પરંપરાનોયે હૃર્દ્ય પરિચય મળી રહે.

દેશવિદેશમાં ઊંચી પાયરીના વિદ્વાન અધ્યાપક તરીકે પોંખાયેલા ને ઊંચકાયેલા રાધાવલ્લભ ત્રિપાઠીના ભાવજગત ને સંવેદનવિશ્વમાંથી સમકાલીન વાસ્તવ વિશે જે કાવ્યપંક્તિઓ સહજ ઊતરી આવે છે એની લગાર જિકર કરું? એક રીતે આ નિર્દેશ ‘માનવી’માં વરતાયેલી પર્યાવરણ નિસબતની જ ફ્રિકવન્સી પરનો છે.

રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દેહલી(સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, ન્યૂ દિલ્હી)ના કુલપતિ તરીકે દિલ્હીમાં જે વર્ષો ગાળવાનાં બન્યાં ત્યારનું આ સંવેદન, નમૂના દાખલ :

ક્યા કરે યહ આકાશ?

હવા કી તરહ વહ બહ નહીં સકતા

આગ કી તરહ જલા નહીં સકતા

પાની કી તરહ ધારાઓ મેં નહીં બંટ પાતા

ધરતી કી તરહ નહીં ઉઠા સકતા બોજ

* * *

આકાશ તો હૈ કેવલ આકાશ

ગગનચુંબી ઈમારતોં કે જંગલ મેં

વહ ભટકતા હૈ બદહવાસ

ઉસે સબ ઔર સે પીસ રહી હૈં ઈમારતોં કી ઘની પાંતે

ડરાતા હૈ ઉસે ધુઆં

પાઈપોં સે ફૂટતા

આકાશ ઢૂંઢતા ફિરતા હૈ અપના ખુદ કા આકાશ

આકાશ કે લિયે

કહીં નહીં હૈ અવકાશ

ક્યા કરે બિચારા આકાશ?

વેલ, ઓવર ટુ મહુવા!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 ડિસેમ્બર 2024

Loading

નીવડેલા અને નવોદિત સૌ સાહિત્યકારમિત્રો પ્રતિ — 

સુમન શાહ|Opinion - Literature|3 December 2024

સુમન શાહ

સૌ મિત્રો સાવધાન થઈ નૉંધી લો કે લેખક અને પ્રકાશક વચ્ચેના સમ્બન્ધો પૂર્વે હતા તે હવે નથી રહ્યા. ત્યારે સાહિત્યકારો સાથે પ્રકાશકો માત્ર ધંધાની રીતે નહીં પણ સાહિત્યપ્રવૃત્તિના સહભાગી તરીકે જોડાતા હતા. હવે સવિશેષે ધંધાદારી દૃષ્ટિ જોવા મળે છે. પ્રકાશકો એનાં બે કારણો ખાસ જણાવે છે :

૧ : પ્રકાશકો જણાવે છે કે પુસ્તકો હવે પહેલાંની જેમ નથી વેચાતાં. કૉલેજો અને યુનિવર્સિટીઓની ગ્રાન્ટ્સ બંધ થઈ ગઈ છે. આ કેટલું સાચું છે એ નક્કી કરવું પડે. 

૨ : કહે છે, હવે ‘અઘરાં’ પુસ્તકો નથી વેચાતાં. આ પણ કેટલું સાચું છે એ નક્કી કરવું પડે કેમ કે જેને તેઓ ‘અઘરાં’ કહે છે એ નિર્ણય કોને કર્યો એ જાણવા નથી મળતું. ભલે, એવાં પુસ્તકોની માંગ બીજે કદાચ ન હોય, પણ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં તો પહેલેથી છે જ ! અને ધારો કે અધ્યાપકો ‘સહેલું સહેલું’ ભણાવે છે, તો તેવાં પુસ્તકોની પણ જરૂરત તો પડે જ ! 

એટલે, આ બન્ને કારણો એક ટ્રૅપ છે.  

તેમ છતાં, માંગ ન હોય, નફો ન થતો હોય, તો ધંધાદારી વ્યક્તિ ધંધો ન કરે, એ દુનિયાનો નિયમ છે, સમજી શકાય છે. 

તેમ છતાં, અચરજ એ છે કે નવા નવા અનેક પ્રકાશકો આવ્યા છે કેમ કે નવા નવા એવા લેખકો પણ આવ્યા છે, જેમને પોતાનું પુસ્તક છપાવાની જરૂરત પડી હોય. જેમ કે, પીએચ.ડી.-નું સંશોધન, કાવ્યો કે ગઝલોનો સંગ્રહ, વાર્તાઓનો સંગ્રહ. વળી એમાં, લેખક રૂપે જાહેર થવાની દુર્દમ્ય છતાં વાસ્તવિક અને આવકાર્ય ઇચ્છા પણ ખરી. પરિણામે, પ્રકાશનના ધંધાનું સ્વરૂપ બદલાયું છે. એ નવા લેખકોમાંના કેટલાકને રૉયલ્ટી ન મળે એનો ય વાંધો નથી હોતો, એટલું જ નહીં, પ્રકાશકને તેઓ સામેથી પૈસા પણ આપે છે, પ્રકાશક પુસ્તકની અમુક નકલો આપી દે એટલે એમને થાય છે કે બહુ થયું. પ્રકાશકો એને સ્વાભાવિકતા ગણી લે છે, પણ એ લેખકોની એ ભલી માનસિકતા ઍળે જાય છે, તેનું કશું મૂલ્ય નથી થતું. 

બીજું, આ ધંધામાં આવેલું મોટું પરિવર્તન ધ્યાનપાત્ર છે : પ્રકાશનો હવે ડિઝિટલ થવા માંડ્યાં છે. એટલે કે જોઈતી નકલો જ કરવાની, કેમ કે ગોડાઉનમાં વધુ જગ્યા ન કરવી પડે. પણ નકલો આટલી જ જોઇએ છે એ કોણ નક્કી કરે છે? ચા, ખાંડ કે મીઠું લેવા ગયેલા ગ્રાહકોથી ગ્રાહકોની સંખ્યા નક્કી થાય, પણ પુસ્તકો લેવા ગયેલા ગ્રાહકોની સંખ્યા કેવી રીતે નક્કી થાય અને તેથી પછી એ મુજબની નકલો તૈયાર કરાય? પ્રકાશકના એકથી વધુ કૉલેજોમાં અને યુનિવર્સિટીઓમાં પ્રસરણકેન્દ્રો હોય, આઈ મીન, આઉટલેટ્સ મોટી સંખ્યામાં હોય, તો થઈ શકે. બાકી, મારી જાણ મુજબ, પુસ્તક ખરીદવા પ્રકાશકની દુકાને ગુજરાતમાં તો લાઇન કદ્દી નથી લાગી.  

પૂર્વેના પ્રકાશકો કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સામે ચાલીને પુસ્તકો મોકલતા, એમના માણસો જાતે પુસ્તકો લઈને જતા. પ્રકાશકનો મૂળ ધર્મ જ એ છે કે પુસ્તકને એ ગ્રાહક સુધી લઈ જાય, પુસ્તકને પ્રકાશિત કરે એનો સાદો અર્થ જ એ, કે પ્રસરાવે. 

ટૂંકમાં, આજે ડીઝીટલ પ્રકાશન મજબૂરી કે અનિવાર્યતા હોય તો પણ, એ પણ એક ટ્રૅપ છે. જે લેખક પોતાના સાહિત્યકાર્યના પ્રસરણ વિશે ઉદાસીન હોય, અને જેને એમાં રહેવું પાલવતું હોય, તો તેમાં તો કોઈને શો વાંધો હોઈ શકે? 

પણ બનાવો એવા પણ બને છે કે હાર્ડ કૉપીઝ ૩૦૦ કહી હોય અને ડીઝીટલમાં ૩૦ તૈયાર કરે; જેથી ૩૦૦-ની રૉયલ્ટી આપવાનો ગાળો અતિ લંબાઇ જાય, અને પુસ્તક એ મન્દ ગતિએ જ પ્રસરે.

ડીઝીટલ નહીં કરનારા પ્રકાશકો લેખકને કહેતા હોય છે કે — અમે પુસ્તક પ્રકાશિત કરીશું પણ રૉયલ્ટી નહીં આપી શકીએ. — અમે તમારા ખર્ચે પુસ્તક તૈયાર કરીને તમે કહેશો એટલી નકલો તમને આપી દઈશું — અમે પુસ્તક-પ્રકાશનના આટલા રૂપિયા પહેલેથી લઇએ છીએ. વગેરે. એમ પ્રકાશકને ધાર્યું મળી જાય પછી, ફોન ન લેવા કે ઉપાડવા, મૅસેજ કે ચૅટિન્ગ ન કરવું, વગેરે જવાબ ન આપવાની જૂના ધોતી-શેઠિયાઓની કુટેવના પણ અનુભવ લેખકોને થતા હોય છે. કૉનવર્સેશનના આ અતિ ફાસ્ટ જમાનામાં પણ તેઓ એમ વર્તે છે ! 

અલબત્ત, પ્રકાશકો અને પ્રકાશનોનાં સારાં અને ઉમદાં દૃષ્ટાન્તો નથી એમ નથી.

તેમ છતાં, પ્રકાશનનો ધંધો હવે લેખકોની ગરજે થવા માંડ્યાં છે અને એ કઈ હદે વિસ્તરશે તે કલ્પી શકાય એટલું સરળ છે. 

મારું મિત્રોને ખાસ એટલું જ કહેવાનું થાય છે કે પ્રકાશનને હવે એક બિઝનેસ ડીલ તરીકે, એક સોદા તરીકે, અપનાવો. પહેલાંની જેમ ભલાભોળા સારસ્વતની જેમ ન રહો, બલકે, અરસપરસ જે કંઈ નક્કી કરો, તેનું પાકું કરારનામું કરો; જેમાં, પુસ્તકની નકલસંખ્યા, પ્રકાશનની તારીખ, રૉયલ્ટીની ટકાવારી, તેના પેમૅન્ટની પદ્ધતિનો સ્પષ્ટ નિર્દેશ હોય. 

ઉપરાન્ત, તમે ટાઇપિન્ગ અને પ્રૂફરીડિન્ગ કર્યું હોય, તો તેનું મહેનતાણું પણ તમે માગી શકવા જોઈએ. બધાંના ભાવ વધ્યા છે તો રૉયલ્ટીના ટકા વધારવાનું પણ તમે કહી શકવા જોઈએ, વરસોથી એ બાપડો ૧૦% જ રહ્યો છે. 

મિત્રો, એ લેખક તો મોટો છે, હું તો હજી નાનો છું, એ હિણપતનો ત્યાગ કરો અને સ્વનિષ્ઠ બનો. અને એક પરમ સત્ય સમજી રાખો કે પુસ્તક પ્રકાશિત થઈ જવાથી જ સાહિત્યકાર નથી થઈ જવાતું તેમ છતાં એ જ દિશાનો એ એક સચ્ચાઇભર્યો પુરુષાર્થ હોય છે. એ પુરુષાર્થને ધંધાની રીતભાતમાં રોળાઈ જવા ન દો, કેમ કે એ તમારું સત્ય છે, એની તમે રક્ષા કરો, એ તમારી કરશે.  

(આ લેખ મારા સ્વાનુભવોની ભૂમિકાએ આપણા સૌના હિતની ચિન્તાથી લખ્યો છે. તમે મારા સાહિત્યકારમિત્ર તો છો જ, મિત્ર પણ છો. એ નાતે આ પોસ્ટ મેં તમને tag કરી છે, એને કશા જ ખચકાટ વિના, પ્લીઝ, પ્રસરાવશો.)

= = =

(02Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લુચ્ચાઈ સરકારમાં જ નહીં, શિક્ષકોમાં પણ એટલી જ છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|2 December 2024

રવીન્દ્ર પારેખ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક 285ના આચાર્ય સંજય પટેલ 33 વખત દુબઈ આવ-જા કરે છે, એટલું જ નહીં, શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર વિદેશમાં ગેરકાયદે વેપાર કરે છે ને તેની ખબર રાજ્ય સરકારને પડતાં, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દે છે. આચાર્ય સંજય પટેલ યુનાઈટેડ આરબ અમીરાત(UAE)ના રેસિડેન્સ વિઝા ધરાવે છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ત્યાં સુધી કહ્યું છે કે આચાર્યે રજાનો પગાર લીધો હશે તો તે વસૂલવામાં આવશે. જો કે, 10 વર્ષમાં આચાર્યે 84 લાખનો પગાર તો લીધો જ છે … 

દુબઈમાં રોકાણ માટે એક મિત્ર પાસેથી આચાર્યે 14 કરોડ 6 ટકાના વ્યાજે લીધા હતા. સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલના દુબઈમાં રહેતા ભત્રીજા ચંદ્રેશ મકવાણાને અપાવેલા સાડા ત્રણ કરોડ પરત મેળવવા પરિચિતોએ સંજય પટેલનું અપહરણ કર્યું હતું. એનો હોબાળો થતાં શિક્ષણ સમિતિએ તપાસ ઝડપી કરી હતી ને વધારામાં ગુજરાત સરકારે પણ કડક કાર્યવાહીની તાકીદ કરતાં, પરિણામ સંજય પટેલનાં સસ્પેન્શનમાં આવ્યું હતું.

આચાર્ય સંજય પટેલ

સંજય પટેલ ચાર-પાંચ વર્ષથી દુબઈમાં ટૂર ટ્રાવેલ્સ, જનરલ ટ્રેડિંગ, ઈન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં બિઝનેસ કરતા હતા, એટલે અવારનવાર દુબઈ જવાનું થતું હતું. જુલાઈ, 2023થી જૂન 2024 સુધીમાં 33 વખત દુબઈનો પ્રવાસ સંજય પટેલે કર્યો હતો. ઓગસ્ટ, 2024માં આ મામલે આચાર્ય પટેલને સો કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી, પણ આચાર્યે નોટિસનો જવાબ આપવાને બદલે મેડિકલ ગ્રાઉન્ડ રજૂ કર્યું હતું, જે ગ્રાહ્ય રખાયું ન હતું અને 25 નવેમ્બરે હાજર થઈ જવાબ આપવાની તાકીદ કરાઈ હતી, પણ આચાર્યે હાજર થવાને બદલે મેડિકલ રિપોર્ટ મૂકી રજા પર ઊતરી જવાનું મુનાસિબ માન્યું હતું. તેમની રજા કોણે મંજૂર કરી ને રજાનો કેટલો પગાર ચૂકવાયો તે પ્રશ્નોનો ઉત્તર મળતો નથી. 84 લાખ પગાર 10 વર્ષમાં મહિનાના 70,000ને હિસાબે ઓલરેડી ચૂકવાયો હોય તો રજાનો પગાર કપાયો નથી તે સ્પષ્ટ છે. 

બીજું, અંદાજે વર્ષમાં 33 વખત મુસાફરી કરી હોય ને માત્ર આવવા-જવાના દિવસો જ ગણીએ તો 66 દિવસ રજાના ગણવા પડે. વારુ, દુબઈ વેપાર અર્થે જ ગયા હોય તો જઈને તરત પાછા આવવાનું દરેક વખતે શક્ય ન પણ બને. 25 નવેમ્બરે હાજર થઈ જવાબ આપવાનું કહેવાયું, છતાં આચાર્યે તેની દરકાર ન કરતાં મેડિકલ રિપોર્ટ મૂકયો એમાં તંત્રની ધરાર અવગણના છે. આવામાં મજબૂત પીઠબળ ન હોય તો કોઈ આવી હિંમત ન કરે. વળી આટલી રજા તેમની પાસે હતી કે રજામાં પણ હાજરી પુરાઈ તે સ્પષ્ટ નથી. 

આ અગાઉ દુબઈને મુદ્દે નોટિસ બજાવાઈ હતી ને ત્યારે ભૂલ કબૂલીને પણ, દુબઈના આંટાફેરા તો ચાલુ જ રખાયા હતા. સરકાર આવી કોઈ ગેરરીતિ ચલાવવા માંગતી નથી એમ ભલે કહે, પણ ગેરરીતિ તો ચાલી જ છે. 33 વખત દુબઈ આવનજાવન ચાલતી હોય, એ અંગેની નોટિસ બજાવાઈ હોય ને આચાર્યે ભૂલ કબૂલી હોય ને પછી પણ અવરજવર ચાલુ જ હોય તો એમાં શિક્ષણ સમિતિની ને સરકારની ઘોર ઉપેક્ષા જ છે, એવું નહીં? તો, સરકાર ગેરરીતિ ચલાવવા માંગતી નથી એવા દાવાની આચાર્ય પર કોઈ અસર નથી એમ જ માનવું પડે.

ગુજરાતના રાજ્ય શિશણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા

એકથી વધુ વખત માંદગીની રજા મુકાઇ હોય તો મંજૂર થયા વગર બીજી રજા સાધારણ રીતે ન મુકાય એમ બને. મતલબ કે સંજય પટેલ માંદગીની રજા મંજૂર કરાવ્યા વગર તો નહીં ગયા હોય, તો સવાલ એ થાય કે એટલી રજા મંજૂર કરી કોણે? આ બધું મંજૂર થયું હોય તો પણ અને ન થયું હોય તો પણ સંબંધિત અધિકારીની રહેમ નજર વગર આખું કોળું દાળમાં જાય નહીં. રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયાએ માંદગીને બહાને અવરજવર કરી હશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું છે ને મૂળ મહેસાણાના સંજય પટેલ પર ACBમાં કેસ થતો હશે તો તે પણ થશે એવું કહેવાયું છે, પણ સીધો સવાલ  તો એ છે કે સંજય પટેલનું સસ્પેન્શન કેટલું ટકશે, કારણ જે વ્યક્તિ 33 વખત નોટિસ છતાં, દુબઈ જઈ શકતી હોય એને માટે સસ્પેન્શન રદ કરાવવાનું બહુ મુશ્કેલ નહીં જ હોય. 

એ સૌથી વધુ દુ:ખદ છે કે શિક્ષણના ક્ષેત્રમાં પડેલો એક આચાર્ય શાળાના અન્ય શિક્ષકોની કે વિદ્યાર્થીઓની કે તેમનાં ભણતરની જરા જેટલી પણ ચિંતા કર્યા વગર પોતાના ધંધામાં જ રચ્યો પચ્યો રહે છે ને તેને કોઈ પૂછનાર નથી. આવું આચાર્ય જ કરે છે એવું નથી ને આ કૈં પહેલો કિસ્સો છે એવું પણ નથી. આ અગાઉ પણ કેટલાક શિક્ષકો વિદેશ રહીને અહીંનો પગાર ખાતા હતા ને હાજરી પુરાવતા હતા. છેલ્લા એક વર્ષથી વિદેશ રહેતા 60 જેટલા શિક્ષકોને વારંવાર સૂચનાઓ અપાયા છતાં તેઓ હાજર થયા ન હતા ને પરિણામ બરતરફીમાં આવ્યું હતું. 

સવાલ એ છે કે જો વિદેશનું જ એક માત્ર આકર્ષણ હોય તો અહીં શિક્ષક કે આચાર્ય થવાની અનિવાર્યતા શી છે? અહીં દર મહિને 60-70 હજાર ગજવે ઘાલવાના અને વિદેશની રકમથી પણ હોજરી ભરવાની, આવી માનસિકતા ભૂખ્યા વરુને પણ શરમાવે એવી છે. દુ:ખદ તો એ છે કે આવું બીજા કોઈ નહીં, પણ શિક્ષકો કરે છે. આમ પણ પેન્શન વગેરેના લાભો ન આપવા પડે એટલે સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરતી નથી ને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખે છે. હવે શિક્ષકો જ જો આવા ભુખાળવી માનસિક્તાવાળા હોય તો સરકાર કાયમી શિક્ષકો શું કામ રાખે? એક તરફ આવા હરામી શિક્ષકો છે ને બીજી તરફ ખરેખર ભણાવવા ઇચ્છતા શિક્ષકો છે ને કરુણતા એ છે કે તેમને ભણાવવાની તક નથી મળતી. 

યુનિવર્સિટીથી લઈને પ્રાથમિક શિક્ષણમાં ખુશામતખોરી એટલી ઊંડે ઊતરી ગઈ છે કે ઠેર ઠેર રાજકીય વગ સિવાય બીજું કૈં અનુભવાતું જ નથી. પ્રવેશોત્સવો, તહેવારોની ઉજવણીઓ, ચોક્કસ દિવસોના તમાશાઓમાં રાજકારણીઓનો, નેતાઓનો જ મહિમા થાય છે. ઘણીવાર તો શંકા પડે કે ઉજવણી માટે નેતાઓ આવે છે કે નેતાઓ માટે ઉજવણીઓ આવે છે? એમાં જે ખરેખર ભણાવવા માંગે છે એ આચાર્યો ને શિક્ષકો અન્ય કામોમાં એવા જોતરી દેવાય છે કે તેઓ વર્ગખંડ સુધી પહોંચી જ નથી શકતા. ઘણા શિક્ષકો કોમ્પ્યુટર પર પરિપત્રોના જવાબો આપવામાં અને ડેટા ભરવામાં જ એટલા વ્યસ્ત રહે છે કે વિદ્યાર્થીઓએ શિક્ષકોને વર્ગખંડમાં ભણાવવા તેડવા જવું પડે છે ને શિક્ષકો કારકૂનીમાંથી જ પરવારતા નથી. પરવારે તો ભણાવેને !

એક દાખલો જોઈએ. રાજ્યની શાળાઓમાં ઇ-કેવાયસી ચાલ્યું. હવે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (અપાર) આઈ.ડી. બનાવવાની પ્રક્રિયા ચાલે છે. અપાર આઈ.ડી. બનાવવા માટે વિદ્યાર્થીઓના ડાયસ ડેટાને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાના હોય છે. એમાં શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તે એ રીતે કે ડાયસ અને આધારમાં નામમાં સાધારણ ફેર હોય તો પણ અપાર આઈ.ડી. બનતું નથી. બીજી તરફ ઉપરી અધિકારીઓ કામગીરી નથી થતી એવું કહીને આચાર્યો, શિક્ષકો પર પસ્તાળ પાડતા રહે છે. એક તો એટલી બધી જાતના કાર્ડ માથે મરાયા છે કે 52 પાનાંની કેટ પણ ઓછી પડે. આ બધું આમ તો વિગતોની ચોકસાઇ માટે છે, પણ એની સમાંતરે એટલા બધા નકલી કાર્ડ બને છે કે બધી ચોકસાઈ ક્યારે હવા થઈ જાય છે તેની ખબર જ નથી પડતી. આ અપાર આઈ.ડી. બનાવવામાં પથારી શિક્ષણની ફરી ગઈ છે. ગુજરાત આખાનું શિક્ષણ કાર્ય ખોરવાઇ રહ્યું છે ને એની કોઈને પરવા નથી. શિક્ષણ વિભાગ એનો રેકોર્ડ સરખો રહે એ માટે આ બધો વેપલો કરે છે. એ સરખો થાય એ માટે શિક્ષકો સતત રોકાયેલા રહે છે. એ ઉપરાંત પણ શિક્ષણ સિવાયની એવી એવી કામગીરીઓ શિક્ષકો પાસે આવે છે કે વર્ગશિક્ષણ ખોરંભાયા વગર ન રહે. 

શિક્ષણ માટે આખો વિભાગ હોય ને શિક્ષણ જ ચાલવાનું ન હોય, તો શિક્ષણ વિભાગ હોય કે ન હોય, શો ફેર પડે છે? પણ શિક્ષણ વિભાગ છે ને એ તો રહેશે જ ! શંકા, શિક્ષકો કે વિદ્યાર્થીઓ રહેશે કે કેમ એની છે ને એથી ય મોટી ચિંતા આ બધું હોય તો પણ, શિક્ષણ હશે કે કેમ એની છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ડિસેમ્બર 2024

Loading

...102030...336337338339...350360370...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved