Opinion Magazine
Number of visits: 9584422
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીશોધનો વિચારવિસામો

પ્રકાશ ન. શાહ|Gandhiana|1 July 2017

અંદરના વૈકુંઠની પેઠે જ બહારની દુનિયાને સમીનમી કરવાની મથામણ સ્તો સંતથી સત્યાગ્રહીને જુદા તારવી આપે છે

ગાંધી એકસો પચાસનાં ઉંબરવરસોમાં જે પણ મંથનસામગ્રી અને વિચારજામગરી મળી રહે તે મુબારક જ મુબારક છે. એ ન્યાયે ગુરુવારના સાબરમતી આશ્રમ સમારોહ સબબ વાંચતાં ને વાગોળતાં જે બે’ક મુદ્દા સામે આવ્યા એને નિમિત્તે જરૂર ઊહ અને અપોહને અવકાશ છે.

આશ્રમના સો વરસને સાંકળીને શ્રીમદ્ રાજચંદ્રની સાર્ધ શતાબ્દીનો અવસર રાજચંદ્ર મિશનના ગુરુદેવ રાકેશ ઝવેરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં અગર તો સહોપસ્થિતિમાં ઊજવવાનું એ આયોજન હતું. ‘મહાત્માના મહાત્મા’ એ પ્રાયોજિત નાટકથી હમણેના મહિનાઓમાં ભોંય પણ ખાસી કેળવવાયેલી હોઈ બંને માટે પોતપોતાની રીતે દાવ લેવાનો અવકાશ પણ અચ્છો હતો. મહાત્મા ગાંધીના મહાત્મા રાજચંદ્ર થકી જો રાકેશભાઈને માટે એમનો મોટા અનુયાયીવર્ગ ઉપરાંત પણ સમર્થનની શકયતા હશે તો સ્વચ્છતા અભિયાન જેવા ઉપક્રમો વાટે નરેન્દ્રભાઈને પણ પક્ષપરિવારને ઓળાંડી જતા સમર્થનની શક્યતા નહીં વરતાતી હોય એવું માનવોને કારણ નથી. ગમે તેમ પણ, લગારે સિનિક થયા વિના એવું ચોક્કસ જ કહી શકાય કે આ દેશના જાહેર જીવનમાં, રાજકારણમાં અને સત્તાકારણમાં વૈતરણી પાર કરવા સારુ ગાંધીના નામનું ગોપુચ્છ સૌ પોતપોતાની રીતેભાતે પકડતા રહ્યા છે, અને ગુરુવારની ઉપરનોંધી સહોપસ્થિતિ પણ એક અર્થમાં એનો જ દાખલો પૂરો પાડે છે.

નહીં કે ગાંધીજીવનમાં કવિ રાયચંદભાઈનો પ્રભાવ નહોતો; નહીં કે ગાંધીને સ્વચ્છતા સારુ ખેંચાણ નહોતું. પણ જે તત્ત્વે ગાંધીને ગાંધી બનાવ્યા એ તત્ત્વ પ્રધાનપણે ન તો ગાંધીના અધ્યાત્મપાસામાં સીમિત હતું, ન તો સ્વચ્છતા ઝુંબેશમાં સમેટાયેલું હતું.

એક મુમુક્ષુ જીવ એ ચોક્કસ હતો. સાચા ધર્મની લહેમાં, પ્રતીતિ પુરસ્સર ખ્રિસ્તમતને અંગીકારવાની હદે અેને ખેંચાણ પણ માનો કે હોઈ શકતું હતું. તેઓ જેમને કવિ કે રાયચંદભાઈ તરીકે ઓળખતા હતા તે શ્રીમદ રાજચંદ્રનો સંપર્ક, સત્સંગ, એમની સાથેનો પત્રવ્યવહાર ગાંધીને જીવનની નાજુકનિર્ણાયક પળોમાં આ સંદર્ભમાં ખસૂસ ઉપયોગી અને માર્ગદર્શક થઈ પડ્યો હતો. અહીં બીજી બધી ગલીકૂંચીમાં નહીં જતાં એ એક જ વાનું નોંધવું બસ થઈ પડશે કે પોતાના જ ધર્મમાં રહીને બીજા કોઈ ધર્મનું ઉત્તમ લેવાપાળવાનું જે માર્ગદર્શન એમને કવિ રાયચંદભાઈ આપ્યું એ પરિણામકારી નીવડ્યું હતું.

જૈન રાજચંદ્રે ગાંધીને જે ગ્રંથો સેવવાની ભલામણ કરી એમાં ‘યોગવાસિષ્ઠ’નોયે સમાવેશ થતો હતો જે દેખીતી રીતે જે કોઈ જૈન ગ્રંથ નથી. એટલે ન તો કોઈ ખ્રિસ્તીએ હિંદુ થવાની કે મુસ્લિમે ખ્રિસ્તી થવાની જરૂરત છે, ન તો ખ્રિસ્તીમતનું ઉત્તમ ગ્રહણ કરવાથી તમે જૈન કે વૈષ્ણવ મટી જાઓ છો. આવનારા સમયની રીતે આ એક વ્યાપક દર્શન હતું – જેમાં ન તો પોતે ધર્મપરિવર્તન કરવાની જરૂર છે, ન તો બીજા કોઈનું ધર્મપરિવર્તન કરાવવાની જરૂર છે.

પણ ગુરુદેવ રાકેશ ઝવેરીનાં ઉપદેશવચનો ઘૂંટડે ઘૂંટડે પીતા સૌ ધર્મપ્રેમી જણને જે ખ્યાલ હોવો ઘટે છે તે તો અલબત્ત એ છે કે મુમુક્ષુ મો.ક. ગાંધીની ધર્મખોજ માત્ર ધર્મપરિવર્તનના મુદ્દા સાથે ગંઠાયેલી નહોતી. એ તો એક મોટી ખોજ હતી, સમગ્ર ખોજ હતી, અને એનો જે જવાબ એમને જડ્યો તે રાયચંદભાઈ પાસેથી નહીં એટલો તોલ્સ્તોય પાસેથી જડ્યો હતો.

ભાઈ, શું હતી બારિસ્ટર મોહનદાસ ગાંધીની ખોજ ને મથામણ? એમને શી વાતે ધર્મબોધ મળ્યો હતો? આયુષ્યની પહેલી પચીસીએ પહોંચતા એ દક્ષિણ આફ્રિકાના હિંદી ભાઈબહેનોને તેઓ ઇંગ્લંડ હસ્તકના હિંદના નાગરિકો છે એ નાતે, ધોરણસરની સારસંભાળ મળે એની જદ્દોજહદમાં પડેલા હતા. ત્યારે એમનો ભેટો તોલ્સ્તોય સાથે, ‘કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ એ કિતાબ વાટે થયો. એક સાચા ખ્રિસ્તી તરીકે તોલ્સ્તોય ખ્રિસ્તમતને પ્રેમધર્મના પર્યાયરૂપે જોતા હતા. જ્યારે રશિયામાં દુકાળ પડ્યો ત્યારે એમણે એનો ભોગ બનેલાઓની સેવા બજાવવામાં પ્રેમધર્મની એટલે કે ખ્રિસ્તી હોવાની સાર્થકતા જોઈ.

દુકાળમાં રાહત કામગીરી દરમ્યાન એમણે જોયું કે દુષ્કાળગ્રસ્ત ખેડૂતો ખ્રિસ્તી છે તો એમનું શોષણ કરતા શાહુકારો પણ ખ્રિસ્તી છે … આ શોષકોને ઓથ આપતા શાસક (ઝાર) પણ ખ્રિસ્તી છે! એટલે તોલ્સ્તોયના ધર્મમંથને રાજ્યસંસ્થા પરત્વે આલોચનાવિવેક (critique – ક્રિટિક) કેળવવાપણું જોયું. હિંદી ભાઈબહેનો સાથે ધોરણસરના જાહેર વર્તાવ માટે મથતા ગાંધીની ધર્મખોજમાં આ આલોચનાવિવેકનું રસાયણ થયું. અને આપણને મળ્યા સત્યાગ્રહી ગાંધી. દેખીતી રીતે જ, ધર્મખોજનો આ નવ્ય આયામ રાજચંદ્રવશ નથી.

જોગાનુજોગ, ‘કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ આ દિવસોમાં પહેલપ્રથમ વાર ગુજરાતીમાં સુલભ થયું છે. (‘વૈકુંઠ તારા હૃદયમાં છે’, અનુ. ચિત્તરંજન વોરા, નવજીવન) ‘મહાત્માના મહાત્મા’ જોયાના સહજ આનંદ પછી જરી કળ વળે ત્યારે સમગ્ર ગાંધીની શોધમાં સેવવા જેવો આ એક વિચારવિસામો (બલકે, વારણ) છે એમ જ કહેવું જોઈશે. સંસારને સત્યગ્રાહી જણની નવાઈ નથી. એવી સંત પરંપરા અનંત જેવી છે. ગાંધીઘટનાનો વિશ્વવિશેષ સત્યાગ્રહી હોવામાં છે: અંદરના વૈકુંઠની પેઠે જ બહારની દુનિયાને સમીનમી કરવાની એ મથામણ સ્તો સંતથી સત્યાગ્રહીને જુદા તારવી આપે છે.

પણ આપણે તો મર્ત્ય માણસો. ઇવેન્ટ મેનેજમેન્ટ એ સ્તો આપણો ઇલાકો રાજચંદ્રના સિક્કા સૂઝે કે પછી યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ અહીં જાતરાએ આવે એવો સોલો ઉપડે. છોડો એ બધી વાત. પણ આ અવસરે શું કરવું, તો વડાપ્રધાને ‘મૌન કી બાત’ છોડી ખરેખર મૌનભંગ કરવાની તક ઝડપી. ગાંધીવિનોબાનું નામ લઈ એમણે કથિત ગોરક્ષકો દ્વારા લિંચિંગની હદે થતા દુર્વર્તાવને વખોડી કાઢ્યો. ‘ક્યા યે મેરા દેશ હૈ?’ એવો વાગ્મિતાભર્યો ઊનો ઊનો નિસાસો નાખ્યો. કાયદો કાયદાનું કામ કરશે તેવી સૂફિયાણી હાંકી. વિનોબાએ ક્યારેક પોતાને (મોદીને) ગાય માતા સારુ મરી મીટવા કહ્યું હતું એમ પણ સાંભર્યું. માત્ર, કોર્પોરેટગ્રસ્ત થઈ અગોચર થતા ગોચર બાબતે સરકારની કોઈ જવાબદારી બનતી હોય તે વાસ્તે હાથ ખંખેરવાનું ચાલુ રાખ્યું અને પૂછ્યું: ‘ક્યા યે મેરા દેશ હૈ?’

દેશનો તે જેનો હોય એનો. પણ પ્રશ્ન એ છે કે આજકાલ કેન્દ્રમાં અને સંખ્યાબંધ રાજ્યોમાં જેનું રાજ છે તે ગોરક્ષાને નામે કાયદો હાથ લઈ લોકોને ખતમ કરી નાખનારાઓ સાથે નસિયતની રીતે શું કરવા માગે છે. વાત તો, આખરે ત્યાં જ આવીને ઊભી રહે છે ને જ્યારે 2002માં વડાપ્રધાન વાજપેયીએ મુખ્યમંત્રી નમોને રાજધર્મ નભાવવા કહ્યું હતું. આજના વડાપ્રધાને તે પોતાના ઉપરાંત કોને કહેવાનું છે?

વસંત રજબની શહાદતના એકોતેરમે વરસે આજે એમના સ્મારકે લોક ‘નોટ ઇન માય નેઇમ’ના બેનર સાથે અંજલિ માટે મળવાનું હોય તે શું સૂચવે છે, કહો જોઉં.અવસર આવ્યો ને ગયો, પણ પ્રશ્નો જગવતો ગયો … એવા પ્રશ્નો જે ઝટ કેડો નહીં મેલે.

રે, ગાંધી!

સૌજન્ય : ‘તારવણી’, “દિવ્ય ભાસ્કર”, 01 જુલાઈ 2017

Loading

રમતજગતમાં ખદબદતો જાતિવાદ

નેહા શાહ|Opinion - Opinion|30 June 2017

સ્ત્રી-પુરુષની શરીરની રચના અલગ હોવાથી કાર્ય પાર પાડવાની રીત અને મુલવણીના માપદંદ અલગ રાખવા પડે

ભારતને ક્રિકેટઘેલો દેશ કહી શકાય, પણ આઈ.સી.સી. વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં મહિલાઓની ટૂર્નામેન્ટ પણ હોય છે અને અત્યારે ઇંગ્લેન્ડમાં રમાઈ રહી છે એ વાતની કેટલાં લોકોને ખબર હશે? ક્રિકેટને પોતાની સૌથી મનપસંદ રમત ગણાવનારને, મિતાલી રાજ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે એ ખબર પણ નહિ હોય. એમાં કોઈનો વાંક ક્યાં કાઢવો? ખેલકૂદ એટલે જાણે પુરુષોનો વિષય, એવી જ પ્રચલિત સમજ સમાજમાં છે. એટલે મહિલાઓની રમત પ્રત્યેની ગંભીરતા ઓછી જ છે. એને માટેનું બજેટ ઓછું હોય, જરૂરી વ્યવસ્થાનો અભાવ હોય, મીડિયા પણ એને જરૂરી કવરેજ ના આપે તેમ જ કોર્પોરેટ સ્પોન્સરશિપ પણ માંડ મળે. 

આઈ.સી.સી. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆતમાં પ્રેસ રાઉન્ડ ટેબલમાં એક પત્રકારે મિતાલીને પૂછી જ લીધું કે એનો સૌથી મનપસંદ ‘પુરુષ’ ક્રિકેટર કોણ છે? જાણે કે આદર પામનાર, પ્રેરણામૂર્તિ પુરુષ ખેલાડી જ હોઈ શકે! મનપસંદ ખેલાડી અંગે પ્રશ્ન પૂછવો વાજબી હતો, જેના જવાબમાં પુરુષ કે મહિલા કોઈ પણ ખેલાડીનું નામ આવી શક્યું હોત. પણ ખેલાડી શબ્દની આગળ લાગેલા ‘પુરુષ’ના વિશેષણમાં પુરુષોનું આધિપત્ય અભિપ્રેત છે.

આ ભારતનો જ નહિ, પણ વિશ્વભરનો પ્રશ્ન છે. વિકસિત દેશોમાં પણ રમતગમતનું વિશ્વ પુરુષકેન્દ્રી જ છે અને શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓને પણ ક્યાંક ને ક્યાંક લૈંગિક ભેદભાવ કે પછી જાતિવિષયક ટિપ્પણીઓનો સામનો કરવો જ પડે છે – આજની તારીખમાં પણ કે જ્યારે વધુ ને વધુ સ્ત્રીઓ ખેલકૂદને ગંભીરતાપૂર્વક પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી રહી છે!

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઓલિમ્પિકના મીડિયા કવરેજ પર એક અભ્યાસ થયો. તેમાં તેમણે નોધ્યું કે ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓમાં 45 ટકા મહિલા હતી, છતાં કોમેન્ટ્રીમાં ‘મેન’ શબ્દનો ઉપયોગ ‘વુમન’ શબ્દ કરતાં ત્રણ ગણો વધારે વખત થયો હતો. કોઈ પુરુષ ખેલાડીના પરિચય એની રમતની શૈલી, એણે સર્જેલા વિક્રમ, સૌથી ઝડપી, સૌથી ઊંચો વગેરે જેવી તેની લાક્ષણિકતાઓ દ્વારા અપાતો હતો, જ્યારે મહિલા ખેલાડીના પરિચયમાં તેની ઉંમર, તેનો વૈવાહિક દરજ્જો અને તેનાં બાળકોની સંખ્યાનું મહત્ત્વ વધારે દેખાતું હતું.

એકાદ વર્ષ પહેલાં સાનિયા મિર્ઝાનું પુસ્તક પ્રકાશિત થયું તે સંદર્ભે રાજદીપ સરદેસાઈ જેવા પત્રકાર પણ એ ક્યાં સ્થાયી થઈને રહેવા માગે છે, બાળકોનું આયોજન ક્યારે કરવાની છે – જેવા પ્રશ્ન પૂછવાનું રોકી નો’તા શક્યા. જો કે તેમને ખ્યાલ આવતાં જ તેમણે નેશનલ ચેનલ પર ચાલી રહેલા એમના લાઈવ ઇન્ટરવ્યૂમાં જ માફી માગી લીધી અને કબૂલ્યું કે આવો પ્રશ્ન તેઓ કોઈ પુરુષ ખેલાડીને પૂછતા નથી. કોઈ પત્રકાર સ્વીકારે કે એણે પૂછેલા પ્રશ્નમાં લૈંગિક ભેદભાવ પૂર્ણ હતો અને એ અંગે માફી પણ માગે એ આવકાર્ય ઘટના હતી. બાકી મોટા ભાગે તો લોકોને ખ્યાલ પણ નથી આવતો કે તેમણે કરેલી હરકતમાં ક્યાંક ભેદભાવ હતો.

ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ 2015ના વર્લ્ડ કપમાં કાંસ્ય ચંદ્રક જીતી. ત્યારે ઇંગ્લેન્ડની ફૂટબોલ એસોસિયેશન તરફથી ટ્વીટ થયું કે આપણી સિંહણો કપ જીતીને આવી અને હવે પાછી માતા, પત્ની અને દીકરીની ભૂમિકામાં જોડાઈ જશે. જ્યારે આ અંગે ઉહાપોહ થયો ત્યારે ફૂટબોલ એસોસિયેશનના અધિકારીઓને આશ્ચર્ય થયું હતું, કારણ કે તેમણે તો ‘માતા’ અને ‘પત્ની’ઓની બીજી સિદ્ધિને વધાવી હતી. ખેર, પુરુષોને એમની ‘પતિ’ અને ‘પિતા’ની ભૂમિકા અંગે કોઈ નથી પૂછતું કે નથી કોઈ એમને એમના દૈનિક જીવનના કામ અંગે પૂછતું.

બીજી તરફ, સ્ત્રીઓની ગ્લેમરસ ભૂમિકાને રમતના વિશ્વમાં આવકારાય છે. આઈ.પી.એલ.ની ચીઅરલીડર્સ જ જોઈ લો. ટૂંકાં વસ્ત્રો પહેરીને ડાન્સ કરવાથી પ્રેક્ષકો આકર્ષાય એટલે નફાની ખાતરી. સ્ત્રીનું શરીર પ્રેક્ષકોને આકર્ષવાની એક વસ્તુ માત્ર. કોમેન્ટ્રી બૉક્સમાં બેઠેલી સ્ત્રીઓ માટે પણ તેમના રમતના જ્ઞાન કરતાં તેમની ગ્લેમર અપીલની લાયકાત વધી જાય છે.

બેડમિન્ટનમાં તો રમતના બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને (BWF) રમતમાં ગ્લેમરનો રંગ ઉમેરવા મહિલા ખેલાડીઓ માટે 2011થી સ્કર્ટ પહેરવાનું ફરજિયાત રાખ્યું છે. ફેડરેશને ખુલ્લેઆમ કહ્યું કે એનાથી ખેલાડીઓ વધુ આકર્ષક લાગશે, વધુ પ્રેક્ષકો સ્ટેિડયમમાં આવશે. પરિણામે રમતને વધુ કોર્પોરેટ પ્રાયોજક મળશે. આ પહેલાં મહિલા ખેલાડીને સ્કર્ટ પહેરવું કે શોર્ટસ, એની પસંદગી કરવાની છૂટ હતી. એટલે ઘણી ખેલાડી શોર્ટસ પહેરીને જ મેદાનમાં ઉતરતી. કારણ કે એનાથી રમવામાં વધુ અનુકૂળતા રહેતી. સાયના નેહવાલ પણ શોર્ટસ પહેરીને જ મેદાનમાં ઉતરતી. પણ નિયમ બદલાતાં બધી મહિલા ખેલાડીઓ માટે વસ્ત્રોની પસંદગી રહી નહિ. મહિલા ખેલાડીઓને લોકપ્રિયતા મેળવવા માટે એના રેકેટની ગતિ, રમતની વ્યૂહરચના અને કૌશલ્યપૂર્ણ રમેલા માસ્ટર સ્ટ્રોક્સ કરતાં તેમનાં ગ્લેમરસ દેખાતાં વસ્ત્રો વધુ મહત્ત્વના સાબિત થયાં. સાયના નેહવાલના પિતા હરવીરસિંઘે એ સમયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડ્રેસ કોડ બદલાતાં સાયના થોડા દિવસો માટે ઘણી મૂંઝાઈ ગઈ હતી. એનું ધ્યાન એની રમત કરતાં વધારે એનાં વસ્ત્રો પર જતું હતું.

ઘણાંની દલીલ હોય છે કે પુરુષની રમત જેવી મહિલાઓની રમત જોવામાં મઝા ન આવે. કારણ કે તેઓ પુરુષો જેવો સ્કોર ન કરી શકે. પુરુષમાં શારીરિક તાકાત વધુ હોવાથી માન્યું કે મહિલા ખેલાડી પુરુષ ખેલાડી જેવા ફટકા ન મારી શકે. સ્ત્રી અને પુરુષના શરીરની રચના અલગ છે. પણ એનાથી એનું કૌશલ્ય ઓછું નથી થતું. રમત એ માત્ર ફટકાબાજી નથી. બંને વચ્ચેની તુલના જ અવાસ્તવિક છે. તાજેતરમાં જ જૉન મેકેનરોએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે (વિખ્યાત ટેનિસ સ્ટાર અને વિલિયમ્સ બહેનોમાંની એક) સેરેના વિલિયમ્સ ભલે પહેલા નંબરની મહિલા ખેલાડી હોય, પણ જો તેને પુરુષ ખેલાડી સાથે રમવાનું હોય, તો એ 700મા સ્થાને આવે. બોલો, આવી સરખામણીનો કોઈ અર્થ ખરો?

પંચતંત્રની બગલા અને શિયાળની વાર્તા યાદ છે? લુચ્ચુ શિયાળ બગલાને ઘરે જમવા બોલાવીને થાળીમાં ખીર પીરસે. લાંબી ચાંચ સાથે બગલો ખાઈ ન શકે એટલે શિયાળ ધારી લે કે એને નહિ ખાવું હોય અને જ્યારે બગલો શિયાળ ને કુંજામાં ખીર આપે ત્યારે મોઢું વકાસીને જોવાનો વારો શિયાળનો હોય છે. સાર એટલો જ કે શરીરની રચના અલગ હોય તો કાર્ય પાર પાડવાની રીત અને મૂલવણીના માપદંડ અલગ રાખવા પડે. આ બોધ આપણે બાળકોને સમજાવીએ છીએ, પણ વાસ્તવમાં કેટલું સમજીએ છીએ? અને કેટલું અપનાવીએ છીએ?

‘ચક દે ઇન્ડિયા’ અને ‘દંગલ’ જેવી ફિલ્મોએ મહિલા રમતની કઠણાઈ અંગે સંવેદનશીલ રજૂઆત કરી છે. પણ મંઝીલ દૂર છે. આજે આશ્વાસન એટલું છે કે મિતાલી રાજ પેલા પત્રકારને ફટાક દઈને સામે પૂછી શકે છે કે શું એ કોઈ પુરુષ ક્રિકેટરને જઈને પૂછશે કે તેમની પ્રિય મહિલા ક્રિકેટર કોણ છે? આવો રોકડિયો જવાબ સોશિયલ મીડિયા પર વધાવી લેનાર ઘણા લોકો મળી રહે છે.

સૌજન્ય : ‘સમજવાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 30 જૂન 2017

Loading

કાશ્મીર પ્રશ્ને માનવીય સંવેદન અને રાજકીય સંકીર્ણતા : અ‍ૅક્ટિવિસ્ટ, જર્નાલિસ્ટ અને ટુરિસ્ટોની નજરે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|30 June 2017

શ્રીનગરની ત્રણ દિવસની મુલાકાતમાં ચક્રવ્યૂહનો સાવ સહેજ જ અંદાજ મળ્યો

શ્રીનગરમાં ગયા ગુરુવારે મધ્યરાત્રી પછી ટોળાએ એક પોલીસ અધિકારીની જામિયા મસ્જિદ ખાતે હત્યા કરી. શનિવારની સાંજે શહેરના પાન્થા ચોક વિસ્તારમાં લશ્કરે તોઈબાના આતંકવાદીઓના હુમલામાં સી.આર.પી.એફ.ના બે જવાન શહીદ થયા. બંને બનાવો બન્યા ત્યારે આ લખનાર, ઘટનાસ્થળોથી પંદરેક કિલોમીટર પર દલ સરોવરને કાંઠે એક વિશ્રામ ગૃહમાં મરાઠી-ગુજરાતી પત્રકારો-લેખકોના જૂથમાં હતો. ગુજરાતી ભાષામાં લખતા અમે પાંચ  ત્યાં હતા. અમે જમ્મુ અ‍ૅન્ડ કાશ્મીર ટુરિઝમ ડિપાર્ટમેન્ટના મહેમાન તરીકે કાશ્મીરનાં પર્યટન સ્થળોની કુદરતી શોભા માણી. ઉપરાંત વિદ્યાર્થીઓ અને નિસબત ધરાવતા નાગરિકોને મળ્યાં.

શુક્રવારે સવારે યુનિવર્સિટી સંકુલમાં અધ્યાપકો તેમ જ  ગ્રંથાલયની મુલાકાત પછી શ્રીનગરના  સહુથી સંવેદનશીલ ડાઉન ટાઉન વિસ્તાર અને તેમાં આવેલી જામિયા મસ્જિદની પાસેથી પસાર થવાનું આવ્યું. હઝરતબલ મસ્જિદની અંદર પણ જવાનું થયું. અમારી ટુકડીના મુંબઈના વરિષ્ટ અભ્યાસી કટારલેખક તો રમજાન ઇદની પૂર્વ સંધ્યાએ જામિયા મસ્જિદની અંદર જઈને લોકો સાથે કલાકેક વાતચીત કરીને આવ્યા. પાન્થા ચોકનો હુમલો ચાલુ હતો તે કલાકો દરમિયાન અમે ધરણાં-દેખાવોના સ્થાન એવા લાલ ચોકના ધમધમતાં બજારમાં હતા. એ રાત્રે એક મોટા અખબારના તંત્રીની સાથે બેઠક હતી જે બારેક વાગ્યે પૂરી થયા પછી અમે ઊતારે આવ્યા. કેટલાક પત્રકારો કારગિલ પણ ગયા. એકંદર  અનુભવ કાશ્મીરમાં સહેલાણીઓ માટે સલામતી તેમ જ શાંતિ પ્રવર્તે છે, અને કાશ્મીરના લોકો સદ્દભાવવાળા છે એવો રહ્યો.

રાજ્યની આવી છાપ અખબારી પત્રકારો થકી દેશમાં પહોંચે એ કાશ્મીરના આ પ્રવાસના આયોજક એવા ટુરિઝમ વિભાગનો હેતુ હતો. કાશ્મીરની જીવાદોરી સમું પ્રવાસન ગયાં કેટલાંક  વર્ષોથી પડી ભાંગવાને આરે છે. ટુરિઝમ વિભાગના મતે તેનું એક મોટું કારણ ખાનગી ટેલિવિઝન ચૅનલો છે. તે હંમેશાં કાશ્મીરનું હિંસક ચિત્ર રજૂ કરે છે અને તેને કારણે સહેલાણીઓ આવતાં અટકી ગયા છે. આ વાત પ્રવાસન વિભાગના અધિકારીઓએ ગયા ગુરુવારે પત્રકાર પરિષદમાં આંકડા અને દાખલા સાથે મૂકી. તેમાં ટુર અને કાર ઑપરેટર્સ, હૉટેલિઅર્સ વગેરેનાં મંડળોનાં પ્રતિનિધિઓ પણ હતા. તે સહુએ ટૂંકી પણ લાગણીભરી વાત કરી. તેમાં અનેક મુદ્દા સામે આવ્યા : ટી.આર.પી. ખાતર ચૅનલોનાં કાશ્મીર વિશેનાં જૂઠાણાં, કેન્દ્ર સરકારનું ઓરમાયું વર્તન , યાત્રાઓમાં જળવાતો કોમી એખલાસ, દેશવાસીઓનો કાશ્મીર તરફનો અલગાવ, અહીંના લોકોના જીવનની વિચ્છિન્નતા, તેમની ટુરિસ્ટો માટેની ન્યોચ્છાવરી અને અન્ય. આ બાબતો કાશ્મીરનાં મુખ્ય મંત્રીએ શુક્રવારે બોલાવેલી પત્રકાર પરિષદમાં પણ દોહરાવી. વધારામાં  તેમણે એ પણ કહ્યું  કે કાશ્મીરની સરકારની તેમ જ જનતાની સારપ અને સિદ્ધિઓ ચૅનલવાળા બતાવતા નથી. વડા પ્રધાન મોદીની ક્ષમતાઓને તેમણે બિરદાવી, પણ કેન્દ્રના કાશ્મીર તરફના વલણ અંગે સાફ વાત ન કરી. જો કે દેશના લોકોનું સહેલાણીઓ તરીકે કાશ્મીરમાં આવવું એ ‘ઇન્વેસ્ટમેન્ટ ઇન પીસ’ એટલે કે ‘શાંતિ માટેનું મૂડીરોકાણ છે’ એવું તેમનું ઉચ્ચારણ મહત્ત્વનું ગણાય.

આ મૂડીરોકાણ સફળ થાય તો પણ ખુદ કાશ્મીરી જનતાને કેટલી શાંતિ લાધશે તે કહેવું મુશ્કેલ છે. કાશ્મીરના લોકોમાં ભારે અજંપો અને હતાશા છે એવું સંવેદનશીલ નાગરિકો સાથે વાત કરતા સમજાયું. તેમાં અધ્યયન – અધ્યાપન, પત્રકારત્વ, સમાજકાર્ય અને ધંધા-રોજગાર સાથે સંકળાયેલ વ્યક્તિઓ હતી. એમની સાથે સંપર્ક-સંવાદ, અમારી ટુકડીની અનૌપચારિક માર્ગદર્શક યુવા કર્મશીલ રિમ્મી વાઘેલા થકી થઈ શક્યો. રિમ્મીએ સપ્ટેમ્બર 2014માં  શ્રીનગરને તબાહ કરનાર પૂરસંકટમાં ત્યાં લાંબા સમય માટે રહીને તબીબી રાહતકાર્ય કર્યું હતું. તે દરમિયાન અનેક વર્ગના લોકો સાથે તે સંકળાઈ હતી.

એમાંના એક અધ્યાપકને અમે મળ્યા. તે નાનપણમાં એમની સોસાયટી પર થયેલાં લશ્કરી ક્રૅકડાઉનમાં મિત્રોને નજર સામે ગુમાવી ચૂક્યા હતા. અનેક વિષયોનું વાચન ધરાવતો અને ઇમ્પોર્ટ સાથે સંકળાયેલો એક યુવાન બિઝીનેસમન તેના કહેવા મુજબ ‘દો હેબિયસ કૉર્પસ ખા ચૂકા થા’. તેણે કાશ્મીરી પંડિતો વિશે મારા માટે ઓછી જાણીતી  વિગતો આપી, કારણ કે તેનો ઉછેર કાશ્મીરી પંડિતોના કુટુંબો વચ્ચે આવેલા ઘરમાં થયો હતો.  તેના હમઉમર વકીલ દોસ્તના જણાવ્યા મુજબ ગયાં વર્ષે આઠમી જુલાઈએ બુરહાન વાણીના મોત પછી અત્યાર સુધીમાં હજારેક હેબિયસ કૉર્પસ થયા છે ! એક યુવતીએ તાજેતરમાં દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીમાંથી કાયદાની માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તેના લઘુશોધ નિબંધનો વિષય ‘એનફોર્સડ ડિસઅપરન્સેસ ઇન કાશ્મીર’ એવો હતો. તેના પિતા કાશ્મીરમાં માનવઅધિકાર માટે લડનાર વકીલ હતા. તે 1996માં એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિન્ગ્સનો ભોગ બન્યા હતા. તેમની આ દીકરીએ 2009માં શોપિયન જિલ્લામાંથયેલા બળાત્કારોના વિરોધમાં મહિલા કૉલેજના ઇતિહાસમાં પહેલવહેલી રેલી કાઢી હતી.

જાહેર આરોગ્ય માટે સરકારને સક્રિય કરનાર માહિતી અધિકાર કાર્યકર્તાઓને મળવાનું થયું. સરકારી નોકરી છોડીને સામાજિક કાર્ય કરનાર તબીબને મળ્યા. તેમણે શ્રીનગરથી દક્ષિણે સાઠ કિલોમીટર પર આવેલા તોસા મૈદાન નામના તેર ચોરસ કિલોમીટર જેટલા રળિયામણા વિસ્તારને લશ્કરની ફાયરિંગ રેઇન્જ તરીકેના તાબામાંથી છોડાવવા માટેની લડત ચલાવી હતી. લશ્કરની અનેક પ્રકારની ફાયરિંગ અ‍ૅક્ટિવિટીને લીધે પચાસેક ગામના લોકોના જાનમાલ અને સમૃદ્ધ કુદરતને મોટા પાયે હાનિ પહોંચતી હતી. કર્મશીલોએ માહિતી અધિકાર અને જાહેર વિરોધ થકી પાંચેક વર્ષ ચલાવેલાં આ લોકઆંદોલનને ગયાં વર્ષે જૂનમાં પૂરી સફળતા મળી. હવે તોસા મૈદાન વિશે ટુરિઝમ ડિપાર્ટમેન્ટે ચમકદાર માહિતીપત્રક બહાર પાડ્યું છે ! એક મહિલા સંપાદકે અત્યારની પરિસ્થિતિ ઉપરાંત નેવુંના દાયકામાં મીડિયાની કસોટીની વાત કરી – બંદૂકધારી આતંકવાદીઓ અખબારના દફ્તરમાં ધામા નાખતા ! દિવાલો પર આતંકવાદીઓ અને અલગતાવાદીઓ તરફી સૂત્રો પણ વાંચ્યાં. મહિલાઓ બધે હતી. બુરખામાં કોઈ ન હતી, અને હિજાબમાં દરેક હતી. ભારત કે પાકિસ્તાન કોઈની સાથે ન રહેવા માંગતાં અલગ કાશ્મીર માટેનાં અરમાનના અણસાર પણ મળ્યા. તેમાં ક્યારેક સીધી તો ક્યારેક આડકતરી રીતે મજહબ પણ હતો.

અમે જેમને મળ્યા તે કલાક સુધી વાત કરતાં રહેતાં. સમયને અભાવે અટકવું પડતું. દિલચોરી રાખ્યા વિના પૅશનેટલી કરાયેલી તેમની વાતમાં વેદના, વિચ્છેદ, વંચિતતા, મજબૂરી, આક્રોશ, હતાશા, હતબલતાની લાગણીઓ ઊભરાતી. લગભગ દરેકની વાતના મોટા પટમાં આ સંઘર્ષમય ભૂમિના ઇતિહાસ-વર્તમાનના માહિતીપૂર્ણ તાણાવાણા ગૂંથાયેલા-ગૂંચવાયેલા રહેતા. ભારતીય રાષ્ટ્રવાદીને મળવાનું ના થયું, પણ તેની બાજુ પણ ઘણી આક્રોશપૂર્ણ હોઈ જ શકે. મોટા મીડિયા હાઉસના સન્માનનીય પીઢ સંપાદક સહિત બધાની સાથેના સંવાદમાં મળતી આવતી વાત કંઈક આમ હતી : ‘હંમેશાં ડર રહેતા હૈ. કિસી પે ભરોસા રખના મુશ્કિલ હો ગયા હૈ. લેકીન ટુરિસ્ટ સેઇફટી કા નૅરેટીવ ભી ગલત નહીં હૈ. બચ્ચોં ઔર જવાનોં મેં સે પુલીસ – આર્મી તો ક્યા મૌતકા ખૌફ ભી ખતમ હો ગયા હૈ. પતા નહીં હમારા યહ મસલા કબ સુલઝનેવાલા હૈ. અલ્લા બચાયે હમેં ઈસમેં સે !’

આ લખનારની કાશ્મીર ચક્રવ્યૂહ અંગેની માનવીય સમજ ઉઘડી અને રાજકીય સમજ વધુ ઉલઝી.

+++++++

29 જૂન 2017

(‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 30 જૂન 2017)

Loading

...102030...3,3453,3463,3473,348...3,3603,3703,380...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved