Opinion Magazine
Number of visits: 9584360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ દેશમાં ધાનનું ઉત્પાદન કરતા ખેડૂત કરતાં ગુટકાનું ઉત્પાદન કરનારા વધારે પાવરફુલ હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 July 2017

સરકાર ચૂપ છે, BJPના પ્રવક્તાઓ ચૂપ છે, હિન્દુ સંસ્કૃિતના ઠેકેદારો ચૂપ છે અને ભક્તોને કેફમાં રાખનારાઓ પણ ચૂપ છે. આ બાજુ જેણે બોલવું જોઈએ એ વિરોધ પક્ષો ચૂપ છે અને પત્રકારો પણ ચૂપ છે. તમારા દીકરાના ખિસ્સામાં કોઈકે હળવેકથી ઝેરના ગુટકાનું પાઉચ નાખી દીધું છે અને કોઈ અવાજ પણ નથી કરતું

મહારાષ્ટ્ર સરકારે ગુટકાના વેચાણ પરનો પ્રતિબંધ હળવેકથી ઉઠાવી લીધો છે. એવી રીતે ઉઠાવ્યો છે કે એ વિશે ઝાઝો ઘોંઘાટ ન થાય. મહારાષ્ટ્રની કે દેશની ન્યુઝ-ચૅનલો આ વિશે ઊહાપોહ તો શું ન્યુઝ પણ નથી આપતી. મુંબઈનાં બે-ચાર છાપાંઓમાં અંદરનાં પાને વાચકોનું ખાસ ધ્યાન ન જાય એ રીતે ન્યુઝ છપાયા છે. પહેલાં તો મને એમ લાગ્યું કે ‘મુંબઈ મિરર’માં અંદરનાં પાને છપાયેલા પ્રતિબંધ ઉઠાવી લેવાના સમાચાર ખોટા હોવા જોઈએ. આવડો મોટો જીવલેણ નિર્ણય અને કોઈ પ્રતિક્રિયા નહીં? મારી દીકરીએ આનો સરસ ખુલાસો આપ્યો હતો. તેણે કહ્યું કે આ સમાચાર ખરેખર સાચા હોવા જોઈએ, કારણ કે મહારાષ્ટ્ર સરકાર ચૂપ છે. જો સમાચાર ખોટા હોત તો પ્રજાવત્સલ મહારાષ્ટ્ર સરકારે ઘોંઘાટ કર્યો હોત કે અમે એટલા નીચ નથી કે આખી ને આખી યુવા પેઢીને કૅન્સરના મોંમાં ધકેલી દઈએ. સરકાર ચૂપ છે, BJPના પ્રવક્તાઓ ચૂપ છે, હિન્દુ સંસ્કૃિતના ઠેકેદારો ચૂપ છે અને ભક્તોને કેફમાં રાખનારાઓ પણ ચૂપ છે. આ બાજુ જેણે બોલવું જોઈએ એ વિરોધ પક્ષો ચૂપ છે અને પત્રકારો પણ ચૂપ છે.

આવી જ ભેદી અને મારા જેવા ઉત્પાતિયાઓ માટે અસહ્ય ચુપકીદી દિલ્હીમાં જોવા મળી રહી છે. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણના સ્વરાજ અભિયાને દિલ્હીમાં જય કિસાન આંદોલન શરૂ કર્યું છે. આ ઉપરાંત તામિલનાડુના ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. દેશભરમાંથી આવેલા અંદાજે દસ હજાર ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે, પરંતુ એ વિશેના સમાચાર અખબારો અને ન્યુઝ-ચૅનલોમાં આવતા નથી. તમારે સમાચાર જાણવા હોય તો એને માટે જહેમત લઈને તમારે બે-ચાર જવાબદાર છાપાંઓના કે બે-ચાર જવાબદાર ન્યુઝ-ચૅનલોના કે બે-ચાર જવાબદાર ન્યુઝ-પોર્ટલોને શરણે જવું પડે. નેશન વૉન્ટ્સ ટુ નોનો ઘોંઘાટ કરનારાઓને એમ નથી લાગતું કે દિલ્હીમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો શા માટે આંદોલન કરી રહ્યા છે એની નેશનને જાણ કરીએ.

નેશનને શું જણાવવું અને શું ન જણાવવું એ મૅનેજ કરવામાં આવી રહ્યું છે. નેશને કઈ વાતે ચિંતા કરવી અને કઈ વાતે ઘેરી ઊંઘમાં રહેવું એ મૅનેજ કરવામાં આવી રહ્યું છે. કોઈ કાશ્મીરી કિશોર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાન પર પથ્થર ફેંકે એ ચોવીસે કલાક રાષ્ટ્રીય ચિંતાનો વિષય બને, પરંતુ આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો આંદોલન કરતા હોય અને આખી યુવા પેઢીને કૅન્સરના મોઢામાં ધકેલી દેવામાં આવતી હોય એ વિશે હરફ પણ ઉચ્ચારવામાં ન આવે. આનો અર્થ તો એટલો જ થયો સાહેબ કે આ દેશમાં ધાન ઉગાડનારાઓ કરતાં ગુટકાનું ઉત્પાદન કરનારાઓ વધારે પાવરફુલ છે. ખેડૂતો પાસે મીડિયાની હેડલાઇન ખરીદી શકવા જેટલા પૈસા નથી અને ગુટકાનું ઉત્પાદન કરનારાઓ પાસે એટલા બધા પૈસા છે કે તેઓ બનતી હેડલાઇન હેડલાઇન બને એ પહેલાં જ ખરીદી લે છે.

કેન્દ્ર સરકાર નથી ઇચ્છતી કે આ દેશમાં કોઈ અસંતુષ્ટ છે એવા સમાચાર પ્રગટ થાય. દેશમાં સોનું પાકી રહ્યું છે, દૂધની નદીઓ વહી રહી છે, સર્વત્ર રામરાજ્ય છે, વડા પ્રધાન જ્યાં જાય છે ત્યાં જગતને આંજી દે છે એવા સમાચાર પ્રગટ થવા જોઈએ. એની વચ્ચે જો કોઈ ગંદાં લૂગડાં બહાર આવી જાય તો પથ્થર ફેંકનારા કાશ્મીરી કિશોરને પકડીને દેશપ્રેમનો અને દેશદ્રોહનો દેકારો મચાવવાનો. એ છતાં જો ઇકૉનૉમિસ્ટ જેવા લબ્ધપ્રતિષ્ઠ સામયિકમાં ભારતના વિકાસના માફક ન આવે એવા આંકડા પ્રકાશિત થાય તો મટનનો ધંધો કરનારાઓના ટેમ્પો આંતરવાના અને ધબધબાટી બોલાવી દેવાની. વિકાસની ચિંતા કરનારાઓ સેક્યુલરિઝમની ચિંતા કરવા લાગશે. એની વચ્ચે હળવેકથી ગુટકા પરનો પ્રતિબંધ હટાવી દેવાનો અને મીડિયાને મૅનેજ કરી લેવાનું.

ખેડૂતોની પીડા શાસકોના કાને પહોંચતી નથી અને પહોંચે છે તો શાસકો સાંભળતા નથી એવું પ્રજાને ન લાગે એ માટે મીડિયાને મૅનેજ કરવામાં આવે છે. ગુટકાનું ઉત્પાદન કરનારાઓને સરકાર સાંભળે છે અને તેમને થઈ રહેલા નુકસાનથી શાસકો ચિંતિત છે એવું પ્રજાને ન લાગે એ માટે મીડિયાને મૅનેજ કરવામાં આવે છે. ખેડૂતોને એના પરસેવાના દામ સરકાર નથી ચૂકવતી એવું પ્રજાને ન લાગે માટે મીડિયાને મૅનેજ કરવામાં આવે છે તો બીજી બાજુ ગુટકા ઉત્પાદકોનો મોતનો મસાલો સરકાર વેચવા દે છે એવું પ્રજાને ન લાગે એ માટે મીડિયાને મૅનેજ કરવામાં આવે છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન ગુટકાને કારણે થયેલા મોઢાના કૅન્સરથી માંડ-માંડ બચ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ગુટકાને કારણે થયેલા મોઢાના કૅન્સરથી મૃત્યુ પામ્યા છે. એ સમયે કૉન્ગ્રેસ-NCPની સરકાર હતી અને કૅન્સરગ્રસ્ત બન્ને નેતાઓ NCPના હતા એટલે સ્મશાન વૈરાગથી પ્રેરાઈને ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે સરકાર બદલાઈ ગઈ છે એટલે વૈરાગ માટે કોઈ કારણ નથી અને લક્ષ્મી ચલિત કરી રહી છે. તમને શું લાગે છે આ મહારાષ્ટ્ર સરકારને વધારે રેવન્યુ મળે એ માટે લેવામાં આવેલો નિર્ણય છે? તમે જો એમ માનતા હો તો મૂર્ખ છો. ઝેર વેચવા દેવાનો અને યુવા પેઢીને મોતના મુખમાં ધકેલી દેવાનો આ નિર્ણય ગજવા ભરવા માટેનો છે. તેમના ખભે ચડીને દિલ્હી પહોંચાય છે.

એક સમયે કૂપમંડૂકના ઉપનામે લોકપ્રિય કૉલમ લખનારા મારા મિત્ર હોમી દસ્તુર મને પૂછતા હતા કે આ ઘેટાં નાગરિક ક્યારે બનશે? મેં તેમને કહ્યું હતું કે ઘેટાં નાગરિક ન બને અને અનુયાયી મુમુક્ષુ સાધક ન બને એ માટે આખી એક ચૅનલ કામ કરી રહી છે. અબજો ડૉલરની આ ઇન્ડસ્ટ્રી છે જે ખોટાને મહાન બનાવે છે, લંપટને સંત બનાવે છે અને કોઈ આંખ ઉઘાડવાનો પ્રયાસ કરે તો તેને રસ્તામાંથી હડસેલવાનું કામ કરે છે. તમારા દીકરાના ખિસ્સામાં કોઈકે હળવેકથી ઝેરના ગુટકાનું પાઉચ નાખી દીધું છે અને કોઈ અવાજ પણ નથી કરતું.

પ્રતિબંધો નિરર્થક છે એવી વાહિયાત દલીલોનો કોઈ અર્થ નથી. કાયદાને સાર્થક કરવો પડતો હોય છે, પરંતુ એ પહેલાં શાસકોએ શાસકધર્મ સાર્થક કરવો પડતો હોય છે અને એની તો મોટી ખામી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 26 જુલાઈ 2017

Loading

जेएनयू में टैंक तो कॉलेजों में?

कीर्तीश भट्ट|Opinion - Cartoon|25 July 2017

Loading

સુષમા સ્વરાજને ચીનનો હવાલો સોંપી દેવો જોઈએ, ડોકલામમાંથી તેઓ કદાચ ચીનનાં ગાડાં પાછાં વાળી શકશે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 July 2017

વડા પ્રધાનને ભડવીરની ઇમેજ નડતી હોય તો વિદેશપ્રધાનને કાગારોળ કરતાં આવડે છે. તેઓ લાંબું વિચારી શકે છે, પરિપક્વ વિવેકી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહેલી મુદતના ૧૭ મહિના બચ્યા છે. આ વરસના પાંચ મહિના અને આવતા વરસના ૧૨ મહિના. ૨૦૧૯ના જાન્યુઆરી મહિનાથી લોકસભાની ચૂંટણીનાં વાદળો ઘેરાવા લાગશે અને એપ્રિલ મહિનાથી ચૂંટણી યોજાવાનું શરૂ થશે. આ પણ દેશનું દુર્ભાગ્ય છે કે ચૂંટણીના છ મહિલા પહેલાંથી શાસકો શાસક મટીને પ્રચારક બની જાય છે. આવું પહેલાં નહોતું બનતું. પહેલાં ચૂંટણીપ્રચાર રસ્તા પર થતો હતો જે હવે મીડિયાના માધ્યમ દ્વારા કરવામાં આવી રહ્યો છે, એટલે એમાં નાટકીયતા અને ઘોંઘાટ વધ્યાં છે. નાગરિક સાથે સીધો સંપર્ક રહ્યો નથી એટલે નાગરિકને ભરમાવવાનું તત્વ વધ્યું છે. એ તો દેખીતી વાત છે કે કોઈને ભરમાવવા માટેની તૈયારી ઘણી વહેલાસર કરવી પડતી હોય છે.

રહી વાત બીજી મુદતની તો બીજી મુદત પોસ્ટડેટેડ ચેક છે. ગમે એટલો ભરોસો હોય તો પણ અંતે તો એ ભાવિ મુદતનો ચેક છે, જે વટાવવા મળશે કે કેમ એની ખાતરી તો વડા પ્રધાન પોતે પણ ન આપી શકે. હા, નગદ ૧૭ મહિના વડા પ્રધાનના ખિસ્સામાં છે અને એ કોઈ ઝૂંટવી શકે એમ નથી સિવાય કે કોઈ અણધારી ઘટના બને. બીજું, વડા પ્રધાન આ ૧૭ મહિના કઈ રીતે વાપરે છે અને હવે પછીના ૧૭ મહિનામાં શું બનશે અને સરકાર એનો કઈ રીતે સામનો કરશે એના પર પણ બીજી મુદત નિર્ભર કરે છે. આમ કાળના ગર્ભમાં શું છે એની ખાતરી કોઈ આપી શકે નહીં, પરંતુ વર્તમાન વડા પ્રધાનના હાથમાં પાકા ૧૭ મહિના છે અને વીતેલા ૩૮ મહિનાનો અનુભવ ગજવામાં છે.

મારી સમજ મુજબ વડા પ્રધાન સામે અત્યારે ચાર મુખ્ય પડકારો છે. પહેલો પડકાર ચીનનો છે. બીજો પડકાર આતંકવાદ, જમ્મુ અને કાશ્મીર અને ઈશાન ભારતનો છે. એ પડકાર જેટલો કાયદો અને વ્યવસ્થાનો છે એટલો રાજકીય છે. આમ આંતર-બાહ્ય અશાંતિ બીજો પડકાર છે. ત્રીજો પડકાર આર્થિક મોરચે છે અને એમાં પણ રોજગારીના ઘટતા પ્રમાણનો છે. ચોથો પડકાર ઇમેજનો છે. નરેન્દ્ર મોદી વિકાસની નાવમાં બેસીને દિલ્હી આવ્યા હતા અને ગાય જેવા હિન્દુત્વના વમળમાં અટવાઈ રહ્યા છે. આ બધું તેમની સંમતિ સાથે ભાયાતો કરી રહ્યા છે કે તેમની મરજી વિરુદ્ધ માથાભારે કરી રહ્યા છે એનો ખુલાસો હવે વહેલી તકે વડા પ્રધાને કરવો પડશે. બે નાવની સવારી અનંત સમય સુધી ન થઈ શકે. આમ ધૂંધળી અને ઈમાનદારી વિશે શંકા પેદા કરે એવી ઇમેજ એ ચોથો પ્રશ્ન છે.

પહેલો સૌથી મોટો પડકાર ચીનનો છે. ચીને ભારતની છાતી પર બેસીને વડા પ્રધાનનું ગૌરવખંડન કરી રહ્યું છે. ભોંઠપમાં મુકાઈ જવું પડે એ હદે ભડવીર હોવાની ઇમેજના ભાંગીને ભુક્કા થઈ રહ્યા છે. લાર્જર ધૅન લાઇફ ઇમેજ ડેવલપ કરવાના આ ગેરફાયદા છે. અહીં ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં ફરક છે. ઇન્દિરા ગાંધી પણ તાનાશાહી વલણ ધરાવતાં હતાં, પરંતુ જો લાચાર બનવાથી મગ પાકતા હોય તો તેમને લાચારીનો દેખાવ કરવામાં શરમ નહોતી આવતી.

૧૯૭૦-’૭૧ના બંગલા દેશ સંકટ વખતે તેમણે શરૂઆતમાં લાચારીનું સૉન્ગ રચ્યું હતું. જગતભરના નેતાઓ સમક્ષ તેઓ ખોળો પાથરતાં હતાં કે જુઓને અમારી પડોશમાં શું બની રહ્યું છે. કતલેઆમ થઈ રહી છે, નિર્દોષ લોકોનું લોહી રેડાઈ રહ્યું છે, અમારાથી જોવાતું નથી, નિરાશ્રિતો અમારે ત્યાં ઠલવાઈ રહ્યા છે, માનવતાનો સાદ સાંભળીને અમે નિરાશ્રિતોને આવતા રોકી શકતા નથી અને તેમનો બોજો અમારાથી સહન થતો નથી, ભારત વિકાસશીલ ગરીબ દેશ છે વગેરે. મુસ્લિમ દેશો સુધી ભારતની લાચારી પહોંચાડવા માટે તેમણે મુસ્લિમ નેતાઓનો ઉપયોગ કર્યો હતો અને જગતભરના યુદ્ધવિરોધી શાંતિવાદીઓ સમક્ષ ભારતની લાચારી પહોંચાડવા માટે તેમણે સર્વોદયી નેતા જયપ્રકાશ નારાયણનો ઉપયોગ કર્યો હતો. જેઓ સત્તામાં નહોતા, પરંતુ વિશ્વસમાજમાં કૉન્શિયસકીપર તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા હતા એ લોકો સુધી પણ ભારતની લાચારી પહોંચાડવાનું અને રડવાનું ઇન્દિરા ગાંધી ચૂક્યાં નહોતાં. અમે સંકટમાં મુકાઈ ગયાં છીએ અને તમે તારણહાર બનીને અમને ઉગારી શકો છો એમ કહેવામાં ઇન્દિરા ગાંધી ભોંઠપ નહોતાં અનુભવતાં.

ઇન્દિરા ગાંધીને દુર્ગાની ઇમેજ બંગલા દેશનું યુદ્ધ જીત્યા પછી મળી હતી, મીડિયા દ્વારા દુર્ગાની ઇમેજ સ્થાપીને તેઓ વડાં પ્રધાન નહોતાં બન્યાં. ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં મોટો ફરક આ છે. સંકટ ૧૯૭૧ જેવું જ છે, પણ ભડવીર હોવાની ઇમેજ આડી આવે છે. ઇન્દિરા ગાંધીથી ઊલટું ચીનના પ્રશ્ને ભારતની ભૂમિકાથી જગતને વાકેફ કરવા માટે નરેન્દ્ર મોદીની સરકારે હજી સુધી કોઈ પ્રયતïનો કર્યા હોય એવું જોવા મળ્યું નથી. વડા પ્રધાનને ભડવીરની ઇમેજ નડતી હોય તો વિદેશપ્રધાન સુષમા સ્વરાજને કાગારોળ કરતાં આવડે છે. તેઓ લાંબું વિચારી શકે છે, પરિપક્વ વિવેકી છે એટલે ચીનનો હવાલો તેમને સોંપી દેવો જોઈએ. ગલઢા ગાડાં વાળે એ ન્યાયે વિવેકવૃદ્ધ સુષમા સ્વરાજ સિક્કિમની સરહદેથી કદાચ ચીનનાં ગાડાં વાળી શકે એમ છે.

એક પ્રસંગ યાદ આવે છે. ૨૦૧૪માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સેક્રેટરી-લેવલે ચર્ચા નક્કી થઈ હતી. ચર્ચા પહેલાં પાકિસ્તાનના ભારત ખાતેના એલચીએ કાશ્મીરના હુર્રિયતના નેતાઓને મળવા બોલાવ્યા હતા. ભારતે એનો વિરોધ કર્યો અને મંત્રણા રદ કરી નાખી. અત્યારે ચીનના ભારત ખાતેના એલચી ભારતના નેતાઓને તો મળે છે, પણ વિશ્વદેશોના એલચીઓને પણ મળે છે અને હદ તો એ વાતની છે કે તેઓ ભુતાનના રાજાને મળવા થિમ્પુ ગયા હતા અને નેપાલના વડા પ્રધાનને મળવા કાઠમાંડુ પણ ગયા હતા. એક તરફ ઓવર-રીઍક્ટ કરવાનું અને બીજી તરફ અપમાન સહન કરી લેવાનું એ નીતિ બરોબર નથી.

જાગ્યા ત્યાંથી સવાર એ ન્યાયે વડા પ્રધાને માફકસરની મુત્સદ્દીગીરી અપનાવવી જોઈએ. પાકિસ્તાનને ધમકાવવાની જરૂર નથી અને ચીનથી ડરવાની જરૂર નથી. મુત્સદ્દી વાપરીને ચીનની નીચેથી ફસાયેલો હાથ હળવેકથી કાઢી લેવાનો છે. એને માટે કાગારોળ કરવી પડે તો એ પણ મુત્સદ્દીગીરીનો ભાગ છે. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. આ જગતમાં કોઈ રુસ્તમ હોતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો વડા પ્રધાને ભડવીર હોવાની ઇમેજની કેદમાંથી બહાર આવવાની જરૂર છે અને એ જો અઘરું લાગતું હોય તો આગળ કહ્યું એમ વિવેકવૃદ્ધ સુષમા સ્વરાજને ચીનનો હવાલો સોંપી દેવો જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2017

Loading

...102030...3,3253,3263,3273,328...3,3403,3503,360...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved