Opinion Magazine
Number of visits: 9584250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘થ્રી ઇડિયટસ’ ફિલ્મના રોન્ચોના પાત્રની પાછળ આનંદયાત્રી કપાસી સાહેબનું શિક્ષણ દર્શન છે : અભિજાત જોશી

સંજય શ્રીપાદ ભાવે|Profile|29 July 2017

પોંક ઓટલા પર બેસીને, અને લાડુ હીંચકા પર બેસીને પડિયામાં લઈને ખવાય …

અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી વિદ્યાનગર સ્કૂલના અનોખા પ્રસન્નચિત્ત પૂર્વ આચાર્ય અને બહુવિધ કલાઓના અત્યંત રસિક જાણતલ હિમ્મતલાલ કપાસીનું 89 વર્ષની ઉંમરે, વૃદ્ધાવસ્થાને કારણે, 20 જુલાઈએ તેમના નિવાસસ્થાને અવસાન થયું. ગઈ અરધી સદીના અમદાવાદના ક્રિકેટ, ફિલ્મ, નાટક, સંગીત જેવાં અનેક ક્ષેત્રોનાં સિતારાઓના' કે શોખીનોના ઘડતરમાં કપાસી સાહેબનો અણદીઠ ફાળો હતો. તે ડોકાઈ જતો ક્યારેક તેમના ચાહકોના મોંએ વારંવાર સહેજ જુદી ‘ગુનગુની’ ઢબે બોલાયેલા કેટલાક શબ્દપ્રયોગોમાં – જલસોં, આનંદ, મજોં, ગમ્મત, અદ્દભુત, અલમસ્ત કૂવો, વાત એંકદમ જામી ગઈ, ક્યા બાત હૈ …..

અત્યારે અમદાવાદમાં અતિ પ્રતિષ્ઠિત બની ગયેલી સંગીતસંસ્થા ‘સપ્તક’ના તેઓ પાયાના પથ્થર હતા. આપણા શહેરના લોકોને દેશ-વિદેશની ઉત્તમ ફિલ્મો જોવા મળે તે માટે વર્ષો સુધી કાર્યરત રહેલી ફિલ્મ સોસાયટીના પણ તે સ્થાપક હતા. અમદાવાદીઓ ફિલ્મ ફેસ્ટીવલ્સની મહત્તાથી વાકેફ થતા રહ્યા તે પણ કપાસીસાહેબને કારણે. અલગ પ્રકારના નાટકો કરનાર ‘આકંઠ સાબરમતી’ નામની મંડળી શરૂ કરવામાં તેમની પહેલ હતી. તેમના વિદ્યાર્થીઓને સાહેબનાં જગજુદાં સંભારણાં માંડવાં ગમે છે. ડાબેરી કર્મશીલ હિરેન ગાંધી કહે છે : ‘ કપાસી સાહેબ કલાજગતના મહાનુભાવ માટે બોલતા ‘બાંકી જોવા લાયક જગ્યા’. મારી દૃષ્ટિએ કપાસી સાહેબ પોતે જ વાસ્તવમાં અમદાવાદની જોવાલાયક જગ્યા હતા.’

કપાસી સાહેબના આચાર્યપદ હેઠળનાં વર્ષોમાં તેમની નિશાળમાં ઘંટની જગ્યાએ સંગીત વાગતું. ક્યારેક શરણાઈ તો ક્યારેક સારંગી, સિતાર ને સંતુર, બાખ ને બિથોવેન. અમદાવાદમાં ક્રિકેટની ટેસ્ટ કે કોઈ મહત્ત્વની મૅચ હોય ત્યારે સ્કૂલનું ટાઇમ-ટેબલ બદલાતું. સવારની સ્કૂલ પણ વહેલી છૂટી જતી – ‘બાળકોંએ નેટ પ્રૅક્ટિસ જોંવા તો જવું જ પડે નેં !’ શાળાની મૅચો જોવા વિદ્યાર્થીઓ તો જાય, પણ કપાસી સાહેબ ગ્રાઉન્ડ પર ખેલાડીઓથીય વહેલા પહોંચી જાય. શાળામાં ત્રણ દિવસ રમતોત્સવ અને ત્રણ દિવસ કલાઉત્સવ ઉજવાય. વાતો કરવાની સજા તરીકે શિક્ષકે જે વિદ્યાર્થીને વર્ગની બહાર ઊભો રાખ્યો હોય તેને કપાસી સાહેબ એમની ઑફિસમાં લઈ જાય અને તેની સાથે સિનેમા, ક્રિકેટ કે એવી કંઈ પણ વાત કરે. તેમની ઑફિસમાં રેડિયો હોય તેની પર બી.બી.સી. સંભળાવે. વિશ્વ સિનેમા પરનાં પુસ્તકોની લાઇબ્રેરી પણ ત્યાં જ.

શાળાનો પરિસર એટલે રાતદિવસ ધબકતું કલાનું ધામ. સપ્તકનું સંગીત અહીં સંભળાય.  લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સુવર્ણા, મધુ રાય વગેરે ‘રે મઠ’ની સાહિત્યિક પ્રવૃત્તિ અને ‘આકંઠ’ની પ્રયોગશીલ નાટ્યપ્રવૃત્તિ માટે અહીં ભેગા થતા. લીલાનાટ્યો અને આધુનિક ગરબીઓ, માતબર સંગીતકલાકારોની બેઠકો અને કલાવિદોનાં વ્યાખ્યાનો, નાટ્યવાચન ને કાવ્યપઠન. વિદ્યાનગર શાળાની પ્રવૃત્તિઓનો ચિતાર આપીને રઘુવીર ચૌધરી ‘તિલક કરે’ પુસ્તકમાં કપાસી સાહેબના વ્યક્તિચિત્રમાં બાલમુકુંદ દવેના શબ્દો ટાંકે છે : ‘કોને કરું યાદ, કોને વિસારું, કિતાબ થાય.’ કપાસી સાહેબની ઔપચારિક નિવૃત્તિ નિમિત્તે ઑગસ્ટ 1988માં લખાયેલા ‘એક અનોખા ગુજરાતી’ લેખમાં ઉમાશંકર જોશી કહે છે : ‘એમનો ખ્યાલ કરું છું ત્યારે રાતે મોડે સૌ જંપી ગયું હોય ત્યારે બી.બી.સી. પરથી ભજવાતાં નાટકને ટગર ટગર સાંભળી રહેલા રંગભૂમિના રસિયા જીવની  મૂર્તિ નજર આગળ ખડી  થાય છે. બધાં ઇંગિતો અવાજ દ્વારા એમના કાન ગ્રહણ કરી રહ્યા છે.’

કાનસેન તરીકે કપાસી સાહેબ અસામાન્ય કોટિએ પહોંચેલા હતા. તેઓ પાશ્ચાત્ય સંગીત સહિત સંગીતના અનેક પ્રકારના રસજ્ઞ હતા. ‘સ્વરલોક’ પુસ્તકમાં તેમણે પોતાના સાંગિતીક ભાવજગતનાં સંભારણાં અને કેટલાક સંગીત કલાકારોનાં શબ્દચિત્રો આલેખ્યાં છે. પ્રતિષ્ઠિત સંદર્ભગ્રંથ શ્રેણી જ્ઞાનગંગોત્રીમાં યુરોપિય સંગીત વિશેનાં પચાસ પાનાં તેમણે લખ્યા છે. ‘સંગીત એ મારા માટે પ્રથમ પ્રેમ છે. આ એક એવી કલા છે જેની પાસે જવાથી સદાય આનંદ જ પ્રાપ્ત થાય છે’, આવું તેમણે મનહર મોદીને એક મુલાકાતમાં કહ્યું છે. આ મુલાકાત ‘સિનેરાગ’ પુસ્તકની શરૂઆતમાં વાંચવા મળે છે. આ સંગ્રહના 132 લેખોમાં કપાસી સાહેબે હળવાથી સિનેમા સંબંધી અનેક બાબતોની છણાવટ કરી છે. જેમ કે, દેશ અને દુનિયાની ઉત્તમ ફિલ્મો, ફિલ્મ સર્જનની પ્રક્રિયા, ફિલ્મો જોવા-સમજવાની રીત, ફિલ્મ અપ્રિસિએશન, પ્રાદેશિક ફિલ્મો, રેડિયો-દૂરદર્શન-ચૅનલોના સંદર્ભમાં સિનેમા, ફિલ્મોમાં સંગીત, ફિલ્મ સોસાયટી મૂવમેન્ટ અને બીજા ઘણા વિષયો. કપાસી સાહેબનો પાયાનો વિચાર આ છે : ‘બધી કળાનો સામટો સરવાળો છે ફિલ્મ. ઉત્તમ ફિલ્મો જુઓ એટલે બધું જ આવી જાય. સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, તે ઉપરાંત જે કંઈ ઉત્તમ હોય તે બધું જ સાચી ફિલ્મમાં આવી જતું હોય છે …. ઇન્દ્રિયે ઇન્દ્રિયે આનંદ થઈ જાય.’

આ આનંદ કપાસી સાહેબનો સ્થાયી ભાવ હતો. એ આનંદ એમને ગમે ત્યાં મળી શકતો – પાન, પોંક, પુસ્તકો, પેઇન્ટિન્ગ્સ, દિલ્હીના પકોડા, ગાજરનો હલવો, સંગીત, મહેફિલો, ક્રિકેટ, મિત્રોનો સંગ. એમણે લખ્યું છે : ‘ઉપરાઉપરી બે સુંદર કલાત્મક ફિલ્મો જોયા પછી હાઇ જમ્પ કરવાનું મન થઈ જાય’, અથવા ‘હૈદરાબાદમાં ‘ડેસ્પરેટલી સિકીંગ સુઝાન’ જોયા પછી એટલો આનંદ આવેલો કે ઉત્તમ પદાર્થ સાથે છએક માઇલ બસ ચાલ્યા જ કર્યું.’

કપાસી સાહેબ આચાર્ય હતા તે વર્ષોમાં, અભિજાત જોશી વિદ્યાનગર સ્કૂલમાં પાંચમાથી બારમા ધોરણ સુધી ભણ્યા હતા. ‘ગાંધીગીરી’ જેવો શબ્દ અને ‘પીકે’ જેવી ફિલ્મ  આપનાર આ વિખ્યાત કથા-પટકથા લેખકે લાગણી અને કૃતજ્ઞતાના ભાવ સાથે કપાસી સાહેબનાં સંભારણાં કહ્યાં. તેમણે કહ્યું : ‘કપાસી સાહેબે મારી જિંદગીને ઘણી રીતે ઘાટ આપ્યો છે. સિનેમામાં મને જે રસ છે તેનું શ્રેય હું કપાસી સાહેબને આપું છું.’ કપાસી સાહેબના ખાવા પીવાના શોખની કેટલીક ખાસ વાતો તે  યાદ કરે છે. જેમ કે, કપાસી સાહેબ એમ માનતા ‘પોંક ઓટલા પર બેસીને ખવાય, લાડુ હીંચકા પર બેસીને પડિયામાં લઈને ખવાય અને લસ્સી ઉત્તર ભારતના કોઈ ગામડામાં ઘોડાગાડીમાં બેસીને  પીવાય.’ અભિજાત કહે છે : ‘નાની નાની વસ્તુઓમાંથી મોટો આનંદ મેળવવાની એમની ક્ષમતા બહુ અદ્દભુત હતી. વળી એમના આનંદ એક્સપેન્સિવ કે એક્સ્ટ્ર્ર્વૅગન્ટ, મોંઘા કે ઉડાઉ ન હતા.’

અંગ્રેજી–મરાઠી-ગુજરાતી સાહિત્યના મોટા વાચક અભિજાત કપાસી સાહેબના સંદર્ભમાં, મહાન  મરાઠી લેખક-પરફૉર્મર પુ.લ. દેશપાંડેને યાદ કરે છે: ‘કપાસી સાહેબની આનંદ લેવાની તાકાત પુ.લ. જેવી હતી. પુ.લ.ને ‘આનંદયાત્રી’ કહ્યા છે. કપાસી સાહેબ પણ આનંદયાત્રી હતા …  તેમની આનંદ માણવાની ક્ષમતા બહુ મોટી હતી. સાધારણ માણસ પણ કેવી આનંદમય જિંદગી જીવી શકે એ એમના ટેમ્પરામેન્ટમાં હતું. એમણે ક્યારે ય કોઈ એક્સપર્ટીઝનો, નિપુણતાનો ક્લેઇમ કહેતાં દાવો કર્યો ન હતો. એ જાણકારીનો દેખાડો ન કરતા, એની બડાશ ન હાંકતા, જજમેન્ટલ ન બનતા. એમનો ક્લેઇમ એ ક્લેઇમ ઑફ લવ હતો. લવ ફૉર ફિલ્મ્સ, લવ ફૉર મ્યુિઝક, ફૉર ક્રિકેટ, ફૉર ફૂડ …’ અભિજાતની ‘થ્રી ઇડિયટસ’ ફિલ્મે શિક્ષણ તરફ જોવાનો અલગ નજરિયો ભારતના લોકોને આપ્યો. તેમાં કપાસી સાહેબ હતા. અભિજાત કહે છે: ‘મારી ‘થ્રી ઇડિયટસ’ ફિલ્મમાં  ફ્રી-થિન્કર  રૅન્ચોના પાત્ર પાછળ કપાસી સાહેબનું શિક્ષણ દર્શન છે. તેમના માટે શિક્ષણ બંને હતું – એન્જૉયમેન્ટ ઍન્ડ ઇનવૉલ્વમેન્ટ !’

++++

27 જુલાઈ 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 જુલાઈ 2017

Loading

નીતીશકુમારે ૨૪ કલાકમાં સેક્યુલરિઝમથી ફાસીઝમની યાત્રા કરીને ઉઘાડા સત્ય પર સીલ મારી આપ્યું છે કે રાજકારણીઓ માત્ર સત્તાનું રાજકારણ કરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|29 July 2017

એમ કહેવાય છે કે લાલુ યાદવે કેન્દ્ર સરકારના બિહારના બે પ્રધાનોનો સંપર્ક કરીને ઑફર કરી હતી કે જો ચારાકૌભાંડમાં રાંચીની વડી અદાલતના ચુકાદા સામે CBIએ સર્વોચ્ચ અદાલતમાં જે અપીલ કરી છે એને મોળી પાડે તો વળતરમાં તેઓ નીતીશનું માથું વધેરીને તાસક પર આપવા તૈયાર છે, રાષ્ટ્રીય જનતા દલ નીતીશને આપેલો ટેકો પાછો ખેંચશે અને સરકાર તોડી પાડશે. ઑફર રસપ્રદ હતી, પરંતુ BJPએ બીજી ચાલ ચાલી. ઑફરની જાણ નીતીશને કરી દીધી અને વળતી ઑફર કરી કે જો નરેન્દ્ર મોદી સાથે સુવાણ કેળવવા તૈયાર હો તો લાલુને સપડાવીને તેમનાથી છુટકારો કરી આપીએ

નીતીશકુમારને નરેન્દ્ર મોદી અને લાલુ પ્રસાદ યાદવ એમ બન્ને માટે અણગમો છે. લાલુ માટેનો અણગમો એટલો તીવ્ર હતો કે ૧૭ વરસ પહેલાં તેમણે જનતા દલ છોડીને સમતા પાર્ટીની સ્થાપના કરી હતી અને BJP સાથે હાથ મેળવ્યા હતા. અણગમાનું મુખ્ય કારણ મનોવૈજ્ઞાનિક હતું. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં થયેલા આંદોલનમાં બન્ને સાથી હતા અને લાલુ યાદવ નેતા હતા. લાલુ-નીતીશનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો, લાલુના ખાસ વિશ્વાસુ પડછાયા જેવો અને કહો કે ખાંધિયા જેવો હતો. લાલુની લોકપ્રિયતા વિદ્યાર્થીઓમાં અને રાજકારણમાં પ્રવેશ્યા પછી લોકોમાં પ્રચંડ હતી. આ ઉપરાંત લાલુ યાદવની બોલવાની અને મજાકમસ્તી કરવાની પોતાની અનોખી શૈલી છે.

આવા લોકો એ ભૂલી જતા હોય છે કે વખત જતાં દરબારીઓ પણ મોટા થવા લાગે છે. તેમની અંદર પણ માન-મરતબાની ઇચ્છા જાગે છે. લાલુ યાદવ નીતીશને એક અનુયાયી, પડછાયો કે દરબારી તરીકે જોતા હતા અને વર્તતા હતા એ હવે બિહારના કૅબિનેટપ્રધાન બનેલા નીતીશને ગમતું નહોતું. આ ઉપરાંત નીતીશકુમાર કુર્મી સમાજમાંથી આવે છે જે બિહારમાં યાદવ પછી સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી જ્ઞાતિ છે. બિહારમાં જ્ઞાતિનાં સમીકરણોમાં નીતીશકુમાર પણ તાકાત ધરાવતા હતા એ લાલુના ધ્યાનમાં આવ્યું નહોતું અને આવ્યું હતું તો એના તરફ ધ્યાન આપ્યું નહોતું, કારણ કે તેમને મન નીતીશકુમાર એક આંગળિયાત વિશ્વાસુ દરબારી હતા. જ્યૉર્જ ફર્નાન્ડિસ સાથે મળીને નીતીશકુમારે એક દિવસ બળવો કર્યો અને બિહારમાં બે ધ્રુવીય રાજકારણ શરૂ થયું જેમાં નીતીશકુમાર એક ધ્રુવ બની ગયા.

વીતેલી સદીના છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય રાજકારણ પણ દ્વિધ્રુવીય બની ગયું, એમાં એક ધ્રુવ BJPના નેતૃત્વમાં NDAનો હતો. અટલ બિહારી વાજપેયી NDAનું નેતૃત્વ કરતા હતા એટલે સમાજવાદી ધારામાંથી આવતા નીતીશકુમારને શરમ અને સંકોચનો અનુભવ નહોતો થતો. નીતીશકુમાર હિન્દુત્વવાદીઓની મહેફિલમાં અટલજીના નેતૃત્વને કારણે કમ્ફર્ટેબલ હતા. આ બાજુ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી રાષ્ટ્રીય નેતૃત્વ માટે નજર દોડાવી હતી. ગુજરાતનો નરસંહાર તેમના કપાળે લાગેલું કલંક હતું જેના તરફ નીતીશકુમારે આંખ આડા કાન કર્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદીની ઉઘાડી સત્તાવાસના અને એના માટે શરમ-સંકોચ વિના કોઈ પણ માર્ગ અપનાવવાની નિર્લજ્જતા નીતીશ માટે અકળાવનારી હતી. ૨૦૦૯માં લુધિયાણામાં યોજાયેલી NDAની રૅલીમાં અચાનક નરેન્દ્ર મોદીએ દોડી આવીને નીતીશકુમારનો હાથ પકડીને હવામાં ઉઠાવ્યો હતો અને એવો દેખાવ કર્યો હતો કે નીતીશને પણ મોદીના નેતૃત્વ સામે વાંધો નથી. ૨૦૧૦માં BJPની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બિહારમાં મળી ત્યારે નરેન્દ્ર મોદીએ પેલા લુધિયાણાવાળા ફોટો સાથે બિહારનાં અખબારોમાં જાહેર ખબર આપી હતી. કોસી નદીની હોનારત વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો એની પણ ચેકના ફોટો સાથે બિહારનાં અખબારોમાં જાહેરાત છપાવી હતી. આમ પરાણે કોઈના ખોળામાં બેસી જવાની અને પરાણે કોઈને ખોળામાં બેસાડવાની નરેન્દ્ર મોદીની હરકતો નીતીશકુમાર માટે અસહ્ય બનતી જતી હતી.

૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ વિધિવત BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સ્વીકૃતિ મેળવી એ પછી નીતીશકુમારે NDAના ઘટક તરીકે નિર્ણય લેવાનો હતો કે મોદી સાથે જવું કે નહીં. ૨૦૧૪ના અંતમાં નીતીશકુમારે NDA સાથે છેડો ફાડ્યો અને એ પછી જે બન્યું એ નજીકનો ઇતિહાસ છે. એમાં વળી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બિહારમાં BJPને સૌથી વધુ બેઠકો અને મત મળ્યાં હતાં. એનાથી વધુ નહીં તો એટલી જ અકળાવનારી વાત નીતીશ માટે એ હતી કે તેમના પક્ષ કરતાં લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દલને વધુ બેઠકો અને વધુ મત મળ્યા હતા. BJPનો બિહારમાં પ્રવેશ થઈ રહ્યો છે એ સ્પષ્ટ થઈ ગયું હતું.

હવે નીતીશકુમાર માટે સંકટ પેદા થયું. NDAનો દરવાજો તેણે પોતે બંધ કર્યો હતો અને UPAમાં પ્રવેશ કરવો હોય તો UPAના બિહારના દરવાન લાલુને સલામ ઠોકવી પડે. આગળ કહ્યું એમ લાલુ યાદવ સાથે તેમને જરા ય સુવાણ નહોતી, પણ કરવું શું? લાલુ-નીતીશે કૉન્ગ્રેસ સાથે મળીને ૨૦૧૫ના નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં BJPનાં સૂપડાં સાફ કરી નાખ્યાં અને નીતીશકુમાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા પણ પેલી સુવાણની સમસ્યા એમ ને એમ હતી. ખબર આવતા હતા કે બધું સમુંસૂતરું નથી. એક બાજુ નીતીશની ક્લીન અને એફિશ્યન્ટની ઇમેજ અને બીજી બાજુ લાલુનાં જેટલાં સંતાનો એટલાં કૌભાંડ. એમાં ચારાકૌભાંડમાં સર્વોચ્ચ અદાલતમાં વળાંક આવ્યો કે લવાયો અને BJPને મહાગઠબંધન તોડવાની તક મળી ગઈ.

એમ કહેવાય છે કે લાલુ યાદવે કેન્દ્ર સરકારના બિહારના બે પ્રધાનોનો સંપર્ક કરીને ઑફર કરી હતી કે જો ચારાકૌભાંડમાં રાંચીની વડી અદાલતના ચુકાદા સામે CBIએ સર્વોચ્ચ અદાલતમાં જે અપીલ કરી છે એને મોળી પાડે તો વળતરમાં તેઓ નીતીશનું માથું વધેરીને તાસક પર આપવા તૈયાર છે. રાષ્ટ્રીય જનતા દલ નીતીશને આપેલો ટેકો પાછો ખેંચશે અને સરકાર તોડી પાડશે. ઑફર રસપ્રદ હતી, પરંતુ BJPએ બીજી ચાલ ચાલી. ઑફરની જાણ નીતીશને કરી દીધી અને વળતી ઑફર કરી કે જો નરેન્દ્ર મોદી સાથે સુવાણ કેળવવા તૈયાર હો તો લાલુને સપડાવીને તેનાથી છુટકારો કરી આપીએ.

નીતીશકુમારે બે અણગમતા માણસોમાંથી એકની પસંદગી કરવાની હતી અને એકથી છુટકારો મેળવવાનો હતો. એમાં લાલુની ઑફરની વાત કાને આવી જેમાંથી બુધવારની ઘટના બની. નૈતિકતા અને અંતરાત્માની નીતીશની વાતો બોગસ છે. અંતરાત્માના અવાજથી પ્રેરાઈને નીતીશે રાજીનામું આપ્યું હોત તો BJP સાથે મળીને સરકાર ન રચી હોત. તેઓ મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે એમ તેમનો અંતરાત્મા નથી કહેતો? જાહેર જીવનમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે નીતીશને અભિનંદન આપનારા નરેન્દ્ર મોદીને યાદ અપાવવી જોઈએ કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ભ્રષ્ટાચારના આરોપમાં તકસીરવાર ઠરેલા તેમની કૅબિનેટના પ્રધાન બાબુ બોખીરિયા પાસેથી તેમણે રાજીનામું નહોતું માગ્યું. લાલુના પુત્ર સામે તો માત્ર આરોપનામું દાખલ થયું છે, જ્યારે બોખીરિયા તો ગુનેગાર સાબિત થયા હતા. આમ નૈતિકતા એ ઢોંગ માત્ર છે. હમામમાં બધા જ નાગા છે અને કોઈ પ્રામાણિક નથી.

પણ સેક્યુલરિઝમનું શું? એ પણ ઢોંગ માત્ર છે? જી હા, આ ઉઘાડું સત્ય છે, અનેક વાર સાબિત થઈ ગયું છે અને હવે નીતીશકુમારે ચોવીસ કલાકમાં સેક્યુલરિઝમથી ફાસીઝમની યાત્રા કરીને ઉઘાડા સત્ય પર સીલ મારી આપ્યું છે કે રાજકારણીઓ માત્ર સત્તાનું રાજકારણ કરે છે. સેક્યુલરિઝમની ખેવના કરનારાઓએ હવે અન્યત્ર નજર દોડાવવાની જરૂર છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 જુલાઈ 2017

Loading

જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|29 July 2017

તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?

૧૯૩૧માં બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા ગાંધીજી લંડન ગયા ત્યારે બ્રિટનના રાજાએ ગાંધીજીને ચા-પાણી માટે બકિંગહૅમ પૅલેસમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આમંત્રણના પત્રમાં મહેમાને કેવાં કપડાં પહેરવાં (ડ્રેસ-કોડ) વિશે નિર્દેશો આપવામાં આવ્યા હતા. ગાંધીજીએ આમંત્રણનો સ્વીકાર કરતાં લખ્યું કે તે કપડાં તો એ જ પહેરશે જે ભારતમાં પહેરે છે. ગોઠણ સુધીની ધોતી જે ઉપર છાતી પર વીંટાળેલી હશે અને લંડનમાં ઠંડી છે એટલે શાલ ઓઢી હશે. કહેવાની જરૂર નથી કે પગમાં ચંપલ હશે. બકિંગહૅમ પૅલેસમાં આ પહેલાં કોઈએ આવાં ફટીચર કપડાંમાં રાજાની મુલાકાત લીધી નહોતી અને તેને રાજાનું અપમાન માનવામાં આવતું હતું. અપવાદ કરવા માટે ગાંધીજીને ઘણી વિનંતીઓ કરવામાં આવી, પરંતુ ગાંધીજીએ યજમાને સુચવેલા ડ્રેસ-કોડને અપનાવવાની ના પાડી દીધી. છેવટે રાજાએ ઝૂકવું પડ્યું અને ગાંધીજી જેવાં કપડાંમાં આપણે તસવીરમાં જોઈએ છીએ એવાં કપડાંમાં બકિંગહૅમ પૅલેસમાં રાજાને મળવા ગયા હતા.

આ તો જાણીતી વાત છે, પરંતુ અજાણી વાત એ છે કે વિન્સ્ટન ચર્ચિલે ગાંધીજી સાથે અપવાદ કરવામાં આવે એનો વિરોધ કર્યો હતો. ચર્ચિલે કહ્યું હતું કે એક અર્ધનગ્ન ફકીર એવી તે કઈ તાકાત ધરાવે છે કે બ્રિટિશ સામ્રાજ્યના રાજાએ અપવાદ કરવો પડે. નથી તેની પાસે કોઈ સત્તા, નથી સામ્રાજ્ય કે નથી સંપત્તિ. એક ફટીચર માણસ છે જેને ભાવ આપવાની કોઈ જરૂર નથી. વિન્સ્ટન ચર્ચિલને જવાબ આપતાં કોઈકે કહ્યું હતું (નામ મને મળતું નથી) મિ. ચર્ચિલ, તમે જે કહો છો એ જ ગાંધીની તાકાત છે અને એ એવી તાકાત છે જેને છીનવી શકાતી નથી. ગાંધી એક એવો માણસ છે જેને પૈસાથી ખરીદી શકાતો નથી, સત્તાની લાલચ આપીને મોહિત કરી શકાતો નથી અને કોઈ સ્ત્રી તેને ચલિત કરી શકતી નથી. આ ત્રણ ચીજ એવી છે જેના દ્વારા માણસને ઝુકાવી શકાય છે અને જે માણસ આ ત્રણ ચીજથી મુક્ત છે તેની સમક્ષ દુનિયાની ગમે એવી તાકાત હોય એને ઝૂકવું પડે છે.

આજનો યુગ જુદો છે. આજે તાકાત, ઐશ્વર્ય, પ્રભુત્વ, વગ વગેરેની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ૧૯૧૬માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીજીએ ભારતના ગવર્નરનો સલામતીનો તામજામ જોઈને કહ્યું હતું કે ભારતમાં લોકોની વચ્ચે ફરવામાં જો આટલો બધો ડર લાગતો હોય તો તમારે વતન પાછા જતા રહેવું જોઈએ. ડરીને જિંદગી જીવવી એ અભિશાપ છે અને સહજ મુક્ત જિંદગી વરદાન છે. પાંચ દાયકા પહેલાં કોઈએ કલ્પના નહોતી કરી કે એવા પણ દિવસો આવશે જ્યારે ડરીને જીવવામાં લોકો પ્રતિષ્ઠા સમજશે. આજુબાજુમાં ગનધારી કમાન્ડોઝ હોય તો કેવો વટ પડે. જેટલો વધારે ડર એટલી વધારે પ્રતિષ્ઠા. આપણે પણ એવા લોકોનું ઐશ્વર્ય ફાટી આંખે જોતાં રહીએ છીએ. કેટલાક લોકો તો મનોમન સપનાં પણ જોતા હશે કે આપણા આવા દિવસો ક્યારે આવશે, જ્યારે ડરવા મળશે. ટૂંકમાં ડરપોક લોકો આજે પ્રતિષ્ઠિત છે.

વગદાર કોણ છે? વગદાર એ છે કે જે કાયદો તોડવાની ક્ષમતા ધરાવે છે. કાયદાની મર્યાદામાં રહીને જીવે એ ભીરુ સામાન્ય જણ અને કાયદો તોડી શકે, કાયદાઓની ઐસીતૈસી કરી શકે એ વગદાર. કાયદાનું પાલન કરનારાઓએ દરેક જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. કાયદાનું પાલન કરનારા ભીરુ નાગરિકે કાલે આવજો એવો એક-બે વાર નહીં, વારંવાર જવાબ સાંભળવો પડે છે. કાયદાનું પાલન કરનારાઓએ રૂમ-રસોડામાં જિંદગી વિતાવવી પડે છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો પડે છે. સંતાનના સારી કૉલેજમાં ઍડ્મિશન મેળવવા માટે કોઈ વગદારની ચિઠ્ઠી લેવા તેના દરબારમાં જવું પડે છે અને ખોટી-ખોટી ભાટાઈ કરવી પડે છે. મનમાં તો ગળું ઘોંટી દેવા જેટલો ગુસ્સો આવે છે, પરંતુ પછી સમજાય છે કે વ્યવસ્થા (સિસ્ટમ) તો આ લોકોના હાથમાં છે અને વ્યવસ્થા તેમના માટે જ કામ કરી રહી છે એટલે ગુસ્સો ઠંડો કરીને તેમના જેવા કેમ બનાય અને જો ન બની શકાતું હોય તો કમસે કમ તેમની નજીક કેમ જવાય એના ઓરતા જોવા માંડે છે.

બોલો, તમને આવો અનુભવ થયો છે કે નહીં? તમે જો પ્રતિષ્ઠિત અને વગદાર નહીં હો તો જરૂર તમને આવો અનુભવ થયો હશે. આમ પણ મારી કૉલમ પ્રતિષ્ઠિત અને વગદાર લોકો નહીં વાંચતા હોય અને એવા બનવાના બેત રચનારાઓ પણ નહીં વાંચતા હોય. આ કૉલમ મૂલ્યોની ખેવના કરનારાઓ માટે અને છેલ્લા માણસની ચિંતા કરનારાઓ માટેની છે. પ્રતિષ્ઠિત અને વગદાર લોકોએ વ્યવસ્થા એવી બનાવી છે કે દાયકા પહેલાં પગમાં પહેરવાં સ્લિપર નહોતાં એ આજે અડધો કિલો સોનું પહેરીને ચાર બંગડીની આઉડી કારમાં ફરે છે. કમાન્ડોઝ હોય તો-તો પૂછવું જ શું? ઘાટકોપરમાં ૧૭ જણને ભરખી જનારો સુનીલ શિતપ આવો એક માણસ છે. આજે ધિક્કાર વરસાવવામાં આવી રહ્યો છે, પરંતુ એનો શું ઉપયોગ? લખી રાખજો, તેનો વાળ પણ વાંકો થવાનો નથી. તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 29 જુલાઈ 2017

Loading

...102030...3,3233,3243,3253,326...3,3303,3403,350...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved