Opinion Magazine
Number of visits: 9456541
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૃદુલા સારાભાઈ

યશવન્ત મહેતા|Profile|6 December 2024

મૃદુલાબહેન સારાભાઈ

તારીખ ૬ઠ્ઠી મે (૧૯૧૧) એક અસામાન્ય નારીની જન્મતારીખ છે. અને ૨૭ ઑક્ટોબર (૧૯૭૪) છે, અવસાન તિથિ. એ નારી એટલે મૃદુલા સારાભાઈ – સ્ત્રીશક્તિનાં આદિ સંગઠનકર્તા, સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, લેખિકા, બળવાખોર … એમને બિરદાવવા માટે વિશેષણો ઓછાં પડે.

મૃદુલા સારાભાઈ અમદાવાદના ખૂબ જ જાણીતા સારાભાઈ કુટુંબનાં દીકરી હતાં. ઓગણીસમી સદીમાં એમના વડવા મગનભાઈ વખતચંદ વેપાર-ઉદ્યોગમાં તો આગેવાન હતા જ, સમાજકારણમાં ય સક્રિય હતા. એમના દાનને પરિણામે અમદાવાદની સર્વ પ્રથમ કન્યાશાળા બની, જે આજે રાયબહાદુર મગનભાઈ વખતચંદ ગર્લ્સ સ્કૂલ તરીકે શહેરના રાયપુર વિસ્તારમાં સક્રિય છે.

આ જ પરિવારે એક સમયની અમદાવાદની વિશ્વવિખ્યાત કાપડ મિલ કેલિકો મિલ બનાવી અને ચલાવી. એ જ પરિવારના અંબાલાલ સારાભાઈ મશહૂર રાષ્ટ્રીય મૂડીદાર (નેશનાલિસ્ટ કેપિટલિસ્ટ) હતા અને ગાંધીજીના મોટા ટેકેદાર હતા. આ જ પરિવારમાં અનસૂયાબહેન સારાભાઈ પેદા થયાં, જેમણે શહેરના પ્રથમ કામદાર સંઘ એવા મજૂર મહાજન સંઘની રચનામાં સૌથી મોટો ફાળો આપ્યો. આ ઘટનાનું મહત્ત્વ સમજવા જેવું છે. કામદાર સંઘ તો ઉદ્યોગ-વ્યાપારના માલિકો સામે લડત ચલાવે. આવા સંઘની રચનામાં પાયાનો ફાળો આપનાર એક મિલમાલિકનાં જ બહેન !

આ પરિવારનાં જ એક દીકરી લીના મંગળદાસ, જે ઉત્તમ શિક્ષણકાર બન્યાં. એક દીકરો વિક્રમ સારાભાઈ, જે દેશનો પ્રથમ હરોળનો વિજ્ઞાની અને દેશના અવકાશયુગનો પિતા ગણાયો. આ વિક્રમભાઈનાં પત્ની મૃણાલિની સારાભાઈએ નૃત્ય અને નાટ્યના સંસ્કારોથી ગુજરાતને ગુણિયલ બનાવવામાં મોટો ફાળો આપ્યો. વિક્રમભાઈ અને મૃણાલિનીબહેનના પુત્ર કાર્તિકેય આજે વિજ્ઞાનસંસ્થાઓના સંચાલનમાં સક્રિય છે, તો પુત્રી મલ્લિકા નૃત્ય અને નાટ્ય જ નહિ, જાહેર જીવનમાં ન્યાય અને સમાનતાના હિતમાં જીવ રેડીને કામ કરે છે. સારાભાઈ પરિવારે અમદાવાદમાં અને અન્યત્ર વિજ્ઞાનની, વિજ્ઞાનશિક્ષણની, સંશોધનની, ડિઝાઈનકળાની વગેરે અનેક પ્રકારની અનેક મોટી સંસ્થાઓ ઊભી કરી જે અમદાવાદ અને ગુજરાતમાં જ નહિ, વિશ્વભરમાં પોતાના પ્રકારની નમૂનેદાર સંસ્થાઓ ગણાય છે.

અને આ જ પરિવારનાં અંબાલાલ સારાભાઈ અને સરલાદેવી સારાભાઈનાં દીકરી મૃદુલા તો વળી ઓર અધિક મહિમામય કારકિર્દી જીવી ગયાં. આઠ ભાઈ-બહેનોના બહોળા પરિવાર અને લખલૂટ સંપત્તિની સુવિધામાં મૃદુલાબહેનનું બાળપણ સ્વપ્નની જેમ પસાર થઈ ગયું. અંબાલાલભાઈ પોતાનાં સંતાનોને બહારની કોઈ શિક્ષણસંસ્થામાં મોકલતા નહિ. તમામ બાળકોના માધ્યમિક કક્ષા સુધીના તમામ શિક્ષણની જોગવાઈ શાહીબાગ ખાતેના એમના વિશાળ રીટ્રીટ બંગલા ખાતે થતી. એમના ભણતર માટે શિક્ષકોનો મોટો કાફલો રોકવામાં આવતો. દરેક સંતાનની રુચિ પારખવામાં આવે અને પછી એ દિશામાં એની વિશેષ તાલીમ થાય એવી જોગવાઈ હતી. મોટી વાત એ હતી કે અતિ માલદાર પરિવાર હોવા છતાં ઘરમાં સાદગીનું વાતાવરણ રહેતું. ભોજન, કપડાં, વડીલો ઉપરાંત નોકરચાકર તરફનું વર્તન, એ બધી બાબતમાં સાદાઈ અને શાલીનતાનો આગ્રહ રહેતો. આમાં પણ, મૃદુલાબહેન સાવ નાનપણથી કાંઈક જુદું જ વલણ ધરાવતાં હતાં. એમને સાદગી ખૂબ પસંદ હતી.

માણસના જન્મ પછી તરતના સંજોગો એના ઘડતરમાં મોટો ફાળો આપે છે. ૧૯૦૫માં બ્રિટિશ રાજ્યે બંગાળના ભાગલા પાડવાનું કાવતરું કર્યું. એનું બહાનું વહીવટી સુવિધાનું હતું. પરંતુ જે રીતે બંગાળના ભાગલા થઈ રહ્યા હતા તેમાં બંગાળને કોમી ધોરણે વહેંચવાની દુષ્ટ દાનત હતી. (એમણે ૧૯૦૫થી શરૂ કરેલી દુષ્ટતા આખરે ૧૯૪૭માં ફળ લાવી. બંગાળના બે ભાગલા પડીને જ રહ્યા.) સમગ્ર ૧૯૦૫ અને એ પછીનાં વર્ષો દરમિયાન બંગભંગ સામેની લડત ચાલુ રહી. રાષ્ટ્રીય પ્રશ્નોમાં સદા રસ લેતા સારાભાઈ પરિવારમાં જે વાતો ચર્ચાતી હતી તે તાજી જન્મેલી દીકરીના દિમાગમાં સંઘરાતી હતી.

એ પછી ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા અને અમદાવાદમાં વસ્યા. એમને પ્રારંભથી અંબાલાલ સારાભાઈનો ટેકો હતો. અરે, ૧૯૧૮માં જ્યારે બાપુએ કોચરબના સત્યાગ્રહ આશ્રમમાં એક દલિત પરિવાર સમાવી લીધો અને આશ્રમ સામે સાર્વત્રિક બહિષ્કારની સ્થિતિ ઊભી થઈ અને આશ્રમવાસીઓ કાલે શું ખાશે એવો પ્રશ્ન થયો ત્યારે એક માતબર રકમ બાપુને આપીને અંબાલાલ સારાભાઈએ પોતાની મહાનતાનો પરિચય આપી જ દીધો હતો.

આ પરિવારનાં એક સંવેદનશીલ દીકરી તરીકે મૃદુલાબહેનના માનસનું રાષ્ટ્રવાદી ઘડતર થતું જતું હતું. એ માનસને ૧૯૧૮માં સક્રિયતાનો માર્ગ મળ્યો. એ વર્ષે ગાંધીજીએ અને કૉંગ્રેસે વિદેશી કાપડ, દારૂતાડી, જુગારનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું. કિશોરી મૃદુલાએ તરત જ પોતે બધાં વિદેશી કપડાંની હોળી કરી અને સ્વદેશી વસ્ત્ર જ પહેરવાની પ્રતિજ્ઞા કરી.

આગળ જણાવ્યું તેમ, માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ સારાભાઈ પરિવારને બંગલે જ અપાતું. પછી બાળકો માધ્યમિક શાળાંત પરીક્ષા આપીને પોતપોતાની રુચિ અનુસારની કૉલેજમાં જતાં. મૃદુલાબહેને ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ લીધો. અહીં પહેલાં વિનીત અને પછી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. એ વિદ્યાપીઠમાં હતાં એ દરમિયાન જ ૧૯૩૦માં સત્યાગ્રહસંગ્રામ શરૂ થયો. મૃદુલાબહેન સત્યાગ્રહમાં ઝુકાવવા થનગની રહ્યાં. વિદ્યાપીઠના તત્કાલીન આચાર્ય કાકાસાહેબ કાલેલકર સમક્ષ જઈને એમણે વિનંતી કરી : મને સત્યાગ્રહના જંગમાં જોડાવા રજા આપો. કાકાસાહેબે મોટા ઘરની આ સુંવાળી દેખાતી યુવતીને નખશિખ નિહાળી અને કહ્યું કે રજા નહિ મળે. ત્યાં સત્યાગ્રહીઓને પોલીસ મારેપીટે છે. તમારા જેવાં સ્ત્રીનું-યુવતીનું ત્યાં કામ નથી.

મૃદુલાબહેનને રજા ન અપાઈ એનું દુ:ખ તો થયું જ, એનાથી અનેકગણું દુ:ખ એક સ્ત્રી હોવાને કારણે પોતાને અબળા ગણવામાં આવી એનું થયું. કોઈકે એમના નારી હોવાપણાની દયા ખાધી તે જરા ય ન ગમ્યું. ખૂબ જોશમાં આવી ગયાં. પોતાની શિક્ષણસંસ્થામાં નાફરમાની બદલ સજા થશે એવો સંભવ હોવા છતાં એ તો કૉંગ્રેસ કચેરીએ પહોંચી જ ગયાં અને સત્યાગ્રહ કાર્યક્રમમાં સત્યાગ્રહી સૈનિક તરીકે નામ નોંધાવ્યું.

આ રીતે તેઓ ગાંધીજીના નિકટ સંપર્કમાં આવ્યાં. ગાંધીજીનાં પ્રશંસક બન્યાં. ગાંધીજી માત્ર રાજકીય આઝાદી માટે મથતા નથી પરંતુ સત્યાગ્રહી માનવોને ઘડવા માટે પ્રયત્નશીલ છે, એ મૃદુલાબહેન બરાબર સમજતાં હતાં. અલબત્ત, મૃદુલાબહેન ગાંધીજીનાં પ્રશંસક અને ટેકેદાર રહ્યાં, પરંતુ કદી એમનાં ભક્ત ન બન્યાં. ગાંધીજી પોતાના સંપર્કમાં આવનાર દરેકને કશીક ને કશીક રચનાત્મક કે વિકાસાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જવાનો અનુરોધ કરતા. કોઈને ગામડામાં જવા, કોઈને આદિવાસીઓમાં જવા તો કોઈને શિક્ષણના કામમાં જોડાવા અનુરોધ કરતા. એમણે મૃદુલાબહેનને કોમી એકતા અને સ્ત્રીવિકાસ, એ બે ક્ષેત્રે કામ કરવાની પ્રેરણા આપી. ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ માટે પણ એ મથતાં રહ્યાં.

સાચા રાષ્ટ્રવાદીનું ઘડતર

મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળના આઝાદીજંગની એક વાત નોંધપાત્ર છે. એ લડત શરૂ કરતા કહેતા કે આખરી અંજામ સુધી આ લડત ચલાવવી છે. પરંતુ કશુંક અજુગતું બને એટલે લડત બંધ કરતા. પછી તે પોતે તો મનગમતા ખાદીના કે અસ્પૃશ્યતાનિવારણના કે ગ્રામોદ્ધારના કે હિંદી ભાષાના કામમાં પડી જતા, પરંતુ જેઓ આખરી અંજામ સુધી લડી લેવા નિર્ધાર સાથે સૈનિક તરીકે જોડાયા હોય એમાં ઘણાં દિશાવિહીન બની જતાં. એમણે પછી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં પરોવાઈ જવું પડતું. ૧૯૩૧ની લડત આમ જ અચાનક સમેટાઈ જતાં મૃદુલાબહેન સારાભાઈ થોડાંક નવરાં પડી ગયાં. હવે શું કરવું ?

પ્રથમ તો એમને પત્રકારત્વમાં ઝુકાવવાનું મન થયું. સંજોગવશાત્ એ જ દિવસોમાં રાષ્ટ્રવાદી અભિગમ સાથે કેટલાક મિત્રોએ ‘ગુજરાત સમાચાર’ નામે દૈનિક શરૂ કર્યું. એના મુખ્ય સાહસી ઇન્દ્રવદન ઠાકોર હતા. પૂરેપૂરા રાષ્ટ્રવાદી અને અંગ્રેજ વિરોધી મૃદુલાબહેન એમની સાથે જોડાયાં. આર્થિક ટેકો આપ્યો, એટલે કંપનીના સંચાલક મંડળમાં સ્થાન પામ્યાં. કંપનીનાં એક ડિરેક્ટર બન્યાં. સાથોસાથ પત્રકાર તરીકે પણ કામગીરી કરવા લાગ્યાં. રીપોર્ટિંગ માટે જતાં, લડતો, હડતાળો, સભાઓમાં તોફાનો વગેરે ઘટનાઓનું પ્રત્યક્ષ રીપોર્ટિંગ કરતાં. ધનવાનનાં દીકરી હોવાના ગર્વનો સદંતર અભાવ, એ મૃદુલાબહેનનું ખાસ લક્ષણ હતું. ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં એમણે જે કામગીરી કરી તે આગળ જતાં ‘નેશનલ હેરાલ્ડ’ જેવા રાષ્ટ્રીય દૈનિકની કામગીરીમાં ઉપયોગી બની. પંડિત જવાહરલાલ નહેરુએ શરૂ કરેલા આ અંગ્રેજી દૈનિકમાં પણ તેઓ એક સંચાલક (ડિરેક્ટર) અને પત્રકાર તરીકે જોડાયાં હતાં. આ બંને દૈનિકોની કામગીરી દરમિયાન એમણે અનેક લેખો લખ્યા. એ ઉપરાંત કેટલી ય પત્રિકાઓ પણ લખી.

૧૯૩૨માં મૃદુલાબહેન બેલગામ જેલમાં હતાં. ત્યાં બેઠાં એમને સમાજની અને ખાસ કરીને સ્ત્રીઓની અવદશા વિશે વિચારવાનો ખાસ મોકો મળ્યો. એ દિવસોમાં જ બાળલગ્ન-પ્રતિબંધક સારદા એક્ટ આવવાની તૈયારી હતી. ત્યારે ગાંધીજીએ જેમને ‘મૂરખ માતા-પિતા’ કહેલાં એવાં અસંખ્ય વાલીઓએ બાળકીઓનાં ઉતાવળાં લગ્નો કરવા માંડ્યાં. અપૂર્વ સંખ્યામાં આવાં લગ્નો થયાં. બાળલગ્નનાં પરિણામો કેવાં આવી શકે તે સમજનારાં મૃદુલાબહેન જેવા જાગ્રત નાગરિકો આ દૂષણ અટકાવવા આતુર હતાં. પણ સમાજનું જુનવાણીપણું એમના પ્રયત્નોને નિરર્થક બનાવી દેતું હતું.

સ્ત્રીઓની માત્ર આટલી જ સમસ્યા નહોતી. બાળલગ્ન પછી બાળ-વિધવાઓની સંખ્યા ખૂબ જ વધી જતી. એ બિચારી છોકરીઓનું દરેક પ્રકારે શોષણ થતું. શિક્ષણનો અભાવ, જાતે નભી શકે એવી તાલીમનો અભાવ અને આર્થિક સ્થિતિની નબળાઈ વગેરે કારણોસર એ છોકરીઓ શોષણ સામે પડકાર પણ ફેંકી ન શકતી. આ વિધવાઓ ઉપરાંત ત્યક્તાઓની સમસ્યા પણ ગંભીર હતી. એવી સ્ત્રીઓને જો પિયર ન સંઘરી શકે તો દેહવ્યાપાર સિવાય કોઈ આરો ન રહેતો. આ સમસ્યાઓ સામે સ્ત્રીઓને પગભર કરવાના મુખ્ય ઉદ્દેશ ઉપરાંત નારી-સંગઠન, નારી-અધિકાર, સ્વાતંત્ર્ય-જંગમાં વ્યવસ્થિત સામેલગીરી, વગેરે હેતુઓસર એક સંસ્થા રચવી જોઈએ, એવું અમદાવાદનાં અગ્રણીઓને લાગતું હતું. ઘણી વિચારણાઓ ચાલી. દરમિયાનમાં મૃદુલાબહેન જેલમાંથી બહાર આવી ગયાં. એક દહાડો ગાંધીજીએ કહ્યું, “મૃદી ! આ કામ તારું !”

અને ગાંધીબાપુના આદેશને માન આપીને મૃદુલાબહેને એક સંસ્થાની રચનાનો મુસદ્દો તૈયાર કર્યો. નામ રાખ્યું જ્યોતિસંઘ. ૧૯૩૪ના એપ્રિલની ૨૪ તારીખે એનો રીતસર પ્રારંભ કર્યો. શરૂઆતમાં અમદાવાદના રિચી રોડ (આજના ગાંધી રોડ) પર દૂધિયા બિલ્ડીંગમાં સંસ્થાની ઑફિસ હતી. પછી રિલીફ રોડ (હાલના ટિળક માર્ગ) પર સંસ્થાનું આગવું મકાન બન્યું. મુખ્યત્વે મૃદુલાબહેનના પ્રયત્નોથી સ્થપાયેલી અને ચાલેલી આ સંસ્થાએ પોણી સદી ઉપરાંત સમયમાં લાખો સ્ત્રીઓને શિક્ષણ, તાલીમ, આશ્રય, માર્ગદર્શન, કાનૂની સહાય, રોજગાર, તબીબી સેવાઓ, વ્યાવસાયિક સહયોગ વગેરે આપીને એક યુગકાર્ય કર્યું છે. પાયામાં છે મૃદુલાબહેન સારાભાઈ. પાછળથી ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિ તરીકે પ્રસિદ્ધ થયેલા સુંદરમ્ કેટલાક સમય જ્યોતિસંઘના કર્મચારી હતા. એ સંઘનું ધ્યેયગીત ‘સંઘ અમારો’ એમણે રચી આપ્યું છે.

જ્યોતિસંઘનું કામ ખૂબ મોટું હતું અને એક આખી જિંદગી એમાં પ્રશંસાપૂર્ણ રીતે વીતાવી શકાય. પરંતુ મૃદુલાબહેનનો જીવ કબૂતર-ચકલીનો નહોતો. એમનો જીવ તો ગરુડનો હતો. જ્યોતિસંઘ કરતાં તો ઘણા વિરાટ ફલક પર કામ કરવાની એમની હોંશ હતી. અને હામ પણ હતી. ક્ષમતા પણ હતી. એમણે હિંદી રાષ્ટ્રીય મહાસભામાં એટલે કે કૉંગ્રેસમાં સક્રિયતા શરૂ કરી. અહીં પણ એમનું મુખ્ય લક્ષ્ય સ્ત્રીઓ હતી. કૉંગ્રેસમાં વધુ ને વધુ સ્ત્રીઓ સક્રિય બને અને લડતોમાં ભાગ લે તેવું કરવા માંડ્યું. સાથે જ મતદારયાદીઓમાં સ્ત્રીઓનાં નામ લખવાની ઝુંબેશ આદરી. ૧૯૩૫ના નવા રાજ્યબંધારણ પછી સ્થાનિકથી માંડીને દરેક સ્તરે ચૂંટણીઓ થવા લાગેલી. કૉંગ્રેસ આ દરેક સ્તરે વધુ ને વધુ સ્ત્રીઓને ઉમેદવાર બનાવે એ માટે મથામણો શરૂ કરી. ૧૯૩૫ના રાજ્યબંધારણ મુજબ જે પ્રાંતિક ધારાસભાઓમાં કૉંગ્રેસને બહુમતી મળી ત્યાં પ્રધાનમંડળોમાં સ્ત્રીઓને પણ સમાવવામાં આવે એવો આગ્રહ રાખ્યો. એમના આ પ્રયાસોનો સ્વીકાર પણ થયો. એમની કદર પણ થઈ. ૧૯૩૭માં રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસમાં એમને મહિલા સમિતિનાં મંત્રી બનાવવામાં આવ્યાં.

મૃદુલાબહેન મૂળભૂત રીતે સેક્યુલર હતાં. એટલે કે એ ધાર્મિક વિખવાદોનાં વિરોધી હતાં. ધર્મને બહાને અલગાવ અને હિંસા પ્રેરનારાં બળોનાં વિરોધી હતાં. પરિણામે જ્યારે જ્યારે કોમી હિંસા ભડકે ત્યારે એ ઠારવા એ સક્રિય બની જતાં. અમદાવાદમાં ૧૯૪૨માં કોમી આગ ભડકી ઊઠી, ત્યારે હિંમતભેર તનાવગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને શાંતિ સ્થાપવા એ મથતાં રહ્યાં. એ જ રીતે ૧૯૪૬, ૧૯૫૮, ૧૯૬૯નાં હુલ્લડો વેળા પણ એ શાંતિ સ્થાપના માટેની અને અસરગ્રસ્તોના રક્ષણ તથા પુન:સ્થાપનની દરેક પ્રક્રિયામાં સામેલ રહ્યાં. વાસ્તવમાં, અમદાવાદમાં અને ગુજરાતમાં કોમવાદથી મુક્ત લોકોમાં મૃદુલાબહેન અગ્રણી હતાં અને એમનો એકાત્મભાવ પૂરેપૂરો સાતત્યપૂર્ણ હતો.

૧૯૪૨ની આઠમી ઑગસ્ટથી ‘અંગ્રેજો, હિંદ છોડી જાવ…(ક્વીટ ઇન્ડિયા)’ની લડત શરૂ થઈ. એણે જોતજોતાંમાં મિની ક્રાંતિનું રૂપ લઈ લીધું. મૃદુલાબહેન આ લડતમાં પણ આગળ જ હોય. પરંતુ અંગ્રેજ સરકારે દેશભરમાં આગેવાનોની ધરપકડોનો દોર ચલાવ્યો એમાં મૃદુલાબહેનને પણ પકડ્યાં. ત્યાં સુધીમાં રાષ્ટ્રીય સુરક્ષા ધારો અમલી બની ચૂક્યો હતો. હજારો નેતાઓને વગર મુકદ્દમે જેલોમાં ગોંધી દેવામાં આવ્યા. તેમ મૃદુલાબહેન પણ ગોંધાયાં. ખૂબ લાંબા સમય સુધી એ જેલમાં રહ્યાં.

૧૯૪૫માં જેલમાંથી બહાર આવ્યા બાદ મૃદુલાબહેનની કસ્તૂરબા ટ્રસ્ટનાં વ્યવસ્થાપક મંત્રી તરીકે અને પછી મુખ્ય ટ્રસ્ટી તરીકે નિયુક્તિ થઈ. પરંતુ આવા શાંતિકાલીન કામમાં પરોવાયેલાં રહેવાનો એમનો સ્વભાવ નહોતો. ૧૯૪૬માં જ આપણા દેશે દીઠેલાં સૌથી ભૂંડાં કોમી રમખાણો જાગ્યાં. કૉંગ્રેસે એ વર્ષે મૃદુલાબહેનને પોતાનાં એક રાષ્ટ્રીય મહામંત્રી તરીકે  નિયુક્ત કર્યાં. એ કૉંગ્રેસ સેવાદળનાં રાષ્ટ્રીય સ્તરનાં સહ-સંચાલક તો હતાં જ પરંતુ એમનું મુખ્ય ધ્યાન અને કાર્ય કોમી આગ ઠારવા પર કેન્દ્રિત થયું હતું.

૧૯૪૬માં સૌથી વિકટ સ્થિતિ બંગાળ અને બિહારમાં થઈ હતી. એટલા વિશાળ પાયા પર હિંસા થઈ હતી કે ગાંધીજીએ બધું છોડીને હિંસા ઠારવા દોડવું પડેલું. એમણે બંગાળના નોઆખલી વગેરે વિસ્તારોમાં પગપાળા શાંતિયાત્રા કરી. તેમાં સાચે જ એમના પગ લોહી ભીના થતા હતા. મૃદુલાબહેન ગાંધીબાપુની આ શાંતિયાત્રામાં જોડાયાં. ત્યાં કેટલાક સમય સુધી એમણે ગાંધીજીના મંત્રી અને પ્રવક્તા તરીકે કામગીરી બજાવી. આ કામ નિમિત્તે તેઓ ગાંધીજીની ખૂબ જ નિકટ પહોંચ્યાં અને કોમી એખલાસ માટેની ગાંધીજીની લાગણીથી પૂરેપૂરાં અભિભૂત બન્યાં. એમને એ વેળા મળેલા સંસ્કાર બાકીની જિંદગી અકબંધ રહ્યા. વાસ્તવમાં જે કેટલાક લોકો ગાંધીજી પર એક કોમની તરફેણ કરવાનો આક્ષેપ કરે છે તેવો મૃદુલાબહેન પર પણ કરે. કારણ કે, મૃદુલાબહેનના વિચારોનું ઘડતર બાપુએ જ કર્યું હતું.

રાષ્ટ્રપિતા સાથેના આ નિકટ સહવાસમાં એમણે બંનેએ મળીને કોમી એખલાસ માટેની એક કાર્યપદ્ધતિ નક્કી કરી. કહેવાય છે કે એ પદ્ધતિએ કાર્ય થયું હોત તો કોમી પ્રશ્ને ઘણો સુધારો થયો હોત, પરંતુ તેઓ વિશેષ કાંઈ કાર્ય કરે તે અગાઉ તો ગાંધીજીની હત્યા થઈ ગઈ અને દરમિયાન જ દેશના ટુકડા થયા.

વર્ષ ૧૯૪૭ આપણા ભૂમિખંડ માટે ખતરનાક નીવડ્યું. ગત બસો વર્ષ દરમિયાન માંડ માંડ જ્યાં એકાત્મતા સધાઈ હતી, તેના ટુકડા થઈ ગયા. હિંદ યાને ભારત નામનો એક મોટો ટુકડો અને પૂર્વ પાકિસ્તાન તથા પશ્ચિમ પાકિસ્તાન નામના બે નાના ટુકડા થયા. એ માટે ધર્મ કારણભૂત બન્યો. અરે, ધર્મ જ કારણભૂત હોત તો ય વાંધો નહિ, કેમ કે ધર્મ તો પ્રેમ અને શાંતિ અને કરુણા અને ભાઈચારો શીખવતા હોય છે. અહીં તો ધર્મનો અંચળો ઓઢી શેતાન ખેલ ખેલવા આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે દસેક લાખ મૉત થયાં. બે-એક કરોડ લોકો જલાવતન થયાં (નિર્વાસિત થયાં) અને અબજોની મિલકતોનું નુકસાન થયું. એ તમામ કરતાં મોટું નુકસાન એ થયું કે અસંખ્ય સ્ત્રીઓની મર્યાદા લોપાઈ. હજારો નહિ, લાખો સ્ત્રીઓને આ તરફના કે તે તરફના શેતાન-ભક્તોએ ભ્રષ્ટ કરી. એમનાં અપહરણ કર્યાં.

આ ઘટનાઓએ મૃદુલાબહેનને સૌથી વધારે અકળાવી મૂક્યાં. કાયમનાં નારી-સેવક મૃદુલાબહેનથી નારીત્વનો આ વ્યાપક મર્યાદાલોપ કેમ સહન થાય ? એમણે અપહરણોનાં શિકાર બનેલાં સ્ત્રી-બાળકોને શોધવાનું, એમને સલામત આશ્રય આપવાનું અને એમનાં પરિવારજનોને શોધી કાઢીને એ સ્વજનો સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યું. પોતાની સાથે બહાદુર સ્ત્રીઓનું દળ ઊભું કર્યું. મહાત્મા ગાંધીજી અને પંડિત નહેરુએ મૃદુલાબહેનના આ કાર્યમાં સંપૂર્ણ ટેકો આપ્યો. એ વેળા દેશના ભાગલા પડી ગયા હતા છતાં પાકિસ્તાન ગણાતા લાહોરમાં એમણે છાવણી નાંખી. સ્ત્રીઓને બંધનમાંથી છોડાવી અને એમનાં સગાંવહાલાં સુધી પહોંચાડી. આ વિરાટ કામગીરીનો ખ્યાલ મેળવવો હોય તો એ સમયનાં એક મહિલા કાર્યકર કમળાબહેન પટેલે લખેલું પુસ્તક ‘મૂળ સોતાં ઊખડેલાં’ વાંચવું રહ્યું. એ પુસ્તકમાંથી જ મૃદુલાબહેનના શૌર્યનો પણ ખ્યાલ આવશે. એ દિવસોમાં ગાંધીજીએ કહ્યું હતું કે મૃદુલા જેવી હિંમત મેં બીજી કોઈ સ્ત્રીમાં જોઈ નથી.

મૃદુલાબહેન આ કામમાં પરોવાયેલાં હતાં એ દરમિયાન ગાંધીજીએ સોંપેલું કોમી બિરાદરીનું કામ જરાય ભૂલ્યાં નહોતાં. દેશના ભાગલા સમયની કેટલીક કામગીરીઓને કેટલાક લોકો કોમી રંગ આપે છે. મૃદુલાબહેનને મન જે કાંઈ દુષ્કૃત્યો થતાં હતાં તે માનવીમાં રહેલી નૈતિક નિર્બળતાને કારણે થતાં હતાં. તેઓ તો આ કે તે કોમ અથવા ધર્મ જોયા વગર સ્ત્રી-બાળકોને ઉદ્ધારવાનો ઉદ્દેશ લઈને કામ કરતાં હતાં. દિલ્હીમાં વડું મથક રાખીને કોમી એકતાને પોષક અનેક કાર્યક્રમો એ આપતાં રહ્યાં.

આ દરમિયાન વળી એમનું જીવન એક જુદા જ ઝંઝાવાતમાં અટવાયું. કૉંગ્રેસનું કામ કરતાં કરતાં તેઓ કાશ્મીરના શેર ગણાયેલ શેખ અબ્દુલ્લાના સંપર્કમાં આવ્યાં હતાં. કાશ્મીર દેશનાં સાડા પાંચસો જેટલાં દેશી રાજ્યોમાંનું એક રાજ્ય હતું. એના રાજા હરિસિંહ પોતાના રાજ્યને હિંદ કે પાકિસ્તાન બેમાંથી એકેયની સાથે ભેળવવા માગતા નહોતા. એ પોતે અલગ રીતે પોતાની રાજાશાહી ચાલુ રાખવા માંગતા હતા. એ બાબતમાં એમને પોતાના સૌથી શક્તિશાળી પ્રજાકીય નેતા શેખ અબ્દુલ્લાનો સાથ હતો. ભારતના આગેવાનોએ તેમને ઘણું સમજાવ્યા કે ભારતમાં ભળી જાવ. પણ એ ન માન્યા. દરમિયાન એમના રાજ્ય પર પશ્ચિમ તરફથી આક્રમણ શરૂ થયાં. કાશ્મીરની બહુમતી વસ્તી મુસ્લિમ હતી. માટે તે પાકિસ્તાનમાં ભળવું જોઈએ, એવો પ્રચાર ચાલ્યો. પશ્ચિમ સરહદે રહેતા આદિવાસીઓને ઉશ્કેરવામાં આવ્યા. પડોશી દેશે એમને હથિયાર આપ્યાં અને પોતાનાં લશ્કરી દળોને પણ ટેકામાં મોકલ્યાં.

રાજા હરિસિંહ ગભરાયા. એમને થયું કે રાજ્ય પાકિસ્તાનમાં જાય એના કરતાં એ ભારત સાથે જોડાય તે વધુ હિતકર છે. એમણે જોડાણ સંધિ પર સહી કરી. આ પછી પણ શેખ અબ્દુલ્લા અને કેટલાક અન્ય નેતાઓનો સ્વતંત્રતા માટેનો આગ્રહ ચાલુ રહ્યો. એમના આ આગ્રહને દેશ-વિરોધી ગણવામાં આવ્યો. જેમને કૉંગ્રેસ શેર-એ-કાશ્મીર તરીકે બિરદાવતી અને જેમને કાશ્મીરી જનતાના બહુમાન્ય નેતા ગણવામાં આવતા અને જે આઝાદી પછીના કાશ્મીરના સદર-એ-રિયાસત એટલે રાજ્યના વડા બન્યા હતા તે શેખ અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી અને એ કેદમાં પુરાયા.

શેખ અબ્દુલ્લાનાં મિત્ર અને પ્રશંસક મૃદુલાબહેન આ બાબતે અકળાઈ ઊઠ્યાં. એમણે શેખ અબ્દુલ્લાની ધરપકડનો વિરોધ કર્યો. કાશ્મીરની જનતાને પોતાનું ભાવિ ઘડવાનો અધિકાર મળવો જોઈએ એવો અભિગમ લીધો, જે કેન્દ્ર સરકાર તથા કૉંગ્રેસ પક્ષના અભિગમથી અલગ હતો. શેખ અબ્દુલ્લાની અને કાશ્મીરી જનતાના સ્વાધિકારની તરફેણ કરવા બદલ મૃદુલાબહેનની પણ ધરપકડ કરવામાં આવી. એમણે પ્રજાકીય ચળવળને ટેકો આપ્યો એ બદલ કેદ થયાં એ જોઈને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નામની વિખ્યાત અને પ્રતિષ્ઠિત સંસ્થાએ ૧૯૫૭માં એમને પ્રિઝનર ઓફ ધી યર (વર્ષનાં સૌથી મહત્ત્વનાં કેદી) ગણાવ્યાં હતાં. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ માનવ-અધિકારોના રક્ષણનો અનુરોધ કરતી અને એ અધિકારનો ભંગ કરનારને ઉઘાડા પાડતી સંસ્થા છે.

શેખ અબ્દુલ્લાની તરફેણ કરવા બદલ ૧૯૫૮માં મૃદુલાબહેનને કૉંગ્રેસ પક્ષ છોડવો પડ્યો. પરંતુ એથી એ ડગ્યાં નહિ. આપણે એમની સાથે સંમત થઈએ કે ન થઈએ એ જુદી વાત છે, પરંતુ તેઓ જેને માનવ-અધિકારનો મુદ્દો માનતાં હતાં તે, કાશ્મીરી જનતાને પોતાના ભાવિનો ફેંસલો કરવાનો હતો. મુદ્દો એમને મન અત્યંત સાચો હતો. કાશ્મીરી પ્રજાને અમુક પ્રમાણમાં સ્વતંત્રતા હોવી જોઈએ, એવો એમનો આગ્રહ હતો. કદાચ એમના જ પ્રયત્નોથી શેખ અબ્દુલ્લા જેલમાંથી છૂટ્યા. એ પછી પણ વર્ષો સુધી એ કાશ્મીરના ખાસ દરજ્જા વગેરે માટે ઝઝૂમી રહ્યાં. ૧૯૭૪માં ભારત સરકારે વળી પાછી શેખ સાથે વાટાઘાટો કરવા માંડી હતી. મૃદુલાબહેનને આ હકીકતમાં ઘણી શક્યતાઓ દેખાતી હતી. પરંતુ આ વાટાઘાટો કશાં પરિણામ દાખવે તે અગાઉ તો ૧૯૭૪ની સત્તાવીસમી ઑક્ટોબરે મૃદુલાબહેનનું અવસાન થઈ ગયું. એ વેળા એમની ઉંમર માત્ર ૬૩ વર્ષની હતી.

એમનું અવસાન દિલ્હી ખાતે થયું હતું. અંતિમ શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપરાષ્ટ્રપતિ બી.ડી. જત્તી, વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, શેખ અબ્દુલ્લા, પેટ્રોલિયમ પ્રધાન કેશવદેવ માલવીય હાજર રહ્યાં હતાં. ૮૦ વર્ષની વયનાં એમનાં માતુશ્રી સરલાદેવી સારાભાઈ પણ વહાલી દીકરીની અંતિમ પળોમાં સાથે હતાં. ઇન્દિરાજીએ તેમને અંજલિ અર્પતાં કહ્યું હતું કે તેઓ અનોખી હિંમત ધરાવતાં મહિલા હતાં એટલું જ નહીં, લઘુમતી કોમનાં અને સમાજના નિર્બળ વર્ગનાં અનન્ય હિતચિંતક પણ હતાં.

મૃદુલાબહેને જીવનભર અનેક આંદોલનોમાં ભાગ લીધો, અનેકવિધ સંસ્થામાં સક્રિય રહ્યાં. લઘુમતી અને સમાજનાં દુર્બળો માટે એ ખડેપગે રહ્યાં. અલબત્ત, ગુજરાતમાં એમની કારકિર્દીનું સૌથી મોટું સ્મારક છે જ્યોતિસંઘ. સદીઓથી દબાયેલી નારી જાગ્રત થાય, સ્વમાની થાય, સ્વાવલંબી અને આત્મવિશ્વાસયુક્ત બને, એવા હેતુથી મૃદુલાબહેને આ સંસ્થાનની રચના કરી. શરૂઆતમાં થોડાંક બહેનો એમની સાથે હતાં. પછી સાથીઓ મળતાં ગયાં. સંસ્થા વધીને એક વટવૃક્ષ સમી બની. એણે અનેક દિશામાં કામગીરી શરૂ કરી. અગાઉ લખ્યું છે તેમ, હજારો-હજારો સ્ત્રીઓના જીવનમાં સ્વાશ્રય અને ગૌરવની જ્યોત જલાવી. એ બધાનો મુખ્ય યશ મૃદુલાબહેનને ઘટે છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 નવેમ્બર 2024; પૃ. 04 – 07

Loading

सम्बल मस्जिद, अजमेर दरगाह – आखिर हम कितने पीछे जाएंगे

राम पुनियानी|Opinion - Opinion|6 December 2024

राम पुनियानी

सन 1980 के दशक में देश में शांति-व्यवस्था और प्रगति पर गम्भीर हमले हुए. साम्प्रदायिक ताकतों के हाथ एक नया औज़ार लग गया. वे देश के पूजास्थलों के कथित अतीत का उपयोग साम्प्रदायिकता भड़काने के लिए करने लगे. लालकृष्ण आडवाणी ने रथयात्रा निकाली. उनकी मुख्य मांग यह थी कि जिस स्थल पर पिछले पांच सदियों से बाबरी मस्जिद खड़ी थी ठीक उसी स्थल पर एक भव्य राम मंदिर का निर्माण किया जाना चाहिए. इस मुद्दे पर बढ़ती कड़वाहट और तनाव के मद्देनज़र संसद ने एक नया कानून पारित किया जिसके तहत पूजास्थलों की जो प्रकृति 15 अगस्त 1947 को थी, उसे बदला नहीं जा सकेगा और वही बरकरार रहेगी.

बाबरी मस्जिद मामले में अपने फैसले में सुप्रीम कोर्ट ने इस कानून को उचित ठहराया और यह भी कहा कि भविष्य में देश में शांति बनाए रखने की दिशा में यह कानून एक महत्वपूर्ण कदम है. सुप्रीम कोर्ट ने बाबरी मस्जिद के ढहाए जाने को अपराध बताया और यह भी कहा कि इस बात का कोई प्रमाण नहीं है कि बाबरी मस्जिद के नीचे कोई मन्दिर दबा हुआ है. ‘सबरंग’ में प्रकाशित एक लेख में कहा गया है कि “एक शीर्ष पुरातत्ववेत्ता प्रोफेसर सुप्रिया वर्मा, जो सन 2000 के दशक में बाबरी मस्जिद की भूमि पर हुई पुरातात्विक खुदाई में, एक अन्य पुरातत्वविद जया मेनन के साथ पर्यवेक्षक थीं, ने एक विवादास्पद बयान में कहा था कि मस्जिद के नीचे कोई मन्दिर तो था ही नहीं बल्कि अगर हम बारहवीं सदी से और पीछे जाकर चौथीं या छठवीं सदी अर्थात गुप्तकाल की बात करें तो ऐसा लगता है कि वहां एक बौद्ध स्तूप था.”

बाबरी मस्जिद को दक्षिणपंथी ताकतों के नेतृत्व में ढहाया गया था. ढहाने वाले नारे लगा रहे थे, “ये तो केवल झांकी है, काशी, मथुरा बाकी है.” कुछ समय पहले काशी और मथुरा में सर्वेक्षण की बात कही गई थी. यह इसके बावजूद कि प्लेसेस ऑफ रिलीजियस वर्शिप एक्ट 1991 इसे प्रतिबन्धित करता है. जस्टिस चन्द्रचूड़ ने यह कहकर एक मुसीबत खड़ी कर दी है कि अधिनियम पूजा स्थलों की प्रकृति में परिवर्तन को तो प्रतिबंधित करता है मगर वह उनके सर्वेक्षण पर रोक नहीं लगाता. उन्होंने यह भी कहा कि हिन्दुओं को यह जानने का हक़ है कि जहां कोई मस्जिद खड़ी है, वहां पहले क्या था. इससे तोड़े-मरोड़े गए और काल्पनिक इतिहास का उपयोग अपने एजेण्डा को आगे बढ़ाने वालों की बन आई.

पहले उन्होंने कहा कि अगर अयोध्या, काशी और मथुरा में मस्जिदों के नीचे दबे मन्दिरों को उन्हें सौंप दिया जाता है तो वे अन्य पूजास्थलों के सम्बन्ध में यह मांग नहीं करेंगे. मगर अब स्थिति यह है कि अलग-अलग अदालतों में कम से कम 12 मस्जिदों और दरगाहों के सर्वेक्षण की मांग करते हुए याचिकाएँ लंबित हैं. इसके अलावा, कमाल मौला मस्जिद, बाबा बुधनगिरी दरगाह, हाजी मलंग दरगाह आदि पर भी हिन्दुओं द्वारा दावे किए जा रहे हैं. सम्बल की जामा मस्जिद के बाद सदियों पुरानी अजमेर दरगाह पर भी हिन्दू सेना नामक एक नए संगठन द्वारा दावा किया जा रहा है. यह संगठन शायद इसी काम के लिए बनाया गया है.

इन सभी मामलों में कुछ दस्तावेजों का हवाला दिया जाता है, और अक्सर ये दस्तावेज शंकास्पद होते हैं. इनमें से कई मामलों में ब्रिटिश शासकों की अत्यन्त संदेहास्पद भूमिका रही है. जैसे, ‘बाबरनामा’ के अपने अनुवाद में बीवरिज ने बिना किसी प्रमाण के एक फुटनोट डाल दिया जिसमें कहा गया था कि मस्जिद के नीचे कोई मन्दिर हो सकता है. इतिहास को तोड़ने-मरोड़ने के असंख्य उदाहरण हैं. इसी तरह मन्दिरों को तोड़ने के भी अनेक कारण थे, जिनमें मुख्य थे उनकी सम्पत्ति को लूटना और हारे हुए राजा को बेइज्जत करना.

अगर हम इतिहास की बात करें तो अनेक बौद्ध विहारों को धार्मिक कारणों से नष्ट किया गया. स्वामी विवेकानंद लिखते हैं, “जगन्नाथ मंदिर एक पुराना बौद्ध मन्दिर है. हमने इस पर और कई अन्य बौद्ध मन्दिरों पर कब्ज़ा कर लिया और उनका पुनर्हिन्दूकरण किया…”. अपनी प्रसिद्ध पुस्तक ‘सत्यार्थ प्रकाश’ में स्वामी दयानन्द सरस्वती, आदि शंकाराचार्य के योगदान की चर्चा करते हुए लिखते हैं, “उन्होंने 10 साल तक पूरे देश का भ्रमण किया, जिस दौरान उन्होंने जैन धर्म का खंडन किया और वैदिक धर्म की पैरोकारी की. जमीन खोदने पर जो टूटी-फूटी मूर्तियां इन दिनों मिलती हैं वे शंकर के समय तोड़ी गई थीं और जो साबुत मिलती हैं उन्हें जैनियों ने खुद इस डर से ज़मीन में गाड़ दिया था कि उन्हें तोड़ दिया जाएगा.”

प्राचीन भारतीय इतिहास के बौद्ध नरेटिव के अनुसार, मौर्य राज्यवंश के बौद्ध राजा बृहद्रथ की हत्या उसके ही सेनापति पुष्यमित्र शुंग द्वारा ईसा पूर्व 184 में की गई थी. इसके साथ एक सम्मानित और प्रतिष्ठित बौद्ध राजवंश (सम्राट अशोक भी जिसमें शामिल थे) का अंत हुआ और शुंग कुल के शासन की शुरूआत हुई. प्राचीन भारतीय इतिहास के लब्ध प्रतिष्ठित अध्येता डी. एन. झा लिखते हैं कि एक प्राचीन बौद्ध रचना ‘दिव्यवदाना’, जो संस्कृत में है, में वर्णित है कि बौद्धों के पीड़क पुष्यमित्र शुंग ने किस तरह अनेकानेक बौद्ध और जैन धार्मिक स्थलों को ढहाया था.

ऐसा बताया जाता है कि वो एक विशाल सेना के साथ पाटलीपुत्र से निकला और पूरे रास्ते स्तूपों को नष्ट करता गया. उसने बौद्ध विहारों को आग के हवाले कर दिया और बौद्ध भिक्षकों को मौत के घाट उतार दिया. वो पाटलीपुत्र से लेकर सकाल (जिसे अब सियालकोट कहा जाता है) तक गया और वहां पहुंचकर उसने यह घोषणा की कि किसी भी श्रमण व्यक्ति का कटा हुआ सिर लाने वाले को इनाम दिया जाएगा.

झा बताते हैं कि मथुरा, जो कुषाण युग में एक समृद्ध व्यापारिक केन्द्र था, वहां के कुछ मन्दिर जैसे भूतेश्वर और गोकरणेश्वर प्राचीन काल में बौद्ध पूजास्थल थे.

इतिहास की जो समझ हमारे समाज में है वह हिन्दू राष्ट्रवादी ताकतों द्वारा गढ़ी गई है. इसकी जड़ में है अंग्रेज़ों की फूट डालो और राज करो की नीति जिसके अंतर्गत उन्होंने इतिहास का साम्प्रदायिक लेखन करवाया. इस इतिहास लेखन में राजाओं को उनके धर्म का प्रतिनिधि बताया जाता है. इस इतिहास लेखन का फोकस मध्यकाल पर है जिस दौरान देश में कई मुस्लिम शासक हुए.

जो चीज़ भुला दी जाती है और जिसे हमारी याददाश्त से मिटाने की कोशिश की जा रही है वह यह है कि औरंगज़ेब ने असम के कामाख्या देवी मन्दिर और उज्जैन के महाकाल मंदिर को भारी धनराशि भेंट के रूप में दी थी. हम यह भी जानते हैं कि हिन्दू राजा हर्षदेव ने देवोत्पतननायक नामक अधिकारी की नियुक्ति की थी, जिसका काम था मन्दिरों की मूर्तियां उखाड़ कर उनके नीचे दबी दौलत को लूटना. यह बात कल्हण की ‘राजतरंगिणी’ में कही गई है. इसी तरह यह भी भुला दिया जाता है कि मराठा राजाओं ने श्रीरंगपटनम में एक मंदिर को नष्ट कर दिया था. मध्यकाल में धर्म का इस संदर्भ में कोई विशेष महत्व नहीं था. धार्मिक स्थलों को लूटने और तोड़ने के पीछे धार्मिक कारण नहीं थे. इसके विपरीत मौर्यकाल के अंत के बाद बौद्ध धर्म को उखाड़ फेंकने के लिए बौद्धविहारों को नष्ट किया गया था.

भारतीय राजनीति और न्यायपालिका ने एक भस्मासुर पैदा कर दिया है जो समाज में धार्मिक विभाजन को और गहरा बना रहा है. आज हमें क्या करना चाहिए? क्या हमें हर मस्जिद को खोदकर देखना चाहिए कि उसके नीचे क्या कोई मन्दिर है? या फिर हमें पंडित जवाहरलाल नेहरू के शब्दों में ‘आधुनिक मन्दिरों’ का निर्माण करना चाहिए. भाखड़ानंगल बाँध की नींव रखते हुए पंडित नेहरू ने वैज्ञानिक अनुसंधान संस्थाओं, इस्पात कारखानों, बिजली घरों और बाँधों को आधुनिक मन्दिर बताया था. हम आधुनिक मन्दिरों का निर्माण करेंगे या मस्जिदों के नीचे मन्दिर ढूंढते रहेंगे, इस पर ही हमारे देश की नियति निर्भर करेगी.

बुधवार, 04 दिसम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

એક મંદિરની શોધમાં

સુરેશ જાની|Opinion - Opinion|6 December 2024

[પુરાતત્ત્વની એક સત્યકથા પર આધારિત]

હેન્રી મુહોત

શનિવારની એક સાંજે, જંગલમાંથી આવીને તે થાક ઊતારી રહ્યો હતો; અને ભેગા કરેલા અવનવી વનસ્પતિના નમૂના વિભાગવાર જુદા પાડી રહ્યો હતો. વિષુવવૃત્તીય વિસ્તારના એક દેશના એક તળાવની થોડે દક્ષિણે આવેલા એક નાના-શા શહેરમાં તે હજુ બે એક અઠવાડિયા પહેલાં જ આવ્યો હતો. હેન્રી મુહોતને પેરિસથી એ દેશના વિષુવવૃત્તીય જંગલોની વનસ્પતિઓની શોધખોળ કરવા, એક વર્ષ પહેલાં નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ નાના’શા ગામમાં તે સાવ કંટાળી ગયો હતો. આમ તો તે ધાર્મિક ન હતો, પણ બીજાં ફ્રેન્ચ ભાષા બોલતાં લોકોને મળાશે, તે આશાએ તેણે રવિવારની ચર્ચની સભામાં જવાનું નક્કી કર્યું.

બીજા દિવસે તે ચર્ચમાં ગયો. પીટર નામનો પાદરી મોટે ભાગે તો સ્થાનિક ભાષામાં જ બાઈબલમાંથી વાંચી રહ્યો હતો; પણ થોડાએક શબ્દો, થોડાં ઘણાં ફ્રેંચ સાંભળનારાં માટે પણ બોલી રહ્યો હતો. સભા પતી ગઈ, પછી પીટરે બીજી ઔપચારિકતા પતાવી, બધા ફ્રેન્ચ લોકોને પોતાના કમરામાં આવવા નિમંત્ર્યાં. સ્વાભાવિક રીતે જ તેનું ધ્યાન નવાગંતુક મુહોત પર વધારે રહ્યું. ઘણી બધી વાતો થઈ. મુહોતને સ્થાનિક ઇતિહાસ, ભૂગોળ, રીતરિવાજ વગેરે વિશે જાણવાની ઘણી ઉત્કંઠા હતી. કાળી ગરમાગરમ ચા અને સ્થાનિક બનાવટના બિસ્કિટની સાથે વાતોના ગપાટા પણ ખાસ્સાં ચાલ્યાં.  વાતવાતમાં પીટરે એક લોકવાયકાની વાત કરી. ગામથી પચાસેક માઈલ દૂર, તળાવની ઉત્તરે ભયંકર જંગલની વચ્ચે ઘણાં જૂનાં ખંડેરો છે; પરંતુ દુર્ગમ જંગલને કારણે કોઈ ત્યાં જઈ શકતું નથી. તે કોણે બનાવ્યાં અને શા કારણે તૂટી ગયાં તે પણ કોઈ જાણતું ન હતું.

મુહોત ઘેર ગયો, પણ આ વાત તેના મગજમાં ઘૂમરાતી રહી. તેને વનસ્પતિશાસ્ત્ર ઉપરાંત ઇતિહાસમાં બહુ જ રસ હતો. આ પ્રદેશ વિશે તેને આવું બધું જાણવાની બહુ ઈચ્છા હતી, પણ સ્થાનિક લોકોમાં ભણેલા ગણેલા લોક ખાસ ન હતા. જે હતા તે પણ આવી વાયકાઓ સિવાય કશું જ જાણતા ન હતા. તે આ દેશના પાટનગરમાં આવ્યો ત્યારે તેને એટલું  જાણવા મળ્યું હતું કે, ઈ.સ. ૧૫૦૦ના અરસામાં પહેલવહેલા પોર્ચુગિઝ લોકો આ બાજુ આવ્યા હતા અને  તેના સો એક વરસ પહેલાં, અહીં બહુ જ જાહોજલાલી વાળી સંસ્કૃતિ અને સામ્રાજ્ય હતાં, પણ દુ:શ્મનોના આક્રમણમાં તે સામ્રાજ્યનો અંત આવ્યો હતો. અહીંની સ્થાનિક પ્રજા બહુ જ ગરીબ હતી. પીટર પણ વર્ષો પહેલાં આવી ગયેલા પોર્ચુગિઝ લોકોના અહેવાલો, લોકવાયકાઓ વગેરે સિવાય કાંઈ જાણતો ન હતો.

મુહોતને તે રાત્રે સપનાંમાં ચિત્રવિચિત્ર પહેરવેશ પહેરેલા, કો’ક અજાણ્યા લોકો કોઈક સાવ અજાણ્યા ભગવાનની અવનવી મૂર્તિની પૂજા કરતાં, ઢોલના ધબકારે નાચતાં અને તેની તરફ ધસી આવતાં દેખાયાં. પસીને રેબઝેબ તે ઝબકીને જાગી ગયો. સવારની ચા પીતાં તેણે સંકલ્પ કર્યો કે, તે ખંડેરોની ભાળ ગમે તે ભોગે કરવી જ.

બીજા રવિવારે ફરી પાછો આ જ ક્રમ ચાલ્યો. મુહોતે કહ્યું –“ પાદરી સાહેબ, મારે ગીચ જંગલોમાં, છેક અંદરના ભાગમાં મારાં કામ અંગે જવું છે. જો તમે તૈયાર હો તો, આપણે તે જ વિસ્તારમાં મારી શોધખોળ માટે જઈએ. ખંડેરોની તલાશ પણ થશે, અને મારી વનસ્પતિની પણ. એક સાથે બે કામ થશે.”

પીટરે કહ્યું, “ચર્ચ માટે બીજી કોઈ વ્યવસ્થા થાય તો હું આવું. મને પણ આવું સાહસ કરવાનું ગમે. આવાં કામમાં એકાદ બે અઠવાડિયા તો થઈ જ જાય ને.”

બન્ને યુવાન હતા, અને બહુ આસાનીથી મિત્રો બની ગયા હતા. આ કામ અંગે સાથે રહેવાની તક મળશે, તેવું બન્નેને મન થયું.

 પછીના અઠવાડિયે તે દેશના પાટનગરમાં આવેલી, દેવળની મોટી કચેરીમાંથી આ માટેની વ્યવસ્થા થઈ ગઈ. બીજા પાદરીને એક મહિના માટે નીમવામાં આવ્યો. આમ ૧૮૬૦ના માર્ચ મહિનામાં બન્ને મિત્રો પૂરતી સાધન સામગ્રી, અને માણસોનું હાઉસન જાઉસન બે ગાડાંઓમાં ભરીને  ઊપડ્યા. સાથે સ્થાનિક જંગલના બે ભોમિયાઓને  પણ લઈ લીધા.

ગામ અને ખેતરો પૂરાં થયાં, અને ભયંકર જંગલની શરૂઆત થઈ. ઉત્તર દિશા જાળવી રાખી, કાફલો આગળ વધ્યો. અડાબીડ મોટાં વૃક્ષોની વચ્ચે બકરાં ચરાવનાર ગોવાળિયાઓએ બનાવેલી, નાનીશી કેડી તેમણે પકડી. બે ત્રણ માઈલ તો મુસાફરી ઠીક ઠીક ચાલી. પણ પછી એકાએક કેડી બંધ થઈ ગઈ. હવે શું કરવું?

હવે તો જંગલને કાપીને જ રસ્તો કરવો પડે તેમ હતું. યાહોમ કરીને ઓછાં ઝાડ કાપવા પડે તે રીતે, તેમણે આવાં કામના જાણકાર, સ્થાનિક મુખિયાની મદદથી રસ્તો કરવા માંડ્યો. ગીચ ઝાડી કાપવી પણ કાંઈ રમત વાત ન હતી. નીચે ઘણી જગ્યાએ છીછરા પાણીનાં ખાબોચિયાં કે કાદવ પણ હતાં. ઘણીવાર તેમની સાથેનાં ગાડાંઓનાં પૈડાં કાદવમાં અડધા ખૂંપી જતાં હતાં. માંડ માંડ મજૂરો ગાડાંને ઘાંચમાંથી બહાર કાઢતા.

હવે રસ્તો સીધો ઉત્તર તરફ ન રહ્યો. વાંકાંચૂંકા થતાં, મંથર ગતિએ તેઓ આગળ વધતા ગયા. રાતે વાઘોની ડરામણી ત્રાડો અને દિવસે જંગલી હાથીઓની ચિંઘાડો હૈયું વિદારી નાંખતી હતી. ખાવાપીવામાં ય રસ્તામાં જે કાંઈ મળે, તેનાથી ચલાવી લેવાનું હતું, કારણ કે લોટ વગેરે, સામગ્રી બહુ મર્યાદિત હતી. સ્થાનિક રસોઈયાની સમજ અને આવડત સ્વીકારી લીધા વિના બીજો કોઈ વિકલ્પ ન હતો. રસ્તે ચાલતાં સ્થાનિક મજૂરો તેમની કર્ણપ્રિય પણ સમજ ન પડે તેવી ભાષામાં ગીતો ગાઈ રહ્યા હતા. પીટરે સમજાવ્યું કે તેમની જૂની વાયકાઓની કથાઓ, અને યુદ્ધમાં કામ આવી ગયેલા યોદ્ધાઓની શૂરાતન કથાઓનાં આ ગીતો હતાં. મુહોતને તો હવે દિવસે પણ પેલાં સ્વપ્નો દેખાવાં માંડ્યાં!

ઘણી જગ્યાઓએ તો મોટાં ઝાડ એટલાં અડાબીડ ઉગેલાં હતાં કે, બે ચાર ઝાડ કાપ્યાં સિવાય છૂટકો જ ન હતો. આમ થાય ત્યારે કાફલો સાવ રોકાઈ જતો. માત્ર એક બે ભોમિયા જ આગળ જાત માહિતી મેળવવા જઈ આવતા. મેલેરિયામાં પટકાઈ ન જવાય તેનો હમ્મેશ ભય પણ માથે સવાર રહેતો.

પીટરને થતું કે ‘ક્યાં આ જંજાળ વહોરી?’  પણ મુહોતના જ્ઞાનથી તે બહુ જ પ્રભાવિત થયો હતો. તેમની નવી દોસ્તી બરાબર જામી ગઈ હતી. એકલા પાછા જવામાં વધારે મોટાં જોખમો હતાં. હવે તો આગળ ધપવા સિવાય બીજો કોઈ જ આરો ન હતો. મુહોત તેની અજાણ એવી જાતજાતની વનસ્પતિઓની જાણ પેલા ભોમિયા અને દુભાષિયા પીટરની સહાયથી લઈ રહ્યો હતો. તેની સ્કેચબુક સુંદર વનસ્પતિ ચિત્રોથી ભરાવા માંડી હતી.

આમ સફરને ત્રણ અઠવાડિયાં તો જોતજોતામાં થઈ ગયાં. જંગલ તો ક્યાં ય ટસનું મસ થતું ન હતું. ક્યાંક હાથીઓએ કરેલા રસ્તા મળતા, પણ તેમની દિશા ભાગ્યે જ અનુકૂળ આવતી. આશાનો દીપક બુઝાવાની તૈયારી કરી રહ્યો હતો. મજૂરો પણ થાકથી લોથ પોથ થઈ ગયેલા હતા. બધા ઘેર પાછા જવાની આશા સેવી રહ્યા હતા.

પીટરે હિમ્મત કરીને કહ્યુ, ” મુહોત! પાછા ફરવામાં જ ડહાપણ છે. ”

મુહોતે કહ્યું. “મને પણ એમ જ થાય છે.  આપણે ત્રણ દિવસ રાહ જોઈએ. જો આ જ ક્રમ ચાલુ રહે અને તળાવ ન મળે તો પાછા.”

આમ બે મિત્રો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી હતી; ત્યાં એક ભોમિયો ભરેલા શ્વાસે દોડતો આવ્યો અને કહ્યું, “હાથીઓએ બનાવેલો એક જૂનો રસ્તો મળ્યો છે, અને તે બરાબર ઉત્તર દિશામાં જ જાય છે.” બન્ને મિત્રોમાં આશાનો સંચાર થયો. કાફલો પણ ઉત્સાહમાં આવી ગયો. બેળે બેળે ભોમિયાએ કહ્યું હતું તે કેડી સુધી તો પહોંચ્યા. કેડી મળ્યા પછી કામ થોડું સરળ બન્યું. ઝાડ કાપવાની નોબત ફરી ન આવી. એ જ દિવસે સાંજે તો આખો કાફલો તળાવના કાંઠે આવી પહોંચ્યો.

તળાવ ઘણું મોટું હતું. આરામ કરી બીજા દિવસની સવારે આગળ પ્રયાણ માટે બાથ ભીડી. સાથે માત્ર બે જ નાનકડી હોડી (canoe) હતી. આથી એમ નક્કી કર્યું કે, કાફલો ત્યાં જ રહી પડાવ નાંખે, અને મુહોત, પીટર, એક ભોમિયો અને એક સશક્ત મજૂર એટલા જ આગળ વધે. સાથે જરૂરી ખોરાક અને ઝાડી ઝાંખરા કાપવાનો સામાન લીધો.

આટલા મોટા તળાવમાં કયા કિનારે ઊતરવું? પણ ભોમિયો હોંશિયાર હતો. તેણે કહ્યું – “જો કોઈ મોટી જગ્યા હશે તો તેના લોકોએ તળાવમાંથી પાણી ત્યાં સુધી લઈ જવાની નીક કે નહેર બનાવી હશે.” મુહોતને આ વાત ઠીક લાગી. આથી તળાવની ઉત્તર દિશાના છેડે પહોંચી, આવી કોઈ નહેરની તપાસ શરૂ કરી. ભાગ્યવશાત્ આવી એક સાંકડી નહેર મળી આવી પણ ખરી. તેમાં બન્ને કનો હંકારી. માંડ એક કનો જાય તેટલી જ પહોળાઈ હતી. કો’ક ઠેકાણે તો તે કચરાથી પૂરાઈ ગયેલી પણ હતી. ત્યાં તો ચાલીને કનો ખેંચવી પણ પડી. ઘણે ઠેકાણે બે ય  કાંઠાં પરનાં ઝાંખરાં ભેગાં થઈ ગયા હતાં. તે કાપવા પણ પડ્યાં.

થોડેક આગળ ગયા અને નહેર તો પૂરી થઈ ગઈ. ત્યાંથી જ પત્થરથી લાદેલો દસેક ફૂટ પહોળો રસ્તો શરૂ થતો હતો. ચારે જણ ઉત્સાહમાં નાચી ઉઠ્યા. પણ એ આનંદ ક્ષણજીવી જ નિવડ્યો. રસ્તાની બન્ને બાજુથી દુર્ગમ ઝાડીઓ કેલાઈ ગયેલી હતી. એ ઝાડીઓ કાપતાં કાપતાં ચારેક કલાક પછી સાંજના સમયે તે લોકો એક મોટા દરવાજાની સામે આવી પહોંચ્યા.

મુસાફરી શરૂ કર્યે એક મહિનો થઈ ગયો હતો. પણ આ શોધે તેમનામાં નવી આશાનો સંચાર કર્યો. દરવાજાની બન્ને બાજુ એક ખાસી મોટી માનવસર્જિત ખાઈ હતી. ૨૦૦ વાર પહોળી તે ખાઈ બન્ને તરફ એક માઈલ સુધી વિસ્તરેલી હતી. પણ તેમને તો દરવાજાની અંદર શું છે? – તે જોવામાં વધારે રસ હતો. ખાઈ ઓળંગીને બધા આગળ વધ્યા, હવે રસ્તો વધારે વ્યવસ્થિત હતો, થોડે આગળ જતાં એક અદ્ભુત દૃશ્ય નજરે પડ્યું. ત્રણ ઊંચા શિખરો વાળા અને અત્યંત ઊંચી દીવાલોથી ઘેરાયેલા એક ભવ્ય મંદિરની સામે તેઓ આવી  પહોંચ્યા હતા. બહારની દીવાલો પર જાતજાતના શિલ્પ કોતરેલા હતા. દીવાલ પર થોડે ઉપર નૃત્યાંગનાઓનાં સુમધુર શિલ્પો દેખાતાં હતા. મંદિરનો દરવાજો ઓળંગી તેઓ અંદર પેઠા.

જગતના સૌથી મોટા મંદિરમાં પાંચસો વર્ષ પછી કોઈ માનવે પગ મૂક્યો હતો. આ અંગકોર વાટનું મહાન મંદિર હતું. બધા ઉત્સાહમાં નાચી ઊઠ્યા. એક મહિનાની મહેનત અને મુશ્કેલીઓ સફળ નિવડી હતી. કમ્બોડિયાના ‘તોન્લે સેપ’ તળાવની નજીક આવેલા આ મહાન મંદિરને ભૂતકાળની કરાળ કંદરામાંથી તેમણે બહાર આણ્યું  હતું.


અર્વાચીન યુગની સાત અજાયબીઓમાંની એક અને ભારતના ભવ્ય ભૂતકાળને ઉજાગર કરતા, આ મંદિર બાંધવાની શરૂઆત રાજા સૂર્યવર્મન બીજાએ કરી હતી. ‘અંગકોર વાટ’ના મંદિર માટે વધુ માહિતી  અહીં –

https://en.wikipedia.org/wiki/Angkor_Wat

જગ્યાનું વિગતે અવલોકન કરતાં તેમને આ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. ફૂટબોલના નવ મેદાન થાય તેટલી મોટી જગ્યામાં આ મંદિર બનાવેલું હતું. ચારે બાજુ એક એક માઈલ લાંબી દીવાલો હતી અને તેની બહાર ચારે બાજુ ખાઈ. મંદિરની દીવાલો પર ઘણાં બધાં લખાણો કોતરેલાં હતાં. મોટા ભાગનાં લખાણો સંસ્કૃત ભાષામાં હતાં. જો કે, કોઈને પણ એ ભાષા આવડતી ન હતી. મુખ્ય ભાગમાં હિન્દુ દેવતાઓની મોટી મૂર્તિઓ હતી. ક્યાંક ક્યાંક તો મૂર્તિઓ પર સોનાના અવશેષો પણ દેખાતા હતા. વચ્ચે એક રાજાની મૂર્તિ પણ સ્થાપેલી હતી. કદાચ તે પણ દેવોની જેમ પૂજાતી હશે તેમ લાગ્યું.

કોઈ પણ ગ્રીક કે રોમન સ્થાપત્યને ઝાંખું પાડી દે તેટલી તેની ભવ્યતા હતી. બુદ્ધ સાધુઓ પણ આ જગ્યાનો  સાધના અને પૂજા માટે તેનો ઉપયોગ કરતા હશે, તેમ જણાયું. મંદિરની પાછળની બાજુએ બીજો વધુ મોટો દરવાજો હતો; અને તેમાંથી આગળ વધારે મોટો રસ્તો જતો હતો. હજુ તેમને માટે વધારે રહસ્યો ખૂલવાનાં બાકી હતાં!

તેમણે ફરી આગળ પ્રયાણ શરૂ કર્યું. હવે આગળનો રસ્તો એટલો કઠણ ન હતો કારણ કે, મંદિરમાંથી પાછળની બાજુનો દરવાજો અને આગળ જતો રસ્તો, બન્ને ઘણા મોટા હતા.  રસ્તો પણ રાજમાર્ગ જેવો લાગતો હતો. આ રસ્તા ઉપર પણ ઝાડીઓ તો છવાયેલી જ હતી. બે જ માઈલ ચાલ્યા બાદ તેઓ એક બીજા મોટા દરવાજાની સામે આવી પહોંચ્યા. દરવાજાની બન્ને બાજુ એક કિલ્લાની મસ મોટી દીવાલ હતી. તેની અંદર એક મોટું શહેર, અતીતના ગર્ભમાં લપાઈને ઘોરતું હતું. તેની આ કુમ્ભકર્ણ નિદ્રાનો પ્રકૃતિએ પૂરો લાભ ઊઠાવ્યો હતો. અહીં સંસ્કૃતિ ઉપર પ્રકૃતિએ આક્રમણ કર્યું હતું! વિષુવવૃત્તીય આબોહવાથી વકરેલી વનસ્પતિ સૃષ્ટ્રિએ માનવ ગેરહાજરીનો પૂરો લાભ ઉઠાવ્યો હતો!

ખ્મેર પ્રજાનું આ  ‘અંગકોર થોમ’ શહેર હતું. ૪૦ ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાયેલું આ શહેર, કદાચ તેના સમયગાળાના વિશ્વમાં સૌથી મોટા શહેરોમાંનું એક હતું. પણ સર્વનાશની સુનામી તેની ઉપર મન મૂકીને ફરી વળેલી હતી. ચારે બાજુ ખંડેરોના ઢગના ઢગ ખડકાયેલા હતા. સેંકડોની સંખ્યામાં મંદિરો, મોટા મહાલયો, અને હજારો નાનાં મોટાં ઘરો – આ બધાંની ઉપર સર્વનાશનું ઘોડાપૂર ફરી વળેલું હતું. પાંચસો વર્ષ સુધી વનરાજી આ બધા ઉપર વકરી અને વિફરી હતી. મકાનોની આખી ને આખી દીવાલો મદમસ્ત વૃક્ષોએ પાડી નાંખી હતી. મસ મોટાં વૃક્ષો ઘરોની છતને તોડી ફોડીને ઉપર વિલસી રહ્યાં હતાં.  અનેક તૂટેલાં શિલ્પો કકડા થઈને બાજુમાં પડ્યાં હતાં.

 અહીં પણ, ધોળે દહાડે વાઘોની ત્રાડો અને જંગલી હાથીઓની ચિંઘાડો તો સંભળાતાં જ હતાં. સ્તબ્ધ બનેલી આ ટુકડી હવે પાછી વળી. ગણતરીના દિવસોમાં જ બધા ગામમાં સહીસલામત પાછા આવી ગયા. ગરીબડી પ્રજાએ તેના ગજા પ્રમાણે મુહોત અને પીટરનું સન્માન કર્યું. મુહોત નોમ પેન્હ પાછો ફર્યો. ત્યાંની ફ્રેન્ચ સરકાર પણ આ શોધને આગળ ધપાવે તેવી સક્ષમ કે દૂરંદેશી વાળી ન હતી. તેમની નજર તો વ્યાપાર, ધર્મ અને શાસનના પ્રસારથી વધારે આગળ જોઈ શકે તેમ ન હતી.

થોડા સમય બાદ મુહોત વતન જવા પાછો ઉપડ્યો. તેણે લાઓસમાંથી પસાર થઈને બર્મા જવાનું હતું. પણ લાઓસના જંગલોમાં જ તેનું મેલેરિયાના કારણે મૃત્યુ થયું. સદ્ભાગ્યે તેનો સામાન તેના સાથીદારોએ સ્થાનિક ફ્રેન્ચ હકૂમતને સુપ્રત કર્યો. છેવટે તેનો બધો સામાન ૧૮૬૧ ની સાલમાં પારિસ પાછો ફર્યો. તેની નોંધપોથીઓ પરથી આ બધી ઘટના પ્રકાશમાં આવી.

ત્રણ જ વર્ષમાં આ નોંધપોથીઓ ફ્રાન્સ અને બ્રિટિશ જર્નલોમાં છપાઈ. ત્યારે પશ્ચિમના જગતને આ ભૂલાયેલા મહાન સ્થાપત્યોની જાણ થઈ. ફ્રેન્ચ સરકાર સફાળી જાગી ઊઠી. આ સ્થળના સંશોધન અને વિકાસ માટે યોજનાઓ ઘડાઈ, અને અમલમાં મૂકાઈ. સો વર્ષ કામ ચાલ્યું અને પુરાણા સ્થાપત્ય અને ઇતિહાસના મહાન વારસા તરીકે, બન્ને સ્થળોનો  થઈ શકે તેટલો સર્વાંગ વિકાસ કરવામાં આવ્યો.

 આજની તારીખમાં ‘અંગકોર વાટ’ અને ‘અંગકોર થોમ‘ કમ્પુચી(કમ્બોડિયા)ના સૌથી વિશિષ્ઠ  સહેલાણી ધામો બની ગયાં છે અને અબજો ડોલરની કમાણી કમ્બોડિયાને કરાવે છે.

કમ્બોડિયાના રાષ્ટૃધ્વજના કેન્દ્રમાં પણ ‘અંગકોર વેટ’નું ચિત્ર સમાવવામાં આવ્યું છે.

ફ્રેન્ચ અને ડચ વિદ્વાનોએ દક્ષિણ ભારતના તજ્જ્ઞોની મદદથી, પ્રાપ્ત બધાં લખાણોનો અભ્યાસ કરી, અંગકોરના સામ્રાજ્યનો વિગતવાર ઇતિહાસ ખંખોળી નાંખ્યો છે; અને તેને તવારીખવાર સંશોધિત કર્યો છે. ટૂંકમાં તેની વિગત નીચે પ્રમાણે છે –

ઈ.સ. પૂર્વે ૮૦૦  –  ભારતના વેપારીઓ અને સાગર ખેડૂઓએ ત્યાંની આદિવાસી પ્રજાને હિન્દુ ધર્મ આપ્યો.

ઈ.સ. ૮૫૦  – ખ્મેર રાજા જયવર્મન બીજાએ ૫૦ વર્શ રાજ્ય કરી અંગકોરના સામ્રાજ્ય અને રાજવંશની સ્થાપના કરી. તેણે પોતાની જાતને ખ્મેર પ્રજાના રાજા અને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપિત કરી. તેના વંશજોએ અંગકોરમાં ૬૦૦ વર્ષ રાજ્ય કર્યું.

ઈ.સ. ૮૯૯  – તેના પુત્ર યશોવર્મને ‘અંગકોર થોમ’ શહેર બનાવવાની શરૂઆત કરી.

ઈ.સ. ૧૦૦૦ –   અંગકોર થોમ શહેરનો પૂર્ણ વિકાસ

ઈ.સ. ૧૨૦૦ – રાજા સુર્યવર્મને ‘અંગકોર વાટ મંદિર’ બનાવવાની શરૂઆત કરી. જયવર્મન સાતમાએ અંગકોર થોમ શહેરને ફરતો કોટ બનાવ્યો.

ઈ.સ. ૧૪૦૦ – ગજા ઉપરાંતના મહાન સ્થાપત્યના ખર્ચા અને સિયામ(અત્યારનું થાઈલેન્ડ)ના આક્ર્મણ સામે અંગકોર ટકી ન શક્યું. ખ્મેર રાજા અને બધી વસ્તી ભાગીને ‘નોમ પેન્હ’ જઈને વસ્યા.

બે વર્ષ બાદ સિયામના આક્રમકો પાછા અંગકોર થોમ આવ્યા, પણ શહેર અને મંદિર બન્ને વેરાન બનેલાં હતાં. જંગલોમાં ઘેરાયેલી બન્ને જગાઓમાં પછીના કોઈ શાસકોને રસ ન હતો.

લગભગ ૧૫૦૦ – પોર્ચુગિઝ લોકોએ પહેલી વાર ખંડેરો જોયાના સમાચાર આપ્યા, પણ આ પ્રદેશ વેપારી દૃષ્ટિએ અગત્યનો ન હોવાથી આ વાત ભુલાઈ ગઈ.

૧૮૫૦  – કમ્બોડિયા, લાઓસ અને વિયેટનામ ફ્રેન્ચ શાસન નીચે આવ્યા.

૧૮૬૦ – મુહોતનું સાહસ અને શોધ.

૧૮૬૩  – અંગકોરના જીર્ણોદ્ધારની શરૂઆત.

૨૦૦૭ – અંગકોર વાટનો વિશ્વની સાત અજાયબીઓમાં સમાવેશ.

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...331332333334...340350360...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved