Opinion Magazine
Number of visits: 9584088
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુનિવર્સિટીમાં લશ્કરની ટેંક ! : ગળચટી રાષ્ટ્રભક્તિનો આફરો

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 August 2017

શ્રીમદ્ ભગવદ્‌ ગીતામાં કૃષ્ણ કહે છે કે “નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઈહ વિદ્યતે” એટલે કે “ઈહલોકમાં જ્ઞાન જેવી પવિત્ર ચીજ એકેય નથી.” જે યુનિવર્સિટીઓ જ્ઞાનના સર્જન અને પ્રચાર-પ્રસાર માટે છે તેમાંની એક એવી દિલ્લીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કુલપતિ જગદીશકુમારે દેશના વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહને વિનંતી કરીને કહ્યું છે કે તેઓ લશ્કરની એક ટેંક યુનિવર્સિટીના પ્રાંગણમાં મૂકવા માંગે છે કે જેથી વિદ્યાર્થીઓને દેશના સૈનિકો જે બલિદાન આપે છે તેની યાદ સતત આવતી રહે.

રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ કઈ હદ સુધી મનુષ્યને પાગલ અને નશાબાજ બનાવે છે તેનું આથી વધારે વરવું ઉદાહરણ આપવું અઘરું થઇ પડે. હજુ હમણાં જ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતાં નવોદય વિદ્યાલયો અને કેન્દ્રીય વિદ્યાલયોમાં દેશની સૈનિક શાળાઓ(ગુજરાતમાં બાલાછડીમાં છે તેવી)માં જે પ્રકારે લશ્કરી તાલીમ આપવામાં આવે છે, તે પ્રકારની તાલીમ દાખલ કરવા માટેની તજવીજ કરવા માટે કેન્દ્ર સરકારે જે હિલચાલ આદરી છે, તેને જ આ ઘટના આગળનો ક્રમ આપે છે.

રાજ્ય એક સંસ્થા તરીકે મનુષ્યના હિંસક અને દુષ્ટ સ્વરૂપનું પ્રતીક છે. તેને અનિવાર્ય અનિષ્ટ ગણવાનું છે તે સમજવાને અને સમજાવવાને બદલે સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિને નામે રાજ્યને માટે ગમે તે ભોગે બલિદાન આપવા પ્રેરવા એ હકીકતમાં તો એક નિમ્ન કક્ષાની દેશભક્તિ છે. દેશના સૈનિકો જે બલિદાન આપે છે તેના પ્રત્યે અને તેમના પ્રત્યે માન, સન્માન અને આદરની ભાવના વિકસવી જ જોઈએ. પણ એ તો કોને ના હોય. પણ તેનો અર્થ એ નથી કે જ્ઞાનનાં કેન્દ્રો એવાં વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો ખાતે લશ્કરી સરંજામ ગોઠવી દેવો. સરહદ પર મરતા અને ઘવાતા સૈનિકો પ્રત્યેના સંપૂર્ણ માન સાથે એમ તો કહી જ શકાય કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના સૈનિકો સિવાય પણ બલિદાન આપનારા ઘણા લોકો છે. એ લોકોમાં દેશના લાખો-કરોડો બાળ મજૂરો, ખેડૂતો, ખેત મજૂરો અને ઔદ્યોગિક મજૂરો છે કે જેઓ એવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં જ એમના જીવનની ઇતિશ્રી કરી નાખે છે કે જે વસ્તુઓ અને સેવાઓ તેઓ પોતે મોટે ભાગે વાપરી પણ શકતા નથી. જો કે, એમને ખબર નથી હોતી કે તેઓ દેશને માટે બલિદાન આપી રહ્યા છે અને બાકીના બધાને તો તે બલિદાન દેખાતું પણ નથી.

યુનિવર્સિટીના પ્રાંગણમાં ટેંકનું શું કામ? વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો તો જ્ઞાનની ઉપાસના કરવા માટેનાં મંદિરો છે કે જ્યાં નવતર વિચારોનું સર્જન થાય અને તે વિચારોને મનુષ્યનાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના હિત માટે વાપરવા માટે વિચારાય. ટેંક બળનું અને હિંસાનું પ્રતીક છે અને જાણે-અજાણે તે વિચાર કરવાની મનુષ્યની સ્વતંત્રતા અને મૂળભૂત માનવ અધિકારો સામે જ ખતરો ઊભો કરે છે. મનુષ્યો યુદ્ધો ના કરે તે માટે ‘સંયુક્ત રાષ્ટ્રો’ના ૧૯૪૫ના ખતપત્રમાં તમામ દેશોને સાર્વભૌમ ગણાવાયા અને કોઈએ કોઈના સાર્વભૌમત્વ ઉપર હુમલો ના કરવો એમ ગર્ભિત રીતે કહી દેવાયું. માનવજાતને આટલું શીખતાં હજારો વર્ષો ગયાં છે.

એનો સ્પષ્ટ ઈરાદો તો મનુષ્યના સાર્વભૌમત્વને નિખારવાનો અને સંવારવાનો છે. એટલે યુદ્ધો કોઈ કાળે મહાન હોઈ શકે નહિ અને એ મનુષ્યની મહામૂર્ખતાના અને હલકટ પાશવીપણાના નમૂના જ બની રહે છે. મોટે ભાગે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિનો આફરો યુદ્ધો કરવા માટેનું ઇંધણ પૂરું પડે છે એટલું જ. શું આપણે જ્ઞાનનાં મંદિરોમાં આવો નશો ચડાવવા માંગીએ છીએ? આજકાલ દેશમાં વિચાર કરવાની, વાણીની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી-મસળી નાખવાનો જે માહોલ ઊભો થયો છે તેમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદની સાવ સંકુચિત વ્યાખ્યા કરીને યુનિવર્સિટીઓમાં વાદ-વિવાદને સ્થાને અને ‘વાદે વાદે જાય તે તત્ત્વબોધઃ’ એમ મૂળભૂત રીતે સમજવાને સ્થાને, સત્તાની સીનાજોરીને આધારે માનવીના જન્મજાત અધિકારોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને તેને સત્તાવાર શૈક્ષણિક મહોર મારવાની જ આ નવતર હિલચાલ છે, કે જ્યાં એક કુલપતિ પોતે યુનિવર્સિટીમાં ટેંક ગોઠવવા માટેની માગણી કરે છે, કે જ્યારે ખરેખર તો આવી કોઈ પણ સરકારી નુક્તેચીની સામે તેમણે જ બાંયો ચડાવવાની હોય અને શિંગડાં ભેરવવાનાં હોય. પણ વર્તમાન સત્તાનશીનો કુલપતિઓની નિમણૂક માટે જે લાયકાત જુએ છે તે સમજ્યા પછી તેમની પાસેથી આવી અપેક્ષા રાખવી એ જ નરી નાદાની છે.

લશ્કરી સાધનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત જેવાં પ્રતીકો દેશ પ્રત્યે બલિદાન આપવા માટે પ્રેરે છે એ એક ધારણા માત્ર છે. જો એમ જ હોય તો, રાષ્ટ્રગીત સૌથી વધુ ગાનારા અને ગવડાવનારા રાજકીય નેતાઓ ભ્રષ્ટતમ ના હોત. એટલે રાષ્ટ્ર પ્રત્યે બલિદાન કોને કહેવાય તેની વ્યાખ્યા બદલવી પણ જરૂરી છે.

વિશ્વ વિદ્યાલયોમાં જ્યારે ઝંડા અને ટેંક જેવાં પ્રતીકો વધી જાય ત્યારે તે રાષ્ટ્ર પ્રત્યે બલિદાન આપવા માટે પ્રેરે છે તેના કરતાં તો નેતાઓ જે કહે છે તે બલિદાન છે અને એ તો આપવું જ જોઈએ એમ માનવા માટે વધારે પ્રેરે છે. નેતાઓ જ રાષ્ટ્ર છે એમ માનવાની અને મનાવવાની ઘેલછા તેમાંથી જન્મે છે. મનુષ્યના મનનું લશ્કરીકરણ અને બીબાંઢાળીકરણ કરવા માટે રાજસત્તા હંમેશાં વલખાં મારે છે કારણ કે તેને ઘેટાંની ખપત હોય છે, વિચાર કરનારા સ્વતંત્ર મનુષ્યોની નહિ.

‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા’ એમ જ્યારે વગર સમજે આપણે ગાયા કરીએ છીએ ત્યારે એ વિચારવામાં નથી આવતું કે શા માટે વિશ્વ પર વિજય મેળવવો છે અને શું એ ખરેખર જરૂરી છે ખરો? આપણે રાષ્ટ્ર્‌ભક્તિનો નશો કરવામાં જે વિવેકભાન ગુમાવીએ છીએ તે જ્ઞાનને કુંઠિત કરે છે અને તેનું જ પરિણામ છે કે યુનિવર્સિટીમાં ટેંકને સ્થાન મળે તેવી તજવીજ થાય છે.

વાસ્તવમાં, તે તો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને રાજ્યની એ હિંસક તાકાતની યાદ આપાવે છે કે જો તમે રાજ્ય-વિરોધી વિચારો કર્યા તો આ ટેંક જેનું પ્રતીક છે એ રાજ્ય તમારા પર તૂટી પડશે, માટે રાજ્યને તાબે થાવ.

કારગિલ વિજય દિવસની ઊજવણી પ્રસંગે જે.એન.યુ.માં બે વક્તાઓએ જે.એન.યુ. કબજે કરી છે અને બીજી બે યુનિવર્સિટીઓ(કોલકાતાની જાદવપુર યુનિવર્સિટી અને હૈદરાબાદની કેન્દ્રીય યુનિવર્સિટી) કબજે કરવાની હજુ બાકી છે એવો સ્વચ્છંદી હુંકાર પણ કર્યો. એ તથાકથિત વિદ્વાનોને કોણ સમજાવે કે યુનિવર્સિટી એ કંઈ દુશ્મનનો પ્રદેશ નથી કે એને કબજે કરવાની કે હડપ કરવાની હોય.

આ ગળચટી લાગતી રાષ્ટ્રભક્તિ આપણને ભારત નામના એક મહાન રાષ્ટ્રના જંતુ કે પશુ માત્ર બનાવી દેવાની પેરવી છે અને આસનીથી ના સમજાય તેવી સાજિશ છે એ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ગળે ઉતારવાની આવશ્યકતા છે. શસ્ત્રો અને શાસ્ત્રો વચ્ચેની આ લડાઈ દુનિયાભરમાં અવિરત ચાલતી રહી છે અને રહેશે. વિખ્યાત ફ્રેંચ દાર્શનિક જ્યાં પોલ સાર્ત્ર કહે છે તેમ “સ્વતંત્ર થવાનો અભિશાપ” જેના પર  છે એવા વિચાર કરવાની શક્તિ ધરાવતા મનુષ્યો તરીકે વિશ્વવિદ્યાલયોને જ્ઞાનના ઉપાસકો તરીકે જીવંત રાખવા માટે આપણે અથાક રીતે લડીએ એ જ વર્તમાન કાળનું કર્તવ્ય છે. 

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 12-13

Loading

વિશ્વવિદ્યાલય પરિસરમાં સેના-વિચક્રી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|12 August 2017

નૅશનલ ડિફેન્સ ઍકેડેમીની પદવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જે.એન.યુ.) આપે છે. આમ કરવાનું જે વ્યક્તિને સૂઝ્યું તેનામાં વિધિની વક્રતાને પહેલેથી જ પામી જવાની દૂરદૃષ્ટિ હોવી જોઈએ. લશ્કર અને જે.એન.યુ. વચ્ચે ચૉક ઍન્ડ ચીઝ જેટલો અર્થાત્‌ જમીન આસમાનનો તફાવત છે. યુનિવર્સિટી મિલિટરી સાયન્સનું શિક્ષણ આપતી નથી કે લશ્કરી તાલીમ પણ આપતી નથી, છતાં તે આ વિષયોમાં સ્નાતકની પદવી આપે છે.

એટલે કોઈ વિષયનું શિક્ષણ આપ્યા વિના તેની પદવી આપવાના આ વિરોધાભાસને દૂર કરવાના હેતુથી જે.એન.યુ.ના વાઇસ-ચાન્સેલર એમ. જગદેશકુમાર એક સરસ પ્રસ્તાવ લાવ્યા છે. યુનિવર્સિટીના પરિસરમાં કોઈક જગ્યાએ એક સેના-દ્વિચક્રી અર્થાત્‌ આર્મી ટૅન્ક ગોઠવવાનું તેમણે સૂચવ્યું છે. તેનાથી વિશ્વવિદ્યાલય અને યુનિવર્સિટી દળો વચ્ચે એક મજબૂત જોડાણ સંધાશે.

આ વિચાર બળવાન છે, પણ માણસે આટલેથી જ અટકી ન જવું જોઈએ. જે.એન.યુ.માં ઉચિત જગ્યાએ ફાઇટર એરક્રાફ્ટ અર્થાત્‌ યુદ્ધ વિમાન પણ ગોઠવવું જોઈએ. આમ કરવાથી વાયુ દળને યથોચિત સ્થાન મળશે. આપણા સંરક્ષણ દળની ત્રીજી પાંખને પણ ઉપેક્ષાભાવ ન લાગવો જોઈએ એટલે નૌકાદળનું એક જહાજ પણ કૅમ્પસમાં ક્યાંક મુકાવું જોઈએ. ખરેખર તો લશ્કરમાં ઉપયોગમાં ન લેવાતું હોય તેવું એક એરક્રાફ્ટ કૅરિયર જો ફાળવી શકાય તો એનો ઉપયોગ રમતના મેદાન તરીકે પણ થઈ શકે. જો કે, આટલાં કામ યુનિવર્સિટીને લશ્કરી શિક્ષણ માટેનાં કેન્દ્ર તરીકેનું સ્થાન અપાવવા માટે પૂરતાં નથી. આ યુનિવર્સિટીમાં ઝાડપાન, વૃક્ષવનસ્પતિનો મોટો વિસ્તાર છે, જે જંગલમાં ખેલાતા યુદ્ધની તાલીમ માટેની ઉત્તમ જગ્યા બની શકે. વર્ગમાં દેશભક્તિનું સિંચન થતું હોય અને પરિસરના ગાઢ હરિત વિસ્તારમાંથી શસ્ત્રનાદનો પ્રતિધ્વનિ થતો હોય તો પ્રેરણાદાયી વાતાવરણ સર્જાય.

રાષ્ટ્રવાદની ચેતનાનું વધુ સિંચન કરવા માટે પ્રોફેસરોને સૈન્યનાં પદ આપી શકાય. તેમણે અધ્યાપનના કર્તવ્ય દરમિયાન સૈન્યનો યુદ્ધ ગણવેશ પહેરવો જોઈએ. તેમની પાસે જાતભાતની પિસ્તોલ હોવી જોઈએ. પણ તેમને એ આપતાં પહેલાં એની કઈ બાજુથી ગોળી ચલાવવી એ અંગે વાકેફ કરવા જોઈએ. અધ્યાપક માટે ‘ઇન્સ્ટ્રક્ટર’ અને વિદ્યાર્થી માટે ‘કૅડેટ’ એવા શબ્દો વાપરવા જોઈએ. કાળી ટોપી, સફેદ ખમીસ અને  બ્રાઉન કહેતાં તપખિરિયા રંગનું પાટલૂન સહુથી યોગ્ય ગણાય. વિદ્યાર્થીઓનો દિવસ સૂર્ય-નમસ્કારથી શરૂ થવો જોઈએ અને તેમણે તેમના વરિષ્ઠોને સલામ કરવાની થાય, પણ પાશ્ચાત્ય ઢબે નહીં. પ્રણામ અથવા દંડવત્‌ જેવું કંઈક કરવામાં આવે તો આપણી પ્રાચીન સંસ્કૃિતના ગૌરવનો ખ્યાલ જળવાય.

આમ આંતર્બાહ્ય નવો વેશ ધારણ કરેલા યુનિવર્સિટી કૅડેટ્‌સે એક સરખું વિચારવાનું હોય. કોઈ પણ પ્રકારની અસંમતિ એ ગેરશિસ્ત ગણાશે. ઉપનિષદની પ્રશ્નપરંપરાને સાંપ્રતમાં અપનાવવામાં આવશે તો આપણે  મુસીબતમાં મુકાઈશું.

વિદ્યાર્થીઓ સ્વતંત્ર અને મૌલિક રીતે વિચાર કરતા થાય તે જોવાનું કામ યુનિવર્સિટીઓનું નથી. વળી, જે.એન.યુ.ના કૅમ્પસમાં જ લશ્કરી ટેન્ક ગોઠવાયેલી હોવાથી દેશને હવે થિન્ક ટૅન્ક્‌સની જરૂર નહીં પડે. એટલે હવે દેશની બધી થિન્ક ટૅન્ક્‌સનો નિકાલ કરી દેવો જોઈએ. એનાથી બિગ બ્રધર બહુ ખુશ થશે. જે.એન.યુ.ના વાઇસ-ચાન્સેલર પાસે એક મહાન વિચારબીજ છે. એ બીજને જો જે.એન.યુ. ઉપરાંત બીજાં વિદ્યાકેન્દ્રોમાં પણ રોપવામાં આવે તો ભારતના શિક્ષણની કાયાપલટ થશે.

સ્પષ્ટતા : આ લેખ તમને મલકાવવા માટે છે. વાસ્તવિક જિંદગીના બનાવો અને પાત્રો સાથેનો એનો સંબંધ માત્ર અકસ્માત ગણવો.

(‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખના પાને ૨૯ જુલાઈ ૨૦૧૭ના રોજ આવેલા લલિત મોહનના લેખનો અનુવાદ)

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 13-14 

Loading

પાટલીની પેલે પાર

રિમ્મી વાઘેલા|Samantar Gujarat - Samantar|12 August 2017

તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ કેવી રીતે ભણવાની તક છીનવી લે છે, એનાં કેટલાંક વરવાં ઉદાહરણો આપણે વારંવાર જોઈએ છીએ. ધોળકા તાલુકાના એક અંતરિયાળ ગામના નીરજે હાલ ધોરણ ૧૨મું પાસ કરીને અમદાવાદ શહેરની જાણીતી કૉલેજમાં પ્રવેશ લીધો છે. ઓનલાઇન એડમિશનનાં તમામ ચક્રવ્યૂહો પાર કરીને કૉલેજમાં પ્રવેશ તો લીધો, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રહેવાનું ક્યાં? આમ, તો જવાબ સરળ છે! અમદાવાદમાં તો ઘણી હૉસ્ટેલો છે, પી.જી.માં રહી શકાય … ઉપાયો તો ઘણા છે. અલબત્ત પી.જી.માં રહેવું ઘણું મોંઘું છે. બધાયને પોસાય નહીં. હવે વાત કરું, હોસ્ટેલ પ્રવેશની.

નીરજ થોડા દિવસ એના સંબંધીને ત્યાં રહ્યો. ગામનો નિર્દોષ છોકરો. શહેરની ગણતરીઓ એને ફાવે નહીં. સંબંધીને ત્યાં જમવામાં રોટલીઓ ગણતરી સાથે બને, જેની સાથે જાતને ગોઠવવાનું અશક્ય લાગે. સંબંધીના ત્યાં રહેવાનું કારણ એટલું કે હજુ હૉસ્ટેલની પ્રવેશ પ્રક્રિયા બાકી છે. નીરજે અમદાવાદની સમરસ હૉસ્ટેલમાં ફોર્મ ભર્યું છે. આજે ઑગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. કૉલેજ જુલાઈથી ચાલુ છે. સમરસ હૉસ્ટેલના ફોર્મ પણ ઓનલાઈન જ ભરાય છે. એ પણ ઘણી અટપટી પ્રક્રિયા છે, જો કે એ તો કર્યા વગર છૂટકો જ ન હોવાથી કોઈ બીજો વિકલ્પ નથી. સમરસ હૉસ્ટેલના ફોર્મ ૩૧મી ઑગસ્ટ સુધી ભરી શકાશે. સીધો અર્થ એ થયો કે પ્રવેશની પ્રક્રિયા ૩૧મી ઓગસ્ટ પછી થશે. એટલે બીજા પંદર દિવસ સમજી લેવાના! ટૂંકમાં અડધો સપ્ટેમ્બર વીતી જશે તો, નીરજે સપ્ટેમ્બર સુધી ક્યાં રહેવાનું?

નીરજ મારી બહેનપણીનો નાનો ભાઈ છે. અમે થોડી પૂછપરછ કરવા, વિગતવાર ટાઈમટેબલ જાણવા સમરસ હૉસ્ટેલ ગયા. બહુ નવાઈ લાગશે, પણ અમે અંદર જઈ જ ના શક્યા. ચોકીદાર અંદર જવા જ ના દે. અમે બહુ શાંતિથી વાત કરી કે અંદર કોઈકને તો મળવા દો! પણ ના એટલે ના! એક જ જવાબ, ‘અંદર કોઈ છે જ નહીં’, ‘અંદર જવાની પરવાનગી જ નથી.’ કમસે કમ દરવાજાની અંદર ના જવા દેતા હોવ, તો કોઈ સૂચના તો લખવી જોઈએ કે નહીં! પણ ના એટલે ના! વિધાનસભા જેવો કડક પહેરો, છેવટે હતાશ થઈને અમે પાછા આવ્યા.

નીરજ તો ઘરે પાછો જતો રહ્યો છે. કારણ કે રોટલીની ગણતરી કરીને ખાવાની એને ટેવ નથી. એટલે સંબંધીને ત્યાં રહેવામાં આત્મસન્માન ઘસાય છે! બીજી કોઈ વ્યવસ્થા નથી. એટલે હવે સમરસનાં દ્વાર ખૂલે ત્યારે એ પાછો આવશે. કૉલેજોમાં હાજરીનો આગ્રહ હવે બહુ રહ્યો નથી. એટલે ચાલ્યું જાય છે.

પણ મને એક પ્રમાણિક સવાલ એ થાય કે હોસ્ટેલ પ્રવેશની પ્રક્રિયા, કૉલેજની પ્રવેશ પ્રક્રિયાને સમાંતર ના ચલાવી શકાય? અડધા સપ્ટેમ્બર સુધી નીરજ જેવા વિદ્યાર્થીઓ રહે ક્યાં? બીજી હૉસ્ટેલના પાછા નવા પ્રશ્નો છે. કૉલેજનાં એડમિશન થયાં હોય એ પહેલાં તો બીજી હૉસ્ટેલની ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂરી થઈ જાય! અને કૉલેજના એડમિશન વગર હોસ્ટેલનું ફોર્મ ભરી ના શકાય.

તંત્રના ધ્યાને આ વાત અનેક વાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ સંકલનનો અભાવ ખાળવા કોઈ પગલાં નથી. ભલેને નીરજ જેવા હજારો નીરજો રઝળપાટ કર્યા કરે. 

E-mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 24

Loading

...102030...3,3103,3113,3123,313...3,3203,3303,340...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved