Opinion Magazine
Number of visits: 9584030
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણું યુનિવર્સલ માઇન્ડ બસવ, બિરસા અને અંબર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 August 2017

સ્વિસ મનોશાસ્ત્રી કાર્લ ગુસ્ટાફ યુંગે સામૂહિક અચેતન(કલેક્ટિવ અનકોન્સિયર્સ)ની ધારણા આપી હતી. યુંગના કહેવા પ્રમાણે સ્મૃિતઓના સંસ્કાર માણસને વારસામાં મળે છે. માણસનો સામાજિક અને સાંસ્કૃિતક વિકાસ એને સામૂહિક અચેતન મારફતે મળેલા સંસ્કાર ઉપર નિર્ભર હોય છે. યુંગે કહ્યું હતું કે આ સામૂહિક અચેતન જ માનવજાતિનો ઇતિહાસ છે. એની શરૂઆત જ માનવજાતિના આરંભથી થઇ હતી અને એ દરેક વ્યક્તિમાં આગળ વધતો રહે છે.

યુંગથી ય પહેલાં, અમેરિકન નિબંધકાર અને કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સને સકળ માનસ(યુનિવર્સલ માઇન્ડ)ની વાત કરીને ઇતિહાસની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે, ‘ઇતિહાસ જેવું કંઈ હોતું નથી. જે હોય છે તે માત્ર જીવનચરિત હોય છે.’ સામાન્ય રીતે ઇતિહાસનો અર્થ સમાજ કે દેશની મહત્ત્વપૂર્ણ, વિશિષ્ઠ અને સાર્વજનિક ક્ષેત્રની ઘટનાઓનું કાળક્રમ પ્રમાણે લખાયેલું વિવરણ એવો થાય છે. હકીકતો અને પ્રસંગોનું ક્ષમાનુસાર દસ્તાવેજીકરણ એટલે ઇતિહાસ એવી આપણી સાદી સમજ છે.

ઇમર્સને કહ્યું કે, ‘ઇતિહાસ એ યુનિવર્સલ માઇન્ડનો રેકોર્ડ છે અને પ્રત્યેક વ્યક્તિગત અનુભવોમાં એ યુનિવર્સલ માઇન્ડની છબી હોય છે.’ મતલબ કે તમે જ્યારે કોઇ એક વ્યક્તિનું જીવનચરિત વાંચો છો ત્યારે એમાં તમને યુનિવર્સલ માઇન્ડની ઝલક જોવા મળે છે. આ યુનિવર્સલ માઇન્ડ વાચકમાં પણ ધબકતું હોવાથી એ જીવનચરિતમાં વાચકને પોતાની વાત પણ જાણવા મળતી હોય છે. એટલા માટે, ઇમર્સને કહ્યું હતું તે પ્રમાણે, જીવનચરિતોનું વાંચન એ ઇતિહાસનું જ વાંચન છે. આપણે જ્યારે ઇતિહાસ વાંચીએ છીએ ત્યારે તારીખ અને તવારીખ જ વાંચતા નથી, આપણે ઇતિહાસની વ્યક્તિના અનુભવો વાંચીએ છીએ.

ઇમર્સને 19મી સદીના અમેરિકાને ધ્યાનમાં રાખીને ઇતિહાસને કોરા દસ્તાવેજને બદલે ઐતિહાસિક શખ્સીયતોના જીવન સાથે જોડીને વ્યાખ્યાઇત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં આ રીતે ઇતિહાસ લખાતો નથી. ભારતમાં આજેય ઐતિહાસિક પાત્રોને બદલે ઐતિહાસિક પ્રસંગોના પ્રિઝમમાંથી ભૂતકાળને જોવામાં આવે છે.

ભારતમાં સાહિત્યના એક પ્રકાર તરીકે જીવનચરિત્ર અને આત્મચરિત્રનો વિકાસ થયો નથી એનું કારણ એ છે કે પંડિતો અને વિદ્વાનો એને સામાજિક ઇતિહાસના ગંભીર અધ્યયનનો વિરોધી પ્રકાર ગણે છે. જેને કથાત્મક ઇતિહાસ કહે છે તે ભારતમાં ગાયબ છે. આ જ કારણથી ભારતમાં આઝાદી પહેલાંના શાસકોનું અપ-ટુ-ડેટ અને ફર્સ્ટ ક્લાસ જીવનચરિત્ર લખાયું નથી.

ઘટનાત્મક ઇતિહાસની મુશ્કેલી એ છે કે તમે કઇ ઘટનાને હકીકત તરીકે સ્વીકારો છો તેના ઉપર ઇતિહાસનું સ્વરૂપ નિર્ભર હોય છે. દાખલા તરીકે બે દિવસ પછી આપણે આઝાદીનાં ગાન ગાઇશું. આપણો ભૂતકાળ કેટલો મહાન હતો અને ભવિષ્ય કેટલુ઼ં ઉજ્જ્વળ છે, એના અહેસાસમાં આપણે ગદ્્ગદિત થઇશું. આપણે આપણી મહાન સિદ્ધિઓનું લિસ્ટ વાંચીને અાપણી કામયાબી ઉપર ગર્વ અનુભવીશું. ફેર ઇનફ. આ બધું કરવું જોઇએ, પરંતુ સાથે હકીકત એ પણ છે કે ભારત જેને ઇતિહાસ ગણે છે તેને પાકિસ્તાન ઇતિહાસ નથી ગણતું અને ભારતમાં ય ‘ઇતિહાસ માર્ક્સવાદીઓ અને સામ્યવાદીઓએ લખેલો છે’ એવું કહીને ઇતિહાસને ફરી લખવાની ઝુંબેશ શરૂ થઇ છે.

ઘટનાત્મક ઇતિહાસને બદલે કથાત્મક ઇતિહાસ વધુ અધિકૃત, ઠોસ અને જીવંત હોય છે તેવા ખયાલ સાથે જ ઇતિહાસકાર સુનીલ ખિલનાનીએ ‘ઇન્કાર્નેશન્સ: ઇન્ડિયા ઇન 50 લાઇવ્સ’ નામનું એક પુસ્તક ગયા વર્ષે લખ્યું હતું. આ પુસ્તકમાં ગૌતમ બુદ્ધના આધ્યાત્મવાદથી લઈને ધીરુભાઈના મૂડીવાદની એવી અલગ અલગ કહાનીઓ, જે ખાલી વાર્તાવૈભવ જ નથી, પણ 2,500 વર્ષના ભારતીય ઇતિહાસની કલેક્ટિવ અનકોન્સિયસ પણ છે.

ખિલનાની એની પ્રસ્તાવનામાં લખે છે, ‘આશ્ચર્યની વાત છે કે ભારતીય ઇતિહાસ જનશૂન્ય છે. એમાં રાજવંશો છે, યુગો છે, ધર્મ સંપ્રદાયો છે અને જાતિઓ છે, પણ શખ્સીયતો નથી.’ શખ્સીયતોની બીજી મુસીબત એ પણ છે કે ક્યાં તો એ એક અંતિમ ઉપર ચોકસાઇ-ચકાસણી બહાર ઈશ્વર બની ગઇ છે અથવા તો બીજા અંતિમ ઉપર, અક્ષમ્ય અસુર બની ગઇ છે.

ખિલનાનીએ આ પુસ્તકમાં દક્ષિણ એશિયાની એવી 50 શખ્સીયતોની સામાજિક-ધાર્મિક-રાજકીય કથાઓ માંડી છે, જે ભારતને ભારત બનાવે છે. એમાં રાજાઓ, સુલતાનો, રાજકુમારો, રાજકારણીઓ, ગણિતજ્ઞો, ઓરિએન્ટલિસ્ટ, ચિકિત્સકો, સ્વાતંત્રય સેનાનીઓ, ક્રિકેટરો, વિચારકો, કલાકારો અને કવિઓનો કેલિડોસ્કોપ છે.

અેમાં બુદ્ધ અને અકબર અને ગાંધી જેવી સુપરિચિત શખ્સીયતો છે જ, સાથે અનોખી અજ્ઞાત વ્યક્તિઓ પણ છે. તમે 12મી સદીના કન્નડ કવિ અને સમાજ સુધારક બસવન્નાનું નામ સાંભળ્યું છે? ભારતના કવિઓ, લેખકો અને નાટ્યકારોની પેઢી દર પેઢી હિન્દુ ધર્મની કુરીતિઓ અને જાતિ વ્યવસ્થાના આ વિરોધી સુધારક બસવાથી પ્રભાવિત થઈ છે. ખિલનાની આ બસવાના પ્રદાનની વાત કરે છે.

એમાં ઝારખંડમાં ભગવાન તરીકે પૂજાતા આદિવાસી જનનાયક બિરસા મુંડા(1875-1900)ની વાત છે. અંગ્રેજો સામે લડનારાઓની તો ઘણી કથાઓ છે. પરંતુ 1897થી 1900 વચ્ચે 400 આદિવાસી સૈનિકોએ તીર-કામઠાં લઇને અંગ્રેજોના નાકમાં દમ કરી નાખ્યો હતો. તેનો સરદાર આ બિરસા હતો જે આજે ભુલાઇ ગયો છે.

તમને 1983માં અમદાવાદમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી ક્રિકેટ મેચ યાદ છે? સુનિલ ખિલનાનીએ આ મેચ જોઇ હતી, અને એ પણ જોયું હતું કે કેવી રીતે ફિલ્ડિંગ કરવા આવેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમ ઉપર કેળાં ફેક્યાં હતાં અને કેવી રીતે સ્ટેડિયમ ‘હબસી … હબસી’ના નારાથી ભરાઇ ગયું હતું.

એને યાદ કરીને ખિલનાની લખે છે કે આ હબસી શબ્દ ભલે અરબી-ફારસી અબેસિયન ઉપરથી આવ્યો હોય, પણ ભારતમાં એનો એક ગુમનામ ઇતિહાસ છે તે આજે ભુલાઇ ગયો છે. 16મી અને 17મી સુદીમાં આફ્રિકન ગુલામો માત્ર પશ્ચિમના જગતમાં જ ગયા હતા એવું નથી. આફ્રિકન હબસીઓ ભારતમાં દખ્ખણના પહાડોમાં જામેલા ખાનગી-સાર્વજનિક સૈન્યોમાં ભરતી થવા માટે પણ ‘નિકાસ’ થયા હતા.

સુનિલ ખિલનાની આવી જ રીતે દાસ બનીને દખ્ખણના નિઝામશાહના રાજ્યમાં આવેલા મલિક અંબરનો ઇતિહાસ યાદ કરે છે. ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું તે પહેલાં દક્ષિણમાં મુઘલ શાસન માટે અભિશાપ બનનાર આ હબસી ગુલામ મલિક અંબર પણ ખોવાઇ ગયો છે. બચપણમાં બગદાદ અને ત્યાંથી નિઝામ પ્રથમના મંત્રી ચંગેઝ ખાનની પનાહમાં આ મલિક અંબર એક ચતુર વ્યૂહરચનાકાર, કાર્યકુશળ અને સાહસિક સચિવ તરીકે ઊભર્યો હતો. 1601માં પહેલીવાર એના નામનો સિક્કો ગુંજ્યો હતો. જ્યારે એણે મુઘલ સેનાને દોલતાબાદમાં હરાવી હતી. મુઘલોને આ શિકસ્તને કારણે જ મલિક મરાઠાઓનો ‘સૈન્ય ગુરુ’ બની ગયો હતો.

આજે ભારતમાં ઇતિહાસને બદલવાની કે ફરીથી લખવાની કોશિશ થઇ રહી છે ત્યારે સુનિલ ખિલનાનીએ પેશ કરેલાં આવાં અનેક ચરિત્રો આપણને એ વિચારવા પ્રેરે છે કે આપણને ખબર છે ખરી કે ભારતની સાર્વજનિક ચેતનામાં કેટ-કેટલા નામી-અનામી લોકોની જિંદગી વસેલી છે?

15મી ઑગસ્ટ નજીકમાં જ છે. ક્યાંકથી મળે તો આ ‘ચેતનાની ચોપડી’ વાંચવા જેવી છે. વાંચજો.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 14 અૉગસ્ટ 2017

Loading

મરાઠા મોરચા, નવ ઑગસ્ટ ને ગાંધીજી

રમેશ ઓઝા|Opinion - Opinion|17 August 2017

તમારી અંદર કોણ બેઠું છે? હિન્દુ, મુસલમાન, જૈન, મરાઠા, બ્રાહ્મણ, ગુજરાતી, શાકાહારી કે પછી બીજું કોઈ? હવે તમારી જાતને સવાલ કરો કે તમે કોને-કોને ધિક્કારો છો? હવે તમારી જાતને પૂછો કે તમે દિવસમાં કેટલી વાર ઓળખ બદલો છો? હવે તમારી જાતને તપાસો કે તમે દિવસમાં કેટલો સમય ભારતીય હો છો? હવે તમે તમારી જાતને પૂછો કે જીવનમાં કેટલા પ્રસંગે શુદ્ધ ભારતીય તરીકે વત્ર્યા છો? અકળાવનારા પ્રશ્નો છે, પણ તપાસતા જાઓ. આનાથી ફાયદો એ થશે કે ગાંધીજીનું મહત્ત્વ સમજાશે અને માણસ બનવામાં એ ઉપયોગી થશે

૯ ઑગસ્ટે ભારત છોડો આંદોલનની ૭૫મી વર્ષગાંઠના દિવસે મરાઠાઓએ મોરચો કાઢ્યો હતો. તેઓ એક વરસથી મહારાષ્ટ્રનાં જુદાં-જુદાં શહેરોમાં મોરચાઓ કાઢી રહ્યા છે અને દરેક મોરચો સંખ્યાની અને આયોજનની દૃષ્ટિએ સુપર-ડુપર સફળ રહ્યો છે. ગયા વરસે મુંબઈ છોડીને મહારાષ્ટ્રનાં લગભગ તમામ શહેરોમાં ભવ્ય મોરચા કાઢ્યા પછી આયોજકોએ લાંબો વિરામ આપ્યો હતો. તેઓ ૯ ઑગસ્ટે ભારત છોડો આંદોલનના અમૃત મહોત્સવના દિવસે મુંબઈમાં મોરચો કાઢવા માગતા હતા. તેમણે ૯ ઑગસ્ટ શા માટે પસંદ કરી એ સમજાતું નથી; કારણ કે ૯ ઑગસ્ટના મેસેજમાં અને મરાઠાઓના મોરચાના મેસેજમાં કોઈ સમાનતા નથી, બલ્કે એની વિરુદ્ધ છે. હશે, દરેકને પોતાને ગમે એવી તિથિ નક્કી કરવાનો અધિકાર છે.

મરાઠાઓના મોરચામાં આઠ લાખ મરાઠાઓએ ભાગ લીધો હતો અને તેઓ જે ટોપી પહેરે છે એના પર લખ્યું હોય છે : એક મરાઠા લાખ મરાઠા. અહીં ગણિતનો ઉપયોગ ન કરતા, તેઓ જે ઇશારો કરવા માગે છે એ સમજવાનો છે. એટલે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તેમના બીજા પ્રધાનો સહિત જ્યાં મોરચો વિરામ પામ્યો હતો એ આઝાદ મેદાન દોડી આવ્યા હતા અને મરાઠાઓની બધી માગણીઓ ત્યાં ને ત્યાં જ માન્ય રાખી દીધી હતી. મુખ્ય માગણી અનામતની જોગવાઈની છે અને એમાં સર્વોચ્ચ અદાલત મરાઠાઓની પછાત હોવાની લાયકાત માન્ય રાખતી નથી એટલે મહારાષ્ટ્ર સરકાર હવે પછી સર્વોચ્ચ અદાલતમાં એવી રીતે દલીલ કરશે અને પુરાવાઓ રજૂ કરશે જેથી મરાઠાઓ બિચારા ગરીબ, લાચાર અને પછાત લાગે. મુખ્ય પ્રધાને આઠ લાખ મરાઠાઓને મીડિયાની હાજરીમાં આવું વચન આપ્યું છે.

ભારતમાં જો બ્રાહ્મણો, નાગરો, કાયસ્થો, સારસ્વતો, ચેટિયારો, પારસીઓ, ઍન્ગ્લો-ઇન્ડિયનો, વિજય માલ્યા સહિતના ઉદ્યોગપતિઓ, વરસે બે-પાંચ કરોડનો પગાર લેનારા પ્રોફેશનલો, નૉન-રેસિડન્ટ ઇન્ડિયનો વગેરે સંપીને સંખ્યાબળનું પ્રદર્શન કરે તો સરકાર તેમના પગમાં પડીને તેમને પણ જેનો હાથ પકડવો પડે એવા ગરીબ લાચાર અને પછાત જાહેર કરવા તૈયાર છે. ભારતના શાસકોમાં કરોડરજ્જુ નથી અને ૧૯૪૨ની ૯ ઑગસ્ટે ભારતના લોકોએ ભરયુદ્ધ વચ્ચે કરોડરજ્જુનું પ્રદર્શન કર્યું હતું. આ ફરક છે બે મેસેજમાં. એક તરફ આઝાદ ભારતમાં એક સમાજ નાગાઈનું શક્તિપ્રદર્શન કરે અને શાસકો તેમની સંખ્યાશક્તિ જોઈને પગમાં પડી જાય અને બીજી બાજુ ૭૫ વરસ પહેલાં ગુલામ પ્રજા ગોવાલિયા ટૅન્કમાં (અત્યારે ઑગસ્ટ ક્રાન્તિ મેદાન) આત્મબળનું પ્રદર્શન કરે અને વિદેશી શાસકોને ઝૂકવું પડે.

૧૯૧૫ની ૯ જાન્યુઆરી(ગાંધીજીનું ભારતમાં આગમન)થી લઈને ૧૯૪૨ની ૯ ઑગસ્ટનાં ૨૭ વરસમાં ભારતની પ્રજાએ જે વૈયક્તિક અને સંગઠિત આત્મશક્તિનું પ્રદર્શન કર્યું એનું શ્રેય મોહનદાસ કરમચંદ ગાંધીને જાય છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર તેમણે ભારતની પ્રજાને ભારતીય તરીકે સંગઠિત કરી હતી. આ પહેલાં આવું ક્યારે ય બન્યું નહોતું. ભારતીય તરીકેની ઓળખ જ ભારતમાં વિકસી નહોતી. અંગ્રેજો આવ્યા પછી વિકસી તો ખરી, પણ સંગઠિત થતાં ભારતની પ્રજાને આવડતું નહોતું. ગાંધીજીના આગમન પહેલાં દરેક નેતા અને દરેક પક્ષ કોઈ ને કોઈ સમાજવિશેષનું રાજકારણ કરતા હતા. એને લીધે અંગ્રેજોને ભાગલા પાડીને રાજ કરવાનો મોકો મળ્યો હતો.

ભાગલા માત્ર ધર્મઆધારિત નહોતા; જ્ઞાતિ, આર્ય ભારત-દ્રવિડ ભારત, ભાષા અને કસ્ટમ (રીતિ-રિવાજો) આધારિત પણ હતા. ગાંધીજીને સમજાઈ ગયું હતું કે આ પરચૂરણમાંથી આખો રણકદાર રૂપિયો ઘડવામાં નહીં આવે ત્યાં સુધી અંગ્રેજોની ધૂર્તતા સામે ભારતીયો ફાવવાના નથી અને ભારતને આઝાદી મળવાની નથી. હવે આ કરવું કેવી રીતે? ભારતની પ્રજાએ ભારતીય તરીકેની ઓળખ એના ઇતિહાસમાં ક્યારે ય વિકસાવી જ નથી. અંગ્રેજોના આગમન પછી પાશ્ચાત્ય શિક્ષણના કારણે ભારતીય તરીકેની થોડીઘણી ઓળખ વિકસી છે, પરંતુ ભારતની પ્રજાને સંગઠિત થતાં આવડતું નથી. જેનો જન્મ જ કોઈ ખાસ ધર્મ અને જ્ઞાતિમાં થયો હોય, જેનો ઉછેર ચોક્કસ સમાજવિશેષના મોહલ્લામાં થયો હોય, જેને ગળથૂથીમાં ચોક્કસ પરિવેશના સંસ્કાર મળ્યા હોય એમાંથી ભારતીયનું ઘડતર કરવું એ અઘરું કામ હતું. ભારતમાં ભાષાઆધારિત પ્રદેશો, પ્રદેશોમાં ઉપપ્રદેશો, ઉપપ્રદેશોમાં ગામડું અને ગામડામાં ધર્મ કે જ્ઞાતિઆધારિત શેરીઓ, શેરીઓની સાંસ્કૃિતક સ્વાયત્તતા અને એકપક્ષીય શોષણનો આર્થિક ઢાંચો.

આવા ટિપિકલ સમાજમાં ઊછરેલા ભારતીયને શેરીમાંથી ઊંચકીને એનો ચેતોવિસ્તાર કરવો અને એને સાચા અર્થમાં ભારતીય અને હજી આગળ જઈને વૈશ્વિક બનાવવો એ ભગીરથ કામ કતું. ગાંધીજીએ ચોક્કસ સમાજવિશેષના ફળિયામાં ઊછરેલા માણસનું ફળિયું વૈશ્વિક બનાવી દીધું હતું. વસુધૈવ કુટુમ્બકમની વાત તો આપણે ત્યાં કહેવાઈ હતી, પરંતુ ચાતુવર્‍ણ્યના કારણે કુંઠિત થયેલો સમાજ એના કરતાં ક્યાં ય દૂર જતો રહ્યો હતો. ગાંધીજીએ ચેતોવિસ્તાર કર્યો અને આપણી ક્ષિતિજ વિસ્તારી આપી.

મને ખબર છે કે તમને ગાંધીજી સામે ઘણા વાંધા છે, પરંતુ તમે ક્યારે ય વિચાર્યું છે ખરું કે તમને ન ગમતા હોવા છતાં જગત આખામાં ગાંધીની વાત કેમ થઈ રહી છે? સરેરાશ મહિને બે પુસ્તક જગતની કોઈ ને કોઈ ભાષામાં ગાંધીજી પર પ્રકાશિત થાય છે. આધુનિક યુગમાં થયેલા મહાનુભાવોમાં સૌથી વધુ ચર્ચાતો માણસ ગાંધી છે. કોઈ કલાપ્રકાર અને વિશ્વમાં કોઈ મેધાવી કલાકાર નથી જેણે ગાંધીજીને ન સ્પર્ષ્યા હોય. એવું શું છે ગાંધીમાં કે તમે ભૂલી જવા માગો છો, પણ જગત એને ભૂલવા દેતું નથી એનો ક્યારે ય તમે વિચાર કર્યો છે? તમે જેના તરફ નજર કરવા માગતા નથી તે લગભગ રોજ કોઈ ને કોઈ જગ્યાએ તમને કોઈ ને કોઈ સ્વરૂપમાં ભટકાઈ જાય છે એનો અનુભવ તો તમને થતો જ હશે.

જો ગાંધીથી બચી શકાતું ન હોય તો ગાંધીને અપનાવી લેવા જોઈએ એવો દેખીતો ઉત્તર કોઈ આપી શકે, પરંતુ તમે તો ગાંધીને અપનાવવાની જગ્યાએ ધરાર નકારો છો. આવી ધરાર નકારવાની માનસિકતા તમારી અંદર કેમ છે એવો પ્રશ્ન તમારા મનમાં જાગ્યો છે ખરો? અને જો જાગ્યો છે તો એનો ઉત્તર શોધ્યો છે ખરો? જો ઉત્તર ન શોધ્યો હોય તો માણસ તરીકેની તમારી ફરજ છે કે તમારે એનો ઉત્તર શોધવો જોઈએ. નક્કર કારણ વિના કોઈને નકારવા અને ધિક્કારવા એ માણસાઈનો અભાવ છે. શા માટે તમે ગાંધીને નકારો છો અને ધિક્કારો છો એ વિશે સાંગોપાંગ વિચાર કર્યો છે ખરો?

મરાઠા મોરચામાં આનો ઉત્તર મળી રહેશે. મેં પ્રારંભમાં જ પ્રશ્ન કર્યો છે કે ૯ ઑગસ્ટે મોરચો કાઢવાનું શું પ્રયોજન જ્યારે બે ઘટના જ અલગ પ્રકારની છે અને મેસેજ અલગ છે. ૯ ઑગસ્ટે ગાંધીજીએ આપણો ચેતોવિસ્તાર કરીને આપણને ફળિયામાંથી ઉપાડીને ભારતીય અને પછી વૈશ્વિક બનાવી દીધા. આપણી અંદર એકલી ખુમારી પેદા કરી આપી કે ભારતીય પ્રજાએ ૧૯૪૨ની ૯ ઑગસ્ટે અંગ્રેજોને કહી દીધું કે ચલે જાઓ હવે. ૭૫ વરસ પછી એ જ ઐતિહાસિક દિવસે મરાઠાઓ વૈશ્વિક તો દૂર ભારતીય મટીને મરાઠા બનવા માગે છે અને શાસકો ઘૂંટણિયે પડીને કહે છે કે હા, અમે તમે જે કહેશો એ કરીશું. આવી ઊંધી દિશાની યાત્રા કેમ શરૂ થઈ?

કારણ એ છે કે સરેરાશ ભારતીયને ભારતીય બનવું ગમતું નથી. હિન્દુ બની રહેવામાં, મુસલમાન બની રહેવામાં, બ્રાહ્મણ બની રહેવામાં, મરાઠા બની રહેવામાં, મરાઠી કે ગુજરાતી બની રહેવામાં, આર્ય બની રહેવામાં કે દ્રવિડ બની રહેવામાં અને દલિત સુધ્ધાં બની રહેવામાં ફાયદાઓ છે. પહેલો ફાયદો એ કે આપણી સામે બીજા હોય તો બીજા સામે રોષ ઠાલવી શકાય અને સાચાખોટા કોઈ પણ અનર્થ માટે બીજાને જવાબદાર ઠેરવી શકાય. હાથ ખંખેરવા માટે બીજાનો ઉપયોગ કરી શકાય. બીજો ફાયદો એ કે બીજાની સામે આપણને સંગઠિત કરીએ તો નાગાઈ કરીને ઓછી મહેનતે લાભ મેળવી શકાય. ત્રીજો ફાયદો એ કે કહેવાતી અસ્મિતાના રક્ષણના નામે આધુનિક મૂલ્યવ્યવસ્થા અને આધુનિક રાજ્યના કાયદાઓથી બચી શકાય છે. તેઓ પોતાના હિતમાં પુરુષપ્રધાન સામંતી (ફ્યુડલ) વ્યવસ્થા જાળવી રાખવા માગે છે એટલે તેઓ સંગઠિત થઈને એનો પ્રતિકાર કરે છે. ચોથો અને સૌથી મોટો ફાયદો એ કે માણસ બનવાની જવાબદારીથી બચી શકાય છે.

સરેરાશ ભારતીય નાગરિકને માણસ હોવાની જવાબદારીથી બચવું છે અને ગાંધીજી એમાં આડા આવે છે. ગાંધીજી માટેના અણગમાનું મુખ્ય કારણ આ છે. જો ભારતીય અને વૈશ્વિક બની જઈએ તો જવાબદાર કોને ઠેરવવો, ગુસ્સો કોની સામે કાઢવો, નાગાઈ કોની સામે કરવી, વેવલાવેડા કોની સામે કરવા, અંચઈ કોની સામે કરવી, શોષણ કોનું કરવું જેવા કવરાવનારા પ્રશ્નો ઉપસ્થિત થાય. જો અલગ ચોકો માંડીને ક્યારેક રડીને અને ક્યારેક રિસાઈને છટકી શકાતું હોય અને કાંઈક પામી શકાતું હોય તો માણસ બનવાની ઝંઝટમાં ક્યાં પડવું. મરાઠા મોરચામાં રડવાનાં અને રીસવાનાં બન્ને તત્ત્વો હતાં અને મુખ્ય પ્રધાન તેમને છાના રાખવા અને રાજી કરવા પહોંચી ગયા હતા.

તો ગાંધીજી માટેના અણગમા માટેનું પહેલું કારણ એ છે કે આપણે પહેલાં ભારતીય અને આગળ જતાં માણસ બનવા માગતા નથી. સંગઠિત થઈને જો અનાડી ર્કોટ ચલાવી શકાતી હોય અને માફક આવે એવો ચુકાદો આપી શકાતો હોય કે લાભ મેળવી શકાતો હોય તો શા માટે કાયદાના રાજની મર્યાદામાં જીવવું? એમાં તો બધા સમાન, કાયદો સમાન, કાયદા સામે બધા સમાન જેવી કંઈકેટલીયે વિવેકની મર્યાદાઓ છે. અમે કહીએ એ સત્ય અને અમે કહીએ એ ન્યાયના અનાડીપણાની વચ્ચે ગાંધીજી આવે છે એટલે આપણને ગાંધીજી ગમતા નથી. ગાંધીજી માટેના અણગમાનું બીજું કારણ એ છે કે ભારતમાં મોટા ભાગના રાજકીય પક્ષોને ગાંધીજી માફક આવતા નથી. કોઈને ધર્મનું રાજકારણ કરવું છે, કોઈને જ્ઞાતિનું કરવું છે, કોઈને પ્રાંતનું કરવું છે, કોઈને ભાષાનું કરવું છે, કોઈને દ્રવિડ સંસ્કૃિતનું કરવું છે. એમ બે-ચાર પક્ષો છોડીને તમામ પક્ષો સંકુચિત રાજકારણની નાની દુકાન ચલાવવા માગે છે.

હવે અસ્મિતાઓનું સંકુચિત રાજકારણ જેને કરવું હોય એને ચાર ચીજની જરૂર પડે. એક, દુશ્મન. બે, દુશ્મન સામેનો દુશ્મનીનો ઇતિહાસ પછી ભલે ખોટો હોય. ત્રણ, વિક્ટિમ (બીજાના દુષ્કૃત્યનો શિકાર) હોવાની માનસિકતા અને ચાર, આપણે મહાન હોવાની ઘૂંટી-ઘૂંટીને પેદા કરવામાં આવેલી ધારણા. હવે તમે જ કહો ગાંધીજી આવા લોકોને માફક આવે ખરા? ગાંધીજી તેમને પરવડતા નથી એટલે તેઓ ગાંધીજી સામે કુપ્રચાર કરે છે જેથી લાંબા સમય સુધી હિન્દુ કે મરાઠા કે પછી જે હોય તેને ભારતીય તેમ જ એકંદરે માણસ બનતો રોકી શકાય અને તેને ડરાવીને સત્તા ભોગવી શકાય. આ માટે આયોજનપૂર્વક જૂઠો પ્રચાર કરીને ગાંધીજીને બદનામ કરવામાં આવે છે. હિન્દુત્વવાદીઓ આમાં અગ્રેસર છે, કારણ કે તેમનો ભારતીય સમાજમાં અને સત્તામાં દાવો મોટો છે. જેટલો મોટો દાવો એટલો મોટો કુપ્રચાર.

હવે તમે તમારી જાતને પૂછો કે તમારી અંદર કોણ બેઠું છે? હિન્દુ, મુસલમાન, જૈન, મરાઠા, બ્રાહ્મણ, ગુજરાતી, શાકાહારી કે પછી બીજું કોઈ? હવે તમારી જાતને સવાલ કરો કે તમે કોને-કોને ધિક્કારો છો? હવે તમારી જાતને પૂછો કે તમે દિવસમાં કેટલી વાર ઓળખ બદલો છો? (ક્યારેક હિન્દુ, ક્યારેક સ્વામીનારાયણી, ક્યારેક ગુજરાતી વગેરે.) હવે તમારી જાતને તપાસો કે તમે દિવસમાં કેટલો સમય ભારતીય હો છો? હવે તમે તમારી જાતને પૂછો કે જીવનમાં (આઇ રિપીટ જીવનમાં) કેટલા પ્રસંગે શુદ્ધ ભારતીય તરીકે વત્ર્યા છો? અકળાવનારા પ્રશ્નો છે, પણ તપાસતા જાઓ. આનાથી ફાયદો એ થશે કે ગાંધીજીનું મહત્વ સમજાશે અને માણસ બનવામાં એ ઉપયોગી થશે.

તો વાત એમ છે કે ગાંધીજીએ ક્ષિતિજ વિસ્તારી આપી અને આપણને વ્યાપકતાનો ડર લાગે છે. ૯ ઑગસ્ટ જેવા ઐતિહાસિક દિવસે મરાઠા તરીકે પ્રોજેક્ટ કરવામાં સંકોચ સુધ્ધાં ન થાય એટલી હદે આપણે અવળી દિશામાં પ્રગતિ કરી છે. એટલે તો ગાંધીજી આપણને ગમતા નથી અને ગાંધીજીથી બચી શકાતું પણ નથી. અપરાધબોધ પડછાયાની જેમ સાથે રહે છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉગસ્ટ 2017

Loading

વિશ્વવિદ્યાલય પરિસરમાં સેના-વિચક્રી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|12 August 2017

નૅશનલ ડિફેન્સ ઍકેડેમીની પદવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જે.એન.યુ.) આપે છે. આમ કરવાનું જે વ્યક્તિને સૂઝ્યું તેનામાં વિધિની વક્રતાને પહેલેથી જ પામી જવાની દૂરદૃષ્ટિ હોવી જોઈએ. લશ્કર અને જે.એન.યુ. વચ્ચે ચૉક ઍન્ડ ચીઝ જેટલો અર્થાત્‌ જમીન આસમાનનો તફાવત છે. યુનિવર્સિટી મિલિટરી સાયન્સનું શિક્ષણ આપતી નથી કે લશ્કરી તાલીમ પણ આપતી નથી, છતાં તે આ વિષયોમાં સ્નાતકની પદવી આપે છે.

એટલે કોઈ વિષયનું શિક્ષણ આપ્યા વિના તેની પદવી આપવાના આ વિરોધાભાસને દૂર કરવાના હેતુથી જે.એન.યુ.ના વાઇસ-ચાન્સેલર એમ. જગદેશકુમાર એક સરસ પ્રસ્તાવ લાવ્યા છે. યુનિવર્સિટીના પરિસરમાં કોઈક જગ્યાએ એક સેના-દ્વિચક્રી અર્થાત્‌ આર્મી ટૅન્ક ગોઠવવાનું તેમણે સૂચવ્યું છે. તેનાથી વિશ્વવિદ્યાલય અને યુનિવર્સિટી દળો વચ્ચે એક મજબૂત જોડાણ સંધાશે.

આ વિચાર બળવાન છે, પણ માણસે આટલેથી જ અટકી ન જવું જોઈએ. જે.એન.યુ.માં ઉચિત જગ્યાએ ફાઇટર એરક્રાફ્ટ અર્થાત્‌ યુદ્ધ વિમાન પણ ગોઠવવું જોઈએ. આમ કરવાથી વાયુ દળને યથોચિત સ્થાન મળશે. આપણા સંરક્ષણ દળની ત્રીજી પાંખને પણ ઉપેક્ષાભાવ ન લાગવો જોઈએ એટલે નૌકાદળનું એક જહાજ પણ કૅમ્પસમાં ક્યાંક મુકાવું જોઈએ. ખરેખર તો લશ્કરમાં ઉપયોગમાં ન લેવાતું હોય તેવું એક એરક્રાફ્ટ કૅરિયર જો ફાળવી શકાય તો એનો ઉપયોગ રમતના મેદાન તરીકે પણ થઈ શકે. જો કે, આટલાં કામ યુનિવર્સિટીને લશ્કરી શિક્ષણ માટેનાં કેન્દ્ર તરીકેનું સ્થાન અપાવવા માટે પૂરતાં નથી. આ યુનિવર્સિટીમાં ઝાડપાન, વૃક્ષવનસ્પતિનો મોટો વિસ્તાર છે, જે જંગલમાં ખેલાતા યુદ્ધની તાલીમ માટેની ઉત્તમ જગ્યા બની શકે. વર્ગમાં દેશભક્તિનું સિંચન થતું હોય અને પરિસરના ગાઢ હરિત વિસ્તારમાંથી શસ્ત્રનાદનો પ્રતિધ્વનિ થતો હોય તો પ્રેરણાદાયી વાતાવરણ સર્જાય.

રાષ્ટ્રવાદની ચેતનાનું વધુ સિંચન કરવા માટે પ્રોફેસરોને સૈન્યનાં પદ આપી શકાય. તેમણે અધ્યાપનના કર્તવ્ય દરમિયાન સૈન્યનો યુદ્ધ ગણવેશ પહેરવો જોઈએ. તેમની પાસે જાતભાતની પિસ્તોલ હોવી જોઈએ. પણ તેમને એ આપતાં પહેલાં એની કઈ બાજુથી ગોળી ચલાવવી એ અંગે વાકેફ કરવા જોઈએ. અધ્યાપક માટે ‘ઇન્સ્ટ્રક્ટર’ અને વિદ્યાર્થી માટે ‘કૅડેટ’ એવા શબ્દો વાપરવા જોઈએ. કાળી ટોપી, સફેદ ખમીસ અને  બ્રાઉન કહેતાં તપખિરિયા રંગનું પાટલૂન સહુથી યોગ્ય ગણાય. વિદ્યાર્થીઓનો દિવસ સૂર્ય-નમસ્કારથી શરૂ થવો જોઈએ અને તેમણે તેમના વરિષ્ઠોને સલામ કરવાની થાય, પણ પાશ્ચાત્ય ઢબે નહીં. પ્રણામ અથવા દંડવત્‌ જેવું કંઈક કરવામાં આવે તો આપણી પ્રાચીન સંસ્કૃિતના ગૌરવનો ખ્યાલ જળવાય.

આમ આંતર્બાહ્ય નવો વેશ ધારણ કરેલા યુનિવર્સિટી કૅડેટ્‌સે એક સરખું વિચારવાનું હોય. કોઈ પણ પ્રકારની અસંમતિ એ ગેરશિસ્ત ગણાશે. ઉપનિષદની પ્રશ્નપરંપરાને સાંપ્રતમાં અપનાવવામાં આવશે તો આપણે  મુસીબતમાં મુકાઈશું.

વિદ્યાર્થીઓ સ્વતંત્ર અને મૌલિક રીતે વિચાર કરતા થાય તે જોવાનું કામ યુનિવર્સિટીઓનું નથી. વળી, જે.એન.યુ.ના કૅમ્પસમાં જ લશ્કરી ટેન્ક ગોઠવાયેલી હોવાથી દેશને હવે થિન્ક ટૅન્ક્‌સની જરૂર નહીં પડે. એટલે હવે દેશની બધી થિન્ક ટૅન્ક્‌સનો નિકાલ કરી દેવો જોઈએ. એનાથી બિગ બ્રધર બહુ ખુશ થશે. જે.એન.યુ.ના વાઇસ-ચાન્સેલર પાસે એક મહાન વિચારબીજ છે. એ બીજને જો જે.એન.યુ. ઉપરાંત બીજાં વિદ્યાકેન્દ્રોમાં પણ રોપવામાં આવે તો ભારતના શિક્ષણની કાયાપલટ થશે.

સ્પષ્ટતા : આ લેખ તમને મલકાવવા માટે છે. વાસ્તવિક જિંદગીના બનાવો અને પાત્રો સાથેનો એનો સંબંધ માત્ર અકસ્માત ગણવો.

(‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખના પાને ૨૯ જુલાઈ ૨૦૧૭ના રોજ આવેલા લલિત મોહનના લેખનો અનુવાદ)

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 13-14 

Loading

...102030...3,3093,3103,3113,312...3,3203,3303,340...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved