Opinion Magazine
Number of visits: 9687300
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દક્ષિણ છારાની ફિલ્મ ‘સમીર’

ભરત મહેતા|Opinion - Opinion|6 November 2017

ગુજરાતી ફિલ્મકલાકારોની દિગ્દર્શકોની નવી પેઢી મનોરંજન પૂરું પાડતી ગુજરાતી ફિલ્મો ઠીકઠીક નવી રીતે બનાવી રહી છે. તેમ છતાં ‘કોર્ટ’, ‘શાળા’, ‘દેવળ’, ‘સૈરાટ’ જેવી પ્રતિબદ્ધ મરાઠી ફિલ્મો જોતાં એમ લાગે કે મરાઠી ફિલ્મકારોની સામાજિક પ્રતિબદ્ધતા એમના સંવેદનશીલ મુદ્દાઓના ઊંડાણમાં લઈ જાય છે. આ અભાવ આપણે ત્યાં ખટકે છે. જો કે હાલમાં અમદાવાદસ્થિત દક્ષિણ છારાએ ‘સમીર’ નામની હિંદી ફિલ્મ ગુજરાતની કોમી તંગદિલીને કેન્દ્રમાં રાખીને બનાવી છે. આતંકવાદ અને એની રાજકીય જરૂરતનો પર્દાફાશ કરવામાં આ ફિલ્મ ખાસ્સી સફળ રહી છે. નાયક સિવાયના અભિનેતા ખાસ જાણીતા ન હોવા છતાં સરસ અભિનય દ્વારા ફિલ્મને રસપ્રદ પરિણામ આપ્યું છે. રાજકીય સિનેમાના નર્યા અવકાશ વચાળે ‘સમીર’નું આવવું આપણને આશ્વાસ્ત કરે છે. ગુજરાતી યુવાને આવી ફિલ્મ બનાવી તેથી એ સવિશેષ અભિનંદનીય છે. એમાં ય જે વિષયથી લગભગ સર્જકો અળગા રહે એવો આતંકવાદનો વિષય લઈને ફિલ્મ બનાવી છે, તે નોંધપાત્ર છે.

દક્ષિણ છારાનું રંગમંચ તો હતું શેરીનાટક. અદિતિ દવે, સરૂપ ધ્રુવ, હિરેન ગાંધી વગેરેએ, ગુજરાતમાં રાજકીય શેરીનાટકો ભજવ્યાં છે. સામાજિક મુદ્દાને સ્પર્શતાં, શેરીનાટકો ભજવ્યાં છે એ પરંપરામાં દક્ષિણ નવી પેઢીના પ્રતિનિધિ છે. આપણે ત્યાં સાહિત્યકૃતિને રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરવાના જવલ્લે જ બનાવ બન્યા છે. સરૂપ ધ્રુવ લિખિત નાટક ‘ઇતિહાસની બીજી બાજુ’, જે ભગતસિંહ વિશેનું જીવનકથનાત્મક નાટક હતું, એ ખાસ્સી મથામણ પછી રજૂ થઈ શકેલું. એમના જ લખેલા નાટક ‘રાજપરિવર્તન’(‘મૃચ્છકટિક’નું અનુસર્જન)ને પણ દૂરદર્શન પરથી અટકાવાયેલું. તાજેતરમાં રિવરફ્રન્ટનું નાટક ‘સૂનો, નદી ક્યા કહેતી હૈ?’ વિશે પણ આવું જ થયું.

આ જ પરંપરામાં દક્ષિણે ‘બુધન થિયેટર’ શરૂ કરેલું. પોલીસ-કસ્ટડીમાં પોલીસ-અત્યાચારના કારણે મૃત્યુ પામેલ બુધનની સ્મૃિતમાં ‘બુધન થિયેટર’ નામકરણ થયેલું છે. ગુનેગારોની જમાત તરીકે જેમને થપ્પો લાગેલો છે, એવી કોમના સભ્યોને કારણ વિના થતી પોલીસની હેરાનગતિના એમણે નાટકો લખ્યાં છે. ૨૦૦૨ પછી એનાં નાટકોમાં ધાર્મિક એકતા, કોમી એકતાનો સંદેશ કેન્દ્રમાં આવતો ગયો. તેમ છતાં ઈ.સ. ૨૦૦૩માં દક્ષિણ છારા પર આઈ.પી.સી.ની કલમ ૩૨૪ અને ૩૨૬ લગાડી! જો કે ઈ.સ. ૨૦૦૮માં કોર્ટે પોલીસ દ્વારા કરાયેલ આક્ષેપોને રદ કર્યા. આ કિસ્સો અહીં એટલા માટે મૂકું છું કે જાહેરજીવનને સ્પર્શતા મુદ્દાને લઈને પ્રવૃત્તિ કરવી એ જ જાણે ગુનો હોય તેવું લોકતંત્રમાં શી રીતે ચાલી શકે ? કલાકારો જો ફાસીવાદને ઉઘાડો નહીં પાડે, તો કોણ પાડશે?

આવા વાતાવરણમાં ઈ.સ. ૨૦૦૬માં એમને મુંબઈમાં દસ્તાવેજી ફિલ્મ-મહોત્સવમાં મદારી કોમ વિશે બનાવેલી ફિલ્મ ‘ફાઇટ ફોર સર્વાઇવલ’ માટે ટ્રૉફી મળી! પોતાના સમાજમાંથી તેમ જ બહારનાં પરિબળોને અનેક વાર એમને આ પ્રવૃત્તિ બંધ કરી દેવા જુદી-જુદી રીતે દબાણ કર્યું છતાં ડગ્યા વગર ૪૩ વર્ષના દક્ષિણ છારા આ પ્રવૃત્તિ કરી જ રહ્યા છે. આ એમની કલાકાર તરીકેની પ્રતિબદ્ધતા છે.

ઈ.સ. ૨૦૦૮માં શ્રેણીબંધ બૉંબધડાકા અમદાવાદમાં થયા હતા. આમજનતા સ્તબ્ધ થઈ ગઈ હતી. આ બધું દક્ષિણે કેવળ જોયું અનુભવ્યું જ નહોતું, પણ દસ્તાવેજી ફિલ્મકાર રાકેશ શર્માના સહાયક તરીકે એ દૃશ્યો કૅમેરામાં ઝિલ્યાં પણ હતાં. આ વસ્તુ ‘સમીર’માં ફિલ્મ તરીકે એ ઊંડાણથી મૂકી આપે છે. દક્ષિણે દસ્તાવેજી ફિલ્મકારની સાથે કામ કરતા – કરતા રિબાતા મુસ્લિમ પરિવારો, ગોધરાના ડબ્બામાં મરી જતાં હિન્દુના પરિવારોને નિકટતાથી જોયા સાંભળ્યા હતા. જે બધું આ ફિલ્મની પૃષ્ઠભૂમિમાં પડેલું છે.

આ ફિલ્મ વિશે અહીં ઝાઝું નથી લખવું. એક થ્રિલર ફિલ્મ છે. કઈ રીતે રાજ્ય જ આખી સંરચના બખૂબીથી બનાવે કે કોમવાદ, આતંકવાદ જીવતા રહે અને લોકો પછી એમાં જ રમમાણ રહે. કઈ રીતે માધ્યમો પણ મિશનના અંચળા હેઠળ કમિશન મેળવતાં રહે એની આ ફિલ્મ છે, જેનાથી સમાજમાં લઘુમતી વિશેની માનસિકતા (Mindset) બરકરાર રહે. જરૂર પડે સમજૌતા એક્સપ્રેસના કર્નલ પુરોહિતવાળું પણ કરાય એવા સંકેત સાથે ફિલ્મ પૂરી થાય છે.

૮મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ ‘સમીર’ ભારતમાં રજૂઆત પામી. પ્રતિબદ્ધતા, કળા, કાળી મજૂરી અને અનેક લોકોની સહાય વિના એક ઝૂંપડપટ્ટીનો યુવાન આવી ફિલ્મ ન બનાવી શકે. ફિલ્મ નવલકથા કે કવિતા નથી. દૃશ્યો કંડારવા ટોળાં જોઈએ, પરિવેશ જોઈએ, કલાકારો જોઈએ અને એ બધું કરવા પૈસા જોઈએ. એ બધું કર્યા પછી પહલાજ નિહલાની તો ઊભા જ હતા! આવી ફિલ્મ ભાજપભક્ત નિહલાની શી રીતે સેન્સરબોર્ડમાંથી પાસ કરે? એ મુશ્કેલીઓને પણ એમને સામનો કરી બધું પાર પાડ્યું. સેન્સરબોર્ડ સામેની અપીલમાં ગયા પછી પણ ત્યાં એ માનસિકતાનો સામનો તો કરવો જ પડ્યો. ત્યાં બધું પાર પાડ્યું ત્યાં શાઝિયા ઇલ્મી હતા!

ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં શ્રદ્ધા રાખતી ફિલ્મને સાંપ્રદાયિકો સાંખી નથી શકતા. ભીષ્મ સહાનીની નવલકથા ‘તમસ’ની ફિલ્મ સામે હિન્દુ-મુસ્લિમ-શીખ ત્રણેય સાંપ્રદાયિકો-ફિરકાપરસ્તીઓ કોર્ટમાં ગયા હતા! એ વખતે યુવાનોમાં સૂત્ર હતું – ‘તમસ’ ફિલ્મ હૈ આયા, ફિરકાપરસ્ત ગભરાયા હૈ.” આતંકવાદ, પોલીસ-અત્યાચારની અંધારી બાજુને રજૂ કરવી સહેલી નથી. પ્રજા પ્રત્યેની સહાનુભૂતિ અને રમૂજ-કટાક્ષના મંટોશાઈ ટુકડાથી ફિલ્મનું કથાનક આકાર લે છે. વળી, ફિલ્મને આર્ટફિલ્મના રૂઢ વ્યાકરણમાં પણ ફસાવા દીધી છે. મુખ્ય ધારાનો પ્રેક્ષક એને માણી શકે એ રીતે રહસ્યોનો તંતુ અકબંધ રાખ્યો છે. ન્યાયી સમાજની ઝંખના માટે છારા જેવા સમુદાયમાંથી આવતો યુવાન વાત નહીં કરે, તો કોણ કરશે?

આ ફિલ્મ દ્વારા દક્ષિણ છારાએ ગુજરાતના કળાજગતનું ગૌરવ વધાર્યું છે.

E-mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 09

Loading

રચનાને પામવા ‘રચનાને રસ્તે’

અભિજિત વ્યાસ|Opinion - Opinion|6 November 2017

રચનાને રસ્તે 101 કાવ્ય આસ્વાદો : રાધેશ્યામ શર્મા : પ્રકાશક – પાર્શ્વ પબ્લિકેશન્સ : પૃ. 312 : કિંમત રૂ. 300

હમણાં જ જેમણે એમના કાવ્યસંગ્રહ ‘એકાંતમાં ઊડેલાં નક્ષત્રો’ને ૨૦૧૫ના શ્રેષ્ઠ પુસ્તકનું સાહિત્ય અકાદમીનું મળેલું પારિતોષિક નકારીને કોઈ પણ જાતના પ્રચારથી વેગળા રહી સ્વાયત્ત આંદોલનને ટેકો આપી પ્રશસ્ય કાર્ય કરેલું છે, એ રાધેશ્યામ શર્મા. રાધેશ્યામ શર્મા એ સાહિત્યના એક અત્યંત સક્રિય એવા સર્જક, વિવેચક છે. એમને ઘણા વિશેષણો લગાડી શકાય, પણ તેઓ એ બધાંથી પર એક માત્ર સાહિત્યપ્રીતિના માણસ છે તેમ કહું તો ચાલે. ગુજરાતી ભાષામાં સાહિત્ય અને કલાનું કોઈ એવું માધ્યમ નથી, જેમના વિષે એમણે ના લખ્યું હોય. અને આવી વ્યક્તિને પારિતોષિક ના મળે એ જ નવાઈ કહેવાય. પ્રસ્તુત પુસ્તકમાં છેલ્લે આપેલી સૂચિ મુજબ અત્યાર સુધીમાં એમને ૨૧ જેટલાં પારિતોષિકો મળી ગયાં છે. પણ રાધેશ્યામ શર્મા તો અત્યારે એ કક્ષાએ છે, જ્યાંથી બધા પારિતોષિકો એમને નાનાં લાગે. સર્જક તરીકે એમણે સર્જન કર્યું છે, તેથી વિશેષ એમણે વિવેચનક્ષેત્રે કાર્ય કર્યું છે. અને એક નિષ્પક્ષ આલોચક તરીકે એઓ જાણીતા અને માનીતા છે. કૃતિમાં રહેલી અનેક સૂક્ષ્મતાઓને તેઓ અદ્ભુત રીતે વાચકોની સામે ખોલી બતાવે છે. એમની આ વિશિષ્ટતા પ્રસંશનીય હોવા છતાં પ્રસ્તાવનામાં તેઓએ સ્પૅનિશ કવિ-વિવેચક ઉનામુનું એક વિધાન નોંધ્યું છે –  ‘Literature is not a specialist’s occupation.’

કાવ્ય-આસ્વાદ એ એમનો પ્રિય પ્રકાર છે અને એટલે જ અનેક કવિતાઓનો એમણે આસ્વાદ અલગ-અલગ સામયિકોમાં કરાવ્યો છે. બહુ જૂજ કવિતા લખનાર મારા જેવાની કવિતાને પણ એમની કલમનો લાભ મળેલ છે.

‘રચનાને રસ્તે’ એ એમના ૧૦૧ કાવ્ય-આસ્વાદનો સંચય છે. પ્રસ્તુત સંચયમાં, શીર્ષકમાં નિર્દિષ્ટ છે તે મુજબ એકસો એક કાવ્યોના આસ્વાદ એમણે સમાવ્યા છે. બીજા અનેક કાવ્યાસ્વાદો હોવા છતાં અહીં આ સંચયમાં ફક્ત એમણે એકસો એકને જ સમાવ્યા છે. અને પારિતોષિક પણ એમણે એકવીસ મળ્યાં પછી બાવીસમાને એમણે નકાર્યું છે. જે કવિઓને સમાવ્યા છે, તેમાં કવિની સિદ્ધિ-પ્રસિદ્ધિ કે અલ્પ પ્રસિદ્ધિને મહત્ત્વ આપ્યા વગર કાવ્યો અને કવિઓ પસંદ થયાં છે, એટલે ઉમાશંકર જોશી કે નિરંજન ભગત જેવા કવિઓની એક-એક કૃતિઓ માત્ર, તો બીજાની એકથી વધારે પણ અહીં પસંદ પામી છે. સંચયમાં કવિતાઓ એકસો એક પસંદ પામી છે, પણ કવિઓ ૮૯ (નેવ્યાસી) જેટલા પસંદ થયા છે. આસ્વાદ કે કાવ્યની પસંદગી કઈ રીતે કરી છે, એ અંતે તો એમનો અંગત વ્યક્તિગત પ્રશ્ન છે અને એમ જ હોવું જોઈએ. પણ તે છતાં કોઈ વાચકભાવકને એવો પ્રશ્ન પણ થાય કે આ કવિની આ જ કૃતિ કેમ પસંદ થઈ ? કે આ કેમ ન થઈ? સંચયની અનુક્રમણિકા કવિઓનાં નામના પ્રથમ અક્ષરના અનુક્રમ મુજબ છે.

રચનામાં રૂપ(form)ની અ-પૂર્વતા સમેતની, રૂપથી અભિન્ન, રસમયતાને પામવાની છે. અછાંદસમાં રચનાના મહત્ત્વને માણવા પ્રબોધ ૨. જોશીની કવિતાનો આસ્વાદ (પૃ. ૧૩૯) જોઈએ. ‘એક લીટીમાં, સળંગ એક વાક્યમાં લખી શકાત, પણ એવું થયું હોત, તો ‘વૃક્ષાનુભૂતિ’, જે રીતિએ દૃશ્ય-અભિવ્યક્તિમાં ઉપસ્થિત છે, તેમ ના થયું હોત. શબ્દે-શબ્દે પદે-પદે વિરામનો પરિચય પણ લયની દૃષ્ટિએ ના થાત.’ (પૃ. ૧૩૯) આમ ફૉર્મને પણ ધ્યાનમાં રાખીને આસ્વાદ થયો છે. કવિતામાં અછાંદસ કૃતિઓનો આસ્વાદ અહીં વધુ થયા છે …  એટલે રચનાનું મહત્ત્વ એદકેરું છે. કારણ કે અછાંદસમાં કાવ્યનું સ્વરૂપ (form) જ મહત્ત્વનું હોય છે.

રાધેશ્યામ શર્માનો રસ સાહિત્ય પૂરતો મર્યાદિત નથી. અને અનેક વિષયમાં એમનો અભ્યાસ છે, એટલું જ નહીં, એમણે વિવિધ કલામાધ્યમોમાં રચાયેલી કૃતિઓના પણ આસ્વાદો કરાવ્યા છે. એનો પણ અણસાર અહીં જાણવા મળે છે. જેમકે ચિનુ મોદીની ગઝલ – ‘પર્વતને નામે પથ્થર’નો આસ્વાદ કરાવતા લખે છે – ‘ગીત-ગોવિન્દ’ના શૃંગારસિક્ત સર્જક જયદેવ નાયિકાઓનાં અંગોપાંગો ઉપર દંતક્ષત-નખક્ષત વર્ણવ્યા પણ અશ્રુ ઉપર નખક્ષત તો મોદીની જ મિરાત! પણ થોભો, અહીં તો સંદેહપ્રશ્ન છે ભારે – આ કોના નખની નિશાની? સાથે કલ્પનાપૂર્ણ સ્ટેટમેન્ટ સૂચવે છે કે ઇચ્છા એ કેવળ હાથ છે, પણ છે એટલું જ નહીં, એને નખ પણ છે અને છતાં હીચકોકિયન સસ્પેન્સ, ‘આ કોના નખની થઈ નિશાની?’ (પૃ. ૮૨) તો ત્રીજો શેર વાંચતા ફિલ્મ ‘સાહેબ બીવી ઓર ગુલામ’ને યાદ કરે છે. આમ, એક જ કવિતામાં હોલીવૂડ અને બોલીવૂડના સર્જક અને સર્જનના સંદર્ભમાં વાંચવા મળે છે.

સંચયમાં એકસો એક કાવ્યના આસ્વાદો છે અને આ અવલોકનમાં એ બધાનો ઉલ્લેખ કરવો શક્ય પણ નથી. એટલે આસ્વાદનો આસ્વાદ નહીં; પણ પરિચય માત્ર જ અહીં તો હું કરાવું છું. કેટલાક કવિઓ, જેમ કે પ્રબોધ પરીખ, પવનકુમાર જૈન, દિલીપ ઝવેરી, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર વગેરેની કૃતિઓના આસ્વાદમાં એમના આસ્વાદો અનન્ય છે. સંચયના અંતિમ આવરણ પર કવિ લાભશંકર ઠાકરે લખેલું ‘રસસંકેતોની અ-પૂર્વ સંપ્રાપ્તિ’માંથી થોડું નોંધું છું. લા.ઠા. લખે છે. ‘વિશ્વનાં આધુનિક કાવ્યેતર સાહિત્યસ્વરૂપોથી પણ અને ચલચિત્ર જેવા આવિર્ભાવોથી પણ તમે સતત પ્ર-ભાવિત થતા રહ્યા છો. તેથી તમારી ભાવકચેતના વિસ્તરતી-વિસ્તરતી દુર્બોધ લાગતી આધુનિક કાવ્યરચનાને પણ ષડનન્દ્રિયોથી (પાંચ જ્ઞાનેન્દ્રિયો + ઉભયાત્મક ઇન્દ્રિયો-મન) પામી શકે છે. કાવ્યો વિશેના તમારા રસસંકેતોનો આ હિસાબ અ-પૂર્વ સંપ્રાપ્તિ છે.’

રાધેશ્યામ શર્માનું સાહિત્ય એ વિશેષજ્ઞ કાર્ય ભલે પ્રતીત ન થતું હોય પણ કાવ્યાસ્વાદ કરાવવો એ એમની એક વિશિષ્ટતા છે. એમણે કવિતામાં ‘અર્થ’ની ખોજ ચાલુ રાખીને પણ અર્થઘટન ઉપરાંત મર્મઘટન તરફ જવાનો નમ્ર પુરુષાર્થ સેવ્યો છે. આસ્વાદની સાથોસાથ વિવેચન પણ વણાતું આવે એ સ્વીકાર્યું છે. 

E-mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 07

Loading

જોસેફ જે. ડોક

નિલય ભાવસાર|Gandhiana|5 November 2017

(નવેમ્બર ૫, ૧૮૬૧ – ઓગસ્ટ ૧૬, ૧૯૧૩)

ગાંધીજીનું પ્રથમ જીવન ચરિત્ર લખનાર લેખક રેવરન્ડ જોસેફ જે. ડોકનો જન્મ, ડેવનશાયરમાં ચડલી મુકામે, ૫મી નવેમ્બર ૧૮૬૧ના રોજ થયો હતો. તેમણે ગાંધીજીનું પ્રથમ ચરિત્ર M.K. Gandhi – An Indian Patriot in South Africa લખ્યું હતું, તારીખ ૧૬ ઓગસ્ટ, ૧૯૧૩ના રોજ તેમણે શાંતિથી દેહત્યાગ કર્યો. તારીખ ૨૪ ઓગસ્ટ, ૧૯૧૩ના રોજ ગ્રેહામ્સટાઉન બેપ્ટીસ્ટ ચર્ચ, જોહાનિસબર્ગમાં રેવરન્ડ જોસેફ જે. ડોકને શ્રદ્ધાંજલિ આપવા ૭-૩૦ વાગ્યે પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. મિ. ડોક ત્યાંના પાદરી હતા.

આ સભામાં હાજરી આપવા માટે ગાંધીજી ફિનિક્સથી ખાસ આવ્યા હતા. એમણે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીએ મિસ્ટર ડોક વિશે જે ભાષણ આપ્યું હતું તે આ મુજબ છે.

આ ભાષણમાં ગાંધીજીએ કહ્યું કે, કેટલાક માણસોને વિષે આપણે બોલી શકીએ છીએ કે તેને તો મોત નથી કેમ કે મોતે મોતને ખાધું છે; તેને મોત નથી ડંખી શકતું કે તેને નથી જીતી શકતું. આવા પુરુષ મિસ્ટર ડોક હતા. એ પુરુષે કરેલી સેવા સારુ હિંદી કોમ તેની સદાયની આભારી રહેશે. મિસ્ટર ડોક એ હિંદના ચુસ્ત મિત્રમાંના એક હતા. મિસ્ટર ડોકના મરણને સારુ શોક કરવાની ખરી રીતે જરૂર હોય નહિ. તેણે પોતાનું બધું ઈશ્વરને અર્પણ કર્યું હતું. જ્યારે તેનું શરીર તેના કાર્યને સારુ ઈશ્વરે નકામું ગણ્યું, ત્યારે તે શરીરનો નાશ કર્યો. પણ જીવનો નાશ નથી. હવે વધારે શક્તિવાળા શરીરમાં ઈશ્વરનાં વધારે કાર્યો મિસ્ટર ડોક કરશે એવી મારી ખાતરી છે. છતાં આપણે કે જેઓ શરીરમાં મસ્ત રહી જીવને ભાગ્યે જ ઓળખીએ છીએ તે તો મિસ્ટર ડોકના શરીરને જ ઓળખતા એટલે આપણને દિલગીરી થાય એ કુદરતી વાત છે.

મિસ્ટર ડોકની તરફ મારું માન ને મારો પ્રેમ મારા સરસમાં સરસ હિંદી પુરુષ તરફ હોય તેટલાં હતાં. જ્યારે મારા હિંદી ભાઈએ મેં કોમની સામે ગુનો કર્યો છે એમ સમજી મને માર માર્યો હતો તે વેળા હું સાવધાનીમાં આવ્યો ત્યારે મેં મિસ્ટર ડોકને મારા માથા ઉપર નમેલા જોયા. તેણે મને પોતાને ત્યાં લઇ જઈ મારી બરદાસ કરવાનું કહ્યું. મેં તેમની માગણી આભારપૂર્વક કબૂલ રાખી. જે માયા મારી પર તેના ઘરમાં બતાવવામાં આવી હતી તે મારાથી કદી વીસરી જવાય એવી નથી. આખું કુટુંબ મારી સારવાર કરવામાં રોકાયું હતું. મધરાતમાં પણ મિસ્ટર ડોક મારી કોટડીમાં આવીને જોઈ જતાં કે હું જાગું છું કે સૂતો છું. મને ચેન છે કે બેચેન. મિસ્ટર ડોકની મેં કઈ પણ સેવા નહોતી કરી છતાં તેનું આખું કુટુંબ મારી સેવા કરતું હતું.

ઈંગ્રેજોની સાથેની અમારી તકરાર ઉપર ભાર દેવામાં મારી જિંદગી આખી કદાચ પૂરી થશે. તેમ છતાં મારે સારે નસીબે મને ઉત્તમ ચરિત્રવાળા ઈંગ્રેજની મિત્રાચારીનો લાભ મળ્યો છે. આવા મિત્રમાંના મિસ્ટર ડોક એક ઉત્તમ મિત્ર હતા. તે મારા જ્ઞાની સલાહકાર હતા. તેને મન બધા હિંદી સરખા હતા. તેના દેવળનું છાપરું તે આકાશ હતું, તેના દેવળની દીવાલ જગતની દિશા હતી. જ્યાં જતાં ત્યાં પોતાનું દેવળ સાથે લઇ જતા.

મિસ્ટર ડોકનો ખ્રિસ્તી ધર્મ સુધરેલા જમાનાનો ન હતો પણ અસલી હતો. મિસ્ટર ડોકની ઈચ્છા એવી હતી કે હું પોતે તેના પંથમાં ભળું. મેં કહ્યું હું તો હિંદુ છું ને તે ધર્મને બહુ ભાવથી માનનારો છું. હું બાઈબલને મારા એક ધર્મપુસ્તક તરીકે માનું છું. પણ મારું મન એમ સાક્ષી પૂરે છે કે બાઈબલ સમજવાની ચાવી હિંદુ ધર્મનું સંશોધન છે. આ બાબત એક મત ઉપર ન આવી શક્યા. પણ આ દાખલો મિસ્ટર ડોકની પોતાના ધર્મ પ્રત્યેની સુદ્રઢ શ્રદ્ધા બતાવે છે. હું માનું છું કે મિસ્ટર ડોકની નીતિભક્તિ એવી હતી કે પોતાની નીતિને ખાતર પોતે અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર હતા. તેને માણસનો ડર ન હતો માત્ર ખુદાથી જ ડરતા.

મિસ્ટર ડોક ને મારી વચ્ચે સજ્જડ ગાંઠ એ હતી કે અમે બંને અપકાર ઉપર ઉપકાર અથવા અવગુણ ઉપર ગુણ કરવાના જિસસના સૂત્રને માનનારા હતા. એ સૂત્રને હાલમાં તો ખ્રિસ્તી ધર્મે અપવાદોથી ઢાંકી દીધો છે. પણ મિસ્ટર ડોકનું તેમ ન હતું. તે તો ચોક્કસ માનતા કે વેરભાવ પ્રેમભાવથી નાશ પામી શકે, દુષ્ટતાનું ઓસડ શ્રેષ્ઠતા છે. હું ઉમેદ રાખું છું કે મિસ્ટર ડોકનો સાંયો તેમનાં ફરજંદો પહેરશે અને આવા ધાર્મિક પુરુષની પોતે પત્ની હતાં અને તેને માન આપનારા ઘણાં પુરુષો ને ઘણી કોમો છે એ વિચારથી મિસિસ ડોક શાંતિ ને ધીરજ રાખશે.

મિસ્ટર ડોકને વિશે આટલું બોલવાનો મને પ્રસંગ મળ્યો છે તેને સારુ હું મને પોતાને સુભાગિયો ગણું છું.

(મૂળ ગુજરાતી) “ઇન્ડિયન ઓપીનિયન”, ૩૦-૦૮-૧૯૧૩

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,2903,2913,2923,293...3,3003,3103,320...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved