Opinion Magazine
Number of visits: 9584055
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આયોજનના વાંકે પૂરની તબાહી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 September 2017

પૂરગ્રસ્ત લોકોને અપાતી સહાય અને રાહતનાં ધોરણોમાં પણ તળિયાઝાટક ફેરફારો કરવાની જરૂર છે

હજુ તો ભાદરવો અધવાર્યો છે ને દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સો ટકા કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. દેશના અડધા ભાગમાં પૂરનું સંકટ ઊભું થયું છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને નેપાળમાં પણ જળપ્રલયની સ્થિતિ ઊભી થઈ. દક્ષિણ એશિયામાં 4.2 કરોડ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સમૃદ્ધ દેશ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં વાવાઝોડા પછીના ભારે વરસાદથી ભારે ખાનાખરાબી થઈ છે. તો પૂર્વ આફ્રિકાના કેન્યા, સોમાલિયા, ઈથોપિયા, તાન્ઝાનિયા અને યુગાન્ડામાં વરસાદના અભાવે અનાજપાણીનું સંકટ ઊભું થયું છે.

ભારતમાં બિહાર, અસમ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક ભારે વરસાદ અને પૂરથી સવિશેષ અસરગ્રસ્ત છે. દેશની લગભગ અડધી વસ્તી અલ્પ સમય માટે તો આશરે દસ કરોડ લોકો લાંબા ગાળા માટે પૂરથી ભારે પ્રભાવિત થયા છે. ઓગસ્ટના અંત સુધીમાં બિહારમાં 514, ગુજરાતમાં 247, અસમમાં 157, ઉત્તર પ્રદેશમાં 103, અરુણાચલમાં 48, મણિપુરમાં 22 અને નાગાલેન્ડમાં 19 લોકોનાં મોત થયાનું સત્તાવાર રીતે કહેવાયું છે. લાખો લોકો ઘરબાર વગરના થયાં છે, ખેતીને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.

બિહાર માટે પૂર વરસોવરસ સર્જાતી તારાજી અને તબાહીની જાણે કે વાર્ષિક ઘટના છે. એક અંદાજ મુજબ બિહારની 76 ટકા વસ્તી પૂર અસરગ્રસ્ત મનાય છે. આ વરસે પણ સત્તાની સાઠમારીના દિવસોમાં રાજ્યની સામાન્ય પ્રજા પૂરનો માર સહન કરી રહી હતી. કોસી નદી એના કાંઠે વસનારા માટે દેવી અને ડાકણ બંને છે. કોસીનું પૂર એટલું ભયાનક હોય છે અને તે એટલી મોટી તબાહી સર્જે છે કે મૈથિલી ભાષામાં તો ‘ભલે વર કાના જેવો હોય તો પણ મા મને તું કોસી કાંઠે ન પરણાવતી’, એવી કન્યાના મુખે માબાપને થતી વિનવણીની કહેતી પ્રચલિત છે. કોસી કાંઠાના ગરીબો પૂરનો માર સહન કરીને ફરી બેઠા જ થઈ શકતા નથી. 

બિહારમાં આવતા પૂરનાં કારણોમાં, નેપાળમાંથી બિહારમાં વહેતી કોસી નદી તેમ બંગાળનો ગંગા નદી પરનો ફરક્કા બેરેજ મનાય છે. ગત વરસે તો રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારે ફરક્કા બંધ તોડી નાખવા અને બિહારને પૂરથી કાયમી ઉગારી લેવા માગણી કરી હતી. તેના લીધે ગંગામાં મોટા પ્રમાણમાં કાંપ જમા થઈ ગયો છે. તેનાથી ગંગાનો પ્રવાહ ધીમો પડી ગયાનું, વહેણ પહોળું અને પાણી છીછરું થઈ ગયાનું કહેવાય છે. મુખ્યપ્રધાને રાષ્ટ્રીય કાંપ નીતિ ઘડવા અને ફરક્કાનો કાંપ દૂર કરવા પણ માગણી કરી હતી.

એકંદરે નપાણિયો મનાતો ગુજરાતનો બનાસકાંઠા અને પાટણ વિસ્તાર આ વખતે જુલાઈના ભારે વરસાદથી પાણીપાણી થઈ ગયો હતો. સામાન્ય કરતાં અતિ ભારે વરસાદે તો મુશ્કેલી સર્જી જ હતી, પણ બનાસકાંઠાના ધાનેરા અને બીજે જે મોટી જાનહાનિ થઈ તેના મૂળમાં રાજસ્થાનનો જૈતપુરા બંધ ઓવરફ્લો થવો અને બંધના દરવાજા ન ખોલ્યાનું કારણ મનાય છે. દાંતીવાડા અને સીપુ બંધમાં ખૂબ પાણી જમા થયાં બાદ અચાનક છોડવું, નર્મદાની નહેરોમાં ગાબડાં અને પાળા તૂટવા, કેટલેક ઠેકાણે પૂરની જાણ થયા બાદ સલામત સ્થળે જવા પૂરતો સમય ન મળ્યાના કારણે પણ લોકોને હાલાકી વેઠવી પડી છે. વડાપ્રધાને રાષ્ટ્રપ્રમુખની સોગંદવિધિ આટોપીને ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું તેના પરથી સ્થિતિની ગંભીરતા પરખાઈ હતી. પરંતુ ચૂંટણીવરસમાં નબળા વિપક્ષ અને રાજ્યસભા ચૂંટણીની ચડસાચડસીમાં રાજ્ય સરકાર પોતાની ભૂલો ઢાંકવામાં સફળ થઈ.

ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્તોની થોડી તસવીરો છપાય, થોડી સંવેદનાસભર કહાનીઓ દેખાડાય, ટૂંકા અને લાંબાગાળાના પગલાંની ઠાલી જાહેરાતો થાય ને એટલામાં તો પૂરના પાણી ઓસરે તેના કરતાં વધુ ઝડપે તેની અસર ઓગળી જાય છે. જેમ બિહારના પૂરના મૂળમાં પાડોશી દેશ નેપાળ કે રાજ્ય બંગાળ કારણભૂત છે તેમ ગુજરાતમાં રાજસ્થાનનો બંધ જવાબદાર છે. પણ રાજ્યો કે દેશ વચ્ચે આ બાબતમાં કોઈ સંકલન ઊભું થઈ શકતું નથી. તેથી દર વરસે તબાહીની કથાઓ દોહરાયા કરે છે.

પૂરગ્રસ્ત રાજ્યો અને લોકોને અપાતી સહાય અને રાહતનાં ધોરણો પણ તળિયાઝાટક ફેરફારો માગે છે. હવાઈ નિરીક્ષણો પછી વડાપ્રધાને ગુજરાત અને બિહાર બેઉને એકસરખી 500 કરોડની કેન્દ્રીય સહાયની ઘોષણા કરી હતી. ગુજરાત કરતાં બિહારમાં પૂરની અસરનો વ્યાપ અને મૃત્યુઆંક બમણો હતો તેમ છતાં બેઉને એકસરખી સહાય ‘ટકે શેર ભાજી’ જેવી છે. કેન્દ્ર સરકારે કયા ધોરણે બિહાર અને ગુજરાતને એકસરખી રાહત આપી છે તે સમજવું અઘરું છે. વળી આ સહાય નીતીશ કુમારે બિહારમાં ભાજપનું શરણું સ્વીકાર્યા બાદની છે. એટલે વિપક્ષી રાજ્ય પ્રત્યે ઓરમાયા વર્તન અને અન્યાયનું ગાણું પણ ગાઈ શકાતું નથી.

ગુજરાતમાં મુખ્યમંત્રીએ જાતે આખી સરકાર લઈને પૂરગ્રસ્ત વિસ્તારમાં પાંચ દિવસ ધામા નાખવા પડ્યા હતા. છતાં એક મહિને પણ ઘણાં ગામોમાં પૂરનાં પાણી કે કાદવ કીચડ સાફ ન થયાંની ફરિયાદો છે. ગુજરાત સરકારે પૂર અસરગ્રસ્તોને જે દસ દિવસની કેશડોલ (પુખ્તને રોજના 65 રૂ. સગીરને 45 રૂ.) આપી તે સાવ ઓછી છે. નદીના વહેણમાં આવતાં અને કાયમી અસરગ્રસ્ત ગામોનું સ્થળાંતર બહુ ગમી જાય એવું પગલું લાગે છે. પરંતુ કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ વિના આમ કરવું યોગ્ય નથી. આ ક્ષેત્રના નિષ્ણાતોનો મત છે કે માનવીએ પૂરથી ભાગવાનું નથી, પણ તેની સાથે જીવતા શિખવાનું છે.

મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુએ ભારે વરસાદને કારણે જે હાલાકી વેઠવી પડે છે તે તો સાવ જ માનવસર્જિત છે. ચોમાસા પૂર્વે જ ઊભી થનારી સ્થિતિ અંગેનો કોઈ એક્શન પ્લાન કાર્યરત થતો નથી. વળી અનેક નગરો મહાનગરોની નાની નદીઓને પૂરી દઈ તેમાં રહેઠાણો બનાવવામાં આવ્યા છે. તેથી પાણીનો કુદરતી પ્રવાહ વહેતો અટકી જાય છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવી કે જ્યાં છે તેની યોગ્ય જાળવણી ન થવી તે પણ મોટું કારણ છે. એકલા મુંબઈમાં જ મીઠી, ઉલ્હાસ, પોઈસર, દહિસર અને ઓશીવાડા જેવી નાની નદીઓ પૂરીને તેના પર તથા કિનારે બાંધકામો થયાં છે. તે તબાહીનું કારણ બને છે.

પૂર, દુકાળ કે અન્ય આફતો કેટલી કુદરતી છે અને કેટલી માનવનિર્મિત એ કહેવું અઘરું નથી. છેલ્લા બે દાયકામાં સ્થપાયેલા પૂરની આગાહી કરતાં 375 ટેલિમેટ્રી સ્ટેશનોમાંથી પોણા ભાગના બંધ હોવાનું ‘કેગ’ના રિપોર્ટમાં કહેવાય કે મુંબઈ હાઈકોર્ટ, સરકાર બાર વરસ પૂર્વેના મુંબઈના વરસાદમાંથી તલભાર શીખી ન હોવાનું કહી આલોચના કરે તે સરકારો ઘોળી પીએ છે. દેશની આર્થિક રાજધાનીની આ હાલત હોય તો કોસી કાંઠાનો ગરીબ તો શી અપેક્ષા રાખે.

સૌજન્ય : ‘ટકે શેર ભાજી …’, “દિવ્ય ભાસ્કર”, 09 સપ્ટેમ્બર 2017

Loading

લોકસંઘર્ષમાં સ્ત્રીઓની ભાગીદારી

નેહા શાહ|Samantar Gujarat - Samantar|8 September 2017

સ્ત્રીઓની ભાગીદારી એટલે માત્ર સંખ્યા નહીં, પણ તેમના દૃષ્ટિબિંદુને પ્રક્રિયામાં વણી લેવાનો અભિગમ 

ભાવનગર જિલ્લાના મીઠી વીરડી ખાતેની સૂચિત અણુવીજળીમથકની યોજના પડતી મૂકી અને આંધ્ર પ્રદેશમાં ખસેડવાની જાહેરાત સરકારે કરી. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં આ યોજના સામે મીઠી વીરડી અને જસપરા ગામના લોકો તેમ જ પર્યાવરણ સુરક્ષા સમિતિએ અરજી દાખલ કરી હતી. દરિયાઈ કાંઠાના પ્રદેશના નાજુક પર્યાવરણમાં અણુમથકને કઈ રીતે મંજૂરી મળી શકે એ પ્રશ્ન તેમણે ઉઠાવ્યો અને યોજનાને મળેલી કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરીને તેમણે જૂન 2015માં કોર્ટમાં પડકારી.

દસ વર્ષનો લોકસંઘર્ષ અને બે વર્ષની કાયદાકીય લડતનો જૂન 2017માં અંત આવ્યો. સરકારે ટ્રિબ્યૂનલને જણાવ્યું કે જમીન સંપાદનનું કરવાનું કામ સમયસર પૂરું કરવું શક્ય ન હોવાને કારણે સૂચિત અણુઊર્જા યોજના પડતી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી સી.આર.ઝેડ.ની મંજૂરીની વાતનો કોઈ મતલબ રહેતો નથી. 2008માં અમેરિકા–ભારત વચ્ચે થયેલા અણુકરાર અંતર્ગત પહેલું અણુવીજમથક બનાવવા માટે મીઠી વીરડીની પસંદગી થઈ.

આ માટે 2000 એકર જમીન સંપાદન કરવાનો પ્રસ્તાવ હતો. તેમાં મીઠી વીરડી, જસપરા, ખદરપર અને માંડવા ગામોની જમીન જવાની હતી. વર્ષમાં ત્રણ પાક લઈ શકાય એવી અને લીલીછમ વાડીઓથી શોભતી ફળદ્રુપ જમીન પર અણુમથક આવે તો સ્વાભાવિક રીતે એ ઉજ્જડ બનવાની હતી. ત્યારથી સ્થાનિક લોકોના સંઘર્ષની શરૂઆત થઈ. તેને પર્યાવરણ સુરક્ષા સમિતિ અને ‘સહિયર’ સ્ત્રી સંગઠને નેતૃત્વ પૂરું પાડ્યું અને જમીન બચાવવાના હેતુને લઈ લોકઆંદોલનના પાયા નખાયા.

મૂર્ધન્ય ગાંધીવાદી સામાજિક કાર્યકર ચુનીભાઈ વૈદ્યનો તેમને ટેકો મળ્યો. ‘સમર્થન’ મહિલા સંગઠન આ વિસ્તારમાં જળસંચયનું કામ વર્ષોથી કરે છે, તેનો પણ ટેકો મળ્યો. અણુઊર્જાના વિરોધમાં અને જમીન બચાવવાના ઉદ્દેશથી શરૂ થયેલી આ ચળવળમાં પર્યાવરણના નિયમોને નેવે મૂકીને ઊભી થયેલી યોજના સામે કાનૂની જંગ ઉપરાંત લોકોને સંગઠિત કરવાનું અને વિકાસના મોડેલ અંગે  જાગૃતિ લાવવાનું કામ પણ પાયાના સ્તરે થયું.

કોઈ પણ સામાજિક કે રાજકીય ચળવળની સફળતા સ્ત્રીઓની ભાગીદારી વગર શક્ય નથી. ભાગીદારી એટલે માત્ર સ્ત્રીઓની સંખ્યા નહીં, પણ સ્ત્રીઓના દૃષ્ટિબિંદુને પ્રક્રિયામાં વણી લેવાની વાત. પર્યાવરણ સુરક્ષા સમિતિ અને ‘સહિયર’ સ્ત્રી સંગઠને પહેલેથી આગ્રહ રાખ્યો હતો કે દરેક નિર્ણયમાં બહેનોની ભાગીદારી હોવી જોઈએ. શરૂઆતના સમયમાં બહેનો મિટિંગમાં આવતી ન હતી ત્યારે કાર્યકર ભાઈ-બહેનો એમના ઘરે જઈને, એમના કામમાં મદદ કરતાં કરતાં એમની સાથે વાતો કરતાં.

શ્રમજીવી બહેનો માટે ખેતરના કામ અને ઘરની જવાબદારી વચ્ચે મિટિંગમાં આવવું શક્ય બનતું ન હતું, તો તેમની સાથે વાતચીત કરવા ઘરઆંગણે જ ખાટલા ઢાળી ‘ખાટલા મિટિંગ’ થતી, જેથી બહેનોની સગવડ સચવાઈ જાય. અણુઊર્જા અને એની અસરો અંગે સમજ આપવા ભાઈઓ ઉપરાંત બહેનોની પણ અલગ તાલીમ રાખવામાં આવતી. ધીમે ધીમે બહેનો બોલવા લાગી, ઘરની બહાર નીકળવા લાગી, ગામેગામ જઈને બીજી બહેનોને પણ સમજાવવા લાગી.

મિટિંગોમાં આવવા લાગી. લાજનો ઘૂંઘટ ધીમે ધીમે દૂર થતો ગયો અને આત્મવિશ્વાસથી જાહેર સભાઓ પણ સંબોધવા લાગી. નિર્ણય લેવાના હોય ત્યારે બહેનો સાથે અલગ વાત થાય, જેથી બહેનો નિ:સંકોચ પોતાનો મત વ્યક્ત કરી શકે. દરેક જ્ઞાતિ અને વર્ગની બહેનો સંઘર્ષમાં જોડાઈ. અમુક સમાજની બહેનોએ પોતાનાં ખેતરો સુધ્ધાં જોયાં ન હતાં. બજારમાં ય એકલાં ન જાય. આ બહેનોએ પણ હિંમતભેર દરેક કાર્યક્રમમાં ભાગ લીધો અને પોતાના અભિપ્રાય આપ્યા. પુરુષો સાથે ખભેખભા મિલાવીને ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના જાહેર મિટિંગ કરી.

ભાવનગર અને ગાંધીનગર સુધી રેલીઓ કાઢી, પીટિશન પર સહી કરી, કોર્ટમાં અરજદાર પણ બની. અણુયોજનાની મંજૂરી વિરુદ્ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં થયેલી અરજીમાં એક અરજદાર જસપરા ગામના જાગૃતિબહેન ગોહિલ છે. અણુયોજના ગઈ અને ખેતરો બચી ગયાં. હવે શું? આ પ્રશ્ન આવતાં જ મીઠી વીરડી અને જસપરાના રહેવાસીઓ પાસે કરવાના કામોની લાંબી યાદી તૈયાર છે. ઓર્ગેનિક ખેતી અને વૈકલ્પિક ઊર્જાનાં સાધનો વિકસાવવાની જરૂરિયાતને સૌ કોઈ પ્રાધાન્ય આપે છે.

બહેનોને સહેજ અલગ કરીને પૂછીએ તો તેઓ ગુણવત્તાસભર શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા પર ભાર આપે છે. જસપરા ગામમાં અત્યારે દસ ધોરણ સુધીની જ શાળા છે. છોકરાઓ ભાવનગર હોસ્ટેલમાં રહીને ભણે છે, પણ છોકરીઓનો અભ્યાસ અટકી પડે છે. છોકરીઓ ગામમાં રહીને ભણી શકે તે માટે તેઓ બાર ધોરણ સુધીની શાળા ઈચ્છે છે. દીકરીઓને ભણવું છે અને દુનિયા જોઈ આવેલાં મા-બાપને દીકરીઓને ભણાવી ગણાવી પગભર કરવી છે.

ડૉક્ટર સાથેનું દવાખાનું એમની બીજી મુખ્ય જરૂરિયાત છે. માંદગીમાં ભાવનગર સુધીના ધક્કા બચી જાય અને સમયસર સારવાર મળી જાય. સાથે સાથે ગામની નદીને સાફ કરાવી પાછી વહેતી કરવી પણ એમને જરૂરી લાગે છે. વળી, જો નદી પરના ચેક ડેમ પર ઘાટ કર્યો હોય તો બહેનો ઘરેલુ ઉપયોગ માટે પણ પાણીનો ઉપયોગ કરી શકે. સૌ કોઈ જાણે છે કે આ સગવડો સહેલાઈથી મળવાની નથી. એને માટે તેમણે નવો સંઘર્ષ કરવાનો છે.

ગામના પુરુષો તેમની સ્ત્રીઓને કહે છે કે આ માટે તમતમારે લડી લેજો! પુરુષોને પણ એમની સ્ત્રીઓની તાકાતમાં વિશ્વાસ બેસી ગયો છે. 10 વર્ષના સંઘર્ષને મળેલી ભવ્ય જીતનો ઉત્સવ ગામવાસીઓ અને તેમના ટેકેદારોએ ભેગા મળીને ઉજવવાનું નક્કી કર્યું છે. ‘ઇતિહાસથી ઇતિહાસ સુધી’ નામનો કાર્યક્રમ મીઠીવીરડીમાં તારીખ 9-10 સપ્ટેમ્બરે થવાનો છે. ઇતિહાસની એક કડી ત્યાં મળેલાં પથ્થરના સૌથી મોટા પૌરાણિક લંગર છે, જેને ભીમ કોટ કહે છે. મીઠી વીરડીના ઇતિહાસનું તાજું પાનું ગ્રામવાસીઓએ ભેગા મળીને લખ્યું છે.

ઇતિહાસની આ કડી આગળ વધારવા તેઓ હવે પ્રતિબદ્ધ છે. વિજયને અનોખી રીતે ઉજવવા માટે ગ્રામ્યજીવનના પ્રશ્નોને ઉજવણી સાથે સાંકળી લેવામાં આવ્યાં છે. કાર્યક્રમના બંને દિવસ સવારે પ્રભાત ફેરી અને ગામોમાં સફાઈ કામ થશે. ભૂમિપૂજન, પ્રાકૃતિક ગીતો અને વૃક્ષારોપણ કરવામાં આવશે. બાળકો લડત અંગે, સહભાગીતા અંગે અને પ્રાકૃતિક ચિત્રો બનાવશે. સંઘર્ષને લગતી તસવીરોનું પ્રદર્શન પણ થશે.

અણુમથક અહીં નહીં’માંથી ‘અણુમથક ક્યાં ય નહીં’ની સમજણ સુધી પહોંચેલા આ લોકસંઘર્ષના ઇતિહાસમાં બહેનોની સરખી ભાગીદારી અને હિંમતની સાથે તેમના કુટુંબના પુરુષોએ તેમને કરેલા મજબૂત ટેકાને પણ દાદ આપવી રહી.

સૌજન્ય : ‘સરખેસરખાં’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2017

Loading

આ બાંયધરી હતી તો કોને આપવામાં હતી? આ ચેતવણી હતી તો કોને માટે હતી? આ સંકલ્પ હતો તો કોનો હતો?

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2017

નરેન્દ્ર મોદીના સમર્થકોએ આ ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ. જવાબ શોધવા જરા ય અઘરા નથી, બલ્કે દેખીતા છે

મન ખિન્ન થઈ જાય છે ત્યારે કંઈ લખવાનું મન નથી થતું, પરંતુ એની વચ્ચે ભારતના નાગરિકનો અંતરાત્મા જાગે છે અને અવાજ ઊઘડે છે ત્યારે ખૂબ રાહતનો અનુભવ થાય છે. બુધવારે સવારે મને મુંબઈના એક પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો ફોન આવ્યો કે મારે તમને મળવું છે. હું જ્યારે તેમને મળવા ગયો ત્યારે તેમણે કહ્યું કે ‘હું આખી જિંદગી કૉન્ગ્રેસનો વિરોધી રહ્યો છું કારણ કે કૉન્ગ્રેસે અવ્યવહારુ અને ઢોંગી સમાજવાદનો માર્ગ અપનાવ્યો હતો. હું આખી જિંદગી મુસલમાનોનો વિરોધી રહ્યો છું કારણ કે મુસલમાનો ધર્મની આગળ કંઈ જોઈ શકતા નથી, જોવા માગતા નથી અને આધુનિકતાનો સ્વીકાર કરતા નથી. એને કારણે હું મોદીભક્ત બન્યો હતો; પરંતુ ડોકલામ, ડીમૉનેટાઈઝેશન, ગૌરક્ષકો દ્વારા કરાતી હત્યા તેમ જ સતામણીઓ, વડા પ્રધાનનાં જુઠ્ઠાણાંઓ, સાઇબર સેલ દ્વારા કરવામાં આવતા કુપ્રચાર અને ચારિત્ર્યહનન અને હવે ગૌરી લંકેશ જેવા સ્વતંત્ર અવાજોની કરવામાં આવતી હત્યાઓ જોઈને મને ખાતરી થઈ ગઈ છે કે નરેન્દ્ર મોદીનો એજન્ડા દેશનો વિકાસ નથી પરંતુ દેશના આત્માને વિદીર્ણ કરવાનો છે.’

જવાહરલાલ નેહરુ સામેનો અણગમો એની જગ્યાએ છે, પરંતુ નેહરુએ લોકશાહી અને આધુનિક રાજ્યનું જતન કર્યું હતું. તમારા પર કોઈ નજર નહોતું રાખતું અને કોઈ ચારિત્ર્યહનન નહોતું કરતું. નેહરુએ પ્રજાકીય વિભાજનો પેદા નહોતાં કર્યાં અને એવાં વિભાજનો પેદા ન થાય એ માટે સર્વસમાવેશક મધ્યમમાર્ગ અપનાવ્યો હતો. એને કારણે દેશની અખંડતા જળવાઈ રહી છે.

તેમણે મને કહ્યું હતું કે હું આ લખું અને તેમનું નામ આપીને લખું. મેં તેમને કહ્યું હતું કે જાહેરમાં પ્રગટ થઈને બોલવાની જવાબદારી તમારી છે એટલે હું તમે કહેલી વિગતો લખીશ, નામ નહીં. વિગતો એટલા માટે કે એમાં અત્યાર સુધી ઢબૂરાયેલો અંતરાત્મા જાગૃત થતો જોવા મળે છે. આવા બીજા કરોડો નાગરિકો હશે જેઓ ગૂંગળામણ કે અકળામણ અનુભવતા હશે અને છેતરાયા હોવાનો ભાવ અનુભવતા હશે. તમે ગમે તેના રાજકીય સમર્થક હો, અસત્યના અને હિંસાના સમર્થક કઈ રીતે હોઈ શકો? હજારો વર્ષની તપશ્ચર્યા પછી સામાજિક પોત રચાયું છે, રચાઈ રહ્યું છે અને સભ્ય સમાજની રચના થઈ છે એને નજર સામે ઉતરડાતાં કઈ રીતે જોઈ શકાય? સભ્યતાનું આ જે પોત રચાયું છે એ હજી તો નાજુક છે એટલે એનું જતન કરવાનું હોય, ચીરવાનું ન હોય.

ગૌરી લંકેશની હત્યાના ખબર મળ્યા પછી મનમાં જે ખિન્નતા હતી એમાં મુંબઈના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિત્રના જાગેલા અંતરાત્માને જોઈને રાહત મળી. ચાલો દેશ ઊગરી તો જશે, કારણ કે ભારતની સામાન્ય પ્રજા એકંદરે વિવેકી છે. એક હદ કરતાં વધારે અસત્ય અને હિંસા ભારતની પ્રજા સ્વીકારી શકતી નથી, પરંતુ એની વચ્ચે સોશ્યલ મીડિયા પર ગૌરી લંકેશની હત્યાને ઉચિત ઠરાવનારા અને રાજીપો વ્યક્ત કરનારા મેસેજિસ ઠલવાવાના શરૂ થયા. હત્યાનો બચાવ અને બચાવ તો ઠીક, રાજીપો? આ કઈ પ્રકારની માનસિક વિકૃતિ? આનો શું અર્થ કરવો? શું ભારતીય લોકમાનસ ભયંકર પ્રમાણમાં ઝેરીલું બની ગયું છે કે પછી કુપ્રચાર દ્વારા એને ઝેરીલું બનાવવામાં આવી રહ્યું છે?

આવા અનેક સવાલો મનમાં ઘોળાઈ રહ્યા છે, પરંતુ એ પહેલાં ખરેખર મનમાં ઝેર લઈને જીવનારા લોકોને તેમ જ હત્યામાં રાજીપો અનુભવનારા લોકોને એક સનાતન સત્ય જણાવી દેવું જોઈએ. શારીરિક હત્યા કરવાથી વિચાર મરતો નથી એ સનાતન સત્ય છે. સૉક્રેટિસથી લઈને ગૌરી લંકેશ સહિત અનેક લોકોને બોલતા રોકવા માટે હત્યા કરવામાં આવી છે, પરંતુ આપણી સામેનું સત્ય એ છે કે જેમની હત્યાઓ કરવામાં આવી એ બધા જ વિચાર દ્વારા હયાત છે અને જેમણે હત્યા કરી તેમને કાં તો કોઈ ઓળખતું નથી અથવા ઇતિહાસમાં વિલન તરીકે કુખ્યાત છે. વિચાર ક્યારે ય મરતો નથી એ ગાંઠે બાંધી રાખવા જેવું સત્ય છે. જો વિચારમાં દમ હશે તો કોઈના બાપની તાકાત નથી કે તેને કોઈ મારી શકે, પછી તમે ગમે એટલી શારીરિક હત્યાઓ કરો. બીજું સનાતન સત્ય એ છે કે જે કોઈ અમર વિચાર છે એના તમે વારસદાર પણ છો અને લાભાર્થી પણ છો. જેમ કે જંગલમાં વસતા માનવીએ નાગરિક સમાજ રચ્યો અને કાયદાનું રાજ સ્થાપ્યું એ પહેલાં એ માત્ર વિચાર હતો. એ વિચારે ધીરે-ધીરે સાકાર સ્વરૂપ ધારણ કર્યું જેના તમે લાભાર્થી છો. વિચાર જ જૂની ઇમારતને તોડે છે અને નવી ઇમારત બાંધે છે અને વિચારવિરોધીઓ કાટમાળ નીચે દફનાઈ જાય છે. અસત્ય અને હત્યાઓનો લૂલો બચાવ કરનારાઓ માટે અને રાજીપો વ્યક્ત કરનારાઓ માટે આટલું સત્ય પૂરતું છે.

હવે ભારતની સભ્યતા અને સંસ્કૃિતને જાળવી રાખવાની જેમના પર જવાબદારી છે એ વડા પ્રધાનની વાત. ૧૫ ઑગસ્ટે આઝાદીના પવિત્ર દિવસે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આસ્થાના નામે કરવામાં આવતી હિંસા ચલાવી લેવામાં નહીં આવે. આ બાંયધરી હતી હતી તો કોને આપવામાં હતી? આ ચેતવણી હતી તો કોને માટે હતી? આ સંકલ્પ હતો તો કોનો હતો? નરેન્દ્ર મોદીના સમર્થકોએ આ ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ. જવાબ શોધવા જરા ય અઘરા નથી, બલકે દેખીતા છે. વડા પ્રધાને દેશની સમગ્ર જનતાને બાંયધરી આપી હતી કે આસ્થાના નામે કરવામાં આવતી હિંસાને ચલાવી લેવામાં નહીં આવે. તેમણે હિન્દુ કોમવાદીઓને તેમ જ અસામાજિક તત્ત્વોને ચતવણી આપી હતી કે તેઓ સખણા રહે, કાયદાનું રાજ સર્વોચ્ચ છે. તેમણે સંકલ્પ પોતાની જાત સાથે કર્યો હતો કે તેઓ દેશના વડા પ્રધાન છે અને કોઈ ધર્મવિશેષના અનુયાયીઓના વડા પ્રધાન નથી. તેમણે બંધારણને અનુસરીને રાજ કરવાનું છે, કોઈ સંઘની વિચારધારાને અનુસરીને રાજ કરવાનું નથી.

પવિત્ર દિવસે અને ઐતિહાસિક સ્થાને આપવામાં આવેલાં વચન, ચેતવણી અને સંકલ્પ ત્રણેય ખોટાં? જેમને ચેતવણી આપવામાં આવી હતી એ તો તેમના જ પરિવારના માણસો છે. કાં તો તેઓ ૫૬ ઇંચની છાતી ધરાવતા તેમના પોતાના વડા પ્રધાનને ગાંઠતા નથી અથવા ચેતવણી દેખાવ પૂરતી ખોટી હતી. જો એમ હોય તો એનો અર્થ એટલો જ થાય કે વચન પણ ખોટું હતું અને જાત સાથેનો સંકલ્પ પણ ખોટો હતો. જો કે આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આપણને એવા વડા પ્રધાન મળ્યા છે જે ટ્રોલ્સ(જૂઠો પ્રચાર કરનારાઓ અને ચારિત્ર્યહનન કરનારા ભાડૂતી મારાઓ)ને ફૉલો કરે છે. ‘આઇ ઍમ અ ટ્રોલ’ નામના પુસ્તકમાં સ્વાતિ ચતુર્વેદીએ પુરાવાઓ અને પિક્ચર્સ સાથે સાબિત કરી આપ્યું છે કે ભારતના વડા પ્રધાન જુઠ્ઠાણાંઓની ફૅક્ટરી ચલાવનારાઓનાં ટ્વિટર અકાઉન્ટ ફૉલો કરે છે.

આવી સ્થિતિમાં ગૌરી લંકેશ સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં દેશનું બંધારણ સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં સેક્યુલર ઇન્ડિયા સુરક્ષિત નથી. વિચારો તમારો માનવધર્મ તમને શું કહે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,2903,2913,2923,293...3,3003,3103,320...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved