Opinion Magazine
Number of visits: 9766881
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારુલતા કામ્બલે – એક અસાધારણ વ્યક્તિત્વ

આશા બૂચ|Opinion - Opinion|7 February 2018

ભારુલતાનું નામ કદાચ બ્રિટન અને ભારતમાં વસતા કર્મશીલો અને સાહસિકોથી અજાણ નહીં હોય.

ટૂંકમાં પરિચય આપવો હોય તો કહી શકાય કે એક પ્રતિભાશાળી, મક્કમ નિર્ધારવાળી, અદ્દભુત કલ્પનાશક્તિ ધરાવનારી, વિવિધ પ્રકારની બુદ્ધિ પ્રતિભાનાં ધણી અને બિલકુલ વાસ્તવિક દ્રષ્ટિકોણ ધરાવનાર એવી આ મહિલા છે.

ભારુલતાની સિદ્ધિઓ વિષે જાણતાં પહેલાં તેમનું આવું લોખંડી મનોબળ અને સાહસિક વ્યક્તિત્વ કેમ ઘડાયું તે સમજવા તેમના ઉછેર અને સંયોગો જાણવા ઉપયોગી થઈ પડશે. નવસારી પાસેના એક નાના ગામ આટમાં તેમનો જન્મ. ચારેક વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. માતા ખાસ ભણેલાં નહીં. તેઓ પુનર્વિવાહ બાદ ઇંગ્લેન્ડ આવ્યાં. કઇંક શિક્ષણનો અભાવ અને કઇંક અંશે સામાજિક માન્યતાઓની અસરને પરિણામે તેઓ પોતાની બંને પુત્રીઓ શાપ રૂપ છે તેમ માનતાં. આથી જ તો કદાચ ભારુલતા અને તેમની બહેનને ભારત છોડીને તેઓ વિદેશ ગયાં. બંને દોહિત્રીઓને નાના, કે જેઓ શિક્ષિત હતા અને સારી વગ ધરાવતા હતા તેમણે ઉછેરી. નાનાજીના મૃત્યુ બાદ ભારુલતાના મોટા મામાએ ભાણીઓને કમ સે કમ માની છાયા મળે એ હેતુથી બહેનને સમજાવી ભારુલતા અને તેમની બહેનને લંડન મોકલ્યાં. હવે ગુજરાતના સાવ નાના ગામડામાંથી આવેલી બે કુમારિકાઓ, સાવકા પિતાનો ખાસ સાથ નહીં, ઇંગ્લિશ ઝાઝું જાણે નહીં એટલે વેમ્બલીની એક સાડીની દુકાનમાં કામ કરવું શરૂ કર્યું. એ દુકાનનાં માલિકણ બહેનની ભલામણથી ESOL કોર્સ કરી ઇંગ્લિશ શીખ્યાં. બહેન એર હોસ્ટેસ બની અને ભારુલતાએ પૂરા સમયની કામગીરી બજાવતાં બજાવતાં ઉચ્ચ શિક્ષણના ચઢાણ સર કર્યાં. તેમણે The Chartered Institute of Legal Executives, UKમાંથી ઉપાધિ મેળવી અને તે જ સંગઠનના એસોસિએટ સભ્ય પણ બન્યાં. ત્યાર બાદ તેમણે યુનિવર્સીટી લંડનમાં કાયદાનો અભ્યાસ પણ કર્યો. તેઓ સિવિલ સર્વિસમાં જોડાયાં અને લોયર પણ થયાં. ભારુલતાના શબ્દોમાં કહું તો “એક સાવ ગામની છોકરીમાંથી બ્રિટિશ ગર્લ બની પછી ડોક્ટર પતિ મળ્યો.” સાસરું જોઈએ તેવો સહયોગ તેમના કામને આપી નથી શકતું, પણ પતિએ દહેજ ન આપવાની બાબતમાં ભારુલતાને જ સાથ આપ્યો. આજે યુરોલોજિસ્ટ પતિ અને બે હોનહાર પુત્રો સાથે તેઓ સુખેથી જીવન વિતાવે છે.

આવી કઠિનાઈઓમાંથી માર્ગ કાઢીને ઉચ્ચ ધ્યેયોને આંબવાની પ્રેરણા થવાનાં કારણો જણાવતાં ભારુલતાએ કહ્યું, “અમે બે બહેનો નાનાને ઘેર ઉછરીને મોટી થઈ હતી. એક દિવસ મારા કાકા મળવા આવ્યા, ત્યારે નાનાએ અમ બે બહેનોની જવાબદારી ઉઠાવવા કહ્યું જેના જવાબમાં કાકા બોલ્યા, ‘છોકરી અને રસ્તામાં પડેલ પથ્થરમાં શો ફેર? મારે માટે એમની કોઈ કિંમત નથી.’ એ વાત મારા મનમાં ખૂબ ચોટ પહોંચાડી ગઈ.” સદ્નસીબે નાનાજીને ભારુલતાના હીરની પહેલેથી પરખ થઈ અને તેની શક્તિઓને ઓળખીને એ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું તેમ કહી શકાય. આથી જ તો તેઓ ભારુલતાને દરેક કાર્યક્રમમાં ગીતો ગાવાં અને વાર્તાઓ કહેવા પ્રોત્સાહન આપતા. માત્ર ચૌદ વર્ષની ઉંમરે તેમનું પ્રથમ લખાણ પ્રકાશિત થયું. ત્યારથી તેમણે કદી પાછું વાળીને જોયું નથી અને સફળતા તમના કદમો ચુમતી આવી છે. ‘દીકરી છે, ઝાઝું ભણાવીને શું કરવાનું?’ એવી માનસિકતા હજુ પણ કેટલાંક સમૂહો અને પરિવારોમાં ઘર કરીને બેઠી છે જેનો ભોગ ભારુલતા પણ બન્યાં. પરંતુ તેનાથી જરા પણ ડગી ગયા વિના તેઓ અભ્યાસમાં આગળ ધપ્યે ગયા એટલું જ નહીં, ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પણ ઉચ્ચતમ તાલીમ મેળવી. આગળ જતાં આત્મવિશ્વાસ અને ભરપૂર ઉત્સાહથી ભરેલ આ તરુણીને નાટિકાઓનું દિગ્દર્શન કરવાની તકો મળી. એમ તો યુનાઇટેડ કિંગ્ડમના એક ફેશન શોમાં ભારતીય ફેશનના મોડેલ તરીકે પણ થોડા સમય માટે ઝળક્યાં. આટલું હજુ ઓછું હોય તેમ તેમણે ઘણી દસ્તાવેજી ફિલ્મનું લખાણ, પ્રોડક્શન અને દિગ્દર્શન પણ કર્યું છે.

ભારુલતામાં મજબૂત નિર્ણય શક્તિ, બેજોડ હિંમત અને અડગ મનોબળની સાથે મૃદુતાનો સુંદર સંગમ જોવા મળે છે, જેને કારણે તેઓ જરૂરિયાતમંદોને મદદ કરવા તત્કાલ પ્રવૃત્ત થતાં રહ્યાં છે. તેમની અંદર છુપાયેલ એક ક્રાંતિકારી વ્યક્તિત્વ હંમેશ સમાજમાં કઇંક બદલાવ લાવવા તડપતું હોય છે. સામાજિક અન્યાયો સામે અવાજ ઉઠાવવાની તેમની રીત અનોખી છે. તેઓએ સ્ત્રી-પુરુષ સમાનતા અને માનવ અધિકારનાં પ્રચારકની રૂએ અનેક દેશોમાં ભ્રમણ કર્યું છે.

ડ્રાઇવિંગનાં શોખીન આ સન્નારીનાં સાહસોનાં કેટલાક દ્રષ્ટાંતો જોઈએ. ભારતના સ્વાતંત્ર્યના 70 વર્ષની ઉજવણીના ભાગ રૂપે તેઓએ યુનાઇટેડ કિંગ્ડમના Lands Endથી John ‘O’Groat એટલે કે દેશના એક છેડેથી બીજે છેડે એકલ પંડે લગભગ 1,500 માઈલની સફર 15થી 16 કલાકમાં કરી. આ સફરનો હેતુ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. એ જ હેતુસર તેમણે 120 મહિલાઓ સાથે લંડનથી લેસ્ટર સુધીની યાત્રા પણ કરેલી, જેની માહિતી અને તસ્વીર અહીં સામેલ છે.

કન્યાઓ અને સ્ત્રીઓની કેળવણી માટે સુવિધા કરવાની તમન્ના ભારુલતાને પોતાની જાત માટે એક બીજો પડકાર આપવા તરફ દોરી ગઈ જેમાં તેમણે 32 દેશોમાં કોઈના પણ સાથ વિના મુસાફરી કરી.

બે ખંડ, 9 ટાઈમ ઝોન, 3 રણ પ્રદેશ, 9 પર્વત માળાઓ અને 32 દેશોને ખૂંદી વળવા 5,500 કિલોમીટરની યાત્રા કરીને આ નિર્ભય અને મક્કમ નિર્ધારવાળી મહિલાએ દરિયાની સપાટીથી 13,000 ફૂટ ઊંચાઈ સર કરીને પોતાના વ્યક્તિત્વને દુનિયા સમક્ષ ખડું કર્યું.

કોઈ એક મહિલા અને તેમાં ય ભારતીય મૂળની મહિલાએ કદી ન મેળવી હોય તેવી સિદ્ધિઓ હાંસલ કરી હોવાને લીધે, ભારુલતાને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યાં છે, તેમ કહું તો તેમાં કશું આશ્ચર્ય નહીં થાય. તેમાંનો એક એવોર્ડ હતો ઓલ ઇન્ડિયા અચીવર્સ કોન્ફરન્સમાં મળેલ ‘Woman of substance award’ જે તેમની વ્યક્તિગત સિદ્ધિઓ ઉપરાંત દેશની અસ્મિતા જાળવવાના પ્રયાસ રૂપે આપવામાં આવેલ. અહીં તેની કચકડે મઢેલ ઝાંખી છે.

ભારુલતાને જાણે નિર્ભયતાનું વરદાન મળ્યું છે અને એટલે એકલ પંડે અનેકાનેક સફરો ખેડી ચુક્યાં છે, જે બે-ચાર કે આઠ-દસ સાહસવીરોની ટુકડીમાં જનાર પુરુષો પણ હિંમત નથી કરતા હોતા. એમાંનો એક સાહસ પ્રવાસ તે Arctic Circleનો પ્રવાસ. પૃથ્વી પરના અત્યંત વિષમ ગણાતા ભૂ ભાગની આરપાર એકલાં સફળ ખેડાણ કરીને તેમણે પોતાનાં વ્યક્તિત્વની મક્કમ નિર્ણય શક્તિ દર્શાવી. આ તેમની પહેલી મોટી સાહસ યાત્રા હતી જેમાં 2,792 કિલોમીટરનું અંતર માત્ર ચાર દિવસમાં કાપ્યું. વળી આ સાહસ માટે તેમને મદદ કરનાર કોઈ ટીમ, કોઈ વાહન કે નિષ્ણાતો નહોતા રોકેલાં. જો કોઈ જોખમકારક સ્થિતિ આવી હોત તો શું થાત એ તો કલ્પના બહારની વાત છે. કોઈ મહિલાએ Arctic Circleનો પ્રવાસ એકલાં કર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો નોંધાયેલ છે. એક મહિલા એકલાં પોતાની સામાન્ય ફેમિલી કાર લઈને યુનાઇટેડ કિંગ્ડમથી પ્રયાણ કરી ફ્રાન્સ, લક્સમબર્ગ, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ વગેરે દેશો ખૂંદીને Arctic Circle પહોંચ્યાં એમ કહીએ તો માનવું મુશ્કેલ પડે તેવી તેમની આ સફર કહી શકાય. આ હજુ પૂરતું ન હોય તેમ લગભગ 50,000 કિલોમીટર ડ્રાઈવ કરીને 50 દેશોની મુસાફરી કરવાની યોજના ભારુલતાએ કરી છે. અત્યન્ત જોખમકારક રસ્તાઓ અને વિષમ હવામાનવાળા પ્રદેશોમાંથી પસાર થવાનું આવશે અને જ્યાં ભાગ્યે જ કોઈ માનવીએ પગ મુક્યો હોય તેવાં વેરાનમાંથી પણ માર્ગ કાઢવાનો રહેશે એ વાતથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં આવું જોખમ ઉઠાવવા પાછળ ભારુલતાનો ઉદ્દેશ દરેક ઉંમરની બાળા અને સ્ત્રીને પોતાની શક્તિ અને અધિકારનો અહેસાસ કરાવી બધા પ્રકારની મર્યાદાઓને ઉલ્લંઘીને જીવનમાં આવતા પડકારોને પૂરેપૂરી તાકાતથી લલકારવા જરૂરી શક્તિ કેળવવાનો સંદેશ પહોંચાડવાનો છે. અલબત્ત આ સફર દરમ્યાન તેઓને વિવિધ સંસ્કૃિતના લોકોનો ભેટો થશે જેમની જીવનરીતિ સાથે પોતાની માન્યતાઓ અને ખ્યાલોનો મેળ ન પણ થતો હોય. પરંતુ અશક્યને શક્ય બનાવે તેનું નામ જ ભારુલતા.

આટલી માહિતી વાંચનારને કદાચ એવો ભાસ થાય કે એક અત્યન્ત હિંમતવાન મહિલા કે જેને ડ્રાઈવીંગનો શોખ છે અને સ્ત્રીઓનું હિત દિલમાં વસેલું છે, એટલે આવા અસાધારણ પ્રવાસો ખેડવા એટલું જ એમનું કાર્ય છે. આ ભારતીય નારીનું કાર્યક્ષેત્ર સાહસ પ્રવાસોથી અટકી નથી જતું. તેઓ અનેકવિધ ટ્રસ્ટ્સ અને પ્રકલ્પોમાં પણ સંલગ્ન છે, જેમ કે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન, પ્રિશ ફાઉન્ડેશન ટ્રસ્ટ, હેલ્થ કેર ઈન ઇન્ડિયા, આદિવાસી વિસ્તારોમાં પૂરી પડાતી પ્રાથમિક સારવાર અને સાવિત્રીબાઈ ફૂલેના નામના નેજા હેઠળ ચાલતી સેવાઓ અને તેના જેવા અન્ય અનેક સંગઠનોને પોતાની દ્રષ્ટિ અને શક્તિનો લાભ આપતાં રહે છે. તેમની આવી બહુવિધ સેવાઓની કદરરૂપે આ વર્ષની 20મી જાન્યુઆરીને દિવસે અન્ય 111 નારીઓની જોડે ભારુલતાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે ‘નારી શક્તિ પુરસ્કાર’ એનાયત થયો. ભારતની અને સમગ્ર  જગતની નારીઓને ગૌરવ અપાવનાર આ એક અનોખી મહિલા છે તે નિ:શંક છે.

બહુમુખી પ્રતિભા ધરાવનાર ભારુલતાના સાહસ પ્રવાસોમાં જોડાવા કેટલાંક લોકો ભાગ્યશાળી હશે, પરંતુ જેઓ તેવા અભિયાનોમાં સક્રિય પણે ભાગ ન લઈ શકે, તેઓ તેમનાં કાર્યોને અન્ય પ્રકારે સહાય કરી શકે તો પણ તેમના આ યજ્ઞના પુણ્યમાં હિસ્સો મળી શકે. બાળકીઓ અને સ્ત્રીઓનાં ઉત્થાન માટે શરૂ કરેલી આ સાહસ સફર ભારુલતાને ધારેલી સફળતા અપાવે તેવી શુભકામનાઓ યુનાઇટેડ કિંગ્ડમ અને ભારતના મહિલા જગત વતી આપીને વિરમું.

e.mail : 71abuch@gmail.com

Loading

વિશાળ અને વૈવિધ્યપૂર્ણ ભારતના વિકાસની વિમાસણ

આશા બૂચ|Opinion - Opinion|6 February 2018

BNP એ એક આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને તેની સંલગ્ન સેવાઓ પૂરી પાડતી પેઢી તરીકે ઓળખાતું નામ છે. તેના  એનાલિસ્ટ દ્વારા  BNPની ન્યુયોર્કની હેડ ઓફિસ પાસે ભારતના નીચે બતાવેલ નકશા રજૂ કરવામાં આવેલ, જેથી એ કંપનીના હોદ્દેદારોને ભારત જેવા વિશાળ અને ક્લિષ્ટ દેશને સંભાળવો કેટલો કઠિન છે તેનો ખ્યાલ આવે. મુખ્યત્વે યુરોપના દેશોની વસતી ભારતના જુદા જુદા રાજ્યોની વસતીની સાથે સરખાવી શકાય તેમ છે તે સ્પષ્ટ કરવાનો તેમનો ઉદ્દેશ હતો. ભારતમાં દુનિયાના કેટલા બધા દેશોની વસતીનો સમાવેશ થાય છે તેનો અંદાજે ખ્યાલ આવી શકે. નકશામાં બતાવેલ તમામ દેશોના સંગઠનવાળો એક મોટો દેશ બનેલ હોય તેને વહીવટ પૂરો પાડવવો અને તેમાં સમાવિષ્ટ દરેક નાગરિકનો એક સરખો વિકાસ કરવો એ કેવું ભગીરથ કામ છે એ હકીકત અહીં સ્પષ્ટ થાય છે.

આ વેળા મારી ભારત યાત્રા દરમ્યાન મને ગુજરાતની ધારાસભાની ચૂંટણી સમયે હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું (!!!) એક પક્ષ દેશને ધર્મને આધારે વિભાજીત કરી મત મેળવવા મથતો હતો તો બીજો પક્ષ જ્ઞાતિ પ્રથાને જોરે મત મેળવી સિંહાસને બેસવાની ઘડભાંજમાં બરબાદ થતો જોયો. આથી મનોમન આઝાદી સમયના ભારત અને આજના ભારત વિષે સરખામણી કરવા પ્રેરાઈ. ઉપર બતાવેલા બંને નકશાઓ જોતાં જરૂર ખ્યાલ આવે કે આટલી મોટી જનસંખ્યા અને સાથે સાથે ધર્મ, પંથ, ભાષા, ખોરાક, રીત-રિવાજો, પહેવેશ, તહેવારો અને જીવન શૈલીઓનું વૈવિધ્ય ધરાવતા દેશનું સંચાલન કરવું એ એક શક્તિશાળી વહીવટી તંત્ર માગી લે છે. આવા એક ભૌગોલિક વિશાળતા અને અકલ્પનીય વૈવિધ્ય ધરાવતા દેશને એકસૂત્રે બાંધવાનું કાર્ય કયા સિદ્ધાંતોને આધારે થઈ શકે એ વિષે વિચાર મંથન ચાલ્યું. એ માટે સાત દાયકાઓ પહેલાં આપણી પાસે શું હતું, તેમાં શું ઉમેર્યું અને શું ગુમાવ્યું તેનાં લેખાં-જોખાં કરવાં મુશ્કેલ છે, છતાં થોડા મુદ્દાઓની છણાવટ કરવા પ્રયાસ કર્યો છે. આ લેખમાં આપાયેલા આંકડાઓ અલગ અલગ સ્રોતમાંથી મેળવવામાં આવ્યા છે અને તેથી જ તેની ખરાઈ વિષે હું કોઈ દાવો ન કરી શકું. મારો હેતુ માત્ર જે તે પરિસ્થિતિને સમજવા માટે તે અંકોને એક સાધન ગણવાનો છે જેની વાચકો નોંધ લે તેવી વિનંતી.

કોઈ પણ દેશની પ્રગતિનો આધાર તેની જનસંખ્યા, ભાષા અને સંસ્કૃિતનું વૈવિધ્ય, પ્રજાની વ્યક્તિગત અને સરકારોની આર્થિક ક્ષમતા, રાજ્યો અને કેન્દ્રના વહીવટી માળખાની સધ્ધરતા, દેશની આંતરિક એકતા અને સરહદી સુરક્ષા વગેરે જેવા પરિબળોથી માપવામાં આવે છે.  

ઇતિહાસને પાને નોંધાયું છે કે 1947માં ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન પાસે ભારતીય ઉપખંડના વિભાજન કરવા માટેના નકશા એક પરબીડિયાંમાં હતા. ઈ.સ. 1599માં બ્રિટનનાં રાણી ઇલિઝાબેથ પ્રથમે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપેલ શાહી રુકકાથી જે સામ્રાજ્યની શરૂઆત થઈ હતી તેનો આ દસ્તાવેજથી અંત આવતો હતો. આ પરબીડિયામાંના કાગળોની અસરથી જે કરુણતા ઊભી થવાની હતી તેનો ઇતિહાસમાં ક્યાં ય જોટો જડે તેમ ન હતો. તો તેવે ટાણે ભારતને શું શું વારસામાં મળેલું અને એ તમામ વારસાની હાલત કેવી હતી એ જાણવાથી અત્યારની ભારતની સિદ્ધિઓ અને તેમાં આવતી અડચણોનું મૂલ્યાંકન થઈ શકે.

આઝાદી સમયે અખંડ ભારતની વસતી 39 કરોડ હતી, જે વિભાજન થવાથી ભારતની વસતી 33 કરોડ હોવાના આંકડા નોંધાયા છે. આજે માત્ર ભારતની વસતી 132 કરોડની છે અને હજુ વધતી રહે છે. હવે જે દેશની વસતી આટલા મોટા પ્રમાણમાં વધતી રહી હોય તેની પ્રગતિ માટેના સંસાધનો કઈ રીતે પૂરા પડી શકે?

1947માં સ્વિટ્ઝર્લેન્ડની કુલ વસતી જેટલા રક્તપીત્તથી પીડાતા લોકોનો ભારતમાં સમાવેશ થતો હતો. તો આજે પણ આ બાબતમાં ભારતની સ્થિતિ ક્યાં સુધરી ગણાય? WHO દુનિયાને રક્તપીત્તથી મુક્ત થયેલી જાહેર કરે છે ત્યારે ખરું જોતા દુનિયામાં ¼ મિલિયન લોકો આ રોગથી પીડાય છે જેમાંથી 60% દર્દીઓ ભારતમાં વસે છે. ભારતમાં એકથી દોઢ લાખ નવા કેઈસીસ દર વર્ષે નોંધાય છે. સવાલ જરૂર થાય કે આમ શા માટે?

કોઈ પણ કુટુંબ, સમાજ કે દેશની સમૃદ્ધિનો આધાર તેના યુવાધનની કમાણી કરી અર્થતંત્રમાં ફાળો આપવાની શક્તિ પર છે. સ્વતંત્રતા મળી ત્યારે બેલ્જિયમમાં વસતા બેલ્જિયનો જેટલા તો ભારતમાં પંડા અને ધર્મગુરુઓ હતા. સમગ્ર હોલેન્ડની આબાદી જેટલા ભિખારીઓની વસતી ભારતમાં સમાયેલી હતી. 1 કરોડ 10 લાખ જેટલા પવિત્ર ગણાતા લોકો હતા. હજુ આજે પણ દરેક રાજ્યમાં વધતે ઓછે અંશે બહુ મોટી સંખ્યામાં ભિક્ષુકો હોવાની ધારણા છે. એનો અર્થ એ કે આવડી મોટી સંખ્યાના સમૂહ બેરોજગાર રહીને સમાજને ભાર રૂપ થતા હોય ત્યાં વિકાસની ચૂંદડીમાં કાળું ધાબું દેખાય તેમાં શી નવાઈ?

70 વર્ષ પહેલાં લગભગ 2 કરોડ જંગલવાસી દેહાતીઓ હતા, જેમાંના કેટલાક તો નાગાલેન્ડના ‘નાગ’ પ્રજાજનોની માફક માનવ-માથાઓનો શિકાર કરનારા હતા. જંગલ સમૃદ્ધિ ધરાવતા પ્રથમ દસ દેશોમાંનો એક ભારત છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે 104 મિલિયન એટલે કે ભારતની કુલ વસતીના 8.6% આદિવાસી પ્રજા છે. આઝાદી સમયે આશરે 1 કરોડ હિન્દવાસીઓ તો ‘ભટકતી પ્રજાઓ’ હતા જેમાં સપેરાઓ, મદારીઓ, ભાવિ કહેનારાઓ, જીપ્સીઓ, હાથચાલાકી કરનારા, પાણી પવિત્ર કરીને છાંટનારા, ભુવા, જતિ, જાદુગરો, ઝંબુરિયાઓ, જડીબુટ્ટી વેચનારા વગેરે અનેક વિચરતા ધંધાદારીઓનો સમાવેશ થતો હતો. ગામે ગામ આ લોકો ફરતા જ રહેતા. હજુ આજે પણ અંદાજે 1 બિલિયન લોકો (કુલ વસતીના 1.2%) ભટકતી જાતિનું જીવન જીવે છે. આ હાંસિયામાં જીવતી પ્રજાના મૂળભૂત અધિકારોની સુરક્ષા જળવાય છે ખરી?

વિદેશી ધૂંસરીમાંથી ભારત મુક્ત થયું તે વખતે દરરોજ 38,000 બાળકોનો જન્મ થતો તેવો અંદાજ છે, જેમાંના ¼ ભાગનાં બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલાં ગુજરી જતાં. તો એકવીસમી સદીમાં આશરે રોજના 57,685 બાળકો જન્મે છે. 2016માં 5.6 મિલિયન, એટલે કે રોજના 15,000 પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો પ્રભુને પ્યારા થઇ ગયાં! દુનિયામાં કુલ બાળ મરણના 20% ભારતમાં નોંધાય છે; એટલે કે આફ્રિકા બાદ આપણો દેશ એ બાબતમાં બીજે નંબરે આવે છે. દર વર્ષે  હિન્દવાસીઓના મોત પોષણના અભાવથી, ભૂખથી અને બળિયા જેવા, વિશ્વના કેટલા ય ભાગોમાંથી નાબૂદ કરાયેલા દર્દોથી થતા એ પરિસ્થિતિ આઝાદી સમયે હતી જેને માટે વિદેશી શાસન અને આર્થિક પાયમાલીને જવબદાર ગણાવીએ. પરંતુ સાત દાયકાના સ્વશાસન અને આર્થિક વિકાસના અંતે ઉપર કહ્યા તે આંકડાઓ કેમેય સ્વીકાર્ય નથી બનતા.

બ્રિટિશ સલ્તનતનો તાજ ગણાતો ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે દુનિયાના બીજા દેશોની આંખ તેના પર મંડાયેલી અને ભારતની આમ પ્રજાને પણ ભાન થયું કે તે સમયે વિશ્વમાંના કેટલાક અતિ ધનાઢ્ય લોકોમાં ભારતના ધનિકોનો સમાવેશ થતો હતો. સામે છેડે એ જ દેશમાં પૃથ્વી પરની ખૂબ જ ફળદ્રુપ ધરતી પર રહેવા છતાં કારમી ગરીબીમાં સબડતા લાખો ખેડૂતો અને ખેતમજૂરો અસ્તિત્વના સીમાડે માંડ જીવતા હતા. ત્યાર બાદ તો ભૂદાન-ગ્રામદાન જેવી ચળવળો થઈ અને હરિયાળી ક્રાંતિ થઈ તેથી જમીનદારી પ્રથા હંમેશને માટે વિદાય લઈ ગઈ, ખેતીને લાયક જમીનની ન્યાયી વહેંચણી થઈ અને રીબીની રેખા નીચે જીવતા ખેત મજૂરોની યાતનાઓનો અંત આવ્યો તેમ લોકોએ માનેલું. કાશ એમ બન્યું હોત! 2011ની વસતી ગણતરી પ્રમાણે 76 મિલિયન ખેત મજૂરોની સંખ્યા વધીને 263 મિલિયન સુધી પહોંચી એટલે કે કુલ વસતીના 8%થી વધીને 22% સુધી પહોંચી. તો શું જમીનદારી અને સામંતશાહી પાછલે બારણે ફરી ઘર કરી ગઈ? છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં વધતા આત્મહત્યાના બનાવો ખેત ઉદ્યોગમાં પ્રવેશેલા સડા સામે આંગળી ચીંધે છે.

સર્વ દુઃખોનું મૂળ અજ્ઞાનતામાં છે તેમ આપણે સદીઓથી માનતા આવ્યા છીએ. આઝાદી સમયે હિંદની લગભગ 83% વસતી અભણ હતી. આથી પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણના પ્રસાર પર ખૂબ ધ્યાન અપાયું અને તેના ફળ સ્વરૂપ સાક્ષરતાનું પ્રમાણ 1991માં 48% હતું, જે 2006માં 63% પર પહોંચ્યું. આમ છતાં હજુ એ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે. યુનેસ્કોની ગણતરી મુજબ આજે ભારતમાં લગભગ 287 મિલિયન લોકો વાંચી લખી નથી શકતા (કે જે દુનિયા આખીના નિરક્ષર લોકોમાં 37% જેટલા થવા જાય છે). 12 લાખ જેટલાં બાળકો કદી શાળાએ નથી ગયાં. સંરક્ષણ અને મોટા ઉદ્યોગોને બદલે શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત માટે વધુ ભંડોળ ફાળવીને સરકારે પોતે માતૃભાષાના માધ્યમથી ઉત્તમ શિક્ષણ આપવાની ફરજ બજાવી હોત તો સંભવ છે આજે તેનાથી અનેકગણો ફાયદો થયો હોત.

શિક્ષિત હો કે અશિક્ષિત, દરેક પુખ્તવયની વ્યક્તિ આજીવિકા રળે તેની સાથે દેશના અર્થતંત્રમાં ફાળો આપે. વિદેશી શાસન દરમ્યાન નાના મોટા રોજગાર આપતા વ્યવસાયો પડી ભાંગ્યા અને એક સમયે દુનિયામાં સમૃદ્ધિની ટોચ પર બેઠેલો દેશ સાવ દેવાળિયો થઇ ગયો. આથી જ તો આઝાદી ટાણે દેશની માથાદીઠ આવક સરેરાશ રોજના પાંચ સેન્ટ જેટલી જ હતી. હિંદનાં બે સહુથી મોટા શહેરોમાં ચોથા ભાગની વસ્તી તો ખુલ્લી શેરીઓમાં જ ખાતી, સૂતી, શૌચાદિ ક્રિયાઓ કરતી, જન્મતી, ઉછરતી અને મરતી. બિરલા, તાતા અને દાલમિયા જેવા વિશ્વના ત્રણ મોટા ઔદ્યોગિક કુટુંબો ધરાવતા હિંદની અર્થવ્યવસ્થા તો સામંતશાહી જેવી જ હતી જેમાં થોડાક જમીનદારો અને મૂડીપતિઓને લાભ મળે. આજે હવે ભારત દુનિયાના સાતમા ધનાઢ્ય દેશ હોવાનું ગૌરવ લઈ શકે તેમ છે. જનસંખ્યામાં બીજે નંબરે આવતો ભારત ખરીદ શક્તિમાં ત્રીજે નંબરે આવે છે. Forbes દ્વારા પ્રકાશિત આંકડાઓ પ્રમાણે 2017માં વિશ્વમાં કુલ 2043 અબજોપતિ નોંધાયા છે જેમાંના 101 અબજોપતિ ભારતમાં છે. આમ જુઓ તો સામાન્ય જનની સ્થિતિમાં પણ ફર્ક પડ્યો છે. 15 ઓગસ્ટ 1947, દિલ્લીમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ નિમિત્તે મનાતો જલસો જોવા છત્તરપૂરનો એક બ્રાહ્મણ ખેડૂત રણજિતલાલ ચાર આનામાં પોતાના ગામથી દિલ્હી ટાંગામાં આવ્યો હતો પણ હવે એ જ ટાંગાવાળો ઘેર લઈ જવા માટે બે રૂપિયા માગતો હતો ત્યારે ‘આઝાદી માટે કઇં આટલી મોટી રકમ અપાય નહીં.’ એમ કહીને રણજિત લાલ અને તેમનું કુટુંબ, વીસ માઇલ દૂર આવેલા પોતાના ગામ તરફ ચાલવા માંડ્યું હતું. એ જ ભારતમાં આજે બે પૈડાં અને ચાર પૈડાંના વાહનોની સંખ્યા વધતી જાય છે અને આંખ મિચકારશો ત્યાં તો બુલેટ ટ્રૈન આવશે. પરંતુ હજુ લાખો ‘રણજિતલાલ’ના કુટુંબોને પ્રાથમિક જરૂરિયાતો નસીબમાં નથી એ હકીકત છુપાવી શકાય તેમ નથી.

અત્યાર સુધી આપણે ભારતની ભૌગોલિક વિશાળતા, તેમાં વસતી પ્રજાની સંખ્યાથી માંડીને અગણિત ક્ષેત્રોની વિવિધતાની વાતો કરી. કોઈ પણ દેશના વિકાસમાં ઉપર છણાવટ કર્યાં તે તમામ પાસાંઓનો સમાવેશ થાય છે તેમ જ દેશનો વહીવટ પણ એક અત્યન્ત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દુનિયાની સહુથી મોટી જનસંખ્યા ધરાવનાર લકોશાહી ગણતંત્ર હોવાનું અને તેને સાત સાત દાયકાઓ સુધી હેમખેમ ટકાવી રાખવાનું ગૌરવ દરેક ભારતવાસીને અને વિદેશ વસતા ભારતીયોને હોય તે બિલકુલ વ્યાજબી છે. છતાં સામાન્ય જનથી માંડીને સર્વોચ્ચ સ્થાને બેઠેલા લોકોમાં ન્યાય અને નીતિમત્તાના ધોવાણને કારણે પ્રસરેલી રુશ્વતખોરી અને સંકુચિતતા અસહ્ય થઇ પડી છે, એ કટુ સત્ય પણ સ્વીકારવું રહ્યું. આઝાદી મળી તે વેળા ગાંધીજીના આશીર્વાદ લેવા આવેલા રાજકારણીઓને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું, “સત્તાથી ચેતજો. સત્તા માણસને ભ્રષ્ટ કરનારી ચીજ  છે. સત્તાના ઠાઠ અને દમામમાં ફસાઈ ન જશો. યાદ રાખજો કે તમે સત્તા પર આવ્યા છો તેમાં તમારે ભારતનાં ગામડાંઓના દરિદ્રોની સેવા કરવાની છે.” આપણા રાજકારણીઓએ ગાંધીજીની આ ચેતવણીને સાવ અવગણી અને તેનાથી તદ્દન અવળે માર્ગે પ્રયાણ કર્યું. લગભગ પોણોસો સદીનું સરવૈયું કાઢવા જતાં પ્રશ્ન થાય, આપણા ગ્રામ પંચાયતના સરપંચથી માંડીને વડાપ્રધાન સુધીના હોદ્દેદારોએ સેવા કોની કરી, પોતાની કે લોકની? દેશના કેટલાક રાજ્યો કે પ્રાંતોને જરૂરી સંસાધનો પૂરા પાડવાની ઉદાસી વિષે એવો બચાવ કરાય છે કે “દેશ બહુ મોટો છે, ધીરે ધીરે બધાને લાભ મળે” આ હકીકત તો સ્વતંત્રતા મળી ત્યારે જ્ઞાત હતી જ, તો પ્રગતિની કૂચમાં બધાને શામેલ કરવાની ક્ષમતા કેમ ન કેળવાઈ?

સરકારી વહીવટ જેટલી જ અથવા તેનાથી ય વધુ મહત્ત્વ ધરાવનારી બાબત છે દેશની આંતરિક વ્યવસ્થા, શાંતિ અને કોમી એખલાસ. જરા યાદ કરીએ, 17મી ઓગસ્ટ 1947ને દિવસે કલકત્તામાં ફાટી નીકળેલી ભયાનક હિંસાના પૂરને ખાળવા માઉન્ટબેટને ગાંધીને ત્યાં જવાનો લગભગ આદેશ કરેલો તેમ કહી શકાય. હિંસાના ઘોડાપૂરને ખાળવા ગાંધી સફળ થયા. ‘દુનિયાના સૌથી દુષ્ટ શહેરમાં એક હથિયાર વિહોણો અહિંસક માણસ જે સિદ્ધ કરી શક્યો હતો તે પંજાબમાં હથિયારબંધ વ્યવસાયી સૈનિકો કરી શક્યા ન હતા. પંજાબમાં 55,000નું લશ્કર છતાં મોટા પાયા પર રમખાણો ચાલી રહ્યાં છે. બંગાળમાં અમારા સૈન્યમાં એક જ સિપાહી છે અને છતાં ક્યાં ય હુલ્લડબાજી નથી થઈ. મારા આ એકાકી સૈનિકથી બનેલા સરહદી દળને બિરદાવવાની હું રજા માંગુ છું.” આ હતા માઉન્ટબેટનના શબ્દો. શસ્ત્રોની નિરર્થકતા અને અહિંસાની અસરકારકતા માટે આનાથી વધુ યોગ્ય ઉદાહરણ ક્યાંથી શોધવું?

કબૂલ કરીએ કે ભારતને વિદેશી સલ્તનતમાંથી મુક્તિની હારોહાર કાશ્મીરના કબજાનો પ્રશ્ન આણામાં મળેલો. એ પણ સ્વીકારીએ કે બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યા બાદ બ્રિટન કે યુ.એન. તરફથી એ વિવાદને હલ કરવા માટે જોઈએ તેવા અસરકારક ઉપાયો નહોતા કરાયા. જેની સાથે મતભેદ કે સંઘર્ષ છે એ પક્ષ જિદ્દી હોય, દમનકારી હોય અને કોઈ પણ વાટાઘાટોથી પરિસ્થિતિનો ઉકેલ લાવવા સહમત ન થતો હોય ત્યારે જ એક નહીં તો બીજી રીત અપનાવીને એવી સમસ્યાનો ઉકેલ કરવો જ રહ્યો એવું શું આપણે સ્વતંત્રતાની લડાઈ ઉપરથી નથી શીખ્યા? પાકિસ્તાન અને ચીન સાથે કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતના સીમાડાઓ અંગે સતત છમકલાંઓ થતા રહે અને 70 વર્ષને અંતે અનેકાનેક ભારતીય સૈનિકો દેશની રક્ષા કાજે જાન ગુમાવે છે તો એ માટે કોણ કોણ જવાબદાર? જ્યારે જ્યારે શોષિત અને દમિત માનવસમૂહોએ ‘હવે બસ’ એમ કહીને પોતાના અધિકારો માટે પાંચ આંગળીઓ ભેગી કરી, એકમેક સાથે સાંકળ બાંધીને વાટાઘાટો અને શાંતિમય ઉપાયો યોજ્યા છે ત્યારે ત્યારે ગુલામી પ્રથા અને રંગભેદી શાસન વ્યવસ્થા નાબૂદ થઈ, અસ્પૃશ્યતા દૂર થઈ અને દુનિયા પર પોતાની તાકાતથી એકચક્રી શાસન કરનાર બ્રિટિશ સરકારને પણ તડીપાર કરી એ શું આપણે નથી જાણતા? લાગે છે કે ભારતીય સીમારક્ષણ પ્રશ્ને ત્રણેય દેશોના વહીવટી હોદ્દેદારોની નેમ જોઈએ તેવી મજબૂત નથી, નહીં તો તેનો ઉકેલ લાવી જ શકાય. તો શું હવે પ્રજાએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો સમય પાકી ગયો છે?

આજે ભારતની સરહદો સાત સાત દાયકાના વહાણાં વાયાં છતાં સલામત નથી તેનાં ઘણાં કારણોમાંનું એક કારણ છે અખંડ ભારતનું ધર્મને આધારે થયેલ વિભાજન. તત્કાલીન રાજકીય અને સામાજિક આગેવાનોમાંથી કેટલાકે ભારતે વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવવી, પરંતુ દેશના કોમ અને ધર્મને મુદ્દે ભાગલા ન કરવા પ્રજાને સમજાવવા બહુ કોશિશ કરેલી. જો સ્વતંત્ર થયા બાદ આટલા વિશાળ દેશનો વહીવટ મુશ્કેલ લાગે કે તમામ કોમ, જાતિ અને પંથના લોકોનું હિત સાચવવાનું કામ કપરું લાગે તો પરસ્પરની સમજણ અને સહમતીથી થોડા ગણરાજ્યો રચીને તેનું એક સુગઠિત રાષ્ટ્ર બનાવવું તેવો કેટલાકનો મત હતો, જે સ્વીકારાયો નહીં. વિભાજન સમયના રમખાણોના સાક્ષી બન્યા પછી નહેરુ કકળી ઊઠ્યા અને કહેલું, “આ ભાગલાથી કેવું દોજખ સર્જાયું છે! આપણે ભાગલા માટે સંમત થયા ત્યારે આવી કોઈ કલ્પના ન હતી. આપણે ભાઈઓ છીએ, આવું બની જ કેમ શકે?” આ વિધાનથી નહેરુ અને અન્ય નેતાઓની તત્કાલીન પરિસ્થતિને અગાઉથી પારખી ન શકવાની નબળાઈ અને ગાંધીજીની દૂરંદેશીનો પુરાવો મળે છે. આ હકીકત ઉપરથી ત્યાર બાદના સત્તાધારીઓ શું શીખ્યા? હવે ભાંગેલી શેરડીનો આખો સાંઠો ન બનાવી શકાય, પણ એક સાંઠાના બે કટકા સમાન ભાત-પાકિસ્તાનને અડખે પડખે સુખેથી રહેવાના માર્ગ જરૂર નીકળે.

આઝાદીનો ઉત્સવ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો હતો. તે વખતે ભારતમાં વધતી જતી રુશ્વતખોરી અને નિર્વાસિતો જ્યારે ભૂખે મારતા હતા ત્યારે પ્રધાનો જે મિજબાનીઓ આપતા હતા તેના દાખલા આપીને નહેરુ અને પટેલને ગાંધી ખખડાવતા. વૈજ્ઞાનિક પ્રગતિ અને પશ્ચિમના અર્થતંત્રના ચમકારાથી સંમોહિત થઈ ગયા હોવાનો આરોપ તેમના પર જોખતા. એટલું જ નહીં, નહેરુના કલ્યાણરાજ્યને તેઓ વખોડતા કારણ કે તેમાં સત્તાનું કેન્દ્રીકરણ ગર્ભિત હતું. તેઓ કહેતા કે આવા રાજ્યથી ‘લોકો ઘેટાં જેવાં બની જશે અને હરહંમેશ ઘાસચારાની જગ્યાએ લઈ જવા માટે ભરવાડો પર નિર્ભર રહેશે, ભરવાડની લાકડી થોડા સમયમાં બાણમાં ફેરવાશે અને ઘેટાંઓ વરુઓ બની જશે.” ગાંધીજીની આર્ષદ્રષ્ટિનો આ એક વધુ એક પુરાવો. આજે આપણે અનુભવી રહ્યા છીએ કે રાજ્ય અને કેન્દ્રીય સરકારોમાં સત્તાનું કેન્દ્રીયકરણ ઉત્તરોત્તર વધતું ગયું છે, પ્રજા પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા ગુમાવતી ગઈ, લોકશાહીને બદલે ગાડરશાહી અસ્તિત્વમાં આવી અને શાસક પક્ષ અને સરકારી તંત્ર જ બધું કરી આપે એમ માની હાથ નીચે માથું ટેકવી સુઈ ગયા. હવે એવી નિર્માલ્ય પ્રજામાંથી નેતાઓ કેવા નીપજે? વરુ જેવા જ ને?

ગાંધીજીના દેહાવસાનને 70 વર્ષ થયાં. ખેર, ભારતની પ્રજાએ તેમના ચિંધેલ માર્ગે જીવવાનું મુનાસીબ ન માન્યું. દેશના વિભાજન સમયે ગાંધીજીને કઠોર વાસ્તવિકતાની પ્રતીતિ થઈ અને વેદનાથી બોલી ઊઠ્યા, “જો ભારતને અહિંસાનો ખપ ન હોય તો મારો તો શું ખપ હોય? એક દિવસ હિંદના નેતાઓ આવીને કહે કે આ બુઢ્ઢાનું બહુ સાંભળ્યું. શા માટે હવે અમારી છાલ છોડતો નથી? તો મને નવાઈ લાગવાની નથી.” અને ભારતના નેતાઓએ ખરે જ એ બુઢઢાનું ન સાંભળ્યું જેને પરિણામે ઘણી વિટંબણાઓ સહેવી પડે છે. કોમી એખલાસ અત્યારે જોખમમાં છે તેવી કદી નહોતી. જાણે પોતે આપેલ વચન મુજબ ગાંધીજી કબરમાંથી પણ બોલતા સંભળાય છે, “ભારત કેવળ હિન્દુઓનું છે અને પાકિસ્તાન કેવળ મુસ્લિમોનું છે તેવું માનવું તેના જેવી મૂર્ખતા કોઈ નથી.” આજે આપણે એ જ કરી રહ્યા છીએ જે ન કરવું જોઈએ.

વિવિધ જીવન પદ્ધતિ અને સાંસ્કૃિતક ભિન્નતાઓ વારસામાં મળી હોય તેવો દેશ ધર્મ કે જ્ઞાતિના વાડાને મધ્ય નજર રાખીને નહીં તો બચાવી શકાય કે ન તો વિકસાવી શકાય જે બાબતની રાજકારણીઓને જાણ નથી તે સ્પષ્ટ થતું જાય છે અને એટલે જ તો હવે આમ જનતાએ આ હકીકત સમજીને ભારતને મળેલ અદ્દભુત એવા તમામ પ્રકારના વૈવિધ્યને પોષે તેવી અર્થ, સમાજ, ન્યાય અને વહીવટી વ્યવસ્થા ઊભી કરવા શક્તિમાન બનું જોઈશે. અને તે પણ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં.

e.mail : 71abuch@gmail.com

Loading

દીકરો

વિનોદિની નીલકંઠ|Opinion - Short Stories|6 February 2018

પીતાંબરનો નાનો ભાઈ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું. જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઈને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.

પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે, સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતા પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું : ‘જો બેટા કાંતિ, આ તારી બીજી બા.’
‘બીજી બા’ કાંતિ પોપટની પેઠે બોલ્યો. ખોળામાં બેઠેલા બચુકડા દિયર પ્રત્યે અંબાને ખૂબ વહાલ ઊપજ્યું. તેણે પ્રેમપૂર્વક કાંતિને માથે હાથ ફેરવીને કહ્યું : ‘બા, હું જરૂર એની બીજી બા થવા મથીશ.’ અંબાના ચહેરા ઉપર તે બાળક પ્રત્યે પ્રેમની કુમાશ ફરી વળેલી જોઈ, સાસુએ વહુનું પારખું કરી લીધું અને છુટકારાનો દમ ખેંચ્યો. પોતાના લગ્નજીવનની લુપ્ત થતી સંધ્યાએ જન્મેલો આ બાળક, બાર મહિનાના ખૂણા દરમ્યાન આંસુની ધારે ઊછરેલો આ કાંતિ – તેને માટે હવે સાસુ નિશ્ચિંત બની ગયાં. સાસુનો રોગ વધતો ચાલ્યો. ચાકરી કરવામાં વહુએ પાછી પાની ન કરી, દવા કરવામાં પીતાંબરે પણ કસર ન કરી; પણ જેની આવરદાની દોરીમાં દાંતી પડેલી, તે શરીર કેટલું ટકે ? પીતાંબરના લગ્ન પછી બાર મહિને તેની માતાનું મૃત્યુ નીપજ્યું. ત્રણ વર્ષનો કાંતિ માબાપ-વિહોણો બન્યો, પરંતુ તેની બીજી બા અંબાએ તેને માબાપની ખોટ એક ઘડી પણ પડવા ન દીધી.

પીતાંબરને મનને ખૂણે આ નાનકડા ભાઈ પ્રત્યે ઈર્ષા હતી. તેને થતું કે નવવધૂ અંબાના પ્રેમાળ હૃદયનો ઘણોખરો ભાગ આ બાળકે કબજે કરી લીધો હતો. અને સાચે જ, વાંદરીનું બચ્ચું જેમ પોતાની માતા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી તેને વળગેલું રહે, પછી વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે તોપણ બચ્ચું લેશમાત્ર ડરતું નથી, તેમ જ આ કાંતિ અંબા ઉપર પ્રેમપૂર્વક વિશ્વાસ મૂકી, તેને વળગીને જીવતો હતો. અંબા એવી તો ચતુર ગૃહિણી હતી કે પીતાંબરને ફરિયાદ કરવાની તક કદી પણ સાંપડતી જ નહિ. પીતાંબરની ઝીણામાં ઝીણી સગવડ તે કુનેહથી સાચવતી. અને પીતાંબર એમ તો શી રીતે કહી શકે, કે ‘મારા નમાયા બાળક ભાઈ ઉપર તું પ્રેમ રાખે છે, તે મારાથી નથી ખમાતું ?’


પછી તો વર્ષો વહી ગયાં. અંબાને પોતાને પણ બાળકો થયાં. પરંતુ કાંતિનું સ્થાન તેના હૃદયમાં ધ્રુવવત અવિચળ જ રહ્યું. લગ્નજીવનને પહેલે દિવસે ‘બીજી બા’ કહી પોતાના ખોળામાં બેસી ગયેલો તે બાળક અંબાના હૃદયના પ્રેમસિંહાસન ઉપર આરૂઢ થયો હતો. અંબાનાં બાળકો કાંતિને ‘કાકા’ નહિ પણ ‘મોટાભાઈ’ કહી બોલાવતાં અને અંબાને તે છોકરાં પણ ‘બીજી બા’ને નામે જ સંબોધતાં. કાંતિને ભણાવ્યો-ગણાવ્યો અને તે જોતજોતામાં એકવીસ વર્ષનો થયો, ત્યારે અંબાએ તેના લગ્નની વાત ઉપાડી. પીતાંબર કહે : ‘બે વર્ષ ખમી જઈએ. લગ્નનો ખર્ચ કરવા જેટલી હાલ સગવડ ક્યાં છે ? કન્યાને આપવા ખોબો ભરાય એટલું નગદ સોનું જોઈશે. ઉપરાંત કપડાં-ચપડાં વગેરેનું ખર્ચ થશે તે જુદું.’
અંબા બોલી ઊઠી : ‘મારું પલ્લું અનામત પડ્યું છે, તે કાંતિની વહુને ચઢાવીશું.’
પીતાંબર આશ્ચર્યચકિત થઈ બોલ્યો : ‘વાહ, તારી દેરાણીને તારું પલ્લું આપી દઈશ ? – નથી આ કાંઈ દીકરાની વહુ આવવાની; આ તો મારુંતારું કરતી દેરાણી ઘરમાં આવશે. જાણતી નથી ?’

છેવટે અંબાની જીત થઈ. સારી કન્યા શોધવાનું પણ તેણે જ માથે લીધું. એક નહિ પણ એકવીસ કન્યાઓ તેણે જોઈ નાખી. પીતાંબર ચિઢાઈને કહેતો : ‘તારા કાંતિ માટે તો સ્વર્ગની કોઈ અપ્સરા ઊતરી આવશે, તો જ તારું મન માનશે.’
ઠંડી રીતે અંબા બોલી : ‘તે કાંતિ પણ દેવના દીકરા જેવો ક્યાં નથી ?’ છેવટે કરુણા નામની કન્યા ઉપર અંબાની નજર ઠરી. તે છોકરીના રૂપરંગમાં જાણે કાંઈ મણા જ ન હતી. તેનાં આંખ, નાક અને ચામડીનો રંગ તથા દેહઘાટ ખરેખર જ અનુપમ હતાં. એ સાત ચોપડી ભણેલી પણ હતી અને ઉંમરમાં સોળ વર્ષની હતી. (એ જમાનામાં એ ઉંમરે લગ્ન થતાં.) ‘દરેક રીતે મારા કાંતિને લાયકની છે.’ અંબા સૌ કોઈને હરખાઈ હરખાઈને કહ્યા કરતી હતી. અંબાએ તો ખૂબ જ હોંશથી કાંતિને પરણાવ્યો ને કરુણાને ઘરમાં આણી. પીતાંબરે મનમાં ગણતરી કરી હતી કે દેરાણી બની આવેલી કરુણા અંબાની પાસે સમાન હક્કની માગણી કરશે ત્યારે અંબા રૂઠ્યા વગર નહિ રહે, અને આટલાં વર્ષથી પોતીકો કરી લીધેલો કાંતિ હવે આ રૂપાળી વહુનો બની જશે તે અંબાથી કદી સહન નહિ થાય. શાંત સંસારસાગરમાં તરતા પોતાના જીવન-હોડકામાં આગનું છમકલું જોવાની અને તે જોઈ મનને એક છૂપે ખૂણે રાચવાની અવળી ઈચ્છા પીતાંબરના અસંતુષ્ટ દિલમાં જાગી. માણસ પોતે જ્યારે કોઈક કારણસર હૈયાને એકાદ ઓતાડે ખૂણે પણ દુ:ખી કે અસંતુષ્ટ હોય, ત્યારે બીજાને ડામવા ને દુ:ખી જોવા તે ઈંતેજાર બને છે; એવું જ પીતાંબરને થયું. પરંતુ વીસ વર્ષથી ઘરમાં આવેલી ગૃહિણીને પીતાંબર ઓળખી શકેલો નહિ. તેથી તેની ગણતરી ઊંધી વળી.

રૂપરાશિ સરખી સોળ વરસની સુંદરીને પોતાના પ્રાણપ્રિય કાંતિની વહુ તરીકે ઘરમાં હરતીફરતી દેખીને અંબાનું હૈયું તો હરખાઈ જતું. અંબાના હૃદયમાં પ્રેમનું પાત્ર એવું તો છલકાઈ જતું હતું કે તેના સંપર્કમાં આવનાર સૌ કોઈને તે પાત્રમાંથી જેટલો જોઈએ એટલો પ્રેમ મળી શકતો. જ્યારે સૌની માફક કરુણાએ પણ તેને ‘બીજી બા’ કહી બોલાવવા માંડી, ત્યારે અંબાને ખૂબ આનંદ થયો. અંબાને માથે સ્વર્ગ અડકવામાં માત્ર એક જ વેંત બાકી છે, એમ તેને લાગવા માંડ્યું. પણ એવું સંપૂર્ણ સુખ ભાગ્યે જ કોઈનું ટકી શકે છે. અંબાનું પણ ન ટક્યું. બજારમાંથી ઘર ભણી આવતાં કાંતિને એક રખડતું કૂતરું કરડ્યું, ત્યારે કોઈને કલ્પના ન થઈ કે તે કૂતરું હડકાયેલું હશે અને આઠ દહાડે કૂતરાના દાંત પડવાથી પડેલો ઘા રુઝાઈ ગયો. તે સાથે સૌ કોઈના મનમાંથી પણ તે વાત ભૂંસાઈ ગઈ. પરંતુ કુદરતે પોતાનું કામ કર્યું. કૂતરું કરડ્યા પછી મહિને દિવસે કાંતિને હડકવા હાલ્યો અને બે દિવસમાં જુવાનજોધ કાંતિ ખલાસ થઈ ગયો. બાળક-અવસ્થામાં જ વિધવા બનેલી કરુણા કરતાં પણ અંબાનું રુદન વધુ હૈયાફાટ હતું.

દુ:ખના દિવસો ધીમે જાય છે. તે ન્યાયે દિવસોનું ધીમું ધીમું વહેણ વહી જતું હતું. સવાર પડતી ત્યારે અંબાનું બેચેન ઉદાસ મન રાત્રીની શાંતિ ઝંખતું અને રાત્રીનું શાંત નીરવ વાતાવરણ તેના નિદ્રાવિહીન મનને અસહ્ય લાગતું, ત્યારે તે ઉગમણી દિશા ભણી મોઢું રાખી ઊગતા દિવસની રાહ જોતી. કાંતિના મૃત્યુનો વાંક કરુણા ઉપર ઢોળી પાડવા જેવી તે મૂર્ખ કે વહેમી નહોતી, એ તો પીતાંબર પણ જાણતો હતો. છતાં કદાચ કાંતિના ગયા પછી તેની વહુ પ્રત્યે અંબાને જાણેઅજાણે પણ અણગમો ઉત્પન્ન થશે એવી પીતાંબરની ગણતરી હતી, તે પણ ખોટી હતી. કાંતિ ઉપરનું તમામ હેત અંબાએ કરુણા ઉપર કેન્દ્રિત કર્યું. ઘણી વાર સમીસાંજે કામથી પરવારી દેરાણી-જેઠાણી એકલાં પડે ત્યારે અંબા કહેતી : ‘મારાં સાસુએ પહેલે દિવસે જ મારે ખોળે છૈયો મૂકી દીધો. ભગવાનની કૃપાથી મેં તેને નાનેથી મોટો કર્યો, પણ ખરા વખતે હું ભાન ભૂલી. કૂતરું કરડ્યું ત્યારે તે હડકાયું હશે એ ખ્યાલ મને હૈયાફૂટીને કેમ ન આવ્યો ? મેં સાચવ્યો નહિ તેથી જ મારો રતન જેવો દીકરો કાળે કૂતરાનું રૂપ લઈ ભરખી ખાધો ! અને વહુ ! મારે વાંકે આજે તારે પણ આ બાળવયે રંડાપો વેઠવાનો આવ્યો. ભગવાનને ઘેર મારાં સાસુજીનો મેળાપ થશે, ત્યારે હું શું મોઢું દેખાડીશ ?’ આક્રંદ કરતાં અંબા બોલ્યે જતી અને આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી. નવયૌવનસંપન્ન વિધવા કરુણા મૂંગે મોઢે સાંભળ્યે જતી. કોઈ ભૂંડી પડોશણ કદાચ એવો ઈશારો કરે કે, ‘વહુને નઠારે પગલે તમારો કાંતિ ગુજરી ગયો,’ તો અંબા કહેતી : ‘અરેરે, વહુ તો મારી કંકુ-પગલાંની, પણ મારાં જ નસીબ ફૂટી ગયાં તે કાંતિ કશું ભોગવ્યા વગર ચાલતો થયો. વહુએ તો અમૃતનો પ્યાલો એના મોઢા આગળ ધર્યો, પણ કાળે ઝાપટ મારી તે ઢોળી નાખ્યો; તેથી આ કાચી કેળ જેવી છોકરીનું અસહ્ય દુ:ખ મારે દેખવાનું રહ્યું.’

અંબાનાં પોતાનાં છોકરાં મોટાં થવાં લાગ્યાં હતાં અને વળી કાંતિની નવજુવાન વિધવા ઘરમાં ફરતી હતી તેથી, અને ખાસ કરીને તો પોતાનું દિલ જ ભાંગી પડેલું હોવાથી, અંબાએ પતિ સાથેનું સહજીવન કાંતિના મૃત્યુ પછી પૂરું કર્યું હતું. સંસારસુખ ઉપરથી તેનું મન જ ઊઠી ગયું હતું. કાંતિના મૃત્યુ પછી કપડાંલત્તાં વિષે અંબા સાવ બેપરવા બની ગઈ હતી. માથું ઓળે ત્યારે પણ કદી સામે આરસી ન રાખે – માત્ર હેવાતનની નિશાનીનો ચાંદલો કપાળમાં કરે, ત્યારે એક અરધી ક્ષણ આરસીમાં કપાળનો ભાગ તે જોઈ લેતી, અને ચાંદલો તો કરવો જ પડે એટલે તે કરતી. બાકી કરુણાનું રૂપાળું, ઘાટીલું કપાળ ઉજ્જડ ઓરસિયા જેવું અને પોતાના કપાળમાં લાલચોળ ચાંદલો કરતાં પણ તેનું દિલ ક્ષોભ પામતું. આ બાજુ, પીતાંબરને કાંતિના અકાળ મૃત્યુનો આઘાત નહોતો લાગ્યો એમ તો ન જ કહેવાય; પણ તે ઝટ રુઝાઈ ગયો. અને તેથી કાંતિના મૃત્યુ પછી છ મહિને તેનું મન વિષયસુખની ઝંખના કરવા માંડ્યું, ત્યારે અંબાએ કહ્યું : ‘આપણે બહુ વર્ષ સુખ ભોગવ્યું, અને સંસારના મંદિરમાં પેસતાં પહેલાં જ, ઊંબરા ઉપર પગ મૂકતાં જ કાંતિ બિચારો….’ રુદનના સ્વરમાં અંબાના શબ્દો ગૂંગળાઈ ગયા. અંબાની દલીલ તથા આંસુનો જવાબ પીતાંબર પાસે ન હતો, પરંતુ તેથી કાંઈ તેનું મન વાનપ્રસ્થ બનવા તૈયાર થયું એમ તો ન જ કહેવાય. અને તેથી અંબા પ્રત્યે તે બેપરવા બન્યો ખરો, પણ તેના બદલામાં તેની નજર હવે યુવાનીને પહેલે પગથિયે ઊભેલી કરુણાની પાછળ પાછળ ભમવા લાગી.

અને વળી બે વર્ષ એમ જ વહી ગયાં. પીતાંબરનો મોટો દીકરો દશરથ હવે પરણે એવડો થયો હતો. સુરતમાં એક સારી કન્યા હતી તેને જોવા માટે અંબા તથા દશરથ સુરત જવાનાં હતાં. નવા જમાનાની સુરતી કન્યાએ મુરતિયાને જોયા વગર લગ્ન કરવાની અનિચ્છા બતાવી હતી અને આ તરફ દશરથે પણ કન્યાને જોયા પછી જ ‘હા-ના’નો જવાબ દેવાની શરત રજૂ કરી હતી. ઘર, રસોડું તથા બાળકોની જવાબદારી કરુણા ઉપાડી લેશે એવી ખાતરી હોવાથી અંબા નિશ્ચિત જીવે દશરથને લઈ કન્યાને જોવા સુરત ગઈ.

આઠ દહાડે તે પાછી ફરી ત્યારે પીતાંબરને સ્ટેશન ઉપર તેડવા આવેલો દેખી પહેલાં તો અંબાના પેટમાં ફાળ પડી, કે જરૂર કાંઈ માઠું બની ગયું હશે – બીજું તો શું, પણ જરૂર કોઈ માદું-સાજું થઈ ગયું હશે. પણ જ્યારે પીતાંબરે હસતે મોઢે સૌને ખુશીખબર આપ્યા ત્યારે અંબાનો જીવ હેઠો બેઠો; પણ તેને નવાઈ ખૂબ લાગી. મનમાં ને મનમાં એ પૂછવા લાગી : ‘આ સ્ટેશન ઉપર આવ્યા જ કેમ ?’ ઘેર બધાં બાળકો કુશળ હતાં, પણ આઠ દહાડામાં કરુણાનો તો જાણે અવતાર જ ફરી ગયેલો લાગ્યો. તે ફિક્કી, ગભરાયેલી ને દૂબળી પડી ગયેલી જણાઈ. બપોરે નવરાશની વેળાએ અંબાએ કરુણાને વાંસે હાથ ફેરવી પૂછ્યું : ‘કેમ, બીજી બા વગર તારી કોઈએ ભાળ ન રાખી કે શું ? આમ કેમ ઢીલી પડી ગઈ ?’ અંબાના પ્રેમાળ શબ્દો સાંભળી કરુણા રોઈ પડી. ખૂબ ખૂબ રોઈ, પણ મોઢેથી એક શબ્દ પણ ન બોલી. અંબાના પેટમાં ધ્રાસકો પડ્યો. પોતાની ગેરહાજરીમાં શું બન્યું હશે એ વિષે તેને વહેમ પડ્યો, પણ તે તેણે પોતાના મનમાં વસવા ન દીધો. થોડા દિવસ એમ જ વીતી ગયા. પીતાંબર કદી નહિ ને હવે અંબાની જાણે ખુશામત કરતો ન હોય એમ વર્તવા લાગ્યો; અને પીતાંબરને દેખી તે ભૂત હોય તેમ છળીને કરુણાને ભાગતી દેખી બે-દુ-ચારનો હિસાબ ગણતાં અંબા જેવી ચતુર સ્ત્રીને વાર ન લાગી. તેણે કરુણાને એકાંતે બોલાવી વાત પૂછી લીધી. અને અંબાની ગેરહાજરીમાં પીતાંબરે પોતાના ઉપર કરેલા બળાત્કારની વાત કરુણાએ અક્ષરે અક્ષર કહી દીધી. જતે દિવસે જ્યારે કરુણાને ગર્ભ રહ્યાની ખાતરી થઈ, ત્યારે પણ અંબા શાંત જ રહી. અખૂટ ઉદારતાનો સાગર હૈયે ભરીને જ અંબાએ જન્મ લીધો હતો. તેને પતિ ઉપર ઘૃણા ન ઊપજી, અને પુત્રીવત દેરાણી ઉપર તો સહાનુભૂતિ ને અનુકંપાથી તેનું હૃદય ભરાઈ ગયું. દરેક દુ:ખદ પરિસ્થિતિ માટે તે પોતાને જ જવાબદાર ગણતી, તેમ આ વખતે પણ તે પોતાના મનને કહેવા લાગી : ‘વાંક તારો જ ગણાય. તેં સંસારમાંથી જીવ ખસેડી લીધો, પણ એ બિચારા પરાણે વૈરાગ્ય શી રીતે પાળે ? વળી ભલભલા ઋષિમુનિઓનું પણ મન ચળાવે એવું અપ્સરા જેવું રૂપ આ કરુણાનું છે, તે જોઈ એમનું પરાણે રોકી રાખેલું મન હાથમાં ન રહ્યું તેમાં એમનો શો દોષ ?’

અંબાએ તો દશરથનું લગ્ન ઝટપટ આટોપી લીધું. તે છોકરાને તેના સસરાએ મુંબઈમાં પોતાના ધંધામાં ભેગો લઈ લીધો, એટલે પરણીને એ ગયો મુંબઈ. તે જ અરસામાં અંબાની મોટી છોકરી કાશીના પતિને ત્રણ વર્ષ માટે આફ્રિકા જવાનું થયું. ત્યાં ઠરીઠામ થયા પછી કાશીને તેડાવી લેવાનું નક્કી કરી પીતાંબરને ઘેર મૂકી જમાઈ પરદેશ ગયા. કાશી ઘરમાં આવી એટલે અંબાને ખૂબ નિરાંત થઈ. તેણે અનેક રાતના ઊજાગરા કરી મનમાં એક યોજના ગોઠવી કાઢી; કરુણાની વાતનો તોડ કાઢવાની તેને સરસ યુક્તિ સૂઝી. તેણે, અલબત્ત, પીતાંબરને તથા કરુણાને તે યોજના સમજાવી.

અંબા પોતે સગર્ભા છે, એવી વાત તેણે જાણે કેટલી શરમ સાથે પાડોશમાં તેમજ સગાંસંબંધીમાં ફેલાવી દીધી. ‘બળ્યું બહેન ! માયા છોડવા ઘણુંયે મથીએ, પણ આ દેહની વાસના કેડા છોડતી જ નથી. જુવાનજોધ દેરાણી રંડાપાનું ઢગ દુ:ખ ખમતી ઘરમાં ફરે છે, કાશી બે છોકરાંની મા થઈ છે, કાલ સવારે દશરથને ઘેર છોકરાં થશે, ત્યારે પણ અમારો સંસાર સંકેલાતો જ નથી ! તેમાં એકલા પુરુષનોય કેમ વાંક કઢાય ?’ પ્રૌઢાવસ્થાને આરે આવેલી સ્ત્રીઓને પણ બાળકો જન્મે તેની નવાઈ નથી. તેથી અંબાની વાત સૌએ સ્વાભાવિક માની લીધી. પછી અંબાએ મુંબઈ જવાની વાત છેડી : ‘દશરથ બોલાવ બોલાવ કરે છે. બિચારી કરુણાય કેટલાં વર્ષથી ઘરની ચાર ભીંતો વચ્ચે ગૂંગળાઈ રહી છે. અને હું વળી પાછી બાળકના જન્મ પછી બંધાઈ જઈશ, તો હમણાં જરા સ્થળફેર કરી આવીએ.’ પછી કરુણાની સગર્ભા સ્થિતિ કોઈને પણ વર્તાય તે પહેલાં અંબા કરુણાને લઈ મુંબઈ ગઈ. દશરથને ઘેર આઠેક દિવસ રહ્યા પછી તે દેરાણી-જેઠાણી કોઈ અજાણી જગ્યાએ ચાલ્યાં ગયાં. દીકરો પરદેશ ગયો છે ને આ તે દીકરાની વહુ છે – એમ અંબાએ તે અજાણી જગાએ ચલાવ્યે રાખ્યું. કરુણાને સૌભાગ્યવતીનો વેશ પણ તેણે પૂરેપૂરો પહેરાવી દીધો હતો. પૂરા દિવસ થતાં તે ગામની ઈસ્પિતાલમાં કરુણાએ પુત્રને જન્મ આપ્યો !
‘નર્યો મારો કાંતિ જ !’ અંબાએ છોકરાને જોતાંવેંત જ છાતીએ વળગાડી દીધો. દેરાણીનો બાળક જેઠાણીએ લઈ લીધો. થોડા જ દિવસમાં બાળકને લઈ બન્ને ઘેર આવ્યાં.

પડોશણોથી ઘર ભરાઈ જવા લાગ્યું : ‘ધાર્યા કરતાં છોકરો જરા વહેલો અવતર્યો.’ અંબાએ સૌને જણાવ્યું.
પડોશણો બોલી, ‘દીકરો નર્યો પીતાંબરદાસનો નમૂને નમૂનો છે.’
‘એમ ?’ અંબા જરીક દુ:ખી થઈને બોલી : ‘હશે, બાપ જેવો બેટો થાય તેમાં શી નવાઈ ? બાકી મને તો આ તદ્દન મારા કાંતિ જેવો જ લાગે છે.’ પછી સૌના દેખતાં તેણે કરુણાને બોલાવી. તેના હાથમાં બાળક સોંપતાં તે બોલી : ‘આમ જ એક વાર મારાં સાસુએ મારો કાંતિ મને સોંપ્યો હતો. આ કિશોર તને સોંપું છું – આધેડ વયે મારાથી તેની વેઠ થાય નહિ, અને તારુંય ચિત્ત આમાં પરોવાયેલું રહેશે. મારાથી કાંતિ ન સચવાયો, પણ તું આને જરૂર સાચવજે.’ આંખોમાં વહેતાં આંસુ લૂછી નાખતાં તેણે કરુણાનો છોકરો કરુણાના હાથમાં મૂક્યો.

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.]

સૌજન્ય : http://archive.readgujarati.in/sahitya2/2010/02/02/dikaro-story/

Loading

...102030...3,2443,2453,2463,247...3,2503,2603,270...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved