Opinion Magazine
Number of visits: 9687448
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધાર ….

અનિલ વ્યાસ|Opinion - Short Stories|6 January 2018

બિપિનચંદ્ર હવે સ્વસ્થ થઈ ગયા હતા. ગ્રેસ હળવા અવાજે બોલતી હતી. એ ચૂપચાપ સાંભળતા રહ્યા.  એમને બધું સંભળાતું હતું પણ સમજાતું ન  હતું. આવી છેતરપિંડી?

સ્કોટલેન્ડમાં રહેતી ગુજરાતી મા નંદિની અને સ્કોટિશ પિતા ગ્લેન રૉસની દીકરી ગ્રેસ રૉસ, સરલા બનીને છેલ્લાં બે વર્ષથી એમની સાથે ફેસબુક પર ચર્ચાઓ કરતી હતી. સોશિયલ મીડિયામાં આવી ચાલાકીઓ થતી હોય છે એની એમને ખબર છે, પણ એમના મિત્રવર્તુળમાં કોઇ એવું નહોતું કે આવું બનશે એવો વિચાર સુદ્ધાં આવે. એ થોડી વાર ગ્રેસ સામે જોઇ રહ્યા. ‘આવું શું કામ કર્યું તેં?’

‘હું શું કરું તો તમે મને માફ કરી દો?’

‘તું …. તને શું કહેવાનું? તારા જેવડી મારે બે પૌત્રીઓ છે એ ખબર છે તને?’

‘હા.’ એટલું બોલતાં એની આંખો ભરાઈ આવી. એ રડતી નહોતી પણ એના હોઠ બિડાયેલા હતા. એ ચૂપચાપ સામે હિલ્લોળાતા ગુલમહોરને જોઈ રહી. એનો લાલચટ્ટક અંબાર એની આંખોમાં છવાયો. ખાસ્સીવાર એ સૂનમૂન બેસી રહી હતી. બિપિનચંદ્રને લાગ્યું, એ હવે કશો જવાબ આપશે પણ એ બાંકડાની ધારે હાથ ટેકવી ઊભી થઈ. ફિક્કું હસવા મથતાં બોલી,  ‘સૉરી’. એણે ચાલવા પગ ઉપાડ્યો ત્યારે બિપિનચંદ્ર રોકવાની ઘણી ઇચ્છા હોવા છતાં રોકી ન શક્યા.  આ છોકરીએ એની અહીં અમદાવાદમાં રહેતી  એની નાની  સરલાનો એમની સાથે પરિચય વધારવા જે યોજના ઘડી હતી એ જાણ્યા પછી એને રોકવાનું મન થતું નહોતું. ગ્રેસે પીઠ ફેરવી બગીચાના મુખ્ય દરવાજા તરફ ચાલવા માંડ્યું હતું.

ગ્રેસના ગયા પછી બિપિનચંદ્ર વિચારતા રહ્યા. બે વરસમાં એ છોકરી સાથે કેવી કેવી વાતોની આપ લે થઈ છે! એને વિવિધ રૂપે જોવાનું બન્યું એમાંનું કશું ય ક્યાં યાદ કરવું પડે એમ છે? ઈકબાલના એક શેર નીચે ઉતાવળમાં ઝરખેજનો અર્થ સમજાવવાનો રહી ગયો હતો. બની બેઠેલી સરલાએ એમને એનો અર્થ પૂછ્યો હતો. એમણે લખેલા ગઝલના ગુજરાતી ભાષાંતરના જવાબમાં સરલાની મૈત્રી વિનંતી આવી હતી.  એ પછી ઉર્દૂ શાયરી, ગઝલ અને ગમતી વાર્તાઓની ચર્ચા ચાલી હતી. સરલા જ્યાં સમજણ ન પડે ત્યાં એમને પ્રશ્નો લખતી. વિનંતી વીંટ્યા એ શબ્દોએ  એમનો  અંદર ઊતરી ગયેલો શિક્ષક ખેંચાઈ આવ્યો હતો. 

એ ઉર્દૂ ગઝલો સમજાવતા તો સામે પક્ષે સરલા ગદ્યનો મહિમા વર્ણવતી. એ જે રીતે વાર્તા ખોલી આપતી એ વાંચી બિપિનચંદ્રને થતું નક્કી સરલા પણ મારી જેમ ગુજરાતીની અભ્યાસી હોવી જોઈએ. એ વગર પાત્રલેખન, સંકેતો, વ્યંજના કે અભિધાની ચર્ચા કોણ કરે? એવા કેટલાય સંદર્ભો અનાયાસ ખૂલતાં ગયાં જે વર્ષોથી એમની પત્ની રંજનાની નરી ભૌતિકવાદી વિચારસરણીના વજન નીચે દબાઈ રહેલા. સરલાનાં લખાણોથી અંતર પ્રફુલ્લિત થઈ ઊઠતું. તાજાં ફૂલો જેમ શબ્દો આખી રાત મહેકતા રહેતા.

અચાનક સમજાયું એ સઘળું પોકળ હતું. ગ્રેસ પરદેશમાં બેઠી બેઠી એની સરલાનાની સાથે ચર્ચાઓ કરી એમના મેસેજ બોક્સમાં એ બધું લખતી હતી. સરલાને તો આ ફેસબુક વાર્તાલાપની કશી ખબર જ નહોતી. શું થશે આ પેઢીનું? એમને જે સૂઝ્યું એ સવાવીશ?

અરે! ગ્રેસે પૂછ્યું હોત કે તમને મારાં નાની સાથે ઓળખાણ કરવી ગમશે? તો એ ક્યાં ના પાડવાના હતા. રોજ સાંજે બગીચામાં ચાલવા જાય છે ત્યારે ઘણીવાર બે એક સરખી ઉમ્મરની બહેનો સાથે કશા ય ભાર વગર નિરાંતે વાતો થતી હોય છે. પણ ગ્રેસે પહેલાં એમનું લાગણીતંત્ર કબજે કરી લીધું ને હવે માફા માફી? ના, આવી કોઇ વરવી નીતિ એ નહિ ચલાવી લે.

*  *  *

પહેલાં સરલાબહેનને પરદેશથી એમની દોહિત્રી ગ્રેસ ગુજરાતી વાર્તાઓ વિષે પૂછે, વાંચે અને મર્મ સમજવા મથામણ કરે એની નવાઇ લાગી હતી, પરતું  સથવારે સિંચાયેલ સંસ્કાર આમ પાંગરીને વિકસતા જોઈ રોમે રોમે અનહદ સુખ અનુભવાતું હતું. એમની દીકરી નંદિની કલાસાયુજ્ય અને નૃત્યમંડપ સંસ્થાઓના ઉપક્રમે યુરોપના પ્રવાસે જવાની હતી ત્યારે આવો જ અકથ્ય આનંદ અનુભવાતો હતો. પણ એકાએક ભૂસ્ખલન થાય એમ સમસ્ત સુખ અપાર પીડામાં કેરવાઈ ગયું હતું. એ પળનું સ્મરણ સુધ્ધાં કમકમાવી મૂકે છે. એકની એક દીકરી ફોન કરીને જણાવે કે એણે કોઇ વિદેશી સાથે લગ્ન કરી લીધાં છે ત્યારે કેવો અસહ્ય ધક્કો લાગે? સરલાબહેનના પતિ રાજેન્દ્ર પ્રકાંડ પંડિત અને રાજ્યગુરુ શંભુપ્રસાદનો દીકરો. પૂજા કર્યા સિવાય પાણી પણ ન પીવે. બ્રહ્મ સંસ્કારમાં ઊછરેલી દીકરી આ રીતે એક મ્લેચ્છની ભાર્યા બની?

એ સમાચારથી નંદવાયેલું રાજેન્દ્રનું મન અંતિમ ક્ષણ સુધી ઉદ્દવેગમય જ રહ્યું. ચારેક મહિના પછી અચાનક નંદિની અને ગ્લેન આશીર્વાદ લેવા બારણે આવીને ઊભાં ત્યારે  મા કે બાપ કોઇને ય વહાલસોયી દીકરીને “આવ” કહેવાંની ય હામ ન હતી. જે સંસ્કાર વારસાનું એ ગૌરવ કરતાં હતાં એ એમની આસપાસ વિખરાયેલો પડ્યો હતો. એ જોઈ શરીરમાં આગ ભભૂકતી હતી. રાજેન્દ્ર ચૂપચાપ હીંચકાનો સળિયો પકડી ખોડાઇ ગયેલા. પારાવાર પીડાથી એમનો ચહેરો નિર્જીવ લાગતો હતો. દીકરી જમાઈને પગમાં નમેલાં જોઈ તટસ્થભાવે જોવા સિવાય એમનાથી કંઈ જ થઈ ન શક્યું. હાથ કંપીને ઊંચો થતો સ્થિર. એટલાં પૂરતું કશુંક કરી શકાયાનો સંતોષ અનુભવાયો હતો.  નંદિની ઊભી થઈ રાજેન્દ્રને વળગી પડતી હતી. ‘પપ્પા, પપ્પા …. હું તો વહાલી છુંને તમારી પપ્પા …’

એ ધીમી પીડા, અસંતોષ ક્યારેક સંતાપે ત્યારે એ બન્ને એકમેકથી છાનાં દીકરીનો ફોટો જોઈ રહેતાં.

ત્રણ વર્ષ ને પાંચ મહિના પછી, નંદિની સ્કોટલેન્ડથી  માતા પિતાને મળવા આવી હતી. પોતે આપેલાં દુ:ખનું ઋણ ચૂકવવું હોય એમ એ  એની અગિયાર મહિનાની દીકરી ગ્રેસને  સરલાના ખોળામાં મૂકતાં બોલેલી, ‘મા’. એક જ શબ્દ પછી ગ્રેસના માથા પરથી હાથ સેરવી લેતાં ઘ્રુસકે ધ્રુસકે  રડી  પડી હતી. કશું જ ન સમજતી ગ્રેસે રડતાં રડતાં પગ પછાડવાનું શરૂ કર્યું હતું.  એને માથે હાથ ફેરવતાં વહાલથી છાતી સરસી ભીંસી તો ય એ છાની ન રહી.

જાણી જોઈને અંદરના ખંડમાં ભરાઈ રહેલા રાજેન્દ્રે ઉતાવળી ચાલે આવી એમના હાથમાંથી ગ્રેસને લગભગ આંચકી લેતાં કહેલું, ‘મારી દીકરી … મારી લાડકી …’ નંદિની રડવું ભૂલી પિતાના હાથે હવામાં ઊછળતી ખડખડાટ હસતી ગ્રેસ અને રાજેન્દ્રને ઓશીંગણભાવે જોઈ રહી.

નંદિની વિઝિટર વીઝા પર ઇંગ્લેન્ડ ગઈ હતી એટલે એ ભારત પાછી આવે તો ગ્લેનને પણ નંદિની સાથે લગ્ન કરવા માટે ભારત આવવું પડે. ઇમિગ્રેશન સોલિસિટરે એમ કરવું ડહાપણભર્યુ નહિ ગણાય એવી સલાહ આપી હતી, એટલે ચર્ચમાં  રજિસ્ટર્ડ લગ્ન કરી ત્યાં જ સ્થાયી થવાનો ટૂંકો રસ્તો અપનાવ્યો. ગ્લેન પાસે તો પાસપોર્ટ પણ નહોતો. એનો ખુલાસો સાંભળી સરલાબહેન કશું બોલ્યાં નહોતાં. ગ્લેનની જાતિ, ધર્મ કુટુંબ બધું જ વિઘાતક હતું. નંદિનીના પ્રેમનો વિરોધ નહોતો કરવો પણ પોતાની ભીતર જે તસોતસ ધરબાયેલું છે એનો વિરોધ થઈ શકતો નહોતો. એ વિટંબણા વચ્ચે નંદિની જે રીતે ગ્લેન સાથે ફટાફટ પરણી ગઈ એમાં એનો સ્વાર્થ વરતાતો હતો. ક્યાં ગઈ એની ભારતીયતા જેનો પ્રચાર કરવા એ ત્યાં ગઈ હતી? કુટુંબ નામનો શબ્દ એના હૈયે ઊગ્યો જ નહોતો?

* * *

ગ્રેસને કોઈ અજાણ્યા પુરુષ સાથે ઘરમાં આવતી જોઈ સરલાબહેન રસોડામાં જતાં અટકી ગયાં. અનાયાસ પાલવ સરખો કરતાં એ નજીક આવ્યાં.

‘મા, આવ ઓળખાણ કરાવું. આ બિપિનચંદ્ર યાજ્ઞિક, આઇ મીન બિપિન દાદા .. મારા અંગત મિત્ર છે, મા.’

‘આવો, બેસો.’

બિપિનચંદ્ર નમસ્કારની મુદ્રા રચતા બેઠા.

‘બિપિનજી, આ મારી નાનીમા સરલા, હું એને મા જ કહું છું.’

બિપિનચંદ્ર આ વયે પણ સુંદર દેહાકૃતિ અને મોહક સ્મિતથી આવકારતી સ્ત્રીને જોઈ રહ્યા.

ગ્રેસ દેખાતી બંધ થઈ પછી એ ઊઠ્યા હતા. ઘેર આવીને સતત એમને ગ્રેસના જ વિચારો આવતા હતા. બે વરસથી લાંબી લાંબી ડહાપણભરી વાતો લખનાર સાવ વીસ બાવીસ વર્ષની છોકરી હતી?

સાચે જ એ છેતરાયા હતા? જો કે નામ ને વ્યક્તિ સિવાય એવું શું હતું જેમાં એમને કશું હોય? એણે આવું શું કામ કર્યું હશે? પછી ગ્રેસના બચાવ પક્ષે બેઠેલું મન ભાત ભાતની વાતો માં ડી બેઠું.

કંટાળીને એમણે લેપટોપ ચાલું કર્યું. સરલાના નામ સામે લીલું ટપકું હતું. એણે લખ્યું ‘સરલા કે ગ્રેઇસ?’

‘ઓબ્વિયસલી, ગ્રેસ. તમારી સાથે વાત કરવી છે, ફોન નંબર આપશો?’

એણે ફોન નંબર લખ્યો, વળતી પળે ફોન રણક્યો.

‘બોલો.’

‘સો સૉરી હું અચાનક ચાલી આવી’થી શરૂ થયેલી વાતોનો સાર એટલો કે સરલામા ગ્રેન્પાના ગયાં પછી એકલાં પડી ગયાં છે. ગ્રેસને માથે એના સાસુની જવાબદારી નક્કી છે એટલે એમને છોડીને ગ્રેસ ભારત આવી શકે એમ નથી. બીજી તરફ સરલામા કોઈ પણ સંજોગોમાં એમની દીકરી નંદિનીના ઘેર રહેવા આવવાનાં નથી. આ સંજોગોમાં સરલામાની સાવ મંથર ગતિએ ચાલતી જિંદગીથી જન્મતા કંટાળાની એ સાક્ષી છે. બિપિનજી પાસેથી ફોન નંબર ન મળ્યો હોત તો ય એ ફોન કરી શકત. ગયા વર્ષે જુલાઇમાં એ એક મહિના માટે ભારત આવી ત્યારે બિપિન યાજ્ઞિકના ફ્રેન્ડ લીસ્ટમાંથી એણે એમના દીકરા જય યાજ્ઞિકને શોધી એનો સમ્પર્ક કર્યો હતો. જય સાથે મૈત્રી સાધી એણે બિપિનચંદ્ર વિષે ખાસ્સી માહિતી મેળવી હતી. એકાદ વર્ષના સંબધ અને સમ્પર્ક પછી એને લાગ્યું કે સરલામા અને બિપિનચંદ્ર જોડાય અથવા સારા મિત્રો બની શકે તો એકલાં એકલાં લાંબું ચાલતાં થાકેલી  જિંદગીને એક વિસામો મળી રહે. એથી અદકું કે સાથે ચાલનારનો સથવારો સારા જીવનનો આધાર બને. એને વિશ્વાસ છે.

મા આવી કોઈ વાત ભાગ્યે જ માને … એટલે જો બિપિનજી એક ડગલું માંડવા ઇચ્છે તો ….. બાકીના શબ્દો એના રુંધાયેલા ગળામાં અટકી ગયા હતા.

ફોન મૂક્યા પછી બિપિનચંદ્ર સ્વસ્થ ન રહી શક્યા. સંતાનોને વિશ્વાસમાં લીધા વગર હા પાડી બેઠાનો વસવસો આખી રાત પજવતો રહ્યો.

સાથે ચાલનાર કેવું હશે એવું ચાલીસ વર્ષ પહેલાં વિચારેલું. આજે ફરીથી એ વિચાર સાથે કોઈ સ્ત્રીને જોવાનો રોમાંચ થતો હતો. વડીલોએ ગોઠવેલી મિલન મુલાકાત વેળા છોકરો ઘડી ઘડી છાની નજરે છોકરીને જોઈ લે એમ એ સરલાને જોતા રહ્યા. આટલી ઉમ્મરે ય આ સ્ત્રી કેટલી સુકોમળ લાગે છે. કદાવ વય એને અડકવાનું ચૂકી ગઈ હશે. સરલાબહેનને એમની એ નજર પમાઈ હોય કે કેમ પણ એમણે માથે ઓઢી લીધું. એ જોઈ બિપિનચંદ્રને પોતા પર શરમ અનુભવાઈ.

થોડી આડી અવળી વાતો કરી એ ઊઠ્યા.

એ ત્રીજી વાર આવ્યા ત્યારે સરલાબહેન સહેજ મોકળાશથી વર્ત્યાં હતાં.

એ ખાસ્સાં સશક્ત છે. રાજેન્દ્રભાઈના મૃત્યુ પછી સામાજિક કાર્યોમાં રસ પડે છે. મોટાભાગે શૈક્ષણિક. સોમથી શુક્ર બપોરે મજૂર મહાજનના સીવણ, ગૂંથણ વર્ગો લે અને રોજ સાંજે  સોસાયટીના પાંચ છોકરાંઓને ગુજરાતી શીખવે છે. ‘હવે અંગ્રેજી મહિમા વધ્યો છે.’ કહેતાં એમણે ગ્રેસ સામે જોયું હતું.

‘હું તો ગુજરાતીમાં જ ભણી છું મા .. ડોન્ટ લુક એટ મી પ્લીઝ.’

’જોયું ને, એ ગુજરાતીમાં ભણી છે.’ કહી એમણે ગ્રેસનો ખભો થાબડ્યો. ‘એ બાળકો મને મારી છોકરીની ખોટ સાલવા નથી દેતાં. રોજ સાંજે ભાત ભાતના અવાજો ઘરમાં છવાયેલી શાંતિ તોડે ને હું મને છણકાવીને એ સન્નાટો પાછો સ્થાપું.’

‘બહું એકલાં લાગતું હશે, નહિ?’ બિપિનચંદ્રએ પૂછ્યું.

‘ના. આના આવવાની રાહ જોવામાં કદી લાગ્યું જ નહિ કે હું એકલી છું. રોજ ફોન કરીને માથું ખાય.’

‘એ તો હું પરણી નથી ત્યાં સુધી જ મા, પછી તું ને તારો એકલતાનો ઓઢો. આ બિપિનજી કદાચ કંપની આપે તો આપે.’

સાંભળી સરલાબહેનનો ચહેરો  લેવાઈ ગયો હતો. એ પછી  ગ્રેસ મા આમ ને મા તેમ નો દોર લંબાવીને વાત વણ્યે રાખી છતાં એમ લાગતું હતું  કે કોઇ કશું બોલે નહિ તો કેવું સારું!

એ પછી ય બે વખત બિપિનચંદ્રની પધરામણી થઇ હતી. સરલાબહેનને એ દિવસથી જ અંદેશો હતો કે નક્કી ગ્રેસ કશી ગોઠવણમાં પડી છે. એ એમના સંબધે હશે એવું વિચાર્યું સુધ્ધાં નહોતું.

એક રાત્રે માથામાં તેલ સીંચતાં એણે પૂછ્યું હતું. ‘મા, ગ્રેન્પા વગર એકલાં તમને ફાવે છે?’

‘હાસ્તો, ન ફાવવા જેવું શું છે?’

‘ખાલીપો’ પછી નિસાસો ઉતારતી હોય એમ ઊંડો શ્વાસ લઈ થોડીવાર એમ જ સરલાબહેનનું માથું થપથપાવતી રહી. અચાનક મનમાં બોલતી હોય એમ બોલી હતી, ‘કોઈ આપણી અડખે પડખે ન હોવાની અળખામણી પ્રતીતિ મા.’

કશોક વાંધો પડતાં બાળપણમાં ગ્રેસ જેમ રમકડાં કે નોટ પેન્સિલ પછાડીને ઊભી થઇ જતી એમ એ હાથ પછાડતાં ઊભાં થઈ ગયાં.

એક પળમાં સઘળું સ્પષ્ટ થઈ ગયું. પેલા માણસનું આવવું, બેસવું, ‘નીકળું ત્યારે’ બોલ્યા પછી સહેજ અટકીને અપેક્ષાથી એમની સામે જોવું. …. સઘળું. ગ્રેસ ઘવાઈને તેલવાળી આંગળીઓ લૂછવા એમનો પાલવ શોધતી નજરે એમને જોઈ રહી.

‘તું મોટી થઈ ગઈ, સોના. ખરેખર મોટી થઈ ગઈ.’

‘પણ થયું શું એ તો બોલ.’

‘તું મને પૂછે છે શું થયું?’  એમને ભાર દઈને પૂછવું હતું સાચે જ તને ખબર પડતી નથી તું શું કરે છે એની?’ પણ બોલી ન શક્યાં. ગ્રેસ સામે ઊભાં રહેશે તો ફાટ ફાટ ગુસ્સાથી કશું ન ધારેલું વર્તી બેસશે એવા ડરથી એ દૂર જઈને ઊભાં રહ્યાં. બહાર અંધારામાં હિલ્લોળાતા લીમડાને તાકી રહ્યાં. કાળું લીલું ડોલતા આકારો આવીને એમને ખેંચી જશે એવું લાગતું હતું.

ગ્રેસે નજીક આવી એમના હાથ પકડી લીધા. એમણે ચહરો ન ફેરવ્યો.

‘ગુસ્સો કરવો હોય તો કરી લે, મારવું હોય તો માર પણ આમ મોઢું ના ફેરવી લે.’

સાવ પોમલી રોતડી છોકરી આમ …. એમણે સામે જોયું. ગ્રેસની ગંભીર આંખોમાં ક્ષમા ઉપરાંત બીજું કશું હતું એ અસર ન વેઠાતી હોય એમ એમણે ફરીથી બારી બહાર જોવા માંડ્યું.

‘હું ઇચ્છું છું મા … ’ એ અટકીને બોલી, ‘તમારા સુખ દુ:ખમાં તમે એકલાં ન રહો. કોઈ પડખે હોય. મા તમે હકથી વર્તો … ખૂલીને જીવી શકો એટલું માંગુ છું, એનાથી વધારે કંઈ નહિ. બસ એટલું જ.’

‘એટલે મને પૂછ્યા વગર કોઈ પારકાને આમ આંગણું દેખાડી દેવાનું?’

‘હું એવી નાદાન છું? તમારી દીકરી છું રજ જેટલું ય અહિત દેખાય તો ..’ એ સરલાબહેનને સામે જોઈ રહી.

‘બિલીવ મી, હું તને બધું કહેવાની હતી.’

એ ગ્રેસ સામે જોઈ રહ્યાં. એમને કશું સમજાતું નહોતું. ઊંડો શ્વાસ મૂકતાં એમણે પૂછ્યું.

‘મારી વાત છોડ, મૂરખ, પહેલાં એ કહે એ માણસને તેં શું શું કહ્યું છે મારા વિષે?‘

‘કંઇ નહિ, બસ હું સરલા બનીને જે લખતી હતી એ બધું તેં જ કહ્યું હતું એમ.’

‘સરલા બનીને એટલે? તું કેવી રીતે સરલા …’ પવનનો એક હિલોળો આવ્યો. સોસાયટીના મંદિરની ધજાનો ફરફરાટ વાતાવરણમાં ગુંજ્યો. એમણે બારી બંધ કરી. ગ્રેસ બોલતી હતી, મા મેં તારા નામથી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. સરલા ત્રિવેદી નહિ પણ સરલા આશર બનીને. પહેલાં બિપિનદાદા વિષે જાણ્યું પછી …

‘દાદા?’

‘વૅલ, બિપિનચંદ્ર. મને એ અચાનક જ સ્વાતિના ફ્રેન્ડ લીસ્ટમાંથી મળી ગયેલા. એમની ટાઈમ લાઈન અને મિત્રોની યાદી તપાસતાં મને લાગ્યુ કે આ માણસ એકદમ ક્લીન હોવો જોઇએ.

‘ક્લીન?’ સરલાબહેનના અવાજમાં આશ્ચર્ય હતું.

‘ક્લીન એટલે ભરોસાને લાયક. તું બહુ ચૂં ચા ના કર, સાંભળ. સો આઇ જસ્ટ લાઈક હિમ. એ તારી ટાઇપના છે. પપ્પામાં તું જે શોધતી હતી એ બધું એમનામાં મને દેખાયું. સાહિત્ય, કવિતા પ્રેમાળ સોફ્ટ પર્સનાલિટી …’

સરલાબહેનથી ન ઇચ્છવા છતાં મલકાઈ જવાયું. એમણે એને દોરીને સોફામાં બેસાડી પોતે એની અડોઅડ ગોઠવાયાં. હળવાશથી ગ્રેસના માથે હાથ ફેરવતાં કહ્યું.

‘તું તો મને મારા કરતાં ય વધારે ઓળખે છે, બેટા, પણ તેં હજી દુનિયા જોઈ નથી. સર્જક હોય સારી ભાષામાં વાત કરતા હોય એ બધા સારા જ હોય એવા ભ્રમમાં નહિ રહેવાનું. જવા દે એ ચર્ચાની અત્યારે જરૂર નથી. જો, મારી એકલતા મને ફાવે છે. મન હવે ઠરી ગયું છે. તારા ગ્રેન્પા વગરના વરસોએ મને મારી રીતે જીવતાં શીખવી દીધું છે.’

‘મને સમજ છે પણ તમે આમ એલોન .. એકલા જીવો … તને કંઈ થાય તો તમારું કોણ? કોઈ આપણી સાથે હોય, પોતાનું કહેવાય એની હૂંફ બહુ જ મોટી વાત છે.’ કહેતાં એણે સરલાબહેનના બન્ને હાથ હાથમાં લઈ લીધા.

‘હું જાણું છું દીકરા પણ ઘણીવાર આપણે સાચ જૂઠ કે ફાયદો-ગેરફાયદો કોરાણે રાખીને કોઈ એકનો પક્ષ લેવો પડતો હોય છે. ખોટું થઈ ગયાનો વસવસો આખી જિંદગી જંપવા ના દે એનાં કરતાં જે છે એનું સુખ મોટી વાત છે.’

‘હા, એટલે જ કહું છું, તપાસી લે. એમની સાથે વાત તો કરી જો. ગમે, સારું લાગે તો આગળ વિચાર કરજે નહિતર …. તને યાદ છે ને નાંદીમોમે મને સુલય માટે સજેસ્ટ કર્યું ત્યારે હું આમ તારી જેમ જ ના પાડતી હતી. એ ટાઈમે તેં મને આ જ શબ્દો કીધા હતા.’

સરલાબહેન આડું જોઈ ગયાં એટલે ગ્રેસે એમના બન્ને ખભા દબાવતાં કહ્યું, ‘મારા માટે તું આટલું ય નહિ કરે?

‘હું મળી જ છું ને, ચાર વખત તો ઘરમાં લઈ આવી.’

‘એને મળવું નહિ  સામ સામે બેસવું કહેવાય, ટ્રેનના ડબામાં બેસીએ એવું.’

‘મારી આટલી બધી ચિંતા છે તો તું  અહીં રહેવા આવી જા.’

‘તને ખબર છે હું સુલયને ચાહું છું એનાં કરતાં એના પરિવારને વધારે ચાહું છું. તેં જ મને શિખવ્યું છે સાસરામાં કેવી રીતે રહેવાનું. તારે ત્યાં આવવું નથી ને મને તારી પાસે રાખવી છે. બોલ, સુલુને ના પાડી દઉં પરણવાની?’ 

‘બેસ છાનીમાની, ધમકી આપે છે કે બ્લૅકમેઈલ કરે છે?’

‘તો તું  હા પાડી દે, પસ્તાવું નહિ પડે.’

ગ્રેસે અડબોથ મારી દીધી હોય એમ એમણે  ગ્રેસ સામે  જોયું. પણ વળતી જ પળે થયું.  એ જે સંસ્કૃતિમાં રહે છે ત્યાં એની આસપાસ બીજી કે ત્રીજીવાર પરણવું એમાં કશી નવાઈ નથી. બન્નેએ ચૂપચાપ જમી લીધું, બે દિવસ એમ જ વીત્યા. સરલાબહેનના મનમાં એક અજંપો વિસ્તરતો હતો. આંખ સામે પડછંદ લાગતી, ટી શર્ટ અને શોર્ટમાં યુવાન ભાસતી આકૃતિ આવી ઊભી. ગ્રેસ પાસેથી પાસવર્ડ લઈ બે દિવસમાં બિપિનચંદ્ર યાજ્ઞિકનો ગ્રેસ સાથેનો બધો જ સંવાદ વાંચી લીધા પછી એમની સંવેદનશીલતા પમાઈ પણ એથી કશો ઉમળકો ન અનુભવાયો.

રાત્રે ટૂંટિયું વળીને સૂતેલી ગ્રેસને એ ચૂપચાપ જોઈ રહ્યાં. એ પહેલી વાર સ્કૉટલેન્ડ ગયાં  ત્યારે ગ્રેસ એણે આપેલા મોબાઈલ પર વાંર વાર ફોન કરતી હતી. મા, બધું બરાબર છે ને? ફોર્મ ભરાઈ ગયું?  ચેક ઈન થઇ ગયું? ઇમિગ્રેશનમાંથી પસાર  થઈ ગયાં? સિક્યુરિટીમાં કશી તકલીફ નથી પડી ને? બોર્ડિંગ પાસ હાથમાં જ રાખજે. તારી સીટ બારી પાસે છે. સાંભળ મા. સીટબેલ્ટ બાંધી લેજે … તને બીક નથી લાગતીને? એમને મન હતું કે યાદ કરાવે એ કંઈ પહેલીવાર વિમાનમાં નથી બેસતી. તારા ગ્રેન્પા સાથે એકવાર સિંગાપોર ને એક વાર  બેંગ્લોર જઇ આવી છું. પણ ગ્રેસનું એ રીતે ચિંતા કરવું એટલું ગમતું હતું કે માત્ર હા બેટા, હા દીકરા સિવાય કશું બોલાતું જ નહોતું.

નાની હતી  ત્યારે  ચાલતાં પડી જાય ને નહિ જેવો ઘૂંટણ છોલાય કે લાલ  ટશર ઊપસે તો એ કલાક સુધી લાંબો ભેંકડો તાણતી. ઘરમાં જે કોઈ આવે એની પાસે રડતાં સાદે ‘આગ્યું   આગ્યું, પરી જઈ … પરી જઈ …’ બોલી સામો પગ ધરી કહેતી …. ફૂંક … ફૂંક. કહી ફૂંકો મરાવતી. એવી પોમલી હતી કે બીજે દિવસે ભૂલથી લેંઘી પહેરવવાની રહી જાય તો તરત  શરૂ ….‘ગૅત ભમ્ … ફૂંક … ગૅત ફૂંક ..’. આજુબાજુના સહુ એને જાણી જોઈને યાદ કરાવે  ‘ગ્રેસ તને વાગ્યું, બેટા?’ સાંભળતાં જ ચહેરો રડમસ થઈ જાય, આંસુ ઊમટે ….. ‘ગૅત ભમ્ … ભમ.’

એમનાથી નજીક જઈ એના વાળમાં હથેળી પસવાર્યા વગર ન રહેવાયું. એક દિવસ ફોનમાં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડેલી.

‘પહેલાં શાંત થઈ જા, બેટા, મને કે‘ શું થયું?

તું વિશ્વાસ નહિ કરે મા … પણ હવે મને ગુજરાતીમાં વિચારો નથી આવતાં … હું શું કરું મા … આ અંગ્રેજીએ મારી આખી સિસ્ટમ ખોરવી નાંખી.’ બોલી ફરીથી રડવા માંડેલી … ફોનમાં ડૂસકાં ભરતી મોટી ગેતને એ કઈ ફૂંક મારે તો બધું મટી જાય?

એમના માટે એણે આટલી બધી ગુજરાતી વાર્તાઓ વાંચી. પહેલાં એમની સાથે  લાંબી લાંબી વાતો  કરી  સમજી ને પછી બિપિનચંદ્રની ટાઇમલાઈન પર બધું લખી લખીને સાથે ચર્ચાઓ કરી. ચપ ચપ અંગ્રજી બોલતી એ વાતાવરણમાં જ રહેતી છોકરીને આ બધું કરતાં કેટલી મુશકેલી પડી હશે?

એમને યાદ આવ્યું: ગ્રેસે બિપિનચંદ્રને પૂછ્યું હતું. ‘આપણે ત્યાં પશ્ચિમની જેમ એકલાં પડી ગયેલાં આધેડ કે વૃદ્ધ સ્ત્રી કે પુરુષ પુર્નલગ્ન કરે છે?’

એમણે જવાબમાં લખ્યું હતું, હા, એવા છૂટા છવાયા કિસ્સાઓ જાણમાં છે પણ હું નથી માનતો એ બધું સામાન્ય હોય. કારણ એ વયે સહુથી વધારે અગત્યનો છે પરસ્પરનો વિશ્વાસ અને સમજણ. મરતાં સુધી બેમાંથી એક થઈને એક-મેકના સથવારે  જીવવા જોડાવું  એ એક અનેરું તપ છે. એમનો જીવનપથ સમાંતર બનવો જોઈએ. આજે આ લખું છું ત્યારે યાદ આવે છે મેં મારી દીકરીનો સંબંધ જોડ્યો ત્યારે આવું કશું જ નહોતું વિચાર્યું. કદાચ મનીષકુમાર અને એમના પરિવાર પરનો મારો વિશ્વાસ જ એમાં કારણરૂપ હશે.

નિરાંતે સૂતેલી ગ્રેસને એ ક્યાં ય સુધી જોઈ રહ્યાં. એ ક્ષણે આંખ મીંચાતાં પહેલાં નિર્ણય લેવાયો: એ બિપિનચંદ્રને મળશે.

બીજે દિવસે સરલાબહેને ગ્રેસને કહ્યું, ‘તારા સોશિયલ ફ્રેન્ડને મળવામાં મને વાંધો નથી.’

ગ્રેસ કૂદકો મારીને એમની ડોકે વળગી પડી, ‘થેન્કયૂ મા.’ પછી થોડીવાર એમ જ વળગેલી રહી.

*       *        *

આ ગ્રેસે મને કેવી વસમી સ્થિતિમાં મૂકી છે? વ્યક્તિ વ્યક્તિને મળે એ નાની સૂની વાત નહોતી  કે નહોતું કોઈ શિષ્ટાચાર કે મૈત્રીમાં મળવા જેવું આસાન. આટલાં વર્ષે આમ … જાત શરમ અને સંકોચથી વીંટાઈ ગઈ હોય એમ અનુભવાતું હતું. અચાનક એમને પતિની યાદ આવી ગઈ. કટોકટીની એકે એક પળે એ એમની સાથે રહ્યા હતા. એને બિરદાવતા, હિમ્મત આપતા ખભો થપથપાવી એકે ય શબ્દ વગર ઉત્સાહ વધારતા … એવા પ્રેમાળ વ્યક્તિત્વનું સ્થાન કોઈ કેમ લઈ શકે? એ સૂક્ષ્મ મૃદુ સ્પર્શ, લાગણીભર્યું વાત્સલ્ય પુન: ક્યાંથી પગટશે? આત્માના મિલન વગરનો સંગ પરિચયથી કદાચ નિકટતામાં ફેરવાય તો ભલે. હવે, આત્મીયતામાં ઊતરવાનું બળ બચ્યું નથી. રાજુને કદાચ ચોપડીઓ વાંચતા નહોતું આવડતું પણ એ હૃદય કેવું સરળતાથી વાંચી લેતા?

એ ચૂપચાપ સામે બેઠેલા બિપિનચંદ્રને જોઇ રહ્યાં. શું વાત કરવી? સામે બેઠેલા માણસમાં કઈ રીતે રસ દાખવવો એ સૂઝતું નહોતું. ગ્રેસે સ્કોટલેન્ડની, પરિવારની વાતો ખોલી એ બન્નેને રસ્તે લાવી મૂક્યાં પણ એ હું હમણાં આવી મા એમ બોલી બીજા કમરામાં ગઈ કે સરલાબહેનને થયું એ ભૂલા પડી ગયાં છે. એક વાર ઈસ્ટ લંડનના એક પરગણામાં ખોવાઈ ગયાં હતાં. કોઇ કોઠાર ભરવાની કોઠીમાં પુરાઈ ગયાં હોય એમ! 

બિપિનના શબ્દો સાવ સૂકી હકીકતો —ખાલી વાતો ચાલતી રહી. એક ક્ષણે એમ લાગ્યું કદાચ બિપિન ધારી બેઠાં છે કે આમાં એમની મરજી છે. એ જે હોવાપણાના ભાવથી વાત કરે છે એ બરાબર નથી. એમણે કહ્યું.

‘બિપિનજી, મને લાગે છે મારે તમને સ્પષ્ટ જણાવવું જોઈએ. હું મારી દીકરીની જીદથી જ આપને આ રીતે મળવા સંમત થઈ છું પણ સાચું કહું તો હું મારી એકલતાથી ટેવાઈ ગઈ છું. એકલા હોવું તમે હમણાં બોલી ગયા એમ કોઈને કદાચ નિરસ લાગતું હશે પણ મને તો એનો સધિયારો છે.’

‘સારી વાત છે. જો કે મારે બહોળો પરિવાર છે. દીકરા દીકરી અને એમનાં સંતાનો, સહુ મને મારે ત્યાં આવતા જતા હોય છે એટલે મને  ક્યારે ય હું એકલો છું એમ લાગ્યું નથી. હા તમારી સાથે લાંબી લાંબી વાતો લખતાં વાંચતાં એક પોતાપણું ક્યારે સ્થપાઈ ગયું એની ખબર જ ન રહી. તમને મળ્યો ત્યારે આપણે પહેલાં મળ્યાં નહોતાં …. બસ પેલી કોઈ મારા જેવું જ છે એ લાગણી બેવડાતી ગઈ.’

‘એ બધું સાવ ખોટું છે .. મારું બોલેલું જ છે પણ એ તો … તમને ખબર નથી મારી છોકરીએ મારા બદલે આવું બધું લખ્યું છે. હું તો કશું જાણતી નહોતી …’ એવું ચીસ પાડી ને બોલતાં એમની જાત ને એમણે માંડ માંડ રોકી. ના. આમાં ગ્રેસનો શો વાંક? એણે તો મારું ભલું તાક્યું હતું. મનોમન બબડી એમણે સ્હેજ ટટ્ટાર થતાં કહ્યું.

‘એ ખરું પણ નંદાયેલા વાસણની જાત સાચવવી પડે બિપિનજી. ક્યારે ઘસરકો થઈ જાય ને ઘા બની બેસે એનું કશું નક્કી નહિ. તમને તો મારાથી ય સારી મળશે.’ કહી એ ઊભાં થયાં પણ વિચાર આવ્યો આ માણસને તો ગ્રેસે ભરમાવ્યો છે. જે કંઈ બન્યું એમાં એ તો એમ જ સમજીને વર્ત્યા હશેને કે એ મારી સાથે વાતો કરે છે. એમણે ઝડપથી બીજા પગે જાતને રોકી લીધી.

‘કંઈ વાંધો નહિ, આપણે એક બીજાને ઓળખીએ છીએ તો સારા મિત્રો બનીશું.’

પહેલી વાર સરલાબહેને બિપિનચંદ્રની આંખમાં જોયું.

બિપિનચંદ્રને થયું સરલાબહેનની સજળ આંખોમાં અપેક્ષા છે. ક્યાંક હક જેવું …પણ તરત થયું ના. એ અધિકાર એમ સહેલાઈથી કોઈને આપે એવાં નથી. તો શું રોકે છે એમને? કદાચ એમનું અતિ જાગ્રત આત્મજ્ઞાન! એથી આગળ જવાનું શક્ય નહિ હોય.

ભક્તિપૂર્વક સરલાબહેન સામે જોતાં ‘કશો ભાર ન રાખશો.’ કહેતાં એમનાથી હાથ જોડાઈ ગયા.  હવે કદાચ મળાય કે ન મળાય  પણ યાદ રાખજો જરૂર પડ્યે હું બસ એક ફોન કોલ જેટલો જ દૂર હોઈશ.’ એ વાક્ય જીભની ટેરવે હતું પણ સંકોચવશ બોલી ન શક્યા.

કોઇ પુરુષમાં આટલી પ્રમાણબદ્ધતા? એમની આંખમાં તરવરતો આદરભાવ જોતાં સરલાબહેનથી ડગલું પાછળ ખસતાં કહેવાઈ ગયું, ‘માફી માગું છું. તમારી લાગણી દુભાઈ હોય તો ….’ એ પાછા સોફા પર બેસી ગયાં. એ થોડી વાર કશું જ બોલ્યાં ન હતાં કદાચ કહેવું હતું એ કહી શક્યા નહોતાં.

ગ્રેસ અંદર આવી કે તરત સરલાબહેન ઊઠ્યાં. એમને પાણી પીવું હશે ધારી ગ્રેસ બોલી, ‘મા, તું બેસ હું  પાણી આપું છું.’

કશા કારણ વગર રસોડામાં વસ્તુઓ આમ તેમ કરતાં સરલાબહેન તરફ હથેળી દર્શાવતાં બિપિનચંદ્ર બોલ્યા, ‘તું બહુ જ નસીબદાર છે, ગ્રેસ.’

સાંભળી ગ્રેસને થયું નક્કી આમ બોલીને એ કશું ક ઢાંકવા મથે છે. એ કશું બોલી નહિ. ચૂપચાપ રસોડામાં હરફર કરતાં સરલાબહેનને જોઇ રહી. થોડીવારમાં બારણાં અને દીવાલ  વચ્ચેના ગોખલાની આડશે એ દેખાતાં બંધ થઈ ગયાં.  બિપિનભાઇએ કહ્યું, ‘હું નીકળું, બેટા.’

‘બેસો ને, ઉતાવળ છે?’

એ ખમચાયા. પછી ધીમેથી કહે, ‘સરલાજી સાથેના સંવાંદનું સુખ કાયમનું સંભારણું બન્યું એ વાતનો આનંદ છે.

સાંભળી ગ્રેસને નિર્ણય સમજાઈ ગયો. એને મલકાવું હતું પણ મલકાટને સ્થાને ફિક્કું સ્મિત આવી ગયું. દરવાજો વટાવી ગયેલા બિપિનચંદ્ર પગથિયાં ઊતરે એનો અવાજ સાંભળવા એણે કાન માંડ્યા પણ હવાની ફરફર સિવાય કશું જ ન સંભળાયું.

આમ કોઈની ઉપેક્ષા થાય એ એને બહુ જ કઠ્યું. ઉપેક્ષાએ ક્યારે ચિંતાનું સ્વરૂપ લઈ લીધું  એની સરત ન રહી. કદાચ ચિંતા થઈ એથી ઉપેક્ષાનું દુ:ખ ઓસરી ગયું.

સરલાબહેન ખુલ્લા બારણાં વચ્ચે ઊભાં હતાં. એમનો બારસાખ ઝાલવા ઊંચકાયેલો હાથ જોઈ ગ્રેસને થયું એક જિંદગીમાં કેટકેટલું થઈ શકે?

પછી ઊંડો શ્વાસ લઈ, ઉતાવળે પગલે જઈ એણે માનો આધાર ખોળતો હાથ હાથમાં લઈ લીધો.

*         *         *

8, Carlyon Close, Wembley, Middlesex, HA0 1HR [U.K.] • e.mail : anilnvyas@yahoo.co.uk

(પ્રગટ : "નવનીત સમર્પણ", જાન્યુઆરી 2018; પૃ. 46 – 56)

Loading

કોરેગાવનું યુદ્ધ સ્મારક, મહાર રેજિમેન્ટ અને ડૉ. આંબેડકર : ઇતિહાસનો ઓછો જાણીતો હિસ્સો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|6 January 2018

કોરેગાવ લડાઈના મહાર સૈનિકોના સમાજ માટેનું બાબાસાહેબનું કાર્ય ધ્યાનમાં લેવા જેવું છે … 

ભીમા કોરેગાવ ખાતે થયેલી એક લડાઈની દ્વિશતાબ્દી નિમિત્તે જે તોફાનો થયાં તેને માત્ર એક અશાંતિના એક બનાવ તરીકે ખતવવા જેવા નથી. તેમાં દલિત અને મરાઠા, દલિત અને બ્રાહ્મણ, ભારતીય જનતા પક્ષ અને દલિત પક્ષો, ભા.જ.પ. અને કૉન્ગ્રેસ જેવા વિવિધ સમુદાયો વચ્ચેના તણાવના તાણાવાણા ગૂંચવાયેલા છે. વેઠનારા શાસિત વર્ગની જાતિગત અને શાસક વર્ગની રાષ્ટ્રગત અસ્મિતા વચ્ચેનો વિવાદ પણ તેમાં છે. જો કે કોરેગાવના જે યુદ્ધસ્મારકની દસેક લાખ લોકોએ તાજેતરમાં મુલાકાત લીધી તેની સાથે સંકળાયેલો લશ્કરી અને સામાજિક ઇતિહાસ રસપ્રદ,પણ ઓછો જાણીતો છે. તેને ફરીથી પ્રકાશમાં લાવવાની પ્રવૃત્તિની સામે પણ સવાલ થાય છે.  એ બાબત ઇતિહાસ કોનો, કેવો અને શા માટે એ અંગેની આપણી અવધારણા તરફ આંગળી ચીંધે છે.

પૂનાથી ચાળીસેક કિલોમીટર પૂર્વોત્તરમાં ભીમા નદીના કિનારે અંગ્રેજો અને શાસક પેશવા બાજીરાવ બીજા વચ્ચે પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ યુદ્ધ લડાયું. તેમાં પેશવાઓના બહુ મોટા લશ્કરને અંગ્રેજોનું નાનું લશ્કર પણ હરાવી શક્યું તેનું કારણ એમના દલિત સમુદાયોના સૈનિકો હતા. ભારતીય સમાજે અસ્પૃશ્ય ગણેલી આ મહાર કોમના સૈનિકોની એક બટાલિયને મોટી બહાદુરી બતાવી. અંગ્રેજોએ આ વિજયની યાદમાં એક સ્તંભ ઊભો કર્યો, અને મહાર હુતાત્મા સૈનિકોનાં નામ તેની પર કોતર્યાં. એમાં સદા અપમાનિત દલિત સમુદાયોને તેમની બહાદુરીનું ગૌરવ અને તેમની ઓળખની સ્વીકૃતિ અનુભવાઈ. તેમની નજરે પેશવાઓની હારમાં, તેમની પર સદીઓથી, અને ખાસ તો શિવાજી પછીનાં વર્ષોમાં, બધા પ્રકારના અત્યાચાર ગુજારનારા ઉપલા વર્ગની હાર દેખાઈ.

કોરેગાવ યુદ્ધનું પહેલું વર્ણન ૧૮૮૫માં બહાર પડેલ પૂના ડિસ્ટ્રિક્ટ ગૅઝેટિયરમાં મળે છે. સનદી અધિકારી જેમ્સ એમ. કૅમ્પબેલે સંપાદિત કરેલ આ દસ્તાવેજમાં અંગ્રેજોના લશ્કરના ભારતીય સૈનિકોની કોમનો ઉલ્લેખ નથી. મહાર કોમના સૈનિકોનો ઉલ્લેખ પછીનાં વર્ષોમાં થયેલાં ઇતિહાસકારોએ કર્યો છે. અભ્યાસાધારિત ખરાઈ વિના ભાગ્યે જ કોઈ વિચારને સ્વીકારનારા  ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે કોરેગાવ સ્મારક એવું આદરસ્થાન હતું કે તેની તેમણે એકથી વધુ વખત મુલાકાત લીધી હતી. તેમણે ૧૯૨૭ના આરંભે લીધેલી મુલાકાતનું વર્ણન ધનંજય કીરે લખેલાં તેમના વિશ્વસનીય ચરિત્રનાં પાંચમા પ્રકરણના પહેલા જ ફકરામાં મળે છે:

‘આંબેડકરે આ વર્ષના કાર્યની શરૂઆત કોરેગાવ યુદ્ધ સ્મારકની સામે યોજાયેલી સભાથી કરી. તેમાં તેમણે અહેસાનફરામોશ બ્રિટિશ સરકારનો તેજાબી શબ્દોમાં નિષેધ કર્યો. જે મહાર કોમના સેંકડો સૈનિકોએ સરકારને અનેક લડાઈઓમાં જીત અપાવી છે એમની લશ્કરમાં ભરતી કરવાનું બંધ કરીને સરકારે વિશ્વાસઘાત કર્યો છે એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. મહાર સૈનિકો બ્રિટિશરો તરફથી લડે એ કંઈ ખાસ ગૌરવ લેવા જેવી વાત નથી એ સાચું. પણ એ લોકોએ અંગ્રેજોની મદદ શા માટે કરી ? સ્પૃશ્ય હિંદુઓએ એમને નીચ ગણીને કૂતરાં-બિલાડાને આપે તેના કરતાં ખરાબ વર્તણૂક આપી એટલા માટે ! પેટ ભરવા માટે કોઈ સાધન ન હોવાને કારણે એ લોકો મજબૂરીથી અંગ્રેજોની ફોજમાં ભરતી થયા એ ધ્યાનમાં રાખવું પડશે. બાબાસાહેબે ભાષણને અંતે કહ્યું કે મહારોની લશ્કરી ભરતી પરનો પ્રતિબંધ સરકારે ઊઠાવી લેવો જોઈએ, અને સરકાર જો એમ ન કરે તો લોકોને સરકાર વિરુદ્ધ ચળવળ કરવાની હાકલ પણ બાબાસાહેબે કરી.’ આંબેડકરની વાત અંગ્રેજો માટેના પૂરા અણગમા અને દલિતો માટેની પૂરી અનુકંપાથી કહેવાયેલી છે એ ધ્યાનમાં લેવું ઘટે.

મહાર સમાજ વિશે આંબેડકર જેટલું જાણતા એટલું બહુ ઓછા જાણતા હોય. એમના પિતા રામજી સકપાળ અને છ કાકા અંગ્રેજ લશ્કરમાં સુબેદાર મેજર પદ સુધી પહોંચ્યા હતા. ભારતીય સૈનિક મેળવી શકે તેવો આ સર્વોચ્ચ હોદ્દો હતો. બાબાસાહેબના સગા નાના ધર્મા મુરબાડકર પણ સુબેદાર મેજર હતા. રામજી લશ્કરમાંથી નિવૃત્ત થયા એટલે તરત જ તેમણે અંગ્રેજ અધિકારીઓને પત્રો લખીને મહાર સૈનિકોની ન્યોછાવરીની લશ્કરમાં વધુ કદર થાય તે માટેની રજૂઆતો કરી. બીજા દલિતોની સરખામણીએ ભીમરાવનો પરિવાર સહેજ સારી સ્થિતિમાં કહેવાય. પણ મહાર કોમની હાલત બાબાસાહેબ બરાબર જાણતા હતા. સદીઓ સુધી તેમને ગળામાં કુલડી અને પૂંઠે સાવરણી બાંધીને જીવવાની ફરજ પાડવામાં આવી હતી. પછીનાં વર્ષોમાં પણ આભડછેટ સહિતનો તમામ પ્રકારનો દુર્વવ્યહાર તેમને લલાટે લખાયેલો રહેતો. તેના અનુભવો ખુદ બાબાસાહેબને પણ થતા રહ્યા હતા. મહારોનાં પરિશ્રમ અને પરાક્રમની કોઈ કદર સમાજે કરી ન હતી. શિવાજી મહારાજના લશ્કરમાં તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. ૧૮૫૭ના વિપ્લવ પહેલાં અંગ્રેજોના લશ્કરમાં ચોથા ભાગના મહાર હતા. પણ તેને કારણે લશ્કરના ઉજળિયાત વર્ગના સૈનિકો તેમ જ અધિકારીઓમાં અસંતોષ જન્મ્યો હતો. એટલે વિપ્લવ બાદ અંગ્રેજોએ તેમની ભરતી અટકાવી હતી. આંબેડકર પહેલાંના આગેવાનોએ એ ભરતી ફરીથી શરૂ કરવા માટે વારંવાર માગણી કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે અંગ્રેજોના લશ્કરોમાં ભારતમાં અનેક જગ્યાએ પછાત કોમોનાં સૈનિક દળો છે. જેમ કે મદ્રાસ આર્મીમાં આન્ધ્ર પ્રદેશની માલા અને કર્ણાટકની હોલેયા દલિત કોમોએ તેમ જ અન્ય જગ્યાએ મઝહબી, રામદાસી અને રવિદાસી શિખોએ નામ કાઢ્યું હતું. આંબેડકરે મહારો માટે વિદ્વત્તાપૂર્ણ રજૂઆત કરતી એક પુસ્તિકા ૧૯૩૦ની પહેલી રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ વખતે લંડનમાં વહેંચી હતી. એમાં તે લખે છે : ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાઈને અંગ્રેજોને મદદ કરનાર આ લોકો કોણ હતા? … એ લોકો ભારતના અસ્પૃશ્યો હતા. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવની સાથે રહીને લડનારા દુસડ હતા, અને દુસડો અસ્પૃશ્યો છે. કોરેગાવનું યુદ્ધ લડનારા માણસો મહાર હતા, અને મહાર અસ્પૃશ્ય. આ રીતે ૧૭૫૭ના પહેલા અને ૧૮૧૮ના છેલ્લા એમ બંને યુદ્ધોમાં અંગેજો તરફથી લડનારા અસ્પૃશ્યો હતા. આ હકીકત ભારતીય લશ્કરની પુન: રચના માટે રચાયેલા પીલ કમિશનને માર્ક્વિસ ઑફ ટ્વિડલ્ડેલે એક નોંધ તરીકે આપી છે.’ આંબેડકરે એ પણ નોંધ્યું કે મુંબઈના લશ્કરના મહાર અને મદ્રાસ લશ્કરના પરિયા સૈનિકોએ અંગ્રેજોને ૧૮૫૭ના સંગ્રામ દરમિયાન પણ મદદ કરી હતી. અંતે તે કહે છે : ‘અંગ્રેજોના પક્ષે અસ્પૃશ્યોને લશ્કરી ભરતીમાંથી બાકાત રાખવા જેટલી અહેસાનફરામોશ બાબત બીજી કોઈ નહીં હોય.’ આંબેડકરના પ્રયત્નોથી ૧૯૪૧માં અલગ મહાર રેજિમેન્ટ પણ અસ્તિત્વમાં આવી.

મહાર જાતિ માટેની આ નિસબત બાબાસાહેબની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ હતી. ડિસેમ્બર ૧૯૨૬માં એમની મુંબઈ પ્રાન્તિક કાઉન્સિલના સભ્ય તરીકે વરણી થઈ. તેમણે એક સભ્ય પી.જી. સોલંકીને સાથે રાખીને મહાર વતનની વેઠાનાબૂદી માટે મહાર વતન ધારા બિલ રજૂ કર્યું. તે પહેલાં તેમણે મહારો વિશે કેટલાં બધાં અભ્યાસ અને ચિંતન કર્યાં હતાં તેની વિગતો ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડે બાર ખંડોના કુલ સાડા ચાર હજાર પાનાંના જીવનચરિત્રના બીજા ભાગમાં મળે છે. એ બતાવે છે કે આંબેડકર મહાર લોકોને માત્ર અંગ્રેજ સરકારની લશ્કરી નોકરીને હવાલે છોડવા માગતા ન હતા પણ તેમના પાયાના પ્રશ્નો માટે પણ મથ્યા હતા. ખૈરમોડેએ મહાર વતન બિલ માટેનાં બાબા સાહેબના પ્રયત્નો વિશે કુલ ચાળીસ પાનાંનાં બે પ્રકરણ લખ્યાં છે. તેમાંથી બીજાનું નામ છે ‘અસ્પૃશ્યોના બુકર ટી. વૉશિન્ગટન’. 

+++++

૪ જાન્યુઆરી ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 05 જાન્યુઆરી 2018

Loading

દરેક ભારતીયે સેક્યુલર ભારતના પડખે ઊભા રહેવાની આજે જરૂર છે, આ અત્યારના સમયની ડિમાન્ડ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 January 2018

જે મૌલાના મૌદ્દુદી માનતા હતા એ BJPના અનંતકુમાર અને સંઘપરિવાર માને છે. ફરક એ છે કે મૌલાના પ્રામાણિકતાપૂર્વક પોતાનો અભિપ્રાય આપવાની હિંમત ધરાવતા હતા. મને યાદ નથી કે તેમણે ક્યારે ય માફી માગી હોય. પાકિસ્તાનમાં જનરલ અયુબ ખાને તેમને જેલમાં નાખ્યા હતા ત્યારે પણ તેમણે માફી નહોતી માગી કે નહોતો તેમણે વિચાર બદલ્યો

કેન્દ્રના કૌશલ વિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડેએ કહ્યું છે કે BJPની સરકાર કેન્દ્રમાં આવી છે તો એ સત્તા ભોગવવા માટે નથી આવી, પરંતુ ભારતનું બંધારણ બદલવાની છે અને નજીકના ભવિષ્યમાં એ ઘટના બનવાની છે. કર્ણાટકમાં કોપ્પલ ખાતે બ્રાહ્મણ યુવા પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ડા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે એટલે બંધારણ બદલવું જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ માટે BJP સરકાર પ્રતિબદ્ધ છે અને એ વિશે કોઈએ ભ્રમમાં રહેવાની જરૂર નથી.

તેમણે સેક્યુલરિઝમમાં માનનારા લોકો વિશે કહ્યું હતું કે ‘આ એવી જમાત છે જેમને પોતાનાં માબાપ કોણ છે એની જાણ નથી. આજકાલ સેક્યુલરિસ્ટોની એક નવી જમાત પેદા થઈ છે જે મૂળિયાં વિનાની છે. તેમને તેમના લોહીની જાણ નથી અને તેમને જોઈને ચીડનો અનુભવ થાય છે. આ બાજુ જો કોઈ કહે કે હું હિન્દુ છું, મુસલમાન છું, ખ્રિસ્તી છું કે લિંગાયત છું તો મને રાજીપો થાય છે કે ચાલો, તેમને તેમના મૂળની તો જાણ છે.’

તેમણે મનુસ્મૃિતનો બચાવ કરતા કહ્યું હતું કે ‘સ્મૃિતઓ પ્રાચીન ભારતમાં બંધારણ તરીકે કામ કરતી હતી. અત્યારે દેશમાં આંબેડકર સ્મૃિત અમલમાં છે અને એ પહેલાં પરાશર સ્મૃિત અમલમાં હતી.’ એ પછી તેમણે કહ્યું હતું કે જે લોકો ઇતિહાસનું જ્ઞાન ધરાવતા નથી એ બેવકૂફ છે.

અનંતકુમાર હેગડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ઊછર્યા છે એટલે બૌદ્ધિક પ્રતિભા તેમને ગળથૂથીમાં મળી છે. ઇતિહાસ તેમણે એટલો પચાવ્યો છે કે તેઓ કોઈને પણ બેવકૂફ કહી શકે. અનંતકુમાર હેગડેને માત્ર એટલું જ કહેવાનું કે તેમને સ્મૃિતઓના ઇતિહાસની જાણ નથી. ભારતના ઇતિહાસમાં ક્યારે ય કોઈ એક સ્મૃિતએ આખા દેશમાં બંધારણ તરીકે કામ કર્યું નથી કે સ્મૃિતઓના બંધારણીય શાસનનો ક્રમ હતો નહીં. જેમ કે પહેલાં મનુસ્મૃિત પછી, પરાશર સ્મૃિત વગેરે. ભારતના અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ સ્મૃિતઓએ કહેલા રીતિરિવાજ સમાંતરે ચાલતા હતા. અનંતકુમાર હેગડેને એની પણ જાણ નથી કે ભારતમાં મનુસ્મૃિત અને પરાશર સ્મૃિત એમ માત્ર બે જ સ્મૃિત નહોતી, લગભગ બે ડઝન સ્મૃિતઓ સમાંતરે કે આગળ-પાછળ અમલમાં હતી.

તેમણે આના વિશે વધારે જાણવું હોય તો ભારત રત્ન પી.વી. કાણેના હિસ્ટરી ઑફ ધર્મશાસ્ત્રના છ ખંડ જોઈ જવા જોઈએ. કુલ મળીને ત્રણ હજાર પાનાં વાંચવાં એ થોડું અઘરું કામ છે, સ્વયંસેવક માટે કદાચ ગજાબહારનું કામ છે; પરંતુ ઇતિહાસ જાણવા મળશે. કોઈ સ્મૃિત ક્યારે ય કોઈ બંધારણ તરીકે કામ નહોતી કરતી અને સ્મૃિતઓના આદેશ કાલ અને સ્થળ મુજબ વિરોધાભાસી પણ હતા. જો કે જવા દઈએ ઇતિહાસના જ્ઞાનની વાત, તેમણે પોતે જ ઇતિહાસ ન જાણનારાઓને સર્ટિફિકેટ આપી દીધું છે.

વાત છે બંધારણ બદલવાની અને કુજાત સેક્યુલરિસ્ટોની જેમને પોતાના ગોત્રની જાણ નથી. સંઘપરિવાર બંધારણ બદલવા ઇચ્છે છે એ ઉઘાડી વાત છે, પરંતુ સંઘની પરંપરા મુજબ ફોડ પાડીને ઈમાનદારીપૂર્વક તેમણે પોતાનો ઇરાદો પ્રગટ નથી કર્યો. સંઘની પરંપરા અને રણનીતિ એવી છે કે ચેન્નઈ જવું હોય તો દિલ્હીનો રસ્તો પકડે. ત્રણ ડગલાં ચાલે અને બે ડગલાં પીછેહઠ કરે. અનેક લોકો અનેક મોઢે બોલે. ગુગલી ફેંકનારને બે જણ શાબાશી આપે અને એક જણ ઠપકો આપે. અનંતકુમાર હેગડેને શાબાશી પણ આપવામાં આવી છે અને ઠપકો પણ આપવામાં આવ્યો છે. લોકસભામાં બંધારણ બદલવાની વાત તેમણે પાછી લીધી છે અને બંધારણનું અપમાન કરવા માટે તેમણે માફી માગી છે. આમ તેલ અને તેલની ધાર જોઈને ધીરે-ધીરે જગ્યા બનાવવાની સંઘની નીતિ છે.

ભારતના સેક્યુલર બંધારણ સાથે કેટલાં ચેડાં થઈ શકે એમ છે અને કેટલી હદે દેશની જનતા ચેડાં ચલાવી લે એમ છે એનું પાણી માપવા માટે સૌપ્રથમ અટલ બિહારી વાજપેયીની સરકારે ૨૦૦૦ની સાલમાં ન્યાયમૂર્તિ વેન્કટચલૈયાના અધ્યક્ષમાં ધ નૅશનલ કમિશન ટુ રિવ્યુ ધ વર્કિંગ કૉન્સ્ટિટ્યુશનની રચના કરી હતી. એ સમયે સંઘપરિવારની ગણતરી એવી હતી કે ધાર્મિક અને ઈશ્વરભીરુ વેન્કટચલૈયા બંધારણમાં ફેરફાર કરવા માટેનાં કારણો શોધી આપશે અને એક વાર દસ્તૂરખુદ ન્યાયમૂર્તિઓના કમિશન દ્વારા કારણો હાથ લાગે એટલે છીંડાં પાડવા માટેનાં બહાનાં મળી જશે. તેમના કમનસીબે કમિશને અહેવાલ આપ્યો કે બંધારણના મૂળભૂત ઢાંચામાં કોઈ ખામી નથી અને એને હાથ લગાડવો એ બંધારણદ્રોહ કહેવાય.

શું છે બંધારણનો મૂળભૂત ઢાંચો? શું છે બંધારણનો પ્રાણ? ન્યાયમૂર્તિ વેન્કટચલૈયાના કમિશન મુજબ સેક્યુલર સંસદીય લોકતંત્ર એ બંધારણનો પ્રાણ છે અને એના પર બંધારણનો ઢાંચો આધારિત છે. એ સમયે બંધારણમાં ફેરફાર કરવા માટે કારણો હાથ લાગ્યાં નહીં. ઊલટું કમિશને કઈ બાબતને હાથ લગાડવામાં ન આવે એ ફોડ પાડીને કહ્યું હતું. એક રમત નિષ્ફળ નીવડી એનો અર્થ એવો નથી કે તેઓ ભવિષ્યમાં બંધારણ સાથે ચેડાં કરવાની તક શોધવાના નથી. તેમનો ઇરાદો હિન્દુ રાષ્ટ્રની નિર્મિતિનો છે એટલે લોકતાંત્રિક સેક્યુલર બંધારણ તેમને આંખના કણાની જેમ ખૂંચે છે. અનંતકુમાર હેગડેએ પાણી માપવાની કોશિશ કરી હતી.

પ્રધાન મહોદયે સેક્યુલરિસ્ટોને નબાપી જમાત કહી છે અને જે લોકો ધર્મ કે જ્ઞાતિની ઓળખ ધરાવે છે અને એ ઓળખ માટે ગર્વ ધરાવે છે તેમની સરાહના કરી છે, પછી ભલે એ ઓળખ ધરાવનારાઓ મુસલમાન કે ખ્રિસ્તી હોય. અહીં આપણે તેમને મૌલાના મૌદ્દુદીની યાદ અપાવવી જોઈએ. ઇસ્લામના બહુ મોટા પંડિત હતા. જમાત એ ઇસ્લામી-એ-હિન્દના સ્થાપક અને રાહબર મૌલાના પ્રારંભમાં ભારતના વિભાજનના વિરોધી હતા. એટલા માટે નહીં કે તેઓ હિન્દુ-મુસ્લિમ એકતામાં માનતા હતા, પરંતુ એટલા માટે કે જો અવિભાજિત ભારતના મુસલમાનો અલગ મુસ્લિમ રાજ્ય લઈને ભારતની બહાર નીકળી જાય તો બાકીના ભારતને મુસ્લિમ ભારત બનાવવાની યોજના સમાપ્ત થઈ જાય. ઇસ્લામ વિશ્વનો એકમાત્ર સાચો ધર્મ છે અને હજી જેમણે સાચો ધર્મ અપનાવ્યો નથી તેમને મુસલમાન બનાવવા અને તેમનું કલ્યાણ કરવું એ સાચા મુસલમાનનું કર્તવ્ય છે.

આઝાદી પહેલાં મૌલાનાએ કહ્યું હતું કે આ મિશનમાં જો કોઈ મોટું વિઘ્ન હોય તો એ સેક્યુલરિઝમ છે. સેક્યુલરિઝમ એમ શીખવે છે કે તમારી ધર્મશ્રદ્ધા એ તમારી અંગત બાબત છે અને એ ઘરની ચાર દીવાલોની અંદર રહેવી જોઈએ. રાજ્યને કોઈ ધર્મ સાથે કે ધર્મના શ્રેષ્ઠત્વ સાથે લેવાદેવા નહીં હોય. સેક્યુલરિઝમ પ્રત્યેક ધર્મને એકસરખો આદર આપે છે એટલું જ નહીં, દરેક ધર્મને અને દરેક ઈશ્વરને સાચો માને છે.

હવે જો બધા ધર્મ એકસરખા હોય, બધા ધર્મ સાચા હોય, બધા ઈશ્વર સાચા હોય તો ધર્મબહુલતા સ્વીકારવી પડે અને અનેક ઈશ્વરનો સ્વીકાર કરવો પડે. ઉપરથી રાજ્ય ધર્મનિરપેક્ષ હોય તો ધર્મના નામે કાયદો હાથમાં લઈ શકાય નહીં, વિધર્મી પર કહેવાતો સાચો ધર્મ ઠોકી શકાય નહીં અને કહેવાતા તત્ત્વના નામે ધર્મયુદ્ધ કરી શકાય નહીં. સેક્યુલરિઝમ એવું એક દુષ્ટ તત્ત્વ છે જે ધર્મને ઘરની બહાર લઈ જવાની તક આપતું નથી તો પછી આખરે ઇસ્લામનો વિજય થાય કઈ રીતે? રણભૂમિ બચાવી રાખવી જોઈએ, હાર-જીત પાછળથી જોઈ લેવાશે.

એટલા માટે મૌલાના મૌદ્દુદીએ કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનોએ મળીને સેક્યુલરિઝમ સામે લડી લેવું જોઈએ. તેમણે અનંતકુમાર હેગડેની ભાષામાં કહ્યું હતું કે સેક્યુલરિસ્ટોને તેમના બાપની જાણ નથી. એ જ ભાષા, એ જ વાણી, એ જ તેવર જે અનંતકુમાર હેગડેમાં જોવા મળ્યા હતા. ૯૦ વરસના કાળખંડનું અંતર છે એટલો જ ફરક. મૌલાના મૌદ્દુદીએ હિન્દુઓને સલાહ આપી હતી કે ‘તેમણે પોતાનાં મૂળિયાં માટે ગર્વ અનુભવવો જોઈએ. તેમણે પોતાના ધર્મ અને જ્ઞાતિ માટે ગર્વ અનુભવવો જોઈએ. તેમણે જો તાકાત હોય તો હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈએ, મુસલમાનો પોતાનો રસ્તો શોધી લેશે. સેક્યુલરિઝમના નામે બહુમતી કોમે ઉદાર બનવાની જરૂર નથી અને લઘુમતી કોમની દયા ખાવાની જરૂર નથી. મુસલમાનોને ધર્મ ખાતર શહીદ થતાં આવડે છે. કુરાન મુજબ કોઈ જેહાદી નરકમાં જતો નથી.’

આનો અર્થ શું થયો? સહઅસ્તિત્વ માટે રસ્તા શોધવાની જરૂર નથી, જે ધર્મ સાચો હશે એનો વિજય થશે. મૌલાના મૌદ્દુદીને ખાતરી હતી કે ઇસ્લામ ધર્મ એકમાત્ર સાચો ધર્મ છે એટલે એનો વિજય થવાનો છે. બહુ-બહુ તો ધર્મયુદ્ધ કરવું પડશે જે માટે તેઓ તૈયાર હતા. સેક્યુલરિઝમ એ સહઅસ્તિત્વ માટે ઉપયોગી છે એટલે કોમવાદીઓ માટે એનો કોઈ ખપ નથી. જે મૌલાના મૌદ્દુદી માનતા હતા એ BJPના અનંતકુમાર અને સંઘપરિવાર માને છે. ફરક એ છે કે મૌલાના પ્રામાણિકતાપૂર્વક પોતાનો અભિપ્રાય આપવાની હિંમત ધરાવતા હતા. મને યાદ નથી કે તેમણે ક્યારે ય માફી માગી હોય. પાકિસ્તાનમાં જનરલ અયુબ ખાને તેમને જેલમાં નાખ્યા હતા ત્યારે પણ તેમણે માફી નહોતી માગી કે નહોતો તેમણે વિચાર બદલ્યો.

અહીં વાચકના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થશે કે મૌલાના મૌદ્દુદી ભારતના વિભાજનનો વિરોધ કરતા હતા તો પાકિસ્તાન કેમ જતા રહ્યા? બન્યું એવું કે દેવબંદના મુલ્લાઓ વિભાજનનો વિરોધ કરતા હતા એમ છતાં ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાનની સ્થાપના થઈ. તેમને એમ લાગ્યું કે ભારતીય ઉપખંડમાં જો મુસ્લિમ બહુમતી સેક્યુલર રાજ્ય અસ્તિત્વમાં આવશે તો ઇસ્લામને ફાયદા કરતા નુકસાન વધુ થશે. અવિભાજિત ભારત ઇસ્લામની ભૂમિ (દારુલ ઇસ્લામ) જ્યારે બનવું હશે ત્યારે બનશે, અત્યારે તાત્કાલિક જરૂરિયાત પાકિસ્તાન સેક્યુલર દેશ ન બને એની છે. તેઓ તેમના ચેલાઓ સાથે પાકિસ્તાન ગયા હતા અને એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.

મોહમ્મદઅલી જિન્નાહ પાકિસ્તાનને સેક્યુલર દેશ બનાવવા માગતા હતા, પરંતુ તેઓ પાકિસ્તાનની બંધારણસભામાં પાકિસ્તાનના ઉદ્દેશનો મુસદો (ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશન) પસાર નહોતા કરાવી શક્યા. પાકિસ્તાનની બંધારણસભાએ પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક જાહેર કર્યું હતું અને સાવર્ભૌમત્વ અલ્લાહને આપવામાં આવ્યું હતું. ભારતની જેમ નાગરિકના સાવર્ભૌંમત્વની જગ્યાએ પાકિસ્તાને અલ્લાહને સાવર્ભૌ મત્વ આપ્યું અને પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક બનાવ્યું એ પછી પાકિસ્તાન સેક્યુલર સ્ટેટ બને એવી કોઈ શક્યતા રહી નહોતી. આપણી જેમ ભેદભાવ વિનાના સેક્યુલર કાયદાઓની જગ્યાએ પાકિસ્તાનમાં ઇસ્લામિક કાયદાઓ સર્વોપરી છે.

પાકિસ્તાનની આજે જે અવસ્થા છે એ મૌલાના મૌદ્દુદીની વિચારધારાનું પરિણામ છે. પાકિસ્તાન આતંકવાદની ઉછેરભૂમિ બન્યું છે તો એ માટે મૌલાના મૌદ્દુદી જવાબદાર છે. પાકિસ્તાનની સ્થાપના વખતે જો પાકિસ્તાનની પ્રજાએ મૌલાનાની જગ્યાએ સેક્યુલર નેતાઓને ટેકો આપ્યો હોત તો પાકિસ્તાનનો ઇતિહાસ જુદો હોત.

આપણને કેવું ભારત જોઈએ છે? સેક્યુલર ભારત કે હિન્દુ રાષ્ટ્ર જે રીતે પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર છે? એ ન ભૂલવું જોઈએ કે અનંતકુમાર અને મૌલાના મૌદ્દુદી એક વેવલેન્ગ્થ પર છે. એ જ ભાષા, એ જ વાણી અને એ જ તેવર. એજન્ડા પણ એકસરખો છે. જે ડહાપણ આપણા વડીલોએ બતાવ્યું હતું એને ભૂલવા માગો છો? આજે દરેક ભારતીયે સેક્યુલર ભારતના પડખે ઊભા રહેવાની જરૂર છે. આ અત્યારના સમયની ડિમાન્ડ છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 01 જાન્યુઆરી 2018

Loading

...102030...3,2443,2453,2463,247...3,2503,2603,270...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved