Opinion Magazine
Number of visits: 9584056
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નૉબેલ પુરસ્કાર વિજેતા ઇશિગુરો

રમેશ કોઠારી|Opinion - Literature|15 November 2017

જાપાનના વડાપ્રધાન એબેના તાજેતરની મુલાકાતથી જે હર્ષોલ્લાસની છોળો ઊછળી, ‘વિકાસ’નો રથ ઝડપથી દોડવાનાં સ્વપ્નો જોતા થયા, ત્યાં મૂળ જાપાનના જ પણ ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયેલા કાઝુઓ ઇશિગુરોને સાહિત્યનું સર્વોચ્ચ સન્માન, નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થવાથી, જાપાને સાધેલા આ ‘વિકાસ’માં ક્યારેક સહભાગી થવાની શક્યતાના સ્વપ્નો જોવાનો આનંદ પ્રાપ્ત થયો. આ એ ઇશિગુરો છે જે વિશ્વયુદ્ધને કારણે છિન્નભિન્ન થઈ ગયેલા પરિવારોની તેના કારણે બદલાયેલી અંગત જીવનશૈલીની, સ્થળાંતરની પીડાની વાત, વધુ સ્ફુટ થયા વિના કરે છે. તેમની પ્રત્યેક નવલકથામાં આ જ સ્મરણો વાગોળાતાં જોવા મળે છે. નાગાસાકીમાં જન્મેલા, આ પ્રથમ પંક્તિના સર્જકની કૃતિઓ તેમની વિશિષ્ટ ગદ્યશૈલીના કારણે ધ્યાનાર્હ બની છે. તેમણે ક્યારેક ગીતકાર અને ગાયક બનવાની, સંગીતક્ષેત્રે કારકિર્દી ઘડવાની-મહત્ત્વાકાંક્ષા સેવી હતી, જે ભલે અપૂર્ણ રહી પણ તેમની આ પ્રતિભાનો સરવાળે ફાયદો તો સાહિત્યને જ થયો.

ઇશિગુરોને રૉયલ સોસાયટી ઑફ લિટરેચર દ્વારા અપાતું વિનિફ્રેડ હોલ્ટબી પ્રાઇઝ, બુકર પ્રાઈઝ, સમકાલીન શ્રેષ્ઠ યુવા બ્રિટિશ સર્જકોની યાદીમાં સમાવેશ એમ વિવિધ રીતે નવાજવામાં આવ્યા છે, પણ આ બધી બાબતોમાં તે સાવ નિર્લેપ છે. પોતાની કૃતિઓમાં માત્ર જાપાનના વારસાને વ્યક્ત કરવાને બદલે બૃહદ્દ માનવજાતની સમસ્યાઓ, વંદના અને નિસબત લઈ આવવામાં સર્જકધર્મ સમજે છે. તસલીમા નસરીનની જેમ, ભલે સ્થાપિત હિતો તેમની ઓળખ મર્યાદિત કરી નાખે પણ એક સર્જકની દૃષ્ટિએ, અનુકંપા, સંવેદન સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે.

ઇશિગુરો પોતાને પ્રભાવિત કરનાર દોસ્તોવેસ્કી અને કાફકા, ચેખોવનો ઋણસ્વીકાર કરવાની સાથે જેમણે દેશનિકાલનો સામનો કરવો પડ્યો હતો તે મિલાન કુંદેરા, બેકેટ અને હેન્રી પ્રત્યેના આકર્ષણનો ય ઉલ્લેખ કરે છે. તેમણે સ્વયં પોતાની exile હોવાનો ક્યારે ય ઉલ્લેખ કર્યો નથી પણ દેશવટાનું કથાવસ્તુ તેમની ઘણી કૃતિઓમાં ડોકાયા કરે છે. તેમની નવલકથાઓ જાસુસી, વિજ્ઞાન, ફૅન્ટસી, સ્વપ્નલોક, અતિ વાસ્તવવાદ, મૅજિક રિયાલિઝમ એમ વિવિધ ક્ષેત્રોમાં વિહરે છે.

શૈશવકાળમાં, જાહેર ગ્રંથાલયમાં શેરલોક હોમ્સ અને વોટ્‌સનના વાચનથી શરૂ થયેલી આ સાહિત્યિક ખેપ, તેમના લખાણને ઉત્તરોત્તર લોકપ્રિય બનાવતી ગઈ અને સ્વીકૃતિની ક્ષિતિજો વિસ્તરતી ચાલી.

‘A Pale view of Hills’, ‘The Remains of the Day’, ‘Never Let Me Go’, ‘When we were orphans’, ‘An Artist of the Floating World’, ‘The Buried Giant’ જેવી ઇશિગુરોની નવલકથાઓમાં નાયક, કથક કે મુખ્ય પાત્ર પોતાની જાતને એવા ભૂતકાલીન વિશ્વમાં ખેંચી જાય છે, જે ક્યારે ય પુનઃજીવિત થવાનું નથી. અહીં કોઈ માતા, પોતાની પુત્રી જે આપઘાત કરી જીવનનો અંત લાવી બેઠી છે તેને યાદ કરી વિલાપ કરે છે. કોઈ વૃદ્ધ દંપતી ખોવાઈ ગયેલા પુત્રની શોધમાં વતન છોડી નીકળી પડતાં જોવા મળે છે, ગેરસમજનો ભોગ બનેલ કોઈ સદ્‌ગૃહસ્થ દેશદ્રોહીમાં ગણના પામે છે. યુદ્ધ કેટલાં સમીકરણો બદલી નાંખે છે!

ઇશિગુરોના વાચકોને સૌથી વધારે સ્પર્શી જતી કૃતિ ‘The Remains of the Day’ છે. જેમાં સ્ટિવન્સ નામનો બટલર, જ્યાં વર્ષો લગણ કામ કર્યું છે, તે Darlington Hall, તેના અવસાન પામેલા મૂળ માલિક, નવા માલિક શ્રીમાન ફેરેડ, પોતે જેની સાથે આ વિશાળ મકાનમાં નોકરી કરી હતી, તે કેન્ટન નામની મહિલા, અન્યત્ર કાર્યરત બટલર્સ સાથેના સંબંધોને આ સ્થળની મુલાકાત દરમિયાન સ્મરે છે અને અકથ્ય પીડા અનુભવે છે. અહીં ક્યારેક યોજાતી રહેતી પેલી ભવ્ય મિજબાનીઓ, મુલાકાતે આવતા મહાનુભાવો, તેમની ચર્ચાઓ ‘तेहिनो दिवसा: गता’ ન્યાયે બધું જ ભૂતકાળની ગર્તામાં દટાઈ ગયું. એક રશિયન કવિની સલાહ પ્રમાણે One Should not visit the place where one spent his childhood, કારણ કે ભૂતકાળનાં દૃશ્યો અને વ્યક્તિઓ હવે મુખોમુખ ન થવાથી પીડા સિવાય કશાયની ભેટ મળતી નથી. એવું જ જ્યાં જિંદગીનાં ઉત્તમ વર્ષો નોકરીના ગાળ્યાં હોય, કોઈ તેની બાબતમાં, સ્ટિવન્સની આંખો ઘણું બધું શોધી રહી પણ વ્યર્થ.

વ્યવસાયે સામાન્ય બટલર પણ નિષ્ઠા, સમર્પણને લાગેવળગે છે, ત્યાં સુધી તે ઉચ્ચ શિખરો સર કરે છે. તેને વિશ્વયુદ્ધ ચાલુ હતું તે ગાળાનો અને ત્યાર બાદનો પણ અનુભવ છે. તેને કેન્ટન માટે કૂણી લાગણી છે, જે અવ્યક્ત રહે છે. કેન્ટન બીજાને પરણી ગઈ છે પણ તેમનું દાંપત્યજીવન પ્રસન્ન નથી અને તે ડાર્લિંગ્ટન હૉલમાં નોકરી મેળવવા ઉત્સુક છે, તે સ્ટિવન્સ પોતાને મળેલા તેના પત્ર પરથી સમજી શકે છે. કેન્ટન એકરાર કરે છે કે સ્ટિવન્સને પરણીને તે નિશ્ચિતપણે સુખી થઈ હોત-પોતે, તે ન મળવાથી કેટલી વ્યગ્રતા અનુભવે છે, તે સ્ટિવન્સ જણાવા દેતો નથી અને અન્યોન્ય લાગણી અકબંધ રાખી બંને છૂટાં પડે છે.

ઇશિગુરોનાં પાત્રો વાચકની સહાનુભૂતિ મેળવવામાં સફળ થાય છે, કારણ કે એક યા બીજા કારણે થતું સ્થળાંતર સ્વજનોનો વિરહ, પ્રણયાનુભૂતિ, સમર્પણ, ગેરસમજ વગેરે આપણા પોતીકા ય અનુભવો ક્યાં નથી બની રહેતા?

અમેરિકા અને ઉત્તર કોરિયાના સત્તાભૂખ્યા વિકૃત મનોદશા ધરાવતા એકબીજાને પાઠ શીખવવા તત્પર, વિશ્વયુદ્ધને કારણે વેરાનારા વિનાશથી વિચલિત ન થનારા શાસકો, થોડો સમય ઇશિગુરો માટે ફાળવે તો કેવું સારું? સત્તાધીશોનો નહીં –  સાહિત્યકારોનો, સંસ્કૃિતના રક્ષકોનો સભ્ય – સમાજના નિર્માણ માટે મથનારાના વિકાસનો આપણે ખપ છે. કહેવાતા ‘વિકાસ’ના વાયુમંડળમાં વિહરતા, પ્રસિદ્ધ ભૂખ્યા સત્તાધીશોને, માનવજરૂરિયાતો બસ આટલી જ છે તે, કોણ સમજાવે?

‘Some food, some clothes, some fun and someone’ આટલું મળે, એટલે પત્યું મારા ભૈ! ઇશિગુરોએ નોબેલ પ્રાઇઝ મળવાની અપેક્ષા જ રાખી નહોતી, ઊલટાનું એમણે તો આંચકો અનુભવ્યો.

‘If I had even a suspicion, I would have washed my hair this morning’ પૂરી પાત્રતા હોવા છતાં ય, માન-અકરામ ન મળવાથી વિચલિત ન થનારા છવાઈ જવા વલખાં ન મારનારા, પોતાના સર્જનને ન બોલવા દેનારાની જમાત કદાચ નાની તો નથી જ.

‘ઊગતા સૂર્યના દેશ’ના આ સૂરજનું અજવાળું વિશ્વભરમાં પ્રકાશ પાથરતું રહે, એમ આપણે ઇચ્છીએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 06

Loading

‘ડૉ. મસિહી પાસેથી ઘણું શીખી શકાશે’

નલિની કિશોર ત્રિવેદી|Samantar Gujarat - Samantar|15 November 2017

સમાજશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક, સંશોધક અને સંશોધન-માર્ગદર્શક ડૉ. ઍડવિન મસીહીનું તા. ૬-૬-૨૦૧૭ના રોજ ૮૪ વર્ષે ટૂંકી માંદગી  બાદ અચાનક દેહાવસાન થયું છે. તેઓના પિતા અને સસરા બંને પાદરી હતા. તેઓએ સામાજિક વિજ્ઞાનમાં સર્વોચ્ચ ડિગ્રી મેળવી શિક્ષણક્ષેત્રે કારકિર્દી બનાવી કુટુંબમાં જુદો ચીલો પાડ્યો હતો. તેઓએ ‘Trade Union Leadership in India’ પર મહાનિબંધ લખીને ડૉ. તારાબહેન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને બી.એ. અને એમ.એ.ની ડિગ્રી બરોડાની એમ.એસ.યુનિવર્સિટીમાંથી મેળવી હતી.

સાડા ત્રણ દાયકા સુધી જૂનાગઢ, બરોડા, નવસારી અને ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયનું અધ્યયન-અધ્યાપન અને સંશોધન કર્યું. આ ગાળા દરમિયાન રાજ્ય અને રાષ્ટ્રકક્ષાનાં સંશોધનો કરતાં રહેલા. ૧૯૮૨થી તેઓને પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે માન્યતા મળી હતી. ડૉ. મસીહીસાહેબે ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદનું પ્રમુખપદ પણ શોભાવ્યું છે અને અજાતશત્રુ એવા મસીહી સાહેબે આ પરિષદ અન્વયે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો પણ આપ્યાં છે.

તેમના સંશોધન-લેખો અને અન્ય લેખો Sociological Bulletin, અર્થાત્‌ સમાજકારણ, પર્યાય, વિશેષણ, વિદ્યા વગેરે જેવા વિષયના અને અન્ય સામયિકોમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં રહ્યા છે અને કેટલાંક રિવ્યૂઝ તેમ જ અનુવાદો પણ પ્રકાશિત થયા છે. આ ઉપરાંત જુદાં-જુદાં સામયિકોમાં સાંપ્રતપ્રવાહોને અનુલક્ષીને તેઓનાં લેખો અને મંતવ્યો પણ છપાતાં રહ્યાં છે. તેઓનો પીએચ.ડી.નો વિષય ઔદ્યોગિક સમાજશાસ્ત્ર પર આધારિત હતો અને દિલ્હીના અજન્તા બુક ઇન્ટરનેશનલે એ વિષય પરનું તેમનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે, પરંતુ ખરેખર તો તેઓ સમાજના હાંસિયામાં ધકેલાયેલા વર્ગો પર પદ્ધતિસરના અભ્યાસમાં સવિશેષ રસ ધરાવતા હતા, પછી એ મજૂર હોય કે મહિલા, દલિત હોય કે દારૂનાં ભોગ બનનારા હોય.

૧૯૯૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા, પરંતુ વાસ્તવમાં તેઓ જીવનના અંતિમ અઠવાડિયા સુધી સતત કાર્યરત રહ્યાં હતા. નિવૃત્તિ પછી તુરત જ Institute of Social Research and Development (ISRD) નામની સંસ્થા શરૂ કરી. તેઓ સ્વભાવે શિક્ષક અને અદના સમાજશાસ્ત્રી હોવાની સાથે વિષય-વાચનમાં વિદ્યાર્થી જેવી તલપ ધરાવતા હોવાથી પોતાની સંસ્થા અન્વયે સંશોધક-માર્ગદર્શક બની રહ્યા. તેઓ પોતે તો સંશોધનો કરતાં રહ્યા, પરંતુ એ ઉપરાંત સંશોધન-વાંચ્છુઓ, વિદ્યાર્થીઓ અને નવ્ય અધ્યાપકોને એ બાબતે માર્ગદર્શન પણ આપતાં રહ્યા છે. તેઓની ખૂબી એ હતી કે તેઓ પોતાની પાસે આવતા યુવા-સંશોધકો કે વિદ્યાર્થીની કક્ષા મુજબ તેને માર્ગદર્શન કે પ્રોત્સાહન અને જરૂર પડ્યે પૂરતો સમય પણ આપતા, ગુજરાતની જુદી-જુદી યુનિવર્સિટીઝના પીએચ.ડી. કે એમ.ફિલ.ના કેટલાક વિદ્યાર્થીઓ પણ સંશોધન માટે માર્ગદર્શન લેવા તેઓ પાસે આવતા. મહત્ત્વનું એ હતું કે કેટલાક નિયુક્ત માર્ગદર્શક-પ્રોફેસરો પણ ‘ડૉ. મસીહી પાસેથી ઘણું શીખી શકાશે’ એવું કહીને તેઓ પ્રત્યે આદર વ્યક્ત કરતા અને ડૉ. મસીહી પાસે આવતા પોતાના વિદ્યાર્થી માટે કંઈક અંશે નિશ્ચિંત પણ રહેતા, કેમ કે ડૉ. મસીહી વિદ્યાર્થીની આળસ કે બેદરકારી ચલાવી ન લેતા. કાર્યમાં ગુણવત્તાનો આગ્રહ રાખતા, આથી તેમની પાસે માર્ગદર્શન લેવા જનારે પોતાના પ્રશ્નની સ્પષ્ટતા અને કઠોર પરિશ્રમ કરવાની પૂર્વતૈયારી રાખવી પડતી. સાંપ્રતસમયમાં યુવા સંશોધકો કે વિદ્યાર્થીના પુરુષાર્થના સંસ્કારો સિંચનારા અધ્યાપકો કે સંશોધન-માર્ગદર્શકો સમાજમાં પ્રમાણમાં ઓછા જોવા મળે છે, તેવા સંજોગોમાં મસીહીસાહેબની અનંતયાત્રાથી સાંપ્રત સમાજને મોટી ખોટ પડી છે, તેવું હું માનું છું.

તેઓ વ્યક્તિગત રીતે તેમ જ પોતાની સંશોધન-સંસ્થા ISDR અન્વયે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. આ સંસ્થાઓને તેઓ સંશોધન-કાર્યમાં અહેવાલ-લેખનમાં કે અનુવાદ કરી આપવામાં મદદ કરતાં રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાનાં કેટલાંક સંશોધનો તેઓએ સ્વતંત્ર રીતે તો કેટલાક જે તે સંસ્થાની સંશોધન ટીમ સાથે જોડાઈને કર્યાં છે. ક્યારેક તેઓએ સંસ્થાના નિયુક્ત સંશોધકને માર્ગદર્શન પૂરું પાડીને પણ મદદ કરી છે. આ રીતે તેઓએ સમાજ શાસ્ત્રના સંનિષ્ઠ પ્રાધ્યાપક અને સમાજશાસ્ત્રીય સિદ્ધાંતના પ્રખર અભ્યાસુ ઉપરાંત એક ‘કર્મશીલ સંશોધક’ તરીકેની ઓળખ પણ મેળવી છે.

તેઓ હંમેશાં પડદા પાછળ રહીને કામ કરતાં રહ્યા છે. પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લેવાની કે લોકો વચ્ચે છવાઈ જવાની એષણા તેઓનામાં ક્યારે ય જોવા મળી નથી. કપરાં સાંપ્રતસમયમાં પણ તેઓએ પોતાનું આંતરિક સત્ત્વ જાળવી રાખ્યું. ‘Simple Living and high thinking’ને ચરિતાર્થ કર્યું, બાકી અંગ્રેજી ભાષા પરની પકડ અને સામાજિક સંશોધન અંગેની ઊંડી સમજણ ધરાવતા હોવાથી તેઓએ ધાર્યું હોત, તો ઘણી કમાણી કરી શક્યા હોત, પણ વધારે કમાણી કરી લેવાની પળોજણમાં પડ્યા વગર પોતાની સંસ્થાના બૅનર હેઠળ, પોતે નક્કી કરેલાં સિદ્ધાંતો અને મૂલ્યોમાં બાંધછોડ કર્યા વગર સામાજિક સંશોધનનાં કાર્યો કરતાં-કરાવતાં રહ્યા. જીવનના અંતિમ કાળ સુધી તેઓ પ્રખર-પ્રામાણિક પરિશ્રમ સાથે કાર્યરત રહ્યા અને સંશોધકો, અધ્યાપકો કે વિદ્યાર્થીઓને મદદ કરતા રહ્યા. તેમની છેલ્લી માંદગી સમયે પણ તેમના વિદ્યાર્થીઓ જ સતત તેમની સાથે રહ્યા હતા.

તેઓની કુટુંબ-વત્સલતા પણ અનેરી હતી. તેઓની વિદાયથી તેમનાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ પર વજ્રાઘાત થયો છે. ઈશ્વર તેઓને આવી પડેલી આપત્તિ સહન કરવાની અને તેમાંથી બહાર આવવાની શક્તિ આપે એ પ્રાર્થના છે.

સાદગી, સાલસતા, સ્વાશ્રય, સમયપાલન અને સમયદાન એ તેમના જીવનમંત્રો હતા. સાંપ્રતસમયનો અધ્યાપક ખાસ કરીને સમાજશાસ્ત્રનો અધ્યાપક મંત્રોને વધતે-ઓછે અંશે પણ અપનાવશે, તો તેઓની આપેલી સાચી શ્રદ્ધાંજલિ બની રહેશે.

પૂર્વ અધ્યક્ષ, સમાજશાસ્ત્ર વિભાગ, શ્રી હ.કા. આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 07

Loading

પારસીઓનાં ગરબા અને લગ્ન ગીતો

દીપક મહેતા|Opinion - Literature|13 November 2017

ગુજરાતના ગરબા વિષે, જુદા જુદા પ્રદેશોમાં અને જુદી જુદી જ્ઞાતિઓમાં ગવાતાં લગ્ન ગીતો વિષે, આપણે ત્યાં ઘણું લખાયું છે. એનાં સંપાદનો, સંકલનો, પણ થયાં છે. અને હવે તો ઓડિયો અને વીડિયો રૂપે પણ તેમાંની કેટલીક સામગ્રી મળે છે. પણ પારસીઓમાં ગવાતા ગરબા વિષે, તેમનામાં ગવાતાં લગ્ન ગીતો વિષે ? આપણા ઘણાખરા અભ્યાસીઓ, જેને ‘મુખ્ય પ્રવાહ’ માને છે તેને ધ્યાનમાં રાખીને જ કામ કરતા હોય છે. તેનાથી અલગ અને આગવી ધારાઓ પ્રત્યે પણ ધ્યાન આપવાનું કાં તેમને સૂઝતું નથી, કાં જરૂરી લાગતું નથી.

પણ છેક ૧૮૭૯માં ‘પારશી સ્ત્રી ગરબા તથા લગનસરામા બેઠા બેઠા ગાવાના શહવેનાના ગીતો અને ગરબાઓનો સંગરહ’ નામનું પૂરાં ૪૭૪ પાનાંનું પુસ્તક પ્રગટ થયું હતું. (અવતરણ ચિહ્નો વચ્ચે બધે જ લખાવટ મૂળ પ્રમાણે રાખી છે.) તેના ‘બનાવનાર’ હતા ‘શોરાબજી હોરમજી.’ અને પુસ્તકના મુખપૃષ્ઠ પર તેમની ઓળખ આ રીતે આપી છે: ‘ચીકન છાપનાર અથવા ગરબા ગાનાર.’ પુસ્તક મુંબઈના ‘પરીંતરશ પરેશ (પ્રિન્ટર્સ પ્રેસ) છાપાખાનામાં છાપીઊં છે.’ કિંમત છ રૂપિયા.

પણ આ પ્રકારનું આ કાંઈ તેમનું પહેલું પુસ્તક નહોતું. દીબાચામાં જણાવ્યું છે કે અગાઉ તેમણે  જ ‘રમૂજી ગરબાઓની ચોપડી’ નામના પુસ્તકના ત્રણ ભાગ પ્રગટ કર્યા હતા. ૧૮૭૯માં આ પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીમાં ત્રણે ભાગની બધી જ નકલો ખપી ગઈ હતી, અને હજી માગ તો ચાલુ જ હતી. પણ એ ત્રણ ભાગની કિંમત ૧૧ રૂપિયા હતી. ‘એટલી મોહોટી કીમત’ ઘણાને પરવડતી નહોતી. તેથી તે ત્રણ ભાગમાંથી પસંદ કરેલી કૃતિઓ તથા બીજી કેટલીક નવી કૃતિઓ ઉમેરીને તેમણે આ પુસ્તક તૈયાર કર્યું. ‘રમૂજી ગરબાઓની ચોપડી’ના ત્રણ ભાગ ક્યારે પ્રગટ કરેલા તે પ્રસ્તાવનામાં જણાવ્યું નથી. પણ ‘પારસી પ્રકાશ’ના બીજા દફતરના ૪૫મા પાને ‘રમૂજી ગરબાઓની ચોપડી’નો બીજો ભાગ ૧૮૬૨ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે પ્રગટ થયો હોવાનું જણાવ્યું છે. પહેલા અને ત્રીજા ભાગ વિષે ‘પારસી પ્રકાશ’માં નોંધ મળતી નથી. પણ પહેલો ભાગ ૧૮૬૨ પહેલાં ક્યારેક, અને ત્રીજો ભાગ ૧૮૬૨ અને ૧૮૭૯ની વચમાં ક્યારેક, પ્રગટ થયો હોવો જોઈએ. બીજા ભાગ અંગેની વિગતોમાં ‘પારસી પ્રકાશ’ આ શોરાબજીને ‘ચીકન છાપનાર અથવા પુટલાં દેખાડનાર’ તરીકે ઓળખાવે છે. પણ આ ‘ચીકન છાપનાર અથવા ગરબા ગાનાર’ અથવા ‘પુટલાં દેખાડનાર’ શોરાબજી હતા કોણ? ફરી ‘પારસી પ્રકાશ’ મદદે આવે છે. ૧૮૯૫ના ફેબ્રુઆરીની સાતમી તારીખે ૭૪ વર્ષની વયે શોરાબજી બેહસ્તનશીન થયા તે અંગે બીજા દફતરના ૫૧૮મા પાને આ પ્રમાણે નોંધ છાપી છે: “ઇંગ્રેજી ભાષાનાં બીલકુલ જ્ઞાન વગર ગરીબાઈમાં આબરૂથી પોતાનું ગુજરાન ચલાવા જુદા જુદા સાહસોમાં મગજ દોડાવ્યું હતું. આશરી ૪૦) વર્ષની વાત ઉપર પાયધોણીના લતા ઉપર મરહુમ પેહલા સર જમશેદજી, શેઠ જગન્નાથ શંકરશેઠ અને બીજા આગેવાન મુંબઈગરાઓના માતીના પુતલા બનાવી તે નાહાની ફી લેઈ તેવને જોવા મેલ્યા હતા. પછી જાત્રાઓ અને મેલાઓમાં એવાં પુતલાં અને ચીતરો દેખાડવાનો ધંધો કરતા હતા, અને લગન વગેરે ખુશ હીગાંમોપર ગરબાઓ ગવાડવા જતા હતા, અને તે માટે ચાલુ બનાવો પર ગરબાઓ જોડી તેનાં આશરે અર્ધો દજન પુસ્તકો બહાર પાડ્યાં હતાં. આ ગરબાઓમાં પીંગલનો કશો નીયમ હતો નહી એ છતાં ઘરેઘર ગવાતા હતા.”

ભલે જરા આડવાત જેવું લાગે પણ અહીં જ ‘પાયધોણી’ વિષે થોડી વાત કરી લઈએ. મુંબઈનો એક લત્તો આજે પણ ‘પાયધોણી’ કે ‘પાયધૂની’ તરીકે ઓળખાય છે. મુમ્બાદેવીના મંદિર નજીક આવેલા આ વિસ્તાર આગળ અગાઉ મુંબઈના અને વરલી-મઝગાંવના ટાપુઓને જૂદા પાડતી છીછરી ખાડી હતી. ભરતીને વખતે જ તેમાં પાણી ભરાતું. તે સિવાય કાદવ-કીચડ પથરાયેલો રહેતો. ભરતી ન હોય ત્યારે આ કાદવ-કીચડમાં ચાલીને લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર આવ-જા કરતા. પણ બીજા ટાપુ પરથી આ બાજુ આવ્યા પછી કાદવથી ખરડાયેલા પગ ધોઈને સાફ કરવા પડતા. એથી એ જગ્યા ‘પાયધોણી’ (પગ ધોવાની જગ્યા) તરીકે ઓળખાઈ. પગ ધોયા પછી થાકેલા લોકો થોડો વખત આરામ પણ કરતા હશે. તે વખતે ‘નાહાની ફી’ આપીને પૂતળાં જોવાનું કેટલાક લોકો પસંદ કરતા હશે. તેવી જ રીતે મુંબઈના ટાપુ પરથી વરલી કે મઝગાંવના ટાપુ પર જનારાઓ અહીં પહોંચે ત્યારે જો ભરતીનાં પાણી પૂરેપૂરાં ઓસર્યાં ન હોય તો રાહ જોવી પડે. ત્યારે નવરાશની પળોમાં થોડાક લોકો પૂતળાં જોતા હશે.

માટીનાં પૂતળાં બતાવીને કે લગનસરામાં ગીત કે ગરબા ગવડાવીને શોરાબજી કેટલું કમાતા હશે એ તો ખોદાયજી જાણે, પણ થોડીઘણી નિયમિત આવક ચીકનનું કપડું છાપવાના કામમાંથી થતી હશે એમ માની શકાય. એ આવકમાંથી પૈસા રોકીને તેમણે આ ‘અડધો ડઝન જેટલા’ પુસ્તકો છપાવ્યાં હશે. એ પુસ્તકો વેચતા પણ જાતે જ હશે એમ માનવું પડે કારણ આ પુસ્તકમાં કોઈ વિક્રેતાનું નામ છાપ્યું નથી.

આ પુસ્તકનું છાપકામ પણ ધ્યાન ખેંચે એવું છે. ૧૮૭૯ સુધીમાં ગુજરાતી મુદ્રણને ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ થઇ હતી. ગુજરાતી ટાઈપ પણ પ્રમાણમાં સુઘડ બન્યા હતા. પણ આ પુસ્તક છપાયું છે તે ટાઈપ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં વપરાતા હતા તેવા, જરા બેડોળ વળાંકવાળા જણાય છે. વળી પદ્યની પંક્તિઓ છૂટી પાડીને ન છાપતાં, અગાઉની હસ્તપ્રતોમાં, અને શરૂઆતનાં છાપેલાં પુસ્તકોમાં, સળંગ છપાતી તેમ છાપી છે. એક કૃતિ પૂરી થાય પછી તરત તે જ પાને અલગ પડે એ રીતે મથાળું છાપીને બીજી કૃતિ શરૂ કરી છે. આમ કરવાનું સંભવિત કારણ પુસ્તકનાં પાનાંની સંખ્યા બને તેટલી ઘટાડવાનું હોઈ શકે. કારણ પાનાંની સંખ્યા મર્યાદિત રહે તો જ ‘પોસાઈ શકે’ એવી છ રૂપિયાની કિંમતે પુસ્તક વેચી શકાય. પણ આ રીતે છાપકામ થયું હોવાથી કૃતિઓ વાંચતાં આજે થોડી મુશ્કેલી પડે તેમ છે. કાગળ પણ પ્રમાણમાં હલકા પ્રકારનો વપરાયો છે તેથી આ લખનારે જે નકલ જોઈ છે તેનાં પાનાં પીળાં પડી ગયાં છે અને  ખાસ્સાં બરડ થઇ ગયાં છે, અને થોડાંક ફાટીને ગુમ પણ થયાં છે. એ નકલનું મૂળ બાઈન્ડીંગ અને પૂંઠું સચવાયું નથી એટલે પૂંઠા અંગે કશું કહી શકાય તેમ નથી.

પુસ્તકનાં પહેલાં ૩૦૪ પાનાં ગરબાએ રોક્યાં છે. અહીં જે ગરબા જોવા મળે છે તે આજે આપણે જેનાથી પરિચિત છીએ તેવા ટૂંકા ઊર્મિ ગીતોના પ્રકારના નથી. પણ આપણા મધ્યકાલીન સાહિત્યમાં જે લાંબા, ચરિત્રવર્ણન પ્રધાન અને કથાકથન પ્રધાન ગરબા જોવા મળે છે તે પ્રકારના છે. ચરિત્રવર્ણન પ્રધાન ગરબાના આરંભે જે-તે વ્યક્તિનો ટૂંકો પરિચય પણ ‘વાંચનારી બાઈઓ’ એવું સંબોધન કરીને આપ્યો છે. આ પુસ્તકમાંનાં ગરબા અને લગ્ન ગીતો ગાતી વખતે જે શબ્દ ‘લંબાવીને’ ગાવાનો હોય તેની આગળ અંગુલી નિર્દેશની નિશાની કાઉન્સમાં મૂકીને () આ રીતે છાપી છે. જ્યાં પંક્તિ પૂરી થતી હોય ત્યાં *  નિશાની મૂકી છે.

જે વ્યક્તિઓની સ્તુિત કે પ્રશંસા કરવા આ ગરબા લખાયા છે તે કોણ છે? મુખ્યત્વે અંગ્રેજ રાજ્યકર્તાઓ અને પારસી અગ્રણીઓ. ૧૯મી સદીમાં નર્મદ અને દલપતરામ જેવામાં પણ અંગ્રેજ રાજવટ પ્રત્યેની વફાદારી અને તેની પ્રશંસા કરવાની ધગશ જોવા મળે છે. આ પુસ્તકનો પહેલો જ ગરબો મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે વિશેનો છે. હિન્દુસ્તાનમાં મહારાણી વિક્ટોરિયાનું રાજ્ય સ્થપાયું તે પછી રાણી દ્વારા નિમાયેલા તેઓ પહેલા ગવર્નર હતા. ૧૮૬૨થી ૧૮૬૭ સુધી તેઓ આ પદે રહ્યા હતા. આ ગરબો પાંચ પાનાંનો છે. તો બીજો ગરબો ૧૮૭૨થી ૧૮૭૬ સુધી ગવર્નર જનરલ રહેલા લોર્ડ નોર્થબ્રૂક વિશેનો છે. મુંબઈની મુલાકાત દરમ્યાન તેમણે જે દરબાર ભર્યો હતો તેનું વર્ણન ગરબાનો મોટો ભાગ રોકે છે. પ્રિન્સ ઓફ વેલ્સ વિશેનો ગરબો પણ છે. તો કેટલાક અંગ્રેજ અફસરોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા ગરબા પણ અહીં છે. પારસી અગ્રણીઓમાં સર કાવસજી જાહાંગીરજી રેડીમની, ખાનબહાદુર દસ્તુરજી નસરવાનજી જામાશજી, નસરવાનજી રતનજી તાતા, ખાનબહાદુર અરદેશર કોટવાલ, ડોક્ટર હાડવૈદ ભીમજીભાઈ રાન્દેલીઆ, વગેરે વિષે ગરબા જોવા મળે છે. કથાપ્રધાન કે પ્રસંગ પ્રધાન ગરબાઓમાં ઈ.સ. ૧૮૭૨માં ગુજરાતમાં મોટી રેલ આવેલી તે અંગેનો ગરબો છે, મુંબઈમાં ડુંગરવાડી પર આવેલા પારસીઓના દખમા અંગે અદાલતમાં કેસ થયો હતો તે અંગેનો ગરબો છે, સુરતની મોટી આગ અંગેનો ગરબો છે.

આપણા ‘મુખ્ય ધારા’ના ગરબાઓમાં રમૂજ, હાસ્ય, વ્યંગ, ટીખળ બહુ ઓછાં જોવા મળે છે. પણ જ્યારે પારસીઓ ગાવાના હોય ત્યારે એ ગરબામાં આ બધું ન હોય એવું તો કેમ બને? આ પુસ્તકમાં ‘રમૂજી’ ગરબાઓ સારી એવી સંખ્યામાં છે: રાએજી દેવજીનો રમૂજી ગરબો અશલી, બાર વરસની કણીઆંનો રમૂજી ગરબો, અજબ શરૂખી મુરગાં લેનીની રમૂજી ખુદણી, શોલેપણીઆરીની રમુજી ગરબી, કેરીનો રમૂજી ગરબો, ભાઠેની પોરીની હશવાની નાધલી ગરબી, વગેરે.

અહીં સંગ્રહાયેલા બીજા એક પ્રકારના ગરબા પણ ધ્યાન ખેંચે તેવા છે. ૧૯મી સદીમાં ઘણી વાર અંગ્રેજો હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. તેમની લિપિને પણ ‘બનીઅન સ્ક્રિપ્ટ’ તરીકે ઓળખતા. તેમને અનુસરીને પારસીઓ પણ ઘણી વાર બધા હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. અહીં આવા ‘બનીઆ’ ગરબાઓનાં પારસી રૂપાંતરો પણ જોવા મળે છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે: ઓધવજીનાં રૂશનાનો ગરબો, વાળાની વીનંનતીનો ગરબો, હીનદુ લોકની માતાનો ગરબો, માહાકાલીનો ગરબો, શીતાની કંઠ કાચરીનો ગરબો, વાણીઆના બાર માશનાં વાલાજીનો ગરબો, વગેરે. આ પ્રકારના ગરબાઓમાં નરસિંહ મહેતા વિશેના બે ગરબા ખાસ ધ્યાન ખેંચે તેમ છે. પહેલો, ભગત નરશઈ મેહેતાની હુંડીનો ગરબો. તેની શરૂઆતમાં લખ્યું છે કે આ ગરબો ખંભાતમાં ઘણા લોકો ગાય છે. પણ તેમાંના ‘હિંદુ લોકોના ઘણા બોલ’ સુધારીને સરળ કર્યા છે જેથી ‘શઘલા લોકોને એક શરખી રીતે ગાવાને બની આવે.’ બીજો ગરબો છે ‘નરશાઈ મેહેતાએ પોતાની છોકરી કુવરબાઈને મોશારૂં કીધુ તેનો ગરબો’. તેની સાથેની નોંધમાં લખ્યું છે: “એ ગરબાને વાણીઆં લોકો ઘણો પસંદ કરે છે, તથા હાલમાં આપના લોકો લગંનશરામાં તથા બીજે શરઅવશરે ખુશીથી ગાએ છે અથવા ગવરાવે છે.” અને હા, આ ગરબો પૂરાં ૩૪ પાનાંનો છે! પારસી લોકોનાં મન કેટલાં તો ખુલ્લાં હોય છે તેનો આ એક વધુ પુરાવો છે. તેઓ અંગ્રેજ અમલદારોના ગુણગાન ગાય છે, તો નરસિંહ મહેતા જેવા આપણા મધ્યકાલીન સંતકવિના જીવનના પ્રસંગો પણ હોંશથી માણે છે.

સામાન્ય રીતે ગરબા સાથે શબ્દ, સૂર, અને નર્તન સંકળાયેલાં હોય છે. પણ આ પુસ્તકમાં જે ગરબા સંગ્રહાયા છે તે સમૂહમાં ઘૂમતાં ઘૂમતાં ગાવા માટેના નથી, એ રીતે ગાઈ શકાય એમ પણ નથી. દાખલા તરીકે છાપેલાં ૩૪ પાનાંનો ગરબો ઘૂમતાં ઘૂમતાં કઈ રીતે ગાઈ શકાય? હકીકતમાં આ ગરબા સમૂહમાં બેઠા બેઠા ગાવા માટેના છે. પુસ્તક ‘બનાવનાર’ શોરાબજીની એક ઓળખાણ ‘ગરબા ગવડાવનાર’ તરીકે અપાઈ છે. એટલે કંઈ નહિ તો સાધનસંપન્ન પારસી કુટુંબોમાં વારતહેવારે ગરબા ગવડાવવા માટે વ્યવસાયી વ્યક્તિને બોલાવવાનો ચાલ એ વખતે તો હોવો જોઈએ. સંભવ છે કે અગાઉનાં ત્રણ પુસ્તકો અને આ પુસ્તકની નકલો શોરાબજી ગરબા ગવડાવવા જાય ત્યારે વેચતા હશે, કદાચ યજમાન કુટુંબ થોડી નકલો આગોતરી ખરીદી લેતું હશે. આ પ્રકારના ‘બેઠા ગરબા’ એ સાધારણ રીતે નાગર જ્ઞાતિની વિશિષ્ટતા મનાય છે. નવરાત્રી દરમ્યાન ગુજરાતમાં, મુંબઈમાં, અને બીજે પણ, નાગરાણીઓ બપોરને વખતે આવા ‘બેઠા ગરબા’નું આયોજન આજે પણ કરે છે. પણ આ પુસ્તક જોયા પછી લાગે છે કે એક જમાનામાં પારસી કુટુંબોમાં પણ આવા ‘બેઠા ગરબા’ સારા એવા પ્રચલિત હશે. દેશી રાજ્યોની અને અંગ્રેજ સરકારની નોકરીઓમાં ૧૯મી સદીમાં નાગરો અને પારસીઓ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેથી એકબીજાથી વધુ પરિચિત થયા હતા. એટલે સંભવ છે કે નાગરો પાસેથી પારસીઓએ આ પ્રથા અપનાવી હોય. તો પારસીઓનું જોઇને નાગરોએ ‘બેઠા ગરબા’ શરૂ કર્યા હોય એમ બનવું પણ અસંભવિત નથી.

પુસ્તકના ૩૦૫મે પાને બીજો ભાગ શરૂ થાય છે જેમાં ‘વેહેવા તથા લગંનમો પાછલી રાતે બેથા બેથા ગાવાનાં શહવે નાના ગીતો’ રજૂ કર્યાં છે. ‘મુખ્ય ધારા’માં પણ લગ્ન ગીતો મોટે ભાગે બેઠા બેઠા જ ગવાય છે – હમચી જેવા પ્રકારોને બાદ કરતાં. પણ તેમાં જુદી જુદી લગ્ન વિધિઓ ચાલતી હોય ત્યારે સાથોસાથ તેને અનુરૂપ ગીતો સ્ત્રીઓ સમૂહમાં ગાતી હોય છે. જ્યારે અહીં જે પારસી લગ્ન ગીતો સંગ્રહાયા છે તે ‘પાછલી રાતે બેથા બેથા ગાવાના’ ગીતો તરીકે ઓળખાવાયાં છે. આવાં કૂલ ૬૧ ગીતો અહીં જોવા મળે છે. આ વિભાગની શરૂઆતમાં જે નોંધ મૂકી છે તેમાં જણાવ્યું છે કે “આએ નીચે છાપેલા સઘલા ગીતો હાલમાં આપની પારશી બાનુંઓ લગંનશરામાં તથા બીજે શરઅવશરે પાછલી તથા આગલી રાતના બેઠા બેઠાના ગીતો ગાએ છે તે એછે.” અલબત્ત, અહીં લગ્ન ઉપરાંત નવજોતની વિધિનું ગીત, આતશનું ગીત, અઘરણી વખતનું ગીત, વગેરે અન્ય પ્રસંગે ગાવાનાં ગીતો પણ સમાવી લીધાં છે. લગ્ન ગીતોમાં લગ્નનું મુરત લઈને આવે તે વખતે ગાવાનું ગીત, હરધના મુરતાનું ગીત, આદનનીનું ગીત, માદવશઅરાનું ગીત, પીઠી ચોળતી વખતે ગાવાનું ગીત, ઉકરડી નોતરવાનું ગીત, વેવાઈ માંડવે આવે તે વખતે ગાવાનું ગીત, મોસાળાનું ગીત, કન્યાદાન વખતનું ગીત, ચોરી તથા હથેવાળા વખતનું ગીત, દીકરીને વળાવતી વખતનું ગીત, વગેરેનો સમાવેશ થાય છે.

શોરાબજીએ અગાઉ જે ત્રણ પુસ્તકો પ્રગટ કર્યાં હતાં તેની કેટલાંક વર્તમાન પત્રોએ ટીકા કરી હશે. દીબાચામાં આ અંગે તેઓ કહે છે: “ઊપલા માહારા ગરબાઓના તરણદે પુશતકોઊપર કેટલાક વરતમાન પતરોએ ટીકા કરીઆ હતા, પણ એવા તેમના ટીકાની દરકાર કરીઆ વગર ગરબાના શોખીનો તરફથી એ પુશતકોનો શારો ખપ થઓ હતો, તેથી આ પુશતક પણ તેવા ટીકા કરનારાઓને વાશતે ખોલું મુકવામાં આવેઊં છે, કારણ કે આ માહારા બનાવેલા પુશતકોની ઊપર ટીકા કરીઆથી ગરબાના શોખીનોમાં ઓછો ખપ થવાના કરતાં ઊલતી વધારે નકલોનો ખપ થાએ છે કે જે વીશેની શાબેતી આએ માહારુ ચોથુ પુશતક કરી આપશે.”

એટલે, ટીકાકારોની ટીકા કરવાનો કે એમની તો ઐસી-તૈસી કહેવાનો   ચાલ આજ-કાલનો નથી, ઓગણીસમી સદીમાં પણ એવો ચાલ હતો. પણ આપણા આજના ટીકાકારો તો સુખિયા જીવો છે. આવાં પુસ્તકો સામે આંખ આડા કાન જ કરી દઈએ પછી તેની ટીકા કરવાની પણ તસ્દી લેવાની જરૂર નહિ! હાથમાંનું કંગન જેને જોવું જ ન હોય તેની સામે આરસી ધરો તો શું, અને ન ધરો તોય શું? પણ પારસીઓના સાહિત્ય સામે આંખ આડા કાન કરવાથી આપણે શું શું ગુમાવ્યું છે તેનો ખ્યાલ આવાં પુસ્તકો જોઈએ ત્યારે આવે છે.

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...3,2443,2453,2463,247...3,2503,2603,270...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved