Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મર્દને પણ દર્દ થાય છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 December 2024

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, બેંગલુરુમાં સોફ્ટવેર પ્રોફેશનલ અતુલ સુભાષની દુઃખદ આત્મહત્યાએ પૂરા દેશને ઝકઝોરી નાખ્યો છે. પત્નીથી અલગ રહેતા અતુલે, આત્મહત્યા કરતાં પહેલાં 24 પાનાનો એક લાંબો પત્ર લખીને અને એક કલાકનો વીડિયો રેકોર્ડ કરીને તેની પત્ની અને તેનાં સંબંધીઓએ કાનૂનની મદદથી તેની પર કેટલો અત્યાચાર ગુજાર્યો હતો તેની વિગતવાર વાતો કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાની છેલ્લી પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલન મસ્કને ભારતીય પુરુષોને વોકિઝમ અને કાનૂની સતામણીથી બચાવવા અપીલ કરી હતી.

તે તેની પત્નીથી અલગ થઈ ગયો હતો, પરંતુ તેની પત્ની અને તેના પરિવાર દ્વારા વારંવાર આરોપો અને અદાલતી કેસોએ અતુલને તોડી નાખ્યો હતો. સુસાઇડ નોટમાં અતુલે કહ્યું હતું કે નિકિતા અને તેના પરિવારના સભ્યોએ તેની સામે ઘરેલું હિંસા, હત્યાનો પ્રયાસ, દહેજની સતામણી સહિત 9 કેસ દાખલ કર્યા હતા. અતુલ અને નિકિતાએ 2019માં લગ્ન કર્યાં હતાં. અતુલે કહ્યું કે તેમના લગ્ન પછીથી નિકિતા અને તેનો પરિવાર કોઈ ને કોઈ બહાને તેની પાસેથી પૈસાની માંગણી કરી રહ્યો હતો.

વીડિયોમાં અતુલ કહે છે કે ‘મારે આત્મહત્યા કરવી જોઈએ કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તે મારા દુ:શ્મનોને મજબૂત બનાવી રહ્યો છે. મારા કરવેરાના પૈસાથી કોર્ટ અને પોલીસ વ્યવસ્થા મને, મારા પરિવારને અને સારા લોકોને હેરાન કરશે. તેથી વેલ્યુની સપ્લાય સમાપ્ત થવી જોઈએ.’

ભારતમાં, અતુલ પહેલો નથી. પત્ની પીડિત આવા હજારો પુરુષો મૃત્યુ પામ્યા છે. 34 વર્ષીય અતુલના કિસ્સામાં સિસ્ટમ તેની વિરુદ્ધ થઇ ગઈ હતી. કાનૂની અને સામાજિક વ્યવસ્થામાં ઘણો પક્ષપાત છે, તેમાં માત્ર સ્ત્રીઓને જ સાંભળવામાં આવે છે, પુરુષોને નહીં. પુરુષોને હેરાન કરવામાં આવે છે. આઈ.પી.સી.ની કલમ 498 હેઠળ પુરુષો સામે ઇરાદાપૂર્વક કેસ દાખલ કરવામાં આવે છે. ખુદ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે આમાંથી 95 ટકા કેસ નકલી હોય છે. મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા કાયદાનો ઉપયોગ પુરુષોને પ્રતાડવા માટે હથિયાર તરીકે થઈ રહ્યો છે.

કેટલા પુરુષો ઘરેલું હિંસાનો ભોગ બને છે તે જાણવા માટે ભારતમાં કોઈ સરકારી અભ્યાસ કે સર્વેક્ષણ નથી, પરંતુ કેટલીક એન.જી.ઓ. ચોક્કસપણે આ દિશામાં કામ કરી રહી છે. ‘સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશન’ અને ‘માય નેશન’ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં નેવું ટકાથી વધુ પતિઓએ ત્રણ વર્ષના સંબંધમાં ઓછામાં ઓછી એક વાર ઘરેલું હિંસાનો અનુભવ કર્યો છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે જ્યારે પુરુષો પોલીસ અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર આવી ફરિયાદો કરવા માંગતા હતા, ત્યારે લોકો તેના પર વિશ્વાસ કરતા નથી અને તેમના પર હસવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ દેશમાં પુરુષોમાં આત્મહત્યાનો દર મહિલાઓની સરખામણીએ બમણો છે. આની પાછળનાં અન્ય કારણોમાં, પુરુષો પણ ઘરેલું હિંસાનો ભોગ બનેલા હોવાનું કહેવાય છે, જેની તેઓ કોઈ પણ મંચ પર ફરિયાદ પણ કરી શકતા નથી. તેમ છતાં એવું નથી કે પુરુષો સામેની હિંસા વિશે કોઈ જાણતું નથી અથવા તેની સામે અવાજ ઉઠાવતો નથી, પરંતુ આ અવાજ ધીમો છે અને પછી ખૂબ જ ઝડપથી શાંત થઈ જાય છે. અતુલની આત્મહત્યાથી પહેલીવાર દેશ આ બાબતે વધુ વાત કરતો થયો છે.

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સાંસદોએ માંગ કરી હતી કે રાષ્ટ્રીય મહિલા આયોગની તર્જ પર રાષ્ટ્રીય પુરુષ આયોગ જેવી બંધારણીય સંસ્થાની પણ રચના થવી જોઈએ. આ અંગે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પત્ર લખનારા સાંસદોમાંના એક હરિનારાયણ રાજભરે તે સમયે દાવો કર્યો હતો કે પત્નીઓ દ્વારા સતામણીનો ભોગ બનેલા ઘણા પુરુષો જેલમાં છે પરંતુ કાયદા દ્વારા એકલા પડી જવાના ડરથી ઘરેલું દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવતા નથી અને સમાજમાં તેમની મજાક ઉડાવવામાં આવે છે.

પુરુષોના આયોગની માંગના સમર્થનમાં રજૂ કરવામાં આવેલી દલીલોમાં સૌથી મોટી દલીલ એ છે કે મહિલાઓનું રક્ષણ કરતા કાયદાનો પુરુષો સામે દુરુપયોગ કરવામાં આવ્યો છે. પુરુષોની સતામણીના કિસ્સાઓ પણ છે. પરંતુ આ કાયદો માત્ર સ્ત્રીઓની સતામણીને જ મંજૂર રાખે છે.

હકીકતમાં, પુરુષોનો એક વર્ગ માને છે કે આપણા સમાજમાં માત્ર મહિલાઓ જ પીડિત અથવા ઉત્પીડિત નથી. એવા ઘણા પુરુષો પણ છે જેઓ ઘરે અને સમાજમાં અત્યાચાર અને સતામણીનો સામનો કરી રહ્યા છે. એ દિવસો ગયા જ્યારે માત્ર મહિલાઓ પર જ જબરદસ્તી થતી હતી. આજે પુરુષો પણ ગુંડાગીરીનો ભોગ બને છે. આજે ઘરેલું હિંસા, સતામણી, પુરુષો સામે શારીરિક અને માનસિક દુર્વ્યવહારની ઘટનાઓ પણ વધી રહી છે અને તેના કારણે ઘણા પરિણીત પુરુષો આત્મહત્યા પણ કરી રહ્યા છે.  

લગભગ ચાર વર્ષ પહેલાં, ઘરેલું હિંસા અથવા સતામણીનો ભોગ બનેલા પુરુષોને મદદ કરવા માટે, એક સ્વૈચ્છિક સંસ્થાએ ‘સિફ’ નામની એક એપ્લિકેશન બનાવી હતી, જેના દ્વારા આવા પુરુષો તેમની પીડા નોંધાવી શકતા હતા. સંસ્થાએ આવા પુરુષોને કાનૂની સહાય પણ પૂરી પાડી હતી. એન.જી.ઓ.ના વડા અમિત કુમાર કહે છે કે આ એપ દ્વારા 25 રાજ્યોના 50 શહેરોમાં 50 એન.જી.ઓ.નો કાનૂની મદદ માટે સંપર્ક કરી શકાય છે. તેમણે દાવો કર્યો છે કે હેલ્પલાઈન શરૂ થયાના 50 દિવસની અંદર તેમને 16,000થી વધુ કોલ્સ આવ્યા છે. 

2020માં લૉકડાઉન દરમિયાન ‘સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશન’ દ્વારા ટેલિફોનિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન, ઇન્દોર સ્થિત પુરુષ સંસ્થા અને ‘નેશનલ કમિશન ફોર મેન કોઓર્ડિનેશન કમિટી’, દિલ્હીને પણ પુરુષોની હેલ્પલાઇન પર ઘણી ફરિયાદો મળી હતી. તેમાં જાણવા મળ્યું છે કે લોકડાઉનના દિવસો દરમિયાન પત્નીઓએ તેમના પતિને હેરાન કરવાના કેસોમાં 36 ટકાનો વધારો થયો હતો કારણ કે ઘણા પુરુષો ઘરે બેસવા માટે કામ છોડી દે છે અથવા ઓફિસ બંધ હોવાને કારણે ઘરેથી કામ કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, તેઓ તેમની પત્નીઓનાં વલણને કારણે ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા. 

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 15 ડિસેમ્બર 2024
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ આજે (૨૧) 

સુમન શાહ|Opinion - Opinion|16 December 2024

સુમન શાહ

મેં આ પહેલાંના લેખમાં કહેલું કે મારી તમારી કે તેની ઓળખની સમુચિત વ્યાખ્યા નથી કરી શકાતી. વળી, એમ પણ કહેલું કે ઓળખ ભેદકારી છે.

પણ મારી જ્ઞાતિમાં લગભગ દરેક પરિવારની એક વધારાની વિશિષ્ટ અટક પાડવામાં આવતી -જેમ કે, અમે દીવાસળીવાળા, પણ હાથપગવાળા, ઘાઘરીવાળા, બેમાથાંવાળા, ગાયવાછેડીવાળા કે ઉંદેડી, ધૂનિયો, લખોટી, મસ્તાન, વગેરે વગેરે — તો ઓળખ ચોખ્ખી થઈ જતી’તી, અને ભેદનો અનુભવ થતો ન્હૉતો. સૌને ભરોંસો રહેતો કે આપણે દશાલાડ વાણિયા છીએ, શાહ છીએ. અટકોના આ પ્રકારમાં રમૂજ ઘણી છે, ભેદ નહિવત્ છે. 

એવું જ મને યાદ આવે છે કે અમારે ત્યાં કારીગર-વર્ગનું માન રાખવામાં આવતું. અમે નાના છોકરાઓ તો, મણિકાકા ભમરડો ઉતારી આપો ને, હિમ્મતકાકા મારા ચમ્પલની પટ્ટી તૂટી ગઈ છે, ચૂંક મારી આપો ને, મોહનકાકા ખમીસ માટે કેટલા વાયદા કરો છો, ક્યારે સીવી આપશો? મોટાઓ એ ય મણિયા, હેમતા કે મોહનિયા એમ કહેતા, પણ તેમાં ય ઊંચનીચ ભાવ ન્હૉતો, એક મીઠાશ હતી. 

એ સંવાદી સમાજ આજે નષ્ટ થઈ ગયો છે. જમાનાની રફતાર એવી છે કે અટક તમારે છુપાવવી પડે!

+ +

અંગ્રેજી ભાષામાં સરખા દેખાતા બે શબ્દો છે, ‘પૉપ્યુલર’ અને ‘પૉપ્યુલિસ્ટ’, પણ બન્ને વચ્ચે ફર્ક છે. સામાન્યપણે બન્ને શબ્દ રાજનેતાઓના સંદર્ભમાં પ્રયોજાતા હોય છે. પ્રજાકીય કલ્યાણનાં કાર્યોમાં મળેલી સફળતાને કારણે લોકપ્રિય, તે પૉપ્યુલર પોલિટિસિયન. પ્રજાકીય કલ્યાણનાં કાર્યો અર્થે પ્રજા આગળ elites-ની ટીકા કરીને સફળ થવા નીકળેલો રાજનેતા, તે પૉપ્યુલિસ્ટ પોલિટિસિયન. 

મેં elite શબ્દનું ગુજરાતી ન કર્યું કેમ કે એનો કોઈ ચૉક્કસ ગુજરાતી પર્યાય ઘડાયો નથી. એટલે મેં એની વ્યુત્પત્તિ જાણી. ‘elite’, લૅટિનના ‘eligere’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ છે, ‘to choose’. એટલે, એમ સમજાય છે કે સમાજમાં કે લોકમાં જનસામાન્ય કરતાં, મોભો માન કે ધન બાબતે પસંદગી પામેલી અથવા નજરે ચડેલી એટલે કે ચડિયાતી અને અગ્રણી વ્યક્તિને તેમ જ એવી વ્યક્તિઓના વર્ગને elite કહેવાય.

એ વ્યક્તિઓ બુદ્ધિશાળી પણ હોય એ કારણે elite એટલે ‘બુદ્ધિશાળી’, પરન્તુ જો elite -નો અર્થ માત્ર intellectule કહેતાં, ‘બૌદ્ધિક’ કરીશું, તો ગરબડ થશે; અલબત્ત, પસંદગી પામેલા વર્ગમાં ‘બૌદ્ધિકો’ ન હોય એવું ય નથી.   

આજે પ્રજાજન પૉપ્યુલિસ્ટ પોલિટિક્સના સમયમાં જીવે છે, કેમ કે મોટાભાગના રાજનેતાઓ પૉપ્યુલિસ્ટ પુરવાર થઈ રહ્યા છે. તેઓ elite વર્ગની સીધી ટીકા કે વિરોધ કદાચ ન કરે, પણ ગણકારે નહીં, એટલું ચૉકક્સ. 

જો કે એક મોટો ફર્ક એ જોવા મળે છે કે વર્તમાન રાજનેતાઓ શ્રીમન્ત ઉદ્યોગપતિઓની, અદાણી કે અંબાણીની; સિનેમાના લોકપ્રિય અભિનેતાઓની, બચ્ચનની કે શાહરુખની; વિખ્યાત રમતવીરોની, કપિલદેવ કે તેંડુલકરની ટીકા નથી કરતા, બલકે તેઓને પાંખમાં લઈ લે છે. પેલાઓ પણ તેમની ટીકા નથી કરતા, સહયોગી થઈ જાય છે. મને યાદ નથી અથવા બરાબર યાદ છે કે ટાટાએ, દિલીપકુમારે કે રાહુલ દ્રવિડે રાજકારણની ટીકાટિપ્પણી કરી હોય.

એટલે, elite -માં બચે છે, માત્ર દાર્શનિકો, વિચારકો, શિક્ષણવિદો, અને સાહિત્યકારો. બચેલો એ વર્ગ રાજનેતાઓને અને પૉપ્યુલિસ્ટ પોલિટિસિયન્સને ખાસ ખૂંચે છે, કેમ કે બચેલો એ વર્ગ વિચારચિન્તન, દર્શન કે કલાસર્જન પરત્વે સ્વાયત્ત હોય છે, અને શાસનની મુક્તપણે સમીક્ષા કરી જાણે છે. 

++

પોતે લોકોના પ્રતિનિધિ છે એવી જાતે જ ઘોષણા કરનારા પૉપ્યુલિસ્ટો, હરારી કહે છે, સૂક્ષ્મ પણ ખતરનાક રીતે લોકશાહીનું અવમૂલ્યન કરતા હોય છે. એમનો દાવો હોય છે કે માત્ર તેઓ જ લોકોના પ્રતિનિધિ છે, ઉપરાન્ત, તેઓ ઠસાવતા હોય છે કે લોકો માત્રરાજકીય અધિકારનો સ્રોત નથી, પરન્તુ એકોએક અધિકાર માટે છે. તેઓ કહે છે કે વિના લોકેચ્છા અધિકાર મેળવેલી કોઈપણ સંસ્થા ઍન્ટિડૅમોક્રેટિક છે, લોકશાહી-વિરુદ્ધ છે. પૉપ્યુલિસ્ટો માત્ર રાજકીય ક્ષેત્રે નહીં પણ સર્વત્રે આધિપત્ય મેળવવા માગે છે, બલકે સમૂહમાધ્યમો, અદાલતો અને વિદ્યાપીઠો પર અંકુશ મેળવીને રહે છે. અન્તિમે જઈને તેઓ લોકસત્તા-ના સિદ્ધાન્તને એકહથ્થુસત્તાવાદમાં ફેરવી નાખે છે. 

પરન્તુ હરારીએ એક સરસ વાત કરી છે. હરારી લોકશાહીને conversation કહે છે, – એનો ગુજરાતી પર્યાય, સાવ સમુચિત નહીં, પણ ‘વાતચીત’ કરી શકીએ. હરારી સાચું કહે છે કે લોકશાહીનો વિધિસરનો સ્રોત – legitimate source – લોકો છે. લોકશાહી વૈવિધ્યના પાયા પર ઊભેલી શાસનપદ્ધતિ છે. લોકશાહીમાં એ સમજ પ્રવર્તે છે કે લોક એકાત્મ હસ્તી – unitary entity – નથી, અને તેથી લોક એકમેવ એષણા કે હેતુ ધરાવે છે એમ ન કહેવાય. કોઈપણ લોકમાં બહુવિધ અભિપ્રાયો, એષણાઓ અને રજૂઆતો ધરાવતાં ભિન્ન ભિન્ન જૂથો હોય છે, અને એમ પણ હોય છે કે કોઈ જૂથ, બહુમતિ ધરાવતું જૂથ પણ, બીજા જૂથને લોકમાંથી કદી બાદ નથી કરી શકતું. હરારી કહે છે, this is what makes democracy a conversation. 

વાતચીત એટલે જ વિધિસરના અનેક અવાજોના અસ્તિત્વનો પહેલેથી થયેલો સ્વીકાર. તેમછતાં, જો લોક પાસે ભલે વિધિસરનો પણ એકમેવ અવાજ હશે, તો ત્યાં વાતચીત શક્ય નહીં બને. કદાચ, એમ બને કે એ એકમેવ અવાજ દરેક બાબતે આધિપત્ય ભોગવવા માગે. 

એટલે સ્તો પૉપ્યુલિઝમ એવો દાવો આગળ કરે છે કે સૌએ લોકસત્તા – people’s power – સાથે જ જોડાયેલા રહેવું જોઈએ. જો કે હરારી લોકસત્તાનો દાવો આગળ કરતા પૉપ્યુલિઝમની કડક સમીક્ષા કરતાં કહે છે કે એથી તો લોકશાહીનો અર્થ જ ખતમ થઈ જાય છે અને એકહથ્થુસત્તાવાદ સ્થપાય છે. ભારત, યુ.ઍસ.એ. અને યુ.કે.ની લોકશાહીમાં એકહથ્થુસત્તાવાદનો સડો પૅઠો છે, એની ના પાડી શકાશે નહીં. એ વરિષ્ઠ નેતાઓ લોકને ઝટ ગળે ઊતરી જાય એવી સરળ અને મધઝરતી વાણી પ્રયોજે છે, અને public અને elite વચ્ચેના ભેદને દૃઢથી સુદૃઢ કરે છે.

હરારીનું એ મન્તવ્ય વાંચીને મને રશિયન ફિલસૂફ સાહિત્યસિદ્ધાન્તવિદ મિખાઇલ બખ્તિન (1895-1975) યાદ આવી ગયા. બખ્તિન કહે છે કે ભાષા dialogic છે, એટલે કે, સંવાદરૂપ છે. વિવિધ અવાજોથી રસાયેલી ભાષા હમેશાં conversation, વાતચીત, સ્વરૂપે હોય છે. આ dialogism નવલકથામાં પાત્રો કથકો અને સર્જકના પોતાના અવાજથી સરજાતી લીલામાં સ્પષ્ટ જોઈ શકાય છે. નવલમાં વિવિધ અવાજોની બહુલતા માટે એમણે પ્રયોજેલો શબ્દ છે, Heteroglossia. એમાં, એમણે જુદી જુદી પ્રાદેશિક તેમ જ સામાજિક બોલીઓ, લેખનના ભિન્ન ભિન્ન પ્રકારો અને વિચારસરણીઓનો સમાસ કલ્પ્યો છે. નવલકથામાં હાસ્ય, ઠઠ્ઠામશ્કરી કે ચિત્રવિચિત્રતાઓ કે વિકૃતિઓ વડે વર્ચસ્વી વિચારસરણીની ટીકાટિપ્પણી પણ થતી હોય છે. આ સઘળી વાતોના અનુલક્ષમાં બખ્તિન નવલકથાને carnival કહે છે. 

જો કે ૨૦-મી સદીમાં નવલકથાના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન જોવા મળે છે.

એ સંવાદી સમાજ નષ્ટ થઈ ગયો છે, એ પૉપ્યુલર પોલિટિસિયનો નથી રહ્યા, એ નવલકથા નથી રહી – એમ સૂચવ્યા પછી હું કહેવા શું માગું છું? એ જ કે બધું બહુ જ બદલાઈ ગયું છે, બદલાઇ રહ્યું છે …

(ક્રમશ:)

= = =

(16Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાયદા પણ પક્ષપાત કરનારા હોય છે… 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 December 2024

રવીન્દ્ર પારેખ

એક સમય હતો જ્યારે દીકરી જન્મવા તો દેવાતી હતી, પણ પછી દૂધપીતી કરાતી હતી. પછી તો વિકાસ એટલો થયો કે ભ્રૂણહત્યા દ્વારા જન્મ વગર જ દીકરીને મોત અપાતું થયું. પશુને પણ મૃત્યુ જન્મ પછી છે, પણ કેટલીક દીકરી એવી છે, જેને મૃત્યુ જન્મ પહેલાં છે. આજકાલ ગાયનેકોલોજિસ્ટ બાળક ઊંધું છે એટલે સિઝેરિયન કરવું પડશે એમ કહીને લાખેક રૂપિયા ખંખેરી લે છે. કોઈ પણ રીતે હવે ડોકટરો (ને બીજા પણ) કમાણીમાં લાગ્યા છે. સેવા લગભગ આઉટડેટેડ થઈ ગઈ છે. સ્ત્રીઓનું એટલું શોષણ થયું કે કાયદામાં ફેરફારો કરવા પડ્યા, જેથી શોષિત સ્ત્રીઓને ન્યાય મળી રહે. એ દરમિયાન સ્ત્રી શિક્ષિત થઈ, ઘરકામ ઉપરાંત નોકરી-વ્યવસાય કરતી થઈ, ખુમારીથી એકલી રહેતી થઈ ને હવે ઘણી યુવતીઓને એવું લાગે છે કે લગ્ન કરીને કોઈ પર નિર્ભર પણ શું કામ રહેવું? તેવી યુવતીઓ હવે પરણતી નથી અથવા તો મોડી પરણે છે. પરણે તો જન્મ આપવા કરતાં તેને બાળક દત્તક લેવાનું વધારે અનુકૂળ આવે છે. તે એ પણ જાણે છે કે કાયદાઓ તેની તરફેણમાં છે ને નથી જાણતી એવી સ્ત્રીઓમાંની ઘણી ઘરેલુ હિંસાનો ભોગ બને છે ને નથી વેઠાતું તો આત્મહત્યા પણ કરી લે છે. 

આજના સમયમાં બે પરિબળો નવાં ઉમેરાયાં છે. લિવ ઇનમાં રહીને અનુકૂળ આવે ત્યાં સુધી પાર્ટનર સાથે રહેવું અને ન ફાવે તો રસ્તે પડી જવું. હવે હસબન્ડ કે વાઈફ, પાર્ટનર કહેવાય છે. લિવ ઇનમાં પણ  જટિલતા વધતી આવે છે. આધુનિક લગ્નજીવનની આડ પેદાશ એ છે કે તેનો એક ફાંટો લગ્નેતર સંબંધોમાં ખૂલે છે. આમ થવું અશક્ય ન હતું. નોકરી-ધંધા નિમિત્તે આઠેક કલાક પતિ કે પત્નીએ ઘર બહાર રહેવાનું થયું ને એમાં સહકર્મી સાથે ક્યારેક શેરિંગ વધ્યું ને એ જ નજીક આવવાનું કારણ પણ બન્યું. પછી તો વાત એટલી આગળ વધી કે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું. એ શક્ય ન બન્યું તો પ્રેમ મેળવવા પતિ કે પત્ની કે નવા પ્રેમી/પ્રેમિકાની હત્યા પણ કરી નાખવામાં આવી. આવી  હત્યાઓ હવે રોજિંદી થઈ ગઈ છે. 

બીજી તરફ ગૃહિણીઓ એટલી સજાગ થઈ છે કે સાસરામાં થોડો પણ ત્રાસ અનુભવાય તો સીધી પોલીસચોકીએ પહોંચે છે. દહેજને નામે કે ઘરેલુ હિંસાને નામે પત્ની ધારે ત્યારે ફરિયાદ કરી શકે છે ને પોલીસ એક વાર તો સાસરાને દોડતું કરી જ દે છે. ફરિયાદો સાચી હોય ત્યાં તો કૈં કહેવાનું નથી. ગૃહિણીને ન્યાય મળે એટલું જ અપેક્ષિત હોય, પણ, બધી વખતે ફરિયાદો સાચી ન હોય એ પણ શક્ય છે. એ સંજોગોમાં પતિ, સસરા, સાસુ, નણંદ એમ બધા જ સભ્યો ધંધે લાગ્યા વગર રહેતાં નથી. જેમ બધી જ વખતે પતિ સાચો ન હોય એમ જ પત્ની પણ ન હોય એમ બને ને એ કાયદાએ જોવાનું રહે. એવે વખતે કાયદો કોઈની તરફેણ કરતો થઈ જાય તો તે અન્યાયકર્તા નીવડે. 

કાયદો ન્યાય માટે હોય, એ પક્ષપાત કરનારો તો કેવી રીતે હોય? ન્યાયતંત્ર અન્યાય કરે તો એ પીડા વધારનારો જ નીવડે ને સંબંધિતોનો ન્યાય પર ભરોસો જ ન રહે એમ બને. એવો એક ચામડી તતડાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંગલુરુનો એક આઇ.ટી. પ્રોફેશનલ અતુલ સુભાષ પત્ની અને સાસરિયાંથી એટલો ત્રાસ્યો કે તેણે આત્મહત્યા કરી લીધી. 24 પાનાંની આત્મહત્યાની નોટમાં તેણે લખ્યું છે કે ન્યાય ન મળે તો મારાં અસ્થિ કોર્ટની ગટરમાં ફેંકી દેજો. અતુલે આત્મહત્યા પત્ની, સાસરિયાં અને ન્યાયતંત્રના અધિકારીઓના ત્રાસથી કરી છે. એ સાથે જ અતુલે એક કલાક વીસ મિનિટનો વીડિયો તેની પત્ની નિકિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં, ‘ભારતમાં પુરુષો વિરુદ્ધ કાયદેસરનો નરસંહાર થઈ રહ્યો છે’ એવા ટાઈટલથી પોસ્ટ કર્યો છે. નિકિતા પોતે સોફ્ટવેર એન્જિનિયર અને બી.ટેક ઇન કોમ્યુટર સાયન્સ, એમ.બી.એ. ફાઇનાન્સ અને એ.આઈ. એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ છે. 

courtesy : Satish Acharya – ‘Misuse of Law!

અતુલના ભાઈ વિકાસે બેંગલુરુની મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ને તેને આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી તરીકે અતુલનાં પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ, સસરા, સાળાનાં નામ નોંધવામાં આવ્યાં છે. અતુલે સુસાઇડ નોટમાં ઉત્તર પ્રદેશના જૌનપુરની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટના જજનું નામ પણ લખ્યું છે, પણ એફ.આઇ.આર.માં નામ નથી. સુસાઇડ નોટમાં ‘જસ્ટિસ ઈઝ ડ્યુ’ એવું હેડિંગ છે. નોટમાં તેણે લખ્યું છે કે કોર્ટમાં તેની પાસે લાંચ માંગવામાં આવી હતી, પણ તે તેણે આપવી ન હતી. અતુલનો આક્ષેપ એવો પણ છે કે બાળકોને આગળ કરીને પત્નીએ ભરણપોષણને નામે પૈસા પડાવ્યા હતા. નિકિતાએ પતિ સામે નવ કેસ કર્યા હતા. હાઇકોર્ટમાં ઝડપી સુનાવણી માટે ને રોકડની માંગણી માટે અરજીઓ કરવામાં આવી હતી. નિકિતાએ પોતે પતિને આત્મહત્યા માટે બે વખત ઉશ્કેર્યો હતો. એમાં એક ઉશ્કેરણી તો જજની હાજરીમાં થઈ હતી. કોર્ટમાં કર્મચારીઓએ અને બેલિફે માંગેલી રકમ નામ સાથે નોટમાં છે. જૌનપુર કોર્ટના ચુકાદા સંદર્ભે એવી નોંધ પણ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરવામાં આવ્યું નથી. ન્યાયાધીશે એક તરફી ન્યાય કર્યો છે. કેસની પતાવટ પહેલાં અતુલ પાસેથી પહેલાં એક કરોડ ને પછી ત્રણ કરોડ માંગવામાં આવ્યા હતા. કેસની સુનાવણી 120 વખત મોકૂફ રાખવામાં આવી ને કેસ માટે અતુલે બેંગલુરુથી જૌનપુર 40 વખત દોડવું પડ્યું. તેના વૃદ્ધ માબાપે બિહારથી અને ભાઈએ દિલ્હીથી કોર્ટ સુધી આવવું પડ્યું તે નફામાં. 

તેને ત્રણ વર્ષ સુધી સંતાન સાથે વાત ન કરવા દેવાઈ ને ઉપરથી ખર્ચ પેટે દર મહિને બે લાખની માંગણી કરવામાં આવી. નાનામોટા પ્રસંગે સાડીઓ ઉપરાંત દર વખતે 10 લાખના ઘરેણાંની માંગણીઓ થઈ. મકાન બાંધવા 50 લાખ માંગવામાં આવ્યા. પૈસા આપવાની ના થતી તો ઝઘડાઓ વધતા. આ માણસ સાસરિયાંથી એટલો ત્રાસ્યો હતો કે તેના મૃતદેહની નજીક કોઈ ફરકે કે કોઈ સમાધાન થાય તેવું તે ઈચ્છતો ન હતો. સાસરિયાંનો ત્રાસ કેટલો હશે તે તેની સાસુના આ સવાલ પરથી આવે કે જમાઈને તે પૂછે છે કે હજી તમે આત્મહત્યા કરી નથી? અતુલના પિતા પવનકુમારે પણ ન્યૂઝ એજન્સી એ.એન.આઇ.ને જણાવ્યું છે કે અતુલના સાસરિયાં પર મુકાયેલા તમામ આરોપો સાચા છે. અતુલની પત્ની મળી નથી એટલે નોટિસ તેનાં ઘર પર ચોંટાડાઈ છે. તેનું શું કહેવું છે એ બહાર આવ્યું નથી, એટલે અત્યારે તો એક બાજુ જ સામે છે, પણ કાયદાનો લાભ લઈને સ્ત્રીઓ પુરુષોને ટૉર્ચર કરતી થઈ છે તે નકારી શકાય એમ નથી. એવા ઘણા કિસ્સાઓ જાણ્યા પછી એટલું ઉમેરવાનું થાય છે કે સ્ત્રીઓનાં શોષણની ટકાવારી આજે પણ ઊંચી જ છે. સાથે જ કાયદાનો દુરુપયોગ અટકવો જોઈએ એ પણ એટલું જ સાચું છે. ટૂંકમાં, સ્ત્રી કે પુરુષ વચ્ચે ભેદ કરનારા કાયદામાં સમાનતા જળવાઈ રહે એવા ફેરફારો અનિવાર્ય છે. 

એકમ ન્યાય ફાઉન્ડેશને બહાર પાડેલા અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે મહિલાઓ દ્વારા થતા ત્રાસને કારણે પુરુષોની આત્મહત્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2023માં 306 કેસોમાં પુરુષોની હત્યા તેમની પત્નીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમાંની 213 હત્યા લગ્નેતર સંબંધોને કારણે અને 55 હત્યા પારિવારિક વિવાદોને કારણે થઈ હતી, તો બાકીની હત્યા અન્ય કારણોસર થઈ હતી. આ જ સંસ્થાની અન્ય તપાસમાં 45 પુરુષોએ આત્મહત્યા તેમની સામે થયેલા ખોટા કેસને કારણે કરી છે. એમ લાગે છે કે અતુલ જેવા લોકોનું અપમૃત્યુ લિંગ આધારિત કાયદાઓનું પરિણામ છે. એ પણ છે કે ઘરેલુ હિંસા હવે સ્ત્રીઓ પૂરતી સીમિત નથી. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે ને દહેજના નામે પતિ અને પરિવારને ફસાવવાની પ્રવૃત્તિ થતી રહેતી હોય તો કોઈ નિર્દોષ પરિવાર હેરાન ન થાય તે જોવાવું જોઈએ. એ સંજોગોમાં સરકારે નવા કાયદા કરવા જોઈએ અથવા કાયદામાં સુધારા કરવા જોઈએ. આમ તો કાયદાની છટકબારીઓનો લાભ લેવાનું સામાન્ય છે, પણ મહિલાઓ સંબંધિત કેસોમાં સમસ્યા ને સંખ્યા વધુ વકરી રહી હોવાનું લાગે છે.

આની સામે સુરત, અમદાવાદમાં ‘પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ સક્રિય થયો છે ને સુરતમાં જ છેલ્લાં થોડાં વર્ષોમાં 3,720 પતિઓએ પત્નીના ત્રાસની વિરુદ્ધ લેખિત ફરિયાદો નોંધાવી છે. દર મહિને અંદાજે 20 ફરિયાદો આવે છે ને ગુજરાતમાં જ તેના 76,000 સભ્યો છે તે સૂચક છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ડિસેમ્બર 2024

Loading

...102030...321322323324...330340350...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved