Opinion Magazine
Number of visits: 9582498
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ભારતની તિબેટનીતિ બદલાઈ રહી છે? જિગર જીભ પર નથી હોતું છાતીમાં હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 March 2018

જવાહરલાલ નેહરુની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત એમ ખુદ વડા પ્રધાને સંસદમાં કહ્યું હતું.

શું ફરક પડ્યો હોત તો કહે આખેઆખું કાશ્મીર ભારતના કબજામાં હોત વગેરે. જમ્મુ અને કાશ્મીરની નીતિમાં જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ વચ્ચે બહુ મોટા મતભેદ હોવાનાં કોઈ પ્રમાણ મળ્યાં નથી એમ વડા પ્રધાન પોતે કોઈ પ્રમાણ રજૂ નથી કરી શક્યા, પરંતુ ચીનના પ્રશ્ને નેહરુ અને સરદાર વચ્ચે મતભેદ હતા એ ઉઘાડું સત્ય છે.

સરદાર પટેલે જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો હતો કે ચીન પર ભરોસો મૂકવા જેવું નથી. તિબેટ ભારત અને ચીન વચ્ચે એક બફર સ્ટેટ તરીકે જળવાઈ રહે અને ચીન ભારતના સીમાડાથી દૂર રહે એ માટે ભારતે પ્રયત્ન કરવો જોઈએ. સરદારથી ઊલટું નેહરુ ચીન પર ભરોસો કરવામાં અને ચીનને સહયોગ કરવામાં માનતા હતા. રહી વાત તિબેટની તો નેહરુ તિબેટની રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃિતક સ્વાયત્તતા જળવાઈ રહે એ શરતે તિબેટ પરના ચીનના દાવાને માન્ય રાખતા હતા. આખરે તિબેટના ૧૪મા દલાઈ લામાની માગણી પણ આટલી જ હતી અને આજે પણ એ જ છે. તિબેટ જ જ્યારે સ્વતંત્ર રાષ્ટ્ર હોવાની માગણી ન કરતું હોય, સાચી સ્વાયત્તતાથી સમાધાની હોય તો ભારત તિબેટને બફર સ્ટેટ કઈ રીતે બનાવી શકે એ સવાલ હતો. બીજું, તિબેટ ત્યારે એક સ્વતંત્ર દેશ બની શકે અને બને તો ટકી શકે એવી કોઈ લાયકાત ધરાવતું નહોતું. પ્રમાણ જોઈતું હોય તો ઑસ્ટિૃયન પવર્ત ખેડુ હેનરિક હેરર[Heinrich Harrer]નું ‘સેવન યર્સ ઇન તિબેટ’ નામનું પુસ્તક વાંચી જાઓ. આપણા મહેન્દ્ર મેઘાણીએ એનો ગુજરાતીમાં બહુ સરસ અનુવાદ કર્યો છે. મહેન્દ્રભાઈ જે કરે એ ઉત્તમ જ હોય. હેરરના વૃત્તાંત પર આધારિત એ જ નામની ફિલ્મ પણ બની છે.

જવાહરલાલ નેહરુ ચીન પરત્વે દિલસોજી ધરાવતા હોવા છતાં અને ચીનને વણમાગી મદદ કરતા હોવા છતાં તિબેટની ન્યાયી માગણી તરફ તેમણે ક્યારે ય આંખ આડા કાન કર્યા નહોતા. ચીનના સર્વેસર્વા માઓ ઝેદોંગને તેમણે આંખમાં આંખ પરોવીને કહ્યું હતું કે તિબેટની માગણી યોગ્ય છે અને ચીને માન્ય રાખવી જોઈએ. ભારતે તિબેટના મામલામાં દખલ ન કરવી જોઈએ એવા ચીનના સૂચનને નેહરુએ ઠુકરાવી દીધું હતું. નેહરુએ દલાઈ લામાને સલાહ આપી હતી કે તેમણે ચીન સામે અહિંસક સંઘર્ષ કરતા પણ રહેવું જોઈએ અને ચીનના નેતાઓ સાથે સંવાદ પણ કરતા રહેવું જોઈએ. ૧૯૫૪માં દલાઈ લામા (ઉંમર વર્ષ ૨૧) માઓ અને ચાઉ એન લાઈ સાથે આંખમાં આંખ પરોવીને વાતચીત કરવા ચીન ગયા હતા. ચીન દલાઈ લામાને પાછા આવવા દેશે કે નહીં એ વિશે અંદેશો હતો, પરંતુ ૫૬ ઇંચની છાતી ધરાવતા ૨૧ વરસના બિનઅનુભવી યુવાનમાં ચીન જવાનું અને ચીનના નેતાઓ સાથે આંખમાં આંખ પરોવીને વાત કરવાનું જિગર હતું.

૧૯૫૬માં દલાઈ લામા પહેલી વાર ભારત આવ્યા હતા. તેમણે નેહરુને ચીનમાં થયેલી વાતચીત અને એ પછીની ઘટનાઓનો વૃત્તાંત આપતાં કહ્યું હતું કે હવે તિબેટમાં રહીને તિબેટની સ્વાયત્તતા માટે લડવું મુશ્કેલ લાગે છે માટે તેઓ ભારતમાં રહી જાય તો કેમ? નેહરુએ તેમને તિબેટ જઈને હજી વધુ પ્રયાસ કરવાની સલાહ આપી હતી. પોતાની ભૂમિમાં રહીને લડવાથી જે ફાયદો થશે એ બહાર રહીને નથી થવાનો. તેમણે ચીનને પણ સલાહ આપી હતી કે એણે તિબેટનો પ્રશ્ન તિબેટને સ્વાયત્તતા આપીને ઉકેલવો જોઈએ. નેહરુની સલાહને અનુસરીને દલાઈ લામા તિબેટ પાછા ફર્યા હતા. જાનનું જોખમ હતું અને કદાચ આખી જિંદગી ચીની જેલમાં રહેવું પડે એવી પૂરી શક્યતા હતી અને એ છતાં દલાઈ લામા પાછા ફર્યા હતા. ૨૩ વરસના યુવાનમાં આધ્યાત્મિક બળ હતું અને આધ્યાત્મિક બળ ધરાવનારાઓની છાતી માપવા માટે ગજ ટૂંકો પડતો હોય છે. ગાંધીજી આનું ઉદાહરણ છે.

૨૧ વરસની વયે દલાઈ લામા ચીનમાં જઈને ચીની નેતાઓ સાથે આંખમાં આંખ પરોવીને વાત કરી આવ્યા. ૨૩ વરસની ઉંમરે ભારતમાંની સુરક્ષા છોડીને દલાઈ લામા તિબેટમાં રહીને ચીનાઓ સામે લડવા પાછા ચીન જાય છે. ૨૬ વરસની ઉંમરે તેમને સમજાઈ જાય છે કે તિબેટમાં રહેવાથી સફળતા તો મળે ત્યારે, પરંતુ તેઓ જ્યાં સુધી તિબેટમાં છે ત્યાં સુધી દલાઈ લામાને ભગવાનની જેમ પૂજતી ભોળી તિબેટન પ્રજાને ચીનાઓ સતાવશે. દલાઈ લામાને કેદ કરવામાં આવે અને તિબેટીઓનો મોટો નરસંહાર થાય એ પહેલાં તિબેટ છોડીને નાસી જવું જોઈએ. ૧૯૫૯ની ૧૭ માર્ચે દલાઈ લામા તિબેટ છોડીને ભારત આવી ગયા હતા.

આ વખતે બીકણ નેહરુએ તેમને તિબેટ પાછા જતા રહેવાની સલાહ નહોતી આપી. તેમણે નહોતું કહ્યું કે તમારા કારણે અમારા ચીન સાથેના સંબંધો વણસશે. ઊલટું તેમણે વિશ્વદેશોને સલાહ આપી હતી કે તેમણે તિબેટીઓને તેમની લડાઈમાં ટેકો આપવો જોઈએ. તેમણે ચીનની નિંદા કરી હતી અને દલાઈ લામાને રાજ્યાશ્રય આપ્યો હતો. દલાઈ લામાએ ભારતમાં રીતસર રાજધાની સ્થાપી હતી, રીતસર સરકારની સ્થાપના કરી હતી અને સંસદની રચના કરી હતી. આ બધું નેહરુ કરી શક્યા હતા, કારણ કે તેઓ બીકણ હતા. ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધ થયું એનું મુખ્ય કારણ તિબેટ અને દલાઈ લામાને આપવામાં આવેલો આશ્રય હતું એ જાણીતી વાત છે. એ યુદ્ધમાં ભારતની નાલેશી થઈ એ જુદી વાત છે.

ભારતનું દુર્ભાગ્ય કે ૧૯૪૭માં સરદાર પટેલને વડા પ્રધાન બનાવવામાં ન આવ્યા અને ત્યારથી એક પછી એક ડરપોક લોકોની સરકાર દિલ્હીમાં આવતી રહી. અટલ બિહારી વાજપેયીનો પણ આમાં સમાવેશ કરવો જોઈએ, કારણ કે તેઓ પણ દલાઈ લામાના પક્ષે ઊભા રહ્યા હતા. કોઈએ તિબેટના પ્રશ્ને ચીનની ખુલ્લી ટીકા કરી હતી, કોઈએ મભમ ટીકા કરી હતી. કોઈએ ચૂપ રહીને દલાઈ લામાને મદદ કરી હતી. દરેકે દલાઈ લામાને વિદેશ જવા દઈને તિબેટનો પ્રચાર કરવાની વ્યવસ્થા કરી આપી હતી. ભારતનું વિદેશમંત્રાલય દલાઈ લામાની સરકારને મદદ કરતું રહે એવી વ્યવસ્થા કરી આપી હતી. દરેકે બિચારાએ પોતાના ગજા મુજબ તિબેટને ટેકો આપ્યો હતો. હવે ગજું જ જ્યાં નાનું હોય ત્યાં વધારે તો શું થઈ શકે?

આપણે કેટલા નસીબદાર કે ૨૦૧૪માં ભારતમાં પહેલી વાર શૂરવીરોની સરકાર આવી. હવે પહેલી વાર આશા બંધાઈ કે ચાલો, પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર મુક્ત થશે. સિયાચીનનો પ્રદેશ ભારતને પાછો મળશે. દલાઈ લામા તિબેટીઓ સાથે તિબેટ પાછા ફરશે. ચીન અને પાકિસ્તાનના શાસકો અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને એમ કહી નાગદમનમાંની નાગણોની જેમ પગમાં પડશે. કેવાં-કેવાં સોણલાં હતાં અને આપણી નસોમાં લોહી કેવું ઘુઘવાટા મારતું હતું.

એની વચ્ચે ચીને ભુતાનમાં ડોકલામમાં કબજો જમાવ્યો, આપણા વડા પ્રધાન દસ મહિનાથી ચૂપ છે. પાકિસ્તાનની સરહદે રોજ અથડામણો થાય છે, વડા પ્રધાન ચૂપ છે. ભારતના ઇતિહાસમાં આ પહેલી એવી સરકાર છે જેમાં વડા પ્રધાન, સંરક્ષણપ્રધાન અને વિદેશપ્રધાન વતી લશ્કરી વડો નિવેદનો કરે છે. કદાચ શૂરવીરોના આવાં સ્વાભાવલક્ષણો હશે. આપણને આનો અનુભવ નથી, કારણ કે આપણે સાત દાયકા ડરપોક શાસકોનું જ રાજ જોયું છે.

દલાઈ લામા તિબેટ છોડીને ભારત આવ્યા અને ભારતમાં આરઝી હકૂમત સ્થાપી એને ૬૦ વરસ થઈ રહ્યાં છે. તિબેટી સરકારે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં દલાઈ લામા, લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રના ગૃહખાતાના રાજ્યપ્રધાન કિરેન રિજિજુ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ ભાગ લેવાના હતા. ભારતમાંના ૬૦ વરસના વસવાટ નિમિત્તે બીજા એક કાર્યક્રમનું આયોજન ભારતમાં રહેતા તિબેટીઓએ ભારતનો આભાર માનવા કર્યું હતું. ભારતમાં આશ્રય આપવા માટે ‘થૅન્ક યુ ઇન્ડિયા’ નામના એ કાર્યક્રમમાં પણ મહાનુભાવો હાજર રહેવાના હતા.

આ કાર્યક્રમ યોજાય એ પહેલાં ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે ચીન જઈ આવ્યા. ચીને દલાઈ લામાના અને તિબેટીઓના કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો. વિજય ગોખલેએ સરકારને સલાહ આપી કે ચીનની નારાજગીને ધ્યાનમાં રાખીને દલાઈ લામાનો અને તિબેટીઓનો કાર્યક્રમ દિલ્હીમાં નહીં યોજવા દેવો જોઈએ. ભારત સરકારે દલાઈ લામાને જણાવી દીધું છે કે તેઓ દિલ્હીમાં કાર્યક્રમ નહીં યોજી શકે. થૅન્ક યુ ઇન્ડિયા પણ દિલ્હીમાં નહીં કહેવાય. હવે ધરમશાલામાં યોજાનારા કાર્યક્રમમાં ભારત સરકારના પ્રધાનો, પ્રતિનિધિઓ અને BJPના નેતાઓ સુધ્ધાં હાજરી નહીં આપે. ચીન નારાજ છે અને ડોકલામમાં છાતી પર બેઠું છે એટલે ચીનાઓને રાજી રાખવા જરૂરી છે.

ભારતની તિબેટનીતિ સ્પષ્ટ છે અને એ ચીનને અનેક વાર જણાવી દેવામાં આવી છે. ભૂતકાળમાં ચીનના દલાઈ લામા વિશેના વાંધાઓને ભારત સરકારે ફગાવી દીધા છે. ડોળા ફાડ્યા વિના અને આંખમાં આંખ પરોવ્યા વિના ભારતે વિવેકપૂર્વક ચીનને જણાવી દીધું છે કે જ્યાં સુધી તિબેટનો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી દલાઈ લામા અને તિબેટીઓ ભારતના મહેમાન તરીકે ભારતમાં રહેશે. તિબેટીઓની સ્વાયત્તતા માટેની લડાઈ છે જેને ભારતનો ટેકો છે માટે તિબેટીઓ ભારતમાં સ્વાયત્તતા ભોગવી શકે છે. એટલું તો કબૂલ કરવું પડશે કે ૨૦૧૪ પહેલાંના વડા પ્રધાનો ૫૬ ઇંચની છાતી વિનાના ડરપોક હોવા છતાં કોઈએ તિબેટનો અને દલાઈ લામાનો હાથ નહોતો છોડ્યો. આવું આ પહેલી વાર બની રહ્યું છે.

જિગર જીભ પર નથી હોતું છાતીમાં હોય છે.

સૌજન્ય : ’ કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 માર્ચ 2018

Loading

અંગ્રેજ અધિકારીની ‘ગણિત વેવ્હારની ચોપડી’

દીપક મહેતા|Opinion - Opinion|17 March 2018

કાળચક્રની ફેરીએ

“ગણિત એટલે અંક સંખ્યા ગણવાની વિદ્યા છે અને શિક્ષાનો તે જ ભાગ છે જે, તેમાં અંકની જાતીયો તથા ગુણ દેખાડ્યા છે. જેમાં પૂર્ણાંકનો વિષય છે તેને પૂર્ણાંક ગણિત કેહે છે, અને જેમાં અપૂર્ણાંકના અંકોનો વિષય છે તેને અપૂર્ણાંક ગણિત કેહે છે.

એક એટલે સર્વ વસ્તૂનું એક પણું જણાવે અને સંખ્યાનો આદ્ય, જેમ એક મનિષ, એક ગોળો, એક તોપ. 

સંખ્યા કેવળ એક છે, અથવા કેટલાએક એકોનો યોગ છે, જેમ એક, ત્રણ, દસ. અપૂર્ણાંક સંખ્યાથકી નોખું જણાવવાસારુ એને પૂર્ણાંક સંખ્યા કેહે છે. અપૂર્ણાંક સંખ્યા એટલે એકના અનેક કડકા, જેમ, એક પા, એક અર્ધો, બે ત્રીજા હિસા, ત્રણ ચોથા હિસા.” (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)

આવું વાંચતા આજે આપણને બહુ નવાઈ ન લાગે, કારણ પાઠ્ય પુસ્તકોની ગુજરાતી ભાષાથી આપણે ટેવાઈ ગયા છીએ. કોઈ પણ વિષયની પરિભાષા માટે આજે પણ આપણે સંસ્કૃત ભાષા પર ઘણો મદાર રાખીએ છીએ. પણ ઉપરનું અવતરણ લીધું છે ઈ.સ. ૧૮૨૮માં પ્રગટ થયેલા એક પુસ્તકમાંથી. એ જમાનાના ચાલ પ્રમાણે પુસ્તકમાં બે મુખપૃષ્ઠ છે: પહેલું અંગ્રેજીમાં, બીજું ગુજરાતીમાં. ગુજરાતીમાં પુસ્તકનું નામ આ પ્રમાણે છાપ્યું છે: ‘ગણિત વેવ્હારની ચોપડી અને નાણાઓની તપાસણીનું વર્તમાન.’ અલબત્ત, આ ‘મૌલિક’ પુસ્તક નથી, પણ અંગ્રેજીનો અનુવાદ છે. મૂળ લેખકો ડોક્ટર ચાર્લ્સ હટ્ટન અને બોનીકાસલ. ગુજરાતી અનુવાદ કર્યો છે કેપ્ટન જ્યોર્જ જર્વિસે. આપણે ત્યાં એક એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે આવા અનુવાદ હકીકતમાં કરતા અહીંના કોઈ સ્થાનિક જાણકાર, પણ પુસ્તક પર નામ છપાતું જર્વિસ જેવા કોઈ અંગ્રેજનું. પણ આ પુસ્તકના ગુજરાતી મુખપૃષ્ઠ પર જગન્નાથ શાસ્ત્રી ક્રમવંતની સહાયથી આ અનુવાદ તૈયાર થયો છે એવો સ્પષ્ટ ઋણસ્વીકાર કરવામાં આવ્યો છે. પુસ્તક દેવનાગરી લિપિમાં, શિલાછાપ પદ્ધતિથી છપાયું છે. છાપખાનાનું નામ ગુજરાતી મુખપૃષ્ઠ પર જણાવ્યું નથી, પણ અંગ્રેજી મુખપૃષ્ઠ પર મુદ્રકનું નામ જણાવ્યું છે: એફ.ડી. રામોસ. અને તેમણે આ પુસ્તક મુંબઈમાં છાપ્યું છે તેમ પણ જણાવ્યું છે. ૪૬૫ પાનાંના આ પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી.

અંગ્રેજ શાસન અને અંગ્રેજી ભાષાના વિરોધીઓ દ્વારા આપણા મનમાં એક વાત એવી ઠસાવી દેવામાં આવી છે કે અંગ્રેજી ભાષા ભણાવીને અને અંગ્રેજી માધ્યમમાં ભણાવીને અંગ્રેજોએ આપણને ગુલામ બનાવી દીધા. પણ કંઈ નહિ તો મુંબઈ ઇલાકામાં (આજના ગુજરાત અને મહારાષ્ટ્રમાં) તો બ્રિટિશ પદ્ધતિના શિક્ષણની શરૂઆત ‘દેશી’ ભાષાઓને શિક્ષણનું માધ્યમ બનાવીને જ થઇ હતી. આ માટે મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનનો માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાનો આગ્રહ મુખ્યત્ત્વે જવાબદાર હતો. બીજા અંગ્રેજ ઉપરી-અધિકારીઓના વિરોધ અને દબાણ સામે ટક્કર ઝીલીને પણ તેઓ પોતાની માન્યતાને વળગી રહ્યા. માતૃભાષા દ્વારા શિક્ષણ આપી શકાય તે માટે તેમણે જૂદા જૂદા વિષયોનાં પાઠ્ય પુસ્તકો ગુજરાતી, મરાઠી, કાનડી, વગેરે ‘દેશી’ ભાષાઓમાં તૈયાર કરાવ્યાં. પશ્ચિમ ભારતમાં અંગ્રેજી ભાષા અને અંગ્રેજી માધ્યમ માટેનો મોહ હકીકતમાં ૧૯૬૦ પછી વધતો રહ્યો છે. અંગ્રેજી શાસનને તે માટે ભાગ્યે જ જવાબદાર ગણી શકાય.

આ પુસ્તક ગણિતનું પાઠ્ય પુસ્તક છે. પણ આટલું મોટું પુસ્તક એક વર્ષમાં ભણાવી શકાય નહિ. એટલે, એક કરતાં વધારે ધોરણોમાં વાપરવા માટે તે તૈયાર થયું હશે. એ વખતે ભણાવનારી નિશાળો અને ભણનારા છોકરાઓની સંખ્યા ઘણી મર્યાદિત હતી, અને ‘દેશી’ ભાષાઓમાં પુસ્તકો તૈયાર કરવાનું કામ અઘરું અને ખર્ચાળ હતું, એટલે એક પુસ્તક એક કરતાં વધુ ધોરણોમાં ભણાવી શકાય એ રીતે કેટલાંક પાઠ્ય પુસ્તકો તૈયાર થતાં. ક્રમિક પાઠ્ય પુસ્તકોનું માળખું પછીથી ઊભું થયું. 

આ પુસ્તક કુલ ૫૦ પ્રકરણમાં વહેંચાયેલું છે. તેમાં જે વિષયો આવરી લીધા છે તેમાંના કેટલાક: પૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ભાંજણી. વ્યવહારી અપૂર્ણાંક અને તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વગેરે; વર્ગમૂળ તથા ઘનમૂળ, એકવડું અને બેવડું પન્ત્યાળું, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, વગેરે. ગણિતનું પુસ્તક હોય એટલે તેમાં દાખલા તો હોવાના જ. અહીં પણ છે. પણ અહીં આપેલા દાખલા અંગે એક વાત ધ્યાન ખેંચે છે. દરેક પ્રકરણમાં પહેલાં બે-ત્રણ દાખલા ગણીને જવાબ મૂકીને છાપ્યા છે. જ્યારે પછી આપેલા કેટલાક દાખલા જવાબ વગર છાપ્યા છે. આ પુસ્તક તૈયાર થયું ત્યારે હજી નિશાળોમાં નોટબુકનો ઉપયોગ ચલણી બન્યો નહોતો, અને એટલે વિદ્યાર્થીએ છાપેલા પુસ્તકમાં જ દાખલા ગણવાના રહેતા. આ લખનારે જોયેલી નકલમાં કોઈએ બધા દાખલા ગણીને જવાબ લખેલા છે, એટલે કે એ વખતના કોઈ વિદ્યાર્થીએ વાપરેલી આ નકલ છે. આ નકલનાં કેટલાંક પાનાં જરા જાડા અને આછા ભૂરા રંગના કાગળ પર છપાયેલાં છે, પણ તેમ કરવા પાછળ શું કારણ હશે તે સમજાતું નથી.

કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસનો જન્મ ૬ ઓક્ટોબર ૧૭૯૪, અવસાન ૧૪ ઓક્ટોબર ૧૮૫૧. કુલ ત્રણ ભાઈઓ. તેમાંના બે, જ્યોર્જ અને થોમસ મુંબઈ ઇલાકામાં રહ્યા. થોમસનું કામ મુખ્યત્ત્વે કોંકણ વિસ્તારમાં. જ્યોર્જની ચાર વર્ષની વયે કંપની સરકારનું કામ મદ્રાસમાં રહીને કરતા પિતાનું અવસાન. માતાએ તરત બીજાં લગ્ન કર્યાં અને જર્વિસ તથા તેના બે ભાઈઓને મદ્રાસથી ઈંગ્લન્ડ ધકેલી દીધા, અને પછી ક્યારે ય તેમની સામે જોયું પણ નહીં.  ઇંગ્લન્ડમાં કાકા પાસે રહી ત્રણે ભાઈ ઉછર્યા, ભણ્યા. જરૂરી શિક્ષણ અને તાલીમ મેળવ્યા પછી બોમ્બે મિલીટરી એન્જિિનયર કોર્પ્સમાં સેકંડ લેફ્ટનન્ટની નોકરી મળતાં જ્યોર્જ જર્વિસ ૧૮૧૧ના સપ્ટેમ્બરમાં મુંબઈ આવ્યા. એન્જિનિયર તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રસ્તાઓ બાંધવા અંગેનું ઘણું કામ કર્યું અને આપમેળે ગુજરાતી અને મરાઠી ભાષાના સારા જાણકાર બની ગયા. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન હોદ્દાની રૂએ ધ નેટીવ સ્કૂલ બુક એન્ડ સ્કૂલ સોસાયટીના પ્રમુખ બન્યા ત્યારે સ્થાનિક ભાષાઓની જર્વિસની જાણકારીને કારણે તેમને ૧૮૨૨માં સોસાયટીના સેક્રેટરી બનાવ્યા. એ પદે રહીને જર્વિસે ગુજરાતી અને મરાઠીમાં ઘણાં પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. ‘ઇનામ’ આપવાની જાહેરાતો કરીને પુસ્તકો લખાવવાનો ચાલ પણ જર્વિસે શરૂ કર્યો. એલ્ફિન્સ્ટને તેમના ઉપર પસંદગી ઉતારી તેનું બીજું મુખ્ય કારણ એ કે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે અહીંના લોકોને શિક્ષણ તો તેમની માતૃભાષા દ્વારા જ આપવું જોઈએ. ૧૮૪૦માં ‘બોર્ડ ઓફ એજ્યુકેશન’ સ્થાપીને મુંબઈ સરકારે શિક્ષણનું કામ પોતાના હાથમાં લઇ લીધું. તેના સાત સભ્યોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. ૧૮૪૩માં મુંબઈ હાઈકોર્ટના એક જજ સર અર્સકીન પેરી આ બોર્ડના અધ્યક્ષ બન્યા. લોર્ડ મેકોલેની જેમ તેઓ શિક્ષણમાં અંગ્રેજી માધ્યમના તરફદાર હતા. તેમણે બોર્ડમાં ઠરાવ મૂક્યો કે કલકત્તા ઈલાકાની જેમ મુંબઈ ઇલાકામાં પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ હોવું જોઈએ, મરાઠી, ગુજરાતી વગેરે સ્થાનિક ભાષાઓ નહિ. બોર્ડના ત્રણ ‘દેશી’ સભ્યો જગન્નાથ શંકરશેઠ, ફ્રામજી કાવસજી અને મહંમદ ઈબ્રાહીમ મકબાની સાથે જ્યોર્જ જર્વિસે પણ આ ઠરાવનો જોરદાર વિરોધ કર્યો એટલું જ નહિ, અધ્યક્ષ તેમ જ બીજા ત્રણ અંગ્રેજ સભ્યોની સામે પડીને ઠરાવની વિરુદ્ધમાં પોતાનો મત આપ્યો. આ ઉપરાંત તેમણે સરકારી લિથોગ્રાફ છાપખાનાના વડા તરીકે અને ‘એન્જિનિયર ઇન્સ્ટીટ્યૂશન’ના વડા તરીકે પણ કામ કર્યું. ૧૮૩૦માં પૂના બદલી થઇ. કારકિર્દીનાં છેલ્લાં કેટલાંક વર્ષ તેઓ મુંબઈના ચીફ એન્જિનિયર રહ્યા. આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની માતૃ સંસ્થા લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની ૧૮૦૪માં સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપકોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. નોકરીમાંથી રાજીનામું આપીને ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે ફિરોઝ નામની સ્ટીમરમાં સ્વદેશ જવા નીકળ્યા. પણ રસ્તામાં જ ૧૮૫૧ના ઓક્ટોબરની ૧૪મી તારીખે અણધાર્યું અવસાન થયું. ત્યારે ઉંમર ૫૭ વર્ષની.

અને છેલ્લી એક વાત: અહીં જેની વાત કરી છે તે તો પુસ્તકનો પહેલો ભાગ છે. પહેલા ભાગને અંતે જણાવ્યું છે કે બીજા ભાગમાં બીજ ગણિત અને ભૂમિતિ આવરી લીધાં છે. એ ભાગ હજી જોવા મળ્યો નથી. પણ આશા છોડી દીધી નથી.

XXX XXX XXX

ફ્લેટ ન. ૨, ફૂલરાણી, સાહિત્ય સહવાસ, મધુસૂદન કાલેલકર રોડ, કલાનગર, બાંદ્રા (ઇસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૫૧

ઇમેલ: deepakbmehta@gmail.com     

Loading

ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે ગુજરાતી વૈચારિક સામયિકોએ સંગીન લડત આપી હતી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 March 2018

બાવીસ માર્ચ ૧૯૭૭ના દિવસે દમનકારી કટોકટીનો અંત આવ્યો હતો

બાવીસ માર્ચ આઝાદ ભારતના ઇતિહાસમાં યાદગાર દિવસ છે. એટલા માટે કે આપણા લોકશાહી દેશ પર સરમુખત્યારશાહી રીતે લાદવામાં આવેલી કટોકટીનો ૧૯૭૭ના આ દિવસે અંત આવ્યો હતો.

વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫ના રોજ કટોકટી લાદી. બંધારણની કલમ ૩૫૨ અન્વયે લેવામાં આવેલાં આ પગલાં મુજબ નાગરિકના મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય મોકૂફ બની ગયાં. વડાં પ્રધાને દેશની એકતા માટે જોખમકારક કોમી ઉશ્કેરણી અને વડાં પ્રધાનનાં પદ સામે ઘાતક રાજકીય પ્રયાસો ચાલી રહ્યાં હોવાને બહાને કટોકટી જાહેર કરી. અલબત્ત હકીકતો અલગ હતી. શ્રીમતી ગાંધી માર્ચ ૧૯૭૧માં રાયબરેલીથી જે ચૂંટણી લડ્યાં હતાં, તેને જૂન ૧૯૭૫માં અલ્લાહબાદની  અદાલતે ચૂંટણીના કામમાં  સરકારી કર્મચારીની મદદ લેવા સબબ રદ કરાવી હતી. તદુપરાંત જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન જોર પકડી રહ્યું હતું, જેમાંથી બિનકૉન્ગ્રેસી પક્ષોને બળ મળી રહ્યું હતું. વળી, ગુજરાતમાં બિનકૉન્ગ્રેસી જનતા મોરચાની સરકાર રચાઈ હતી. આ પરિબળો વડાં પ્રધાનના વ્યક્તિગત સત્તાવાદ અને મનસ્વી શાસનમાં અવરોધરૂપ હતાં.

કટોકટીને કારણે લોકશાહી પર જોખમ આવ્યું એટલે નાગરિક સ્વાતંત્ર્યના પ્રહરીઓએ આખા દેશમાં તેનો વિરોધ કર્યો. તેમાં ગુજરાત મોખરે હતું. લોકસભાના ચૂંટાયેલા સભ્ય પુરુષોત્તમ માવળંકર (૧૯૨૮-૨૦૦૨) અને રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશી(૧૯૧૧-૮૮)એ પોતપોતાનાં ગૃહમાં કટોકટી વિરુદ્ધ પ્રખર વક્તવ્યો આપ્યાં. માવળંકર સાહેબે કટોકટી સામે સંસદમાં કરેલાં અંગ્રેજી ભાષણોનું ગુજરાતી પુસ્તક ‘ભગવાન માફ નહીં કરે’ (૧૯૭૯) નામે પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત જાહેર જીવનનાં અનેક અગ્રણીઓ, બૌદ્ધિકો તેમ જ નિસબત ધરાવતાં નાગરિકોએ વ્યક્તિગત અને સામૂહિક રીતે અવાજ ઊઠાવ્યો હતો.

ગુજરાતનાં વિચારપત્રો કહેતાં ગંભીર ચોપાનિયાં અથવા લિટલ મૅગેઝિનોનો અવાજ બુલંદ  હતો. સામયિકો માટે ગાળિયો પ્રિસેન્સરશીપનો હતો. પ્રિસેન્સરશીપ એટલે સરકારી નિયામકની મંજૂરી વિના લખાણ છાપી ન શકાય એવો કાયદો. ‘વાંધાજનક’ લખાણ પ્રગટ ન કરી શકાય,  અને ‘વાંધાજનક’ શું તે સરકાર પોતે નક્કી કરે. પ્રેસ કાઉન્સિલ રદ કરી નાખવામાં આવી હતી. સંસદ અને વિધાનસભામાં શું બોલાય છે તે પ્રગટ કરવાની આઝાદી પર પાબંદી આવી. વર્તમાનપત્રોનાં મોંએ ડૂચા લાગી ગયા. ઉમાશંકરે તેમના ‘સંસ્કૃિત’ માસિક(૧૯૪૭-૧૯૮૪)ના જૂન ૧૯૭૫ના અંકનું પહેલું પાનું કટોકટીના મથાળા સાથે કોરું રાખ્યું હતું અને બીજા પાને એક કાવ્ય મૂકીને પ્રકાશન બંધ કરવાની જાહેરાત કરી. ત્યાર પછી બાવીસમી જુલાઈ ૧૯૭૫માં આ લોકધર્મી સારસ્વતે રાજયસભાના કટોકટીસત્રમાં તેજસ્વી પ્રવચન કર્યું. તેમણે કહ્યું: ‘ભારતમાં ક્યારે ય પ્રિ-સેન્સરશીપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. પણ આપણે સત્યથી બીએ છીએ. દેશ આખાને આવરી લેતો ભય આતંકનો આ કાળમુખો પડછાયો આવે છે ક્યાંથી ? …’  ચોથી ફેબ્રુઆરી ૧૯૭૬ના દિવસે રાજ્યસભામાંના છેલ્લા પ્રવચનમાં તેમણે ‘કટોકટી અંગેના સામૂહિક આનંદગાન’ની ટીકા કરી. વળી સેન્સરશીપની જાળ વિસ્તારતા અને સર્જકતા સાથે સંકળાયેલા તમામને તેમાં આવરી લેતા ખરડાનો પણ તેમણે દાખલા દલીલો સાથે વિરોધ કર્યો.

ઉમાશંકર પાક્ષિક વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રીમંડળમાં તેના પ્રારંભથી જ હતા. મનહર મોદીના તંત્રીપદે ચાલતાં ‘નિરીક્ષકે’ પણ સેન્સર પાસે જવાનો ઇન્કાર કર્યો. પરિણામે ‘નિરીક્ષક’ બંધ કરવું પડ્યું. એની પાસે પોતાનું પ્રેસ ન હતું. થોડા સમય  પછી ‘ડાયનૅમિક પ્રેસે’ તેને  છાપવાની હિંમત દાખવી. સરકારી નોટિસો આવતી ગઈ એને ન ગણકારી. છેવટે જુલાઈના અંકમાં ઉમાશંકરના અગ્રલેખ ‘બંધારણ સુધારા લોકમત વગર ?’ માટે સખત નોટિસ બજાવવામાં આવી. એ અંક જપ્ત કરવામાં આવ્યો. ‘નિરીક્ષક’ બીજી વાર બંધ થયું. તે પછી તેનું રજિસ્ટ્રેશન પણ બંધ થયું. પહેલી મે ૧૯૭૭ના રોજ એ ફરીથી શરૂ થયું. આ બધાંમાં પ્રેસ, લેખકો, તંત્રી એમ બધાએ જોખમ ઊઠાવીને ‘પ્રજા હૃદયનો ધબકાર પ્રગટ કરવાનું’ ચાલુ રાખ્યું હતું. 

કટોકટીનો વિરોધ કરતી સામગ્રી મોટા પાયે પ્રસિદ્ધ કરવામાં ચુનીભાઈ વૈદ્ય (૧૯૧૭-૨૦૧૪) અને કાન્તિભાઈ શાહ(૧૯૩૩-૧૯૧૨)ના તંત્રી પદે ચાલતું સર્વોદય વિચારધારાને વરેલું ‘ભૂમિપુત્ર’ પાક્ષિક પણ મોખરે હતું. તેના પ્રેસને સરકારે ત્રણ વાર સીલ કર્યું. સેન્સર અધિકારીએ નારાયણ  દેસાઈનો એક લેખ છાપવા બદલ પ્રકાશક પાસે એક હજાર રૂપિયાની સિક્યુરિટી માગી. એ બે વાચક-ચાહકોએ ભરી દીધી. છાપકામની વ્યવસ્થા માટે અખબારી સ્વાતંત્ર્યના ચાહકોએ હજારો રૂપિયાનો લોકફાળો થયો. સરકારે કરેલા કેસમાં વડી અદાલતનો ચૂકાદો ‘ભૂમિપુત્ર’ની તરફેણમાં આવ્યો. એ જ દિવસે સાંજે સરકારે ખેલ પાડીને ચુનીભાઈ વૈદ્ય અને કેસ લડનાર માનવ અધિકારવાદી ધારાશાસ્ત્રી ચન્દ્રકાન્ત દરૂ (૧૯૧૬-૧૯૭૯) બંનેને ‘મીસા’ કહેતાં મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી અ‍ૅક્ટ હેઠળ જેલમાં પૂરી દીધા.

ગુજરાતના લોકોત્તર વાચન પ્રસારક મહેન્દ્ર મેઘાણી ‘મિલાપ’ નામનું અનોખું સંકલન સામયિક બહાર પાડતા હતા. પહેલા પ્રજાસત્તાક દિને શરૂ થયેલા આ માસિકનો હેતુ હતો: ‘ચોપાસની દુનિયા વિશેનું જ્ઞાન વધારનારું, સામાન્ય સમજના વાચકને રુચે, સરળ લાગે અને ઉપયોગી નીવડે તેવું વાચન પૂરું પાડવું.’ ડિસેમ્બર ૧૯૭૮માં ‘મિલાપ’ ‘ખાસ કોઈ કારણ’  વિના બંધ થયું. કટોકટી લદાઈ ત્યારે ‘મિલાપ’ તેની વિરુદ્ધ ન હતું. પણ સંપાદકે તેના એક વર્ષ પછીના અંકમાં જયપ્રકાશ નારાયણનું કટોકટી વિરોધી લખાણ છાપ્યું. તેને પરિણામે તેની પર તવાઈ આવી. તંત્રી પર ખટલો ચાલ્યો, પ્રેસ અને અંકો પર જપ્તી આવી, નવ મહિના સુધી અંકો ન આપી શકાયા.

હિન્દુત્વવાદી ઝુકાવ ધરાવતા ‘રાષ્ટ્રીયતાના ઉદઘોષક’ એવા ‘સાધના’ સાપ્તાહિકે કટોકટીના કરેલા વિરોધની વિગતો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કટોકટી સામેની લડતનું આલેખન કરવા માટે લખેલા ‘સંઘર્ષમાં ગુજરાત’(૧૯૭૮) પુસ્તકમાં મળે છે. મોદી લખે છે: ‘…. ‘સાધના’નો સંઘર્ષ તો બે મોરચાનો હતો. સરકારના કાનૂન ‘સાધના’ને સાણસામાં ફસાવવા મથતા હતા. બીજી તરફ ‘સાધના’ સાથે દંડાશાહીનું વલણ પણ અખત્યાર કરવામાં આવ્યું.’ સાપ્તાહિકની કાનૂની જીત, ‘લોકશાહી વિશેષાંક’, ’રાજદ્રોહી લખાણોથી ભરપૂર સામગ્રી’, તંત્રી વિષ્ણુ પંડ્યાની ધરપકડ, પ્રેસ પર ઊતરી પડેલાં સરકારી ધાડાં જેવી અનેક બાબતો લેખકે નોંધી છે. પ્રકરણને અંતે તે લખે છે : ‘નાનકડા ‘સાધના’એ પરિવર્તનના ઇતિહાસમાં મુક્ત શબ્દના સંઘર્ષની અમીટ પ્રેરણા મૂકી દીધી !!’ મોદીના પુસ્તકમાં કટોકટી સામે લડનારા નાનાં અખબારો અને સંખ્યાબંધ કાર્યકરોનો, કૉલમિસ્ટો અને સાહિત્યકારોનાં પ્રતીકાત્મક જેશ્ચર્સનો યથોચિત ઉલ્લેખ છે. પણ એમાં ઉમાશંકરની ભૂમિકાની છણાવટ સહિત કેટલીક બાબતોનું ઠીક બાકાતીકરણ પણ જોવા મળે છે. એ પણ નોંધવું જોઈએ કે વિષ્ણુ પંડ્યાનું ‘મીસાવાસ્યમ’ (૧૯૭૯) પુસ્તક  કટોકટી સામેની લડતને પ્રથમ વ્યક્તિ એકવચન પદ્ધતિએ આલેખે છે.

અત્યારે આપણા દેશમાં બંધારણીય કટોકટી નથી. ગુજરાતમાં લોકહિતના અને વિરોધના અવાજને ગળે જુદી જુદી રીતે ટૂંપો દેવાય છે. જેમ કે હમણાં સોમવારે ગાંધીનગરમાં ‘ખેડૂત સમાજ’ના નેજા હેઠળ ધરણાં પર કરનાર ખેડૂતોની અટકાયત કરવામાં આવી. કટોકટી જેવા મહોલના આવા અણસાર મળતા રહે છે. કટોકટી સામેના સંઘર્ષ વિશે વિચારતાં ‘જાહેર જીવનના કવિ’ ઉમાશંકરની – આપણા મોટા ભાગના સાહિત્યકારોથી ભૂલાઈ ગયેલી – પંક્તિ યાદ આવે છે : ‘કાલે હતો તે તડકો ક્યાં છે ?’

++++++

૧૫ માર્ચ ૨૦૧૮

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 16 માર્ચ 2018 

Loading

...102030...3,1523,1533,1543,155...3,1603,1703,180...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved