Opinion Magazine
Number of visits: 9581143
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સવાલ અપરિણીત પુત્રીના ભરણપોષણનો

વર્ષા પાઠક|Opinion - Opinion|14 April 2018

અપરિણીતા પુત્રીને પિતા પાસેથી ભરણપોષણનો અધિકાર મળે, પણ કઈ ઉંમર સુધી, એ કેવી રીતે નક્કી થાય ?

માતાપિતા ડિવોર્સ લે, કે એક બીજાંથી અલગ રહે ત્યારે માતા ઉપરાંત એની સાથે રહેતાં સગીર વયનાં બાળકોને પણ પિતા તરફથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે, એવું આપણો કાયદો કહે છે. એ વાત જુદી છે કે આ જવાબદારીમાંથી છટકી જવા માટે પુરુષો તરફથી એના ધર્મથી માંડીને પોતાની આર્થિક સ્થિતિ જેવાં કારણો રજૂ થતાં રહે છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં અદાલત બાળકોનાં હિતને ધ્યાનમાં રાખે છે.

પતિ-પત્ની ભલે ગમે તે કારણસર, ગમે તેટલા ઝઘડે, પણ એમાં બાળકોનો વાંક નથી અને એમને નુકસાન ન થવું જોઈએ એવું વલણ અદાલત દાખવે છે. જો કે, કાયદો એવું પણ કહે છે કે બાળકો સગીર વયના હોય ત્યાં સુધી જ એમનો ખર્ચ ઉપાડવાની જવાબદારી પિતા પર રહે છે. સંતાન અઢાર વર્ષનું થઇ જાય, પછી પપ્પાજી છૂટ્ટા. પણ, સંતાનમાં અઢાર વર્ષથી મોટી અપરિણીત દીકરી હોય તો?

મુંબઈમાં રહેતાં એક યુગલે નવ વર્ષના લગ્નજીવન પછી ડિવોર્સ લીધા. બે દીકરા અને એક દીકરી ત્યારે સગીર વયનાં હતાં અને એમનો કબજો માતાને મળ્યો. દીકરા પુખ્ત વયે પહોંચ્યા, એટલે કે અઢાર વર્ષના થઇ ગયા અને પિતાએ એમનો ખર્ચ આપવાનું બંધ કર્યું, ત્યારે તો માતાએ મનેકમને કાયદો સ્વીકારી લીધો. પણ અઢાર વર્ષની થયેલી દીકરી માટે પિતાએ ભરણપોષણ આપવાનું બંધ કર્યું ત્યારે સ્ત્રીએ અદાલતની દરવાજો ખટખટાવ્યો. એણે કહ્યું કે બે દીકરાએ ભણી લીધું છે પણ એમાંથી હજી એકને નોકરી નથી મળી અને બીજો હજી એણે ભણવા માટે લીધેલી એજ્યુકેશન લોન ભરે છે, માતાની ખુદની કોઈ આવક નથી. એવા સંજોગોમાં દીકરીને ભણાવવાનો ખર્ચ કોણ ઉપાડે? કેસ ફેમિલી કોર્ટમાં ગયો ત્યારે ત્યાં બેઠેલા જજે માતાની અપીલ નકારી કાઢીને પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો. આ ચુકાદાની સામે માતા હાઈકોર્ટમાં ગઈ. દીકરી ઓગણીસ વર્ષની થઈ ગઈ. હમણાં મુંબઈ હાઈકોર્ટે એના પક્ષમાં નિર્ણય આપ્યો કે છોકરી ભલે પુખ્ત વયની થઈ ગઈ, પણ અપરિણીત પુત્રીને એના પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે.


આ પ્રકારનું જજમેન્ટ જો કે પહેલીવાર નથી આવ્યું. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ડાંગરેએ આજથી લગભગ અઢાર વર્ષ પહેલાં આ જ કોર્ટમાં આવેલા જગદીશ જુગાવત વર્સીસ મંજુ લતા કેસને ટાંકતા કહ્યું કે હિન્દુ દત્તક અને ભરણપોષણ કાનૂનની કલમ હેઠળ દીકરી પુખ્ત વયની થઈ ગયા બાદ પણ એનાં લગ્ન ન થાય ત્યાં સુધી પિતા પાસેથી ભરણપોષણ મેળવવાને હકદાર છે અને આ કાયદો માત્ર હિંદુઓને લાગુ પડે એવું નથી.

જુગાવતની પહેલાં 1997માં સુપ્રીમ કોર્ટની સામે નૂર સબા ખાતુન વર્સીસ મોહમ્મદ કાસીમના કેસમાં એમની બે દીકરીનાં લગ્ન થાય ત્યાં સુધી પિતાએ એમનો ખર્ચ આપવો પડશે, એવો ચુકાદો અપાયો હતો. મુંબઈ ખાતે તાજેતરના કેસમાં હાઈકોર્ટના ફેંસલા સામે પિતા સુપ્રીમ કોર્ટમાં જશે કે નહિ, એ આપણે હજી નથી જાણતા, પણ આ પ્રકારના કેસમાં કાયદાની મર્યાદા બહારના અનેક પ્રશ્નો ઊભા થાય.


પહેલો પ્રશ્ન એ થાય કે કોઈ પણ પિતા પોતાના સંતાનની જવાબદારીમાંથી છટકી જવા જેટલી બેપરવાહી કે કઠોરતા કઈ રીતે દાખવી શકે? ડિવોર્સ વખતે પતિપત્નીને એકમેક પ્રત્યે ભયાનક ગુસ્સો, ફરિયાદો હોય એ સ્વાભાવિક છે. આવા સંજોગોમાં પુરુષ ભરણપોષણની રકમના મુદ્દે ગલ્લાંતલ્લાં કરે, એ ગેરકાનૂની છે, પણ ચાલો, સમજી તો શકાય પરંતુ સગાં પિતાને પોતાનાં સંતાનો પ્રત્યે પણ આટલો જ અણગમો જાગી જાય કે એક સમયે આંખોના ચાંદતારા લાગતાં સંતાનો ડિવોર્સ પછી રાતોરાત પારકાં થઇ જાય? ડિવોર્સ પછી બીજાં લગ્ન કરી લેનાર પુરુષ આવું કરે ત્યારે ઘણીવાર એમાં એની બીજી પત્નીનો દોષ પણ કઢાય છે પરંતુ બાળકો આખરે કોનાં છે અને એમની કાળજી લેવાની નૈતિક જવાબદારી કોની છે? આ જવાબદારીમાંથી પુરુષ છટકવા જાય ત્યારે અદાલતે વચ્ચે આવવું પડે. કમનસીબે આપણે ત્યાં પતિથી છૂટી પડેલી બધી સ્ત્રીઓ ભરણપોષણ માટે અદાલતમાં નથી જતી અને જાય તોયે એમને ઝટ દઈને ન્યાય મળી જશે, એવી કોઈ ગેરેંટી નથી હોતી.


હવે બીજો પ્રશ્ન – કાયદો કહે છે કે ડિવોર્સ પછી માતા સાથે રહેતાં બાળકો અઢાર વર્ષનાં થઇ જાય એટલે એમના પ્રત્યેની પિતાની જવાબદારી પૂરી થઇ જાય, પણ દીકરીને એમાંથી બાકાત રખાઈ છે. આનો અર્થ એવો થાય કે અઢાર વર્ષનો થઈ ગયેલો દીકરો પોતાના ભણતર સહિતનો બધો ખર્ચ ઉપાડી લેવા માટે સક્ષમ થઇ જાય છે કે થવો જોઈએ. પણ હવે વિચાર કરો, અત્યારના સંજોગોમાં એવું કયું ‘સારું’ કહેવાય એવું ભણતર છે, જે અઢાર વર્ષની વયે પૂરું થઇ જાય? ધારી લ્યો કે છોકરો મેડિકલ કે એન્જિનિયરિંગ કૉલેજમાં છે તો એણે પોતાની ફી ભરવા માટે પાર્ટ ટાઈમ જૉબ શોધવાની કે માતાનાં સગાંવહાલાં પર આધાર રાખવાનો કે એજ્યુકેશન લોન માટે ફાંફાં મારવાનાં? અફકોર્સ, બધા પિતાઓ આવી ક્રૂરતા નથી દાખવતા, પણ જેણે કોઈ જવાબદારી લેવી જ ન હોય એ આવી કાનૂની છટકબારીઓ શોધે છે. આપણી આસપાસ નજર નાખી લેજો, આવા લોકો મળી આવશે.


મા-દીકરીની તરફેણમાં આવેલો ફેંસલો સાંભળ્યા પછી એક ભાઈએ જે સવાલ કર્યો એ પણ વિચારવા જેવો છે. અપરિણીત પુત્રીને પિતા પાસેથી ભરણપોષણ લેવાનો અધિકાર મળે એ સારી વાત છે, પણ કઈ ઉંમર સુધી, એ કેવી રીતે નક્કી થાય? મતલબ કોઈ છોકરીનાં લગ્ન પાંત્રીસ વર્ષ સુધી ન થાય અને એ નોકરી ન કરતી હોય તો જુદા પડી ગયેલા પિતા પાસેથી ભરણપોષણ માંગી શકે?


અપરિણીત પુત્રીના અધિકારનો વિષય આવ્યો છે ત્યારે એક બીજી વાત પણ કરી લઈએ. મુંબઈમાં રહેતાં એક યુગલને સાત દીકરી હતી. ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય પણ પતિપત્નીનું લગ્નજીવન સુખી હતું. છ દીકરી પરણી ગયાં બાદ પિતાનું અવસાન થયું. એક દીકરી પરણવાનું માંડી વાળીને માતા સાથે રહી. એ નોકરી કરીને સારું કમાતી હતી. લગભગ પંચાણું વર્ષની વયે માતાનું અવસાન થયું ત્યાં સુધી એની અને ઘરની જ નહિ, બીજા સામાજિક વ્યવહાર કરવાની જવાબદારી પણ આ અપરિણીત દીકરીએ નિભાવી. પણ હવે લગભગ સાઠ વર્ષની ઉંમરે એને જૂનું ઘર વેચીને નવી જગ્યાએ જવું છે તો એની છમાંથી બે બહેનનાં ઘરવાળાં આડા પડ્યાં છે.

એ લોકો પિતાએ ખરીદેલા ઘરમાંથી હિસ્સો માંગે છે. જોવાનું એ કે આ સાવ નાનું ઘર છે અને અત્યાર સુધી એના મેઇન્ટેનન્સ, સમારકામ માટે આ અપરિણીત પુત્રી સિવાય કોઈએ એક પૈસાનો પણ ખર્ચ નથી કર્યો. પ્રસંગોપાત બધા આવીને રહે પણ મોજમજા કરીને જતાં રહે. હવે એ પોતાનો અધિકાર માગે છે. અહીં પ્રશ્ન એ કે પોતાનાં ઘર કે સંપત્તિનું વિલ બનાવ્યા વિના માતાપિતા ગુજરી જાય તો છેક સુધી બધી રીતે એમનું ધ્યાન રાખનારી અપરિણીત દીકરીને એમાંથી કેટલું મળવું જોઈએ? ધારો કે, બીજી બહેનોને ભાગ આપ્યા બાદ પોતે માંદી પડે કે વૃદ્ધાવસ્થામાં સાવ પથારીવશ થઇ જાય તો એ અપરિણીત દીકરી/બહેન પેલા લોકોની પાસેથી ભરણપોષણ માગી શકે?

સૌજન્ય : ‘મુદ્દાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 13 અૅપ્રિલ 2018 

Loading

લોકશાહી? શું તમે માનો છો કે તમને તેના વિષે જાણકારી છે?

આશા બૂચ|Opinion - Opinion|14 April 2018

આજે જાણે આખું વિશ્વ મુખ્યતઃ લોકશાહી અને સરમુખત્યારશાહી એમ બે શાસન પ્રણાલીમાં વિભાજીત થઇ ગયું છે. લોકશાહીને સહુથી વધુ પ્રજા કલ્યાણકારી, ન્યાયી અને સમાનતામૂલક રાજ્ય પદ્ધતિ માનવામાં આવે છે. તેના પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર – અથવા કહો કે તેનાથી મળતા ફાયદાઓ ભોગવનાર સત્તાધીશો તો તેના પ્રચારના નામે એ શાસન પ્રણાલીને અન્ય દેશો પર ઠોકી બેસાડવાની તહે દિલથી કોશિશ કરે છે, એટલું જ નહીં, એ બહાને બીજા દેશો સાથે લડાઈ કરવા તત્પર પણ થાય છે. પણ જરા જાતને પૂછી જોઈએ, લોકશાહી એ ખરેખર કઈ બલા છે?

એક જમાનો હતો જ્યારે દુનિયાના મોટા ભાગમાં રાજાશાહી શાસન પ્રણાલી પ્રચલિત હતી. તેમાં વંશપરંપરાગત સત્તા અને ધનની પ્રાપ્તિ થતી, રાજા, તેના મંત્રીઓ અને નગરશ્રેષ્ઠીઓના ધન ભંડારો હિલ્લોળા લેતા હોય ત્યારે સામાન્ય પ્રજાજન પાસે જૂજ મિલકત રહેતી, તેથી એ પ્રથાને સ્થાને અન્ય રાજ્ય પદ્ધતિ લાવવાનો પવન ફૂંકાયો. નવીન વિચારધારાઓનો પ્રાદુર્ભાવ, અનેક ક્રાંતિઓ અને સંઘર્ષોનાં પરિણામ સ્વરૂપ સામ્યવાદ, સમાજવાદ, લોકશાહી અને સરમુખત્યારશાહી જેવી પ્રથાઓ ઠેર ઠેર અસ્તિત્વમાં આવી.

કોઈ દેશ સૌથી જૂની લોકશાહી હોવાના બણગાં ફૂંકે, તો કોઈ વળી સૌથી મોટી લોકશાહી હોવાનું ગૌરવ કરે, કોઈ દેશ પોતાને સહુથી વધુ સફળ લોકશાહી ગણાવી બીજા દેશને અસફળ લોકશાહી પૂરવાર કરે એવો તાલ જોવા મળે છે. તો, આ ‘લોકશાહી’ છે શું એમ પૂછીશું તો મોટા ભાગના લોકો કહેશે, અમને ખબર જ છે, વળી. કેમ, લોકો માટે, લોકો વડે અને લોકો વતી બનેલી સરકાર તે લોકશાહી! ખરેખર? ખરેખર આપણે લોકશાહી શાસન પ્રણાલી વિષે સાચી અને પૂરેપૂરી જાણકારી ધરાવીએ છીએ?

કોઈ પણ શાસન પ્રણાલીમાં બદલાવ આવવાની જોડે જોડે તેના વહીવટ અને શાસિતોના દરજ્જામાં પણ ધરખમ બદલાવ આવે છે. રાજાશાહીમાં જેઓ રૈયત તરીકે ઓળખાતા તેઓ લોકશાહીમાં નાગરિક બન્યા. બંનેના અધિકારો અને ફરજોમાં ફર્ક છે. નાગરિકો પાસેથી તેમના અધિકારો અને ફરજોનું જ્ઞાન અને સમજ તેમને હોય તેવી અપેક્ષા  રહે, સાથે સાથે સરકારનું સ્વરૂપ કેવું હોય તે પણ જ્ઞાત હોવું જરૂરી મનાય છે. લોકશાહીની વિભાવના સાથે જ મતાધિકાર અને નાગરિકતાના ખ્યાલોનો વિકાસ થયો એમ કહી શકાય. ખરું પૂછો તો લોકશાહી અને નાગરિકત્વના વિવિધ અર્થઘટનો જાણવા મળશે.

જરા વિચાર કરીએ, જે શાસન પ્રણાલી માટે આપણે આટલું બધું ગૌરવ લઈએ છીએ એ લોકશાહી ખરેખર શું લાભદાયી છે? રાજકારણ હવે આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. જે રીતે આપણું શિક્ષણ તંત્ર અને વ્યાપાર ચાલે છે, જે રીતે આપણા વ્યવસાયો વિકસે છે, જે પ્રમાણે આપણે મુસાફરી કરીએ છીએ; અરે જે રીતે આપણે આપણી જાતને પિછાણીએ છીએ તે બધાનો આધાર કોઈને કોઈ રીતે રાજકીય નિર્ણયો પર એક યા બીજી રીતે હોય છે. લોકશાહી દેશોમાં ચૂંટણીઓ થાય, રાજકીય પક્ષો એક બીજા સાથે હરીફાઈ કરે, નાગરિકો મત આપે, અને વધુ મત મેળવી જીતનાર પક્ષ આપણા પર રાજ્ય કરે એ પ્રથા રૂઢ થઇ છે. પરંતુ ક્યારે ય આપણે પોતાની જાતને ઢંઢોળીને પૂછ્યું છે: લોકશાહી પદ્ધતિ શું ખરેખર લાભદાયી છે? સારી શાસન પ્રણાલી માટે બીજો કોઈ માર્ગ છે?

આપણે સહજપણે માની લીધું છે કે લોકશાહી એ જ સારી વહીવટી વ્યવસ્થા છે અને તે જ એક ઉત્તમ રાજકીય માળખું પણ છે. હવે, કેટલાક લોકો માને છે કે લોકશાહીમાં વધુ પડતી ચર્ચા અને વિવાદો થાય છે, કોઈ પણ કાર્ય પર પાડવા માટે વધુ પડતો વિલંબ થાય છે અને લોકોને પોતાના લાભમાં નિર્ણય જોઈતો હોય તેથી સામા પક્ષ સાથે ભાવ તાલ કરવા પડે કે સમાધાન કરવું પડે તેથી હંમેશ સાચો નિર્ણય નથી પણ લેવાતો હોતો. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ વિન્સ્ટન ચર્ચિલે કહેલું, “લોકશાહી એ સરકારનું સહુથી વધુ દુષ્ટ સ્વરૂપ છે. તે સિવાયની બીજી તમામ પદ્ધતિઓનો અખતરો કરી જોવામાં આવ્યો છે.” અહીં કહેવાનો મતલબ એ છે કે લોકશાહી ઘણી રીતે એક અપૂર્ણ રાજ્ય વ્યવસ્થા છે પરંતુ તેનાથી બહેતર બીજો કોઈ વિકલ્પ નથી.

લોકશાહી જ એક માત્ર ઉત્તમ રાજ્ય વ્યવસ્થા છે એવું ન માનનારાઓ પાસે બીજી કઈ રાજ્ય વ્યવસ્થાઓ વિકલ્પ રૂપે છે? આપણે જોઈએ છીએ કે સરમુખત્યારશાહી, કે જેમાં એક સત્તારૂઢ આદમી કે ઔરત બાકીની તમામ જનતા પર શાસન કરે, અને  તેનો જ નિર્ણય માન્ય ગણાય. એક એવી દલીલ થાય છે કે જો તે એક વ્યક્તિ ખરેખર બીજા તમામ લોકો કરતાં વધુ ગુણવત્તાવાળી હોય તો સરમુખત્યારશાહીમાં શું ખોટું છે? પણ આપણે ચડિયાતા હોવું એટલે શું અને માનો કે તે એક સત્તાધારી વ્યક્તિ કોઈ બે ચાર બાબતોમાં ચડિયાતી હોય તેથી શું તેને સર્વસત્તાધીશ માની લેવો વ્યાજબી છે તે વિષે વિચારવું રહ્યું. બીજો વિકલ્પ છે ધાર્મિક સત્તા હેઠળ જીવવાનો. કેટલાક મુલકમાં ધાર્મિક આગેવાનોની સત્તા સર્વોપરી ગણાય છે. જો ધાર્મિક સંસ્થાઓ જ આપણને નૈતિક માર્ગદર્શિકા પૂરી પાડતી હોય, સત્યાસત્યનું ભાન કરાવનારી હોય તો આપણે શા માટે સામાન્ય નાગરિકોને મત આપવો જોઈએ? શા માટે આપણે આપણો અવાજ ઉઠાવવો જોઈએ? એવા સંયોગોમાં આપણને માત્ર ધર્મગુરુઓની જરૂર પડે, જે આપણને બાઇબલ, ગીતા અને કુરાન આપણી પાસે શી અપેક્ષા રાખે છે તે કહે અને આપણે તેને અનુસરીએ. શું આવી ધર્મનિયુક્ત રાજ્ય વ્યવસ્થા જે તે દેશના તમામ નાગરિકો માટે ઉપયુક્ત બની રહે? નિષ્ણાતો દ્વારા ચાલતું રાજ્ય એ ત્રીજો વિકલ્પ છે.  આધુનિક જીવન ઘણું ક્લિષ્ટ બનતું જાય છે, તો જે નિષ્ણાતો આ તમામ પ્રકારની ક્લિષ્ટ બાબતો સમજી શકે તેઓ જ આપણા વતી નિર્ણયો લે તે આપણા જેવા અજ્ઞાની લોકો મત આપે તેના કરતાં વધુ હિતાવહ નથી? અરાજકતા એટલેકે રાજ્યના અસ્તિત્વનો ઇન્કાર એ પણ એક અંતિમ વિકલ્પ ગણાય છે. કેટલાક તો એટલી હદે જાય છે કે તેઓને મન આ પદ્ધતિસરની સરકારો અને રાજકારણની કશી જરૂર નથી. બધાને સ્વત્રંતપણે વર્તવાની છૂટ હોવી જોઈએ એમ તેઓ માને છે. જરૂર પડ્યે લોકો પોતાના અને જેની સાથે તેઓ જીવે છે તેના લાભમાં હોય તેવા નિયમો ઘડી કાઢી શકે, સરકારે તેમણે શું કરવું તે કહેવાની જરૂર નથી. લોકશાહી રાજ્ય વ્યવસ્થાઓમાં ભલે ઘણી ત્રુટીઓ હશે, પરંતુ ઉપર કહી તેમાંની એક પણ રાજ્ય પદ્ધતિ આજે મોટા ભાગના રાષ્ટ્રોને માન્ય નથી તેમાં શકે નથી.

મોટા ભાગના લોકશાહી રાજ્ય વ્યવસ્થાને અનુસરનારા દેશોમાં પુખ્ત વયના તમામ નાગરિકોને મતાધિકાર સાંપડયા છે. તેઓ પોતાને યોગ્ય લાગે તેવા ઉમેદવારોને ચૂંટીને મોકલે જેઓ મતદારો વતી વહીવટ કરે, કાયદાઓ ઘડે અને તેઓ અમલ કરાવે તેવી વ્યવસ્થા છે. અબ્રાહમ લિન્કને તેથી જ લોકશાહીની વ્યાખ્યા આપતાં કહેલું, ‘લોકો દ્વારા, લોકો વતી અને લોકો માટે શાસન’. જો લોકશાહી ખરેખર એટલી સુંદર વ્યવસ્થા હોય તો નાગરિકો માત્ર ઉમેદવારો ચૂંટે છે, પણ રાજ્યની નીતિઓ ઘડવામાં તેમનો કોઈ હિસ્સો કેમ નથી હોતો? કેટલાક દેશોમાં નાગરિકો પોતે ચૂંટેલા પ્રતિનિધિઓની હારોહાર પોતે પણ સરકારી નીતિઓ નક્કી કરવામાં ભાગ લે છે. પ્રાચીન ગ્રીસ – એથેન્સમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થાનો ઉદ્દભવ થયો, ત્યારે આવા પ્રકારની સીધી લોકશાહી પદ્ધતિ અસ્તિત્વમાં હતી જેમાં નાગરિકો પોતાના ગણરાજ્યની નીતિઓ વિષે રૂબરૂ ચર્ચા કરવા અને નિર્ણય લેવા ભેળા મળતા (જો કે તે સમયે સ્ત્રીઓ, ગુલામો અને વિદેશીઓને નાગરિક તરીકેના અધિકારો નહોતા અપાતા). આધુનિક યુગમાં સ્વીત્ઝર્લેન્ડ સીધી લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. જો કે હજુ આદર્શ સ્થિતિ તો ત્યારે આવી ગણાશે કે જ્યારે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ પોતાની ફરજોમાંથી ચ્યુત થાય ત્યારે મતદારો તેમને સામાન્ય ચૂંટણીના સમય પહેલાં પદભ્રષ્ટ કરી બીજા લાયક ઉમેદવારને સત્તાસ્થાને બેસાડી શકશે.

લોકશાહી રાજ્ય વ્યવસ્થાને અન્ય રાજ્ય પદ્ધતિ કરતાં વધુ યોગ્ય માનવા પાછળ ઘણાં પરિબળો છે. તેમાંનું એક પરિબળ છે કે એ રાજ્ય વ્યવસ્થામાં લોક – જનતા – પ્રજાને પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની મુક્તિ છે, તેમના વતી ઘડાતા નિયમો અને કાયદાઓ વિષે પોતાનો મત – અભિપ્રાય આપવા સ્વતંત્રતા છે. સવાલ એ થાય કે લોકો શું દરેક મુદ્દા અને વિષય પર સાચો જ મત ધરાવતા હોઈ શકે? આમ પ્રજા પર કેટલે અંશે ભરોસો મૂકી શકાય? જેમ કે ફાંસીની સજાની તરફેણમાં ચુકાદો આપનાર પ્રજાના મતને માન્યતા આપવી યોગ્ય ગણાય? તો બીજો પ્રશ્ન એ ઊઠે કે કયા મુદ્દાઓ પર પ્રજાનો મત અને અભિપ્રાય સ્વીકારી શકાય? કોણે કોણે અને કેટલો કર ભરવો, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંરક્ષણ પર કેટલું ખર્ચ કરવું, વીજશક્તિ અણુશક્તિ, સૂર્ય  ઊર્જા કે ગેસથી ઉત્પન્ન કરવી કે નહીં તેવા વિષયો પર જનતા સીધો મત આપી શકે તેને લોકશાહી રાજ્ય વ્યવસ્થા કહેવાય?

આજે કોઈને પણ પૂછશો કે લોકશાહી એટલે શું? તો પટ્ટ દઈને જવાબ દેશે, ‘કેમ, બધાને મત આપવાનો અધિકાર તે વળી.’ એ મતદાતાઓ પોતાના ઉમેદવાર વિષે કે તેઓ આપણા વતી જે મુદ્દાઓ પર ચર્ચા કરી નિયમો અને કાયદાઓ ઘડવાના છે, એ વિષે તેમને પૂરતી માહિતી હોય છે? લોકશાહીમાં તો જનતાના જીવનને સ્પર્શતા આવા મુદ્દાઓ અને તેના ઉકેલ માટે ઉપલબ્ધ માર્ગો વિષે તટસ્થ માહિતી આપવી અને ચર્ચા કરવી એ જ મહત્ત્વનું બની રહે છે. મતાધિકાર પ્રાપ્ત થવો તે એક વાત છે, પણ વ્યક્તિ, કુટુંબ અને સમાજને લગતા વિષયો અંગે સમજણ કેળવવી અને તેને આધારે પોતાના મત અને અભિપ્રાય કારણો સહિત સમજી-સમજાવી શકવાની ક્ષમતા કેળવવી તે એક અલગ બાબત છે. એ જાગૃત લોકશાહીનાં ચિન્હ છે. તે સિવાય આપેલ મતની શી કિંમત છે? ખુલ્લા દિલથી અને તર્ક સહિત કરેલી ચર્ચાઓ જ મતદાતાઓની સમજણનું ખરું માપ કાઢે છે. ભારતમાં તો ઉમેદવારો સામા પક્ષના ઉમેદવારોની ત્રુટિઓના બે ચાર ગોખી કાઢેલા વાક્યો અને પોતાના અને પોતાના પક્ષના મોઢે કરેલાં સૂત્રો પોકારી, લાંબા લાંબા ભાષણો કરી, મતદાતાઓને ચા-ભજિયાંની પાર્ટીથી માંડીને મોબાઈલ ફોનની ભેટ આપીને ચાલતી પકડવામાં જ સમજ્યા છે.

લોકશાહી એવી ચીજ છે જેનો અમલ જ તેની ઓળખ છે. એ જો કે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો માત્ર એક શબ્દ છે, પણ ઘણો શક્તિશાળી શબ્દ છે કેમ કે સહુ માને છે કે લોકશાહી ઉત્તમ શાસન પદ્ધતિ છે. રાજકારણમાં રસ ધરાવનાર માને છે કે લોકશાહી તેમના પક્ષમાં છે, તેમના વિરોધીઓના નહીં. બહુસંખ્યક પ્રજાના મત મેળવીને સત્તારૂઢ થયેલ પક્ષનું રાજ ચાલે અને લઘુમતીઓના હક્કોની રક્ષા થાય તેનું નામ લોકશાહી. પરંતુ મોટા ભાગે આ બંને વચ્ચે સમતુલા જાળવવી કઠિન હોય છે.

હાલની લોકશાહી શાસન પદ્ધતિ મુજબ નાગરિકોને પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને તેમના દ્વારા રાજનીતિ ઘડવાની પસંદગી હોય છે. પરંતુ સામાન્ય નાગરિકો નથી એટલા સુશિક્ષતિ હોતા, નથી તેમને રાજકીય બાબતોમાં એટલી દિલચસ્પી હોતી, નથી તેમની પાસે એટલો ચર્ચા કે વિવાદો કરવા માટે સમય હોતો કે નથી તેઓ તેમાં પારંગત હોતા કે જેથી સારા રાજકીય નિર્ણયો લઇ શકે. આ સ્થિતિનો ઉપાય એ છે કે લોકોની ભાગીદારી સાથે નિષ્ણાતોની વિવેકબુદ્ધિનો વિનિયોગ થાય. નાગરિકો રાજ્યવ્યવસ્થાને લગતા મુદ્દાઓ માટે પોતાના હિતમાં હોય તેવા માર્ગોનું નિદર્શન કરે, પણ તેનો અમલ કરવાની પદ્ધતિ, અગ્રતાક્રમ અને સાધનો જુટાવવાનું કાર્ય એ વ્યવસાયમાં પડેલ વિશેષજ્ઞોના હાથમાં છોડે. હવે, આ પદ્ધતિ સફળ નથી થતી તેવું મોટા ભાગના દેશોના નાગરિકોને લાગે છે, તેનું કારણ એ છે કે નથી તો નાગરિકો એટલા સબળ વિચારધારા ધરાવનારા હોય છે કે પોતે પોતાના – એટલે કે સમગ્ર દેશના હિતમાં શું છે તે સમજી શકે અને તેના કરતાં ય મોટી ઉપાધિ એ વાતની છે કે તેમણે ચૂંટેલા પ્રતિનિધિઓ પોતપોતાના વિષય ક્ષેત્રમાં પારંગત નથી હોતા કે નથી તેમની પ્રજા પ્રત્યેની નિષ્ઠા હોતી. વળી એક બીજી મુશ્કેલી એ છે કે લોકશાહી બહુમતીના મત પર નિર્ણય લેવામાં માનતી હોવાથી એમ દર્શાવવામાં આવે છે કે દરેક પ્રકારના સરકારી નિર્ણયો અને પગલાં દેશના મોટા ભાગના લોકો માટે કલ્યાણકારી છે, અને તેમના આદેશથી જ તેનો અમલ કરવાની પરવાનગી સરકારી હોદ્દેદારોને અપાઈ છે, જ્યારે ખરું પૂછો તો 51% લોકોએ જે મુદ્દાની તરફેણમાં મત આપ્યો હોય તેના અમલથી 49% લોકો વિરોધમાં હોય તો એ કોને માટે ન્યાયી ઠરે? 1990ના દાયકા બાદ જે રીતે વૈશ્વીક બજારનું તૂત ઊભું થયું છે, તેનાં પરિણામે તો સ્પષ્ટ જણાય છે કે નાગરિકોના મત કે સરકારની નીતિઓ કરતાં મલ્ટીનેશનલ કંપનીઓ અને બજારોની પ્રજા પર વધુ સીધી સારી-માઠી અસરો થવા લાગી છે. તો પછી જ્યાં સરકાર કંપનીઓના હાથમાં કઠપૂતળીની માફક નાચતી હોય, ત્યાં નામની લોકશાહી શાસન પદ્ધતિનું ગાણું ગાવાની શી જરૂર? આના વિકલ્પે સીધી લોકશાહી શાસન પદ્ધતિ વિકસાવવી એ તો સ્વપ્નવત્‌ છે.

દુનિયાના વધુ નહીં તો છેલ્લાં સો વર્ષના રાજકીય ઇતિહાસ પર નજર નાખતાં ખ્યાલ આવે કે લોકશાહીને નામે ઘણું ઘણું બનવા પામ્યું. સાચા-ખોટા નિર્ણયો લેવાયા, સંગઠનો બન્યાં અને વિખેરાયાં, લડાઈઓ ફાટી નીકળી. સરકારો, જનતા અને સરમુખત્યારો બધાએ પોતપોતાની રીતે આ સ્થિતિને વ્યાજબી ઠેરવી. દરેક રાજકારણી અને સામાન્ય લોકે પોતાને લાભ કરે તેવો આ શબ્દનો અર્થ કર્યો. તો શું આ છે લોકશાહી?

1999માં ચૂંટાયેલ સરકારના વડાપ્રધાન નવાઝ શરીફને ઉથલાવી પાડીને સત્તા પર આવનાર જનરલ પરવેઝ મુશર્રફનું બયાન હતું કે તેઓ તો માત્ર લોકશાહીનો બીજો રાહ લઇ રહ્યા છે, એ કઇં માર્શલ લૉ નથી. એમનું કહેવું હતું, સશસ્ત્ર દળ લોકશાહી સારી રીતે સ્થાપિત થઇ જાય તેનાથી વધુ એક પણ દિવસ પણ સત્તા પર નહીં રહે. દુનિયાએ જોયું, તે પછી શું શું થયું. શું મુશર્રફે સાચી લોકશાહી પાકિસ્તાનની પ્રજાને આપી? એક મહાસત્તાનું બિરુદ પોતાની જાતને આપી બેઠેલ દેશ અમેરિકાનું ઉદાહરણ લઈએ. રીપબ્લિકન પાર્ટીના જ્યોર્જ બુશ અને ડેમોક્રેટ પાર્ટીના આલ ગોર તદ્દન ઓછા મતથી એક બીજાની લગોલગ આવી ગયેલા. ફ્લોરિડા રાજ્યમાં જે જીતે તે સ્ટેટના બધા ઇલેક્ટ્ર્લ કોલેજના મત જીતે એટલું જ નહીં પ્રેસિડન્ટ પણ બને એવી ત્યાં પ્રથા છે. જ્યોર્જ બુશને વિજયી ઘોષિત કરવામાં આવ્યા, ત્યારે ફ્લોરિડા વાસીઓને મત આપવાની સમાન તકો હતી, મશીનની મતોની ગણતરી સાચી હતી, કે ફરી વખત હાથથી ગણવાની જરૂર હતી વગેરે જેવા વિવાદોના વાદળો ઘેરાયેલ, જે સૂચવે છે કે હાલના સમયની લોકશાહી રાજ્ય પદ્ધતિ આપણે માનેલી તેટલી સફળ, નિષ્પક્ષ, સુરક્ષિત કે અસરકારક નથી. બહુ ચર્ચિત બ્રેકઝિટ વિષે કહેવાની જરૂર નથી કે લોકશાહીની વિફલતાનું આથી મોટું બીજું કોઈ ઉદાહરણ મળી નહીં આવે.

ઉપલાં ઉદાહરણો પરથી સવાલ ઊઠે, શું આ ખરી લોકશાહી છે? આપણે તો લોકશાહીને એક નૈતિક રીતે સબળ અને સહુથી સારી ઉપલબ્ધ રાજ્ય પદ્ધતિ છે એમ માનેલું કે જે સારાયે દેશના તમામ લોકોના લાભાર્થે તેમના વતી કામ કરે. થયું છે તેનાથી ઉલટું. છેતરપિંડી, આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને પ્રજાને મૂર્ખ બનાવવાની તરકીબો અજમાવાય છે, અમે જે સાચું માનીએ છીએ તે કરવાનો અમને અબાધિત અધિકાર છે એમ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માની રહ્યા છે અને મત મેળવવા ગમે તેટલી હીન કક્ષાએ પ્રજાનું શોષણ કરતા આવ્યા છે. શું આ લોકશાહીનાં સ્વપ્ન આપણે જોયેલાં? તેને માટે આટલી યાતનાઓ વેઠેલી?

ખરા અર્થમાં લોકશાહી તેને કહેવાય જ્યાં જનતા રાજકીય અને સામાજિક બાબતોમાં સુશિક્ષિત હોય, જાગૃત હોય અને પરિણામે વધુ સંખ્યામાં મત આપતી હોય અને ચૂંટણીઓ ન્યાયી અને નિષ્પક્ષ રીતે થતી હોય. આવી રાજ્ય પદ્ધતિમાં વ્યક્તિની ખાસ પક્ષપાતી વલણ વિના જનતાની પસંદના ઉમેદવાર તરીકે વરણી કરવામાં આવી હોય, લોકનો  સરકારી નીતિ ઘડવામાં હિસ્સો હોય, સ્થાનિક વિકેન્દ્રિત સત્તા દ્વારા નીચેથી ઉપર તરફ ગતિ કરતો સરકારી વહીવટ હોય અને નાના નાના સંકુલોનું સ્વયં સંચાલન થતું હોય. દેશ આખાનો સવાલ હોય કે ગ્રામ્ય સ્તરનો, સરકારની નીતિઓ વ્યાપારી કે મોટા ઉદ્યોગો પર આધારિત ન રહેતાં લોકહિત આધારિત હોય જેમાં લોકોનો અવાજ મુખ્યત્વે સંભળાતો હોય. હવે, કોઈ કહેશે કે આવા આદર્શો ભારતની લોકશાહી પદ્ધતિમાં જોવા મળે છે?

લોકશાહી શાસન પદ્ધતિની વિભાવના ચાહે પુરાતન ગ્રીસના સમયની હોય કે ત્યાર બાદ નવસંસ્કરણ પામેલ એકવીસમી સદીની લોકશાહીની વાત કરતા હોઈએ, એક વાત તો સ્પષ્ટ છે કે એ એક એવી સરકાર રચવાનો અધિકાર આપે છે, જેમાં પ્રજાને અંતિમ અને સર્વાધિક અધિકાર મળેલ હોય છે. એ સત્તા પ્રજા પોતે સીધી રીતે કે તેમણે ચોંટેલ પ્રતિનિધિઓ દ્વારા ભોગવતી હોય છે. સરકારી પ્રતિનિધિ બનવા માટે દરેકને સમાન અધિકાર છે, વંશ પરંપરાગત કે બીજા કોઈ પ્રકારના પક્ષપાત વિના કે ખાસ લાભ મેળવ્યા વિના સહુને સરકાર રચવાનો અને તેમાં હોદ્દા ગ્રહણ કરવાનો અધિકાર મળે. હવે, આ થઇ પોથીમાંનાં રીંગણાની વાત. હકીકત શું છે તેનો અનુભવ ભારત જ માત્ર નહીં, દુનિયાના મોટા ભાગના દેશોમાં થઇ ગયો છે. રાજ્યની સરકાર પ્રજાના હિતમાં કામ કરે તેનું નામ લોકશાહી શાસન પદ્ધતિ, એ આદર્શ ગંગામાં ડૂબકી મારીને અલોપ થઇ ગયો! બન્યું છે એવું કે પૈસાને જોરે બની બેઠેલા નેતાઓની કાન ભંભેરણી કરાયેલ કહેવાતી ભણેલી પ્રજા સાવ ભૂલા પડેલ ઘેટાંની માફક નેતાઓ પાછળ માથું નીચું રાખીને જીવનની ઘટમાળમાં ચાલ્યા કરે છે.

લોકશાહીનો પાયો લોક અને તેમના વતી વહીવટ ચલાવનારાઓ વચ્ચે થતા વિચારોના આદાન-પ્રદાન પર હોવો જોઈએ, નહીં કે કોઈ પ્રકારના દબાવ નીચે લેવાયેલા કોઈ એક સમૂહ વિશેષના લાભને ધ્યાનમાં રાખીને લેવાતા નિર્ણયો પર. ત્યાં વંશ પરંપરાગત સત્તા ભોગવવાનો તો કોઈ અવકાશ જ નથી. પણ ભારતની પ્રજા હજુ એ પ્રકારની માનસિકતાથી મુક્ત થઇ શકી નથી. આફ્રિકાના આદિવાસીઓમાં કોઈ મુખિયો હોય કે ન હોય, તેઓનો વહીવટ સમાનતા અને ચર્ચા વિચારણા પર આધારિત હતો એ શું સૂચવે છે?  

જો આજની લોકશાહી લોકહિત જાળવવા માટે ખરી ન ઊતરી હોય તેમ લાગતું હોય તો સવાલ એ થાય કે તો પછી કેવા પ્રકારની લોકશાહીનું નિર્માણ કરી શકાય અને કેવી રીતે તેના આદર્શોને અમલી બનાવી શકાય? માનો કે કોઈ એક દેશની પ્રજા ધર્મ, ભાષા, રાજકારણ અને સંસ્કૃિતને આધારે વિભાજીત છે. જૂથ અ 45% લોકોનો બનેલ છે, જૂથ બ 35% લોકોનો અને જૂથ ક 20% લોકોનો. તેઓ બધા મોટે ભાગે સાથે રહે છે અને કામ કરે છે, પરંતુ એ ત્રણેય જૂથો વચ્ચે એક પ્રકારનો તણાવ છે અને પરસ્પર માટે શંકિત રહેતા હોય છે. એવા દેશની લોકશાહી પદ્ધતિ પર આધારિત સરકારી નીતિઓ કેવી રીતે ઘડી શકાય? બહુમતીના મત પ્રમાણે નીતિઓ ઘડવી અને લઘુમતીને વિષાધિકારોને અનામત બેઠકો આપવાથી સમાનતા સ્થાપી શકશે એ ભ્રમ હવે ભારતનો ભાંગી ગયો હોવો જોઈએ. હર નાગરિકને સમાન અધિકારો અને સમાન તકો આપીને પોતપોતાની ક્ષમતા મુજબ વિકાસ પામવાની સુવિધા કરી આપી હોત, તો આજે આ ચર્ચાને સ્થાન જ ન હોત. મત મેળવવાને એટલું બધું મહત્ત્વ અપાઈ ચૂક્યું છે કે તમામ પ્રકારની બદીઓ તેમાંથી જ જન્મી હોવાનું ભાસે છે. શા માટે લોકોના મતને આટલું મહત્ત્વ અપાય છે? લોકશાહીને સફળ કરવા માટે મત આપવો તે જરૂરી કે સ્વાભાવિક તંત્ર નથી. હા, તેની સાથે માનવ અધિકાર, રંગ, લૈંગિક અને અન્ય અસમાનતાઓ જોડાયેલી હતી તેથી વૈશ્વીક મતાધિકાર આપવો જરૂરી હતો. સમજવાનું એ છે કે માત્ર મતપેટીમાં મત ‘નાખવા’થી ફરજ પૂરી થતી નથી, એ તો માત્ર એક ઔપચારિકતા છે. ખરું જોતાં દરેક મુદ્દા માટે નાના નાના સમૂહોમાં વાર્તાલાપ, ચર્ચાઓ થવી જોઈએ અને બને તો સામૂહિક નિર્ણયો જાહેરમાં લેવાય તે ઉત્તમ, નહીં તો અસહમત થવા માટે સહમત થઈને કાર્યો આગળ ધપાવવાં એ વધુ અસરકારક વહીવટી પ્રથા બની રહે.

હાલના સમયની આવી કદરૂપી પ્રતિમા જોતાં જરૂર વિમાસણ થાય છે, શું લોકશાહી ખરેખર મૂલ્યવાન છે? શું એ જ એક ઉત્તમ પ્રકારની શાસન પદ્ધતિ ઉપલબ્ધ છે? લોકશાહીને નામે આપણને કયા વિચાર કે સિદ્ધાંતનું વધુ મૂલ્ય છે? 1998ના અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને કહેલું, “દરેક યુગમાં અને સમાજમાં કેટલીક માન્યતાઓ હોય છે જેના પ્રત્યે સહુ આદર અનુભવે છે જેમ કે કમ્પ્યુટર પ્રોગ્રામમાં ડિફોલ્ટ સિસ્ટમ હોય છે. આવી માન્યતાઓને સત્ય માનવામાં આવે છે સિવાય કે તેના એ દાવાને કોઈ પદ્ધતિસર ખોટો પુરવાર કરે. જો કે હજુ લોકશાહી સારાયે વિશ્વમાં અમલી નથી બની, કે નથી દરેક દેશમાં એકસરખી સ્વીકારાઈ, છતાં દુનિયાના મોટા ભાગના દેશોના સામાન્ય મતે લોકશાહી શાસન પદ્ધતિ એવા પદ પર પહોંચી છે કે તેને એક સાચી અને સારી વહીવટી પદ્ધતિ માનવામાં આવે છે. હવે બોલ એવા લોકોના કોર્ટમાં છે જેઓ લોકશાહીને બુરી હાલતમાં મૂકી દેવા માંગે છે જેથી લોકશાહીની અવગણનાને તેઓ ન્યાયી ઠેરવી શકે.” સેન આગળ જતાં નોંધે છે કે લોકશાહી શાસન પદ્ધતિ એ જગતના ઇતિહાસની દ્રષ્ટિએ આધુનિક ઘટના છે; વીસમી સદી અને તે પણ વીસમી સદીના ઉત્તરાર્ધમાં તેને હાલના સ્વરૂપની સ્વીકૃતિ સાંપડી છે.

જુદા જુદા વિચારો અને મતોનો અભ્યાસ અને વિવરણ કરતાં એટલું તો જરૂર પ્રતીત થાય છે કે અન્ય શાસન પદ્ધતિઓની સરખામણીમાં લોકશાહી શાસન પદ્ધતિ રાજ્ય કર્તાઓ અને પ્રજા બન્નેને માટે વધુ લાભદાયી છે. પરંતુ સોક્રેટીસે પ્રબોધેલું એ યાદ કરીએ કે લોકશાહીને સફળ બનાવવા દેશના એકે એક પ્રજાજનને પૂરેપૂરું શિક્ષણ આપવું જરૂરી છે. પણ તેના માટે એટલેથી વાત પતી નથી જતી, જનતાને પ્રશ્નો પૂછવાની, ચર્ચા વિચારણા અને વિચારોના આદાન-પ્રદાન દ્વારા પોતાના પ્રશ્નોના ઉત્તરો શોધવાની તાલીમ મેળવવી અને તેના પરિપાક રૂપે બંધાયેલ મત-અભિપ્રાય વ્યક્ત કરવાની મુક્તિ હોવી અનિવાર્ય છે.

આશા રાખીએ કે છેલ્લાં ચાર વર્ષો દરમ્યાન ભારતની પ્રજાની બધા પ્રકારની સ્વાયત્તતાઓનું જે રીતે ઉન્મૂલન થતું રહ્યું છે, જે રીતે કોમી તંગદિલી વધતી રહી છે, જે રીતે ગુનાખોરીને રાજ્યાશ્રય મળતો રહ્યો છે તે જોતાં પ્રજા લોકશાહીના સાચા અર્થની શોધમાં નીકળશે અને આગામી ચૂંટણી પહેલાં જાગૃત નાગરિકોને શોભે તેવો ફેંસલો સુણાવશે.

e.mail : 71abuch@gmail.com

Loading

આજકાલ પૉઝિટિવ થિન્કિંગનો મારો ચાલ્યો છે એનું કારણ આ સ્વીકાર્ય નથી એવું કોઈ ન કહે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 April 2018

અસ્વીકારની કૂખમાંથી પરિવર્તનનો જન્મ થાય છે

મૂલ્યભાન સમયસાપેક્ષ હોય છે અને કાયદાનો કડપ કે ભય વ્યવસ્થાસાપેક્ષ હોય છે. જ્યારે ગાંધીજી જેવા મહાનુભાવ, રાષ્ટ્રીય આંદોલન, દેશને નવા યુગમાં લઈ જવાની તમન્ના પ્રબળ હોય ત્યારે લોકો ચોરી નથી કરતા, ત્યાગ કરવા લાગે છે. કાળનો પ્રભાવ હોય છે. એવો એક સમય હતો જ્યારે જે.આર.ડી. તાતા ખાદી પહેરતા હતા અને લોકકલ્યાણ માટે સખાવત ન કરે એ શ્રીમંત નહોતો ગણાતો. એ દિવસોમાં કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનો કાયદો કરવો નહોતો પડ્યો. ભારતના દરેક શહેર અને કસબામાં પ્રજાકીય વિકાસ માટે મંડળો રચાયાં હતા જે સરકાર તરફ નજર કર્યા વિના સ્વપ્રયત્ને શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરતાં હતાં. કવિ નર્મદ તો ૧૯મી સદીમાં મંડળી મળવાથી થતા લાભ ગણાવીને ગયો હતો. એ સમયે સરકાર પાસેથી રાહત અને સબસિડીની અપેક્ષા રાખવામાં નહોતી આવતી, કારણ કે દરેક માણસ પોતાની કમાણીનો એક હિસ્સો જરૂરતમંદો માટે રાખતો હતો. એ સમયે આજ જેટલા સાધુસંતો પણ નહોતા જે સમાજને નૈતિકતાના પાઠ ભણાવતા હોય. કદાચ માગ અને પુરવઠાનું અર્થશાસ્ત્ર એમાં કામ કરતું હશે.

જ્યારે મૂલ્યભાનનું ધોવાણ થાય છે ત્યારે કાયદાના રાજની અર્થાત્ કાયદાના કડપની જરૂર પડે છે, પરંતુ એ વ્યવસ્થાસાપેક્ષ હોય છે. વ્યવસ્થામાં છીંડાં હોય તો કાયદો નિસ્તેજ સાબિત થાય અને એ સંજોગોમાં સાચાને ન્યાય મળતો નથી અને ખોટાને સજા થતી નથી. આને કારણે સાચા પ્રામાણિક માણસો કાયદાના રાજમાંથી શ્રદ્ધા ગુમાવી દે છે અને ખોટા માણસો કાયદાનો ભય ગુમાવી દે છે. જ્યારે શ્રદ્ધા અને ભય બન્નેનો લોપ થાય ત્યારે વ્યવસ્થા પડી ભાંગે છે. ભારતમાં અત્યારે આ બન્ને સ્થિતિ જોવા મળી રહી છે. મૂલ્યભાનનો લોપ થયો છે અને કાયદાનો કડપ રહ્યો નથી.

આ સ્થિતિમાં અંગ્રેજીમાં જેને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય એવા પ્રકારના જાહેરમાં બૌદ્ધિક વિમર્શ અને ઊહાપોહ કરે એવા લોકોની જરૂર પડે છે. તેઓ પરિસ્થિતિની છણાવટ કરે છે અને માર્ગ ચીંધે છે. જોઈએ તો રસ્તા પર પણ ઊતરે છે. જેટલો વિમર્શ અને ઊહાપોહ પ્રબળ એટલી સંકટમાંથી બહાર નીકળવાની શક્યતા પ્રબળ. આ જગતમાં દરેક પ્રજાને આવા સંકટનો સામનો કરવો પડ્યો છે એટલે એમાં આપણે અપવાદ નથી. જરૂર છે નીરક્ષીર વિમર્શ અને ઊહાપોહની. બીજી બાજુ મૂલ્યહૃાસ અને સડેલી વ્યવસ્થામાં જેમનાં સ્થાપિત હિતો છે એવા લોકો વિમર્શ અને ઊહાપોહ ન થાય એવા પ્રયત્નો કરે છે. બસ, મારામાં શ્રદ્ધા રાખો, હું વ્યવસ્થા બદલી આપીશ એવાં ખોટાં વચનોનાં ગાજર ફેંકનારા નેતાઓ અને બસ, મારામાં શ્રદ્ધા રાખો, હું તમારું જીવન બદલી આપીશ એવાં ગાજર ફેંકનારા બાવાઓની યુતિ રચાય છે. એક સ્થાપિત હિતોને ચોરી કરવામાં મદદ કરે છે અને બીજા પ્રજાને પોઢાડી રાખવાનું કામ કરે છે.

યુતિ રચાય છે એનો અર્થ એવો નથી કે તેઓ કોઈક ગુપ્ત સ્થળે એકઠા થયા હતા અને સમજૂતી કરી હતી. દરેક યુગમાં આવી સમજૂતીઓ એની મેળે થઈ જતી હોય છે. પરિવર્તનના યુગમાં પરિવર્તનની યુતિઓ થઈ હતી. ગુજરાતમાં ભિક્ષુ અખંડાનંદે ગુજરાતી પ્રજાને સસ્તા ભાવે મૂલ્યવાન કાલજયી સાહિત્ય ઉપલબ્ધ કરાવી આપવા સસ્તું સાહિત્યવર્ધક મુદ્રણાલય સ્થાપીને સસ્તું સાહિત્યનું આંદોલન કર્યું હતું. પચાસ વરસથી મોટી ઉંમરનો એવો ગુજરાતી ભાગ્યે જ મળશે જેના ઘરમાં સસ્તા સાહિત્યનું કોઈ પુસ્તક ન હોય કે વાંચ્યું ન હોય. ‘અખંડ આનંદ’ સામયિક એક જમાનામાં ગુજરાતી ભાષામાં સૌથી વધુ વંચાતું સાહિત્ય હતું.

મહારાષ્ટ્રમાં મરાઠવાડામાં જન્મેલા સ્વામી રામાનંદ તીર્થે હૈદરાબાદને નિઝામથી મુક્ત કરવા સત્યાગ્રહ કર્યો હતો અને મરાઠવાડામાં શિક્ષણના પ્રસાર માટે જીવનભર કામ કર્યું હતું. બિહારમાં સ્વામી સહજાનંદ સરસ્વતી હતા જેમણે ખેડૂતોને સંગઠિત કર્યા હતા અને કિસાન સભાની સ્થાપના કરી હતી. ગયા મહિને મુંબઈમાં ખેડૂતોએ જે વિરાટ મોરચો કાઢ્યો હતો એનું આયોજન આ કિસાન સભાએ કર્યું હતું. અત્યારે એ સંગઠન સામ્યવાદીઓના કબજામાં છે. તેમને કોઈએ કહ્યું નહોતું કે તમારે આ કરવાનું છે. એ યુગનો સાદ હતો.

આવા બીજા સેંકડો સાધુઓના દાખલા આપી શકાય જેઓ એ યુગમાં પ્રજાજાગૃતિના કામમાં લાગ્યા હતા. તેઓ આજના પરમપૂજ્યોની માફક પોઢાડવાનું કામ નહોતા કરતા. બે ડૂસકાં, બે ટુચકા, બે-ચાર ગીતોના તાલે ભોળી પ્રજાને નચાવતાં તેમને પણ આવડતું હતું. આજકાલ ઇવેન્ટના સહારે નેતા લોકપ્રિય બને છે અને સાધુ પ્રતિષ્ઠિત બને છે. બન્ને પાછા એકબીજાની પીઠ ખંજવાળતા હોય છે. એમાં વળી શ્રીમંતો અને સેલિબ્રિટીઓ પહેલી પંક્તિમાં બેસીને સાધુના શ્રેષ્ઠત્વનું માર્કેટિંગ કરી આપતા હોય છે. કલ્પના કરો કે ભિક્ષુ અખંડાનંદે નેતાઓની પીઠ ખંજવાળી હોત અને શેઠિયાઓ અને સેલિબ્રિટીઓની ગુલામી કરી હોત તો ગુજરાતી પ્રજા સાંસ્કૃિતક રીતે કેટલી રાંક હોત! ઇવેન્ટો યોજતાં તેમને પણ આવડતું હતું, પણ તેમણે નક્કર કામ કર્યાં હતાં. કાળનો પ્રભાવ હતો.

પૉઝિટિવ થિન્કિંગ એ આ યુગની બીમારી છે કે પછી નેતા-બાવાજીની યુતિનું પરિણામ છે એ કહેવું મુશ્કેલ છે. પૉઝિટિવ થિન્કિંગ એટલે કાંઈ નહીં કરો, બેસી રહો. પૉઝિટિવ થિન્કિંગ એટલે વિચારવાનું નહીં અને ઊહાપોહ કરવાનો નહીં. પૉઝિટિવ થિન્કિંગ એટલે પરિસ્થિતિ સાથે સમાધાન કરી લેવાનું. જો સૉક્રેટિસથી લઈને ગાંધીજી સુધીના લોકોએ પૉઝિટિવ થિન્કિંગ કર્યું હોત તો આજે આપણે ક્યાં હોત? અસ્વીકારની કૂખમાંથી પરિવર્તનનો જન્મ થાય છે. આજકાલ પૉઝિટિવ થિન્કિંગનો મારો ચાલ્યો છે એનું કારણ આ સ્વીકાર્ય નથી એવું કોઈ ન કહે. નેતાઓ, બાવાઓ, છીછરા ચિંતકો સમાજમાં પરિવર્તનલક્ષી વિમર્શ અને ઊહાપોહ ન થાય એ માટે પ્રયત્નશીલ છે અને જો થાય તો એ પ્રજા સુધી ન પહોંચે. વૉટ્સઍપ પર રોજ સવારે શુભચિંતનનો મારો હવે અસહ્ય બની રહ્યો છે.

એટલે આજે દેશને જરૂર છે સાંગોપાંગ ચર્ચાની અને નિર્ભય ઊહાપોહની.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૅપ્રિલ 2018

Loading

...102030...3,1283,1293,1303,131...3,1403,1503,160...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved