Opinion Magazine
Number of visits: 9686123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારી-વિચાર : શબ્દોના સાથિયા પણ નિસબત ક્યાં ?

રોહિત શુકલ|Opinion - Opinion|26 June 2018

માર્સ – મંગળ ગ્રહ ઉપરથી પુરુષો આવી ચઢ્યા છે, અને આ ગ્રહ ભારે ઉતપાતિયો અને યુદ્ધખોર ગણાય છે. વિનસ (શુક્ર) પ્રેમનો ગ્રહ છે અને ગ્રીક દંતકથામાં તો તેને પ્રેમની દેવી જ ગણવામાં આવે છે. વિનસ ગ્રહ ઉપરથી નારીનું અવતરણ થયું છે. પ્રેમની વાતો કરનારા પુરુષો લગ્ન બાદ વિનસ સાથે કજિયા-કંકાસ-યુદ્ધ કરીને ખુદ પોતાનાં જ કુટુંબોને તહસનહસ કરી નાખતા હોય તેવી ઘણી કહાનીઓ ફિલ્મોએ બતાવી છે. પણ પૃથ્વી ઉપર આવીને વસેલા આ બે પ્રકારના લોકો આખરે તો માણસો જ છે. છતાં પૃથ્વી ઉપરના વસવાટમાં સ્ત્રીઓના પક્ષે પારાવાર વેઠવાનું કેમ આવે છે ? બહુ ઓછા મુદ્દા સર્વદેશીય કે સર્વકાલીય સ્વરૂપના હોય છે; નારી જગતની સમસ્યા આવી, સર્વદેશીય અને સર્વકાલીય સ્વરૂપની છે તે મહાભારત-રામાયણ કાળમાં હતી અને આજના સમયમાં પણ છે જ. તે સાઉદી અરેબિયામાં છે અને ભારતમાં પણ છે જ. નારી એક એવો વર્ગ છે કે જેને વિકાસના થોડાક પણ છાંટા ઊડે તો સમગ્ર સમાજ તેમાં પોરસાઈ જાય છે. ભ્રૂણહત્યા, માતૃ મૃત્યુદર, શિક્ષણમાં ડ્રોપ આઉટ, શારીરિક શોષણ વગેરે આચરનારા આ નિંભર સમાજને ક્યારેક કોઈક નારી કાંઈક અવનવું કરે ત્યારે ગૌરવાન્વિત થવાનું શૂર ચઢે છે. નારીની અવદશાનાં ઉદાહરણો તો અકલ્પ્ય અને અગણિત છે; તેનાં મુખ્ય સ્વરૂપો પણ દુ:ખદાયક છે.

સમગ્ર દુનિયા ઉપર નજર રાખીને મુખ્ય પ્રવાહો નાણતા અને જાણતા રહેતા અભ્યાસીઓનાં કેટલાંક તારણો સમજીએ :

(1) ભારતમાં સ્ત્રીઓની વસતી કુલ વસતીના લગભગ 48 ટકા છે. પરંતુ દેશની કુલ જી.ડી.પી.માં તેમનો હિસ્સો માત્ર 17 ટકા જ છે. આવું કેમ હશે ? આખી દુનિયામાં આવું જ હશે ? દુનિયામાં સરાસરી ધોરણે જી.ડી.પી.માં સ્ત્રીઓનો હિસ્સો 37% છે. ભારતમાં તેના અડધાથી પણ ઓછો ! આનાં બે કારણો છે : એક, પુરુષપ્રધાન માનસિકતાને લીધે એક તરફ એક બાળકી, કન્યા, છોકરી કે સ્ત્રી સમાજમાં પારેવડાની જેમ ડરતી-ફફડતી જીવે છે. ભણવું તો શું ભણવું, મોડી રાત સુધી બહાર ન રહેવાય, લોકો સાથે હસી-ખુશીની વાતચીત ન કરાય, વગેરે બંધનોને કારણે તે પોતાના સાચા સ્વરૂપને છતું કરી જ શકતી નથી. આથી એકંદરે આર્થિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓની ભાગીદારી જ ઓછી રહે છે. આનો અર્થ એ હરગિજ નથી કે સ્ત્રીઓ કામ નથી કરતી. તેના કામને ‘વૈતરું કૂટ્યું’ કહો તો ય ચાલે. ઘરનો ઢસરડો કરવા ઉપરાંત બહારની નોકરીની શક્તિ રહે તો કમાવા જવાય પણ ખરું; પણ કમાણીની રકમ તો પતિ, સાસુ કે સસરાના હાથમાં જ મૂકવાની. એટલે કે એક તરફ શ્રમના સમુચ્ચયમાં સ્ત્રીઓની ઉપસ્થિતિ જ ઓછી હોય અને હોય તો ય તેનો આર્થિક અને સીધો ફાયદો પણ તેને ન થાય તેવી સ્થિતિ છે.

વળી તે ઘરમાં રહીને જે કામ કરે છે તેની ગણતરી થતી જ નથી. નાણાંકીય લેતીદેતી વગરના વ્યવહારોને જી.ડી.પી.માં ગણતા નથી. આમ સ્ત્રી બાળકોને ઉછેરે, ખેતરમાં કામ કરે, છાણ-વાસીદું કરે, ઘરની રસોઈ બનાવે, વગેરે પ્રવૃત્તિઓ મફત જ કરતી હોય છે. તેની નવાઈ તો નહીં જ; પણ તે આદર અને ધન્યવાદને પાત્ર પણ નહીં.

બીજું કારણ એ છે કે સ્ત્રીઓને મળતું વેતન પુરુષોની તુલનાએ લગભગ 64 ટકા હોય છે. લગભગ ત્રણ સ્ત્રીએ એકનું કામ, સવેતન અને આર્થિક વ્યવહારનું હોવા છતાં, ગૂમ થઈ જાય છે. સમાજમાં પુરુષો જેટલું વેતન સ્ત્રીઓને મળતું નથી. આમ, શ્રમ બજારમાં ઓછી સામેલગીરી અને સાપેક્ષમાં ઓછાં વેતનોને કારણે કુલ જી.ડી.પી.માં, ભારતમાં સ્ત્રીઓ તરફથી મળતો હિસ્સો માત્ર 17 ટકા બની રહે છે.

(2) આમ છતાં, આર્થિક વૃદ્ધિમાં સ્ત્રીઓનો ફાળો નોંધનીય છે અને તેનું કારણ જાણવાથી નારીજાતિ તરફ સન્માનનો ભાવ પ્રગટી શકે તેમ છે. આ માટેનું મુખ્ય કારણ સ્ત્રીની સંસ્કૃિતના સંરક્ષક અને સંવાહક તરીકેની ભૂમિકામાં રહેલું છે. પુરુષોએ તો ધોતી, અંગરખું અને પાઘડીના પારંપરિત તથા સાંસ્કૃિતક ધરોહરના પોષાકનો કે’દિનો ત્યાગ કરી દીધો છે પણ સ્ત્રીની (વિવિધ ઢબે પહેરાતી) સાડી હજુ જળવાયેલી છે. છોકરીમાંથી સ્ત્રી બન્યાનું ગૌરવ ફરાક (ફ્રોક) છોડીને સાડી પહેરતાં થવામાં આવીને અટકે છે. સંસ્કૃિતનું સંરક્ષણ અને સંવહન સ્ત્રીએ જ કરવાનું છે; કોઈ પણ સન્માન કે સદ્ભાવની પણ અપેક્ષા વગર.

આ સાંસ્કૃિતક લક્ષણનો આર્થિક મતલબ બચતની વૃત્તિ સાથે જોડાયેલો છે. પુરુષ દારૂ પીએ, જુગાર રમે અને રખડેલ બને તો પણ સ્ત્રીએ તો પોતાનો ‘નારીધર્મ’ નિભાવીને બચત કરતા જ રહેવાની છે.

જામનગરના જોડિયાનો વર્ષો પૂર્વેનો એક પ્રસંગ છે. ત્યાંના અમુક કોમના પુરુષો પોતે મજૂરી કે કામ કરે તો મોભો ઘટે. ગરીબી હોવાથી ઘર ચલાવવા વાસ્તે સ્ત્રીઓએ નાનું મોટું કામ કરવું પડે. અમુક વિસ્તારમાં ચેર(મેનગ્રુવ)નાં ડાળાં કાપીને તેની ભારીઓ વેચીને સ્ત્રીઓ થોડુંક કમાઈ લાવે. આવી સ્ત્રીઓના બજારેથી પાછા જવાના રસ્તે આવેલી છાપરા હોટલોમાં તેમના પતિદેવો બેઠા હોય. જે તે ઘરવાળી પોતાના ‘ધણી’ને જોઈને (તે સમયની) એક પાવલી કાઢીને તેની તરફ ઘા કરે અને બૂમ પાડીને કહે, ‘લે મૂઆ, પી.’ પુરુષે ગમે તે કર્યું, સ્ત્રીએ તો સંસ્કૃિતનું સંરક્ષણ અને સંવહન કર્યું જ ને !

સ્ત્રીની બચતવૃત્તિને કારણે ભારતનો બચત દર 33 ટકા – જી.ડી.પી.ના ત્રીજા ભાગ જેવો ઊંચો રહે છે. આ બચતો વડે થતાં મૂડી રોકાણને કારણે નવાં કળ-કારખાનાં નંખાય છે, શેર બજારો ધમધમે છે અને નવ-નવ ટકા જેવો, જગતનો અવ્વલ નંબરનો વૃદ્ધિદર હાંસલ થાય છે. આ બધાની પાછળનાં સ્ત્રીનાં યોગદાન તરફ તો આપણી નજર પણ જતી નથી.

અને આ ‘સ્ત્રી’ એટલે કોણ ? સવર્ણ : અને તેમાં ય બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રીય, દલિત : વાલ્મીકિથી વણકર સુધી, મુસ્લિમ : શિયા, સુન્ની, વોરા, આદિવાસી, શહેરી-ગામઠી; કેટલા પ્રકારો ! દેહના આકારોની વાર્તાઓ પણ અનેક; ગોરી, શામળી, સાગના સોટા જેવી ! સમાજમાં એક ‘સ્ત્રી’ શબ્દ કાને પડે છે ને આવી ઝીલમીલ તરંગલીલા સર્જાય છે. પણ આ સઘળાનો લ.સા.અ. એટલે ભેદભાવ, શોષણ, અવહેલના અને અપમાન !

આમ, સ્ત્રી જો ધારે તો બચતની આ સંસ્કૃિત ત્યજી દઈને ભોગ-વિલાસ અને ‘આનંદ-પ્રમોદ’નાં સાધનો ખરીદવાનો અને મોજમજા કરવાનો આગ્રહ રાખી શકે. આવી સ્ત્રીઓ તરફ, પેલું આછુંપાતળું સન્માન પણ ટકતું નથી. જી.ડી.પી.માં સ્ત્રીનો ફાળો ભલે 17 ટકા હોય પણ બચતની વૃત્તિને દૃઢાવીને તે મૂડીરોકાણને ઉત્તેજન આપીને આવનારી પેઢીઓની આવતીકાલને ઉજ્જ્વળ બનાવવા મથતી રહે છે.

આ જ સંદર્ભમાં બે ઉદાહરણો સામે આવે છે. બાંગ્લાદેશના મહંમદ યુનૂસ બચત મંડળીઓનો -સ્વસહાય જૂથનો વિચાર આવ્યો. આ બચત મંડળીમાં મહિલા સભ્યો જ હોય. દર મહિને એક નક્કી કરેલી રકમ આ મંડળીમાં જમા થાય. સામે કોઈક નિર્ધારિત બેંક એટલી જ રકમનું ધિરાણ પણ આપે. 15-20 બહેનોની આ મંડળીમાંથી, આ બચતો વડે, કોઈક એકને ધિરાણ અપાય. તે ભેંસ ખરીદે, શાળ કે સિલાઈનો સંચો ખરીદે કે ઘર રીપેર કરાવે. આ વિચારને કારણે મહંમદ યુનૂસને નોબલ ઈનામ પણ મળ્યું. પણ સવાલ એ થાય જ કે બહેનોની બચત મંડળી શા માટે ? ભાઈઓની કેમ નહીં ? વાત સમજવા જેવી ખરી.

એક અભ્યાસ કર્યો યુ.એન.ડી.પી.એ. આ સંસ્થા દર વર્ષે માનવ – વિકાસ સૂચકાંક પ્રકાશિત કરે છે. અભ્યાસનો મુદ્દો એ હતો કે સમગ્ર કુટુંબ માટે કલ્યાણકારી નિર્ણયો કોણ કરી શકે; સ્ત્રી કે પુરુષ ? આમ તો આવો સવાલ ઊઠે તે જ નવાઈ કહેવાય. સ્ત્રી હોય કે પુરુષ, માતા હોય કે પિતા, કુટુંબના ભલા માટે જ નિર્ણયો કરે ને ! પણ એ બાબત શંકાસ્પદ જણાઈ છે. પરિણામે આ અભ્યાસમાં અન્ય બધી રીતે સમાન હોય તેવાં કુટુંબો પસંદ કરાયાં. માત્ર કુટુંબના વડા તરીકે એક જૂથમાં પુરુષો હતા અને બીજા જૂથમાં સ્ત્રીઓ હતી. બાકી, વ્યવસાય, વસવાટ, શિક્ષણ, વગેરે બાબતોમાં કુટુંબોનાં બે ય જૂથો સમાન હતાં. તારણ એ આવ્યું કે જે જૂથમાં સ્ત્રી કુટુંબના વડા તરીકે હતી ત્યાં કુટુંબના કલ્યાણલક્ષી નિર્ણયો લેવાતા હતા. મતલબ લગભગ એવો નીકળે કે જો સ્ત્રીને નિર્ણયની સત્તા મળે તો બાળકોનું શિક્ષણ, પોષણ, બચત, વગેરે વધે અને પુરુષોના હાથમાં આ ધનરાશિ વાપરવાનો અધિકાર આવે તો દારૂ, જુગાર અને રખડપટ્ટીમાં પૈસા ઉડાડાય ! લગભગ આવો જ અભ્યાસ પશ્ચિમ બંગાળની પંચાયતોનો થયો. 73મા બંધારણ સુધારાના અન્વયે રાજ્યની ત્રીજા ભાગની ગ્રામ પંચાયતોમાં સ્ત્રી સરપંચો હોય છે. આ બાબતે ઘણી વાર ટીકા પણ થાય છે કે આવી પંચાયતોમાં રીમોટ તો પતિદેવોના હાથમાં હોય છે. ક્યાંક એવું હશે પણ ખરું ! પણ એકંદર હિસાબ એવો બેસે છે કે જો સરપંચ રૂપે સ્ત્રી હોય તો ગામના લોકોનાં કલ્યાણલક્ષી કામો તરફ વધુ ધ્યાન અપાય છે. દા.ત. ગામમાં પીવાનાં પાણીની સમસ્યા હોય અને રસ્તાની પણ જરૂર હોય તો પુરુષો રસ્તો બાંધવાના કામને અને સ્ત્રીઓ પાણીની સગવડને વધુ અગત્ય આપશે. સવાલ જરૂર થાય કે પાણીને રસ્તા કરતાં વધુ કલ્યાણલક્ષી શાને ગણવું ? ઉત્તર સીધો અને સાદો છે.

ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોના અભ્યાસમાં જોવા મળ્યું કે સ્ત્રીનું શરીર, દૂરથી પાણી વહન કરી લાવવાના શ્રમને કારણે જ રોજની 500 કેલરી બાળે છે. એટલો પૌષ્ટિક આહાર ન મળે તો તેનું શરીર ઘસારે પડે. વળી જો પાણી સારીને ન લાવે તો નહાવા, ધોવા, રસોઈ કરવા અને માણસને (અને ક્યારેક ઢોરને પણ) પીવા માટે શું કરવું ? અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત બંધાતા સંડાસોમાં પણ પાણી તો જોઈશે જ ! અને તે સમજવાની શક્તિ સ્ત્રીમાં છે.

નારીની સમજ અને સૂઝબુઝ કેવા પ્રશ્નો ઉકેલી શકે છે તે સમજવા માટે કર્ણાટકના હોશુર જિલ્લામાં કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા માયરાડા(MYRADA – Mysore Relief and Development Agency)ના બે અનુભવ જાણવા જેવા છે.

(1) એક ગામની મહિલાઓએ બચત મંડળી બનાવી હતી. તેમાંથી લોન લઈને સ્થાનિક સભ્ય સ્ત્રીઓ ગાય, ભેંસ, સીવવાના સંચા, વગેરે વસાવીને બે-ચાર પૈસા ઘર માટે કમાતી હતી. પરંતુ દર મહિને મળતી મિટિંગોમાં જોવા મળ્યું કે કોઈક ને કોઈક સભ્ય સ્ત્રી ગેરહાજર રહેતી. સ્ત્રીઓ બદલાતી રહેતી પણ કારણ લગભગ એક જ સમાન રહેતું. પતિદેવે નશામાં ખૂબ મારી તેથી આવી ન શકાયું ! પણ એક મિટિંગમાં તેમને આનો ઉકેલ જડી ગયો. બધી જ ‘સભ્ય’ બહેનોએ એકઠા થઈને પેલી બહેનના ઘરે જઈને તેના પતિને બરાબર ફટકાર્યો. જે ધોકાવાળી થઈ તેથી ગામના ઘણા મૂછાળા મરદોને સાન આવી ગઈ પણ પછી તો જાણે દરેક મિટિંગનો આ એજન્ડા જ બની ગયો ! જો કોઈ પણ સ્ત્રીને તેનો પતિ આ રીતે મારે તો બધાએ ભેગા થઈને તેને ઝૂડી નાખવો એ ક્રમ થઈ ગયો. ધીમે ધીમે આપોઆપ દારૂબંધી આવી ગઈ !

બીજો બનાવ પણ એવો જ નોંધપાત્ર છે. જે એન.જી.ઓ. (માયરાડા) ત્યાં કામ કરતું હતું તેને જોવા મળ્યું કે સરેરાશ લગભગ 29 વર્ષની ઉંમરે ત્યાંની સ્ત્રીઓ દાદી બની જતી હતી. સરકારી રાહે આનો ઉપાય શિક્ષણમાં શોધાય છે. જો છોકરીઓ વધુ ભણે તો લગ્નો મોડાં થાય અને બાળલગ્નો ઘટે તો આવા – જલદીથી દાદીમા બનવા જેવા બનાવો ન બને. પણ જ્યાં શાળાઓમાં છોકરીઓ માટેના અલગ ટોઈલેટ્સ જ ન હોય ત્યાં કન્યા ડ્રોપઆઉટ દર પણ ઊંચો જ રહેવાનો. આ સ્વૈચ્છિક સંગઠને સહેજ આગવી રીતે વિચાર્યું.

આ હોશુર જિલ્લો કર્ણાટક, આંધ્ર અને તમિલનાડુના ત્રિભેટે આવેલો છે. આ વિસ્તારમાં ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે; તે પૈકી તાતાનું ઘડિયાળ બનાવવાનું કારખાનું પણ છે. સંસ્થાના માણસોએ આ કારખાનાવાળા સાથે ચર્ચા કરીને શોધી કાઢ્યું કે ઘડિયાળના યંત્ર સહિતનું ચગદું બ્રાન્ડ નેમ ધરાવે છે પણ ઘડિયાળનો પટ્ટો તો ગમે ત્યાંથી મેળવી શકાય. આ પટ્ટા પણ કારખાનામાં જ બનતા હતા. સંસ્થાવાળાઓએ તેનું ‘આઉટ સોર્સિંગ’ કરાવ્યું અને પેલી 29 વર્ષે દાદી બનતી કન્યાઓને તાલીમ અપાવી, પછી યંત્રો અપાવ્યાં અને થોડીક મૂડી પણ અપાવી. આ છોકરીઓ આ કારખાનાને ટ્રસ્ટીશિપના ધોરણે ચલાવવા માંડી અને લગ્ન માટે પૂરતા પૈસા ભેગા કરવા માંડી. તે કહેતી, ‘મારા લગ્ન માટે પૂરતા પૈસા ભેગા કર્યા વગર પરણવું નથી,’ તેની ઉંમર 24 વર્ષની હતી.

પણ ‘પરણ્યા એટલે … પારકા લાડી, ચાલો આપણે ઘેર રે …’ એ લગ્નગીતના ઉખાણાને ઉકેલવું રહ્યું. ભ્રૂણહત્યાથી બચેલી, અલગ ટોઈલેટની સગવડ વગરની નિશાળોમાં પણ ભણેલી. સતત ડરતી-ફફડતી કનયા, ઘડિયાળના પટ્ટા બનાવે કે સોય-દોરાના કામ કરતી કરતી પોતાના ઘર અને ભાવિનાં સ્વપ્નાં જોઈને પરણે એટલે વાત પૂરી થઈ એમ માનીશું ? કે નવી અને વધુ ભયાનક વાતની શરૂઆત થઈ એમ ગણીશું ? વર્લ્ડ બેંકના (2002) ફ્રાંસિસ બ્લોક અને વિજયેન્દ્ર રાવનો એક અભ્યાસ એક નવું જ પરિમાણ ખોલી આપે છે. તેમના અભ્યાસનું શીર્ષક છે, ‘ટેરર એઝ અ બારગેનીંગ ઇન્સ્ટ્રુમેન્ટ’. આ અભ્યાસીઓ કહે છે, લગ્ન બાદ પણ દહેજ અથવા પૈઠણની હપ્તા વસૂલી ચાલુ જ રહે છે. પરણીને ઘરમાં આવેલી દીકરીને વારેવારે મા-બાપ પાસે પાછી મોકલવામાં આવે છે અને પૈસાની માગણી કરાય છે. તે નિર્ધારિત પૈસા લાવે નહીં તો તેને મારવામાં આવે છે. સાસરિયા ટેરરિસ્ટ તરીકે વર્તે છે અને પેલી દીકરી જાણે બાનમાં પકડાયેલી હોય તેવો વર્તાવ થાય છે.

પણ આ અભ્યાસીઓનું બીજું તારણ વધુ અગત્યનું છે. તે કહે છે, જો લગ્ન વખતે પૂરતું દહેજ આપ્યું ન હોય તો આવા અત્યાચાર વધુ થાય છે. આવા અત્યાચાર બે સંજોગોમાં ઓછા થાય છે : એક, લગ્ન વખતે જ પૂરતું દહેજ આપ્યું હોય અને બે, લગ્ન બાદ વધુ પુત્રો – પુરુષ બાળકોનો જન્મ થાય ! છોકરી જન્મે તો માએ માર ખાવાનો. પોતાની દીકરી માટે પત્નીનાં માવતર પાસેથી ભવિષ્યમાં આપવા થનાર દહેજની રકમ માંગી લાવવાની ! અને આવી કથાઓ તો આપણા સમાજને એવી કોઠે પડી ગઈ છે કે તેમાં વ્યથા જણાતી પણ નથી !

બાન ઉપર લવાયેલી, ઘરનો ઢસરડો કરતી અને ડરતી-ફફડતી આ સ્ત્રીઓ સારા ભાવિ અને પોતાના ઘરની આશાએ રાત-દિવસ કામ કરે જાય છે. ખેતરોમાં વગર પૈસે કામ કરીને દેશભરની ભૂખ મટાડનારી આ માતાઓ પૈકી બાવન ટકા કુપોષિત છે. પોતે મફત મજૂરી કરે અને બીજાને ખવડાવે પણ પોતે તો રાત પડે એકાદ કળશ્યો પાણી પીને ‘શાતા’ અનુભવે ! આ બાબતો આપણી મહાન ગણાતી સંસ્કૃિત સામે મસમોટા પડકાર સમી છે. પંડિત નહેરુએ સાચું જ કહ્યું હતું, 'you can tell the condition of a naton by looking at the status of its women.'

હવેના સમયમાં આ સ્ટેટસ ઓફ ધ વિમેન – સ્ત્રીનો દરજ્જો માપવાની પણ તરકીબો શોધાઈ છે. અમર્ત્ય સેન અને મહેબુબ-અલ-હકના માનસ-સંતાન સમા માનવ વિકાસ સૂચકાંકમાં જેન્ડરને લક્ષમાં રાખીને ઘણી નવી માપન વ્યવસ્થાઓ પ્રયોજાતી જાય છે. જેન્ડર ઈકવોલિટી મેજર (GEM), જેન્ડર ઇનઇક્વોલિટી મેજર (GIM), જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (GDI) એમ ત્રણ સૂચકાંકો દ્વારા સ્ત્રી-પુરુષ વચ્ચેની જાતિગત અસમાનતા તેમ જ સ્ત્રીનાં સ્થાન વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતીને વિવિધ વર્ષો વચ્ચે તોલી શકાય છે અને તે રીતે કોઈક એક જ દેશની અંદરની પરિસ્થિતિમાં આવતા સુધારા અથવા બગાડાનો અંદાજ પ્રાપ્ત થાય છે. તે જ રીતે તેને એક જ વર્ષમાં વિવિધ દેશો વચ્ચે પણ સરખાવી શકાય છે. પણ આટલા બધા ગહન અને શાસ્ત્રીય અવગાહનના મુદ્દાને રસિકજનો માટે બાજુએ રાખીને અને મુખ્ય સરખામણી કરી જોઈએ.

એક ગણતરીનું નામ છે, માતૃ મૃત્યુદર. કોઈ પણ દેશમાં એક વર્ષ દરમિયાન થતી દર એક લાખ પ્રસૂતિ દીઠ કેટલી સ્ત્રીઓ પ્રસવ દરમિયાન જ મૃત્યુ પામે છે તેનો આ આંકડો છે. આ વિગતો વર્ષ 2015ની છે. નોર્વેમાં ‘માત્ર’ પાંચ મહિલાઓનાં મરણ થાય છે પણ કેનેડામાં સાત, યુનાઇટેડ કિંગ્ડમમાં નવ, યુનાઇટેડ સ્ટેટ્સમાં 14, ક્યુબામાં 39 અને ચીનમાં 27 સ્ત્રીઓનાં આવાં મોત થાય છે, સામે પક્ષે ભારતમાં તે પ્રમાણ 174નું અને પાકિસ્તાનમાં 178નું છે. સ્ત્રીઓનાં સ્થાન અને સન્માનની આ ઊબડખાબડ ભૂમિમાં નોર્વેમાં માત્ર પાંચ અને ભારતમાં 174નો આંકડો ભારતમાં સ્ત્રીઓની દુર્દશાને બહુ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. પેલાં સરકારી સૂત્રો અને ધર્મ અને પરંપરાનાં વારંવાર ફેંકાતાં અને ઉછાળાતાં વિધાનો છતાં, પ્રસૂતા સ્ત્રીઓને સારવાર, પોષણ, દરકાર અને માવજત અપાતાં જ નથી. આ દરમિયાન, સૌને માત્ર શુભેચ્છાપૂર્વકના અનુરોધ કરીને રાજી રહેનારા યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડિવલપમેન્ટ ગોલમાં આ આંકડાને 2030 સુધીમાં 70 સુધી લાવવાનો વિચાર રજૂ કરાયો છે.

સ્ત્રીઓના સશક્તિકરણનો વિચાર પણ હવે ચોરે ને ચૌટે પહોંચ્યો છે. સ્ત્રીના સશક્તિકરણ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, નિર્ણયોની પ્રક્રિયામાં ભાગીદારી (જેમ કે ધારાસભા કે સંસદનું સભ્યપદ, ઊંચા અધિકારિક પદ) તથા આર્થિક પરિસ્થિતિને લક્ષમાં લેવાય છે. આ બાબતે પણ ઊંડા ખૂંપી જતા શાસ્ત્રીય અવગાહનના મુદ્દાને ‘રસિકજનો’ માટે છોડી દઈએ. સાવ ખોટી પણ ન હોય અને સાવ સાચી ન પણ હોય તેવી એક ધારણા કરીએ. સ્ત્રીઓ જો વળતર સહિતનું કામ કરે તો તેમનું સશક્તિકરણ અન્ય, આવું કામ ન કરનાર સ્ત્રીઓના મુકાબલે વધુ હશે ? (આ વાત સાચી ન પણ હોય. તેની સંભવિતતા બે દાખલા દ્વારા સમજી શકાય. થોડાંક વર્ષો અગાઉ આઈ.એ.એસ. થયેલી પોતાની પત્નીને આઈ.પી.એસ. થયેલો પતિ મારતો હતો તેવા સમાચાર હતા. એક મહાન પોલીસ ઓફિસરે એક આઈ.એ.એસ. મહિલા ઓફિસરના શરીર સાથે અડપલાં પણ કરેલાં. અલબત્ત, આવા દાખલા આત્યંતિક અને જૂજ છે. આ બાબતે પણ વર્ષ 2015ના થોડાક આંકડા ઉપર નજર નાંખવા જેવી ખરી.)

આ વિગતોને લેબર ફોર્સ પાર્ટિશિપેશનનો દર કહેવાય છે. 15-59 વય જૂથનાં સ્ત્રીઓ અને પુરુષોના સમુચ્ચયને લેબર ફોર્સ કહેવાય છે. તે સમૂહોમાંથી કેટલા ટકા આર્થિક ક્ષેત્રે કાર્યાન્વિત છે તેની માહિતી પ્રસ્તુત છે. સ્ત્રીઓની સામેલગીરી જેમ વધુ તેમ તેમનું સશક્તિકરણ પણ વધુ.

નોર્વેમાં આ પ્રમાણ સ્ત્રીઓ માટે, 61.2 ટકા તથા પુરુષો માટે 68.2 ટકા છે. સંસાર રથનાં બંને પૈડાં લગભગ સમાન કદનાં છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્રમાણ અનુક્રમે 56 અને 58 છે. યુનાઇટેડ કિંગ્ડમમાં 56 અને 68, ચીનમાં 64 અને 78 છે. પણ મહાન દેશ ભારત અને શાખ પડોશી દેશ પાકિસ્તાનની કહાણી ન્યારી છે. ભારતમાં 27 ટકા સ્ત્રીઓ અને એંશી ટકા પુરુષો અને પાકિસ્તાનમાં 24 ટકા સ્ત્રીઓ તથા 82 ટકા પુરુષો વળતરવાળી આર્થિક પ્રવૃત્તિ કરે છે. સંસાર રથનાં બે પૈડાં વચ્ચે કેટલું અંતર ! તેનો અર્થ એ નથી કે આ દેશની સ્ત્રીઓ તાગડધિન્ના કરીને બેસી રહે છે. હાથે હીના અને પગમાં અપીતો લગાડીને એશોઆરામની જિંદગી બસર થઈ રહી છે એવું રખે મનાય. આ દેશોમાં સ્ત્રીઓ એ જ વૈતરું ફૂટે છે; માત્ર વળતર કે વેતન વગર, તેથી જી.ડી.પી.ની દૃષ્ટિએ આ સ્ત્રીઓ ‘અદૃશ્યમાન’ છે.

ભારતીય (હિંદુ-વેદાન્તી) સંસ્કૃિતના ઉદ્ગાતા સ્વામી વિવેકાનંદે કહેલું, "All Suffering ever forgiving mother”. સાને ગુરુજીનાં માતાજીની જેમ સતત વેઠતા રહેવું અને ‘હોઠોની પાંખડીઓ બંધ …’ રાખવી તે માતાનું કર્તવ્ય ગણાયું છે. સામે પક્ષે, જે નોર્વેના સુખદાયક આંકડા જોયા તેનો એક લેખક, નામે ઇબ્સન એક અદ્ભુત નાટક આપી ગયો છે ‘ડોલ્સ હાઉસ’ – એક ઢીંગલીનું ઘર. ઢીંગલીએ માત્ર શોભા વધારવાની છે, ચૂપ રહેવાનું છે અને સૌને અનુકૂળ થઈને, પોતાનો વિચાર પણ કર્યા વગર જીવવાનું છે. આ નાટકની માત્ર નોર્વે જ નહીં, સમગ્ર યુરોપ ઉપર મોટી અસર પડી છે. આ વિડંબણા સામે તોલ્સતોયની અન્ના કેરનિના બળવો પણ કરે છે. તમે મને લોખંડના પાંજરામાં પૂરી રાખશો ! તે આપઘાત કરીને વિદ્રોહ દાખવે છે. એન રેન્ડ પણ પ્રાચીન ચીનમાં મનુષ્યદેહના વિવિધ આકારો ઊભા કરીને ઉમરાવો કે રાજાઓ દ્વારા સભામાં મનોરંજન અર્થે રજૂ કરાતા માનવદેહોની વિભિષિકા રજૂ કરે છે. તે સમયે બાળક નાનું હોય ત્યારથી લોખંડના ચાપડાવાળા આકારોમાં બાંધી દેવાતું. કોઈક બાળક બરણી આકાર બનતું તો કોઈક ડબ્બાનો આકાર ધારણ કરતું. કદાચ વધુ ધ્યાનથી આપણી આજુબાજુના લોકોને નિહાળીએ તો આવા માનસિક આકારો જોવા મળે પણ ખરા ! તેરમી સદીની રઝિયા ‘સુલતાન’ ન જ હોઈ શકે; સાડા ત્રણ જ વર્ષમાં તેનો ફેંસલો લાવી દીધો ને !

યોગાનુયોગ જ હશે કે રઝિયાના શાસનનાં આ વર્ષો દરમિયાન ઈરાનમાં સૂફી સંત જલાલુદ્દીન રૂમી પણ જન્મ્યા અને જીવ્યા. સ્ત્રીઓનાં દુ:ખ, દર્દ, અવહેલના, ત્રાસ, પીડા, વગેરે ઓછાં કરવામાં આ સાંસ્કૃિતક અને આધ્યાત્મિક માર્ગે કોઈ ઉપાય જડે ખરો ? સરકારના પ્રયાસો ચાલતા રહે પણ અન્ય કોઈ માર્ગ ખરો?

અહીં એક સાવ અજ્ઞાત એવી રસસુંદરી દેવીના વિધાનને સંકોરી શકાય. ‘અમર જીબન’માં તેનો ઉલ્લેખ આ પ્રમાણે છે : ‘હે ઈશ્વર, હવે તો તું મારો શિક્ષક બન અને મને વાંચતા શીખવ. હું એક પરણેલી ગામઠી ઓરત ક્યાં જાઉં ? કોઈની સાથે વાત કરવામાં પણ શરમ અનુભવું છું.’ આ વાક્યો કોઈને પણ વીંધી નાખે તેવાં છે.

રૂમીનાં કેટલાંક વિધાનો આ સંજોગોને જરૂરી આત્મશ્રદ્ધા અને બળ પૂરાં પાડે છે. તે લખે છે :

(1) ફૂલ તો વરસાદનાં ટીપાં પડવાથી ઊગે, વાદળના ગર્જનથી નહીં. (2) જીવનને બદલવા વાસ્તે માત્ર એક વ્યક્તિની જરૂર છે; તમારી પોતાની. (3) કાલ સુધી હું ચાલાક હતો, તેથી દુનિયા બદલવા ઇચ્છતો હતો. હવે હું બુદ્ધિમાન છું; તેથી જાતને બદલવા ઇચ્છું છું. (4) અંદરનો ગુલામ ગૂમ થઈ જાય તો તમે બાદશાહ જ બાદશાહ છો. (5) દિલથી નીકળેલા શબ્દો દિલમાં પ્રવેશી જાય છે.

345, સરસ્વતીનગર, આઝાદ સોસાયટી પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-380 015.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 જૂન 2018; પૃ. 10-13

Loading

મૅટ્રિમોનિયલ્સ

પન્ના નાયક|Opinion - Short Stories|25 June 2018

આજે ઑગસ્ટની બીજી તારીખ. બે મહિના પછી ઑક્ટોબરની બીજી. ગાંધી જયંતી. પ્રભાના અવસાનને એ દિવસે ત્રણ વર્ષ થશે. પાર્ટીમાં જવા માટે પહેરવાનાં સૂટ અને શર્ટને ઇસ્ત્રી કરતાં કરતાં ડ્રેસિંગટેબલ પર પ્રભાએ ગોઠવેલાં ને હજી એમ ને એમ રાખેલાં શ્રીનાથજીની છબી, ઘરેણાંનો ડબ્બો, ‘શનેલ નંબર ફાઇવ પર્ફ્યુમ’, હૅરબ્રશ વગેરે વગેરે જોતો જોતો નિરંજન વિચારતો હતો. એને વિધુર થયે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયાં હતાં. અને પ્રભા વિના વિતાવેલાં વર્ષો એણે કેમ કાઢ્યાં હતાં એ તો એનું જ મન જાણે છે. રીના હવે બાર વરસની થઈ અને રુચિર ચૌદનો. ટીનએજર્સને અમેરિકામાં ઉછેરવાનાં હતાં.

ઇસ્ત્રી કરી નિરંજને દાઢી કરવા માંડી. એ દાઢી કરવા માંડે ત્યારે જ પ્રભાને હાથ ધોવા હોય. બાજુમાં બીજું સિન્ક હતું એમાં નહિ પણ નિરંજન ઊભો હોય એ જ સિન્કમાં. નિરંજનને નાની નાની બાબતોમાં હેરાન કરવાનું પ્રભાને ખૂબ ગમતું. નિરંજન આજે એકલો એકલો ઊભો રહીને દાઢી કરતો હતો. એને પ્રભાના અવસાનનો કારમો ગુરુવાર યાદ આવી ગયો. માથાના અસહ્ય દુખાવાને કારણે પ્રભા એ ગુરુવારે વહેલી ઘેર આવી હતી. દાખલ થતાં મેઈલબૉક્સમાંથી ટપાલ લઈને જ ઉપર આવી હતી. ટાયલેનોલની બે ગોળી લીધી હતી. પછી નિરંજનને ફોન કર્યો હતો. વાત કરતાં કરતાં ઓવન ચાલુ કર્યું હતું, ફ્રિજમાંથી ઑરેન્જ જ્યૂસ કાઢ્યો હતો. સફરજન અને ચપ્પુ રકાબી પર મૂક્યાં હતાં. બીજી ટપાલને હડસેલી ‘ઇન્ડિયા અબ્રૉડ’ ખોલ્યું હતું. પાનાં ફેરવી એને ગમતી મૅટ્રિમોનિયલ કૉલમનાં પાનાં ટેબલ પર પ્રસાર્યાં હતાં. નિરંજન સાથેની વાત પતી એટલે સફરજન સમાર્યું હતું, ટેબલ પર પસારેલું છાપું વાંચતાં વાંચતાં સફરજનની ચીરી ખાઈ રહી હતી. એકાએક એ ખુરસી પરથી ફર્શ પર પડી ગઈ. કલાકેક પછી રુચિર આવ્યો ત્યારે પ્રભા હજી ફર્શ પર જ પડી હતી. સફરજનની અડધી ખાધેલી ચીરી હજી એના મોંમાં જ હતી. એણે રુચિરને ઇશારાથી ચાલુ ઓવન બંધ કરવાની સૂચના આપી હતી. રુચિર ખૂબ ગભરાઈ ગયો હતો. એણે તરત નિરંજનને ફોન કર્યો ને નિરંજન દોડતો આવ્યો હતો. એ આવ્યો ત્યારે પણ પ્રભા ફર્શ પર હતી. સમારેલા કાળા પડી ગયેલા સફરજનની રકાબી નીચે છાપું ખુલ્લું પડ્યું હતું. એણે ઍમ્બ્યુલન્સ માટે ફોન કર્યો. ચાર કલાક પછી પ્રભા અવસાન પામી. વિચારમાં ને વિચારમાં દાઢી સહેજ છોલાઈ. લોહી ધસી આવ્યું. નિરંજને નેપ્કિન લઈ લોહી પર દાબી દીધો. પહેલાં કોઈ વાર દાઢી છોલાતી તો પ્રભા નેપ્કિન લઈ દોડી આવતી.

નિરંજને શાવર ખોલ્યો. પ્રભા સાથે લીધેલા શાવર યાદ આવ્યા.

ગુરુ શુક્રવારની ટપાલમાં સાપ્તાહિક છાપું આવ્યું હોય. આગામી કાર્યક્રમોની જાહેરાત પર નજર ફેરવી છેલ્લે પાને આવતી મૅટ્રિમોનિયલ્સમાં પ્રભાને ભારે રસ. આ મૅટ્રિમોનિયલ્સ એ ધ્યાનથી જુએ. કેટલીક જાહેરખબર લાલ પેનથી માર્ક કરે. રાતે એ ને નિરંજન લાલ પેનથી માર્ક કરેલી જાહેરખબરની ચર્ચા કરે. આ સ્ત્રી-પુરુષો કોણ હશે? કેવાં હશે? વિધવા, વિધુર, છૂટાછેડા લીધેલી વ્યક્તિઓ. પ્રભા અને નિરંજન વિચારે કે એ જાહેરખબરમાંથી એમને કોણ ફિટ થાય છે. પ્રભા પુરુષોની કૉલમ જુએ અને નિરંજન સ્ત્રીઓની. જરૂરિયાત પ્રમાણે જવાબ તૈયાર કરે. એકબીજાના જવાબ વાંચે અને પછી બન્ને ખડખડાટ હસે. આ એમની વર્ષોની અંગત રમત હતી. આ રમતની વાત શાવરમાં પણ થતી. આજે એને પાર્ટીમાં જવાનું છે. અશોક અને સુનીતાને ત્યાં.

આ જ અશોક અને સુનીતાએ એમનાં લગ્નની પચ્ચીસમી એનિવર્સરીની પાર્ટી કરેલી. ખૂબ ધામધૂમથી, નવેસરથી લગ્ન કરીને. નિરંજન અને પ્રભા જેવાં અનેક દંપતીઓની સાથે ઉષાને પણ બોલાવેલી. ઉષાએ થોડા સમય પર છૂટાછેડા લીધા હતા. પાર્ટીમાં લોકો એની સામે અવનવા ભાવથી જોતા હતા. જમતી વખતે ઉષા પ્રભા અને નિરંજન સાથે બેઠી હતી. પ્રભાએ એની સાથે વાતો કરી. ક્યારેક એમને ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું. નિરંજને આગ્રહ કર્યો. ફોન કરીને દિવસ નક્કી કરવાની વાત સાથે એ લોકો છૂટાં પડ્યાં.

એનિવર્સરીની પાર્ટીમાંથી ઘેર જતાં નિરંજને પ્રભાને કહ્યું કે બીજાં દસ વરસ પછી એ લોકોએ પણ પચ્ચીસમી એનિવર્સરી આવી રીતે ઊજવવી જોઈશે.

‘ઉષા ત્યારે એકલી જ હશે કે પરણી ગઈ હશે?’

‘આટલી હોશિયાર ભણેલીગણેલી ને કમાતી છોકરી થોડી જ કુંવારી રહેવાની હતી? અત્યારે ય કેટલા પુરુષો એની પાછળ હશે કહેવાય નહિ.’

થોડી વાર કોઈ બોલ્યું નહિ.

‘આપણે ઘેર આવે ત્યારે પૂછીએ તો કેમ?’ પ્રભા બોલી.

‘અને કોઈ સાથે નક્કી ન કર્યું હોય તો આપણાં છાપાંનો ઢગલો એની પાસે ખડકી દેવાનો.’ નિરંજનને લાલ પેનથી માર્ક કરેલી જાહેરખબરો આંખ સામે આવી.

નિરંજનનો શાવર પતી ગયો. એને વિચાર આવ્યો આજની પાર્ટીમાં ઉષા હશે? એકલી આવી હશે? પ્રભાના ફ્યુનરલ વખતે ઉષા આવી હતી.

નિરંજન ગ્રે સૂટમાં તૈયાર થઈ સાંજની ગાર્ડન પાર્ટીમાં ગયો. એક હાથમાં ડ્રિંક અને બીજે હાથે મગફળી અને કાજુ ખાતાં ખાતાં કેટલાક પુરુષો રાજકારણની ચર્ચા કરતા હતા. કેટલીક સ્ત્રીઓ ઘરકામની અને છોકરાંઓની વાતો કરતી હતી. એ કોઈ પણ ગ્રુપમાં ભળી શકે એમ હતું. બધાંને કેમ છો, કેમ છો, પૂછી રસોડામાં આંટો મારી આવ્યો. ત્યાંથી ઉપર બાથરૂમમાં ગયો. એના વાળ બરાબર છે કે નહિ એ અરીસામાં ચેક કરી લીધું.

બાથરૂમમાંથી નીચે આવ્યો ત્યારે એક ક્ષણ માટે સોપો પડી ગયો હતો. એનું કારણ ઉષા હતી. ઉષા એના સફેદ અને કાળા સલવાર-કુર્તા-દુપટ્ટામાં સજ્જ હતી. ખભે કાળી પર્સ હતી. પગમાં કાળા શૂઝ. મોં પર આછો મેકઅપ, આંખમાં બદામી આકારને સતેજ કરતું કાજળ. હોઠ પર ગુલાબી લિપસ્ટિક.

ઉષા આવી એ નિરંજનને ગમ્યું.

‘શું ડ્રિંક પીશો?’ નિરંજને ઉષાને પૂછ્યું.

‘જિન ઍન્ડ ટૉનિક.’

નિરંજન એને માટે ડ્રિંક લઈ આવ્યો. ઉષાએ એના, બાળકોના ખબર પૂછ્યા.

‘જમતી વખતે તમે મારી સાથે જ બેસજો.’

‘કેમ?’ ઉષાએ પૂછ્યું.

‘તમને એકલું ન લાગે ને!’

જમતી વખતે નિરંજન ખુશમિજાજમાં હતો. ઉષાનું ધ્યાન રાખતો હતો. ખૂબ બોલતો હતો.

‘તમને હું ડ્રન્ક તો નથી લાગતો ને?’

‘મને મજા આવે છે.’ ઉષા બોલી.

‘હું તમને ફોન કરી શકું?’

‘હા.’

ખોળા પર મૂકેલા નેપકિનને હાથમાં લઈ, મોં લૂછવાનો ચાળો કરી, એના પર પોતાના ઘરનો નંબર લખી ધીરેથી ઉષાના ખોળા પર મૂક્યો.

‘ઇચ્છા થાય તો ફોન કરજો.’

અઠવાડિયા પછી નિરંજને જ ફોન કર્યો.

‘ઉષા, હું નિરંજન.’

‘કેમ છો તમે?’

‘બિઝી તો નથી ને?’

‘ટીવી જોઉં છું.’

‘પછી ફોન કરું?’

‘હા, દસ વાગ્યે.’

દસ વાગ્યે નિરંજને ફોન કર્યો.

‘હવે તો બિઝી નથી ને?’

‘ના.’

‘ગયા શનિવારે પાર્ટીમાં તારી સાથે મજા આવી. તમને “તું” કહું તો વાંધો નથી ને?’

‘પણ હું તમારાથી મોટી છું.’ ઉષાએ ગપ્પું માર્યું.

‘કેટલી મોટી?’

‘બાર વરસ.’

‘પણ તું લાગે છે માંડ પાંત્રીસની. હાઉ ઇઝ લાઇફ?’

‘કોઈ ફરિયાદ નથી.’ ઉષાએ બીજું ગપ્પું માર્યું.

‘એકલું નથી લાગતું?’

‘મારા કામમાંથી પરવારું પછી એવો વિચાર કરું ને?’ ત્રીજું ગપ્પું.

‘ઇન્ડિયામાં હોય તો આમ સવારથી સાંજ કામ કર્યાં કરે?’

‘ઇન્ડિયાની તો વાત જ જુદી છે.’

‘મારી અંગત વાત કરું તો વાંધો નથી ને?’

‘વાંધો શો?’

‘બહુ એકલું લાગે છે. આઈ મિસ પ્રભા વેરી મચ. પ્રભા હતી ત્યારે બીજી સ્ત્રીનો વિચાર પણ ન આવે.’

‘અને હવે?’

‘ઇટસ્ અ ન્યૂ ગેઈમ.’

‘ગેઈમ એટલે?’

‘આવી રીતે અંગત વાત ન કરી હોય એટલે ઑકવર્ડ ફીલ થાય.’

‘તમારાં ભાઈ અને બહેન અહીં જ છે ને?’

‘પણ એમની સાથે અંગત વાત થોડી થાય?’

‘તો પરણી કેમ નથી જતા?’

‘એ કાંઈ થોડું સહેલું છે?’

‘તમે મળો છો કોઈને?’

‘હા, એક બંગાળી ફ્રેન્ડ છે.’

‘તો તો બરાબર, નહિ?’

‘છોકરી સારી છે પણ ઑલ ધ ટાઇમ ઇંગ્લિશમાં બોલવું પડે.’

‘તો પછી કોઈ ગુજરાતી છોકરી શોધી કાઢો.’

‘તું ઓળખે છે કોઈને?’

‘અત્યારે તો ખ્યાલમાં નથી. તમે અહીંનું કોઈ છાપું મંગાવો છો?’

‘વર્ષો સુધી પ્રભા ને હું છાપાંની મૅટ્રિમોનિયલ્સ વાંચીને ખૂબ હસતાં હતાં. મને કલ્પના નહિ કે મારે જ એ સિચ્યુએશન આવશે.’

‘કદાચ બધાં જ મૅરિડ કપલ્સ સિંગલ્સ પર હસતાં હશે.’

‘એ લોકોને સિંગલ સ્ત્રીપુરુષની કલ્પના જ નહિ હોય. મને પણ હવે જ ખ્યાલ આવે છે.’

‘તમે જોયું તે દિવસે પાર્ટીમાં?’ ઉષાએ પૂછ્યું.

‘શું?’

‘પરણેલી સ્ત્રીઓને થાય કે આ છોકરી એકલી છે, દુ:ખી છે તો અમારા વરને છીનવી જશે.’

‘અને પુરુષોને?’

‘પુરુષોને અડપલાં કરવાનું મન થાય.’

‘તારી અમેરિકન ફ્રેન્ડ્ઝ?’

‘એ લોકોમાં તો “સિંગલ વુમન ઇઝ અ લેપર.”

‘સૉરી, ઉષા! મારો બીજો ફોન આવે છે. પછી ફોન કરીશ.’

ઉષાને થયું કે નિરંજન હજી પ્રભાના જ પ્રેમમાં છે.

થોડા દિવસ પછી પાછો નિરંજને ઉષાને ફોન કર્યો.

‘હં, તો શું વાત કરતાં’તાં આપણે?’

‘હું કહેતી હતી કે એકલી રહેતી સ્ત્રીની દશા બૂરી હોય છે.’

‘મારી દૃષ્ટિએ પુરુષની વધારે બૂરી હોય છે. તારી જેમ તારી બહેનપણીઓ પણ એકલી રહેતી હશે ને?’

‘મારી ચાર ઇન્ડિયન ફ્રેન્ડ્ઝ ડિવૉર્સ્ડ છે.’

‘બધી ગુજરાતી?’

‘ના.’

‘કદાચ પ્રોફેશનલ વીમેન હશે. ચાલ, વાત બદલીએ. હું તને બોલાવું તો તું આવે?’

‘ક્યાં?’

‘એક સાંજે જમવા. બીજી ઑક્ટોબરે શનિવાર છે. તને ફાવે?’

‘ના, એ સાંજે તો મારે બહાર જવાનું છે.’

‘તો રાતે કૉફી પીવા જઈએ.’

કૉફી પીધા પછી નિરંજન ‘ગુડ નાઇટ કિસ’ આપીને જશે કે અંદર આવશે? અંદર આવીને કહેશે ‘આઈ વોન્ટ ટુ મેઇક લવ ટુ યુ’ તો? તો હા પાડવી? અને હા પાડું તો એ પ્રેમ મને કરશે કે પ્રભાને? ઉષા વિચારતી હતી.

બીજી ઑક્ટોબરે નિરંજન ફોન પર સમય નક્કી કરી ઉષાને લેવા આવ્યો.

‘તું ક્યાં સુધી આમ એકલી જીવ્યા કરીશ?’

‘તમારી પેલી બંગાળી મિત્રનું શું?’

‘મળીએ છીએ વન્સ ઇન અ વ્હાઇલ.’

‘હં.’

‘તને લાગે છે આપણું ક્લિક થાય?’

‘કદાચ.’

‘અને ન થાય તો ફોન પર વાત કરીશ ને મળીશ તો ખરી ને?’

‘આજની જેમ?’

‘હા.’

મૂવીની, પુસ્તકોની વાત કરીને ઉષા અને નિરંજન કૉફી શૉપની બહાર નીકળ્યાં ગાડી પાસે નિરંજને કહ્યું:

‘આજે પ્રભાની ડેથ એનિવર્સરી છે.’

ગાડીમાં કોઈ બોલ્યું નહિ. નિરંજને ઉષાનો હાથ પંપાળ્યા કર્યો.

ઉષાનું ઘર આવી ગયું.

‘ફરી ક્યારે મળીશ?’ નિરંજને હાથ લંબાવ્યો.

‘અત્યારે જ. ચાલો અંદર.’

અંદર દાખલ થઈને ઉષા બારણું બંધ કરે એ પહેલાં જ બારણાને અઢેલીને ઊભેલો નિરંજન ઉષાને વળગી પડ્યો. નિરંજન ઉષાને પ્રેમ કરતો હતો કે પ્રભાને? ઇટ જસ્ટ ડિડ નૉટ મૅટર.

Posted : 24 જૂન 2018

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/2018/06/24/પન્ના-નાયકની-વાર્તા-૪-મૅ/

Loading

હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો

કરસનદાસ મૂળજી|Opinion - Opinion|25 June 2018

હિન્દુનાં પુરાણ ઈત્યાદિ શાસ્ત્રોમાં કહેલું છે કે કળિયુગના વખતમાં જુદા ધર્મ અને પાખંડો ઊભાં થશે તથા ધુતારા અને પાખંડીઓ આડા પંથો અને આડા માર્ગો ઉપર ચલાવશે. હિન્દુશાસ્ત્ર પ્રમાણે કળિયુગને આરમ્ભ થયાને આજે પાંચ હજાર વર્ષ થઈ ચૂક્યાં છે. એ પાંચ હજાર વર્ષની મુદતમાં જેટલા નવા પંથો તથા માર્ગો હિન્દુઓમાં ઊભા થયા છે તે સઘળાં ખોટાં પાખંડ સમજવાં, એવું હિન્દુશાસ્ત્ર ઉપરથી સિધ્ધ થાય છે. હવે મહારાજોનો મૂળ પુરુષ વલ્લભ જન્મ્યાને હજુ ચારસો વર્ષ થયાં નથી. વૈષ્ણવમાર્ગનાં પુસ્તકોમાં લખ્યું છે કે વલ્લભાચાર્યનો જન્મ સંવત 1535ના વૈશાખ વદ 11 વાર રવિને દિને થયો હતો. એ વાતને આજ 381વર્ષ થયાં. અને કળિયુગ બેઠાને પાંચ હજાર વર્ષ થઈ ચૂકેલાં ત્યારે વલ્લભાચાર્યનો પંથ કળિયુગના જ વખતમાં ચાલુ થયો. જેમ દાદુપંથી, સાધુ પંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી ઈત્યાદિ પંથો ઊભા થયા તેમ વલ્લભાચાર્યનો પંથ ઊભો થયો. એ સઘળાં પંથો, કળિયુગમાં ઊભા થયા માટે હિન્દુશાસ્ત્રના વચન પ્રમાણે પાખંડી છે!

જદુનાથજી મહારાજ કહે છે કે કોટના દરવાજા આગળથી કોઈ વાલ્કેશ્વર જવા નીકળે અને કોઈ ભાયખાલા. તેમ સઘળા વેદ અને પુરાણના મૂળ રસ્તા આગળ થઈને જુદા જુદા રસ્તા ઉપર નીકળી પડ્યા છે. આ કેવી ઠગાઈની વાત છે, એક ધર્મમાંથી દસ–પન્દર આડા રસ્તા નીકળવા જોઈએ નહીં. ધર્મનો અને નીતિનો માર્ગ એક જ હોવો જોઈએ. વાલ્કેશ્વર જવાનો સીધો માર્ગ મૂકીને ભાયખાલાનો આડો માર્ગ પકડવાની જરુર શી? દરેક પંથવાળાએ એકબીજાને પાખંડી બતાવ્યા છે અને એકબીજાની ધૂળ ઝાટકી છે, તો તેમ કરવાની જરૂર શી? પણ અમે આગળ જણાવ્યું છે કે જે હથિયારથી મહારાજ પોતાનો બચાવ કરવા બહાર પડ્યા છે, તે હથિયાર મહારાજને આડે આવીને નડશે. મહારાજ હિન્દુશાસ્ત્રોને ઈશ્વરકૃત માને છે, ત્યારે એનાથી એમ નહીં કહેવાય કે હિન્દુશાસ્ત્રનું ફલાણું વચન ખોટું છે! કળિયુગમાં પાખંડી મતો ઊભા થશે, એ વચન મજકૂર મહારાજથી એમ નહીં કહેવાય કે ખોટું છે. ત્યારે બીજા કેટલા ય પંથોની જેમ મહારાજનો પંથ કળિયુગમાં ઊભો થયો, માટે તે ખોટો અને પાખંડ ભરેલો છે એવું હિન્દુશાસ્ત્રથી સિધ્ધ થાય છે.

મહારાજનો પંથ પાખંડ ભરેલો તથા ભોળા લોકોને ઠગવાનો છે તે અસલ વેદપુરાણ વગેરેના ગ્રંથોથી ઉપર જણાવ્યા પ્રમાણે સાબિત થાય છે. એટલું જ નહીં; પણ મહારાજોનાં બનાવેલાં પુસ્તકો ઉપરથી પણ સાબિત થાય છે કે મહારાજોએ કંઈ જ નહીં; પણ નવું પાખંડ અને તરકટ ઊભું કર્યું છે. જુઓ બ્રહ્મ સમ્બન્ધ બાબત મૂળ શ્લોક ઉપર લમ્બાવીને ગોકુળનાથજીએ કેવી ટીકા કરી છે :

અર્થ – ‘તે માટે પોતે ભોગવે તે પહેલાં પોતાની પરણેલી બાયડી પણ (ગોસાંઈજી મહારાજને) સોંપવી અને પોતાનાં બેટા–બેટી પણ તેમને સોંપવાં. પરણ્યા પછી પોતે ભોગવે તે પહેલાં (ગોસાંઈજી મહારાજને) અપર્ણ કર્યા પછી પોતાના કામમાં લેવી.’

અરરરર! આ કેવું પાખંડ, આ કેવો ઢોંગ અને આ કેવી ઠગાઈ!! અમે જદુનાથજી મહારાજને પૂછીએ છીએ કે કયા વેદમાં, કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં અને કઈ સ્મૃિતમાં લખ્યું છે કે મહારાજને અને ધર્મગુરુને પોતાની પરણેલી સ્ત્રી ભોગવ્યા પહેલાં સોંપવી. પોતાની સ્ત્રી જ નહીં; પણ પોતાની બેટી અથવા દીકરીને પણ સોંપવી! અરરરર!!! આ લખતાં અમારી કલમ ચાલતી નથી. અમને અતિશય કંટાળો અને ધ્રુજારી છૂટે છે. લોકોને દેખતી આંખે આંધળા કરવા, અને તેઓની આંખમાં ધૂળ છાંટીને ધર્મને બહાને તેઓની કાચી કુંવારી વહુદીકરી ભોગવવી એના કરતાં વધારે પાખંડ અને ઠગાઈ કઈ? વલ્લભાચાર્ય સિવાય કળિયુગમાં બીજાં ઘણા પાખંડો અને ઘણા પંથો ઊભાં થયા છે; પણ મહારાજોના પંથ જેવી નફટાઈ, ખંધાઈ, બુરાઈ, લુચ્ચાઈ અને ઠગાઈ બીજા કોઈ પણ પંથવાળાએ કરી નથી. અમે જ્યારે આવા કઠણ શબ્દ વાપરીએ છીએ ત્યારે અમારા ભોળા હિન્દુિમત્રોને અમારી ઉપર ગુસ્સો આવે છે, અને તે ગુસ્સાને લીધે અમારે ઘણું શોષવું પડ્યું છે અને પડે છે; પણ જ્યાં ભોળા લોકોની આંખમાં ધૂળ છાંટીને તેમની વહુદીકરીને ભોગવવાનું મહારાજો પોતાનાં પુસ્તકોમાં લખે છે અને તે પ્રમાણે તેઓ ભોગવે છે ત્યારે અમારા પેટમાં મોટા ભડકા ઊઠે છે. અમારી કલમ એકદમ તપીને ગરમ થઈ જાય છે. અમારા ભોળા હિન્દુિમત્રો ઉપર અને તેઓની વિચારશક્તિ ઉપર અફસોસ કરવો પડે છે.

જદુનાથજી મહારાજે ‘સ્વધર્મ વર્ધક’ ચોપાનિયું કાઢવા માંડ્યું છે તેને અમે પૂછીએ છીએ કે તમે કેવી રીતે ધર્મનો વધારો કરવા માગો છો? તમારા વડિલોએ ભોળા લોકોની આંખમાં ધૂળ છાંટીને આંધળા કર્યા છે તેઓને દેખતા કરવા માગો છો કે ધર્મનું ખોટું અભિમાન ધરીને ભોળા લોકોને વધારે ઠગવા માગો છો? જદુનાથજી મહારાજ! તમે જો ધર્મનો વધારો, ફેલાવો કરવા માગતા હો તો તમે પોતે સારું આચરણ પકડીને તમારા બીજા મહારાજોને ઉપદેશ કરો, ધર્મગુરુઓ પોતે જ જ્યાં સુધી વ્યભિચારના સમુદ્રમાં ડુબેલા માલૂમ પડશે ત્યાં સુધી તેઓથી ધર્મનો બોધ થઈ શકવાનો નથી. ગોકુળનાથજીએ ઉપર જણાવેલી ટીકા કરીને તમારા વૈષ્ણવ માર્ગને મોટો ડાઘ લગાડ્યો છે તે પ્રથમ કાઢી નાખો. એ ટીકા કરનાર ઉપર ધિક્કાર નાખો, તે ટીકા પ્રમાણે મહારાજો ચાલીને પોતાના સેવકની વહુ–દીકરીઓને બગાડે છે તેથી હાથ ઊઠાવો અને રસમંડળી જેવી અનીતિનો એકદમ નાશ કરો. જ્યાં સુધી તમે તેમ કરશો નહીં ત્યાં સુધી તમારાથી ધર્મનો ઉપદેશ અને સ્વધર્મનો વધારો થઈ શકવાનો નથી, તે સત્ય જાણી લેજો.

(‘સત્ય પ્રકાશ’, તા. 21 ઓક્ટોબર, 1860)

https://govindmaru.wordpress.com/2018/06/22/k-m/

સૌજન્ય : ગોવિંદભાઈ મારુ સંચાલિત બ્લૉગ – ‘અભીવ્યક્તી’; 22 જૂન 2018 

Loading

...102030...3,1093,1103,1113,112...3,1203,1303,140...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved