Opinion Magazine
Number of visits: 9686069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શમા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક

કુલદીપ નાયર|Opinion - Opinion|26 August 2018

વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું ૨૩ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ ૯૫ વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેઓ એક ઉર્દૂ પ્રેસના રિપોર્ટર હતા, તેઓ દિલ્હીના સમાચાર પત્ર ધ સ્ટેટ્સમેનના સંપાદક હતા અને તેમની ભારતમાં લાદવામાં આવેલ કટોકટી (૧૯૭૫-૭૭)ના અંતમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક માનવીય અધિકાર કાર્યકર્તા અને શાંતિ કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે. વર્ષ ૧૯૯૦માં તેઓને ગ્રેટ બ્રિટનમાં ઉચ્ચાયુક્ત તરીકે નીમવામાં આવ્યા હતા, તેઓ વર્ષ ૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતના પ્રતિનિધિમંડળના સભ્ય હતા. ઓગસ્ટ ૧૯૯૭માં રાજ્યસભા માટે તેમનું નામાંકન કરવામાં આવ્યું હતું. તેઓ ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ડેક્કન હેરાલ્ડ (બેંગલુરુ), ધ ડેઈલી સ્ટાર, ધ સંડે ગાર્જિયન, ધ ન્યૂઝ, ધ સ્ટેટ્સમેન, ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન પાકિસ્તાન, ડોન પાકિસ્તાન સહિત ૮૦થી વધુ સમાચારપત્ર માટે કોલમ અને એપ-એડ લખતા રહ્યા. કુલદીપ નાયરે તેમની આત્મકથા ‘Beyond the lines’માં લખ્યું છે કે હું મિર્ઝા ગાલિબની પંક્તિ ‘શમા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક’માં વિશ્વાસ ધરાવું છું. પંજાબ કેસરીમાં પ્રકાશિત થયેલ તેમના અંતિમ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

ગેરકાયદેસર પરદેસીઓનો મુદ્દો કે પછી વોટબેંક!

(કુલદીપ નાયર, પંજાબ કેસરી, ૨૨ ઓગસ્ટ, ૨૦૧૮)

ભારતીય જનતા પાર્ટી પૂર્વોત્તરના સાત પૈકી છ રાજ્યોમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે. દેશના વિભાજન સમયે જે ચર્ચાઓ થઇ રહી હતી તે સમયે પણ કોઈએ આ પ્રકારની કલ્પના નહોતી કરી તેવી આ ઘટના છે. તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ફખરુદ્દીન અલી અહમદે એક વખત એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ‘વોટ માટે’ પાડોશી, જેમ કે પૂર્વ પાકિસ્તાન, જે હવે બાંગ્લાદેશ છે, ત્યાંથી મુસ્લિમોને આસામ લાવવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં કહ્યું હતું કે આ કોંગ્રેસનું જાણીજોઈને લેવામાં આવેલું પગલું હતું કે જે થકી તેઓ આસામને પોતાની સાથે રાખવા માંગતા હતા. રાજ્યનાં લોકો માટે આ નિર્ણયના કારણે ગંભીર સમસ્યા પેદા થઇ હતી. તે સમયે પૂર્વોત્તર અને તેમાં પણ ખાસ કરીને આસામમાં ઘૂસણખોરી બહુ મોટો ચિંતાનો વિષય બની ગયો હતો. ગેરકાયદેસર સ્થળાંતરણને રોકવાની પ્રક્રિયા કે જે બ્રિટિશ શાસનના સમયમાં શરૂ થઇ હતી, રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે ઘણાં પ્રયાસો બાદ પણ અધૂરી રહી ગઈ. જેના પરિણામે મોટાપ્રમાણમાં થયેલાં સ્થળાંતરણના કારણે સામાજિક, આર્થિક, રાજનૈતિક અને પર્યાવરણ સંબંધિત અસર પડી અને પૂર્વોત્તરના લોકો ચિંતા વ્યક્ત કરવા લાગ્યા. જ્યારે વર્ષ ૧૯૫૦માં પ્રવાસી (આસામમાંથી દૂર કરવાનો) કાયદો પસાર થયો, જે હેઠળ માત્ર તે લોકોને જ રહેવાની અનુમતિ છે કે જેઓ પૂર્વ પાકિસ્તાનમાં લોકોનાં ઉપદ્રવના કારણે વિસ્થાપિત થયા હતા, ત્યારે લોકોને નીકાળવા બાબતે પશ્ચિમ પાકિસ્તાનમાં ખૂબ વિરોધ થયો. આ બાદ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ અને લિયાકતઅલી ખાન વચ્ચે સમાધાન થયું. તે હેઠળ વર્ષ ૧૯૫૦માં દેશમાંથી નીકાળેલા લોકોને પરત આવવા દીધાં.

વર્ષ ૧૯૬૨માં ભારત-ચીનના યુદ્ધ દરમિયાન સરહદ પર પાકિસ્તાનના ઝંડા લઈને ઊભેલા કેટલાંક ઘૂસણખોરો જોવા મળ્યાં. આ કારણે કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૬૪માં આસામ પ્લાન બનાવ્યો પરંતુ, ૧૯૭૦ના દાયકામાં પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલાં અત્યાચારના કારણે મોટી સંખ્યામાં શરણાર્થીઓ બેરોકટોક આવી પહોંચ્યાં. ઇન્દિરા ગાંધી અને મુજ્જ્બીર રહમાન વચ્ચે વર્ષ ૧૯૭૨માં થયેલાં સમાધાનના કારણે ગેરકાયદેસર પરદેશીઓને ફરી પરિભાષિત કર્યા. આ હેઠળ વર્ષ ૧૯૭૧ પહેલાં આવેલા લોકોને બિનબાંગ્લાદેશી જાહેર કરવામાં આવ્યા. અસમિયા લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને આંદોલનો કરવા લાગ્યા. આ કારણે વર્ષ ૧૯૮૩માં ગેરકાયદેસર પરદેશી કાયદો લાગૂ થયો. આ કાયદાનો હેતુ ટ્રીબ્યુનલ દ્વારા ગેરકાયદેસર પરદેશીઓની ઓળખ અને તેઓને દેશની બહાર નીકાળવાનો હતો. પરંતુ, આ કાયદા થકી પણ પૂર્વોત્તરમાં વર્ષોથી ચાલી આવી રહેલી આ સમસ્યાનો ઉકેલ આવી શક્યો નહિ. વર્ષ ૧૯૮૫માં આસામ સમાધાન પછી તરત જ ગેરકાયદેસર પરદેશીઓની ઓળખ માટેની અંતિમ તારીખ ૨૫ માર્ચ, ૧૯૭૧ નક્કી કરવામાં આવી, કે જે દિવસે બાંગ્લાદેશનો જન્મ થયો હતો.

આ સમાધાનમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો ૨૫ માર્ચ, ૧૯૭૧ કે તે પહેલાં અહીં આવીને વસ્યાં છે તેઓને નાગરિક માની લેવામાં આવશે અને જે ગેરકાયદેસર પરદેશીઓ આ ચોક્કસ તારીખ બાદ આવ્યા છે તેમને પરત મોકલી દેવામાં આવશે. વિદ્રોહી સમૂહોએ આ નિર્ણયનો વિરોધ કરવા માટે આંદોલનો શરૂ કર્યા અને એ પ્રકારની માંગણી કરી કે આ સમાધાનને રદ કરી દેવામાં આવે અને પરદેશીઓ કોઈ પણ તારીખે કેમ ના આવ્યા હોય પણ તે તમામ પરદેશીઓને પરત મોકલવામાં આવે. પરંતુ, આંદોલનો થકી પણ સ્થાનિક લોકોને કોઈ રાહત મળી નહિ કારણ કે આ પરદેશીઓને છૂપી રીતે રાશન કાર્ડ આપવામાં આવ્યા હતા અને તેમનાં નામની નોંધણી વોટર્સ લિસ્ટમાં કરી દેવામાં આવી હતી. બાંગ્લાદેશી પરદેશીઓના વધતાં પ્રભાવના કારણે આસામની પરિસ્થિતિઓ વધુ વણસી. એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં મુસ્લિમોની આબાદી લગભગ ૪૦ ટકા જેટલી પહોંચી ગઈ છે. અંતમાં, આ મુદ્દે સુપ્રિમ કોર્ટને દખલગીરી કરવી પડી અને આ કાયદાને વર્ષ ૨૦૦૫માં રદ કરવામાં આવ્યો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે ‘આ કાયદાએ સૌથી મોટી સમસ્યા ઊભી કરી છે અને ગેરકાયદેસર પરદેશીઓને પરત મોકલવામાં આ એક મોટી સમસ્યા છે’.

પરંતુ, બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી તો ચાલુ જ રહી અને ગેરકાયદેસર પરદેશીઓની ઘટના એ એક સંવેદનશીલ મુદ્દો સાબિત થયો કે જેનો ઉપયોગ રાજનૈતિક સ્વાર્થી તત્ત્વો કરવા લાગ્યા. પૂર્વોત્તરના વિદ્રોહી સમૂહો, શાંતિપૂર્ણ અને હિંસક એમ બંને પ્રકારે આંદોલનો કરતા રહ્યા, પરંતુ તેઓને કોઈ ચોક્કસ સફળતા પ્રાપ્ત થઇ નહિ. દુર્ભાગ્યે ભા.જ.પા. સરકાર ૧૯૫૫ના કાયદામાં એ પ્રકારનાં બદલાવ લાવવા ઈચ્છે છે કે જે હેઠળ ધાર્મિકતાના આધારે સતાવવામાં આવેલા પરદેશીઓને નાગરિકતા આપવામાં આવે, એટલે કે સાંપ્રદાયિકતાના આધારે તેમનાં વચ્ચે ભેદ ઊભો કરવામાં આવે. આસામના મહત્તમ લોકો આ માંગની વિરુદ્ધ છે કારણ કે સમાધાન અનુસાર ૨૫ માર્ચ, ૧૯૭૧ બાદ બાંગ્લાદેશથી આવેલા તમામ ગેરકાયદેસર પરદેશીઓને પરત મોકલવાનું નક્કી થયું હતું. આ મુદ્દાની જગ્યાએ કેન્દ્રએ પૂર્વોત્તર રાજ્યોના સીમા વિવાદિત લાંબા ચાલતાં આવી રહેલાં વિવાદોનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. ત્યાં અરુણાચલ પ્રદેશને બાદ કરતાં બાકીનાં રાજ્યો આસામમાંથી જ અલગ થયેલાં છે. આ હેઠળ, મણિપુરનો નાગાલેન્ડ તથા મિઝોરમની સાથે પણ સીમા વિવાદ છે. પરંતુ, તે આસામની જેમ તરત જ દેખાઈ નથી આવતા. આમ છતાં, ક્ષેત્રના લોકો દેશની રાજધાની દિલ્હી સહિત દેશનાં અન્ય રાજ્યોમાં પૂર્વોત્તરના લોકોને અને તેમાં પણ ખાસ કરીને વિધાર્થીઓને જે રીતે હેરાન કરવામાં આવે છે તે મુદ્દે તો સહુ સાથે જ છે. તેઓને લાગે છે કે કેન્દ્રની ઉપેક્ષા અને તેમની ગંભીરતાનો અભાવ રાજ્યમાં આ સ્થિતિ માટે જવાબદાર છે. તેઓ ક્ષેત્રના વિકાસમાં વધુ ભાગીદારી ઈચ્છી રહ્યાં છે. ભા.જ.પા. પાર્ટીએ ત્યાં વિકાસના ઘણાં કાર્યો કર્યા છે અને ત્યાંના લોકોની સાથે ભાવનાત્મક જોડાણના પ્રયાસો પણ સાધી રહી છે. પરંતુ, આર્મ્ડ ફોર્સીસ સ્પેિશયલ પાવર એક્ટ (આફસ્પા) જ અસુવિધાજનક બિંદુ રહ્યું છે. ઘણાં વિસ્તારોમાંથી તે ઉઠાવી લેવામાં આવ્યો છે, પણ, જમીનીસ્તરે સ્થિતિ સુધરી છે જેના કારણે કેન્દ્ર વધુ પ્રયત્ન કરી શકે તેમ છે. જો ગેરકાયદેસર પરદેશીઓની યોગ્ય ઓળખ નહિ કરવામાં આવે અને તેમને પરત મોકલતા સમયે જરૂરી ઉપાય નહિ વિચારવામાં આવે તો આ મુદ્દો દેશની સુરક્ષા માટે એક પડકાર સાબિત થશે. સત્તાધારી ભા.જ.પા.એ એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે હિન્દી પ્રદેશથી વિપરીત પૂર્વોત્તરનો સમાજ વૈવિધ્યસભર છે, જ્યાં સાંપ્રદાયિક હિંસાને કોઈ સ્થાન નથી. માટે કેન્દ્ર સરકારે હિન્દુત્વના દર્શન ફેલાવવાની જગ્યાએ સુશાસન અને વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભા.જ.પા. પૂર્વોત્તરની સમસ્યાઓને નકારી શકશે નહિ. આસામમાં પૂર્વોત્તરની સૌથી વધુ 14 સીટો છે. હાલમાં ઉપચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને મહત્તમ ક્ષેત્રિય પાર્ટીઓની અલગ ચૂંટણી લડવાની સંભાવનાને ધ્યાનમાં લેતાં પ્રધાનમંત્રી માટે ત્યાંની દરેક સીટ જીતવી મહત્ત્વપૂર્ણ છે. આખરે, પ્રધાનમંત્રી અને તેમની પાર્ટીને એ વાતનો ખ્યાલ છે કે પૂર્વોત્તરમાં લોકો સરળતાથી પાર્ટી બદલી શકે તેમ છે.

[અનુવાદ – નિલય ભાવસાર]

Loading

વાજપેયી એક ‘મુખોટું’, હંમેશાં સંઘને વફાદાર

નીના વ્યાસ|Opinion - Opinion|26 August 2018

વાજપેયી એક ‘મુખોટું’, તેઓ હંમેશાં સંઘને વફાદાર રહ્યા. અટલ બિહારી વાજપેયી હંમેશાં પાર્ટીનો સુગમ અને વિવેકી મુખવટો રહ્યા હતા. વાજપેયી તે પત્રકારો માટે પણ નમ્ર અને ખુશમિજાજી રહ્યા કે જેમનું લખાણ તેમને ગમ્યું નહોતું અને જેમનો અભિપ્રાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અનુરૂપ નહોતો. વાજપેયી જ્યારે આ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપવા માંગતા નહોતા, ત્યારે બીજી બાજુ તેઓ રમૂજ તરફ ધસી જતા હતા. તમે જુઓ કે વાજપેયીજી એ એક એવી Ceylonese ઢીંગલી હતા કે જેને તમે જમણી તરફથી મુક્કો મારો તો થોડા અસ્થિરપણે ઝૂલશે અને થોડી જ વારમાં સીધા થઇ જશે અને જો તમે તેને ડાબી બાજુથી મુક્કો મારશો તો થોડી ધ્રુજારી અનુભવશે અને ત્યારબાદ ફરી સીધા થઇ જશે. આ પ્રકારનું વર્ણન એક વખત બી.જે.પી.ના વરિષ્ઠ નેતાએ વાજપેયીજી વિશે કર્યું હતું, તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ પણ મૂંઝવનારી રાજકીય ઘટનાઓમાંથી વાજપેયી સહીસલામતપૂર્વક બહાર નીકળી જવાની ક્ષમતા ધરાવતા હતા કે જેમાં સામાન્યપણે પીઢ રાજકારણીની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચતી હોય છે. પણ, તે વાતમાં કોઈ ચૂક નથી કે વાજપેયી RSSના પ્રખર સ્વયંસેવક હતા અને સંઘની આજ્ઞાનું પાલન કરવામાં ક્યારે ય સંકોચ રાખતા નહોતા. તારીખ 6 ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ જ્યારે બાબરી મસ્જિદ જમીનદોસ્ત કરવામાં આવી, ત્યારે તેઓ હાજર રહ્યા નહોતા એટલી પૂરતી જ તેમની ચાલાકી નહોતી. બાબરીધ્વંસના એક દિવસ પહેલાં તેમણે લખનૌમાં કહ્યું હતું કે કેટલીક વિવાદાસ્પદ જગ્યાઓ પર સ્તરીકરણ કરવા માટેની સુપ્રિમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કેટલાંક લોકોનું એવું માનવું છે કે વાજપેયીના કહ્યાના બીજા દિવસે કારસેવકોને વિધ્વંસ માટેનું પ્રોત્સાહન મળ્યું હતું.

સપ્ટેમ્બર ૨૦૦૦માં ન્યૂયોર્કના Staten Islandમાં બી.જે.પી.ના વિદેશી મિત્રોને સંબોધતા વાજપેયીજીએ પોતાના માટે કહ્યું હતું કે એક દિવસ તેઓ વડાપ્રધાન નહિ હોય પણ, એક સ્વયંસેવક હંમેશાં સ્વયંસેવક જ રહે છે, અને તે રીતે તેઓ ઓળખાશે. આ એક વાક્ય સાથે તેમણે સંઘ પરિવારની તમામ વિવેચનાઓ અને પોતાના ઉદારમતવાદી વલણને દબાવી દીધું હતું. આ સાથે એવું જણાઈ આવે છે કે તેઓ સંઘના અન્ય લોકોની જેમ RSSને વફાદાર હતા. RSS અને જનતા પાર્ટીના બેવડા સભ્યપદના મુદ્દે જ્યારે બી.જે.પી.એ કટોકટી બાદ જનતા પાર્ટી સાથેનું જોડાણ તોડ્યું, ત્યારે અગાઉથી જ આ ઠરાવને અમલમાં મૂકવામાં આવ્યો હતો. વાજપેયી દ્વારા દોરવાઈ રહેલા જનસંઘના સભ્યોએ સરકાર છોડી અને તેઓને RSSનું સભ્યપદ છોડવાની જગ્યાએ અધિકારો છોડવા ઉચિત લાગ્યા.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણો બાદ ગોવા ખાતે બી.જે.પી.ના રાષ્ટ્રીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તે વાતનું યોગ્યરીતે દસ્તાવેજીકરણ થયું છે કે તે કોન્કલેવમાં વાજપેયીએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીપદેથી હટાવવાનું આયોજન કર્યું હતું. પરતું, તેઓ લાલકૃષ્ણ અડવાણી અને અરુણ જેટલીના કુશળ ફૂટવર્કના કારણે નિષ્ફળ નીવડ્યા હતા. એક આગોતરા ઠરાવમાં મોદીએ રાજીનામાની માંગણી કરી હતી અને અડવાણીએ એ વાતની ખાતરી આપી હતી કે લગભગ સમગ્ર રાષ્ટ્રીય કારોબારી આ માંગણી નકારે છે અને પાર્ટીના આ ઠરાવને સમર્થન આપે છે. ત્યારે વાજપેયીને પીછેહઠ કરવી પડી હતી.

આ વચ્ચે તેમણે RSS અને પાર્ટીમાં મુસ્લિમ વિરોધી જે ઉમળકો અને જડતા જોવા મળી રહી હતી તે મુદ્દે અરજી કરી હતી. તે દિવસે સાંજે, ગોવાની જાહેરસભામાં, વાજપેયીએ તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ કોમી ભાષણ આપ્યું હતું. જ્યાં તેમણે કહ્યું હતું કે દરેક જગ્યાએ મુસ્લિમો મુશ્કેલીમાં છે, તેઓ તેમનાં પાડોશીઓ સાથે પણ શાંતિથી રહી નથી શકતા. અને આવું તેમણે ગુજરાતના ભયાનક કોમી રમખાણ બાદ કહ્યું હતું, આ ભાષણ બાદ તેમના પ્રત્યેના લોકોના વિશેષાધિકારમાં ગતિ જોવા મળી હતી. પરંતુ, ત્યારબાદ તેમણે આ પરિસ્થિતિ અંગેનો ખુલાસો આપતા કહ્યું હતું કે ભાષણમાં તેમણે ‘કેટલાંક’ એવાં મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓ ‘જેહાદી માનસિકતા’ ધરાવે છે. સમગ્ર રાજકીય વર્ણપટના રાજકારણીઓ એ વાતનું વર્ણન કરતા થાકતા નથી કે વાજપેયી અયોગ્ય પાર્ટીમાં યોગ્ય વ્યક્તિ હતા. તેઓ સ્વભાવગત બિનસાંપ્રદાયિક માનવતાવાદી હતા. અને તેઓ એવા ઉદારવાદી હતા કે જેઓ કોઈક રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ફસાઈ ગયા હતા. સત્યથી આગળ કશું જ નથી, વાજપેયી હિન્દુત્વ પ્રત્યે પ્રતિબદ્ધ હતા અને ગોળવેલકરની તે દૂરદર્શિતાને માનતા હતા કે જેમાં હિંદુ બહુમતીની દયા હેઠળ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને બીજા તબક્કાના નાગરિક તરીકે સ્વીકારવામાં આવે કે જેવું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવત વિચારે છે.

વાજપેયીએ ‘હિંદુ તન મન હિંદુ જીવન’ નામની કવિતા લખી હતી કે જેમાં તેમણે પોતે હિંદુ હોવાની વાત મૂકી હતી. આ કવિતા અગાઉ ભા.જ.પા. પાર્ટીની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી, પણ તેઓ જેવા વડાપ્રધાન બન્યા કે તરત જ તેમના સૂચનોથી આ કવિતા પાર્ટીની વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવી હતી. કારણ કે ત્યારે ગઠબંધનની સરકારમાં તેઓ કોઈ નવો વિવાદ ઊભો કરવા નહોતા માંગતા. વાજપેયી પત્રકારોની સાથે સુગમ અને સુખદ વ્યવહાર રાખતા હતા, એ રીતે જોતા વાજપેયી, નરેન્દ્ર મોદી કરતાં તદ્દન વિપરીત હતા. કારણ કે નરેન્દ્ર મોદી માટે તેમની ટીકાને ભૂલી જવી અથવા માફ કરવી તે સ્વીકારવું અઘરું છે. કટારલેખક અને ટેલિવિઝન એન્કર કરણ થાપરે તેમના હાલમાં જ પ્રકાશિત થયેલા પુસ્તકમાં લખ્યું છે કે તેમણે એક વખત નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ કર્યો હતો કે જેમાં મોદીજી ઊભા થઈને જતા રહ્યા હતા, ત્યાર બાદ કરણ થાપરે મોદીજી સાથે વ્યવસાયિક સંબંધો રાખવાના પ્રયત્નો કર્યા હતા પણ તેનો તેમને કોઈ લાભ મળ્યો નહિ. અને હાલમાં જ ABP ન્યુઝ ચેનલના પત્રકારોએ તે ચેનલ છોડી છે, જેમાં એ તથ્ય બહાર આવ્યું છે કે મોદીજી તેમની ટીકાને સ્વીકારતા નથી.

મોદીજી જ્યારે પાર્ટીના જનરલ સેક્રેટરી હતા ત્યારે તેઓ પત્રકારોની સાથે સુગમ વ્યવહાર રાખતા હતા, અને ત્યારબાદ જ્યારે તેઓ વર્ષ ૨૦૦૧માં ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા કે તરત જ મીડિયા અને પત્રકારોથી દૂર થઇ ગયા હતા. વાજપેયી વડાપ્રધાન બન્યા તે પૂર્વે એક પત્રકારે વાજપેયીને બી.જે.પી.ની વિદેશનીતિ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે આ પ્રશ્નનો એક જ વાક્યમાં એવો ઉત્તર આપ્યો હતો કે ‘પાકિસ્તાન પર બોમ્બ નાખો, પાકિસ્તાનનો વિનાશ કરી નાખો’. વાજપેયીએ આ મજાક કરી હતી પણ તેનો અર્થ ગંભીર હતો. પણ, તેના સંકેતો એવા હતા કે પાર્ટી પાકિસ્તાનથી મનોગ્રસ્ત હતી અને તેમની પાસે વિદેશનીતિનો માત્ર એક જ મુદ્દો હતો કે પાકિસ્તાનનો વિનાશ કરો. અને વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યાર બાદ તેમણે પાકિસ્તાનની સાથે મિત્રતાનો હાથ લંબાવવાનું કહ્યું હતું, જે હેઠળ તેમણે લાહોર બસ ‘યાત્રા’ શરૂ કરી હતી. સાથે તેમણે જનરલ પરવેઝ મુશર્રફની સાથે આગ્રા સમિટની વ્યવસ્થા પણ કરી હતી કે જેને અડવાણીજીએ અંતે નિષ્ફળ પુરવાર કરી હતી.

વર્ષ ૧૯૯૫માં જ્યારે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ ત્યારના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સામે બળવો પોકાર્યો હતો અને પાર્ટીમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઇ હતી ત્યારે મીડિયાએ વાજપેયીને આ મુદ્દે ટિપ્પણી કરવાનું કહ્યું હતું ત્યારે વાજપેયીએ એવી સલાહ આપી હતી કે ‘અડવાણીજી’ને પૂછો, આ રીતે તેમણે અડવાણીની નેતાગીરી હેઠળનો પાર્ટીનો ઉચાટ વ્યક્ત કર્યો હતો. વાજપેયીને જ્યારે પાર્ટીમાં કોઈ રસ્તો દેખાતો નહોતો ત્યારે જે-તે સમયમાં કેવી રીતે ટકી રહેવું તે તેઓ જાણતા હતા. વર્ષ ૧૯૯૯માં તેઓ જશવંત સિંઘની નાણાકીય મંત્રી તરીકે નિમણૂક કરી શક્યા નહોતા કારણ કે RSSના નેતાઓએ તે સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે યશવંત સિંહાને સ્વીકાર્યા હતા, પણ થોડાં વર્ષો બાદ તેમણે જશવંત સિંહની રેખા ખેંચી હતી.

આખરે, તેઓ કદાચ કે.એન. ગોવિંદાચાર્ય હતા કે જેમણે યથાર્થ રીતે વાજપેયીનું વર્ણન કર્યું હતું, જો કે તેઓ સતત ‘મુખોટા’ તરીકેની ઓથરશીપ નકારતા રહ્યા હતા. RSSને સત્તા પ્રાપ્ત કરવાની લાંબી કૂચ માટે આ મુખોટું ખૂબ જ ઉપયોગી રહ્યું, જેથી તેઓ કાયદેસરપૂર્વક સ્થાનિક પાર્ટીઓને એકસાથે લાવી શક્યા, જેમાં સામાજિક માનસ ધરાવતા બીજુ જનતા દળ અને જનતા દળ (યુનાઇટેડ)થી લઈને અન્ય માનસ જેમ કે અકાલી દળ અને  શિવસેના તે સિવાય AIADMK અને તેલુગુ દેશમ જેવી પાર્ટીઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની ટીકા માટે વાજપેયીએ ક્યારે ય ગોવિંદાચાર્યને માફ નથી કર્યા, પણ યોગ્ય સમયની ધીરજપૂર્વક રાહ જોઈ ગોવિંદાચાર્યને હાંકી કાઢવામાં આવ્યા હતા, અને તેઓ ક્યારે ય પરત આવ્યા નહિ. અને આ Ceylonese ઢીંગલી ફરી પાછી સીધી ઊભી રહી.

(મૂળ લેખક – નીના વ્યાસ, વર્ષોથી, “ધ હિન્દુ” માટે ભારતીય જનતા પાર્ટીનું રિપોર્ટીંગ કરતાં આવ્યાં છે)

સ્ત્રોત – The WIRE (૧૭ ઓગસ્ટ, ૨૦૧૮)

અહીં સાથે વાજપેયીના લેખની લિંક :

https://thewire.in/politics/reporting-during-the-vajpayee-years

અનુવાદ – નિલય ભાવસાર

Loading

કૉન્ગ્રેસને ગાંધીજીએ વિકસાવેલી ઇન્દ્રધનુષી એકતાનો લાભ મળ્યો હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|26 August 2018

૧૯૩૧માં મળેલી બીજી ગોળમેજ પરિષદમાં ભારતના એક જ પ્રતિનિધિ હતા : મહાત્મા ગાંધી અને લેખિત સમજૂતીનો આગ્રહ ધરાવનારા જે તે વર્ગવિશેષના ૫૭ પ્રતિનિધિ હતા. આનો અર્થ એ થયો કે ભારતના જે તે સમાજના ૫૭ નેતાઓને ગાંધીજીનો અનાગ્રહી ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્ય નહોતો. તેઓ અંગ્રેજોની હાજરીમાં, અગ્રેજોની મધ્યસ્થીમાં અને અંગ્રેજો દ્વારા ઘડવામાં આવનારા કાયદા દ્વારા સત્તાની ભાગીદારીની સમજૂતીની માગણી સાથે લંડન ગયા હતા. ૫૭ જણાએ ગોળમેજ પરિષદમાં અમે અલગ છીએ અને અમને બીજા પર ભરોસો નથી એવી દલીલો કરી હતી. ત્યાં એકલા ગાંધીજી હતા જે ભારત વતી બોલતા હતા અને બાકીના ૫૭ જણા પોતાના સમાજ વતી બોલતા હતા અને એકબીજાનો છેદ ઉડાડતા હતા.

આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એના કેન્દ્રમાં રાજકીય પ્રભાવ અર્થાત્‌ પોલિટિકલ સ્પેસ છે. પોતાનો પ્રભાવ વિસ્તારવાની સ્પર્ધા આઝાદી મળી એના પહેલાં શરુ થઈ ગઈ હતી. આનું એક કારણ ભારતને આઝાદી મળે ત્યારે એકલા સત્તા ભોગવવા મળે કે પછી સંખ્યા ઓછી પડતી હોય તો સત્તામાં ભાગીદારી મળે એ તો હતું જ અને બીજું એના કરતાં વધારે મહત્ત્વનું કારણ દરેકની પોતપોતાની સ્વતંત્ર ભારત વિશેની કલ્પના હતી. સ્વતંત્ર ભારતની એ કલ્પના કેટલાક લોકો માટે ઉત્તેજના પેદા કરનારી હતી તો કેટલાક માટે ડરાવનારી હતી. ત્રીજો પક્ષકાર (અંગ્રેજો) જતો રહેશે ત્યારે આપણું શું થશે? ત્રીજો પક્ષકાર જતો રહે એ પહેલાં જ આઝાદી મોંઘી ન પડે એની કોઈ તજવીજ કરવામાં આવે તો? અને ત્રીજું, જ્યાં સુધી કોઈ તજવીજ હાથ ન લાગે ત્યાં સુધી ત્રીજા પક્ષકારે ભારતમાં રહેવું જોઈએ. ઇન્ડિપેન્ડન્સ કેન વેઇટ.

અહીં એક હકીકત ગાંઠે બાંધી લો. અંદાજે ૨૦ ટકા ઉજળિયાત હિંદુઓ(બ્રાહ્મણ, વાણિયા, કાયસ્થ, ચેટ્ટીયાર વગેરે)ને છોડીને ભારતની બાકીની તમામ પ્રજાઓ સત્તામાં ભાગીદારીની સમજૂતીની માગણી કરતી હતી. છેલ્લા ત્રણ શબ્દો ફરીવાર વાંચો: સત્તામાં ભાગીદારીની સમજૂતી. ભારતને સંપૂર્ણ આઝાદી મળે કે પછી બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વાયત્તતા (ડોમિનિયન સ્ટેટસ) મળે, પણ એના પહેલાં સત્તામાં ભાગીદારીની સમજૂતી થઈ જવી જોઈએ. અંગ્રેજોની ઉપસ્થિતિમાં અને અંગ્રેજોની મધ્યસ્થી દ્વારા સમજૂતી થાય અને એ સમજૂતીને અંગ્રેજો કાયદાકીય સ્વરૂપ આપતા જાય. જી હા, આ આજે આપણને ન ગમે એવી કડવી વાસ્તવિકતા છે.

મુસલમાનોને ત્રીજા પક્ષકારની ઉપસ્થિતિમાં સમજૂતી જોઈતી હતી એમ વાંચતાની સાથે જ તમારા મનમાં મુસલમાનો માટે અણગમો પેદા થશે, પણ સમજૂતીની માગણી કરવામાં મુસલમાનો ક્યાં એકલા હતા. સિખોને સમજૂતી જોઈતી હતી, દલિતોને સમજૂતી જોઈતી હતી, હિંદુઓમાં બહુજન સમાજ સમજૂતીની માગણી કરતો હતો, આદિવાસીઓ સમજૂતીની માગણી કરતા હતા, ઇશાન ભારતની વાંશિક પ્રજા સમજૂતીની માગણી કરતી હતી, દક્ષિણમાં દ્રવિડો સમજૂતીની માગણી કરતા હતા વગેરે. કુલ સરવાળો કરો તો ભારતની ૮૦ ટકા પ્રજા અંગ્રેજો જાય એ પહેલાં સત્તાની સમજૂતીની માગણી કરતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો ભારતની ૮૦ ટકા પ્રજાનું વલણ એવું હતું કે પહેલાં કોનું કેટલું વર્ચસ્વ હશે અને અમારી જગ્યા ક્યાં અને કેટલી હશે એની સ્પષ્ટતા થઈ જવા દો. ત્યાં સુધી? ઇન્ડિપેન્ડન્સ કેન વેઇટ.

ભારતમાં ગાંધીજી આવ્યા એ પહેલાં અને પછી કૉન્ગ્રેસમાં અનેક કૉન્ગ્રેસી નેતાઓ હતા જેઓ હળવા (સોફ્ટ) હિંદુત્વવાદી હતા. લોકમાન્ય ટિળક, લાલા લાજપત રાય, મદનમોહન માલવિય જેવા કેટલાક કોંગ્રેસી નેતાઓનો હિંદુ પક્ષપાત ઉઘાડો હતો. કેટલાક લોકોએ કૉન્ગ્રેસમાં રહીને હિંદુ મહાસભા નામના હિંદુઓના હિતમાં વેગળા પક્ષની સ્થાપના કરી હતી. તેઓ આજના નિર્વીર્ય રાષ્ટ્રવાદીઓ કરતાં વીર્યવાન રાષ્ટ્રવાદી હતા. આમ છતાં ૧૮૮૫માં કૉન્ગ્રેસની સ્થાપના થઈ એ પછીથી ત્રણ દાયકામાં તેમને સમજાઈ ગયું હતું કે ભારતના પ્રજાસમૂહો વચ્ચે સમજૂતી કર્યા વિના કોઈ ઉપાય નથી. કોઈને કોઈના પર ભરોસો જ નથી. દેશપ્રેમ, સ્વતંત્રતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રનિર્માણ જેવી ગદગદિત કરી મૂકનારી કલ્પનાઓ દેશની ૮૦ ટકા પ્રજાને અપીલ જ નથી કરતી. તેઓ તો એક જ વાતનો ચીપિયો પછાડે છે કે અંગ્રેજો જાય એ પહેલાં અમારા સ્થાન વિષે અને ભાગીદારી વિષે ખુલાસો કરો, ખુલાસો નહીં સમજૂતી કરો એ પછી બીજી વાત. ત્યાં સુધી? ઇન્ડિપેન્ડન્સ કેન વેઇટ.

આગલા લેખમાં કહ્યું હતું એમ લોકમાન્ય ટિળક અને મહમ્મદ અલી જિન્નાહ વચ્ચે ૧૯૧૬માં થયેલી લખનૌ સમજૂતી ભારતની વાસ્તવિકતાના થયેલા બ્રહ્મજ્ઞાનનું પરિણામ હતું. વિનાયક દામોદર સાવરકર અને બીજા ધગધગતા રાષ્ટ્રવાદીઓ ઇટાલિયન અને જર્મન  રાષ્ટ્રવાદથી પ્રેરાઈને દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો જે પોપટજાપ કરતા હતા તેનાથી તેઓ અનભિજ્ઞ નહોતા. પહેલી નજરે શીરાની જેમ ગળે ઊતરી જાય એવી મીઠી મધુરી સુગંધીદાર દલીલોથી તેઓ અપરિચિત નહોતા. તેમને પણ એ દલીલો ભાવતી હતી, પરંતુ ભારતની ૮૦ ટકા પ્રજા દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો એ શીરો ખાવા તૈયાર નહોતી, ત્યાં શું કરવું? ખૂબ મથામણ પછી કૉન્ગ્રેસના નેતાઓ સમજૂતી કરવા તૈયાર થઈ ગયા હતા.

અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે કૉન્ગ્રેસના સેક્યુલર આધુનિક નેતાઓ કરતાં હળવા હિન્દુત્વવાદી નેતાઓ ભાગીદારીની સમજૂતી કરવા વધારે આતુર હતા. આવું કેમ? આવું એટલા માટે કે પ્રત્યેક ભારતીય પોતાની તમામ ઓળખ ઘરે મૂકીને ઘરની બહાર માત્ર નાગરિક તરીકેની સેક્યુલર ઓળખ અપનાવે એવું આધુનિક રાજ્ય તેમને પણ સ્વીકાર્ય નહોતું. અસ્મિતાઓની ઓળખમુક્ત આધુનિક રાજ્ય નહીં, ઓળખયુક્ત ભાગીદારીવાળું રાજ્ય. આપણી ઓળખ રાષ્ટ્રીય ઓળખ ન બનતી હોય તો છેવટે આપણા હિસ્સામાં જેટલી ઓળખ અને ઓળખ આધારિત સત્તા આવતી હોય એની સમજૂતી કરી લેવી જોઈએ. હળવા હિન્દુત્વવાદીઓ મુસલમાનો સહિત દરેક પ્રજા સાથે સમજૂતી કરવા આતુર હતા એનું કારણ આ હતું.

અહીં દક્ષિણ આફ્રિકાની નાનકડી વાત કરી લેવી જોઈએ. ૧૯૯૦ પછી આફ્રિકન નેતા નેલ્સન મંડેલાને જેલમાંથી છોડવામાં આવ્યા અને દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત આવ્યો એ પછી દક્ષિણ આફ્રિકામાં સત્તાની સાઠમારી શરૂ થઈ હતી. ૧૯૯૦થી ૧૯૯૪ના વરસોમાં ઝુલુ અને ઝોસા નામની બે વાંશિક કોમ વચ્ચે હુલ્લડો થયા હતા જેમાં ૨૦ હજાર લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત બીજી વાંશિક પ્રજાઓ પણ સત્તામાં ભાગીદારી માટે ઝઘડતી હતી. એમ લાગતું હતું કે ભારતની જેમ દક્ષિણ આફ્રિકા પણ વિભાજન વગર રંગભેદમુક્ત થવાનું નથી. કહો કે ગોરાઓ પાસેથી આઝાદી મળવાની નથી. નેલ્સન મંડેલાએ સમય વર્તીને ઝુલુ નેતા મંગોસુથુ બુથેલેઝી અને બીજા જૂથોના નેતાઓ સાથે સમજૂતી કરી લીધી હતી. એ સાથે કાયમી ધોરણે ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશનની રચના કરી હતી જે આફ્રિકન નાગરિકો અને જૂથોની ફરિયાદો સાંભળે છે અને તેનો નિકાલ કરે છે.

નેલ્સન મંડેલા ગાંધીજીના અનુયાયી હતા. તેઓ પણ પરસ્પર શ્રદ્ધા આધારિત આફ્રિકન રાષ્ટ્રનાં સપનાં જોતા હતા. દાયકાઓ સુધી જેલ વેઠી હતી અને યાતનાઓ સહી હતી, પરંતુ તેમને જ્યારે સમજાઈ ગયું કે એકજીવી (હોમોજિનિયસ) અખંડ આફ્રિકા શક્ય નથી ત્યારે તેમણે સમજૂતી કરી લીધી હતી. ટૂંકમાં, આફ્રિકન પ્રજાએ પોતાના આંતરિક વિભાજનનો સ્વીકાર કરીને, તેને કાયમ માટે બંધારણીય માન્યતા આપીને આપસમાં સત્તાની સમજૂતી કરીને દેશ અખંડ રાખ્યો હતો.

આ વિકલ્પ કદાચ ભારત માટે પણ ઉપલબ્ધ હતો, પરંતુ ગાંધીજીને એ સ્વીકાર્ય નહોતો, કારણ કે તેઓ મહાત્મા હતા. શા માટે પરસ્પર વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે એકજીવી (હોમોજિનિયસ) રાષ્ટ્રનું નિર્માણ ન થાય? શા માટે આપણે આપણી અંદર રહેલી દરેક ઓળખને ઓગાળીને અને જે ઓળખ ઓગાળવી નથી તેને ઘરમાં અંગત જીવન પૂરતી મર્યાદિત રાખીને ભારતીય ઓળખ ન વિકસાવીએ? ઘરની બહાર આપણી માત્ર એક જ  ભારતીય ઓળખ હોય એવું કેમ ન બને? આપણે આપણા અતીતમાંથી ભારતીય પ્રજાને જોડનારાં તત્ત્વો જુદાં તારવીએ અને તેને અપનાવતા જઈએ અને તોડનારાં તત્ત્વો જુદાં તારવીને છોડતાં જઈએ એવું કેમ ન બને?

આપણે આપણો પાંચ હજાર વરસનો ઇતિહાસ અંગ્રેજોએ લખ્યો હતો તેના કરતાં બીજા અંતિમેથી લખીએ તો કાંઈ વાંધો છે? અંગ્રેજોએ લાંબો સમય ભારત પર રાજ કરવાના ઈરાદે ભારતીય પ્રજા વિભાજીત થાય એ રીતે ઇતિહાસ લખ્યો હતો તો આપણે બીજા અંતિમેથી પ્રજા વચ્ચે એકતાની ભાવના વધે એ રીતે લખવો જોઈએ. શા માટે આપણે પરસ્પર શ્રદ્ધા પર આધારિત અનાગ્રહી રાષ્ટ્રવાદ ન વિકસાવીએ જે પશ્ચિમના આગ્રહી રાષ્ટ્રવાદ કરતાં અલગ હોય. શુદ્ધ ભારતીય રાષ્ટ્રવાદ જેને સમાજશાસ્ત્રીઓ ગાંધિયન નેશનાલિઝમ તરીકે ઓળખાવે છે.

આ ગાંધીજીનો આદર્શવાદી ભાવનાત્મક પક્ષ થયો તો તેમનો તેની સાથે વ્યવહાર પક્ષ પણ હતો. ભારતની વિવિધતા જોતાં સત્તાની ભાગીદારીની કેટલી સમજૂતી કરવાની? નેલ્સન મંડેલાએ આઠ મુદ્દાની અકે સમજૂતી કરી હતી, પણ ભારતમાં તો ૮૦૦ મુદ્દાની ૮૦ સમજૂતી કરવી પડે એમ હતી. ભાગીદારીની સમજૂતીઓ કરવા કરતાં સહઅસ્તિત્વની સંભાવના વિકસાવવી સહેલી પણ છે અને ટકાઉ પણ છે. વેદાંત, શ્રમણ દર્શન, મધ્યકાલીન સંત સાહિત્ય, સૂફી સાહિત્ય, સંગીત, મેળાઓ અને ઉર્સ જેવા તહેવારો એમ અનેક અનુકૂળ પદાર્થો ઉપલબ્ધ છે, જે ભારતની પ્રજાને ભારતીય તરીકે જોડી શકે છે. જો સેંકડો વરસ સુધી ભારતની અશિક્ષિત કે અલ્પ શિક્ષિત પ્રજા વિભાજીત થયા વિના સાથે જીવી શકે તો ભવિષ્યમાં કેમ ન જીવી શકે? હવે તો આપણે આધુનિક શિક્ષણ મેળવીને વિદ્યાવિભૂષિત થઈ રહ્યા છે. ટૂંકમાં એવાં અનેક તત્ત્વો છે જેણે આપણને જોડી રાખ્યાં છે, જોડી રાખે છે અને જોડી રાખશે એટલે તેની ઉપાસના કરવી જોઈએ.

ગાંધીજીના ભારતીય રાષ્ટ્રવાદના મૂળમાં ત્રણ તત્ત્વો હતાં: પરસ્પર પ્રેમ, અનાગ્રહ અને દરેક પ્રકારની ઓળખની સંકુચિતતા છોડીને રાષ્ટ્રભાવનાની ઉપાસના. આને માટે અનુકૂળ પદાર્થો આપણી અંદર અને આપણી પરંપરામાં રહેલા છે તેને શોધી કાઢીને તેની ઉપાસના. કોઈ વિરોધ છે ગાંધીજીના રાષ્ટ્રવાદ સામે? કોઈ ડાહ્યો સમજદાર માણસ આનો વિરોધ કરે? એમાં પાછું ગાંધીજીનું મહાત્માનું કેરેક્ટર એટલે ભારતની પ્રજા ગાંધીમય બની ગઈ હતી. ભારતની સમાન્ય પ્રજાએ પોતપોતાની સમાજિક ધાર્મિક-ઓળખ છોડીને ગાંધીજીની આંગળી પકડી લીધી હતી. એનો અર્થ એ થયો કે તેમણે ભારતીય હોવાની ઓળખ અપનાવી લીધી હતી.

આનો અર્થ એવો નથી કે ઓળખનું અને હિસ્સેદારીનું રાજકારણ કરનારાઓએ ગાંધીજીના ભારતમાં આવ્યા પછી હાટડી સંકેલી લીધી હતી. સંકેલી લેવી જોઈતી હતી, પરંતુ તેમણે સંકેલી નહોતી. એના બે મુખ્ય કારણ હતાં. એક કારણ ગાંધીજીની લોકપ્રિયતાની બાબતે અસૂયા તેમ જ ઈર્ષા, પણ તેનાથી વધારે મહત્ત્વનું કારણ ભરોસાનો અભાવ હતો. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ તેમને સાચો લાગતો હતો. ગાંધીજી મહાત્મા છે, પરંતુ તેમના અનુયાયીઓ થોડા મહાત્મા છે એમ દલિતો, તેમ જ બીજી શોષિત પ્રજાના નેતાઓને અને લઘુમતી કોમના નેતાઓને લાગતું હતું. આના કરતાં લેખિત સમજૂતી વધારે સારી એમ તેમને લાગતું હતું. આ ઉપરાંત તેમાંનામાંથી કેટલાક પોતાની અસ્મિતા છોડવા નહોતા માંગતા.

૧૯૩૦ના દાયકામાં આનાં બે પરિણામો જોવા મળ્યા હતાં. ૧૯૩૧માં મળેલી બીજી ગોળમેજ પરિષદમાં ભારતના એક જ પ્રતિનિધિ હતા : મહાત્મા ગાંધી અને લેખિત સમજૂતીનો આગ્રહ ધરાવનારા જે તે વર્ગવિશેષના ૫૭ પ્રતિનિધિ હતા. આનો અર્થ એ થયો કે ભારતના જે તે સમાજના ૫૭ નેતાઓને ગાંધીજીનો અનાગ્રહી ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્ય નહોતો. તેઓ અંગ્રેજોની હાજરીમાં, અગ્રેજોની મધ્યસ્થીમાં અને અંગ્રેજો દ્વારા ઘડવામાં આવનારા કાયદા દ્વારા સત્તાની ભાગીદારીની સમજૂતીની માગણી સાથે લંડન ગયા હતા. ૫૭ જણાએ ગોળમેજ પરિષદમાં અમે અલગ છીએ અને અમને બીજા પર ભરોસો નથી એવી દલીલ કરી હતી. ગાંધીજી મહાત્મા છે એ ખરું, પરંતુ તેમના બધાને સાથે રાખનારા અનાગ્રહી ભારતીય રાષ્ટ્રવાદ પર પણ અમને ભરોસો નથી એમ તેમણે કહ્યું હતું. ત્યાં એકલા ગાંધીજી હતા જે ભારત વતી બોલતા હતા અને બાકીના ૫૭ જણા પોતાના સમાજ વતી બોલતા હતા અને એકબીજાનો છેદ ઉડાડતા હતા.

૧૯૩૧માં બનેલી આ પહેલી ઘટના. બીજી ઘટના ૧૯૩૭માં બને છે જેમાં ૧૯૩૫ના કાયદા હેઠળ યોજાયેલી પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણીમાં અલગ ઝંડો લઈને લંડન પહોંચી ગયેલાઓનો ઘોર પરાજય થાય છે. આજે જ્યાં પાકિસ્તાન છે એ પ્રત્યેક પ્રાંતમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો. દેશભરની કુલ ૧,૫૮૫ બેઠકોમાંથી હિંદુ મહાસભાને ૨૫ બેઠકો નહોતી મળી. ડૉ.આંબેડકરના પક્ષનો તો પરાજય થયો હતો, પરંતુ ખુદ ડૉ. આંબેડકર મહારાષ્ટ્રમાંથી હારી ગયા હતા. મદ્રાસ પ્રાંતમાં દ્રવિડોની જસ્ટિસ પાર્ટીનો પરાજય થયો હતો. પંજાબમાં સિખોનો પરાજય થયો હતો. પંજાબ અને બંગાળ છોડીને આખા દેશમાં રાજકીય પ્રભાવ અર્થાત્‌ પોલિટિકલ સ્પેસ ગાંધીજીએ કબજે કરી લીધી હતી. ગાંધીજીએ એક એવી ઇન્દ્રધનુષી એકતા (રેઇનબો કોએલિશન) વિકસાવી હતી જેમાં કોઈ રંગ બાકી નહોતો. દરેક રંગ અલગ અને છતાં ઇન્દ્રધનુષ રચી શકાય એવી રાષ્ટ્રીય એકતા ગાંધીજીએ વિકસાવી હતી.

હજુ છ વરસ પહેલાં ગોળમેજ પરિષદમાં સત્તામાં ભાગીદારીની સમજૂતીની માગણી કરનારાઓનો અને એકબીજાનો છેદ ઉડાડનારા ઝંડાધારીઓનો ચૂંટણીમાં છેદ ઊડી ગયો હતો. કારણ કે દરેક પ્રજાસમૂહના લોકો ગાંધીજીની સાથે હતા. પરિણામ સ્પષ્ટ હતું. ૧૯૩૭ના કૉન્ગ્રેસના પ્રચંડ વિજયના કારણે અથવા ૫૭ ઝંડાધારીઓના કારમાં પરાજયના કારણે ગાંધીજીને સતાવવામાં કાંઈ બાકી નહોતું રાખવામાં આવ્યું અને તેનો અંત તેમની હત્યા દ્વારા આવ્યો હતો. એક રીતે જુઓ તો ગાંધીજીની હત્યા એ તેમની યાતનામાંથી મુક્તિ સમાન હતી કારણ કે ૫૭ દિશાએથી તેમના પર તીર વરસાવવામાં આવતા હતા. તેમનો અપરાધ શું હતો? તેમણે બીજી ઓળખોને બાજુએ મૂકીને ભારતીય તરીકેની ઓળખને વિકસાવીને દેશને જોડવાનો પ્રયાસ કર્યો હતો.

ખેર, આઝાદી પછી કૉન્ગ્રેસને ગાંધીજીએ વિકસાવેલી ઇન્દ્રધનુષી એકતાનો લાભ મળ્યો હતો અને પાંચ પાંચ દાયકા સુધી એકચક્રી શાસન કર્યું હતું. બીજી બાજુ ગાંધીજીને કારણે જમીનદોસ્ત થઈ ગયેલાઓએ ધીરેધીરે પોતાની જગ્યા બનાવવાની હતી. કૉન્ગ્રેસ ગાંધીજીના ખભા પર બેઠી હતી એટલે તેની ગુસ્તાખીનો કોઈ પાર નહોતો તો બીજી બાજુ ગાંધીજીના અનાગ્રહી એકત્વનો વિરોધ કરનારા પક્ષો ગાંધીજીના પગ નીચે કચડાયેલા હતા એટલે તેમની ગાંધીજી પરત્વેની અસૂયાનો પણ પાર નહોતો.  

આઝાદી પછી બે અંતિમેથી સ્પેસ મેળવવાની બે યાત્રા શરૂ થાય છે જેની વાત આવતા સપ્તાહે.

સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 26 અૉગસ્ટ 2018

Loading

...102030...3,0583,0593,0603,061...3,0703,0803,090...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved