વિષ્ણુ ખરે (9 ફેબ્રુઆરી, 1940 – 19 સપ્ટેમ્બર, 2018) એક મોટા કવિ, ઉત્કૃષ્ટ અનુવાદક, હિન્દી અને વિશ્વ સિનેમાના ગંભીર અભ્યાસી, આકરો સ્વભાવ ધરાવતા સાહિત્ય વિવેચક, સંગીત રસિક અને નીડર પત્રકાર હતા. હિન્દી સાહિત્યની દુનિયા તેમને આ તમામ સ્વરૂપોમાં યાદ રાખશે.
માનવીય સંબંધો પ્રત્યે ભારે લાગણી ધરાવતા વિષ્ણુ ખરે જ્યારે જરૂરિયાત પડે, ત્યારે કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના સત્ય બોલી નાખવામાં અને સત્ય લખી નાખવામાં વિશ્વાસ ધરાવતા હતા. સમકાલીન હિન્દી જગતમાં તેમના જેવો કોઇ મૂર્તિભંજક નહોતો. પણ, સાહિત્યની દુનિયામાં તેઓ એક મોટા મૂર્તિકાર એ સંદર્ભમાં પણ હતા કે હિન્દી કવિતામાં યુવા પ્રતિભાઓને સામે લાવનાર અને તેમને સ્થાપિત કરવા માટે રુચિ દાખવનાર તેમના જેવું બીજુ કોઇ નહોતું, તેઓ ઘણી બાબતોમાં અનન્ય હતા.
એક કવિ તરીકે વિષ્ણુ ખરેએ એક નવી પ્રકારની ભાષા અને સંવેદના થકી સમકાલીન હિન્દી કવિતાને એક નવો મિજાજ આપ્યો અને સાથે કવિતાને બદલી પણ ખરી. એક મોટા કવિની ઓળખ એ વાતથી પણ કરી શકાય કે તેઓ અગાઉથી ચાલી આવી રહેલી કવિતાને કેટલી બદલે છે. અને એ અંદાજે વિષ્ણુ ખરે પોતાની પેઢી અને સમયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખુદ અપની આંખ સે, સબકી આવાજ પર્દેમેં, કાલ ઔર અવધિ કે દરમિયાન, પિછલા બાકી, આલૈન ઔર અન્ય કવિતાએં જેવા કાવ્ય સંગ્રહોમાં તેમનું જે કાવ્ય વ્યક્તિત્ત્વ ઉભરી આવે છે, તેની યોગ્ય અને સાચી ઓળખ તો આવનારા સમયમાં જ થશે. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે તેમનો કાવ્ય સંસાર ઘણા પ્રકારના અવાજોથી ભરેલો છે.
લાલટેન જલાના નામની વિષ્ણુ ખરેની એક અવિસ્મરણીય કવિતા છે અને એક ખાસ અર્થમાં એ તેમની પ્રતિનિધિ કવિતા પણ છે. આ કવિતામાં કવિ ફાનસને પ્રગટાવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા આ સંદર્ભમાં ઝીણામાં ઝીણી વિગતોનું અર્થઘટન કરે છે. કારણ કે રોજિંદા જીવનમાં ફાનસ પ્રગટાવવો એ એક સામાન્ય બાબત માની લેવામાં આવે છે. પરંતુ, વિષ્ણુ ખરે જે પ્રકારે આ સામાન્ય કહેવાતા ફાનસના પાસાઓને રજૂ કરે છે તેનાથી એ વાત ખૂલે છે કે સામાન્ય જનજીવનના દરેક પાસા મુશ્કેલીઓ અને સૌંદર્યથી ભરેલા છે. આ કવિતા માત્ર ફાનસ સળગાવવાની વાત પૂરતી નથી પણ જીવન જીવવાની સમસ્યાઓ અને સુંદરતાની પણ આ કવિતા છે. [લેખને અંતે આ કવિતા આપીએ છીએ : વિ.ક.]
વિષ્ણુ ખરેનો જન્મ મધ્યપ્રદેશના છિંદવાડામાં થયો હતો. ત્યાં તેમનું પૈતૃક ઘર નહોતું પણ આ નાનકડું શહેર છેક સુધી તેમની કાવ્ય ચેતનાનું અવિભાજ્ય અંગ રહ્યું. મુંબઇ અને દિલ્હીને છોડીને તેઓ ઘણી વખત અહીં આવતા હતા. પોતાના જીવનના ઉત્તરાર્ધમાં તેમણે અહીં ભાડે મકાન પણ લીધું હતું પરંતુ, એક વર્ષ પહેલાં જ સ્વાસ્થ્ય વ્યવસ્થિત નહીં હોવાને કારણે તેઓ આ મકાન છોડીને જતા રહ્યા હતા. છિંદવાડાના જનજીવનને લઇને તેમની કેટલીક યાદગાર કવિતાઓ પણ છે. તેમની કવિતાઓમાં ગ્રામીણ જીવનનાં ઘણાં ચિત્રો જોવાં મળે છે, અને તેના સંબંધોનું કારણ કદાચ છિંદવાડા હોય તેવું જોવા મળી રહ્યું છે.
તેનો મતલબ એ કે તેમની કવિતાઓમાં ઊંડી સ્થાનીયતા પણ છે. પરંતુ, ખરે માત્ર સ્થાનીયતાના કવિ નહોતા. ખરે એ એક વૈશ્વિક કવિ હતા, તેનું એક પ્રમાણ છે તેમની કવિતા આલૈન કે જે તેમના અંતિમ કાવ્યસંગ્રહમાં સામેલ છે. આ કવિતા સિરિયાઇ-કૂર્દ મૂળના તે બાળક પર આધારિત છે કે જે પોતાના માતાપિતાની સાથે સિરિયાથી નીકળતી વેળાએ નૌકા દુર્ઘટનાના કારણે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. આ આલૈન નામની કવિતા વેશ્વિકસ્તરે નિર્વાસિત-પ્રવાસી-શરણાર્થી સમસ્યાનું એક સંવેદનાત્મક આખ્યાન છે. વિષ્ણુ ખરે સમકાલીન રાજનૈતિક અને સામાજિક મુદ્દા પર કવિતા લખવાની સાથે ઇતિહાસ અને પુરાણોની દુનિયામાં પણ ગયા અને તે આધારિત કવિતાઓ પણ લખી. તેમની એક પ્રસિદ્ધ કવિતા લાપતા નામની છે, જે મહાભારતના તે પ્રસંગ પર આધારિત છે કે જેમાં કુરુક્ષેત્રથી ગાયબ થયેલા સૈનિકો પર પ્રશ્નો કરવામાં આવ્યા છે. મહાભારતમાંથી પ્રસંગ ટાંકીને તેઓ જણાવે છે કે આ યુદ્ધમાં 24,165 યોદ્ધા બચી ગયા હતા. તેમની કવિતા એ પ્રશ્ન ઉઠાવે છે કે તે ભાગી ગયેલા અને લાપતા સૈનિકો ક્યાં ગયા અને સાથે કવિતામાં આ સિવાય અન્ય વિમર્શ પણ ઉત્પન્ન થાય છે.
વિષ્ણુ ખરેએ હિન્દી અને વિશ્વ સિનેમા પર પણ ઘણું લખ્યું છે. સિનેમા વિષય પર તેમણે હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખ્યું છે. તેઓ હિન્દી ફિલ્મ સંગીતના વિશ્વકોશ સમાન હતા. કઇ ફિલ્મના, કયા ગીતની, કઇ ધૂન એ કયા સંગીતકારે બનાવી છે, તે તેમને સઘળુ યાદ રહેતું હતું. અનુવાદ એ એક મોટું ક્ષેત્ર છે અને તેમાં પણ ખરેનું યોગદાન ઐતિહાસિક છે. તેમણે વિદેશી સાહિત્યનું મોટા પાયે હિન્દીમાં અનુવાદનું કાર્ય કર્યું અને આધુનિક હિન્દી કવિતાઓનો અંગ્રેજી સહિત જર્મન ભાષામાં પણ અનુવાદ કર્યો. આ જોતાં તેઓ ભારત અને પશ્ચિમ વચ્ચે એક સેતુ સમાન હતા. વિદેશી ભાષાઓમાંથી હિન્દીમાં અનુવાદ કરનાર તો ઘણાં લોકો છે પરંતુ હિન્દીમાંથી જર્મન અને અંગ્રેજીમાં અનુવાદ કરનાર તો થોડાં લોકો જ છે. આ દ્રષ્ટિકોણથી જોતા ખરેએ ભારત અને યુરોપની વચ્ચે એક નવી બારી ખોલી નાખી છે.
આજકાલ તેઓ રજા ફાઉન્ડેશન માટે મુક્તિબોધની કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કરી રહ્યા હતા કે જે જલદી જ ઉપલબ્ધ થશે. વિષ્ણુ ખરે હિન્દી સાહિત્યની દુનિયામાં એટલા માટે પણ વિવાદોમાં ઘેરાયેલા રહેતા હતા કારણ કે તેમણે સાહિત્ય અને સંસ્કૃિતની મોટી-મોટી વાતો કરનાર લોકોની સાથે અસહમતિ દર્શાવીને ખૂલીને વાત કરી હતી. તેઓ એક સાંસ્કૃિતક યોદ્ધા હતા કે જેઓ અંત સુધી વૈચારિક યુદ્ધ પણ લડતા રહ્યા.
[‘ધ વાયર’ હિન્દી]
અનુવાદ – નિલય ભાવસાર
लालटेन जलाने की प्रक्रिया में लालटेन बुझाना
या कम करना भी शामिल है
जब तक विवशता ही न हो तब तक रोशनी बुझाना ठीक नहीं
लेकिन सोने से पहले बाती कम करनी पड़ती है
कुछ लोग उसे इतनी कम कर देते हैं
कि वह बुझ ही जाती है
या उसे एकदम हल्की नीली लौ तक ले जाते हैं
जिसका एक तरह का सौंदर्य निर्विवाद है
लेकिन लालटेन के हिलने से या हवा के हल्के से झोंके से भी
उसे बुझने का जोखिम है
लिहाजा अच्छे जलाने वाले
लालटेन को अपनी पहुंच के पास लेकिन वहां रखते हैं
जहां वह किसी से गिर या बुझ न जाए
और बाती को वहीं तक नीची करते हैं
जब तक उसकी लौ सुबह उगते सूरज की तरह
लाल और सुखद न दिखने लगे
http://thewirehindi.com/58096/remembering-hindi-poet-and-veteran-journalist-vishnu-khare/