Opinion Magazine
Number of visits: 9686176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહ નર્કના દરવાજા ખોલી રહ્યા છે. રાહુલ ગાંધી સાંભળે છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|27 August 2018

ભારતનું પાકિસ્તાનીકરણ થઈ રહ્યું છે ત્યારે કૉન્ગ્રેસ પણ પાકિસ્તાનીકરણની પ્રક્રિયામાં જોડાય એને તો દુર્ભાગ્ય જ કહેવું જોઈએ. એક તરફ રાહુલ ગાંધી દેશના સેક્યુલર ઢાંચા વિષે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે પંજાબમાં તેમની જ સરકાર ધર્મના અપમાનને લગતા ભારતીય દંડસંહિતામાંના કાયદાને વધારે વ્યાપક બનાવી રહી છે. દેશમાં ધાર્મિક દુર્ભાવના રોકવા અંગ્રેજ સરકારે ૧૯૨૦ના દાયકામાં ભારતીય દંડસંહિતામાં સેક્શન ૨૯૫નો કાયદો ઘડ્યો હતો. સેક્શન ૨૯૫ મુજબ સમાજમાં કોમી વિખવાદ પેદા કરવાના ઈરાદે જો કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડે તો એ ફોઝદારી ગુનો બને છે, અને એ ગુના માટે બે વરસની જેલની સજા અને દંડ બન્ને થઈ શકે છે. આ કાયદો અસ્તિત્વમાં આવ્યો એ પછી એમાં સેક્શન ૨૯૫(એ)નો ઉમેરો કરવામાં આવ્યો હતો જે મુજબ જાણીબૂજીને કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવી એ પણ ગુનો બને છે.

હવે પંજાબ સરકારે હજુ વધુ ઉમેરો કરીને ૨૯૫(એ)એનો કાયદો ઘડવાનો નિર્ણય લીધો છે જે મુજબ ધર્મગ્રંથ સાથે છેડછાડ કે અપમાન ફોઝદારી ગુનો બનશે. પહેલાં ધર્મસ્થળ, એ પછી ધાર્મિક લાગણી અને હવે ધર્મગ્રંથ. એમ લાગે છે કે ઈશ્વર અને ધર્મ આ જગતમાં એટલા નિર્બળ છે કે તેમને ટકી રહેવા માટે દુન્યવી કાયદાઓની અને પોલીસની મદદની જરૂર પડે છે. ના, એટલી મદદ પણ પૂરતી નથી. હવે તો તેમની આણ ટકી રહે એ માટે કોમી ટોળાંઓની પણ જરૂર પડે છે. ટોળાંઓ સર્વશક્તિમાન અંતર્યામી ઈશ્વરને રક્ષણ પૂરું પાડે છે. વિનોબા ભાવેએ કહ્યું હતું કે સંગઠિત ધર્મના ઠેકેદારો અને રાજકારણીઓ મળીને બન્ને સંસ્થાનો વિનાશ નોતરશે અને એ પછી શુદ્ધ આધ્યાત્મ પાછળ રહેશે. અત્યારે આની શરૂઆત થઈ ગઈ છે. ભારત થોડું પાછળ હતું, પણ હવે એ પણ પહેલી હરોળમાં આવી રહ્યું છે. બહુ ઝડપથી ભારતનું પાકિસ્તાનીકરણ થઈ રહ્યું છે.

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને જાણ હોવી જોઈએ કે ધર્મ અને રાજકારણની સાંઠગાંઠના કારણે પંજાબ કેવા દોજખમાંથી પસાર થયું છે. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન શરૂ થયું અને તેમાં હજારો યુવાનો હોમાઈ ગયા એ હજુ ત્રણ દાયકા જૂની ઘટના છે. વાત એમ હતી કે ૧૯૭૨માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દળનો કારમો પરાજય થયો હતો, જે રીતે ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો કારમો પરાજય થયો હતો. એ પછી ૧૯૭૩માં અકાલી દળે આનંદપુર સાહિબ ખાતે પક્ષનું અધિવેશન બોલાવીને કેટલાક કોમી ઠરાવ કર્યા હતા, જેનાં પરિણામે ખાલિસ્તાનનું આંદોલન શરૂ થયું હતું. ડીટ્ટો બી.જે.પી.એ ૧૯૮૭માં પાલમપુર ખાતે અધિવેશન બોલાવીને અયોધ્યાને સળગાવવાનો ઠરાવ કર્યો હતો. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન અને રામજન્મભૂમિ આંદોલન બન્ને કોમી આંદોલન હતાં જેમાં હજારો લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.

મૂળમાં આ સત્તા માટેનો ખેલ છે અને ધર્મનો દુરુપયોગ કરવામાં આવે છે. ધર્મનું અપમાન, દ્વેષ, દુરુપયોગ શાસકો અને રાજકારણીઓ કરે છે; પ્રજા નથી કરતી. પ્રજા તો બિચારી એટલી ભોળી છે કે તે ક્યારે ટોળાંમાં ફેરવાઈ જાય છે તેનું તેને ભાન પણ નથી રહેતું. આ તો તેમને જોઈએ છે; પ્રજાને ટોળાંમાં ફેરવો એટલે બાકીનો રસ્તો ખૂલી જશે. અકાલી દળે ૨૦૧૬માં પંજાબ વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ફરી એકવાર સિખોને ધાર્મિક ટોળાંમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો કે જેથી અકાલી દળની ડૂબતી નૌકા ઊગરી જાય. ભારતીય દંડસંહિતાના સેક્શન ૨૯૫(એ)માં હજુ એક એ ઉમેરવા પાછળનો નિર્ણય અકાલી દળની સરકારનો હતો. ઇન્ડિયન પીનલ કોડ (પંજાબ એમેન્ડમેન્ટ બીલ) ૨૦૧૬ અકાલી દળે વિધાનસભામાં રજૂ કર્યું હતું. એ સમયે કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે વીંગમાં ઊભા હતા. કૉન્ગ્રેસે સિખોના મત ગુમાવવા ન પડે એ સારું ખરડાને ટેકો આપ્યો હતો અને આમ આદમી પાર્ટીએ ચુપકીદી સેવી હતી.

સેક્શન ૨૯૫ (એએ) મુજબ ગુરુ ગ્રંથસાહિબનો અનાદર કે અપમાન એ ગુનો બનતો હતો. એ ખરડો ત્યારે પસાર થઈ શક્યો નહોતો અને જો ખરડો પસાર થયો પણ હોત તો પણ અકાલી દળનો પરાજય નિશ્ચિત હતો. બાદલ પરિવારનો ભ્રષ્ટાચાર અને કેફી દ્રવ્યોના કોપના કારણે અકાલી સરકાર ઊગરી શકે એમ નહોતી. હવે કૉન્ગ્રેસ સરકારે એ ખરડામાં સુધારો કરીને ગુરુ ગ્રંથસાહિબ ઉપરાંત ભગવત ગીતા, કુરાન અને બાયબલનો પણ ઉમેરો કર્યો છે. કૉન્ગ્રેસ ધાર્મિક ભેદભાવ નહીં કરનારો સર્વસમાવેશક પક્ષ ખરોને! પંજાબમાં કૉન્ગ્રેસની સરકાર આવ્યે દોઢ વરસ થવા આવ્યું છે, પરંતુ પંજાબમાં કેફી દ્રવ્યોના વપરાશનો અંત આવ્યો નથી. ગામડાંઓમાં નવયુવાનો તેમાં હોમાઈ રહ્યા છે. પંજાબમાં કૃષિવિકાસ ઠપ થયેલો છે, અને યુવાનોમાં બેરોજગારી વધી રહી છે. પ્રકાશ સિંહ બાદલની માફક ધર્મના અફીણની કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને પણ જરૂર છે.

આગળ કહ્યું એમ કૅપ્ટન અમરિન્દર સિહે ખાલિસ્તાન આંદોલનના યાતનામય દિવસો જોયા છે. તેમણે પોતે ઓપરેશન બ્લ્યુસ્ટાર પછી વિરોધના ભાગરૂપે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને અકાલી દળમાં જોડાયા હતા. અકાલી દળમાં તેમણે ધર્મની ગુંગળામણ અને ધર્મનું વરવું રાજકારણ જોયું હતું અને તે સહન નહીં થતા તેઓ કૉન્ગ્રેસમાં પાછા ફર્યા હતા. ધર્મનિંદા(બ્લેસ્ફેમી)ના કાયદાએ અને હૂદુદના કાયદાએ પાકિસ્તાનની જે હાલત કરી છે એ આખું જગત જોઈ રહ્યું છે. ધાર્મિક લાગણીઓને બહુ પંપાળવાની ન હોય, કારણ કે લાગણીઓ ધવાવાનો કોઈ અંત જ નથી. જેટલી રાજકીય જરૂરિયાત વધુ એટલો ધર્મનો દુરુપયોગ વધુ. કૅપ્ટન અમરિન્દર સિંહ પંજાબમાં નર્કના દરવાજા ખોલી રહ્યા છે. રાહુલ ગાંધી સાંભળે છે?

કાયદાશાસ્ત્રમાં સ્લિપરી સ્લોપ આર્ગ્યુમેન્ટ્સ વિષે સતત ઊહાપોહ થતો રહે છે, કારણ કે શીર્ષક સૂચવે છે એમ તેમાં લપસી પડવાનો હંમેશાં ભય રહે છે. કેટલીક દલીલો પહેલી નજરે ગળે ઊતરી જાય એવી હોય છે, પરંતુ વાસ્તવમાં એ લપસણી દલીલો હોય છે. ધાર્મિક સૌહાર્દ, અમન, દેશપ્રેમ, મૂલ્ય રક્ષણ, દેશની સુરક્ષા, કાયદાનું રાજ વગેરે આવા લપસણા પ્રદેશ છે. ભાવનાથી પ્રેરાઈને લોકો ડંડાશાહીને સ્વીકૃતિ આપે છે અને અદાલતો તેને કાયદાકીય માન્યતા આપે છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ સિનેમા ઘરોમાં ફરજિયાત રાષ્ટ્રગીત ગાવાનો અને તેને આદર આપવાનો ચુકાદો આપ્યો હતો, એનું કારણ સ્લિપરી સ્લોપ આર્ગ્યુમેન્ટ્સ અર્થાત્‌ મનને ભાવે એવી લપસણી દલીલો હતી. પાછળથી રિવ્યુ પિટિશન સાંભળતી વખતે સાથી જજોએ મુખ્ય ન્યાયમૂર્તિનું ધ્યાન દોર્યું હતું કે મનભાવક દલીલો લપસણી હોય છે અને દેશને અરાજકતાની ખાઈમાં ધકેલી શકે છે.

પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો આજે દોજખમાં ધકેલાઈ ગયા છે તો એનું મુખ્ય કારણ ધર્મઘેલછાથી પ્રેરાઈને શાસકોની મનભાવક દલીલોને આપેલી માન્યતા છે. અહીં વાચકોને એટલી જ વિનંતી કે આંખ-કાન ખુલ્લા રાખીને તમારા સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરતા જાઓ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 27 અૉગસ્ટ 2018

Loading

રીઅલ ભાગ્યોદય

પન્ના નાયક|Opinion - Short Stories|27 August 2018

આજે અમેરિકામાં થેંક્સગિવિંગનો તહેવાર છે. અમેરિકનો આજે ટર્કી, સ્ટફિંગ, મેશ્ડ પટેટો, ક્રેનબરી સૉસ, અને પમકીન પાયની જ્યાફત ઉડાવશે. દારૂ પીશે. હું, રાજેશકુમાર પંડ્યા, આજે થેંક્સગિવિંગના દિવસે મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં એકલો એકલો પથારીમાં આળોટું છું.

મને અમેરિકા આવ્યે ચોવીસ વર્ષ થયાં છે. આ પહેલો જ થેંક્સગિવિંગનો દિવસ છે જ્યારે મારે ઘેર કોઈ આવવાનું નથી. એકલો એકલો પથારીમાં આળોટું છું. સામે ટીવી ચાલુ છે. ન્યૂઝ આવે છે.

મારી ઉંમર પિસ્તાળીસ વર્ષની છે. મારી પાસે અંગ્રેજી સાહિત્યમાં યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાની પીએચ.ડી.ની ડિગ્રી છે. શિકાગો યુનિવર્સિટીમાં ભણાવ્યું છે. કેટલા ય નોબેલ પ્રાઇઝ બુદ્ધિજીવી વિજેતાઓ સાથે કામ કર્યું છે. એમની સાથે હર્યોફર્યો છું. મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં સૌથી વધુ જગ્યા રોકે છે વિશ્વસાહિત્યનાં ઉત્તમ પુસ્તકોથી સભર શેલ્વ્સ. મેં વસાવેલું એકેએક પુસ્તક મેં વાંચ્યું છે. અત્યારે એટલે કે, છેલ્લાં ત્રણ વરસથી મારી પાસે કોઈ જૉબ નથી.

મારું લગ્નજીવન સુખી હતું. બાળકો મને ગમતાં પણ અમારે બાળક હોવું જોઈએ એનો આગ્રહ નહોતો. મારી પત્ની બીનાને બાળક જોઈતું હતું. એ એની માને મુંબઈ મળવા ગઈ ત્યારે તેણે ફોન પર એના સગર્ભા થવાના સમાચાર આપ્યા હતા. મેં આનંદ વ્યક્ત કર્યો હતો. અમારું બાળક તે નીના. નીના અત્યારે બાવીસ વર્ષની છે, પેન સ્ટેટમાં જુનિયર વરસમાં કશું ભણી રહી છે. એ કોઈ કાળા છોકરા સાથે ફરે છે. આઈ લીવ હર અલોન.

લગ્નજીવન દરમ્યાન મારે માર્ગરેટ સાથે ઓળખાણ થઈ. એ મારી સાથે જ ભણાવતા ડેવિડ કોહનની બહેનપણી હતી. ડેવિડ સાથેનો એનો સંબંધ તૂટી ગયો પછી અમારો સંબંધ શરૂ થયો. પેગી (માર્ગરેટ) વાર્તા લખતી. મને વંચાવતી. અમે સુધારાવધારા કરતાં. પછી એ છપાવતી. એનો વાર્તાસંગ્રહ થયો. મને અર્પણ કરેલો. થોડા સમય પછી પેગી વાર્તાસંગ્રહના પ્રકાશકને પરણી ગઈ. આ સાત વરસ પહેલાંની વાત છે. મારી પાસે એનો ફોન નંબર છે, પણ કરતાં અચકાઉં છું. પેગી સાથેના સંબંધને કારણે હું અને બીના એકબીજાથી દૂર થતાં જતાં હતાં. એણે છૂટાછેડાનો પ્રસ્તાવ મૂક્યો. ચાર વરસ પહેલાં અમે સમજૂતીથી છૂટાં થયાં. નીના એની સાથે રહેવા ગઈ. મેં ઘર બીનાને લખી આપ્યું. બીના અત્યારે કોઈ એન્જિનિયરને પરણી છે. વેસ્ટ ચેસ્ટરમાં રહે છે. નીનાની ફી ભરવાની હોય ત્યારે મારા પર ફોન આવે છે. મેં નીનાની ફી ભરવા અને મારું ઘર ચલાવવા મારા બિઝનેસમૅન મામા પાસેથી ચાળીસ હજાર ડૉલર્સ લોન પર લીધા છે. એક વાર જૉબ મળશે એટલે બધા ડૉલર્સ ચૂકવી દઈશ.

બે વરસ પહેલાં એક છવ્વીસ વરસની છોકરી — નામે સ્મિતા — સાથે ઓળખાણ થઈ. એનો ભાઈ અહીં ડૉક્ટર છે. એને મળવા અને અમેરિકા ફરવાને બહાને સ્મિતા આવી હતી. સાચું કારણ તો કોઈ છોકરો મળે તો પરણી જવાનું હતું. ભાવનગરની મહિલા કૉલેજમાં એ ગુજરાતી ભણાવીને કંટાળી હતી. અમારું ક્લિક થયું. પણ સ્મિતાનાં પપ્પા-મમ્મી, ભાઈ વગેરે અમારા સંબંધથી નારાજ હતાં, કારણ મારી ઉંમર તેંતાળીસ વરસની હતી. જૉબ પણ નહોતી. અમે ભાગી જઈને પરણ્યાં. અમારાં લગ્નને બે વરસ થયાં છે પણ પહેલાં જેવું નથી.

મારી પાસે જૉબ નથી, કારણ શિકાગો યુનિવર્સિટીએ મારો કોન્ટ્રેક્ટ રિન્યૂ ન કર્યો. મેં નોર્મન મેઇલર પર પુસ્તક શરૂ કરેલું. ચાર ચેપ્ટર લખાયાં. ને પછી પેગી, બીના, નીના વગેરેના ચક્કરમાં અટવાયો. મારી સાથેના ડેવિડે ટોની મૉરિસન પર પુસ્તક લખ્યું. છપાવ્યું. સરસ રિવ્યૂ થયા. એ હવે ડિપાર્ટમેન્ટ ચૅરમૅન થઈ ગયો ને મને પાણીચું.

સ્મિતા કહે છે, ‘ન ભણાવવું હોય તો ગૅસ પંપ કરો, ગ્રોસરી સ્ટોરમાં બાસમતી ચોખા વેચો, કેન્ડી સ્ટોરમાં ક્લર્ક થાવ. આમ ઘેર બેસીને “સોપ”* ના જોયા કરો.’ સ્મિતા મારાથી કંટાળીને આયોવાની રાઇટર્સ વર્કશોપમાં ક્રિએટિવ રાઇટિંગના કોર્સ કરવા ગઈ છે. મને એકલું લાગે છે. હું રોજ ફોન કરું છું એ એને ગમતું નથી. મને ટાળવા આન્સરિંગ મશીન ચાલુ રાખે છે.

મેં જ્યોતિષીઓની સલાહ લીધી છે. હું શનિની મહાદશામાંથી પસાર થઈ રહ્યો છું. બસ, આ ડિસેમ્બર પૂરો થયો ને વરસ બદલાયું એટલે બધું સુધર્યું સમજો. ડિસેમ્બર પૂરો થવાને હવે પાંચ અઠવાડિયાં બાકી છે. પછી ભાગ્યોદય.

લાવ પેગીને ફોન કરું.

‘હાય પેગી. હેપી થેંક્સગિવિંગ. ડુ યુ નો હુ ધીસ ઇઝ?’

‘નો, લેટ મી થિંક.’ પેગી કહે છે.

‘રાજુ. યોર રાજુ પાંડ્યા.’

‘રાજુ, કૉલ મી સમ અધર ટાઇમ.’ આઈ એમ ઇન મિડલ ઑફ સ્ટફિંગ માઈ ટર્કી.’ પેગી ફોન મૂકી દે છે.

પાંચ અઠવાડિયાં પછી જાન્યુઆરીની પહેલીથી ડૉક્ટર રાજેશકુમાર પંડ્યાનો ભાગ્યોદય થાય છે. પંદરમી જાન્યુઆરી સુધીમાં જૉબ હશે, હશે, ને હશે. પછી બા કહેશે. ‘ભઈલા, બહુ દી’થી મોં નથ જોયું.’ સ્મિતા કહેશે ‘ડાર્લિંગ, ચાલને નાયગારા ફૉલ્સ જઈએ.’ પેગી કહેશે ‘લેટ્સ હૅવ અ કેન્ડલલાઇટ ડીનર ફૉર ધ ઑલ્ડ ટાઇમ્સ સેઇક.’ અને હું ડૉક્ટર રાજેશકુમાર પંડ્યા પોઝ લઈને કહીશ ‘લેટ મી થિંક ઇટ ઓવર.’

દર ગુરુવારે બાજુવાળા હરિભાઈ પટેલનાં વહુ ભાનુબહેન તપેલી ભરીને દાળ મોકલાવે છે. હરિભાઈ આવે એટલે એકનો એક સવાલ પૂછે ‘જૉબનું કાંઈ થિયું?’ હું બોલું એ પહેલાં જ જૉબ ચીંધવા માંડે ‘ન થિયું હોય તો આવી જાવ આપણી ‘ઓસનફ્રન્ટ મોટેલ.’ પર. રાતપાળીની ખાલી જગ્યા તમારી. બોલો છે વિચાર?’ હું નકારમાં માથું ધુણાવું એટલે વળી કહે કે ‘તમે તો ભણેસરી. અમારા મોટેલિયાની હોડમાં હાના બેહો!’ આજે હજી દાળ આવી નથી. સારું થયું. આજે સપરમે દિવસે હરિભાઈના સવાલમાંથી બચી ગયો.

બઝર વાગે છે.

‘હુ ઇઝ ઇટ?’ ઇન્ટરકોમ પર પૂછું છું.

‘નીના.’

હું બઝર દબાવું છું. નીચેનું બારણું ખૂલવાનો ને પછી બંધ થવાનો અવાજ આવે છે. હું અપાર્ટમેન્ટનું બારણું ખોલી ઊભો રહું છું. નીના દાદર ચડીને ઉપર આવે છે. સાથે કાળો છોકરો છે.

નીના મને વળગી પડે છે. એના ગાલ ઠંડા છે. એણે વૂલન કોટ પહેર્યો છે. હાથમાં મોજાં છે. ખભે પર્સ છે. કેટલે બધે વખતે મેં જોઈ નીનાને.

‘પપ્પા, આ સ્કોટ ગીબ્સ. એ ટ્રિનિડાડનો છે. વી લિવ ટુગેધર.’ નીના કહે છે.

‘હલો સ્કોટ.’ હું હાથ મિલાવું છું.

‘પપ્પા, મારે બાથરૂમ જવું પડશે.’ નીના દોડીને બાથરૂમમાં જાય છે, બારણું બંધ કરે છે. સિન્કમાં આખો નળ ખોલવાનો અવાજ આવે છે.

હું સ્કોટને બેસવા કહું છું. એ ઊંચો છે. એના વાળ ભૂંગળીવાળા છે. આંખો તેજસ્વી છે. બરછટડા કાળા વાળવાળી દાઢીમાંથી એના જાડા પહોળા હોઠ ડોકાય છે. સ્વચ્છ શર્ટ, જેકેટ, ટાઈ પહેર્યાં છે. સ્કોટ હૅન્ડસમ છે.

‘નીનાએ તમારી ખૂબ વાતો કરી છે. તમને મળીને આનંદ થયો.’ સ્કોટ કહે છે.

‘શું ભણો છો તમે?’ હું પૂછું છું.

‘પેન સ્ટેટમાં એન્જિનિયરિંગમાં અન્ડર ગ્રેજ્યુએટ કરું છું.’ સ્કોટ જવાબ આપે છે.

ટોઇલેટ ફ્લશ થવાનો અવાજ આવે છે. નળ બંધ થાય છે. બારણું ખૂલે છે. નીના બહાર આવીને મારી ને સ્કોટની વચ્ચે ઊભી રહે છે.

‘બેસ, નીના. કોટ કાઢ.’ હું કહું છું.

‘પપ્પા, અમે તમને ડીનર પર લઈ જવા આવ્યાં છીએ.’ નીના કહે છે.

હું તૈયાર થવા જાઉં છું. દાઢી કરી, ક્વીક શાવર લઉં છું. નાહીને ક્લોઝેટમાંથી ઇસ્ત્રી કરેલું શર્ટ, ગ્રે સૂટ, ટાઈ પહેરું છું. ખાનામાંથી મોજાં, રૂમાલ કાઢું છું. ચેસ્ટર ડ્રૉઅર પર પડેલું વોલેટ ખોલું છું. એમાં પચાસેક ડૉલર છે. જતાં જતાં મૅક મશીનમાંથી બીજા લેવા પડશે.

હું બેડરૂમમાંથી બહાર આવું છું. નીના ફરીથી બાથરૂમમાં જાય છે. ફરી ખુલ્લા નળનો અવાજ. સાથે ઊલટીનો અવાજ.

મારા કાન ચોંકે છે. બીનાને આમ જ ઊલટીઓ થતી.

નીના બહાર આવે છે.

‘એવરીથિંગ ઓ.કે.?’ હું પૂછું છું.

‘ફાઇન, ફાઇન, લેટ્સ ગો.’ નીના કહે છે.

અમે સ્કોટની ગાડીમાં જમવા જઈએ છીએ. હું પાછળ બેસું છું. રસ્તામાં મૅક મશીન આવે છે. હું ડૉલર્સ લઈ લઉં છું. સ્કોટ અને નીનાએ રેસ્ટોરંટમાં રિઝર્વેશન કરાવ્યું છે. રેસ્ટોરંટમાં નીના મારી અને સ્કોટની વચ્ચે બેસે છે. એણે કોટ પહેરી રાખ્યો છે. અમે ડ્રિન્ક્સ ઑર્ડર કરીએ છીએ. મેન્યુ જોઈએ છીએ. થેંક્સગિવિંગનું ટ્રેડિશનલ ડીનર ઑર્ડર કરીએ છીએ. ડ્રિન્ક્સ આવે છે. ગ્લાસ હાથમાં લઈ ‘ચીયર્સ’ કહી ટકરાવીએ છીએ.

‘ગુડ લક યુ ઑલ ઑફ અસ.’ — હું કહું છું. ઊલટીના અવાજને મારા કાન ખંખેરી શકતા નથી.

અમે પેન સ્ટેટના એજ્યુકેશનની વાતો કરીએ છીએ. નીના જુનિયરમાં છે. એણે બાયોલૉજી મેજર લીધું છે. મેમાં સિનિયરમાં આવશે. મેડિકલ સ્કૂલનો વિચાર હમણાં માંડી વાળ્યો છે. સ્કોટ મેમાં ગ્રેજ્યુએટ થશે.

‘આઈ લવ નીના વેરી મચ.’ સ્કોટ કહે છે.

બન્ને જણ એકમેકની આંખમાં આંખ પરોવી એમની આંગળીઓ ગૂંથે છે. હું અને પેગી પણ આમ જ કરતાં.

અમારું ડીનર આવે છે. અત્યારે ડીનર કરતાં મને નીનામાં, નીનાના ભવિષ્યમાં વધારે રસ છે.

‘પપ્પા, તમને ગુડ ન્યૂઝ આપવાના છે.’ કહીને નીના સ્કોટ સામે જુએ છે.

‘બોલ બેટા.’ મને ખબર છે પણ મારે એને મોઢે સાંભળવું છે.

‘તમે ગ્રાન્ડફાધર થવાના છો. આઈ એમ સો એક્સાઇટેડ.’ નીના કહે છે.

‘કૉન્ગ્રેચ્યુલેશન્સ. બેબી ક્યારે ડ્યુ છે?’ હું પૂછું છું.

‘મેમાં. ગ્રેજ્યુએશન ગિફ્ટ ફૉર સ્કોટ.’ સ્કોટની સામે જોઈ નીના જવાબ આપે છે.

‘પછી ભણવાનું? બેબીને રેઇઝ કરવાનું?’ હું પૂછું છું.

‘થઈ જશે.’ નીના વિશ્વાસથી બોલે છે.

સ્કોટનું વસ્તારી કુટુંબ ટ્રિનિડાડમાં છે. એ લોકોનાં કેળાંનાં મોટાં પ્લાન્ટેશન છે. બેબીને લઈ સ્કોટ ટ્રિનિડાડ જશે. નીના અહીં રહી સિનિયરનું વરસ પૂરું કરશે. પછી એ પણ ટ્રિનિડાડ જશે.

નીના પરણવાની વાત નથી કરતી. હું અંદરથી સમસમી રહું છું.

નીના અને સ્કોટ મને ઉતારીને સ્કોટના પપ્પાને ત્યાં જાય છે.

હું દાદર ચડી ઉપર આવું છું. અપાર્ટમેન્ટ ખોલી એક પગે ધક્કો મારી બારણું બંધ કરું છું. કપડાં બદલું છું. બ્રશ કરું છું. ટીવી ઑન કરી પથારીમાં પડું છું.

સ્મિતાને ખબર આપવા ફોન જોડું છું. એનું આન્સરિંગ મશીન જવાબ આપે છે.

નીનાને બેબી આવવાનું છે એની બીનાને ખબર હશે? આઈ વંડર. નીના નામ શું પાડશે. દેશી કે અમેરિકન.

રાજેશકુમાર પંડ્યાને હજી પેગીના વિચાર આવે છે, ને છ મહિનામાં તો એ દાદાજી થશે. ગ્રાન્ડપા. જ્યોતિષીઓએ નવા વરસમાં ભાગ્યોદય ભાખ્યો છે. હુ નોઝ? મે બી ધીસ ન્યૂ બેબી વિલ બ્રિંગ મી લક. ઇન ધ કમિંગ યર રાજેશકુમાર પંડ્યા વિલ હેવ અ જૉબ ઍન્ડ ઓલ્સો અ ગ્રાન્ડચાઇલ્ડ ટુ પ્લે વિથ. રીઅલ ભાગ્યોદય.

ઓગસ્ટ 26, 2018

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/category/રવિપૂર્તિ/

Loading

વાજપેયી એક ‘મુખોટું’, હંમેશાં સંઘને વફાદાર

નીના વ્યાસ|Opinion - Opinion|26 August 2018

વાજપેયી એક ‘મુખોટું’, તેઓ હંમેશાં સંઘને વફાદાર રહ્યા. અટલ બિહારી વાજપેયી હંમેશાં પાર્ટીનો સુગમ અને વિવેકી મુખવટો રહ્યા હતા. વાજપેયી તે પત્રકારો માટે પણ નમ્ર અને ખુશમિજાજી રહ્યા કે જેમનું લખાણ તેમને ગમ્યું નહોતું અને જેમનો અભિપ્રાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અનુરૂપ નહોતો. વાજપેયી જ્યારે આ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપવા માંગતા નહોતા, ત્યારે બીજી બાજુ તેઓ રમૂજ તરફ ધસી જતા હતા. તમે જુઓ કે વાજપેયીજી એ એક એવી Ceylonese ઢીંગલી હતા કે જેને તમે જમણી તરફથી મુક્કો મારો તો થોડા અસ્થિરપણે ઝૂલશે અને થોડી જ વારમાં સીધા થઇ જશે અને જો તમે તેને ડાબી બાજુથી મુક્કો મારશો તો થોડી ધ્રુજારી અનુભવશે અને ત્યારબાદ ફરી સીધા થઇ જશે. આ પ્રકારનું વર્ણન એક વખત બી.જે.પી.ના વરિષ્ઠ નેતાએ વાજપેયીજી વિશે કર્યું હતું, તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ પણ મૂંઝવનારી રાજકીય ઘટનાઓમાંથી વાજપેયી સહીસલામતપૂર્વક બહાર નીકળી જવાની ક્ષમતા ધરાવતા હતા કે જેમાં સામાન્યપણે પીઢ રાજકારણીની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચતી હોય છે. પણ, તે વાતમાં કોઈ ચૂક નથી કે વાજપેયી RSSના પ્રખર સ્વયંસેવક હતા અને સંઘની આજ્ઞાનું પાલન કરવામાં ક્યારે ય સંકોચ રાખતા નહોતા. તારીખ 6 ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ જ્યારે બાબરી મસ્જિદ જમીનદોસ્ત કરવામાં આવી, ત્યારે તેઓ હાજર રહ્યા નહોતા એટલી પૂરતી જ તેમની ચાલાકી નહોતી. બાબરીધ્વંસના એક દિવસ પહેલાં તેમણે લખનૌમાં કહ્યું હતું કે કેટલીક વિવાદાસ્પદ જગ્યાઓ પર સ્તરીકરણ કરવા માટેની સુપ્રિમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કેટલાંક લોકોનું એવું માનવું છે કે વાજપેયીના કહ્યાના બીજા દિવસે કારસેવકોને વિધ્વંસ માટેનું પ્રોત્સાહન મળ્યું હતું.

સપ્ટેમ્બર ૨૦૦૦માં ન્યૂયોર્કના Staten Islandમાં બી.જે.પી.ના વિદેશી મિત્રોને સંબોધતા વાજપેયીજીએ પોતાના માટે કહ્યું હતું કે એક દિવસ તેઓ વડાપ્રધાન નહિ હોય પણ, એક સ્વયંસેવક હંમેશાં સ્વયંસેવક જ રહે છે, અને તે રીતે તેઓ ઓળખાશે. આ એક વાક્ય સાથે તેમણે સંઘ પરિવારની તમામ વિવેચનાઓ અને પોતાના ઉદારમતવાદી વલણને દબાવી દીધું હતું. આ સાથે એવું જણાઈ આવે છે કે તેઓ સંઘના અન્ય લોકોની જેમ RSSને વફાદાર હતા. RSS અને જનતા પાર્ટીના બેવડા સભ્યપદના મુદ્દે જ્યારે બી.જે.પી.એ કટોકટી બાદ જનતા પાર્ટી સાથેનું જોડાણ તોડ્યું, ત્યારે અગાઉથી જ આ ઠરાવને અમલમાં મૂકવામાં આવ્યો હતો. વાજપેયી દ્વારા દોરવાઈ રહેલા જનસંઘના સભ્યોએ સરકાર છોડી અને તેઓને RSSનું સભ્યપદ છોડવાની જગ્યાએ અધિકારો છોડવા ઉચિત લાગ્યા.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણો બાદ ગોવા ખાતે બી.જે.પી.ના રાષ્ટ્રીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તે વાતનું યોગ્યરીતે દસ્તાવેજીકરણ થયું છે કે તે કોન્કલેવમાં વાજપેયીએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીપદેથી હટાવવાનું આયોજન કર્યું હતું. પરતું, તેઓ લાલકૃષ્ણ અડવાણી અને અરુણ જેટલીના કુશળ ફૂટવર્કના કારણે નિષ્ફળ નીવડ્યા હતા. એક આગોતરા ઠરાવમાં મોદીએ રાજીનામાની માંગણી કરી હતી અને અડવાણીએ એ વાતની ખાતરી આપી હતી કે લગભગ સમગ્ર રાષ્ટ્રીય કારોબારી આ માંગણી નકારે છે અને પાર્ટીના આ ઠરાવને સમર્થન આપે છે. ત્યારે વાજપેયીને પીછેહઠ કરવી પડી હતી.

આ વચ્ચે તેમણે RSS અને પાર્ટીમાં મુસ્લિમ વિરોધી જે ઉમળકો અને જડતા જોવા મળી રહી હતી તે મુદ્દે અરજી કરી હતી. તે દિવસે સાંજે, ગોવાની જાહેરસભામાં, વાજપેયીએ તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ કોમી ભાષણ આપ્યું હતું. જ્યાં તેમણે કહ્યું હતું કે દરેક જગ્યાએ મુસ્લિમો મુશ્કેલીમાં છે, તેઓ તેમનાં પાડોશીઓ સાથે પણ શાંતિથી રહી નથી શકતા. અને આવું તેમણે ગુજરાતના ભયાનક કોમી રમખાણ બાદ કહ્યું હતું, આ ભાષણ બાદ તેમના પ્રત્યેના લોકોના વિશેષાધિકારમાં ગતિ જોવા મળી હતી. પરંતુ, ત્યારબાદ તેમણે આ પરિસ્થિતિ અંગેનો ખુલાસો આપતા કહ્યું હતું કે ભાષણમાં તેમણે ‘કેટલાંક’ એવાં મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓ ‘જેહાદી માનસિકતા’ ધરાવે છે. સમગ્ર રાજકીય વર્ણપટના રાજકારણીઓ એ વાતનું વર્ણન કરતા થાકતા નથી કે વાજપેયી અયોગ્ય પાર્ટીમાં યોગ્ય વ્યક્તિ હતા. તેઓ સ્વભાવગત બિનસાંપ્રદાયિક માનવતાવાદી હતા. અને તેઓ એવા ઉદારવાદી હતા કે જેઓ કોઈક રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ફસાઈ ગયા હતા. સત્યથી આગળ કશું જ નથી, વાજપેયી હિન્દુત્વ પ્રત્યે પ્રતિબદ્ધ હતા અને ગોળવેલકરની તે દૂરદર્શિતાને માનતા હતા કે જેમાં હિંદુ બહુમતીની દયા હેઠળ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને બીજા તબક્કાના નાગરિક તરીકે સ્વીકારવામાં આવે કે જેવું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવત વિચારે છે.

વાજપેયીએ ‘હિંદુ તન મન હિંદુ જીવન’ નામની કવિતા લખી હતી કે જેમાં તેમણે પોતે હિંદુ હોવાની વાત મૂકી હતી. આ કવિતા અગાઉ ભા.જ.પા. પાર્ટીની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી, પણ તેઓ જેવા વડાપ્રધાન બન્યા કે તરત જ તેમના સૂચનોથી આ કવિતા પાર્ટીની વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવી હતી. કારણ કે ત્યારે ગઠબંધનની સરકારમાં તેઓ કોઈ નવો વિવાદ ઊભો કરવા નહોતા માંગતા. વાજપેયી પત્રકારોની સાથે સુગમ અને સુખદ વ્યવહાર રાખતા હતા, એ રીતે જોતા વાજપેયી, નરેન્દ્ર મોદી કરતાં તદ્દન વિપરીત હતા. કારણ કે નરેન્દ્ર મોદી માટે તેમની ટીકાને ભૂલી જવી અથવા માફ કરવી તે સ્વીકારવું અઘરું છે. કટારલેખક અને ટેલિવિઝન એન્કર કરણ થાપરે તેમના હાલમાં જ પ્રકાશિત થયેલા પુસ્તકમાં લખ્યું છે કે તેમણે એક વખત નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ કર્યો હતો કે જેમાં મોદીજી ઊભા થઈને જતા રહ્યા હતા, ત્યાર બાદ કરણ થાપરે મોદીજી સાથે વ્યવસાયિક સંબંધો રાખવાના પ્રયત્નો કર્યા હતા પણ તેનો તેમને કોઈ લાભ મળ્યો નહિ. અને હાલમાં જ ABP ન્યુઝ ચેનલના પત્રકારોએ તે ચેનલ છોડી છે, જેમાં એ તથ્ય બહાર આવ્યું છે કે મોદીજી તેમની ટીકાને સ્વીકારતા નથી.

મોદીજી જ્યારે પાર્ટીના જનરલ સેક્રેટરી હતા ત્યારે તેઓ પત્રકારોની સાથે સુગમ વ્યવહાર રાખતા હતા, અને ત્યારબાદ જ્યારે તેઓ વર્ષ ૨૦૦૧માં ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા કે તરત જ મીડિયા અને પત્રકારોથી દૂર થઇ ગયા હતા. વાજપેયી વડાપ્રધાન બન્યા તે પૂર્વે એક પત્રકારે વાજપેયીને બી.જે.પી.ની વિદેશનીતિ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે આ પ્રશ્નનો એક જ વાક્યમાં એવો ઉત્તર આપ્યો હતો કે ‘પાકિસ્તાન પર બોમ્બ નાખો, પાકિસ્તાનનો વિનાશ કરી નાખો’. વાજપેયીએ આ મજાક કરી હતી પણ તેનો અર્થ ગંભીર હતો. પણ, તેના સંકેતો એવા હતા કે પાર્ટી પાકિસ્તાનથી મનોગ્રસ્ત હતી અને તેમની પાસે વિદેશનીતિનો માત્ર એક જ મુદ્દો હતો કે પાકિસ્તાનનો વિનાશ કરો. અને વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યાર બાદ તેમણે પાકિસ્તાનની સાથે મિત્રતાનો હાથ લંબાવવાનું કહ્યું હતું, જે હેઠળ તેમણે લાહોર બસ ‘યાત્રા’ શરૂ કરી હતી. સાથે તેમણે જનરલ પરવેઝ મુશર્રફની સાથે આગ્રા સમિટની વ્યવસ્થા પણ કરી હતી કે જેને અડવાણીજીએ અંતે નિષ્ફળ પુરવાર કરી હતી.

વર્ષ ૧૯૯૫માં જ્યારે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ ત્યારના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સામે બળવો પોકાર્યો હતો અને પાર્ટીમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઇ હતી ત્યારે મીડિયાએ વાજપેયીને આ મુદ્દે ટિપ્પણી કરવાનું કહ્યું હતું ત્યારે વાજપેયીએ એવી સલાહ આપી હતી કે ‘અડવાણીજી’ને પૂછો, આ રીતે તેમણે અડવાણીની નેતાગીરી હેઠળનો પાર્ટીનો ઉચાટ વ્યક્ત કર્યો હતો. વાજપેયીને જ્યારે પાર્ટીમાં કોઈ રસ્તો દેખાતો નહોતો ત્યારે જે-તે સમયમાં કેવી રીતે ટકી રહેવું તે તેઓ જાણતા હતા. વર્ષ ૧૯૯૯માં તેઓ જશવંત સિંઘની નાણાકીય મંત્રી તરીકે નિમણૂક કરી શક્યા નહોતા કારણ કે RSSના નેતાઓએ તે સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે યશવંત સિંહાને સ્વીકાર્યા હતા, પણ થોડાં વર્ષો બાદ તેમણે જશવંત સિંહની રેખા ખેંચી હતી.

આખરે, તેઓ કદાચ કે.એન. ગોવિંદાચાર્ય હતા કે જેમણે યથાર્થ રીતે વાજપેયીનું વર્ણન કર્યું હતું, જો કે તેઓ સતત ‘મુખોટા’ તરીકેની ઓથરશીપ નકારતા રહ્યા હતા. RSSને સત્તા પ્રાપ્ત કરવાની લાંબી કૂચ માટે આ મુખોટું ખૂબ જ ઉપયોગી રહ્યું, જેથી તેઓ કાયદેસરપૂર્વક સ્થાનિક પાર્ટીઓને એકસાથે લાવી શક્યા, જેમાં સામાજિક માનસ ધરાવતા બીજુ જનતા દળ અને જનતા દળ (યુનાઇટેડ)થી લઈને અન્ય માનસ જેમ કે અકાલી દળ અને  શિવસેના તે સિવાય AIADMK અને તેલુગુ દેશમ જેવી પાર્ટીઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની ટીકા માટે વાજપેયીએ ક્યારે ય ગોવિંદાચાર્યને માફ નથી કર્યા, પણ યોગ્ય સમયની ધીરજપૂર્વક રાહ જોઈ ગોવિંદાચાર્યને હાંકી કાઢવામાં આવ્યા હતા, અને તેઓ ક્યારે ય પરત આવ્યા નહિ. અને આ Ceylonese ઢીંગલી ફરી પાછી સીધી ઊભી રહી.

(મૂળ લેખક – નીના વ્યાસ, વર્ષોથી, “ધ હિન્દુ” માટે ભારતીય જનતા પાર્ટીનું રિપોર્ટીંગ કરતાં આવ્યાં છે)

સ્ત્રોત – The WIRE (૧૭ ઓગસ્ટ, ૨૦૧૮)

અહીં સાથે વાજપેયીના લેખની લિંક :

https://thewire.in/politics/reporting-during-the-vajpayee-years

અનુવાદ – નિલય ભાવસાર

Loading

...102030...3,0573,0583,0593,060...3,0703,0803,090...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved