Opinion Magazine
Number of visits: 9580016
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજે ગુજરાતી ભાષાસાહિત્યના ભવિષ્યને કોને હવાલે કરાય એમ છે? નીવડેલા સાહિત્યકારો આત્મનિતુષ્ટ છે, સંસ્થાઓ આત્માનુરાગી સંકલ્પોમાં જકડાઇ ગઇ છે

સુમન શાહ|Opinion - Literature|28 July 2018

 'ક્રિટિક્સ ગિલ્ડ'

સાહિત્યક્ષેત્રે આપણે ત્યાં લીલો દુકાળ પડ્યો છે. ખૂબ જ લખાય છે, લાઇનનું ઑનલાઇનનું બધું જ છપાય છે

નીવડેલા તેમ જ નવા આપણા ઘણા સાહિત્યકારોને લાગે છે કે સાહિત્યક્ષેત્રે આજકાલ આપણે ત્યાં લીલો દુકાળ પડ્યો છે. ખૂબ જ લખાય છે, લાઇનનું ઑનલાઇનનું બધું જ છપાય છે. લીલો કે સૂકો દુકાળ પડ્યો હોય ત્યારે હંમેશાં મને વિવેચકો યાદ આવે છે. થાય કે એ લોકો ક્યાં સંતાઈ ગયા છે. વિવેચક તો સાહિત્યજગતનો રખેવાળ ગણાય. જરૂરી છે કે દુકાળનું નિરીક્ષણ કરે, દુકાળ કેમ પડ્યો તેનાં કારણો જણાવે ને દુકાળથી છુટાય એવા ઉપાય સૂચવે. ઈશ્વર નથી એમ માનતા હોઇએ તો માનવું રહે છે કે એ નથી એટલે સંસારમાં નરસું કંઇપણ બની શકે છે. વિવેચક નામનો વિવેકબૃહષ્પતિ નથી હોતો ત્યારે સાહિત્યજગતમાં પણ એમ જ બને છે. સૂકા દુકાળ વખતે ખોરાક અને દૂધપાણીના સાંસા પડતા હોય છે. લીલા દુકાળમાં ચોપાસ દુર્ગન્ધ અને પ્રાણઘાતક કચરો વધતો ચાલે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સંતાઇ ગયેલા વિવેચકો થોડીકેય દાઝથી બ્હાર નીકળે તો સૌ પહેલાં એમણે કચરો સાફ કરવો પડશે. પણ બ્હાર આવશે ખરા? કચરામાં હાથ નાખવા તૈયાર થશે ખરા? એ સળગતા સવાલના ઉકળાટ વચ્ચે થોડી ઉપયોગી વાતો કરું.

વરસો પહેલાંની વાત છે. મેં ખ્યાતનામ હિન્દી સાહિત્યકાર નામવર સિંહને (1927 -) કહેલું : નામવરજી, હમ સારે દેશ કે ગણમાન્ય સમીક્ષકો કા એક ગિલ્ડ બનાયે તો કૈસા? ક્રિટિક્સ ગિલ્ડ? : એ બહુ રાજી થયેલા : હોના ચાહિયે, અચ્છી બાત હૈ, આપ પ્રસ્તાવ બનાઇયે, મૈં જાનેમાને સભી સમીક્ષકો કો બતા દૂંગા કિ યહ કરના હૈ; ઔર, હો જાયેગા : પણ પછી હું શેમાં ય ખોવાઇ ગયો હોઇશ, ન થયું.

અહીં અમેરિકામાં 'સીક્રેટ્સ ઑફ ધ બુક ક્રિટિક્સ' નામનું એક સંગઠન છે. એમાં અમેરિકાના ઘણા બુક-જર્નાલિસ્ટ્સ જોડાયેલા છે. તેઓ સાહિત્યિક પત્રકારો છે પણ સાહિત્યના જાણકાર-સમજદાર રસિક સમીક્ષકો પણ છે. શિષ્ટ સાહિત્યથી માંડીને પ્રવર્તમાન સાહિત્યની વાતો કરે, ચર્ચાઓ ઉપાડે, મૂલ્યાંકનો કરે, પુનર્મૂલ્યાંકનો કરે. વિવેચનપ્રવૃત્તિની પણ સમીક્ષા કરે. પ્રવર્તમાન સોશ્યલ મીડિયાએ સાહિત્યસર્જન વાચન અને સમીક્ષા બાબતે કેવા પ્રશ્નો ખડા કર્યા છે તેની નુક્તેચિની કરે. સમજો, પ્રવર્તમાન સાહિત્યિક પરિદૃશ્ય પર ચાંપતી નજર રાખનારી સદા-જાગ્રત વ્યક્તિઓ. અને આ સંગઠન એટલે, વિકાસલક્ષી વાતોની એક આવકાર્ય અને દેશવ્યાપી જીવન્ત ચહલપહલ.

ભારતના પ્રાદેશિક સાહિત્યના લેખકો મતમતાન્તરો માટે સંગઠિત છે એટલા મતૈક્ય માટે નથી. મતૈક્ય માટે સંગઠિત ન હોય એ બાબત એક અર્થમાં તો સારી વસ્તુ છે કેમ કે એથી વિવાદો થાય ને તત્ત્વબોધ મળે. આપણે ત્યાં છઠ્ઠા-સાતમા દાયકામાં 'પરમ્પરાગત' અને 'આધુનિક' એવાં બે વિવેચનસ્વરૂપો સ્થિર થયેલાં. દરેકના પક્ષકાર એવા જૂના અને નવા વિવેચકો હતા. બન્ને વચ્ચે ઘણી સૈધ્ધાન્તિક અથડામણો થયેલી. પરિણામે, સાહિત્યકલાબોધ સ્વચ્છ અને સ્પષ્ટ થયેલો. આજે નથી એવા વિવેચકો કે નથી એવી અથડામણો. એટલે 'ક્રિટિક્સ ગિલ્ડ' હોત તો પણ એમાં જોડાવાનો તો પ્રશ્ન જ કેવો ! વળી, 'સીક્રેટ્સ ઑફ ધ બુક ક્રિટિક્સ' જેવું સંગઠન ભારત માટે વ્યવહારુ ધોરણે શક્ય નથી. કેમ કે ભારત વિવિધ ભાષાઓના સાહિત્યોનો દેશ છે. વિવિધ ભાષાના સમીક્ષકોને અખિલ ભારત માટે જોડવા માટેના સર્વસામાન્ય મુદ્દા મળી આવે તો પણ વાત જે-તે પ્રાદેશિક ભાષામાં જ થયા કરવાની. સંગઠનનું માધ્યમ હિન્દી રખાય તો પણ અંગ્રેજી ભણી વળી જવું સમુચિત લાગવાનું …

હા પણ, પ્રશ્નો તો છે ! દરેક પ્રાદેશિક સાહિત્યમાં છે ! આપણી જ વાત કરીએ : પ્રશિષ્ટ અને શિષ્ટ સાહિત્ય તો જાણે ભુલાઇ ગયું છે. બાકી, દરેક વરસે કાલિદાસ શેક્સપિયર અને રવીન્દ્રનાથ વગેરેને તેમ જ ગોવર્ધનરામ મુનશી સુન્દરમ્ કે રાજેન્દ્ર શાહને જુદા જુદા હેતુ રચીને અવનવી રીતે પામી શકાય. સાર્ત્ર કાફ્કા કામૂથી ઓળખાતી આપણા જ સમયની વિશ્વકક્ષાની સાહિત્યકોટિથી પણ ક્યાં લગી વેગળા ને વેગળા રહેવું છે? પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યનાં રૂપાળાં લોકાર્પણો થાય છે, મભમ ગાણાં ગવાય છે, પણ એની મનભર સમીક્ષાઓ ક્યાં છે? પુનર્મૂલ્યાંકનોની વાત છોડો. કેમ કે મૂલ્યાંકનો થયાં હોય પછી પુનર્મૂલ્યાંકનો થાય. સુરેશ જોષી પછીના એક પણ સાહિત્યકારનું પાકા પાયે મૂલ્યાંકન થયું છે ખરું? આ સમયગાળાને આપણે 'અનુ-આધુનિક' કહીએ છીએ. 'આધુનિક' પછીનું એટલે 'અનુ-આધુનિક' એમ કહીએ, તો એ તો 'એકડે એક' કહેવા જેવું નર્યું પ્રાથમિક થયું. વિવેચકે બતાવવું જોઇએ કે કેટકેટલા ગુણોને કારણે એ 'અનુ' છે. 'ફેસબુક' વગેરેથી ફાલેલું સોશ્યલ મીડિયા અદ્ભુત અતળ મહાસાગર છે અને સાહિત્યકલાના અભ્યાસીઓ તેમ જ રસિયાઓ માટે અતિ અતિ ઉપકારક આવિષ્કાર છે. એમાં તરી શકાય ડૂબી શકાય ને કશુંક કીમતી લઇને બહાર આવી જવાય. પણ એમ કરતાં આવડે છે કેટલું?

સમાન હેતુને વરેલા અને એકમેકને સમજીવિચારીને મદદ કરનારા લોકોના સંગઠનને 'ગિલ્ડ' કહેવાય -સંઘ કે મહાજન. 'વેપારી મહાજન' છે એમ 'વિવેચન મહાજન' હોય. પણ એ માટે તમારી પાસે એકથી વધુ વિવેચકો હોવા જોઇએ. જન હોય તો મહાજન થાય ! પણ જુઓ, એકદમ શક્ય છે : એકોએક આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિષય છે અને એના વિભાગમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ત્રણ અધ્યાપકો છે એવી મારી ધારણા છે. યુનિવર્સિટી ડિપાર્ટમૅન્ટ્સમાં તો યુનિવર્સિટીના માભાને લીધે પણ મોટી સંખ્યા રખાતી હોય છે. એ બે-ત્રણમાંથી કોઇ એક અને મોટી સંખ્યાવાળામાંથી કોઇ બે એમ કુલ ત્રણ જણા નક્કી કરે કે સરજાતા સાહિત્યનું વિવેચન કરવું છે, તો બિલકુલ કરી શકે. બે દિવસમાં લીલા દુકાળની જડતી લઇ નાખે. લીલો દુકાળ એક રીતે સારો. સારા-નરસાનો ઝટ હૂઝકો પડે. સ્પષ્ટ દર્શાવી દે, કોણ સિદ્ધ થવા પાત્ર છે, કોણ ઘાસફુસ છે. કેમ કે સવાર પડ્યે આ અધ્યાપક લોકો કેટલા ય પુરોગામી સાહિત્યકારોને પોતાની વાતમાં જોડતા હોય છે. વિવેચનાત્મક અનેક વિભાવનાઓને પ્રયોજતા હોય છે. કેટલીયે કૃતિઓને તળે ઉપર કરતા હોય છે. કહેવાનો મતલબ, વિવેચન એમનો રોજિંદો વ્યવસાય છે.

કોઇ માંયકાંગલાને કે ભૂખ્યાતરસ્યાને ધનવાનની સમીક્ષા કરવાનું કહીએ તો મૂરખમાં ગણાઇએ. હું અધ્યાપકોને એટલે કહું છું કે તેઓ તરોતાજા ને શક્તિમાન છે. એમને સારા સમુચિત ઊંચા પગાર અને પ્રોફેસર હેડ આસિસ્ટન્ટ ઍસોસિએટ વગેરે માનપાનભર્યાં પદ-પદક અપાયાં છે. હંમેશાં ફૅશનેબલ વસ્ત્રોમાં હૅન્ડસમ અને બ્યૂિટફુલ દેખાતાં હોય છે. હા, મેં જોયાં છે એમને. લગભગ કોઇ પણ યુનિ-અધ્યાપક કાર-વાન છે. મતલબ, એવી કોઇ પણ વાતે પણ તેઓ સુ-સમ્પન્ન છે. મજાકમશ્કરી બાજુએ મેલીને જણાવું કે કશો પણ સુધાર કે વિકાસ થશે તો એમનાથી થવાનો છે. પેલા ત્રણ ને એમના દસ દસ સમાનધર્મા ભાઇબંધોનું એક ગિલ્ડ શું કામ ન હોય? ચાલો ને, હાલ ને હાલ એવું ગિલ્ડ બનાવીએ. બાકી આજે ગુજરાતી ભાષાસાહિત્યના ભવિષ્યને કોને હવાલે કરાય એમ છે? નીવડેલા સાહિત્યકારો આત્મનિતુષ્ટ છે. સંસ્થાઓ આત્માનુરાગી સંકલ્પોમાં જકડાઇ ગઇ છે. પ્રજાને કે કોઇને ખબર નથી કે ગુજરાતી સાહિત્યનું ખરેખર શું થવા બેઠું છે. પણ, રે ભલા, આપણને સાહિત્યહિતના દાઝીલાઓને તો એની ખબર છે જ છે – ખરું કે નહીં?

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 જુલાઈ 2018

Loading

‘પોતે હરિને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ; એહેવા ગુરુને ઘણા સંસાર, તે અખા શું મૂકે પાર ?’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|27 July 2018

ગુરુમહિમાના અતિરેકમાં ‘ગુરુ’ વિભાવના તરફનાં ક્રિટિકલ કે સમ્યક દૃષ્ટિબિંદુઓ પર ધ્યાન જતું નથી. અખાના છપ્પા અને દ્રોણાચાર્યના પુરાકલ્પનની ટીકા જેવા ભિન્નમત પણ વિચારણીય છે

ગુરુમહિમાના અતિરેકે આપણા સમાજમાં કાળો કેર વર્તાવ્યો છે. તેને પરિણામે પોતાનાં નામ પહેલા સદગુરુ, બાબા, સ્વામી, માતા, સંત, ધ.ધૂ.પ.પૂ. જેવાં લટકણિયાં લગાવનારાંનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમાંથી ઘણાંએ આડંબર અને ઐયાષી, સંપત્તિ અને સત્તાનાં તો કોટકિલ્લા ચણી દીધા છે. તેને ભેદવા માટે સુરક્ષા દળો ઊતારવાની અદાલતોએ આ દેશની સરકારોને ફરજ પાડી છે. વૈજ્ઞાનિક અભિગમને બંધારણીય પ્રતિજ્ઞાથી વરેલા ભારતના શાસકો પણ ગૉડમેનોને ગણતરીપૂર્વક શરણે ગયા છે. આઝાદ ભારતનાં રાજકારણીઓના ગુરુઘંટાલો સાથેનાં ગઠબંધનોની લાંબી યાદી છે. તેનાથી બિલકુલ વિપરિત, આપણા બે મનીષીઓના ગુરુઓ કે માર્ગદર્શકો યાદ કરવા જેવા છે. ગાંધીજીના ગુરુઓ રાજચન્દ્ર, ટૉલ્સ્ટૉય, રસ્કિન અને થોરો હતા; આંબેડકરે બુદ્ધ, કબીર અને જોતિરાવ ફુલેને ગુરુ ગણ્યા હતા.

ગોબરી ગુરુબાજીના માહોલમાં ગુરુ સંકલ્પના વિશે ક્રિટિકલ કે સમ્યક દૃષ્ટિથી થયેલી અભિવ્યક્તિઓ નજરઅંદાજ કરવા જેવી નથી. તેમાં સત્તરમી સદીનો કવિ અખો મોખરે છે. આ તત્ત્વદર્શીએ છપ્પામાં તેના સમયના દંભી અને અહંકારી ગુરુઓ પર જે ચાબખા માર્યા છે તે ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. છપ્પાના વિષય મુજબ કરેલા વિભાગો ‘અંગ’ તરીકે ઓળખાય છે. એકાવન અંગમાં તેમાં ત્રીજા જ  ક્રમે ‘ગુરુ અંગ’ છે. તેનાં પાંચેય છપ્પામાં આ ‘હસતા કવિ’એ ગુરુ વિભાવના પર વ્યંગ કર્યો છે. અખાજી ગુરુને પૂછે છે : ‘ ગુરુ થઈ બેઠો હૂંસે કરી, કંઠે પહાણ શકે ક્યમ તરી?’. સલાહ આપીને સવાલ કરે છે : ‘તું તારું મન નાહનું પીસ, શાને મોહોટમ લે છે શીશ ?’અને ‘તું તારું સલૂઝીને બેસ, કાં ચોળે ડીલ પિયારી મેશ?’ વળી એ સીધું જ  કહી દે છે: ‘પહેલે પેર પરમારથ પ્રીછ, પછે ગુરુ થાવાને ઇચ્છ’. આવા વિચાર સાથેના છૂટાછવાયા છપ્પા અન્ય વિભાગોમાં પણ છે. જેમ કે, ‘ફુટકળ અંગ’માં તે લખે છે : ‘દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતા વાધ્યો શેર

ચર્ચા વાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો’.

અખાનો બહુ જાણીતો છપ્પો છે :

‘ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ
ધન  હરે  ધોકો નવ હરે, એવો ગુરુ કલ્યાણ શું કરે?’

જો કે કેટલાક છપ્પા અને ‘અખેગીતા’ના કડવાંમાં અખાએ સદગુરુનું ભારે ગૌરવ કર્યું છે. એમ કબીરે દોહામાં પણ કર્યું છે. છતાં તેમને પણ એમ કહી  રાખવાની જરૂર જણાઈ છે કે :

‘ગુરુ લોભ શિષ લાલચી, દોનોં ખેલે દાવ
દોનો બુઢે બાપુરે,ચઢી પાથર કી નાંવ.’

ગુરુ વિશેની એક સાફ વાત આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા ગણિતશાસ્ત્રી પ્ર.ચૂ. વૈદ્યે કરી છે. વૈવિધ્યપૂર્ણ વાચનીય નિબંધિકાઓનાં, ‘પસ્તીનાં પાનાં’ નામનાં સંગ્રહમાં તે નોંધે છે: ‘મને આ ગુરુ-શિષ્ય પરંપરામાં શ્રદ્ધા નથી. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થાય જ નહીં, અને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે ઝટ પહોંચી જવા એક ગુરુ રાખવો એ કાંઈ મને યોગ્ય લાગતું નથી. મારો ગુરુ તો હું પોતે, મારે વળી બીજા ગુરુની શી જરૂર ? અને જો હું પોતે સ્વપ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ એટલી શ્રદ્ધા ધરાવતો ન હોઉં તો પછી મારે ગુરુની જરૂરત શી રહી ?’ નિબંધિકાને અંતે વૈદ્યસાહેબ કાકા કાલેલકરના ‘વાત્સલ્યની પ્રસાદી’માંથી ટાંકે છે :‘માણસને બધી રીતે ઓળખી શકે તેવો તો તે પોતે જ હોઈ શકે … ગુરુ પોતાની પાસેનું બધું આપવા તૈયાર હોય છતાં અંતિમ આધાર શિષ્યની લેવાની શક્તિ પર જ હોઈ શકે. એથી ગુરુનિષ્ઠા કરતાં શ્રેષ્ઠ છે આત્મનિષ્ઠા.’

જો કે આ ફકરો સૂચવે છે તેટલું, ગુરુ-શિષ્ય-સંબંધ પરનું આ પુસ્તક જલદ નથી. મહારાષ્ટ્રના જાણીતા સમાજસુધારક, સાહિત્યકાર અને મૌલિક ચિંતક સાને ગુરુજી ‘ભારતીય સંસ્કૃિત’ પુસ્તકના ‘ગુરુ-ભક્તિ’ પ્રકરણમાં ગુરુ એટલે જ્ઞાન, ધ્યેય અને આપણો ભૂતકાળ એવો ખ્યાલ રજૂ કરે છે. જ્ઞાનમાર્ગી ગુરુઓ કે તેમને મળતી આવતી વ્યક્તિરેખાઓ મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથાઓમાં મળે છે. વળી માત્ર સાહિત્યની દુનિયામાં નહીં રાચનારા દર્શક આચાર્યને સત્તા અને સંપત્તિ સામે શિક્ષણની સ્વાયત્તતાના પુરસ્કર્તા પણ બનાવે છે. જ્ઞાનપીઠ સન્માનિત મરાઠી કવિ વિંદા કરંદીકરે અભંગ સ્વરૂપે રચેલી એક કવિતામાં ‘સત્યજ્ઞાન વધારનારા’ સદગુરુઓને વંદન કર્યા છે. તેમાં છે : પાયથાગોરસ, ન્યૂટન અને આઇન્સ્ટાઈન જેવા ‘બ્રહ્મવેત્તા’; આત્મજ્ઞાન આપનારા ફ્રૉઇડ અને ડાર્વિન; ‘મૃત્યુંજય ધન્વન્તરી’ પાશ્ચર અને મેરી ક્યુરી; ‘દલિતોના તારણહાર અને ઇતિહાસના મરમી’ કાર્લ માર્ક્સ, ‘ભાવદ્રષ્ટા’ શેક્સપિયર-કાલિદાસ-વ્યાસ-હોમર.આખરે કવિ સદગુરુ પાસે માગે છે કે દાસનું દાસત્વ નાશ પામો.

ખુદ દાસ હોય એવા ગુરુ ખૂબ તેજસ્વી શિષ્યના હીરને હણી નાખે એવું દૃષ્ટાન્ત ગુરુ દ્રોણાચાર્યની કથામાં છે. દ્રોણ યાચક વૃત્તિના અભ્યાસી શસ્ત્રાસ્ત્રવિદ્યાનિપુણ શિક્ષક ઉચ્ચ વર્ણના ભીષ્મનાં આમંત્રણથી કૌરવ પાંડવોના ગુરુ બન્યા. તેમની પાસે આદિવાસી રાજા હિરણ્યધનુનો પુત્ર પણ શીખવા માટે આવ્યો. મહાભારતકાલીન સમાજની વર્ણવ્યવસ્થાના ભેદભાવ દ્રોણનાં પણ લોહીમાં હતા. એટલે એમણે એકલવ્યને વિદ્યા આપવાનો ઇન્કાર કર્યો. ગુરુ વિશે પરંપરાગત આદરના ખ્યાલથી બંધાયેલા વનવાસી વ્યાધપુત્રે ગુરુદ્રોણની મૂર્તિ બનાવીને ધર્નુર્વિદ્યાની સાધના કરી. તેની નિપુણતા જ્યારે દ્રોણે ખુદ જોઈ ત્યારે તેમણે એકલવ્યનો અંગૂઠો ગુરુદક્ષિણા તરીકે માગ્યો (અત્યારના ગુરુઓ તેમની ભૂરકીમાં આવેલી સ્ત્રીઓ પાસેથી તેનો દેહ માગે છે!).

એમને હતું કે નીચી ગણાતી કોમના વિદ્યાર્થી થકી રાજપુત્ર વિદ્યાર્થી અર્જુનનો ઇજારો તૂટવો ન જોઈએ. રાજપુત્રોને યુદ્ધવિદ્યા શીખવતી વખતે દ્રોણનો એક આશય તેને અપમાનિત કરનાર જૂના દુશ્મન દ્રુપદ રાજા પર પોતાના શિષ્યો થકી વેર વાળવાનો પણ હતો. જો કે મહાભયંકર યુદ્ધ દરમિયાન આવેલો દ્રોણનો જે કરુણ અંત આવ્યો એમાં તેમના જ શિષ્યોએ ખેલેલાં કાવતરાંનો પણ ફાળો હતો. તેની પણ એક વક્રતાભરી કથા છે. હિન્દી નાટ્યકાર શંકર શેષે ‘એક ઔર દ્રોણાચાર્ય’ નાટકમાં દ્રોણને ‘રાજકીય અન્નની દાસ્યતા’ સ્વીકારનારા તેમ જ વિદ્યાર્થીઓને ‘યુદ્ધનો ઉન્માદ આપનારા’  શિક્ષક તરીકે નિરૂપ્યાં છે. નાટકના અંત ભાગમાં દ્રોણાચાર્યને યુદ્ધના ભણકારા થાય છે, નજર સામે પોતાના જ વિદ્યાર્થીઓની લાશો આવે છે. આવો ઉદ્વેગ દ્રોણને ધૂમકેતુના ‘એકલવ્ય’ નાટકમાં લોહી નીગળતો અંગૂઠો મળે  છે તે ઘડીથી જ થવા લાગે છે.

આવી સાહિત્યકૃતિઓમાં ભલે દ્રોણને અપરાધબોધી બતાવ્યો હોય, આપણા સમાજના એક હિસ્સાને આવું કશું નથી. ભારત સરકાર હજુ પણ રમતગમતમાં ઉત્તમ કોચને 1985 થી ‘દ્રોણાચાર્ય સન્માન’ આપે છે. હરયાણાના ‘ગુડગાવ’, એટલે કે ‘ગોળનું ગામ’, એવાં બિલકુલ સ્થાનિક બોલીમાંથી આવેલાં સરસ મજાનાં નામને બદલીને, ગુરુગ્રામ બનાવે છે. તેના માટે વળી પુરાણોનો હવાલો આપે છે. દલિત વિષયના અભ્યાસી ગેઇલ ઑમવેટ, નબળા જૂથોને પદ્ધતિસર વંચિત રાખવાની યંત્રણા પાછળની માનસિકતા માટે મીરા કુમારે પ્રયોજેલો ‘દ્રોણાચાર્ય માઇન્ડ-સેટ’ શબ્દપ્રયોગ ટાંકે છે. જો કે જૂનાગઢમાં 1939થી વીસેક વર્ષ કન્યાકેળવણીનું પાયાનું કામ કરનાર સરસ્વતી સમાં શિક્ષિકા સરલાતાઈ જોશી એક નોંધપાત્ર વાત કરતાં: ‘આધુનિક સમયમાં શિક્ષકનું કામ એકલવ્યોને અંગૂઠા પાછા આપવાનું છે.’

એકલવ્યની વાત ફરીથી ક્યારેક. 

**********

26 જુલાઈ 2018

સૌજન્ય ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 27 જુલાઈ 2018

Loading

એક દેશ અનેક ચહેરા: મજાનો આપણો દેશ છે. વિવિધતા અને વિરોધાભાસોથી યુક્ત અને સાંકડી સંકુચિતતાથી મુક્ત. આ દેશને બચાવવાનો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 July 2018

આ એવો દેશ છે જ્યાં માતૃભાષા નહીં જાણનાર માણસ રાજ્યનો મુખ્ય પ્રધાન થઈ શકે છે અને એ પણ ત્રણ ત્રણ મુદ્દત માટે. ૨૦૦૦ની સાલમાં નવીન પટનાયક ઓડિશાના મુખ્ય પ્રધાન બન્યા હતા અને આજે અઢાર વરસથી રાજ કરી રહ્યા છે. કદાચ આવતા વરસે યોજાનારી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરી જીતશે એમ માનવામાં આવે છે. તેમને તેમની માતૃભાષા ઉડિયા વાંચતા કે લખતા આવડતી નથી અને માંડ ભાંગીતૂટી ભાષા બોલે છે, પરંતુ તેનાથી ઓડિશાની પ્રજાને કોઈ ફરક પડતો નથી.

બીજી બાજુ આ એવો દેશ છે જ્યાં ઇસ્લામને અને મુસ્લિમ રાષ્ટ્રીયતાને બચાવવા માટે દેશનું વિભાજન થઈ શકે છે, પરંતુ પાછું એ જ નવા સ્થપાયેલા ઇસ્લામિક દેશનું ભાષાના નામે વિભાજન પણ થઈ શકે. પાકિસ્તાન તેના અસ્તિત્વના ૨૫ વરસ પૂરાં કરે એ પહેલાં પશ્ચિમ પાકિસ્તાનના (હાલનું બંગલાદેશ) બંગાળી મુસલમાનોએ પોતાની માતૃભાષા બચાવવા પાકિસ્તાન સાથે છેડો ફાડ્યો હતો. ૧૯૪૭માં ઇસ્લામ બચાવવા પાકિસ્તાન બન્યું અને ૧૦૭૧માં બંગાળી ભાષા બચાવવા પાકિસ્તાન તૂટ્યું.

મહારાષ્ટ્ર ભાષાની બાબતમાં અત્યંત સંવેદનશીલ રાજ્ય છે. મહારાષ્ટ્રની સ્થાપનાનું આખું આંદોલન સંયુક્ત મહારાષ્ટ્રના નામે થયું હતું અને હજુ પણ સંયુક્ત મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના રાજકારણનો ધ્રુવમંત્ર છે. આખા જગતમાં જો કોઈ નાદાર, ભ્રષ્ટ અને ફૂવડ મહાનગરપાલિકા હોય તો એ મુંબઈની છે પણ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવામાં આવશે એવો ડર બતાવીને શિવસેના મુંબઈ પર રાજ કરે છે. જે શાસકોને પહેલી તકે રવાના કરવા જોઈએ એ દાયકાઓથી મુંબઈમાં રાજ કરે છે અને ખિસ્સા ભરે છે. મહાનગરપાલિકાની દરેક ચૂંટણી વખતે મરાઠીઓ રોજેરોજની હેરાનગતિ ભૂલી જઇને સંયુક્ત મહારાષ્ટ્રને બચાવવા થોકમાં સેનાને મત આપે છે. આ ઉપરાંત સીમા સમિતિનો અહેવાલ મહારષ્ટ્રની વિરુદ્ધ ગયો હોવા છતાં મરાઠીઓ બેળગાંવનો ચીપિયો છોડતા નથી.

મહારાષ્ટ્ર આમ પણ ઘણું મોટું રાજ્ય છે જેનું વહીવટી સુગમતા માટે વિભાજન થવું જોઈએ. મહારાષ્ટ્રમાં છેક પૂર્વના છેડે આવેલા ડોંગરગઢના જંગલમાં રહેતા લોકોએ સરકારી કામકાજ માટે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ આવવું હોય તો ૨૦ કલાકનો પ્રવાસ કરવો પડે છે. એવી તે કેવી અસ્મિતા જે લોકોને હેરાન કરે અને લોકો સુધી સરખી રીતે શાસન પહોંચે પણ નહીં. પણ મરાઠીઓ ખુશ છે. સંયુક્ત મહારાષ્ટ્ર તેમના માટે નશો છે અને જે ખૂટે છે એ બેળગાંવ ખૂટે છે. મહારાષ્ટ્રના વક્તાઓ ભાષણ પૂરું કરીને જય મહારાષ્ટ્ર બોલવાનું ચૂકતા નથી.

બીજી બાજુ ઉત્તર પ્રદેશ છે જ્યાંના નેતાઓ સામેથી માગણી કરે છે કે ઉત્તર પ્રદેશ ઘણું મોટું રાજ્ય છે એટલે તેનું વિભાજન કરવામાં આવે. વહીવટી સુગમતા માટે આ જરૂરી છે. એક વાર ઉત્તર પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું છે અને છતાં માયાવતી અને અજીત સિંહ આગ્રહપૂર્વક કહે છે કે ઉત્તર પ્રદેશના હજી ચાર ભાગ કરવામાં આવે. સમાજવાદી પક્ષ વિભાજનની માંગણી કરતો નથી તો તેનો વિરોધ પણ કરતો નથી.

તમને ખબર છે ઉત્તર પ્રદેશના ચોથા મુખ્ય પ્રધાન કોણ હતાં? સુચેતા કૃપલાની. તેઓ બંગાળી હતાં, જન્મ અને ઉછેર પંજાબમાં થયો હતો અને પોતાનાથી ૨૮ વરસ મોટા એક સિંધીને પરણ્યા હતાં. જી હાં, આચાર્ય જીવતરામ બી. કૃપલાની. ૨૮ વરસની ઉમંરના ફરકને જોઇને ગાંધીજીએ લગ્નનો વિરોધ કર્યો હતો અને કજોડું કહ્યાં હતાં. બન્ને ગાંધીજીનાં નજીકના અનુયાયી હતાં અને તે છતાં આચાર્ય કૃપલાની અને સુચેતા મઝુમદારે લગ્ન કર્યાં હતા અને ગાંધીજીને આશીર્વાદ આપવા મજબૂર કર્યા હતા. ઉત્તર પ્રદેશની પ્રજાને આપણે ગુજરાતીઓ ઓછી સંસ્કારી પ્રજા તરીકે જોઈએ છીએ; પરંતુ ઉત્તર પ્રદેશના લોકોએ બહારના, સામાજિક વિદ્રોહ કરનારા, એક મહિલાને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારી લીધા અને એ પણ ૧૯૬૦ના દાયકામાં જ્યારે ઉત્તર પ્રદેશની ૮૦ ટકા પ્રજા અશિક્ષિત હતી. સુચેતા કૃપલાની ભારતના પહેલાં મહિલા મુખ્ય પ્રધાન હોવાનું માન ધરાવે છે અને તેમને એ માન ઉત્તર પ્રદેશની એ સમયની અશિક્ષિત પ્રજાએ આપ્યું હતું.

મહારાષ્ટ્રમાં શરદ પવાર છે જેઓ બીજી અનેકરીતે વિખ્યાત અને કુખ્યાત છે, પરંતુ તેઓ નાસ્તિક છે. શરદ પવાર મૂળ તો રાષ્ટ્ર સેવા દળના કાર્યકર્તા એટલે પ્રગતિશીલ વિચારો તેમને ગળથુથીમાં મળેલા. મુસ્લિમ સત્યશોધક મંડળના સ્થાપક હમીદ દલવાઈ તેમના મિત્ર અને આંદોલનના સાથી હતા. દલવાઈ મુસલમાનોમાં સામાજિક સુધારાઓનો આગ્રહ રાખતા હતા અને મુખરપણે પોતાના વિચારો પ્રગટ કરતા હતા. તેમના વિચારો અને આંદોલન સામે મહારાષ્ટ્રમાં રૂઢિચુસ્ત મુસલમાનોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. ૧૯૭૭માં હમીદ દલવાઈનું કિડની બગડી જતાં અવસાન થયું ત્યારે તેમની અંતિમવિધિ વિષે વિવાદ થયો હતો. રૂઢિચુસ્ત મુસલમાનો વિરોધ કરતા હતા. શરદ પવાર એ સમયે મહારાષ્ટ્રની કેબિનેટમાં પ્રધાન હતા. તેઓ હમીદ દલવાઇના શબને જસલોક હોસ્પિટલમાંથી પોતાના સત્તાવાર નિવાસસ્થાને લઈ આવ્યા હતા અને હમીદની અંતિમક્રિયા કરી હતી.

એ સમયે તેમણે હિન્દુત્વવાદી હિંદુઓનો કે ઇસ્લામવાદી મુસલમાનોનો ભય નહોતો અનુભવ્યો. શરદ પવાર મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ ક્યારે ય અષાઢી એકાદશીએ પંઢરપુર વિઠોબાની પૂજા કરવા નથી ગયા, જે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનો માટે અનિવાર્ય ગણાય છે, જાણે કે કેમ વિઠ્ઠલ મહારાષ્ટ્રના સત્તાવાર ભગવાન હોય. શરદ પવારને તમે ક્યારે ય કોઈ ગુરુના દરબારમાં નહીં જોયા હોય. આમ છતાં ય દરેક અર્થમાં રેશનલિસ્ટ શરદ પવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે.

આ દેશમાં તમિલો સૌથી ધાર્મિક પ્રજા છે, પરંતુ તામિલનાડુમાં જાહેરમાં પોતાને નાસ્તિક તરીકે ઓળખાવનારા એમ. કરુણાનિધિ ૧૯૬૯થી લઈને અત્યાર સુધીમાં પાંચ વખત મુખ્ય પ્રધાન બની ચૂક્યા છે. એ પહેલાં અન્નાદુરાઈ મુખ્ય પ્રધાન હતા અને તેઓ પણ નાસ્તિક હતા. તેમના ગુરુ રામસ્વામી પેરિયાર નાસ્તિક હતા અને ખરું પૂછો તો આખું દ્રવિડ આંદોલન નાસ્તિક હતું. તમિલો સવારે પૂજા કરે અને પછી પોતાના નાસ્તિક નેતાની ભક્તિમાં કુરબાન પણ થઈ જાય. આ માણસ મદ્રાસી લાગે છે એમ કવિ સિતાંશુ યશશ્ચન્દ્રની ભાષામાં આપણે કહી શકીએ.

તો આવો આપણો મજાનો દેશ છે. વિવિધતા અને વિરોધાભાસોથી યુક્ત અને સાંકડી સંકુચિતતાથી મુક્ત. આ દેશને બચાવવાનો છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 27 જુલાઈ 2018

Loading

...102030...3,0473,0483,0493,050...3,0603,0703,080...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved