Opinion Magazine
Number of visits: 9580363
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યાદ રહે કે કુદરતી બજાર જેવી જગ્યા અને ફેરિયાઓને રક્ષણ આપતો કાયદો આ દેશમાં છે

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|10 August 2018

સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટ 2014માં સરકારની ફેરિયાઓ તરફની જવાબદારી, ફેરિયાઓના પ્રકાર, હક, ફરજ, પુનર્વસન અંગે વંચિત-તરફી અભિગમ જોવા મળે છે. સરકારો તેનું શું કરે છે ?

અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન અને પોલીસ ખાતાએ ચલાવેલી શહેર સુધારાની ઝુંબેશથી રોજનું કમાઈને રોજનું ખાનારા લારી-ગલ્લાવાળા અને પાથરણાંવાળાની પથારી ફરી ગઈ છે. તો બીજી તરફ – નોટિસો ફટકારવી, સીલ મારવાં, દંડ ઉઘરાવવા, દબાણો હઠાવવાં જેવાં  પગલાંની શહેરીઓને છક કરતી છબિઓ, બહાદુરીભર્યાં ભાસતાં બયાનો અને આનંદ આપતા આંકડાથી છાપાં છલકાય છે. અદાલતની અંદરની સુનાવણીઓના અહેવાલો અને અધિકારીઓની મુલાકાતો મુગ્ધતાપૂર્વક વંચાય છે. ખુલ્લા રસ્તા પરથી સડસડાટ દોડી રહેલી મોટરોમાં બેસીને શહેરી વિકાસનાં ફળ ચખાય છે. પૉઝિટિવિટીથી ઊભરાતાં આવા માહોલની વચ્ચે પેલા હજ્જારો ફેરિયા, લારી-ગલ્લા અને પાથરણાંવાળાની હાલત તો લગભગ ભૂલાઈ જ ગઈ છે. આ મહેનતકશોની જિકર લગભગ પહેલી વખત, આખી ય ઝુંબેશના આશરે સવા મહિના પછી, હમણાં મંગળવારે થઈ. તેમના સંગઠને, આ ઝુંબેશને કારણે ઊભી થયેલી બેરોજગારી અંગે રજૂઆત કરી. તેને પગલે અદાલતે સરકારને એવી ટકોર કરી કે એમને અન્યાય કે નુકસાન ન થાય એ જરૂરી છે. એટલે એમની પાસેથી ટોકન રકમ લઈને કાયદેસર જગ્યા ફાળવીને વેચાણનો સમય નક્કી કરવો જોઈએ.

ગુજરાતની વડી અદાલતે બતાવેલું આવું ન્યાયપૂર્ણ વલણ સર્વોચ્ચ અદાલતે છેક 1985 માં અપનાવ્યું હતું. તેણે મુંબઈ ફેરિયા સંગઠન વિરુદ્ધ મુંબઈ કૉર્પોરેશનની સુનાવણીમાં કહ્યું  હતું કે દરેક શહેરે ફેરિયા માટેના અને એમના માટે પ્રતિબંધિત એવા વિસ્તારો જાહેર કરવા જોઈએ જેથી ફેરિયાઓ પોતાનું કામ નિર્વિઘ્ને કરી શકે. બે વર્ષ બાદ સર્વોચ્ચ અદાલતના સૌદાનસિંહ વિરુદ્ધ નવી દિલ્હી મ્યુિનસિપલ કૉર્પોરેશનના મુકદ્દમાના ચૂકાદા મુજબ ફેરિયાઓનો વેપાર એમનો બંધારણીય અધિકાર છે. એ ચૂકાદામાં આ પણ નોંધવામાં આવ્યું છે: ‘રસ્તા કે શેરીઓ માત્ર આવનજાવન માટે છે એવી રજૂઆતને આધારે ફેરિયાઓને વેપાર ધંધો કરવાનો અધિકાર, બંધારણની કલમ 19(1)જી અનુસાર નકારી ન શકાય. યોગ્ય રીતે નિયમન કરવામાં આવે તો પરિસ્થિતિની માંગ મુજબ ફૂટપાથ પરના નાના વેપારીઓ સામાન્ય પ્રજા માટે સગવડરૂપ છે. રોજબરોજની જરૂરિયાતો તેઓ પ્રમાણમાં ઓછી કિંમતે વેચે છે.’ આ ચૂકાદા ઉપરાંત, ફેરિયાઓની રોજીરોટીના રક્ષણ માટે ભારતમાં એક આખો કાયદો છે. તેને સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઑફ લાઇવલિહૂડ ઍન્ડ રેગ્યુલેશન ઑફ સ્ટ્રીટ વેન્ડિંગ) ઍક્ટ, 2014 અને હિન્દીમાં પથ વિક્રેતા (જીવિકા સુરક્ષા એવમ્‌ પથ વિક્રય વિનિયમન) અધિનિયમ 2014, તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં લેવાયેલાં કેટલાંક અગત્યનાં પ્રગતિશીલ પગલાંમાં આ એક છે.

સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટમાં પાયાની વાત એ છે કે તે ફેરિયાઓના રોજીરોટી મેળવવાના અધિકારને સ્વીકારે છે અને તેને રક્ષણ આપવું એ સરકારની કાનૂની ફરજ ગણાવે છે. તે મુજબ શાસકોએ ટાઉનવેન્ડિન્ગ કમિટી એટલે કે નગરના ફેરિયાઓ માટેની સમિતી બનાવવાની છે જેના ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ હોવી જરૂરી છે. આ કમિટીએ દર પાંચ વર્ષે ઓછામાં ઓછી એક વખત શહેરના ફેરિયાઓનો સર્વે કરવાનો છે. સર્વેમાં આવતા બધા ફેરિયાઓને સરકારે નક્કી કરેલા વેન્ડિન્ગ ઝોનમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, મહિલાઓ, વિકલાંગો, અશક્ત વ્યક્તિઓ, લઘુમતીઓને પહેલી પસંદગી આપીને સમાવવાનાં છે. વેન્ડર્સ પાસેથી નિયત શુલ્ક અને જાળવણી ખર્ચ લેવાનું છે. જેમને તેમના પોતાના ઝોનમાં જગ્યા ન મળે તેમને અન્ય ઝોનમાં સમાવવાના છે. જ્યાં સુધી સર્વે પૂરો ન થાય અને પ્રમાણપત્રો ન અપાય ત્યાં સુધી કોઈ ફેરિયાને તેની જગ્યા ખાલી કરાવવાની નથી. પોલીસે કે અન્ય કોઈએ અધિકૃત ફેરિયાને વેપાર કરતાં રોકવાનો નથી. કોઈ પણ ફેરિયાને જગ્યા ખાલી કરાવતાં પહેલાં ત્રીસ દિવસની નોટિસ આપવાની છે. જો તેનો માલ જપ્ત કરવામાં આવે તો તેની અધિકૃત યાદીની નકલ તેને આપવાની છે. તદુપરાંત નિયત દંડ આકારીને વધુમાં વધુ ત્રણ દિવસમાં તે માલ પરત કરવાનો રહે છે.

ફેરિયાઓએ પણ અનેક શરતો અને નિયમોનું પાલન કરવાનું રહે છે. તેમાં તેણે બાંહેધરી આપવાની છે કે ફેરિયા તરીકેના કામ ઉપરાંત તેની પાસે આવકનું બીજુ કોઈ સાધન નથી. તેણે ફેરિયાઓ માટેના પ્રતિબંધિત વિસ્તારમાં વેપાર કરવાનો નથી. તેના વિસ્તારમાં તેણે સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવાની છે. નિયમો તોડનાર કે ગેરરીતિ કરનાર ફેરિયા સામે, તેની રજૂઆત પછી જ, પગલાં લેવાની જોગવાઈ પણ આ કાયદામાં છે. સરકાર ફેરિયાઓ માટે ધીરાણ, વીમો, શિક્ષણ તાલીમ અને વિકાસ કાર્યક્રમોનું આયોજન કરે તે અપેક્ષિત છે. કમનસીબે સરકારો એમનો વિનાશ કરે છે, કોઈના કહેવાતા વિકાસ માટે ! સ્ટ્રીટ વેન્ડર્સને ખસેડવાનું બને ત્યાં સુધી ટાળવાની ભલામણ પણ આ  કાયદાના સેકન્ડ શિડ્યુલમાં કરવામાં આવી છે. વળી, જો અનિવાર્ય સંજોગોમાં એ કરવું જ પડે એમ હોય તો તેના માટે ખૂબ માનવતાભર્યાં, ન્યાયપૂર્ણ અને લોકતરફી સૂચનો કરવામાં આવ્યાં છે.

વેન્ડર્સ ઍક્ટના અમલીકરણનો એક ખૂબ મહત્ત્વનો અભ્યાસ દિલ્હીના સેન્ટર ફૉર સિવિલ સોસાયટીએ ગયાં વર્ષે બહાર પાડ્યો છે. તે જણાવે છે કે લગભગ બધી જ રાજ્ય સરકારોએ  અમલીકરણમાં બેપરવાઈ અને નિષ્ક્રિયતા દાખવી છે. વળી, તેમાં ન્યાયતંત્રનાં  ઢીલાં વલણનો  ઉમેરો થતાં, ફેરિયાઓ વધુ અસલામત બન્યા છે એવું પણ નોંધવામાં આવ્યું છે. ઇલાબહેન ભટ્ટે લખેલાં ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં !’ પુસ્તકમાં શ્રમજીવીઓનાં અર્થતંત્રની મહત્તા વાચકના મનમાં ઉજાસ ફેલાવે છે.

વેન્ડર્સ ઍક્ટમાં ‘નૅચરલ માર્કેટ’ શબ્દપ્રયોગ અનેક વાર કરવામાં આવ્યો છે. તેની વ્યાખ્યા ‘ઉત્પાદનોનાં ખરીદ-વેચાણ માટે જ્યાં લોકો પરંપરાગત રીતે વર્ષોથી એકઠા થતા હોય તેવાં બજારો’ એમ કરવામાં આવી છે. રસ્તા પર ફરતા કે  બેસતા વેપારીઓની બનેલી  આ બજારો એ દેશ અને દુનિયાભરનાં બહુ જ મોટાં અનૌપચારિક અર્થતંત્રનો મહત્ત્વનો હિસ્સો છે. છતાં ય શાસકોની નજરે તે મોટેભાગે નડતરરૂપ, પછાત અને બિનશોભાસ્પદ હોય છે. પરંપરાગત બજારના વિક્રેતાઓની જિંદગી કષ્ટભરી હોય છે. પણ તેમની પાસેથી લોકોને રહેઠાણની નજીકમાં વ્યાજબી ભાવે તાજાં શાકભાજી અને અન્ય સંખ્યાબંધ વસ્તુઓ મળે છે. આપણા લોકોને ચમકદાર કારમાંથી ફૂટપાથ પર ભાવ કરાવીને વસ્તુઓ લેવી છે, પાર્કિંગ કે સ્વચ્છતાના નિયમો પાળ્યા વિના લૉ ગાર્ડનની વાનગીઓ ખાવી છે. પણ જ્યારે આવી જગ્યાના આપણા બાંધવો પર બુલડોઝર ફરી વળે છે ત્યારે આપણામાંથી એક વર્ગને તેમાં કાયદાપાલન અને કાર્યક્ષમતા દેખાય છે.

અલબત્ત, કૉર્પોરેશનની ઝુંબેશ પૂરેપૂરી લોકવિરોધી છે એમ કહેવાનો અહીં આશય નથી. પણ અદાલતે સત્તાવાળાને જે કંઈ આદેશો આપ્યા તેના અખબારી અહેવાલો ધ્યાનથી વાંચતા એક બાબત ધ્યાનમાં આવે છે. અદાલતે દબાણો હઠાવવાનું કહ્યું જ છે પણ લારી-ગલ્લા છિનવીને રોજી આંચકી લો એમ નથી કહ્યું. અદાલતના આદેશોના અખબારી અહેવાલોમાં અધિકારીઓની અકાર્યક્ષમતા અને બેદરકારી, પાર્કિંગ નહીં પૂરાં પાડવામાં બિલ્ડરોની દાંડાઈ, રોડ કૉન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર અને રખડતાં ઢોરોના ત્રાસ અંગે ઘણાં ઉલ્લેખો-આદેશો છે. લારી-ગલ્લા કે ફેરિયા તેને અભિપ્રેત નથી એવું નથી. પણ કૉર્પોરેશને તો લારી-ગલ્લા-પાથરણાંવાળાને, ઝુંબેશનું એક ખાસ  નિશાન બનાવી દીધું છે. જાણીતા લોકગીત ‘મેંદી લેશું મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ’માં સાસુના ત્રાસથી ઓણનું ચોણ વેતરનારી વહુ કહે છે :

‘મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મ્યેલ
મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય ….’  

********

9 ઑગસ્ટ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 0 ઑગસ્ટ 2018 

Loading

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|9 August 2018

હૈયાને દરબાર

મોર બની થનગાટ કરે…ની ગીતકથા અને મેઘાણીને અગાઉની કોલમમાં યાદ કર્યા પછી, મન જઈ પહોંચ્યું છે હવે મારા સ્કૂલ જીવન સુધી.

મેઘાણીની મોહિનીમાંથી મુક્ત થવું આસાન નથી. મેઘાણીની કેવી ઊંડી અસર શાળાજીવનથી હતી એ પ્રસંગની વાત કરવી છે. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈ શેઠે એમનાં માતાનાં સ્મરણાર્થે શાળા સ્થાપી, જેનું નામ મોહિનાબા કન્યા વિદ્યાલય. અમદાવાદની ચાર-પાંચ અતિ પ્રતિષ્ઠિત સ્કૂલોમાં એનું નામ આવે. સી.એન. વિદ્યાલય અને મોહિનાબામાં ૧૩ વર્ષની ઉંમરે આઠમા ધોરણના એડમિશન માટે અમે ફોર્મ ભર્યાં હતાં, જેમાં ઍડમિશન મળ્યાનો પહેલો પત્ર મોહિનાબામાંથી આવ્યો. કવિ સ્નેહરશ્મિ જે સ્કૂલના આચાર્યપદે હતા એ સી.એન. વિદ્યાલયમાં દાખલ થવાનાં ઓરતાં ઘણાં હતાં, પણ પહેલો પત્ર મોહિનાબામાંથી આવ્યો, એટલે મમ્મી ત્યાં લઇ ગઈ. એ સ્કૂલ વિશે ખાસ જાણકારી નહીં એટલે મોઢું વકાસીને ચૂપચાપ મા સાથે પ્રવેશની ઔપચારિકતા પતાવવા સ્કૂલમાં ગઈ. આ સ્કૂલ આશ્રમ રોડના સાબરમતીના પટ પર હતી એટલી જ માત્ર ખબર.

સ્કૂલના મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ કોઈક અજબ પ્રકારની તાજગી ઘેરી વળી. શાળાના મકાન સુધી પહોંચતાં પહેલાં પાંચેક મિનિટનો રસ્તો વટાવવાનો આવે. એ રસ્તાની બન્ને બાજુ આસોપાલવની હારમાળા. ચોગાનમાં આવેલાં ઘટાટોપ વૃક્ષોમાંથી ચળાઈને આવતો મંદ મંદ પવન અને નદીનું મોહક સૌંદર્ય આ સ્કૂલના પહેલી નજરના પ્રેમમાં પડી જવા માટે પૂરતાં હતાં.

આ વાત આજે એટલા માટે કરવી છે કે ઘર અને સ્કૂલનું વાતાવરણ સંતાનોને સાહિત્ય-સંગીતમાં રસ લેતાં કરવામાં કેટલાં ઉપયોગી છે. એટલું જ નહીં, આજે ‘ઓગસ્ટ ક્રાંતિ દિન’ છે, ત્યારે મેઘાણીનાં એવાં ગીત યાદ કરવાં છે, જે સાંભળીને આપણાં રૂંવાડાં ખડાં થઈ જાય. એમાં ય સ્કૂલમાં શીખેલા મેઘાણીના એક ગીતે મારામાં સંગીતનાં બીજ રોપ્યાં હતાં એ સંદર્ભે સ્કૂલની વાત કરવી જરૂરી છે.

અમારી શાળાનું મકાન સ્થાપત્યનો અદ્ભુત નમૂનો. આજ દિન સુધી શાળાનું આવું સુંદર મકાન મેં જોયું નથી. મોહિનાબા સ્કૂલમાં મેં પ્રવેશ મેળવી લીધો. આચાર્ય દોલતભાઈ દેસાઈ મુંબઈની ન્યુ એરા સ્કૂલમાંથી આવ્યા હતા, એટલે એમણે અમારી આ સ્કૂલમાં ન્યુ એરા મોડલ જ અપનાવ્યું હતું. ચોખ્ખીચણક સ્કૂલ. પગથિયું ચડતાંની સાથે ચપ્પલ કે શૂઝ હાથમાં લઈને સીધા ક્લાસની બાલ્કનીમાં મૂકવાનાં. દરેક વિશાળ ક્લાસરૂમ સાથે બાલ્કની હોય જ. પ્રવેશદ્વારમાં એક તરફ મા સરસ્વતી અને મધ્યમાં મોરનું કાષ્ઠશિલ્પ. એસેમ્બલીમાં દરરોજ સર્વધર્મ પ્રાર્થના થાય. શિક્ષકો પણ કેવા સજ્જ! સંસ્કૃત, ગુજરાતી, હિન્દીનાં શિક્ષકો આદરણીય દોલતભાઈ, ચારૂબહેન વૈદ્ય અને જયશ્રીબહેન મહેતાનો મારી સાહિત્ય-સંગીતરૂચિમાં ઊંડો પ્રભાવ. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અમારાં સાયન્સ ટિચર. ખૂબ કડક છતાં હંમેશાં વિદ્યાર્થિનીઓનાં હિતેચ્છુ. મિનાક્ષીબહેન, દિનેશ આચાર્ય, કુંજબાળાબહેન, ક્રિશ્નાબહેન પણ વિદ્યાર્થીઓમાં ખૂબ રસ લે.

નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓ માટે સત્રારંભે જ ટેલન્ટ હન્ટ કોમ્પિટિશન થાય. ફ્રી પિરિયડની અંતાક્ષરી દરમ્યાન ચારૂબહેને મારી કલારૂચિને પારખી લીધી અને ગીતસ્પર્ધા માટે મને ઝવેરચંદ મેઘાણીનું ગીત સૂના સમદરની પાળે … શિખવાડ્યું. શબ્દોના ઉચ્ચાર, કવિતાનો ભાવ એવા સરસ રીતે સમજાવ્યા હતા કે એ ગીત રજૂ કર્યું તો આખા એસેમ્બલી હોલમાં દરેકની આંખ ભીંજાઈ ગઈ હતી. કુંજબાળાબહેન સહિત કેટલાક તો ચોધાર આંસુએ રડ્યાં હતાં. બેશક, મેઘાણીના હૃદયદ્રાવક ગીતની જ એ કમાલ હતી. દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહ્યો છે. એની પાસે જ એક જીવિત સાથી ઊભો છે, મૃત્યુશૈયા પર સૂતેલો યુવાન છેલ્લો સંદેશ આપે છે :

સૂના સમદરની પાળે
          રે આઘા સમદરની પાળે,
                       ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે
                                                              સૂના સમદરની પાળે.
નો’તી એની પાસે કો માડી,
          રે નો’તી એની પાસે કો બે’ની:
                      વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે
                                                                  સૂના સમદરની પાળે.
વેગે એનાં લોહી વ્હેતાં’તાં
        રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં,
                     બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે
                                                                  સાથી સમદરની પાળે.
વીરા ! મારો દેશડો દૂરે,
           રે વીરા! મારું ગામડું દૂરે,
                        વા’લીડાં દેશવાસીને સોંપજે, મોંઘી તેગ આ મારી રે
                                                                 સૂના સમદરની પાળે.

http://www.jhaverchandmeghani.com/voice/PD-soonasamadar.mp3

જાહેરમાં ગાયેલું ઝવેરચંદ મેઘાણીનું આ પહેલવહેલું ગીત મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયું. ચારૂબહેનના કહેવાથી જ મેં સંગીતની પદ્ધતિસરની તાલીમ શરૂ કરી અને એ પછી તો અનેક ગુરુઓના આશીર્વાદ વરસતા રહ્યા છે, આજ સુધી. ગુરુપૂર્ણિમા તાજેતરમાં જ ઉજવાઈ અને ઑગસ્ટ મહિનો આપણે માટે ત્રણ રીતે અગત્યનો છે. નવમી ઑગસ્ટે ક્રાંતિ દિન છે, પંદરમીએ સ્વાતંત્ર્ય દિવસ અને અઠ્યાવીસ ઑગસ્ટ મહાન લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન. આ બધી જ ઘટનાઓને સાંકળી લઈને આ લેખ આપણા સૌના જીવનમાં જેઓ જે કંઈ પણ આપણને શીખવી ગયા એ તમામ ગુરુઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત છે.

મહાત્મા ગાંધી બીજી ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા તેના એક કલાક પહેલાં જ મેઘાણીએ ‘છેલ્લો કટોરો’ કાવ્ય રચી, દોડીને ગાંધીજીને આપ્યું. પાછળથી ગાંધીજીએ વાંચ્યું અને નોંધ્યું કે: આ કવિતા તો મારા મનનાં જ વિચારો છે, તે મારા હૃદયસોંસરવી ઊતરી ગઈ છે. ત્યાર બાદ તરત જ ગાંધીજીએ એમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરૂદ આપી દીધું. ગાંધીજીના રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા અને અભણ – એ બેને સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર. એ બે વચ્ચેની દીવાલ, મેઘાણીની ભાષામાં કહીએ તો :

હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી
મનડાની આખરી ઉમેદ

વર્ગભેદ, જાતિભેદની જે ખોટી દીવાલ ઊભી હતી, તે દીવાલ એમને તોડી નાખવી હતી. તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી … જેવાં ગીતો દ્વારા દેશભરમાં મેઘાણીએ ગાંધીજીના આદર્શોની અખંડિતતા રજૂ કરી છે. મારાં માતા-પિતાને મેં કોઈનો લાડકવાયો એટલે કે રક્ત ટપકતી સો સો ઝોળી તથા પરદેશી ભૂખ્યા ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં જેવાં ગીતો બહુ ગર્વભેર ગાતાં સાંભળ્યાં છે. ‘મુંબઈ સમાચાર’ના વરિષ્ઠ વાચકોએ પણ આ ગીતો ગાયાં જ હશે.

દેશભક્તિનો આ જ સમૃદ્ધ વારસો આપણે સંગીત-સાહિત્ય અને નાગરિક ધર્મ દ્વારા આપણાં સંતાનોને આપી જવાનો છે. મહાત્મા ગાંધી કે મેઘાણીની કલમ દરેક યુગમાં પ્રસ્તુત બની શકે એવી અમર છે. સરદાર પટેલે તો મેઘાણીને ભારતની સ્વતંત્રતાના યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક ગણાવ્યા હતા. તેમની વાણીમાં વીરતા હતી અને સરહદના જવાનોની વીરગાથા એ વખતે એમનાં કેટલાંય ગીતોમાં પ્રગટી હતી. યોગાનુયોગે આજે ‘ભારત છોડો’ (ક્વિટ ઈન્ડિયા) અથવા ક્રાંતિ દિન છે. રક્ત ટપકતી સો સો ઝોળીથી વધુ ઉત્તમ કોઈ ગીત આજે હોઈ ન શકે. Marie R. de la Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. મારી રેવનલ ડી લાકોસ્ટે અમેરિકન કવયિત્રી, નર્સ અને ફ્રેન્ચ ટિચર હતાં. ‘સમબડી’ઝ ડાર્લિંગ’ કવિતાથી પ્રખ્યાત એ થયાં હતાં. ૧૮૬૪માં પ્રગટ થયેલું આ હૃદયદ્રાવક કાવ્ય યુદ્ધનો અસલી ચહેરો છે. અમેરિકન આંતરિક વિગ્રહ (સિવિલ વોર) દરમ્યાન લખાયેલા આ કાવ્યને મેઘાણીએ એટલું પોતીકું બનાવીને અનુવાદિત કર્યું છે કે કોઈને અણસાર સુધ્ધાં ન આવે કે રક્ત ટપકતી … ગીત પરભાષાનું છે.

કોઈનો લાડકવાયો ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે, તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમ જ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે. શહીદો-ક્રાંતિવીરોની દેશસેવા અને સમર્પણને યાદ કરીને નતમસ્તકે એમને વંદન કરી આ ગીત આજે જરૂર ગાજો અથવા સાંભળજો. મેઘાણીના હજુ એક લાજવાબ ગીતની કથા આવતા અંકે.

——————————

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,

મુખથી ખમા ખમા કરતી
માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને:

નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો:

અણપૂછયો અણપ્રીછેલો
કોઈનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી,
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવી:

કોઇના લાડકવાયાની
ન કોઈએ ખબર પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી  લટો  સુંવાળી  સૂતી,
સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી:

કોઈના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃિતનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

આતમ-દીપક ઓલાયા
ઓષ્ઠનાં ગુલાબ કરમાયાં.

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજો:

પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ઠ-કપોલે-ભાલે  ધરજો ચુંબન ધીરે:

સહુ માતા ને ભગિની રે!
ગોદ  લેજો  ધીરે  ધીરે!

વાંકડિયાં એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા:

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,

ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરંતા,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા:

વસમાં વળામણાં દેતાં,
બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રુધિર-છલક્તી ગજ ગજ પહોળી છાતી,

અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી.

એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે:

કોઈના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહીં
કોઈના લાડકવાયાની.’

કવિ : ઝવેરચંદ મેઘાણી [‘યુગવંદના’ મુજબનો સમૂળો પાઠ]

http://www.jhaverchandmeghani.com/voice/IS-laadakavaayo.mp3

http://www.jhaverchandmeghani.com/voice/PD-laadakavaayo.mp3

ઝવેરચંદ મેઘાણીને નામે ચાલક વેબસાઈટ પરેથી સ-આભાર આગવાયેલાં ગીતોની કડી લીધી છે. પહેલી કડીમાં મેઘાણીનાં પુત્રી, ઇન્દુબહેન શાહનો અવાજ છે. જ્યારે બીજીમાં પ્રફુલ્લભાઈ દવેનો કંઠ છે.

—————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 અૉગસ્ટ 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=436147

Loading

મુથુવેલ કરુણાનિધિ (૧૯૨૪-૧૯૧૮) : એક અનોખા રાજકારણી

રમેશ ઓઝા|Opinion - Opinion|9 August 2018

ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃિતક રીતે પોતાના પ્રાંતને અને પ્રજાને તસુએ તસુ ઓળખનારા નેતાઓ આ દેશને મળતા રહ્યા છે. પ્રકાશ સિંહ બાદલ, ભૈરોસિંહ શેખાવત, દ્વારકા પ્રસાદ મિશ્ર, બિજુ પટનાયક, લાલુ પ્રસાદ યાદવ, શરદ પવાર વગેરે આવા નેતાઓ હતા અને છે.

શરદ પવાર વિષે એક કિસ્સો કદાચ તમે સાંભળ્યો હશે. એકવાર તેઓ હેલિકોપ્ટરમાં પ્રવાસ કરતા હતા, ત્યારે પાયલોટે શરદ પવારને કહ્યું હતું કે નિર્ધારિત સ્થળે પહોંચી શકાય એટલું બળતણ નથી. પવારે પાયલોટને હેલિકોપ્ટર નીચે લેવા કહ્યું અને થોડીવાર નિરીક્ષણ કરીને પાયલોટને કહ્યું હતું કે નીચે જે નદી દેખાય છે, એની ઉત્તરે ફલાણા શહેરમાં ફલાણી શાળા છે જેનું મેદાન મોટું અને સમથળ છે ત્યાં હેલિકોપ્ટર ઊતારી શકાશે. ત્યાંથી દસ કિલોમીટર દૂર સાકર કારખાનું છે ત્યાંથી પેટ્રોલ મળી જશે. આ વાતમાં અતિશયોક્તિ હશે, પરંતુ એ સત્યની જ અતિશયોક્તિ હોવાની. પવાર જેટલું મહારાષ્ટ્રને, લાલુ જેટલું બિહારને અને પ્રકાશ સિંહ બાદલ જેટલું પંજાબને ઓળખે છે, એટલું જે તે પ્રદેશમાં કામ કરતા સમાજશાસ્ત્રીઓ પણ નહીં ઓળખતા હોય.

મંગળવારે ૯૪ વરસની વયે વિદાય લેનારા મુથુવેલ કરુણાનિધિ પણ આવા એક નેતા હતા. આજકાલ ચૂંટણીઓ ફાઈવ સ્ટાર હોટેલોમાં રચવામાં આવતા વૉર રૂમમાંથી સ્ટેટેિસ્ટક્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ફિલ્મના અભિનેતાની જેમ મેઇક ઓવર કરવામાં આવેલો નેતા અને મીડિયાના આધારે લડવામાં આવે છે. લોકોની વચ્ચે જવાની જરૂર શું છે જ્યારે વરરાજાને પ્રોજેક્ટ કરનારા અને વેચનારા સાધનો અને મતદાર ક્ષેત્રની માહિતી ઉપલબ્ધ છે. મુથુવેલ કરુણાનિધિ સહિત ઉપર ગણાવ્યા એ નેતાઓ જુદા પ્રકારના હતા. તેઓ પોતાના પ્રદેશને અને પ્રજાને પ્રેમ કરનારા હતા અને છે. કરુણાનિધિને તો પ્રજા ‘કલાઈગ્નાર’ એટલે કે રસિક સાક્ષર તરીકે ઓળખાવતી હતી. કરુણાનિધિ લેખક હતા, ફિલ્મો માટે પટકથાઓ લખતા અને ખૂબ સારા વક્તા હતા.

અસ્મિતાઓના નામે પ્રજા વચ્ચે દીવાલો રચનારા દરેક પ્રકારના સંકુચિત પૃથકતાવાદી રાજકારણનો હું વિરોધી છું પછી એ હિન્દુત્વનું હોય, આર્ય અસ્મિતાનું હોય, હિન્દી ભાષાનું હોય કે દ્રવિડ અસ્મિતાનું. સમસ્યા એ છે કે આપણા ઈચ્છવાથી અસ્મિતાઓનાં રાજકારણનો અંત આવતો નથી. હિન્દુત્વનું રાજકારણ કરનારા બહુમતી અસ્મિતાનું રાજકારણ કરે છે, એટલે આગ્રહી છે. આવું જ હિન્દી ભાષાનું છે. દરેક અસ્મિતા બહુમતી અસ્મિતાઓમાં સમાઈ જવી જોઈએ એવો તેનો આગ્રહ હોય છે. લઘુમતી અસ્મિતા વિક્ટીમ હોવાનું રાજકારણ કરે છે. આની વચ્ચે સંઘર્ષો થતા રહે છે. ભારતમાં અસ્મિતાઓ વચ્ચેના સંઘર્ષો આઝાદી પહેલાંથી શરૂ થયા હતા.

તામિલનાડુમાં દ્રવિડ અસ્મિતાના રાજકારણની શરૂઆત ૧૯૧૬માં જસ્ટિસ પાર્ટીની સ્થાપના સાથે થઈ હતી. તામિલનાડુ અને મહારાષ્ટ્ર એમ ભારતમાં બે રાજ્યો એવાં છે, જ્યાં સો વરસ પહેલાં બ્રાહ્મણ વિરોધી આંદોલન થયું હતું. આ રીતે તામિલનાડુમાં પેરિયાર ઈ.વી. રામસ્વામીના નેતૃત્વમાં દ્રવિડ આંદોલન શરૂ થયું એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. કાંજીવરમ નટરાજન અન્નાદુરાઈ, વી.આર. નંદુચેળિયન અને એમ. કરુણાનિધિ પેરિયારના શરૂઆતના સાથીઓ હતા. ફિલ્મ અભિનેતા એમ.જી. રામચન્દ્રન્‌ તેમના જુનિયર હતા, પરંતુ અભિનેતા હોવાના કારણે દ્રવિડ આંદોલનનો તેઓ જાણીતો ચહેરો હતા. અન્નાદુરાઈ પણ જાણીતા સાહિત્યકાર હતા. આમ અન્નાદુરાઈ, એમ. કરુણાનિધિ અને એમ.જી. રામચંદ્રને મળીને આંદોલનને પોપ્યુલર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડ્યું હતું. દ્રવિડ દ્રવિડ આંદોલન બ્રાહ્મણ વિરોધી હતું, આર્ય સંસ્કૃિત વિરોધી હતું અને હિન્દી વિરોધી હતું. એક સમયે દ્રવિડ આંદોલન ભારત વિરોધી અર્થાત્‌ અલગતાવાદી પણ હતું. દ્રવિડિસ્તાનની તેમની માગણી હતી.

એમ. કરુણાનિધિએ ૧૪ વરસની ઉંમરે જસ્ટિસ પાર્ટીનું કામ કરવાનું શરૂ કર્યું હતું અને ૯૪ વરસે અવસાન થયું, એટલે આઠ દાયકાના જાહેરજીવનનો ફલક હતો. કરુણાનિધિએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેમના જ્યારે લગ્ન થયાં એ દિવસે તેઓ હિન્દી વિરોધી મોરચામાં સૂત્રોચાર કરીને નેતૃત્વ કરતા હતા. કોઈકે આવીને કહ્યું કે લગ્નનો સમય થવા આવ્યો છે, ત્યારે તેઓ સીધા મોરચામાંથી લગ્નમંડપમાં ગયા હતા. એ આંદોલનોનો યુગ હતો.

૧૯૪૪માં પેરિયાર રામસ્વામીએ જસ્ટિસ પાર્ટીનું નામ બદલીને દ્રવિડ કળગમ રાખ્યું હતું. તેમના સાથીઓ માટે આઘાતજનક બે ઘટના બની હતી. એક તો પેરિયારે આઝાદી પછી અલગ દ્રવિડિસ્તાનની માગણી કરી હતી, અને એ અરસામાં જ ૭૦ વરસના પેરિયારે સગીર જ કહી શકાય એવી નાની વયની કન્યા સાથે લગ્ન કર્યાં હતાં. અન્નાદુરાઈએ અલગતાવાદી રાજકારણનો અને લગ્નનો વિરોધ કર્યો હતો અને દ્રવિડ કળગમમાં વિભાજન થયું હતું. દ્રવિડ મુનેત્ર કળગમ નામનો પક્ષ એ પછી અસ્તિત્વમાં આવ્યો હતો.

ભારતમાં સંસદીય લોકતંત્ર ડાહ્યાઓને ગાંડા બનાવવાનું અને ગાંડાઓની સાન ઠેકાણે લાવવાનું એમ બન્ને કામ એક સાથે કરે છે. તામિલનાડુના દ્રવિડોને સંગઠિત કરવા હોય તો અસ્મિતા જગાડવી જોઈએ, પરંતુ આપણી પોતાની તાકાતે બહુમતી સાથે રાજ કરવું હોય તો દ્રવિડેત્તર મતની પણ જરૂર પડતી હોય છે. આને કારણે દ્રવિડ રાજકારણ દ્રવિડ રહેવા છતાં તેમાં જે તીવ્રતાની ધાર હતી એ બુઠ્ઠી થવા લાગી. દ્રવિડ મુનેત્ર કળગમે સંસદીય રાજકારણનો માર્ગ અપનાવ્યો, એ પછીથી પેરિયારના રાજકારણમાં અને એ પછીના રાજકારણમાં ઘણો ફરક પડવા લાગ્યો. ઉત્તર ભારત અને દિલ્હી સાથેની દુશ્મની ખતમ થઈ ગઈ. હિંદી સામેનો વિરોધ છે, પરંતુ હિન્દી વિરોધી હુલ્લડો થતાં એ યુગ પૂરો થઈ ગયો છે. દ્રવિડ આંદોલનના નેતાઓને સમજાઈ ગયું હતું કે સતત મોરચા માંડીને અને લડતા રહીને તામિલનાડુનો વિકાસ ન થઈ શકે.

આવી સમજણ વિકસાવવામાં અને તામિલનાડુમાં વ્યવહારવાદી રાજકારણ દાખલ કરવામાં કરુણાનિધિનો મોટો ફાળો હતો. શરદ પવારે એકવાર કહ્યું હતું એમ ક્યાં થોભવું અને ક્યાં મૂંગા રહેવું એનો જે વિવેક કરી શકે એ જ સફળ રાજકારણ કરી શકે. કરુણાનિધિ આનું ભાન ધરાવતા હતા, જેની વાત આવતીકાલે.  

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 09 અૉગસ્ટ 2018

Loading

...102030...3,0353,0363,0373,038...3,0503,0603,070...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved