Opinion Magazine
Number of visits: 9579005
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મગન લુહાર

દીપક બારડોલીકર|Profile|14 September 2018

‘ના, હું એવો પરાણો નહીં બનાવું. બળદો ય પ્રાણી છે, પથ્થર નથી ! −− મારે ય ઈશ્વરને જવાબ આપવાનો છે. …’

આ શબ્દો હતા, મગન લુહારના. એનો વાસ અમારા ઘર નજીક હતો. કોઢ, ધમણ, એરણ વગેરે પણ ત્યાં જ. સવાર પડે અને ધમણની ધમધમાટી શરૂ થાય. મગન પોતે જ ધમણ ધમે. તણખા ઊડે, જ્વાળા ફૂંફવે અને ત્યાર પછી, ધમણચૂલામાં મૂકાયેલું લોઢું રાતું ચોળ થાય એટલે, તેને એરણ પર ગોઠવી, હથોડા વડે ટીપટીપ શરૂ કરવામાં આવે. આ ટીપટીપ અમે દરરોજ સવારસાંજ સાંભળીએ. ઘડાતા ઘાટ જોઈએ. મજા આવે. ક્યારેક આશ્ચર્ય પણ થતું કે બળબળતા લોઢાના ઘાટ ઘડનારો મગન લુહાર જરાયે ઉગ્ર ન હતો. બલકે શાંત, વિનમ્ર ! તેને કોઈની સાથે લડતાં-ઝગડતાં અમે જોયો ન હતો.

પણ આજે તેનો ચીસ જેવો ઊંચો અવાજ સાંભળ્યો તો અમે ચોંક્યા. જોયું તો એક મૂછાળો રજપૂત, સામાન્ય કરતાં મોટી આરવાળા પરાણા માટે આગ્રહ કરી રહ્યો હતો. અને મગનનો જવાબ હતો, ‘ના, એ નહીં બને ! બિલકુલ નહીં બને ! … મૂંગા પ્રાણીઓ પરના જુલમમાં હું સામિલ નહીં થાઉં … … !’

એ દરમિયાન આવી પહોંચેલા મારા કાકા અહમદે, હકીકત જાણી, તો ગુસ્સો આવ્યો. અને રાતાપીળા થઈ રહેલા રજપૂતને ઠપકો આપતાં કહ્યું, ‘શરમ કર, શરમ ! … જંગલી લાગે છે. જે બળદો તારી ખાતર જાત તોડે છે, તારી જમીનો આબાદ કરે છે, તેમના પર જુલમ કરવો છે ? −− જરાયે દયા નથી આવતી ? −− અરે, મૂરખ, આપણી ખાતર જાત તોડે તેને તો સારું સારું ખવડાવવાનું હોય ! −- ઘોંચવાના નહિ, પોષવાના હોય !’

કાકાના ઠપકાથી એ રજપૂત એવો ભોંઠો પડ્યો કે થોડી વાર પહેલાંનો તેનો રાતો ચહેરો ફીક્કો થઈ ગયો. અને કંઈક બબડતો ને પગ પછાડતો ચાલ્યો ગયો.

કાકા, ભગત જેવા આદમી હતા. મગન લુહાર પણ એ જ દિશાનો રાહગીર. એ બન્નેને સારું બનતું. નવરાશના સમયે તેઓ અલકમલકની, ઇન્સાનિયતની, લોકકલ્યાણની વાતો કર્યા કરતા અને લોકોના એલફેલ દેખીસાંભળી અફસોસ કરતા. કાકાએ મગનને કહ્યું હતું, ‘તારે કોઈથી બીવાની જરૂરત નથી. અમે છીએ. − તું તારો ધંધો બેધડક કર્યા કર.’

મગનને, કાકાની એ હૈયાધારણ ઘણી હતી. અને તેની ધમણ ધમાતી રહેતી હતી.

દિવસભર એરણ ઉપર તેની ટીપટીપ ચાલતી રહેતી. કોઢની બહાર તે ગાડાના પૈડે વાટ પણ ચડાવતો અને તેનું આ કામ અમને અદ્દભુત લાગતું ! ધગધગતી આગમાં વાટને લાલચોળ કર્યા પછી, ચીપિયા વડે ઉપાડીને તેને, તે અને તેનો જોડીદાર પૈડા ઉપર ચડાવતા ! અને ત્યારે પૈડામાંથી નીકળતા ધુમાડા વચ્ચે જે ટીપટીપ થતી અને બૂમો પડતી ત્યારે તો મગન લુહાર કોઈ મોટા કાબેલ ઈજનેર જેવો લાગતો ! … અમે શું જે જોતા તે પોકારી ઊઠતા, ‘વાહ, મગનકાકા, વાહ !’

આ કસબી કામ દરમિયાન, પૈડે ચઢાવાઈ રહેલી વાટ, ક્યારેક તેના સાંધામાંથી એકાએક ઉખડી જતી ! છનન કરતીકને છટકતી ત્યારે તો ભારે ભાંજગડ થઈ જતી ! − અગર પૂરતી સાવધાની ન રાખી હોય કે ચપળતા ન વાપરી હોય તો તો એ છટકેલી વાટ કારીગરના જિસમને જલાવી નાખે !

એવી વાટને પુન: સાંધવી પડતી. ટાંકા લગાવવા પડતા. પૈડા સાથે બંધબેસતી છે કે નહીં તે ચકાસવું પડતું. અને ત્યારે પછી વાટ પૈડે ચઢાવાતી. આ ધકમકમાં ત્રણેક દિવસ લાગી જતા.

હું ઘણું કરીને પાંચમા – છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો ને મગનની કોઢમાં મારી આવજા હતી ત્યારે તેણે, બળબળતી વાટની હડફેટે ચઢેલા, એક કણબીનો કિસ્સો કહેલો. કહેલું : એ કણબી બહુ ચાંપલો ને મોંફાટ હતો. વાટ ગરમ થઈ રહી હતી ને પૈડાને ઠીકઠાક કરવામાં આવી રહ્યું હતું ત્યારે ય તેની બકબક ચાલુ હતી. વગર વિચાર્યું બોલ્યે ચાલ્યો જતો હતો.

અને પછી વાટ તપીને લાલચોળ થઈ ગઈ તો મેં અને મારા કારીગરે ચીપિયા વડે વાટ ઉપાડી. અને પૈડા તરફ પગ ઉપાડ્યા તો ન જાણે શું થયું કે એ કણબી ‘અરે − અરે’ કરતો દોડ્યો. લપસ્યો ને મારા પગ સાથે અથડાયો ! એ સાથે વાટ ચીપિયમાંથી છટકી ને ‘છનન’ કરતીકને કણબીના માથા પાસે પડી !

મગન ‘હાય-હાય’ કરી ઊઠ્યો ! બોલ્યો, ‘એ કદાચ એની માની દુઆ હશે, નહિતર એ કણબીના બચવાની કોઈ તક ન હતી. શેકાઈ જ ગયો હોત … … !’ ને માથું ઝટકવા લાગ્યો.

‘પછી શું થયું ?’ મેં પૂછ્યું.

‘થવાનું શું હતું ?’ મગને કહ્યું, ‘લોકોએ એવા ડામ આપ્યા કે એ કણબી તેની બધી ચાંપલાઈ ભૂલી ગયો. − હવે જ્યારે મને જૂએ છે કે કાન પકડે છે !’

મગનની કોઢમાં ધારિયાં બનતાં. કુહાડા, કુહાડી, કોદાળી, દાતરડાં, ખુરપી, ચાંચવા તથા ખેડૂતોના ઉપયોગની, નાનીમોટી બીજી ઘણી વસ્તુઓ બનતી. તે એક કુશળ – અનુભવી કારીગર હતો. ઈચ્છ્યું હોત તો મોટું વર્કશોપ લઈને બેસી ગયો હોત. શ્રીમંત થઈ ગયો હોત ! પણ નહીં, તે પૈસાવાદી નહીં, એક ભક્તજીવ હતો. તે અકસર કહેતો ય હતો કે આ પેસા તો કંઈ પણ નથી. −− અસલ કમાણી છે ઈશ્વરની યાદ. −− ઈશ્વરનો પ્યાર, કરે બેડો પાર !

પરંતુ એનો અર્થ એ નથી કે તેને ધંધામાં રસ ન હતો. તે આશ્રયી – પરિશ્રમી આદમી હતો. સવારે સમયસર તેની કોઢ ખૂલી જતી. હથોડાની, ઠોકઠાક શરૂ થઈ જતી. ધમણ ધમાતી અને ધમણ જોડેનો ચૂલો ભભૂકતો. અને કમાણી તેની પાસે દોડતી આવતી ! વળી તે હતો એટલો ઉદાર ને એવી માન્યતા ધરાવતો હતો કે, આપણી કમાણીમાં લાચારો − ગરીબોનો ય હિસ્સો હોય છે. કદાચ આ કારણ હતું કે તેને ત્યાં લાચારો, ફકીરો, જોગીઓની અવરજવર ચાલુ રહેતી. તે સૌને કંઈ ને કંઈ આપતો. તે કશા ભેદભાવમાં માનતો ન હતો. માણસાઈમાં શ્રદ્ધા હતી. કહેતો ય હતો :

જૂઠ્ઠી છે સૌ જાતજમાત
સૌથી ઉત્તમ માનવવાદ !

મગન લુહાર આજે નથી. અલબત્ત, તેની કોઢ છે. કામકાજની ભરમાર છે. પરંતુ મગનના સમયમાં, આ કોઢમાં, જે મીઠી સુવાસ હતી, તે આજે નથી.
મગનના અવસાનને વર્ષો થયાં, તેનો દેહ ખાક થઈ ગયો છે. પણ કોઈકે કહ્યું છે એમ દેહ માટીમાં ભળી જાય છે, પણ માણસનું સદાચરણ સદ્દચારિત્ર્ય અને માણસાઈ મરતાં નથી.

માણસ નથી હોતો, પણ તેની સારાઈ, સત્કાર્યોની હળવી – હળવી સુવાસ આપણી આસપાસ વ્યાપતી રહે છે !

“પુષ્પ કરમાઈ શકે છે
ખુશબૂ કરમાતી નથી !”

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

અવરોધો સામે લડીને જીતતી આ દેશની ખેલાડીઓને અને જુલમ સામે લડીને જીવતી મહિલાઓને સલામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|14 September 2018

Lancet નામના બહુ જાણીતા અભ્યાસ સામયિકનાં, બુધવારના અખબારોમાં જાહેર થયેલા, સર્વેક્ષણ મુજબ, દુનિયામાં આપઘાત કરતી દર દસ મહિલાઓમાં ચાર ભારતીય હોય છે, તેમાંથી મોટા ભાગની 15-40 વયજૂથની હોય છે, કન્યાઓના બાળમરણમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમ પર છે.

એશિયન ગેઇમ્સમાં સ્વપ્ના બર્મને ઍથલેટિક્સની હેપ્ટેલૉનમાં સુવર્ણચન્દ્રક મેળવ્યો. આ વાક્યનો અર્થ એ કે પશ્ચિમ બંગાળનાં ઘોશપારા ગામમાં કાચા ઘરમાં રહેતી, એકવીસ વર્ષની આ છોકરી સાત સ્પર્ધાઓમાં જીતી છે – સો, બસો અને આઠસો મીટર દોડ, ઊંચી અને લાંબી કૂદ, ગોળા અને ભાલા ફેંક.

આ સિદ્ધિ માટે તેનું મન મજબૂત હશે પણ તન અપૂરતાં પોષણે મથતું રહ્યું હશે. કારણ કે રાજભોંગશી આદિવાસી કોમમાં જન્મેલી  સ્વપ્નાનાં માતા ચાના બગીચામાં મજૂરી અને ઘરઘાટી તરીકેનાં કામ કરે છે. તેના પિતા એક જમાનામાં પગરિક્સા ખેંચતા હતા, અને પછી સ્ટ્રોક આવવાને પગલે સાત વર્ષથી પથારીવશ છે. ચારસો મીટર રિલેમાં સુવર્ણ ચન્દ્રક મેળવનારી ટુકડીની ગુજરાતની સરિતા ગાયકવાડ અને આસામની હિમા દાસ બંને દૂરનાં ગામોના ખેડૂત પરિવારોની છે. કૉમનવેલ્થ ગેઇમ્સમાં ગોલ્ડ અને એશિયનમાં સિલ્વર જીતનારી  હિમાએ ત્રણ વર્ષ પહેલાં તેના ગામની બહેનોને ભેગી કરીને એક બુટલેગરને ફટકારીને સીધો કર્યો હતો. સરિતા ઍથલેટિક્સમાં છે કારણ કે તેની રોજમદાર ‘માતાની  પ્રેશર  કૂકર ખરીદવાની ઇચ્છા’ તેને પૂરી કરવી હતી. એક જમાનામાં બૂટ ખરીદવાના પૈસાને અભાવે તે ખુલ્લા પગે પ્રૅક્ટિસ કરતી.

ઓગણીસ વર્ષની પિન્કી બલહારા ‘કુરાશ’ નામની ઓછી જાણીતી, કુસ્તી જેવી, રમતમાં સિલ્વર જીતી છે. દિલ્હીની નેબ સરાઈ ગામની  મધ્યમ વર્ગની પિન્કીને છોકરી હોવા છતાં આ રમત રમવા માટે મહેણાં સાંભળવાં પડતાં હતાં. તેમાં વધારો થતો રહ્યો, કારણ કે ત્રણ જ મહિના પહેલા પિતાનાં અચાનક અવસાન પછી પણ તે રમત ચાલુ રાખવા મક્કમ રહી. પિન્કીની ઉઝબેકિસ્તાનમાંની ખાસ તાલીમ માટેનો પોણા બે લાખ રૂપિયાનો ખર્ચ તેનાં ગામનાં લોકોએ ઉપાડ્યો હતો.

તેની જેમ કુરાશમાં સિલ્વર લાવનારી મલાપ્રભા જાધવની પાસે પણ સ્પોર્ટસ કિટ લાવવાના પાંત્રીસેક હજાર રૂપિયા ન હતા. કર્ણાટકના બેળગાવ જિલ્લાના તુરમુરી ગામના નાના ખેડૂતની દીકરી મલાપ્રભાએ પણ ટુકડીના બીજાં તેર ખેલાડીઓની જેમ પ્રવાસખર્ચ જાતે ઊપાડવો પડ્યો હતો, કારણ કે તેમનાં કુરાશ અસોસિએશનને ભારત સરકારની માન્યતા નથી. પવનવેગે દોડનાર વિશ્વવિખ્યાત દ્યુતિ ચંદનાં બે સિલ્વરથી તેના ઢગલાબંધ ચન્દ્રકોની સાથે રમતજગતમાં તેના માટેના આદરમાં પણ ઉમેરો થયો. દ્યુતિ ઓડિશાના ગામડાના બહુ ગરીબ ઘરની યુવતી છે. તેનાં શરીરમાં ચોક્કસ પ્રકારનાં હૉર્મોન્સ વધુ પડતી માત્રામાં નીકળતાં હતાં. તેને કારણે દ્યુતિ સ્ત્રી છે કે પુરુષ એવી શંકા ઊભી થઈ, કીચડ પણ ઉછાળાયો. તેના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાયો. આ બધાં સામે તે લડતી રહી, પ્રૅક્ટિસ કરતી રહી. તે એ વાતે બહુ  મક્કમ  હતી કે તે સ્ત્રી છે અને વિશ્વકક્ષાની દોડવીર છે. આ બંને ઓળખ તેણે એશિયન ગેઇમ્સમાં ફરી એક વાર સાબિત કરી બતાવી અને બતાવતી રહેશે.

નૌકાનયનમાં વર્ષા ગૌતમ અને શ્વેતા સેર્વેગરે રૌપ્ય મેળવ્યો છે. પણ તે પહેલાં યૉચિંગ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ તેમને કરેલાં અન્યાયની સામે તેમને દિલ્હી હાઇકોર્ટમાં લડત આપવી પડી હતી. કબડ્ડીમાં સિલ્વર મેળવનારી ટીમની ઉષા રાણીનાં મા-બાપ સહિત પરિવારનાં છ જણ પતરાંનાં છાપરાવાળા નાનાં ઘરમાં રહીને ફુલનો ધંધો કરીને દિવસનાં માંડ પચાસ રૂપિયા કમાય છે. અત્યારે કર્ણાટક પોલીસની કર્મચારી ઉષા પહેલી વાર કબડ્ડીનાં અગત્યના સિલેક્શનમાં ગઈ ત્યારે ત્યાં પહોંચવા માટેનું બસ ભાડું તેની માતાએ પાડોશી પસેથી ઉધાર લીધું હતું. સોળ વર્ષની સહુથી નાની ખેલાડી હર્ષિતા તોમરે જે નૌકાનયનમાં કાંસ્ય ચન્દ્રક મેળવ્યો છે તેમાં હરીફાઈમાં સ્ત્રીઓ અને પુરુષો બંને હોય છે. બાળપણની માંદગીની અસર, અન્ય સ્પર્ધકોની સરખામણીમાં નાની ઉંમર, ઓછું વજન અને અભ્યાસ માટેની પહેલી પસંદગીના મા-બાપના આગ્રહ વચ્ચે હર્ષિતાએ આ જીત મેળવી છે. ચન્દ્રક મળે કે ન મળે, જે ખેલાડીઓ રમી છે તે બધી વિજેતા જ ગણાય છે, કારણ કે આપણા સમાજમાં મહિલાનું રમતગમત  જેવાં ક્ષેત્રે બહાર આવવું એ જ એક કસોટીમાં જીત હોય છે.

આપણી ખેલાડીઓ 18 ઑગસ્ટથી લઈને જે પંદર દિવસોમાં જાકાર્તામાં અભિનંદન મેળવી રહી હતી, એ જ દિવસોમાં ગુજરાતમાં સાત દલિત વિદ્યાર્થિનીઓ લુખ્ખાઓની અભદ્રતા વેઠી રહી હતી. કચ્છનાં મોટા લાયજા ગામની આ વિદ્યાર્થિનીઓ જ્યારે એસ.ટી. બસમાં બેસીને તાલુકાનાં ગામ માંડવીની કૉલેજમાં જાય ત્યારે બાજુના પંચોટિયા ગામના બેકાર માથાભારે યુવાનો તેમની અત્યંત અશ્લિલ રીતે છેડતી કરતા. લાંબા સમયથી ચાલતી આ હરકતોને અટકાવવાની કોશિશ કરનાર એક વ્યક્તિને પેલા માથાભારે યુવાનોએ હથિયારોથી ઘાયલ કર્યો હતો. તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થિનીઓ એ ડરથી ફરિયાદ કરવાનું ટાળતી હતી કે વાલીઓ તેમનું ભણવાનું છોડાવી દેશે. એક વિદ્યાર્થિનીની પહેલ પછી, પોલીસે બધી વિદ્યાર્થિનીઓનાં બયાનો તેમની માતાઓની હાજરીમાં નોંધીને છ નાલાયકોની 21 અને 23 ઑગસ્ટે ધરપકડ કરી હતી. આરોપીઓને જામીન મળી ગયા છે એટલે હવે દલિતોમાં ફફડાટ છે. એ નોંધવું ઘટે કે ઉજળિયાત માથાભારે કોમો દ્વારા જુલમ સામે ઝીક લેનારી આ કૉલેજ યુવતીઓ મોટા લાયજા ગામમાં શિક્ષણ મેળવનાર દલિત મહિલાઓની પહેલી જ પેઢી છે.

આ જ અરસામાં, તુતિકોરિનના વિમાની મથકે એક યુવતીને ‘ડાઉન વિથ ફાસિસ્ટ બી.જે.પી.’ એવો સૂત્રોચ્ચાર કરવા માટે જ્યુડિશિયલ કસ્ટડી ફરમાવવામાં આવી. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કરી રહેલી 28 વર્ષની લુઇ સોફિયાની ફ્લાઇટમાં તામિલનાડુના ભા.જ.પ.ના પ્રદેશપ્રમુખ તામિલીસાઈ સૌન્દરારાજન હતાં. તે વિમાનમાંથી ઊતરી રહ્યાં હતાં એ વખતે તેમની સામે જોઈને સોફિયાએ નારા લગાવ્યાં. તેનો નારો જાણે સાચો પાડવા, નેતાને લેવા આવેલા કાર્યકર્તાઓએ સોફિયા સાથે ગુંડાગર્દી કરી. વળી, પ્રદેશપ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી જેને પગલે સોફિયાની ધરપકડ કરવામાં આવી. મે મહિનામાં સ્ટરલાઇટ કંપનીની સામે તુતિકોરિનમાં થયેલા આંદોલન વિશે લખનારી, દલિત અને મહિલા આંદોલનોની ટેકેદાર સોફિયા, કર્મશીલોની તાજેતરની ધરપકડોની સામે વિરોધ નોંધાવી ચૂકી છે.

ભાજપનો વિકરાળ ચહેરો ખુલ્લો પાડતો આ બનાવ ત્રીજી સપ્ટેમ્બર એટલે કે જન્માષ્ટમી પર બન્યો. તે જ રાત્રે મુંબઈના ઘાટકોપરમાં દહીહંડીના કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય રામ કદમનું હિંસક પુરુષવાદી પોત પ્રકાશ્યું. ગુનાઈત રેકૉર્ડ ધરાવતાં કદમે જાહેર ભાષણમાં યુવાનોને સંબોધીને કહ્યું કે, ‘લગ્ન માટે તમને અને તમારા મા-બાપને  કોઈ યુવતી પસંદ હોય, પણ તે ખુદ તૈયાર ન હોય તો તમે મને ફોન કરજો હું તેને ઊઠાવી લાવીને તમારી સાથે પરણાવીશ !’ એમ કહીને તે પોતાનો ફોન નંબર પણ બે વાર બોલ્યા. આ નિંભરતાના વિરોધમાં સહુથી તેજાબી પડકાર પુનાની યુવતી મીનાક્ષી ડિંબળે-પાટીલનો હતો. વાયરલ થયેલા તેના એક મિનિટના વીડિયોમાં તેણે કહ્યું : ‘કદમ, તમારું આ વિધાન અત્યંત લાંછનાસ્પદ છે… હું મુંબઈ આવું, મને ઊઠાવાની વાત તો પછી …. તમે મને માત્ર આંગળી તો અડાડો, પછી હું જોઉં છું. મારી તમને આ ઓપન ચૅલેન્જ છે.’

હમણાંના દિવસોમાં તમામ જાહેર જગ્યાઓએ, સ્થાપિત ધર્મોનાં સ્થાનકોએ, કામનાં સ્થળો પર, શેલ્ટર હોમ્સમાં, પરિવારોની અંદર … સર્વત્ર, મહિલાઓ પરના અત્યાચારના શરમજનક બનાવો નોંધાયા છે. આ દેશમાં તે સમયના કોઈ પણ તબક્કે નોંધાય છે. આપણે સ્ત્રીઓને શું સમજીએ છીએ ?

++++++++

12 સપ્ટેમ્બર 2018 

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 14 સપ્ટેમ્બર 2018

Loading

રઘુરામ રાજન કાંઈ પણ કહે, તેમનો દેશપ્રેમ ટકોરાબંધ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 September 2018

રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વટાણા વેરી નાખ્યા છે. બી.જે.પી.ના સંસદસભ્ય ડૉ. મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં, પાર્લામેન્ટ એસ્ટિમેટ્સ કમિટી સરકારી બેન્કોનાં ખોટાં થયેલાં નાણાંની તપાસ કરી રહી છે, અને તપાસના ભાગરૂપે કમિટીએ રઘુરામ રાજનની પૂછપરછ કરી હતી. ડૉ. રાજન અત્યારે અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભણાવે છે. કમિટીએ ડૉ. રાજનને પ્રશ્નોત્તરી મોકલી હતી અને કહ્યું હતું કે અત્યારે પ્રત્યક્ષ આવવાની જરૂર નથી, અહીં ઉપસ્થિત કરવામાં આવેલા પ્રશ્નો વિષે તમારો અભિપ્રાય આપશો તો ચાલશે.

પ્રશ્નો દેખીતા હતા. આટલી બધી રકમ ખોટી થવાનું કારણ શું? એમાં વિપરીત આર્થિક પરિબળોનો ફાળો કેટલો અને બેન્કિંગ સિસ્ટમનો ફાળો કેટલો? બેન્કોની ફૂલ નોન પરફોર્મિંગ અસેટ(એન.પી.એ.)માં જાણીબૂજીને બેન્કોને નવડાવવામાં આવી હોય એનું પ્રમાણ કેટલું અને તેનું સ્વરૂપ કેવું? બેન્કોના કામકાજ પર નજર રાખનારી સંસ્થાઓ(મુખ્યત્વે રિઝર્વ બેન્ક)માં અને તેની નિયમન વ્યવસ્થામાં શું ખામી છે? આટલા સવાલો પછી દેખીતા સવાલો હોવાના કે આમાં સુધારો કઈ રીતે થાય અને રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે તમે શું પ્રયાસ કરેલા?

રઘુરામ રાજને ૧૭ પાનાંનો જવાબ લખ્યો છે જેને કારણે સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. તેમણે કહ્યું છે કે મેં (રાજને) જાણીબૂજીને, કૌભાંડના ભાગરૂપે, મોટા પ્રમાણમાં બેન્કોને નવડાવનારા વિલફુલ ડિફોલ્ટર્સની એક યાદી વડા પ્રધાનના કાર્યાલયને મોકલી હતી અને પગલાં લેવાની ભલામણ કરી હતી, પરંતુ તેનું શું થયું છે તેની મને જાણકારી નથી.

રઘુરામ રાજન રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર છે, જવાબદાર માણસ છે અને દૂર અમેરિકા રહે છે એટલે તેમણે કહ્યું છે કે ‘શું થયું એની મને જાણકારી નથી’, બાકી એમાં વડા પ્રધાને શું કર્યું છે (કે નથી કર્યું) એની જાણકારી રાજન સહિત આખા જગતને છે. કાંઈ જ થયું નથી અને એમાંના ચારને દેશ બહાર જવા દેવામાં આવ્યા છે અને એકને ફાયદો કરાવી આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એના સાડા ચાર વરસ થવા આવ્યા છે, રઘુરામ રાજન રિઝર્વ બેન્કમાંથી ગયા એને બે વરસ થઈ ગયાં છે; પરંતુ થયું કાંઈ જ નથી.

હવે બી.જે.પી.ના પ્રવક્તાઓ બચાવ કરી રહ્યા છે કે રાજને એ પત્ર તો ડૉ. મનમોહન સિંહના વખતમાં લખ્યો હતો. આ વાત સાચી હોય તો પણ સવાલ થઈ શકે કે રિઝર્વ બેન્કના ગવર્નરે ડૉ. મનમોહન સિંહને અંગત પત્ર લખ્યો હતો કે ભારતના વડા પ્રધાનને? ડૉ. મનમોહન સિંહ નિવૃત્ત થયા, ત્યારે તેઓ શું રાજનનો પત્ર સાથે ઘરે લઈ ગયા હતા? જો તેઓ સત્તાવાર પત્ર ઘરે લઈ ગયા હોય તો ડૉ. મનમોહન સિંહ સામે ફોજદારી કેસ થઈ શકે એમ છે. આમ પણ તેઓ કૉન્ગ્રેસના કોઈ નેતાને જેલ મોકલવા આતુર છે, તો અહીં તો ભૂતપૂર્વ વડા પ્રધાનનો કેચ હાથમાં આવે એમ છે. એ પત્ર ભારતના વડા પ્રધાનને લખવામાં આવ્યો હતો અને ભારતના વડા પ્રધાનની ફરજ બનતી હતી કે કોઈ પગલાં લે.

ડૉ. રઘુરામ રાજને ચોથી સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ત્રણ વરસ માટે રિઝર્વ બેન્કના ૨૩મા ગવર્નર તરીકે હોદ્દો ગ્રહણ કર્યો હતો. રાજને કુલ છત્રીસ મહિનામાંથી આઠ મહિના યુ.પી.એ. સરકાર સાથે કામ કર્યું હતું અને ૨૮ મહિના એન.ડી.એ. સરકાર સાથે કામ કર્યું હતું. જે આઠ મહિના યુ.પી.એ. સરકાર સાથે કામ કર્યું, એમાંથી ચાર મહિના તો કોઈ ખાસ કામકાજ વિનાના લોકસભાની ચૂંટણીના હતા. આમ છતાં પણ માની લો કે રાજને એ પત્ર ડૉ. મનમોહન સિંહ સરકારને લખ્યો હતો, તો પણ તેના પર એક્શન લેવાની જવાબદારી નરેન્દ્ર મોદીની હતી. બચાવ ગળે ઊતરે એવો તો હોવો જોઈએ, પણ એ જો શક્ય ન હોય તો કમસેકમ શોભે એવો તો હોવો જ જોઈએ.

ડૉ. રઘુરામ રાજનને રિઝર્વ બેન્કમાંથી કેમ તગેડી મુકવામાં આવ્યા, એ પણ ઉઘાડું સત્ય છે. એક એન.પી.એ. અને બીજું નોટબંધી. રાજન આ બન્ને માટે અનુકૂળ નહોતા. બેન્કોએ પાનાં ખોલી નાખવા જોઈએ એવો રાજનનો આગ્રહ હતો. છુપાવવાનું કાંઈ જ નથી, જે હોય એ ખુલ્લું પાડો. તમારી બેલેન્સશીટ ક્લીન કરો. દેવાંની પુનર્રચના (રિસ્ટ્રક્ચરીંગ ઓફ ડેબ્ટ) કરીને દેશને અને જાતને છેતરવાની જરૂર નથી. ટૂંકમાં રઘુરામ રાજન એક એક કરીને જનતાને બેવકૂફ બનાવવાના છીંડા બંધ કરવા માટે આગ્રહ કરતા હતા, અને એ લૂટારુ ઉદ્યોગપતિઓને માફક આવે એમ નહોતું. આ માણસ ઢાંકપીછોડો કરવામાં આડો આવે છે માટે એને કાઢો. ડૉ. સુબ્રમણ્યમ સ્વામી નામના કટ્ટર હિન્દુત્વવાદી દેશપ્રેમીને રાષ્ટ્રહિતમાં રાજનની પાછળ છોડવામાં આવ્યા હતા. હવે આ પત્ર એ વાતની પુષ્ટિ આપે છે. નોટબંધી તો કાળાં નાણાંને સફેદ કરી આપવાનું કૌભાંડ હતું, અને હવે એ પણ બહાર આવી ગયું છે કે એ કૌભાંડનું કેન્દ્ર ગુજરાત હતું.

રઘુરામ રાજને તેમના પત્રમાં ઇન્સોલ્વન્સી નીતિ વિષે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. જો નાણાં પાછાં મેળવવાં હોય તો દરેક દરવાજા બંધ કરવામાં આવે અને એમાં અદાલતના દરવાજાનો પણ સમાવેશ થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે એન.પી.એ.ની રિકવરીને લગતી સ્પેિશયલ લીવ પિટિશન દાખલ નહીં કરવી જોઈએ અને જજોએ વિવેક કરવો જોઈએ કે આ સમય મેળવવા માટેની રમત તો નથીને. તાજેતરમાં વીજળીનું ઉત્પાદન કરવાના નામે બેન્કો પાસેથી ધિરાણ મેળવીને બેન્કોને ઉઠાડી મૂકનારા લૂંટારા ઉદ્યોગપતિઓ સાથે મળીને અદાલતમાં ગયા છે, અને સર્વોચ્ચ અદાલતે તેમને રાહત પણ આપી છે. તેઓ રિકવરીને લગતા રિઝર્વ બેન્કના ૧૨મી ફેબ્રુઆરીના સર્ક્યુલરથી બચવા માગે છે.

છેલ્લે, હજુ ગયા અઠવાડિયાની વાત. રિઝર્વ બેન્કે માહિતીના અધિકાર હેઠળ ‘ધ વાયર’ નામના ન્યુઝ પોર્ટલને માહિતી આપી છે કે ૨૦૧૬માં સરકારી બેન્કોએ ૫૯૦ અબજ રૂપિયાનું કૃષિધિરાણ ૬૧૫ કંપનીઓને આપવામાં આવ્યું છે. કેટલું? ૫૯૦ અબજ રૂપિયાનું અને એ પણ માત્ર ૬૧૫ ખાતામાં . એકને સરેરાશ ૯૫ કરોડ રૂપિયા. ખેતીવાડી માટેનું ધિરાણ અત્યંત હળવી શરતે અને ઓછા વ્યાજે (ચાર ટકે) આપવામાં આવે છે અને એમાં રિલાયન્સ ફ્રેશનો પણ સમાવેશ થાય છે. ઘણાં લોકોનાં પેટ જ નથી ભરાતા એ જોઇને આશ્ચર્ય થાય છે.

બાકી દેશપ્રેમની તો વાત જ નહીં પૂછો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 સપ્ટેમ્બર 2018

કાર્ટૃન સૌજન્ય : "ધ હિન્દુ", 13 સપ્ટેમ્બર 2018

Loading

...102030...2,9982,9993,0003,001...3,0103,0203,030...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved