Opinion Magazine
Number of visits: 9579119
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાન પૂર્વેના જિન્ના –

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|23 September 2018

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ વિરોધોમાંથી એક વિરોધ એ પોતપોતાના રાષ્ટ્રપિતાને જોવાના દ્રષ્ટિકોણનો પણ છે. મહાત્મા ગાંધીની તો દરેક ભારતીય પોતાની અલગ રીતે વ્યાખ્યા કરી શકે છે. જેમ કે નક્સલીઓ ગાંધીજીને દબાતા પગલે આગળ વધનારા પ્રતિક્રિયાવાદી કહે છે, તો હિંદુત્વવાદીઓની નજરમાં તેઓ મુસલમાનો પ્રત્યે કંઇક વધારે જ ઉદાર હતા. આંબેડકરવાદીઓની નજરમાં જાતિવાદના મુદ્દે તેમનો વિરોધ ગંભીર નહોતો, ત્યારે નારીવાદીઓ તેઓને લૈંગિક ભેદભાવના મુદ્દે થોડા નરમ ગણાવે છે. આધુનિકવાદીઓની નજરમાં ગાંધી ભૂતકાળનું મહિમામંડન કરનાર હતા, તો પરંપરાવાદીઓની નજરમાં તેઓ શાસ્ત્રનો અનાદર કરનાર વ્યક્તિ હતા. જ્યારે પાકિસ્તાનમાં તેમના રાષ્ટ્રપિતાની કોઇ ટીકા-ટિપ્પણી થઇ શકતી નથી.

પાકિસ્તાનની રચના થઇ તેના થોડા જ સમય બાદ, લાહોરના એક કવિએ જિન્ના વિશે લખ્યું હતું કે હે કાયદે-આઝમ તમારા શ્વાસ માત્ર જ આ દેશ માટે પૂરતા છે, આ દેશને એક રાખવા માટે તમે એકલા જ પૂરતા છો. પાકિસ્તાનમાં જિન્નાને આ જ ભક્તિભાવથી યાદ કરવામાં આવે છે. આજે પણ ઘણાં પાકિસ્તાનીઓનું એવું કહેવું છે કે જો જિન્ના માત્ર પાંચ અથવા દસ વર્ષ વધુ જીવતા રહ્યા હોત, તો આ દેશને ભ્રષ્ટાચાર, ગરીબી, આતંકવાદ, કટ્ટરતાવાદ અથવા સૈન્યની તાનાશાહીનો રોગ ના લાગ્યો હોત. પાકિસ્તાનના દળોની પ્રતિબદ્ધતાઓમાં ભાગલા જોવા મળતા હોવા છતાં પણ તેઓ જિન્નાના મુદ્દે તો એક જ છે. પાકિસ્તાનના અખબાર ‘ડોન’માં અઠવાડિયાઓ પહેલાં તેના સંપાદકીયમાં એવું નોંધવામાં આવ્યું હતું કે જિન્નાનું પાકિસ્તાન સહિષ્ણુ, પ્રગતિશીલ, સમાવેશી અને લોકતાંત્રિક છે. શું પાકિસ્તાનની લીડરશીપ પોતાના સંસ્થાપક પિતાના આદર્શો પર પરત ફરશે.

એક ભારતીય તરીકે, પાકિસ્તાનીઓએ પોતાના રાષ્ટ્રપિતાને કેવા દ્રષ્ટિકોણથી જોવા જોઇએ તે વિશે વાત કરવી એ મારું કામ નથી. પણ, એક ઇતિહાસકાર તરીકે મારી જવાબદારી છે કે મારે પાકિસ્તાનીઓને અને મારી જાતને એ વાતની યાદ અપાવવી જોઇએ કે જિન્નાના સમયમાં તેમના સમકાલીનો તેમના વિશે શું વિચારતા હશે. હું અહીં ગાંધી અને નહેરુની વાત નહીં કરું કારણ કે તેઓના વિચારો જગજાહેર છે.

શરૂઆત આપણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહી ચૂકેલા મૌલાના શૌકતઅલીથી કરીશું. આ તે અલી બંધુ પૈકીના છે કે જેઓ અસહયોગ આંદોલનમાં ગાંધીજીની સાથે અને જિન્નાની વિરુદ્ધ સ્પષ્ટવક્તા તરીકે જોવા મળ્યા હતા. વર્ષ 1926માં આ આંદોલન સંપૂર્ણ રીતે શાંત પડતાની સાથે જ જિન્નાએ બોમ્બે વિધાનસભા માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરી દીધી હતી. શૌકતઅલીએ આ ઉમેદવારીની સાથે એક અરજી જાહેર કરી અને જણાવ્યું કે તેઓ જિન્નાને બોમ્બેના મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરવા માટે અનુપયુક્ત કેમ માને છે અને તેના કારણો આ પ્રમાણે હતા. એક, કે જિન્ના બોમ્બેના મુસલમાનો વિશે કશું જાણતા નહોતા અને તેના કરતાં પણ મોટી વાત એ હતી કે જિન્ના આ વિશે જાણવા પણ માગતા નહોતા. બીજુ, જિન્નાએ અભ્યાસના સંદર્ભે પછાત મુસલમાનો માટે કશું કાર્ય કર્યું નહોતું. ત્રીજુ, જિન્નાએ મુસ્લિમ સમુદાયના તમામ અભિયાનથી પોતાને દૂર રાખ્યા અને સાથે ખિલાફત અને અસહયોગ આંદોલનનો પણ વિરોધ કર્યો. ચોથુ, આ મુસ્લિમ લીગનું સંકીર્ણ અને પુરાતન સંવિધાન હતું કે જેના જિન્ના સફળતાથી વડા તો બની ગયા, પણ તેને ખત્મ કરી દીધું. પાંચમુ, જિન્ના અનુશાસન કાયમ રાખી શક્યા નહીં અને પાર્ટી સંગઠનના અધીન કાર્ય પણ કરી શક્યા નહીં, ત્યાં તેમણે પોતાના સરીખા અથવા તો વરિષ્ઠોની સાથે તાલમેળ સાધવો પડે તે પણ તેઓએ ટાળ્યું.

શૌકતઅલીએ પોતાની વાત ખત્મ કરતા લખ્યું કે ઈસ્લામ વિશે જિન્નાની લગભગ નહીંવત્‌ એવી જાણકારી ડરાવનારી છે, અને તેમના પર કમનસીબ મુસલમાનોનું પ્રતિનિધિત્વ સોંપવાનો ભરોસો કરી શકાય નહીં, અને અહીં સુધી કે એક લેમ્પપોસ્ટ પણ તેમના કરતાં ઓછો નુક્સાનકારક હશે.

તેમ છતા પણ જિન્ના ચૂંટણી જીતી ગયા અને તેમનું નસીબ ચમક્યું, સાથે શૌકતઅલીનું માન ઘટવા માંડ્યું. વર્ષ 1938માં શૌકતઅલીના મૃત્યુ સુધી, જિન્ના ભારતીય મુસલમાનોના નિર્વિવાદ નેતા બની ચૂક્યા હતા. વર્ષ 1940ના માર્ચ મહિનામાં લાહોરમાં જિન્ના મુસ્લિમ લીગના વાર્ષિક સંમેલનમાં વડાના પદે હતા, ત્યારે તેમના એક પ્રશંસકે તેમને લખ્યું કે આ તે જ સમય હતો કે જ્યારે જિન્નાને પ્રથમ વખત પોતાના હોવાનો અનુભવ થયો હશે. સાથે તેમને એ વાત સમજાઇ હશે કે તેમને પસંદ કરનારા લોકો તેમને કેટલા પસંદ કરે છે અને તેઓ ભારતીય મુસલમાનોનો કેટલો ભરોસો અર્જિત કરી ચૂક્યા છે. અને ત્યારે ભારતીય મુસલમાનો માટે એક અલગ દેશની માગ કરતો પાકિસ્તાન પ્રસ્તાવ પસાર થયો.

પંજાબના ગવર્નરને મોકલી આપેલી નોટમાં આઇ.સી.એસ. ઓફિસર પેંડરેલ મૂને લાહોર બેઠકની ત્રણ ખાસ વાતો રેખાંકિત કરી હતી. પ્રથમ, મુસલમાનોના અસલી પ્રતિનિધિના રૂપમાં મુસ્લિમલીગનું મહત્ત્વ અચાનક વધી ગયું છે. બીજુ, જિન્નાની પ્રતિષ્ઠા ઘણી વધી રહી છે અને તેઓ અખિલ ભારતીય સ્તર પર મુસલમાનોના નિર્વિવાદ નેતા બની ચૂક્યા છે. ત્રીજુ, મુસલમાનો હવે લગભગ ઉપરના સ્તર પર તો ભારતના ભાગલાના સહયોગમાં એક થઇ ચૂક્યા છે. આ ઘટનાના ત્રણ મહિના બાદ લિબરલ નેતા વી.એસ. શ્રીનિવાસન શાસ્રીએ ગાંધીજીને લખ્યું કે કોઇ વિચારી પણ નથી શકતું કે જિન્નાની અસર કેટલી હદે વધી ચૂકી છે. આજે કોંગ્રેસ પણ તેમની અવગણના કે ટીકા કરવાની સ્થિતિમાં નથી તો પછી બ્રિટિશ સરકાર પણ તેવું કેવી રીતે કરી શકશે. તેઓ જોઇ રહ્યા હતા કે અંગ્રેજો માટે હવે મુસલમાનોની નારાજગી, કોંગ્રેસને સંતુલિત રાખવાની આશા કરતાં વધુ ઘાતક સાબિત થવાની હતી. બીજી બાજુ ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઇ માનતા હતા કે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતની રચનાના મૂળમાં જ બ્રિટનના નિર્માતા હતા, જેમણે હિંદુઓ અને મુસલમાનો વચ્ચેની વિભાજન રેખા મજબૂત કરી હતી. મહાદેવ દેસાઇએ લખ્યું આપણે આ સમગ્ર ઘટના માટે કોઈનો પણ વાંક કાઢી શકીએ નહીં, સાથે તે ખતરનાક વિચારને પણ દોષ આપી શકીએ નહીં.

વર્ષ 1940 સુધી એવું માનવામાં આવતું હતું કે પાકિસ્તાન ક્યારે ય બનશે જ નહીં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લીગ અને જિન્નાની અસર ઝડપી બની. યુદ્ધ ખત્મ થયા બાદ બ્રિટિશ ભારતની ચૂંટણીમાં જે રીતે મુસ્લિમ સીટો પર મુસ્લિમલીગ જીતી, તેનાથી આઝાદ પાકિસ્તાનના સપનાંને પાંખો મળી. ડિસેમ્બર 1946માં એક આઇ.પી.એસ. ઓફિસર મેલકમ ડાર્લિંગે પંજાબના એક પ્રમુખ મુસલમાન અને કોટના સરદારના હવાલાથી લખ્યું કે જ્યાં સુધી તેઓ પોતાની વાત પર સફળ છે, આ વાતનો કોઇ મતલબ નથી કે તેઓને મુસ્લિમ ધર્મની એ.બી.સી.ડી. આવડે છે કે નહીં. આ ઇતિહાસની વધુ એક વિડંબણા હતી કે જે વ્યક્તિ મુસલમાન વિશે કશું જ જાણતા નહોતા અને તેમના વિશે જાણવા પણ માગતા નહોતા તે વ્યક્તિ બ્રિટિશ ભારતના હાથમાંથી નીકળીને એક આઝાદ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવામાં સફળ થયા.

(હિન્દુસ્તાન હિન્દી ન્યૂઝપેપર)

અનુવાદ – નિલય ભાવસાર

https://www.livehindustan.com/blog/story-ramchandra-guha-article-in-hindustan-on-17-september-2177312.html

Loading

મોહન ભાગવતની બદલાયેલી ભાષાના સૂચિતાર્થો : આ લોકસભાની ચૂંટણી પહેલાં કે પછીની વૈકલ્પિક યોજના છે. પ્લાન – બી

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2018

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની બદલાયેલી ભાષા જોઇને એ લોકો પણ આભા બની ગયા છે જેઓ સંઘના અને વર્તમાન સરકારના સમર્થક છે. મોહન ભાગવત મોહન ગાંધીની માફક કેમ બોલવા લાગ્યા? મતપરિવર્તન કે પછી નવો ખેલ? જો મતપરિવર્તન હોય તો નવી ફિલસૂફી ઠરાવ કરીને સ્પષ્ટ કરવી જોઈએ, પણ એવું ક્યારે ય બનવાનું નથી. આ નવો ખેલ છે અને સંઘના ઇતિહાસમાં એ કોઈ નવી વાત નથી. અનેક મોઢે બોલવું, પ્રસંગે-પ્રસંગે અલગ-અલગ રીતે બોલવું, અલગ-અલગ ચહેરા રાખવા, કોઈ ભૂમિકાએ ક્યારે ય પણ બંધાવું નહીં એ તેમની મોડસ ઓપરેન્ડી (કાર્યપદ્ધતિ) છે.

૧૯૯૫માં બી.જે.પી.નું મહા અધિવેશન મુંબઈમાં મળ્યું હતું અને એમાં અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ૧૯૯૬માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હતી અને બી.જે.પી.ને સમજાઈ ગયું હતું કે બાબરી મસ્જિદ તોડ્યા પછી અને દેશમાં ઊભી કોમી તિરાડ પેદા કર્યા પછી પણ બેડો પાર થઈ શકે એમ નથી. આ બ્રહ્મજ્ઞાન થવા પાછળનું કારણ કે હતું કે ઉત્તર પ્રદેશ, અવિભાજિત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. રામજન્મભૂમિના નામે હિંદુઓમાં ઉન્માદ પેદા કર્યો એના એક વરસમાં. આ ત્રણેય રાજ્યોમાં બી.જે.પી.ની સરકારો હતી. બી.જે.પી.એ ધાર્યું નહોતું કે આવાં પરિણામ આવશે.

એ એ જ અટલ બિહારી વાજપેયી હતા જેમની ૧૯૮૫ પછી ભયંકર ઉપેક્ષા કરવામાં આવી હતી. ઉપેક્ષા અપમાનની કક્ષાની હતી. એ સમયે વાજપેયીએ લખેલાં કેટલાંક કાવ્યો તેની સાક્ષી પૂરે છે. ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને માત્ર બે બેઠકો મળી એ પછી વાજપેયીના ઉદારમતવાદનો કોઈ ખપ નહોતો. એ સમયે ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’, ‘હિન્દુસ્તાન મેં રહના હો તો વંદેમાતરમ્ બોલના હોગા’, ‘તીન (અયોધ્યા, મથુરા અને બનારસની મસ્જિદ) નહીં તીન હજાર નહીં રહેગી એક મઝાર’, બાબર કી ઔલાદ’, ‘મૌલાના મુલાયમ’, (એ સમયના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન), એક ધકા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’ વગેરે નારાઓ હતા. કોઈએ સંઘ પરિવારના કાર્યકર્તાઓને બેફામ બોલતા વાર્યા નહોતા અને અયોધ્યામાં એક ધકા ઔર દોના નારાઓ બોલતા હતા, ત્યારે લાલ કૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી વગેરે પક્ષના શીર્ષસ્થ નેતાઓ ઉપસ્થિત હતા.

ક્યાં ગયું હતું બધું ડહાપણ? અને ૧૯૯૩માં ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં તેમ જ પેટા ચૂંટણીઓમાં થયેલા પરાજય પછી એકદમ ડહાપણની યાદ આવી હતી જે રીતે અત્યારે આવી છે. અટલ બિહારી વાજપેયીએ એવી ભાષામાં બોલવા માંડ્યું હતું જેવી ભાષામાં અત્યારે મોહન ભાગવત બોલી રહ્યા છે. વાજપેયી ખરેખર ઉદારમતવાદી હતા કે સંઘ પરિવારની આપેલી ભૂમિકા નિભાવનારા અભિનેતા હતા એ વિષે બે મત છે. શંકાનું કારણ એ છે કે તેમણે ક્યારે ય બોલવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે ખોંખારો ખાઈને બોલ્યા નહોતા. કદાચ પાછલી ઉંમરે ક્યાં જવું એની દુવિધા પણ હોય. ‘જાય તો જાય કહાં’ એવી તેમની એક કવિતા પણ છે.

નોંધવા જેવી વાત એ છે કે ૧૯૯૫ પછીથી સંઘ પરિવારમાં ડહાપણ યુગ બેઠો હતો અને ઉપર જે નારાઓની યાદી આપી એ નારાઓ બોલવાનું બંધ કરવામાં આવ્યું હતું. બંધ એટલે સાવ બંધ. જાણે કે આપણે ટીવી ચેનલ બદલી નાખી હોય અને મારા-મારી, ગાળા-ગાળી અને દેકારાની જગ્યાએ ગુરુબાનીના સૂર રેલાતા હોય એવો અનુભવ થવા લાગ્યો હતો.

તો સવાલ એ છે કે રહી-રહીને હવે ત્રણ રાજ્યોની વિધાનસભાઓની અને લોકસભાની સામાન્ય ચૂંટણી માથે છે ત્યારે કેમ સૂર બદલ્યો? એવી કઈ રાજકીય મજબૂરી છે? સો ટકા મત પરિવર્તન નથી અને જો મત પરિવર્તન હોય તો ઠરાવ કરીને બતાવે. હંમેશ માટે હિન્દુત્વ અને હિન્દુરાષ્ટનું સ્વરૂપ વ્યાખ્યાયિત કરી નાખવામાં આવે. એ પછી તમારા પર કોઈ શંકા નહીં કરે. પણ લખી રાખજો આવું કયારે ય બનવાનું નથી. તો પછી કઈ રાજકીય મજબૂતી છે જેને કારણે સંઘના સરસંઘચાલકે ભાષા બદલવી પડી છે.

શક્યતા એવી છે કે સંઘના નેતાઓને ખાતરી થઈ ગઈ છે કે એકલા નરેન્દ્ર મોદી વૈતરણી તારી શકે એમ નથી. હવે સબ કા સાથ સબ કા વિકાસ, અચ્છે દિન, કમ્પિટિટિવ ફેડરલિઝમ, કાળા નાણાની વાપસી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, પારદર્શકતા, ૫૬ ઈંચની છાતી વગેરે ચાલી શકે એમ નથી. નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીની ઈમેજ ઇવેન્ટો યોજનારાઓ, ખેલ પાડનારાઓ, જુમલા ફેંકનારાઓ, સરેઆમ જૂઠું બોલનારાઓ, રાજકીય લક્ષ્મણ રેખા નહીં પાળનારાઓ, આત્મકેન્દ્રી અને દેશમાં સામાજિક વિભાજનો પેદા કરનારાઓ તરીકેની બની ગઈ છે અને હવે એ બદલવી અશક્ય છે. જેમ રામજન્મભૂમિના કોમી અંદોલનનું નેતૃત્વ કરનારા લાલ કૃષ્ણ અડવાની ૧૯૯૫માં પોતાની ઈમેજ બદલી શકે એમ નહોતા એના જેવી જ સ્થિતિ છે. અડવાણી ઇચ્છત તો પણ એ શક્ય નહોતું અને અત્યારે પણ એવી જ સ્થિતિ છે. નરેન્દ્ર મોદી લાખ પ્રયત્ન કરે તો પણ ૨૦૧૪માં પાછા ફરી શકે એમ નથી. અખલકને લિન્ચિંગ કરીને મારી નાખ્યો તો અમારું શું ઉખાડી લીધું એવી ભાષા વાપર્યા પછી હવે સભ્ય થવા માટે કોઈ જગ્યા જ નથી બચી. તેમણે વિવેક અને ઠાવકાઈના બધા દરવાજા બંધ કરી દીધા છે.

૧૯૯૫માં અને ૨૦૧૮માં એક ફરક છે. ત્યારે હજુ બી.જે.પી.એ કેન્દ્રમાં પહોંચવાનું હતું અને અત્યારે ત્યાં ટકવાનું છે. ૧૯૯૫માં અટલ બિહારી વાજપેયી ભાથામાં એક તીરની માફક ઉપલબ્ધ હતા જેમની ઈમેજ ખરડાયેલી નહોતી, બલકે અકબંધ હતી; જ્યારે અત્યારે સંઘ પરિવારના ભાથામાંનું નરેન્દ્ર મોદી નામનું તીર વપરાઈ ચૂક્યું છે.

બે સંભવનાઓ નજરે પડે છે. એક એ કે સંઘના નેતાઓએ નરેન્દ્ર મોદી-અમિત શાહને કહી દીધું હશે કે હવે પછીથી તમે ધીરે-ધીરે નિષ્ક્રિય થતા જાઓ. નરેન્દ્ર મોદી માત્ર શાસન વિષે બોલે અને અમિત શાહ પંચ તારક હોટલમાં બેસીને ચૂંટણીનું મેનેજમેન્ટ જુએ. હવે પછી નરેન્દ્ર મોદી લો પ્રોફાઈલ ધારણ કરતા જાય જે રીતે ૧૯૯૫ પછી લાલ કૃષ્ણ અડવાણીએ બોલવાનું બંધ કરી દીધું હતું. આવતા બે-ત્રણ મહિનામાં આસ્તે-આસ્તે સંઘ અને સંઘે પસંદ કરેલા નેતાઓ આગળ આવે, તેઓ જ મોટાભાગે રાજકીય નિવેદનો કરે. ડહાપણ, ડહાપણ અને ડહાપણ. તો ટૂંકમાં સંઘ અને બી.જે.પી.ના ઠાવકા નેતાઓ લાંબી લાઈન દોરતા જાય.

બીજી સંભવના એવી છે કે આ લોકસભાની ચૂંટણી પહેલાં કે પછીની વૈકલ્પિક યોજના છે. પ્લાન – બી. જો લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી. સવાસો દોઢસો બેઠકોથી વધારે બેઠકો ન મેળવી શકે તો નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજા કોઈને વડા પ્રધાન બનાવવામાં આવે. એ વ્યક્તિ કોણ હશે એ ઓળખવું મુશ્કેલ નથી. જે મોહન ભાગવતની અત્યારની ભાષામાં બોલવા લાગે, વારંવાર બોલે, આગ્રહપૂર્વક બોલે એને નરેન્દ્ર મોદીનો વિકલ્પ સમજવો. અત્યારથી જ વિકલ્પ નક્કી થઈ ગયો છે. નીતિન ગડકરી પર નજર રાખજો. જો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓની ચૂંટણીમાં કારમો પરાજય થાય તો પ્લાન – બી વહેલો પણ અમલમાં મૂકવામાં આવે. ચૂંટણી પૂર્વે જ નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજા નેતાને (નીતિન ગડકરી વાંચો) વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવામાં આવે.

આ રાજકારણ છે એમાં કાંઈ પણ બની શકે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 સપ્ટેમ્બર 2018

Loading

સળગતું જંગલ, માઓવાદ અને રાજ્ય

ઘનશ્યામ શાહ|Opinion - Opinion|22 September 2018

નંદિની સુંદરના અંગ્રેજી પુસ્તક ‘The Burning Forest : India’s War in Bastar’ પરથી તૈયાર કરેલ પરિચય-પુસ્તક ‘વિકાસની વિકરાળતા અને આદિવાસીની કરુણ દાસ્તાન’નું આમુખ

વંચિત-શોષિત આદિવાસીઓના હક્કોની માંગણી માટેનો સંઘર્ષ, નક્લસવાદી, માઓવાદીઓની આદિવાસીઓ તરફી હિંસક લડત અને પ્રજાસત્તાક રાજ્યની ભૂમિકા આ પુસ્તકના વિષયવસ્તુમાં કેન્દ્ર સ્થાને છે.

રાજ્યની જવાબદારી સંસાધનોની ન્યાયી વહેંચણી કરી સૌની સુખાકારી જોવાની છે. પણ જ્યારે જ્યારે વંચિતો એમના અધિકાર અને ન્યાયની માંગણી કરે છે, સંઘર્ષ કરે છે ત્યારે રાજ્ય તેમની લડતને ફક્ત કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં જ જુએ છે. રાજ્ય એવું વલણ રાખે છે કે “અમે આપીશું, અમે તમારું ભલું ઇચ્છીએ છીએ, પણ તમે માંગનાર કોણ?” આદિવાસીઓની માંગણીઓને લોકશાહી રાજ્ય સામ-દામ-દંડ અને ભેદથી કચડી નાખે છે. આ પરિસ્થિતિથી ગુંગળામણ, નિઃસહાયતા અનુભવતાં સંવેદનશીલ, સમાજશાસ્ત્રી નંદિની સુંદર પોતાની અકળામણ આપણી સાથે શેર કરે છે.

૧૯૪૬ના ડિસેમ્બરમાં ભારતની બંધારણ સભામાં બંધારણના ઉદ્દેશ અંગેના ઠરાવ પર લગભગ એક અઠવાડિયું ચર્ચા ચાલી. આ ઠરાવમાં સૌને ન્યાય, સામાજિક-આર્થિક-રાજકીય સમાનતાની સાથે “લઘુમતીઓને, પછાત આદિવાસી વિસ્તારોને અને પછાત-કચડાયેલા વર્ગોને પૂરતું રક્ષણ આપવાની ગેરન્ટી આપવામાં આવી.” આ વખતે બધા જ જુદી જુદી વિચારસરણીના આગેવાનો – નેહરુ, આંબેડકર, સરદાર પટેલ, મસાણી, શ્યામપ્રસાદ મુખરજી વગેરે પછી છેલ્લે આદિવાસી આગેવાન જયપાલ સિંઘ બોલવા ઊભા થયા. એમણે પોતાના વાત શરૂ કરી કે ‘એક જંગલી, એક આદિવાસી તરીકે આ ઠરાવના કાયદાની પરિભાષા મને ન સમજાઈ શકે તેવું માની શકાય. પણ મારી સામાન્ય બુદ્ધિ મને કહે છે કે હવે આપણે બધા ભેગા થઈને આ સ્વતંત્ર ભારતની રચનાના સંઘર્ષમાં કામ કરીશું. ભારતના સમગ્ર ઇતિહાસમાં પ્રાચીનકાળથી કોઈપણ સમુદાય સાથે ખરાબમાં ખરાબ વર્તન રાખવામાં આવ્યું હોય તો તે અમારા સમાજ પ્રત્યે … અમારા સમુદાયનો ઇતિહાસ બિન-આદિવાસીઓ દ્વારા સતત શોષણ, અમારાં સંસાધનો છીનવી લેવાનો અને તેની સામે અમે અવારનવાર કરેલા બળવાઓનો છે. આમ છતાં ય આજે હું જવાહરલાલ નેહરુ અને આપ સૌની વાતનો સ્વીકાર કરું છું કે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ કે જેમાં સૌને સમાન તરોક મળે અને કોઈને પણ અવગણવામાં ન આવે …'

આજે આપણી સૌએ આપણી જાતને અને રાજ્યને સવાલ પૂછવાનો છે કે આઝાદીના સાત દાયકાઓ પછી બંધારણે આપણા બિન-આદિવાસી આગેવાનોએ આપેલ ગેરન્ટીનું / વચનનું શું થયું? શું આપણે નાગરિક તરીકે, અને રાજ્યએ આદિવાસીઓ અંગે અભિગમ બદલ્યો છે? આ પુસ્તકે આ અવસ્થા કરતો સવાલ આપણા સૌ સમક્ષ ઊભો કર્યો છે. આ માટે નંદિની સુંદરના ‘ધ બર્નિંગ ફોરેસ્ટ’ પુસ્તકનું ગુજરાતીમાં, સરળ ભાષામાં પ્રકાશન કરવા માટે ભૂમિપુત્ર – યજ્ઞ પ્રકાશન અને રજનીભાઈ દવેને અભિનંદન.

દેશની કુલ વસ્તીના આઠ ટકા આદિવાસીની વસ્તી છે. તેમાંના નેવુ ટકા ગામડામાં જંગલ કે ટેકરીઓ-પહાડો પર વસે છે. જંગલ-પહાડો-પશુ-પ્રાણીઓ તેમની આજિવિકાનું સાધન છે. પરદેશી બ્રિટિશ સલ્તનને પોતાની જરૂરિયાતો ઉદ્યોગો, યુદ્ધ અને એશઆરામની જિંદગી માટે જંગલો પર કબ્જો મેળવ્યો. ૧૮૬૫થી જંગલની પેદાશ પર કાબૂ મેળવવા, અને સ્થાનિક લોકોને એમાંથી બાકાત રાખવાના કાયદા બનાવવાની, આદિવાસીઓને એમના પરંપરાગત કુદરતી હક્કોમાંથી વંચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી. ૧૯૪૭ પછી આ પ્રક્રિયા ચાલુ જ રહી એટલું જ નહીં પણ એણે વેગ પકડ્યો. વિકાસના નામે, પ્રગતિના નામે. આપણા ઉદ્યોગો, શહેરો, સિંચાઈ અને પાવર માટેના વિશાળ બંધો, ન્યુિક્લયર પાવર પ્લાન્ટ વગેરે માટે જે લોકો વિસ્થાપિત થયા તેમાંના ત્રીજા ભાગના આદિવાસીઓ છે. તેમની જમીન પર બંધ બંધાયા પણ તેમને પીવા કે ખેતી માટે પાણી ન મળ્યું. એમની જમીનો પર ઉદ્યોગ થયા, થઈ રહ્યા છે અને તેમને બહાર ધકેલી મૂકવામાં આવે છે. તેઓ વેરવિખેર થઈ જાય છે અને રોજગારી માટે દૂર દૂર ભટકે છે. ૧૯૮૨માં એ.કે. રોય નોંધે છે : “ઝારખંડના અજવાળામાં અંધારુ છે … બોકારો, રૂરકેલા, જમશેદપુર, દામોદરવેલી પ્રોજેક્ટ અને ઓરિસ્સાના હિરાકુંડ બંધના પાવર પ્રોજેક્ટ્‌સ – અહીં વિકાસની કંઈ જ ખોટ નથી, પણ આ બધું સ્થાનિક રહેવાસીઓને ભોગે. ઉદ્યોગ તેમને બહાર ધકેલે છે. બંધ તેમને ડુબાડે છે અને નષ્ટ થતાં જંગલો તેમને ભૂખ્યા રાખે છે …”

છેલ્લા સાત દાયકામાં દેશમાં જે કંઈ ભૌતિક પ્રગતિ-વિકાસ થયો છે તેમાં સૌથી વધારેમાં વધારે આજિવિકાના સાધનો જેમણે ગુમાવ્યાં હોય તો તે આદિવાસીઓ છે. આ કહેવાતા વિકાસનો સૌથી ઓછો લાભ-શિક્ષણ, આરોગ્ય, કામ ધંધા-નોકરી-કોઈને મળ્યો હોય તો તે આદિવાસીને. એક બાજુએ આદિવાસીઓ પોતાનાં નૈસર્ગિક અને ભૌતિક સાધનો ગુમાવે છે. અને સાથેસાથે એમના પ્રદેશમાં ઊભા થતા મોટા ઉદ્યોગો, બંધો, થર્મલ પાવર અને બિનઆદિવાસી અધિકારીઓ અને ધંધાદારીઓથી ઊભરાતાં શહેરો આદિવાસીઓને તુચ્છકારી એમની પરંપરાગત સંસ્કૃિત પર આક્રમણ કરી એમનો બધી જ રીતે ગેરલાભ ઉઠાવે છે. આ અજંપામાંથી ઉદ્‌ભવે છે ગુસ્સો, વિપ્લવ અને આક્રમકતા, જે નક્સલબારી વિચારસરણી અને કાર્ય પદ્ધતિને પોષે છે. નક્સલબારી વિચારસરણીનો પક્ષ માઓવાદી તરીકે ઓળખાય છે. તેઓ માને છે કે આજનું રાજ્ય સામાન્ય લોકોના કલ્યાણ અને વિકાસ માટે નથી. તે છે પૂંજીપતિ કોર્પોરેટ હાઉસીસનાં હિતો માટેનું આ રાજ્ય જુદી જુદી રીતે સીધી કે આડકતરી રીતે હિંસાનો ઉપયોગ લોકો પર કરે છે. આ પ્રકારના રાજ્ય સામે – રાજ્યની માળખાગત (સતત અન્યાય, સાધનોની છીનવણી અને બીક) અને ખુલ્લેઆમ રોજબરોજ પોલીસ, જંગલખાતા અને બીજા અધિકારી દ્વારા આચરાતી હિંસા સામે શાસ્ત્રોનો ઉપયોગ કરે છે. તેઓ હિંસક ક્રાંતિ દ્વારા લોકોના રાજ્યની રચના માટે હિમાયત કરે છે, લડે છે.

માઓવાદી અને રાજ્યની હિંસા વચ્ચે ભીંસાતા આદિવાસીઓની વિવશતાને લેખક અહીં રજૂ કરે છે. છત્તીસગઢનાં – બસ્તરનાં આદિવાસી ગામોમાં લેખકે વારંવાર જે સાંભળ્યું, જોયું, અને અનુભવ્યું તે પરથી લેખકને માઓવાદીઓનાં બલિદાન માટે માન ઊપજે છે. પણ તે સાથે તેઓ તેમના હિંસાના માર્ગને વખોડે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે અન્યાય સામેની હિંસક લડત પણ વિકૃત, ઘાતકી અને ભ્રષ્ટાચારનું સ્વરૂપ લઈ શકે છે. સૈદ્ધાંતિક રીતે માઓવાદીઓના શસ્ત્ર ક્રાંતિ દ્વારા સામાજિક પરિવર્તનના ખ્યાલ અને માર્ગને તેઓ નકારે છે. તે સાથે લોકશાહીમાં બંધારણ દ્વારા આપેલ વચનોને અવગણી, આદિવાસીઓના પ્રશ્નો અને માંગણીને પૂરી કરવાને બદલે રાજ્ય આદિવાસીઓ પર જુલમ આચરે છે. જેની મૂળભૂત જવાબદારી જનતાને ન્યાય આપવાની છે, તે રાજ્ય પોતે જ લોકશાહી વિરુદ્ધ આચરણ કરીને માનવ અધિકારનું બંધારણનું ખંડન કરે છે તેનો પણ લેખક વિરોધ કરે છે.

આઝાદી પછી જેમ જેમ આદિવાસીઓ પોતાની આજિવિકાનાં સંસાધનો વધુ ઝડપથી ગુમાવતા ગયા તેમ તેમ તેમનામાં અજંપો વધતો ગયો. તેમને વધુને વધુ લાગવા માંડ્યું કે આ રાજ્ય-વ્યવસ્થામાં તેમનો અવાજ નથી. એમનાં હિત અને સુખાકારીને સ્થાન નથી. ૧૯૮૦ના દાયકાથી છત્તીસગઢ, ઝારખંડના આદિવાસી માઓવાદી વિચારસરણી તરફ વળતા ગયા. ધીમેધીમે નક્સલવાદીઓની વગ અને વિસ્તાર વધ્યાં. એમના તાબાના વિસ્તારમાં માઓવાદી જનતા સરકારની રચના થવા લાગી. એમની સાથે વધુ ને વધુ આદિવાસીઓ જોડાયા કારણ કે એમને શાંતિ અને સ્વમાનભેર જીવવું છે. તેઓએ રચેલી એક કાવ્ય પંક્તિ એમની વાત કહે છેઃ હું ચાહું છું શાંતિ, નહીં કે યુદ્ધ; નથી જોવા મારે ભૂખ્યાં બાળકો, દુબળી સ્ત્રીઓ કે મૂક થઈ ગયેલા પુરુષો; તેથી તો મેં ચાલુ રાખ્યો છે સંઘર્ષ …

રાજ્ય આ સંઘર્ષને ઠારવા આદિવાસીઓના પ્રશ્નો ઉકેલવાને બદલે, અને વિકાસમાં ભાગીદાર બનાવવાને બદલે, એમની સામે બેફામ હિંસાનો ઉપયોગ કરે છે. આદિવાસીઓને અંદરોઅંદર વિભાજિત કરીને લડાવે છે. ૨૦૦૫માં રાજ્યે માઓવાદીની સામે સ્થાનિક આદિવાસીઓની અર્ધલશ્કરી ટુકડીઓ એને સલવાજુડુમ કહેવામાં આવે છે તેની રચના કરી. જે ગામોના આદિવાસીઓ આ સલવાજુડુમમાં જોડાવાની આનીકાની કરે તેમની પર રાજ્યે જુલમ શરૂ કર્યો, સળગાવી દીધા, સ્ત્રીઓ પર પોલીસ અને અર્ધસરકારી બળોએ બળાત્કાર કર્યા. આ જુલમથી ત્રાસી લગભગ એક લાખ આદિવાસીઓ આંધ્રપ્રદેશમાં જતા રહ્યા. સુપ્રિમ કોર્ટે સલવાજુડુમને ગેરકાયદેસર ઠેરવી અને વિખેરવાનો આદેશ આપ્યો. એટલે રાજ્યે ઓપરેશન ગ્રીન હન્ટ શરૂ કર્યું. કેટલાક આદિવાસીઓને લલચાવી ‘સ્પેિશયલ પોલીસ ઓફિસર’(SPO)ની ટુકડીઓ રચી. આ આખી પ્રક્રિયામાં જે આદિવાસીઓ રાજ્યને ટેકો આપતા ન હોય તે સૌને નકલસવાદીઓ ગણી મારવામાં આવ્યા, જેલમાં પૂર્યા. સામે પક્ષે જે આદિવાસીઓ પોતે નક્સલવાદીઓ નથી એવું કહેવડાવતા હોય તેમને નક્સલવાદીઓએ રાજ્યના એજન્ટ ગણ્યા અને એમને શિક્ષા કરવા માંડી, એમની પર હિંસક હુમલા કર્યા. પરિણામે સામાન્ય આદિવાસી લોકો રાજ્ય અને માઓવાદીઓની હિંસા વચ્ચે ભીંસાય છે. પ્રસ્તુત પુસ્તક આ ચિંતા આપણી સમક્ષ રજૂ કરે છે. અને લોકશાહીમાં રાજ્યની ભૂમિકા અંગે સવાલ પણ ઊભાં કરે છે.

આઝાદ ભારતમાં આદિવાસીઓને લઈ રહેલ અન્યાયને કોઈ પણ સંવેદનશીલ નાગરિક, ખાસ કરીને અહિંસક સમાજ ઇચ્છતો નાગરિક સ્વીકારી ન શકે. અન્યાયના, શોષણના પાયા પર રચાયેલ સમાજ અહિંસક ન હોઈ શકે. તે સાથે હિંસાના માર્ગે ન્યાયમૂલક સમાજ રચી ન શકાય. લેખક કહે છે કે માઓવાદીઓ શસ્ત્રની તાકાતમાં એક અંધવિશ્વાસભર્યું વલણ ધરાવે છે.

રાજ્ય થોડાક ઉદ્યોગપતિઓનાં હિતોને સાચવવા હિંસા કરે છે અને આદિવાસીઓને અન્યાય કરે છે. એટલું જ નહીં, જેઓ રાજ્યની આ હિંસાને ટેકો નથી આપતા, વંચિતોના ન્યાયને પ્રાદ્યાન્ય આપે છે તેઓને દેશવિરોધી, માઓવાદી ગણી હેરાન કરે છે. એમને ચૂપ કરવાનો પ્રયત્ન કરે છે. આ પુસ્તકનાં લેખક નંદિની સુંદર, બેલા ભાટિયા, ડૉક્ટર સેન, હિમાંશુકુમાર જેઓ આ વિસ્તારમાં ગરીબ આદિવાસીઓને મદદ કરવા, શાંતિ માટે પ્રયત્ને કરે છે તે સૌને રાજ્ય દુશ્મન, માઓવાદી તરીકે ખપાવી હેરાન કરે છે, જેલમાં પૂરે છે. સર્વોદય કાર્યકર હિમાંશુકુમારને લાગે છે કે જે રીતે રાજ્ય વર્તી રહ્યું છે તે જોતાં તો જો આજે ગાંધીજી જીવતા હોત તો તે પણ જેલમાં હોત.

આ પુસ્તક વાંચતાં આપણે હચમચી જઈએ છીએ અને આપણી જાત સાથે, અંતરાત્મા સામે ઘણા સવાલો ઊભા થાય છે. ભૂમિપૂત્ર – યજ્ઞ પ્રકાશન અને રજનીભાઈને આ પુસ્તક ગુજરાતી વાચકો સમક્ષ મૂકવા બદલ અભિનંદન. આ પુસ્તક પર વધુ ખુલ્લા મને ચર્ચા થાય તો રજનીભાઈ મહેનત સફળ થશે.

અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 03-04 

Loading

...102030...2,9922,9932,9942,995...3,0003,0103,020...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved