મને દૂરનું ઝાઝું દેખાતું નથી; પણ એ જ તો, કદાચ,
મારી ખરી તાકાત છે.
દૂરબીન લગાવીને દૂરનું જોનારાઓ કહે છે
કે આઘેના એક જબરજસ્ત મેદાનમાં
દુશ્મનોએ જ્યાફત માંડી છે ને એઓ ગીતો ગાય છે
પોતાની જીતનાં, આપણી હારનાં.
મને તો કશું સંભળાતું નથી એવું.
મારી એ જ તો ખરી તાકાત છે.
ક્યાંક બને કે આપણે યુદ્ધ હારી ગયા છીએ એવું કોઈક માનતું હોય,
પણ અહીં, હું જ્યાં છું ત્યાં, હજી લડાઈ ચાલુ છે મારી.
જ્યાં આપણે છીએ, અબીહાલ, ત્યાં આપણી લડાઈ ચાલુ છે.
ગીતો ગાવાનો વખત નથી આવ્યો હજી,
આપણો કે કોઈનો,
જીતનો કે હારનો.
હજી અહીં આજે આપણી લડાઈ ચાલુ છે
એ જ તો ખરી તાકાત છે આપણી.
પાલો આલ્ટો, ઑગસ્ટ ૨૯, ૨૦૧૮.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 01
![]()


સરસંઘચાલક મોહન ભાગવતનાં વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો પછી, ભલે કેવિયટનુમા અંદાજમાં પણ, એક આશાઅપેક્ષા જરૂર જાગી હતી કે સંઘ પરિવાર પોતાની વૈચારિક ભૂમિકા વિશે કંઈક નવેસર જોશે. જો કે, એ વ્યાખ્યાનોમાં પણ એક પા જો ગોળવલકરના વિચારો પણ કાલબાહ્ય હોઈ શકે એવા અહેસાસની અનુમોદના હતી તો બીજી પા રવીન્દ્રનાથ કૃત ‘સ્વદેશી સમાજ’ સરખા પ્રબંધમાંથી સમર્થન ઘટાવવાની કંઈ નહીં તો દૂરાકૃષ્ટ એવી ચેષ્ટા સુદ્ધાં હતી : ગમે તેમ પણ, આ વ્યાખ્યાનો પછી એવા અનુમાનને અવશ્ય અવકાશ હતો કે સંઘ પરિવારના પત્રોમાં પણ એની ચર્ચા ચાલશે અને એકાદ મહિનામાં અંદરબહારની સર્વ ચર્ચાને અંતે વિજ્યાદશમી વ્યાખ્યાનમાં અધિકૃત એવી પુનર્વિચાર ટિપ્પણી મળશે. એક રીતે, વિવેકાનંદના શિકાગો વ્યાખ્યાનની એકસો પચીસી નિમિત્તે અમેરિકામાં સંઘ આયોજન, એ પૂર્વે પૂર્વરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નાગપુર મુલાકાતમાં કરેલી માંડણી અને વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો, સઘળું સમેટાઈ નવે ટપ્પે જવું હોય તો તે માટેની સંધિ વિજ્યાદશમી વ્યાખ્યાનમાં મળી રહેશે એવી અપેક્ષા હતી.