Opinion Magazine
Number of visits: 9685939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલાકારોએ અને વિચારકોએ આમંત્રણ સ્વીકારતાં પહેલાં આયોજકોને પૂછી લેવું જોઈએ કે તમે આપણા મહાન દેશના મહાન વડા પ્રધાન જેમને ફોલો કરે છે એવા ટ્રોલ્સનો મુકાબલો કરવા જેટલી કરોડરજ્જુ ધરાવો છો?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 November 2018

ઉમાશંકર જોશીએ કહેલો એક પ્રસંગ મેં આ પહેલાં નોંધ્યો હતો. એક વાર જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્‌ની ઉપસ્થિતિમાં દેશભરનાં કેટલાંક ચુનંદા સાહિત્યકારો અને વિદ્વાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં ઉમાશંકર જોશી પણ હતા. વિષય હતો: અમર કહી શકાય એવાં કાલજયી વિદેશી વિચારોને અને સાહિત્યને ભારતીય ભાષાઓમાં લઈ આવવાનો કે જેથી દરેક પ્રદેશની નવી પેઢીને વિચારવા માટે ભાથું મળે. સોક્રેટિસ, પ્લેટો-એરિસ્ટૉટલથી શરૂ કરીને જ્યૉં પૉલ સાર્ત્ર સુધીના વિચારકો અને હોમરથી લઈને કાફકા સુધીના સાહિત્યકારો વિષે તેમાં ચર્ચા થઈ હતી અને અનુવાદ માટેનાં પુસ્તકોની યાદી બનાવી હતી.

પહેલી વાત તો એ કે દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ એમ બંને પાસે નવી પેઢીના વૈચારિક ઘડતર માટે સમય હતો, અને તેમનાથી ચડિયાતાં હોય એવાં લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનોની વચ્ચે બેસવામાં લઘુતાગ્રંથિ નહોતા ધરાવતા. તેઓ માત્ર બેઠા નહોતા, ચર્ચામાં ભાગ લેતા હતા અને કયું પુસ્તક અનુવાદિત કરાવવું જોઈએ અને કયું ન કરાવવું જોઈએ કે પછી કરાવી શકાય એવા અભિપ્રાય પણ આપતા હતા, એમ ઉમાશંકરે નોંધ્યું છે. ઉમાશંકરે તો એમ પણ નોંધ્યું છે કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે એક જ લેખક કે વિચારકનાં બે પુસ્તકમાંથી કયું પુસ્તક પસંદ કરવું એ વિષે મતભેદ પણ થતા હતા.

બીજી વાત એ કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ભારતીય તત્ત્વજ્ઞાનને અંગ્રેજી ભાષામાં  જગત સમક્ષ પહોંચાડનારા ડૉ. રાધાકૃષ્ણન્‌ તેમ જ બેઠકમાં ઉપસ્થિત વિદ્વાનો એમ કોઈને ય વિદેશી વિચારનો ભય નહોતો લાગ્યો. ભય એને લાગે જેનામાં પોતાનાપણા વિષે આત્મવિશ્વાસ ન હોય.

ત્રીજી વાત એ કે જવાહરલાલ નેહરુ એમ માનતા હતા કે માનવીનો સાંસ્કૃિતક વિકાસ આપ-લે દ્વારા થતો હોય છે અને એના દ્વારા પ્રત્યેક સંસ્કૃિત વધુ સમૃદ્ધ બનતી હોય છે. છોડને પણ આકાશની જરૂર પડે છે તો આપણે તો માનવી છીએ. જગતની સમૃદ્ધ સંસ્કૃિતઓ પર નજર કરી જુઓ. જ્યાં આપ-લે વધુ હતી ત્યાં સભ્યતાઓ વિકસી છે, સમૃદ્ધ થઈ છે અને ટકી છે.

પણ આ બધી વાતો એને માટે છે જેઓ આત્મવિશ્વાસ ધરાવે છે. આ લઘુતાગ્રંથિ ધરાવનારા નાના માણસોનો યુગ છે. સ્વતંત્ર વિચાર ધરાવનારા મેધાવી માણસોથી શાસકો દૂર ભાગે છે. ‘તમે વધુ જાણો છો અને હું ઓછુ જાણું છું, પરંતુ દેશના વિકાસ માટે તમારી સેવાની જરૂર છે’, એટલું સ્વીકારવા જેટલી નમ્રતા આજના શાસકો ધરાવતા નથી. તેમની લઘુતાગ્રંથિ અભિમાનના સ્વરૂપમાં પ્રગટ થાય છે.

પખવાડિયા પહેલાં તેમણે દિલ્હીમાં નેહરુ મેમોરિયલ મ્યુિઝયમ એન્ડ લાયબ્રેરીમાંથી વિખ્યાત સમાજશાસ્ત્રી પ્રતાપ ભાનુ મહેતાને દૂર કર્યા અને તેમની જગ્યાએ અર્નબ ગોસ્વામી નામના પોપટને બેસાડવામાં આવ્યા. પખવાડિયા પહેલાં વિખ્યાત ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાને ગુજરાતમાં ભણાવવા દેવામાં નહીં આવે, એવો ફતવો કાઢવામાં આવ્યો. ફતવાઓ મૌલવીઓ કાઢે છે, અને શિખાધારીઓ નથી કાઢતાં એવું થોડું છે? જ્યાં સુધી મુસલમાનો મૌલવીઓને સાંભળતા નહોતા અને દરેક ક્ષેત્રમાં તેમને ઘોંચપરોણો કરવા નહોતા દેતા, ત્યાં સુધી મૌલવીઓ ભાગ્યે જ ફતવાઓ કાઢતા હતા અને કાઢતા હતા તો માત્ર ધર્મને લગતા. જ્યારથી મુસલમાનોએ કોમી માનસ વિકસાવીને મૌલવીઓને સાંભળવાનું શરૂ કર્યું ત્યારથી મૌલવીઓની દરેક પ્રશ્ને માથું મારવાની અને ફતવા જારી કરવાની હિંમત વધી ગઈ. અત્યારે હિન્દુઓ મૂર્ખાઓને સાંભળતા થયા છે એટલે વિચારોની નાકાબંધી કરવા જેટલી હિંમત શીખાધારીઓએ મેળવી લીધી છે.

હવે સાહેબોની સંમતિ અને સહાય સાથે કામ કરતા ટ્રોલસૈન્યે કર્ણાટકી સંગીતના મોટી હેડીના ગાયક ટી.એમ. કૃષ્ણાને ટાર્ગેટ કર્યા છે. તેઓ બીજા કલાકારો સાથે દિલ્હીમાં નેહરુ પાર્કમાં ૧૯મી તારીખે ગાવાના હતા. કાર્યક્રમનું આયોજન જાણીતા કલામંચ સ્પીક મૅકૅએ કર્યું હતું જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભાગીદાર સંસ્થા હતી. કાર્યક્રમની જાણ થતાંની સાથે જ ટ્રોલસૈન્યે દબાણ લાવવાનું શરૂ કર્યું કે ટી.એમ. કૃષ્ણાને દિલ્હી ગાવા માટે નહીં બોલાવવા જોઈએ. કારણ? કારણ કે તેઓ નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે અને એટલે દેખીતી રીતે તેઓ દેશદ્રોહી છે. જે નરેન્દ્ર મોદીનાં વખાણ કરે એ દેશપ્રેમી અને વિરોધ કરે એ દેશદ્રોહી.

હવે ભાઈ વિરોધ તો થવાનો જ. આ દેશમાં જેટલા લોકો બુદ્ધિશાળી છે અને પોતાના દેશની પરંપરાને, સંસ્કૃિતને, માનવીય મૂલ્યોને જાણે છે એ બધા જ લોકો વિરોધ કરી રહ્યા છે. જે વિરોધ નથી કરતા એ ડરના માર્યા ચૂપ છે, પણ પ્રસંશા તો નથી જ કરતા. વાહ વાહ કરવા માટે જેટલી બુદ્ધિદરિદ્રતા જોઈએ કે સ્વમાનહીનતા જોઈએ એ અમારામાં નથી. મને ખાતરી છે કે ૯૯ ટકા ભક્તોએ ટી.એમ. કૃષ્ણાનું નામ નહીં સાંભળ્યું હોય, ત્યાં તેમના સંગીતને સાંભળ્યું હોય એ તો દૂરની વાત છે. 

ટી.એમ. કૃષ્ણા અવ્વલ દરજ્જાના ગાયક છે અને અત્યંત નમ્ર માણસ છે. માણસ એટલે ખરા અર્થમાં માણસ. નાના શહેરમાંથી કે સામાજિક-આર્થિક રીતે નીચલા વર્ગમાંથી આવતા સંગીતકારોને ખાસ પ્રોત્સાહન આપનારા. ‘ભાલો ભાલો’ કહીને સાથી કલાકારોને પ્રોત્સાહન આપે. સંગીત પર ઉચ્ચભ્રુ વર્ગની ઈજારાશાહી તોડવા માટે તેઓ સાંસ્કૃિતક આંદોલન કરી રહ્યા છે અને તેની કદરરૂપે તેમને બે વરસ પહેલાં મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વડા પ્રધાન જેમને ફૉલો કરી રહ્યા છે, એ અભણ ટ્રોલને તો આ બધી વાતની જાણ પણ નહીં હોય. ગેરન્ટી.

courtesy : Keshav in "The Hindu", 16 November 2018

રામચન્દ્ર ગુહાએ ટી.એમ. કૃષ્ણા વિશેનો એક પ્રસંગ ટાંક્યો છે. એક જગ્યાએ કાર્યક્રમ પૂરો થયો એ પછી કેટલાક લોકો ટી.એમ. કૃષ્ણાને મળવા આવ્યા. તેમણે ફરિયાદ કરી કે તમે ફલાણી ફલાણી જગ્યાએ ગાવાનું આમંત્રણ સ્વીકાર્યું, પરંતુ અમારી સંસ્થામાં ગાવાનું આમંત્રણ આપ્યું તો તમે ઠુકરાવી દીધું. ટી.એમ. કૃષ્ણાએ કહ્યું કે ‘એક વાર હું આમંત્રણ સ્વીકારીને ગાવા આવ્યો હતો. મેં ગાઈ લીધું એ પછી આયોજકે એક રાજકારણીને બોલવા માટે કહ્યું હતું અને તે વીસ મિનિટ સુધી રાજકારણ વિષે બોલ્યો હતો. રાજકારણીને પહેલાં બોલવા કહ્યું હોત તો મને વાંધો નહોતો, પરંતુ સંગીત સાંભળેલા ભાવકના ભાવવિશ્વ પર વિષયાંતર કરીને કોઈ પાણી ઢોળે એ કેમ ચાલે. સભાગૃહમાંથી બહાર નીકળતી વખતે ભાવક કૃતિને દિલમાં અને મનમાં ભરીને સાથે લઈ જતો હોય છે; પછી એ સંગીત હોય, નૃત્ય હોય, નાટક હોય કે ફિલ્મ હોય.’

પેલા આયોજકોને આ ખુલાસો ગળે ઉતર્યો નહોતો. તેમણે દલીલ કરી હતી કે ‘અમારી ગાયન સભા સો વરસ જૂની છે એ ન ભૂલવું જોઈએ.’ ટી.એમ. કૃષ્ણાએ લાગલું કહ્યું હતું કે ‘મારું સંગીત છસો વરસ જૂનું છે.’

હવે બોલો, આવા ખુદ્દાર અને તેજસ્વી માણસો જયજયકાર ઓછા કરે? એ ગમાર અને કઢીચટ્ટાઓનું કામ છે. એટલે જ તેમણે કહ્યું છે કે ૧૯મી તારીખે દિલ્હીમાં મને ગમે ત્યાં સ્ટેજ આપો હું ધરાર ગાઈશ. જોઈએ સંસ્કાર અને સંસ્કૃિતના દુશ્મનો શું કરે છે? હવે એમ લાગે છે કે કલાકારોએ, વિચારકોએ, વક્તાઓએ આમંત્રણ સ્વીકારતાં પહેલાં આયોજકોને પૂછી લેવું જોઈએ કે તમે આપણા મહાન દેશના મહાન વડા પ્રધાન જેમને ફોલો કરે છે એવા ટ્રોલ્સનો મુકાબલો કરવા જેટલી કરોડરજ્જુ ધરાવો છો? જો ધરાવતા હોય તો જ બોલાવજો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 નવેમ્બર 2018

Loading

પળ-અકળ

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|17 November 2018

જન્મની પળ કંઈ એવી અકળ અહીં,
પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.
 
ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.
કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય ..
રોજ રોજ પાનાં તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી ..
પણ પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં …. ….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
 
અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.
શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર ..
સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,
તો ય પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં ………..  જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
 
ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાં ય રાખી, ના કોઈને કીધી.
લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.
છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી ..
આખરી પળ પણ એવી અકળ અહીં …………………… પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં ..

હ્યુસ્ટન, નવેમ્બર ૧૬, ૨૦૧૮

e.mail : ddhruva1948@yahoo.com

http://devikadhruva.wordpress.com

Loading

શહેરનાં સરસપુરનાં સરસ્વતી સમાં શિક્ષિકા જશીબહેન નાયક એકસો એકમાં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|16 November 2018

પદ્મશ્રી સન્માનિત કેળવણીકાર રઘુભાઈ નાયકનાં સર્વાર્થે જીવનસાથી એવાં જશીબહેન નાયક વાત્સલ્યમય શિક્ષક, ઉત્તમ સંચાલક, અને પુસ્તકોનાં લેખક છે. તેઓ રવિવારે એકસો એકમાં વર્ષમાં પ્રવેશ કરશે.

અમદાવાદના શ્રમજીવીઓના એક વિસ્તાર સરસપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સભાગૃહની નજીક સરસ્વતી વિદ્યાલય તરીકે ઓળખાતી શાળાઓનું સંકુલ આવેલું છે. તેમાં બાળમંદિરથી બારમાં ધોરણ સુધીની છ શાળાઓમાં પાંચેક હજાર બાળકો ભણે છે. આ શાળાઓનું સંચાલન સરસ્વતી વિદ્યામંડળ નામનું ટ્રસ્ટ કરે છે. આ ટ્રસ્ટની મૂળ શાળા આ મહિનામાં ત્રીસમી નવેમ્બરે પંચોતેર વર્ષમાં પ્રવેશ કરશે; અને તેના એક આદ્ય શિક્ષિકા તેમ જ (અ)પૂર્વ આચાર્ય જશીબહેન એકસો એકમાં વર્ષમાં અઢારમી તારીખના રવિવારે  પ્રવેશ કરશે.

મંગળવારે જશીબહેને ખુરશીમાં સીધાં બેસીને મીઠા અને ધીમા અવાજે કરેલી સરસ વાતો, ગુલબાઈ ટેકરા વિસ્તારની મૈત્રી સોસાયટીના તેમનાં ઘરે સાંભળવા મળી. આજે ય જશીબહેન વિદ્યામંડળનાં પ્રમુખ તરીકે સંસ્થાની બેઠકોમાં હાજર રહે છે. શાળાનાં બાળકોની નૃત્યનાટિકામાં માર્ગદર્શન આપે છે. એકાદ દાયકાથી, દર વર્ષે છ-આઠ મહિના ઇન્ગ્લેન્ડના લિવરપૂલમાં તેમનાં તબીબ ચિરંજીવી પ્રશાંતભાઈને ત્યાં રહે છે. લાંબો પ્રવાસ ખેડી શકે છે, હવામાન સાથે તરત મેળ પાડી શકે છે. એ જ્યાં હોય ત્યાંથી સંસ્થાના માસિક ‘ઘરશાળા’ માટે લેખો લખાવી મોકલે છે. સંસ્થા તેમની જિંદગીનો અવિભાજ્ય હિસ્સો છે. એવું જ એમના પતિનું પણ હતું. 

જશીબહેનના પતિ એટલે પદ્મશ્રી સહિત અનેક સન્માનો મેળવનાર કેળવણીકાર રઘુભાઈ નાયક(1907-2003). સરસ્વતી વિદ્યામંડળના સ્થાપક રઘુભાઈ અને સર્વાર્થે તેમનાં જીવનસાથી જશીબહેને અમદાવાદમાં મિલકામદારોનાં અને દિલ્હીમાં ત્યાંના ગુજરાતીઓનાં બાળકોને ભણાવ્યાં. રઘુભાઈ દેશનાં પાટનગરનાં સરદાર પટેલ વિદ્યાલયમાં પહેલા આચાર્ય બન્યા, કારણ કે એ વખતના દૂરંદેશી અર્થમંત્રી અને ગૃહમંત્રી રાજપુરુષ એચ.એમ. પટેલ રઘુભાઈની કેળવણીકાર તરીકેની ક્ષમતાને બરાબર પારખી ગયા હતા. દિલ્હીની આ ગુજરાતી શાળા બહુ પ્રતિષ્ઠા પામી છે. દિલ્હીની શાળામાં પણ, અમદાવાદની શાળાની જેમ, રઘુભાઈની સાથે જશીબહેન  શિક્ષિકા અને સહઆચાર્ય હતાં.

જશીબહેનને ‘પતરાંની શાળા’ સહુથી વધારે સાંભરે છે. રઘુભાઈએ સ્થાપેલી આ પહેલી શાળા. વાત એમ હતી કે કાળુપુર સ્ટેશનની પાછળના વિસ્તારમાં, બંધ પડી ગયેલી માધુભાઈ મિલનાં કમ્પાઉન્ડનાં કેટલાંક મકાનો અને ગોડાઉનોમાં પતરાંના શેડમાં કારખાનાં ચાલતાં. તેમાંથી બે-ત્રણ શેડમાં એક શાળા ચાલતી હતી. સગવડો અને સંખ્યાને અભાવે બંધ પડવા આવેલી એ શાળા રઘુભાઈએ તેના સંચાલક પસેથી લઈ લીધી. તેના માટે તેમણે પોતાના અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા પચીસ હજાર રૂપિયા ચૂકવ્યા. રઘુભાઈનું ધ્યેય પૂર્વ અમદાવાદના અભાવગ્રસ્ત લોકોને શિક્ષણ આપવાનું હતું. આવી નિસબત ધરાવતા રઘુભાઈએ આઝાદીની ચળવળમાં જેલ વેઠી હતી, રવીન્દ્રનાથ પાસે શાંતિનિકેતનમાં શિક્ષણ મેળવ્યું હતું, જર્મનીની ફ્યૂબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉકટરેટ પ્રાપ્ત કરી હતી, સારી નોકરી માટેના પ્રસ્તાવ સ્વીકાર્યા ન હતા. ગામડાંમાં શિક્ષણનું કામના કરવાનાં ઉદ્દેશ્યથી ભાવનગરની અનોખી શાળા ‘ઘરશાળા’માં નજીવા પગારે આચાર્ય બન્યા. સંસ્થાના સ્થાપક અને કેળવણીકાર હરભાઈ ત્રિવેદીનાં દીકરી એવાં શિક્ષિકા જશીબહેન સાથે લગ્ન કર્યાં.

અમદાવાદનાં ગરીબ બાળકોને ભણાવવાના આદર્શ સાથે રઘુભાઈએ કામ શરૂ કર્યું એટલે  સરસપુરમાં ડઝનેક મિલોનાં સાયરનો, ધૂળ, ધૂમાડા અને કોલસાની રજ વચ્ચે આવેલાં બિસ્માર મિલ કમ્પાઉન્ડમાં જ ઘર માંડ્યું. દમની બીમારી ધરાવતાં જશીબહેન આઠ મહિનાના દીકરા પ્રશાન્તને લઈને પતિને સાથ આપવા લાગ્યાં. ભાવેણાની સુંદર ‘ઘરશાળા’, સુખી ગૃહજીવન, વ્યાવસાયિક કારકિર્દી અને સ્નેહીઓને છોડી દીધાં. પાણી, અનાજ, જાજરૂ-બાથરૂમ, વીજળી, આવકનાં અભાવો સહિતની અનેક મુશ્કેલીઓ વેઠીને ઘરસંસાર ચલાવ્યો, સાથે શાળા પણ વિકસાવી. નાયક દંપતીએ સરસ્વતી શાળાને વિષય શિક્ષણ ઉપરાંત બાળકના સર્વાંગીણ રુચિસંપન્ન વિકાસ સાધવા માટેની ‘નૂતન શિક્ષણ’ની વિભાવના મુજબ આકાર આપ્યો. શાળાની જમીન રેલવેએ સ્ટેશનના વિસ્તરણ માટે સંપાદિત કરી. એટલે ખૂબ મહેનતથી 1959માં નવી જમીન મેળવી, જ્યાં શાળાની બે મોટી ઇમારતો અત્યારે ઊભી છે. શાળામાં ઉત્તમ શિક્ષકો તો રોક્યા જ. ઉપરાંત તેને સંગીત, નૃત્ય, નાટ્ય, સામયિક, ભીંતપત્ર, રમતગમત, સામાજિક કાર્ય, વિદ્યાર્થીમંડળ જેવી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી. તેની માહિતી શિક્ષણક્ષેત્ર પરના પીઢ લેખક  હરિત પંડ્યાએ આલેખેલાં રઘુભાઈનાં વાચનીય ચરિત્ર ‘સપનાં થયાં સાકાર’માં મળે છે. આ પુસ્તક ઑસ્ટ્રેલિયાના અગ્રણી શિક્ષણવિદ્દ ફ્રેડા વિટલૅમે (1920-2018) લખેલાં રઘુભાઈના ‘લાઇટ ઇન ધ ઇસ્ટ’ (1996) નામના જીવનચરિત્ર પર આધારિત છે. જશીબહેનનાં સંસ્મરણો ‘સ્મરણયાત્રા’ (2001) પુસ્તક તરીકે વાંચવા મળે છે. તેમાં તેમણે શાળાની શરૂઆતનાં કપરાં વર્ષોનાં પ્રસંગો વિશે સહજભાવે અને શાળાને મદદરૂપ થનાર અનેક નાની-મોટી વ્યક્તિઓ વિશે કૃતજ્ઞતાથી લખ્યું છે. ઉપેક્ષા કે ગેરસમજનો ભોગ બનેલાં વિદ્યાર્થીઓની કથાઓ ‘કાળી વાદળી ઉજળી કોર’ (1987) સંચયની વાર્તાઓમાં મળે છે.  

જશીબહેન પોતે ભાષા, સમાજવિદ્યા અને સંગીતનાં શિક્ષિકા તેમ જ સહઆચાર્ય પણ રહ્યાં. મુંબઈથી વર્ષો પહેલાં બી.એ. થઈ ચૂકેલાં તેમણે ભણાવવાની સાથે ભણવાનું ફરીથી શરૂ કર્યું. મૉન્ટેસરી ટ્ર્રેઇનિન્ગ કોર્સ કરીને પછી એમ.એડ. સુધી ભણ્યાં. ચાલીઓ-ખોલીઓમાં વસતાં વિદ્યાર્થીઓ તેમ જ  પોતાનાં સંતાનો પ્રશાન્ત અને ઇરા વચ્ચે ભેદ ન રાખ્યો. રઘુભાઈને 1952માં ફુલબ્રાઇટ સ્કૉલરશીપ હેઠળ અમેરિકા જવાનું થયું ત્યારે એક વર્ષ આખી શાળાનું સંચાલન કર્યું. સરસ્વતી વિદ્યાલયની સુવાસ પ્રસરતાં અસારવા વિસ્તારના લોકોની માગણીને પગલે ત્યાં શરૂ થયેલી શાળામાં 1958 સુધી છ વર્ષ માટે આચાર્યપદે રહ્યાં. તે પછી અઢાર વર્ષ દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલયમાં રઘુભાઈ સાથે સહઆચાર્ય તરીકે 1976 સુધી રહ્યાં.

જશીબહેનની અત્યારની યાદોમાં વારંવાર આવે છે તે શાળામાં કરાવેલાં ગીત-સંગીતનાં કાર્યક્રમો. શાળાની પ્રાર્થના સહિત અનેક વાર રવીન્દ્રસંગીત ચાલતું. તદુપરાંત પ્રહ્લાદ પારેખની ‘વર્ષામંગલ’ની રચનાઓ હતી. એ બધું દિલ્હીમાં ચાલુ રહ્યું, અને તેમાં ઉમેરાઈ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પરની નૃત્યનાટિકાઓ. તેની સ્ક્રિપ્ટ્સ્ લખવા માટે જશીબહેન ખૂબ મહેનત લેતાં. કાર્યક્રમોની પદ્યરચનાઓ જાણીતા કવિઓ પાસે પોતાના માર્ગદર્શન હેઠળ કરાવતાં. તેમાંની એકની પંક્તિઓ જશીબહેન બોલી બતાવે છે : ‘ભારતમેં જન્મા થા ઐસા પુરુષ મહાન, લોગ ઉસે કહતે થે લોહે કા ઇન્સાન’. યાદો કેટલી ય છે : રઘુભાઈએ ઇન્દિરા ગાંધીને પુનાની ‘પિપલ્સ સ્કૂલ’માં કેટલોક સમય ભણાવેલાં, દિલ્હીની સ્કૂલમાં રાજેન્દ્રપ્રસાદ આવેલાં, સરદાર પરની સ્ક્રિપ્ટ માટે પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં જતાં, અસારવા વિદ્યાલયની શાળામાં જશીબહેન સાઇકલ પર જતાં-આવતાં. જશીબહેનનું એક સાંભરણ છે : ‘એક વખત રઘુભાઈ રસોડામાં ચમચીઓ ગણતા હતા. કોઈએ અંચબો વ્યક્ત કર્યો. એટલે તેમણે કહ્યું કે ‘એ સ્કૂલમાં ધ્યાન આપે તો મારે ઘરમાં થોડુંક ન આપવું જોઈએ’. તેમનાં લગ્નની પચીસમી વર્ષગાંઠે સ્નેહરશ્મિએ હાઇકુ કર્યું:

વીતી વસન્ત –
રૂસણે તારે તોય –
હજી તે તાજી !

‘પતરાંવાળી સ્કૂલ’ ના કમ્પાઉન્ડમાં રહેતો, મદદ કરતો, જશીબહેનનાં બાળકોને વહાલ કરતો ‘કાબૂલીવાલા જેવો’ ગફૂર પઠાન યાદ છે. અમદાવાદનાં અનેક તોફાનોમાં ‘કોણ જાણે કેમ’ પણ શાળા સલામત રહી. ભાગલા વખતે સિંધી નિરાશ્રીતોનાં ધાડાં આવતાં. તેમને માટેનાં  રાહતકામમાં રઘુભાઈએ શાળાને સામેલ કરી. તે વિશે જશીબહેને ‘સ્મરણયાત્રા’માં તો લખ્યું છે. પણ તે દિવસો એમને વારંવાર બધાને ખાસ કહેવા જેવા લાગે છે. તેમાં જેનું કોઈ જ ન હતું એવાં નિરાશ્રીત ભાઈને રઘુભાઈએ ચા બનાવીને શાળામાં કાયમ આપી જવાનું સોંપ્યું હતું તે પણ જશીબહેનને સાંભરે છે. જશીબહેનને યાદ છે તે મહેનતકશોનાં ‘પતરાંની શાળા’માં ભણતાં બાળકોનું અમદાવાદ, કર્ણાવતી નહીં. શ્રમજીવીઓ માટે શિક્ષણની સરસ્વતી જ્યાં વહે છે, વસે છે તે જશીબહેન નાયકનું અમદાવાદ.

********

15 નવેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 16 નવેમ્બર 2018

Loading

...102030...2,9752,9762,9772,978...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved