Opinion Magazine
Number of visits: 9685788
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બા મારું શુભતર અર્ધાંગ હતી : ગાંધીજી

સોનલ પરીખ|Gandhiana|22 November 2018

2018 મહાત્મા ગાંધીનું જ નહીં, એમની અર્ધાંગિની કસ્તૂરબાનંુ પણ સાર્ધ શતાબ્દી વર્ષ છે. કસ્તૂર કાપડિયાનો — બાનો જન્મ પણ 1869 માં, મોહનદાસ ગાંધીના જન્મ પહેલાં છ મહિને થયો હતો; એટલે બાનું સાર્ધ શતાબ્દી વર્ષ તો એપ્રિલ 2018થી શરૂ થઈ ગયંુ છે. આ વર્ષને ‘ગાંધી દોઢસો’ કહીએ છીએ, તેમાં ભાવાર્થની રીતે બા અને બાપુ બંને આવી જાય છે ખરાં, પણ ‘ગાંધી દોઢસો’ કહેનારાં કેટલાંની સ્મૃિતમાં બાપુ સાથે બા પણ આવતાં હશે તે કહેવંુ મુશ્કેલ છે.

કેવું હતું બા-બાપુનું સહજીવન? બાસઠ વર્ષના સહજીવનમાં ખટરાગ તો થયા જ હોય. પણ એકંદરે જોતાં એમ લાગ્યા વિના રહે નહીં કે જેટલાં બા બાપુને સમર્પિ ત હતાં, તેટલા જ બાપુ પણ બાને સમર્પિત હતા. તેમણે કહ્યું પણ છે, ‘બા ખરા અર્થમાં મારું શુભતર અર્ધાંગ (બેટર હાફ) હતી.’ થોડી ઝાંખી કરીએ …

1876માં બા અને બાપુ બંને સાત વર્ષનાં હતાં, ત્યારે એમની સગાઈ થઈ. સગાઈ પછી છ વર્ષે લગ્ન થયાં એ એક સૂચક ઘટના છે. એ જમાનામાં આઠેક વર્ષે તો છોકરીનાં લગ્ન થઈ જ જાય. પણ દીકરી જરા સમજણી થાય તે પછી જ પરણાવવી એવો પિતા ગોકળદાસ અને માતા વ્રજકુંવરબાનો નિર્ધાર હતો. આ નિર્ધાર પરથી તેમને ત્યારના કાઠિયાવાડના પ્રમાણમાં સુધારક વિચારના કલ્પી શકાય.

કસ્તૂરબા માબાપની ત્રણ દીકરીઓમાંથી બચેલી એકની એક દીકરી, બે ભાઈઓની એક માત્ર બહેન — એટલે તેમનો ઉછરે પ્રેમ, લાડ, કાળજી અને સુરક્ષાના વાતાવરણમાં થયો. એથી તેમનું વ્યક્તિત્વ ખીલ્યું. તેર વર્ષની ઉંમરે મોહનદાસ સાથે લગ્ન થયાં ત્યારે કન્યા કસ્તૂર સુંદર, નિર્ભય, સ્પષ્ટ વક્તા અને બુદ્ધિ માન હતી. મોહન પણ હિ ંમતવાન, પ્રામાણિક અને ન્યાયપરાયણ દીવાન કરમચંદનું લોહી હતો. અગ્નિની સાક્ષીએ તેર વર્ષનાં કસ્તૂર અને મોહન પતિ પત્ની બન્યાં.

સત્યના પ્રયોગોમાં મહાત્મા ગાંધીએ તેમના નવા સંસાર વિશે આપેલી રસપ્રદ વિગતો પરથી કહી શકાય કે મોહનને તરુણ પત્ની પ્રત્યે ખૂબ આકર્ષણ અને પ્રેમ હતાં; માલિકીભાવ પણ ઓછો નહીં. જ્યારે કસ્તૂર પતિપરાયણ અને આજ્ઞાંકિત હોવા સાથે ગૌરવશાળી અને સ્વતંત્ર મિજાજની પણ ખરી. પતિની પણ જોહુકમી સાંખે નહીં. પોતાને અયોગ્ય લાગે તે કરે નહીં. દૃઢ મનોબળ, સમજદારી અને વ્યવહારકુશળતા એ તેમનાં ગુણો. પતિના વ્યક્તિત્વ અને ત્યાગનું મહત્ત્વ કસ્તૂરબા બરાબર સમજે છતાં પતિની ધૂનની સામે પણ થાય અને કેટલીક વખત પતિનું જિદ્દી વલણ છોડાવી દેવામાં સફળ પણ થાય. સત્યાગ્રહનું રહસ્ય પોતે કસ્તૂરબા પાસેથી શીખ્યા હતા તેમ ગાંધીજી કહે છે.

બાસઠ વર્ષના દાંપત્ય દરમિયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેર જીવનનાં શિખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યંત મૌલિક પદ્ધતિ શોધી દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કર્યો ને સમગ્ર વિશ્વની વંચિત અને શોષિત પ્રજાને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્ય પરિવર્તનશીલ અને સત્યશોધક આદર્શો અને સિદ્ધાંતો માટે ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માનાં અર્ધાંગિની બનવું એ બહુ કપરું, ગજુ ં માગી લે તેવંુ કામ છે.

1908ની વાત. એ દિવસોમાં કસ્તૂરબાને માસિકની સમસ્યા હતી. છેલ્લા બે પુત્રોના જન્મ પછી એ વધારે ઉગ્ર બનતી ગઈ. એક તરફ દર મહિ ને વધુ પડતું લોહી જવાથી નબળું પડતું શરીર, બીજી બાજુ લડતમાં જોડાયેલા પતિ પુત્રની સલામતીની સતત ચિંતા. પણ ફરિયાદ કરવાનો સ્વભાવ નહીં ને સહનશક્તિ સારી એટલે દિવસભરનાં કામ શાંતિથી પતાવ્યા કરે. બાપુ ત્યારે સત્યાગ્રહ પર એકાગ્ર હતા. કસ્તૂરબાની ઘસાતી કાયાની નોંધ તો લે, પણ એ બાબતમાં ખાસ કંઈ કરી શકે તે સ્થિતિમાં નહીં. એક વાર તેમણે કહ્યું પણ હતું, ‘સત્યાગ્રહીએ દોરડા પર ચાલનારા કરતાં પણ વધારે એકાગ્રતા કેળવવી જોઈએ.’

જો કે એ સત્યાગ્રહનું કોઈ ખાસ ફળ ન આવ્યું. પરવાના બાળવાની ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું ખરું, પણ તેનાથી પરિસ્થિતિ બદલાઈ નહીં. ઑક્ટોબરની શરૂઆતમાં ફિનિક્સમાં બે વ્યસ્ત સપ્તાહ વીતાવ્યા પછી બાપુ જોહાનિસબર્ગ ગયા. લડતનું પરિણામ કંઈ આવ્યું નહીં તેથી તેમણે નિશ્ચય કર્યો હતો કે નવા ઇમિગ્રેશન કાયદાની વિરુદ્ધ સત્યાગ્રહ કરવો ને જરૂર પડ ે તો જેલમાં જવંુ. સાથીઓને સંદેશ આપ્યો, ‘અંત સુધી દૃઢ રહેવું. સહન કરવું એ જ સૌથી મોટું શસ્ત્ર છે. વિજય નિશ્ચિત છે. ’

10 ઑક્ટોબર, 1908ના દિવસે સરકારે તેમને પકડ્યા અને વૉક્સરસ્ટ જેલમાં પૂર્યા. નિયમ પ્રમાણે તેમણે એક આદર્શ કેદીની જેમ જેલના નિયમોનંુ પાલન કરવા માંડ્યું . થોડા દિવસો ગયા અને ફિનિક્સથી આલ્બર્ટ વૅસ્ટનો પત્ર આવ્યો. કસ્તૂરબાને ખૂબ લોહી પડતું હતું. આલ્બર્ટ વૅસ્ટને લાગતું હતું કે કસ્તૂરબાને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાં જોઈએ. તે માટે બાપુની પરવાનગી તેમણે માગી હતી અને બાપુએ દંડ ભરી જેલ છોડી ફિનિક્સ આવી જવું તેવી તાકીદ કરી હતી.

ત્યારનો બાપુનો કસ્તૂરબા પરનો પત્ર તેમની કઠોર અને કોમળ બંને બાજુઓને એકસાથે વ્યક્ત કરે છે. એક તરફ તેમનો પત્ની પ્રત્યેનો પ્રેમ છે, બીજી તરફ મુશ્કેલ નિર્ણયો લેતી વખતે પોતાની પ્રિય વ્યક્તિઓને સહન કરવંુ પડશે તેથી થતી પીડા છે :

વહાલી કસ્તૂર,

શ્રીમાન વૅસ્ટે તારી તબિયતના સમાચાર આપ્યા. તારી મને ખૂબ ચિંતા રહે છે. છતાં હંુ તારી સારવાર કરવા આવી શકું એ સ્થિતિમાં નથી. સત્યાગ્રહની લડત માટે જીવનનું બધું દાવ પર લગાડી દેવાના મારા નિર્ણયને તું સમજશે તેવી મને આશા છે. જો હંુ દંડ ભરીને તારી પાસે આવંુ તો તે મેં કાયદો તોડ્યો છે તેની કબૂલાત જેવું થાય. તેવંુ ન કરી શકાય તે તંુ જાણે છે. તેનાથી તો લડતની વિશુદ્ધિ જોખમાય. પણ તું જો હિંમત રાખે ને બરાબર ખાય તો તને સારું લાગશે. તેમ છતાં તને કંઈક થઈ પણ જાય, તો હંુ ધારું છું કે તંુ મારા કરતાં વહેલી જ જાય તે વધુ સારું છે. તને ખબર છે કે તંુ મને કેટલી પ્રિય છે અને તે પ્રેમ તંુ જીવતી નહીં હોય ત્યારે પણ તેવો જ રહેવાનો છે. મારા માટે તંુ હંમેશાં જીવંત જ રહેવાની છે. તારો આત્મા અવિનાશી છે.

તેમ છતાં મારા તરફથી હંુ તને એટલી ખાતરી આપંુ છું કે હંુ કદી બીજાં લગ્ન નહીં કરું. મેં તને પહેલાં પણ આ કહ્યું છે. મૃત્યુ આવે તો પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને તારા આત્માને મુક્તિના માર્ગે જવા દેજે. સત્યાગ્રહ માટે તેનાથી વધારે ભવ્ય બલિદાન બીજું કયંુ હોઈ શકે?મારો સંઘર્ષ ફક્ત સત્તાધારીઓ સામે નથી. મારો સંઘર્ષ જાત સાથેનો, પ્રકૃતિ સાથેનો પણ છે. આશા રાખંુ છું કે તંુ આ બધંુ સમજશે અને ગુસ્સો નહીં કરે. વધુ શું લખું?

તારો, મોહનદાસ.

આ પછી કસ્તૂરબાની સ્થિતિ કંઈક સુધરી, પણ સુધારો લાંબો ટક્યો નહીં. જેલમાંથી છૂટી બાપુ તરત જ ફિનિક્સ આવ્યા ત્યારે કસ્તૂરબા ખૂબ અશક્ત અને થાકેલાં જણાતાં હતાં. જાણે પ્રાણહીન ખોળિયું. બાપુને આઘાત લાગ્યો. તેમણે બાને ખૂબ સમજાવ્યાં અને મેડિકલ તપાસ માટે તૈયાર કર્યાં. જાન્યુઆરીની શરૂઆતમાં બાપુ બાને ડરબન લઈ ગયા અને ત્યાં પારસી ડૉક્ટર નાનજીની સારવાર નીચે મૂક્યાં. તેમણે બાને માંસનો સેરવો આપવાની જરૂર જોઈ, બાએ તેનો સાફ ઇનકાર કર્યો, ડૉક્ટરના વિરોધ છતાં બાપુ બાને ગોદમાં સુવાડી રિક્ષામાં સ્ટેશન સુધી લઈ ગયા, બાને ઊંચકીને લાંબુ પ્લૅટફૉર્મ ઓળંગી ટ્રેનમાં સુવાડ્યાં અને ફિનિક્સ લઈ ગયા. માટીના ઉપચાર અને બાપુની પરિચર્યાથી બાની તબિયત સુધરવા માંડી. એક દિવસ એક સ્વામીજી ફિનિક્સ આવી ચડ્યા. કસ્તૂરબા પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને તેમણે બાપુ, મણિલાલ અને રામદાસની હાજરીમાં દલીલો કરવા માંડી અને ધર્મશાસ્ત્રનાં પ્રમાણો ટાંકીને આપત્તિના સમયે માંસ ખાવામાં વાંધો નહીં, તેવું જોરશોરથી જાહેર કર્યું. બાપુ પણ પાછા પડે તેવા નહોતા. તેમણે શાકાહારના સમર્થનમાં દલીલો કરવા માંડી. ચર્ચા એવી જામી કે તેનો કોઈ અંત દેખાતો ન હતો.

છેવટે બા ઊઠ્યાં, ‘સ્વામીજી, તમે જે કહો તે ખરું. પણ મારે માંસ ખાઈને સાજા થવું નથી. તમારે મારા પતિ અને પુત્રો સાથે જે દલીલો કરવી હોય તે કરો, પણ મારું માથું ન દુખાડો તો તમારો પાડ.’

બા-બાપુના સહજીવનની આ એક નાની શી ઝલક પુલકિત કરે તેવી નથી?

Email : sonalparikh1000@gmail.com

સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, વર્ષ – 6; અંક – 10-11; અૉક્ટોબર – નવેમ્બર 2018; પૃષ્ઠ – 368 – 370   

Loading

અમૃતસરની ઘટનાના સૂચિતાર્થો – ૨

રમેશ ઓઝા|Opinion - Opinion|21 November 2018

પંજાબમાં સિખ કોમી રાજકારણ

આ પહેલાં પણ નિરંકારીઓ પરના હુમલા સાથે પંજાબમાં સિખ કોમવાદી રાજકારણની શરૂઆત થઈ હતી

ગઈ કાલના લેખમાં લાંબી પૃષ્ઠભૂમિ એટલા માટે આપી કે ભારતમાં એકલો હિન્દુ રાષ્ટ્રવાદ નથી; સિખ રાષ્ટ્રવાદ, તામિલ રાષ્ટ્રવાદ, બંગાળી રાષ્ટ્રવાદ જેવા અનેક રાષ્ટ્રવાદો, પેટા-રાષ્ટ્રવાદો અને પેટા પેટા – રાષ્ટ્રવાદો અસ્તિત્વ ધરાવે છે. આ દેશમાં કોઈ રાષ્ટ્રવાદનું આધિપત્ય શક્ય નથી અને જો કોઈ એક રાષ્ટ્રવાદનું આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરો તો પાકિસ્તાન જેવા હાલ થાય. ઈસ્લામે પાકિસ્તાનની સ્થાપના કરી અને ભાષાએ વિભાજન કર્યું.

પંજાબમાં સિખ રાષ્ટ્રવાદ પ્રબળ છે. અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે સિખ ધર્મસંસ્થાઓનું, ધર્મસ્થાનોનું અને કુલ મળીને સિખ ધર્મ તેમ જ સિખ સમુદાયનું નિયમન કરવાનો અધિકાર સિખોને મળવો જોઈએ, એ માટે આંદોલન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આનાકાની પછી ભારતમાં એક તિરાડ વધુ એમ વિચારીને અંગ્રેજોએ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ(એસ.જી.પી.સી.)ને ગુરુદ્વારાઓના પ્રબંધનના અધિકારો આપ્યા હતા. વાત ગુરુદ્વારાઓના નિયમન પર અટકી નહોતી. તેમણે સિખોની ધાર્મિક-સામાજિક એમ દરેક બાબતને નિયમન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે શિરોમણિ અકાલી દળ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. શિરોમણિ અકાલી દળ એસ.જી.પી.સી.નો સિખોનું ધર્મનું રાજકારણ કરનાર રાજકીય પક્ષ છે. જેમ બી.જે.પી. હિન્દુઓનું ધર્મનું રાજકારણ કરે છે અથવા મુસ્લિમ લીગ મુસ્લમોનું ધર્મનું રાજકારણ કરે છે એમ.

આઝાદી પછી તેમણે સિખોના અલગ રાજ્યની માગણી કરી હતી. તેમણે ગુરુમુખી ભાષાને સિખ સૂબાની સત્તાવાર ભાષા જાહેર કરવી જોઈએ તેવી માગણી કરી. બૃહદ્દ પંજાબમાંથી હિમાચલ અને હરિયાણાને અલગ કરીને પંજાબી બોલનારા પંજાબની રચના કરવામાં આવી તેનાથી તેમને સંતોષ નહોતો. બીજું સિખોમાં જોવા મળતાં પેટા-સંપ્રદાયો અને ડેરાઓ સામે તેમને વાંધો છે. કેથલિક ચર્ચની જેમ ઉપરથી નીચે સુધી પિરામિડ જેવું તેમને સ્ટ્રક્ચર જોઈએ છે કે જેથી તેનું કેન્દ્રીય નિયમન કરી શકાય, જ્યારે ખાલસા ધર્મનો વિકાસ તો મધ્યકાલીન અંધારયુગમાં એક આધ્યાત્મિક અંદોલન તરીકે થયો હતો. સિખો પર કબીરનું કેટલું ઋણ છે! એ આંદોલન હતું, આંદોલનમાંથી પંથ બન્યો, પંથમાંથી સંપ્રદાય બન્યો અને સંપ્રદાયમાંથી ગુરુ ગોવિંદસિંહે સંગઠિત ધર્મનું સ્વરૂપ આપીને ખાલસા ધર્મ બનાવ્યો. સમસ્યા એ છે કે અત્યારનો સિખ ધર્મ મૂળમાં એક આંદોલન હોવાનાં કારણે અને એ પછી પંથ હોવાનાં કારણે એમાં અનેક ગાદીઓના(ડેરા)ના ટાપુઓ રચાયા છે. આ ડેરાઓ અને પેટા સંપ્રદાયોની ગાદીઓ ધરાવનારા ધર્મગુરુઓ એટલા શક્તિશાળી છે કે તેઓ એસ.જી.પી.સી. અને અકાલી દળને હંફાવે છે. ડેરા સચ્ચા સૌદાના ગુરુમિત રામ રહીમના કારનામાં તાજાં છે.

આમ એક બાજુ સિખોને મુઠ્ઠીમાં રાખનારું ધર્મનું રાજકારણ છે. બીજી બાજુ પેટા સંપ્રદાયો અને ડેરાઓના કારણે સિખો વિભાજિત છે અને ત્રીજી બાજુ સત્તાનું સંસદીય રાજકારણ છે. આ સ્થિતિમાં અકાલી દળ જ્યારે પણ રાજકીય રીતે નબળો પડે છે ત્યારે તેના ધર્મના રાજકારણને આક્રમક બનાવે છે જે રીતે બી.જે.પી.એ ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં આકરા પરાજય પછી હિન્દુ કોમવાદનો માર્ગ અપનાવ્યો હતો. સંકડાશમાં આવ્યા નહીં કે દેશભક્તિ, રાષ્ટ્રવાદ, હિન્દુ ધર્મની મહાનતા યાદ આવવા માંડે છે, એમ પંજાબમાં અકાલી દળ રાજકીય રીતે સંકડાશામાં આવે એટલે રાજ કરેગા ખાલસાની યાદ આવવા લાગે છે. ધર્મઘેલછા અને સાંસ્કૃિતક અસ્મિતા એક એવું તત્ત્વ છે જે દરેક યુગમાં ભક્તો પેદા કરી આપે છે અને એમાં આ તો વિકૃત સ્વરૂપમાં અસ્મિતાઓના જાગરણનો યુગ છે.

અકાલી દળ અત્યારે રાજકીય રીતે સંકડામણમાં છે. બાદલ પરિવાર ભ્રષ્ટાચારના પર્યાય તરીકે ઓળખાય છે. આ સ્થિતિમાં ધર્મનું આક્રમક રાજકારણ કરવા અકાલી દળ પ્રેરાય એ સ્વાભાવિક છે. બીજો કોઈ વિકલ્પ જ નથી. પ્રજાની અંદર વિભાજન પેદા કરનારાં વિકૃત અને હિંસક રાજકારણને પુરસ્કારનારા મીડિયા અને લોકો મળી રહે છે. રાજકીય પક્ષ અને મીડિયાની ધરી રચાય ત્યારે ભક્તો આપોઆપ પેદા થવા લાગે છે. એ પછી બોલને ગોલ સુધી પહોંચાડવાનું કામ ભક્તો કરે છે. ૧૯૭૮ પછી પંજાબમાં આવું જ બન્યું હતું. શરૂઆતમાં તો સિખ વિદ્વાનો અને વિચારકો માનતા થયા હતા કે સિખો સાથે અન્યાય થઈ રહ્યો છે. પેદા કરવામાં આવેલા અસંતોષે જ્યારે ત્રાસવાદનું સ્વરૂપ પકડ્યું ત્યારે કેટલાક લોકોની આંખ ઊઘડી હતી અને ભક્તોની તો એ પછી પણ નહોતી ઊઘડી.

પંજાબમાં આતંકવાદની શરૂઆત બે ઘટનાથી થઈ હતી. પંજાબના પ્રતિષ્ઠિત અખબાર ‘પંજાબ કેસરી’ના માલિક અને તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેઓ સહિયારી પંજાબિયતની વકીલાત કરતા હતા. રાજ કરેગા ખાલસાનું ભાવનાત્મક રાજકારણ કરનારાઓની આડે આ પંજાબિયત આવતી હતી. બીજી હત્યા નિરંકારી સંતની કરવામાં આવી હતી જેનો અનુયાયી વર્ગ મોટો હતો અને તેમાં વધારો થતો હતો. ભેદભાવ વિના સેવા માટે નિરંકારીઓ જાણીતા છે. એ પછીના યાતનામય ૧૫ વરસ ભૂલી શકાય એમ નથી.

ત્યારે પંજાબમાં કૉન્ગ્રેસે જૈર્નેલસિંહ ભીંડરાંવાલાને પેદા કર્યો હતો. ઈરાદો અકાલીઓ કરતાં પણ વધુ આક્રમક સિખ ધાર્મિક રાજકારણને પ્રોત્સાહન આપીને અકાલીઓને હજુ વધુ હાંસિયામાં ધકેલવાનો હતો. એમાં સફળતા તો મળી હતી, પરંતુ બોટલમાંથી બહાર કાઢવામાં આવેલો જિન પાછો બોટલમાં બંધ કરી શકાયો નહોતો. ઘણાં વરસો પછી પંજાબમાં નિરંકારીઓ પર હુમલો થયો છે, પરંતુ એની ઉપેક્ષા કરવા જેવું નથી. પાકિસ્તાન અને આઇ.એસ.આ.ઇ પર આંગળી ચીંધવાનો કોઈ અર્થ નથી. પંજાબના આંતરિક સિખ રાજકારણ પર બારીક નજર રાખવાની જરૂર છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 નવેમ્બર 2018

Loading

ઘેરિયા નૃત્ય અને ગીતો

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|20 November 2018

આજે સવારસવારમાં, એક અગત્યનું દસ્તાવેજી પુસ્તક મળ્યું. વાસ્તવમાં હું રાહ જોતી જ હતી. ડો. ઈશ્વરચન્દ્ર દ્વારા શબ્દાંકિત, સીએ વિનોદભાઈ દેસાઈ દ્વારા ગરબાગીતો સંકલિત, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત, આ પુસ્તક સોમનાથ મંદિર પ્રાંગણ, બીલીમોરામાં પચીસ વર્ષથી (૨૫) આયોજિત ઘેરૈયા સ્પર્ધા નિમિત્તે પ્રાપ્ય બન્યું છે. ડો. જયાનંદ જોષીની પૂરક માહિતી પણ પુરવણી રૂપે સામેલ છે. ૯૬ પાનાંમાં ૧૪ પ્રકરણ અને ૪ પુરવણીના સંચયમાં ઘેરૈયા નૃત્ય, ગીતો અને ગરબાની ઝાંખી મળે છે.

દક્ષિણ ગુજરાતની સાંસ્કૃિતક ઓળખ કઈ એમ પુછાય તો એમાં ઘેરૈયા નૃત્ય-ગરબાનું નામ ઝટ યાદ આવે. આદિવાસીઓ અને માછીમારોની સાંસ્કૃિતક ઓળખ પણ છે જ. એમ તો અનાવિલ, પારસી, જૈન સંસ્કૃિતની પણ વિશિષ્ટતાઓ વણાયેલી છે. એ પાસાને ધ્યાનમાં રાખીને જ વાત કરવી જોઈએ છતાં કહેવું જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં હજી સંશોધનનો ઘણો અવકાશ છે.

આજે તો આ સંકલનમાં સમાવિષ્ટ સામગ્રીની વાત કરીએ. ઘેરૈયા નૃત્ય છે તો સાથે ગરબા, ગીત અને હાસ્યરસ સભર નૌટકી પણ છે. પારણાંથી પાલખી સુધીની યાત્રાની ઝલક પણ છે. સરળ લોકપ્રિય લોકગીતો – ગરબા સાથે એમાં, નિજી સંવેદનાઓ, હાસ્ય, માગણી, વ્યંગ, કટાક્ષ, રૂદન  સમેત ગીતો – પવાડા – ગરબા ગવાય છે, જેમાં પારણું, લહેરિયું, ઝેરિયું સામેલ છે. વિશિષ્ટતા એ છે કે એમાં પુરુષો સ્ત્રીઓનો વેશ પરિધાન અને સાજશણગાર કરે છે. સ્ત્રીઓ એમાં સામેલ થતી નથી.

પરશુરામના સમયથી એના મૂળ શોધવાનો પ્રયાસ અહીં દેખાયો છે. એને યુદ્ધમાં જતાં લશ્કરીઓ સાથે પણ સાંકળીને જોવાય છે કારણ કે એમના ગાયનમાં એ વાત આવે છે. જેમ કે લશ્કર કોનું કહેવાય રે? પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળ્યો નહીં પરંતુ ઘેરૈયા માટે મને જાણ છે ત્યાં સુધી ઘેરૈયા આગળ જ જાય, એક વાર તમારા ઘર પાસેથી પસાર થઈ જાય તો પાછળ ફરીને આવીને નહીં. કારણ એ કે તેઓ યુદ્ધમાં પીછેહઠ ન કરે. તે રીતે ઘેરૈયા મોટાભાગે હાળી હોય. ધણિયામાના વેવાઈઓને ત્યાં ‘ઘેર’ લઈને જાય અને દીકરીની ભાળ કાઢી આવે. ત્યાં વેવાઈએ કેટલું દાપું  આપ્યું અને કેવું સ્વાગત કર્યું તે ઉપરથી પરખ કરે! જો કે મારા માટે આ સંશોધનની બાબત છે. પુસ્તકમાં ગરબાના વિશ્લેષણ દ્વારા વેવાઈને ત્યાં જવાની વાત છે. શેઠની મનોવૃત્તિને આંકવાની વાત પણ છે. પારિવારિક સંબંધની વાત તો ઘૂંટી ઘૂંટીને કહેવાયેલી છે. મનોરથો પૂરા કરવા બાધા રાખવી અને ખાસ કરીને પુત્ર થકી વંશવેલો વધે તે આશા માટે પારણુંથી શરૂઆત થાય. આનંદ અવસર અને લગ્ન જેવા રૂડા પ્રસંગે ઘેર બોલાવવી, નવરાતમાં ગરબા ગાવા, દિવંગતની યાદમાં તાર મારવો અને અંતે દાપુ માંગી ‘ઘેર વધાવવા’ સુધીના પ્રક્રિયાનું વ્યવસ્થિત દાખલાદલીલ સાથે આલેખન કરવાની ચીવટાઈ અહીં નજરે ચડે છે.

વાપીથી તાપી સુધીમાં વસેલા હળપતિઓનાં મૂળ સમેત ઓળખ અહીં આપી છે. દુર્વલ – વટવાળા, વળે નહીં તેવા, અને દુર્બલ એટલે કે દૂબળાં – નિર્બલ એવા બે અર્થ અહીં અભિપ્રેત છે પરંતુ એક બાજુ લશ્કરી મિજાજ અને બીજી બાજુ આજની વાસ્તવિકતાનો મેળ પાડવો થોડું કઠિન છે, પરંતુ બન્ને તર્ક અને વાસ્તવિકતા સાચા છે. આખી વાત સમજવા માટે તો પૂરું પુસ્તક વાંચવું જોઈએ.

મને અહીં એક ઉમેરણ કરવાની ઈચ્છા થાય છે. અસ્તિત્વમાં એક વાર મને અને જશવિકાને વિચાર આવ્યો કે ઘેરૈયા ગરબા લયઢાળનું સ્ત્રી કેન્દ્રિત રૂપાંતર કરવું જોઈએ. મનમાં એવું કે પુરુષો જ કેમ ગાય, અમારાથી પણ ગવાય. તે રીતે ‘પરખ’ જૂથમાં મારાં માતા ઈરાબાએ ઘેરૈયા આશીર્વચન ગીત ગવડાવવાનું શરૂ કરેલું, અને સભ્યબહેનોને એ ખૂબ ગમતું. ઈરાબા પાસે એમાં પણ સમાનતાનું ઉમેરણ કરવા મેં પ્રયાસ તો કરેલો જેમાં આશિક સફળતા મળેલી.

ઘેરૈયા લોકનૃત્ય પ્રકાર અદ્રશ્ય થવાને આરે હતો અને એને જીવતદાન આપવામાં સીએ વિનોદભાઈ દેસાઈ, ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના સંચાલકો સક્રિય થયા અને પરિણામ સામે છે. વયોવૃદ્ધ ગાંધીવાદી ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ અનાવિલ સર્વસંગ્રહ જેવો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ સાકાર કરવા પ્રતિબદ્ધ છે એની હું પણ સહભાગી છું, તેનો મને આનંદ છે કારણ કે એ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે જેમાં સંકુચિતાપણું નથી, પરંતુ ગુણઅવગુણ, લાક્ષણિકતાઓ, સામાજિક – શૈક્ષણિક – સાંસ્કૃિતક ‘ગતિપ્રગતિ, અધોગતિ’  સમજવાનો પ્રયાસ છે.

આ પુસ્તકને આવકારતા આનંદ થાય છે.

Loading

...102030...2,9722,9732,9742,975...2,9802,9903,000...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved