Opinion Magazine
Number of visits: 9456624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હા, 2018માં ફડણવીસ સરકાર સામે હતી પણ 2025ની ફડણવીસ સરકાર સાથે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 January 2025

ભીમા-કોરેગાંવ 2025

રાજકારણ

મુદ્દે, હિન્દુત્વ રાજનીતિને મહારાષ્ટ્રમાં તિલકોત્તર ગાંધી–આંબેડકર પ્રવેશની ગડ હજુ બેસી નથી લાગતી.

પ્રકાશ ન. શાહ

બરાબર સાત વરસ થયાં ભીમા-કોરેગાંવ ઘટનાના હિંસક ઉત્પાતને : જોવાની ખૂબી એ છે કે ત્યારે પણ મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર હતી, આજે પણ છે. પણ ત્યારે આ હિંસાસારુ જવાબદાર ગણાતાં તત્ત્વોને અદાલતી ઠપકા છતાં ફડણવીસની પોલીસ ઠીકઠીક સમય લગી શોધી શકી નહોતી, કેમ કે એ તત્ત્વો સંઘ પરિવાર સાથે સંધાન ધરાવતાં હતાં. વિકલ્પે, જે આખો કેસ ઊભો કરાયો તે આ ‘શૌર્ય દિવસ’ એટલે કે પહેલી જાન્યુઆરીને આગલે દિવસે પુણેમાં યોજાયેલી એલ્ગાર પરિષદ આસપાસ. આ પરિષદના યોજકો બે નિવૃત્ત ન્યાયમૂર્તિઓ હતા – કોલસે પાટિલ અને પી.બી. સાવંત. એટલે ‘એલ્ગાર’નો અર્થ સમજાવતાં કહ્યું હતું કે આ તો બુલંદ અવાજની વાત છે, દલિતોનો ઢંઢેરો જ કહો ને. ફડણવીસ સરકારે આ પરિષદ સાથે સંકળાયેલા ખરાંખોટાં માથાંઓ સામે અને એમણે કરેલી કહેવાતી ઉશ્કેરણી અગર એમની રાજવિરોધી સંડોવણીને નામે કેસ ઊભો કર્યો. કેટલાંકને જેલમાં નાખ્યા, એમાંથી કોઈ તો તબીબી કાળજીને અભાવે જેલમાં જ મરણ પામ્યું તો કેટલાંક લાંબું ગોંધાઈ રહ્યા પછી સાવ લૂલી એફ.આર.આઈ.ને કારણે જામીન પર મોડ મોડે ય બહાર આવી શક્યા છે.

કેમ કે જાહેર યાદદાસ્ત ટૂંકી પણ હોઈ શકે, માટે થોડો ઇતિહાસ : ભીમા-કોરેગાંવ લડાઈની આ ઘટના 1818ની પહેલી જાન્યુઆરીની છે. એક બાજુ પેશવાની સેના હતી, બીજી બાજુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની. ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફે મહાર કહેતાં દલિત સૈનિકોએ એવું જોર બતાવ્યું કે પેશવાની સેના પાછી પડી. એક રીતે આ સ્થાનિક સામે સાંસ્થાનિક બળોની જીત હતી. પણ બીજી બાજુ, પેશવાઈ બ્રાહ્મણશાહી હેઠળ ચંપાતા મહારોએ સરસાઈ બતાવ્યાનોયે અવસર તો હતો જ. 1927-28માં આંબેડકરે આ સ્થળની વિશેષ મુલાકાત લઈ ઘૂંટેલો મુદ્દો, આ સંદર્ભમાં, દલિત અસ્મિતાનો હતો. 2018માં ભીમા-કોરેગાંવ ઘટના સાથે તે સહસા રાષ્ટ્રીય ફલક પર મુકાયેલ છે.

મહારાષ્ટ્રનું રાજકારણ એક કાળે બહુધા તિલકનું હતું. અલબત્ત, ગોખલે સ્કૂલ પણ હતી જ. પણ અત્યારે એ ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે પોતાને તિલક પરંપરામાં જોતા ભા.જ.પ.ને પેશવાઈ બ્રાહ્મણશાહી અને આવડી એવી શિવાજીની વારસાઈની મંછા છે. સ્વરાજને જન્મસિદ્ધ હક્ક માનતા તિલકને શાહુ મહારાજના સુધાર-સંસ્કાર પરત્વે અસુખ હતું. (મતના રાજકારણના માર્યા કે અન્યતા આ મુદ્દો પકડાતાં, ક્ષતિપૂર્તિના ગણિતવશ ભા.જ.પે. રામમંદિર આંદોલનની જોડાજોડ મહારાષ્ટ્રમાં ફૂલે-આંબેડકરની જોડાજોડ હતી તે આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે.) આ સંજોગોમાં , ભીમા-કોરેગાંવ, 2018ને કારણે ઊભા થયેલા દલિત ને પ્રગતિશીલ મતપડકારનું વળી વારણ શોધવું ભા.જ.પ.ને સારું એક સવાલ છે. એટલે વચ્ચે જેમ ફૂલે-આંબેડકર યાત્રાથી કોર્સ કરેકશન – પથસંસ્કરણનો પ્રયાસ કર્યો તેમ આ વખતે ભીમા-કોરેગાંવ શૌર્ય અવસરને ફડણવીસ સરકારે ખાસ કાળજી અને દબદબાભેર અંગીકાર કર્યો એમ સમજાય છે. નાગપુર સ્થિત દીક્ષાભૂમિ અને મુંબઈ સ્થિત ચૈત્યભૂમિની પરંપરામાં ભીમા-કોરેગાંવ શૌર્યભૂમિ પણ એક સ્વતંત્ર અવસરમાંથી સરકાર હસ્તક (આ કિસ્સામાં સરકાર કહેતાં સવિશેષ ભા.જ.પ. હસ્તક) કાર્યક્રમમાં ફેરવાઈ જાય એવી ગણતરી પણ, આજે દૂરાકૃષ્ટ લાગે તોપણ, હોઈ તો શકે.

નવાઈ લાગે પણ ગોખલેમાં રાજકીય ગુરુ જોતાં ગાંધીજીએ જે રાજકારણ વિકસાવ્યું એમાં ગોખલેની વિનીત કે મવાળ ધારા અને તિલકની જહાલ ધારા બેઉ મળીને કંઈક નવું જ લઈ આવ્યા. તિલક-સાવરકરમાં પોતાનું દૈવત જોતી તરુણાઈને ગાંધીએ શીખવ્યું કે સમતા વિનાની સ્વતંત્રતા બેમતલબ છે. ફૂલે-આંબેડકર-ગાંધી યાત્રાને ખંડ નહીં પણ અખંડ દર્શનની રીતે જોઈએ તો તે તમે બ્રાહ્મણ હો કે મરાઠા અગર દલિત, સૌને ‘નાગરિક’માં સ્થાપવાની મથામણ છે.

પથ-સંસ્કરણની સત્તાશાઈ પેચપેરવી ટૂંકા ગણિતમાં કો-ઓપ્શનની રીતે સફળ વરતાય તોપણ તે પાયાની નાગરિક સમજનો અવેજ નથી તે નથી. સામસામાં કે સાથે મળીને ભીમા-કોરેગાંવ પ્રકારનાં ઉજવણાં આ ઉખાણું છોડાવી શકે તો વાત બને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 08 જાન્યુઆરી 2025

Loading

દક્ષિણ આફ્રિકામાં

ઉમાશંકર જોશી|Gandhiana|9 January 2025

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ગાંધીજી જેલ ભોગવીને પાછા ફિનિક્સ આશ્રમમાં આવ્યા અને તરત એમણે સાથીઓ આગળ પોતાનું મનોમંથન રજૂ કર્યું :

હજારો ભોળા નિરક્ષર લોકો મારા કહેવાથી મારી ઉપર શ્રદ્ધા રાખી લડાઈના દાવાનળમાં કૂદી પડ્યા અને દેખ્યું ન જાય એવું દુ:ખ એમણે વેઠયું છે. એમનાથી વેગળો હું કેમ રહું ? મારે એમનામાંના એક બનીને રહેવું જોઈએ. મારે કામ પ્રસંગે ગોરાઓને મળવું પડે કે રાજધાનીમાં જવું પડે તો પણ આ સત્યાગ્રહની લડત ચાલે છે ત્યાં સુધી કોટ-પાટલૂન ને નેકટાઈ હું નહિ પહેરું. નાનકડા સમાજમાંના એક બનીને જીવવામાં મને રસ નથી આવતો. મારે તો આ હજારો ગિરમીટિયાઓમાંના એક બનીને જીવવું છે. લડતને કારણે વિધવા બનેલી બહેનનાં આંસુ લુછવા માટે મારે આટલું તો કરવું જ જોઈ એ. આવતી કાલથી એક લુંગી અને સાદું પહેરણ એ મારો પોશાક રહેશે. ખપની વસ્તુઓ રાખવા એક બગલથેલો રાખીશ.

દલીલ થઈ : લુંગી કરતાં ધોતિયું સારું નહિ ! હરવું ફરવું વિશેષ ફાવશે. આપણો મૂળ પહેરવેશ પણ એ જ છે ને ?

ગાંધીજી : ખરું, પણ અત્યારે પ્રશ્ન ગિરમિટિયાઓનો છે. એમનો મોટો ભાગ મદ્રાસીઓનો છે. માટે લુંગી જ પહેરું. મારી લુંગી ચીંથરેહાલ નહિ હોય એટલો ફરક રહેવાનો. તેઓ માથે કંઈક ને કંઈક બાંધે છે. પણ આપણે તો માથે પહેરવાનું છોડ્યું છે, એટલે હવે નવું ફરી શરૂ કરવું નથી. શહીદોનો શોક પાળવા મૂછનું મુંડન કરવું જરૂરી છે. અને પગમાં સેન્ડલ પણ રાખવાં નથી. અસંખ્ય ગિરમીટિયાઓને પગમાં ક્યાં કંઈ હોય છે ?

ચંપલ છોડવાની વાતથી સૌ ચોંક્યા. એક જણે વિનંતી કરી : આપના પગ કસાયેલા નથી. ચાલવાનું આખો દિવસ રહેશે.

બાપુ દૃઢ નિરધારથી બોલ્યા : સાચું છે. મારા પગનાં તળિયાં વધુ આળાં છે. પણ લોકોને દુઃખમાં હોમું ત્યારે મારેયે કંઈક તો ખમવું જોઈએ ના ? ઘણું થશે તો થોડું ધીમું ચલાશે એ જ ના ?

બાપુએ લાકડીનો સાથ પણ એ દિવસોથી સ્વીકાર્યો.

[‘ગાંધીકથા’]

નોંધ : 1915માં આજના દિવસે પૂ. બાપુ દક્ષિણ આફ્રિકાની લડતમાં વિજયી બનીને પાછા ભારત પધાર્યા હતા. એ પુણ્યસ્મૃતિમાં આજનો દિવસ બિનનિવાસી ભારતીય દિન તરીકે ઉજવાય છે.

09 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 206 

Loading

રળિયામણી ઋતુ

નંદિતા મુનિ|Poetry|8 January 2025

ટર્કિશ કવિ ઓરહાન વેલી કાનકના એક કાવ્ય Güzel Havalarનો મારો અનુવાદ.

***

આ રળિયામણી ઋતુએ

સત્યાનાશ વાળ્યું છે મારું.

આવી જ મઝાની મોસમમાં 

રાજીનામું ધરી દીધેલું મેં – 

છોડી દીધી’તી ધાર્મિક સંસ્થાની નોકરી.

આવા જ વાતાવરણમાં તમાકુની ટેવ પડી’તી મને.

આવી જ મોસમમાં 

પ્રેમ થયો મને.

આવી સલોણી ઋતુ

ભૂલાવી દે છે

ઘરે રોટી ને નમક લેતા જવાનું.

કવિતા લખવાનો

મારો રોગ

કાયમ ઊથલો મારે છે

આવી ઋતુમાં; આવી રળિયામણી ઋતુમાં 

હું બરબાદ થઈ ગયો છું.

***

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...296297298299...310320330...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved