Opinion Magazine
Number of visits: 9685653
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ સાંજ, એ મિજાજ

આશિષ મહેતા|Opinion - Opinion|2 December 2018

કૃષ્ણગાન

ટી.એમ.કૃષ્ણા કર્ણાટકી સંગીતમાં મોટું નામ છે. સામાન્ય રીતે શાસ્ત્રીય સંગીત ભદ્રવર્ગ સાથે સંકળાયેલું હોય છે, પણ કૃષ્ણા આ સંગીતને સમગ્ર સમાજ સાથે સાંકળવાના પ્રયત્નો કરે છે. જેમ કે, તેમણે ચેન્નાઈની પાસે માછીમારોનાં ગામોમાં સંગીત જલસાના વાર્ષિક કાર્યક્રમો કર્યા છે. આ સામાજિક નિસબત તેમને સંગીતથી આગળ વધીને સામાજિક મુદ્દાઓ તરફ લઈ ગઈ છે. માટે તાજેતરનાં વર્ષોમાં તેમણે નાતજાત, હિન્દુત્વ વગેરે પ્રશ્નો પર આખાબોલી ટિપ્પણીઓ પણ કરી છે, લખાણો, પુસ્તકો અને ટિ્‌વટર મારફત. બે વર્ષ પહેલાં તેમને મૅગ્સેસે પુરસ્કાર મળ્યો હતો, તેમાં સંગીત અને રાજકારણથી વધીને પર્યાવરણ માટેનાં તેમનાં કામની પણ નોંધ લેવાઈ હતી. નદીનાળાં, જંગલ વગેરેની માવજત વિષેનું એમનું એક નાનું ગીત વાઇરલ થયેલું અને હજુ લોકપ્રિય છે.

‘સ્પિક-મેકે’ નામની સંસ્થા શાસ્ત્રી યસંગીત-નૃત્યના જાહેર કાર્યક્રમો યોજે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આપણી સાંસ્કૃતિક ધરોહરનો પરિચય આપે છે. એ સંસ્થાએ ૧૭મી નવેમ્બરે દિલ્હીમાં કૃષ્ણા અને બીજા ત્રણ કલાકારોનો કાર્યક્રમ જાહેર કર્યો. કેન્દ્ર સરકારનું જાહેર એકમ, ઍરપોટ્‌ર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એ.એ.આઈ.), કાર્યક્રમનું સ્પૉન્સરર હતું. ટિ્‌વટર પર ભક્તવર્ગે કૃષ્ણા સામે બળાપો વ્યક્ત કર્યો, પછી એ.એ.આઈ.એ અચાનક કાર્યક્રમને મદદ આપવાનો નિર્ણય રદ્દ કર્યો. સત્તાવાર જાહેરાતમાં કોઈ ખુલાસો નહોતો, માત્ર ‘અણધાર્યાં કારણોસર’નો વાંક હતો. પણ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ટિ્‌વટર અને અન્યત્ર છાપ એવી હતી કે કૃષ્ણા આ સરકાર અને એની વિચારધારાના વિરોધી છે, માટે કાર્યક્રમ રદ્દ થયો છે.

બીજે જ દિવસે ‘એક્સપ્રેસ’માં ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાએ લખ્યું કે, અમદાવાદ યુનિવર્સિટીમાં મને ભણાવતા અટકાવે, તે તો ‘ઇન્‌ટોલૅરન્સ’ છે, પણ કૃષ્ણાને ગાતા અટકાવે, તે તો નરી બર્બરતા હશે.

અન્ય ત્રણ કલાકારોમાંનાં એક, સોનલ માનસિંહ, ભા.જ.પ. તરફથી રાજ્યસભાનાં સાંસદ છે, તેમણે ફરજ બજાવીને ખુલાસો કર્યો, ‘એક્સપ્રેસ’માં તેમણે લખ્યું કે, આજકાલ કોઈ પણ લેખક-કલાકાર-પત્રકારને કાંઈ તકલીફ થાય, તો સરકારનો વાંક કાઢવો ના જોઈએ. જો કે, કૃષ્ણાના (તેમ જ આવી તકલીફ ભોગવવા બાકીના કલાકારોના) મત મોદીવિરોધી છે, એવું પણ તેમના લખાણમાં હતું. માટે જ કૃષ્ણાએ બીજા દિવસે તેમનો આભાર મળ્યો કે ચલો, એ.એ.આઈ.એ નહિ, તો કોઈકે તો કહ્યું કે કાર્યક્રમ કેમ રદ્દ થયો. થોડા તીખા તેવર સાથે કૃષ્ણાએ ૧૬મીએ કહ્યું કે આવતી કાલે દિલ્હીમાં મને કોઈ પણ જગ્યા આપો, હું ગાઈશ.

દિલ્હીની સરકાર, કેજરીવાલની આમ આદમી પાર્ટી, મોદી/ભા.જ.પ.ના અગ્રેસરનો એ જ વેવલેન્થ પર જવાબ આપતા આવ્યા છે. તેમણે તક ઝડપી લીધી અને સૈદ-ઉલ-અજાયબ ઉર્ફે ગાર્ડન ઑફ ફાઇવ સેન્સીઝ પર શનિવારે સાંજે જલસો જામ્યો. શરૂમાં કેજરીવાલે માત્ર પાંચેક વાક્યો કહ્યાં, એ મતલબનાં કે ભારત જેવી ભાતીગળ વિવિધતા કોઈ દેશમાં નથી અને એને આપણે સાચવી રાખવી જોઈએ.

કૃષ્ણા આમે ય સામાજિક નિસબતનું સંગીત રજૂ કરે છે અને ઉપરથી વિચારધારાની ગરમાગરમીનો માહોલ હોય, પછી પૂછવું શું ? રજૂઆતોની દરેક પસંદગી ‘રાજકીય’ નીકળી. શરૂઆતમાં સાબરમતી આશ્રમને યાદ કરીને સર્વ ધર્મ પ્રાર્થના પછી તુકારામ (મરાઠી) અને બસવા (કન્નડ). પછી કન્નડ કવિ કનકદાસની રચના રજૂ કરતાં પહેલાં કૃષ્ણાએ યાદ દેવડાવ્યું કે ઉડુપીમાં કૃષ્ણનું જે મંદિર છે, તેમાં કનકદાસની જાતિના લોકોને પ્રવેશ નહોતો. કનકદાસે ભગવાનને વિનંતી કરી અને ભગવાનની મૂર્તિ ઊલટી ફરીને બારી તરફ થઈ, જ્યાંથી કનકદાસ દર્શન કરી શકે. સબરીમાલા વિવાદનો સંદર્ભ સ્પષ્ટ જ હતો. એમ છતાં સ્પષ્ટતાની જરૂર હોય, તો પછી કબીરભજન તો હતું જ.

માટી કહે કુંભાર સે, તૂ ક્યા રોંદે મોહે,
એક દિન ઐસા આએગા, મૈં રોદૂંગી તોહે.
આયે હૈં તો જાયેંગે, રાજારંકફકીર,
એક સિંઘાસન ચડી ચલે, એક બંધે જંજીરઃ
દુર્બલ કો ના મનાઈએ, જાકી મોટી હાય,
બિના જીબ કે શ્વાસ સે લોહ ભસમ હો જાય!
કબીર આપ ઠાગાયિયે, ઔર ના ઠગિયે,
આપ ઠગે સુખ ઊપજે, ઔર ઠગે દુઃખ હોય!

અરબી, સૂફી ભજન, કેરાલી ફિલ્મમાંથી જિસસનું ભજન ઇત્યાદિ અને અંતે ‘રઘુપતિ રાઘવ રાજારામ’. આશરે હજારેક લોકો એકઠા થયા હતાઃ મોટા ભાગના બે કલાકથી વધુ ઊભા રહીને સાંભળતા રહ્યા. એક પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યાનો મિજાજ હતો. હિન્દુત્વની સ્ટ્રીટ -ટૅક્‌ટિક્સનો જવાબ આપવાનો એક રસ્તો સફળ થયો.

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 16

Loading

વિકાસના વિકલ્પે રામ

રમેશ બી. શાહ|Opinion - Opinion|1 December 2018

અર્થ-અનર્થ

દેશમાં ‘વિકાસ’ કરવાનો ભા.જ.પ.ને, વિશેષ કરીને વડાપ્રધાન મોદીને ઇજારો આપવામાં આવ્યો હોય તે રીતે ભા.જ.પ.ના નેતાઓ વિકાસની વાતો કરે છે. વિકાસનો અર્થ સ્પષ્ટ નહીં કરવાની તેઓ કાળજી રાખે છે. તે જ રીતે કોનો વિકાસ એ પ્રશ્નને પણ તેઓ અનુત્તર રાખે છે. ઉદ્દેશોની બાબતમાં અસ્પષ્ટતા રાખવી તે રાજકીય કુનેહમાં ખપે છે. આમ, અપ્રામાણિકતાને કુનેહનો ઢોળ ચડાવવામાં આવતો હોવાથી તે ગૌરવવંતી બને છે. પણ જેઓને રાજકારણની અપ્રામાણિકતા અને ધૂર્તતામાં રસ નથી, તેમણે વિકાસનાં વિવિધ પાસાંની ચર્ચા કરવા જેવી છે.

અર્થશાસ્ત્રમાં વિકાસ (development) અને વૃદ્ધિ (growth) વચ્ચે ભેદ પાડવામાં આવ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી એ સમયે અલ્પવિકસિત તરીકે ઓળખાતા દેશોના સંદર્ભમાં આર્થિક વિકાસ શબ્દ પ્રયોજાયો હતો. ઇંગ્લૅન્ડ આદિ કેટલાક દેશોમાં ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં આર્થિક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યાં તે ઔદ્યોગિક ક્રાંતિ કે ઔદ્યોગિકીકરણ તરીકે ઓળખાયાં. એ આજના અર્થમાં વિકાસ જ હતો, પણ એના વિશે લખાયેલા ઇતિહાસોમાં એ પરિવર્તનોનું વર્ણન અને વિશ્લેષણ વિકાસની પરિભાષામાં કરાયું નથી. પણ બીજા વિશ્વયુદ્ધ પછી એ બધા દેશોને વિકસિત દેશ ગણવામાં આવ્યા અને અન્ય દેશોને આરંભમાં અલ્પવિકસિત તરીકે ઓળખવામાં આવ્યા. પણ એ શબ્દ એ દેશોના નાગરિકો માટે હિણપતભર્યો લાગવાથી તેના સ્થાને વિકાસશીલ શબ્દ પ્રયોજાયો અને રૂઢ થયો.

અઢારમી સદીના ઉત્તરાર્ધથી ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં આવેલાં પરિવર્તનોને સમજવાથી વિકાસનો અર્થ સ્પષ્ટ થાય છે. વરાળશક્તિ અને યંત્રો પ્રયોજાવાથી માણસોની ઉત્પાદનશક્તિમાં મોટો વધારો થયો, જેને આજે જી.ડી.પી. તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એના પરિણામે વધારો થયો. જી.ડી.પી.ની આ વૃદ્ધિ અર્થતંત્રમાં આવેલાં ઉપર્યુક્ત ગુણાત્મક પરિવર્તનોનું પરિણામ હતું. આમ, વિકાસમાં ગુણાત્મક પરિવર્તનોપ્રેરિત વૃદ્ધિ અભિપ્રેત છે.

વિકાસ એક મૂલ્યભારિત શબ્દ બની ગયો છે. વિકાસમાં ઇષ્ટતા, ઇચ્છનીયતાનો ભાવ રહેલો છે. વિકાસ શબ્દ સારાં, થવાં ઘટે એવાં પરિવર્તનો સૂચવે છે. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અંતનોગત્વા લોકોનાં જીવનધોરણમાં મોટો સુધારો થયો, એ પરિણામ લોકોને ગમતું હોવાથી એ પરિવર્તનો વિકાસ ગણાયાં. ઐતિહાસિક રીતે જોઈએ તો વિકાસ આર્થિક ક્ષેત્રો પૂરતો સીમિત રહી શકતો નથી. શિક્ષણ, તબીબી સારવાર, સરકારી સેવાઓ અને સામાજિક સંસ્થાઓમાં પણ ગુણાત્મક પરિવર્તનો સમય જતાં નીપજે છે. એક જમાનામાં યુરોપ, અમેરિકાની યુનિવર્સિટીઓ અધ્યાપનના મર્યાદિત વિષયો સાથે હાઈસ્કૂલ કક્ષાએ કામ કરતી હતી. એ બધા દેશોમાં સરકારી સેવાઓ વિસ્તરી છે અને સાથોસાથ તેની કાર્યદક્ષતામાં મોટો વધારો થયો છે. સમગ્ર સમાજમાં વિકાસ કહેતાં ગુણાત્મક પરિવર્તનો અનુભવાય છે.

આર્થિક વિકાસ દેખીતી રીતે સારી બાબત છે, પણ વિકાસના નામે ઓળખીતાં પરિવર્તનો બધા માટે લાભદાયી નીવડતાં નથી. કેટલાકને એમાં ગુમાવવાનું પણ થાય છે. સિંચાઈ માટે બંધ બાંધવાથી ખેડૂતોના એક વર્ગને લાભ થાય છે, પણ એને કારણે જેઓ વિસ્થાપિત થાય છે અને પોતાની જમીન ગુમાવે છે, તેમને ગુમાવવાનું થાય છે. રસ્તાઓ થવાથી બસ-વ્યવહાર વધતાં ગ્રામવાસીઓને અનેક લાભો થાય છે, પણ નાનાં ગામડાંઓના વેપારીઓનો વેપાર પડી ભાંગે છે, કેમ કે ગ્રામવાસીઓ પાસેના નગરમાંથી ખરીદી કરતા થાય છે. વિકાસની પર્યાવરણ પરની અસર મોટા વિવાદનો વિષય બની છે. વિકાસથી પર્યાવરણનો જે ભોગ લેવાય છે, તેની કિંમત ભાવિ પેઢીએ ચૂકવવાની થશે. અલબત્ત, હવાના પ્રદૂષણની કિંમત વર્તમાન પેઢીને પણ ચૂકવવી પડે છે. વળી, વિકાસથી જી.ડી.પી.માં જે વધારો થાય છે, તેની વહેંચણીની અસમાનતાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. આવકની કઈ વહેંચણી ન્યાયી ગણાય તે મોટા મતભેદનો મુદ્દો છે. આ પ્રશ્નોને કારણે અર્થશાસ્ત્રીઓ મૂલ્યભારિત વિકાસ શબ્દને બદલે મૂલ્યનિરપેક્ષ વૃદ્ધિ શબ્દ પસંદ કરે છે.

રાજકારણીઓને આવા કોઈ પ્રશ્નો કનડતા નથી. વિકાસ કોને ન ગમે? વિકાસ દ્વારા તેઓ શું કરશે એનું નામ પાડતા નથી. વિકાસના લાભાર્થીઓ કોણ હશે, એના જવાબમાં ‘સબ કા સાથ, સબકા વિકાસ’ જેવાં રાજકીય સૂત્રો પોકારે છે. વિકાસમાં જેમને ગુમાવવાનું થાય છે. તેમને વળતરના વાયદા કરે છે. રાજકારણીઓ વિકાસને અસ્પષ્ટ રાખે છે એ એમના માટે આરંભમાં લાભદાયી નીવડે છે. વિકાસ એક સારી બાબત છે, એમ સમજીને લોકો તેનાથી આકર્ષાય છે અને તેનો પોતાને અનુકૂળ અર્થ ધરાવે છે. બેકારો સારી રોજગારીની, ખેડૂતો આવક વધવાની અને પોતાના શિક્ષિત દીકરાઓને ખેતીની બહાર રોજગારી મળવાની, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પોતાની કમાણી વધવાની એમ વિવિધ વર્ગો વિકાસમાં પોતાનું હિત જુએ છે. વિકાસથી સારા દિવસો આવશે, એવી આશા લોકોમાં બંધાય છે. તેથી ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ જેવાં સૂત્રો વોટ ખેંચી લાવવામાં કામિયાબ નીવડે છે.

આપણે ત્યાં જે વિકાસ થયો છે, તે દુર્ભાગ્યે આમજનતાની અપેક્ષા સંતોષનારો નીવડ્યો નથી. આ વિકાસ રોજગારીવિહીન હોવાથી શિક્ષિત યુવાનોની સારી રોજગારી માટેની અપેક્ષા સંતોષાઈ નથી અને તેથી વિવિધ જ્ઞાતિઓ રોજગારીમાં અનામતની માંગ કરી રહી છે. ખેતીના ક્ષેત્રે છેલ્લાં પાંચેક વર્ષોથી વ્યાપક અસંતોષ પ્રવર્તે છે. એંસી ટકા જેટલા ખેડૂતો બે હૅક્ટરથી કે તેથી ઓછી જમીન ધરાવે છે, જે સરેરાશ પાંચ માણસોના કુટુંબને ભરણપોષણ માટે પૂરતી આવક આપી શકતી નથી. એક બાજુ ખેતીમાં ખર્ચ વધ્યું છે અને બીજી બાજુ વિવિધ ખેતપેદાશોના ભાવો ખર્ચ સાપેક્ષમાં નીચા રહે છે, તેથી ખેડૂતોના મોટા વર્ગ માટે ખેતી માટેનો ધંધો થઈ ગઈ છે. ટૂંકમાં, ખેડૂતો માટે ખરાબ દિવસો આવ્યા છે. નાણાપ્રધાન જેટલી અવાર નવાર એક દાવો કરે છે, દુનિયાનાં મોટાં અર્થતંત્રોમાં ભારતનું અર્થતંત્ર સહુથી ઊંચા દરે, સાત ટકાથી અધિક દરે વૃદ્ધિ પામી રહ્યું છે. પણ જી.ડી.પી.ની વૃદ્ધિનો આ ઊંચો દર લોકો એમના જીવનમાં અનુભવી શકતા નથી, કેમ કે આ વિકાસ મુખ્યત્વે કરોડપતિઓ અને અબજપતિઓની આવક વધારનારો છે. ટોચનાં એક ટકા કુટુંબોના ભાગે વધેલી આવકનો ૨૯ ટકા ભાગ ગયો છે, તેની સરખામણીમાં તળિયાના ૫૦ ટકાના ભાગ ૧૧ ટકા આવક થઈ છે. આની તુલનામાં ચીનમાં ટોચનાં એક ટકા કુટુંબોના ભાગે વધેલી આવકનો ૧૫ ટકા ભાગ ગયો હતો. આમ, ભારતમાં થઈ રહેલા વિકાસથી જનતાનો વિશાળ વર્ગ સારા દિવસોનો અનુભવ કરી રહ્યો નથી, તેથી વડાપ્રધાનની વિકાસની વાતોથી પ્રજાનો મોટો વર્ગ નિર્ભ્રાન્ત થઈ ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસોમાં ‘વિકાસ ગાંડો થયો છે’ એ ઉક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય થઈ હતી, એ તેનું એક પ્રમાણ હતું. વિકાસની વાતો રમૂજની વાતો બની ગઈ હતી.

વિકાસ અંગે સાચો-જૂઠો પ્રચાર લોકોને ભોળવી શકે તેમ નથી. લોકોને પોતાને વિકાસનો અનુભવ થતો ન હોય, તો તેઓ કેવળ પ્રચારથી ભોળવાઈ જાય એટલા ભોળા નથી. યુવાનોને સારી રોજગારી મળતી ન હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોય અને મોંઘવારી વધવાનું ચાલુ જ હોય એ સ્થિતિમાં લોકો વિકાસનો, એટલે સારા દિવસોનો અનુભવ ન કરે તે સહજ છે. ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી ઊંચા દરે વધે છે, બે-ચાર વર્ષમાં ઇંગ્લૅન્ડના અર્થતંત્રને પછાડીને ભારતનું અર્થતંત્ર આગળ નીકળી જશે, એવી વિકાસ અંગેની મોટી મોટી વાતોથી લોકોને કોઈ ફરક પડતો નથી. તેથી હવે ચૂંટણીઓ વિકાસને આગળ કરીને જીતી શકાય તેમ નથી; ચૂંટણી માટે બીજા મુદ્દાઓ ખોળવા પડે તેમ છે. અયોધ્યામાં રામમંદિર આવો એક હાથવગો મુદ્દો છે. લોકોને કનડતા પ્રશ્નો ગૌણ છે. સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને રોકવો, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બાંધવું, એ આજે દેશના ટોચની અગ્રતા ધરાવતા પ્રશ્નો છે!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 01-02

Loading

નવેમ્બર ૨૦૧૮, બંધારણ દિવસની પિછવાઈ પર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 December 2018

અગાઉને મુકાબલે સવિશેષ સભાનતાપૂર્વક ઉજવાયેલ બંધારણ દિવસ(છવ્વીસ નવેમ્બર)ની પિછવાઈ પર રાષ્ટ્રનું રાજકીય ચિત્ર આ ગાળામાં કેવુંક દીસે છે, વારુ?

જમ્મુ-કાશ્મીરથી શરૂ કરી શકીએ, કદાચ : કૉંગ્રેસ-નેશનલ કૉન્ફરન્સ-પી.ડી.પી. સરકાર રચવા એકત્ર આવ્યાં અને રાજ્યપાલ સત્યપાલ મલિકે સહસા વિધાનસભા જ વિસર્જિત કરી નાખી! થયું, એ નવી દિલ્હીના ઇશારે ચાલ્યા હશે. પણ, પછીના ગાળામાં રાજ્યપાલે કહેતાં જે સમજાયું તે એ કે ભા.જ.પ. સજ્જાદ લોનને આગળ ધરીને સરકાર રચવા માગતો હતો. લોને શપથ લીધા બાદ વિશ્વાસમત માટે છ દિવસ માગવાની જિકર કરી ત્યારે રાજ્યપાલને ‘હૉર્સ ટ્રેડિંગ’ની શક્યતા જણાતાં એમણે વિસર્જનનો રાહ ગનીમત લેખ્યો. સામાન્યપણે બોમ્માઈ ચુકાદા પ્રમાણે જે તે નિર્ણય ગૃહમાં લેવાવો જોઈએ એ જો સમજી શકાય એવું વલણ છે તો રાજ્યપાલને પક્ષે પણ એક લૉજિક છે.

સારામાં સારું બંધારણ અંતે તો એનો અમલ કરનારા જેટલું જ સારું હોઈ શકે છે, એ ધ્રુવવાક્ય યાદ કરીએ તો સમજાઈ રહેશે કે અંતે તો રાજકીય જીવનમાં બંધારણીય નૈતિકતાની એક વ્યવહારમૂલ્ય તરીકે કેવીક પ્રતિષ્ઠા છે એ એક નિર્ણાયક પરિબળ બની રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષ બેઉને આ અવલોકન લાગુ પડે છે, પણ સવિશેષ દાયિત્વ (અને ઉત્તરદાયિત્વ) અલબત્ત સત્તાપક્ષનું બની રહે છે.

ભા.જ.પ.ની શીર્ષ બેલડી એક પ્રકારે વિજીગીષુ વૃત્તિ(ખરું જોતાં ‘કિલર ઇન્સ્ટિંક્‌ટ’)થી પેશ આવી રહી છે, તે આ સંદર્ભમાં સૂચક બલકે ચિંતાપ્રેરક છે. અયોધ્યા મુદ્દે તત્કાળ ચુકાદાનું સંઘ પરિવારનું કોરસગાન તમે જુઓ અને સમજાઈ રહેશે કે ઇંદિરા ગાંધીના વારામાં ‘કમિટેડ જ્યુડિશ્યરી’નો જે દોર આપણે જોયો એ પ્રકારનો એક દાબ નવેસરથી ઊભો કરાઈ રહ્યો છે.

જોવાનું એ છે કે આ દાબ વાસ્તે પરિવારે પસંદ કરેલો મુદ્દો કોમી ધ્રુવીકરણની રાજનીતિ માટે ખાસી ગુંજાશ ધરાવે છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેના સત્તાવિશ્લેષનો બંધારણીય અભિગમ સુચિંતિત છે એ લક્ષમાં રાખીએ તો તરત સમજાશે કે આ કિસ્સો એક બહુમતવાદી (મેજોરિટેરિયન) સરકારને પક્ષે ન્યાયતંત્રને દાબમાં રાખવાની કોશિશનો અને એ રીતે સત્તાવિશ્લેષના લોકશાહી અભિગમને હતો ન હતો કરવાનો છે.

૨૦૧૮ ઉતરતે કોમી ધ્રુવીકરણની એની તાકીદ પણ સાફ છે, કેમ કે પાંચ વરસ પૂરાં થતે વિકાસની ગાયકી વાસ્તે કંઠ્ય અને વાદ્ય કોઈ નોંધપાત્ર સામગ્રી શોધી જડતી નથી. દેશભરમાં જે કિસાન પ્રક્ષોભ છે તે જો એનું એક ઉદાહરણ છે તો નોટબંધી નજરબંધી સમેતની અર્થપ્રકરણી ચમત્કૃતિઓનું સરવૈયું ખાલી ખાલી ખખડાટનો ભાવ જગવે છે તે એનું બીજું ઉદાહરણ છે. નીતિ વિષયક ગડ કઈ હદે નથી બેસતી એનો તરત સામે આવતો એક દાખલો મધ્યપ્રદેશનો છે. શિવરાજસિંહ ચૌહાણના શાસનકાળમાં કૃષિઉતાર ખાસો એટલે કે ખાસો વધ્યો (લગભગ બેવડાયો) તેમ છતાં કિસાન અજંપો વધતો માલૂમ પડે છે. દેશની આગલી કે ચાલુ સરકારો લોનમાફી જાહેર કરતી રહી છે, પણ એનો લાભ વાસ્તવિક ખેડૂત લગી લગભગ પહોંચતો જ નથી. પી. સાઈનાથની તરતપાસ સમેતની ટિપ્પણી મુજબ આ ગોટાળો રાફેલથી ક્યાં ય ચડી જાય એવો છે.

મધ્યપ્રદેશની જિકર કરી તે સાથે એક બીજો મુદ્દો પણ સત્તાપક્ષનાં શીલ અને શૈલી સબબ સામો આવે છે. મધ્યપ્રદેશ અને છતીસગઢમાં બંને ભા.જ.પી. મુખ્યમંત્રીઓ લાગટ ત્રણ મુદતથી સત્તારૂઢ છે. ક્યારેક જ્યોતિ બસુ કે માણિક સરકાર જેવાઓનો જે વિક્રમ ગણાતો હતો તે પછી શિવરાજસિંહ અને રમણસિંહ પણ, જો આ ચોથી મુદત હાંસલ કરે તો એમની પ્રતિભા ઓર ઉંચકાશે. અત્યારે ભા.જ.પ. જે રીતે સત્તાના શીર્ષ કેન્દ્રીકરણની તરજ પર ચાલતો જણાય છે એ જોતાં રાજ્ય સ્તરે ઉંચકાતી પ્રતિભાઓને તે જીરવી શકશે કે કેમ એ જોવું રહેશે. દરમિયાન, અત્યારે તો પોતાના ત્રણ મુદતના કાર્યકલાપને જોરે લડી રહેલા આ મુખ્યમંત્રીઓ છતાં, રાષ્ટ્રીય સ્તરે તો કોમી ધ્રુવીકરણનો તરણોપાય તકાજો સાફ દેખાય છે.

કૉંગ્રેસને કે બીજા પક્ષોને કોમી વણછો નથી લાગ્યો એમ તો કોણ કહેશે? શીખ સંહારસત્ર માંડ હમણે સજાપાત્ર વરતાવા લાગ્યો છે એ તરતનું ઉદાહરણ છે. (ગુજરાતના ૨૦૦૨ના ઘટનાક્રમમાં એને મુકાબલે સજાઓનો દોર ખાસો છે એને જરૂર ગુજરાત મોડેલની એક ઉપલબ્ધિ ગણી શકાય. માત્ર, એનો યશ ગુજરાતના નઠારા નાગરિક કર્મશીલોને ખતવવો રહે.) પણ બીજા પક્ષો અને ભા.જ.પ. વચ્ચે એક પાયાનો ફરક એ છે કે પરસ્પર સ્પર્ધી કોમવાદી ફિરાકમાં મોટાભાગના, રિપીટ, મોટાભાગના પક્ષો માલૂમ પડે છે; પરંતુ, કોમવાદને પૂરા કદની રાજકીય વિચારધારાનું ગૌરવ એ ભા.જ.પ.ની ગતિ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં શું બન્યું? કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ સામાન્યપણે ચિત્રમાં રહેતાં એને સ્થાને તાજેતરનાં વરસોમાં ભા.જ.પ. અને પી.ડી.પી. ઠીક ઠીક તુલ્યબળ ઉભર્યાં. જમ્મુ-કાશ્મીરમાં પૂર્વે કદાપિ નહીં એ હદે કોમી ધ્રુવીકૃત ચુકાદો આવ્યો અને ભા.જ.પ.-પી.ડી.પી. સરકાર બની. ઉમેદ હતી કે બંને જરી ગોળવાશે અને ભારતની બંધારણીય મર્યાદાને છાજતી રીતે ગાઠવાશે. પણ ભા.જ.પે. કાશ્મીરમાં જે મુદ્રા અંગીકાર કરી અને દેશના બીજા ભા.જ.પ. એકમો તેમ જ સંઘ પરિવારની સંસ્થાઓનું જે ગાણું ચાલતું રહ્યું એ બંને પરસ્પરવિરોધી હતાં એનું શું. કાશ્મીરમાં સત્તા માટે ગોળવાવું અને બાકી દેશમાં વિકાસ આડે કોમી અણિયાળાપણું, આ બે સાથે કેવી રીતે જઈ શકે?

પી.ડી.પી., નૅશનલ કોન્ફરન્સ, કૉંગ્રેસ દરેકને તપાસી શકાય; પણ આ ક્ષણે જે મુદ્દો છે તે દેશના વડા સત્તાપક્ષના દાયિત્વ અને ઉત્તરદાયિત્વનો છે. એક પા કરતારપુરનું ખૂલવું અને બીજી પા મુંબઈ ઘટનાની દસવરસીએ પાકિસ્તાનનું વાસ્તવ સામે આવવું, આ બેની વચ્ચે વિવેકપૂર્વક તંગ દોર પરની શુચિર્દક્ષ નટચાલ સ્વાભાવિક જ સરળ નથી. માત્ર, મૂળભૂત વિચારધારાવાદને ધોરણસર નમનીય કરવાની દક્ષતા હોય અને કોમી રોકડીથી પરહેજ કરવાનો વિવેક હોય તો એ દુઃસાધ્ય છતાં અસાધ્ય નથી. બંધારણ દિવસની પિછવાઈ પર, જેમણે ભરભાગલે કોમી રાજ્યવિભાવનાથી છેટા રહેવું પસંદ કર્યું એ મહાન સ્વરાજનિર્માતાઓ પરત્વે કૃતજ્ઞાપૂર્વક આ બે’ક વાતો, ચાલુ અને આગામી પડકારોને અનુલક્ષીને.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 03

Loading

...102030...2,9622,9632,9642,965...2,9702,9802,990...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved