Opinion Magazine
Number of visits: 9685653
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૧૯માં નીતિન ગડકરી માટે વડા પ્રધાન બનવાના ઊજળા સંજોગો છે અને સંઘે એવી તૈયારી શરૂ કરી દીધી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 December 2018

નરેન્દ્ર મોદી હવે વિકાસ વિષે બોલી શકે એમ નથી. એ સ્થિતિમાં નીતિન ગડકરી એક એવો ફ્રેશ ચહેરો છે જે વિકાસ વિષે બોલી શકે અને બોલે તો લોકો સાંભળે અને થોડો ભરોસો પણ કરે

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, એમ એમ રાજકારણના રૂપરંગ ઝડપથી બદલાતા રહેશે. કેન્દ્રના ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન અને બી.જે.પી.ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી આજકાલ બીજા કોઈ પણ નેતા કરતાં વધુ બોલે છે અને એ રીતે સરકારને મૂંઝવણમાં મૂકે છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે સફળતાનો શ્રેય લેવા બધા આગળ આવે છે, પરંતુ નિષ્ફળતા મળે ત્યારે બીજા નાના માણસોને દોષી ઠેરવવામાં આવે છે અને શ્રેય લેનારાઓ મોઢું ફેરવી લે છે. તેમણે સંસ્થાઓમાં યશ-અપયશનાં ચાલતાં રાજકારણની વાત કરતાં ઈશારામાં નરેન્દ્ર મોદી-અમિત શાહ તરફ ઈશારો કર્યો હતો. એ પહેલાં વિજય માલ્યાનો તેમણે જાહેરમાં બચાવ કર્યો હતો. કેન્દ્રના નાણા પ્રધાન અરુણ જેટલીએ માલ્યાને ભાગેડુ ચોર તરીકે ઓળખાવ્યો એના બીજા જ દિવસે ગડકરીએ કહ્યું હતું કે જે માણસ ચાર દાયકાથી બેંકો પાસેથી ધિરાણ લેતો આવ્યો છે, મુદ્દલ અને વ્યાજ ચૂકવતો આવ્યો છે એને એકવાર ધંધામાં નિષ્ફળતા મળી અને ધિરાણ અને વ્યાજ ચૂકવવા નિષ્ફળ નીવડ્યો એનો અર્થ એવો ન થાય કે તે જન્મજાત ચોર છે. રોજગારી વિષે બોલતાં તેમણે સામેથી સવાલ કર્યો હતો કે રાજગારી છે જ ક્યાં કે સરકાર આપી શકે? આ રીતે તેમણે સરકારના દાવાઓને અધ્ધર અને તકલાદી ગણાવ્યા હતા.

અહીં તેમની રાજકીય સક્રિયતાના માત્ર બે જ ઉદાહરણ આપ્યા છે, પરંતુ તેઓ અત્યંત સક્રિયપણે સરકારને મૂંઝવણમાં મૂકી રહ્યા છે અને તમે નોંધ્યું હશે કે અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ જેવા છાશવારે સરકારની વહારે દોડી જનારાઓ અને ભિન્ન મત વ્યક્ત કરનારાઓને ચેતવનારાઓ નીતિન ગડકરીનો પ્રતિવાદ કરતા નથી. નીતિન ગડકરીને ૨૦૧૯માં નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે બી.જે.પી.નો બીજીવાર (એ પહેલાં ૨૦૦૪માં) પરાજય થયો અને પક્ષમાં રાજકીય સંકટ પેદા થયું, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હસ્તક્ષેપ કરીને ગડકરીને બી.જે.પી.ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. એ સમયે નીતિન ગડકરી બી.જે.પી.માં પ્રમાણમાં જુનિયર નેતા હતા, પરંતુ તેઓ નાગપુરના હોવાથી અને બે પેઢીથી સંઘમાં હોવાથી તેઓ સંઘના નેતાઓની નજીક છે.

આ નીતિન ગડકરી ઉપર નજર રાખજો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે બે મહિના પહેલાં દિલ્હીમાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં ત્યારે તેમણે જે રાગ આલાપ્યો હતો, ત્યારે આ કોલમમાં મેં ગડકરીના સંભવિત નેતૃત્વ વિષે લખ્યું હતું. એમ માનવામાં આવે છે કે ૨૦૧૯માં બી.જે.પી.ને જો બહુમતી ન મળે તો નીતિન ગડકરીને વડા પ્રધાન બનાવવા કારણ કે તેઓ બધાને સાથે લઈને ચાલવાની આવડત ધરાવે છે. નીતિન ગડકરીને બી.જે.પી.ના શરદ પવાર તરીકે ઓળખાવવામાં આવે છે. ખાસ કરીને પાંચ રાજ્યોની અને તેમાં પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો પછી સંઘપરિવારને સમજાઈ ગયું છે કે બી.જે.પી. કદાચ એકલા હાથે સંઘને કાશી સુધી નહીં પહોંચાડી શકે. ઉત્તરનાં ત્રણ રાજ્યોમાં જોવા મળ્યું એમ પચાસ ટકાનો માર પડે તો પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બી.જે.પી.ને મળેલી કુલ ૨૪૦ બેઠકોમાંથી અડધી બેઠકો ઘટી જાય. આ સાથે મિઝોરમ અને તેલંગાણાનાં પરિણામો બતાવે છે કે પૂર્વ અને દક્ષિણ ભારતમાં બી.જે.પી. મોટા પાયે પ્રવેશી શકે એમ નથી.

ટૂંકમાં, બી.જે.પી.નો રથ ૧૨૫ કે ૧૫૦ની વચ્ચે અટકી પડે (અને એવી શક્યતા ઘણી મોટી છે) તો એવા સંજોગોમાં નીતિન ગડકરીને આગળ કરી શકાય. એક તો નીતિન ગડકરી ભારતીય રાજકારણમાં ચારે બાજુ મિત્ર ધરાવે છે અને બીજું સત્તાના રાજકારણમાં હુકમનું પાનું હાથ લાગ્યા પછી એન.ડી.એ.ના સાથી પક્ષો નરેન્દ્ર મોદીને સ્વીકારે નહીં. નરેન્દ્ર મોદીને પણ તેમનો એકાધિકારશાહીવાળો સ્વભાવ જોતા પટાવી ફોસલાવીને રાજ કરતા ફાવે નહીં. તો ૨૦૧૯માં નીતિન ગડકરી માટે વડા પ્રધાન બનવાના ઉજળા સંજોગો છે અને સંઘના નેતાઓ એ એવી તૈયારી શરૂ કરી દીધી છે.

કોમી ધ્રુવીકરણ અને રામમંદિર કેટલો ચૂંટણીકીય ફાયદો કરાવી આપશે એ વિષે બી.જે.પી.ના અને સંઘપરિવારમાં અસમંજસ છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચૂંટણીમાં માર પડવાનો છે એ એક હકીકત છે. જો કોમી રાજકારણને હજુ વધુ જલદ બનાવવામાં આવે તો દક્ષિણ અને પૂર્વ ભારતમાં પ્રવેશવામાં મુશ્કેલી પડે. આમ કોમી ધ્રુવીકરણનો માર્ગ ત્યારે જ અપનાવાય જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તેનો નિશ્ચિત લાભ મળવાનો હોય અને એવી કોઈ ખાતરી નજરે પડતી નથી. ખાસ કરીને સંઘપરિવારની ધર્મસંસદ અને એ પછીની યાત્રાઓને જે મોળો પ્રતિસાદ સાંપડ્યો છે, એ પછીથી કોમી ધ્રુવીકરણની પ્રક્રિયા મંદ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે બી.જે.પી.ના સંસદીય પક્ષની બેઠકમાં નરેન્દ્ર મોદી અને અમિત સાહ હાજર રહ્યા નહોતા, અને રાજનાથ સિંહે સુકાન સંભાળ્યું હતું. ત્રણ કલાકની બેઠકમાં છેક છેલ્લે દસ મિનિટ માટે અયોધ્યાનો પ્રશ્ન કાઢવામાં આવ્યો હતો અને રાજનાથ સિંહે ઉભડક જવાબ આપીને તેને ટાળ્યો હતો.

બિહારમાં ઉપેન્દ્ર કુશવાહાએ એન.ડી.એ.ને રામરામ કર્યા એ પછી રામવિલાસ પાસવાને અને તેમનાં પુત્રે એન.ડી.એ. છોડવાની ધમકી આપી હતી. બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહ અને નાણા પ્રધાન અરુણ જેટલીએ પાસવાનને ઠંડા પાડવા અને સમજૂતી ટકાવી રાખવા પટણા જવું પડ્યું હતું. ૨૦૧૪માં ૨૨ બેઠકો જીતનાર બી.જે.પી. આ વખતે ૪૦માંથી ૧૭ બેઠકો લડવાની છે. વાત અહીંથી પતતી નથી. બિહારના સાથી પક્ષોએ આગ્રહ રાખ્યો છે કે રામમંદિરનું રાજકારણ નહીં કરવાનું અને તેને એન.ડી.એ.નો મુદ્દો નહીં બનાવવાનો. આ બાજુ મહારાષ્ટ્રમાં શિવસેના સતાવે છે. સેનાના નેતા ઉદ્ધવ ઠાકરે કહે છે કે જો નરેન્દ્ર મોદીની સરકાર રામમંદિર બાંધવા માટે રસ્તો સાફ કરશે તો જ તે બી.જે.પી. સાથે ચૂંટણી સમજૂતી કરશે. એ સિવાય પહેલીવાર ઉદ્ધવે ‘ચોકીદાર ચોર’નો રાહુલ ગાંધીનો શબ્દપ્રયોગ વાપર્યો છે. આમ ઉદ્ધવ ઠાકરે બી.જે.પી.ની કફોડી સ્થિતિમાં બી.જે.પી.ને સતાવવામાં કાંઈ બાકી રાખતા નથી.

આ સ્થિતિમાં નીતિન ગડકરી આજકાલ સૌથી વધુ જાહેરમાં દેખા દે છે, પ્રગટ ચિંતન કરે છે, સ્પષ્ટ બોલે છે અને મુખ્યત્વે શાસન અને વિકાસ વિષે જ બોલે છે. નરેન્દ્ર મોદી હવે વિકાસ વિષે બોલી શકે એમ નથી અને બોલે તો લોકો ભરોસો કરે એમ નથી, એ સંજોગોમાં નીતિન ગડકરી એક એવો ફ્રેશ ચહેરો છે જે વિકાસ વિષે બોલી શકે અને બોલે તો લોકો સાંભળે અને થોડો ભરોસો પણ કરે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 26 ડિસેમ્બર 201

cartoon courtesy : Sandeep Adhwaryu, "The Times of India", 26 December 2018

Loading

ભૂખમરામુક્ત વિશ્વની તાકીદઅથવા વચનોના આભલે ભૂખ શેં ભાંગે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 December 2018

ખોરાક અને પોષણ સંબંધી, ‘ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન’નો ૨૦૧૮નો અહેવાલ , દુનિયામાં ૨૦૧૫થી ભૂખમરો વધી રહ્યો હોવાનું જણાવે છે. [http://www.fao.org/state-of-food-security-nutrition/en/] દુનિયાની કુલ વસ્તી પૈકીની ૧૧ ટકા વસ્તી અર્થાત્‌ ૮૨.૧ કરોડ લોકો એવા છે જેમને પેટનો ખાડો પૂરવા ધાન મળતું નથી. એશિયા ખંડની કુપોષિત વસ્તી ૫૧.૫ કરોડ છે અને તેમાંથી લગભગ ૪૦ ટકા ભારતમાં હોવાનો અંદાજ છે. ૨૦૧૮નો વિશ્વ ભૂખ સૂચકાંક ભારતમાં ભૂખમરો વધ્યાનો નિર્દેશ કરે છે. આ સઘળી હકીકતો, ૨૦૨૨માં ભારતને અને ૨૦૩૦માં વિશ્વને ભૂખમરામુક્ત કરવાના અભિયાન સામે સવાલ બનીને, પડકાર બનીને ઊભી છે.

૨૦૦૬ના વરસથી જર્મનીની સંસ્થા વેલ્થહંગરહિલ્ફે “ગ્લોબલ હંગર ઈન્ડેક્સ” જાહેર કરીને  વિશ્વને ભૂખમરાથી સાવધ કરી રહી છે. ૨૦૧૮ના વરસના તેના તેરમા રિપોર્ટમાં, જે ૧૧૮ દેશોનો  વિશ્વ ભૂખ સૂચકાંક જાહેર થયો છે તેમાં, ભારતનો ક્રમ ૧૦૩ છે. ૨૦૧૫માં ભારતનો ક્રમ ૮૫, ૨૦૧૬માં ૯૭, ૨૦૧૭માં ૧૦૦ હતો. જેટલો આંક ઊંચો એટલો ભૂખમરામાં ક્રમ આગળ એમ જણાવતો આ હેવાલ નોંધે છે કે ભારતનો હંગર ઈન્ડેક્સ એશિયાના અન્ય બે દેશો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં જ સારો છે. એશિયાના અન્ય ગરીબ ગણાતા દેશોમાં ભારત કરતાં ભૂખમરાની સ્થિતિ બહેતર છે. શ્રીલંકાનો ભૂખ સૂચકાંક ૬૭, મ્યાંમારનો ૬૮, નેપાળનો ૭૨ અને બાંગ્લાદેશનો ૮૬ છે. ભારતનું અર્થતંત્ર જેની સાથે સ્પર્ધામાં હોવાનું કહેવાય છે તે ચીનમાં ભારત કરતાં ભૂખમરો નહિવત્‌ છે અને તેનો હંગર ઈન્ડેક્સ ૨૫ છે.

વૈશ્વિક, રાષ્ટ્રીય અને ક્ષેત્રિય એમ તમામ સ્તરે ભૂખમરાનું આલેખન વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં  કરવામાં આવે છે. તેમાં અલ્પપોષણ, બાળકોમાં અલ્પપોષણ, પાંચ વરસ સુધીના બાળકોનો શારીરિક વિકાસ (ઊંચાઈ અને વજન) તથા બાળમૃત્યુ દરને મહત્ત્વના માપદંડ માનીને ભૂખમરાની તીવ્રતા કે ઘટાડો તપાસાય છે. ભારતના નીતિ આયોગે એમ કહીને આ વરસના ભૂખ સૂચકાંકમાં ભારતનો ક્રમ ૧૦૦થી વધીને ૧૦૩ થયો તેને નકાર્યો છે કે તેમાં કુપોષણ અને બાળકોનાં કુપોષણને વધારે પડતું પ્રાધાન્ય આપ્યું છે.

દુનિયાની અમીરી અને ગરીબી વિશે જાતભાતના સર્વે અને સંશોધનો પ્રકટ થતાં રહે છે. સરકારો તેને માફક આવે તેવા સર્વે-સંશોધનોને ફુલાવીને પ્રચારિત કરતી રહે છે તો તેનું નીચાજોણું થાય તેવા સંશોધનો નકારતી ફરે છે. હાલમાં જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તે રાજ્યો બહુ આયામી ગરીબી આંક(મલ્ટીલેવલ પ્રોવર્ટી ઈન્ડેક્સ)માં મોખરે છે. પણ તે કોઈ ચૂંટણી મુદ્દો બનતો નથી. મધ્યપ્રદેશનો એમ.આઈ.પી ૦.૧૮૧ છે. જે દુનિયાના સૌથી ગરીબ દેશ નામીબિયા જેટલો છે. છત્તીસગઢનો બહુઆયામી ગરીબી આંક ઝિમ્બાવે જેટલો, રાજસ્થાનનો ગ્વાટેમાલા જેટલો, ઉત્તરપ્રદેશનો કોંગો જેટલો અને બિહારનો મલાવી જેટલો છે. દેશનું સૌથી શિક્ષિત રાજ્ય  કેરળ બહુ આયામી ગરીબીમાં સાવ જ તળિયે છે. તેનો એમ.આઈ.પી  દુનિયાના સૌથી સુખી દેશ જોર્ડન જેટલો, ૦.૦૦૪, છે.

એક તરફ યુનાઈટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના અહેવાલ મુજબ ભારતમાં ૨૭ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવી ગયાનું જણાવાય છે. તો બીજી તરફ વિશ્વના ૪૫ ભૂખમરાગ્રસ્ત દેશોમાં હજુ ભારત સામેલ છે તે પણ વાસ્તવિકતા છે. ભારત વિશ્વના કુલ કુપોષિતો પૈકીના ૧૯ કરોડ એટલે કે દુનિયાના ૧૧ ટકા કુપોષિતો ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૭ કરોડ ૨૨ લાખ મુસલમાનો અને ૨૦ કરોડ ૧૪ લાખ દલિતોમાંથી ૪ કરોડ ૨૫ લાખ મુસલમાનો અને ૬ કરોડ દલિતો રોજના ૨૮ થી ૩૩ રૂપિયામાં જીવન ગુજારો કરવા મજબૂર છે. તેમાં જો આદિવાસીઓનો ઉમેરો થાય તો ચિત્ર કેટલું બિહામણું બની રહે ! જે લોકો એક ટંક ખાવાનું પામતાં નથી તેવા ભારતીયોમાં દેશની અર્ધી આબાદી એવી સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા ઘણી મોટી છે.

જ્યારે દુનિયા ધનના અને ખાસ તો ધાનના ઢગલાથી ફાટફાટ હોય ત્યારે આટલો મોટા પાયા પરનો  ભૂખમરો કોઈને પણ અકળાવે તેવો છે. ૨૦૧૬ની તુલનામાં ૨૦૧૭માં વિશ્વમાં અનાજનું ઉત્પાદન ૧.૨ ટકા વધ્યું હતું. ભારતમાં પણ અનાજની કોઈ ખેંચ નથી. આફ્રિકાના દેશોમાં ૨૦૧૭ના વરસમાં ગત વરસની સરખામણીએ અનાજનું ઉત્પાદન ૧૦.૧૮ ટકા વધ્યું હતું. જો કે અનાજની જરૂરિયાતવાળા ભૂખમરાગ્રસ્ત ૨૯ દેશો આફ્રિકાના જ છે. આ હકીકતો આપણાં નીતિ નિર્માતાઓએ લક્ષમાં લઈને જ્યારે અનાજની ટંચાઈ ન હોય ત્યારે લોકો ખરીદશક્તિના અભાવે, જોબલેસ ગ્રોથવાળા વિકાસના પ્રતાપે પેટ ભરવા જોગ દાણાપાણી ન મેળવી શકે તે સ્થિતિ નિવારવી પડશે. ભારતમાં ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજનો પુરવઠો પહોંચાડવાની જાહેર વિતરણ વ્યવસ્થા તથા શાળાના બાળકો માટેની મધ્યાહ્ન ભોજન યોજના વધુ સક્ષમ કરવાની જરૂર છે.

ભારતમાં આર્થિક વિષમતા સતત વધતી રહે છે. ગરીબ કલ્યાણ મેળાઓ અને મોલ કલ્ચરનું ભારતમાં સહઅસ્તિત્વ છે. મોટી મહેલાતોની બાજુમાં જ ઝૂંપડપટ્ટીઓ પણ છે. ટોચના ૧૦ ટકા ધનપતિઓ  દેશના ૮૦ ટકા સંસાધનોનો ઉપયોગ કરે છે. તેમાંના એકાદ ટકો તો પાછા એવા છે જે તેમાંના ૬૦ ટકા સંસાધનોના માલિકો બની બેઠા છે. આ એક ટકામાં મોટા અમીરો અને રાજકારણીઓ છે. આજના ભારતમાં જાણે કે આ અસમાનતા કોઈને અખરતી જ નથી. દેશના પાંચપંદર અતિ ધનાઢ્યો પાસે દેશની કુલ સંપતિના અડધાથી વધુ સંપત્તિ હોય તે વિષમતા ભયંકર ગણાવી જોઈએ. કેમ કે આ સંપત્તિ મજદૂરોના શોષણ પર ખડી થયેલી છે. ભારતની લોકસભામાં ૧૯૬૩માં, વિપક્ષના નેતા સમાજવાદી એવા ડો. રામમનોહર  લોહિયા અને વડાપ્રધાન પંડિત નેહરુ વચ્ચે ત્રણ આના વિરુદ્ધ ત્રણ રૂપિયાની ચર્ચા થઈ હતી. આ દેશમાં ગરીબ રોજના ત્રણ આના કમાતો હોય અને વડાપ્રધાનના કૂતરા પાછળ ત્રણ રૂપિયા ખર્ચાતા હોય તેની સામે લોહિયાનો વિરોધ હતો. ભારતની સંસદમાં આવી ચર્ચા હવે દુષ્કર છે. સર્વસમાવેશી વિકાસની વાતો તો બધી જ સરકારો કરે છે, પણ ભૂખમરાના ભીષણ આંકડા દર્શાવે છે કે વિકાસ હજુ તળિયે પહોંચ્યો નથી. આ વાસ્તવિકતા સ્વીકારીને સામાજિક-આર્થિક ન્યાય સુનિશ્ચિત કરતી નીતિઓ સાથે અન્નનો અધિકાર આપીશું તો જ ભૂખમરામુક્ત ભારત અને વિશ્વ બનાવી શકાશે. રોટીની અવેજીમાં વચનોનાં આભલાં બહુ લાંબા નહીં ટકે.

e.mail : maheriyachandu @gmail.com

Loading

ડો.બાબાસાહેબ આંબેડકર : દલિત નેતા કે રાષ્ટ્રનેતા ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 December 2018

દર વરસે ૬ઠ્ઠી ડિસેમ્બરનો ડો. આંબેડકર નિર્વાણદિન આમ મુંબઈગરાઓ માટે ભારે અચરજનો હોય છે. દેશની આર્થિક રાજધાની એવા મહાનગર મુંબઈના દાદર વિસ્તારમાં, અરબી સમુદ્રના કિનારે, જ્યાં આંબેડકરના અંતિમ સંસ્કાર થયેલા એ ચૈત્યભૂમિ પર, દેશભરમાંથી લાખો દલિતો સ્વયંભૂ  ઉમટે છે. યાદ રહે ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૫૬ના રોજ નિર્વાણ પામેલ ડો. આંબેડકરનું આ નિર્વાણ સ્મારક દલિતોએ ખુદના પૈસે ૧૯૬૫માં ખડું કર્યું હતું. પ્રતિ વરસ પોતાના પ્યારા બાબા અને મસીહાને સ્મરવા ચીંથરેહાલથી સૂટેડબૂટેડ દલિતો અહીં આવીને પોતાનો આદર, પ્રેમ અને ઓશિંગણભાવ વ્યક્ત કરે છે.

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની એક જાણીતી ઓળખ તો દલિત નેતા તરીકેની છે. ભારતની જાતિપ્રથા અને ઉચ્ચનીચના ભેદનો એમને ખુદને અનુભવ હતો. એટલે અમેરિકા, બ્રિટન તથા જર્મનીના ઉચ્ચાભ્યાસ અને પિતાની “છાંયડે બેસીને થાય તેવું કામ” કરવાની સલાહને અવગણીને તેમણે દલિત મુક્તિનો અઘરો માર્ગ પસંદ કર્યો હતો. બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સમન્વય સાધીને ડો. આંબેડકરે આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજી જેવી વિરાટ પ્રતિભા સામે બાથ ભીડાવીને દલિત મુક્તિનો માર્ગ કંડાર્યો હતો. દાંડીકૂચના જમાનામાં એમણે દલિતોના પીવાના પાણીના અધિકાર માટે મહાડનો જળ સત્યાગ્રહ અને કાલારામ મંદિર સત્યાગ્રહ કરીને સ્વતંત્રતા સાથે સમાનતા અને સ્વરાજ સાથે જ ન્યાયની આહલેક જગવી હતી.

“દલિતોના અધિકારોના રક્ષણ માટે જ હું બંધારણસભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો.” એમ સ્પષ્ટ કહેનાર ડો. આંબેડકરે ભારતના બંધારણમાં દલિતોના અધિકારો આમેજ કરાવ્યા હતા. બંધારણ દ્વારા અસ્પૃશ્યતાની સંપૂર્ણ નાબૂદી તથા શિક્ષણ, રોજગાર અને વિધાનગૃહોમાં અનામતની જોગવાઈ એ ડો. આંબેડકરનું મોટું પ્રદાન છે. ચૂંટણીમાં તમામ પુખ્ત નાગરિકને મતનો સમાન અધિકાર સમાનતાવાદી ડો. આંબેડકરની દેન છે. એટલે સ્વાભાવિક રીતે જ તેઓનું દલિતોના દિલમાં અનન્ય સ્થાન છે અને દલિત મસીહા ગણાય છે.

જો કે ડો. આંબેડકરનું ધ્યેય દલિતોને થોડાક અધિકારો અપાવવાનું જ નહોતું. તેઓ અસ્પૃશ્ય ગણાતા દલિતોને દેશના બરાબરીના નાગરિક બનાવવા માંગતા હતા. તે હિંદુધર્મની વર્ણવ્યવસ્થા કે જાતિપ્રથાની નાબૂદી સિવાય શક્ય નહોતું. એટલે ડો. આંબેડકરનું એકમાત્ર જીવન ધ્યેય જાતિનું નિર્મૂલન હતું. તે માટે “હું હિંદુ તરીકે મરીશ નહીં’-નો સંકલ્પ પાર પાડી, અવસાનના થોડાક મહિના પહેલાં જ ધર્મપરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

શિક્ષણ, સંગઠન અને સંઘર્ષના આંબેડકરી ત્રિમંત્રમાં શિક્ષણને તેમણે આપેલું પ્રાધાન્ય આજે દેશમાં દલિતોની શૈક્ષણિક પ્રગતિમાં જોવા મળે છે. પરંતુ ડો. આંબેડકરને શિક્ષિત કે નોકરિયાત દલિતોથી જ ધરવ નહોતો. તેઓ  વર્ણવિહીન, વર્ગવિહીન સમતામૂલક સમાજ  ચાહતા હતા. ૧૬મી સપ્ટેમ્બર ૧૯૫૪ના રોજ રાજ્યસભામાં ‘અસ્પૃશ્યતા અપરાધ વિધેયક” પરની ચર્ચામાં એમણે વિધેયકમાં પ્રયોજાયેલ અસ્પૃશ્ય શબ્દ સામે જ વાંધો લીધો હતો. બાબાસાહેબે કહ્યું હતું કે સ્વતંત્ર અને પ્રજાસત્તાક દેશમાં ન કોઈ સ્પૃશ્ય છે કે ન કોઈ અસ્પૃશ્ય. હવે આ દેશમાં સૌ નાગરિક છે. સમાન નાગરિક .એટલે આભડછેટનું આચરણ ડો. આંબેડકરને નાગરિક હકનું હનન  લાગતું હતું અને આ કાનૂનનું નામ તેમણે “નાગરિક હક સંરક્ષણ કાનૂન’ રાખવા સૂચવ્યું હતું.

નાગરિક માત્રની સમાનતા જેમનો જીવનમંત્ર હતો એવા ડો. આંબેડકરને દલિતનેતા તરીકે ખતવી દેવા શું યોગ્ય છે ? જો કે બાબાસાહેબને એવા લેબલની કશી ફિકર નહોતી. તેમણે કહેલું, “મેં ક્યારે ય એવો દાવો કર્યો નથી કે હું સમગ્ર પીડિત સમુદાયનો નેતા છું. મારી સીમિત ક્ષમતા માટે માત્ર દલિત સમસ્યા જ પર્યાપ્ત છે. મેં ક્યારેય દલિતોની મુક્તિથી વિશેષ વિચાર્યું નથી.” આ ડો. આંબેડકરની  વિનમ્રતા કે દલિત પ્રતિબદ્ધતા જ હતી. કેમ કે ભારતના જાહેરજીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં તેમનું પ્રદાન છે. મુંબઈની ચાલીની નાનકડી ખોલીમાં જીવેલા ડો. આંબેડકરને ‘સમગ્ર પીડિત માનવતાની પીડા’નો સહજ ખ્યાલ હતો. મુંબઈની ધારાસભાના સભ્ય તરીકે તેમણે ખેડૂતો પાસેથી બળજબરીથી કૃષિકર વસૂલવાની “ખોતીપ્રથા” અને મહારોની ગુલામગીરી જેવી “વતનદારી પદ્ધતિ” નાબૂદ કરવાના પ્રસ્તાવો વિધાનસભામાં મૂક્યા હતા. કામદારોના હડતાળના હકને છીનવવાના પ્રયાસોનો તેમણે વિરોધ કર્યો હતો.

૧૯૪૨ થી ૧૯૪૬ સુધી ડો. આંબેડકર વાઈસરોયની કારોબારીમાં શ્રમ, સિંચાઈ અને વીજળી વિભાગના મંત્રી હતા. એ સમયે તેમણે કામદાર કલ્યાણના અનેક કાયદાઓ કરાવ્યા હતા. સ્ત્રી-પુરુષને સમાન કામ માટે સમાન વેતન, કામના કલાકોમાં ઘટાડો, સ્ત્રી કામદારોને પૂરા પગારે પ્રસૂતિની રજા, પ્રોવિડન્ટ ફંડ, લઘુતમ વેતન, હકરજા તથા અન્ય રજાના અધિકારો, અકસ્માતમાં વળતર, ખાણ કામદારોની સલામતીનાં પગલાં, સ્ત્રીકામદારના બાળકો માટે ઘોડિયાઘર, કામદારોની દાકતરી તપાસ તથા તેમના બાળકોના શિક્ષણની વ્યવસ્થા જેવા કાયદાઓ બાબાસાહેબના પ્રયત્નોનું ફળ છે. ડો. આંબેડકરે વાઈસરોયની કારોબારીના મંત્રી તરીકે જળ, સિંચાઈ અને વીજળી ક્ષેત્રે પાયાના કામો કર્યા હતા. બાબાસાહેબના જન્મશતાબ્દી વરસે એમના આ ક્ષેત્રના પ્રદાન અંગે સંશોધનો થયાં હતાં અને હકીકતો પ્રગટ થઈ હતી. જાણીતા અર્થશાસ્ત્રી ડો. સુખદેવ થોરાટના માર્ગદર્શનમાં ભારત સરકારે ૧૯૯૩માં “જળ સંશાધન વિકાસમાં ડો. આંબેડકરનું પ્રદાન” એ નામે અભ્યાસ પ્રગટ કરતાં બાબાસાહેબના મોટા બંધો સહિતના ક્ષેત્રે કરેલા કામો ઉજાગર થયાં હતાં.

દલિતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરનાર ડો. આંબેડકરના જાહેર કાર્યો અને વિચારો કોઈ એક વર્ગ કે વર્ણ પૂરતા નહોતા. ડો. આંબેડકરે જે પાંચ સામયિકો (મૂક નાયક, બહિષ્કૃત ભારત, જનતા, સમતા અને પ્રબુદ્ધ ભારત) પ્રગટ કર્યા હતા તેનાં નામોમાં કે તેમણે સ્થાપેલી સામાજિક-શૈક્ષણિક-રાજકીય સંસ્થાઓના નામોમાં ક્યાં ય જાતિવાદની ગંધ આવે છે ખરી? ૧૯૨૪માં ભારત આવેલા ક્રિપ્સ મિશને દલિતોના અધિકારોની રજૂઆત “સ્વતંત્ર મજૂર પક્ષ” (ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી) કઈ રીતે કરી શકે એવો વાંધો લીધો ત્યારે જ ડો. આંબેડકરને “શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”ની રચના કરવી પડેલી. જેનું તેઓ “રિપબ્લિકન પાર્ટી”માં રૂપાંતર કરવા માંગતા હતા. બાબાસાહેબના નિર્વાણ પછી તેમના અનુયાયીઓએ ૩જી ઓકટોબર ૧૯૫૭ના રોજ “શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”નું વિસર્જન કરી “રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા”ની સ્થાપના કરી હતી. આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન આંબેડકરે કોઈ દલિત મુદ્દે નહીં પણ હિંદુ સ્ત્રીઓને અધિકારો આપતું હિંદુ કોડ બિલ સનાતની હિંદુઓના વિરોધને કારણે પસાર ન થઈ શકતાં રાજીનામુ આપ્યું હતું. આમ ડો. આંબેડકરના યુગકાર્યને ઉચિત પરિપેક્ષ્યમાં ખુલ્લા દિલે સમજીએ તો જ તેમના પ્રદાનને મૂલવી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...2,9352,9362,9372,938...2,9502,9602,970...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved