Opinion Magazine
Number of visits: 9578774
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયતંત્રમાં સુધારા કરવા વિશે કોઈ કેમ કંઈ બોલતું નથી ? ક્યારે ય વિચાર કર્યો છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 November 2018

નિવૃત્ત ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર જ્યારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ હતા, ત્યારે એક કાર્યક્રમમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, એ ઘટના યાદ હશે. તેમના રડવાનું કારણ ન્યાયતંત્રની દુર્દશા હતું. તેમણે કહ્યું હતું એ દેશની ન્યાયવ્યવસ્થા તૂટી પડવાને આરે છે અને તેને માટે અમે એટલે કે જજો જવાબદાર નથી. એમાં સુધારાઓ કરવાની જગ્યાએ, જજોની ભરતી કરવાની જગ્યાએ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની જગ્યાએ શાસકો અદાલતોની આલોચના કરે છે એ ખોટું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના મુખ્ય ન્યાયમૂર્તિને રડતા જોઇને હેબતાઈ ગયા હતા, પરંતુ તેમનો જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે મોઢામાંથી એમ નહોતું કહ્યું કે હવે પછી કોઈ ન્યાયમૂર્તિએ અને અદાલતનો આશરો લેનાર(વાદી-પ્રતિવાદી)એ રડવું નહીં પડે. હું બેઠો છું અને ન્યાયતંત્રમાં સુધારા કરીને રહીશ, એમ તેમણે નહોતું કહ્યું. તેમણે એવું વલણ દાખવ્યું હતું જાણે કે કોઈ શરમાવા જેવી ઘટના જ ન બની હોય. આને કહેવાય મોઢું ફેરવી લેવું.

ન્યાયતંત્ર સામે દેશમાં રાષ્ટ્રીય કાવતરું રચાયેલું છે અને કાવતરાખોર માત્ર બી.જે.પી. કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નથી. દેશનો સમગ્ર શાસકવર્ગ કાવતરાખોર છે અને તેમાં અમલદારોનો પણ સમાવેશ થાય છે. આ કાવતરું આજકાલનું પણ નથી. મોટા ભાગની બીમારીઓમાં જોવા મળે છે એમ આની શરૂઆત પણ ઇન્દિરા ગાંધીના વખતમાં થઈ હતી. રમત બહુ સ્પષ્ટ છે : ભ્રષ્ટ અને શિથિલ શાસકીય-રાજકીય વ્યવસ્થા જાળવી રાખવી હોય તો જેને જવાબ આપવો પડે એને નિષ્પ્રાણ કરી નાખો.

કોને જવાબ આપવો પડે? સંસદને. તો સંસદમાં તો બધા નાગા છે એટલે કોઈ કોઈની સામે એક હદથી વધારે આંગળી નહીં ચીંધે. આંગળી ચીંધશે તો પણ જેલમાં જવું પડે એવા રાજકીય કે વ્યવસ્થાકીય સુધારાઓ કરવાની કોઈ માગણી નહીં કરે. બીજો જવાબ અખબારો અને મીડિયાને આપવો પડે તો તેનાથી ડરવાની જરૂર નથી, કારણ કે તેને ખરીદી શકાય છે અને જો કોઈને ખરીદી ન શકાય તો પણ શો ફરક પડે છે? તેઓ વધુમાં વધુ ઉઘાડા પાડી શકે અથવા બદનામ કરી શકે, આપણને જેલમાં મોકલવાનો અધિકાર મીડિયાને નથી. જેલમાં મોકલવાનો અને સત્તાની બહાર કાઢવાનો અધિકાર એક આત્ર અદાલત ધરાવે છે એટલે તેને લકવાગ્રસ્ત રાખો. તેની એવી રીતે કમર તોડી નાખો કે આપણી રાજકીય કારકિર્દી પૂરી થાય ત્યાં સુધી અદાલત આપણા સુધી ન પહોંચી શકે.

તમે એક વાત નોંધી? ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જ્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર હતા, અને ચૂંટણી પ્રચાર કરતા હતા, ત્યારે તેમણે આકાશમાંથી તારા લાવી આપવાના વચનો આપ્યાં હતાં, પરંતુ ન્યાયતંત્રમાં સુધારા કરવાના વચનો નહોતા આપ્યા. યાદ કરો એ દિવસો. ચેક કરો યુ ટ્યુબના વીડિયો ક્યાં ય તમને એક કલીપ પણ નહીં મળે. બી.જે.પી.ના મેનિફેસ્ટોમાં ન્યાયતંત્રમાં સુધારા કરવાની વાત જોવા નહીં મળે. માત્ર બી.જે.પી. શા માટે? કોઈ રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં આનો ઉલ્લેખ જોવા નહીં મળે. નરેન્દ્ર મોદી પહેલાં વિશ્વનાથ પ્રતાપસિંહ જેવા તારણહારો પ્રગટ થયા હતા, તેમણે પણ ન્યાયતંત્રમાં સુધારા કરવાના વચનો નહોતા આપ્યા. રામરાજ્ય લઈ આવીશું, પરંતુ ન્યાયતંત્રમાં સુધારા વિષે આંખ આડા કાન કરીશું.

છપ્પન ઈંચની છાતી ધરાવવાનો દાવો કરનારાઓ, પારદર્શકતાના બણગાં ફૂંકનારાઓ, સ્વચ્છતા અભિયાન ચલાવનારાઓ, જેના હાથમાં ખરેખર ઝાડુ છે અને સાફસૂફી કરવાની સત્તા ધરાવે છે, તેની તાકાતમાં વધારો થાય એવા કોઈ પ્રયાસ નથી કરતા; બલકે તેની તાકાત ક્ષીણ કરી રહ્યા છે. તેમને ખબર છે કે જો ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવશે તો સત્તા સુધી પહોંચાડનારી ભ્રષ્ટ વ્યવસ્થા ખતમ થઈ જશે અને જો મોટા ગોરખબંધા કરીશું તો જેલમાં જવું પડશે. ન્યાયતંત્રનું ત્રણ સ્તરનું માળખું એવું છે કે તેમાં દરેક સ્તરે છટકી નીકળવું મુશ્કેલ છે. ત્રણ સત્ર પછી પણ રિવ્યુ અને ક્યુરેટિવ પિટિશનની જોગવાઈ છે. મીડિયાને ખરીદી શકાય, જજને દરેક સ્તરે ન ખરીદી શકાય.

આનો ટૂંકો ઉપાય છે ગળું દબાવેલું રાખો. ત્રણ કરોડ કેસોનો ભરાવો થયો છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. વકીલો કાયદાઓની આંટીઘૂંટી વાપરીને અને તારીખો માંગતા રહીને ન્યાયતંત્રને પરાસ્ત કરી રહ્યા છે. લેખિત રજૂઆત માટેની જોગવાઈ ન હોવાથી મૌખિક દલીલો દિવસોના દિવસો સુધી કરવામાં આવે છે કે જેથી કેસનો નિકાલ ન ન આવે. સૌથી મોટું શસ્ત્ર છે જજોની નિમણૂક નહીં કરવાનો અને અદાલતો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું નહીં પાડવાનું. આ બધું જાણીબૂજીને કરવામાં આવી રહ્યું છે અને દાયકાઓથી કરવામાં આવી રહ્યું છે.

હવે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કહ્યું છે કે ઈનફ ઈઝ ઇનફ. ઘણું થયું. તેમણે સામે ચાલીને અદાલતમાં કેસ હાથ ધર્યો છે અને કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારોને કહ્યું છે કે જજોની ભરતી વિષે અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિષે શું કરવાના છે એ કહો. કુલ ૨૨,૦૩૬ જજોની જગ્યા છે એમાંથી ૫,૧૩૩ જગ્યાઓ ખાલી છે. એકલા ઉત્તર પ્રદેશમાં એક હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. ટકાવારીમાં કહીએ તો ઉત્તર પ્રદેશમાં ૪૨.૧૮ ટકા, બિહારમાં ૩૭.૨૩ ટકા અને મેઘાલયમાં સૌથી વધુ ૫૯.૭૯ ટકા જગ્યા ખાલી છે. જજોની નિમણૂકનો અધિકાર સરકારોનો છે અને ઇન્ફ્રાસ્ટ્રકચરની તો પૂરી જવાબદારી સરકારોની છે. બને ત્યાં સુધી નિમણૂકની બાબતમાં વડી અદાલતોની અને કોલેજિયમની ઉપેક્ષા કરવાની અને ઇન્ફ્રાસ્ટ્રકચર તો ક્યારે ય આપવાનું જ નહીં.

જોઈએ મુખ્ય ન્યાયમૂર્તિના પ્રયત્નોનું કેવું પરિણામ આવે છે ! અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ રડનારા નથી અને એટલે તો તેમને સુપરસીડ કરવામાં આવશે એવો ડર હતો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 નવેમ્બર 2018

Loading

KBC-ને મિસ્ટર બચ્ચન ગર્જનાપૂર્વક ‘જ્ઞાન કા દસવા અધ્યાય’ કહે છે, પણ ‘યે રહા આપ કે સામને’ પ્રશ્નોના ‘બિલકુલ સહી’ ઉત્તરો, જ્ઞાન નથી, માત્ર માહિતી છે.

સુમન શાહ|Opinion - Literature|18 November 2018

અલેક્ઝાન્ડર રડેલો ત્યારે વધારે 'ગ્રેટ' લાગેલો. હિટલરને પસ્તાવો થયેલો ત્યારે એ વધારે 'પાવરફુલ' લાગેલો

આતા માઝી સટકલી? ના.

૧ નવેમ્બર મારો ૮૦-મો જન્મદિવસ હતો. આ વાક્ય મેં ૬ નવેમ્બરે લખેલું. આજે ૧૭ નવેમ્બરે આ લેખ પ્રકાશિત કર્યો છે. હું ૮૦+ છું અને ૧૭ નવેમ્બર પણ ૧૭+ છે. હવે હું જો લખવા માગીશ કે ૮૦+ એટલે કેટલા, ૧૭+ એટલે કેટલા, તો મારાથી નહીં લખી શકાય. કેમ કે ગણતરી દરમ્યાન દરેક પ્લસ પર બીજા પ્લસ ઉમેરાતા ચાલશે ને છેવટે મારાથી હારી જવાશે. સમયને લખાણથી અંકિત કરીએ પણ એ તો ત્યારે ય દોડતો હોય છે. લખનારને હંફાવે, થકવી દે. એટલે, કોઇપણ લખાણ તત્ત્વાર્થમાં અધૂરું હોય છે. લાગે કે લખવું મિથ્યા છે. હા, પણ સાંભળો, આ પળ સુધી લખાણને વિશે અહીં જે કંઈક લખી શકાયું, એ તો સાચું છે !

પણ સાચું એટલે શું? જૂઠની સામેનું તે? તો જૂઠ શું? સાચ-જૂઠને હું તો ચેસનાં પ્યાદાં સમજું છે. ચેસ શરૂ થાય એટલે લડાઇ શરૂ થાય પણ પતે પછી એ જ પ્યાદાં એવી જ ઠાવકાઈથી નવેસર લડવાને ગોઠવાઈ જાય. સાચ અને જૂઠ વચ્ચેની લડાઈ એવી છે. સાચ-જૂઠ જેવું બીજું જોડકું છે, વિચાર-પ્રતિવિચાર, વિચારોનાં જૂથ-પ્રતિજૂથ. ક્યારેક પ્રતિ-જૂથો હુતુતુ રમતાં હોય. આ તરફનો બળિયો વિચાર સામા જૂથના કેટલાયને ટચ કરીને આઉટ કરી દે. પણ એનો ઘૂંટણ છોલાઇ ગયો હોય એટલે એના જૂથવાળા રમવાનું માંડી વાળે. પાટાપિંડીમાં લાગી જાય. વિચારોના ખેલને શબ્દના શીશામાં ઉતારવાનું કામ સહેલું નથી. લખનારને વિચારો પણ હંફાવે છે, થકવે છે.

ત્રીજું જોડકું છે, માહિતી અને જ્ઞાન – ઈન્ફર્મેશન ઍન્ડ નૉલેજ. બન્ને આમનેસામને નથી. તેમ છતાં, માહિતી કોઇ મોટું જ્ઞાન નથી. KBC-ને મિસ્ટર બચ્ચન ગર્જનાપૂર્વક 'જ્ઞાન કા દસવા અધ્યાય' કહે છે પણ 'યે રહા આપ કે સામને' પ્રશ્નો અને તેના 'બિલકુલ સહી' ઉત્તરો, જ્ઞાન નથી, માત્ર માહિતી છે. 'માહિતીયુગ'-માં જ્ઞાન સપાટી પર આવી ગયું એટલે 'ઈન્ફર્મેશન ઈઝ નૉલેજ' ભલે બોલીએ; બાકી, સ્વીકારીએ કે માહિતી તો જ્ઞાનની માત્ર શરૂઆત છે.

હકીકત અને સત્ય – ફૅક્ટ ઍન્ડ ટ્રુથ – ચૉથું જોડકું છે. ૧-૧૧-૧૯૩૯ મારા જીવનની પહેલી તારીખ હકીકત છે પણ એ અન્યોની પણ જન્મતારીખ છે. એ સર્વસામાન્ય હકીકત છે. એથી ખાસ કશું અનુભવાતું નથી. પણ ૮૦+ એક સ્પન્દન રૂપે મારાથી હર પળે અનુભવાતું સત્ય છે. હકીકતો સમજાય છે. સત્યો અનુભવાય છે. સત્યો મનુષ્યને સ્વસ્થ બનાવે છે. હકીકતો મનુષ્યને તટસ્થ બનાવે છે.

જો કે આજે મને 'તટસ્થતા', સંસ્કૃતમાં 'તાટસ્થ્ય', અંગ્રેજીમાં 'ઈન્ડિફરન્સ' કે હિન્દીમાં 'ઉદાસીનતા' કહેવાતો આ પદાર્થ બહુ સતાવી રહ્યો છે. વાજબી કારણ વિના સમ્બન્ધને છોડી ગયેલાઓની ઉદાસીનતા; ચૉક્કસ ડિફરન્સ વિના મૂંગા થઇ ગયેલાઓનું ઈન્ડિફરન્સ; તટ પર ઊભા રહીને તમાશો જોનારાઓની તટ-સ્થતા; એનાં દૃષ્ટાન્તો છે. તટસ્થ હોવું આમ સારું છે પણ એમાં ને એમાં વિકસ્યા કરવું સારું નથી. વ્યક્તિ ક્રમે ક્રમે જડ થઈ જાય છે. અરે પણ, આજે હું સમય-લેખન, સાચ-જૂઠ, માહિતી-જ્ઞાન, હકીકત-સત્ય બાબતે શી માથાકૂટો લઈ બેઠો છું? આતા માઝી સટકલી લાગે છે. જો કે, જો એમ જણાવી શકાય છે તો એ 'સટકલી' હોય? ના. વાત એટલી છે કે તાટસ્થ્ય સતાવે છે.

જુઓ, નેચર અથવા પ્રકૃતિ આપણાં સુખ-દુ:ખ પ્રત્યે તટસ્થ છે. આકાશ અતિ વિશાળ, પણ ખાલી ! એની આગળ શી આશા રાખવી? અમેરિકામાં, અહીં, પાનખર ચાલે છે – ફૉલ. શીતળ પવનો માઈલોની ઝડપે દોડતા હોય. દુર્નિવાર ઝંઝા. લીલાશનો નાશ થઇ રહ્યો છે. વૃક્ષોના રંગ બદલાઈ રહ્યા છે. કોઇ યલો કોઇ બ્રાઉન કોઇ લવન્ડર કોઇ હળદરિયું કોઇ કંકુવર્ણું કે કોઇ તપખીરિયું થઇ ગયું છે. એકાદ અઠવાડિયામાં એ રંગરંગીન પરિદૃશ્ય વિલાઈ જશે. દરેકનાં બધાં જ પર્ણ-પુષ્પ ખરી જવાનાં. પંખીઓના માળા ઉઘાડા પડી જવાના. વૃક્ષોનાં એ કાળિયાં કંકાલ, બસ, ઊભાં હશે. માણસોનાં દુ:ખ એ ક્યાંથી ફેડવાનાં? મેઘધનુષ જોઈને વર્ડ્ઝવર્થનું હૃદય પ્રસન્નતાથી કૂદવા લાગેલું. પણ કવિનો આભાર માનવા મેઘધનુષ નીચે ઊતરી આવેલું નહીં. આષાઢી મેઘે વિરહી યક્ષના દૂત થવાનું સ્વીકારેલું પણ એ તો કાલિદાસની સર્જકતાનું માન રાખવા. બાકી, વિરહમાં યક્ષ રડી-કકળીને મરી પણ જાય, તો મેઘને શું ! ધરતીકમ્પ અતિવર્ષા પૂર સુનામી વનદવ ચક્રવાત, પ્રકૃતિનાં એ સૌ સન્તાન, સ્વમાં મસ્ત, પણ પૃથ્વીવાસી જીવો માટે અતિ ક્રૂર. જાનહાનિ અને મકાનો-મિલકતોની બરબાદીની એમને કશી પરવા નહીં. નેચર ઈઝ સો ઈન્ડિફરન્ટ.

ડાહ્યાઓ મને કહેવાના – તાટસ્થ્ય વિશે વિચારવાનું બંધ કર ને ! દાર્શનિકો કહેવાના – ચિત્ત કો નિર્વિચાર કરો. જો કે એ આદેશ પણ એક વિચાર છે ! અને, નિર્વિચાર ચિત્તમાં લાગ જોઇને નવા વિચારો અને તેના પ્રતિ-વિચારો તો ઘૂસી જ જવાના ! ત્યારે શું? ત્યારે પણ એ જ સાંભળવા મળશે – ચિત્ત કો નિર્વિચાર કરો. સત્યમ્ વદ – ધર્મમ્ ચર – લવ ધાય નેબર, જેવાં સુવચનો પણ તટસ્થ છે. માણસ સુવચન પ્રમાણેનું વર્તન ન કરે તો સુવચનોને શું ! એ ગૅરન્ટી નથી આપતાં કે માણસ સત્યવાદી કે ધર્માચારી થઇ જ જશે. સત્ય વદવા જતાં અ-સત્ય જાગી ઊઠે, ધર્મ આચરવા જતાં અધર્મ ડા'વાં ભરે, પાડોશીને પ્રેમ કરવા જાઓ, મૉં ફેરવી લે, તો એ દુષ્પરિણામો અંગે સુવચનો કંઇ કરી શકે નહીં. ચિત્તને સદાકાળ નિર્વિચારી નથી કરાતું. સુવચનો ભાષિક હસ્તીઓ છે, બોલાય તો જ પ્રગટે. કહેવા-સાંભળવા માટે વપરાયા કરે – જસ્ટ ટુ પાસ ઑન, ઍન્ડ ઑન …

ગણિત અતિ તટસ્થ વિદ્યા છે. હકીકત વર્ણવે, ૧+૧ = ૨. કોઈ બે જણાંને લાગ્યા કરતું હોય કે એમની વચ્ચે કોઇ ત્રીજું છે; ગણિત એ સ્થિતિને ય વર્ણવી બતાવે. પણ ત્યારે એ વર્ણન પણ એક હકીકત હશે. હકીકતોનું સત્યમાં રૂપાન્તરણ કરવાનું સામર્થ્ય, માત્ર કલા પાસે છે. કલાઓ માણસને સત્ય લગી દોરી જાય. આયોનેસ્કોના એક નાટકમાં, પતિ-પત્નીના વર્તમાન જીવનમાં કોઇ એક ભૂતકાલીન વ્યક્તિ છે. બીજા બેડરૂમમાં કેટલા ય સમયથી શબરૂપે સૂતેલી છે. નાટકમાં એ હકીકત સત્યરૂપે વિકસે છે – શબનો પગ રંગમંચના એક છેડેથી બીજા છેડે થોડી થોડી વારે વિસ્તરતો બતાવાય છે. એ સત્યને પ્રેક્ષકો ધ્યાનથી નીરખતા રહીને રસપૂર્વક અનુભવતા હોય છે.

આ ત્રીજું ચિત્ર આયોનેસ્કોના એ નાટકનું છે. પતિ એની પત્નીને બેડરૂમમાં સૂતેલી વ્યક્તિ વિશે કંઇક કહે છે …

એટલે, કવિ કહે છે, નરસૈંયો કહે છે, એ સાચું છે કે 'સુખ-દુ:ખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં'. 'ઘટ' એટલે 'શરીર'. ગાઇએ એટલે અનુભવાય કે સુખ-દુ:ખ શરીરની સાથે જ ઘડાયાં છે ને એની સાથે જ રહેવાનાં છે. એ સત્ય ગળે ઊતરે અને એનો સાક્ષાત્કાર થાય. હકીકતો નહીં, સત્યના સાક્ષાત્કારો જ માણસના ભાવજગતને સામર્થ્યવાન બનાવે છે. તાટસ્થ્યને વરેલો બુદ્ધિબળિયો નહીં, હૃદયબળિયો જીવનસમૃદ્ધ છે. અલેક્ઝાન્ડર રડેલો ત્યારે વધારે 'ગ્રેટ' લાગેલો. હિટલરને પસ્તાવા થયેલા ત્યારે એ વધારે 'પાવરફુલ' લાગેલો. એટલે, 'તાટસ્થ્યો બધાં જાવ પીગળી' – એવું કવિત આજે મારી 'સટકલી' કવે છે …

= = =

"સાહિત્ય સાહિત્ય" : લેખ ક્રમાંક : 220 : તારીખ ૧૭/૧૧/૨૦૧૮

https://www.facebook.com/suman.shah.94/posts/2209579732406261

Loading

કલાકારોએ અને વિચારકોએ આમંત્રણ સ્વીકારતાં પહેલાં આયોજકોને પૂછી લેવું જોઈએ કે તમે આપણા મહાન દેશના મહાન વડા પ્રધાન જેમને ફોલો કરે છે એવા ટ્રોલ્સનો મુકાબલો કરવા જેટલી કરોડરજ્જુ ધરાવો છો?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 November 2018

ઉમાશંકર જોશીએ કહેલો એક પ્રસંગ મેં આ પહેલાં નોંધ્યો હતો. એક વાર જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્‌ની ઉપસ્થિતિમાં દેશભરનાં કેટલાંક ચુનંદા સાહિત્યકારો અને વિદ્વાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં ઉમાશંકર જોશી પણ હતા. વિષય હતો: અમર કહી શકાય એવાં કાલજયી વિદેશી વિચારોને અને સાહિત્યને ભારતીય ભાષાઓમાં લઈ આવવાનો કે જેથી દરેક પ્રદેશની નવી પેઢીને વિચારવા માટે ભાથું મળે. સોક્રેટિસ, પ્લેટો-એરિસ્ટૉટલથી શરૂ કરીને જ્યૉં પૉલ સાર્ત્ર સુધીના વિચારકો અને હોમરથી લઈને કાફકા સુધીના સાહિત્યકારો વિષે તેમાં ચર્ચા થઈ હતી અને અનુવાદ માટેનાં પુસ્તકોની યાદી બનાવી હતી.

પહેલી વાત તો એ કે દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ એમ બંને પાસે નવી પેઢીના વૈચારિક ઘડતર માટે સમય હતો, અને તેમનાથી ચડિયાતાં હોય એવાં લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનોની વચ્ચે બેસવામાં લઘુતાગ્રંથિ નહોતા ધરાવતા. તેઓ માત્ર બેઠા નહોતા, ચર્ચામાં ભાગ લેતા હતા અને કયું પુસ્તક અનુવાદિત કરાવવું જોઈએ અને કયું ન કરાવવું જોઈએ કે પછી કરાવી શકાય એવા અભિપ્રાય પણ આપતા હતા, એમ ઉમાશંકરે નોંધ્યું છે. ઉમાશંકરે તો એમ પણ નોંધ્યું છે કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે એક જ લેખક કે વિચારકનાં બે પુસ્તકમાંથી કયું પુસ્તક પસંદ કરવું એ વિષે મતભેદ પણ થતા હતા.

બીજી વાત એ કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ભારતીય તત્ત્વજ્ઞાનને અંગ્રેજી ભાષામાં  જગત સમક્ષ પહોંચાડનારા ડૉ. રાધાકૃષ્ણન્‌ તેમ જ બેઠકમાં ઉપસ્થિત વિદ્વાનો એમ કોઈને ય વિદેશી વિચારનો ભય નહોતો લાગ્યો. ભય એને લાગે જેનામાં પોતાનાપણા વિષે આત્મવિશ્વાસ ન હોય.

ત્રીજી વાત એ કે જવાહરલાલ નેહરુ એમ માનતા હતા કે માનવીનો સાંસ્કૃિતક વિકાસ આપ-લે દ્વારા થતો હોય છે અને એના દ્વારા પ્રત્યેક સંસ્કૃિત વધુ સમૃદ્ધ બનતી હોય છે. છોડને પણ આકાશની જરૂર પડે છે તો આપણે તો માનવી છીએ. જગતની સમૃદ્ધ સંસ્કૃિતઓ પર નજર કરી જુઓ. જ્યાં આપ-લે વધુ હતી ત્યાં સભ્યતાઓ વિકસી છે, સમૃદ્ધ થઈ છે અને ટકી છે.

પણ આ બધી વાતો એને માટે છે જેઓ આત્મવિશ્વાસ ધરાવે છે. આ લઘુતાગ્રંથિ ધરાવનારા નાના માણસોનો યુગ છે. સ્વતંત્ર વિચાર ધરાવનારા મેધાવી માણસોથી શાસકો દૂર ભાગે છે. ‘તમે વધુ જાણો છો અને હું ઓછુ જાણું છું, પરંતુ દેશના વિકાસ માટે તમારી સેવાની જરૂર છે’, એટલું સ્વીકારવા જેટલી નમ્રતા આજના શાસકો ધરાવતા નથી. તેમની લઘુતાગ્રંથિ અભિમાનના સ્વરૂપમાં પ્રગટ થાય છે.

પખવાડિયા પહેલાં તેમણે દિલ્હીમાં નેહરુ મેમોરિયલ મ્યુિઝયમ એન્ડ લાયબ્રેરીમાંથી વિખ્યાત સમાજશાસ્ત્રી પ્રતાપ ભાનુ મહેતાને દૂર કર્યા અને તેમની જગ્યાએ અર્નબ ગોસ્વામી નામના પોપટને બેસાડવામાં આવ્યા. પખવાડિયા પહેલાં વિખ્યાત ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાને ગુજરાતમાં ભણાવવા દેવામાં નહીં આવે, એવો ફતવો કાઢવામાં આવ્યો. ફતવાઓ મૌલવીઓ કાઢે છે, અને શિખાધારીઓ નથી કાઢતાં એવું થોડું છે? જ્યાં સુધી મુસલમાનો મૌલવીઓને સાંભળતા નહોતા અને દરેક ક્ષેત્રમાં તેમને ઘોંચપરોણો કરવા નહોતા દેતા, ત્યાં સુધી મૌલવીઓ ભાગ્યે જ ફતવાઓ કાઢતા હતા અને કાઢતા હતા તો માત્ર ધર્મને લગતા. જ્યારથી મુસલમાનોએ કોમી માનસ વિકસાવીને મૌલવીઓને સાંભળવાનું શરૂ કર્યું ત્યારથી મૌલવીઓની દરેક પ્રશ્ને માથું મારવાની અને ફતવા જારી કરવાની હિંમત વધી ગઈ. અત્યારે હિન્દુઓ મૂર્ખાઓને સાંભળતા થયા છે એટલે વિચારોની નાકાબંધી કરવા જેટલી હિંમત શીખાધારીઓએ મેળવી લીધી છે.

હવે સાહેબોની સંમતિ અને સહાય સાથે કામ કરતા ટ્રોલસૈન્યે કર્ણાટકી સંગીતના મોટી હેડીના ગાયક ટી.એમ. કૃષ્ણાને ટાર્ગેટ કર્યા છે. તેઓ બીજા કલાકારો સાથે દિલ્હીમાં નેહરુ પાર્કમાં ૧૯મી તારીખે ગાવાના હતા. કાર્યક્રમનું આયોજન જાણીતા કલામંચ સ્પીક મૅકૅએ કર્યું હતું જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભાગીદાર સંસ્થા હતી. કાર્યક્રમની જાણ થતાંની સાથે જ ટ્રોલસૈન્યે દબાણ લાવવાનું શરૂ કર્યું કે ટી.એમ. કૃષ્ણાને દિલ્હી ગાવા માટે નહીં બોલાવવા જોઈએ. કારણ? કારણ કે તેઓ નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે અને એટલે દેખીતી રીતે તેઓ દેશદ્રોહી છે. જે નરેન્દ્ર મોદીનાં વખાણ કરે એ દેશપ્રેમી અને વિરોધ કરે એ દેશદ્રોહી.

હવે ભાઈ વિરોધ તો થવાનો જ. આ દેશમાં જેટલા લોકો બુદ્ધિશાળી છે અને પોતાના દેશની પરંપરાને, સંસ્કૃિતને, માનવીય મૂલ્યોને જાણે છે એ બધા જ લોકો વિરોધ કરી રહ્યા છે. જે વિરોધ નથી કરતા એ ડરના માર્યા ચૂપ છે, પણ પ્રસંશા તો નથી જ કરતા. વાહ વાહ કરવા માટે જેટલી બુદ્ધિદરિદ્રતા જોઈએ કે સ્વમાનહીનતા જોઈએ એ અમારામાં નથી. મને ખાતરી છે કે ૯૯ ટકા ભક્તોએ ટી.એમ. કૃષ્ણાનું નામ નહીં સાંભળ્યું હોય, ત્યાં તેમના સંગીતને સાંભળ્યું હોય એ તો દૂરની વાત છે. 

ટી.એમ. કૃષ્ણા અવ્વલ દરજ્જાના ગાયક છે અને અત્યંત નમ્ર માણસ છે. માણસ એટલે ખરા અર્થમાં માણસ. નાના શહેરમાંથી કે સામાજિક-આર્થિક રીતે નીચલા વર્ગમાંથી આવતા સંગીતકારોને ખાસ પ્રોત્સાહન આપનારા. ‘ભાલો ભાલો’ કહીને સાથી કલાકારોને પ્રોત્સાહન આપે. સંગીત પર ઉચ્ચભ્રુ વર્ગની ઈજારાશાહી તોડવા માટે તેઓ સાંસ્કૃિતક આંદોલન કરી રહ્યા છે અને તેની કદરરૂપે તેમને બે વરસ પહેલાં મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વડા પ્રધાન જેમને ફૉલો કરી રહ્યા છે, એ અભણ ટ્રોલને તો આ બધી વાતની જાણ પણ નહીં હોય. ગેરન્ટી.

courtesy : Keshav in "The Hindu", 16 November 2018

રામચન્દ્ર ગુહાએ ટી.એમ. કૃષ્ણા વિશેનો એક પ્રસંગ ટાંક્યો છે. એક જગ્યાએ કાર્યક્રમ પૂરો થયો એ પછી કેટલાક લોકો ટી.એમ. કૃષ્ણાને મળવા આવ્યા. તેમણે ફરિયાદ કરી કે તમે ફલાણી ફલાણી જગ્યાએ ગાવાનું આમંત્રણ સ્વીકાર્યું, પરંતુ અમારી સંસ્થામાં ગાવાનું આમંત્રણ આપ્યું તો તમે ઠુકરાવી દીધું. ટી.એમ. કૃષ્ણાએ કહ્યું કે ‘એક વાર હું આમંત્રણ સ્વીકારીને ગાવા આવ્યો હતો. મેં ગાઈ લીધું એ પછી આયોજકે એક રાજકારણીને બોલવા માટે કહ્યું હતું અને તે વીસ મિનિટ સુધી રાજકારણ વિષે બોલ્યો હતો. રાજકારણીને પહેલાં બોલવા કહ્યું હોત તો મને વાંધો નહોતો, પરંતુ સંગીત સાંભળેલા ભાવકના ભાવવિશ્વ પર વિષયાંતર કરીને કોઈ પાણી ઢોળે એ કેમ ચાલે. સભાગૃહમાંથી બહાર નીકળતી વખતે ભાવક કૃતિને દિલમાં અને મનમાં ભરીને સાથે લઈ જતો હોય છે; પછી એ સંગીત હોય, નૃત્ય હોય, નાટક હોય કે ફિલ્મ હોય.’

પેલા આયોજકોને આ ખુલાસો ગળે ઉતર્યો નહોતો. તેમણે દલીલ કરી હતી કે ‘અમારી ગાયન સભા સો વરસ જૂની છે એ ન ભૂલવું જોઈએ.’ ટી.એમ. કૃષ્ણાએ લાગલું કહ્યું હતું કે ‘મારું સંગીત છસો વરસ જૂનું છે.’

હવે બોલો, આવા ખુદ્દાર અને તેજસ્વી માણસો જયજયકાર ઓછા કરે? એ ગમાર અને કઢીચટ્ટાઓનું કામ છે. એટલે જ તેમણે કહ્યું છે કે ૧૯મી તારીખે દિલ્હીમાં મને ગમે ત્યાં સ્ટેજ આપો હું ધરાર ગાઈશ. જોઈએ સંસ્કાર અને સંસ્કૃિતના દુશ્મનો શું કરે છે? હવે એમ લાગે છે કે કલાકારોએ, વિચારકોએ, વક્તાઓએ આમંત્રણ સ્વીકારતાં પહેલાં આયોજકોને પૂછી લેવું જોઈએ કે તમે આપણા મહાન દેશના મહાન વડા પ્રધાન જેમને ફોલો કરે છે એવા ટ્રોલ્સનો મુકાબલો કરવા જેટલી કરોડરજ્જુ ધરાવો છો? જો ધરાવતા હોય તો જ બોલાવજો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 નવેમ્બર 2018

Loading

...102030...2,9352,9362,9372,938...2,9502,9602,970...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved