Opinion Magazine
Number of visits: 9685643
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નગીનદાસ, તમે સાંભળો છો ? તમે અમને ખૂબ સાંભરો છો …

અંકિત દેસાઈ|Profile|27 December 2018

દાદાને ગયાને આજે સાત વર્ષ પૂરાં થયાં, અને સાત વર્ષમાં દાદા ખૂબ યાદ આવતા રહ્યા. આ સાત વર્ષોમાં ફરક એટલો પડ્યો કે, પહેલાં દાદા અમને ઘણી વાર્તાઓ કરતા, અને હવે, અમે અમારા નાનકાઓને દાદાની વાર્તાઓ કરીએ છીએ. અમારાં જીવનમાં એ વાર્તાઓ પણ અકબંધ છે અને દાદા પણ!

અમારા ઘરમાં અમારી બા અત્યંત પ્રભાવક વ્યક્તિ, એટલે બાના વ્યક્તિત્વની નીચે દાદા હંમેશાં કચડાતા રહ્યા. એમ કહી શકાય કે દાદા અંડરરેટેડ રહ્યા … પણ દાદાએ એ બાબતે ન તો ક્યારે ય ફરિયાદો કરી કે નહીં એમણે પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કર્યો. એવું અનેક વખત બન્યું છે કે, અમારા પાંચ ભાઈ-બહેનોમાંથી કોઈએ કોક વખત દાદા પ્રત્યે વધુ સ્નેહ દાખવ્યો હોય કે એમની તરફદારી કરી હોય તો બા વિરોધ નોંધાવે કે, 'તમને દેહું તમારા બપાવા વતી બો લાગી આવતું ..' પણ જો અમે બધા મોટેભાગે બા તરફી હોઈએ ત્યારે દાદા ક્યારે ય એવો વિરોધ નહીં નોંધાવે. કદાચ એટલે જ અમે બધા 'બાવાદીઓ' હોવા છતાં અમારા બાળપણની શ્રેષ્ઠ યાદો દાદા સાથે સંકળાયેલી છે.

તસવીરમાં ઊભી છે એ હીરલ દેસાઈ, દાદાના ખોળામાં હું અને બાના ખોળામાં કેયૂર દેસાઈ

દાદા સાથે વીતાવેલો શ્રેષ્ઠ સમય એટલે અમારા ઉનાળું વેકેશનો. ઉનાળા માટે ડોસો ખાસ પાટીવાળી એક ખાટલી ઓટલા પર રાખી મૂકતો. અને સાંજે કેરીના રસ સાથે કાંદા-કાકડીના પૂડા અથવા વડા કે ઢોકળાં ઝાપટીને ચોકમાં ખાટલી ઊતારી પાડતો. દાદા ચોકમાં આડા પડે એટલે અમે બધા પણ એમની આસપાસ જ્યાં મેળ પડે ત્યાં ગોઠવાઈએ અને દાદા પાસે, 'દાદા કોઈ જૂની વાતો કરો …'ની ફરમાઈશ કરીએ. ફરમાઈશને માન આપી એક તરફ દાદા કોઈ વાતની શરૂઆત કરે અને સાથે સભાપતિ મહોદય અમારી બા એની એક્સ્ટ્રા કમેન્ટરી શરૂ કરે. ઇન્દિરા ગાંધીથી લઈ મોરારજી દેસાઈ અને વર્ષો પહેલાં મરી ગયેલા અમારા કોઈ મારકણા બલ(બળદ)થી લઈ ગામમાં આવેલાં પૂર સુધીની વાતો આભની નીચે સૂતા સૂતા થતી રહે. દાદાના બાપુજીએ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપેલું, એટલે એમના બાપાની વાતો કરતી વખતે કે મોરારજીની વાતો કરતી વખતે એમનું ગળું ભીનું થઈ જાય. અને આ બધામાં ક્યારેક ડોસો પોતે ઉપજાવી કાઢેલી ખોટી વાતો પણ કરી નાંખે એટલે બા દાદાને ટોકી કાઢે, 'કાય હારો પોયરાએ હો જૂઠું બોલ્યા કરે … હારો જૂઠ્ઠો તદન ….'

બા અને દાદાની કોઈ વાતે કચકચ થાય તો અમે પાંચ બંને પક્ષે વહેંચાઈ જઈએ અને બંને પક્ષે ઘાસતેલ છાંટીએ. બાનું મગજ જાય એટલે ગાળો સાથે ધાણીફૂટ વાક્યોપ્રયોગો થતાં રહે અને સામે છેડે દાદા માત્ર ‘ઉંમમમમમ’ જેવો ઊંહકારો કરીને કે ‘હા રે હા ભાઈ…’માં જવાબ આપે. બા-દાદાની લડાઈમાં મજા એ વાતની આવે કે, બા જે વાતને સવાલ કે આક્ષેપરૂપે રજૂ કરે એ જ વાતને દાદા જવાબમાં રજૂ કરે. એક-બે ઉદાહરણો જોઈએ તોઃ

‘કોણ જાણે મૂઓ કાંથી મારે કપાળે ચોટેલો?’ બાનો સવાલ.

‘હા રે હા ભાઈ, ઉં તારે કપાળે ચોટેલો …’ દાદાનો જવાબ.

‘આ મૂઆ હાથે તો મેં જ જિંદગી કાયળી …’ બાનો આરોપ.

‘હા રે હા ભાઈ, તેં જ મારી હાથે જિંદગી કાયળી …’ દાદાનો જવાબ.

જો કે આટલી બધી લડાઈઓ અને એકબીજાંના સ્વભાવમાં અત્યંત વિરોધાભાસ હોવા છતાં એ બંનેનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ અને આદર અત્યંત ઊંડો અને ઉત્કટ. બાનો એ અફર નિયમ કે, એ ભલે દાદાને કંઈ પણ કહે, પરંતુ અમારામાંથી જો કોઈએ ડોસા સાથે ઉદ્ધતાઈથી વાત કરી તો બા એની છાલ ઉતરડી નાંખે.

દુનિયાદારીના સામાન્ય નિયમો દાદાએ ક્યારે ય નહીં પાળ્યા. સંગ્રહ કરી લ્યો કે નાનાંમોટા સ્વાર્થને ખાતર સ્વજનોનો દગો કરો કે સાવ તુચ્છ વાતો માટે ઓટલે બેસીને કાવતરા કરતા રહો જેવા અનાવલા સ્વભાવથી દાદા હંમેશાં છેટાં રહ્યા. વાડી કે રસ્તાના અનેક કાગળિયા માત્ર દાદાને નામે હતા, પણ કોઈની એવી તાકાત સુદ્ધાં નથી કે, એવો આક્ષેપ પણ કરે કે, મારા દાદાએ કોઈના હકનું ખાધું હોય! સારા અને નિરુઉપદ્રવી માણસને દુનિયા નબળો માણસ જાહેર કરતી હોય છે એ હું મારા દાદાના ઉદાહરણ પરથી જ શીખ્યો છું!

જીવનભર મારા ડોસા માટે એ ભલો અને સિઝન પ્રમાણેનો એનો ખોરાક ભલો રહ્યો. શિયાળો ચાલુ થાય એટલે ડોસાને વડી, ખીચું પાપડી, ઉબાિળયું કે ઊંધિયું જોઈએ. ડિસેમ્બરમાં લાલ વાલની પાપડી સો રૂપિયા કિલો હોય ત્યારથી ખાવાનું શરૂ કરે તે છેક માર્ચ મહિના સુધી એ ખાય. માર્ચ બેસે ત્યારથી કેરીની ચટણી ખાવાની શરૂ, અને મે-જૂનના મહિનાઓમાં કેરી અને રસની રમઝટ જમાવે. ઉનાળામાં મળસકે પાંચ વાગ્યે ઊઠીને કેરી ખાનારો દુનિયામાં નહીં જડે, પણ મારા દાદાનો અનાવલો જીવ મળસકે ય લહેરથી કેરી ખાઈ જાણે! તો ચોમાસું જાત-જાતની ભાજીઓ, પાનકી અને પાતરાથી વીતે. અધૂરામાં પૂરું અનાવલી વાનગીઓ પર બાની પણ હથોટી એટલે ડોસો સિઝન સિઝને બજારમાંથી બધું લેતો આવે અને બા બબડતી બબડતી બનાવી આપે. કોઈક વાર બા નનૈયો ભણી દે તો દાદા અમને ડિપ્લોમેટ તરીકે બા પાસે મોકલે અને ખાવા બાબતે અમારી કોઈ ફરમાઈશ હોય એટલે બા હોંશેહોંશે બનાવે.

દાદાએ અમને પ્રત્યક્ષરૂપે એવું ક્યારે ય નથી કહ્યું પણ એમના જીવન પરથી હું એટલું શીખ્યો છું કે, જીવનમાં અમુક ગણતરી ક્યારે ય નહીં કરવી અને હંમેશાં ગમતું જ કરવું.

બાને હંમેશાં એવી ઈચ્છા હતી કે, દાદા પહેલાં મૃત્યુ પામે અને એ પછી જાય. મજાક મજાકમાં તે એવું પણ કહેતી કે, ‘મને એવી ઈચ્છા છે કે, દાદા જાય ત્યારે તમે ચોતરા પરથી રડતા આવે અને મને ભેટી પડે …’ દાદા એની પેટર્ન સ્ટાઇલમાં જવાબ પણ આપતા કે, ‘હા રે હા ભાઈ હું પેલા જાવા … પછી તું મજા કરજે…’

જો કે 2009મા દાદા પડી ગયા અને થાપાનું હાડકું ખસી ગયું, ત્યારથી એમને ખાટલો આવ્યો અને મહિનાઓ સુધી તેઓ ચાલી નહીં શક્યા. દાદાની ચાકરીમાં બા ધીમે ધીમે તવાઈ ગઈ અને માંદી પડી ગઈ. એક સવારે એ અમને અલવિદા કહીને નીકળી પણ ગઈ અને અમે ચોતરાએથી પોક મૂકતા દાદાને બાઝી પડ્યા. આંખ મીંચીને સૂતેલી બાને ફરિયાદ કરેલી કે, ‘અમારા અપંગ દાદાને મૂકીને કેમ ચાલતી થઈ? હવે અમારા દાદાનું કોણ?’

એ માંદી હતી ત્યારે એણે કીધેલું પણ કે, ‘આ મૂઓ મને ઉપર પણ ઠરવા દેવાનો નથી.’ બાને ત્યારે ય ખબર હતી કે, એના વિના દાદા એક વર્ષ પણ આખું નહીં જીવી શકે. આખરે થયું પણ એવું જ. બાને ગયાને હજુ તો અગિયાર મહિના થયા હતા, ત્યાં દાદાએ પણ એમનો ડાયરો સંકેલી લીધો અને એમને ગયાને આજે પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં. બા અને દાદા બંને બાબતે મને એવો વસવસો ખરો કે, બંને પાંચેક વર્ષ વધુ જીવ્યાં હોત તો લીલી-વાડી અને દેવ જેવા પાંચ નાના દીકરા (ચીકુ + દ્રવ્ય + વત્સ + અથર્વ + સ્વર)ને જોઈને ગયા હોત. એમના પાંચ બાળકોને પોતાની આવડતથી 'સ્વબળે' પોતપોતાના ક્ષેત્રોમાં આગળ વધતા જોવાનું થાત તો બંનેના જીવને ખૂબ આનંદ થાત …

જો કે મરણ જેને દૂર કરી ગયું, એ સ્વજન સ્મરણમાં હજુ ય એવું જ અકબંધ છે. આજે ય ક્યારેક સો-બસોનું છૂટું ગણવામાં ગોથું ખાઈ જવાય તો મલકી પડાય છે કે, ડોસાનો વારસો હજુ જાળવી રાખ્યો છે. કેરીગાળો શરૂ થાય ત્યારથી ડોસાની યાદ આવે છે અને રોજ એક કેરી ઈરાદાપૂર્વક વધુ ખાઉં છું કારણ કે, ડોસાને કેરી બહુ ભાવતી!

મમ્મીને ઘણી વાર ટોણા પણ મારું છું કે, પાતરાં ને પાનકી તો ૨૭ ડિસેમ્બરે ડોસાની સાથે જ ગયા કેમ? ગાંધી ટોપી અને કફની-ધોતીમાં સજ્જ કોઈ ડોસો એક હાથમાં થેલી અને બીજા હાથમાં ધોતિયાનો છેડો પકડીને ઉતાવળી ચાલે જતો હોય તો ભલભલું કામ પડતું મૂકીને એ ચહેરામાં દાદાનો ચહેરો જોવા મથું અને ઝૂરું છું કે, કાશ! આ ડોસો મારા દાદા હોત. જો કે દાદા નામનો એ ડોસો હવે એના ચહેરા પરનું સ્મિત અકબંધ રાખીને છેલ્લાં સાત વર્ષથી અમારા ઘરની દીવાલો પર તસવીર બનીને ઝૂલી રહ્યો છે અને અમારા દિલમાં પણ!

https://www.facebook.com/ankit.desai.923/posts/10205487626305958  

Loading

હોગા કોઈ ઐસા ભી કિ ‘ગાલિબ’ કો ન જાને

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 December 2018

હોગા કોઈ ઐસા ભી કિ 'ગાલિબ' કો ન જાને

શાયર તો વો અચ્છા હૈ પર બદનામ બહુત હૈ

મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન 'ગાલિબ'ની આજે ૨૨૧મી સાલગિરહ છે. ઇતિહાસ એ લોકો બનાવે છે, જે પરંપરાવાદી દુનિયાની સીમાઓ તોડે છે. ગાલિબ એટલે જ એક ઇતિહાસ છે, જે બસ્સો વર્ષ પછી પણ એટલા જ વ્હાલથી યાદ રાખવામાં આવ્યો છે. પ્રેમ અને દર્શનની નવી વ્યાખ્યા કરનાર અને હિજ્ર અને વિસાલ (જોડ અને તોડ) બંનેને સાથે રાખીને જીવનાર ગાલિબે એના ચિંતનથી એવી જાદુઈ દુનિયા રચી છે, કે તે હજુ ય કરોડો લોકોને મોહિત કરે છે.

‘ગાલીબ’ના અંતિમ દિવસોનો આ એક માત્ર પોટ્રેટ ૧૮૮૬માં લેવામાં આવ્યો હતો. ગાલીબના દોસ્ત બાબુ શિવ નારાયણ પાસેથી તેની પ્રપૌત્રી શ્રીમતી સંતોષ માથુર પાસે આ ફોટો આવ્યો હતો. અત્યારે એ અલ્હાબાદમાં પ્રાઇવેટ સંગ્રહમાં છે.

ગાલિબનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૭૧૬માં આગ્રાના કાલા મહલમાં અને મોત ૧૫ ફેબ્રુઆરી ૧૮૬૯માં દિલ્હીની નિજામુદ્દીન બસ્તીમાં. ચાર વર્ષના હતા, ત્યારે જ પિતા અલવિદા ફરમાવી ગયા. પરિણામે ગાલિબ બચપણથી જ અનિયંત્રિત અને સ્વછંદ. આ સ્વભાવ આખી જિંદગી સાથે રહ્યો, અને એમાંથી જ એનું બેસ્ટ સર્જન આવ્યું. ૧૧ વર્ષની ઉંમરે ગાલિબે લખવાનું ચાલુ કર્યું. ૧૩ વર્ષની ઉંમરે લોહારું નવાબના ભાઈ ઇલાહી બખ્શ ખાનની બેટી ઉમરાવ ખાન સાથે શાદી થઇ ગઈ. ૧૫ વર્ષની ઉંમરે બંને દિલ્હી આવી ગયાં, જ્યાં એમણે 'ગાલિબ' બનતા પહેલાં ‘અસદ' તખ્ખલુસથી લખવાનું ચાલુ કર્યું. સાત સંતાનો થયાં. એક પણ જીવિત ન રહ્યું. એમની શાયરીમાં જીવનનાં આવાં દર્દ છલકતાં હતાં –

શહાદત થી મિરી કિસ્મત મેં, જો દી થી યહ ખૂન મુજકો
જહાં તલવાર કો દેખા, ઝુકા દેતા થા ગર્દન કો

સ્વભાવગત જ જવાબદારીનું કોઈ ભાન નહીં, ગૃહસ્થી શું ખાક નિભાવે? આખી જિંદગી ફાકા-મસ્તી અને ભૂખમરામાં ગઈ. એમાં જ ગાલિબની અંદર જે બદલાવ આવ્યો, તે એને સૂફી સંતની ઊંચાઈ પર લઇ ગયો. પોતાની કમનસીબીમાં પણ સાર્થકતા જોતાં એ લખે છે –

ગાલિબ વઝીફા-ખ્વાર હો દો શાહ કો દુઆ
વો દિન ગયે કી કહેતે થે નૌકર નહીં હું મૈ

(ગાલિબ, તારે રાજાનો આભાર માનવો જોઈએ કે તને એનો આસરો છે, 'હું નોકર નથી' એવું કહેવાના દિવસો ગયા)

ગાલિબની બે મોટી કમજોરીઓ – શરાબ અને જુગાર. આખી જિંદગી એ એનાથી પીછો છોડાઈ ન શક્યા. ઘરમાં દૂધવાળા, ધોબી, રાશનવાળા, કિતાબોવાળા ઉઘરાણી કરતા રહે. એક વાર ગાલિબ પાસે પૈસા ખતમ થઇ ગયા. ત્યારે એ ફારસી પુસ્તક લખતા હતા, અને શરાબની સખ્ત જરૂરત હતી. બેગમ ઉમરાવે પૈસા માટે સાફ ના પડી દીધી, અને ઉપરથી મેણું માર્યું – ખુદાના દરબારમાં દુઆ માગો અને નમાઝ અદા કરો, ઈચ્છા પૂરી થશે. ગાલિબ ગયા જામા મસ્જિદ. ત્યાં નમાઝ પઢવાનું શરૂ જ કર્યું હતું અને સામે કોઈએ બોટલ મૂકી. એક દોસ્ત કામથી ઘેર ગયો હતો, અને બીવીએ કહ્યું કે ગાલિબ મસ્જિદ ગયા છે, તો પેલો બોટલ ઊઠાવતો ગયો ગાલિબ પાસે અને બોટલ થમાવી. ગાલિબ અડધી નમાઝ છોડી ઊભા થયા તો કોઈકે ટકોર પણ કરી, જવાબમાં ગાલિબ બોલ્યા – ભાઈ, મારું તો અડધી નમાઝમાં જ કામ થઇ ગયું!

ગાલિબનું ઘર હકીમોની મસ્જિદ નીચે જ હતું, અને લોકો એમને ટોક્યા કરે કે, મિયાં મસ્જિદમાં પડછાયામાં શરાબ ના પીવો. એમાં ગાલિબનો સૌથી અધ્યાત્મિક શેર આવ્યો –

જાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બૈઠકર
યા વો જગહ બતા જહાં પર ખુદા ન હો

એમાં એકવાર શરાબના ઠેકાવાળાએ ઉધારીના કારણે ગાલિબ પર કેસ કરી દીધો. કોર્ટમાં ગાલિબને સવાલ-જવાબ થયા, એનાથી ખુશ થઇને એ બોલ્યા –

કર્જ કી પીતે થે મય લેકિન સમજતે થે કિ હાં
રંગ લાયેગી હમારી ફાકામસ્તી એક દિન

કોટે ગાલીબને તરત છોડી મુક્યા. ગાલિબના સમકાલીન શેખ મુહ્મ્મદ ઈબ્રાહીમ જૌક (લાઈ હયાત, આયે, લે ચલી, ચલે … ન અપની મરજી આયે, ન અપની ખુશી ચલે) બહાદુર શાહ ઝફરના દરબારી શાયર. ઝફરને ગાલિબની રચનાઓ ગમે. જૌકને આ ના ગમે. એકવાર ગાલિબ જુગાર રમવા બેઠેલા અને જૌકનો રસાલો નીકળ્યો. ગાલિબે તંજ કર્યો, 'બના હૈ શાહ કા મુસાહિબ, ફિરે હૈ ઇતરાતા.' જૌકને ખબર પડી એટલે એમણે બાદશાહને ફરિયાદ કરી. ગાલિબને દરબારમાં ઊભા કરવામાં આવ્યા. ઝફરે ખુલાસો પૂછ્યો તો ગાલિબે ચતુરાઈથી કહ્યું, હું ગઝલ લખતો હતો, અને જે બોલ્યો એ તો એનો મક્તા હતો. બાદશાહને કહ્યું, સંભળાવો પૂરી ગઝલ. અને ગાલિબ બોલ્યા –

હર બાત પે કહેતે હો તુમ કિ 'તું ક્યા હૈ'
તુમ્હી કહો કિ એ અંદાજ-એ-ગુફ્તગુ ક્યા હૈ
હુઆ હૈ શહ કા મુસાહિબ, ફિરે હૈ ઇતરાતા
વગરના શહર મેં 'ગાલિબ' કી આબરૂ કયા હૈ

ગાલિબ કોણ હતા, એ જો કોઈ પૂછે તો એવું કહેવાય કે અંગ્રેજી ભાષાને શેક્સપિયર જે ઊંચાઈ પર લઇ ગયા, ઉર્દૂને એવું જ સન્માન ગાલિબે આપ્યું. મહાન શાયરો તો અનેક થયા છે, પણ ગાલિબ એ બધામાંથી અલગ પડે છે એમની રચનાઓમાં, વિચારોમાં, સંવેદનાઓમાં, ભાષામાં, અભિવ્યક્તિમાં જે નવીનતા અને તેજસ છે તેના કારણે. કદાચ એટલે જ એમણે સવાલ પૂછીને જવાબ પણ આપી દીધો હતો –

પૂછતે હૈ વોહ કી 'ગાલિબ' કોન હૈ
કોઈ બતલાયે કી હમ બતલાયે ક્યા

https://www.facebook.com/raj.goswami.31/posts/2253277464722584  

Loading

ડો.બાબાસાહેબ આંબેડકર : દલિત નેતા કે રાષ્ટ્રનેતા ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 December 2018

દર વરસે ૬ઠ્ઠી ડિસેમ્બરનો ડો. આંબેડકર નિર્વાણદિન આમ મુંબઈગરાઓ માટે ભારે અચરજનો હોય છે. દેશની આર્થિક રાજધાની એવા મહાનગર મુંબઈના દાદર વિસ્તારમાં, અરબી સમુદ્રના કિનારે, જ્યાં આંબેડકરના અંતિમ સંસ્કાર થયેલા એ ચૈત્યભૂમિ પર, દેશભરમાંથી લાખો દલિતો સ્વયંભૂ  ઉમટે છે. યાદ રહે ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૫૬ના રોજ નિર્વાણ પામેલ ડો. આંબેડકરનું આ નિર્વાણ સ્મારક દલિતોએ ખુદના પૈસે ૧૯૬૫માં ખડું કર્યું હતું. પ્રતિ વરસ પોતાના પ્યારા બાબા અને મસીહાને સ્મરવા ચીંથરેહાલથી સૂટેડબૂટેડ દલિતો અહીં આવીને પોતાનો આદર, પ્રેમ અને ઓશિંગણભાવ વ્યક્ત કરે છે.

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની એક જાણીતી ઓળખ તો દલિત નેતા તરીકેની છે. ભારતની જાતિપ્રથા અને ઉચ્ચનીચના ભેદનો એમને ખુદને અનુભવ હતો. એટલે અમેરિકા, બ્રિટન તથા જર્મનીના ઉચ્ચાભ્યાસ અને પિતાની “છાંયડે બેસીને થાય તેવું કામ” કરવાની સલાહને અવગણીને તેમણે દલિત મુક્તિનો અઘરો માર્ગ પસંદ કર્યો હતો. બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સમન્વય સાધીને ડો. આંબેડકરે આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજી જેવી વિરાટ પ્રતિભા સામે બાથ ભીડાવીને દલિત મુક્તિનો માર્ગ કંડાર્યો હતો. દાંડીકૂચના જમાનામાં એમણે દલિતોના પીવાના પાણીના અધિકાર માટે મહાડનો જળ સત્યાગ્રહ અને કાલારામ મંદિર સત્યાગ્રહ કરીને સ્વતંત્રતા સાથે સમાનતા અને સ્વરાજ સાથે જ ન્યાયની આહલેક જગવી હતી.

“દલિતોના અધિકારોના રક્ષણ માટે જ હું બંધારણસભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો.” એમ સ્પષ્ટ કહેનાર ડો. આંબેડકરે ભારતના બંધારણમાં દલિતોના અધિકારો આમેજ કરાવ્યા હતા. બંધારણ દ્વારા અસ્પૃશ્યતાની સંપૂર્ણ નાબૂદી તથા શિક્ષણ, રોજગાર અને વિધાનગૃહોમાં અનામતની જોગવાઈ એ ડો. આંબેડકરનું મોટું પ્રદાન છે. ચૂંટણીમાં તમામ પુખ્ત નાગરિકને મતનો સમાન અધિકાર સમાનતાવાદી ડો. આંબેડકરની દેન છે. એટલે સ્વાભાવિક રીતે જ તેઓનું દલિતોના દિલમાં અનન્ય સ્થાન છે અને દલિત મસીહા ગણાય છે.

જો કે ડો. આંબેડકરનું ધ્યેય દલિતોને થોડાક અધિકારો અપાવવાનું જ નહોતું. તેઓ અસ્પૃશ્ય ગણાતા દલિતોને દેશના બરાબરીના નાગરિક બનાવવા માંગતા હતા. તે હિંદુધર્મની વર્ણવ્યવસ્થા કે જાતિપ્રથાની નાબૂદી સિવાય શક્ય નહોતું. એટલે ડો. આંબેડકરનું એકમાત્ર જીવન ધ્યેય જાતિનું નિર્મૂલન હતું. તે માટે “હું હિંદુ તરીકે મરીશ નહીં’-નો સંકલ્પ પાર પાડી, અવસાનના થોડાક મહિના પહેલાં જ ધર્મપરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

શિક્ષણ, સંગઠન અને સંઘર્ષના આંબેડકરી ત્રિમંત્રમાં શિક્ષણને તેમણે આપેલું પ્રાધાન્ય આજે દેશમાં દલિતોની શૈક્ષણિક પ્રગતિમાં જોવા મળે છે. પરંતુ ડો. આંબેડકરને શિક્ષિત કે નોકરિયાત દલિતોથી જ ધરવ નહોતો. તેઓ  વર્ણવિહીન, વર્ગવિહીન સમતામૂલક સમાજ  ચાહતા હતા. ૧૬મી સપ્ટેમ્બર ૧૯૫૪ના રોજ રાજ્યસભામાં ‘અસ્પૃશ્યતા અપરાધ વિધેયક” પરની ચર્ચામાં એમણે વિધેયકમાં પ્રયોજાયેલ અસ્પૃશ્ય શબ્દ સામે જ વાંધો લીધો હતો. બાબાસાહેબે કહ્યું હતું કે સ્વતંત્ર અને પ્રજાસત્તાક દેશમાં ન કોઈ સ્પૃશ્ય છે કે ન કોઈ અસ્પૃશ્ય. હવે આ દેશમાં સૌ નાગરિક છે. સમાન નાગરિક .એટલે આભડછેટનું આચરણ ડો. આંબેડકરને નાગરિક હકનું હનન  લાગતું હતું અને આ કાનૂનનું નામ તેમણે “નાગરિક હક સંરક્ષણ કાનૂન’ રાખવા સૂચવ્યું હતું.

નાગરિક માત્રની સમાનતા જેમનો જીવનમંત્ર હતો એવા ડો. આંબેડકરને દલિતનેતા તરીકે ખતવી દેવા શું યોગ્ય છે ? જો કે બાબાસાહેબને એવા લેબલની કશી ફિકર નહોતી. તેમણે કહેલું, “મેં ક્યારે ય એવો દાવો કર્યો નથી કે હું સમગ્ર પીડિત સમુદાયનો નેતા છું. મારી સીમિત ક્ષમતા માટે માત્ર દલિત સમસ્યા જ પર્યાપ્ત છે. મેં ક્યારેય દલિતોની મુક્તિથી વિશેષ વિચાર્યું નથી.” આ ડો. આંબેડકરની  વિનમ્રતા કે દલિત પ્રતિબદ્ધતા જ હતી. કેમ કે ભારતના જાહેરજીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં તેમનું પ્રદાન છે. મુંબઈની ચાલીની નાનકડી ખોલીમાં જીવેલા ડો. આંબેડકરને ‘સમગ્ર પીડિત માનવતાની પીડા’નો સહજ ખ્યાલ હતો. મુંબઈની ધારાસભાના સભ્ય તરીકે તેમણે ખેડૂતો પાસેથી બળજબરીથી કૃષિકર વસૂલવાની “ખોતીપ્રથા” અને મહારોની ગુલામગીરી જેવી “વતનદારી પદ્ધતિ” નાબૂદ કરવાના પ્રસ્તાવો વિધાનસભામાં મૂક્યા હતા. કામદારોના હડતાળના હકને છીનવવાના પ્રયાસોનો તેમણે વિરોધ કર્યો હતો.

૧૯૪૨ થી ૧૯૪૬ સુધી ડો. આંબેડકર વાઈસરોયની કારોબારીમાં શ્રમ, સિંચાઈ અને વીજળી વિભાગના મંત્રી હતા. એ સમયે તેમણે કામદાર કલ્યાણના અનેક કાયદાઓ કરાવ્યા હતા. સ્ત્રી-પુરુષને સમાન કામ માટે સમાન વેતન, કામના કલાકોમાં ઘટાડો, સ્ત્રી કામદારોને પૂરા પગારે પ્રસૂતિની રજા, પ્રોવિડન્ટ ફંડ, લઘુતમ વેતન, હકરજા તથા અન્ય રજાના અધિકારો, અકસ્માતમાં વળતર, ખાણ કામદારોની સલામતીનાં પગલાં, સ્ત્રીકામદારના બાળકો માટે ઘોડિયાઘર, કામદારોની દાકતરી તપાસ તથા તેમના બાળકોના શિક્ષણની વ્યવસ્થા જેવા કાયદાઓ બાબાસાહેબના પ્રયત્નોનું ફળ છે. ડો. આંબેડકરે વાઈસરોયની કારોબારીના મંત્રી તરીકે જળ, સિંચાઈ અને વીજળી ક્ષેત્રે પાયાના કામો કર્યા હતા. બાબાસાહેબના જન્મશતાબ્દી વરસે એમના આ ક્ષેત્રના પ્રદાન અંગે સંશોધનો થયાં હતાં અને હકીકતો પ્રગટ થઈ હતી. જાણીતા અર્થશાસ્ત્રી ડો. સુખદેવ થોરાટના માર્ગદર્શનમાં ભારત સરકારે ૧૯૯૩માં “જળ સંશાધન વિકાસમાં ડો. આંબેડકરનું પ્રદાન” એ નામે અભ્યાસ પ્રગટ કરતાં બાબાસાહેબના મોટા બંધો સહિતના ક્ષેત્રે કરેલા કામો ઉજાગર થયાં હતાં.

દલિતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરનાર ડો. આંબેડકરના જાહેર કાર્યો અને વિચારો કોઈ એક વર્ગ કે વર્ણ પૂરતા નહોતા. ડો. આંબેડકરે જે પાંચ સામયિકો (મૂક નાયક, બહિષ્કૃત ભારત, જનતા, સમતા અને પ્રબુદ્ધ ભારત) પ્રગટ કર્યા હતા તેનાં નામોમાં કે તેમણે સ્થાપેલી સામાજિક-શૈક્ષણિક-રાજકીય સંસ્થાઓના નામોમાં ક્યાં ય જાતિવાદની ગંધ આવે છે ખરી? ૧૯૨૪માં ભારત આવેલા ક્રિપ્સ મિશને દલિતોના અધિકારોની રજૂઆત “સ્વતંત્ર મજૂર પક્ષ” (ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી) કઈ રીતે કરી શકે એવો વાંધો લીધો ત્યારે જ ડો. આંબેડકરને “શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”ની રચના કરવી પડેલી. જેનું તેઓ “રિપબ્લિકન પાર્ટી”માં રૂપાંતર કરવા માંગતા હતા. બાબાસાહેબના નિર્વાણ પછી તેમના અનુયાયીઓએ ૩જી ઓકટોબર ૧૯૫૭ના રોજ “શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”નું વિસર્જન કરી “રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા”ની સ્થાપના કરી હતી. આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન આંબેડકરે કોઈ દલિત મુદ્દે નહીં પણ હિંદુ સ્ત્રીઓને અધિકારો આપતું હિંદુ કોડ બિલ સનાતની હિંદુઓના વિરોધને કારણે પસાર ન થઈ શકતાં રાજીનામુ આપ્યું હતું. આમ ડો. આંબેડકરના યુગકાર્યને ઉચિત પરિપેક્ષ્યમાં ખુલ્લા દિલે સમજીએ તો જ તેમના પ્રદાનને મૂલવી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...2,9342,9352,9362,937...2,9402,9502,960...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved