Opinion Magazine
Number of visits: 9578736
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈતિ થઈ આવ્યા કરે છે અલમ્ યંત્રવત્

પંચમ શુક્લ|Poetry|20 November 2018


વેદના પ્રસવ્યા કરે છે અગમ યંત્રવત્
લેખકો ઢસડ્યા કરે છે કલમ યંત્રવત્
ઘા વકરશે કે રુઝાશે નથી જાણ કંઈ,
ચાકરો ચોળ્યા કરે છે મલમ યંત્રવત્
શોષિતો વેઠી રહ્યા છે અકળ યંત્રણા,
શાસકો બજવ્યા કરે છે હુકમ યંત્રવત્
કાટલું પચતું નથીની ફિકર ના રહી,
ઓસડો પચવ્યા કરે છે હજમ યંત્રવત્
કાનુડે લીલા કરીને લીધી અલવિદા,
નર્તકી ભજવ્યા કરે છે પદમ યંત્રવત્
એ રહી મૂંગા, નયન મેળવી નીરખે,
કેટલું બોલ્યા કરે છે સનમ યંત્રવત્
ચક્ર આ ચાલ્યા કરે છે ચરમ યંત્રવત્
ઈતિ થઈ આવ્યા કરે છે અલમ્ યંત્રવત્

17/11/2018

છંદોલયઃ ગાલગા ગાગા લગાગા લગા ગાલગા

યંત્રણા: નિયંત્રણ, પીડા, તકલીફ, વેદના, વ્યાધિ, ગોઠવણ, વ્યવસ્થા, કાર્યવાહકતા.

હજમ: પચી ગયેલું, જરી ગયેલું, ઉચાપત કરેલું

પદમ: A particular type of musical form or composition (sabhaa gaanam), meant for dance, that brings out the relationship of naayaka-naayaki (hero and heroine) as well as tOzhi (close friend) to tell important truths. In Telugu, padams often have Lord Krishna as the naayaka, while Tamil padams often have Lord Subramanya (Murugan) as their naayaka.

ચરમઃ છેલ્લું, ઊંચી કક્ષાએ રહેલું, અંતનું, છેવટનું, અંતિમ, સૌથી મોટું

ઈતિઃ આપત્તિ; સંકટ; આફત દૈવકોપ. છ ઈતિનાં નામ: (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) તીડ, (૪) ઉંદર, (૫) પક્ષીઓની અધિકતા અને (૬) બીજા રાજાની ચડાઈ.

ઈતિ સાત પણ કહેવાય છે: (૧) સ્વચક્રભય, (૨) પરચક્રભય, (૩) અતિવૃષ્ટિ, (૪) અનાવૃષ્ટિ, (૫) ઉંદર, (૬) તીડ, (૭) શુક.

અલમ્: જોઇયે તેટલું, પૂરતું, ફોગટ, નકામું, વ્યર્થ, શક્તિવાળું, સમર્થ

Loading

જે લોકો વ્યવસ્થાપરિવર્તન વિશે એક શબ્દ નથી બોલતા અને સ્વર્ગ ધરતી પર લઈ આવવાની વાતો કરે છે એ બધા જ ફેંકુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|19 November 2018

છત્તીસગઢમાં રાયગઢ અને અન્યત્ર ચૂંટણીસભાઓને સંબોધતા કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે છત્તીસગઢમાં જો કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો ગણી રાખજો, દસ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એ માટેના પૈસા વિજય માલ્યા, નીરવ મોદી, અનિલ અંબાણી જેવા દેશની તિજોરી લૂંટી જનારાઓના ખિસ્સામાંથી ઓકાવીને કાઢવામાં આવશે. એ પછી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે ખોટાં વચનો આપે છે એની યાદી ગણાવી હતી. રાહુલ ગાંધીએ પોતે વચનો પાળવામાં કેટલા પ્રામાણિક છે તેનાં પ્રમાણ તરીકે તેમણે મનરેગા, માહિતીનો અધિકાર, જમીન સંપાદન ધારો, અન્નનો અધિકાર જેવાં ઉદાહરણ આપ્યાં હતાં.

છત્તીસગઢમાં કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું તો જાણે માફ કરી દેવામાં આવશે. એન.પી.એ.ના ગંજાવર ધોવાણ પછી ખેડૂતોનાં દેવાં તો કોઈ વિસાતમાં નથી. હવે હસમુખ ગાંધીની ભાષામાં કહીએ તો ચશ્મિષ્ટ અર્થશાસ્ત્રીઓ ખેડૂતોને આપવામાં આવતી સબસિડી અને કર્જમાફી એ ખોટનું અર્થશાસ્ત્ર (બેડ ઇકોનોમી) છે, એવી દલીલો કરતા બંધ થઈ ગયા છે. કયા મોઢે કરે જ્યારે ફાયદાકારક અર્થશાસ્ત્ર (ગુડ ઇકોનોમી) એ દેશને ઉઠાડી મૂક્યો છે તે ત્યાં સુધી કે નાણા પ્રધાન રિઝર્વ બેન્કની મરણમૂડી પર નજર કરી રહ્યા છે. બીજું, ખેડૂતો પણ ક્યાં કરજ ફેડવાના છે? એક તો ભારતમાં ખેતીવ્યવસાય ખોટમાં છે એટલે તેઓ ઈચ્છે તો પણ કરજ ફેડી શકે એમ છે નહીં, અને ઉપરથી મોટા ચોરોએ ચોરીને સદગુણ તરીકે સ્થાપી આપ્યો છે. આજકાલ ખેડૂતો કહે છે કે જાવ પહેલાં નીરવ મોદી પાસેથી પૈસા લેતા આવો અને પછી અમારા ઊભા પાકની જપ્તી કરો કે બળદ લઈ જાઓ.

જે વાત ખેડૂતો જાણે છે એ વાત રાહુલ ગાંધી નથી જાણતા? જાવ નીરવ મોદી પાસેથી પૈસા લઈ આવો એમ જ્યારે ખેડૂતો અને સામાન્ય માણસો કહે છે ત્યારે તેમને ખાતરી છે કે આપણા શાસકોની માલ્યા-મોદીના ખિસ્સામાંથી પૈસા ઓકાવવાની ત્રેવડ નથી. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં ત્રેવડ વિનાનાં વચનો આપ્યા હતાં અને આજે બિચારાની ઠેકડી ઉડાડવામાં આવે છે. નરેન્દ્ર મોદી એક મોટો ગુણ ધરાવે છે; આંખનું મટકું પણ માર્યા વિના, આંખમાં આંખ પરોવીને, પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ફેંકવાનો એ ગુણ છે. મોદીના આત્મવિશ્વાસને જોઇને લોકોએ તેમના દરેક  ગપ્પાને સાચા માની લીધાં હતાં. આજે લોકો નરેન્દ્ર મોદીનો ચૂંટણીપ્રચારનો વહીવંચો વાંચીને ઠોકે છે અને ઠેકડી ઉડાડે છે. અમેરિકામાં ‘વોશિંગ્ટન પોસ્ટ’ નામનું અખબાર ટ્રમ્પના જુઠાણાઓનો દૈનિક આંકડો છાપે છે. ટ્રમ્પ ચાર હજારનો આંકડો વટાવી ગયા છે.

જે લોકો વ્યવસ્થા પરિવર્તન વિશે એક શબ્દ નથી બોલતા અને સ્વર્ગ ધરતી પર લઈ આવવાની વાતો કરે છે, એ બધા જ ફેંકુ છે. હિંમત હિંમતમાં ફરક છે, બાકી પદારથ એક જ છે; અસત્ય. ૨૦૧૪માં આ મોરચે નરેન્દ્ર મોદીની તુલનામાં રાહુલ ગાંધી વામણા સાબિત થયા હતા. નરેન્દ્ર મોદીને અનુસરીને જો રાહુલ ગાંધી એમ માનતા થયા હોય કે ફેંકવાથી મત મળે છે તો તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે. મત તો કદાચ મળી જશે, સત્તા પણ મળે; પરંતુ સરવાળે હાસ્યાસ્પદ સાબિત થશે.

ખેડૂતો અને સામાન્ય માણસો બેન્કોની લોનની પરતફેડ નથી કરતા ત્યારે તેમને ખબર છે કે સમસ્યા વ્યવસ્થાની છે અને જ્યાં સુધી વ્યવસ્થા નહીં સુધરે ત્યાં સુધી બસો ઈંચની છાતી હોવાનો દાવો કરનારો હોય કે બીજો કોઈ, દંડવાનું તેમનું ગજું નથી. રાહુલ ગાંધી વિજય માલ્યા, નીરવ મોદી, અનિલ અંબાણીના પેટમાંથી પૈસા ઓકાવવાની વાત કરે છે તો એને માટે પરિણામકારક વ્યવસ્થા જોશે.

ચુસ્ત દુરુસ્ત શાસકોના દબાણમાં ન આવે એવી તપાસકર્તા એજન્સીઓ જોશે. કૉન્ગ્રેસના દિવસોમાં સી.બી.આઈ.ની કેવી અવસ્થા હતી અને કેટલી સ્વતંત્ર હતી એ આપણે ક્યાં નથી જાણતા! સી.બી.આઈ.ના ભૂતપૂર્વ ડાયરેક્ટર રણજિત સિંહા રાતના અંધારામાં તેમના સત્તાવાર નિવાસસ્થાનની લોગબુકમાં એન્ટ્રી કરાવ્યા વિના સત્તાના દલાલોને મળતા હતા એ યુ.પી.એ. – ૨ (૨૦૦૯-૨૦૧૪) સરકારના વખતની ઘટના છે. ચોરના ખિસ્સામાંથી પૈસા કઢાવવા હશે તો ચુસ્ત દુરુસ્ત ન્યાયતંત્ર જોશે. સમયસર ચુકાદાઓ આવે અને ચોર લોકો ન્યાયતંત્રને ચકરાવામાં ન નાખે એ માટે ન્યાયતંત્રમાં સુધારાઓ કરવા પડશે. બેન્કોને કોઈ નવડાવે નહીં એ માટે બેન્કિંગ સુધારાઓ કરવા પડશે. ડિફોલ્ટર અને વિલફુલ ડિફોલ્ટર (સંજોગોવશાત્ ઊઠી જનાર અને જાણીબૂજીને ઊઠી જનાર)માં ભેદ પાડવો પડશે અને તેની સ્પષ્ટ વ્યાખ્યા કરવી પડશે. નાદારીને લગતા કાયદા સુધારવા પડશે. કોઈ નાસી ન જઈ શકે એની તજવીજ કરવી પડશે અને એ પછી પણ જો કોઈ નાસી જાય તો દુનિયાના દેશો સાથેની પ્રત્યાર્પણની સંધિઓમાં સુધારાઓ કરવા પડશે. સ્થાનિક પોલીસથી લઈને સી.બી.આઈ. અને રૉ સુધીની સંસ્થાઓ વચ્ચે તાલ-મેલ વધારવો પડશે. લોકાયુક્ત લોકપાલની નિયુક્તિ કરવી પડશે. રામરાજ્યનો માર્ગ ક્યાંથી પસાર થાય છે એ બધાને ખબર છે, કરવું કોઈને નથી.

કુલ મળીને લગભગ બે ડઝન સુધારાઓ કરવા પડે એમ છે. એ સુધારાઓ જ્યારે થશે ત્યારે તંત્ર આપોઆપ લોકોની સુરક્ષા કરશે, આપોઆપ દેશના પૈસાની સુરક્ષા કરશે, છીંડાં બુરાઈ ગયાં હશે એટલે કોઈ છટકી નહીં શકે, ગુનેગારને પકડી પડાશે અને દંડી શકાશે. એ પછી દેશને કોઈ ભડવીર માંગણાવાળાની જરૂર નહીં પડે, ૧૫ ઈંચની છાતી ધરાવનારો નિર્બળ શાસક પણ સફળ શાસન આપી શકશે. શાશનની ગુણવત્તા શાસનવ્યવસ્થામાં છે અને શાસનવિધા એ કુસ્તીવિધા નથી. આપણને સાથળને થપથપાવનારાની નહીં, વ્યવસ્થા સુધારી આપનારાની જરૂર છે.

જે કોઈ નેતા, જે કોઈ પક્ષનો હોય, ગમે એવી ગર્જના કરતો હોય; જો એ વ્યવસ્થા સુધારવાની બાબતે કાંઈ જ ન બોલતો હોય અને પાછો પ્રજાની સુખાકારી વિશે વાયદા કરતો હોય તો એને ફેંકુ સમજવો. આ ફેંકુની સીધીસાદી વ્યાખ્યા છે. રાહુલ ગાંધીએ છત્તીસગઢની જાહેરસભાઓમાં માલ્યા-મોદી-અંબાણીના ખિસ્સામાંથી પૈસા કઢાવવાની વાત કરી છે એ એક ગપ્પું છે. તેમણે વ્યવસ્થા વિશે હરફ નથી ઉચાર્યો. કોઈ પણ જાહેરસભામાં કે મંચ પરથી બોલતા રાહુલ ગાંધીને વ્યવસ્થા પરિવર્તન વિશે બોલતા હજુ સુધી તો સાંભળ્યા નથી. ટૂંકમાં નરેન્દ્ર મોદીનું અનુકરણ કરવામાં કોઈ ફાયદો નથી. એ હાસ્યાસ્પદ નિવડવાનો માર્ગ છે. અનુસરવા માટે રાહુલ ગાંધી પાસે તેમના પરદાદા જવાહરલાલ નેહરુનું ઉદાહરણ ઉપલબ્ધ છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 નવેમ્બર 2018

Loading

ન્યાયતંત્રમાં સુધારા કરવા વિશે કોઈ કેમ કંઈ બોલતું નથી ? ક્યારે ય વિચાર કર્યો છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 November 2018

નિવૃત્ત ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર જ્યારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ હતા, ત્યારે એક કાર્યક્રમમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, એ ઘટના યાદ હશે. તેમના રડવાનું કારણ ન્યાયતંત્રની દુર્દશા હતું. તેમણે કહ્યું હતું એ દેશની ન્યાયવ્યવસ્થા તૂટી પડવાને આરે છે અને તેને માટે અમે એટલે કે જજો જવાબદાર નથી. એમાં સુધારાઓ કરવાની જગ્યાએ, જજોની ભરતી કરવાની જગ્યાએ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની જગ્યાએ શાસકો અદાલતોની આલોચના કરે છે એ ખોટું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના મુખ્ય ન્યાયમૂર્તિને રડતા જોઇને હેબતાઈ ગયા હતા, પરંતુ તેમનો જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે મોઢામાંથી એમ નહોતું કહ્યું કે હવે પછી કોઈ ન્યાયમૂર્તિએ અને અદાલતનો આશરો લેનાર(વાદી-પ્રતિવાદી)એ રડવું નહીં પડે. હું બેઠો છું અને ન્યાયતંત્રમાં સુધારા કરીને રહીશ, એમ તેમણે નહોતું કહ્યું. તેમણે એવું વલણ દાખવ્યું હતું જાણે કે કોઈ શરમાવા જેવી ઘટના જ ન બની હોય. આને કહેવાય મોઢું ફેરવી લેવું.

ન્યાયતંત્ર સામે દેશમાં રાષ્ટ્રીય કાવતરું રચાયેલું છે અને કાવતરાખોર માત્ર બી.જે.પી. કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નથી. દેશનો સમગ્ર શાસકવર્ગ કાવતરાખોર છે અને તેમાં અમલદારોનો પણ સમાવેશ થાય છે. આ કાવતરું આજકાલનું પણ નથી. મોટા ભાગની બીમારીઓમાં જોવા મળે છે એમ આની શરૂઆત પણ ઇન્દિરા ગાંધીના વખતમાં થઈ હતી. રમત બહુ સ્પષ્ટ છે : ભ્રષ્ટ અને શિથિલ શાસકીય-રાજકીય વ્યવસ્થા જાળવી રાખવી હોય તો જેને જવાબ આપવો પડે એને નિષ્પ્રાણ કરી નાખો.

કોને જવાબ આપવો પડે? સંસદને. તો સંસદમાં તો બધા નાગા છે એટલે કોઈ કોઈની સામે એક હદથી વધારે આંગળી નહીં ચીંધે. આંગળી ચીંધશે તો પણ જેલમાં જવું પડે એવા રાજકીય કે વ્યવસ્થાકીય સુધારાઓ કરવાની કોઈ માગણી નહીં કરે. બીજો જવાબ અખબારો અને મીડિયાને આપવો પડે તો તેનાથી ડરવાની જરૂર નથી, કારણ કે તેને ખરીદી શકાય છે અને જો કોઈને ખરીદી ન શકાય તો પણ શો ફરક પડે છે? તેઓ વધુમાં વધુ ઉઘાડા પાડી શકે અથવા બદનામ કરી શકે, આપણને જેલમાં મોકલવાનો અધિકાર મીડિયાને નથી. જેલમાં મોકલવાનો અને સત્તાની બહાર કાઢવાનો અધિકાર એક આત્ર અદાલત ધરાવે છે એટલે તેને લકવાગ્રસ્ત રાખો. તેની એવી રીતે કમર તોડી નાખો કે આપણી રાજકીય કારકિર્દી પૂરી થાય ત્યાં સુધી અદાલત આપણા સુધી ન પહોંચી શકે.

તમે એક વાત નોંધી? ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જ્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર હતા, અને ચૂંટણી પ્રચાર કરતા હતા, ત્યારે તેમણે આકાશમાંથી તારા લાવી આપવાના વચનો આપ્યાં હતાં, પરંતુ ન્યાયતંત્રમાં સુધારા કરવાના વચનો નહોતા આપ્યા. યાદ કરો એ દિવસો. ચેક કરો યુ ટ્યુબના વીડિયો ક્યાં ય તમને એક કલીપ પણ નહીં મળે. બી.જે.પી.ના મેનિફેસ્ટોમાં ન્યાયતંત્રમાં સુધારા કરવાની વાત જોવા નહીં મળે. માત્ર બી.જે.પી. શા માટે? કોઈ રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં આનો ઉલ્લેખ જોવા નહીં મળે. નરેન્દ્ર મોદી પહેલાં વિશ્વનાથ પ્રતાપસિંહ જેવા તારણહારો પ્રગટ થયા હતા, તેમણે પણ ન્યાયતંત્રમાં સુધારા કરવાના વચનો નહોતા આપ્યા. રામરાજ્ય લઈ આવીશું, પરંતુ ન્યાયતંત્રમાં સુધારા વિષે આંખ આડા કાન કરીશું.

છપ્પન ઈંચની છાતી ધરાવવાનો દાવો કરનારાઓ, પારદર્શકતાના બણગાં ફૂંકનારાઓ, સ્વચ્છતા અભિયાન ચલાવનારાઓ, જેના હાથમાં ખરેખર ઝાડુ છે અને સાફસૂફી કરવાની સત્તા ધરાવે છે, તેની તાકાતમાં વધારો થાય એવા કોઈ પ્રયાસ નથી કરતા; બલકે તેની તાકાત ક્ષીણ કરી રહ્યા છે. તેમને ખબર છે કે જો ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવશે તો સત્તા સુધી પહોંચાડનારી ભ્રષ્ટ વ્યવસ્થા ખતમ થઈ જશે અને જો મોટા ગોરખબંધા કરીશું તો જેલમાં જવું પડશે. ન્યાયતંત્રનું ત્રણ સ્તરનું માળખું એવું છે કે તેમાં દરેક સ્તરે છટકી નીકળવું મુશ્કેલ છે. ત્રણ સત્ર પછી પણ રિવ્યુ અને ક્યુરેટિવ પિટિશનની જોગવાઈ છે. મીડિયાને ખરીદી શકાય, જજને દરેક સ્તરે ન ખરીદી શકાય.

આનો ટૂંકો ઉપાય છે ગળું દબાવેલું રાખો. ત્રણ કરોડ કેસોનો ભરાવો થયો છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. વકીલો કાયદાઓની આંટીઘૂંટી વાપરીને અને તારીખો માંગતા રહીને ન્યાયતંત્રને પરાસ્ત કરી રહ્યા છે. લેખિત રજૂઆત માટેની જોગવાઈ ન હોવાથી મૌખિક દલીલો દિવસોના દિવસો સુધી કરવામાં આવે છે કે જેથી કેસનો નિકાલ ન ન આવે. સૌથી મોટું શસ્ત્ર છે જજોની નિમણૂક નહીં કરવાનો અને અદાલતો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું નહીં પાડવાનું. આ બધું જાણીબૂજીને કરવામાં આવી રહ્યું છે અને દાયકાઓથી કરવામાં આવી રહ્યું છે.

હવે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કહ્યું છે કે ઈનફ ઈઝ ઇનફ. ઘણું થયું. તેમણે સામે ચાલીને અદાલતમાં કેસ હાથ ધર્યો છે અને કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારોને કહ્યું છે કે જજોની ભરતી વિષે અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિષે શું કરવાના છે એ કહો. કુલ ૨૨,૦૩૬ જજોની જગ્યા છે એમાંથી ૫,૧૩૩ જગ્યાઓ ખાલી છે. એકલા ઉત્તર પ્રદેશમાં એક હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. ટકાવારીમાં કહીએ તો ઉત્તર પ્રદેશમાં ૪૨.૧૮ ટકા, બિહારમાં ૩૭.૨૩ ટકા અને મેઘાલયમાં સૌથી વધુ ૫૯.૭૯ ટકા જગ્યા ખાલી છે. જજોની નિમણૂકનો અધિકાર સરકારોનો છે અને ઇન્ફ્રાસ્ટ્રકચરની તો પૂરી જવાબદારી સરકારોની છે. બને ત્યાં સુધી નિમણૂકની બાબતમાં વડી અદાલતોની અને કોલેજિયમની ઉપેક્ષા કરવાની અને ઇન્ફ્રાસ્ટ્રકચર તો ક્યારે ય આપવાનું જ નહીં.

જોઈએ મુખ્ય ન્યાયમૂર્તિના પ્રયત્નોનું કેવું પરિણામ આવે છે ! અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ રડનારા નથી અને એટલે તો તેમને સુપરસીડ કરવામાં આવશે એવો ડર હતો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 નવેમ્બર 2018

Loading

...102030...2,9342,9352,9362,937...2,9402,9502,960...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved