Opinion Magazine
Number of visits: 9578164
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નમો નમો નરપુંગવ નીકળે

પંચમ શુક્લ|Poetry|26 November 2018

ના ઘઉં નીકળે, ના જવ નીકળે,
કોઠી ધોતાં કાદવ નીકળે.

દ્રવની સાથે ઉપદ્રવ નીકળે,
પાંડવ સાથે કૌરવ નીકળે.

દેવને બદલે દાનવ નીકળે,
પૃથ્વી રોળતો માનવ નીકળે.

આડતિયો થઈ ઓધવ નીકળે,
માયાવી થઈ માધવ નીકળે.

શીરા માટે શ્રાવક થાતો,
પીડ પારખુ વૈષ્ણવ નીકળે,

આ ભવ નીકળે, પરભવ નીકળે,
સ્વર્ગની વચ્ચે રૌરવ નીકળે.

વિકાસને રથ કૈતવ નીકળે,
નમો નમો નરપુંગવ નીકળે.

25/11/2018

દ્રવઃ પ્રવાહી પદાર્થ, ભીનું; આર્દ્ર, પ્રેમ, દયા, રસીલી ચીજ

ઉપદ્રવઃ કનડગત, પજવણી, રંજાડ, હાલાકી, પીડા, દુ:ખ, સંતાપ, અહિત, અનિષ્ટ, અવગુણ, આફત, આપત્તિ, ઉત્પાત,બંડ, ફિસાદ, તોફાન

રોળવુંઃ ધૂળમાં રગદોડવું, પાયમાલ કરવું

રૌરવઃ એ નામનું એક નરક, ખરાબ સ્થાન

કૈતવઃ જુગારી, ખેલાડી, દગાખોર માણસ, ઠગ, ધુતારો

નરપુંગવઃ નર ( માણસ ) + પુંગવ ( શ્રેષ્ઠ,આખલો, ખૂંટ, ખૂંટડો, ખૂંટિયો), આખલા જેવો લોંઠકો પુરુષ

e.mail : spancham@yahoo.com

Loading

ઘટ લાવવી ક્યાંથી એ બીજેપી સામેનો સવાલ છે અને ઉમેરણ લાવવું ક્યાંથી એ કૉન્ગ્રેસ સામેનો સવાલ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 November 2018

ગઈ કાલે કહ્યું એમ રાહુલ ગાંધી મંદિરે મંદિરે ફરશે અને પૂજા-આરતી કરશે તો પણ કોમવાદી માનસ ધરાવતા હિન્દુઓ પાછા ફરવાના નથી. તેઓ દ્વેષ અને ભયથી પીડિત છે અને વાડે બંધાઈ ગયા છે. તેમનો છૂટકારો ત્યારે થશે જ્યારે નકલી રાષ્ટ્રવાદનું અસલી સ્વરૂપ જોવા મળશે જે રીતે ઇટાલિયનો અને જર્મનોને ગઈ સદીમાં જોવા મળ્યું હતું.

રાહુલ ગાંધી માટે વિચારવા માટેનો સવાલ એ છે કે આવા હિન્દુઓ કેટલા? જો ભારતના બહુમતી હિન્દુઓ કોમવાદી હોત તો ભારતના વિભાજન પછી પહેલી સરકાર ભારતીય જન સંઘની બની હોત. ૧૯૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં જન સંઘને ત્રણ ટકા મત માંડ મળ્યા હતા અને કૉન્ગ્રેસને ૪૫ ટકા મત મળ્યા હતા. એ પછી ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧, ૧૯૮૦, ૧૯૮૪ એમ એક પછી એક ચૂંટણીનાં પરિણામો જોઈ લો; ભારતીય જન સંઘ કે ભારતીય જનતા પાર્ટીને ક્યારે ય ગણનાપાત્ર મત અને બેઠકો મળી નહોતી. ૧૯૮૯ પછી બાબરી મસ્જિદનો કાંડ સળગાવ્યા પછી પણ બી.જે.પી.ને બહુમતી મળી નહોતી, બલકે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભાઓની ચૂંટણીમાં પરાજય થયો હતો. યાદ રહે, કૉન્ગ્રેસના પાપ છાપરે ચડીને પોકારતાં હોવાં છતાં. ૨૦૦૯માં કૉન્ગ્રેસને બીજી તક મળી હતી જે ૧૯૮૪ પછીની પહેલી ઘટના છે. ૧૯૯૯માં યુ.પી.એ.ની સરકાર બીજી વાર આવી હતી, પરંતુ એનું મહત્ત્વ એટલા માટે નથી કે આગલી સરકાર ૧૩ મહિનામાં તૂટી ગઈ હતી એટલે ફરીવારની ચૂંટણીમાં લગભગ એક સરખાં પરિણામ આવ્યાં હતાં.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.એ કોમવાદને કાર્પેટ તળે ધકેલી દીધો હતો અને તેની જગ્યાએ ‘સબ કા સાથ; સબ કા વિકાસ’ તેમ જ ‘અચ્છે દિન આયેગા’ના વાયદા કર્યા હતા. વિકાસ અને વીરતાના બહુ મોટાં સપનાં ગૂંથ્યા હોવા છતાં બી.જે.પી.ને ૩૧ ટકા કરતાં વધુ મત નહોતા મળ્યા. એક જમાનામાં બદનામ કૉન્ગ્રેસને મળતા હતા એના કરતાં ધોળા બાસ્તા જેવી ઉજળી હોવાનો દાવો કરનાર બી.જે.પી.ને ઓછા મત મળ્યા હતા. આમ કેમ હતું? રાહુલ ગાંધીએ ક્યારે ય વિચાર્યું છે?

આવું એટલા માટે બન્યું કે ભારતમાં કોમવાદી હિન્દુઓ કરતાં ઉદારમતવાદી હિન્દુઓની સંખ્યા હંમેશાં વધારે રહી છે. ભારતના વિભાજનના કારમાં દિવસોમાં પણ હિન્દુઓએ વિવેક નહોતો ગુમાવ્યો. વિભાજન વખતે થતી હિંસાની વચ્ચે ભારતે આધુનિક બંધારણ ઘડીને આધુનિક રાજ્યની રચના કરી હતી અને ૧૯૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં ભારતનાં અભણ બહુમતી હિન્દુ મતદાતાઓએ આધુનિક બંધારણ અને આધુનિક રાજ્યને માન્યતા આપી હતી. આખા જગતમાં આવી પ્રજા બીજે ક્યાં ય નહીં મળે. ભારત એક અનોખો દેશ છે અને એ મુખ્યત્વે હિન્દુઓના કારણે. આ હિન્દુઓની કાયરતા નથી, હિન્દુઓનો વિવેક છે. ભારતની સંસદ પર હુમલો થાય કે મુંબઈ શહેર પર ત્રાસવાદીઓ હુમલો કરે, ભારતનાં બહુમતી હિન્દુઓએ વિવેક નથી ગુમાવ્યો. ગાંધીજીની હત્યા પછી હિન્દુઓએ એટલી શરમ અનુભવી હતી કે વિભાજનની હિંસા તો થંભી ગઈ, પણ બીજાં વીસ વરસ – આગ ચાંપવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં – ભારતમાં મોટાં કહી શકાય એવાં કોમી હુલ્લડો નહોતાં થયાં.

તો રાહુલ ગાંધીએ પહેલી વાત એ સમજી લેવાની જરૂર છે કે ભારતનાં બહુમતી હિન્દુઓ ઉદારમતવાદી છે. એટલે તો ૨૦૧૪માં કોમવાદને કાર્પેટ તળે ધકેલી દેવામાં આવ્યો હોવા છતાં અને દરેક પ્રકારનાં સપનાં બતાવવામાં આવ્યાં હોવાં છતાં બી.જે.પી.ને ૬૯ ટકા ભારતીય મતદાતાઓના મત નહોતા મળ્યા. એ ૬૯ ટકા ભારતીય નાગરિકોમાં ૮૦ ટકા હિન્દુ હશે. શા માટે? કારણ કે તેમને વિકાસનાં સપનાંઓ ભર ભરોસો નહોતો. તેમને ખાતરી હતી કે આ દેખાવ છે અને અસલી એજન્ડા હિન્દુત્વ છે. આ ઉપરાંત જે તે રાજ્યોમાં જ્ઞાતિનાં, ભાષાનાં અને બીજાં કારણો હતાં. બી.જે.પી.ની ભારતનાં દક્ષિણનાં રાજ્યોમાં અને પશ્ચિમ બંગાળમાં કોઈ અસ્તિત્વ જ નથી. આ રાજ્યોની કુલ મળીને સો કરતાં વધુ બેઠકો થાય છે.

૨૦૧૪માં બી.જે.પી.ને જે ૩૧ ટકા મત મળ્યા હતા, એમાંથી ઘણી મોટી સંખ્યામાં મતદાતાઓ એવા હતા જેમણે વિકાસની વાતોથી ભોળવાઈને મત આપ્યા હતા. હિન્દુઓની ક્યાં વાત કરો છો, મુસલમાનોએ ભોળવાઈને મત આપ્યા હતા. ભોળવાયેલાઓનું પ્રમાણ કેટલું હતું એ કહેવું મુશ્કેલ છે, પણ ખાસું મોટું હોવું જોઈએ. આ મતદાતાઓ ૨૦૧૯માં બી.જે.પી.ને મત આપીને ફરી વાર છેતરાય એ શક્ય નથી. બી.જે.પી. પણ આ જાણે છે એટલે એ પણ ભયભીત છે. હિન્દુ વિરુદ્ધ બીજાની સમાજમાં તિરાડો પાડવાની રમત શરૂ થઈ છે એ આ ભયનું પરિણામ છે. તેમને ખબર છે કે હવે કેટલાક મતદાતાઓ છેતરવાના નથી.

ઘટ લાવવી ક્યાંથી એ બી.જે.પી. સામેનો સવાલ છે અને ઉમેરણ લાવવું ક્યાંથી એ કૉન્ગ્રેસ સામેનો સવાલ છે. હવે વિકાસની વાતો કરવાથી ઘટ પુરાય એવી કોઈ શક્યતા નથી એ બી.જે.પી.ને સમજાઈ ગયું છે. નથી સમજાતું રાહુલ ગાંધીને અને કૉન્ગ્રેસને. તેઓ એમ માને છે કે મંદિરોમાં આંટા મારવાથી ઉમેરણ થશે.

આ ખોટી ગણતરી છે. તેમણે સમજી લેવું જોઈએ કે બી.જે.પી.ના વાડામાં અથવા કૉન્ગ્રેસની વિરુદ્ધમાં ત્રણ પ્રકારના મતદાતાઓ છે :

૧. એવા હિન્દુ મતદાતાઓ જે કોમવાદી માનસ ધરાવે છે અને તેઓ રાહુલ ગાંધી ગમે એટલા મંદિરોના આંટા-ફેરા મારે એનાથી પ્રભાવિત થવાના નથી. દેખીતી વાત છે; રાહુલ ગાંધી ગમે એટલા હિન્દુ બને, તેઓ ઠેકેદાર બની શકે એમ નથી.

૨. એવા મતદાતાઓ જે તાજેતરનાં વર્ષોની ઘટનાઓને કારણે મુસ્લિમ વિરોધી માનસ ધરાવે છે. તેઓ હિન્દુ કોમવાદી નથી. હિન્દુ રાષ્ટ્રવાદી તો જરા ય નથી. તેઓ બહુમતી કોમવાદનો ભય ઓળખે પણ છે; પરંતુ તેમને ઉદારમતવાદી મુસલમાનોની ત્રાસવાદ સામેની ચુપકીદી સામે ચીડ છે. તેઓ એમ માને છે કે ઘરની બહાર સેક્યુલર તરીકે જીવવાની ફરજ શું એકલા હિન્દુઓની છે?

૩. એવા હિન્દુ (અને અન્ય ધર્મી સુદ્ધાં) જેઓ કૉન્ગ્રેસ માટે ચીડ ધરાવે છે. ચીડનાં ત્રણ કારણો મુખ્ય છે; ભ્રષ્ટાચાર, સગાંવાદ અને પક્ષપાતી સેક્યુલરિઝમ. લઘુમતી કોમના મત મેળવવા માટે કૉન્ગ્રેસ લઘુમતી કોમના થાબડભાણા કરે છે એવો તેમનો આરોપ છે. આ ત્રણેય કારણો રોકડી હકીકત છે.

હવે સ્થિતિ કાંઈક આવી છે : બી.જે.પી.ને તેના સાફલ્યટાણે જે ૩૧ ટકા મત મળ્યા હતા એમાં અંદાજે દસથી ૧૨ ટકા મત ભોળવાયેલાઓના હશે. આ આંકડો બી.જે.પી.ના ૨૦૧૪ પહેલાંની ચૂંટણીઓમાં મળેલા મતોના આધારે અડસઠે કાઢી શકાય. એ પછી જે વીસ ટકા મતદાતા બચે છે એમાં અડધો અડધ અને કદાચ તેનાથી પણ વધુ મતદાતાઓ મુસ્લિમ વિરોધી અને કૉન્ગ્રેસ વિરોધી હશે. આ દેશમાં હાર્ડકોર હિન્દુત્વવાદી બે આંકડામાં પણ નથી એ શું ઓછી હરખાવાની વાત છે? આ બધા આંકડા મતપેટીમાં પડેલા મતોના છે. દેશના ત્રીજા ભાગના મતદાતાઓએ તો મતદાન કર્યું પણ નહોતું. રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસને આ વાત નથી સમજાતી? એમ લાગે છે કે નથી સમજાતી.

બી.જે.પી. ઘટ ક્યાંથી લાવવી એની તજવીજમાં છે એટલે રામલલ્લાને ફરી યાદ કરવામાં આવી રહ્યા છે અને દેશમાં ઊભી તિરાડો પાડવામાં આવી રહી છે. બી.જે.પી.ની રણનીતિ બહુ સ્પષ્ટ છે. કૉન્ગ્રેસને જો ઉમેરણ કરવું હોય તો એ બી.જે.પી.ની ટોપલીમાં પડેલા મુસ્લિમ વિરોધીઓના અને કૉન્ગ્રેસ વિરોધીઓના મત છે. એ મત પાછા મેળવી શકાય એમ છે; પણ એ મંદિરોમાં જવાથી કે ટીલાં-ટપકાં કરવાથી મળવાના નથી. એને માટે જુદી જહેમત કરવી પડે એમ છે જેની વાત આવતી કાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 નવેમ્બર 2018

Loading

ચૂંટણીઓથી કયો હેતુ પાર પડે છે? ચૂંટણીઓ કઈ રીતે સારી છે?

સુમન શાહ|Opinion - Opinion|25 November 2018

ચૂંટણીવિષયક કેટલીક વાતો

ચૂંટણીઓ ઉત્તરદાયી કે જવાબદેહી સરકાર કેમ નથી નીપજાવતી?

ગુજરાતીમાં મશ્કરીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે લોકશાહીની દુકાનેથી પાણીદાર ફિક્કી છાશ સાંપડતી હોય છે.

સાહિત્ય-કલાઓના વિષયમાં ચૂંટણીઓથી મેળવાતા મત અને ચુકાદાઓ વિશે પહેલેથી મને ખાસ શ્રદ્ધા કે દિલચસ્પી નથી. સાહિત્ય-કલા લોકઆરાધન ને પ્રજાકીય કલ્યાણકારક નીવડી શકે પણ એને અંગેના નિર્ણયો માટે લોકશાહી બરાબર ન કહેવાય, ન નભે. કલા તો કોક કોક વડે નર્ણિત થનારી વિરલ ચીજ છે.

પરન્તુ રાજશાસન માટે હું લોકશાહીને અનિવાર્ય સમજું છું. નીચે દર્શાવેલી વાતો આગામી ચૂંટણીઓના સંદર્ભમાં વિચારપોષક નીવડવાનો સંભવ છે :

સમાચારો મન્તવ્યો અને 'ઍક્સ્પ્લેનેટરી જર્નાલિઝમ' માટે સુખ્યાત Vox વેબસાઇટ પર લેખિકા જેનિફર જાણે અમેરિકન પ્રજાજનોને પૂછે છે : ચૂંટણીઓથી કયો હેતુ પાર પડે છે? ચૂંટણીઓ કઇ રીતે સારી છે? એમ આપણે ભારતીયોને પણ પૂછી શકીએ.

જેનિફર કહે છે કે અર્વાચીન રાજનીતિવિજ્ઞાનમાં જરાક ડૂબકી મારીએ તો સમજાશે કે લોકશાહી નામના ફુવારામાંથી માત્ર Kool-Aid સાંપડે છે. 'કૂલ-એઇડ' એક ફ્લેવર્ડ ડ્રિન્ક છે – સ્વાદિષ્ટ પીણું. બાળકોને એની રેઈનબો ફ્લેવર્સની મજા આવે અને મમ્મીઓને લાગે કે છોકરું વિટામીન C પામી રહ્યું છે. એની જાહેરાત માટે એક નટ 'કૂલ-એઇડ'-થી ભરેલો મગ ઉછાળતો હોય ને – oh yeah -oh yeah ગર્જતો હોય ! 'એઇડ સોસાઇટીઝ' ગરીબીગ્રસ્ત બેહાલ પરિવારોને ખોરાક ને કપડાં દાન કરે છે, એ સંકેત પણ છે. વળી, 'કૂલ-એઇડ' બધા પ્રકારની રમૂજ માટે પણ પ્રયોજાય છે. ગુજરાતીમાં મશ્કરીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે લોકશાહીની દુકાનેથી પાણીદાર ફિક્કી છાશ સાંપડતી હોય છે.

ચૂંટણીઓ કશુંક કરી શકે એમ મોટાભાગના લોકો માને છે પણ એવું કંઇ થતું નથી. જેનિફર કહે છે, નિરાંતે વિચારવું જરૂરી છે :

સામાન્યત: એમ વિચારાય છે કે ચૂંટણીઓના મિકેનિઝમથી રાજકારણીઓને ઍકાઉન્ટેબલ, એટલે કે, પ્રજા પ્રત્યે ઉત્તરદાયી કે જવાબદેહી બનાવી શકાય છે. એમાં તર્ક આવો ચાલે છે : રાજકારણીઓ ઈચ્છે કે તેમને ચૂંટવામાં આવે તો તેઓ તેમના મતવિસ્તારની પ્રજાને સુખી કરશે. એ મતદારો ઉમેદવારોનાં કામોનું મૂલ્યાંકન કરે ને લાયક લાગે તેને ચૂંટે, ન-લાયકને ન ચૂંટે. આમ, પેલાઓની ચૂંટાવાની ઈચ્છા અને મતદારોની તેમને ઉત્તરદાયી બનાવવાની ક્ષમતા – એ બન્નેથી રચાતા મિકેનિઝમ વડે લોકશાહી પોતાનું કામ કરે છે.

આને વિશ્વના ઉત્તમ અને નામાંકિત રાજનીતિવિજ્ઞાનીઓ ક્રિસ્ટોફર આહન અને લૅરિ બાર્ટલ્સ લોકશાહીનો લોક-સિદ્ધાન્ત કહે છે, "ફોક થિયરી' ઑફ ડૅમોક્રસી". એમનું પુસ્તક છે, "Democracy for Realists: Why Elections Do Not Produce Responsive Government. Princeton University Press. 2016.

એમનું કહેવું એમ છે કે લોકો પાસે ગર્ભપાત, ક્લાઈમેટ-ચેન્જ કે કરવેરા વગેરે વિશેના પૉલિસી પ્રેફરન્સિસની જેવીતેવી પણ જાણકારી હોય છે. આપણે ઉમેરી શકીએ કે ભારતીયો પાસે રામમન્દિર નોટબંધી આર્થિક ભ્રષ્ટાચારો સુપ્રીમ કૉર્ટના ચુકાદા ધર્મપરક કે વંશીય ભેદભાવોના નિરસન માટે સહિષ્ણુતા સમરસતા તેમ જ રાજકારણમાં ગાલિપ્રદાન, જેવા અનેક મુદ્દાઓ છે. અને, જે ઉમેદવાર કે જે પાર્ટી મતદારની આ જાણકારીને અનુસરતી ભાસે તો મતદાર પોતાનો મત તેને આપે છે. મતલબ, લોક-મતદાન ઈસ્યુ-બેઝ્ડ હોય છે.

પણ આ બન્ને મહાનુભાવ રાજનીતિવિજ્ઞાનીઓ એમ કહે છે કે લોકશાહીનો આ લોક-સિદ્ધાન્ત અસલમાં જે બને છે એને નથી દર્શાવી શકતો. રિયલ-વર્લ્ડમાં જુદું જ બનતું હોય છે. કહે છે કે રાજકારણીઓના ઉત્તરદાયીત્વ વિશે ચૂંટણીઓને 'ગ્રેટ મિકેનિઝમ' ગણવાનું મુશ્કેલ છે. એમનો આ ગ્રન્થ વાસ્તવિકતાપ્રેમીઓ માટેની લોકશાહીને લક્ષ્ય કરે છે. ગ્રન્થનું ઉપશીર્ષક નોંધપાત્ર છે -ચૂંટણીઓ ઉત્તરદાયી કે જવાબદેહી સરકાર કેમ નથી નીપજાવતી.

એમનું કહેવું એમ છે કે ચૂંટણીઓ જરૂરી છે પણ લોકશાહીમાં એ એક 'ફ્લોડ સિસ્ટમ' છે – પ્રવાહી બલકે રસળતી રસમ. ચૂંટણીઓ યોજવાનાં શુભ અને સદાશયી કારણો હોય છે એ ખરું પણ એમાં એ કારણ નથી હોતું કે એથી કરીને ઉમેદવારોને ઉત્તરદાયી બનાવી શકાશે. ઓછામાં ઓછાં ત્રણ મુખ્ય કારણો છે જે એમ દર્શાવે છે કે ઉત્તરદાયીત્વ બાબતે ચૂંટણીઓનું મિકેનિઝમ પૂરતું કામયાબ નથી નીવડતું, અપૂર્ણ ભાસે છે :

૧ : લિમિટેડ એજન્સી : સમાજવિજ્ઞાનીઓ અનુસાર, 'એજન્સી'-નો અર્થ એ કે વ્યક્તિઓ પાસે કાર્ય કરવાની પોતીકી ક્ષમતા હોય છે.

૨ : લિમિટેડ કૉગ્નિશન : 'સાઠના દાયકાથી રાજનીતિવિજ્ઞાનીઓ એમ માનતા થયા છે કે રાજકારણી માહિતી શી રીતે પ્રોસેસ થાય છે એના જ્ઞાનસમ્પાદનની મતદારોની ક્ષમતા સાવ મર્યાદિત હોય છે. આપણે ઉમેરીએ કે આમાં સરેરાશ ભારતીય મતદારની ક્ષમતા શી છે એનો અંદાજ લગાવવાનું જરાયે અઘરું નથી.

અને : ૩ : ઓવરસૅન્સિટિવિટી : મતદાર વધારે પડતો સંવેદનશીલ હોય છે. માને છે કે ભલે પોતાની પાસે એવી બધી માહિતી નથી પણ કયો ઉમેદવાર યોગ્ય છે એટલી માહિતી તો વખત આવ્યે પોતે મેળવી જ લેશે -પોતાને પૂરતો સ્માર્ટ સમજે છે. એને એમ પણ છે કે મારા ઉમેદવારને ચૂંટવો કે કેમ એ પસંદગી કરનારો હું જ નથી પણ મારા જેવા બીજાઓ પણ છે. આ અધિક સંવેદનશીલતા સરેરાશ ભારતીય મતદારમાં તો ઘણી છે.

આ લોક-સિદ્ધાન્તનું નબળું રૂપ એ છે કે ચૉક્કસ મુદ્દાઓ અંગે લોકો પાસે એટલી જાણકારી નથી હોતી કે પોતાનો અભિપ્રાય ઘડી શકે. જો કે, એમની પાસે વિચારસરણીપરક કેટલીક પસંદગીઓ કે વિકલ્પો જરૂર હોય છે -જેમ કે, ઉદારમતવાદ કે રૂઢિવાદ. તેમ છતાં એ, એ જ કારણોસર નિષ્ફળ નીવડે છે. આ ત્રણ કારણો અત્રે આટલું, બીજું હવે પછી …

આમાંના ઘણા વિચારો જાણીતા છે. પણ ચૂંટણીઓથી રાજકારણીઓ ઉત્તરદાયી બને એ હેતુ સિદ્ધ નથી થતો એ વિચાર સરેરાશ ભારતીયને લગભગ નવો લાગવાનો.

જરૂરી સવાલ એ છે કે તો પછી ચૂંટણીઓથી બીજા કોઇ હેતુઓ સિદ્ધ થાય છે ખરા – કયા? એ અને બીજી વાતો હવે પછી …

= = =

લેખ-ક્રમાંક : ૧ : તારીખ ૨૫ નવેમ્બર ૨૦૧૮

https://www.facebook.com/suman.shah.94/posts/2221011247929776 

Loading

...102030...2,9292,9302,9312,932...2,9402,9502,960...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved