Opinion Magazine
Number of visits: 9578742
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવેમ્બર ૨૦૧૮, બંધારણ દિવસની પિછવાઈ પર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 December 2018

અગાઉને મુકાબલે સવિશેષ સભાનતાપૂર્વક ઉજવાયેલ બંધારણ દિવસ(છવ્વીસ નવેમ્બર)ની પિછવાઈ પર રાષ્ટ્રનું રાજકીય ચિત્ર આ ગાળામાં કેવુંક દીસે છે, વારુ?

જમ્મુ-કાશ્મીરથી શરૂ કરી શકીએ, કદાચ : કૉંગ્રેસ-નેશનલ કૉન્ફરન્સ-પી.ડી.પી. સરકાર રચવા એકત્ર આવ્યાં અને રાજ્યપાલ સત્યપાલ મલિકે સહસા વિધાનસભા જ વિસર્જિત કરી નાખી! થયું, એ નવી દિલ્હીના ઇશારે ચાલ્યા હશે. પણ, પછીના ગાળામાં રાજ્યપાલે કહેતાં જે સમજાયું તે એ કે ભા.જ.પ. સજ્જાદ લોનને આગળ ધરીને સરકાર રચવા માગતો હતો. લોને શપથ લીધા બાદ વિશ્વાસમત માટે છ દિવસ માગવાની જિકર કરી ત્યારે રાજ્યપાલને ‘હૉર્સ ટ્રેડિંગ’ની શક્યતા જણાતાં એમણે વિસર્જનનો રાહ ગનીમત લેખ્યો. સામાન્યપણે બોમ્માઈ ચુકાદા પ્રમાણે જે તે નિર્ણય ગૃહમાં લેવાવો જોઈએ એ જો સમજી શકાય એવું વલણ છે તો રાજ્યપાલને પક્ષે પણ એક લૉજિક છે.

સારામાં સારું બંધારણ અંતે તો એનો અમલ કરનારા જેટલું જ સારું હોઈ શકે છે, એ ધ્રુવવાક્ય યાદ કરીએ તો સમજાઈ રહેશે કે અંતે તો રાજકીય જીવનમાં બંધારણીય નૈતિકતાની એક વ્યવહારમૂલ્ય તરીકે કેવીક પ્રતિષ્ઠા છે એ એક નિર્ણાયક પરિબળ બની રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષ બેઉને આ અવલોકન લાગુ પડે છે, પણ સવિશેષ દાયિત્વ (અને ઉત્તરદાયિત્વ) અલબત્ત સત્તાપક્ષનું બની રહે છે.

ભા.જ.પ.ની શીર્ષ બેલડી એક પ્રકારે વિજીગીષુ વૃત્તિ(ખરું જોતાં ‘કિલર ઇન્સ્ટિંક્‌ટ’)થી પેશ આવી રહી છે, તે આ સંદર્ભમાં સૂચક બલકે ચિંતાપ્રેરક છે. અયોધ્યા મુદ્દે તત્કાળ ચુકાદાનું સંઘ પરિવારનું કોરસગાન તમે જુઓ અને સમજાઈ રહેશે કે ઇંદિરા ગાંધીના વારામાં ‘કમિટેડ જ્યુડિશ્યરી’નો જે દોર આપણે જોયો એ પ્રકારનો એક દાબ નવેસરથી ઊભો કરાઈ રહ્યો છે.

જોવાનું એ છે કે આ દાબ વાસ્તે પરિવારે પસંદ કરેલો મુદ્દો કોમી ધ્રુવીકરણની રાજનીતિ માટે ખાસી ગુંજાશ ધરાવે છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેના સત્તાવિશ્લેષનો બંધારણીય અભિગમ સુચિંતિત છે એ લક્ષમાં રાખીએ તો તરત સમજાશે કે આ કિસ્સો એક બહુમતવાદી (મેજોરિટેરિયન) સરકારને પક્ષે ન્યાયતંત્રને દાબમાં રાખવાની કોશિશનો અને એ રીતે સત્તાવિશ્લેષના લોકશાહી અભિગમને હતો ન હતો કરવાનો છે.

૨૦૧૮ ઉતરતે કોમી ધ્રુવીકરણની એની તાકીદ પણ સાફ છે, કેમ કે પાંચ વરસ પૂરાં થતે વિકાસની ગાયકી વાસ્તે કંઠ્ય અને વાદ્ય કોઈ નોંધપાત્ર સામગ્રી શોધી જડતી નથી. દેશભરમાં જે કિસાન પ્રક્ષોભ છે તે જો એનું એક ઉદાહરણ છે તો નોટબંધી નજરબંધી સમેતની અર્થપ્રકરણી ચમત્કૃતિઓનું સરવૈયું ખાલી ખાલી ખખડાટનો ભાવ જગવે છે તે એનું બીજું ઉદાહરણ છે. નીતિ વિષયક ગડ કઈ હદે નથી બેસતી એનો તરત સામે આવતો એક દાખલો મધ્યપ્રદેશનો છે. શિવરાજસિંહ ચૌહાણના શાસનકાળમાં કૃષિઉતાર ખાસો એટલે કે ખાસો વધ્યો (લગભગ બેવડાયો) તેમ છતાં કિસાન અજંપો વધતો માલૂમ પડે છે. દેશની આગલી કે ચાલુ સરકારો લોનમાફી જાહેર કરતી રહી છે, પણ એનો લાભ વાસ્તવિક ખેડૂત લગી લગભગ પહોંચતો જ નથી. પી. સાઈનાથની તરતપાસ સમેતની ટિપ્પણી મુજબ આ ગોટાળો રાફેલથી ક્યાં ય ચડી જાય એવો છે.

મધ્યપ્રદેશની જિકર કરી તે સાથે એક બીજો મુદ્દો પણ સત્તાપક્ષનાં શીલ અને શૈલી સબબ સામો આવે છે. મધ્યપ્રદેશ અને છતીસગઢમાં બંને ભા.જ.પી. મુખ્યમંત્રીઓ લાગટ ત્રણ મુદતથી સત્તારૂઢ છે. ક્યારેક જ્યોતિ બસુ કે માણિક સરકાર જેવાઓનો જે વિક્રમ ગણાતો હતો તે પછી શિવરાજસિંહ અને રમણસિંહ પણ, જો આ ચોથી મુદત હાંસલ કરે તો એમની પ્રતિભા ઓર ઉંચકાશે. અત્યારે ભા.જ.પ. જે રીતે સત્તાના શીર્ષ કેન્દ્રીકરણની તરજ પર ચાલતો જણાય છે એ જોતાં રાજ્ય સ્તરે ઉંચકાતી પ્રતિભાઓને તે જીરવી શકશે કે કેમ એ જોવું રહેશે. દરમિયાન, અત્યારે તો પોતાના ત્રણ મુદતના કાર્યકલાપને જોરે લડી રહેલા આ મુખ્યમંત્રીઓ છતાં, રાષ્ટ્રીય સ્તરે તો કોમી ધ્રુવીકરણનો તરણોપાય તકાજો સાફ દેખાય છે.

કૉંગ્રેસને કે બીજા પક્ષોને કોમી વણછો નથી લાગ્યો એમ તો કોણ કહેશે? શીખ સંહારસત્ર માંડ હમણે સજાપાત્ર વરતાવા લાગ્યો છે એ તરતનું ઉદાહરણ છે. (ગુજરાતના ૨૦૦૨ના ઘટનાક્રમમાં એને મુકાબલે સજાઓનો દોર ખાસો છે એને જરૂર ગુજરાત મોડેલની એક ઉપલબ્ધિ ગણી શકાય. માત્ર, એનો યશ ગુજરાતના નઠારા નાગરિક કર્મશીલોને ખતવવો રહે.) પણ બીજા પક્ષો અને ભા.જ.પ. વચ્ચે એક પાયાનો ફરક એ છે કે પરસ્પર સ્પર્ધી કોમવાદી ફિરાકમાં મોટાભાગના, રિપીટ, મોટાભાગના પક્ષો માલૂમ પડે છે; પરંતુ, કોમવાદને પૂરા કદની રાજકીય વિચારધારાનું ગૌરવ એ ભા.જ.પ.ની ગતિ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં શું બન્યું? કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ સામાન્યપણે ચિત્રમાં રહેતાં એને સ્થાને તાજેતરનાં વરસોમાં ભા.જ.પ. અને પી.ડી.પી. ઠીક ઠીક તુલ્યબળ ઉભર્યાં. જમ્મુ-કાશ્મીરમાં પૂર્વે કદાપિ નહીં એ હદે કોમી ધ્રુવીકૃત ચુકાદો આવ્યો અને ભા.જ.પ.-પી.ડી.પી. સરકાર બની. ઉમેદ હતી કે બંને જરી ગોળવાશે અને ભારતની બંધારણીય મર્યાદાને છાજતી રીતે ગાઠવાશે. પણ ભા.જ.પે. કાશ્મીરમાં જે મુદ્રા અંગીકાર કરી અને દેશના બીજા ભા.જ.પ. એકમો તેમ જ સંઘ પરિવારની સંસ્થાઓનું જે ગાણું ચાલતું રહ્યું એ બંને પરસ્પરવિરોધી હતાં એનું શું. કાશ્મીરમાં સત્તા માટે ગોળવાવું અને બાકી દેશમાં વિકાસ આડે કોમી અણિયાળાપણું, આ બે સાથે કેવી રીતે જઈ શકે?

પી.ડી.પી., નૅશનલ કોન્ફરન્સ, કૉંગ્રેસ દરેકને તપાસી શકાય; પણ આ ક્ષણે જે મુદ્દો છે તે દેશના વડા સત્તાપક્ષના દાયિત્વ અને ઉત્તરદાયિત્વનો છે. એક પા કરતારપુરનું ખૂલવું અને બીજી પા મુંબઈ ઘટનાની દસવરસીએ પાકિસ્તાનનું વાસ્તવ સામે આવવું, આ બેની વચ્ચે વિવેકપૂર્વક તંગ દોર પરની શુચિર્દક્ષ નટચાલ સ્વાભાવિક જ સરળ નથી. માત્ર, મૂળભૂત વિચારધારાવાદને ધોરણસર નમનીય કરવાની દક્ષતા હોય અને કોમી રોકડીથી પરહેજ કરવાનો વિવેક હોય તો એ દુઃસાધ્ય છતાં અસાધ્ય નથી. બંધારણ દિવસની પિછવાઈ પર, જેમણે ભરભાગલે કોમી રાજ્યવિભાવનાથી છેટા રહેવું પસંદ કર્યું એ મહાન સ્વરાજનિર્માતાઓ પરત્વે કૃતજ્ઞાપૂર્વક આ બે’ક વાતો, ચાલુ અને આગામી પડકારોને અનુલક્ષીને.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 03

Loading

બે-ચાર શબ્દ ને એ પર કરાયેલું emoji-નું ગાર્નિશિન્ગ મોહક હોય છે. એથી એ ઍક્સ્પ્રેશન વાસીતાજું હોય તોપણ ધ્યાનમાં નથી આવતું

સુમન શાહ|Opinion - Opinion|1 December 2018

આદ્યાક્ષરી સંક્ષેપો વિશે

પરમ સત્ય એ છે કે ભાષાના કાળજીપૂર્વકના નિરન્તરના ભરપૂર વપરાશથી વ્યક્તિનાં ભાષિક સામર્થ્યો તેમ જ એની ભાષિક રજૂઆતો વિકસે છે

આ ઈન્ટરનેટયુગમાં thx –  ilu – ddlg – omg – rip જેવા acronyms – આદ્યાક્ષરી સંક્ષેપો – બહુ વપરાય છે. એ સંક્ષેપોને અળવીતરાઇથી ખોલીએ અને જે સૂચવાય તેની મજા જો લઇ શકીએ તો મજા આવે : thx-ને ખોલીએ તો સૂચવાય છે કે બે શબ્દનું 'થૅન્ક યુ' લખવા જેટલો ય એ મનુષ્ય નવરો નથી; પ્રમાદી હોવો જોઇએ. મેં મારા એક હિતૈષીને વિસ્તારથી લખ્યું ને છેલ્લે ઉમેર્યું -આભારી છું. એણે મૂળ વાત ટાળી પણ ટૂંકો વિવેક અંગ્રેજીમાં દાખવવા લખ્યું, thx 4 thx ! 'યુ આર વૅલકમ' લખવાના મારા હોશ ઊડી ગયેલા. હજીલગી મને sorry-નો સંક્ષેપ નથી જોવા મળ્યો. પૂરા 'સૉરિ'-ની જ કોઇને જરૂર નથી પછી ..! આ ilu જો આમ કોકડું વળેલું હોય તો શું પરિણામ આવવાનું? જેને 'આઈ લવ યુ' લખતાં જોર પડે છે, તો, એની જોડે-નાને કે એની જોડે-નીને પ્રેમનો કયો મોદક – લાડવો – ખાવા મળવાનો? મને ddlj જેવું સૂઝ્યું છે, dnldnr. નહીં સમજાય. એ છે, 'ડુ નૉટ લાઇક, ડુ નૉટ રીડ'. એક વાર, લૉ-ગાર્ડનમાં પ્રેમિકા એના પ્રેમી આગળ વાતવાતમાં ‘ઓ.ઍમ.જી.’ બોલતી'તી. જરા આઘે બેઠેલા કાકાએ બૂમ પાડી -મને બોલાવ્યો? કેમ કે બધા એમને omg કહેતા, એટલા માટે, કે એમનું નામ 'ઓ'ધવ 'મ'ગન 'ઘી'-વાળા હતું. પ્રેમિકા ક્હૅ – નો અન્કલ, નો, યુ પ્લીઝ કૅરી ઑન ! કાકા મલકી પડેલા.

કેટલાક તો નામઠામની વીગત વિના જ ફોટો મૂકે છે. એ બહેનના એ જેઠ હોય કે એ ભાઈની એ સાળી, એ વાત તો સારી, પણ આપણે એ પોસ્ટનું શું કરવાનું છે, ખબર નથી પડતી. વ્હૉટ્સઍપ પર એક ચતુર દીકરીએ મને gn લખ્યું. મને થયું, અમેરિકામાં દિવસ છે છતાં 'શુભરાત્રિ' કહીને મને આગળ ન લખવા બલકે ઊંઘી જવા કહે છે. મને રમૂજ સૂઝી કે એને hand લખું તો નહીં સમજે. મેં લખ્યું. તો બોલો, બિલકુલ સમજી ! મને તરત લખી મોકલ્યું -have a nice day ! આમે ય, મને પાઠ ભણાવવાની હંમેશાં એને મજા પડે છે. એથી જો કે એને માટેનું મારું વાત્સલ્ય સુદૃઢ થાય છે. કેટલા ય ફેસબુકવાસીઓ કોઇનું અવસાન થયું હોય ત્યારે પણ like અને કોઇનો જનમદિવસ હોય ત્યારે પણ like દબાવે છે. એનો અર્થ એ કે, આજે તમે મર્યા એ મને 'ગમ્યું' છે. આજે તમે ૮૦-માં પ્રવેશ્યા એથી મને 'સારું લાગ્યું' છે. Rest in Peace લખવાને બદલે ટૂંકું RIP મૂકે ત્યારે એમ પણ સૂચવાય છે કે 'તમે મર્યા, પણ મારે ફ્લાઈટ પકડવાની છે'. એક વાર, એક જણાએ પૂરું લખી નાખેલું -Rest in Piece ! એને થોડી ખબર કે અંગ્રેજીમાં, નજીક નજીકના બે-બે 'પીસ' છે ! લખનાર ભલે લખે પણ એને જો ખબર હોય કે rip એક ક્રિયાપદ પણ છે, જેનો અર્થ છે, જોરથી ચીરી નાખવું, તો કદાચ ન લખે. જો કે, મરનારનો દેહમુક્ત આત્મા તો 'નૈનમ્ છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનમ્ દહતિ પાવક:' થઈ ગયો હોય છે; એટલે વાંધો નહીં.

emojis હ્યુમન emotions સાથે જોડાયેલા છે – યુનિવર્સલ છે – વિશ્વભરની ભાષાઓના ભેદો વચ્ચે યથાશક્ય સેતુ થવા નીકળ્યા છે – શબ્દગુચ્છ કે આખા વાક્યને સ્થાને વપરાય છે. એ ચાર કારણે emojis એટલે કે એ સંક્ષિપ્ત ચિત્રલેખો – abbreviated pictographs – મને ગમે છે. બે-ચાર શબ્દ ને એ પર કરાયેલું emoji-નું ગાર્નિશિન્ગ મોહક હોય છે. એથી એ ઍક્સ્પ્રેશન વાસીતાજું હોય તો પણ ધ્યાનમાં નથી આવતું. અસલિયત પાછળથી કમ્યુનિકેટ થાય છે. હસતાં, કે આંખો કાઢતાં, એ ઝીણકાં આપણને છેતરી પણ જાય. આંસુ ટપકાવતું મોકલ્યું એનો અર્થ એવો થોડો કે મોકલનાર તમારા વિરહમાં રડ્યા જ કરે છે? નમસ્કારક emoji-નો અર્થસંકેત એ પણ છે કે – તમને નમસ્કાર, જાવ હવે, બહુ થયું ! કોઇએ મને ત્રણ ત્રણ મોકલેલાં ! કેવું લાગે? થમ્પ્સ અપ-નું emoji, બધું ઓકે છે એમ સ-સ્મિત દર્શાવવા મોકલાય છે. પણ ત્યારે મોકલનારનું સ્મિત દેખાતું નથી. ક્યારેક તો એ અંગૂઠો સૂકી દૂધીનું ડીચું લાગે છે. ભોળિયાને તો એમ લાગે કે ડિંગો બતાવે છે.

emojis, ગોઠવેલા તટસ્થ અર્થો આપે પણ આમ અવળાસવળા અર્થો પણ આપે. મીંઢા મૌન કરતાં સારા પણ લક્ષ્યાર્થ-વ્યંગાર્થ બાબતે ઠાલા. મેં એઓને લખ્યું – આ સાથે હું તમને નમસ્કારક ૭ emojis પણ મોકલું છું. ખુશ થયા. 'મારા તમને સાત વાર નમસ્કાર', એ અર્થ સમજેલા નહીં. આ સૌમાં અત્યન્ત કામગરા કોઇ હોય તો તે છે forward-ની ચાંપ દબાવનારા. ખાતાંપીતાં કે રામ જાણે, કેવીયે હાલતમાં દબાવી લેતા હોય ! એઓથીયે અત્યન્ત કામગરા તો GIF મોકનારા છે. વાટકીવ્યવહાર સાચવવા તમારે સમુપકારક GIF જ મોકલવું જોઈએ. શોધવામાં ગમે એટલો સમય જાય પણ એને એ લોકો સમયવ્યય નથી ગણતા, 'પાસ-ટાઈમ' કહે છે.

આમાં, internet troll-ની વાત ઉમેરવાલાયક છે. troll એટલે બાહુકડો; જોવો ન ગમે એવો વિકૃત વામન અથવા કોઇ રાક્ષસ. લોકસાહિત્યમાં હોય છે. વિષયનિષ્ણાતો જણાવે છે કે ઈન્ટરનેટ પર નવતર ટ્રોલભાઇઓ પ્રગટ્યા છે. દોડી આવતા હોય છે : એક છે, 'સ્પામ' ટ્રોલભાઈ. એને તમે વાંચો છો કે કેમ એ વાતની પરવા વગર બસ તમને ટૅક્સ્ટ મૅસેજીસ મોકલ્યા જ કરે. બીજા છે, 'ઍક્સ્પર્ટ' ટ્રોલભાઈ. જાતને સર્વજ્ઞ સમજતા હોવાથી કાયમ તમને સલાહો આપે, જાતભાતની ફાલતુ વાતો રેલાવે. ત્રીજા છે, 'હેટર' ટ્રોલભાઈ. એ તમને હેટ કરવા – તિરસ્કારવા – ટાંપીને બેઠા હોય છે. તિરસ્કારવા જેવું ન હોય તો પણ તિરસ્કારે. ન મળે તો ઉપજાવી કાઢે. બે ઉપકારક ટ્રોલભાઈઓ પણ છે : એક છે, 'વ્યાકરણવાદી'. તમને ન ગમે કેમ કે તમારી પોસ્ટમાં રહેલી વ્યાકરણની ભૂલો ભલમનસાઈથી પણ હંમેશાં દર્શાવે. બીજા છે, 'રીપ્લાય' ટ્રોલભાઈ. એઓશ્રી તમારા ખરેખરના પ્રેમી હોય છે. જરા જેટલીયે આનાકાની વગર તમારી પોસ્ટનો ઉત્તર આપે જ આપે. ગુજરાતી સાહિત્યના બ્લૉગ્સ પર આ કે આવા ટ્રોલભાઈઓનો રંજાડ છે ખરો? હોય તો એકમેકને જણાવજો.

હું સમજું છું, સોશ્યલ મીડિયાવાળાંની સોશ્યોલૉજિ આવી જ હોય. આ કંઇ એવાં ગમ્ભીર કમ્યુનિકેશન્સ નથી. હાય-હેલો, કેમ છો-મજામાં, પ્રકારના ટૅ'લટૌકા છે. જે લોકો બીજું પણ ઘણું લખતા હોય એમને આ સોશ્યોલૉજીથી કશો દોષ નથી થવાનો. સમરથ કો ન દોષ કશો. બાકી, ભાષિક અભિવ્યક્તિને વિશેનું આ ઈન્ડિફરન્સ થોડુંક ચિન્તાકારક તો ખરું જ. આના વ્યસનીઓને અશુદ્ધ લખવાની છૂટ મળી જાય છે, ટેવ પડી જાય છે. સાહિત્યકારો ય ભૂલભરેલાં વાક્યો ગબડાવે છે. ગ્રહણક્ષમતા ઘટી જાય છે. જરાક અઘરી વાત આવે એટલે મૉં મચકોડે છે. પરમ સત્ય એ છે કે ભાષાના કાળજીપૂર્વકના નિરન્તરના ભરપૂર વપરાશથી વ્યક્તિનાં ભાષિક સામર્થ્યો તેમ જ એની ભાષિક રજૂઆતો વિકસે છે. ભાષા અક્ષયપાત્ર છે. સજ્યો-સજાવ્યો થાળ છે. એનાં ખાવાનાંને કોઇ બેબીની જેમ ચૂંટીઓ ખણીને ખાઇએ તો શું મળે? બેબીને તો પટાવી-રીઝવીને કૉળિયા ભરાવનારી મા હોય છે. આપણે તો ખાસ્સાં વયસ્ક છીએ !

= = =

[સૌજન્ય : શનિવાર, ૧/૧૨/૨૦૧૮-ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં મૂક્યો છે.]

Loading

આપણી ભાવભૂમિને સમૃદ્ધ કરે એવાં નવાં, અવનવાં, તાજગીસભર પુસ્તકોનો મજેદાર ફાલ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|30 November 2018

નવું તાજગીસભર વાચન  : સૉક્રેટિસ, ગાંધી, રવીન્દ્રનાથ, સહિત્યકારોનાં શબ્દચિત્રો, સામયિકોનાં અંકો 

બળાત્કારના ગુનેગાર આસારામની સંસ્થાનો સ્ટૉલ અમદાવાદ મહાનગરપાલિકાએ યોજેલા પુસ્તક મેળામાં હોવાની ધિક્કારાસ્પદ ઘટનાને માધ્યમોએ બરાબર ખુલ્લી પાડી. સોમવારે સાંજે પહેલીવાર પુસ્તક મેળામાં ગયાં પછી એ સ્ટૉલ પર નજર પડી એટલે મેળાનો વ્યક્તિગત ધોરણે બહિષ્કાર કરવાનો થયો. પણ તે પહેલાં ગાંધી દોઢસો નિમિત્તે જ થયેલાં નવાં પુસ્તકો હાથ લાગ્યાં.

નવજીવન પ્રકાશને ‘સત્યના પ્રયોગો’ની સમીક્ષિત આવૃત્તિ બહાર પાડી છે. ગાંધી વિચારના આપણા સમયના ગુજરાતના બહુ જાણીતા અભ્યાસી અને અનુવાદક ત્રિદીપ સુહૃદે તૈયાર કરેલી 685પાનાંની આ આવૃત્તિની એક વિશેષતા હાંસિયા નોંધો છે. અડતાળીસ પાનાંના પુરોવચનને અંતે સમીક્ષક ત્રિદીપ જણાવે છે : ‘એક પ્રકારની નોંધ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાની આત્મકથા વચ્ચે પારસ્પર્ય ઊભું કરે છે. બીજા પ્રકારની નોંધ વ્યક્તિ, તારીખ, પ્રસંગ, પુસ્તક, સંસ્થા વિશે છે.’ ‘હિન્દ સ્વરાજ’ અને અંગ્રેજી આત્મકથાની સટીક આવૃત્તિઓ તૈયાર કરનાર ત્રિદીપ એમ પણ જણાવે છે કે ‘આવા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આપણી ભાષા અને બૌદ્ધિક પરંપરામાં હોવી જોઈએ તેવી માન્યતાથી આ પ્રયાસ પ્રેરાયો છે.’ આવી આવૃત્તિ અત્યાર સુધી કેમ નહોતી એવો અચંબો  પણ – જેની મહત્તાનો જોવાથી જ ખ્યાલ આવી શકે તેવું – આ પુસ્તક જોતાં થાય છે.

મેળામાંથી યજ્ઞ પ્રકાશનનાં પુસ્તકો ભેટ મળ્યાં. ‘ગાંધી ઍન્ડ ધ અનસ્પીકેબલ : હિઝ ફાઇનલ એક્સપરિમેન્ટસ વિથ ટ્રુથ’  ગાંધી હત્યાને કેન્દ્રમાં રાખીને મહાત્માનાં જીવનકાર્ય વિશે વાત કરે છે. તેને મુંબઈનાં પત્રકાર, લેખક અને અનુવાદક સોનલ પરીખ ગુજરાતીમાં લાવ્યાં છે. પુસ્તકનું સહુથી લાંબુ પંચોતેર જેટલાં પાનાંનું પ્રકરણ ‘ગાંધી અને તેમના હત્યારા’ પ્રકાશન સંસ્થાનાં સેક્યુલર કૉઝ માટેનાં સરોકાર અને  હિમ્મત બતાવે છે. ‘એક અનન્ય મૈત્રી : મહાત્મા અને મીરાં’ સોનલબહેનનું જ મૌલિક હૃદયસ્પર્શી પુસ્તક વિષય માટેના ઊંડા લગાવ, તેના ઘણા અભ્યાસ અને ઉત્કટ અભિવ્યક્તિથી લખાયું છે. મીરાંબહેન તે મેડેલિન સ્લેડ (1892-1982) કહેવાની ભાગ્યે જ જરૂર હોય.

ગાંધી પરનાં હમણાંનાં પુસ્તકોની વાત છે ત્યારે રામચન્દ્ર ગુહા લિખિત ગાંધી ચરિત્રના બીજા ભાગ ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ 1914-1948’(પેન્વિન રૅન્ડમ હાઉસ)નો ઉલ્લેખ થવો જોઈએ. મોટાં કદનાં 1150 પાનાંનો આ ગ્રંથ ‘ગાંધી બિફોર ઇન્ડિયા’(2013)નું અનુસંધાન છે. જંગમ સંશોધન, આધાર સાથેની વૈચારિક ભૂમિકા અને વાચનીય રજૂઆત એ ગુહાનાં લખાણોની લાક્ષણિકતા ગાંધી-ગ્રંથોનાં જૂજ પાનાંમાંથી પસાર થતાં ય જણાઈ આવે છે.

ગાંધીજીએ સૉક્રટિસ પર ‘એક સત્યવીરની કથા’ નામની નોંધપાત્ર પુસ્તિકા લખી છે તે પ્રસિદ્ધ કરનાર નવજીવન પાસેથી તાજેતરમાં ‘સૉક્રેટિક ડાયલૉગ્ઝ’ પુસ્તક મળે છે. ગ્રીસના તત્વચિંતક પ્લેટો(ઇ.પૂ. 427-347)એ માર્ગદર્શક સૉક્રટિસ (ઇ.પૂ. 477-399) સાથે કરેલા સંવાદોનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ચિત્તરંજન વોરાએ ભાષાંતર કર્યું છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાંથી પ્લેટોનાં ‘રિપબ્લિક’, એરિસ્ટોટલનાં ‘પોએટિક્સ’ પુસ્તકો અને ઇસ્કીલસ-સોફોક્લિઝ-યુરિપિડિઝનાં શોકનાટ્યોના અનુવાદ પછી બહુ લાંબા ગાળે આ વર્ગનું મહત્ત્વનું પુસ્તક આપણી ભાષામાં આવ્યું છે. અંગ્રેજી પાઠ પર સહેજ નજર કરતાં સમજાય છે કે તેને બીજી ભાષામાં લઈ જવામાં ક્લિષ્ટતા કે વિષયને ન  છાજે તેવી અણઘડ સાદાઈ પ્રવેશવાની સંભાવના છે. ચિત્તરંજનભાઈએ આમ થવા દીધું નથી. એટલે અનુવાદ સાફસૂથરો બન્યો છે. બધાં પ્રકારનાં વિશેષનામો ગુજરાતીમાં લખવામાં ખાસ કાળજી દેખાય છે. મૂંગા રહીને કામ કરતાં રહેનારા ગાંધીવાદી અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ચિત્તરંજને જૉન રસ્કિનનાં ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લિઓ ટૉલ્સ્ટૉયનાં ‘ધ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ (વૈકુઠ તારા હૃદયમાં છે)  એવાં ખૂબ પ્રભાવક પુસ્તકોનો અનુવાદ કર્યો છે.

સંપાદક, અનુવાદક, પ્રકાશક અને ગ્રંથજ્ઞ જયન્ત મેઘાણી પાસેથી ગૂર્જર પ્રકાશને બહાર પાડેલાં રવીન્દ્ર સાહિત્યનાં ચાર રળિયામણા સંચયો મળે છે. ‘રવીન્દ્ર-પત્રમધુ’ કવિવરના અઢળક પત્રોમાંથી વીણેલા પોણાત્રણસોએક એમનાં સ્નેહ, સંતાપ, ઉલ્લાસ, વિચારજગત અને નર્મ-મર્મમાં ડોકિયું કરાવે છે. ‘રવીન્દ્રસાન્નિધ્યે’ ગદ્યસંચય છે. તેમાં બુદ્ધદેવ બસુના સંસ્મરણ-પુસ્તક ઉપરાંત ક્ષિતિમોહન સેન, રવીન્દ્રનાથના આર્જેન્ટિનાવાસી પૂજક વિક્તોરીઆ ઓકામ્પો અને પુત્ર રથીન્દ્રનાથના સંસ્મરણ-લેખો છે. વળી, કવિવરનાં ચાર આત્મકથનો અને અરુણા ચક્રવર્તીની અંગ્રેજી નવલકથા ‘જોરાસાંકો’નું એક પ્રકરણ પણ વાંચવા મળે છે. રવીન્દ્રનાથ સાહિત્યમાં ‘કબિતિકા’ તરીકે ઓળખાતાં લઘુકાવ્યોનાં રૂપકડો સંચય ‘સપ્તપર્ણી’ પહેલી વાર અને ‘તણખલાં’ ચોથાં પુનર્મુદ્રણમાં પ્રકટ્યો છે. રમણીય ભાષા, વિગતોમાં ચોકસાઈ, નિર્માણમાં સૌંદર્ય અને વાચકને અત્યુત્તમ આપવાનો પ્રયત્ન એ ભાવનગરના જયંતભાઈનાં કામની વિશેષતા અહીં પણ જળવાઈ છે. પિતાની જેમ જ રવીન્દ્રસાહિત્યના પ્રેમી એવા આ મેઘાણી-પુત્રે કવિવરનો અનુવાદ અંગ્રેજીમાંથી કર્યો છે. ગુજરાતી સાહિત્યમાં રવીન્દ્ર-અનુવાદની લગભગ પોણી સદીની પરંપરામાં જયન્તભાઈનું કામ નવોન્મેષ સમું છે.

રવીંદ્રનાથના આ અનુવાદોમાંથી થોડી સામગ્રીનું વાચિકમ્‌ મહેંદ્રસિંહ પરમારે તૈયાર કર્યું છે એ સાંભળવામાં તમને રસ પડશે :

https://www.youtube.com/watch?v=nhySToQGVQE

https://www.youtube.com/watch?v=U7DXwxQo0kQ&t=4s

https://www.youtube.com/watch?v=1p2Tl715LmU

ગુજરાત સાહિત્ય અકાદમીનાં મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના યાદગાર પૂર્વ સંપાદક અને કવિ હર્ષદ ત્રિવેદીનું ‘સરોવરના સગડ’ (ડિવાઇન પબ્લિકેશન્સ) એ દિવંગત સાહિત્યકારોનાં શબ્દચિત્રોનો એવો સંગ્રહ છે કે જે પૂરો વાંચ્યા વિના અળગો ન થઈ શકે. અહીં છે : એક પેઢીના ઉમાશંકર, દર્શક, યશવંત શુક્લ, રમણલાલ જોશી અને જયંત કોઠારી; ત્યાર પછીના ભોળાભાઈ, ઉશનસ, રાજેન્દ્ર- નિરંજન; પછીના કવિઓ લાભશંકર, ચીનુ મોદી, જગદીશ વ્યાસ; એકંદરે તળપદના હજારો વાચકો સુધી પહોંચેલા લોકધર્મી સાહિત્યકારો દિલીપ રાણપુરા, મીનપિયાસી અને બાપુભાઈ ગઢવી; પુસ્તકનિર્માણના કસબી રોહિત કોઠારી. લોકસંગ્રહી પ્રેમાળ સર્જક હર્ષદભાઈને ઘડતર અને કારકિર્દીના જુદા જુદા તબક્કે આ સાહિત્યકારોનો સહવાસ થયો છે. તેમને લેખકે ‘અંગત નિસબત, પંચેન્દ્રીયથી જેવા અનુભવ્યા એવા જ આળેખ્યા છે’. વ્યક્તિત્વનાં અનેક પાસાં સિફતથી પકડ્યાં છે, મહત્તા બરાબર ઉપસાવી છે, મર્યાદા ક્યારેક વ્યંજના તો મરમાળા મલકાટથી બતાવી છે. ભાષાની મિરાતથી વાચક ન્યાલ થઈ જાય છે. જૂની મૂડી જેવા શબ્દપ્રયોગોને લેખક માંજીને ચમકાવે છે. આપણાં સમયમાં વાડીલાલ ડગલી, જયંત પંડ્યા, રઘુવીર ચૌધરી અને મનસુખ સલ્લામાંથી દરેક પાસેથી મળેલાં વ્યક્તિચિત્રોનાં એક એક શ્રેષ્ઠ  પુસ્તકની સાથે હર્ષદભાઈનું  પુસ્તક પણ શોભશે.

હર્ષદભાઈના સુરેન્દ્રનગરના મિત્ર બકુલ દવેએ ‘જીવણ જગમાં જાગિયા’ (પ્રવીણ પ્રકાશન) ભજનિક સંતકવિ દાસી જીવણ (1750-1825) પરની ચરિત્રાત્મક નવલકથા છે. તેમાં લેખકનાં મહેનત, શ્રદ્ધા અને લેખનકૌશલ દેખાય છે. અહીં લેખકે તેમના વતનની નજીક, આ જન્મ અને આ જીવનમાં પ્રજ્ઞાચક્ષુ તેમ જ  અન્ય સ્પેશ્યલિ-એબલ્ડ કન્યાઓ માટે મોટું સેવાકાર્ય કરી રહેલાં પ્રજ્ઞાચક્ષુ દંપતી મુક્તાબહેન અને પંકજ ડગલી વિશે લખેલી ‘નેણમાં નવલ નૂર’ (ડિવાઇન, 2009) નવલકથા ખાસ યાદ આવે છે.

ત્રણ સામયિકોનાં હમણાંના અંકો તાજગીસભર ભરપૂર વાચનસામગ્રી પૂરી પાડે છે. ‘સાર્થક જલસો’ (સાર્થક પ્રકાશન) તેના અગિયારમા અંકમાં પણ જુદી ભાત પાડતા, સંશોધનપૂર્ણ, ઉત્તમ રીતે માવજત પામેલા વૈવિધ્યપૂર્ણ લેખોની પરિપાટી જાળવી રાખી છે. અજયસિંહ ચૌહાણે સંપાદિત કરેલો ‘શબ્દસૃષ્ટિ’નો પત્રવિશેષાંક સંપાદકની સૂઝ અને પ્રિન્ટિન્ગ ટેકનોલોજિના સમન્વયથી કેવું નોંધપાત્ર કામ થઈ શકે તે બતાવે છે. ઠઠ્ઠાચિત્રકાર અશોક અદેપાલના ‘કાર્ટૂન સેલ્ફી’ માસિકના ‘ઈકોફ્રેન્ડલી દિવાળી અંક’ના મુખપૃષ્ઠ પરનું વ્યંગચિત્ર બતાવે છે ‘યુ.પી. પોલીસથી બંદૂક ન ફૂટતાં ‘ઠાંય ઠાંય અવાજ કર્યો’. અનેક અનેક ખાસિયતોથી ભરેલાં ‘કાર્ટૂન સેલ્ફી’ના અત્યાર સુધીના પાંચ અંકો કાર્ટૂન-સાક્ષરતા લાવવાની ક્ષમતા ધરાવે છે. આ માસિકની  કદર ઓછી થાય એમાં આપણા સમાજની ફિલ્મ ઊતરે છે.

*******

29 નવેમ્બર 2018

‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 30 નવેમ્બર 2018

Loading

...102030...2,9242,9252,9262,927...2,9302,9402,950...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved