અગાઉને મુકાબલે સવિશેષ સભાનતાપૂર્વક ઉજવાયેલ બંધારણ દિવસ(છવ્વીસ નવેમ્બર)ની પિછવાઈ પર રાષ્ટ્રનું રાજકીય ચિત્ર આ ગાળામાં કેવુંક દીસે છે, વારુ?
જમ્મુ-કાશ્મીરથી શરૂ કરી શકીએ, કદાચ : કૉંગ્રેસ-નેશનલ કૉન્ફરન્સ-પી.ડી.પી. સરકાર રચવા એકત્ર આવ્યાં અને રાજ્યપાલ સત્યપાલ મલિકે સહસા વિધાનસભા જ વિસર્જિત કરી નાખી! થયું, એ નવી દિલ્હીના ઇશારે ચાલ્યા હશે. પણ, પછીના ગાળામાં રાજ્યપાલે કહેતાં જે સમજાયું તે એ કે ભા.જ.પ. સજ્જાદ લોનને આગળ ધરીને સરકાર રચવા માગતો હતો. લોને શપથ લીધા બાદ વિશ્વાસમત માટે છ દિવસ માગવાની જિકર કરી ત્યારે રાજ્યપાલને ‘હૉર્સ ટ્રેડિંગ’ની શક્યતા જણાતાં એમણે વિસર્જનનો રાહ ગનીમત લેખ્યો. સામાન્યપણે બોમ્માઈ ચુકાદા પ્રમાણે જે તે નિર્ણય ગૃહમાં લેવાવો જોઈએ એ જો સમજી શકાય એવું વલણ છે તો રાજ્યપાલને પક્ષે પણ એક લૉજિક છે.
સારામાં સારું બંધારણ અંતે તો એનો અમલ કરનારા જેટલું જ સારું હોઈ શકે છે, એ ધ્રુવવાક્ય યાદ કરીએ તો સમજાઈ રહેશે કે અંતે તો રાજકીય જીવનમાં બંધારણીય નૈતિકતાની એક વ્યવહારમૂલ્ય તરીકે કેવીક પ્રતિષ્ઠા છે એ એક નિર્ણાયક પરિબળ બની રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષ બેઉને આ અવલોકન લાગુ પડે છે, પણ સવિશેષ દાયિત્વ (અને ઉત્તરદાયિત્વ) અલબત્ત સત્તાપક્ષનું બની રહે છે.
ભા.જ.પ.ની શીર્ષ બેલડી એક પ્રકારે વિજીગીષુ વૃત્તિ(ખરું જોતાં ‘કિલર ઇન્સ્ટિંક્ટ’)થી પેશ આવી રહી છે, તે આ સંદર્ભમાં સૂચક બલકે ચિંતાપ્રેરક છે. અયોધ્યા મુદ્દે તત્કાળ ચુકાદાનું સંઘ પરિવારનું કોરસગાન તમે જુઓ અને સમજાઈ રહેશે કે ઇંદિરા ગાંધીના વારામાં ‘કમિટેડ જ્યુડિશ્યરી’નો જે દોર આપણે જોયો એ પ્રકારનો એક દાબ નવેસરથી ઊભો કરાઈ રહ્યો છે.
જોવાનું એ છે કે આ દાબ વાસ્તે પરિવારે પસંદ કરેલો મુદ્દો કોમી ધ્રુવીકરણની રાજનીતિ માટે ખાસી ગુંજાશ ધરાવે છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેના સત્તાવિશ્લેષનો બંધારણીય અભિગમ સુચિંતિત છે એ લક્ષમાં રાખીએ તો તરત સમજાશે કે આ કિસ્સો એક બહુમતવાદી (મેજોરિટેરિયન) સરકારને પક્ષે ન્યાયતંત્રને દાબમાં રાખવાની કોશિશનો અને એ રીતે સત્તાવિશ્લેષના લોકશાહી અભિગમને હતો ન હતો કરવાનો છે.
૨૦૧૮ ઉતરતે કોમી ધ્રુવીકરણની એની તાકીદ પણ સાફ છે, કેમ કે પાંચ વરસ પૂરાં થતે વિકાસની ગાયકી વાસ્તે કંઠ્ય અને વાદ્ય કોઈ નોંધપાત્ર સામગ્રી શોધી જડતી નથી. દેશભરમાં જે કિસાન પ્રક્ષોભ છે તે જો એનું એક ઉદાહરણ છે તો નોટબંધી નજરબંધી સમેતની અર્થપ્રકરણી ચમત્કૃતિઓનું સરવૈયું ખાલી ખાલી ખખડાટનો ભાવ જગવે છે તે એનું બીજું ઉદાહરણ છે. નીતિ વિષયક ગડ કઈ હદે નથી બેસતી એનો તરત સામે આવતો એક દાખલો મધ્યપ્રદેશનો છે. શિવરાજસિંહ ચૌહાણના શાસનકાળમાં કૃષિઉતાર ખાસો એટલે કે ખાસો વધ્યો (લગભગ બેવડાયો) તેમ છતાં કિસાન અજંપો વધતો માલૂમ પડે છે. દેશની આગલી કે ચાલુ સરકારો લોનમાફી જાહેર કરતી રહી છે, પણ એનો લાભ વાસ્તવિક ખેડૂત લગી લગભગ પહોંચતો જ નથી. પી. સાઈનાથની તરતપાસ સમેતની ટિપ્પણી મુજબ આ ગોટાળો રાફેલથી ક્યાં ય ચડી જાય એવો છે.
મધ્યપ્રદેશની જિકર કરી તે સાથે એક બીજો મુદ્દો પણ સત્તાપક્ષનાં શીલ અને શૈલી સબબ સામો આવે છે. મધ્યપ્રદેશ અને છતીસગઢમાં બંને ભા.જ.પી. મુખ્યમંત્રીઓ લાગટ ત્રણ મુદતથી સત્તારૂઢ છે. ક્યારેક જ્યોતિ બસુ કે માણિક સરકાર જેવાઓનો જે વિક્રમ ગણાતો હતો તે પછી શિવરાજસિંહ અને રમણસિંહ પણ, જો આ ચોથી મુદત હાંસલ કરે તો એમની પ્રતિભા ઓર ઉંચકાશે. અત્યારે ભા.જ.પ. જે રીતે સત્તાના શીર્ષ કેન્દ્રીકરણની તરજ પર ચાલતો જણાય છે એ જોતાં રાજ્ય સ્તરે ઉંચકાતી પ્રતિભાઓને તે જીરવી શકશે કે કેમ એ જોવું રહેશે. દરમિયાન, અત્યારે તો પોતાના ત્રણ મુદતના કાર્યકલાપને જોરે લડી રહેલા આ મુખ્યમંત્રીઓ છતાં, રાષ્ટ્રીય સ્તરે તો કોમી ધ્રુવીકરણનો તરણોપાય તકાજો સાફ દેખાય છે.
કૉંગ્રેસને કે બીજા પક્ષોને કોમી વણછો નથી લાગ્યો એમ તો કોણ કહેશે? શીખ સંહારસત્ર માંડ હમણે સજાપાત્ર વરતાવા લાગ્યો છે એ તરતનું ઉદાહરણ છે. (ગુજરાતના ૨૦૦૨ના ઘટનાક્રમમાં એને મુકાબલે સજાઓનો દોર ખાસો છે એને જરૂર ગુજરાત મોડેલની એક ઉપલબ્ધિ ગણી શકાય. માત્ર, એનો યશ ગુજરાતના નઠારા નાગરિક કર્મશીલોને ખતવવો રહે.) પણ બીજા પક્ષો અને ભા.જ.પ. વચ્ચે એક પાયાનો ફરક એ છે કે પરસ્પર સ્પર્ધી કોમવાદી ફિરાકમાં મોટાભાગના, રિપીટ, મોટાભાગના પક્ષો માલૂમ પડે છે; પરંતુ, કોમવાદને પૂરા કદની રાજકીય વિચારધારાનું ગૌરવ એ ભા.જ.પ.ની ગતિ રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં શું બન્યું? કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ સામાન્યપણે ચિત્રમાં રહેતાં એને સ્થાને તાજેતરનાં વરસોમાં ભા.જ.પ. અને પી.ડી.પી. ઠીક ઠીક તુલ્યબળ ઉભર્યાં. જમ્મુ-કાશ્મીરમાં પૂર્વે કદાપિ નહીં એ હદે કોમી ધ્રુવીકૃત ચુકાદો આવ્યો અને ભા.જ.પ.-પી.ડી.પી. સરકાર બની. ઉમેદ હતી કે બંને જરી ગોળવાશે અને ભારતની બંધારણીય મર્યાદાને છાજતી રીતે ગાઠવાશે. પણ ભા.જ.પે. કાશ્મીરમાં જે મુદ્રા અંગીકાર કરી અને દેશના બીજા ભા.જ.પ. એકમો તેમ જ સંઘ પરિવારની સંસ્થાઓનું જે ગાણું ચાલતું રહ્યું એ બંને પરસ્પરવિરોધી હતાં એનું શું. કાશ્મીરમાં સત્તા માટે ગોળવાવું અને બાકી દેશમાં વિકાસ આડે કોમી અણિયાળાપણું, આ બે સાથે કેવી રીતે જઈ શકે?
પી.ડી.પી., નૅશનલ કોન્ફરન્સ, કૉંગ્રેસ દરેકને તપાસી શકાય; પણ આ ક્ષણે જે મુદ્દો છે તે દેશના વડા સત્તાપક્ષના દાયિત્વ અને ઉત્તરદાયિત્વનો છે. એક પા કરતારપુરનું ખૂલવું અને બીજી પા મુંબઈ ઘટનાની દસવરસીએ પાકિસ્તાનનું વાસ્તવ સામે આવવું, આ બેની વચ્ચે વિવેકપૂર્વક તંગ દોર પરની શુચિર્દક્ષ નટચાલ સ્વાભાવિક જ સરળ નથી. માત્ર, મૂળભૂત વિચારધારાવાદને ધોરણસર નમનીય કરવાની દક્ષતા હોય અને કોમી રોકડીથી પરહેજ કરવાનો વિવેક હોય તો એ દુઃસાધ્ય છતાં અસાધ્ય નથી. બંધારણ દિવસની પિછવાઈ પર, જેમણે ભરભાગલે કોમી રાજ્યવિભાવનાથી છેટા રહેવું પસંદ કર્યું એ મહાન સ્વરાજનિર્માતાઓ પરત્વે કૃતજ્ઞાપૂર્વક આ બે’ક વાતો, ચાલુ અને આગામી પડકારોને અનુલક્ષીને.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 03
![]()


આ ઈન્ટરનેટયુગમાં thx – ilu – ddlg – omg – rip જેવા acronyms – આદ્યાક્ષરી સંક્ષેપો – બહુ વપરાય છે. એ સંક્ષેપોને અળવીતરાઇથી ખોલીએ અને જે સૂચવાય તેની મજા જો લઇ શકીએ તો મજા આવે : thx-ને ખોલીએ તો સૂચવાય છે કે બે શબ્દનું 'થૅન્ક યુ' લખવા જેટલો ય એ મનુષ્ય નવરો નથી; પ્રમાદી હોવો જોઇએ. મેં મારા એક હિતૈષીને વિસ્તારથી લખ્યું ને છેલ્લે ઉમેર્યું -આભારી છું. એણે મૂળ વાત ટાળી પણ ટૂંકો વિવેક અંગ્રેજીમાં દાખવવા લખ્યું, thx 4 thx ! 'યુ આર વૅલકમ' લખવાના મારા હોશ ઊડી ગયેલા. હજીલગી મને sorry-નો સંક્ષેપ નથી જોવા મળ્યો. પૂરા 'સૉરિ'-ની જ કોઇને જરૂર નથી પછી ..! આ ilu જો આમ કોકડું વળેલું હોય તો શું પરિણામ આવવાનું? જેને 'આઈ લવ યુ' લખતાં જોર પડે છે, તો, એની જોડે-નાને કે એની જોડે-નીને પ્રેમનો કયો મોદક – લાડવો – ખાવા મળવાનો? મને ddlj જેવું સૂઝ્યું છે, dnldnr. નહીં સમજાય. એ છે, 'ડુ નૉટ લાઇક, ડુ નૉટ રીડ'. એક વાર, લૉ-ગાર્ડનમાં પ્રેમિકા એના પ્રેમી આગળ વાતવાતમાં ‘ઓ.ઍમ.જી.’ બોલતી'તી. જરા આઘે બેઠેલા કાકાએ બૂમ પાડી -મને બોલાવ્યો? કેમ કે બધા એમને omg કહેતા, એટલા માટે, કે એમનું નામ 'ઓ'ધવ 'મ'ગન 'ઘી'-વાળા હતું. પ્રેમિકા ક્હૅ – નો અન્કલ, નો, યુ પ્લીઝ કૅરી ઑન ! કાકા મલકી પડેલા.
નવજીવન પ્રકાશને ‘સત્યના પ્રયોગો’ની સમીક્ષિત આવૃત્તિ બહાર પાડી છે. ગાંધી વિચારના આપણા સમયના ગુજરાતના બહુ જાણીતા અભ્યાસી અને અનુવાદક ત્રિદીપ સુહૃદે તૈયાર કરેલી 685પાનાંની આ આવૃત્તિની એક વિશેષતા હાંસિયા નોંધો છે. અડતાળીસ પાનાંના પુરોવચનને અંતે સમીક્ષક ત્રિદીપ જણાવે છે : ‘એક પ્રકારની નોંધ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાની આત્મકથા વચ્ચે પારસ્પર્ય ઊભું કરે છે. બીજા પ્રકારની નોંધ વ્યક્તિ, તારીખ, પ્રસંગ, પુસ્તક, સંસ્થા વિશે છે.’ ‘હિન્દ સ્વરાજ’ અને અંગ્રેજી આત્મકથાની સટીક આવૃત્તિઓ તૈયાર કરનાર ત્રિદીપ એમ પણ જણાવે છે કે ‘આવા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આપણી ભાષા અને બૌદ્ધિક પરંપરામાં હોવી જોઈએ તેવી માન્યતાથી આ પ્રયાસ પ્રેરાયો છે.’ આવી આવૃત્તિ અત્યાર સુધી કેમ નહોતી એવો અચંબો પણ – જેની મહત્તાનો જોવાથી જ ખ્યાલ આવી શકે તેવું – આ પુસ્તક જોતાં થાય છે.
મેળામાંથી યજ્ઞ પ્રકાશનનાં પુસ્તકો ભેટ મળ્યાં. ‘ગાંધી ઍન્ડ ધ અનસ્પીકેબલ : હિઝ ફાઇનલ એક્સપરિમેન્ટસ વિથ ટ્રુથ’ ગાંધી હત્યાને કેન્દ્રમાં રાખીને મહાત્માનાં જીવનકાર્ય વિશે વાત કરે છે. તેને મુંબઈનાં પત્રકાર, લેખક અને અનુવાદક સોનલ પરીખ ગુજરાતીમાં લાવ્યાં છે. પુસ્તકનું સહુથી લાંબુ પંચોતેર જેટલાં પાનાંનું પ્રકરણ ‘ગાંધી અને તેમના હત્યારા’ પ્રકાશન સંસ્થાનાં સેક્યુલર કૉઝ માટેનાં સરોકાર અને હિમ્મત બતાવે છે. ‘એક અનન્ય મૈત્રી : મહાત્મા અને મીરાં’ સોનલબહેનનું જ મૌલિક હૃદયસ્પર્શી પુસ્તક વિષય માટેના ઊંડા લગાવ, તેના ઘણા અભ્યાસ અને ઉત્કટ અભિવ્યક્તિથી લખાયું છે. મીરાંબહેન તે મેડેલિન સ્લેડ (1892-1982) કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
ગાંધી પરનાં હમણાંનાં પુસ્તકોની વાત છે ત્યારે રામચન્દ્ર ગુહા લિખિત ગાંધી ચરિત્રના બીજા ભાગ ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ 1914-1948’(પેન્વિન રૅન્ડમ હાઉસ)નો ઉલ્લેખ થવો જોઈએ. મોટાં કદનાં 1150 પાનાંનો આ ગ્રંથ ‘ગાંધી બિફોર ઇન્ડિયા’(2013)નું અનુસંધાન છે. જંગમ સંશોધન, આધાર સાથેની વૈચારિક ભૂમિકા અને વાચનીય રજૂઆત એ ગુહાનાં લખાણોની લાક્ષણિકતા ગાંધી-ગ્રંથોનાં જૂજ પાનાંમાંથી પસાર થતાં ય જણાઈ આવે છે.
ગાંધીજીએ સૉક્રટિસ પર ‘એક સત્યવીરની કથા’ નામની નોંધપાત્ર પુસ્તિકા લખી છે તે પ્રસિદ્ધ કરનાર નવજીવન પાસેથી તાજેતરમાં ‘સૉક્રેટિક ડાયલૉગ્ઝ’ પુસ્તક મળે છે. ગ્રીસના તત્વચિંતક પ્લેટો(ઇ.પૂ. 427-347)એ માર્ગદર્શક સૉક્રટિસ (ઇ.પૂ. 477-399) સાથે કરેલા સંવાદોનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ચિત્તરંજન વોરાએ ભાષાંતર કર્યું છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાંથી પ્લેટોનાં ‘રિપબ્લિક’, એરિસ્ટોટલનાં ‘પોએટિક્સ’ પુસ્તકો અને ઇસ્કીલસ-સોફોક્લિઝ-યુરિપિડિઝનાં શોકનાટ્યોના અનુવાદ પછી બહુ લાંબા ગાળે આ વર્ગનું મહત્ત્વનું પુસ્તક આપણી ભાષામાં આવ્યું છે. અંગ્રેજી પાઠ પર સહેજ નજર કરતાં સમજાય છે કે તેને બીજી ભાષામાં લઈ જવામાં ક્લિષ્ટતા કે વિષયને ન છાજે તેવી અણઘડ સાદાઈ પ્રવેશવાની સંભાવના છે. ચિત્તરંજનભાઈએ આમ થવા દીધું નથી. એટલે અનુવાદ સાફસૂથરો બન્યો છે. બધાં પ્રકારનાં વિશેષનામો ગુજરાતીમાં લખવામાં ખાસ કાળજી દેખાય છે. મૂંગા રહીને કામ કરતાં રહેનારા ગાંધીવાદી અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ચિત્તરંજને જૉન રસ્કિનનાં ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લિઓ ટૉલ્સ્ટૉયનાં ‘ધ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ (વૈકુઠ તારા હૃદયમાં છે) એવાં ખૂબ પ્રભાવક પુસ્તકોનો અનુવાદ કર્યો છે.
ગુજરાત સાહિત્ય અકાદમીનાં મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના યાદગાર પૂર્વ સંપાદક અને કવિ હર્ષદ ત્રિવેદીનું ‘સરોવરના સગડ’ (ડિવાઇન પબ્લિકેશન્સ) એ દિવંગત સાહિત્યકારોનાં શબ્દચિત્રોનો એવો સંગ્રહ છે કે જે પૂરો વાંચ્યા વિના અળગો ન થઈ શકે. અહીં છે : એક પેઢીના ઉમાશંકર, દર્શક, યશવંત શુક્લ, રમણલાલ જોશી અને જયંત કોઠારી; ત્યાર પછીના ભોળાભાઈ, ઉશનસ, રાજેન્દ્ર- નિરંજન; પછીના કવિઓ લાભશંકર, ચીનુ મોદી, જગદીશ વ્યાસ; એકંદરે તળપદના હજારો વાચકો સુધી પહોંચેલા લોકધર્મી સાહિત્યકારો દિલીપ રાણપુરા, મીનપિયાસી અને બાપુભાઈ ગઢવી; પુસ્તકનિર્માણના કસબી રોહિત કોઠારી. લોકસંગ્રહી પ્રેમાળ સર્જક હર્ષદભાઈને ઘડતર અને કારકિર્દીના જુદા જુદા તબક્કે આ સાહિત્યકારોનો સહવાસ થયો છે. તેમને લેખકે ‘અંગત નિસબત, પંચેન્દ્રીયથી જેવા અનુભવ્યા એવા જ આળેખ્યા છે’. વ્યક્તિત્વનાં અનેક પાસાં સિફતથી પકડ્યાં છે, મહત્તા બરાબર ઉપસાવી છે, મર્યાદા ક્યારેક વ્યંજના તો મરમાળા મલકાટથી બતાવી છે. ભાષાની મિરાતથી વાચક ન્યાલ થઈ જાય છે. જૂની મૂડી જેવા શબ્દપ્રયોગોને લેખક માંજીને ચમકાવે છે. આપણાં સમયમાં વાડીલાલ ડગલી, જયંત પંડ્યા, રઘુવીર ચૌધરી અને મનસુખ સલ્લામાંથી દરેક પાસેથી મળેલાં વ્યક્તિચિત્રોનાં એક એક શ્રેષ્ઠ પુસ્તકની સાથે હર્ષદભાઈનું પુસ્તક પણ શોભશે.