Opinion Magazine
Number of visits: 9685457
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રવાસ લેખનનો પ્રવાસ: I walk all day, I walk all night …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 January 2019

"એક પરિક્રમાવાસીએ મને કહ્યું કે જો કોઈને ડૉક્ટર બનવું હોય તો એના માટે મેડિકલ કોલેજ છે, એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયરિંગ કોલેજ છે, પણ જો કોઈને સારા માણસ બનવું હોય તો એના માટે કોઈ કૉલેજ ખરી? નર્મદા-પરિક્રમા સારા માણસ બનાવવાની કોલેજ છે. 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ સુધી એક જ નદીનું ધ્યાન કરતાં ચાલવું, ભીક્ષા માગીને ખાવું, અપરિગ્રહનું પાલન કરવું – આ કંઈ નાનું તપ નથી. એક વૃદ્ધે મને કહેલું, ‘પરિક્રમા દરમિયાન ધારો કે તમે કોઈક પાસે કશું માગ્યું ને એણે ના પાડી. કદાચ અપમાન પણ કરી બેસે. તો એને પણ પ્રેમથી લેજો. આમ કરવાથી અહંકાર નષ્ટ થાય છે. પરિક્રમા અહંનો નાશ કરવા માટે જ તો છે !’

"નર્મદા-પરિક્રમાએ મારામાં શ્રદ્ધા અને વિનમ્રતાના ભાવ ભર્યા. મને ભીતરથી સમૃદ્ધ કર્યો. ત્યાંના લોકો પાસેથી હું શીખ્યો કે જીવન સાદું અને સરળ હોવું જોઈએ. નર્મદા પદયાત્રાઓ થકી મને પ્રકૃતિ સાથે ધાર્મિક પ્રેમ થયો. મને લાગ્યું છે કે નદીકાંઠે બેસવું કે હરિયાળાં મેદાનોને નિહાળવાં એ ઉત્તમ કોટિનો સત્સંગ છે. વળી પ્રકૃતિપ્રેમ દેશપ્રેમનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી આ વિશાળ દેશને આપણે એની સમસ્ત ખૂબીઓ સાથે નજરે નહીં જોઈએ, ત્યાં સુધી એના પ્રત્યેનો આપણો પ્રેમ શાબ્દિક જ રહેવાનો. આપણે માત્ર જડ નથી. ચેતન પણ છીએ. આ ચેતનને એનો ખોરાક નિસર્ગ પાસેથી જ મળશે. નર્મદા પદયાત્રાઓનો આરંભ મેં 1977માં કરેલો અને 1999માં પૂરી પરિક્રમા કરી લીધી."

ઉપરના આ શબ્દો નર્મદાના પદયાત્રી અમૃતલાલ વેગડના છે. મુંબઈમાં કોફીમેટ્સ, વિકલ્પ અને ભવન્સ કલ્ચરલ સેન્ટર(અંધેરી)ના ઉપક્રમે 4થી ડિસેમ્બર 2011માં યોજાયેલા વ્યાખ્યાન 'જો આ હોય મારું અંતિમ પ્રવચન'માં એ બોલાયા હતા. વેગડના એ પ્રવાસમાંથી બે પુસ્તકો આવ્યાં; 'પરિક્રમા નર્મદા મૈયાં' અને 'સૌંદર્યની નદી નર્મદા.' વેગડ એને નર્મદાનું સંમોહન કહે છે. ૨૦૦૨માં ૭૫ વર્ષની ઉંમરે એમણે ત્રીજીવાર નર્મદાની પદયાત્રા કરી. આ વખતે તો સંગાથે પત્ની કાન્તાબહેન પણ સવાબે હજાર કિલોમીટર ચાલ્યાં. એમાંથી આવ્યું 'તીરે તીરે નર્મદા.'

માણસ હંમેશાંથી યાત્રા કરતો રહ્યો છે. પગેથી ચાલીને, ઘોડા પર બેસીને, સાઈકલ ચલાવીને, જહાજમાં સવાર થઇને, ટ્રેનમાં ચઢીને અથવા પ્લેનમાં ઊડીને. માણસનો પૂરો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ યાત્રા આધારિત છે. સભ્યતાઓના આદાન-પ્રદાન અને જેનેટિક રૂપથી બ્રીડ્સના મિલનમાં યાત્રાનો યોગ છે. ગ્રીક લોકો એક શબ્દનો પ્રયોગ કરતા હતા : યુડેમોનિયા, એટલે કે માનવ સમૃદ્ધિ. પૂરી માનવ જાતના સફળ વિકાસ પાછળ માણસની યાત્રાનો ફાળો છે.

ચાલવું એ માણસની બુનિયાદી વૃત્તિ છે. તમે અમુક કલાક સુધી સ્થિર બેસી રહો, તો હાડકાં જકડાઈ જાય છે, તમને ઊંઘ આવી જાય છે. માણસનું અસ્થિપંજર અને માંસપેશીઓનું સ્ટ્રક્ચર આહારની શોધ માટે ભટકવા, રાની પશુઓથી નાસવા અને પાશવિક જિજ્ઞાસા સંતોષવા માટે બનેલું છે.

હિ‌ન્દીમાં ૧પ૦ ગ્રંથોની રચના કરનાર રાહુલ સાંકૃત્યાનને પૂરી દુનિયા ઘુમક્કડ તરીકે ઓળખે છે. ભારત ઉપરાંત તિબેટ, સોવિયત સંઘ, યુરોપ અને શ્રીલંકાની ખાનાબદોશી બાદ રાહુલે એના અનુભવ પરથી 'ઘુમક્કડ શાસ્ત્ર’ની રચના કરી છે. તેમાં એ લખે છે, 'મારા મતે દુનિયામાં સર્વશ્રેષ્ઠ વસ્તુ ઘુમક્કડી છે. રખડપટ્ટી કિતાબોથી પણ આગળ જાય છે. ઘુમક્કડ દુનિયાની સર્વશ્રેષ્ઠ વિભૂતિ છે કારણ કે એમણે જ દુનિયા બનાવી છે. દુનિયાના અધિકાંશ ધર્મનાયક ઘુમક્કડ રહ્યા છે. ભગવાન બુદ્ધ ઘુમક્કડ-રાજા હતા. એક વ્યક્તિ માટે ઘુમક્કડીથી વધીને બીજો કોઇ ધર્મ નથી.’

રાહુલે પૂરા હિન્દુસ્તાન જ નહીં, યુરોપ, સોવિયેત રશિયા, તિબેટ, લંકા, જાપાન, ચીન અને ઈરાનની પણ યાત્રા કરી હતી. એના માટે એ અંગ્રેજી, પાલી, પ્રાકૃત, અપભ્રંશ, તિબેટી, ભોજપુરી, ચાઇનીઝ અને જાપાની સહિત ૨૫ ભાષા પણ શીખ્યા. બૌદ્ધ ધર્મના પ્રભાવમાં જ એ કેદારનાથમાંથી રાહુલ બન્યા, જે બુદ્ધનું જ એક નામ છે.

એમની પ્રખ્યાત રચના 'અતથો ઘુમક્કડ જિજ્ઞાસા'માં રાહુલ લખે છે, "જેવી રીતે ફોટો જોઇને તમે હિમાલયના દેવદારના ગહન જંગલો અને શ્વેત હિમ-મુકુટિત શિખરોના સૌદર્ય, એના રૂપ અને એની ગંધનો અનુભવ ના કરી શકો, એવી જ રીતે યાત્રા-કથાઓમાંથી તમને એ બુંદનો ભેટો ના થાય, જે એક ઘુમક્કડને મળે છે. માણસ માટે ઘુમક્કડી વધીને કોઈ નગદ ધર્મ નથી. માનવ જાતિનું ભવિષ્ય ઘુમક્કડો પર નિર્ભર છે. એટલે હું કહું છું કે, દરેક કિશોર અને કિશોરીએ ઘુમક્કડ-વ્રત લેવું જોઈએ, એની વિરુદ્ધ જે પણ પ્રમાણ આપવામાં આવે, તેને વ્યર્થ અને જૂઠ સાબિત કરવાં જોઈએ. ઘુમક્કડની ગતિને રોકવાવાળા દુનિયામાં પેદા નથી થયા. સખત પહેરાવાળી રાજ્ય-સીમાઓની આંખમાં ધૂળ નાખીને ઘુમક્કડોએ પાર કરી લીધી છે. મેં ખુદ આવું ઘણીવાર કર્યું છે. પહેલી તિબેટ યાત્રામાં અંગ્રેજો, નેપાળ-રાજ્ય અને તિબેટના સીમા-રક્ષકોને હાથતાળી આપીને ગયો હતો."

રાહુલ કહે છે કે, કોલંબસ અને વાસ્કો-ડી-ગામા બે એવા યાત્રી હતા, જેમણે પશ્ચિમી દેશોના વિકાસને રસ્તો બતાવ્યો. અમેરિકા મોટાભાગે નિર્જન પ્રદેશ હતો. એશિયાના કૂપમંડુકો ઘુમક્કડ-ધર્મનો મહિમા ભૂલી ગયા એટલે એ અમેરિકા પર ઝંડો લહેરાવી ના શક્યા, એમ રાહુલ માને છે. એમાં એક ફર્ક આવ્યો, પણ સદીઓ પછી.

તમે 'ન્યૂર્યોક ટાઇમ્સ’ના પત્રકાર થોમસ ફ્રાઇડમેનનું નામ સાંભળ્યું છે? કોલંબસે એની યાત્રામાં અકસ્માતે અમેરિકાની શોધ કરી, તેના ૫૦૦ વર્ષ પછી, ૨૦૦૫માં આ અમેરિકન પત્રકારે ભારત આવીને ગ્લોબલાઇઝેશન પરનું પહેલું અદ્દભુત પુસ્તક, 'ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ: અ બ્રિફ હિસ્ટરી ઓફ ધ ટ્વેંટીએથ સેન્ચુરી' લખ્યું હતું. ફ્રાઇડમેન એના પ્રથમ પ્રકરણનો આ રીતે આરંભ કરે છે:

"હું કોલંબસની જેમ, સાહસ કરીને ભારતની સિલીકોન વેલી, બેંગલોર આવ્યો હતો. ભારત પહોંચવાની ઉતાવળમાં કોલંબસે અંતર માપવામાં ગડબડ કરી, અને ‘અમેરિકા’ પહોંચી ગયો. વતન પાછા ફરીને એણે એને રાજા-રાણીને રિપોર્ટ આપતાં એક મહત્ત્વની વાત કરી કે, દુનિયા ખરેખર ગોળ છે. હું લુફથાન્સાના બિઝનેસ ક્લાસમાં હતો અને જી.પી.એસ. મેપ આચ્છાદિત સ્ક્રીન પરથી દિશાની ખબર પડતી હતી. કોલંબની જેમ મને ય ભારતીયો ભટકાયા. કોલંબસને હાર્ડવેર (મરી મસાલા)ની ખોજ હતી, હું સોફ્ટવેરની શોધમાં હતો. કોલંબસની સાથે ત્રણ જહાજમાં ૧૦૦ લોકો હતા. મારી સાથે બે વાનમાં ડિસ્કવરી ચેનલના કર્મચારીઓ હતા. મને ય એમ હતું કે દુનિયા ગોળ છે, પણ હું બેંગલોર આવ્યો, ત્યારે મારી માન્યતા ડગુંમગું થવા લાગી. કોલંબસે ‘ભારત’ પહોંચવાનું માની લઈ અકસ્માતે અમેરિકા શોધ્યું હતું. મેં ખરેખર ભારત જોયું અને જેને મળ્યો એમાં ય ઘણાં અમેરિકન હતા. એ રાત્રે મેં પાછા જઈને મારી પત્નીના કાનમાં કહ્યું, ‘હની, આઈ થિંક, વર્લ્ડ ઈઝ ફ્લેટ’ (મને લાગે છે, કે દુનિયા સપાટ છે)."

કેવી રીતે? ફ્રાઇડમેન લખે છે, "ઈન્ફોસિસના સી.ઈ.ઓ. નંદન નીલેકની મને ઈન્ફોસિસના બોર્ડરૂમમાં લઈ ગયા. ત્યાં દીવાલ ઉપર દુનિયાભરનાં પાટનગરનાં ઘડિયાળ હતાં. નીચે આખી દીવાલ ભરાઈ જાય એવડો સ્ક્રીન હતો. નંદને કહ્યું, ‘‘અમે આ વીડિયો સ્ક્રીન મારફતે વિદેશમાં ઈન્ફોસિસની ઓફિસોમાં, અહીં બેંગલોરમાં બેઠાં બેઠાં, મીટિંગ કરીએ છીએ. નંદને કહ્યું, ‘અમે અહીં બેસીએ, કોઈક ન્યૂ યોર્ક, લંડન, બોસ્ટન, સાન ફ્રાન્સીસકોમાં હોય … ઓલ લાઈવ. કામ સિંગાપોરમાં કરવાનું હોય, તો સિંગાપોરનો ઓફિસર પણ લાઈવ હોય. આને ગ્લોબલાઈઝેશન કહેવાય.’’

ટેકનોલોજીએ સીમાઓ તોડીને ગોળ દુનિયાને સપાટ કરી નાખી હતી. નંદને ફ્રાઈડમેનને કહ્યું, ‘‘ટોમ, ધ લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઇઝ બીઈંગ લેવલ્ડ – બિઝનેસનું જે મેદાન ઉબડખાબડ અને અવરોધવાળું હતું, એ સપાટ થઈ રહ્યું છે અને તમે અમેરિકનો હજુ આ વાત સમજ્યા નથી." ફ્રાઈડમેન લખે છે, ‘‘નંદનના શબ્દો મારા મનમાં ગુંજતા હતા. સપાટ મેદાન? અને અચાનક મને થયું માય ગોડ, દુનિયા સપાટ છે. મેં મારી પત્નીને ફોન કરીને કહ્યું, 'હની, હું એક પુસ્તક લખું છું અને એનું નામ છે, ‘ધ વર્લ્ડ ઈઝ ફ્લેટ.’ મેં મારા એડિટરને કહ્યું, મને જલદી રજા આપ. દુનિયા ગોળ છે અને મારે કિતાબ લખવી છે. મેં દસ મહિનામાં ઝનૂનથી આ કિતાબ લખી નાખી.’’

ઈંગ્લિશ લેખક-વિચારક આલ્ડસ હક્સ્લેએ કહ્યું હતું કે, "યાત્રાથી એટલી ખબર પડે કે લોકો બીજા દેશ માટે જે જાણો છો, એ જૂઠ છે." ૧૩મી સદીના વેનિસનો સોદાગર માર્કો પોલો ચીન, પર્સિયા અને ઇન્ડોનેશિયામાં બે દાયકા સુધી ભટકીને વતન પાછો ગયો, અને સમૃદ્ધિની કહાનીઓ સંભળાવી, તો લોકોએ એને ગપગોળા કહીને ખારીજ કરી નાખી. વાર્તા એવી છે કે, માર્કો અને એના બે ભાઈઓએ એમનાં કપડાંનાં સાંધા ખોલીને ધરી દીધા અને એમાંથી હજારો રત્નો જમીન પર વરસાદની જેમ વરસી ગયાં.

માર્કોનાં આ સાહસ દુનિયાથી ગુમનામ રહ્યાં હોત, જો એક અકસ્માત ના ઘટ્યો હોત. ૧૨૯૮માં જીનોઆ દેશ સાથેના નૌસેના જંગમાં માર્કો પોલોને કેદ કરવામાં આવ્યો. નવરા પડેલા માર્કોએ જેલમાં એના સાથી, પ્રેમ-કહાનીઓના લેખક, રષ્ટીકેલો દા પીસાને એની કથા કહી. એમાંથી 'ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો' નામની ખૂબસૂરત આત્મકથા આવી. એમાં ૧૨૭૧થી ૧૨૯૫ સુધી એશિયામાં માર્કોની ઘુમક્કડી અને કુબ્લાઈ ખાન(પાંચમો મોંગોલ રાજા)ના દરબારમાં એના અનુભવોની કહાની હતી. પશ્ચિમના સંસારમાં પૂર્વ વિષે જે ભ્રમો હતા, તે પોલોની આ આત્મકથાથી તૂટ્યા. એમાં ચીનની સમૃદ્ધિના જે ગુણગાન હતાં, તેનાથી જ માર્કોનો સાથી દેશવાસી ક્રિસ્ટોફર કોલંબસને પૂર્વનો નવો, ટૂંકો, ઝડપી રસ્તો શોધવાની ચાનક ચડેલી.

ઇસ્લામિક પંડિતો દાવો કરે છે કે, ૧૪મી સદીનો ઘુમક્કડ ઈબ્ન બત્તુતા આફ્રિકા, એશિયા અને ચીનની આસપાસ પોલો કરતાં ત્રણ ગણો વધારે (૩૦ વર્ષ, ૪૪ દેશો અને ૭૫,૦૦૦ માઈલ) ફર્યો હતો, જેમાંથી એનું સુંદર પુસ્તક 'રિહલા' (પ્રવાસ) આવ્યું હતું, જે ૧૯મી સદી સુધી પશ્ચિમની આંખોમાં આવ્યું ન હતું. બત્તુતાએ ભારતમાં એણે સગી આંખે એક સ્ત્રીને સતી થતી જોઈ હતી. પુસ્તકમાં એ લખે છે, "હું આ હૃદયવિદારક દ્રશ્ય જોઇને બેભાન થઇ ઘોડા પરથી પાડવાનો જ હતો કે મારા દોસ્તોએ મને સાંભળી લીધો અને મારું મોઢું પાણીથી ધોવડાવ્યું. એ હિંદુ સ્ત્રીને મેં સજી-ધજીને ઘોડા પર જતી જોઈ હતી. હિંદુ અને મુસલમાન એની પાછળ ચાલતા હતા. આગળ નોબત વાગતી અને સાથે બ્રાહ્મણ હતો. ઘટના સ્થળ સમ્રાટના રાજ્યની સીમામાં આવતું હોવાથી એમની આજ્ઞા વગર સ્ત્રીને સળગાવાય તેમ ન હતી. રાજાની આજ્ઞા મળી પછી જ એને સળગાવી."

ઇસ્લામિક સંસારમાંથી જ બીજો એક ધુમક્કડ આવ્યો ઈરાની અલ-બીરુની. ૧૦૧૭માં એ દક્ષિણ એશિયા આવ્યો. એમાંથી ભારતીય સંસ્કૃતિ અને હિંદુ પરંપરા પર 'તહકીક મા લી-લ-હિંદ' પુસ્તક આવ્યું. એમાંથી અલ-બીરુનીને ઇન્ડોલોજીના શોધકનું બિરુદ મળ્યું. ૧૧મી સદીના ભારતનો તે વખતનો આ અગત્યનો ગ્રંથ છે.

ખાનાબદોશી માણસનો સ્વભાવ છે. માનવ અને દાનવ સંસ્કૃતિનો મેળ કરાવનારી ભગવાન રામની ઉત્તરથી દક્ષિણની યાત્રાને શાંતિયાત્રા કહે છે. પૂરા દેશમાં પાંડવોની યાત્રાના સ્મારક ઉપલબ્ધ છે. ભારતને તીર્થયાત્રાના એક સૂત્રમાં પરોવનારા શંકરાચાર્ય કદાચિત ઇતિહાસના સૌથી યુવાન યાત્રી હતા. આધુનિક વિશ્વના દમદાર ચિંતક જીદ્દુ કૃષ્ણમૂર્તિ‌ ૬૩ વર્ષ સુધી ફરતા રહ્યા. એ જગતના તમામ દેશોમાં ત્રણ-ચાર મહિ‌ના રોકાતા હતા. વિવેકાનંદની શિકાગો યાત્રા જ એમને સાધુમાંથી સ્વામીના શિખર પર લઇ ગઇ હતી. બેરિસ્ટર ગાંધી ભારત આવ્યા ત્યારે તેમણે ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામાં પૂરા ભારતની યાત્રા કરી હતી. બેરિસ્ટરનું 'ગાંધીપણું’ આ યાત્રામાંથી આવ્યું હતું. કાકાસાહેબ કાલેલકરે એમની આજીવન રખડપટ્ટીમાંથી ગુજરાતી ભાષાને સાત પ્રવાસ ગ્રંથો આપ્યા છે.

૪૦ હાજર વર્ષ અગાઉ પહેલાં હોમો સેપિયન્સે પગ પર ઊભા થઈને આફ્રિકામાંથી માઈગ્રેશન કર્યું, અને સંસારના તમામ ખૂણે છવાઈ ગયો છે. તમે હોમો સેપિયન્સનાં એ પગલાં સુંઘીને પાછી ઊંધી યાત્રા કરી શકો? મેક્સિકન પત્રકાર પોલ સલોપેક ૧૦ વર્ષની આવી યાત્રા પર નીકળ્યો છે. નેશનલ જીઓગ્રાફી ચેનલની ટીમ સાથે પોલ ૨૦૧૩માં ઈથોપિયામાંથી પગે ચાલીને નીકળ્યો છે, અને ૨,૫૫૭ દિવસમાં મધ્ય પૂર્વ, એશિયા, અલાસ્કા, પશ્ચિમ અમેરિકા અને ચીલીના દક્ષિણ છેડા સુધી ૨૦,૦૦૦ માઈલ્સ કવર કરશે. આ એ જ રૂટ છે, જે પૌરાણિક માનવનો હતો. એ કહે છે, "૨૦ વર્ષથી હું એરોપ્લેન, કાર અને બીજાં વાહનો મારફતે પત્રકારત્વ કરતો હતો. એમાં મને લાગ્યું કે, બહુ અગત્યની સ્ટોરીઓ રહી ગઈ હતી, જે ધીમે-ધીમે પગે ચાલીને જ સમજી શકાય તેવી હતી."

પોલ તુર્કીના અનાતોલિયા પ્રદેશમાં હતો, જે ઉત્તરમાં કાળા સમુદ્ર, દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર અને પશ્ચિમમાં એજિન સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાં પોલની હોટેલમાં આગ લાગી. આગના ધુમાડા વચ્ચે એ બહાર સળગતા તાપમાં અફાટ મેદાનમાં ચાલવા લાગી ગયો. ત્યાં એણે અનાતોલિયાના લોકકવિ અસિક વયસેલ સત્રોગ્લુની કવિતા યાદ કરી :

I’m on a long and narrow road,

I walk all day,

I walk all night,

I cannot tell what is my plight,

I walk all day,

I walk all night.

અમૃતલાલ વેગડ પણ એટલે જ ચાલ્યા હતા. પેલા 'છેલ્લા' પ્રવચનમાં એમણે કહ્યું હતું, "પાછલાં 33 વર્ષથી હું નર્મદા-સૌંદર્યની છડી મુબારક લઈને ઘૂમી રહ્યો છું અને ભવિષ્યમાં પણ આ જ કરતો રહીશ. કેલેન્ડરમાં ભલે મરી જાઉં પણ મારાં પરિક્રમા પુસ્તકોમાં જીવતો રહીશ. કમસે કમ થોડાં વર્ષ તો રહીશ જ. અથવા એમ પણ બની શકે છે કે જ્યાં સુધી નર્મદા રહે, ત્યાં સુધી હું પણ રહું ! 84નો છું. મસાણે જવાના દિવસો આવી ગયા. પરંતુ એ નર્મદા કાંઠેનું હોવું જોઈએ. બીજી જગ્યાનું મસાણ મને નહીં ફાવે!"

(પ્રગટ : “નવનીત સમર્પણ”, નવેમ્બર ૨૦18; પૃ. 27-33)

Loading

A Heart to Heart Interview

Raj Thackeray|Opinion - Cartoon|6 January 2019

Loading

લોકશાહીની કાખલી કૂટતા વૈશ્વિક રાજકારણમાંયે સત્તામદાન્ધોની અસહિષ્ણુતા એક ઝૅરીલા હથિયાર રૂપે સૅટ થઇ રહી છે

સુમન શાહ|Opinion - Opinion|5 January 2019

ગાંધી-કથિત 'અહિંસા' શબ્દ સર્વગુણવાચી છે, ભલે નિર્બળતા સૂચવે છે, પણ સર્વથા વિધાયક છે, એથી પ્રગટતી બળવત્તાનો દુનિયામાં જોટો નથી

દરેક ડિસેમ્બરમાં છાપાંના પત્રકારો અને મીડિયા-પીપલ જીવનવ્યવહારનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં શું શું બન્યું તેનાં માંડી-ટીપીને સાર-સરવૈયાં કાઢી તેને સમાચારો રૂપે પ્રગટાવતા હોય છે. એથી ઝળહળતી સમાચાર-જ્યોત નાતાલ અને નૂતન વર્ષની રોશની વચ્ચે વિચારોને ઉત્તેજિત કરતી હોય છે. સારી વાત છે. એથી પ્રજાને જિવાતા જીવનનાં પ્લસ-માઈનસનો ખ્યાલ આવે છે; જરૂરી છે.

પણ વર્ષ ૨૦૧૮-ની કરુણ વીગત એ છે કે એ સમુપકારક સમાચાર-જ્યોતને ઝળહળતી રાખનારા વિશ્વના ૩૪ પત્રકારોને મારી નંખાયા છે – ગયા વર્ષની તુલનામાં ૮૯%નો વધારો ! કેટલીક હત્યાઓ આવી હતી : ફેબ્રુઆરીમાં, સ્લોવાકિયામાં, સંશોધક પત્રકારના ઘરમાં ગનમૅને ઘૂસીને તેની હત્યા કરેલી. ઍપ્રિલમાં, કાબુલમાં, પ્રેસ કૉર્પ્સને ટાર્ગેટ બનાવીને ISIS-ના સ્યુસાઈડ બૉમ્બરોએ ૯ જણાને એક જ હુમલામાં ઉડાવી દીધેલા. બગડેલા મગજના વાચકોથી દરેક છાપાએ ચેતવા જેવો બનાવ જૂનમાં મૅરિલૅન્ડમાં બનેલો. તેના 'કૅપિટલ ગૅઝેટ'-ના ન્યૂઝરૂમમાં કોઈ ખોફનાક વાચક પ્હૉંચી ગયેલો ને એણે સેલ્સ આસિસ્ટન્ટ સહિત ચાર પત્રકારોને ધરાશરણ કરી દીધેલા. ઑક્ટોબરમાં, 'વૉશિન્ગ્ટન પોસ્ટ'-ના સહયોગી સાઉદી-ઍક્ઝાઈલ જમાલ ખશોગીને ઈસ્તંબુલની કૉન્સ્યુલેટમાં સરકારનાં જ માણસોએ હણી નાખેલો. દેહના ટુકડે ટુકડા કરી નાખેલા. એ ટુકડાઓની છેક હવે ભાળ મળવા લાગી છે.

ઉપરાન્ત, વર્ષ ૨૦૧૮-માં વિશ્વના ૨૫૧ પત્રકારોને જૅલમાં ધકેલવામાં આવ્યા છે. ૧૯૯૨-થી ગણતાં, ભારતમાં ૪૭ પત્રકારોની હત્યા થઈ છે. આ વર્ષે, નવીન નિશ્ચલ (બિહાર) અને સુજાત બુખારી (કશ્મીર) મરાયા છે. સત્તામદાન્ધો એક જ વાત કરી રહ્યા છે – સામે પડનારાઓને ખતમ કરો ! અન્યાય અને કુકર્મોથી દૂષિત વાસ્તવિકતાઓને ખુલ્લી પાડનારાઓને જ નેસ્તનાબૂદ કરનારી આ સિતમખોરીનું શું કરીશું?

આમાં, સાહિત્યકારો તો, શું કરી શકે? મારા જેવા 'સાહિત્ય સાહિત્ય'-વાળાનું મન સુથારના મનની જેમ બાવળિયે લાગી જાય છે. મને થાય, પ્રવર્તમાન પરિસ્થિતિમાં બદલાવ લાવે એવી તાકાત મારા શબ્દોમાં છે ખરી? અને જો છે, તો હું એને સાર્થકપણે પ્રયોજતો હોઉં છું ખરો? શબ્દોને મારા સહપાન્થ વાર્તાકારો કવિઓ વિવેચકો કે અધ્યાપકો વિવેકપૂર્વક પ્રયોજે છે ખરા? કદાચ આપણા જ હાથે શબ્દોની પણ હત્યાઓ તો નથી થતી ને …

સિતમખોરી જેવી દર્દનાક ચીજો વિશે લખું ત્યારે મારાથી રમૂજ અને કટાક્ષ બેયમાં ઝબોળેલા શબ્દો રચાઈ જાય છે. જેમ કે, તમારા ધ્યાનમાં આવ્યો હશે, મારો 'સત્તામદાન્ધ' શબ્દ. સત્તાથી એને મદ ચડે, એથી અન્ધાપો આવે, પોતાથી થયેલાં અઘટિત કામો – ભવાડા કે કાણ્ડ – દેખાય નહીં, અને એને ઉઘાડાં પાડનારાઓ એનાથી સહેવાય નહીં. પત્રકારોને જૅલમાં નંખાયા અને હત્યાઓ થઇ એમાં એ અસહિષ્ણુતા સવિશેષે જવાબદાર હતી. લોકશાહીની કાખલી કૂટતા વૈશ્વિક રાજકારણમાંયે સત્તામદાન્ધોની અસહિષ્ણુતા એક ઝૅરીલા હથિયાર રૂપે સૅટ થઇ રહી છે.

ફોનના સ્ક્રીન પર નખ-આંગળાંનાં ચપચપારા કરતાં આત્મરત પ્રેમી જીવો 'મોસ્ટ ટૉલરન્ટ' કહેવાય છે.

સામ્પ્રતની એ સિતમખોરીના વ્યાપક સંદર્ભમાં કેટલાક શબ્દપ્રયોગોની નુક્તેચિની રજૂ કરું છું : સિતમખોરીનું સંગુપ્ત કારણ એ છે કે 'સહિષ્ણુતા' અથવા 'ટૉલરન્સ' શબ્દનો પ્રાણ ખતમ થવા માંડ્યો છે. સામાન્ય જનો પણ હવે સામાવાળાને ટૉલરેટ કરવા તૈયાર નથી. ઈ.ઍમ. ફૉર્સ્ટરે 'ટૉલરન્સ'-ને 'નૅગેટિવ વર્ચ્યુ' કહેલો. એમ કે, બીજાને સહી લેનારો મનુષ્ય નકારાત્મક ભાસે છે પણ એ સ્તો એનો ગુણ છે ! એ રાહે, ગાંધી-કથિત 'અહિંસા' શબ્દ મને સર્વગુણવાચી લાગ્યો છે. ભલે નિર્બળતા સૂચવે છે પણ સર્વથા વિધાયક છે. એથી પ્રગટતી બળવત્તાનો દુનિયામાં જોટો નથી. એમ તો, ફોનના સ્ક્રીન પર નખ-આંગળાંનાં નીરવ ચપચપારા કરનારાં આત્મરત પ્રેમીઓ 'મોસ્ટ ટૉલરન્ટ' કહેવાય છે. બાકી, આજે તો, સામા માણસનું દિલ દુખાય એવું બોલતાં કે કરતાં, કોઇ ખંચકાતું નથી. મનદુ:ખ પછીનાં શક્ય સમાધાન માટે ય લોકો ઉદાસીન થતા ચાલ્યા છે. 'ચાલશે, મારે હમણાં એમની શી જરૂર છે' – પ્રકારની મુડદાલ માનસિકતામાં સબડવાનું ઘણાને ગમવા લાગ્યું છે.

જાણે આપણે ઊંધે-માથે થઇ ગયેલી દુનિયામાં જીવીએ છીએ. બધું અવળું જ થઈ રહ્યું છે. અત્યારલગી નાની છોકરીને 'બેબી' કહેતા'તા. હવે પ્રિયજનો અને પતિ-પત્ની એકમેકને કશી વિચિત્રિત લાગણીથી 'બેબી' કહેવા લાગ્યાં છે. હોય કે ન હોય, 'હાય બેબી' બોલવાથી પળ માટે ય પ્રેમ પ્રગટતો હશે. 'નો બેબી, નૉટ લાઈક ધૅટ' બોલવાથી કોઇપણ જૂઠ પત્નીના ગળે ઊતરી જતું હશે. જો કે આ ઝડપી સમામાં લાગણીશીલ ઉદ્ગારોનું વજૂદ નથી રહ્યું. 'છોડો, એ તો સૅન્ટી થઇ ગયો છે' કહીને, ખાસ તો છોકરીઓ, એવા બાપડાને કાયમ માટે ડાબો કરી દે છે.

અમેરિકામાં, જો તમને વસ્તુઓ કે પરિસ્થિતિઓ અનુકૂળ ન લાગતી હોય, જો એને તમારે ઉડાવી દેવી હોય, તો બોલી દેવાનું -'આબ્રાકાડાબ્રા' ! આ, મને યાદ આવે છે, અમે નાનપણમાં 'અન્તરમન્તરછૂમન્તર' બોલતાં એના જેવું છે. કોઇને તમારો સ્વીકાર જ નથી કરવો, તમારી વાત ગમે તેટલી વાસ્તવિક હોય, પણ જો સાંભળવી જ નથી, તો એ કહી દેશે – આબ્રાકાડાબ્રા ! તમે ભલે તર્કપુર:સરનું કે લાગણીભર્યું બોલતા હોવ, તમે ભલે રૂડી રીતેભાતે સાચા હોવ – આબ્રાકાડાબ્રા !

ગુજરાતી ભાષા-સાહિત્યના વર્તમાનનો ઇતિહાસ ઉકેલીશું તો એના ભવિષ્યનું ચિન્તન સારી પૅરે કરી શકાશે. વર્તમાનમાં કોઇના કે કશ્શાના ય અસ્તિત્વને આસાનીથી નકારી શકાય છે. 'લોકપ્રિય' અને 'વિદ્વદ્ પ્રિય' સંજ્ઞાઓને એકબીજાની દુશ્મન ગણતાં આપણે થાકતા જ નથી. લોકપ્રિય, વિદ્વાન હોઈ શકે અને વિદ્વાન, લોકપ્રિય હોઈ શકે એ ચોખ્ખી હકીકત ગળે ઊતરતી જ નથી. બે ઘાતક રસમો સૅટ થઇ છે : ખૂણે બેસીને કામ કરનારાને સમજવાની તકલીફ લેવી જ નહીં. એવી રીતે વર્તવું કે એ છે જ નહીં ! : આકર્ષક લેખનશૈલીથી વ્યાપક સંક્રમણ સાધનારાને હૉંકારો ભણવો જ નહીં બલકે 'એ તો છાપાળવો છે' કહીને એનો છેદ ઉડાવવો : વાર્તાકારને ઉતારી પાડવા કહી દેવાય છે, ‘પ .. ણ વાર્તા નથી બનતી'. કોઇપણ વિવેચક માટે કહી દેવાય છે, 'બહુ અઘરું લખે છે'. નીવડેલા સાહિત્યકારની વિરુદ્ધ ઍલફૅલ બોલનારો કે અઘટિત ટીકા લખી આપનારો રાતોરાત 'જ્ઞાની' ઠરે છે. જ્ઞાનપીઠ અને કે.કે. બિરલા જેવાં રાષ્ટ્રીય પારિતોષિકોથી વિભૂષિતોનાં ગૌરવ કરવાનો નૂતન તરીકો એ છે કે ઉજવણાં ન કરવાં ચૂપ રહેવું બલકે ખાનગીમાં બબડવું – 'બધું મૅનેજેબલ છે'. હવે, વિવેચકે 'વખાણિયું' લખ્યું હોય તો લેખક ઝટ આભાર માને છે. વિવેચકે 'ટીકાળુ' લખ્યું હોય તો લેખક ખાનગીમાં તેની ફજેતી કરે છે. ચાલાક વિવેચકો સમજી ગયા છે કે જો આમ જ વાહવાહી મળે છે તો શાને લમણાં ઝીંકવાં ! સમીક્ષા એટલે ગુણ અને દોષનું સમ્યક્ ઈક્ષણ. ગુણશોધકને દોષ જડી આવે. પણ શોધે તો …

સાહિત્યકલાની ભાષા જુદી છે પણ ભાષા સામાન્યા પણ છે કેમ કે એ જનસમુદાયની છે. શબ્દમાત્રના આપણે સૌ જવાબદાર સહભાગી છીએ. શબ્દોથી સંસ્કૃતિ રક્ષાય છે, માનવતા ઘડાય છે. બદ ઇરાદાઓથી શબ્દાર્થોની જ્યારે પણ તોડફોડ કરાય છે ત્યારે સિતમખોરોને ફાવટ આવી જાય છે. હત્યાઓ થાય છે. લડાઇઓ અને યુદ્ધો સરજાય છે. સંસ્કૃતિ મરણશરણ થઈ જાય છે.

'વખાણિયું' અને 'ટીકાળુ' લખ્યા પછી મને યાદ આવ્યું કે ગુજરાતી ભાષામાં જો 'લસણિયું' અને 'માયાળુ' શબ્દો છે, તો એ નવ્ય રચનાઓ માટે મેં કશી ભૂલ નથી કરી. તમે બોલી જોજો -'વખાણિયું વિવેચન' – 'ટીકાળુ વિવેચન', સાર્થક લાગશે અને મજા પડશે.

હે શબ્દાખ્ય જ્યોતિ ! નિત પ્રકાશજે અને અમને સૌને અજવાળજે …

= = =

સૌજન્ય : ‘સાહિત્ય-સાહિત્ય’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 05 જાન્યુઆરી 2019

Loading

...102030...2,9222,9232,9242,925...2,9302,9402,950...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved