Opinion Magazine
Number of visits: 9577811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિસાન-મુક્તિ કૂચનું મહત્ત્વનું વૈચારિક પરિબળ એટલે ખેતીની દુર્દશાના અભ્યાસી પત્રકાર પી. સાઇનાથ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|6 December 2018

ખેડૂતો માટે વીસ દિવસનું ખાસ સંસદીય સત્ર, પ્રધાન મંત્રી બીમા ફસલ યોજનાનો પર્દાફાશ અને ‘ઇન્ડિયા ફૉર ફાર્મર્સ’ મંચ જેવી બાબતો સાઇનાથ પાસેથી મળી છે

ગયા અઠવાડિયે દિલ્હીમાં નીકળેલી કિસાન મુક્તિ કૂચ પાછળ વરિષ્ટ પત્રકાર પી. સાઈનાથ એક બહુ મહત્ત્વનું વૈચારિક પરિબળ હતા. કૂચનાં ધ્યેય, ખેતીની કટોકટીની ચર્ચા માટે એકવીસ દિવસના સંસદીય સત્રની માગણી અને શહેરી મધ્યમવર્ગની કિસાનોના પ્રશ્નોમાં સામેલગીરીના મુદ્દામાં સાઇનાથનો સહયોગ મહત્ત્વનો હતો. પ્રધાન મંત્રી બિમા ફસલ યોજનાને તેમણે ‘રાફેલ ડીલ કરતાં ય મોટું કૌભાંડ’ તરીકે રજૂ કરી. સાઇનાથે આ બધી બાબતો વ્યાખ્યાનો, મુલાકાતો, વિડિયોઝ અને ટ્વિટર થકી લોકો સમક્ષ મૂકી. અમદાવાદમાં પણ તેમણે એક વ્યાખ્યાનમાં વિચારો વહેતાં મૂક્યા હતા. એ વ્યાખ્યાન ‘આશા’ સંગઠન અને ગૂજરાત વિદ્યાપીઠે બીજી નવેમ્બરે યોજેલાં ત્રણ દિવસના કિસાન સ્વરાજ સંમેલન દરમિયાન આપ્યું હતું. કિસાન-કૂચમાં અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિનું આયોજન અને દેશભરના ખેડૂતોની એકજૂટ પણ મહત્ત્વનાં હતાં. કૂચમાં સુરતથી એક કિસાન જૂથ જોડાયું હતું, અને અમદાવાદમાં એક સમર્થન રેલી નીકળી હતી.

પી. સાઇનાથ ખેડૂત આત્મહત્યાઓ તેમ જ ગ્રામીણ ભારતની દુર્દશા પર અભ્યાસ અને પ્રભાવથી લખનારા પત્રકાર છે. ‘ભારતમાં ૧૯૯૭થી ૨૦૦૫નાં વર્ષો દરમિયાન દર બત્રીસ મિનિટે એક ખેડૂતે આપઘાત કર્યો છે’ – એમ સાબિત કરતો લેખ સાઈનાથ, પંદરમી નવેમ્બર ૨૦૦૭ના ‘ધ હિન્દુ’ દૈનિકમાં લખી ચૂક્યા છે. આ અખબારનાં માધ્યમથી તેમણે, અનેક રાજ્યોનાં આત્મહત્યાગ્રસ્ત ગામડાંમાં રખડીને, ‘ઍગ્રેરિઅયન ડિસ્ટ્રેસ’ અર્થાત્‌ ખેતીમાં કટોકટી વિશે કરેલાં સંશોધનને સરકારો પડકારી શકી નથી. મનમોહન સિંહની સરકારે પહેલવહેલી વખત ખેડૂતોની દેવામુક્તિ કરી, તેની પાછળ સાઇનાથની પત્રકારિતાની પણ ભૂમિકા હતી. ચેન્નાઈમાં જન્મેલા તેલુગુભાષી પલગુમી સાઇનાથના મૅગસેસે અવૉર્ડનાં સન્માનપત્રમાં નોંધવામાં આવ્યું છે : ‘પત્રકારત્વ દ્વારા ભારતને ગામડાંના ગરીબોનું ભાન કરાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.’ અખબારી સંશોધન લેખોનું તેમનું દળદાર પુસ્તક છે ‘એવરિબડિ લવ્ઝ અ ગુડ ડ્રાઉટ’ (દુષ્કાળ સહુને ગમે, 1996). વક્રોક્તિભર્યાં નામવાળાં આ પુસ્તકનું પેટા મથાળું છે ‘સ્ટોરીઝ ફ્રૉમ ઇન્ડિયાઝ પૂઅરેસ્ટ ડિસ્ટ્રિક્ટસ’ (ભારતના સૌથી ગરીબ જિલ્લાઓના સમાચાર લેખો). ગયાં ત્રણ વર્ષ દરમિયાન સાઇનાથે હાથ પર લીધેલો એક રસપ્રદ પ્રોજેક્ટ એટલે ‘પારી’ – ‘પિપલ્સ આર્કાઇવ્ઝ ફૉર રુરલ ઇન્ડિયા’. ઇન્ટરનેટ પર  સરળતાથી જોઈ શકાતા ‘પારી’માં ગામડાંનાં લોકોની રોજિંદી જિંદગીમાંથી સંગ્રહ કરવા જેવી બાબતોનું દૃશ્ય-શ્રાવ્ય દસ્તાવેજીકરણ છે. [https://ruralindiaonline.org] તેમાં તસ્વીરો, વીડિયો ક્લીપ્સ અને ઑડિયો સાઉન્ડ ટ્રૅક્સ સાથે સેંકડો હૃદયસ્પર્શી માહિતીલેખો મળે છે.

તાજેતરની ખેડૂત કૂચ અને તે પહેલાં નાસિક-મુંબઈની રેલીને પગલે દેશભરમાં નીકળેલી વીસેક કૂચોને સાઇનાથ અગત્યની ઘટના ગણે છે કે કારણ કે એ બતાવે છે કે ‘ખેડૂતો ગયાં વીસ વર્ષમાં  આત્મહત્યા તરફ દોરી જતી હતાશ માનસિકતામાંથી પોતાની માગણીઓ સરકાર સામે મૂકવા તરફ વળ્યા છે’. સાઇનાથે સૂચવેલી એક માગણી તે ખેતીની ચર્ચા માટે સંસદનાં એકવીસ દિવસના ખાસ  સત્રની છે. તેમણે ત્રણ-ત્રણ દિવસ માટે જે એજન્ડા મૂક્યા તેમાં ખેતીના મોટા ભાગના પ્રશ્નોનો સમાવેશ થાય છે. ત્રણ દિવસ સ્વામીનાથન્‌ કમિશનનાં અહેવાલની પૂરેપૂરી ચર્ચા માટે હોય. તેમાં, એકવીસ પક્ષોએ જેને ટેકો આપ્યો છે તે ‘દેવામાંથી મુક્તિ’અને ‘ટેકાના લઘુતમ ભાવના અધિકાર’ના વિધેયકોની ચર્ચા અને મંજૂરી પણ આવી જાય. ધીરાણ કટોકટી  વિશે ત્રણ દિવસ ફાળવવાના થાય અને પછીના ત્રણમાં એને અટકાવવાના ઉપાય ચર્ચી શકાય. ત્રણ દિવસ જળસંકટ માટે આપવા જોઈએ. આ સંકટ પાણીની પાંચ પ્રકારની ટ્રાન્સફર્સમાંથી આવ્યું છે : ગરીબો તરફથી પૈસાદારો તરફની પાણીની ટ્રાન્સફર, ખેતીથી ઉદ્યોગો તરફ, ખોરાકી પાકથી રોકડ પાક તરફ, ગામડાંથી શહેર તરફ અને જીવનજરૂરિયાતથી જીવનશૈલી તરફ. આ પાંચેયમાં જળવંચિતોનો કોઈ અવાજ નથી.

ખાનગીકરણ થકી પાણીની લૂંટ ચાલી રહી છે. પ્લાસ્ટિકની બૉટલમાં વીસ રૂપિયે વેચાતાં પાણીની મૂળ કિંમત ચાર પૈસા હોય છે. મરાઠવાડામાં મહિલાઓને પાણી 45 પૈસે લીટર મળતું હતું, અને દારૂ ગાળનારને ચાર પૈસે. પાણીના અધિકાર માટેનો કાયદો ઘડવો પડશે. ત્રણ દિવસ મહિલા કિસાનોનાં જમીન અધિકાર અને જમીન માલિકી માટે હોવા અનિવાર્ય છે ,કેમ કે ખેતીમાં તેમનો ફાળો 60% છે. એ જ રીતે, જેમને જમીન ફાળવવામાં આવી છે પણ માલિકી મળી નથી તેવા દલિત ખેડૂતો છે, જેમની જમીન સરકાર વીસ વર્ષે એ ઉદ્યોગગૃહ માટે આંચકી લેશે. આદિવાસીઓના ભૂમિ અધિકારોનો અમલ કરાવવો પડશે; ઘણાં આદિવાસી ખેડૂતોને તો પટ્ટાપદ્ધતિની ખબર જ નથી. ત્રણ દિવસ જમીન-સુધારાના પડતર પ્રશ્નો માટે હોઈ શકે. આવતાં વીસ વર્ષોમાં આપણે કયા પ્રકારની ખેતી જોઈએ છે એની ચર્ચા માટે ત્રણ દિવસની જરૂર પડશે. સાઇનાથ પૂછે છે : ‘આપણે કૉર્પોરેટ કંપનીઓની રસાયણોમાં ભીંજાયેલી ખેતી જોઈએ છે કે પછી લોકો દ્વારા ઍગ્રો-ઇકોલૉજિકલ ખેતી?’ સંસદમાં ત્રણ દિવસ ખેતી-સંકટના પીડિતોને એવાં વિદર્ભની વિધવાઓ અને અને અનંતપૂરનાં અનાથોને સંસદનાં સેન્ટ્રલ ફ્લોર પરથી દેશને સંબોધવા દેવાં જોઈએ. સાઇનાથને મતે સંસદનું આવું સત્ર હોઈ જ શકે. તે પૂછે છે : હજારો નાનાં અને મધ્યમ વ્યવસાયોને સતત તોડતા રહેલા જી.એસ.ટી. ખાતર રાષ્ટ્રપતિની હાજરી સહિત મધરાતે સંસદનું ખાસ સત્ર હોય તો ખેડૂતો માટે શા માટે ન હોય ? જી.એસ.ટી. એક અઠવાડિયામાં ચર્ચી શકાયો છે,પણ સ્વામીનાથન્‌ અહેવાલ ચૌદ વર્ષથી ચર્ચામાં આવ્યો નથી. અતિ શ્રીમંતોની બનેલી સંસદ જો ડિજિટાઇઝેશન અને ડિમોનેટાઇઝેશનની ચર્ચા કરી શકતી હોય, તો પહેલાં તેણે દેશના ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવી જ પડે. ખેડૂતોની કોઈ પણ સમસ્યાને સંસદે ધ્યાનથી તપાસી જ નથી.

સાઇનાથે ‘નેશન ફૉર ફાર્મર્સ’ નામનો એક મંચ ઊભો કર્યો છે. તેની પાછળ નાસિક-મુંબઈની ખેડૂત રેલીમાં સામાન્ય મધ્યમવર્ગીય મુંબઈગરાંઓએ પણ જે અનેક રીતે કૂચ કરનાર ખેડૂતોને પાણી, ખોરાક, દવા, પ્રસાધન વગેરેની ઉમળકાભેર સહાય કરી તેની પ્રેરણા છે. દિલ્હીની રેલીમાં પણ ડૉક્ટર, કર્મચારી, વિદ્યાર્થી, વકીલ, કલાકાર, મહિલા, શિક્ષક, સૈનિક, બૅન્કર જેવા અનેક વર્ગના લોકો ખેડૂતોની સાથે રહ્યા. ખેતી સાથે કોઈ પણ સીધી રીતે જોડાયેલ ન હોય, પણ ધાન ખાતા હોય તેવા દરેક  દેશવાસીએ પણ ખેડૂતો સાથે રહેવું જોઈએ.

સાઇનાથને મતે પ્રધાન મંત્રી બીમા ફસલ યોજના બૅન્કો અને ખાનગી વીમા કંપનીઓને હજારો કરોડ રૂપિયાનો ફાયદો કરાવવા માટેની ગોઠવણ છે. એ વાત તેમણે ‘પારી’ના ઇન્ટર્વ્યૂમાં અંગ્રેજીમાં અને ‘ધ વાયર’ માટેના ઇન્ટર્વ્યૂમાં હિન્દીમાં સરળ રીતે સમજાવી છે. વળી હિન્દીમાં તેમણે એ પણ સમજાવ્યું છે કે ટેકાના ભાવની બાબતે ભારતીય જનતા પક્ષની સરકારે ગયાં સાડા ચાર વર્ષમાં કેટલી વાર ફેરવી તોળ્યું છે. ‘ખેડૂતોને લોન માફી એટલે લહાણી’ એવી ટીકાના જવાબમાં તેમણે કહ્યું છે : ‘મહારાષ્ટ્ર સરકારે 82 લાખ ખેડૂતો માટે 32 હજાર કરોડ રૂપિયાની લોન માફી આપી, અને કેન્દ્ર સરકારે વિજય માલ્યા-મેહુલ ચોકસી- નીરવ મોદીને 32 લાખ 30 હજાર કરોડ માફ કર્યા. વળી 2006થી 20015 દરમિયાન 42.3 ટ્રિલિયન (ખર્વ) રૂપિયા ડાયરેક્ટ કૉર્પોરેટ ઇન્કમટૅક્સ, એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી માફ કરી છે એનું શું ?’ સાઇનાથ કહે છે : ‘ગયાં વીસ વર્ષમાં દરરોજ વીસ હજાર ખેડૂતોએ ખેતી છોડી છે, 3.10 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને સરકારે ખેડૂતોની અત્મહત્યાના ગયાં બે વર્ષના આંકડા બહાર પડવા દીધા નથી.’   

*******

6 ડિસેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 07 ડિસેમ્બર 2018   

Loading

ડિમેન્શિયા વિષે જાગૃત બનીએ

કૃષ્ણકાંત બૂચ અને આશા બૂચ|Opinion - Opinion|4 December 2018

છેલ્લાં થોડાં વર્ષોથી માનસિક રોગ વિષે જાણકારી વધુ ઉપલબ્ધ થતી જાય છે, અને લોકો તે વિષે જાગૃત પણ થતાં જાય છે. તેમાંની એક બીમારી છે ડિમેન્શિયા. એ શબ્દ સાંભળતાં તમને કયો વિચાર આવે, તેમ પૂછો તો સહુ અલગ અલગ જવાબ આપશે; કોઈ કહેશે વિસ્મૃતિ, તો કોઈને વૃદ્ધાવસ્થા યાદ આવે, કોઈ તેને આલ્ઝાઈમર સાથે પણ સરખાવે. આ પ્રતિભાવો સ્વાભાવિક છે.

દર વર્ષે 21મી સપ્ટેમ્બરનો દિવસ આલ્ઝાઈમર જાગૃતિ માટે ફાળવવામાં આવ્યો છે. આલ્ઝાઈમર ડિમેન્શિયા થવા માટેનું ઘણામાંનું એક કારણ પણ છે. લગભગ સોએક વર્ષથી આલ્ઝાઈમર રોગનાં કારણો માટે સંશોધનો થતાં રહ્યાં છે, પરંતુ તેનું કોઈ એક ચોક્કસ કારણ હજુ સુધી હાથ નથી લાગ્યું. યુનાઇટેડ કિંગ્ડમમાં આશરે 8,50,000 લોકોને ડિમેનશિયા છે, અને દુનિયામાં લગભગ 40 કરોડથી વધુ લોકોને આ રોગનો ભોગ બનવું પડ્યું છે. એટલે કે દુનિયામાં ઘણાં લોકોને આ બીમારીથી મુક્ત કરવા, એ મોટો પડકાર છે.  

કોઈ પૂછે કે ડિમેન્શિયા એટલે શું?

તેની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે કેમ કે એ કોઈ એક જ પરિસ્થિતિ નથી, એ એક કરતાં વધુ લક્ષણો અને ચિન્હોનો સમૂહ છે. જેમ કે યાદશક્તિ ખોઈ બેસવી, સમસ્યા ઉકેલતી વખતે કે ભાષાનો ઉપયોગ કરતાં મુશ્કેલી અનુભવવી, અને મૂડ, આસપાસનાં વાતાવરણને સમજવાની દ્રષ્ટિ અને વર્તનમાં ફેરફાર થવો. શરૂઆતમાં આ ફેરફાર સામાન્ય લાગે તેવા હોઈ શકે, પણ રોજિંદા જીવનને બહુ ખરાબ અસર કરી શકે. મગજના સામાન્ય કોષોમાં અસાધારણ એવા એમિલોઈડ અને ટાઉ નામના પ્રોટિન જમા થાય, જેથી મગજના કોષો એકબીજા સાથે સંદેશની આપ લે ન કરી શકે અને તેમાં વિકૃતિ આવે.

ડિમેન્શિયાના મુખ્ય ચાર પ્રકારો છે:

આલ્ઝાઈમર, વાસ્ક્યુલર, લુઇ બોડી અને ફ્રન્ટોટેમ્પોરલ. ડિમેન્શિયા થયેલ વ્યક્તિઓની કુલ સંખ્યામાંથી 60-70%ને આલ્ઝાઈમર કારણભૂત હોય છે, 20%ને વાસ્ક્યુલર ડિઝિઝ જવાબદાર હોય છે, 5-10%માં લુઇબોડી અસરકર્તા હોય છે, તો 10-15%ને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા લાગુ પડેલો હોય છે.

આલ્ઝાઈમરમાં મગજમાં પ્રોટિનના ફેરફારને કારણે મગજના જ્ઞાનતંતુઓ સંદેશ ન આપી શકે. સ્ટ્રોક થયા બાદ, લોહીનું પરિભ્રમણ ઓછું થાય, જેથી પ્રાણવાયુ ઓછો મળવાથી વાસ્ક્યુલર ડિમેન્શિયા થાય. લુઈબોડીમાં ચેતા કોષોમાં નાના ગઠ્ઠા જમા થતા હોય છે, જે કેમિકેલ સંદેશવાહકોનું પ્રમાણ ઘટાડે છે, જેમ કે પાર્કિન્સન્સમાં લુઈબોડી જમા થતા હોય છે. ફ્રન્ટોટેમ્પોરલ પ્રકારમાં વર્તન, ભાવાત્મકતા અને ભાષા કૌશલ્ય પર અસર થતી જોવામાં આવે છે.

ડિમેન્શિયાનો રોગ કોને લાગુ પડી શકે?

આમ તો મોટી ઉંમરની વ્યક્તિને ડિમેન્શિયા થવાની શક્યતા વધુ રહે, પરંતુ 65 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને પણ આલ્ઝાઇમર અને ફ્રન્ટોટેમ્પોરલ ડિઝીઝને કારણે ડિમેન્શિયા થઇ શકે. યુનાઇટેડ કિંગ્ડમમાં એ સંખ્યા 42,000ની છે. ભારતમાં પણ આ બીમારીનો આંક ઊંચો ચડતો જાય છે. ખરા અર્થમાં આ એક વૈશ્વિક સમસ્યા બનતી ચાલી છે. મોટી ઉંમરની વ્યક્તિને થાય તેના કરતાં નાની ઉંમરના લોકોને થતા રોગને કારણે તેની કૌટુંબિક, સામાજિક અને આર્થિક અસરો તેમના કુટુંબ અને સમાજ પર ઘેરી થતી હોય છે. ઘણી વખત નાનાં બાળકોને તેમનાં માતા કે પિતાને અથવા વૃદ્ધ માતા-પિતાને પોતાનાં બાળકોની સંભાળ રાખવાની જવાબદારી આવી પડતી હોય છે. વળી આ બાબત સાથે સંકળાયેલ કેટલાક ખ્યાલો પણ દરદી અને તેના સહાયકો માટે મુશ્કેલી ઊભી કરતાં હોય છે.

ડિમેન્શિયાની એક વ્યાખ્યા કઇંક આવી છે:

“ડિમેન્શિયા એ એક એવી બીમારી છે જે એક કરતાં વધુ રોગોને કારણે થતી હોય છે. તેમાં પ્રથમ માનસિક અને છેવટ શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે અને છેવટે વ્યક્તિ એ શક્તિઓ તદ્દન ગુમાવી બેસે છે જે મગજના કોષોના સતત અને રોકી ન શકાય તેવા નાશને પરિણામે બનતું હોય છે.”

સ્મૃિતભ્રંશ એટલે વારંવાર કોઈ વાત ભૂલી જવી એમ આપણે માનીએ છીએ. તો શું સ્મૃિતભ્રંશ એટલે જ ડિમેન્શિયા? કેટલીક વાતો ક્યારેક ભુલાઈ જાય તે સ્થિતિ છે જે વધતી ઉંમરને કારણે બની શકે. જ્યારે તાજેતરમાં બનેલ ઘટના કે વાત વારંવાર ભૂલી જઈએ એ ડિમેન્શિયાનું એક લક્ષણ છે. એવાં બીજાં અનેક લક્ષણો છે. રોજબરોજનાં કાર્યો જેવાં કે જાતે તૈયાર થવું, ચા બનાવવી કે રોજિંદા કાર્યો કરવામાં ભૂલ થાય. ઘણી વખત વ્યક્તિ ખોટા ક્રમમાં એ કામ કરે જેમ કે નાહ્યાં પહેલાં દિવસનાં કપડાં પહેરી લે અથવા લીધેલ કામ પૂરું ન કરે, જેમ કે શાક સમારીને વઘારતાં ભૂલી જાય. એ જ રીતે જે કહેવું હોય તે માટેના યોગ્ય શબ્દો ભુલાઈ જાય અથવા કોઈ કઇં કહે તે બરાબર સમજી ન શકે; વળી કેટલાકને સમય અને સ્થળનો ખ્યાલ ન રહે, જેમ કે રાત્રે ત્રણ વાગે નાહવાં જતાં રહે અથવા તૈયાર થયાં પછી બહાર જવાને બદલે પથારીમાં સૂઈ જાય. મોટી મુશ્કેલી ત્યારે જણાય જ્યારે નિર્ણય શક્તિ નબળી થવા લાગે, જેમ કે શિયાળામાં ઉનાળાના કપડાં પહેરી બહાર જવાં લાગે અને જો તેમ કરતાં કોઈ રોકે તો નારાજ થાય. બીમારી આગળ વધે ત્યારે ટ્રાફિકના જોખમનો ખ્યાલ ન રહે એવું પણ બને. બીજું ઉદાહરણ, ન જોઈતી વસ્તુઓની વધુ પડતી ખરીદી કરે અને બીજાંને દાન આપી દે કે બેંકમાં પૈસા ન હોય તો પણ ચેક લખી આપે અથવા બે વખત ચુકવણું કરી બેસે.

આ બીમારીના ભોગ બનેલને એવું પણ બનવા લાગે કે પોતાની વસ્તુઓ ક્યાં મૂકી છે તે ભુલાઈ જાય, જેમ કે ચશ્માં, દવા, બેટરી વગેરે અને તેમ થવાથી નારાજ થઇ જાય, વસ્તુઓ ગમે ત્યાં મુકાઈ જાય અને પરિણામે મૂંઝવણ થાય. અધૂરામાં પૂરું બીજા પર શક કરવા લાગે અને પોતાની પાસે જે વસ્તુ ન હોય તે પણ શોધવા લાગે. એવું પણ જોવામાં આવે કે એ વ્યક્તિનાં મૂડ અને વર્તનમાં બદલાવ આવે. કોઈ વ્યક્તિ કે વસ્તુ ઓળખવામાં મુશ્કેલી પડવાં લાગે. છેવટ દરદીની નોકરી અને સામાજિક સંબંધો પણ  છૂટી જાય તેવું બને.  આવાં લોકો ધીમે ધીમે વધુને વધુ એકલાં રહેવા લાગે, સૂતાં રહે અને કશામાં રસ ન લે. ગુસ્સો, ઉદાસી અને ભય તેમને ઘેરી વળે.

ડિમેન્શિયા થવાં માટે જોખમી પરિબળોમાંનું સહુથી મોટું પરિબળ છે, વૃદ્ધાવસ્થા. આ ઉપરાંત જેને બદલી શકાય કે કાબૂમાં લાવી શકાય તેવાં બીજાં પરિબળો છે; જેવાં કે ધુમ્રપાન, પ્રમાણ કરતાં વધુ આલ્કોહોલનું સેવન, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીપણું, હતાશા, બહેરાશ, સમાજ સાથે સંબંધ છૂટી જવો અને શિક્ષણનો નીચો આંક. 35થી 65 વર્ષની ઉંમરમાં જીવન પદ્ધતિ પ્રતિકૂળ હોવાને કારણે આ બીમારી થતી હોય છે. જોવાનું એ છે કે ડિમેન્શિયાનાં નિદાન માટે લોહીની તપાસ કે અન્ય તપાસ નથી હોતી. સામાન્ય વર્તણુકમાં જણાતાં ચિન્હો જ ડિમેન્શિયાની તકલીફ શરૂ થઇ હોવાનું સૂચવે છે.

તો શું ડિમેન્શિયા થતું અટકાવી શકાય?

ઉપર જે પરિબળો જોયાં તેમાંના 35% વિષે આપણે કઇંક કરી શકીએ તેમ છીએ. શરીર અને મગજને વૃદ્ધવસ્થાની અસર ઓછી થાય કે મોડી થાય તે માટે સક્રિય બનવું જરૂરી છે, કેમ કે હવે સામાન્ય આયુષ્ય મર્યાદા વધી છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે આ બાબતમાં પ્રયત્નો કરી શકાય. દાખલા તરીકે ધુમ્રપાન અને આલ્કોહોલ જેવાં માદક દ્રવ્યોનાં વ્યસનથી મુક્ત થવું, શારીરિક પ્રવૃત્તિઓ અને કસરત તથા યોગાસન કરતાં રહેવું, જેથી મગજ તેનાં કાર્યો સારી રીતે કરી શકે; તથા સમતોલ આહાર લેવો જેથી ડાયાબિટીસ, મેદસ્વીપણું અને બ્લડ પ્રેશરને દૂર રાખી શકાય. બેઠાડું જીવનને બદલે પ્રવૃત્તિમય રહેવાથી રોજિંદાં કાર્યો કરવાની શક્તિ જળવાઈ રહે, હતાશાનો ભોગ ન બની જવાય અને બીજાં સાથે સંપર્કમાં રહેવાથી પ્રસન્નતા જળવાઈ રહે જે આવા શારીરિક અને માનસિક રોગને નિવારવા ઘણું ઉપયોગી થાય. આપણાં જેવાં લોકો પોતાના જીવનના અનુભવો સહેલાઈથી વ્યક્ત કરે છે, કુટુંબ અને સમાજમાં હળતાં મળતાં રહે છે અને ઊંઘ કે ભૂખના દરદોથી ઓછાં પીડાય છે તે ચાલુ રાખવું જોઈએ. પરંતુ શરીરને સક્રિય રાખવું, કોઈ જાતનાં દબાણ અને ચિંતાથી દૂર રહેવું, નવું નવું શીખવાની અને બનાવવાની ટેવ પાડવી અને મગજને સતેજ રાખે તેવી રમતો રમવી. આ બધું જ કરવાથી મગજના તંતુઓનાં જોડાણ સારાં રહે અને તેનાથી cognitive કાર્યો સારી રીતે થતાં રહે છે. આમ તો એક સૂત્ર યાદ રાખવા જેવું છે “જે તમારાં હૃદય માટે સારું છે તે તમારા મગજ માટે પણ સારું છે.”

એટલું ચોક્કસ છે કે આવાં જોખમો ઊભાં કરતાં પરિબળો વિષે પગલાં લેવામાં ઉંમરનો બાધ નથી અને તેનો ફાયદો થવા માટે કયારે ય મોડું નથી થતું હોતું. તમને અનુકૂળ હોય તેવા ફેરફારો કરવા ફાયદાકારક હોય છે. પરિવારનાં સભ્યોના સાથ સહકારથી જરૂરી ફેરફારોનો અમલ કરી શકાય.

હવે સવાલ એ પણ થાય કે ડિમેંશિયાના નિદાન પછી સારી રીતે જીવન જીવી શકાય?

જરૂર, સારી રીતે જીવન જીવી શકાય. ડોક્ટરનો સંપર્ક જરૂરી છે જેથી તેમની સાથે ચર્ચા કરવાથી જરૂરી મદદ મળતી હોય છે. સામાન્ય સ્વાસ્થ્ય સારું રાખવું પણ મદદરૂપ થઇ પડે જેમ કે નિયમિત રીતે આંખ અને કાનની તપાસ કરાવવી અને દર વર્ષે ફ્લુનું ઈન્જેકશન લેવું. યાદશક્તિ નબળી પડી હોય તો ચાવી અને ચશ્માં એક જગ્યાએ દેખાય તેમ રાખી શકાય કે દવાનું વિકલી પેક વગેરે થઇ જ શકે. મનને સ્વસ્થ રાખવા જેનો આનંદ માણી શકતાં હોઈએ તેવી પ્રવૃત્તિ કરી શકીએ તે પણ ચાલુ રાખી શકાય. હતાશા થાય તો ટોકિંગ થેરપી જરૂર મેળવી શકાય. રોજિંદાં કાર્યો જો ન થતાં હોય, તો ઓક્યુપેશનલ થેરપિસ્ટનો અભિપ્રાય લેવો જરૂરી છે. ઘરને સુરક્ષિત બનાવવું જરૂરી છે જેમ કે સ્મોક એલાર્મ અને કાર્બન મોનોક્સાઈડ ડિટેક્ટર હોવાં સલામતી માટે જરૂરી છે. ઘરમાં વ્યક્તિ સલામત રહીને સહેલાઈથી હરીફરી શકે તેવી વ્યવસ્થા કરવાથી જોખમ ટાળી શકાય.

ડિમેન્શિયા વિશેના અભ્યાસો પરથી એવું પુરવાર થયું છે કે નાનાં લાગતાં એવાં સાત પગલાં લેવાથી એ બીમારીના ભોગ બનેલને ઘણો ફાયદો થતો હોય છે. તેમની સાથે વાતો કરવી, તેમની વાતો ધીરજથી સાંભળવી, તેમને આપણા વાર્તાલાપોમાં સામેલ કરવાં, બને તેટલી વધુ વાતચીત અને પ્રવૃત્તિઓમાં તેમને સાથે લેવાં, કોઈ મદદની જરૂર છે કે નહીં તે પૂછવું, કઈં કામ કરતાં વાર લાગે તો ધીરજ ધરવી, તેમને થયેલ ડિમેન્શિયા વિષે પ્રશ્નો પૂછવા અને તેમની સંભાળ રાખતાં સ્વજનની પણ દરકાર કરવાથી દરદી અને તેમનાં સ્વજનને ખૂબ જ  રાહત મળતી હોય છે.

અત્યાર સુધી આપણે જે વાતો કરી તેના પરથી એટલું સમજાયું હશે કે

ડિમેન્શિયા થવું એ વૃદ્ધાવસ્થાનું કુદરતી કારણ નથી.

ડિમેન્શિયા મગજના રોગને પરિણામે આવતી બીમારી છે.

ડિમેન્શિયાનો એક સામાન્ય પ્રકાર તે આલ્ઝાઈમર રોગ છે.

ડિમેન્શિયાની સ્થિતિ બદતર થતી જાય અને તેનાં ચિન્હો વધુને વધુ ગંભીર થતાં જાય.

આલ્ઝાઈમરના રોગમાં સામાન્ય રીતે વ્યક્તિની ટૂંકા ગાળાની સ્મૃતિ પર અસર થાય છે

ડિમેન્શિયા એ માત્ર સ્મૃતિભ્રંશ જ નથી.

ડિમેન્શિયાને કારણે માણસનો દ્રષ્ટિકોણ પણ બદલાતો હોય છે.

ડિમેન્શિયાનો ભોગ બનેલ વ્યક્તિ બીજાં સાથે સારી રીતે વાતચીત પણ કરી શકે તેવું બને.

દર ચૌદમાંથી એક વ્યક્તિ ડિમેન્શિયાનો ભોગ બનેલ હોય છે, તેવું મનાય છે.

ડિમેન્શિયાની પાછળ એક આદરણીય વ્યક્તિ પણ હોય છે.

‘ડિમેન્શિયા મિત્ર’ બનવું એટલે પોતાની સમજણ અને જાણકારીને અમલમાં મુકવી.

આ બીમારી વિષે વધુ જાણકારી મેળવી પરિવાર અને સમાજનાં લોકોને મદદરૂપ થઇ શકાય અને બ્રિટનમાં વસતાં પૂરેપૂરા ગુજરાતી સમાજને ‘ડિમેન્શિયા ફ્રૅન્ડલી બનાવી શકાય.

[માન્ધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિેયેશન, વેમ્બલી સંચાલિત ‘ડે સેન્ટર’માંની રજૂઆત; 28 નવેમબર 2018]

e.mail : 71abuch@gmail.com

Loading

લહેજતની લહાણ

દીપક બારડોલીકર|Poetry|4 December 2018

હું છું શાકાહારી
મારી દુનિયા લીલીછમ !

ને નસ-નસમાં
છે ધરતીનાં
રસકસ – દમખમ !

*

તારી વાતો છે રસબસ
મીઠ્ઠા તારા બોલ !

જાણે લહેજતદાર ચટકતી
તમતમતી વાલો ળ !

*

ખાઓ તો ખરા
તાજા રતાળુના
મસાલેદાર શાકને.
ભૂલી જશો,
ચીકનને, સીકકબાબને !

*

અમસ્તા
ખાઓ નહીં ભાવ,
આવો, બેસો આ પાટલે
તૈયાર છે તુવેરપુલાવ !
થોડુંક ચાખશો,
તો સો વાર માંગશે !

Loading

...102030...2,9192,9202,9212,922...2,9302,9402,950...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved