Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી સંવેદનાઓને ભયંકર લૂણો લાગ્યો છે !

રમેશ સવાણી|Opinion - Opinion|13 January 2025

પ્રસિદ્ધ વાર્તાકાર / નવલકથાકાર / નિબંધકાર હિમાંશી શેલતને 12 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 5થી 7 વચ્ચે, જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે સાંભળ્યા અને થયું કે હાશ, કોઈક તો છે સામાજિક નિસ્બતને પ્રાધાન્ય આપનારું ! હિમાંશી શેલત સાથેના સંવાદમાં પ્રશ્નો પૂછનાર હતા રામ મોરી. 

રામ મોરી અને હિમાંશીબહેન શેલત

હિમાંશી શેલતે કહ્યું : “બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે મને લગાવ છે. આત્મિયતા છે. મેં વર્ષોથી જાતને વચન આપેલ કે મારે ઘેર જે કોઈ પ્રાણી પોતાની મેળે આવશે તેને જાકારો નહીં આપું. એટલે આવતાં જ ગયાં. ખૂબ બધાં કૂતરાઓ, ખૂબ બધી બિલાડીઓ. ધીરે ધીરે સખ્ય ભાવ કેળવાયો. આટલો બધો સંકોચ વગરનો, ગણતરી વગરનો, કેવું દેખાશે તેની ચિંતા વગરનો પ્રેમ જો કોઈની પાસેથી મળે તો તે પ્રાણીઓ પાસેથી જ મળે, માણસ પાસેથી ક્યારે ય નહીં…”

“પહેલીથી મારી પ્રકૃતિમાં છે કે મને લાગે કે આમાં પડવા જેવું નથી, કે આ મને સ્વીકાર્ય નથી, ત્યારે ના કહેતી વખતે બહુ વિચાર ન કરવો, કે ગણતરી ન કરવી, આમ કરવાથી હું અપ્રિય થઈશ કે કોઈની ગુડ બૂકમાં નહીં રહું, અથવા આમ કરવાથી કોઈ વસ્તુ ગુમાવવી પડશે. નામ કે કીર્તિ નથી જોઈતી. મારામાં સમાધાનની-બાંધછોડની વૃત્તિ ન આવી. કંઈ નથી જોઈતું ! આ કંઈ નથી જોઈતુંમાંથી ના મજબૂત થઈ. તેના કારણે મેં કશું ય ગુમાવ્યું નથી પણ ઘણાં સાથે બગડ્યું છે. મેં સમય મુજબ ઘણું છોડ્યું છે. નોકરી છોડી. ટ્રસ્ટ છોડ્યું, સુરત છોડ્યું. મેં કોઈ પરાક્રમ કર્યું છે એવું પણ નથી. સાદું જીવન જીવવા માટે પૂરતું છે. એક છાપરું જોઈએ. મેં સરસ પગારની નોકરી છોડી તે મારા જીવનનો સારામાં સારો નિર્ણય હતો, કેમ કે મારાં ઉત્તમ વર્ષો મને મનગમતાં કામને આપ્યાં, પૂરો સમય આપ્યો. આપણી પાસે બધું હોય છે, સમય જ નથી હોતો. જેને જરૂર છે તેને સમય આપવો બહુ મહત્ત્વની વાત છે.”

“વાર્તાનું પહેલેથી ખેંચાણ હતું. હું કથા સાહિત્ય જ વાંચતી. ઉત્તમ વાંચું. 1987માં મારો પહેલો વાર્તાસંગ્રહ પ્કશિત થયો. એના ત્રણેક વર્ષ પહેલાં મેં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હશે. જેમ જેમ જીવનની નજીક આવતી ગઈ તેમ તેમ વાર્તાઓ લખાતી ગઈ. મને રસ માણસોમાં છે. પહેલાં મને પાત્ર મળે. પછી વાર્તા આવે. ઝૂંપડપટ્ટીઓમાં જવા લાગી, રેડ લાઈટ એરિયામાં જવા લાગી, રેલવે પ્લેટફોર્મ પર જવાનું શરૂ કર્યું, એટલે એટલાં બધાં માણસો મળ્યા, એટલાં બધાં પ્રશ્નો, એટલી બધી પીડા; આ બધું પ્રત્યક્ષ થયું. ત્યારે મારી કલમ વેગમાં ચાલવા લાગી … મારી સ્પષ્ટ સમજ હતી કે વાર્તા ખોવાઈ જવી ન જોઈએ. સીધી ભાવકના હ્રદયમાં પહોંચવી જ જોઈએ. મેં જ્યારે લખવાનું શરૂ કર્યુ ત્યારે એવો ઝોક હતો કે વાર્તા જેટલી ન સમજાય એટલી વાર્તા ઉત્તમ ! લખ્યું અને સમજાઈ ગયું તેને વાર્તા થોડી કહેવાય? ન સમજાય તેવી વાર્તા સમજાવવા વિવેચકો કલમ ઉપાડે તે તો અઘરું જ ! વાર્તા તો આવી ન જ હોવી જોઈએ. વાર્તામાં શું ન હોવું જોઈએ એની ખબર પડી. શું હોવું જોઈએ એની પછી ખબર પડી. ભાષાની ચબરાકી ઓછામાં ઓછી હોવી જોઇએ. સીધી વાત વધારેને વધારે હોવી જોઈએ. તમારે માણસના હ્રદય સુધી જ પહોંચવાનું છે. સંવેદનો પોતીકા બનતા ગયાં. જે લોકો બીજાનું જીવન જીવી શકે છે તે નસીબદાર છે. માત્ર પોતાનું જીવન જીવતાં નથી. આપણે કેટલાં બધાંનું જીવન જીવી શકીએ છીએ. મર્યાદિત જીવનમાં, એક સાથે કેટલાં બધાં જીવન જીવી શકો છો, કોઈના જીવનમાં ઊંડા ઊતરી શકો છો, એ કેટલાં ભાગ્યની વાત છે. મેં લોકોની આંખો વાંચવાની સાધના કરી. એ બોલતો નથી પણ આંખોમાં પીડા છે. એ માણસની હોય કે પ્રાણીની હોય કે બાળકની હોય. એ પીડા પામવાનું કામ અને પછી એને વ્યક્ત કરવાનું કામ, કરવા જેવું છે એવું લાગ્યું અને લખાયું.”

“મને ઘણાં બધાં વાર્તાકારોમાં રસ પડ્યો. મારાં સમકાલીન મોહન પરમાર, કિરીટ દૂધાત, બીપીન પટેલની વાર્તાઓમાં રસ પડ્યો જ. ધીરુબહેન પટેલ, સરોજ પાઠક, જયંત ખત્રી આ બધાંની વાર્તાઓમાં રસ પડ્યો. સૌથી વધારે પ્રભાવ રહ્યો તે કેથરિન મેન્સફિલ્ડનો, જે માત્ર 34 વર્ષ જીવ્યાં અને 75 જેટલી સરસ વાર્તાઓ આપી. મરાઠીમાં જયવંત દળવીથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. મહાશ્વેતા દેવીથી પણ પ્રભાવિત હતી. હિન્દીમાં ફણિશ્વરનાથ રેણુ … આપણા જે ઉત્તમ વાર્તાકારો છે તેમનું કશુંકને કશુંક મને સ્પર્શતું રહ્યું. કોઈ વાતાવરણ કેવું સરસ ઊભું કરે છે, કોઈકની ભાષા કેવી સરસ છે, કોઈક આરંભ કેવો સરસ કરે છે, કોઈકનો અંત કેવો સરસ આવે છે, કોઈએ વિષય કેવો સરસ પસંદ કર્યો છે. જુદા જુદા વાર્તાકારો જ્યાં તેઓ ઉત્તમ વ્યક્ત કરી શક્યા હોય તે મને સ્પર્શે છે.”

“આપણી સંવેદનાઓને કેવો ભયંકર લૂણો લાગ્યો છે. આપણે ભયંકરમાં ભયંકર ઘટનાઓને સહજ માની બેસી રહીએ છીએ ! જાહેર રસ્તામાં કોઈ છોકરીનાં ગળા પર છરી ફેરવી દે કે છોકરીનાં મોં પર એસિડ ફેંકે ત્યારે એનો વીડિયો ઉતરે પણ દોડીને એવી ઘટના અટકાવે તેવું ભાગ્યે જ બને છે. આ હિંસાચાર / મોબ લિંચિંગ સામે આપણે ઉગ્ર પ્રતિભાવ આપ્યો જ નથી. કારણ કે આપણે કલ્પનાથી જે અનુભવી શકાય તે અનુભવવાની આપણામાં ખોટ છે. આપણે એ અનુભવી શકતા જ નથી. કથા સાહિત્ય પાસે એટલે જવાનું છે કે કાલ્પનિક અનુભવો તમને કેટલું બધું આપી શકે છે. આપણે એ ચૂકી ગયા છીએ. આપણે ભયંકર હિંસાચારમાં ખદબદી રહ્યા છીએ. મારી પેઢીના લોકોને લાગશે કે હવે જીવવા જેવું રહ્યું નથી. હવે ટકવું હશે તો શું જોઈને ટકીશું? કોની સામે નજર નાખીશું. એકલા પડ્યાનો અનુભવ થાય છે. એના વિશે વિચાર કરવાની દાનત પણ ઓછી થતી જાય છે. બસ આનંદ કરો, ઉત્સવ કરો, મજા કરો. આ કરો, તે કરો. દોડો, દોડો. દોડો ! બીજું કંઈ નહીં. જરા શાંતિથી વિચારીને ઊંડા ઊતરીને, અંદર જોઈને વિચાર કરીએ તો આપણો સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે ! શું આને વિકાસ કહી શકીએ?”

— 2 —

આપણા જ લોહીમાં આપણે તરબોળ ઊભા છીએ અત્યારે !

‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ / ‘એ લોકો’ / ‘અંતરાલ’ / ‘ખાંડણિયામાં માથું’ / ‘ઘટના પછી’ વગેરે વાર્તા સંગ્રહો આપનાર હિમાંશી શેલત કહે છે : “રેલવે પ્લેટફોર્મનાં બાળકોની અને રેડ લાઇટ એરિયાની બહેનોની પીડાનાં કારણે મારું ભાવવિશ્વ બદલાયું. જાતમાંથી નીકળી જવાની વાત છે. આવાં કામમાં પડીએ એટલે પહેલું કામ એ થાય છે કે આપણે પોતાનામાંથી બહાર નીકળી જઈએ છીએ. આપણી નાનીનાની પળોજણોને પડકારે છે આ લોકો. બાળકો પડકારે, બહેનો પડકારે છે. તમે ક્યાં જીવન જોયું છે? મુસાફરી દરમિયાન મને થતું કે આ બાળકો જે પોલિશ કરે છે, વસ્તુઓ કોઈ વેચે છે, તેની સાથે કામ ન થાય? મેં રેલવે પ્લેટફોર્મ પર કામ શરૂ કર્યું. છોકરાં બહુ મનમોજી. શાળાએ જતાં બહુ રડે. કહે કે ‘સાલા હમે નહીં બનના કુછ !’ આ આઠ વરસના છોકરાએ ખુમારીથી કહેલું વાક્ય મને વીંધી ગયું. વાર્તાથી શરૂઆત કરી, પછી નાસ્તો. 4-5થી શરૂ કરીને 40-50 છોકરાઓ થયાં. તે વાંચતાં લખતાં થયાં.

રેડ લાઇટ એરિયાનો અનુભવ ખિન્ન કરનારો હતો. માણસજાતમાંથી વિશ્વાસ હચમચી ગયો. સંબંધોનું આટલું બધું પોલું હૂંફ આ પહેલા મેં ક્યારે ય જોયું ન હતું. એ લોકો કોઈ પણ પ્રકારના આધાર વગર, પોતાની પરિસ્થિતિને કેટલી હિમ્મતથી સ્વીકારે છે, એ પણ મેં પહેલાં ક્યારે ય જોયું ન હતું. મેં નાનીનાની બાબતમાં ફરિયાદ કરતી, રડતી, કકળતી ઘરને સ્મશાન બનાવી દેતી સ્ત્રીઓ જોઈ છે મારા જીવનમાં, પણ આવી પરિસ્થિતિમાં આટલી બધી હિંમતથી જીવવું બહુ અઘરું કામ છે. જીવનનાં બધાં બહુ વરવાં રૂપો અને બહુ તાકાત માંગી લે એવા પ્રતિભાવો, આપણી અંદર જે કંઈ સત્વ હોય તે નીચોવી નાખવું પડે, એવા જીવનનાં રૂપો જોયાં છે. સાચું કહું તો હું બદલાઈ ગઈ. હું જે હતી તે રહી નહીં. બહુ જ બદલાઈ ગઈ. મારા પોતાના જે કંઈ ગમા અણગમા, અભાવ, આ બધું જે હતું તે વળોટીને બહાર નીકળી જવાની આખી પરિસ્થિતિ ઊભી થઈ તે આ કારણે. ઘણીવાર તીવ્ર દુઃખોનો કોઈનો અનુભવ જો આપણે પામી શકીએ તો એનાથી માણસનું વ્યક્તિત્વ આખેઆખું પલટાઈ જાય !”

“ઘટના પછી અને ધારો કે આ વાર્તા નથી – આ બન્ને રચનાઓ મને હચમચાવી મૂકી હોય તેવી ઘટનાઓમાંથી બની છે. નાગરિક તરીકે મારી રાજકીય સભાનતા જે કંઈ હું અનુભવતી હતી તેને વાર્તામાં પ્રવેશવા દેવી તેની મને ખબર ન હતી. કલબુર્ગીની હત્યા, એ ‘ધારો કે આ વાતા નથી’નું મૂળ. એવી રીતે ઘણીબધી વાર્તાઓ કોઈ એવી ક્ષણે આવી કે જાણે એ ઘટનાઓ પચાવવાની બહુ તકલીફ પડી હોય. ડાભોલકરની હત્યા, ગૌરી લંકેશની હત્યા આપણે ખમી શકતા નથી. જે સમાજ પોતાની વ્યાપક ઉદારતા / કરુણા વિશે સતત હંમેશાં ગળું ફૂલાવી ફૂલાવીને બોલે છે, સર્વત્ર બોલે છે તે સમાજ આટલો અસહિષ્ણુ કેમ? કોઈ વ્યક્તિની હાજરી તમે ખમી શકતા નથી? કોઈ 80 વરસનો સ્કોલર-વિદ્વાન પોતાના ઘરનું બારણું ખોલે અને તેને ધડ ધડ ગોળીઓ મારે ! આ બધી ઘટનાઓએ મને વિચલિત કરી મૂકી, એમાંથી જે કંઈ જન્મ્યું તે આ રચનાઓ.

હાલ પણ આપણે કેટલા બધા અસહિષ્ણુ છીએ. આપણે અસહિષ્ણુ છીએ તે કબૂલ કરવામાં પણ શરમ આવે છે. આપણે દંભી છીએ. પોતાની જાતનો દોષ નહીં જોવાની વાત છે. આ વાત અસહ્ય લાગે છે. હમ ન થાય તો બે શક્યતા છે, કાં તમે ગાંડા થઈ જાવ કાં તમે આત્મહત્યા કરો. મેં એક વાર્તા લખી છે – ‘આજે રાત્રે હું આત્મહત્યા કરીશ !’ એ હદે ખરેખર મારો વિચાર પહોંચી ગયો કે આજે રાત્રે હું આત્મહત્યા કરીશ. પછી ડહાપણ કામ લાગ્યું કે તું મરી જઈશ તો પણ જે થવાનું છે થશે જ ! તો મરવાથી કંઈ ફરક પડવાનો નથી. તો શા માટે મરવાનું? ઊલટાના પાછળવાળા રડીને મરી જશે, તેનો વિચાર કર. એટલે વાર્તા એ જીવવા માટેનું સંતુલન છે. જો સંતુલન નહીં હોય તો પતી જશો. નહીં પતી જવાની મથામણ તે આ વાર્તાઓ. વાર્તાઓએ મને સમતુલા સાચવવામાં મદદ કરી છે. ટકી રહ્યા, મગજ ચસકી ન ગયું, ખોટું પગલું પણ ન ભર્યું, જેટલું આયુષ્ય છે તે સરખી રીતે જીવવું છે. તો ટકી રહેવામાં વાર્તાઓનો ટેકો બહુ જ મોટો છે. ‘ઈમેજિનેટિવ એક્સ્પિયરન્સ’ તમને મોક્ષ આપે છે, તમને બધી પીડામાંથી મુક્ત કરે છે.”

“ભાગેડું વૃત્તિ, સેલ્ફ પ્રિજર્વેશન, જાતને ઘસરકો પડવો જોઈએ નહીં, બીજું જે થતું હોય તે થાય, ચાલ્યા કરે. આ સેલ્ફ પ્રિજર્વેશનની લાગણી બૌદ્ધિકોમાં પણ પ્રબળ છે. સર્જકોમાં પણ પ્રબળ છે. રાજકારણમાં તો પ્રબળ છે જ, સર્વત્ર સેલ્ફ પ્રિજર્વેશનની ભાવના એટલી બધી પ્રબળ છે કે આપણે આપણા સમાજને દગો દીધો છે, એ વાત પણ આપણે કબૂલ નથી કરતા. ક્યાંક આપણે ચૂક્યા છીએ. ક્યાંક ભૂલ કરી છે. શિક્ષણનું ક્ષેત્ર જૂઓ. સારા વિદ્વાનો / સ્કોલરોએ પાયામાં જે સડો છે તેના વિશે એક હરફ ઉચ્ચાર્યો કોઈ દિવસ? એક સમયે યુનિવર્સિટીઓમાં એવા વાઈસ ચાન્સેલર નિમાતા કે જઈને માથું નમાવવાની ઈચ્છા થતી, આજે જે રીતે વાઈસ ચાન્સેલરો નિમાય છે તે કોઈ દિવસ બોલ્યા કે કેમ આવું ચાલે છે? આપણે પોતપોતાની શૈક્ષણિક સિદ્ધિઓ, આ કે તે, તેમાં ગળાડૂબ રહ્યા. પણ આ આખું મોટું તંત્ર ખાડે જઈ રહ્યું છે, તમારી નજર સામે, ડૂબી રહ્યું છે જહાજ, એના માટે કોઈએ સામૂહિક રીતે કંઈ કહ્યું? આજે ગુજરાતમાં શિક્ષણની શી હાલત છે? તમે જાણો તો થથરી જાવ. આપણા સ્નાતકો / આપણા અનુસ્નાતકોને ચાર સવાલ પૂછો, શું જવાબ મળે છે ! શું ભણ્યા તેઓ? દળી દળીને કુલડીમાં પણ નહીં, ક્યાં નાખ્યું તે ખબર નથી ! આ સ્થિતિ ઊભી થઈ તેના માટે આપણી જાતને જવાબદાર ગણીએ છીએ? સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એ આખો કન્સેપ્ટ જ બાદ કરી દીધો છે. ક્ષેત્ર ગમે તે હોય, પણ આટલી હદે બધું ખાડે જતું હોય ત્યારે ઊભા થઈને બોલવાની તાકાત હોવી જોઈએ, તે તાકાત કેળવવામાં માણસને કેટલાં વર્ષો લાગે? તમે નિવૃત્ત થઈ જાવ તો પણ તાકાત ન કેળવી શકો? એટલે પાયામાં જ ખોટ છે. આવો ક્યાં ય ન ખપે તેવો માલ કેમ થયો? ચૂક તો થઈ છે, કબૂલ કરવું પડે. સગવડો બધી છે, કાલે બુલેટ ટ્રેનમાં મુંબઈ જશો. પણ જે નથી એ એટલું મહત્ત્વનું નથી, કે આ બધું હોવા છતાં કશું જ નથી !”

“કરુણા, લાગણી, કોઈપણ જાતની અપેક્ષા વગરનો પ્રેમ, આ બધી વસ્તુઓ માટે તમારે બાળકને જન્મ આપવાની કોઈ જરૂર હોતી નથી. આ તમે ક્યાં ય પણ કોઈને આપી શકો છો. તમારી પાસે બીજું કંઈ ન હોય તો એક હ્રદય છે. જે આ બધી લાગણીઓ અનુભવવા માટે સક્ષમ છે. દરેક માણસ પાસે એક હૃદય હોય છે. એ હ્રદયનું શું કરવું તે આપણે જોવાનું હોય છે.

માને મેં એ રીતે જોઈ છે કે નિરપેક્ષ પ્રેમ કરી શકે તે મા, કોઈ ગણતરી વગર પ્રેમ કરે તે મા, સામું પાત્ર શું કરે છે તેનો ભાગ્યે જ વિચાર કરે અને પોતાને જે કરવું છે તે સતત કર્યા જ કરે તે મા. આના માટે પોતાનું બાળક હોવું જરૂરી નથી, આ પ્રેમ ગમે તે રીતે ક્યાં ય પણ આપી શકો છો. આ ભાવ જુદીજુદી વાર્તાઓમાં પ્રગટ થયો છે. ‘ગર્ભગાથા’ પણ એ છે. સ્ત્રી આટલું બધું દુઃખ, આટલી બધી પીડા સહન કરીને કોઈ બાળકને જન્મ આપે, મોટું કરે, ઉછેરે, આટલો સમય આપે તો એને કંઈક શિરપાવ મળવો જોઈએને? કંઈક તો મળવું જોઈને? એટલે માતૃપદને ઉત્તમ ગણો ! સ્ત્રીના જીવનમાં ઉત્તમ સ્થિતિ કઈ? મા બનવાની. આ ઠોકીઠોકીને કહેવું પડે કેમ કે આટલું દુઃખ વેઠવાનું છે, એની જો ખબર હોય તો સ્ત્રી વખત વિચારે કરે ! જે મેં કર્યો. તો એ વિચાર ન કરવાનો ક્યારે હોય? અરે તું મા નથી, મા બનવું જ પડે ! મા બન્યા વિના તારું જીવન અધૂરું છે. બાળક એક તો હોવું જોઈએ. આ બધું ઉપરથી આરોપિત છે.

મને વિચાર આવે છે કે ગાઝા પટ્ટીમાં માતાઓની શું સ્થિતિ હશે? આટલું દુઃખ વેઠીને જે બાળકોને જન્મ આપ્યો છે, તાલિબાન શાસિત પ્રદેશમાં સ્ત્રીઓની આટલી ખરાબ સ્થિતિ છે, તો એ પ્રદેશમાં માતાઓની કઈ સ્થિતિ હશે? એને એવું નહીં થતું હોય કે એક પણ માણસને મેં જન્મ આપ્યો ન હોત તો કેટલું સારું થાત? તો આટલું મોટું સૈન્ય ઊભું ન થાત ! કારણ કે આ જ પુરુષોને એણે જન્મ આપ્યો છે, જેનાથી તે અપમાનિત થાય છે. રહેંસાય છે. એને રમવાનું નથી, બહાર જવાનું નથી, મોં ઢાંકીને રહેવાનું છે. આખી દુનિયા ચૂપચાપ જૂએ છે. બાળકોની હત્યા થાય છે. સ્ત્રીઓ પર આટલાં બધાં અત્યાચાર થાય છે. છે કોઈ રણીધણી? ઉપરવાળો? નીચેવાળો? આજુબાજુ વાળો છે? છે કોઈ રોકનાર? કોઈ નથી ! આપણે પૃથ્વીને એટલી બઘી લોહિયાળ કરી મૂકી છે કે આપણા જ લોહીમાં આપણે તરબોળ ઊભા છીએ અત્યારે ! માણસજાત આપણી જ જાત છે. માણસજાત મંગળના ગ્રહમાંથી નથી આવી. ખુદના લોહીમાં આપણે તરબોળ છીએ છતાં તેની ભીનાશ આપણને અડે નહીં, તો આપણે આપણી જાતને જ પૂછવું પડે કે તમે એવા તે કેવાં? તમે એવા તે કેવાં?”

15 જાન્યુઆરી 2025

—3—

નિર્ભ્રાંત થવું એ સુખની ચરમસીમા છે !

હિમાંશી શેલત કહે છે : “મારી કૃતિઓ ‘ગર્ભગાથા’ / ‘મુક્તિવૃત્તાંત’ / ‘ભૂમિસૂક્ત’ મને વધુ ગમે છે. ગર્ભગાથામાં જુદાજુદા દૃષ્ટિકોણથી બહુ જ પાયાની વાત મૂકી છે. આપણા જન્મ સાથે, આપણી હયાતી સાથે, આપણા કુળ સાથે સંકળાયેલી વાત છે. ભૂમિસૂક્તમાં આપણે જે માટી પર ઊભા છીએ તેની બિલકુલ દરકાર નથી કરતા તેની વાત છે. સામાજિક રીતે, રાજકીય રીતે, ધાર્મિક રીતે, બધી જ રીતે, ભૂમિની સદંતર અવગણના કરી છે. ભાષા, ભૂમિ અને નદીની આપણે અવગણના કરીએ છીએ, એ એટલી બધી ભયાનક છે કે આપણો વિનાશ નક્કી છે. વિશ્વામિત્રીને જૂઓ, વડોદરામાં પૂર આવ્યું, બધી નદીઓ સાથે આવું થયું. ગંગાને જૂઓ. તેની શું હાલત છે? આપણે ગમે તેટલા વચનો આપ્યા, ગંગાને ચોખ્ખી કરીશું, આપણે એક પણ વચનનું પાલન કરી શકતા નથી. આપણે આપણી સમૃદ્ધિ સિવાય બીજા કશાયનું પાલન કરી શકતા નથી ! કોઈ પણ વચનનું પાલન કરી શકતા નથી. ભૂમિસૂક્ત એ રીતે જન્મી છે. એ મારી અંગત પીડા છે. જંગલો ઓછાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં તમે એક આંટો મારો. વલસાડથી ધરમપુર સુધી, કેટલી બધી વાડીઓ કપાઈ ગઈ છે. આંબાના ઝાડ, ચીકુની વાડીઓની જગ્યાએ વિલાસિતા માટેના ફાર્મ-હાઉસ બની ગયા છે. માણસ ગાંડો થઈ ગયો છે, બેફામ બધું કરે છે. આ જે બેફામપણે જે થઈ રહ્યું છે તેની સામેની એક ચીસ એ ભૂમિસૂક્ત. મારી જ નહીં કેટલાં બધાં પ્રાણીઓની ચીસ ! દીપડાઓ તો અબ્રામા સુધી આવી ગયાં ! આપણે જંગલો ખતમ કરી નાખ્યાં છે. આપણે પોતાની ઘોર ખોદવા બેઠાં છીએ !”

“લગ્ન ન કરવા, બાળક ન કરવું, એવું નક્કી કરેલ. 47 વરસની ઉંમરે વિનોદ મેઘાણી સાથે પરિચય થયો અને હાથ પીળા કર્યા વિના, મંગળસૂત્ર પહેર્યા વિના, બંગડી નહીં, ચાંદલો પણ નહીં, અમે રજિસ્ટર્ડ મેરેજ કર્યા. મેં નક્કી કરેલ કે જે ઓળખથી મારી જાતિ ઓળખાય તેવું કોઈ ચિહ્ન હું કબૂલીશ નહીં. મારે કોઈ ઓળખ ધારણ કરવી નથી. જેને કારણે ખબર પડે કે આ ફલાણું. વિનોદ બહુ જ સિદ્ધાંતવાદી. મંચ પર રાજકારણ અને ધર્મકારણ ન જોઈએ, તેવું માનતા અને કાર્યક્રમ દરમિયાન કોઈ નેતા આવી જાય તો ‘હું મંચ શેર નહીં કરું’ તેમ કહીને મંચ પરથી ઊતરી ગયાના દાખલા છે. વિનોદ સાથે ધીમે ધીમે પરિચય વધતો ગયો. એક દિવસ તેમણે મને કહ્યું કે ‘આપણે સાથે રહેવું હોય તો એ વિચાર તમને કેવો લાગે છે?’ મેં કહ્યું કે ‘એટલો બધો સરસ નથી લાગતો !’ હું બરાબર ઓળખ્યા વિના સાહસ ન કરું. મેં મકરંદભાઈને (કવિ મકરંદ દવે – નંદીગ્રામ) વાત કરી, તેમણે કહ્યું કે ‘વિનોદ બહુ અઘરો માણસ છે. તમારી વચ્ચે પ્રેમ હોય તો બરાબર છે.’ વિચાર કરતાં મને થયું કે વિનોદ બહુ નોબલ માણસ છે. લોકોને મદદ કરવાની, ઘસાઈ છૂટવાની વૃતિ છે, માણસો માટે મરી પડે. આવું હ્રદય તો બહુ ઓછા લોકો પાસે હોય છે. એટલે મને થયું કે સાથે રહી શકાશે, વાંધો નહીં આવે. એમ માની લગ્ન કર્યા. મારા દાદી બહુ રાજી થયા, વિનોદના કારણે નહીં પણ ઝવેરચંદ મેઘાણી મારા સસરા એ વાતથી.”

વિનોદ મેઘાણી

“ઝવેરચંદ મેઘાણીએ આત્મકથા નથી લખી. પણ તેમણે એક વચનમાં ઘણી વાતો લખી છે. આખા પરિચ્છેદો મૂકી શકાય. મેં અને વિનોદે એ એકત્ર કર્યું, સંકલન કર્યું. અઠવાડિયામાં બે દિવસ મુંબઈ જતા. ‘જન્મભૂમિ’માં બેસીને ફાઈલો ઉથલાવતા. ટાંચણ કરતા. એ રીતે ‘અંતરછબિ’ પુસ્તક તૈયાર થયું. આ રીતે ‘હું આવું છું’નું કામ થયું આ બે કામ અમારી જિંદગીનાં સારાંમાં સારાં થયાં. વિનોદ ઉગ્ર હતો, હુંપણ ઉગ્ર ખરી. મેં હંમેશાં એક વાત યાદ રાખેલ કે બહુ જ ઊંચી કક્ષાના માણસ સાથે હું જીવું છું. બહુ જ વિશાળ હ્રદય. એની પાસેથી હું એ શીખી કે ‘બધા માણસોને આપણી હાજરી પસંદ જ હોય એવું કોણે કહ્યું? બધા માણસોને આપણી સાથે વાત કરવાનું, આપણને મળવાનું ગમે જ, એવો કોઈ નિયમ છે?’ આ વાત મેં વિનોદ પાસેથી અંકે કરી. કોઈનો અનાદર તકલીફ આપે છે. આ સમજણના કારણે, આજે કોઈ નજીકનો માણસ ખરાબ રીતે વર્તે તો તેની પીડા મને બહુ ઓછી થાય છે.”

“સ્વામી આનંદનું ગદ્ય બહુ જ ગમે. જીવનને જોવાની અને મૂલવવાની એમની દૃષ્ટિ પણ મને બહુ ગમે. પોતાની વાત સોંસરી મૂકવાની, તંતોતંત પ્રમાણિકતા, નિષ્ઠા હોય એ ગમે. મને પ્રમાણિક અને પારદર્શક માણસોનું બહુ જ આકર્ષણ રહ્યું છે. સ્વામીદાદાના પત્રો મારા હાથમાં હોય ત્યારે મને લાગતું કે હું સ્વામીદાદાના હાથને સ્પર્શી રહી છું. ગાંધીજીએ બાપુજી (ઝવેરચંદ મેઘાણી) પર લખેલી ચિઠ્ઠી પકડતાં જે રોમાંચ થયો એવો જ રોમાંચ સ્વામીદાદાના પત્રો હાથમાં લેતા થયો હતો. આ ભાવ તમે કોઈ રીતે સમજાવી ન શકો કે આવું કેમ થાય? વ્યક્તિને પામવાની કેટકેટલી રીતો હોય છે. આપણે સંબંધોને બહુ જ સપાટ બનાવી દઇએ છીએ. પછી તેના ગુણાકાર ભાગાકાર, તાળો મેળવવાનું. એવું નથી. માણસોને પામવાની બહુ બધી રીતો હોય છે. એ રીતે સંબંધોમાં માણસને પામવાની અનેક રીતો હોય છે. એટલે જે ચોકઠાં કે ત્રાજવાં આપણે કાયમ વાપરતાં હોઈએ એ બધા સંબંધોને મૂલવવામાં વાપરવાં જોઈએ નહીં. કેટલીક વસ્તુ આપણી સમજની બહાર પણ હોય છે.”

મકરંદ દવે

“મકરંદભાઈની પ્રસન્નતા મને ગમે. એમની આદ્યાત્મિક વાતો મને સમજાતી ન હતી. હું એમાં માનતી પણ નથી, એવું મેં કહેલું. મને ગામડાંમાં કામ કરવું ગમે છે એટલે હું નંદીગ્રામ આવું છું, નહીં કે આદ્યાત્મિકતા, અનુષ્ઠાન માટે. ભાષા પર એમની પકડ, અદ્દભુત અનુવાદો, એમની પાસે જે રીતે કાવ્યો આવતાં તે મને અદ્દભુત લાગતું. ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ આ પંક્તિ કેવી રીતે આવી હશે? મકરંદભાઈના વ્યક્તિત્વમાં એવું હતું કે બધાને બહુ જ ખેંચતું. તે પ્રસન્નતા હોય, અલગારીપણું હોય. બધાં સાથે એમનું વર્તન સહજ અને સરળ રહેતું. આ બધી વસ્તુઓથી હું ઘણી પ્રભાવિત થઈ હતી. એ વ્યવહારના માણસ ન હતા, ટ્રસ્ટનું કામ સંભાળી શકે તેવી કોઈ સંભાવના ન હતી. આ કામમાં પડ્યા ન હોત તો પોતાનાં મનગમતાં કામમાં વધુ કરી શક્યા હોત. સ્વામીદાદા કહેતા કે કામ કરવું હોય તો એકલપંડે કરવું, સંસ્થા કરવી નહીં. કેમ કે સંસ્થા એટલે માણસ એટલા બધાં ઘટાટોપમાં ડૂબી જાય કે કામ બાજુ પર રહી જાય. નંદીગ્રામમાં ટ્રસ્ટ પાસેથી કામ લઈ શકાય તેવું કુંદનિકાબહેન(કાપડિયા)નું પોત ન હતું. એટલે એ પાછા પડ્યાં. મકરંદભાઈ અને કુંદનિકાબહેનથી ખેંચાઈને ઘણા બધા લોકો આવ્યા, દુર્ભાગ્યે થયું એવું કે એમની સાથે માણસો ટક્યાં નહીં. મારે પરણવું નથી, ગામડાંમાં કામ કરવું છે, બહુ મજા આવશે, એવા ખ્યાલથી હું નંદીગ્રામ ગઈ હતી. મકરંદભાઈ અને કુંદનિકાબહેનના કારણે નહીં. પછી નિર્ભ્રાંત થતાં બહુ વાર ન લાગી. હવે મને લાગે છે કે નિર્ભ્રાંત (ભ્રાંતિ વિનાનું) થવું એ સુખની ચરમસીમા છે !”

સ્વામી આનંદ

“સ્વામીદાદા, મકરંદભાઈની જેમ આધ્યાત્મિક માણસ ન હતા. મકરંદભાઈ કહે કે ‘મને પીડા થઈ અને માને પ્રાર્થના કરી એટલે પેટનો ગોળો મટી ગયો’ તો સ્વામીદાદા કહે કે ‘ આટલી નાની વાતમાં માને ફરિયાદ શું કામ કરવાની? પોતાના દુઃખ માટે ફરિયાદ કરાય? માને બીજાં કામ નથી?’ આ સ્વામીદાદાનો અભિગમ. તે હ્રદયના માણસ. પણ બન્ને વચ્ચે સ્નેહનો સંબંધ હતો.”

“નવી પેઢીના વાર્તાકારોને એટલું કહીશ કે પ્રગટ થવાની ઉતાવળ ન કરવી. જો ઉત્તમ હશે તમારું કશુંક તો તે પ્રગટ થશે જ. એ ઢંકાયેલું નહીં રહે. કવિતા / વાર્તા લખવી એ કેટલું બધું અઘરું કામ છે. એમાં ઘણું વલોવવાનું હોય, તમારે પોતે પણ વલોવવાનું હોય, સળગવાનું હોય, બળવાનું હોય. મેધાણી કહે છે કે ‘રગરગ કડાકા ચાય !’ થોડીક ધીરજ, થોડુંક તપ. તપવું તો પડે જ. ભાષાને તો પામો. ભાષાની આરાધના કરો. થોડું વાંચો. થોડાં ઊંડા ઊતરો. થોડુંક શબ્દભંડોળ વઘારો. આ પછી લખવાનું થાય. લેખન જ નહીં દરેક ક્ષેત્રે આ થવું જોઈએ. એક સંગીત જ એવો વિષય છે જેમાં સાધના વિના સ્ટેજ પર જવાતું નથી. ત્યાં ફિયાસ્કો થવાની શક્યતા છે. બાકીના ક્ષેત્રોમાં કોઈ પૂછનાર જ નથી. કરુણ વાત એ છે કે વિવેચન રહ્યું નથી. આપણી પાસે વિવેચનનું એક પણ સામયિક નથી. હવે ‘પ્રત્યક્ષ’ પણ નથી. વાર્તા કેવી રીતે કોઈ વાર્તાકારે સિદ્ધ કરેલ છે તે શીખવું જ પડે. એ શીખ્યા વગર તમે કશું જ ન કરી શકો. જો તમારી તાલીમ અધૂરી છે તો લાંબુ નહીં ચાલે. તમારે તપશ્ચર્યા કરવી પડે. વાર્તા એમને એમ નહીં આવે. તમારે ટકવું હશે તો બધાંનો પ્રભાવ ઝીલવો પડશે. પ્રભાવ ઝીલ્યાં વગર કોઈ કામ થશે નહીં. એના કારણે તમારી મૌલિકતા નષ્ટ નહીં થાય. મૌલિક હશો તો એ નિકળવાની જ છે. મૌલિક નહીં હો તો કોઈનો પ્રભાવ ઝીલો કે ન ઝીલો કશું નિકળશે જ નહીં. કોરુંધાકોર રહેશે … મને સમય મળે તો થોડી ઉત્તમ રચનાઓ, ગદ્યની અને પદ્યની Anthology (સંકલન) અંગ્રેજીમાં તૈયાર કરવી છે. આપણું કશું બહાર તો જતું નથી. આપણી પાસે અંગ્રેજીમાં મૂકવાનું કશું જ નથી. આપણી પાસે સારા અનુવાદકો છે, તેમને જોતરવાનું બાકી છે. વિનોદની સ્મૃતિમાં આ કામ કરવું છે.”

17 જાન્યુઆરી 2025 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કામના કલાક કે ક્લાકનાં કામ … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 January 2025
(હળવો લેખ)

રવીન્દ્ર પારેખ

હમણાં હમણાં લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન સાહેબે એક વીડિયોમાં અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની હિમાયત કરી છે. એવી જ હિમાયત ગયે વર્ષે ઈન્ફોસિસના ચેરમેન સાહેબે પણ કરેલી. તેમણે  70 કલાક કામ કરવાનું કહેલું. ચાલો, વર્ષમાં અઠવાડિયાના 20 કલાક તો વધ્યા ! આને કહેવાય વિકાસ ! કૈં થાય કે ન થાય, વિકાસ તો થાય જ છે. સાચું તો એ છે કે આપણી પાસે બગાડવા માટે સમય જ સમય છે. હજારો લોકો નેતાનું ભાષણ સાંભળવા દોડે છે, તો સેંકડો લોકો સવાર સાંજ કથા સાંભળવા બેસે છે. કેટલા બધા લોકો અનેક મુશ્કેલીઓ વેઠીને મંદિરોમાં દર્શન માટે દોડે છે ને જરા કૈં છમકલું થાય છે તો કચડાકચડી ને ભચડાભચડીમાં જીવ ગુમાવે છે. ઘણા ઘાયલ થાય છે ને એમ હોસ્પિટલો ઉભરાતી રહે છે. આ હાલત હોય તો કોઈ ચેરમેન 90 કલાક કામની હિમાયત કરે તેમાં ખોટું કૈં નથી. પ્રોબ્લેમ શું છે કે લોકો પાસે કલાકો છે, પણ કામ નથી. બેકારી એટલી છે કે સરકારી નોકરી મળતી નથી. સરકારીમાં શું છે કે કામ ઓછું ને પગાર વધારે, એટલે સરકારી, તરકારી બને કે તકરારી, લોકો શોધે તો સરકારી જ !

જો કે, સરકાર પણ થોડી કંજૂસ થઈ ગઈ છે. પોતાનું પેન્શન પહેલાં પાકું કરી લે છે, પણ માસ્તરોને આપવું પડે એટલે કાયમી કરતી નથી. એ જ કારણે સરકારે કામચલાઉ માસ્તરો રાખવાનું શરૂ કર્યું છે. ખાનગીમાં શું છે કે ફી અને કામ વધારે ને પગાર ઓછો. બીજે પણ કામદારો 90 કલાકથી વધુ કામ કરે છે, પણ દેવું કાયમ માથે રહે એટલો જ પગાર હોય તો એવા 90 કલાક વિષે પણ કોઈ સાહેબ બોલે તો કર્મચારીનો ઉત્સાહ વધે. સવાલોનો સવાલ એ છે કે કંપનીના સાધારણ કર્મચારીને 90 કલાક કામ કર્યા પછી ચેરમેનને મળે છે એટલો વર્ષે 51 કરોડનો પગાર મળે એમ છે? એણે આંગળા ચાટીને જ પેટ ભરવાનું હોય તો 90 કલાકનું ખેંચાણ એને કેટલુંક રહે? એ જાણે છે કે આખી જિંદગીમાં 51 કરોડ કદી એની હોજરીમાં પડવાના નથી તો જિંદગી પણ લોન લીધી હોય તેમ હપ્તેથી જ જીવશે કે બીજું કૈં? વિચાર તો એવો પણ આવે કે એક જ માણસને 51 કરોડ કેટલા બધાંના કોળિયા ઝૂંટવીને અપાતા હશે … 

એલ. એન્ડ ટી.ના ચેરમેને 90 કલાકનું ઠીકરું તો ફોડ્યું, પણ બીજા બે બોલ સ્ફોટક પણ કહ્યા. એક તો રવિવારે પણ કામદારોને કામે બોલાવવા. તે એટલે કે સાહેબ પોતે પણ રવિવારે કામ કરે છે. ઘણા સાહેબો કંપનીમાં જ રહેતા હોય તેમ ઘણાં કલાકો કામ કરે છે ને એટલું કરે છે કે રવિવારે પણ ઓફિસમાં જ રહે છે. એ કંપનીમાં મોજ કરે ને ફેમિલી ઘરે મજા કરે. શક્ય છે કે ફેમિલી મજા કરી શકે એટલે જ કદાચ સાહેબ રવિવારે પણ ઓફિસમાં રહેતા હશે. કેટલાક સાહેબોનું એવું છે કે એ ઓફિસમાં વોન્ટેડ ને ઘરમાં અનવોન્ટેડ હોય છે. કેટલાક તો ઓફિસમાં પણ અનવોન્ટેડ જ હોય છે, પણ સાહેબ હોવાને નાતે ઓફિસ નાછૂટકે એમને ચલાવી લે છે. 

આમાં ન સમજાય એવું એ છે કે ઓફિસે વધુ દોડવું ન પડે એટલે ફાઇવ ડે વીકની વાત ચાલે છે, સેકન્ડ-ફોર્થ સેટરડે રજા રાખીને અઠવાડિયું પાંચ દિવસનું કરવાની વાત હોય ત્યાં શનિવારે તો ઠીક, રવિવારે પણ દુકાન ખુલ્લી રાખવાની વાત, ગધેડાને તાવ આવે એવી છે. જો કે, કેટલાક ગધેડા માણસ પણ હોય છે, એટલે તેમને તાવ નથી આવતો, પણ તે ઘણાંને તાવ લાવી દે એવા હોય છે. એક તરફ 90 કલાક કામ કરવાની વાત છે, તો બીજી તરફ કામના કલાકમાં પણ, કામ કેમ ન થાય તેની યુક્તિ અજમાવતા કર્મચારીઓ પણ છે. એક કાળે રિસેસ હોય તો પણ બેન્કોમાં કાઉન્ટરો ચાલુ રહેતાં હતાં. કર્મચારી કાઉન્ટર બીજાને સોંપીને રિસેસ ભોગવતો. તે આવે કે બીજો જતો. હવે તો કેટલીક બ્રાન્ચમાં રિસેસમાં બારણાં જ બંધ કરી દેવાય છે, એટલે ગ્રાહક એટલો સમય ભગવાનનાં દર્શન કરવાનો હોય તેમ દ્વાર ખૂલવાની રાહ જોતો ટીંગાઈ રહે છે. કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો બ્રાન્ચ હેડ મગરનાં આંસુ સારતાં કહે છે કે શું કરીએ, સ્ટાફને સાચવવો પડે છે. આવી રીતે એટલા બધાં મગરનાં આંસુ સાહેબો સારે છે કે મગરનાં આંસુ હવે મગરને પણ આવતાં નથી. એક તરફ કામ ન કરીને કલાકો વિતાવાય છે, તો બીજી તરફ વધુ કલાક કામ કરવાની હાકલ થાય છે. 

અહીં સવાલ એ થાય કે મહત્ત્વનું શું છે, કામ કે કલાક? કલાકો ફાજલ હોય, પણ કામ કરવાની જ દાનત ન હોય તો, 100 કલાક હાજર રહેવા છતાં કામ ન થાય એમ બને. મોંકાણ શું છે કે યોગ્ય જગ્યાએ અયોગ્ય વ્યક્તિ અને અયોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ ગોઠવાયેલી છે, એટલે કલાકો પસાર થવા છતાં કામ નથી થતું. કલેકટરની લાયકાતવાળો કારકૂની કરે છે. બેંકમાં જવું છે તે પ્રાઇમરી ટીચર થઈને રહી જાય છે. લેબમાં હોવી જોઈતી વ્યક્તિ સ્લેબ ભરે છે. કોઈએ વાંસળી વગાડવી છે, તો તેની પાંસળી સરખી નથી ને કોઈએ સિતાર વગાડવી છે, તો તે તારેતાર થયેલો છે. મતલબ કે જેમાં રસ નથી તે કામ કરવાનું આવે તો કામમાં ભલીવાર ન રહે ને કલાકો વેડફાય તે નફામાં, પણ ગમતું કામ હશે તો 90 શું 100 કલાક પણ કોઈ વિસાતમાં નથી. 

કેટલી બધી ગૃહિણીઓ 10-12 કલાક રાંધવામાં, વાસણકૂસણમાં, ધોવા-નિચોવવામાં ભરતગૂંથણમાં, બાળઉછેરમાં આયખું ખુટાડી દે છે ! તેને ગમે કે ન ગમે, પણ તે કરે છે ને એ કરે છે તે કુટુંબ પ્રત્યેના પ્રેમને કારણે. એનું એને શું મળે છે? એનાં કામ બીજા પાસે કરાવીએ તો પગાર ખૂટી પડે. એ બધું ગૃહિણી માંદી હોય તો પણ, લાગણીથી કરે છે. એક તરફ કામ ન કરીને કલાકોની હાજરી ભરીને મોટો પગાર પાડનારા છે, તો બીજી તરફ કલાકો જાત ઘસીને પ્રશંસાના બે બોલ પણ ન પામનારી ગૃહિણીઓ છે. એમાં કેટલીક તો નોકરી કરે છે ને ઘરકામ પણ કરે છે. એને 90 કલાક તો રમતમાં થતા હશે, પણ ઓફિસમાં કે ઘરમાં તે ભાગ્યે જ અપમાન સિવાય કૈં પામતી હશે. કહેવાનું એ છે કે રસ હોય કે ફરજ બજાવવાની હોય તો કોઈ કહે કે ન કહે, વ્યક્તિ જિંદગી ખર્ચી કાઢે છે ને રસ ન હોય તો કલાક કાઢવાનું પણ અઘરું થઈ પડે છે. 

સાહેબે 90 કલાકનું કીર્તન તો કર્યું ને વધારામાં એમ પણ કહ્યું કે ક્યાં સુધી પત્નીને જોયા કરશો કે પત્ની તમને જોયા કરશે? આ વાતે મહિલાઓ મટકાં ફોડે તો નવાઈ નહીં ! સાહેબને પત્ની છે કે નથી તે નથી ખબર. હોય તો તેને કેટલું જુએ છે તે પણ નથી ખબર, પણ રવિવારે ઓફિસે જાય છે એ પરથી લાગે છે કે પત્નીને ઓછું જ જોતાં હશે, પણ બીજાને એમ કહેવું કે ક્યાં સુધી એકની એક પત્નીને જોયા કરશો, તો એમાં પત્નીને ટાળવાની વાત છે ને તે ટાલ પાડી દે એવી છે. સાહેબને કેમ એવું લાગ્યું કે તેમના કર્મચારીઓ પત્નીને જ જોયા કરે છે, પડોશ સારો હોય તો તે જોવા પણ કોઈ ઘરે રહે, એવું નહીં? લાગે છે સાહેબને પડોશ સારો નહીં મળ્યો હોય, પણ તેમના કર્મચારીઓ નોકરીમાં નહીં, તો છોકરીમાં નસીબદાર હોય એમ બને. એવું થોડું છે કે કર્મચારી ઘરે રહે તો પત્નીને જ જોયા કરે? પત્નીને પણ કામ હોયને ! એવું પણ નથી કે રવિવારે નોકરીમાં રજા હોય એટલે ઘરે પણ રજા જ હોય ! રવિવારે પત્ની આરામ કરતી હોય ને માટી, ઘાટીની જેમ કચરાંપોતાં કરતો હોય એવું પણ બનેને ! અઠવાડિયામાં એક રવિવાર જ તો મળતો હોય, તો એક દિવસ ઘરકામમાં મદદ કરે એટલામાં પતિ થોડો પતી જવાનો હતો ! 

સારું થયું કે સંસદીય સમિતિના એક સભ્યે મંત્રીને લખ્યું કે અઠવાડિયામાં કર્મચારીઓ નક્કી કરાયેલા 48 કલાકથી વધુ કામ ન કરે તે જુએ. મંત્રી, પત્નીને જોવામાં પડ્યા હોય ને ન જુએ કે મોડું જુએ એમ બને, પણ કર્મચારી કમાતો હોય છે તો માબાપ, પત્ની ને બાળકો માટે જને ! કુટુંબ જ ન હોય તો કોઈ પણ વૈતરું શું કામ કરશે? ઘરે થોડું રહેવાથી કર્મચારી આજુબાજુમાં કંપની પ્રોડક્ટની વાત કરે તો એમાં કામ કંપનીનું પણ થાય છે. કર્મચારીનું માથું દુ:ખે તો માથું દબાવવા પત્ની જોઈએ, તે કંપની દબાવી આપવાની હતી? પત્ની પોતાની કે બીજાની જોવામાં જે રાહત છે, તે કંપનીને જોવાથી થવાની હતી? ને કંપની ગમે એટલી ઉત્તમ હોય તો પણ તે ઘરનો વિકલ્પ નથી જ ! ઘરમાં પત્ની-બાળકોને મળવાથી આનંદ થતો હોય ને બીજે દિવસે ફ્રેશ થઈને, ફરી વાસી થવા કર્મચારી નોકરીએ આવતો હોય તો કોઈને પણ દુખાવો શું કામ થવો જોઈએ? ઑફિસેથી વૈતરું કરીને આવે ને પત્નીને જોતાં જ થાક ઊતરી જતો હોય તો તે પત્નીને નહીં તો શું ડાઘીયા કૂતરાને જોવાનો હતો? જેમને પત્નીને જોતાં જ તાવ ચડતો હોય તે સાહેબો ભલે ઓફિસમાં સેક્રેટરી જુએ, પણ જેમને પત્નીને જોવાથી શાંતિ મળતી હોય, તેમને માટે કોઈ સાહેબે શાંતિપાઠ કરવાની જરૂર નથી. ઈઝ ધેટ ક્લીયર? 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જાન્યુઆરી 2025

Loading

ગણોતિયા જમીનદાર કેવી રીતે બન્યા?

રમેશ સવાણી|Opinion - Opinion|12 January 2025

હરિ દેસાઈ

આઝાદી પહેલાં સૌરાષ્ટ્રમાં લગભગ 222 રજવાડાં હતાં. જમીનની માલિકી રજવાડાની હતી. રાજા ઇચ્છે તો ગમે ત્યારે ગણોતિયા જેવા ખેડૂત પાસેથી જમીન છીનવી લે. 

જમીનના ભોગવટાની દૃષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચી શકાય : (1) ખાલસા (2) ગરાસદારી (3) બારખલી … ખાલસા જમીન એ હતી જે રાજવીઓએ આ પ્રદેશમાં વિજય દ્વારા અને પછી વંશપરંપરાની રીતિથી મેળવી હતી. ખેડૂતોને તે ખેડવા અપાતી. ખેડૂત સીધા રાજ્યને જમીનમહેસૂલ ભરતા હતા. માત્ર ગોંડલ રાજ્યે ખેડૂતોને જમીનના સંપૂર્ણ કબજા હક આપેલા. ગરાસદારી જમીન એ હતી કે નાના તાલુકેદારો, મૂળ ગરાસિયા તથા ભાગીદારોને અપાયેલી હતી. જમીનની માલિકીનો ત્રીજો પ્રકાર બારખલીનો હતો. તેમની જમીનની ખેતપેદાશ ખળામાં જમા કરાવવાને બદલે ખળાની બહાર રખાતી હતી. તેથી તેઓ બાર (બહાર) ખલીદાર કહેવાતા. તેમનો જમીન માલિકી હક નહોતો, પણ ઊપજનો હક હતો.

‘ઉ.ન. ઢેબર : એક જીવનકથા : લોકાભિમુખ રાજપુરુષ’ પુસ્તકના લેખક મનુ રાવળે સૌરાષ્ટ્રમાં કેવી શોષણપદ્ધતિ હતી એનું કંપારી છૂટે તેવું વર્ણન કર્યું છે : “ગુજરાતના ગાયકવાડે (વડોદરા રાજ્યના મહારાજા) ગુજરાત અને કાઠિયાવાડમાં પોતાની આણ ફરકાવી અને ખંડિયા રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવવી શરૂ કરી. આ કામમાં અંગ્રેજોએ લશ્કરી મદદ પૂરી પાડી કાઠિયાવાડમાં પગપેસારો કર્યો. 1807માં કર્નલ વોકરના કરારનામા નીચે રાજાઓ, દરબારો, તાલુકદારો અને ગરાસદારોની 202 શોષણખોર ઘટકોની ભૂતાવળ ઊભી થઈ. કર્નલ વોકરના 1807ના કરારનામાથી શરૂ કરી 1947માં સ્વરાજ આવ્યું ત્યાં સુધીનો, લગભગ 150 વર્ષનો ઇતિહાસ કાઠિયાવાડના જમીનદારી ગણોતિયાની લાંબી યાતનાની કારમી કહાણી છે.”

“રાજ્યના ખાલસા ખેડૂતો અને જમીનદારીના ગણોતિયા ખેડૂતો એવી જમીનખેડની બે સ્પષ્ટ પ્રથાઓ ઊપસી આવી. આમાં રાજ્યના ખાલસા ખેડૂતો અસહ્ય કરબોજ અને અનેક પ્રકારના હાસ્યાસ્પદ કરવેરા અને વેઠેતર કરવાં પડતાં, પણ જમીનદારી ગણોતિયાની દશા તો ગુલામો કરતાં પણ વધારે ખરાબ હતી. ખેડૂતોને મજૂરીનો જ અધિકાર હતો અને કમાણી ગરાસદાર કે દરબાર કરતો. ખેડૂતને ગમે ત્યારે હદપાર કરાતો તેથી જમીનની કેળવણી કે જાળવણીમાં એને કશી મમતા બંધાતી નહીં. બધા ખેડૂતો ખેડહક્ક એટલે કે જમીનદારની મરજી પર નભતા અને ખેડૂતને જમીન ઉપર કોઈ દાવો ન હતો. વર્ષને અંતે કરવેરા, લાગોલેતરી અને માનામાપા આપ્યા પછી ખેડૂત પાસે સામેના ચોમાસા સુધી તેના કુટુંબના નિર્વાહ માટે પૂરું અન્ન પણ રહેતું નહીં. ખળાંમાંથી પછેડી ખંખેરીને સીધા શાહુકારને ઘેર આવતા વર્ષના પાકને ગીરો મૂકી રોટલા ભેગા થવાનો વખત આવતો.”

15 એપ્રિલ 1948ના રોજ કાઠિયાવાડનાં બધાં રાજ્યોની સોંપણી પૂરી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રનો રાજ્યવહીવટ એકતંત્રી રાજ્ય તરીકે ચાલુ થયો કે તેના પ્રથમ કાર્ય તરીકે રાજ્યે એક ક્રાંતિકારી ઉદ્ઘોષણા દ્વારા બધા ખાલસા જમીનના ખેડૂતોને જમીન કબજા હક્કની બક્ષિસ આપી. જમીન મહેસૂલ સિવાયના 90થી પણ વધારે અન્યાયી અને હાસ્યાસ્પદ કરવેરા નાબૂદ કર્યા અને વેઠની ગુલામી પ્રથાને સદંતર દેશવટો આપ્યો.

ઢેબર સરકારના આવા ક્રાંતિકારી નિર્ણયો સામે સ્વાભાવિક હતું કે રાજવીમંડળ અને ગરાસદારો વિરોધ કરે. કેટલાકે સત્યાગ્રહ આદર્યા. પણ બીજાઓએ તો હિંસાનો માર્ગ અપનાવ્યો. ઢેબર જેવા અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના શિષ્યો સામે રાજવીઓએ બહારવટિયા પોષ્યા અને હત્યાઓના કારસા રચ્યા. એક તબક્કે તો ધારાસભાની ચૂંટણી વખતે નિર્દોષોની હત્યાઓના સમાચારને પગલે મુખ્ય મંત્રી ઢેબરે ચૂંટણીમાંથી ખસી જવાનું નક્કી કર્યું, પરંતુ એમના સાથી અને વાસાવડના તાલુકદારના પરિવારના દેવેન્દ્રકુમાર દેસાઈ(સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિવાળા)એ એમણે સમજાવી લીધા. 

મનુ રાવળે નોંધ્યું છે : “ગરાસદારો અને રાજવીમંડળના અશુભ ગઠબંધનને લીધે, નિર્દય અને ભીષણ બહારવટિયાઓની હારમાળાએ આખા પ્રદેશમાં સ્તબ્ધતા ફેલાવનારું ભયજનક વાતાવરણ સર્જવા ઉપરાંત સેંકડો ખેડૂતોના જાનમાલને હાનિ પહોંચાડી અને પ્રજા અને રાજ્યતંત્રની કપરી કસોટી કરી. બહારવટિયાનો દીર્ઘકાળનો કાળો કેર સર્જવામાં અને નિભાવવામાં સૌરાષ્ટ્રનાં અનેક અનિષ્ટ સામંતશાહી પરિબળો, જેમાં રાજપ્રમુખના (જામ સાહેબના) મહેલથી શરૂ કરી કેટલાયે રાજવીઓ, દરબારો, ભાયાતો અને કુંવરોએ નપાવટ ભાગ ભજવ્યો. અંતે રાજ્યે આવાં તત્ત્વોને જેર કર્યાં. તે પછી અસામાજિક વિદ્રોહની ભૂતાવળનો અંત આવ્યો.”

સેંકડો નિર્દોષ ખેડૂતોના ડાકુ ભૂપત અને તેની ટોળી દ્વારા ખૂન થવા લાગ્યાં ત્યારે મુખ્ય મંત્રી ઢેબરે વિધાનસભામાં કહ્યું હતું : “આપણે જીવનભર બહારવટિયાની રંજાડો જોયેલી છે. આજે પણ આપણા મનમાં છૂપી રીતે તારીફનો પ્રવાહ વહી રહ્યો છે. હું માનું છું કે તેમાંથી જ બહારવટિયા જન્મે છે. ગૃહ મંત્રી(રસિકલાલ પરીખ)ને ઉતારી પાડશો, ઢેબર સરકારને ઉતારી પાડશો અને વ્યક્તિગત સંતોષ માટે ખૂનની તારીફ કરશો તો ખૂનીની તારીફ પણ ભેગી ભેગી થઈ જશે!”

ગણોતિયાને જમીનના માલિક બનાવનાર ઢેબરભાઈ કોણ હતા?

રાજમહેલના ઇશારે હત્યાઓ કરીને મુખ્ય મંત્રી ઢેબરને ડગાવવાનો પ્રયાસ કરનાર ભૂપત પોલીસની ભીંસ વધતાં પાછળથી પાકિસ્તાન નાસી ગયો. ભૂપતનું બહારવટું કોઈ સરકારી અન્યાયમાંથી નહીં, ચોરી-લૂંટમાંથી થવા પામ્યું હતું. ઝાલાવાડના મુંજપુર ખાતેના આશ્રમમાં સ્વામી શિવાનંદજી ખેડૂતોના પક્ષે રહ્યા અને ગીરાસદારી નાબૂદી ધારાના સમર્થનમાં પ્રવાસ ખેડતા હતા ત્યારે તેમને એમના આશ્રમમાં જ બારીમાંથી બંદૂકના ભડાકે દેવાયા અને સ્વામી હસતે મોઢે મોતને ભેટ્યા. ભૂપત અને બીજા ડાકુઓ મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીની હત્યા કરવા ફરતા હતા. નામીચા ડાકૂઓમાં ભૂપત, રામ બસીયો, કાળુ વાંક, લખુ માંજરિયો, સજુલા, મંગળસિંહ, દેવાયત, મેસુર, ભગુ પરમાર, વશરામ કાળા અને માવજી ભાણાનાં નામ અગ્રેસર હતાં.

ઢેબરના જમીન સુધારાથી સામંતશાહીનો અંત આવ્યો અને ખેડૂતો માટે નવી આશા જન્માવી. વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 4 ઑક્ટોબર 1951ના રોજ મુખ્ય મંત્રીઓને લખ્યું : “મને તાજેતરમાં સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રીનો પત્ર મળ્યો છે. તેમાં ખેતીની જમીનમાં તેમણે ક્રાંતિકારી ફેરફારો કર્યા અને જમીનદારી પ્રથા કૃષિની જમીનમાંથી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે. આ કાર્ય મોટે ભાગે સંબંધિત સર્વેની સમજણ અને સંમતિથી કરવામાં આવ્યું છે. હવે તેઓ બિનકૃષિ જમીન, કરજ નિવારણ તથા કૃષિ જમીનના ટુકડાઓના એકીકરણ માટેનાં પગલાં લઈ રહ્યા છે. હજુ હમણાં સુધી સૌરાષ્ટ્રની તસુએ તસુ જમીન જમીનદારો અને ગરસદારોની સત્તા નીચે હતી. આ બધાનો હવે અંત આવ્યો છે. હું ઇચ્છું છું કે બીજાં રાજ્યોમાં પણ આવી પ્રગતિ સાધવામાં આવે.”

મૂળે જામનગરના અલિયાબાડા પાસેના નાનકડા ગામ ગંગાજળામાં નાગર જ્ઞાતિમાં જન્મેલા અને વ્યવસાયે વકીલ એવા ઉછંગરાય નવલશંકર ઢેબર (21 સપ્ટેમ્બર 1905 – 11 માર્ચ 1977) ગાંધીજીના રંગે રંગાયા અને વકીલાત છોડી આઝાદીની લડતમાં જોતરાયા હતા. આઝાદી આવતાં તેઓ 6 વર્ષ સુધી સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા. એ પછી એમને અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ બનાવાયા અને ત્રણ ત્રણ મુદ્દત માટે કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા. સાદગીને એમણે મુખ્ય મંત્રી તરીકે અને અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ સતત જાળવી. સાદગી એમનો જીવનમંત્ર હતો. એમના અધ્યક્ષપદે જ 1955માં મદ્રાસના આવડી કૉંગ્રેસ અધિવેશનમાં પાંચ લાખ કૉંગ્રેસજનોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ‘સમાજવાદી સમાજરચના’નો ઠરાવ મંજૂર થયો હતો. કૉંગ્રેસના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા પછી એમણે 1963થી 72 સુધી દેશના ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષનો અખત્યાર પણ સંભાળ્યો હતો. તેઓ રાજકોટ બેઠક પરથી 1962માં લોકસભામાં પણ ચૂંટાયા હતા.

પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર-તેલંગણમાં જમીનદારો અને ગણોતિયાઓ વચ્ચે હિંસક સંઘર્ષ થતા રહ્યા અને નકસલવાદ વકર્યો એ સૌરાષ્ટ્રમાં ઢેબરના દીર્ઘદૃષ્ટિવાળા આયોજનને કારણે ખાળી શકાયો. સૌરાષ્ટ્ર વિધાનસભાએ પસાર કરેલા ત્રણ ધારાઓમાં સૌરાષ્ટ્ર જમીન સુધારણા ધારો, સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી ધારો અને સૌરાષ્ટ્ર જાગીર પ્રાપ્તિ ધારો હતા. પહેલો ધારો જમીનમાં માલિકી દાવો ધરાવતા, તાલુકદારો, ભાયાતો, ગરાસદારો અને મૂળ ગરાસદારોને સ્પર્શતો હતો. બીજો જેમને જમીનના ભોગવટાનો જ અધિકાર હતો તેવા બારખલીદારો, જીવાઈદારો, ચાકરિયાતો અને ધર્માદા અને ખેરાતી સંસ્થાઓને લાગુ પડતો હતો. ત્રીજો ધારો ખેડવાણ અને બિનખેડવાણ ખરાબો, ઘાસિયા જમીન, ખેતઘરો, ગૌચર, રસ્તાઓ, નદીનાળા વગેરેનું યોગ્ય વળતર આપી સરકાર તે પ્રાપ્ત કરી શકે તેવી જોગવાઈઓ કરતો હતો. પ્રથમ બે કાનૂન 1 સપ્ટેમ્બર 1951થી અને ત્રીજો ધારો ફેબ્રુઆરી 1952થી અમલમાં આવ્યો. સરકારે જમીનદારો પાસેથી ગણોતિયાને નામે જમીન કરવામાં અમુક રકમ (વાર્ષિક આકારણીની છ ગણી રકમ) જમીન મેળવનાર ચૂકવે એવી જોગવાઈ કરી અને ગણોતિયા પાસે એ માટે નાણાં ના હોય ત્યારે એ માટે અલગ લૅન્ડ મોર્ટગેજ બૅંકની વ્યવસ્થા કરી એને ધિરાણ પણ આપ્યું. પ્રારંભિક વર્ષોમાં આ કાયદાઓના અમલમાં મુશ્કેલી પડવી સ્વાભાવિક હતી. સામંતશાહીના પ્રભાવને તોડવાનું સરળ નહોતું, પણ ઢેબરના મજબૂત સંકલ્પ અને સાથીઓની નિષ્ઠાના પ્રતાપે માથે મોત ભમતું હોવા છતાં એની પરવા કર્યા વિના એનો અમલ કર્યો.

જમીન સુધારણાના કાયદાથી જમીનદારો અને બારખલીદારોના ગણોતિયા ખેડૂત જમીનના માલિક બન્યા. એ સાથે-સાથે જમીનદારો અને બારખલીદારો પણ જાતખેડ માટે જમીન મેળવીને ખેડૂત બન્યા. લગભગ 33,000 જેટલા ગરાસ ધરાવતા જમીનદારો પાસે તેમના કબજા હકની આ રીતે 29,00,000 એકર જમીન ઘરખેડમાં પ્રાપ્ત થઈ. જ્યારે તેમના ગણોતિયા ખેડૂતો આશરે 55,000 જેટલા હતા. તેમને 17,00,000 એકર જમીનનો કબજા હક મળ્યો. તેવી જ રીતે 19,900 જેટલા બારખલીદારો પાસે 80,000 એકર જમીન હતી. તેમાંથી 5,600ને 1,60,000 એકર જમીન ઘરખેડમાં અપાઈ. જ્યારે આ બારખલીદારોના 28,000 જેટલા ગણોતિયાઓને 5,70,000 એકર જમીનના કબજા હક મળ્યા. કબજેદાર બનેલા ગણોતિયાઓએ હવે સરકારને સીધું મહેસૂલ ભરવાનું હતું.

હીરાઉધોગ કે બાંધકામ ઉદ્યોગ સહિતના વેપાર-ઉદ્યોગમાં જ નહીં રાજકારણમાં પણ બે પાંદડે થયેલા પાટીદારો વાસ્તવમાં તો જૂના સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડમાં ખેતમજૂરની અવસ્થામાં હતા. ભલું થજો સૌરાષ્ટ્રના ગાંધીવાદી મુખ્ય મંત્રી ઉછંગરાય નવલશંકર ઢેબરનું કે ગરાસદારીનો અંત આણ્યો. જમીનના માલિક ગરાસદારો, બારખલીદારો, તાલુકદારો સહિતના સાથે પ્રેમથી મંત્રણાઓ કરીને એનો અમલ કરાવ્યો. નાયબ વડા પ્રધાન અને ગૃહ મંત્રી સરદાર પટેલ રાજા-રજવાડાં થકી ખેડૂતોના શોષણ સામેની લડત અને સૌરાષ્ટ્રની પ્રજાના અધિકાર માટેની લડતમાં સદૈવ સાથ આપતા રહ્યા. બારખલીદારોના પ્રતિનિધિ એવા લોકકવિ દુલા ભાયા કાગનું પણ યોગદાન હતું. 

દેશમાં ક્રાંતિકારી પગલું ભરીને ગુલામીમાં સબડતા ખેતમજૂરોને જમીનના માલિક બનાવનાર મુખ્ય મંત્રી ઉ.ન. ઢેબરનો ઉપકાર માત્ર પટેલ ખેડૂતો પર જ નહોતો, જમીન વિહોણા દલિતો અને અન્ય ખેતમજૂરો પર પણ હતો. તેમને જમીન મળી રહે અને સ્વાભિમાન સાથે એ જીવી શકે એ માટેની તેમણે વ્યવસ્થા કરી. આવું ક્રાંતિકારી કામ ગુજરાતના કોઈ મુખ્ય મંત્રીએ કર્યું નથી. ઢેબરભાઈએ જે કર્યુ તે ‘સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ’ પણ કરી શક્યા ન હતા ! કમનસીબે આજના રાજનેતાઓના ભભકા અને રાજવી સાહ્યબીમાં જીવવાના માહોલમાં બહુ ઓછા એવા છે જે આ ઢેબરભાઈનું સ્મરણ કરે છે. ક્યારેક એવું કહેવાનું મન થાય છે કે આપણે કેટલા નગુણા થઈ ગયા છીએ ! 

[સૌજન્ય : વરિષ્ઠ પત્રકાર ડૉ. હરિ દેસાઈ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...290291292293...300310320...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved