Opinion Magazine
Number of visits: 9685444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યોર્જ ફર્નાન્ડિસઃ અવાજ, એકલતા, આક્રોશ અને મૌનના વિરોધાભાસનું જીવન

ચિરંતના ભટ્ટ|Profile|15 March 2019

કટોકટી એમના જીવનનો ‘હાઇ પોઇન્ટ’ હતો તો ભા.જ.પા.નાં વર્ગ વિગ્રહી રાજકારણનો સ્વિકાર તેમની કારકિર્દીનાં મહાન કદને ‘પિગ્મી’ બનાવનારો સાબિત થયો

જ્યોર્જ ફર્નાન્ડિસ, − આ નામ, મારા ઘરમાં, મેં નાનપણથી સાંભળ્યું છે. આ નામ સાથે મૈત્રી અને ટીકા અને ટેકો બધું જ સંકળાયેલું છે. વિખાયેલા વાળ, ચોળાયેલો ઝભ્ભો-લેંઘો, ચશ્માં અને તેની પાછળ રહેલી મૃદુ છતાં ય મક્કમ આંખો – જ્યોર્જ ફર્નાન્ડિસના આ ચહેરાની કેટલી ય તસવીરો મારા ઘરમાં છે. ૨૦૦૭માં જ્યારે એમને પહેલીવાર જોયા, ત્યારે એ શરીરે નબળા જરૂર હતા, પણ ચહેરા પરનું તેજ અને વિચારોની ધાર યથાવત્ હતી એ સમજી શકાય એમ હતું. ૨૯મી જાન્યુઆરીએ લાંબા સમયથી પથારીવશ જ્યોર્જ ફર્નાન્ડિસે શરીરની સાંકળમાં બંધાયેલા આત્માને મુક્ત ક,ર્યો અને ફરી એકવાર, એમની જિંદગી મીડિયા દ્વારા શબ્દોમાં જીવાઇ.

તેમના પિતા તેમને પાદરી બનાવવા માગતા હતા પણ શબ્દોમાં નહીં કાર્યમાં ધર્મ જીવનારા ૧૯ વર્ષનાં જ્યોર્જ ફર્નાન્ડિસે ‘બોમ્બે’ ચાલી આવ્યા. ફૂટપાથ પર ઊંઘવાથી માંડીને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રુફ રીડરની નોકરી આ દિવસોની શરૂઆત હતી. પરીક્ષાનાં પેપરમાં ભલે કંઇ ખાસ રસ ન લીધો હોય, પણ જ્યોર્જ ફર્નાન્ડિસે સમાજવાદને લગતાં સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પ્રુફ રીડર તરીકેની નોકરી જ્યોર્જની પહેલી અને છેલ્લી નોકરી હતી. ચાળીસનાં દાયકાનાં અગ્રણી ટ્રેડ યુનિયન લિડર પ્લાસિડ ડિ’મેલો, જેમણે ડૉક પર કામ કરનારાઓને સંગઠિત કર્યા હતા, તેમની સાથે યુવાન જ્યોર્જનો સંપર્ક થયો. મુંબઇ પહોંચ્યાનાં એક વર્ષમાં તો જ્યોર્જને ટ્રેડ યુનિયનનાં સંગઠન, તેમનાં આંદોલનો, તેમની રક્ષા અને હક માટેની લડાઇનું વ્યાકરણ પાકું થઇ ગયું હતું. રેલવે, ટેક્સી, ડૉક્સ, બેસ્ટની બસીઝ – તમામનાં કામદારો જ્યોર્જ સાથે જોડાયેલા હતા. સાંઇઠનાં દાયકા સુધીમાં તો જ્યોર્જ ફર્નાન્ડિસ એવું નામ હતું, જેમની એક હાકલે આખું મુંબઇ શહેર થંભી જતું. કામદારો-શ્રમિકો માટે તેમનો શબ્દ ‘આખરી’ ગણાતો. રામ મનોહર લોહિયાની વિચારધારાથી પ્રભાવિત જ્યોર્જ ૧૯૬૭માં લોક સભાની ચોથી ચૂંટણીમાં સોશ્યલિસ્ટ પાર્ટીનાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા અને કોંગ્રેસનાં એસ.કે. પાટીલ સામે જીત્યા. આ જીતે તેમને રાજકીય ભાષામાં ‘જાયન્ટ કિલર’ એટલે કે રાજકીય ક્ષેત્રમાં હજી પગલાં પાડ્યા હોવા છતાં પણ કોઇ મોટા માથાને પરાજીત કરનારની ઓળખ આપી. આ સમયે શિવસેનાની પકડ મુંબઇમાં મજબૂત બની રહી હતી અને જ્યોર્જ અંગે જાત-જાતની અફવાઓ પણ ફેલાવાઇ રહી હતી.

ઇંદિરા ગાધીની સરકાર સફળતાનાં નશામાં હતી, પણ જ્યોર્જ પાસે કામદારોનો અવાજ હતો. આઝાદી પછી રેલવે કર્મચારીઓનાં વેતનમાં વધારો નહોતો થયો અને ૧૯૭૩માં ઑલ ઇન્ડિયા રેલવે ફેડરેશનનાં અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા જ્યોર્જના કહ્યે ૧૯૭૪માં રેલવે ફેડરેશને હડતાળ પાડી અને આ રાષ્ટ્રવ્યાપી હડતાળ ૨૦ દિવસ સુધી ચાલી.  કામદારોના સાથી જ્યોર્જ કૉન્ગ્રેસનાં આકરા વિરોધી હતા. ઇંદિરા ગાંધીની સરકારે પહેલાં તો આ હડતાળને બહુ હળવાશથી લીધી પણ પછી તેમાં વધુને વધુ કામદાર યુનિયનો જોડાતા ગયા. આ સમયે સરકારના હુકમે મજૂર નેતાઓની ધરપકડ થવા માંડી, ૩૦ હજારથી વધારે કામદારોને જેલ ભેગા કરાયા, સરકારી વસાહતોમાંથી મજૂરોને હકાલી કઢાયા. જ્યોર્જ ફર્નાન્ડિસની પણ ધરપકડ થઇ. એ વખતનાં ‘બોમ્બે’માં કામ કરનારા દરેક શ્રમિક માટે જ્યોર્જ ફર્નાન્ડિસ તારણહાર હતા. આંદોલન તો ઠર્યું, પણ કામદારોમાં કોંગ્રેસ પ્રત્યેનો રોષ કાયમ માટે ઘર કરી ગયો.

જ્યૉર્જ ફર્નાન્ડિસ તથા કિરીટ ભટ્ટ, સરકિટ હાઉસ, વડોદરા, 1978

૧૯૭૫માં ઇંદિરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ મુકાયો અને કાયદાકીય પેચીદગીને નેવે મૂકી પોતાના પદ પરથી રાજીનામું આપવાને બદલે ઇંદિરા ગાંધીએ કટોકટી લાગુ કરી દીધી. ઇંદિરા ગાંધી પોતે જ જાણે કાયદો બની ગયાં પણ ઇંદિરા ગાંધીની સરમુખત્યારશાહીની પરાકાષ્ઠાનાં આ સમયમાં જ્યોર્જ ફર્નાન્ડિસને કૉન્ગ્રેસ સામેની પોતાની લડાઇમાં નવું બળ મળ્યું. પોતે સરકારનાં નિશાને છે એ સમજીને ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા જ્યોર્જ ફર્નાન્ડિસે ૭૮ મહિના સુધી કટોકટી વિરોધી ચળવળ ચલાવી. ઇંદિરા ગાંધીની સરમુખત્યાર શાહી સામે અવાજ ઉઠાવવાની હિંમત કોઇ પણ અખબારમાં નહોતી. ગોયેન્કા ગ્રુપનું અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ એક માત્ર અખબાર હતું જેણે કટોકટીનો આકરો વિરોધ કર્યો હતો. આ એ દિવસો હતા જ્યારે ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી અને માટે વડોદરા જ્યોર્જ માટે સલામત સ્થળ બન્યું. તેઓ અહીં આવીને બરોડા યુનિયન ઑફ જર્નાલિસ્ટનાં પ્રમુખ કિરીટ ભટ્ટને મળ્યા. કિરીટ ભટ્ટ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે કાર્યરત હતા. જ્યોર્જ ફર્નાન્ડિસને જાનહાનિ ન થાય એવો હિંસક વિરોધ કરવાનો વિચાર હતો. જાહેર સ્થળોએ તથા જ્યાં ઇંદિરા ગાંધીની સભા હોય, ત્યાં સુરંગ ફોડીને કટોકટીની ગંભીરતા અંગે લોકોમાં ચકચાર ફેલાવવી તેમનો ઇરાદો હતો. તેઓ ફકીર કે સરદારજીનાં વેશે વડોદરા આવતા. ખાનગી બેઠકો યોજાતી. આ એ દિવસો હતા જ્યારે તેઓ ત્રણ દિવસ કિરીટ ભટ્ટના ઘરે છૂપા વેશે સંતાયા હતા. જ્યોર્જ ફર્નાન્ડિસનું નામ નાનપણથી સાંભળ્યું હોવા પાછળ કિરીટ ભટ્ટની દીકરી હોવાનું કારણ છે. મારા મોટાભાઇ મેહુલ ભટ્ટે જણાવ્યા અનુસાર સી.બી.આઇ.નાં અધિકારી પ્રફુલ્લ મારુ ઘરે તપાસ કરવા આવ્યા હતા. તેમને પણ ખ્યાલ હતો કે જ્યોર્જ કયા ઓરડામાં છે, પણ તેમણે એ એક ઓરડા સિવાય બધે તપાસ કરાવડાવી હતી. હાલોલની ક્વૉરીમાંથી ડાઇનામાઇટ મેળવવામાં આવ્યા હતા. વડોદરાનાં જસવંત સિંહ ચૌહાણ, મોતીલાલ કનોજિયા અને ગોવિંદ સોલંકી અમદાવાદથી પટણા સુધી ડાયનામાઇટ્સ લઇ ગયા. જ્યોર્જ પટણામાં બિહારના નોન ગેઝેટેડ કર્મચારી યુનિયનના તત્કાલિક પ્રમુખ રેવતીકાંત સિંહાને ત્યાં હતા. પોલીસને બાતમી મળતા તેઓ જ્યોર્જની ધરપકડ કરવા રેવતીકાંતને ઘરે પહોંચ્યા, પણ ત્યાં સુધીમાં જ્યોર્જ ત્યાંથી નીકળી ગયા.

રેવતીકાંત પૂછપરછમાં ભાંગી પડ્યા, અને જેનું ષડયંત્ર વડોદરામાં ઘડાયું હતું તેવી સુરંગ પ્રકરણની બધી બાબતો છતી થઇ ગઇ. બીજા પણ એક બે સાથીઓ પોલીસના બાતમીદાર બની ગયા. સમયાંતરે જ્યોર્જ અને તેમના સાથીદારોની ધરપકડ થઇ. વડોદરાના કિરીટ ભટ્ટ, વિક્રમ રાવ, જસવંત સિંહ ચૌહાણ, મોતીલાલ કનોજિયા, ઉદ્યોગકાર વિરેન શાહ સહિત તમામની ધરપકડ થઇ. નંબર વન ગુનેગાર તરીકે કિરીટ ભટ્ટનું નામ આવ્યું. વડોદરાની મધ્યસ્થ જેલમાંથી અમુકને તિહારની જેલમાં મોકલી દેવાયા. થર્ડ ડિગ્રી ટોર્ચરનો ભોગ પણ બનાવાયા. કિરીટ ભટ્ટ અને જ્યોર્જ જેલમાં સાથે હતા. જ્યોર્જ જેલમાં બેડમિંટન રમતા. જ્યોર્જ ઇંદિરા ગાંધીને એવા પત્રો લખતા જેનાથી તેમની રાતોની ઊંઘ હરામ થઇ જતી.

૧૯૭૭ની ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની સરકાર પડી ભાંગી અને સુરંગ પ્રકરણનાં કેદીઓને છૂટકારો મળ્યો. જ્યોર્જ જેલમાંથી મુઝફ્ફર નગરની બેઠક પરથી ચૂંટણી જીત્યા. તેઓ મોરારજી દેસાઇની સરકારમાં ઉદ્યોગ મંત્રી બન્યા, આ પદ પણ તેમણે તેમના ટેકેદારોના આગ્રહને વશ થઇને સ્વિકાર્યું હતું. ઉદ્યોગ મંત્રી તરીકે તેમણે કોકા-કોલા અને આઇ.બી.એમ. જેવી મલ્ટી નેશનલ કંપનીઓને ભારતમાંથી તગેડી મૂકી. જનતા પાર્ટીની સરકાર બહુ ઓછો સમય રહી. કહેવાતું કે જ્યોર્જ ટ્રેડ યુનિયનિસ્ટની માનસિકતા ધરાવતા હોવાને કારણે ઉદ્યોગમંત્રી હોવા છતાં ખાનગી ઉદ્યોગકારો સાથે સારો સંબંધ ન કેળવી શક્યા. પરંતુ આ સમય દરમિયાન તેમના દિલ્હીનાં ઘરે બધા જ પ્રકારનાં ક્રાંતિકારીઓ માટે દરવાજા ખુલ્લા રહેતા. તિબેટિયન વિદ્યાર્થીઓ, ઇરાનિયન શાસકનો વિરોધ કરતાં ઇરાની વિદ્યાર્થીઓ, કરેન અને શાન ક્રાંતિકારીઓને આશરો અને માર્ગદર્શન બંન્ને આપનારા જ્યોર્જ કોઇ પિતાથી કમ નહોતા.

અત્યાર સુધી હંમેશાં સ્પષ્ટ લક્ષ્ય ધરાવનારા જ્યોર્જનાં વૈચારિક જિનેટિક્સમાં આ તબક્કે કંઇક ખોરવાયું હતું. મોરારજી દેસાઇનાં નેતૃત્વને ટેકો આપવાની આકરી રજૂઆત અને જનતા પક્ષમાં એકતાની અનિવાર્ય પર વાત કરનારા જ્યોર્જે ૨૪ કલાકમાં ચરણસિંહના જૂથમાં જોડાવાનું નક્કી કર્યું. જનતા પક્ષની સરકાર ટકી નહીં અને ઇંદિરા ગાંધી ફરી સત્તામાં આવ્યાં. દસ ભાષા જાણનારા જ્યોર્જ હવે ફરી એક્ટીવિઝમ તરફ વળી ગયા. ઇંદિરા ગાંધીની હત્યા પછી વી.પી. સિંઘનાં જનતા દળ સાથે જોડાયેલા જ્યોર્જ ચોથી મુદ્દતે મુઝફ્ફર નગરની બેઠક પરથી ચુંટાયા. વી.પી. સિંઘ અને અન્યોના આગ્રહે તે રેલવે મિનિસ્ટર બન્યા, પરિણામે કોંકણ રેલવેની સફળતા વાસ્તવિકતા બની. લાલુ પ્રસાદ યાદવના કુટુંબવાદને પગલે જ્યોર્જે જનતા દળથી અલગ થઇને સમતા પાર્ટી સ્થાપી પણ તેનું કંઇ નક્કર ન વળ્યું અને અંતે ભા.જ.પા. સાથેનું જોડાણ થયું.

જ્યોર્જ ફર્નાન્ડિસના હાથમાં રક્ષા મંત્રાલય હતું. પોખરણ પરિક્ષણ અને કારગીલ યુદ્ધનો વિકાસ પણ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસના નેતૃત્વ હેઠળ થયા હતા. કમનસીબે રક્ષામંત્રાલયના કોન્ટ્રાક્ટ્સમાં થયેલા ભ્રષ્ટાચારમાં તેમની છબી રોળાઇ. ભ્રષ્ટાચાર વિરોધી અને સાદગીથી જીવનારા જ્યોર્જ માટે આ બહુ મોટો ધક્કો હતો, પણ તેમણે પોતાનું કામ ક્યાં ય ન અટકાવ્યું. તહેલકાએ કહેલા આ આક્ષેપોમાંથી જ્યોર્જને ક્લિન ચીટ પણ મળી અને કેગ રિપોર્ટે કરેલી ચૂકની પણ સ્પષ્ટતા થઇ. માનવાધિકારના મશાલચી રહેલા જ્યોર્જ ૨૦૦૨નાં રમખાણો પછી પણ ભા.જ.પા. સાથે હતા તે વાત તેમને નજીકથી જાણનારાઓને બહુ ખૂંચી હતી. છતાં એ જ્યોર્જ હતા, જેમણે કિરીટ ભટ્ટના એક ફોનકૉલને પગલે રમખાણો દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી અને સ્થિતિ કાબૂમાં લાવવા લશ્કરને રાજ્યમાં ઉતાર્યુ હતું.

વિચારોનાં જિનેટિક્સમાં ક્યાંક કશુંક વધારેને વધારે બગડી રહ્યું હતું. ૧૯૬૬માં જે જ્યોર્જે આદિવાસી નેતા પ્રવિર ચંદ્ર ભાંજદેઓની હત્યા કરાવનારા રાજકારણીને લક્ષ્યમાં રાખી વિધાનસભામાં ટેલિગ્રામ કર્યો હતો કે તમે લોકોના રોષમાંથી નહીં બચી શકો પણ ૨૦૦૨માં એ જ્યોર્જ ક્યાંક ખોવાઇ રહ્યા હતા. આ એ જ જ્યોર્જ હતા જે મંત્રી હોવા છતાં પિપલ્સ યુનિયન ફૉર સિવીલ લિબર્ટીઝની ૧૯૭૮ની સભામાં નક્સલ કેદીઓનાં ટેકામાં બોલ્યા હતા. કેદીઓને મામલે થતા વર્ગભેદ સંબોધવાથી માંડીને, સામાન્ય લોકોને માટે શરૂ થતી એરલાઇનને મદદ કરવામાં (એર ડેક્કન), કેહર સિંઘનાં એક્ઝિક્યુશનનો વિરોધ કરવામાં, માનવઅધિકારની લડત ચલાવનારાઓને ટેકો આપવામાં, સિયાચીનનાં બેઝ પર જઇને સૈનિકોને મળવામાં, ‘ફ્લાયિંગ કૉફિન’ કહેવાતા મીગ-૨૧માં મુસાફરી કરવામાં, તેને મળવનારા દરેકને એક સમાન માનવામાં જ્યોર્જની ખરી ઓળખાણ ઘડાઇ હતી. ગુજરાતનાં રમખાણો પછી તેમણે અને સાથી જયા જેટલીએ લોકોની જાહેર માફી પણ માગી હતી.

આટલું બધું જાણનાર, જીવનાર જ્યોર્જ જે હંમેશાં કંઇક કહેવા તત્પર હતા તેમની બ્રેઇન સર્જરી એ તેમને ખૂબ નબળા બનાવી દીધાં અને સમયાંતરે અલ્ઝાઇમરનાં શિકાર બન્યાં. શબ્દોને બદલે મૌન તેમનું સાથી બન્યું. પત્ની લયલા કબીરથી તે અલગ હતાં પણ પથારીવશ જ્યોર્જ જાણે છેલ્લા કેટલાં ય વર્ષોથી એક જૂદી જ કેદમાં હતા. તેમનો આત્મા હવે મુક્ત છે જે, હિંમત, નૈતિકતા, કૌશલ્ય, કરુણા અને જ્ઞાનની સ્પષ્ટતાનાં પંચમહાભૂત તત્ત્વોથી બનેલો છે.

બાય ધી વેઃ

તેઓ તેમનાં કપડાં વાસણ જાતે સાફ કરતાં. તે છૂપા વેશે ફરતા ત્યારે એક સમયે તેમના સગા ભાઇ તેમને નહોતા ઓળખી શક્યા. તે નાની બાબતોની તકેદારી રાખતા. જેમ કે મલેશિયા એરપોર્ટ પર કોઇનાં પૉકેટ કેમેરા પર વડોદરાનું મેન્યુફેક્ચરિંગ લખ્યું હતું તો એ વડોદરા આવ્યા ત્યારે એ કેમેરા બનાવનાર કંપનીની મુલાકાતે ગયા હતા. કટોકટી એમના જીવનનો ‘હાઇ પોઇન્ટ’ હતો, તો ભા.જ.પા.નાં વર્ગ વિગ્રહી રાજકારણનો સ્વિકાર તેમની કારકિર્દીનાં મહાન કદને ‘પિગ્મી’ બનાવનારો સાબિત થયો. આ નિર્ણય પાછળ સત્તાની ભૂખ કરતાં કૉન્ગ્રેસ પ્રત્યેનો તિરસ્કાર વધારે કામ કરી ગયો હોય, એમ ચોક્કસ બને. જ્યોર્જ માટેનું અઢળક માન હંમેશાં રહેશે જ પણ લોકો વચ્ચે, લોકો માટે રહેલા જ્યોર્જે કારકિર્દીનાં અંતમાં જે નૈતિક સમાધાનો ક,ર્યા તે માટે હૈયાનો એક ખૂણો તેમને નહીં અપાયેલી માફીને પગલે ખૂંચતો રહેશે. પણ એવા નેતા ફરી ક્યારે ય જોવા નહીં મળે એ પણ એક હકીકત છે.

01  ફેબ્રુઆરી 2019

e.mail : chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

ફોટો સૌજન્ય : ચિરંતનાબહેન ભટ્ટ

Loading

ફિતરત બનામ ફિતરત, નાગરિક નિસબત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 March 2019

‘નગારે ઘાવ’ની રીતે જોઈએ તો પિછવાઈ તો ઠીક જ હતી : દાંડી કૂચનો, વણજોયા મૂરત શો દિવસ, ગાંધી આશ્રમે પ્રાર્થના અને સરદાર સ્મારકમાં કારોબારીની બેઠક; ને ત્રિવિક્રમ મંદિર વિસ્તારમાં વિશાળ રેલી : કૉંગ્રેસ તડે પેંગડે નહોતી લાગતી એમ તો કહી શકાતું નથી. ખાસ તો, પુલવામા ઘટના અને સર્જિકલ સ્ટ્રાઈક પછી સત્તાપક્ષ તરફે જે સ્વાભાવિક મનઃસ્થિતિ તેમ જ માહોલ બન્યાં હતાં – અને ગુજરાતમાં પણ જાણે કે ડૂબતા વહાણના ખયાલે કૉંગ્રેસ ધારાસભ્યો ભા.જ.પ.માં જોડાઈ રહ્યા હતા – એ વખતે ઉમંગ અને ઉત્સાહથી, કંઈક જોસ્સાથી આમ મળી શકવું, સામાન્ય વાત તો એ નથી.

અહીં સવાલ એ થાય કે સામાન્યપણે જેને દેશનો મિજાજ કહેવાય છે એ ૧૪મી ફેબ્રુઆરી અને સર્જિકલ સ્ટ્રાઈક પછી તરતના દિવસોમાં જે જોવા મળ્યો હતો, વળી શીર્ષ સત્તાસ્થાનેથી પાકિસ્તાન અને વિપક્ષના સમીકરણનો અને રાજ્યે રાજ્યે કાશ્મીરીઓને નિશાન બનાવવાની પ્રક્રિયા પરત્વે કેન્દ્રના પક્ષે એક હદ લગી આંખ આડાકાનની હતી, એમાંથી એવું તો શું બન્યું કે ૨૦૧૪માં બે આંકડામાં સમેટાઈ ગયેલી કૉંગ્રેસ, આગળ ચાલતાં એક તબક્કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને હાંફનો અનુભવ કરાવી શકેલી અને ચાર વરસ પાર કરતે કરતે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ એમ ત્રણ પાંદડે પહોંચી ગયેલી, તો નીચે કર્ણાટકમાં પણ કંઈક ગોઠવાઈ ન ગોઠવાઈ અને ફેબ્રુઆરી ૨૦૧૯ ઉતરતે એકદમ જ મનોવૈજ્ઞાનિક ભોંયપટક – પણ આ ભોંયપટકના દસવીસ દિવસ પછી વળી જોમ …

આમ તો, કૉંગ્રેસે આશ્વસ્ત રહેવા જેવું દેખીતું એટલું બધું કદાચ છે તો નહીં. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ, ક્યાં છે એ? અને સૌથી મોટા ઉત્તર પ્રદેશમાં એક પા ભા.જ.પ. બીજી પા સ.પ.-બ.સ.પ., પછી એને વાસ્તે હમણે તો તસુ ભોંય હોય તો હોય. તો પછી, ૧૨ માર્ચ ૨૦૧૯નો એનો ઉત્સાહ અગર તો વળતે દહાડે ૧૩મી માર્ચે ચેન્નાઈમાં રાહુલ ગાંધીની આત્મવિશ્વાસથી મંડિત સામેલગીરી અને પ્રિયંકા ગાંધીની ચંદ્રશેખર આઝાદ (રાવણ) સાથેની મુલાકાત, કેવી રીતે જોશું એને.

સમગ્રપણે જોતાં જે સમજાય છે તે કદાચ એ છે કે મે ૨૦૧૪માં જરૂર છાકો પડી ગયો, પણ સત્તાપક્ષની વિચારરૂખથી ગુણાત્મકપણે જુદી હોઈ શકતી જે ધારા સ્વરાજસંગ્રામ સાથેના અનુસંધાન અને ગાંધીનેહરુપટેલની ત્રિપુટીના અનુબંધમાં નવસંદર્ભમાં લુપ્તવત્‌ છતાં ભોમભીતર સરવાણી શી પ્રવહમાન છે તે પોતાની હાજરી ઓર જીવંતપણે પુરાવી પણ શકે. આ ધારાની વિલક્ષણતા એ છે કે નેહરુપટેલથી અલગપણે રાજનીતિ કરનારા કૃપાલાની, લોહિયા, જયપ્રકાશ પણ એમાં છે. ૧૯૭૪-૧૯૭૭ના જે.પી. જમાવડાની ખૂબી એ હતી કે તે ઇંદિરાઈની સામે હોય ત્યારે અને તો પણ ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીના ઓછાવત્તા મેળમાં હોઈ શકતી હતી. એક પ્રકારે સીધા પડકારની છતાં વિમર્શને ધોરણે છેક વૈકલ્પિક નહીં એવા પથસંસ્કરણની ભૂમિકા એની હતી.

તમે એને વિલક્ષણતા કહો, વણછો કહો, જે.પી. જમાવડામાં જનસંઘ પણ હતો જેણે આગળ જતાં ભા.જ.પ. રૂપે દેશ સમક્ષ વૈકલ્પિક વિમર્શના દાવા સાથે સત્તા હાંસલ કરી. જે.પી. આંદોલન, સર્વોદયી સંસ્કારપૂર્વક લોકશાહી સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતાની ધારામાં હતું એવા વ્યાપક વિધાનને અવશ્ય અવકાશ છે, પણ એના લાભાર્થી જનસંઘને પોતાના કથિત વૈકલ્પિક વિમર્શમાં એનો બુનિયાદી ખપ નથી તે સાફ છે.

સત્તારમત અને એનાં વહેણ અને વમળ વચ્ચે છતાં કટોકટીરાજનો અક્ષમ્ય જેવો અપરાધ બાદ કરો તો ઇંદિરા ગાંધી રાજપુરુષોચિત વલણનાં પણ હોઈ શકતાં હતાં, અને જેમ સર્વસાધારણ રાજકારણી ઉત્તરોત્તર ખરડાતો ને ભ્રષ્ટાચારલિપ્ત વરતાયો (જેમાં આજની ભા.જ.પ. મંડળીને પણ મૂકી શકીએ) તેવાં પણ એ હોઈ શકતાં હતાં. એટલે આજે કૉંગ્રેસમુક્ત ભારતની લાયમાં કૉંગ્રેસયુક્ત ભા.જ.પ.નું જે દર્શન થઈ રહ્યું છે એનાથી સામાન્યપણે આશ્ચર્ય થવું ન જોઈએ.

ભા.જ.પ. અને ઇંદિરા કૉંગ્રેસને આમ એકસાથે મૂકીને સંભારવાનું કારણ એ છે કે આજે કૉંગ્રેસ નવજીવનનો જે આછોપાતળો પણ અનુભવ કરી રહી હશે એને ઓસાણ રહેવાં જોઈશે કે પોતે જ્યારે ભા.જ.પ.ના મુકાબલાની ભૂમિકામાં છે ત્યારે ઇંદિરા ગાંધીના રાજકારણમાં જે સ્ખલનો વરતાયાં હતાં એ પણ દિલચોરી વગર સમજવાં જોઈશે. પ્રિયંકા ગાંધી તખતે ઝળકે એટલે ‘ઇંદિરા ગાંધી ઝિંદાબાદ’ના હર્ષોલ્લાસી નારા પોકારાય એ સમજી તો શકાય, પણ આ ધાડિયામાં હાલના સત્તાપક્ષમાં ને ઇંદિરા ગાંધીના રાજકારણમાં જે મળતી રેખાઓ છે એને અંગે સૂક્ષ્મ વિવેકપૂર્વકની સભાનતા નહીં હોય તો તે સ્વરાજની વડી પાર્ટીને લાયક નવી ઇનિંગ્ઝ વાસ્તે ઓછું ને પાછું પડશે.

આ મુદ્દો કરતી વખતે હાલના સંજોગોમાં કેરળના ડાબેરી લોકશાહી મોરચા પેઠે ભા.જ.પ. અને કૉંગ્રેસ બેઉ સરખાં ખરાબ છે એવું સમીકરણ કરવાનો ખયાલ અલબત્ત નથી. મર્યાદાઓ અલબત્ત છે તે છે; પણ કોમવાદ સબબ કૉંગ્રેસનાં સિન્સ ઑફ ઓમિશન્સ ને કમિશન્સ (એમાં પણ ૧૯૮૪) સામે ભા.જ.પે. તો કોમવાદને પૂરા કદની રાજકીય વિચારધારાનો દરજ્જો આપ્યો અને માથે રાષ્ટ્રવાદનો વરખ થાપ્યો એ બે વચ્ચેનો ભેદ સમજવાની જરૂર (અને ગરજ) છે. આ ભેદ સમજાય તો ભા.જ.પ. શાસનની બિનલોકશાહી ગુંજાશ કઈ હદે હોઈ શકે છે તે પણ સમજાઈ રહેશે. એમાં કોઈ શક નથી કે સ્વાયત્ત હોવી અને રહેવી જોઈતી સંસ્થાઓને હાલ જે રીતે હસ્તગત અને નષ્ટભ્રષ્ટ કરાઈ રહી છે એ પ્રક્રિયા હવેનાં વરસોમાં હજુ વધુ હાણ પહોંચાડશે અને પ્રજાજીવનને એની કળ તો વળતાં વળશે. એટલે ક્યારેક જો બિનકૉંગ્રેસવાદનું એક લૉજિક હતું તો બિનભા.જ.પ.વાદનુંયે એક લૉજિક ખસૂસ હોઈ શકે છે.

ઇંદિરા ગાંધી એક તબક્કે નાગરિક સમાજ અને કર્મશીલ બૌદ્ધિકો પરત્વે વિમુખ જેવાં પેશ આવ્યાં હતાં. સોનિયા ગાંધીએ જે રાષ્ટ્રીય સલાહકાર સમિતિનો રાહ લીધો એમાં આ તત્ત્વો અને પરિબળોને કંઈક પ્રવેશ જરૂર હતો, પણ જનઆંદોલનને સહજ અનુસરતી લવચીકતા રીઢા રાજકારણી માહોલમાં ઓછી પડતી હતી. અત્યારની સત્તામંડળીને તો આવાં પરિબળો અને સ્વાયત્ત સંસ્થાઓને કેવળ અને કેવળ વિપક્ષ તરીકે જ જોવાની આદત છે. જ્યાં સુધી વિપક્ષનો સવાલ છે, અત્યારની સત્તામંડળીની માનસિકતા બનતી ત્વરાએ તેને પાકિસ્તાનતરફીથી માંડી રાષ્ટ્રવિરોધીની રીતે ખતવવાની છે.

કૉંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોએ પોતપોતાની રીતેભાતે પોતપોતાને ધોરણસરના વિકલ્પ તરીકે પેશ કરવા રહેશે. વચલાં વરસોમાં ચઢાવઉતાર વચ્ચે પણ એ સૌ આ ક્ષણે હારણ (ડિફિટિસ્ટ) મનોદશાની બહાર છે તે ઠીક જ છે. પ્રશ્ન એ છે કે સત્તાકાંક્ષાવશ સૌ સૌનાં ગણિત એમને એકત્ર થવામાં અવરોધ સરજે છે એનું શું.

એમણે જાડી રીતે કહેતાં બે વાનાં પાયાનાં ગણીને ચાલવું જોઈશે. એક તો, દિલ્હીમાં જે સત્તારૂઢ છે એને ખાળવાની તાકીદ ભીંત પરના અક્ષર પેઠે સાફ છે. બીજી વાત એ કે વાત માત્ર વ્યક્તિગત કે પક્ષગત વિરોધની નથી; પણ વૈકલ્પિક વૃત્તાંત કે કથા(નિરેટિવ)ની છે. આ કથા બહોળી રીતે પણ સૂત્રરૂપે કહીએ તો ‘નફરતની ફિતરત’ વિ. ‘મહોબતની ફિતરત’ની છે. આ ફિતરત મુક્ત પણ મુખતેસર માંડણી માગી લે છે. માત્ર, કૉંગ્રેસ કારોબારી નિમિત્તે કંઈક સંચાર વરતાયો તે ચોક્કસ.

ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 01-02 તેમ જ 15

Loading

આપણી લડત ફાસીવાદ સામે

જયંતી પટેલ|Opinion - Opinion|15 March 2019

સ્વાધીનતા તથા ત્યાર પછીના બેએક દશકાના જાહેરજીવન અને નેતૃત્વની સાથે વર્તમાનને સરખાવતાં વિષાદયોગમાં સરી પડાય છે. નેતૃત્વ તથા જાહેરજીવનમાં એવાં તે કેવાં આચરણ, મૂલ્યો અને વ્યવહારોને આપણે ઉત્તેજન આપ્યું કે એખલાસ, મૂલ્યનિષ્ઠા, પ્રામાણિકતા, સેવાવૃત્તિ, પ્રજાના યોગક્ષેમ માટેની ચિંતા તથા તે માટે ઝઝૂમવાની સક્રિયતા લોપાતી ગઈ અને ધિક્કાર, ભેદભાવ, સત્તા માટેની તડજોડ, ભ્રષ્ટાચાર, પ્રજાના યોગક્ષેમની અવજ્ઞા, વ્યક્તિગત સ્વાર્થની સાધના માટે જાહેરજીવનનો ઉપયોગ, ગુંડાગીરી, બેફામ જુઠાણાં તથા વચનો દ્વારા પ્રજા સાથે છેતરપિંડી વ્યાપક બન્યાં છે?

જાહેરજીવનનાં વિચાર-આચારનાં મૂલ્યોના ઘડતરમાં તથા તેનાં ઉર્ધ્વીકરણમાં પ્રબુદ્ધ-વિચારશીલ અગ્રવર્ગના આચાર-વિચાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તદુપરાંત, માર્ક્સે દર્શાવ્યા મુજબ, આર્થિક-ભૌતિક ઉત્પાદકીય પરિબળો પણ અસરકારક છે. છેલ્લા દશકાઓ દરમિયાન રાષ્ટ્રના જાહેરજીવનના આચાર-વિચાર ઉપર સત્તાની દોડમાં ગળાડૂબ રાજકારણીઓએ આ બંને પરિબળો પર કબજો જમાવ્યો હોય તેમ લાગે છે. પરિણામે પ્રબુદ્ધ વિચારશીલતા નષ્ટ પામી છે કે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને સત્તા આર્થિક સમૃદ્ધિ એકત્ર કરવાનું સાધન બની રહી છે. એટલે કે, સ્વસ્થ જાહેરજીવનની પુનઃસ્થાપના માટે, પ્રજાકીય જાગૃતિ દ્વારા સત્તાના રાજકારણ સામે મોરચો માંડવો રહ્યો, સંઘર્ષ કરવો રહ્યો.

આમ પ્રજા જાહેરજીવનમાં મૂલ્યોના મહત્ત્વને સમજે છે. વિચારશીલોનું કામ આ મૂલ્યોને વ્યાખ્યાબદ્ધ કરી, પ્રજાને સંગઠિત કરી, તે માટે આગ્રહ સેવતા કરવાનું છે. આ માટે એ જરૂરી છે કે બંને વચ્ચે સંબંધસેતુ રચાય. આવો સેતુ રચવા માટે પ્રજાની મૂળભુત આવશ્યક્તાઓની માંગોના ઉકેલ માટે તેમને સાથ-સહકાર આપી તેમ જ, સાથેસાથે, મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહને સાંકળી લેવાનું કાર્ય હાથ ધરવું જોઈએ. મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહ સિવાયની આર્થિક સમૃદ્ધિ કે વિકાસ પૂરતાં નથી. ઠેરઠેર આવાં વૈચારિક તથા સંઘર્ષનાં કેન્દ્રો વિકસાવવાની તાતી જરૂર છે. આ કેન્દ્રો લોકશાહીના સમર્થક, પ્રામાણિક, પ્રજાને જવાબદાર ઉમેદવારો ચૂંટાય તથા તેમના કાર્યો ઉપર નજર રાખે તેવું પણ બને. એટલે કે, વૈચારિક અને રચનાત્મક-સંઘર્ષાત્મક પ્રવૃત્તિએ હાથમાં હાથ મિલાવી ચાલવું રહ્યું.

આપણી લડત માનવીય મૂલ્યોના વિરોધી, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલીનાં ધારાધોરણોની અવજ્ઞા કરતાં, સમાજ તથા રાષ્ટ્રને વિભાજીત કરતાં, આડો-ઊભો વેતરી નાંખતાં ભેદભાવ અને ધિક્કારને પોષતાં અને ફેલાવતાં, હિંસા-હત્યા-દમનને પ્રેરતાં, ફાસીવાદી પરિબળો સામે છે.

ભારતમાં છેલ્લા નવેક દાયકાથી ફાસીવાદી વિચારધારાનું સમર્થક આંદોલન વિકસતું રહ્યું છે. માનવીય મૂલ્યો અને વિચારશક્તિને કુંઠિત કરતાં પ્રચાર કેન્દ્રો દ્વારા તેણે ચાવીથી ચાલતાં રમકડાં જેવા રોબોપેથો (રોબોટ-યંત્રમાનવ-જેવી માનસિકતા ધરાવતા) સર્જ્યા છે. આક્રમક-રાષ્ટ્રવાદી ઉન્માદ, મૂડીવાદી પરિબળો, જુઠાણાં અને લલચાવનારાં વચનો, ધાકધમકી તથા ચાલબાજીઓ (ઈ.વી.એમ. સાથે ચેડાં કરી તથા વિપક્ષના વિધાયકોને ફોડી) અજમાવી સત્તા ઉપર કબજો જમાવ્યો છે. આ પાંચેક વર્ષમાં તો તેનું શેતાની સ્વરૂપ પ્રગટ થઈ ચૂક્યું છે. તેની સામેની લડત આંતરવિગ્રહ જેવી કપરી, લોહિયાળ, વિનાશક અને પીડાદાયક ના બને તેવી આશા રાખીએ. આવી આશા રાખી શકાય તેવાં કારણો પણ છે. આ ખોફનાક વાદળોનો ઘટાટોપ વિખરાશે અને ભારતમાં માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી, એખલાસ, અમન અને શાંતિનો માહોલ પ્રસરશે તેવી આશા રાખવા પ્રેરે તેવાં પરિબળો પણ છે.

પ્રથમ તો, બહુમતી જનતા હજી આ ફાસીવાદી રંગે રંગાઈ નથી. એવી વ્યક્તિઓ, સંગઠનો અને પક્ષો છે જે લોકશાહીની રક્ષા માટે સચિંત અને કાર્યરત છે. ચૂંટણીઓ દ્વારા અહિંસક માર્ગે શાસક પક્ષને બદલવાની શક્યતા સુલભ છે. કેટલાંક રાજ્યોમાં બેત્રણ પક્ષો વચ્ચે સમજૂતી સાધી, વિરોધી મતો વહેંચાઈ જાય નહીં તેવી ગોઠવણ થઈ રહી છે, પરંતુ ઇન્દિરાઈ કટોકટી સમયે જેમ બધા વિરોધપક્ષોએ એક થઈ જનતા મોરચો રચ્યો હતો તેવી સમજૂતી સર્જવી રહી. આવી સમજૂતી દ્વારા સાઠ ટકા ઉપરાંત મતો એકત્ર થઈ શકે અને સત્તાપક્ષને દૂર કરી શકાય.

અલબત્ત, ફાસીવાદીઓને માત્ર સત્તાસ્થાનેથી દૂર કરવા પૂરતું નથી. મહત્ત્વની લડત તો ફાસીવાદી વિચારશૈલી તથા માન્યતાઓની સફાઈ કરવા માટે વ્યાપક વૈચારિક આંદોલન કરવાની તથા તે માટેની તાલીમ શિબિરોના આયોજન દ્વારા માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી તથા વિચારશૈલી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, રેશનલ અને સેક્યુલર વલણ તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવવા ઉપર પણ ધ્યાન આપવું રહ્યું. આમ, સંગઠન તથા વૈચારિક એમ બંન્ને મોરચે લડત આપવાનો પડકાર ઉપાડવાનો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 03

Loading

...102030...2,8842,8852,8862,887...2,8902,9002,910...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved